Sunday, April 15, 2012

હિંદુ સમાજ માટે બળ એ જ પુણ્ય છે અને દુર્બળતા મહાપાપ


આધુનિકકાળમાં હિંદુત્વના વિચારને દ્રઢીભૂત કરવામાં જેમની અલગ અને અનોખી ભૂમિકા રહી છે, તેવા સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે બળ જ પુણ્ય છે અને દુર્બળતા જ પાપ છે.એટલે કે બળશાળી હિંદુ સમાજ પુણ્ય છે, દુર્બળ હિંદુ સમાજ પાપ છે. બળશાળી હિંદુ સમાજ દેશ-દુનિયામાં સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારા લોકોને પુણ્ય કરવા માટે બાધ્ય કરી શકશે. હિંદુ સમાજની દુર્બળતા સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારા સમાજોને દેશ-દુનિયામાં મનસ્વી વર્તન કરવા માટે છૂટોદોર આપી દેશે.

વેદ અને ઉપનિષદમાં જો કોઈ એવો શબ્દ છે કે જેના પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, તો તે છે નિર્ભયતા. ભય જ પતન અને પાપનું કારણ છે. ભયથી દુ:ખ ઉભા થાય છે, તે મૃત્યુનું કારણ પણ છે. તમામ બુરાઈઓની જડ છે, ભય. શક્તિ, બળ ભયનો લોપ કરે છે. ભય શક્તિથી દૂર ભાગે છે. શક્તિ અને બળથી આત્મ વિશ્વાસ આવે છે અને આ આત્મવિશ્વાસ વ્યક્તિ અથવા સમાજમાંથી ભયને ભગાડીને તેને નિર્ભય બનાવે છે.

હિંદુ તત્વજ્ઞાનનું પ્રત્યેક પૃષ્ઠ શક્તિનો સંદેશ આપે છે. ઉપનિષદો કહે છે કે હે માનવ તેજસ્વી બનો, વીર્યવાન બનો અને દુર્બળતાને ત્યાગીને શક્તિવાન બનો. પરંતુ આ વેદ અને ઉપનિષદના ઉપદેશો ભૂલીને ગત એક હજાર વર્ષોથી આપણા સમાજ જીવનનું એકમાત્ર લક્ષ્ય હેતુ રહ્યો છે કે કેવી રીતે આપણે આપણી જાતને અને આપણા સમાજને દુર્બળથી વધારે દુર્બળ બનાવીએ. હિંદુ સમાજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પારકા અને જેને પોતાના ગણીએ છીએ તેવા લોકો પણ પગમાં આળોટતા કીડા ગણીને હિંદુ સમાજને કચડીને આગળ વધવાની તમન્ના ધરાવે છે. જે પણ હોય આવા અનિષ્ટો હિંદુ સમાજની સમજને કચડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે હિંદુ સમાજને માત્ર શક્તિ જોઈએ. આપણને માત્ર શક્તિ જોઈએ.

આપણે ત્યાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તયૈ, નમસ્તયૈ, નમસ્તયૈ નમો નમ્-ને પ્રાર્થના રૂપમાં વણી લેવામાં આવ્યું છે. પરંતુ શક્તિ એ સાધના છે અને શક્તિ એ જ સાધ્ય છે. શક્તિની અવિરત સાધનાથી શક્તિના પાદૂર્ભાવનું સાધ્ય પ્રાપ્ત થાય છે. શક્તિને અવિરત અને અવિરલ રીતે આપણા હિંદુ સમાજના પ્રવાહની સમજમાં વણી લેવાની તાતી જરૂર છે. શક્તિના પાદૂર્ભાવનો સીધો સંબંધ આત્મવિશ્વાસ સાથે છે અને આત્મવિશ્વાસનો સીધો સંબંધ નિર્ભિયતાથી છે.

હિંદુ સમાજે પોતાની સમજને શક્તિમાં બદલીને પોતાની તમામ મર્યાદાઓની રક્ષા કરવી જોઈએ. આમ નહીં થવાને કારણે જ ખંડિત પણ આઝાદ ભારતમાં સહઅસ્તિત્વને નકારનારાઓ હિંદુઓની અવજ્ઞા અને અપમાન કરે છે. તેનાથી ખોટી નીતિઓને આશ્રય મળે છે. શિક્ષણ, સમજ અને સભ્યતામાં હિંદુ સંસારના કોઈપણ સમાજથી હીન નથી, તેનાથી વિપરીત તે અન્ય સમાજોથી આ બધી બાબતોમાં સુપિરિયર છે, શ્રેષ્ઠ છે. પરંતુ હિંદુ સમાજ શક્તિની સાધનાને પૂજા-પાઠ અને કર્મકાંડ સુધી મર્યાદિત રાખે છે, તેના કારણે હિંદુ સમાજની શક્તિનો સામાજિક જીવનમાં શક્તિ પાદૂર્ભાવની ઘટનાઓ ઘણી ઝૂઝ જોવા મળે છે. તેના કારણે હિંદુ વ્યક્તિગત રીતે ગમે તેટલો શ્રેષ્ઠ હોય, પણ સમાજજીવનની દ્રષ્ટિએ સમાજની સમજની દ્રષ્ટિએ તે પોતાને હીન માને છે. જેને કારણે વિરોધીઓ અને પોતાના કહેવાતા લોકો દ્વારા તે રસ્તાના પથ્થર જેવો ગણવામાં આવે છે. તેને કોઈપણ ઠોકરે ચઢાવીને આગળ વધવાના મનસૂબા પાળે છે. કોઈપણ સાધારણ કક્ષાના લોકો હિંદુ સમાજને ડંડા મારવાની ચેષ્ટા કરી લે છે અને તેને આપણે નિર્ભયતાના વેદ-ઉપનિષદના ઉપદેશો ભૂલી જવાથી સહન કરી લઈએ છીએ. શક્તિની સાધના કરીએ છીએ, પરંતુ હજી સુધી તેને વાસ્તવિકરૂપમાં કાયમ માટે સાધ્ય બનાવી નથી.

જેના કારણે હિંદુ સમાજની અવગણના કરીને સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સ્તરે તેને રાસ્તે કા પથ્થર બનાવવાની ચેષ્ટાઓ ચાલી રહી છે. આ ચેષ્ટાઓ બંધ થાય તેના માટે કોઈના પર પણ આધાર રાખ્યા વગર હિંદુ સમાજે પોતાની તમામ શક્તિ અને તેના કેન્દ્રોને એકત્રિત કરીને નિર્ભયતાથી તેજસ્વી બનીને વીર્યવાન બનીને ઉભા થવાની જરૂર છે.

નિર્ભયતાની કિંમત પણ ચુકવવી પડશે. જ્યારે કોઈ ઘર્ષણમાં ઉતરવામાં આવશે. તો નિશ્ચિત છે કે થોડા ઘસરકા આપણી જાત પર લાગશે. લડાઈ છે, દર્દ પણ હશે અને જખ્મ પણ થશે. તેને સહેવાની શક્તિ હિંદુ સમાજને તેની શક્તિની સાધનાને સાધ્ય બનાવવાની સમજથી પ્રાપ્ત થશે. ક્યારેક બની શકે કે કોઈ બળથી પુણ્યનું કામ કરતા તમને રોકવાની કોશિશ કરવામાં આવે. કોઈ વખતે જેલ પણ થાય. તો તેવી પરિસ્થિતિમાં શું હિંદુ સમાજ માટે કામ કરીને સમાજની સમજમાં આત્મવિશ્વાસ ભરવાનું છોડીને વ્યક્તિગત રીતે તૂટી જવું કે સમાજને દોષ દેવો યોગ્ય છે?

સમાજમાં નિર્ભયતા લાવવા માટે અખૂટ શક્તિની જરૂર છે અને અખૂટ શક્તિનો સમાજની સમજને અહેસાસ કરાવવા માટે દુર્બળતા ત્યાગીને અખૂટ બળ પ્રાપ્તિ કરીને તેની અભિવ્યક્તિ માટે બલિદાનોની વણઝારની જરૂર પડશે. ત્યારે હિંદુ સમાજે પોતાની એક હજાર વર્ષની શાહમૃગ વૃતિવાળી સમજને ત્યાગીને બલિદાનોની વણઝાર માટે અલગ જ તાસીરનો પરિચય આપવો પડશે.

શક્તિની સાધના ક્રાંતિ તરફ દોરી જાય છે. શક્તિની સાધનાથી ક્રાંતિપથ પર ચાલનારાઓની સંખ્યા ઘણી ઓછી રહેશે. તેમને તોડી પાડવા માટે અવનવા પ્રયત્નો થયા છે અને થતા રહેશે. પરંતુ શક્તિનો સાધક પોતાની સાધનાના પથ પર એકલો હોવા છતા અડગ રહેશે તે તેની સાધનાની સર્વોચ્ચતા રહેશે. આવો સાધક સમાજની સમજને ક્રાંતિ તરફ દોરી જશે. આ ક્રાંતિથી જ અસમંજસમાં લાગતા ભારતમાં શાંતિ સ્થપાશે.

No comments:

Post a Comment