સોમવાર, 25 ડિસેમ્બર, 2017

ગુજરાતમાં પુન: વિજયી ભવ:



-   પ્રસન્ન શાસ્ત્રી
હિંદુ હિત કી બાત કરેગા વોહી દેશ પર રાજ કરેગા.. રામજન્મભૂમિ આંદોલન વખતથી સેક્યુલારિઝમના નામે લઘુમતી તુષ્ટિકરણના માર્ગે ચાલી નીકળેલી કોંગ્રેસ સહીતની પાર્ટીઓને સમજાવવા માટે પોકારવામાં આતું હતું. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં કોંગ્રેસને આની સમજ પડવા લાગી હોવાનું દેખાયું છે. તો સતત છઠ્ઠી વખત વિજયી બનવામાં સફળ થયેલી ભારતીય જનતા પાર્ટીને માત્ર 99 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. ગત છ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ખાતે ભાજપનું સૌથી નબળું પરિણામ 2017ની ચૂંટણીમાં રહ્યું હોવાની બાબત પણ એક હકીકત છે. આની પણ સમીક્ષા કરવાને ઘણો અવકાશ રહ્યો છે. સુપેરે એક વાત ધ્યાનમાં આવે છે, તે એ છે કે હિંદુત્વના એજન્ડામાં ઢીલા પડવાનું વિરોધીઓને મહેસૂસ થશે, તો તેઓ જ્ઞાતિવાદને ઉભારવામાં સફળ થવા લાગશે. જ્ઞાતિવાદના માથું ઉંચકવાની સાથે ભારતની રાજનીતિમાં મુસ્લિમ તુષ્ટિકરણની રણનીતિ ફરીથી પુનર્જિવિત થવા લાગશે. કુલ મળીને ગુજરાતની ચૂંટણીનો સંદેશ છે કે ભારતના કોઈપણ રાજકીય પક્ષ માટે હિંદુઓની લાગણી અને માગણીની અવગણના કરવી ભારે પડવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાજ્યના મતદાતાઓની સમજને પણ ખૂબ સારી રીતે ઉપસાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રચાર અભિયાનની કમાન રાહુલ ગાંધીએ સંભાળી હતી અને તેમણે પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત દ્વારકા ખાતે જગતમંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ ગુજરાતના લગભગ 30 જેટલા મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના કરી છે. કદાચ તેનું જ પરિણામ છે કે કોંગ્રેસ અને ગઠબંધનને ગુજરાતમાં ગત સાત વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત 80 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે. ભૂતકાળમાં 2002ના ગોધરાકાંડને ટાંક્યા વગર હુલ્લડોની વાત કરવી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મામલો હોય કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મોતના સોદાગરવાળી ટીપ્પણી હોય કે દિગ્વિજયસિંહ દ્વારા 2007માં બોલાયેલી હિંદુ આતંકવાદની વાત હોય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ બાબતો પર બોલવાનું ટાળ્યું છે. માત્ર તેમણે જ નહીં કોંગ્રેસ લગભગ તમામ મોટા નેતાઓએ આવી કોઈપણ બાબત ઉચ્ચારવાનું મુનાસિબ માન્યું નથી. 

મોટાભાગે સેક્યુલારિઝમ એટલે લઘુમતી તેમાય ખાસ કરીને મુસ્લિમોની તરફદારી કરવી તેમની આળપંપાળ કરવી તેવો અર્થ કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધી સમજાવતા આવ્યા હતા. પરંતુ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત કોંગ્રેસે લગભગ ચાર દાયકા બાદ જમણેરી ઝોક ધારણ કરીને પોતાની રણનીતિમાં આગળ વધવાનું યોગ્ય માન્યું છે. કદાચ 2014 અને ત્યાર પછીની ચૂંટણીઓમાં એક પછી એક લપડાકો ખાધા પછી કોંગ્રેસને પણ હિંદુઓની અવગણના કરીને સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણ કરીને દિલ્હીની ગાદી પર આવી નહીં શકાય તેવું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અવશ્યપણે સમજાયું છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે શિવભક્ત હોવાનો ખુલાસો કર્યો હતો. તેઓ ચૂંટણી પ્રચાર વખતે અને ચૂંટણી પરિણામો બાદ સોમનાથ ખાતે ભગવાન શિવના ભાવપૂર્ણ દર્શન કરવા માટે જતા જોયા. જો કે પહેલી વખત દર્શન કરવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીનું નામ બિનહિંદુઓના રજિસ્ટરમાં નોંધવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં કોંગ્રેસના પ્રવક્તા તરફથી રાહુલ ગાંધી હિંદુ હોવાનું અને તેનાથી આગળ વધીને રાહુલ ગાંધી જનોઈધારી હિંદુ હોવાની વાત જણાવવી પડી હતી. આનું એકમાત્ર કારણ રાહુલ ગાંધીના ધર્મ પરના વિવાદથી ગુજરાતની ચૂંટણીમાં મતદાન પહેલા વોટરો તરફથી ફટકો પડવાની ભીતિ હતી. તો કોંગ્રેસના ચાણક્ય ગણાતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચુકેલા અહમદ પટેલ રાહુલ ગાંધી સાથે પ્રચાર અભિયાનમાં ખાસ જોવા મળ્યા નહીં. અહમદ પટેલનું સ્થાન અશોક ગેહલોતને મળ્યું હતું. કોંગ્રેસમાં આવેલું આ પરિવર્તન પણ ઘણું મોટું અને સૂચક છે. જો કે આવા પરિવર્તનના માર્ગે કોંગ્રેસ કેટલી આગળ વધશે તેમા અવશ્ય આશંકાઓ રહેલી છે. પરંતુ રાહુલ ગાંધીની ભગવાન શિવમાં દર્શાવેલી શ્રદ્ધાનું સમ્માન કરવું જોઈએ. તેની સાથે રાહુલ ગાંધીએ પણ યાદ રાખવું જોઈએ કે ભગવાન શિવ અને ભગવાન રામને એકબીજાથી અલગ કરી શકાય તેમ નથી. રામાયણના કથાનકો પ્રમાણે શિવ રામ જપતા અને રામ શિવનામ જપતા હોવાનું કોઈનાથી અજાણ્યું નથી. ત્યારે અયોધ્યામાં શિવની પણ જેમના તરફ શ્રદ્ધા રહી છે.. તેવા ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર અયોઘ્યાપતિ રાજારામનું ભવ્ય મંદિર નિર્માણ થવા બાબતે પણ રાહુલ ગાંધીએ પોતાના વલણ અને પિતા રાજીવ ગાંધીની જેમ વિવાદીત સ્થાનના તાળા ખોલવા જેવા કોઈ સાહસ માટે તૈયાર થવું જોઈએ... કારણ કે શિવભક્ત ક્યારેય રામદ્રોહી બની શકે નહીં.. 

કોંગ્રેસના પ્રચાર અભિયાનની મુખ્ય ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચનારી છે. 1952થી યોજાતી ભારતની કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસના શીર્ષસ્થ નેતા દ્વારા હિંદુ તરીકે લોકોની વચ્ચે પ્રસ્થાપિત થઈને પ્રચાર કરવામાં આવ્યો નથી. પહેલીવાર કોંગ્રેસે હિંદુઓને ધ્યાનમાં રાખીને વોટ માંગ્યા છે. કોંગ્રેસનું મોટાભાગનું વલણ મુસ્લિમ તરફી પાર્ટી તરીકે જોવા મળ્યું છે.. તેવા સંજોગોમાં કોંગ્રેસ માટે દક્ષિણપંથી રાજકીય વળાંક રાજકીય મજબૂરીમાં સામે આવ્યો છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજી વાત સામે આવી છે કે મુસ્લિમ વોટરો અને ઉમેદવારોની કોઈ ચર્ચા જોવા મળી નથી. જો કે ભૂતકાળની મોટાભાગની ચૂંટણીઓમાં આવી ચર્ચાઓ થતી જોવા મળી છે. ભાજપે ફરી એકવાર ગુજરાતમાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. તો કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા, પણ તેની કોઈ ખાસ ચર્ચા ઉભી થવા દીધી નથી. હિંદુ સમાજની જાગૃતિનું પરિણામ છે કે ગુજરાતની ચૂંટણીમાં સત્તાપક્ષ અને વિરોધપક્ષે જીત માટે માત્ર હિંદુઓને ધ્યાનમાં રાખીને પોતાની વ્યૂહરચના આગળ વધારવી પડી છે.

ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી પાર્ટી સાચા હિંદુત્વવાદ પર ચાલનારી પાર્ટી તરીકે ગુજરાતમાં ખાસી માન્યતા પ્રાપ્ત છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સૌથી મોટા રાજનેતાઓમાંથી એક છે. તેમણે ગુજરાતની અંદર અંદાજે 27 જેટલી રેલી-સભાઓ કરી છે. ભાજપના પ્રચાર અભિયાનમાં ગુજરાતમાં કર્ફ્યૂમુક્ત શાસનની વાત જણાવીને કોંગ્રેસના શાસનકાળમાં કાયદો અને વ્યવસ્થા સામેના પડકારો ડામવામાં નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવી હતી. તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને ફાયરબ્રાન્ડ હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથને પણ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે પ્રચાર અભિયાનમાં ઉતારવામાં આવ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન વોટર્સ સાથે કમ્યુનિકેટ કરવાના મામલે હાલના સમયે સૌથી વધુ અસરકારક રાજનેતા છે. તેમણે ઉઠાવેલા કેટલાક મુદ્દાઓ પણ ગુજરાતના હિંદુત્વવાદી માનસને આકર્ષી ગયા હતા. રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનતી વખતે મણિશંકર અય્યરે આપેલા ઉદાહરણના આધારે ઔરંગઝેબરાજની વાત મોદીએ કરી હતી. તો મણિશંકર અય્યરે નીચ જેવો અણછાજતો શબ્દ વાપર્યો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનો જવાબ આપતા અય્યરની ઝાટકણી કાઢવાની સાથે મણિશંકરના નિવાસસ્થાને પાકિસ્તાનના ડિપ્લોમેટ સાથે બેઠક યોજાવાની અને અહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવાની પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીનો મામલો પણ જોરશોરથી ગુજરાતના લોકો વચ્ચે રજૂ કર્યો હતો. 

તો કપિલ સિબ્બલ રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી રજૂ થઈને દૈનિક સુનાવણીને 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી હોવાનું જણાવતી દલીલનો મામલો પણ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા રામજન્મભૂમિ પર મંદિર નિર્માણમાં અટકાવવામાં આવતા કાયદાકીય રોડાની વાતનો મામલો પણ ઉઠાવ્યો હતો. સરદાર પટેલ, ડોકલામ વિવાદમાં ચીનની સામે નીડર વલણ, પાકિસ્તાન અને આતંકવાદીઓની સામેની કાર્યવાહીના રાષ્ટ્રવાદને લગતા મુદ્દાઓ પણ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં અસરકારક રીતે ઉઠાવ્યા હતા. નવમી ડિસેમ્બરના પહેલાના પખવાડિયામાં વડાપ્રધાન મોદી દ્વારા પ્રચારમાં ઉઠાવાયેલા મુદ્દાઓએ જ્ઞાતિવાદના ચક્કરમાં ફસાઈ રહેલા ગુજરાતના મતદાતાઓને ભાજપ તરફ વાળવામાં સારી એવી સફળતા મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવિદેશના મંદિરોમાં અવાર-નવાર જતા જ હોય છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે દ્વારકાધીશ, સોમનાથ, અંબાજી, વડનગર સહીતના મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. 

ભારતીય જનતા પાર્ટીએ જીતેલી 99 બેઠકોમાંથી 69 વિધાનસભા બેઠકો કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી છે. 2002ની ઘટનાઓ બાદ આઈબી રિપોર્ટના આધારે ચૂંટણી પંચે રાજ્યની 182 બેઠકોમાંથી 154 બેઠકોને કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાવી હતી. 55માંથી 44 સંવેદશનશીલ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જેમાં ભાજપે અમદાવાદ જિલ્લાની 21માંથી 15, વડોદરાની દશમાંથી આઠ, રાજકોટની આઠમાંથી છ અને સુરતની 16માંથી 15 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. આ સિવાય કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ ખેડાની છમાંથી ત્રણ, આણંદની સાતમાંથી બે, પંચમહાલની પાંચમાંથી ચાર, ભરૂચની પાંચમાંથી ત્રણ, મહેસાણાની સાતમાંથી બે, ગાંધીનગરની પાંચમાંથી બે, સાબરકાંઠાની સાતમાંથી ત્રણ અને ભાવનગરની સાતમાંથી છ એમ કુલ પચ્સીસ બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે.

તો કોંગ્રેસને પણ તેની હિંદુત્વની રણનીતિનો લાભ ચૂંટણીમાં થયો છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર અભિયાનમાં 27થી વધુ મંદિરોમાં દર્શન કર્યા હતા. આવા વિસ્તારોમાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસને ભાજપને હરાવવામાં સફળતા મળી છે. જેમાં ચોટીલા, રાધનપુર, ઊંઝા, પાટણ, ગઢડા, કપડવંજ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. 

જો કે 150 પ્લસ બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારીત કરનારા ભાજપને મળેલી 99 બેઠકો પણ ગુજરાતના મતદાતાઓનો મિજાજ દર્શાવનારી છે. ગુજરાત વિધાનસભાની 92 બેઠકના મેજિક ફિગર કરતા માત્ર સાત બેઠકો વધુ મેળવનારા ભાજપે 16 બેઠકો તો માત્ર ત્રણ હજાર સુધીના મતોની સરસાઈથી જીતી છે. તેમાય ગોધરામાં 258, ધોળકામાં 327 અને બોટાદમાં 906 મતની સરસાઈએ ભાજપને જીત મળી છે.
2012માં કોંગ્રેસને 38.9 ટકા વોટ મળ્યા હતા. પરંતુ 2017માં કોંગ્રેસના મતમાં 2.5 ટકાના વધારા સાથે 41.4 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપના વોટ શેરમાં 1.2 ટકાનો વધારો થયો છે અને 2012માં 47.9 ટકાની સરખામણીએ 2017માં 49.1 ટકા વોટ મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 2012માં નવ ટકા મતોનો તફાવત હતો. જ્યારે 2017માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મતોની ટકાવારીનો તફાવત માત્ર 7.7 ટકા છે. 

ખરાખરીના રાજકીય જંગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીને વિજયભાઈ રૂપાણી ફરીથી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ અયોધ્યામાં રામ, હર હાથને કામની વાત જણાવી હતી. તેમણે પદ્માવતી ફિલ્મમાં ભારતીય નારીના અપમાનના મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ફિલ્મ પર રોક લગાવવાની પણ જાહેરાત કરી હતી. તો ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારે ગૌહત્યા પર રોક માટેની કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતા ખરડાને પારીત કરાવ્યો હતો. હવે ફરીથી મુખ્યપ્રધાન બન્યા બાદ વિજયભાઈ રૂપાણી રાજ્યમાં ગૌહત્યા પર રોકનો કડકથી અમલ કરાવે, ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરીને દરેક હાથને કામ આપવાની વ્યવસ્થા કરે. ભારતીય સંસ્કૃતિ અને તેના વાહકોના ગૌરવની જાળવણી માટેના પુરતા પગલા અને વાતાવરણને પ્રોત્સાહન આપે. જ્ઞાતિવાદમાંથી છૂટકારો પામેલા ગુજરાતમાં ફરી એકવાર આવા જાતિવાદી સમીકરણોએ માથું ઉંચક્યું છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હિંદુત્વના રાષ્ટ્રવાદી મામલાઓ પર અડગતાથી આગળ વધે ગુજરાતની જનતા તેમને સાથ આપશે. ગુજરાતમાં સમરસતાના વાતાવરણ માટે પણ હિંદુત્વ એટલે કે રાષ્ટ્રવાદની પ્રખરતા જરૂરી છે. ગુજરાતના દેખાડેલા રસ્તે ભારતના લોકોએ ચાલવાનું પસંદ કર્યું છે. નવનિર્માણનું આંદોલન, કટોકટી સામેની લડાઈ, રામજન્મભૂમિ આંદોલન, 2014માં ભાજપની જીત જેવી ઘટનાઓ આના સાક્ષી છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો પણ એક જ અર્થ છે કે રાષ્ટ્રવાદના મુદ્દાઓ અને હિંદુત્વની સાથે જોડાયેલા મામલાઓને ગૌરવથી પ્રખરતાથી ઉઠાવીને જનલાગણીને સંતુષ્ટ કરવાથી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો માર્ગ પ્રશસ્ત કરી શકાશે. શ્રેષ્ઠ ભારત આપોઆપ વિશ્વગુરુના સ્થાને ફરીથી બિરાજશે. તેવી આશા સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને શુભેચ્છા...

સોમવાર, 20 નવેમ્બર, 2017

2017ની ગુજરાતની ચૂંટણી: ભારતની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા




-          પ્રસન્ન શાસ્ત્રી

ધર્મ એક અફીણ હોવાનું હિંદુઓના અત્યંત ધર્માંવલંબનને ઉતારી પાડીને તેમની લાગણીને ઠેસ પહોંચાડવા માટે કમ્યુનિસ્ટ અને સોશલિસ્ટો દ્વારા બહુપ્રચારીત વાક્ય છે. આ વાક્ય ધર્માંધતાની હદે જનારા દેશદુનિયાના મુસ્લિમો માટે વાપરવામાં આવતું નથી. ભારતની રાજનીતિમાં સેક્યુલારિઝમનો અર્થ છે, હિંદુઓની લાગણીઓનો વિરોધ, અવગણના અને અનાદર.. ભારતની રાજનીતિમાં 60 વર્ષ જેટલો લાંબો સમય સુધી કેન્દ્રની સત્તામાં રહેનારી કોંગ્રેસે દેશમાં આવું જ સેક્યુલારિઝમ ચલાવ્યું છે. કોંગ્રેસનું આવું સેક્યુલારિઝમ ભારતની રાજનીતિમાં એક પરિપાટી બની ચુક્યું છે. આવા સેક્યુલારિઝ્મની રાજરમતના ખેલાડીઓને ગુજરાત સતત બાવીસ વર્ષથી હરાવતું આવ્યું છે. 2017ની ચૂંટણીના પરિણામમાં જીત કોની થશે તે મહત્વનું નથી, પણ આમા ફરીથી હિંદુદ્રોહીઓ નાપાસ થવાના હોવાનું નિશ્ચિત છે. 

રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતની ભૂમિકા:

ભારતની આઝાદી વખતે સોમનાથ મંદિર નિર્માણનું કામ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે સંસદમાં કાયદો પસાર કરાવીને કરાવ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિર નિર્માણમાં ખાસ રસ દાખવ્યો ન હતો. હવે ભારતની રાજનીતિના હિંદુકરણ માટે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. અયોધ્યા જ આઝાદ ભારતમાં રાષ્ટ્રીય રાજનીતિના હિંદુકરણનું પ્રારંભબિંદુ છે અને તેનું પૂર્ણબિંદુ પણ અયોધ્યા જ હશે.
ભારતની રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતે એક રાષ્ટ્રીય ભૂમિકા નિભાવી છે. ગુજરાતે 1989-90, 2002, 2014માં ભારતના લોકોને રાષ્ટ્રીય દિશાનો નિર્દેશ કર્યો હતો. ગુજરાત જે દિશામાં ચાલ્યું તે દિશામાં દેશે મજબૂતાઈથી દોડવાનું મુનાસિબ માન્યું છે. 2017ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ એક આવો જ પડાવ છે. 18 ડિસેમ્બરે ગુજરાતની જનતાનો જે પણ કોઈ ચુકાદો આવશે, તેના આધારે ભારતના લોકો પોતાના ભવિષ્યને લઈને આગામી નિર્ણય કરવાના છે.

22 વર્ષથી ગુજરાત દેશની હિંદુત્વની રાજનીતિનો ગઢ રહ્યું છે. હિંદુત્વની રાજનીતિના ગઢના કાંગરા ખેરવવા માટે કોંગ્રેસ સતત કોશિશ કરતી રહી છે. પણ 2017માં કોંગ્રેસે હિંદુત્વની રાજનીતિના કાંગરા ખેરવવાના સ્થાને હિંદુત્વની રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે ફરી રહ્યા છે. પોતાને શિવભક્ત પણ ગણાવી રહ્યા છે. આ બધું થઈ રહ્યું છે, ગુજરાતની ચૂંટણી જીતવા માટેની કવાયતના ભાગરૂપે. તો સામે પક્ષે વિકાસની વાતોની સાથે હિંદુઓની લાગણીઓની ચિંતાઓનો પડઘો પણ ભાજપના ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યો છે. એટલે કે કુલ મળીને દેશની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધતી દેખાઈ રહી છે.

સાવરકરની હાકલ બનશે હકીકત:

વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર એવા ભારતની ઓળખને વિશ્વની સામે ફરીથી પ્રસ્થાપિત કરવાની એક લડાઈ હવે આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે. આ લડાઈનો પહેલો પડાવ 1989-90ની રામરથ યાત્રા હતો, બીજો પડાવ 2002ની ગુજરાત ગૌરવયાત્રા હતી અને ત્રીજો પડાવ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હશે. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે 1947 પહેલા ભારતની રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની દૂરંદેશીથી ભરપૂર હાકલ કરી હતી. પરંતુ સમાજવાદ અને સામ્યવાદી વિચારધારાના અફીણના ઘેનમાં ચકચૂર બનેલા તત્કાલિન નેતાઓએ વીર સાવરકરની હાકલની અવગણના કરી હતી.

આઝાદી બાદ પણ સોશયાલિસ્ટ ગણાવવાની લ્હાયમાં કમ્યુનિસ્ટોની વૈચારીક કાંખઘોડીએ ચઢીને દેશની રાજનીતિમાં હિંદુઓને હાંસિયામાં ધકેલવાની સતત કોશિશ થઈ હતી. હિંદુઓની લાગણીઓને રંજાડવી અને માગણીઓને નામંજૂર કરવાનો ધંધો ચૂંટણીની રાજનીતિના કારોબારીઓ દ્વારા સતત થતો રહ્યો છે. ભારતને જાતિવાદી રાજકારણના વમળોમાં નાખનારા રાજનેતાઓએ પાકિસ્તાનના અસ્તિત્વમાં આવ્યા બાદ પણ પાકિસ્તાનવાદી વલણ ધરાવતા મુસ્લિમોને તુષ્ટિકરણની રાજનીતિમાં પ્રાસંગિકતાનો પ્રાણવાયુ પુરો પાડતા રહ્યા છે. સેક્યુલારિઝમના નામે હિંદુદ્રોહની ભારતદ્રોહી રાજનીતિ કરવી આવા રાજકારણીઓ માટે માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ હતી.

પહેલો પડાવ:

ભારતમાં હિંદુઓને પોતાની સતત અવગણના અને અખંડ ભારતના તુષ્ટિકરણની રાજનીતિથી થયેલા ટુકડા સતત પીડા આપી રહ્યા હતા. 1989-90માં રામરથ યાત્રા ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં પહેલો પડાવ હતો અને આ પહેલા પડાવની ચરમસીમા 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વંસના સ્વરૂપમાં જોવા મળી હતી. બાબરી ધ્વંસ કોઈ ઈમારતને નષ્ટ થવાનો મામલો ન હતો. બાબરી ધ્વંસનો દિવસ દરેક ભારતીયો માટે સ્વાભિમાન દિવસ છે. બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા રામજન્મભૂમિને રંજાડવાના દુષ્કૃત્ય સામેનો સ્વાભિમાની હિંદુઓનો આક્રોશ હતો કે જેણે બાબરીને ધ્વંસ કરી હતી.

બીજો પડાવ:

ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયા સતત આગળ વધતી રહી અને 2002માં ગોધરાકાંડનો ગુનો કરનારા લોકો સામે ગુજરાતની જનતાએ રાજકારણીઓને નવી રાજકીય દિશાના નિર્દેશ કર્યા અને હિંદુ સ્વાભિમાનના ગૌરવપથ પર ગૌરવયાત્રા કાઢનારાઓને સતત જનસમર્થન આપ્યું  હતું. આ રાજનીતિના હિંદુકરણનો બીજો પડાવ હતો. 2002માં હિંદુઓના ગૌરવરથ પર સવાર થનારાઓને 2014માં દિલ્હીની ગાદીની સોંપણી પણ દેશભરના હિંદુઓએ કરી છે. ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના બીજા તબક્કાની આ ચરમસીમા છે.

ત્રીજા પડાવનો પ્રારંભ: ગુજરાતની પ્રેરણાથી કોંગ્રેસ હિંદુત્વના માર્ગે :

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના ત્રીજા તબક્કાની શરૂઆત છે. આ ત્રીજા તબક્કાની ચરમસીમા તેના પ્રારંભની તીવ્રતાના આધારે આકાર પામવાની છે. ગુજરાતની 2017ની ચૂંટણી રાજનીતિના હિંદુત્વની દિશામાં સીમાચિન્હરૂપ ઘટના છે. 2005માં અફઘાનિસ્તાનમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે બાબરની મજાર પર માથું ટેકનારા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે દેવીદેવતાઓના દર્શન કરતા નજરે પડે છે. ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ શિવભક્ત છે અને તેમના મંદિરે જવાથી ભાજપ ડરી રહ્યું છે.

મંદિરે-મંદિરે ફરતા રાહુલ ગાંધી:

ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ લેખ લખવાની તારીખ સુધીમાં ગત લગભગ 60 દિવસમાં ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. આ ચાર મુલાકાતોમાં રાહુલ ગાંધીએ ગુજરાતના 20 જેટલા મંદિરોમાં માથું ટેકવ્યું છે.

રાહુલ ગાંધીએ 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ મંદિરો દ્વારકાધિશ મંદિર, કાગવડમાં ખોડલધામ, વીરપુરમાં જલારામ મંદિર, ચોટિલાનું ચામુંડા મંદિર અને રાજકોટમાં દાસીજીવન મંદિર ખાતે દર્શન કર્યા હતા. પહેલી નવેમ્બરના ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં રાહુલ ગાંધીએ નડિયાદના સંતરામ મંદિર, ખેડાના રણછોડરાય મંદિર, ફાગવેલના ભાથીજી મહારાજના મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે પણ ગયા હતા. ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતની મુલાકાત વખથે રાહુલ ગાંધી નવેમ્બર મહિનામાં નવસારીના ઉનઈ માતાના મંદિર, ગાંધીનગરના અક્ષરધામ મંદિર, બનાસકાંઠાના અંબાજી મંદિર, મહેસાણાના બહુચરાજી મંદિર, વાલીનાથ મંદિર, પાટણના મેઘમાયા મંદિર અને વારનના ખોડિયાર મંદિર પણ ગયા હતા. કોંગ્રેસ કેડરનો દાવો છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં લગભગ તમામ મુખ્ય મંદિરોમાં જઈને દર્શન કર્યા છે અને આમાના ઘણાં એવા મંદિર છે કે જ્યાં નરેન્દ્ર મોદી 2001 બાદ કોઈપણ ચૂંટણી દરમિયાન દર્શન કરવા માટે ગયા નથી. 2012ની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર છ મંદિરમાં જ દર્શનાર્થે ગયા હતા.

2017ની ગુજરાતની ચૂંટણી એવી પહેલી ચૂંટણી છે કે જ્યાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરોમાં જવાની સરખામણી થઈ રહી છે. એટલે કે જે ગુજરાતના હિંદુત્વની પ્રયોગશાળાના નામે ઓળખાવીને ગુજરાતની ચૂંટણીમાં હિંદુ આતંકવાદ અને મોત કા સોદાગર જેવા શબ્દપ્રયોગ કરનારી કોંગ્રેસને હવે નરમ હિંદુત્વના માર્ગે આવવું પડયું છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં પહેલીવાર મુસ્લિમોની ચર્ચા અને મુસ્લિમ નેતાઓની આગેવાની દેખાઈ રહી નથી. જંબુસરની જાહેરસભામાં પણ રાહુલ ગાંધીને મહંત દ્વારા આશિર્વાદ આપવાની ઘટના બની છે. કોંગ્રેસના ચૂંટણી સભાઓમાં જવલ્લે જોવા મળતી ઘટનાઓ 2017ની ગુજરાતની ચૂંટણીના અભિયાનોમાં જોવા મળી છે.
જૌહરની આગમાં દેશની આન-બાન-શાન માટે જીવન ન્યોછાવર કરી દેનારા ચિત્તોડના મહારાણી પદ્માવતી પર બનેલી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડના મામલે ઉગ્ર આક્રોશનું દેશભરમાં વાતાવરણ છે. દર વખતે અભિવ્યક્તિની આઝાદીના નામે આવા તત્વોને છાવરનારા કોંગ્રેસના નેતાઓ દ્વારા પદ્માવતી ફિલ્મના વિરોધમાં લોકલાગણીની સાથે રહેવાની કોશિશ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે સૌથી ધ્યાન ખેંચનારી બાબત છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય મામલે થયેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મંથનમાં કેટલાક તારણો મીડિયામાં એન્ટની રિપોર્ટના નામે ખાસા ચર્ચાસ્પદ રહ્યા હતા. જેમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતીનો અનાદર કરતા અને લઘુમતીઓની આળપંપાળ કરતા સેક્યુલારિઝમ સંદર્ભે પાર્ટીના રાજકીય ભવિષ્યને લઈને કેટલીક ચેતવણીઓ આપવામાં આવી હતી. જેનો અમલ કદાચ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરતા દેખાઈ રહ્યા છે.

હિંદુઓનું ભવિષ્યમાં પણ સમ્માન કરશે રાહુલ ગાંધી?:

આશા રાખીએ કે જેએનયુમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ પાસે જનારા રાહુલ ગાંધીને ભારતના વારસાનું ગૌરવ સમજાય અને તેને જાળવવાની ઈશ્વર તેમને શક્તિ આપે. ગૌહત્યા મામલે ચાલી રહેલા રાજકીય વિવાદમાં કેરળમાં યૂથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જાહેરમાં વાછરડીનું ગળું રહેસવાની ઘટના જેવી રાક્ષસી વૃત્તિ ધરાવનારાઓથી કોંગ્રેસ મુક્ત બને. (રાહુલ ગાંધી એ જાહેરમાં ગૌકશી કરનારા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાને પાર્ટીમાંથી બરતરફ પણ કર્યો છે.) તેવી જ રીતે ઈશાન ભારતના મેઘાલય જેવા રાજ્યો, ગોવા અને કેરળમાં બીફ મામલે ભાજપના કથિતપણે નરમ વલણ પર દેશભરનો હિંદુ ચિંતિત પણ છે.

ભારતના રાષ્ટ્રીયત્વની ઓળખ હિંદુઓથી છે. હિંદુ કોમવાદી શબ્દ નથી, પણ હિંદુ રાષ્ટ્રવાદી ઓળખને ઉજાગર કરતો શબ્દ છે. આવા સંજોગોમાં ભારત વિરોધી તત્વોના ખાત્મા માટે આખો દેશ રાષ્ટ્વાદના મુદ્દે એકજૂટ બને તેવું થવું જરૂરી છે. ગુજરાત હિંદુત્વના રાજકારણને કારણે ખામ થિયરીના જાતિવાદી રાજકારણમાંથી માંડ બહાર આવ્યું છે. જો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં દર્શને જઈને ઈશ્વર સામે માથું ટેકવે છે.. તો ઈશ્વર તેમને સદપ્રેરણા આપે અને ખરેખર નિતાંત વિશ્વ કલ્યાણની ભાવના ધરાવતા હિંદુઓની દેશની રાજનીતિમાં અવગણના બંધ કરવા માટે રાહુલ ગાંધીને પ્રેરીત કરે.
રાહુલ ગાંધીના પિતાશ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કોર્ટના નિર્દેશ બાદ અયોધ્યા ખાતે રામલલાના દર્શન માટે તત્કાલિન ઢાંચાના દરવાજા ખોલવાની હિંમત દેખાડી હતી. ભારતનો હિંદુ આશા રાખે છે કે શિવભક્ત રાહુલ ગાંધી શિવના ઈષ્ટ ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી ભગવાન શિવ તેમને પ્રેરણા આપે. સોમનાથ મંદિર નિર્માણમાં પરનાના જવાહરલાલ નહેરુ જેવી નિરાશા રામમંદિર નિર્માણમાં દાખવવાનું રાહુલ ગાંધીએ ટાળીને પિતા રાજીવ ગાંધીને અનુસરવા જોઈએ. ભૂતકાળમાં રાહુલ ગાંધી જ કહી ચુક્યા છે કે ગાંધી-નહેરુ પરિવારના વ્યક્તિ વડાપ્રધાન હોત, તો બાબરી ધ્વંસ થવા દીધો ના હોત.. આશા છે કે ભવિષ્યમાં તેવો આવા નિવેદનો કરવાની રાજકીય ભૂલો નહીં કરે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરીને ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રગાઢ બનાવવાની મુહિમ હોય કે દેશમાં ખરા અર્થમાં કાયદા સમક્ષ સૌ નાગરિકોને સમાન દરજ્જો મળે તેના માટે સમાન નાગરિક ધારાની વાત હોય કે ગૌહત્યા પ્રતિબંધ જેવી બંધારણમાં દર્શાવવામાં આવેલી ભાવના હોય તેને પુરી કરવા માટે શું રાહુલ ગાંધી દેશના હિંદુઓને સાથ આપશે?

દાદી ઈન્દિરા ગાંધીને પણ યાદ રાખજો:
રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધીની 100મી જન્મજયંતી તાજેતરમાં ગઈ છે. ઈન્દિરા ગાંધી સામેના એક હજાર વાંધા તેમના દ્વારા 1971માં પાકિસ્તાનને કારમી હાર આપીને બાંગ્લાદેશ બનાવવાને કારણે માફ છે. ખાલિસ્તાનવાદીઓના કબજા હેઠળથી સુવર્ણમંદિરને મુક્ત કરાવવા માટે ઓપરેશન બ્લૂસ્ટાર કરવાનો રાજકીય અને વ્યક્તિગત રીતે આત્મઘાતી ગણાતો નિર્ણય લેવાની હિંમત પણ ઈન્દિરા ગાંધીએ દાખવી હતી. તેના થોડા સમયગાળામાં ઈન્દિરા ગાંધીની કરપીણ હત્યા થઈ હતી. પણ આવી શક્યતાઓની આગોતરી જાણકારીઓ છતાં ઈન્દિરા ગાંધીએ જેવી રીતે રાષ્ટ્રહિતમાં ભાગલાવાદી અને આતંકવાદીઓ સામે પગલા લીધા તેવો આધ્યાત્મિક દોરી સંચાર પણ રાહુલ ગાંધીમાં થાય તેવી આશા સેવીએ..

હિંદુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલા સ્વીકાર્ય બનશે:
તો સામે પક્ષે છેલ્લા કેટલાક સમયથી માત્ર વિકાસની વાતોનું વાજું વગાડનાર ભાજપને પણ પોતાના પાર્ટીના ખેસમાંથી લીલા રંગનો પટ્ટો કાઢીને આખો ખેસ કેસરી કરવાની જરૂર દેખાઈ છે. ગુજરાતમાં ગૌહત્યા સહીતના મુદ્દાઓ પર સરકાર દ્વારા કડક કાયદાનું એલાન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં પ્રખર હિંદુત્વવાદી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ ઉતારવામાં આવ્યા છે. વિકાસ પ્લસ હિંદુત્વની રણનીતિના આધારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.

બાબરની મજાર પર જનારા મંદિરે જતા થઈ ગયા અને મંદિરે-મંદિરે દર્શને જનારા બહાદૂરશાહ ઝફરની મજાર અને સિદી સૈયદની મસ્જિદની મુલાકાતે પણ જવા લાગ્યા છે. તો મીડિયા અહેવાલોમાં ભાજપ દ્વારા કથિતપણે યુપીના મૌલવીઓને મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર માટે કથિતપણે ઉતારવામાં આવ્યાના દાવા કરાયા છે. આવી બાબતો રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવાની જરૂરિયાત હોવાનો ઈશારો પણ કરી રહી છે. રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવામાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીઓ ઘણું મોટું દિશાનિર્દેશન કરનારી સાબિત થવાની છે. 18 ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં ત્રીજા તબક્કાનું પ્રારંભબિંદુ સાબિત થવાનું છે. આશા રાખવી જોઈએ કે ભાજપ, કોંગ્રેસ અને ભારતીયતાની ઓળખ ધરાવતા તમામ પક્ષો અયોધ્યામાં રામજન્મભૂમિ માટે 2019માં સંસદમાં કાયદો બનાવવા માટે પ્રેરીત થાય તેવો ગુજરાતની જનતાનો ચુકાદો હશે.




 

સોમવાર, 16 ઑક્ટોબર, 2017

એક હિંદુની ચિંતા: હિંદુત્વના ગઢ ગુજરાતમાં માથું ઉંચકતો જ્ઞાતિવાદ!




2017માં ગુજરાતના દેખાડેલા રસ્તે ભારત ચાલશે
-   પ્રસન્ન શાસ્ત્રી

ગુજરાત ભારતમાં નવો ચિલો ચાતરનાર રાજ્ય તરીકે રાષ્ટ્રવાદી આંદોલનનું નેતૃત્વ લેતું આવ્યું છે. સામાજિક અને સાંસ્કૃતિક આંદોલનો જ નહીં, પણ રાજકીય આંદોલનોમાં પણ ગુજરાતે દેશનું નેતૃત્વ લીધું છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ ભૂંસી નાખવાની કોશિશો સદીઓથી થઈ છે. વખતોવખત ભારતના રાજ્યોએ ભારત અને ભારતની રાષ્ટ્રીય ઓળખને બચાવવા માટે નેતૃત્વ લીધું છે. આઝાદી બાદ સેક્યુલરારિઝમના નામે ભારતની ઓળખ ભૂંસી નાખવાની કમ્યુનિસ્ટ-સોશયાલિસ્ટ કોશિશોને રોકવાનું કામ ગુજરાતે કર્યું છે.

ગુજરાતના લોકોની રાષ્ટ્રભક્તિ અને બલિદાનની ભાવના પર કોઈને લેશમાત્ર પર શંકા હોવી જોઈએ નહીં. ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી ઈચ્છાશક્તિએ અંગ્રેજો અને પાન-ઈસ્લામિક તત્વોની મેલીમુરાદ સામે ભારતની અખંડિતતાની સુરક્ષા કરી છે. ગુજરાતની માટીની તાકાત છે કે વડાપ્રધાન પદની તમામ યોગ્યતા છતાં દેશ સામેના પડકારોને જોતા સરદાર સાહેબે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે રજવાડાઓને ભારતીય સંઘમાં સામેલ કરવાનું ભગીરથ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ એક બલિદાન છે અને તેને બિરદાવવું જોઈએ, કારણ કે જ્યારે દેશની એકાદ કોંગ્રેસ કમિટીને બાદ કરતા તમામ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન જોવા ઈચ્છતા હતા અને ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીના કહેવાથી સરદાર સાહેબે વડાપ્રધાન પદ છોડવાનો નિર્ણય માત્ર એક સેકન્ડમાં કર્યો હતો.

છેલ્લા શ્વાસ સુધી મા ભારતીની આરાધનામાં આયખું ખપાવી દેનારા શૂરવીર દેશભક્તોની યાદીમાં સાચા ગુજરાતી સરદાર પટેલની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. રાષ્ટ્રનિષ્ઠા પદોથી ઉપર હોય છે અને સરદાર સાહેબનું વ્યક્તિત્વ આવી જ પ્રેરણા આપે છે. નર્મદા મૈયા, તાપી, સાબરમતી, મહીસાગર જેવી અનેક નદીઓના નીરથી સિંચાયેલી ધીંગી ધરા આવા દેશભક્તોને જન્મ આપે છે અને જેનાથી ભારતનું મસ્તક ગર્વથી વિશ્વની સામે ઊંચુ રહી શકે છે. રાજ્ય તરીકે પણ ગુજરાત સામુહિકપણે આવું જ કામ કરી રહ્યું છે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. આ કામ કોઈ એક અથવા બે દાયકાનું કામ નથી. ગુજરાત સદીઓથી સ્વાભિમાન, શૂરવીરતા અને વ્યાપારના માર્ગે ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરતું રહ્યું છે.

ગુર્જર ધરાનો મહિમા વૈદિકકાળથી લઈને અલગ-અલગ રીતે વ્યક્ત થયો છે. અનેક સંઘર્ષો અને બલિદાનો થકી આજનું ગુજરાત બન્યું છે. 1960માં મહાગુજરાતની ચળવળ આવો જ એક મકામ હતો. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે સાચો ગુજરાતી સાચો રાષ્ટ્રભક્ત છે. પરંતુ ગુજરાતી ખૂબ જ પરિપકવ અને ધૈર્યશીલ પણ છે. ગુજરાતે ગુજરાત તરીકેના નિર્ણયો દેશ માટે કર્યા છે અને ખૂબ પરિપકવતા સાથે કર્યા છે. રાષ્ટ્રવાદ, હિંદુત્વ અને હિંદુ અસ્મિતા ગુજરાતના લોકજીવનનો અમીટ, અતૂટ ભાગ છે. ગુજરાતને હિંદુત્વથી કોઈ અલગ કરી શકે નહીં. મહંમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હોય, મહોમ્મદ ઘોરીની પાટણ પડાવવાની નિષ્ફળ કોશિશ હોય, અલાઉદ્દીન ખિલજીનો સામનો કરવાની વાત હોય કે એક મુસ્લિમ શરણાર્થીને બચાવવા અકબર જેવા શક્તિશાળી શહેનશાહ સામે બાથ ભીડવાની વાત હોય કે સિંધના સુલતાનની કચ્છ પરની મેલી નજરનો સામનો કરવા માટે એક લાખથી વધુ લોકોના બલિદાન આપવાની વાત હોય, ગુજરાતે આ લડાઈઓ લડવામાં ક્યારેય પાછી પાની કરી નથી.

આઝાદ ભારતના ઈતિહાસમાં નવનિર્માણ આંદોલન હોય કે કટોકટી સામેનો જંગ હોય, રામજન્મભમિ આંદોલન હોય કે પાકિસ્તાન તરફી પાંચમી કતારિયાઓની ટોળકી ગુજરાતે પોતાના તરફથી બરાબર લડાઈ લડી છે. આ લડાઈ માત્ર ગુજરાતને બચાવવા માટેની લડાઈ ન હતી. આ તો દેશની રાષ્ટ્રીય ઓળખ બચાવવાની લડાઈ હતી. સેક્યુલારિઝમના નામે ગુજરાતના હિંદુ ઓળખ પ્રત્યેના જોડાણની કથિત બુદ્ધિજીવી અને ઉધારની ઉદારતા લીધેલા કથિત ઉદારવાદીઓએ ખૂબ ટીકાઓ કરી, પણ તેમ છતાં ગુજરાત અડિખમ છે અને ગુજરાત અડિખમ જ રહેવાનું છે. હિંદુત્વ ગુજરાત અને ભારતમાં રાજકારણનો મુદ્દો નથી, સમાજજીવન અને સંસ્કૃતિનો પ્રાણ છે. સમાજ અને સંસ્કૃતિમાંથી હિંદુત્વની બાદબાકી એટલે ભારતની બાદબાકી છે.

2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતે ચિંધેલો રસ્તો આખા ભારતે 2014ની લોકસભાની ચૂંટણીમાં પકડયો હતો. હવે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ફરી એકવાર દેશને અને દેશના રાજકારણીઓને દિશાનિર્દેશ સ્વરૂપે આદેશ આપવાનું છે. 2017માં ગુજરાત જે કરશે, તેને 2019માં ભારત પણ અનુસરે તેવી પુરી શક્યતા છે. ગુજરાતના આદેશને કાને ધરવામાં આવશે, તો 2019 દેશ માટે કલ્યાણકારી વર્ષ હશે.

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી એક ટર્નિંગ પોઈન્ટ હશે. એક એવો ટર્નિંગ પોઈન્ટ કે જેમા હિંદુત્વ પોલિટિક્સના કર્ણધારોએ આત્મવિશ્લેષણ અને સિંહાવલોકનો કરવા પડશે, કારણ કે હિંદુત્વના ગઢ તરીકે જાણીતું ગુજરાત છેલ્લા અઢી વર્ષથી જ્ઞાતિવાદીયુગમાં પાછું ધકેલાઈ રહેલું દેખાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન હોય કે ઓબીસી, એસસી, એસટી એકતા મંચ હોય કે ઉના કાંડ બાદ દલિત મૂવમેન્ટની વાત હોય. ગુજરાતમાં જાણે કે હિંદુત્વની ગર્જનાના સ્થાને માત્ર જ્ઞાતિવાદી ઘૂંઘવાટ ધુંધવાટમાં બદલાતો દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં જ્ઞાતિવાદી સ્તરે લોકોનું અઢી દાયકા પછી આમ વહેંચાવું હિંદુત્વની રાજકીય મૂવમેન્ટને મોટું અને હતોત્સાહિત કરનારું નુકસાન છે. જે ગુજરાતમાં અનેક બલિદાનો થકી એક મૂવમેન્ટને તેના ડેસ્ટિનેશન સુધી લઈ જવામાં કામિયાબી મળી છે, ત્યાં આ મૂવમેન્ટનો સંભવિત રકાસ પણ આના માટે જવાબદાર રાજકીય નેતૃત્વને પોતાના વલણનોની પુનર્વિચારણા કરવાનો કડક સંદેશો આપે છે.

હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટાયા બાદ લોકોને મહેસૂસ થવું જોઈએ કરાવવું જોઈએ કે તેમની આકાંક્ષાઓ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની રાહ જોતા લોકોને આર્થિક સુધારાના નામે રંઝાડી શકાય નહીં. હિંદુઓની સાંસ્કૃતિક મહેચ્છાઓના મુદ્દે ચૂંટાયેલી સરકાર નોટબંધીને લાગુ કરી શકતી હોય અને જીએસટીને સંસદમાં પારીત કરાવીને રાષ્ટ્રહિત માટે લાગુ કરાવી શકતી હોય, તો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદીઓના ખાત્માની ઈચ્છા રાખનારાઓની કલમ-370 દૂર કરવાની માગણી અને કટ્ટરવાદી મુસ્લિમોની લઘુમતીઓના મૂળભૂત અધિકારોના નામે રાષ્ટ્રને પડકારવાની દાદાગીરીને રોકવા સમાન નાગરીક ધારો લાગુ કરવાની માગણી શું રાષ્ટ્રહિતમાં થનારી માગણીઓ નથી? પવિત્ર રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ અને સમગ્ર રાષ્ટ્રમાં ગૌહત્યા પ્રતિબંધિત કરવાની રાષ્ટ્રહિતની માગણીઓ પુરી કરવામાં કોઈ નક્કર કાર્યવાહી થતી કેમ દેખાતી નથી?

હિંદુ આકાંક્ષાઓ પૂર્ણ થવી ભારતના અચ્છે દિન છે. હિંદુ આકાંક્ષાઓને ઠેસ પહોંચવી અથવા તેને પુરી કરવામાં મોળા પડવું એટલે હિંદુત્વની રાજકીય મૂવમેન્ટને નુકસાન કરવાનું પાપ છે. કદાચ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી દેખાઈ રહેલા જ્ઞાતિવાદી અવાજો અને તેને મળતું દેખાઈ રહેલું કથિત સમર્થન આવા જ કારણોની કડી છે. હજી સમય છે, સુધારી લેવાનો અને સુધરી જવાનો. એ ભુલવું જોઈએ નહીં કે ભારત એક લોકશાહી છે. લોકશાહીમાં લોકોનો અવાજ સુપ્રીમ છે અને તેનાથી સુપ્રીમ બીજું કંઈ જ નથી. વિકાસના દાવાઓ અને તેને પડકારતા અવાજો વચ્ચે લોકોને પોતાની આજીવિકા, મકાન, પ્રાથમિક સુવિધાઓ પણ જોઈએ છે. લોકોને રામ અને રોટી બંનેની દરકાર છે. રામનું નામ લઈને લોકોની રોટી છીનવી નહીં શકાય અને માત્ર રોટી આપીને રામને લોકોથી દૂર કરી શકાશે નહીં. રોટીની લાલચો આપીને લોકોને રામથી દૂર કરવાની કોશિશ કરનારાઓ રાજકારણમાં ખોવાવા લાગ્યા છે અને કદાચ ઓગળવાની તૈયારીમાં છે. પરંતુ રામના નામ સાથે રોટી પણ મળે તેવી વ્યવસ્થા નહીં હોય તો રોટીની વાત અને રામના નામનો દંભ કરનારા ફરીથી બેઠા થઈ જશે.

ભારતમાં રાષ્ટ્રીય ઓળખ માટેની લડાઈ સફળ થઈ છે. તેના માટે રાજકીય લડાઈમાં પણ સફળતા મળી છે. પરંતુ હજી સુધી તેની ચરમસીમા અને સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત થઈ શકી નથી. આના પહેલા હિંદુત્વના ગઢ ગુજરાતમાં જ્ઞાતિવાદી અવાજો વચ્ચે રાષ્ટ્રવાદની ચિંતા ગાયબ થતી દેખાઈ રહી છે. આવી સ્થિતિ ભારતનું રાષ્ટ્રીય નુકસાન છે. 92 વર્ષથી અવિરત ચાલતા રાષ્ટ્ર આરાધનમાં એક વિક્ષેપ છે. ભારતને રાષ્ટ્રીય નુકસાનમાંથી બચાવવા માટે ગુજરાતમાં હિંદુત્વને જાહેરજીવનમાં સાબૂત રાખવા માટે કારગર કોશિશો કરવી જરૂરી છે. હિંદુત્વવાદીઓને અસામાજિક ચિતરવાની રાષ્ટ્રવ્યાપી મુહિમને આનાથી બળ મળશે.

યાદ કરીએ સરદાર પટેલને જેમણે પોતાની વ્યક્તિગત બાબતોને બાજુએ મૂકીને રાષ્ટ્રને મહત્વ આપ્યું. ભારતના આઝાદ થયા બાદ સૌથી પહેલું કામ ગુજરાત અને ભારતની અસ્મિતાને પુનર્સ્થાપિત કરવાના ઈરાદે પવિત્ર સોમનાથ મંદિરનનું પુનર્નિમાણ કરાવ્યું અને કાયદો બનાવીને આના માટે કાર્યવાહી કરી. શું અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ સંસદમાં સોમનાથ મંદિર નિર્માણ માટે બનાવાયેલા કાયદાની તર્જ પર બનાવી શકાય નહીં?

ત્રણ હિંદુ સહોદરોને ત્રણ બાબતો યાદ કરાવવી છે --------

ભાઈ હાર્દિક પટેલ જય સરદાર સૂત્ર માત્ર બોલવા માટે જ નથી, અનુસરવા માટે પણ છે, આ વાતને યાદ રાખજો, પવિત્ર સોમનાથ મંદિરનું પુનર્નિમાણ ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે રાષ્ટ્ર અને ગુજરાતની અસ્મિતા માટે કરાવ્યું હતું. તમે અયોધ્યામાં પવિત્ર રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે શું કરવા માંગો છો? શું રામમંદિર માટે આપના હ્રદયમાં કોઈ અનામત છે કે નહીં?

ભાઈ જિગ્નેશ મેવાણીને યાદ કરાવવાનું કે બાબાસાહેબ આંબેડકરે દલિત અધિકારોની વાત કરી હતી. પરંતુ આવી વાત તેમણે રાષ્ટ્રીય હિતના દાયરામાં કરી હતી. થોટ્સ ઓન પાકિસ્તાન અને તેમણે બૌદ્ધ મતાવલંબી થવા માટે આપેલા કારણો તેના ઉદાહરણો છે. આપ પણ બાબાસાહેબ આંબેડકરના માર્ગે દલિતો યુવાનોને રાષ્ટ્રહિતમાં ચાલવા માટે પ્રેરીત કરશો એવી આશા છે.

ભાઈ અલ્પેશ ઠાકોર, ક્ષત્રિય-ઠાકોર સમુદાયે હિંદુઓની ઓળખ અને આસ્થાઓ માટે વણલખ્યા ઘણાં બલિદાનો આપ્યા છે. ફાગવેલમાં સ્થાપિત ભાથીજી મહારાજનું મંદિર તેનો એક માત્ર પુરાવો છે. ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષા આપની રગ-રગમાં હશે તેવા વિશ્વાસ સાથે આપના સમુદાયનની વાત કરતા ભારતને નહીં ભૂલો તેવી આશા ઠગારી નહીં નિવડે તેવું માનીએ છીએ.