Monday, February 27, 2012

ગોધરાકાંડનો દાયકો: દેશની પાર્ટીઓને રાજકીય લાભ, મોદી માટે વૈશ્વિક નુકશાન


decade of godhra carnage cm narendra modi gets more political gain and tolerate most of the political disadvantages

10 વર્ષનો સમય આજના ઝડપી યુગમાં ઘણા પરિવર્તનો વાળો હોય છે. ગુજરાતમાં 10 વર્ષ પહેલા ગોઝારો ગોધરાકાંડ સર્જાયો અને તેની આગમાં રાજ્યની સદભાવના સળગી. પરંતુ આજે ખરેખર જાણે કે ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોના અઘોષિત પસ્તાવા સ્વરૂપે ગુજરાતના એક દાયકાથી સત્તાસીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન હેઠળ 36 ઉપવાસો કર્યા. 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂટનનો ત્રીજો નિયમ ક્રિયાની પ્રતિક્રિયા સમજવાતા હતા અને 2012માં તેઓ સદભાવના મિશન ચલાવી રહ્યા છે. આ ઘણું મોટું પરિવર્તન છે. પરિવર્તન માત્ર નરેન્દ્ર મોદીમાં આવેલુ પરિવર્તન નથી, પરંતુ દેશની રાજનીતિમાં આવેલું અને રાજ્યની રાજનીતિમાં આવી રહેલું મોટું પરિવર્તન છે.

2002માં ગુજરાતમાં ભાજપ અને કેન્દ્રમાં વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકારો હતી. ગુજરાતની ગોઝારી ઘટનાઓ બાદ ભાજપે કડક હિંદુત્વના મુદ્દા ધીમે ધીમે છોડવાની શરૂઆત કરી અને પોતાના એજન્ડા વિકાસ અને વાજપેયીની આસપાસ સેટ કરીને ફીલગુડ તથા ઈન્ડિયા શાઈનિંગના કેમ્પેઈન કર્યા. ભાજપે 2002 પછીની ગુજરાતને બાદ કરતાં એકપણ ચૂંટણી કટ્ટર હિંદુત્વના મુદ્દાઓ પર લડી નથી. 2005 સુધીની ચૂંટણીઓમાં ગોધરાકાંડ અને તેના પછીની ગુજરાતની ઘટનાઓમાં હિંદુ હીરો બની ચુકેલા નરેન્દ્ર મોદીનો પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારે ભાજપને જીતવા માટેના વોટ અપાવ્યા નથી. તેને કારણે 2007 પછીની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને પ્રચારમાં એક યા બીજી રીતે દૂર રાખવામાં આવ્યા. જ્યારે બિહારની વિધાનસભાની ચૂંટણી ટાણે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પ્રચારથી દૂર રાખવા માટેના સ્પષ્ટ સંદેશ ભાજપ હાઈકમાન્ડને આપી દીધા. તેના કારણે નરેન્દ્ર મોદીની બિહારની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા ન હતા, તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએએ મોટી સફળતા મળી.

બિહારની ચૂંટણી વખતે પોતાની ઈમેજને લઈને ઉભા થયેલા વિવાદના સંકેતો નરેન્દ્ર મોદી સમજે નહીં તેવા નાસમજ નથી. ગુજરાતમાં સીએમ તરીકે ગોધરાકાંડ બાદની ઘટનાઓને કારણે મળેલી ઈમેજને કારણે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત અને સ્થિર થયા, તે ઈમેજ તેમના પીએમ બનવાની મહત્વકાંક્ષામાં મોટી અડચણ બની શકે છે. આનો અહેસાસ થયા બાદ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સભાનપણે પોતાનો ઈમેજ મેકઓવર કરવાના જુદાંજુદાં પ્રયત્નો આદર્યા. ગુજરાતમાં મુસ્લિમો સુખી હોવાનો સચ્ચર સમિતિનો રિપોર્ટ દેશભરમાં પ્રચારીત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સચ્ચર કમિટીનો ભાજપે શરૂઆતથી વિરોધ કર્યો હતો અને તેને દેશવિભાજનના ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.

2002માં કમનસીબ ઘટનાઓ બાદ ગૌરવ યાત્રા થકી પાંચ-પચ્ચીસ અને મિયાં મુશર્રફના જુમલાથી પોતાના આગવા હિંદુત્વથી મોદીત્વ સુધીનું રાજકારણ ખેલનારા નરેન્દ્ર મોદીને તેમની હિંદુ ઈમેજે પક્ષ અને સંઘ પરિવારમાં જબરદસ્ત રીતે મજબૂત બનાવી દીધા. મહત્વપૂર્ણ છે કે 2002ની રમખાણો બાદ ગોવા મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં જ્યારે મુખ્યમંત્રી મોદીએ પદ છોડવા માટે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેના વિરોધમાં ભાજપના નેતાઓ એકી અવાજે ઉભા થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી. તેના પરથી ક્યાસ લગાવાય રહ્યા હતા કે ગુજરાતની ઘટનાઓથી અટલ બિહારી વાજપેયી ખુશ ન હતા અને તેઓ નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવા ચાહતા હતા. ગોવા બેઠકમાં તેના માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામાનો પ્રસ્વાવ મૂકીને વાજપેયી જૂથનો ખેલ બગાડી નાખ્યો હતો. અડવાણીએ પોતાની આત્મકથા- માય કન્ટ્રી, માય લાઈફમાં કેટલેક ઠેકાણે મોદી ગુજરાત રમખાણો વખતે પુરજોર સમર્થન કર્યું હોવાની વાત છે. રાજકીય વર્તુળોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ગુજરાતની કમનસીબ ઘટનાઓ પછી પણ ચાલુ રખાવવામાં અડવાણીની મોટી અને પ્રભાવી ભૂમિકા હતી.

ગૌરવયાત્રાના પ્રચાર કાર્ય નીચે નરેન્દ્ર મોદી 2002ની ચૂંટણી તમામ પ્રકારના તેમના વિરોધી પ્રચાર છતાં ભવ્ય રીતે જીતી ગયા. પરંતુ ખરો રાજકીય ખેલ ત્યાર પછી જ શરૂ થયો. ગુજરાતમાં કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નરેન્દ્ર મોદીની સરકારમાં રહેલા મંત્રીઓને એક પછી એક સાઈડ લાઈન કરવાની શરૂઆત થઈ. તેને કારણે નરેન્દ્ર મોદીની સ્ટાઈલ ઓફ ફંક્શનિંગને કારણ બનાવીને અસંતોષનું વાતાવરણ પેદા થયું. તેને ગુજરાતના સંઘ પરિવારના જ કેટલાંક નેતાઓનો દોરીસંચાર હોવાનું પણ ચર્ચામાં આવ્યું. 2004 સુધીમાં તો નરેન્દ્ર મોદીની સામેનો વિરોધ ઘણો પ્રખર અને મુખર બન્યો. પરંતુ નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ ડગાવી શક્યા નહીં. કારણ કે નરેન્દ્ર મોદીની જનતામાં હિંદુ હીરોની ઈમેજે તેમને ગુજરાતના રાજકારણમાં મોટી રાજકીય તાકાત આપી. ગુજરાતને હિંદુત્વની લેબોરેટરીમાં ફેરવવામાં સફળ થયેલો સંઘ પરિવાર મોદીની હિંદુ ઈમેજ સામે વામણો સાબિત થયો. તેના કારણે એક પછી એક કેશુભાઈ જૂથના ગણાતા ભાજપના મંત્રીઓ અને નેતાઓને અવગણીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા ભાજપ હાઈકમાન્ડ અને સંઘ પરિવારના શીર્ષસ્થ નેતૃત્વની મજબૂરી બની ગઈ.

2007ની ચૂંટણી ટાણે પણ ઘણાં જ્ઞાતિ સંમેલનો થયા. નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ નેતાઓમાં મોટાભાગે પટેલ સમુદાયના નેતાઓનો સમાવેશ થતો હતો. તો સંઘ પરિવારના પટેલ નેતાઓ પણ મોદીથી ખાસા નારાજ હતા. તેને કારણે પટેલ સંમેલનો અને ઝડફિયા દ્વારા નવી મહાગુજરાત જનતા પાર્ટીએ મોદી વિરોધી મુહિમની રાજકીય ફ્રન્ટ ખોલી નાખી હતી. તેમ છતાં ગોધરાકાંડના અંડર કરંટ, મોદીની તે સમયની ભૂમિકામાં ઉછળેલી હિંદુ ઈમેજ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સંદર્ભે મોતના સોદાગર જેવો સોનિયા ગાંધીનો બફાટ ફરીથી મોદીને ચૂંટણી જીતવા માટેની સફળતા આપી ગયો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ભાજપ અને સંઘ પરિવારના અન્ય નેતાઓને વામણા સાબિત કરવામાં સફળ થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદેશ સ્તરના નેતાઓને એક પછી એક ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા અને ગુજરાતના નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા. મોદીએ ભાજપ અને સંઘ પરિવાર પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ ગુજરાતમાં સ્થાપી દીધું. આ બધી વાત એટલા માટે શક્ય બની કારણ કે મોદીની પ્રજામાં અંકિત થયેલી હિંદુ હીરોની ઈમેજે તેમને ખૂબ પ્રભાવી રાજકીય સ્થિરતા આપી.

પરંતુ નરેન્દ્ર મોદીની આ જ હિંદુ હીરોની ઈમેજ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકાથી હજી સુધી વંચિત રાખી રહી છે. નીતિશ કુમારનો મોદી માટેનો રાજકીય અણગમો તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ખુદ નાગપુરમાં નગરપાલિકામાં સત્તા પર કાબિજ થવા માટે ભાજપે મુસ્લિમ લીગનો ટેકો લીધો છે. નાગપુર ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીનું વતન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક છે. એટલે કે ભાજપ મુસ્લિમ લીગની મદદ લેવા માટે તૈયાર થાય છે, પરંતુ મોદીની મદદ લેવા માટે હવે 2005 જેવી ઉત્સુકતા દાખવતું નથી. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી અને મહારાષ્ટ્ર-મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર અભિયાનથી નરેન્દ્ર મોદી દૂર રહ્યા છે. જો કે તેના માટે જવાબદાર નરેન્દ્ર મોદીને ગણવામાં આવી રહ્યા છે અને તેમના ગડકરી અને યૂપી ચૂંટણી પ્રભારી સંજય જોશીના પાર્ટીમાં પુનર્પ્રવેશને કારણ ગણવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડવા માટે કોઈ ગંભીર પ્રયત્નો થયા હોય તેવું હજી સુધી બહાર આવ્યું નથી.

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા હોવાના નિવેદનો કરે છે. તેમનું નિવેદન છે કે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના છ ઉમેદવારોમાંના એક છે. તેના સ્પષ્ટ સંકેત છે કે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ 2009ની ચૂંટણી માટે ભાજપે પોતાના તરફથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, તેવી કોઈ વાત નરેન્દ્ર મોદી માટે 2014ની ચૂંટણીમાં થવાની નથી. ભાજપ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં 2014ની ચૂંટણી વખતે વડાપ્રધાન પદના 6 ઉમેદવારો હશે. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીની બની ગયેલી ઈમેજને કારણે બધાં તેમનામાં વડાપ્રધાન પદે પહોંચવાની ક્ષમતા જોઈ રહ્યા છે, પરંતુ પાર્ટીના કોઈ નેતા એવું નથી કહી રહ્યા કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે માત્ર નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. તેની પાછળ એનડીએનું રાજકારણ અને અન્ય ઘટકદળોના રાજકીય ગમા-અણગમાની મોટી ભૂમિકા રહેલી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં ગુલમર્ગ હત્યાકાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સદભાવના મિશનની શરૂઆત કરી હતી. તેઓ હવે ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત હિંદુત્વના રાજકારણ પરથી આગવા મોદીત્વના સેક્યુલર રાજકારણ પર સ્વિચ ઓવર કરવા માગતા હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2011થી અત્યાર સુધી માત્ર સદભાવનાના નામે સેક્યુલર રાજકીય દ્રષ્ટિકોણની વાત જ કરી છે. તેમણે ભારતમાં ક્રિકેટ મેચ જોવા આવનારા પાકિસ્તાનીઓને અજમેરના વિઝા આપવાની વાત પણ કરી. તેમણે કરાચીના મુસ્લિમ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ ઉત્સાહથી ફોટા પણ પડાવ્યા. ગોધરાકાંડ વખતે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે જવાબદાર લોકો અને તેમના આકાઓને નહીં બક્ષવાની વાત કરી હતી. પરંતુ સદભાવના મિશન અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા ઉપવાસના કાર્યક્રમના ભાષણમાં મોદીએ એકપણ વખત ગોધરાકાંડને યાદ કર્યો ન હતો. તેમણે ખૂબ સિફતપૂર્વક ગોધરાકાંડનો ઉલ્લેખ ટાળ્યો હતો. આ સદભાવના ઉપવાસ ગોધરાકાંડની 10મી વરસીના લગભગ સવા માસ પહેલા જ ગોધરામાં યોજાયા હતા.

આમ જોવો તો ગોધરાકાંડ અને તેના પછીના રમખાણોનો સૌથી વધારે રાજકીય ફાયદો મેળવનાર એક જ વ્યક્તિ છે અને તે હિંદુ હીરો બનેલા નરેન્દ્ર મોદી છે, કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશીના પાયા ત્યાર પછી વધારે મજબૂત થયા છે. તો આ ઘટનાઓનું સૌથી વધારે નુકસાન ભોગવનાર વ્યક્તિ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કારણ કે ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગે મુસ્લિમો છે. તેને કારણે દેશભરમાં તેમની મુસ્લિમ વિરોધી છબીને ઉપસાવામાં આવી છે. જેને કારણે તેઓ ગઠબંધનની મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં અસ્પૃશ્ય બની ગયા છે. જેને કારણે તેમનું તમામ ક્ષમતાઓ છતાં વડાપ્રધાન પદે પહોંચવું હાલ અઘરું લાગી રહ્યું છે.

Sunday, February 26, 2012

...તો ગોધરાકાંડ બાદના રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!


pakistan might take advantage of gujarat riots after gadhra carnage

સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી.

તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.

ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.

ગુજરાતમાં 2002ની રમખાણોની ઘટનાનમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા, જ્યારે 200થી વધારે લોકોને ગુમ થયેલા ગણાવાયા છે. ગોધરાકાંડ બાદ ભડકેલા હુલ્લડોમાં 500થી વધારે સ્થાનો પર તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 298 દરગાહો, 205 મસ્જિદો, 17 મંદિરો અને 3 ચર્ચોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 61 હજારથી વધારે મુસ્લિમો અને લગભગ 10 હજાર હિંદુઓ પોતાના ઘરમાંથી બેઘર બન્યા હતા. હુલ્લડો બાદ 27901 હિંદુઓ અને 7651 મુસ્લિમોને તોફાનો માટે જવાબદાર ગણીને જેલમાં નાખી દેવાયા હતા. હુલ્લડોને નિયંત્રિત કરવા માટે પોલીસે 10 હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં 93 મુસ્લિમો અને 77 હિંદુઓના મોત નીપજ્યા હતા.

આ કોમી રમખાણોને ડામવા માટે રાજસ્થાન અને અન્ય સરહદે યુદ્ધની તૈયારી કરીને ઉભેલા સૈનિકોને બોલાવવા પડયા. આ ઘટનાની તીવ્રતા અને સંવેદનશીલતાને જોતા આખા ઉત્તર ભારતમાં કોમી હુતાસણો ફેલાવવાની શક્યતાઓને જોતા સરકારે અન્ય વિશેષ વ્યવસ્થાઓ કરવી પડી હતી. જો કે સદભાગ્યે કોમી હિંસાની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત રહી.

પરંતુ વિચાર કરો કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હોત અને કોમી હિંસા ગુજરાત સુધી જ સીમિત ન રહી હોત, તો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોત? શું આવી ઘટનાનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો ન હોત? શું દેશના પાંચમી કતારીયાને આવી ઘટનાઓ વધારે સબળ બનવા મૂળિયા મજબૂત કરવામાં મદદરૂપ બની ન હોત? આજે પણ ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટે ગુજરાતના રમખાણોને યાદ કરવામાં આવે છે. તો સરહદપાર ચાલતા આતંકવાદી કેમ્પોમાં ભારત વિરુદ્ધ જેહાદ માટે કટ્ટરવાદીઓ દ્વારા મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરીને બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રમખાણો બાદ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં અમદાવાદમાં 20 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાને આતંકવાદી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે. ગુજરાત હજીપણ આતંકવાદી હુમલાઓ અને ઘટનાઓ સંદર્ભે સંવેદનશીલ ક્ષેત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે.

ગોધરાકાંડના 10 વર્ષ પછી રાજકીય પ્રવાહ બદલાયો છે


Gujarat Modi Godhara: 10 years on, Riot-hit survivors await justice

ગુજરાતના ઈતિહાસમાં ગોધરાકાંડની ઘટના એવી મોટી ઘટનાઓમાંની એક છે કે જેમણે રાજ્યના સમાજજીવન અને રાજકીય જીવનના પ્રવાહને બદલી નાખ્યો છે. 27મી ફેબ્રુઆરી, 2012ના રોજ ગોધરાકાંડને પુરા દસ વર્ષ થશે. પરંતુ આ 10 વર્ષે પણ ગોધરાકાંડના કેટલાંક ગુનેગારોને ફાંસી અને કેદની સજાઓ બાદ પણ પ્રશ્નો તો ઉભા જ રહે છે. ગોધરાકાંડની દસમી વરસીએ આ સવાલોના જવાબ મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. સવાલ છે કે એક દાયકાના સમયથી ભગવા રંગમાં રંગાયેલા ગુજરાતમાં ગોધરાકાંડની ઘટના બની.

આ ઘટના આઝાદ ભારતમાં ટ્રેન પર હુમલો કરીને તેને સળગાવી 58 લોકોના જીવ લઈ લેનારી પહેલી ઘટના હતી. આ ઘટનાના પડઘા ગુજરાતમાં ખૂબ ઘેરા પડયા અને ગુજરાતની સદભાવના ખોરવાઈ ગઈ, ગુજરાત કોમી હુતાસણમાં સપડાઈ ગયું. ગુજરાતમાં લગભગ 1 માસ જેટલો લાંબો સમય સુધી ચાલેલા કોમી દંગલોમાં લગભગ 1200 માણસો મોતને ભેટ ચઢયા. આ કોમી રમખાણોની ઘટનાને પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કલંક લાગ્યું. આ કલંકના ડાઘ હજીપણ ધોવાયા નથી.

પરંતુ તાજેતરમાં સીટની પુછપરછમાં ગુજરાત રમખાણો માટે જેમના પર આરોપો મૂકાય રહ્યા છે, તેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 71 સવાલ-જવાબ લિક થયા છે. મુખ્યમંત્રી મોદીએ ગત વર્ષ સાડા નવ કલાક ચાલેલી સીટની પુછપરછમાં અધિકારી અશોક મલ્હોત્રાના સવાલોના જવાબ આપતા કહ્યુ હતુ કે ગુજરાત માટે રમખાણો નવી વાત નથી. ગુજરાતમાં રમખાણો 1714ની સાલથી થતા રહ્યા છે. આ રમખાણો મારા જન્મ પહેલા ઘણાં વખતથી થતા રહ્યા છે.

ટીકા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા થઈ શકે છે. તેઓ જવાબદારીમાંથી છટકવા માટે કોમી રમખાણ જેવી ગંભીર ઘટનાને ડાઉન પ્લે કરી રહ્યા હોવાની વાત પણ આમાંથી છલકે છે. પરંતુ એક હકીકત એ છે કે મોદી પહેલાના શાસકોએ છેક 1714થી હંમેશા પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો છે. મોટાભાગે અત્યાર સુધીના તમામ શાસકો તેમા સફળ પણ થયા છે.

ત્યારે ગુજરાતના સોશ્યલ એન્જિનિયરીંગની પેટર્નમાં કોઈ આમૂલ પરિવર્તનની જરૂરિયાત હવે વર્તાઈ રહી છે. જેથી અમુક વર્ષોના અંતરાલથી થતી કોમી રમખાણોની ઘટના રાજ્યની સદભાવનાને બગાડે નહીં. જો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના છેલ્લા દસ વર્ષના શાસનમાં 2002ની કમનસીબ ઘટનાઓ બાદ અમુક અપવાદોને બાદ કરતા આવી ઘટનાઓને ડામવામાં સફળ રહ્યા છે. તેમણે તાજેતરમાં પોતાના સદભાવના મિશન અંતર્ગત 36 ઉપવાસ કર્યા છે. પરંતુ સદભાવના મિશન 36 ઉપવાસે પુરું થઈ શકે તેમ નથી.

સદભાવના મિશનની જરૂરિયાતોમાં ઉપવાસ સિવાયની ઘણી બધી વાતોની દરકાર કરવી પડશે. હિંદુ-મુસ્લિમની જોડાજોડ વસ્તીવાળા લોકો પોતપોતાની રીતે સમસ્યાઓ આવે તેનો હલ કરતા હોય છે. પરંતુ સેક્યુલારિઝમના નામે હાસ અને આવકાર જેવા આસિયાનાઓમાં 100 ટકા હિંદુ વસ્તીમાં બેસીને હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરનારા ટોળાની ગુજરાતમાં કમી નથી. આવા લોકોના કમીનાપનને કારણે ગુજરાતની શાંતિને સૌથી વધારે જોખમ છે.

ગુજરાતને જોખમ છે, સતત આ ઘટનાઓમાંથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરનારા નપાવટ રાજકારણીઓથી. આ રાજકારણીઓને ઈંજન આપવાનું કામ સેક્યુલારિઝમના નામે રાડો પાડનારી કમીનાપનથી છલકતી ટોળકી કરી રહી છે. આ કમીનાપણાએ 10 વર્ષના ગાળામાં ગોધરાકાંડના અંડરકરંટને ગુજરાતના સમાજજીવનમાંથી ક્યારેય દૂર થવાનો મોકો આપ્યો નથી.

તો બીજી તરફ ગોધરાકાંડની વરસીએ તેનો ભોગ બનેલા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં પણ આત્મમંથન કરવાની જરૂરિયાત છે કે ગોધરાકાંડની ઘટના શા માટે બની? ગુજરાતના રાજકારણમાં કોણે તેનો લાભ લીધો? તેનાથી ગુજરાતના લોકોને શું નુકસાન થયું? ગુજરાતના ભવિષ્ય પર છેલ્લા દસ વર્ષના આધારે ક્યાં અને કેવા પડઘાં પડી રહ્યાં છે? સમાજમાં તેના સહિયારા તલસ્પર્શી અને હ્રદયસ્પર્શી ચિંતન અને મંથનની જરૂરિયાત છે. કારણ કે ગોધરાકાંડ જેવી ઘટનાઓ બનશે નહીં, તો ગોધરાકાંડ પછીના કોમી હુતાસણો પણ થશે નહીં.

તેના માટે સમાજજીવનમાં પડેલી હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓએ કોઈપણ રાજકારણીના હાથા બન્યા વગર સામુહિક ચિંતન કરવા માટે એકઠા થવું જોઈએ. તેમણે પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મતભેદોને સમાજજીવનથી અળગા રાખવા માટે કોઈ ચોક્કસ એક્શન પ્લાન બનાવવો જોઈએ. વળી ધાર્મિક અને સાંસ્કૃતિકમાંથી સામાજિક બનેલા પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે પણ સાથે મળીને પરિણામજનક વિચાર કરવો જોઈએ.

ભારતની સંસ્કૃતિ સહજીવનમાં માને છે, ભારતની સંસ્કૃતિ કલ્યાણમાં માને છે. ભારતનો હિંદુ હોય કે મુસલમાન, ભારતનો શીખ હોય કે ઈસાઈ કે અન્ય કોઈ ધર્મી વ્યક્તિ તે સહજીવન અને કલ્યાણની વિભાવનાનો એક યા બીજી રીતે સ્વીકાર કરે છે. જે આ સંસ્કૃતિના સંસ્કાર છે. આ સંસ્કારોના ધોવાણને અટકાવા માટે સમાજજીવનમાં કામ કરતાં અગ્રણી લોકોએ સામાજિકમાંથી રાજકીય બનેલા પ્રશ્નોને ઉકેલવાનો દોર પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.

Saturday, February 25, 2012

વિકાસના વાયરામાં વકરેલા ‘સ્ટેટ’ને સમાજ નિયંત્રિત કરે


-ક્રાંતિવિચાર
દેશને આઝાદ થયાને 65 વર્ષ થશે. દેશમાં 65 વર્ષમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. સમાજજીવનની અંતરંગ વાતો બદલાઈ છે, આર્થિક વ્યવહારો બદલાયા છે, ધંધા-વેપારની વાતોમાં મોટા ફેરફારો થયા છે. તેની સાથે રાજકારણના અનેક રંગો પણ આપણે ભારતના લોકોને જોવા મળ્યા છે. આ 65 વર્ષોની ભારતની આઝાદીની યાત્રા 1000 વર્ષની ગુલામીના તબક્કાથી પણ વરવી રહી છે. આ 65 વર્ષમાં ભારતના સમાજનું સતત નબળું બનવું અને ભારતમાં સ્થપાયેલું રાજ્ય સમાજ પર જોહુકમી કરતું નજરે પડયું છે. પછી તે સામાજિક સુધારાની વાત હોય કે સામાજિક સુધારાના નામે સમાજને વકરાવી નાખવાની વાત હોય. કાયદાના નામે ભારતીય સમાજની આગવી બાંધણીને તોડવાના ભરચક પ્રયત્નો ભારતીય રાજ્ય થકી થયા છે. ભારતમાં રાજ્ય અત્યારે સમાજ કરતાં બળવાન દેખાઈ રહ્યું છે અને સમાજ નબળો દેખાઈ રહ્યો છે.

હકીકતમાં આ માનો કે ન માનો ભારતમાં પાછલા બારણે પગપેસારો કરેલા કમ્યુનિઝમનું પરિણામ છે. કમ્યુનિઝમમાં સ્ટેટ હંમેશા બળવાન હોય છે અને એટલી હદે બળવાન થતું જાય છે કે તે દરેક વાતમાં તાનાશાહી ચલાવે છે. કમ્યુનિસ્ટ સ્ટેટમાં સમાજ અને માનવીની કોઈ ગણના હોતી નથી. સ્ટેટ રાજસત્તા પર એકહથ્થું નિયંત્રણ ચલાવે છે. ભારતમાં આગામી પચ્ચીસ વર્ષમાં આ પરિસ્થિતિ આવી જશે. આ દેશનો સમાજ આઝાદી પહેલા અને આઝાદી વખતે જેટલો એકજૂટ અને શક્તિશાળી હતો, તેટલો એકજૂટ અને શક્તિશાળી આઝાદીના 65 વર્ષે રહ્યો નથી. સમાજથી ચાલતા સેવાકાર્યો અને સમાજકાર્યો આઝાદી વખતે જેટલા પ્રમાણમાં ચાલતા હતા, તેમા ઘટાડો અને ભ્રષ્ટતા આજનું ભાગ્ય બની ગયું છે. આઝાદી વખતે સત્તાને સમાજ નિયંત્રિત કરતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. સમાજને સત્તા અનામત, આર્થિક લાભો, નોકરીની લાલચો અને નીતનવા ઉધામા કરીને નિયંત્રિત કરે છે. ભારતીય સમાજને સત્તા જોડતી હોય તેવું લાગી રહ્યું નથી, પરંતુ જાતિ-ધર્મ-ભાષા-પ્રાંત-વર્ગના જુદાંજુદાં ઓઠાં નીચે સમાજને તોડતી હોય તેવું વધારે પ્રતિપાદિત થઈ રહ્યું છે. ભારતીય સ્ટેટ સમાજના ભોગે વધારે શક્તિશાળી બની ગયું છે. જેના કારણે ભારતીય સ્ટેટ પર અત્યારે સૌથી વધારે બોજો છે. તેની પાછળનું કારણ એટલું છે કે સમાજની કલ્યાણ વૃતિ ભારતીય સ્ટેટની કથની અને કરણીમાં ધોવાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે ભારતીય સ્ટેટને તમામ કલ્યાણકારી કામોનો બોજો ઉઠાવવો પડે છે. તેના માટે તે નવી વ્યવસ્થાઓ પણ કરી રહી છે. પરંતુ જે વ્યવસ્થામાં સમાજ ભાગ ન લે અને જે વ્યવસ્થામાં સમાજનો હિસ્સો ન હોય તે વ્યવસ્થા ક્યારેય સફળ થતી નથી.

ભારતમાં કલ્યાણકારી યોજના તરીકે મનરેગાની ગણના થાય છે. પરંતુ સૌથી વધારે ભ્રષ્ટાચારના આક્ષેપો મનરેગાની યોજના સામે થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એનએચઆરએમ યોજનાના કૌભાંડ અને અનાજ કૌભાંડ આના ઉદાહરણો છે. ગરીબોને મફત કે સસ્તા ભાવે અનાજ આપવાની યોજનાઓમાં પણ અઢળક ભ્રષ્ટાચાર થયો છે અને થઈ રહ્યો છે. દેશમાં હાલ ભારતીય સ્ટેટ એવી વ્યવસ્થા બની ગયું છે કે જેમાં 545 વ્યક્તિઓની સામુહિક તાનાશાહી ચાલી રહી છે. તેમની નીચે રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની પણ સામુહિક તાનાશાહી ફૂલીફાલી રહી છે. દેશમાં વિરોધી મત, અલ્પ મત અને અલગ મતને કોઈ સ્થાન મળી રહ્યું હોય તેવું લાગતું નથી. જે પણ કોઈ વાત કરવામાં આવી રહી છે, તેમાં પોતાની સામુહિક તાનાશાહી ચાલે તેવી વ્યવસ્થા સામુહિક પણે ભારતીય સ્ટેટની બનાવટની ભ્રષ્ટ બનેલી વ્યવસ્થામાં સામેલ લોકો કરી રહ્યા છે. ભારતના ભ્રષ્ટાચાર અને વધી રહેલા ભ્રષ્ટાચારનું આ એકમાત્ર કારણ છે. આ ભારતીય સ્ટેટની પ્રવર્તમાન ભ્રષ્ટતાએ આઝાદીના 65 વર્ષે ભારતીય સમાજની ઘણી સારી અને કલ્યાણકારી બાબતોનું ધોવાણ કર્યું છે.

ભારતીય સમાજે રોટલે અને ઓટલે ક્યારેય આજે ચાલી રહી છે, તેવી ચોરી કરી નથી. ભારતમાં 33 કરોડ વસ્તી હતી, ત્યારે પણ 75 લાખ સાધુ-સંન્યાસીઓની સંખ્યા હતી. આજે પણ દેશમાં સાધુ-સંન્યાસીની એક કરોડથી વધારે સંખ્યા છે. સાધુ-સંન્યાસીને રોટલો અને ઓટલો આપવાની સમાજની આગવી વ્યવસ્થા હતી. આ સાધુ-સંન્યાસી થકી ગરીબ-ગુરબાઓ સુધી અન્ન પહોંચે તેવા અન્નક્ષેત્રોની પણ આગવી વ્યવસ્થા હતી. આજે પણ સૌરાષ્ટ્ર જેવા દેશના ઘણાં વિસ્તારોમાં સમાજના માન્યતા પ્રાપ્ત સંતો અને સંસ્થાઓ થકી અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે. ભારતમાં અન્નદાનને મહાદાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે આવા દેશમાં ગરીબો કુપોષણ રાષ્ટ્રીય શરમ હોવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે કરવી પડે છે. આઝાદીના 65 વર્ષે ભારતે અને ભારતના લોકોએ સામુહિકપણે વિચાર કરવો પડે કે દેશમાં આટલી દુર્ગતિનું કારણ શું છે અને તેનું તાત્કાલિક અને લાંબા ગાળાનું પરિણામ શું આવી શકે?

ભારતનું સમાજદર્શન કેવું હતું અને કેવું થઈ રહ્યું છે? તેનો ગંભીરતાથી વિચાર કરવાનો અત્યારે સમય છે અને વિચારના અંતે એક ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવાનો વખત છે. જો આ છેલ્લી ટ્રેન ચુકી ગયા, તો ભારત પણ યુનાન, મિસર અને રોમના માર્ગે ઈતિહાસ બની જશે. સામાજિક સ્તરે દયા, કરુણા, કલ્યાણ, ઉદ્ધાર, એકતા જેવી ઉદાત ભાવના જેટલી વધારે તીવ્ર પ્રમાણમાં હોય છે, તેટલો જ સમાજ વધારે સુદ્રઢ, મજબૂત અને શક્તિશાળી બને છે. સમાજની વીરતા સમાજની કરુણામાં રહેલી છે. ભારતમાં ગાયોને બચાવવા, બ્રાહ્મણોને બચાવવા, ગરીબોને બચાવવા અનેક વીરોએ પોતાના માથા ઉતારીને આપી દીધા છે. સામાજિક દયા અને કરુણાએ સમાજને વીરતા માટે બાધ્ય કર્યો છે. ભારતના રાજાઓને ગૌબ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવતા તેની પાછળનો તર્ક છે. ભારતમાં ગાય અને બ્રાહ્મણ એટલે વિદ્વાન વ્યક્તિ સંરક્ષણના અધિકારી છે, કરુણાને પાત્ર છે. તેનો રંઝાડ રોકવો રાજ્યની ફરજ ગણાય છે. પરંતુ આજના રાજ્યમાં ગાયો લાખોની સંખ્યામાં કપાઈ રહી છે અને બ્રહ્મત્વ ધરાવતા વિદ્વાન પુરુષોનો રંજાડ પણ વધી રહ્યો છે.

ભારતમાં અત્યારની વ્યવસ્થા એવી બની રહી છે કે સ્ટેટની રાજસત્તા સમગ્ર દેશ પર નિયંત્રણ કરવામાં સફળ થઈ રહી હોય તેમ મહેસૂસ થઈ રહ્યું છે. સ્ટેટ ભારતના અર્થતંત્ર, સમાજતંત્ર, ન્યાયતંત્ર, રાજતંત્ર, સંસ્કૃતિ સુદ્ધાંને નિયંત્રિત કરવામાં સફળ થઈ રહ્યું છે. હંમેશા નિયંત્રણમાં આવનારી વસ્તુ નિયંત્રક વસ્તુ કરતા દુર્બળ હોય છે. નિયંત્રક હંમેશા પ્રભાવી હોય છે. ભારતમાં સ્ટેટ અત્યારે પ્રભાવી અને શક્તિશાળી છે. સ્ટેટ ચલાવનારા લોકો સ્ટેટમાં રહેતા લોકો કરતાં વધારે શક્તિશાળી થઈ રહ્યા છે. તેમની સંપત્તિઓ દિવસે વધતી નથી તેટલી રાત્રિના અંધકારમાં વધી રહી છે. સમાજની સમૃદ્ધિ નષ્ટ થઈ રહી છે. વિકાસ કાર્યોના નામે સમાજના બહુ જૂજ લોકો સંપત્તિવાન બની રહ્યા છે. દેશના સાડા આઠ હજાર લોકો પાસે દેશની બે તૃતિયાંશ સંપત્તિ સંઘરાયેલી પડી છે. આ દેશની વસ્તી 122 કરોડ છે. જેમાંના 42 ટકા લોકોને રોજના 32 રૂપિયા પણ કમાવવાની તક મળતી નથી. સ્ટેટ અંત્યોદય નહીં, પણ અમીરોદયનું સાધન બની રહ્યું છે. સમાજના છેડાનો માનવી વધારે છેડે ધકેલાઈ રહ્યો છે.

ભારતે પોતાની દુર્ગતિ ટાળીને સદગતિના પંથે જવું હશે તો જનકલ્યાણનો માર્ગ અપનાવો પડશે. અત્યારે વિકાસની વાતો ઘણી ચાલે છે. વિકાસ એટલે મોટા રોડ, પુલ-બંધો, વીજળી, ઊર્જા, મોબાઈલ, હોટલ, ખૂબ ખર્ચો કરી શકવાની ક્ષમતા વગેરે છે. પરંતુ આ વિકાસની પરિભાષામાં જનકલ્યાણને સ્થાન નથી. જનકલ્યાણ આજના વિકાસમાં ગેરહાજર છે. જનકલ્યાણની ગેરહાજરી હોય તેવા વિકાસથી દેશ દુર્ગતિના માર્ગે ધકેલાય રહ્યો છે. ત્યારે સ્ટેટનો અભિગમ બદલાય તેવી કોઈ વાત થવી જોઈએ. અભિગમ કલ્યાણનો થવો જોઈએ કે જેનો એક ભાગ વિકાસ છે. ભારતમાં કલ્યાણરાજ સ્થાપનારા રાજાઓને ભારતની જનતા આજે પણ યાદ રાખે છે. પછી તે રાજા રામચંદ્ર હોય કે ધર્મરાજ યુધિષ્ઠિર હોય કે પ્રજાકલ્યાણક વિક્રમાદિત્ય હોય કે છત્રપતિ શિવાજી મહારા હોય કે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી હોય કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોય. આ તમામ રાજાઓએ પોતે સુખનો ઉપભોગ કર્યો નથી, પરંતુ પોતાના કર્મો થકી પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી છે. પોતાની વિશાળ દ્રષ્ટિ અને કલ્યાણકારી અભિગમે પ્રજાને જીવનસ્તર સહીતની બાબતોમાં ખાસી ઊંચાઈ આપી છે. શું ભારતના હાલના વિકાસના નામે ચાલતા સરકારના વહેપારમાં પ્રજાને આવી ઊંચાઈ પ્રાપ્ત થઈ રહી છે?

ભારતમાં હવે સમય આવી રહ્યો છે, સમાજને શક્તિશાળી કરવા કલ્યાણકારી સુદ્રઢીકરણ કરવાનો. સમાજને દેશના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી સ્થાપિત કરવામાં અને સમાજને ભારતીય સ્ટેટ પર પુન: નિયંત્રણ સ્થાપિત કરવા જેટલો શક્તિશાળી બનાવવા માટે સમાજિક નેતૃત્વે પ્રયત્નો તીવ્ર બનાવવા પડશે. ભારતીય સ્ટેટ વિશ્વના શક્તિશાળી સ્ટેટમાં સમાવિષ્ટ બને. તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ભારતીય સ્ટેટની શક્તિના અનુપાતમાં ભારતીય સમાજની શક્તિ ક્ષીણ ન થવી જોઈએ. ભારતીય સમાજની શક્તિ પણ સ્ટેટ સાથે વધવી જોઈએ અને તેના કરતા વધારે સમાજ શક્તિશાળી બને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ભારતીય સમાજમાં સુધારવાદી પગલા ભારતીય સ્ટેટ દ્વારા નહીં પણ સમાજના નેતૃત્વ દ્વારા લેવાવા જોઈએ. ભારતીય સમાજ ફરીથી ભારતીય સ્ટેટને ચલાવવા માટેની ડ્રાઈવિંગ સીટમાં આવવો જોઈએ. ભારતીય સમાજ ભારતીય સ્ટેટના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી પુનર્પ્રસ્થાપિત થઈ જશે તો ભારતના લોકો માટે સ્ટેટને ફરીથી કલ્યાણકારી બનાવી શકાશે.

Sunday, February 19, 2012

ભારતમાં ફરીથી વિકાસ-સમૃદ્ધિના ‘અમૃત મહામંથન’ની જરૂરિયાત


democratic formate of india should be formated there should be amrut manthan of development

લોકશાહીનું પ્રવર્તમાન સ્વરૂપ દેશને ચૂંટણીના ચક્કરમાં નાખીને સમાજના ભાગલા કરનારું સાબિત થઈ રહ્યું છે, નાના અને ક્ષુલ્લક રાજકીય સ્વાર્થોની પૂર્તિ માટે રાજકીય પક્ષો જુદીજુદી સમાજને તોડનારી નીતિઓને આગળ વધારે છે

સત્તા વેશ્યા જેવી હોય છે. આજે કોઈની જોડે તો કાલે કોઈ અન્યની જોડે હોય છે. સત્તા તેની પાસે જ હોય છે, જેનામાં તેને જિરવવાનો દમખમ હોય છે. કમજોરોની પાસે સત્તા રહેતી નથી. કમજોરોની પાસે રહેલી સત્તા વ્યવસ્થા, તંત્ર અને સમાજને નુકસાન કરે છે. અંતે કમજોર વ્યવસ્થામાંથી જન્મેલા કમજોર તંત્રને કારણે પેદા થનારી સત્તાની કમજોરીઓ દેશને લાંબાગાળાનું નુકસાન કરે છે. દેશમાં અત્યારે કહેવા માટે તો લોકશાહી પ્રવર્તી રહી છે. પરંતુ તેને બીજી રીતે જોવો તો લોકશાહીનું પ્રવર્તમાન સ્વરૂપ દેશને ચૂંટણીના ચક્કરમાં નાખીને સમાજના ભાગલા કરનારું સાબિત થઈ રહ્યું છે. નાના અને ક્ષુલ્લક રાજકીય સ્વાર્થો અને હિતોની પૂર્તિ માટે રાજકીય પક્ષો જુદીજુદી સમાજને તોડનારી, દેશને તોડનારી નીતિઓને આગળ વધારે છે. આ તમામ વાતોથી અંતે તો દેશને પુરી ન શકાય તેવું મોટું નુકસાન થાય છે.

ભારતનું રાજકારણ ચૂંટણીકારણ છે. ચૂંટણી જીતો જોડતોડ કરીને સંસદ-વિધાનસભાઓમાં બહુમતી સાબિત કરો અને દેશને બેહદ બેઅદબીથી લૂંટવાનો પરવાનો મેળવો. તેના માટે બકાયદા મૂડીપતિઓ, કોર્પોરેટ સમૂહો ચૂંટણીમાં ફંડફાળો આપીને ઈન્વેસ્ટમેન્ટ કરે છે. ચૂંટણીમાં પોતાના નાણાંની વસૂલાત માટે તેઓ પોતાના તરફી નીતિઓ બનાવવામાં સફળતા પણ મેળવી લે છે. બસ બસી ભ્રષ્ટાચારનું અવિરત ચક્ર સતત ચાલતુ રહે છે. આમ આદમીને ખબર પડતી નથી કે તે કેવી રીતે લૂંટાઈ રહ્યો છે, કેવી રીતે પિંખાઈ રહ્યો છે. પરંતુ મોંઘવારીના દાવાનળમાં આમ આદમી કકળી ઉઠે છે, સળગી ઉઠે છે. તેને ખબર પડતી નથી કે કાળાબજારિયા અને ભ્રષ્ટાચારીઓનું એક તંત્ર તેમના હકના રોટલા પર તરાપ મારી રહ્યા છે, તેમના હકની સંપત્તિ પોતાના કબજે કરી રહ્યા છે, તેમના હકની સુખસુવિધા અંકે કરી રહ્યા છે. આ દેશની બે તૃતિયાંશ સંપત્તિ અંદાજે માત્ર સાડા આઠ હજાર લોકો પાસે છે. વિચાર કરો આટલી સંપત્તિની વહેંચણીમાં અસમાનતા માટે ક્યું તંત્ર જવાબદાર છે, કઈ વ્યવસ્થા જવાબદાર છે?

સીબીઆઈના નિદેશકે તાજેતરમાં કહ્યુ કે ભારતીયોના સાડા ચોવીસ લાખ કરોડ રૂપિયા એટલે કે પાંચસો અબજ ડોલર દુનિયાના ટેક્સ હેવન દેશોની બેંકોમાં જમા છે. આ સાડા ચોવીસ લાખ કરોડ રૂપિયા પર આ દેશના આમ આદમીનો અધિકાર છે કે નહીં? પરંતુ આ દેશની વ્યવસ્થા અને તેનું તંત્ર સમગ્ર રીતે કાળાબજારિયાઓ અને ભ્રષ્ટાચારીઓને બચાવવાની રીતો શોધતું ફરે છે. દેશની લોકશાહી લોકોની, લોકો માટે લોકો દ્વારા ચાલતી લોકશાહી રહી નથી. હવે આ લોકશાહી ભ્રષ્ટાચારીઓની, ભ્રષ્ટાચારીઓ માટેની અને ભ્રષ્ટાચારીઓ માટેની લોકશાહી થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સામે આવેલા દેશના જુદાંજુદાં કૌભાંડોનો સરવાળો કરીએ તો અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાનો સીધો ભ્રષ્ટાચાર ચર્ચામાં રહ્યો છે. તેમાં 2જી સ્પેક્ટ્રમ કાંડ, સીડબલ્યૂજીનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટી કાંડ, કર્ણાટક માઈનિંગ કૌભાંડ, કેગ રિપોર્ટ પ્રમાણેની ગુજરાતની કેટલીક અનિયમિતતા, ઉત્તર પ્રદેશનું અનાજ કૌંભાડ અને એનએચઆરએમ ગોટાળો વગેરે વગેરે. હજુ આ સિવાય ભૂગર્ભમાં રહેલા કૌભાંડો અને ગોટાળાઓ અનેક હશે.

આજે દેશના 42 ટકા લોકો ગરીબી રેખાની નીચે છે. દેશના 24 ટકા બાળકોને રોજ ભૂખ્યા સુવું પડે છે. દેશમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું ઉંચુ છે. દેશના વડાપ્રધાનને પણ કહેવુ પડયું છે કે કુપોષણ દેશની શરમ છે. પરંતુ દેશના આમ આદમીના હકની સંપત્તિ પર તરાપ મારીને ભ્રષ્ટાચારીઓ અને કાળાબજારિયાઓનું તંત્ર તેમની થાળીના રોટલા છીનવી રહ્યું છે. આ દેશના નાગરીકોને લૂંટવા માટે તેમને આ દેશના રાજકારણે ભારતીય રહેવા દીધા નથી. તેમને હિંદુ બનાવ્યા, તેમને મુસ્લિમ બનાવ્યા, શીખ, ખ્રિસ્તી બનાવ્યા. તો કોઈએ વળી પાછું અલગ રીતનું વિભાજન કરીને તેમને દલિત બનાવ્યા, તો કોઈએ મહાદલિત બનાવ્યા, કોઈએ ઓબીસી બનાવ્યા, કોઈએ સવર્ણ બનાવ્યા, કોઈએ બ્રાહ્મણ બનાવ્યા, તો કોઈએ ક્ષત્રિય બનાવ્યા. જેને જેવી રીતે દેશના નાગરીકને લૂંટવામાં સહૂલિયત મળી તેવી રીતે તેમણે દેશમાં રીતસરનું નવું વિભાજન ઉભું કર્યું. કોઈએ વંચિત, શોષિત અને સાધાનસંપન્નના ભેદ કરીને રાજનીતિ કરી. ભારતની કમનસીબી છે કે ભારતના લોકોને સમાન માનવીય હેસિયતથી જોનારી દેશની રાજનીતિ ક્યારે સામે આવી નથી.

ભારતની રાજનીતિની અપરિપક્વતાએ ભારતની લોકશાહીને પણ પરિપક્વ બનવા દીધી નથી. આ અપરિપક્વતાનું પરિણામ છે કે ચૂંટણી વખતે રાહતો ઘોષિત કરવી પડે છે, ચૂંટણી વખતે કર્જા માફ કરવા પડે છે, ચૂંટણી વખતે અનામતના ગાજર લટકાવા પડે છે, ચૂંટણી વખતે હુલ્લડોની રાજનીતિ કરવી પડે છે, ચૂંટણી વખતે ગરીબોની ગરીબી યાદ આવે છે, ચૂંટણી વખતે રાજકારણીઓને દેશની જરૂરિયાત સિવાયની પોતાની રાજકીય જરૂરિયાતની તમામ વાતો યાદ રહે છે.

શું એવી વ્યવસ્થા શક્ય નથી કે જેમાં બધાંને બધી જ વસ્તુ મળી શકે? જેની અંદર બધાંને દરેક પ્રકારની સ્વતંત્રતા હોય અને તેની સ્વતંત્રતાની મર્યાદા જાણે તેટલો ભારતીય નાગરીક પરિપક્વ પણ હોય? દેશ વિભક્ત કુટુંબની જેમ નહીં, પણ સંયુક્ત પરિવારના ભાવથી એકબીજા સાથે જોડાય અને આ જોડાણો એટલા મજબૂત બને કે દુનિયાની ખરા અર્થમાં મહાશક્તિ બને. આ દેશમાં એવી વ્યવસ્થા લાવી ન શકાય કે જે પોતાનામાં જ સંપૂર્ણ હોય અને શક્તિશાળી હોય કે તેની સામે દુનિયા આપમેળે જ નતમસ્તક થઈ જાય, તેને કોઈને નતમસ્તક કરવા માટે જવાની જરૂર ન પડે.

પરંતુ ભારતના હાલના વામણા રાજકારણીઓમાં આટલી વિશાળ દ્રષ્ટિની અપેક્ષા કરવી રણમાં મીઠી વીરડીની અપેક્ષા સમાન છે. પરંતુ ભારતે હવે રાજકારણના ક્ષીરસાગરમાં પેદા થયેલા વિષનું કોઈ વાસુકી અને મેરુ પર્વત શોધીને મંથન કરવું જ પડશે. વિષના મહામંથન વગર અમૃત મળવાનું નથી અને આ અમૃત દેવત્વવાળા લોકો સુધી પહોંચે તે પણ જોવું પડશે. વિકાસ અને સમૃદ્ધિના અમૃતની ચાહતમાં નાના રાજકીય હિતસાધક રાજનેતાઓ અને દેશહિતચિંતક દેવત્વવાળા લોકો વચ્ચે ફરી એક દેવાસુર સંગ્રામની જરૂર છે. સોનાની ચીડિયા ભારતને પહેલા વિદેશીઓએ લૂંટ્યું પરંતુ વિદેશી સત્તાના કાળાપાણી છતાં તેમના સંસ્કારોથી સત્તામાં ગયેલા દેશી લોકોએ પણ લોકશાહીના રૂપાળા આંચળા નીચે લૂંટતંત્ર કાયમ કર્યું છે. વિદેશીઓના હાથે લૂંટાયેલો આ દેશ હવે દેશી દરિંદાઓ દ્વારા લૂંટાય રહ્યો છે. આ લૂંટ અને આ પીડામાંથી છૂટકારો મેળવવા માટે વિકાસ-સમૃદ્ધિના અમૃતનું મહામંથન અને ત્યાર બાદ રાજકીય હિતસાધકો અને દેશહિતચિંતકો વચ્ચેના દેવાસુર સંગ્રામની તાતી જરૂરિયાત છે.

Friday, February 17, 2012

મોદીની ભૂમિકાવાળા SIT રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં ઉપયોગ થશે નહીં


sit report which investigate role of cm modi in riots will not be use in up election

ગુજરાતની 2002ના વર્ષમાં ઘટેલી ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોની ઘટના આજે પણ દીલમાં દર્દ બનીને ઉભરી આવે છે. પરંતુ આ કમનસીબ ઘટનાઓના દસ વર્ષ બાદ તે હવે ભૂતકાળ નથી, પરંતુ વોટ લણવાની ફેકટરી છે. જ્યારે મુસ્લિમ મતોની વાત હોય અને મુસ્લિમોને કોઈ ચોક્કસ પાર્ટી સામે ઉશ્કેરવાનો મામલો હોય, ત્યારે ગુજરાતની કમનસીબ ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત ચર્ચામાં રહે છે.

કેટલાંક અહેવાલો પ્રમાણે, યૂપીની ચૂંટણીમાં અંદરખાને ગુજરાત રમખાણોની સીડીઓનો મુસ્લિમ વિસ્તારોમાં મતદાતાઓને ચોક્કસ દિશામાં પ્રેરીત કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે 15મી ફેબ્રુઆરીએ યૂપીમાં ત્રીજા તબક્કાના મતદાન વખતે જ ગુજરાત રમખાણોમાં મોદી અને અન્ય પ્રભાવી વ્યક્તિઓની ભૂમિકાનો તપાસ કરતો રિપોર્ટ યોગાનુયોગ કોર્ટે જાકિયા જાફરી સહીતના અન્ય અરજદારો તીસ્તા સેતલવાડ અને મુકુલ સિંહાને હાલના તબક્કે આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સંદર્ભે નિર્ણાયક સુનાવણી 29 ફેબ્રુઆરી અને 15 માર્ચે થશે.

જો ગુજરાત રમખાણોના મામલે એસઆઈટીની તપાસનો આખરી રિપોર્ટ કે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કથિતપણે ક્લિનચીટ આપવામાં આવી છે, તે જાહેર થઈ જાત તો તેના કેટલાંક ભાગોને મુસ્લિમ મતોના રાજકારણમાં રાજકીય ઉપયોગની સંભાવનાને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે સીટના રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહીં અને વકીલોને વાંચવા માટે આપવો કે નહીં તેની સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. સીટ 15મી માર્ચ સુધીમાં બાકીના તમામ દસ્તાવેજો અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ રજૂ કરશે.

up votersબીજી તરફ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં થઈ રહી છે. જેમાં જાકિયા જાફરીની સીટનો રિપોર્ટ માંગતી અરજીની બુધવારની સુનાવણીના દિવસે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. જ્યારે એસઆઈટીના સીલબંધ કવરમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિપોર્ટ સંદર્ભે સુનાવણી વખતે 8મી ફેબ્રુઆરીએ યૂપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 11 ફેબ્રુઆરીમાં યૂપીમાં બીજા તબક્કાનું મતદાન થયું અને જાકિયા જાફરી તથા અન્યોને રિપોર્ટની નકલ આપવાની સુનાવણી 13મી માર્ચે થઈ. પરંતુ ત્યારે પણ કોર્ટે યોગાનુયોગ નિર્ણય આપ્યો નહીં અને સુનાવણી 15 ફેબ્રુઆરીએ કરવાનું ઠેરવ્યું.

જો કે 15 ફેબ્રુઆરીએ કોર્ટે કાયદાકીય અને ટેકનિકલ કારણોને ધ્યાનમાં રાખીને અરજદારોને રિપોર્ટ માંગવાની અરજી ફગાવી દીધી. હવે તમામ નિર્ણય 29 ફેબ્રુઆરી અને 15 માર્ચની તારીખો પર છે. 29 ફેબ્રુઆરી બાદ 3 માર્ચે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે યૂપી સહીત પાંચ રાજ્યોમાં મતગણતરી 6 માર્ચે પૂર્ણ થવાની છે. ત્યારે ગુલમર્ગ કાંડના ફરીયાદી જાકિયા જાફરીને એસઆઈટીમાં મોદીની કથિત ભૂમિકાવાળો રિપોર્ટ આપવા સંદર્ભે 15 માર્ચ પછી કોર્ટ નિર્ણય કરશે.

કોર્ટની કાર્યવાહીને કારણે યોગાનુયોગ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગુલમર્ગ કાંડ અને ગુજરાત રમખાણો પરના એસઆઈટી રિપોર્ટનો ઉપયોગ રાજકીય કારણોસર કોઈના પક્ષમાં કે વિપક્ષમાં કોઈ વ્યક્તિ, સંગઠન કે પક્ષ દ્વારા થઈ શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે યૂપીની ચૂંટણી દરમિયાન 139 બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં રહેલા રાજ્યના 19 ટકા મુસ્લિમ મતોને દરેક રાજકીય પક્ષ ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. જયપુરના સાહિત્ય ઉત્સવમાં પ્રતિબંધિત સેતાનિક વર્સિસના લેખક સલમાન રશ્દીને નહીં આવવા દેવાની વાત, મુસ્લિમોને અનામત સંબંધી નિવેદનો, બટલા હાઉસ એન્કાઉન્ટરના મામલે નિવેદનબાજી અને ગુજરાત રમખાણો હજી પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટેના મોટા હથિયાર સાબિત થાય તેવી પરિસ્થિતિ છે. તેમાં વિશિષ્ટ ઈમેજ સાથે પ્રચારીત કરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સંડોવતો એસઆઈટીનો રિપોર્ટ યૂપીના ચૂંટણી રાજકારણમાં રાજકીય રોટલા શેકતા પક્ષો માટે મોટું હથિયાર સાબિત થઈ શકે તેમ હતું. પરંતુ હવે યોગાનુયોગ તે રિપોર્ટનો યૂપીની ચૂંટણીમાં રાજકીય ઉપયોગ થઈ શકશે નહીં.

ભાજપ-શિવસેનાના જોડાણ માટે મહારાષ્ટ્રમાં ફરી આશાનું કિરણ


bjp-shivsena has hpe for 2014 assembly election

મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા બીએમસી સહીતની 10 મહાનગરપાલિકા અને 27 જિલ્લાપરીષદોના ચૂંટણી પરિણામો અને વલણો ભાજપ-શિવસેના ગઠબંધન માટે ફીલગુડ કરાવનારા સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસ-એનસીપી ગઠબંધનનો 2014ના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલમાં ભાજપ-શિવસેના-આરપીઆઈ ગઠબંધન સામે હાર થઈ છે. જો કે હાલ રાજ ઠાકરે ન તો કિંગ બન્યા છે અને ન તો કિંગ મેકર બન્યા છે.


આ ચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શિવસેના પ્રમુખ બાલ ઠાકરે સામે કેટલીક કઠોર ટીપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મોટી જીત મેળવશે અને બાલ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં અપ્રાસંગિક થઈ જશે.

પરંતુ મતદાતાઓની ગત ન્યારી હોય છે, મતદાતાએ શુક્રવારે આપેલા ચુકાદા બાદ મહારાષ્ટ્રની રાજનીતિ નવી દિશા તરફ જઈ રહી છે. બાલ ઠાકરે ઢળતી ઉંમરે છે, પરંતુ તેઓ હજી પણ રાજ્યના મતદાતાઓ માટે શિવસેના થકી પ્રાસંગિક છે. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ ઠાકરેના નેતૃત્વમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી છે. રાજ ઠાકરેએ શિવસેનાની મતબેંકો અને કિલ્લાઓમાં સેંઘ મારવામાં 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ સફળતા મેળવી હતી અને અત્યારે પણ સારા પ્રમાણમાં સફળ થયા છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજનીતિ દ્વિધ્રુવીય રહી છે. જેમાં એક ધ્રુવ કોંગ્રેસ-એનસીપી અને બીજો ધ્રુવ ભાજપ-શિવસેના રહ્યા છે. 17 વર્ષથી રાજ્યની સત્તામાંથી દૂર રહેલી ભાજપ-શિવસેનાની ધરી માટે આ વખતે આશાના કિરણો ફૂટયા છે. રાજ્યની 10માંથી 8 મહાનગરપાલિકામાં ભગવા જોડાણ સૌથી આગળ રહ્યું છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનું રાજકારણ દ્વિધ્રુવીયની જગ્યાએ ત્રિકોણીય બની જશે, તેવા પણ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આમ તો બૃહદમુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ-શિવસેનાને સૌથી વધારે બેઠકો મળી છે, પરંતુ તેને બહુમતી માટે હજી 8 કોર્પોરેટરોનો જુગાડ કરવો પડશે. જ્યારે કોંગ્રેસ-એનસીપીના જોડાણને 66 બેઠકો મળી છે. જો કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ શિવસેનાના ગઢ દાદર અને માહિમના કાંગરા ખેરવીને 28 બેઠકો પર જીત હાંસલ કરી છે. મુંબઈના 34 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો એમએનએસના છે. જો એક ધારાસભ્ય નીચે 6 કોર્પોરેટરોની ગણતરી કરવામાં આવે તો એમએનએસના 36 કોર્પોરેટરો જીતવા જોઈએ. તેમ છતાં પણ શિવસેનાના ગઢના કાંગરા ખેરવવાનો સંતોષ રાજ ઠાકરેને થઈ રહ્યો છે.

ઠાણેમાં પણ ભાજપ-શિવસેના ગઠબંધન કોંગ્રેસ-એનસીપીથી આગળ છે. અહીં એમએનએસનો દેખાવ સારો થયો નથી. જેના કારણે રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે ઠાણેમાં એમએનએસનો દેખાવ ખરાબ રહ્યો છે અને અહીં પાર્ટીમાં ફેરફારો થશે. જો કે એનસીપીએ શિવસેનાને ઠાણેમાં સારું એવું નુકસાન કર્યું છે. પરંતુ તેમ છતાં ભગવા ગઠબંધન ઠાણેમાં પણ સત્તા કબજે કરી શકે તેવા સ્પષ્ટ સમીકરણો બન્યા છે.

જો કે પુણે મહાનગરપાલિકામાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન ફરી સત્તા કબજે કરતું દેખાય રહ્યું છે. અહીં એમએનએસનો દેખાવ પણ ઘણો સારો રહ્યો છે. પુણેમાં એમએનએસને 27 અને નાસિકમાં 36 બેઠકો મળી છે. નાસિકમાં એમએનએસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ ઠાકરેએ પુણે અને નાસિકમાં પાર્ટીને સારા મત આપવા બદલ અહીંની જનતાનો આભાર માન્યો છે. જો કે પિંપરી-ચિંચવડમાં એનસીપી 68 બેઠકો સાથે પોતાના દમ પર મહાનગરપાલિકામાં કાબિજ થઈ ગઈ છે.

કોંગ્રેસ માટે આઘાતજનક ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસી નેતા નારાયણ રાણે પાર્ટી પર જ વરસી પડયા છે, તેમણે હાર માટે કોંગ્રેસી નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે કોંગ્રેસી નેતા સંજય નિરુપમ પ્રમાણે એનસીપીને આપેલી 5 બેઠકો પર ગઠબંધન હાર્યું છે. તો રાજ ઠાકરેએ પ્રતિક્રિયા આપી છે કે શિવસેના ગઠબંધનને ભાજપ અને આરપીઆઈ સાથેના જોડાણને કારણે બેઠકો મળી છે.

હાલ આવેલા ચૂંટણી પરિણામો 2014ની વિધાનસભાની સેમીફાઈનલ બાદ રાજ્યની દ્વિધ્રુવીય રાજનીતિ ત્રિકોણીય થવા તરફ સ્પષ્ટ સંકેત કરી રહી છે. રાજ ઠાકરેએ કહ્યુ છે કે તેઓ મહારાષ્ટ્રમાં અન્ય ક્ષેત્રોમાં પાર્ટીનો વિસ્તાર કરશે. પરંતુ તેનાથી સ્વાભાવિક પણે શિવસેનાને થતું નુકસાન તેને કેટલું થાય છે, તેના પર પણ રાજકીય સમીકરણોનો મોટો આધાર રહેશે.

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન શિવસેનામાંથી અલગ પડેલા રાજ ઠાકરેની એમએનએસે 21 ટકા મતો મેળવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેએ 45 બેઠકો પર ભાજપ-શિવસેના ગઠબંધનને ભારે નુકસાન પહોંચાડયું છે. ત્યારે 2014ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રના રાજકારણમાં “રાજ ફેક્ટર” ઘણું મોટું અને મહત્વનું બની રહેશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવાર એલાન કરી ચુક્યા છે કે હવે તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં, બીજી તફ બાલ ઠાકરે ઢળતી ઉંમરને કારણે રાજકીય રીતે સક્રિય રહી શકતા નથી અને તેનો લાભ રાજ ઠાકરેને મરાઠી માનૂષની રાજનીતિ કરવામાં મળી રહ્યો છે. ત્યારે તેમનો રાજકીય વારસો સંભાળનારાઓ માટે પણ આ ચૂંટણી સેમીફાઈનલ છે.

ઉલ્લેખનીય છેકે મહાનગરપાલિકાના પરિણામો પહેલા બાલ ઠાકરેએ ઉદ્ધવ અને રાજ ઠાકરેના એક થવા સંદર્ભેનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તેમના મતે બંનેને એક થઈ જવું જોઈએ. ત્યારે રાજ ઠાકરેએ ઉદ્ધવ સાથેના મતભેદો કાયમ રાખતા પ્રતિક્રિયા આપી હતી કે તેઓ કાકા બાલ ઠાકરે માટે 100 પગલા ચાલવા માટે તૈયાર છે, પરંતુ ઉદ્ધવ માટે તેઓ આમ કરશે નહીં. તેથી મહારાષ્ટ્રની રાજનીતિમાં બાલ ઠાકરેના વારસોના એક થવાની સંભાવના ઘણી પાંખી છે. પરંતુ ભવિષ્યમાં તેમની વચ્ચે કોઈ સંબંધો ઉભા થઈ શકે છે.

Saturday, February 11, 2012

રાજકીય વ્યવસ્થા દેશના શાસન-સત્તામાં ગરીબોને પ્રતિનિધિત્વ આપે

political system should give representation to poors in power
વ્યવસ્થા જ્યારે કંઈ સુધારો કે પરિવર્તન કરી શકતી નથી, ત્યારે તેના પર પ્રશ્નાર્થ લાગવા સ્વાભાવિક છે. ભારતમાં પણ વ્યવસ્થા દ્વારા કોઈ મોટા પાયાના જલદ પરિવર્તનો થયા નથી. ભારતમાં વ્યવસ્થાનું પરિણામ જ છે કે 32 રૂપિયા રોજના માંડમાંડ કમાનારા લોકોની સંખ્યા 42 ટકા છે. તેમા વધારો થવાની પણ સંભાવના દર્શાવાય છે. જ્યારે બીજી તરફ દેશમાં અબજોપતિની સંખ્યા વધી રહી છે. એટલે કે સીધી સમજ પ્રમાણે દેશના લોકોમાં સંપત્તિની વહેંચણીમાં ઘણી મોટી ખામી છે. કરોડો લોકોની સંપત્તિ આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો પાસે પહોંચી રહી છે. તેમ છતાં ભારતમાં અમીર વધારે અમીર થાય અને ગરીબ વધારે ગરીબ થાય તેવી વ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને સુદ્રઢ થઈ રહી છે.

તેની પાછળ સૌથી મોટું કારણ છે, દેશની રાજકીય વ્યવસ્થા. દેશની રાજકીય વ્યવસ્થા શરૂઆતથી ગરીબો માટેની વ્યવસ્થા રહી નથી. દેશની ભૂતકાળની સંસદો અને વિધાનસભાઓથી માંડીને પ્રવર્તમાન સંસદ અને વિધાનસભાનો સર્વે કરવામાં આવે તો તુરંત માલૂમ પડશે કે દેશના ધારાસભ્યો અને સાંસદો બનવામાં ધનકુબેરો અગ્રસ્થાને છે. દેશમાં 32 રૂપિયા રોજના ન કમાઈ શકનારો વ્યક્તિ ક્યારે દેશની સંસદ અથવા વિધાનસભામાં બેઠો હોય તો તેઓ કિસ્સો અમુક અપવાદોને બાદ કરતા બન્યો નથી અને બની રહ્યો નથી.

દેશમાં દરેક જાતિ-ધર્મ-વર્ગને પ્રતિનિધિત્વ આપવા માટે અનામત (શિક્ષણ અને નોકરીમાં)આપવામાં આવી રહ્યું છે. એસસી-એસટીને અનામત, મહિલાઓને અનામત, ઓબીસીને અનામત, મુસ્લિમોને અનામત, ખ્રિસ્તીઓને અનામત.જો કે આમાથી એસસી અને એસટીને બાદ કરતા અન્ય કોઈ વર્ગ-જાતિ-ધર્મને રાજકીય અનામત નથી. પણ આ બધાં અનામતમાં ગરીબોને દેશની સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું નથી. દેશમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકો 42 ટકા છે, તો ગરીબીની રેખા ઉપર જીવતા અને ગરીબ એવા લોકોની સંખ્યા પણ એટલા જ ટકા છે. ત્યારે આવા આર્થિક રીતે વિપન્ન વર્ગોને દેશની સંસદ-વિધાનસભામાં બિલકુલ પ્રતિનિધિત્વ મળતું નથી. આ કેવી વ્યવસ્થા છે કે જેમાં દેશના લગભગ 70 ટકા લોકોનું પ્રતિનિધિત્વ ગેરહાજર હોય.

એક એવો પણ અભ્યાસ કરવો જોઈએ કે દેશમાં ગરીબોની વાત કરનારા લોકો આર્થિક અને રાજકીય રીતે કેટલા આગળ વધ્યા છે અને તેના પ્રમાણમાં કેટલું કામ થયું છે. કારણ કે દેશમાં ગરીબી ઘટવાને બદલે વધી છે. અને પરિસ્થિતિ ત્યારે ભયંકર બની છે કે દેશના અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધારે ઉંડી થઈ છે. ત્યારે દેશના ગરીબોને દેશની કાર્યપાલિકાઓમાં પ્રતિનિધિત્વ મળે તેના માટે કોઈ પ્રયત્ન ક્યારે થશે?

એક ધારાસભ્ય અથવા સાંસદને બિનઆધિકારીક રીતે ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ટિકિટ મેળવવાથી લઈને ચૂંટણી જીતવા સુધી તમામ સ્તરે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. શું આ દેશનો ગરીબ આટલો ખર્ચો કરીને શાસનનો ભાગીદાર બની શકે છે? આ દેશમાં મુસ્લિમો વોટબેંક છે, એસસી વોટબેંક છે, ઓબીસી વોટબેંક છે, એસટી વોટબેંક છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પણ વોટબેંક છે. પરંતુ ગરીબ હજી સુધી આ દેશમાં વોટબેંક બની શક્યો નથી. ગરીબને બ્રાહ્મણ, એસસી, એસટી, મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-વર્ગમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને વ્યવસ્થામાં આ પંથ-વર્ગમાં ધનકુબેર લોકો જ શાસનના ભાગીદાર બની શકે છે અને તેઓ જ આ વર્ગ-પંથનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

શું આ રાજકીય વ્યવસ્થાના સ્વરૂપથી આશ્ચર્ય ઉપજતું નથી? શું આ વ્યવસ્થા ભારતના લોકોની વ્યવસ્થા છે? શું આ વ્યવસ્થા ભારતના એક મોટા ઉપેક્ષિત વર્ગ એવા ગરીબ લોકોને સત્તાની ભાગીદારીમાંથી દૂર રાખી રહી નથી? શું આવી વ્યવસ્થામાં ગરીબોની ભાગીદારી માટે કોઈ વ્યવસ્થા થવી જોઈએ નહીં? પરંતુ ગરીબો માટે દિલથી વિચારવાની કોઈને દરકાર નથી, કારણ કે તેઓ ગરીબ નથી એટલે કે ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા નથી. પછી ગરીબો માટે કંઈ કરવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

એક બાબત એ પણ છે કે ગરીબને ભીખારી બનાવતી યોજનાઓની દેશમાં કોઈ જરૂર નથી. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપવા માટે માત્ર તેનું સસ્તા અનાજથી પેટ ભરવું કે તેને 365 દિવસમાંથી 100 દિવસ ડેલી વેજિસ કરતા પણ ઓછી કિંમતે મજૂરી કામ આપવું પુરતું નથી. તેના માટે એવી વ્યવસ્થાની જરૂર છે કે જેનાથી તેની જિંદગી સ્વાભિમાનપૂર્ણ બને.

તેના માટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે તેનું જીવનસ્તર તબક્કાવાર ઉપર આવે, અમીર તેના ભાગની સંપત્તિ પર વધારે કબજો કરે નહીં, અમીર-ગરીબ વચ્ચેની ખાઈ પુરાય. પરંતુ આવી વ્યવસ્થા કરવા માટે મૂડીપતિઓનું ફંડ લેનારા રાજકીય પક્ષોને કોઈ દરકાર હોય તેમ લાગતું નથી. દેશના કરોડો-અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં દર પાંચ વર્ષે મોટો વધારો થાય છે. પરંતુ દેશમાં તેટલા જ મોટા પ્રમાણમાં ગરીબોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે દેશની અને દેશના ગરીબોની ગરીબી ઓછી થાય તેના માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર કોઈ ક્રાંતિ બનીને દેશની સામે આવશે? શું ગરીબોને દેશના શાસન અને સત્તામાં તેમની સંખ્યાના પ્રમાણમાં ભાગીદારી મળશે?

Thursday, February 9, 2012

નરેન્દ્ર મોદીનો યુદ્ધવિરામ: VHP સાથે નાતો તોડી શક્તા નથી


ceasefire of narendra modi with vhp can't break relation with hindu organisation

લાગે છે કે 12મી ફેબ્રુઆરીએ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીના સદભાવના મિશનના ઉપવાસ પુરા થશે, પરંતુ તેમનું મિશન સદભાવના ચાલુ રહેશે. 17 સપ્ટેમ્બર, 2011થી શરૂ થયેલા સદભાવના ઉપવાસ 12 ફેબ્રુઆરી, 2012 સુધી મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાનું મિશન છે. પરંતુ ગુજરાત વિધાનસભાની 2012ના આખરમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી સંઘ પરિવાર અને ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદ સાથે સદભાવના મિશનની શરૂઆત કરશે.

ગુજરાત સરકારે સંઘ પરિવાર અને ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદના દબાણ તળે ગુજરાત પબ્લિક એક્ટ ટ્રસ્ટને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ એક્ટને પાછો ખેંચવા માટે વિધાનસભામાં નવું બિલ લાવવામાં આવશે. સરકારનો દાવો છે કે સાધુ-સંતો અને ધાર્મિક સંગઠનો સાથે ચર્ચા કરીને નવેસરથી કાયદો લાવવામાં આવશે. 23 ફેબ્રુઆરીથી શરૂ થતાં બજેટ સત્રમાં ગુજરાત સરકાર પબ્લિક એક્ટનું નવું બિલ રજૂ કરશે.

ગુજરાતના 1.69 લાખ ધાર્મિક-સામાજિક ટ્રસ્ટો અને એનજીઓને અસર કરતાં ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા, વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયા, સામાજિક કાર્યકર્તા મલ્લિકા સારાભાઈ અને દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી સહીત રાજ્યના સાધુ-સંતોએ એકસૂરમાં વિરોધ કર્યો હતો. સાધુ-સંતોએ પહેલી માર્ચે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને રદ્દ કરવાની માગણી સાથે ગુજરાત વિધાનસભા સામે ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત દ્વારા યોજાયેલી માર્ગદર્શક મંડળની બેઠકમાં સામેલ સંતોએ એકસૂરમાં ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને વખોડીને તેને સંપૂર્ણપણે પાછો ખેંચવાની માગણી કરી હતી. આ સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નેતાગીરી સામે પણ રજૂઆતો કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવા વખતે હિંદુત્વનો ગઢ ગણાતા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાધુ-સંતોને નારાજ કરી શકે તેવી સ્થિતિમાં નથી. સાધુ-સંતો પર વિશ્વ હિંદુ પરિષદનું ઘણું મોટું પ્રભુત્વ છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી સુષુપ્ત અવસ્થામાં આવી ગયેલી વિશ્વ હિંદુ પરિષદ સાધુ-સંતોના માધ્યમથી મોદી સરકાર સામે સક્રિય થાય તો વિધાનસભાની ચૂંટણીમાં મતોના નુકસાનથી કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડે તેવી સ્થિતિના નિર્માણને નકારી શકાય તેમ નથી. આથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હિંદુ પરિષદના દબાણ સામે ઝૂકીને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને સંપૂર્ણપણે પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

આ પહેલા મોકો નથી કે જ્યારે એક વખતના વિશ્વ હિંદુ પરિષદના માનીતા નરેન્દ્ર મોદીને હિંદુ સંગઠન સામે ઝૂકવુ પડયુ છે. આ પહેલા ગોહત્યાના મુદ્દે માલધારી સમાજ દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજને કોંગ્રેસ અને વિશ્વ હિંદુ પરિષદે પોતપોતાની રીતે ટેકો આપ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ ગોહત્યાના મામલે મોદી સરકાર સામે બે-બે હાથ કરવાના મૂડમાં હતી. વીએચપીએ ગોહત્યા અટકાવવાની માગણી સાથે અને ગોહત્યા પ્રતિબંધક કાયદાને કડક બનાવીને તેનો કડકાઈથી અમલ કરવાનો ઠરાવ પણ માર્ગદર્શક સમિતિની બેઠકમાં પારીત કર્યો હતો. ગુજરાત હિંદુત્વને લગતા મુદ્દાઓ સંદર્ભે વધારે સંવેદનશીલ છે. તેને કારણે ગોહત્યાના મુદ્દાને વધારે ચગતો જોઈને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તાત્કાલિક ગોહત્યા પ્રતિબંધક કાયદાને કડક બનાવવાની અને ગોહત્યાના ગુના સામે કડક પગલા લેવાની ફરજ પડી છે. ગુજરાત સરકારે કરેલી જોગવાઈ પ્રમાણે, ગોહત્યા માટે મહત્તમ સાત વર્ષની સજા અને પકડાયેલા વાહનની હરાજી કરવા સુધીની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. મોદી સામેના જ્ઞાનતંતુના યુદ્ધમાં તાજેતરમાં વીએચપીની આ પહેલી જીત હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક સદભાવના મિશન સંમેલનમાં આખા ભારતમાં ગોહત્યા પ્રતિબંધની નરેન્દ્ર મોદીએ તરફેણ પણ કરી છે. જો કે તેની પાછળનો હેતુ ગોહત્યાના મુદ્દાના ઉછળવાને કારણે પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટેનો જ છે.

વિશ્વ હિંદુ પરિષદ અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં ઉતાર-ચઢાવના ઘણાં કિસ્સા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યમાંથી બહાર ભાજપની જવાબદારી સંભાળી રહ્યા હતા, ત્યારે તેઓ વિશ્વ હિંદુ પરિષદના એકજૂથ સાથે સંપર્કમાં હતા. 2001ના ભૂકંપ બાદ રાજ્યની પેટાચૂંટણીમાં કેશુભાઈના નેતૃત્વમાં થયેલા પાર્ટીના ઉતરતા દેખાવને કારણે મુખ્યમંત્રી બદલવાની રજૂઆતો ભાજપ, સંઘ અને વીએચપીમાં તમામ સ્તરે થઈ હતી. તેમા વીએચપી તરફથી મોદીનું સમર્થન કરતા જૂથે આરએસએસના તત્કાલિન સરકાર્યવાહ એચ. વી. શેષાદ્રિને રજૂઆત કરી હતી. આ રજૂઆતે અડવાણી જૂથના ગણાતા નરેન્દ્ર મોદીને ગુજરાતની ગાદી પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી સૌથી પહેલા અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્ર વણીકરભવન ખાતે ગયા હતા. 2002ની કમનસીબ ઘટનાઓમાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિશ્વ હિંદુ પરિષદ ખૂબ દ્રઢતાથી ઉભી રહી હતી. 2002માં ગૌરવયાત્રા અને ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં આગળ વધી રહેલા ભાજપને જીતાડવામાં પણ વીએચપીની ભૂમિકા ઘણી મોટી હતી. વળી 2002ની ઘટનાઓ વખતે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદેથી ખસેડવાની કોઈપણ પ્રકારની વાતનો વીએચપીના તત્કાલિન આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ આકરો વિરોધ કર્યો હતો. પરંતુ 2002ની ચૂંટણીમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદી અને વીએચપીના સંબંધોમાં મુશ્કેલીઓ શરૂ થઈ.

2004માં ભાજપના કેશુભાઈ પટેલ જૂથના ગોરધન ઝડફિયા સહીતના પટેલ નેતાઓને વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયા તરફથી આપવામાં આવેલા સમર્થને નરેન્દ્ર મોદીના દિલમાં અણગમો પેદા કર્યો. જેના કારણે વીએચપીની પાંખો કાપવા માટે તેમણે સંઘ પરિવારના નેતૃત્વમાં બાજી ગોઠવવાની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીના કથિત ઈશારે વીએચપીના ફંડને અટકાવી દેવાનો કથિત કારસો રચાયો. જેના કારણે તોગડિયા અને મોદી વચ્ચેની ખટાશ વધી. 2007ની ચૂંટણીમાં કડવાશ એટલી હદે વધી કે 2002માં મોદીને સત્તાસ્થાને પહોંચાડનારી વિશ્વ હિંદુ પરિષદની કેડર 2007ની ચૂંટણીમાં મોદી વિરોધીઓ તરીકે સામે આવી. વિધાનસભાની ચૂંટણીમાં વીએચપીએ મોદીનો ખુલ્લો વિરોધ કર્યો. એક તબક્કે પ્રવીણ તોગડિયાએ મોદી સરકારને હિંદુ તરફી સરકાર ગણવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. જો કે તમામ વિરોધો છતાં મોદી ફરીથી સત્તા પર આવ્યા.

ત્યાર બાદ મોદીની કથિત બદનક્ષી કરતા એસએમએસના મામલામાં વીએચપીના નેતા અશ્વિન પટેલની ધરપકડ કરવામાં આવી. વીએચપીના અન્ય નેતાઓ સામે મોદી સરકારે સમન્સ કાઢયા. જેના કારણે મોદી અને વીએચપી વચ્ચેની ખટાશ ચરમસીમાએ પહોંચી ગઈ. તેમા નરેન્દ્ર મોદીએ રસ્તામાં આવતા ધર્મસ્થાનોને હટાવવાની મુહિમ હેઠળ ગાંધીનગર ખાતે 200થી વધારે મંદિરોને ધ્વસ્ત કર્યા. જેના પગલે વીએચપી-ગુજરાત અને મોદી વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની. જેને ધ્યાનમાં રાખીને વીએચપીના તત્કાલિન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલને ગાંધીનગર દોડી આવવું પડયું હતું. અશોક સિંઘલે તે વખતે નિવેદન કર્યુ હતુ કે મંદિરો તોડવાનું કામ ગઝનવીનું છે. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગઝનવી સાથે સરખાવીને બીજા દિવસે પોતાનું નિવેદન ફેરવીને તોળ્યું હતું. જો કે ત્યારબાદ અશોક સિંઘલની મધ્યસ્થતા નીચે વીએચપી-ગુજરાતના દબાણ હેઠળ મોદી સરકારે મંદિરો ધ્વસ્ત કરવાની મુહિમ મોકૂફ રાખી હતી.

વીએચપી અને મોદી વચ્ચેના યુદ્ધવિરામ છતાં બંને વચ્ચે તનાતની ચાલુ રહી. છેલ્લે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત પદે દિલીપદાસજી મહારાજ આવ્યા ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં વીએચપી નેતા પ્રવીણ તોગડિયા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એકબીજાને અવગણ્યા હતા. મુખ્યમંત્રી મોદી આવ્યા ત્યારે પ્રવીણ તોગડિયા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સાથે વાતો કરી રહ્યા હતા અને પછી કાર્યક્રમમાંથી ચાલ્યા ગયા હતા. તો બીજી તરફ ગુજરાત સરકારના માહિતીખાતાની પ્રેસનોટમાં કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓના નામમાં તોગડિયાનું નામ લખવામાં આવ્યું ન હતું.

ગુજરાતમાં હિંદુત્વ ફેલવવા અને તેને મૂળિયા સુધી લઈ જવામાં વિશ્વ હિંદુ પરિષદનો મોટો ફાળો છે. 1989ના રામજન્મભૂમિ આંદોલનથી 2002ના રમખાણોના ગાળા સુધી વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત સહીત દેશભરમાં એક શક્તિશાળી સંગઠન તરીકે લેખાતી હતી. આજે ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ સુષુપ્ત અવસ્થામાં છે. પરંતુ હિંદુત્વના મુદ્દે પરિષદ ફરીથી સક્રિય થાય, તો તેવી સ્થિતિમાં હિંદુત્વના પોસ્ટરબોય તરીકે માન્યતા પ્રાપ્ત મોદી માટે મુશ્કેલીઓની સ્થિતિ જાણકારો નકારતા નથી.

જો કે બીજી એ પણ હકીકત છે કે વિશ્વ હિંદુ પરિષદ ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષને ટેકો આપે તેવી સ્થિતિ પણ નથી. કારણ કે સંઘ પરિવારમાં માત્ર ભાજપને જ તેમની રાજકીય પાંખ તરીકેની માન્યતા મળી છે. પ્રખર હિંદુત્વવાદી નીતિઓને કારણે કોંગ્રેસને પણ ટેકો આપી શકે તેમ નથી. છતાં રાજકીય મંચ પર વિકલ્પ ઉભો કરવાની વાત વીએચપી વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. પરંતુ આ વાત પર આરએસએસના સરસંઘચાલકે પુર્ણવિરામ લગાવતા અમદાવાદ ખાતેના એક સેમિનાર ‘હિંદુત્વ ઈન પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ’ માં કહ્યુ હતુ કે તેઓ ભાજપને ઠીક કરશે. ત્યારે મોદી ન હોય તેવા રાજકીય મંચની તલાશ કરતા વીએચપીના પ્રભાવી જૂથ માટે અત્યારે સુષુપ્ત રહેવાનો જ સમય છે. તેથી તો મોદીના સદભાવના મિશનના ઉપવાસમાં આરએસએસના ગુજરાત રાજ્યના તત્કાલિન પ્રાંત સંઘચાલક ડૉ. અમૃતભાઈ કડીવાલા અને પ્રાંત પ્રચારક પ્રવિણ ઓતિયા મોદીને શુભકામના આપવા ગયા હતા. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ સમગ્ર સદભાવના મિશનથી અળગી રહી છે. જો કે તેમણે 2007ની જેમ મોદીનો વિરોધ કર્યો નથી અને સાધુ-સંતો પર પ્રભાવ છતા તેમને સદભાવના મિશનમાં જતા રોક્યા નથી.

ત્યારે સદભાવનાનું રાજકારણ ખેલી રહેલા મોદી હિંદુત્વના મુદ્દા પર કોઈ ભૂલ કરીને વિશ્વ હિંદુ પરિષદને ફરીથી પ્રભાવી બનવા સુધીની સક્રિયતા તરફ દોરી જવાની કોઈ તક આપે તેવી સંભાવના નથી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2012ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો પર વિજય મેળવવો છે. ત્યારે તેના માટે તેમને સંઘ પરિવારના સંગઠનોની મદદ જરૂરી બને છે. નરેન્દ્ર મોદીએ મંદિરો હટાવવાની મુહિમ રોકવી, ગોહત્યાના મુદ્દા પર કડક કાયદાકીય જોગવાઈ દાખલ કરવી અને છેલ્લે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને સંપૂર્ણપણે રદ્દ કરીને નવો કાયદો લાવવા માટે મજબૂર થવું પડયું તે પણ આવી રાજકીય મજબૂરી અને વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે.

જો કે વીએચપીના કેન્દ્રીય અને પ્રાંત સ્તરના માળખામાં તાજેતરમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્તરે અશોક સિંઘલના સ્થાને હૈદરાબાદના મિઠાઈના વેપારી રાઘવ રેડ્ડીને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે અને પ્રવીણ તોગડિયાના સ્થાને ચંપતરાયને મહામંત્રી બનાવાયા છે. જ્યારે પ્રવીણ તોગડિયાને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો છે. જેના કારણે એક સંકેત એ સ્પષ્ટ છે કે વીએચપી પણ મોદી સાથે સંબંધો સુધારવા માટે અન્ય નેતાઓને આગળ કરીને વિકલ્પો ઉભાં કરી રહી છે. મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં આવવાની શક્યતાઓ વચ્ચે વીએચપી દ્વારા તોગડિયાને આંતરરાષ્ટ્રીય મહામંત્રીના પદેથી હટાવીને સંગઠનની બાબત ચંપતરાયને સોંપવાની વાતને જાણકારો અલગ રીતે જોઈ રહ્યા છે. ત્યારે મોદીએ પણ વીએચપીના દબાણ સામે નમીને ગુજરાત પબ્લિક એક્ટ પાછો ખેંચીને યુદ્ધવિરામના સંકેતો આપી રહ્યા છે.

2014 PM: 85 (અડવાણી)-61 (મોદી) V/S 41 (રાહુલ)- 40 (પ્રિયંકા)


pm canditates for 2014 election advani-modi vs. rahul-priyanka gandhi

2014ની લોકસભાની ચૂંટણીને હજી 2 વર્ષ જેટલો સમય બાકી છે. પરંતુ દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે, તેની ચર્ચા દેશ-દુનિયામાં ચાલી રહી છે. અમેરિકાની એક સરકારી એજન્સીના રિપોર્ટ પ્રમાણે, 2014નો જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો બનશે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીના સુશાસન-વિકાસની સાથે સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સુશાસન અને વિકાસના પણ વખાણ કરવામાં આવ્યા છે.

પરંતુ વડાપ્રધાન બને તેવા ‘મુરતિયાં’ની ભારતમાં કોઈ કમી નથી. ભારતમાં વડાપ્રધાન બનવું ઘણી વખત સંજોગોની વાત પણ બની જાય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે તત્કાલિન મોટાભાગની કોંગ્રેસ સમિતિઓએ સરદાર પટેલ પર પસંદગી ઉતારી હતી, પરંતુ મહાત્મા ગાંધીના કહેવાથી સરદાર પટેલે જવાહરલાલ નેહરુની તરફેણમાં પોતાની દાવેદારી જતી કરી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 40 વર્ષના રાજીવ ગાંધી વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા. પોતાની રાજકીય કારકિર્દી અસ્તાંચળે હતી, ત્યારે નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. દેવેગૌડાને પ્રાંતિય સ્તરના નેતા ગણવામાં આવતા હતા અને તેઓ જોડતોડના રાજકારણમાં દેશના વડાપ્રધાન બની ગયા. મનમોહન સિંહ પણ વડાપ્રધાનની દોડમાં ક્યાંય સામેલ ન હતા. પરંતુ સોનિયા ગાંધીને પોતાના ‘ત્યાગ’ બાદ દેશ માટે એક સીઈઓની જરૂર હતી અને 72 વર્ષના મનમોહન સિંહને વડાપ્રધાન બનાવી દેવાયા.

અત્યારે પણ દેશમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાસે મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહીતના બે ઉમેદવારો ઉપલબ્ધ છે. જો કે કોંગ્રેસના અમુક લોબિસ્ટો પ્રિયંકા ગાંધી વાઢેરાને પણ વડાપ્રધાનની દોડમાં આગળ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. શરૂઆતમાં રાજકારણમાં જોડાવાનો સ્પષ્ટ નનૈયો ભણાનારા પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં યૂપી ચૂંટણી પ્રચારમાં સંકેતો આપ્યા છે કે જરૂરત પડશે તો તેઓ પણ રાજકારણમાં આવી શકે છે. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાએ કહ્યુ છે કે હાલ સમય રાહુલ ગાંધીનો છે, પ્રિયંકાનો પણ સમય આવશે. એટલે કોંગ્રેસ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ત્રીજું નામ પણ બિનઆધિકારીક રીતે ઉમેરાય જાય છે, પ્રિયંકા ગાંધીનું! આમ પણ કોંગ્રેસીઓ અને જનતાને પ્રિયંકા ગાંધીમાં દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની છાંટ દેખાય છે. આજે પણ ઈન્દિરા ગાંધી દેશના મજબૂત નેતૃત્વનો બિનહરીફ માઈલસ્ટોન છે. ઈન્દિરા ગાંધીએ મજબૂત નેતૃત્વના સેટ કરેલા માપદંડોને આજે પણ જનતા સ્વીકારી રહી છે.

પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ દ્વારા આપવામાં આવેલા સંકેતો પ્રમાણે, તેઓ રાજકારણમાં ઝુકાવશે. જો પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશ કરશે, તો તેઓ કોઈ નાના પ્રધાનપદ પર આસિન થવા માટે પ્રવેશ નહીં જ કરે. તેમના માટે દેશના શીર્ષસ્થ સ્થાન ખાલી કરી દેવામાં આવશે. પરંતુ હાલ ખરેખર સમય રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીના નેતૃત્વને કોંગ્રેસમાં તાર્કિક રીતે પ્રસ્થાપિત કરવા માટે પાર્ટીની ટોપ બ્રાસ પ્રયત્ન કરી રહી છે.

દિવંગત કોંગ્રેસી નેતા અર્જૂન સિંહે સૌ પ્રથમ વખત દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. ત્યાર બાદ દિગ્વિજય સિંહ, બેનીપ્રસાદ વર્મા, રીટા બહુગુણા જોશીથી માંડીને કોંગ્રેસના નાના-મોટા નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે જોવા માટે ઉતાવળા બની ગયા છે. ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે પણ રાહુલ ગાંધી માટે પદ ખાલી કરી દેવાની તૈયારી દેખાડતું નિવેદન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ કોંગ્રેસની નેતાગીરી અને ખુદ સોનિયા ગાંધી ચાહે છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ કોંગ્રેસની અંદર વંશપરંપરાગતની જગ્યાએ તાર્કિક બને. તેને કારણે પહેલા બિહારની ચૂંટણી અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશની ચૂંટણીની જવાબદારી રાહુલ ગાંધીના સિરે નાખવામાં આવી છે.

બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 4 બેઠકો જ મળી. પરંતુ આશા કરવામાં આવે છે કે યૂપીમાં કોંગ્રેસ આ વખતે સારો દેખાવ કરશે. યૂપીમાં કોંગ્રેસના દેખાવ પર રાહુલ ગાંધીનું આગામી રાજકીય ભવિષ્ય જોડાયેલું છે. જો રાહુલ ગાંધી પોતાના નેતૃત્વની તાર્કિકતા જનતામાં વિજય સાથે સાબિત કરી નહીં શકે તો બની શકે કે બે ટર્મ મનમોહન સિંહ બાદ આગામી ચૂંટણી બાદ જીત મળે તો પ્રણવ મુખર્જી જેવા નેતાનો પણ વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વિચાર કરે.

સામે પક્ષે ભાજપમાં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવાના મુદ્દે રમખાણ મચી ગયું છે. ગત લોકસભા ચૂંટણીમાં એલ. કે. અડવાણીને એનડીએ તરફથી વડપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે 2009ની ચૂંટણીના લગભગ દોઢ વર્ષ પહેલા એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક સપ્તાહ પહેલા જ એનડીએએ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે અડવાણીના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત ઘણી સૂચક હતી. જો કે 2009ની વાઈબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, સુનિલ મિત્તલ સહીતના ઉદ્યોગપતિઓએ દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને આગળ કર્યું હતું.

વિશ્લેષકોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન તરીકે બિનઆધિકારીક રીતે ઉદ્યોગપતિઓના માધ્યમથી આગળ કરવામાં આવેલું નામ મતદારો માટે ગુંચવાડામાં નાખનારું હતું. તેના કારણે ભાજપને રાજકીય નુકસાન પણ ઉઠાવવું પડયું છે.

જો કે ત્યાર બાદ સંઘના દોરીસંચારથી અડવાણીની ભાજપમાં પાંખો કાપી નાખવામાં આવી. હવે સંઘના ફરમાન પ્રમાણે, અડવાણી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં નથી. પરંતુ ભાજપનું એક ચોક્કસ જૂથ હજી પણ અડવાણીમાં વડાપ્રધાન બનાવાની સંભવાના તેમના 85 વર્ષની જૈફવયે પણ જોઈ રહ્યું છે. તો બીજી તરફ 61 વર્ષના મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે ભાજપમાં એક જૂથ સક્રિય થયું છે. તાજેતરમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ ટેલિવિઝન ચેનલની મુલાકાતમાં કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષ બંને બનવાની અસાધારણ ક્ષમતા છે. જો કે બાદમાં તેમણે પોતાના નિવેદન સંદર્ભે એમ પણ કહ્યુ હતુ કે આ પાર્ટીનો મત નથી, પાર્ટી સાથે મળીને યોગ્ય સમયે વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરશે. આમ જોવો તો નરેન્દ્ર મોદી પીએમ મટિરિયલ હોવાની વાત ભાજપના એકાદ અપવાદરૂપ નેતાને બાદ કરતાં બધાં જ કરી રહ્યા છે, પરંતુ તેઓ જ માત્ર પાર્ટીના વડાપ્રધાન પદના નેતા હોવા જોઈએ તેવું ભાજપના કોઈ નેતા કહી રહ્યા નથી. બધાં આ વાત પર છટકી જવાનો પ્રયત્ન વધારે કરે છે.

ભાજપની અંદર લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી પણ વડાપ્રધાન પદની રેસમાં સામેલ છે. આ સિવાય ક્યારેક નીતિન ગડકરી અને રાજનાથ સિંહ સહીત અન્ય નામો પણ ઉછળતા રહ્યા છે. જો કે બંનેએ પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો છે. તો વળી જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં ‘ડાર્ક હોર્સ’ ગણવામાં આવી રહ્યા છે. પરંતુ તે ત્યારે જ શક્ય બને કે એનડીએમાં ભાજપનું સ્થાન નબળું બને અને 2014માં જેડીયૂનો દેખાવ ધાર્યા કરતા વધારે સારો થાય.

ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ માટે ઘણી મહેનતની કવાયત થઈ પડશે. જો કે રાહુલ ગાંધી પોતાની નેતાગીરીને જનતામાં તાર્કિક રીતે સાબિત કરી શકશે, તો કોંગ્રેસમાં 2014ની ચૂંટણી માટે 42 વર્ષના રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકશે. પ્રિયંકા ગાંધીએ પણ રાજકારણમાં આવવાના સંકેતો આપી દીધા છે, ત્યારે 40 વર્ષના પ્રિયંકા ગાંધી પણ સંજોગો ઉભા થશે તો વડાપ્રધાનની રેસમાં આગળ આવી જશે.

તો સામે પક્ષે ભાજપમાં 85 વર્ષના અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બહાર હાંકી કાઢયા છે, પરંતુ એનડીએમાં સ્વીકૃત નેતાગીરીની વાત આવશે ત્યારે તેમના નામનો વિચાર થવાની શક્યતા જાણકારો નકારતા નથી. તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ઘોડો પણ વિનમાં છે. અનિલ અંબાણીએ ધીરુભાઈ અંબાણીની વાતને ટાંકીને નરેન્દ્ર મોદીને લાંબી રેસનો ઘોડો કહ્યા છે. ત્યારે 61 વર્ષના મોદી પણ વડાપ્રધાન પદના ભાજપ તરફથી ઉમેદવાર બની શકશે. આવી સ્થિતિમાં મુકાબલો રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ અડવાણી-મોદીનો રહેશે.

જો કે હાલ વાત યુવા નેતૃત્વની થઈ રહી છે, ત્યારે 85 વર્ષના અડવાણી કરતાં 61 વર્ષના મોદી યુવાન છે. અને તે બંને કરતાં 40-42 વર્ષની ઉંમર ધરાવતા પ્રિયંકા અને રાહુલ ગાંધી વધારે યુવાન છે. 2014માં મતદારો જણાવશે કે દેશનું નેતૃત્વ ક્યાં યુવાન નેતાના હાથમાં જાય?

Monday, February 6, 2012

યૂપીના મહાભારતમાં રાહુલ-પ્રિયંકા, 2014માં તાજપોશી માટેની નેટ પ્રેક્ટિસ!


pm candidates of congress will be young now

તાજેતરમાં ભારતીય રાજકારણમાં યુવા નેતૃત્વની ભારે ચર્ચા છે. કોંગ્રેસ હોય કે ભાજપ પરંતુ તેઓ નેતાગીરીમાં યુવાનોની વાત કરી રહ્યા છે. કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારના ફરજંદ રાહુલ ગાંધી હાલ 42 વર્ષના છે અને કોંગ્રેસની તમામ મશીનરી રાહુલ ગાંધીને તેમના વંશ સિવાય તાર્કિક રીતે પક્ષમાં પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે.

રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં આગળ પડતો ભાગ લીધો છે અને સાથે સક્રિય રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી છે. બિહાર વિધાનસભામાં કોંગ્રેસના રકાસ બાદ રાહુલ ગાંધીની આકરી ટીકા થઈ હતી. પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી યૂપીમાં પણ કોંગ્રેસની આગેવાની લઈ રહ્યા છે. યૂપીમાં કોંગ્રેસના સારા દેખાવનો યશ-અપયશ રાહુલ ગાંધીના માથે ઓઢાડવામાં આવશે. જો યૂપીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના કોંગ્રેસી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે તેવી વાત પણ ખૂબ પ્રચલિત બની છે.

તાજેતરમાં ચૂંટણી પ્રચારમાં ઉતરેલા પ્રિયંકા ગાંધી અને તેમના પતિના નિવેદનો પણ દર્શાવી રહ્યા છે કે કોંગ્રેસનું સમગ્ર ધ્યાન રાહુલ ગાંધીની નેતાગીરીને તાર્કિક બનાવવા પર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તેમને જરૂર લાગશે, તો તેઓ રાજકારણમાં આવશે. એટલે કે તેનો ગર્ભિત અર્થ એવો તો નથી ને- કે રાહુલ ગાંધી પોતાની નેતાગીરીની તાર્કિકતા જનતામાં સાબિત કરવામાં નિષ્ફળ જશે તો તેઓ રાજકારણમાં આવશે.

તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે તેઓ વરસાદી દેડકી જ છે અને ચૂંટણી સમયે જ બહાર આવે છે. પરંતુ તેમણે રાજકારણમાં જોડાવાના સંકેત આપતા કહ્યુ કે તેમને જ્યારે જરૂર લાગશે ત્યારે તેઓ રાજકારણમાં આવશે. તેમણે કહ્યુ કે તમે પહેલા રાજનાથજી અને માયાવતીને પુછી આવો કે શું તેઓ રાજકારણમાં આવે? તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે રાજકારણમાં આવશે, ત્યારે તમને આપોઆપ ખબર પડી જશે.

રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાઢેરાએ કહ્યુ છે કે અત્યારે રાહુલ ગાંધીનો સમય છે, પ્રિયંકાનો સમય પણ આવશે. તેમણે ખુદ પણ રાજકારણમાં ઉતરવાની ગર્ભિત ઈચ્છા સ્પષ્ટપણે વ્યક્ત કરતા કહ્યુ છે કે તેમને લાગશે કે તેઓ પરિવર્તન કરી શકશે તેવું લાગશે અને જનતા ઈચ્છશે ત્યારે તેઓ રાજકારણમાં ઉતરશે.

યુવાનો દેશની દશા અને દિશા બદલતા હોય છે. ભારતની આઝાદીની લડાઈથી માંડીને દુનિયાની મોટામાં મોટી ક્રાંતિ તેની સાક્ષી છે કે યુવાનો વગર કોઈ પરિવર્તન ક્યાંય પણ શક્ય નથી. યુવાનોની તકદીર દેશની તકદીર હોય છે. જ્યારે યુવાનોનું ભાગ્ય બદલાય છે, ત્યારે દેશનું ભાગ્ય પણ આપોઆપ બદલાય જાય છે.

પરંતુ ભારતમાં રાજીવ ગાંધી સિવાય કોઈ યુવા અવસ્થામાં વડાપ્રધાન બની શક્યું હોય તેવું શક્ય બન્યું નથી. ભારતમાં રાજકારણને ઢળતી ઉંમરનો ખેલ ગણવામાં આવી રહ્યો છે. કબરમાં પગ લટકતા હોય અથવા તો ઘૂંટણ બરોબર કામ કરતાં ન હોય તેવા વખતે દેશના વડાપ્રધાન બની જવાના કિસ્સા ભારતમાં સામાન્ય છે.

ભારતમાં 50ના નેતાને યુવાન કહેવામાં આવે છે, ત્યારે 40થી 45 વર્ષની ઉંમરના નેતાઓ વિશ્વના મહાસત્તા તરીકે પ્રસ્થાપિત દેશોના સુકાન સંભાળે છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુનની ઉંમર 43 વર્ષ છે, બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ 45થી ઓછી ઉંમર ધરાવતા હતા. બિલ ક્લિન્ટન પણ ઓછી ઉંમર ધરાવતા હતા. રશિયાના વ્લાદિમીર પુતિન પણ બોરિસ યેલસ્તિન પાસેથી સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે યુવાન હતા.

પરંતુ ભારતમાં સ્થિતિ તદ્દન ઉલ્ટી છે. ભારતમાં જવાહરલાલ નેહરુ 58 વર્ષે, ગુલઝારીલાલ નંદા 66 વર્ષે, લાલબહાદૂર શાસ્ત્રી 60 વર્ષે, ઈન્દિરા ગાંધી 49 વર્ષે, મોરારજી દેસાઈ 81 વર્ષે, ચરણસિંહ 77 વર્ષે, રાજીવ ગાંધી માત્ર 40 વર્ષે, વી. પી. સિંહ 58 વર્ષે, ચંદ્રશેખર 72 વર્ષે, નરસિંહરાવ 70 વર્ષે, વાજપેયી 72 વર્ષે, દેવેગૌડા 63 વર્ષે, આઈ. કે. ગુજરાલ 78 વર્ષે અને મનમોહન સિંહ 72 વર્ષે વડાપ્રધાન બન્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું અને યુવાનીમાં સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવનારા સરેરાશ નેતાઓ 60 વર્ષથી ઉપરના હતા. જેના કારણે વર્ષો સુધી ભારતમાં વયોવૃદ્ધ નેતાઓનું રાજનીતિમાં ભારે વર્ચસ્વ રહેલું છે.

પરંતુ ઉપરોક્ત આંકડા પરથી એક આંખ ઉડીને આંખે વળગે છે કે જવાહરલાલ નેહરુ 58 વર્ષે, ઈન્દિરા ગાંધી 49 વર્ષે અને રાજીવ ગાંધી માત્ર 40 વર્ષે વડાપ્રધાન બન્યા હતા. આમા એક વાત સામાન્ય છે કે જવાહરલાલ નેહરુ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમની ઉંમર ચાલીસ વર્ષની હતી. તેમને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસમાં યુવાનોની વાત અને યુવા નેતૃત્વની વાત કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીને પણ રાજકારણમાં પ્રસ્થાપિત કરવા માટે યુવા નેતૃત્વની વાત કરીને મોરારજી દેસાઈ અને કામરાજ જેવા જૈફ વયના રાજકારણીઓને સર્વોચ્ચ નેતૃત્વ લેવાથી દૂર રાખવામાં આવ્યા હતા.

ઈન્દિરા ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ હત્યા બાદ કોંગ્રેસના નેતૃત્વે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવી દીધા હતા. તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 40 વર્ષની હતી. રાજીવ ગાંધીના સમયગાળામાં પણ દેશમાં યુવાનોને રાજકારણમાં આગળ આવવાની વાત ફરીથી ઉછળી હતી. રાજીવ ગાંધીએ 18 વર્ષની વયના વ્યક્તિને મતાધિકાર આપીને યુવાકાર્ડ ખેલ્યું હતું.

હાલ યુવાનોના નેતૃત્વની વાત કરનારી કોંગ્રેસે રાજીવ ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં 70 વર્ષના નરસિંહરાવને વડાપ્રધાન બનાવ્યા હતા. તો 2004ની ચૂંટણી બાદ સોનિયા ગાંધીના વડાપ્રધાન પદના ત્યાગના એપિસોડ બાદ 72 વર્ષના ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે શું આ બંને પ્રસંગે કોંગ્રેસ પાસે યુવા નેતૃત્વનો કોઈ વિકલ્પ હતો નહીં? અથવા કોંગ્રેસમાં યુવા નેતૃત્વના વિકલ્પ માત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વઢેરા જ છે.

દેશની 15 લોકસભામાં 2009માં ચૂંટાયેલા 79 સાંસદો 40 વર્ષથી નીચેની ઉંમરના હતા. માત્ર 36 સાંસદો 70 વર્ષ કે તેથી ઉપરની ઉંમરના હતા. હાલની લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર 53.30 વર્ષ છે. રાહુલ ગાંધી હાલ 42 વર્ષના છે અને પ્રિયંકા ગાંધી 40 વર્ષના છે.

ભારતમાં છેલ્લા એક દશકાથી દેશમાં યુવા નેતૃત્વની વાત થઈ રહી છે. આરએસએસના તત્કાલિન સરસંઘચાલક કે. એસ. સુદર્શને અટલ-અડવાણીના જૈફ નેતૃત્વ પર ગાળિયો કસવા યુવાનોના હાથમાં નેતૃત્વ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ ખુદ તેમણે સરસંઘચાલક પદ છોડીને મોહન ભાગવતને સરસંઘચાલક પદ આપ્યું હતું. યુવા નેતૃત્વની વાતથી 86 વર્ષના અડવાણીના વડાપ્રધાન પદે આસિન થવાની આશાઓ બિલકુલ ઝાંખી થઈ છે. તો કોંગ્રેસમાં યુવા નેતૃત્વની લહેરે યુવા કોંગ્રેસ અને યૂથ કોંગ્રેસના રાહુલ ગાંધીના રાજકારણથી પોતાને પક્ષના નેતૃત્વ પર જનતાની નજરમાં તાર્કિક રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

હાલના પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાઢેરાના નિવેદનો પરથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે તેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે પહોંચાડવા માટેના તમામ રસ્તા મોકળા રાખ્યા છે. તેમના તરફથી હાલ કોઈ વિકલ્પ કોંગ્રસીઓ માટે ઉપલબ્ધ નથી. જો કે ભવિષ્યમાં તેઓ વિકલ્પ બની શકે તેવું પણ તેમના નિવેદનો પરથી પ્રતિપાદિત થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કરતાં પણ ઈન્દિરા ગાંધીના પડછાયા સમા પ્રિયંકા ગાંધી વાઢેરાને વધારે ક્રાઉડ પુલર માનવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બનવાની પોતાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમનો ઉદેશ્ય વડાપ્રધાન બનવાનો નથી. તેઓ યૂપીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે.

પરંતુ અત્યારે તમામ કોંગ્રેસી મશીનરી યૂપીમાં જીત હાસિલ કરીને રાહુલ ગાંધીને રાજકારણમાં પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે. પરંતુ ભારતનું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય પણ 60થી નીચેની ઉંમરે વી. પી. સિંહના અપવાદને બાદ કરતાં માત્ર નેહરુ-ગાંધી પરિવારના વ્યક્તિઓ જ વડાપ્રધાન બની શકે છે. તેમા રાહુલ ગાંધી માટે પણ યૂપીમાં કોંગ્રેસના સારા દેખાવ સાથે વડાપ્રધાન બનવા માટેના દરવાજા તાર્કિક રીતે ખુલ્લા થઈ જશે.

Saturday, February 4, 2012

સદભાવના મિશન એટલે મોદીનો ગુજરાતમાં પ્રિપોલ સર્વે


sadbhavna mission is modi's prepole servey in gujarat

ગુજરાતમાં સદભાવના મિશન થકી નરેન્દ્ર મોદી નવા રાજકીય પ્રયોગો કરી રહ્યા છે. આના દ્વારા પ્રજાનો મૂડ જાણવા માટે કોઈ પ્રિપોલ સર્વે થઈ રહ્યો હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મોદીના સદભાવના મિશનમાં વિરોધીઓને પડકાર ઝીલવા આહ્વવાન અને પોતાની રાષ્ટ્રીય છબી વધુ ચમકાવાની વ્યૂહરચના પણ સામેલ છે. મોદી દરેક સદભાવના કાર્યક્રમમાં તેમની સરકાર દ્વારા થયેલા વિકાસના કાર્યોને ખૂબ પબ્લિસિટી કરી રહ્યા છે. આને રાજકીય વિશ્લેષકો 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો જીતાડવાની મોદીની વ્યૂહરચના તરીકે જોઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી દેશના એવા રાજકારણી છે કે જેમને પસંદ કરો કે નાપસંદ, પણ તેમને અવગણી શકો નહીં. આઝાદ ભારતના પ્રવર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી એવું નામ છે કે તેમને દેશ-દુનિયાના સમાજ અને રાજકારણના ચોક્કસ વર્ગમાંથી નાપસંદગીનો સામનો કરવો પડે છે. પરંતુ તેમના તરફ સદભાવના દાખવનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. જો કે 17 સપ્ટેમ્બર, 2011થી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલું સદભાવના મિશન તેના આખરી તબક્કામાં છે. 55 કલાકના સદભાવના ઉપવાસ શરૂ કરીને મોદીએ અમદાવાદ ખાતે પોતાના રાજકારણને નવી દિશા આપવાનું નક્કી કર્યું. તેમ છતાં તેઓ આ સદભાવના ઉપવાસને રાજકીય પગલું ગણાવતા નથી. ગુજરાતભરના જિલ્લા મથકો પર મોદીના સદભાવના મિશન અંતર્ગત ઉપવાસના આખરી તબક્કામાં રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.

ગુલમર્ગ કાંડના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આ મામલો અમદાવાદની સ્થાનિક કોર્ટને સોંપી દીધો છે. જેને મોદીએ પોતાને મળેલી જીત ગણીને સદભાવના મિશનનું એલાન કર્યું. જો કે આ મામલે અર્થઘટનના અલગ અભિપ્રાયો પણ પ્રવર્તી રહ્યા છે. પરંતુ અહીં તેમણે પોતાના પરના રમખાણોના ડાઘ ધોઈને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃત થવાનો મોકો ઝડપી લીધો છે. સદભાવના ઉપવાસના પ્રથમ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે અડવાણી, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ સહીતના ભાજપના મોટા ગજાના નેતાઓ ગુજરાત આવ્યા અને તેમણે ગુજરાતમાં આવીને મોદીની કુશળ પ્રશાસક તરીકેની ક્ષમતાઓના વખાણ કર્યા. અડવાણીએ પોતાના બ્લોગમાં આડકતરી રીતે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ ગણાવ્યા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ સત્કર્મ ઉપવાસની શરૂઆત કરીને મોદીના સદભાવના મિશનનો રાજકીય જવાબ આપ્યો છે.

જાણકારોનું માનીએ તો નરેન્દ્ર મોદી જેવા ચાણક્ય બુદ્ધિવાળા રાજકારણીનું કોઈપણ પગલું ગણતરી વગરનું હોઈ શકે નહીં. વળી સદભાવના મિશનનું પાસું ફેંકીને મોદીએ એક જ તીરે અનેક નિશાન પાર પાડયા છે. ગુજરાત વિધાનસભાની ટર્મ 2012માં પૂર્ણ થઈ રહી છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં ચૂંટણીઓ આવશે. 2002માં ગોધરા વેવ અને 2007માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે સોનિયા ગાંધી દ્વારા મોદીને પરોક્ષ રીતે મોતના સોદાગર ગણાવતી ટીપ્પણીએ તેમની જીતમાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ 2012ની ચૂંટણી અગાઉની બંને ચૂંટણી કરતાં ઘણી અલગ હશે. આ ચૂંટણીમાં હાલ કોઈ સંવેદનશીલ અને ભાવનાશીલ મુદ્દાઓ અસ્તિત્વમાં નથી. પરંતુ હજી પણ 2002ના રમખાણોને ગુજરાત બહાર મુદ્દો બનાવીને રાજકારણ જરૂરથી ખેલાય છે, પરંતુ રાજ્યમાં આ સ્થિતિ શક્ય નથી. જો કે રાષ્ટ્રીય રાજકારણના અલગ ગણિત હોય છે. પરંતુ મોદીએ સદભાવના મિશનથી આવા લોકોને જવાબ આપવાની નીતિ અખત્યાર કરી હોય તેવું દેખીતી રીતે લાગે છે.

પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2012ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો જીતવા માંગે છે. આ સદભાવના મિશન મોદી દ્વારા સરકારી ખર્ચે ચાલી રહેલો પ્રિપોલ સર્વે જ છે. દરેક જિલ્લા મથકે સદભાવના ઉપવાસના કાર્યક્રમ દ્વારા દરેક મહાનગર અને જિલ્લામાં પ્રજાનો મૂડ પારખવાની મોદીને તક મળે છે. આની સાથે જિલ્લા મથકોમાં સંગઠનની તાકાત જાણવાનો સીધો અવસર પણ મળે છે.

જો કે રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે મોદી સદભાવના ઉપવાસથી પોતાને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વસ્વીકૃત નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તેમની ઘાટી બનેલી હિંદુત્વના પોસ્ટરબોયની છાપ ભૂંસીને વિકાસ પુરુષની છાપને સદભાવના પુરુષમાં બદલવા માટે કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે, પરંતુ તેઓ મતોનું ધ્રુવીકરણ ઉભું કરનારા નેતા પણ ગણવામાં આવે છે. તેને કારણે તેમને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નીતિશ કુમારના દબાણ હેઠળ પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. સદભાવના મિશનમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં મંચ પર દેખાડીને મોદી પોતે મુસ્લિમોમાં વિકાસને કારણે સ્વીકૃત થયા હોવાનો સંદેશ પણ આપવા માંગે છે.

સદભાવના મિશનના શરૂઆતના તબક્કામાં મુસ્લિમોને સદભાવના સ્થળ અને મંચ પર લાવવા માટે ભાજપે ખાસ જહેમત ઉઠાવી હતી. પરંતુ હવે છેલ્લા કેટલાંક સદભાવના ઉપવાસથી મોદીએ પોતાની રણનીતિ બદલી છે. રાજકીય વિશ્લેષકનું માનીએ તો તેની પાછળનું કારણ કોંગ્રેસ દ્વારા લઘુમતીઓને ઓબીસીના 27.5 ટકાના ક્વોટામાંથી 4.5 ટકાના સબક્વોટાની જાહેરાત કરવામાં આવી તે છે. તાજેતરની પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે ધાર્યા કરતા સારો દેખાવ કર્યો છે. આની સમીક્ષા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી છે. ત્યારે કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિ દરમિયાન કોંગ્રેસે જ તેમને મુદ્દો આપી દીધો છે.

કોંગ્રેસની ઓબીસી વોટબેંકમાં ગાબડા પાડવાની રણનીતિ પર મુખ્યમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. મોદી ખુદ ઓબીસી વર્ગમાંથી આવતા નેતા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે તેઓ ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓ માટેના સબક્વોટાનું સમર્થન પણ કરી શકશે નહીં અને તેનો વિરોધ પણ કરી શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ચૂંટણી અભિયાનના પ્રભારી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પણ ઓબીસી વર્ગમાંથી આવે છે. આવી સ્થિતિમાં મોદી ઓબીસી કાર્ડ ખેલીને કોંગ્રેસને ચિત્ત કરવા ઈચ્છતા હોય તે સ્વાભાવિક છે. વળી કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે લઘુમતીઓના સબક્વોટા 9 ટકા કરવાનું વચન પણ આપ્યું છે. કોંગ્રેસના મોવડી મંડળનો નિર્ણય ઉત્તર પ્રદેશના 19 ટકા મુસ્લિમ મતોને અંકે કરવા માટે લેવાયો છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ આ નિર્ણયની તરફેણ કરે, તો ઓબીસી નારાજ થાય તેમ છે. વળી તેઓ આ નિર્ણયનો વિરોધ કરે, તો મોવડી મંડળ અને મુસ્લિમો નારાજ થાય તેવી સ્થિતિ છે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસની લઘુમતી અનામત મુદ્દે કફોડી સ્થિતિનો લાભ લઈને ભાજપ રાજ્યભરમાં બક્ષીપંચને એકજૂટ કરવાની રણનીતિ પર કામે લાગી છે. તેના માટે ભાજપનું પ્રદેશ એકમ બક્ષીપંચના સંમેલનોની તૈયારી પણ કરી રહ્યું છે. વળી સંગઠનને મજબૂત કરવા માટે ફરી એક વખત ટિફિન બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. 11 ફેબ્રુઆરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવા માટે જિલ્લા, મહાનગર, તાલુકા કક્ષાએ ટિફિન બેઠકોનું આયોજન થવાનું છે. ભાજપનું સંગઠન 16થી 20 ફેબ્રુઆરીના ગાળામાં ઝોનલ બેઠકોનું પણ આયોજન કરી રહી છે. 4 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે જિલ્લાવાર યુવા સંમેલનો પણ યોજાશે.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીનું સદભાવના મિશન હકીકતમાં લોકો વચ્ચે સીધા પહોંચવાનું મિશન છે. તેના દ્વારા કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિને પણ આગળ વધારવામાં આવશે. આ સદભાવના મિશન મોદી વિરોધીઓને પડકારવાનું આહ્વવાન પણ છે. જાણકારોના મત પ્રમાણે, નરેન્દ્ર મોદીની પ્રજામાં પક્કડ માટે યુવા સંમેલનો, મહિલા સંમેલનો, ગરીબ મેળા, ટિફિન બેઠકો અને સામાજિક સંમેલનોનો ઘણો મોટો ફાળો છે અને મોદી આવી જ કોઈ રણનીતિથી રાજ્યના લોકોમાં ભાજપને 150 બેઠકો જીતાડવા માટે મોદી જીતોડ કોશિશ કરશે. આશા કરવામાં આવે છે કે મહિલા સંમેલનો અને ગરીબ કલ્યાણ મેળા જેવી જ સફળતા મોદીને તેમના સદભાવના મિશનમાં સાંપડશે.

કોંગ્રેસનો વિકલ્પ ઉભો થાય છે, પણ કોંગ્રેસ મોડલનો વિકલ્પ નથી!


there is option of congress in power but opposition fail to give option in political moldel

અજબ ભારતીય રાજકારણની ગજબની કહાની છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને રાજકારણની દુર્દશા માટે બિનકોંગ્રેસી પક્ષો જવાબદાર ઠેરવે છે. થોડો સમય માટે બિનકોંગ્રેસી દળો સત્તામાં કોંગ્રેસનો વિકલ્પ પણ બને છે. પરંતુ આવા બિનકોંગ્રેસી દળો કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ પુરો પાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ ભારતની આઝાદી પહેલા સૌથી પ્રભાવી રાજકીય પક્ષ તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને આઝાદી બાદ પણ દેશની સત્તાનો ભોગવટો સૌથી વધારે સમય સુધી કર્યો છે. હાલ પણ યુપીએ-2 સરકારનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. 127 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના રાજકીય મોડલનો ભારતમાં હજી સુધી કોઈ જવાબ ઉભો થઈ શક્યો નથી. કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવી હંમેશા લોઢાના ચણા ચાવવાનો ખેલ હોય છે. જાણકારો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા દેશમાં ઘણાં ઉંડે સુધી પહોંચ્યા હોવાનું ગણાવે છે. આ વાત આંશિક રીતે સાચી છે. પરંતુ ભારતીય રાજકારણની તાસિર તપાસમાં આવે તો ભારતમાં લગભગ એક સદીથી વધારે સમયથી કોંગ્રેસના રૂપમાં રાજકીય પાર્ટીનું એક જ મોડલ સાતત્યપૂર્ણ રીતે અસ્તિત્વમાં છે.

1885માં અંગ્રેજ એ.ઓ.હ્યૂમે કોંગ્રેસની સ્થાપના કરી. ત્યારથી કોંગ્રેસ પાર્ટી ભારતના રાજકારણના એક ધ્રુવ તરીકે ઉભરી હતી. આમ તો કોંગ્રેસે 1885થી 1905 સુધી અંગ્રેજી હકૂમત સાથે મહદ અંશે પત્રાચાર કરવાનું કામ કર્યું હતું. લોકમાન્ય તિલકના કોંગ્રેસમાં પ્રભાવી બન્યા બાદ સ્વતંત્રતા આંદોલન સંદર્ભે કોંગ્રેસમાં ઉગ્રતા આવી હતી. તેમ છતાં તેમા ગરમ દળ અને નરમ દળનું અસ્તિત્વ હતું. પરંતુ એક હકીકત એ છે કે અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમત સામે ભારતીયોને લડવા માટે એક રાજકીય મોડલ થકી પ્લેટફોર્મ પુરું પાડયું હતું. મુસ્લિમ લીગના મહોમ્મદ અલી ઝીણા 1937 સુધી કોંગ્રેસી અને સેક્યુલર નેતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર કોંગ્રેસી અગ્રણી હતા. હિંદુ મહાસભાના મદન મોહન માલવિયા સરીખા નેતાઓ પણ કોંગ્રેસમાં સક્રિય હતા. આર્યસમાજમાં સક્રિય લાલા લાજપતરાયની ગણના પણ દિગ્ગજ કોંગ્રેસી નેતામાં થતી હતી. આઝાદ હિંદ ફોજ બનાવીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડત કરનારા સુભાષચંદ્ર બોઝ 1937માં કોંગ્રેસ પ્રમુખ હતા. સમાજવાદી નેતા આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ સુદ્ધા કોંગ્રેસમાં ગાંધીજી સાથે કામ કરી ચુક્યા છે.

મુસ્લિમ લીગ 1906માં સ્થપાઈ અને હિંદુ મહાસભા 1905માં સ્થપાઈ. ત્રીસના દશકામાં કમ્યુનિસ્ટ પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. 1947 પહેલા સમાજવાદી નેતાઓ કોંગ્રેસમાંથી અલગ થયા. ક્યારેક પોતાને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવનારી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરનારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ 1941ના વર્ષમાં કોંગ્રેસી નેતા રહી ચુક્યા છે. આ સિવાય સંઘના સંસ્થાપક ખુદ કોંગ્રેસી નેતા રહ્યા છે. એટલે કે કોંગ્રેસ એક એવું વટવૃક્ષ છે કે જેની એક-એક વડવાઈ તેને થડ જેટલી મોટી બની છે. આઝાદી બાદ મુસ્લિમ લીગી મોડલ પાકિસ્તાનમાં નિષ્ફળ ગયું, પરંતુ કોંગ્રેસનું મોડલ ભારતમાં સફળ બન્યું.

આઝાદી બાદ પણ કોંગ્રેસમાંથી પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે નેતાઓ દ્વારા અલગ ચોકો રચવાની પ્રક્રિયા ચાલુ જ રહી. કોંગ્રેસને સૌથી પહેલા સત્તાની બહાર કરવાનો શ્રેય જયપ્રકાશ નારાયણને મળે છે. કટોકટી બાદ મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી. જો કે તે કોંગ્રેસની જેમ સત્તાનો સ્થિર વિકલ્પ બની શકી ન હતી અને માત્ર અઢી વર્ષના ગાળામાં જ સત્તામાંથી દૂર થઈ હતી. આમ જોવો તો મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણના મૂળિયા પણ કોંગ્રેસી જ હતા. ત્યાર બાદ 1989માં વી.પી.સિંહના વડપણ નીચે બિનકોંગ્રેસી પક્ષોએ ભેગા મળીને કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે આંદોલન કર્યું. પરંતુ હકીકત એ છે કે વી. પી. સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજીવ ગાંધી સાથે મતભેદોને કારણે કોંગ્રેસમાંથી અલગ પડયા હતા. પરંતુ વી. પી. સિંહ પણ સત્તામાં લાંબો સમય ટકી શક્યા નહીં. ચંદ્રશેખરને વડાપ્રધાન બનાવી કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો, પરંતુ રાજીવ ગાંધીના જાસૂસી પ્રકરણે આ સરકારને ઘર ભેગી કરી. ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસી સરકાર સત્તામાં આવી. જો કે તે લઘુમતી સરકાર હતી, પરંતુ તેણે ઘણા ગોટાળા અને બ્લંડરો છતાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાજપની 13 દિવસની સરકાર સત્તામાં આવી. ત્યાર બાદ દેવેગૌડા અને ઈન્દર કુમાર ગુજરાલની કમજોર કોંગ્રેસના ટેકાવાળી સરકારોએ દેશને રાજકીય અસ્થિરતાના તબક્કામાં નાખી દીધી. 1998માં વાજપેયીના વડપણ નીચે એનડીએની સરકાર સત્તામાં આવી અને સત્તામાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પુરો કરનારી તે પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી. પરંતુ 2004થી કોંગ્રેસના વડપણવાળા યુપીએ ગઠબંધનની સરકાર સત્તામાં છે.

ભાજપ ભારતીય રાજકારણનો બીજો ધ્રુવ ગણાય છે. પરંતુ ભાજપના કોંગ્રેસીકરણની વાતો પણ જોરશોરથી ઉઠી રહી છે. કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારનો એકહથ્થુ પ્રભાવ એકાદ અપવાદને બાદ કરતાં જળવાઈ રહ્યો છે. તો તેવી રીતે ભારતના ભાજપ, શિવસેના, સમાજવાદી પાર્ટી, અકાલી દળ, તેલગુદેશમ પાર્ટી, ડીએમકે, એઆઈએ-ડીએમકે, બીજુ જનતાદળ સહીતને પક્ષોમાં વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદ ચરમ પર છે. વંશવાદની નકલ કરવામાં કેટલીક હદે કમ્યુનિસ્ટ પક્ષોને બાદ કરતા દેશના તમામ પક્ષો વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદની રાહ પર જ આગળ વધી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક લોકશાહી ગાંધીજીના વખતથી અસ્તિત્વમાં નથી. કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના સમર્થકોના વિરોધને કારણે પાર્ટી છોડવી પડી અને હિંસક માર્ગે આઝાદી મેળવવાનો આઝાદ હિંદ ફોજનો રસ્તે અખત્યાર કરવો પડયો હતો. દેશની આઝાદી પછી કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારના સભ્યોનો બોલ કોંગ્રેસ પાર્ટીમાં કાયદો બની ગયો છે. તેવી જ રીતે દેશના બિનકોંગ્રેસી દળોમાં પણ આંતરીક લોકશાહીની અછત વર્તાય રહી છે. હાઈકમાન્ડના નામે પાંચ-સાત ચૂંટણી મેનેજરો પાર્ટીના નિર્ણય કરે છે. ભાજપ પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી બની ગઈ હોવાની વાત પણ ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે કરી હતી. વળી કમ્યુનિસ્ટ વિચારધારા લોકશાહીને માનતી નથી. તેથી કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરીક લોકશાહીનું સપનું જોવું પણ એક જોક સમાન છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીઓ પોતાને ત્યાં આંતરીક લોકશાહી હોવાના દાવા કરે છે.

કોંગ્રેસ પાર્ટી પર આઝાદીની લડતના સમયથી તે મૂડીપતિઓની પાર્ટી હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આઝાદી બાદ પણ કોંગ્રેસ પર મૂડીપતિઓના હિતસાધવાનો આરોપ મૂકાતો આવ્યો છે. કોંગ્રેસની જાણે-અજાણે નકલ કરીને તેના રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપના નેતાઓ પણ મૂડીપતિઓને સાધવામાં લાગેલા રહે છે. અન્ય રાજકીય પક્ષોને પણ ફંડફાળો અમુક અપવાદને બાદ કરતા મૂડીપતિઓ તરફથી જ મળે છે. તેને કારણે દેશની આર્થિક નીતિ આવા મૂડીપતિઓની હિતસાધક બને તેમાં નવાઈ પામાવા જેવું નથી. આને કારણે મૂડીપતિ વધારે ધનવાન બને છે અને આમ આદમી બેહાલ બને છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર નામની આડઅસરથી કોંગ્રેસી અને બિનકોંગ્રેસી એમ બંને પ્રકારની સરકારો અછૂતી નથી.

કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમુદાય તરફ વિશેષ દ્રષ્ટિકોણ આઝાદી પહેલાથી અપનાવામાં આવ્યો છે. ઉર્દૂ અને વંદેમાતરમ સહીતના મુદ્દાઓ પર મુસ્લિમોની આળપંપાળ કરતી નીતિઓ આઝાદી બાદ લઘુમતીવાદને પ્રોત્સાહન આપનારી નીતિઓ બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની પાર્ટીના ઝંડામાં મુસ્લિમ સમુદાયના પ્રતીક સમાન લીલો રંગ રાખ્યો, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો. આ પ્રકારના ફેરફાર અકાલીદળ અને શિવસેના જેવી પાર્ટીઓને બાદ કરતા મોટાભાગની પાર્ટીઓએ કર્યા. કારણ કે અહીં સવાલ મુસ્લિમ વોટબેંકનો હતો. કોંગ્રેસે પોતાને ત્યાં એસસી, એસટી, મહિલા અને લઘુમતી સેલ ચાલુ કર્યા. તો અન્ય પાર્ટીઓએ પણ તેનું આંધળુ અનુકરણ કરીને પોતાને ત્યાં આવી જ વ્યવસ્થા ઉભી કરી.

વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.
કોંગ્રેસે આદિવાસી, દલિતોની વોટબેંક દ્વારા સત્તાની સાધના દસકાઓ સુધી કરી. આદિવાસી અને દલિતો માટે સારું કામ કરવું ઘણું સારું છે. પરંતુ તેમને વોટબેંક તરીકે જોઈને તેમના કલ્યાણ માટે કંઈક કરવાનો દેખાડો કરવો અલગ વસ્તુ છે. પરંતુ આ કામ કોંગ્રેસ સિવાયના પક્ષોએ પણ ચાલુ રાખ્યું. આજે દેશમાં દલિતો અને આદિવાસીઓ પાછળ વાપરવામાં આવેલા નાણાં અને ઉભી કરવામાં આવેલી લાભકારક જોગવાઈઓની સરખામણીએ તેમના સશક્તિકરણના મળેલા પરિણામો જોવા જોઈએ.

આ સિવાય ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગરીબી હટાવોના નારા નીચે લોકોને લોભાવ્યા હતા. પરંતુ 80ના દાયકાથી ગરીબી હટાવોની વાત સૂત્રોમાં જ રહી છે, હવે તો એવો સમય છે કે સત્તામાં આવનારી દરેક સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટે તેવી નીતિઓ અપનાવી રહ્યા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ત્યારે ગરીબ આમ આદમી લાચારી સાથે જીવન સંઘર્ષમાં પાછો પડી રહ્યો છે. ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કોંગ્રેસની જેમ દરેક પક્ષો કરે છે, પરંતુ તેને દૂર કોઈ કરતું નથી.

ભારતના રાજકારણમાં સેક્યુલર ચહેરો દેખાડવાનો ટ્રેન્ડ પણ કોંગ્રેસના રાજકીય મોડલે ચાલુ કર્યો. ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાની વાત હોય, નહેરુની સમાજવાદની વાત હોય, ઈન્દિરા ગાંધીની સેક્યુલારિઝમની વાત હોય, મનમોહન સિંહની દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવાની વાત હોય, દરેક નેતા લઘુમતીઓની આળપંપાળ કરીને પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવામાં લાગેલો છે. મુસ્લિમ તુષ્ટિકરણને નારો બનાવીને ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતાઓ વાજપેયી અને અડવાણીએ પણ સેક્યુલર છબી ચમકાવા માટે આ જ કોંગ્રેસી નીતિનો સહારો લીધો. વાજપેયીએ લીલી પાઘડીઓ પહેરી, મુસ્લિમ ટોપી ઓઢી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાના વચનો આપ્યા, હજ સબસિડીમાં સામેથી વધારે કરી આપ્યો. તો અડવાણી પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા. પ્રખર હિંદુત્વવાદી ચહેરો ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવા કે નહીં : ભાજપની દ્વિધા


bjp is at cross road on declaring narendra modi as pm candidate

જનમત સર્વેક્ષણો દુનિયામાં સાચા પડે છે. પરંતુ ભારત દુનિયાના આવા દેશોમાં અપવાદ છે. ભારતમાં જનમત સર્વેક્ષણ ભાગ્યે જ સાચા સાબિત થતા હોય છે. ભારતમાં આવા સર્વેક્ષણ વધારેમાં વધારે દેશના રાજકીય વલણનો અંદાજો આપી શકે છે. આવા સર્વેક્ષણ ચૂંટણી પરિણામોની વધારે નજીક હોય તેવું અપવાદરૂપ કિસ્સામાં જ બન્યું છે, તેમ છતાં એક ભારતીય પ્રકાશન સમૂહે દેશના મૂડને જાણવા માટે તાજેતરમાં એક સર્વેક્ષણ કર્યું છે. જેના કારણે ભાજપનો ચહેરો ખીલી ગયો છે. ખાસ કરીને સંગઠનમાં એવા લોકોના ચહેરા ખીલી ગયા છે કે જેઓ અનુભવે છે કે ભવિષ્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા સમૂહના હાથોમાં હશે.

આ સર્વેક્ષણના પરિણામો કોંગ્રેસ માટે હતાશાજનક અને ભાજપ માટે ઉત્સાહવર્ધક છે. સર્વે પ્રમાણે, જો આજે સામાન્ય ચૂંટણી થાય છે તો ભાજપને 140 બેઠકો મળે અને તે કોંગ્રેસથી આગળ નીકળી જશે. આ સર્વેમાં કોંગ્રેસને માત્ર 110 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું છે. જ્યાં સુધી વ્યક્તિગત લોકપ્રિયતાનો સવાલ છે, ભવિષ્યમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પોતાના દાવાને બેગણો કરી લીધો છે. છ માસ પહેલા તેમને વડાપ્રધાન પદ માટે 12 ટકા સમર્થન મળ્યું હતું, પરંતુ હાલ તે વધીને 24 ટકા થઈ ગયું છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આ દોડમાં મોદી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીથી આગળ નીકળી ગયા છે. સર્વેક્ષણ પ્રમાણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ સંદર્ભે 17 ટકા સમર્થન મળ્યું છે. આ આંકડો છ માસ પહેલાના સર્વેક્ષણની સરખામણીએ ચાર ટકા ઓછો છે.

જો કે ભાજપે સર્વેક્ષણના પરિણામોથી ખુશી મનાવવા સાથે રાષ્ટ્રીય સ્તરે દેશના રાજકારણની અસ્થિરતાની પરિસ્થિતિનું પણ આકલન કરવું પડશે. સર્વેક્ષણના પરિણામોનું વિશ્લેષણ જણાવે છે કે એનડીએની યુપીએ પર પાતળી સરસાઈ રહેશે. આ બંને ગઠબંધનો લોકસભાની એક તૃતિયાંશ બેઠકો મેળવશે. બીજા શબ્દોમાં લોકસભા ત્રણ એકસરખા ભાગમાં વહેચાઈ જશે. જેમાં એનડીએ, યુપીએ અને ત્રીજી શક્તિ જેમાં ડાબેરી પક્ષો અને પ્રાદેશિક પક્ષો સંતુલન સ્થાપિત કરશે.

ટૂંકમાં આગામી સરકાર એવા સમીકરણો વચ્ચે બનશે, જેમાં પ્રાદેશિક પક્ષો અને ડાબેરીઓની ભૂમિકાને નજરઅંદાજ કરી શકાશે નહીં. નવીન પટનાયક, જયલલિતા અને ચંદ્રાબાબુ નાયડુ સત્તા સમીકરણ નિર્ધારીત કરવાની સાથે જ વડાપ્રધાન કોણ બનશે તે પણ નક્કી કરી શકે તેવી ભૂમિકામાં આવશે. ભારતના રાજકારણમાં એક બાબત સંજોગો ઉપર છોડી દેવાય છે અને તે વડાપ્રધાનનું પદ છે...કોંગ્રેસ હોય કે ભાજપ બઘાં પક્ષોએ હકીકતનો સ્વીકાર કરવો પડે છે.

સર્વેક્ષણમાં વડાપ્રધાન પદની દોડમાં સૌથી આગળ રહેલા નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમના માટે અત્યારે બધું જ સારું ચાલી રહ્યું નથી. વડાપ્રધાન તરીકેની તેમની દાવેદારીથી એનડીએનો એક વર્ગ અને બહારથી ટેકો આપનારા સહયોગી વિદ્રોહનું બ્યૂલ બજાવી શકે છે. કારણ કે આ લોકો નરેન્દ્ર મોદીને મતોના ધ્રુવીકરણના એજન્ટ માને છે. તેમને લાગે છે કે નરેન્દ્ર મોદીને કારણે મુસ્લિમ મતદારો તેમનાથી દૂર થાય છે. જયલલિતા અને નવીન પટનાયક નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ માટેની દાવેદારીને ટેકો આપી શકે છે. પરંતુ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કોઈપણ કિંમતે આવું કરશે નહીં.

વળી સર્વેક્ષણના પરિણામો પ્રમાણે, ભાજપ 140 બેઠકો સુધી ત્યારે પહોંચશે કે જ્યારે તે એનડીએનું અંગ હશે અને ચૂંટણી પહેલા પોતાના નેતૃત્વનો ખુલાસો ન કરે તે મહત્વનું પગલું હશે. જો નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરે છે, તો આ આંકડો વધશે કે ઘટશે? વળી એનડીએ વિસ્તરશે કે સંકોચાશે? તે પણ મહત્વના વિચારણીય મહાપ્રશ્નો ભાજપ સામે મોઢું ફાડીને ઉભા છે.

એમા કોઈ શંકા નથી કે મોદી આખા દેશમાં ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે. પરંતુ પ્રચલિત ધારણા પ્રમાણે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં ભાજપ માટે ઘણાં રાજકીય જોખમો છે. આમ તો મોદીની ઉપસ્થિતિ બધાંને ઊર્જાથી ભરી દે છે, પરંતુ તેઓ તેમની ચારે બાજુ આભામંડળ બનાવી શકશે તેના પર શંકા પ્રવર્તી રહી છે. મોદી ભાજપના કોઈ અભિયાનને પ્રેરીત કરશે તો તેઓ સુશાસનના પક્ષધરોને આકર્ષિત કરશે, તો બીજી તરફ એવો વર્ગ મજબૂત થશે કે જે તેમને ખરાબીનું પ્રતીક માને છે. આમા મીડિયાનો એક મોટો વર્ગ પણ સામેલ હશે. કારણ કે મોદી પાસે આ વર્ગ માટે કોઈ સમય નથી. તેની સાથે બુદ્ધિજીવી વર્ગ મોદી વિરુદ્ધ આકરા હુમલા કરવામાં કોઈ કસર છોડશે નહીં.

બુદ્ધિજીવીઓ એકસૂરમાં દેશને જણાવશે કે મોદી દેશના વડાપ્રધાન બની જશે તો તેઓ મુસ્લિમો સાથે એવો વ્યવહાર કરશે કે જેવો જર્મનીમાં દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે હિટલરે યહૂદીઓ સાથે કર્યો હતો. તેઓ પ્રચાર કરશે કે મોદી મુસ્લિમોને નાગરીક અધિકારોથી વંચિત કરી દેશે. કારણ કે મોદીનું સદભાવના મિશન આવા વર્ગમાં તેમના માટે સદભાવના ઉભી કરે તેવી શક્યતા ઘણી ઓછી છે.

આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય હશે કે સામાન્ય ચૂંટણીઓને મોદી પર જનમત સંગ્રહમાં બદલવી અને યુપીએના કુશાસનથી લોકોનું ધ્યાન હટાવવું. કોંગ્રેસની નેતાગીરી માને છે કે જો મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બને છે તો બિનભાજપી વોટો તેમની સાથે આવી શકે છે. ત્યારે ભાજપનું ભવિષ્ય સૌહાર્દ અને મેળમિલાપની ભાવના પર અને તેની સંઘીય માળખાને મજબૂત કરવાની તેની ઈચ્છા પર નિર્ભર કરે છે. કેન્દ્રીકરણના વિચારનો ત્યાગ કરીને ભાજપ વધારેમાં વધારે પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે લઈ શકે છે.

જો કે અત્યારની સ્થિતિ જોતા લાગે છેકે ભાજપના નેતાઓ હજી પોતાના રંગમાં આવ્યા નથી. સાચું એ છે કે મોદીએ ઘણાં વખત પહેલા જ પોતાની ક્ષમતાઓનું આકલન કરી લીધુ હતું. તેમને વધારે પ્રયત્ન કરવાની જરૂર છે અને પોતાના સદભાવના મિશનમાં બાકીના ભારતમાં વાસ્તવિક સદભાવનાનો સંદેશ તેમણે આપવો પડશે. ભાજપમાં એક વર્ગ હજુ પણ માને છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા એક દુસ્સાહસિક પગલું હશે. ત્યારે હવે ભાજપના હાથમાં છે કે તેઓ ક્યાં પ્રકારનું જોખમ ઉઠાવે? કારણ કે ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા થનગનતો વર્ગ પણ નાનો નથી.

વળી કોર્પોરેટ જગત અને આરએસએસની નેતાગીરીમાં નરેન્દ્ર મોદીનું રાજકીય વજન ઘણું વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સંઘના સીધા હસ્તક્ષેપ બાદ જ કેશુભાઈ પટેલનું સ્થાન લીધું હતું. બની શકે કે આવો કોઈ ગણતરીપૂર્વકનો ચમત્કાર સંઘ ફરીથી કરે...!!!

અણ્ણા હજારેના “ગાંધીવાદી” વ્યક્તિત્વનો એક્સ-રે


the xray of personality of gandhian anna hazare

રાજઘાટ પર બાપુની સમાધિએ માથું ટેકવનારા દરેક જણા કંઈ ગાંધીવાદી ન હોઈ શકે. ગાંધીજીના સ્વસ્છ, સરળ અને નિર્મળ જીવનને અનુસરનારા ગાંધીવાદી હોઈ શકે. ભારતમાં આઝાદી પછી ગાંધીજીની થોડા સમયમાં હત્યા કરી દેવામાં આવી. ગાંધીના સ્થૂળ દેહની હત્યા એક જ વાર થઈ. પરંતુ ગાંધીજીના વિચારોની અને ચિંતનની ત્યારબાદ ડગલેને પગલે હત્યા થતી રહી. વધારે દુ:ખદ વાત એ છે કે ગાંધીજીના વિચારોની હત્યા કહેવાતા ગાંધીવાદીઓ દ્વારા થઈ છે. અરે, આ હત્યા હજી પણ ચાલુ છે.

ભ્રષ્ટાચારથી પરેશાન દેશને જનલોકપાલથી ઝાંઝવાના જળ દેખાડવામાં સફળ થયેલા અણ્ણા હજારે તેને કરપ્શન રોકવાનો સક્ષમ માર્ગ ગણાવી રહ્યા છે. તેના માટે તેઓ કુલ ચાર અનશન કરી ચુક્યા છે. 11મી ડિસેમ્બરે એક દિવસના સાંકેતિક ઉપવાસ અને રાજનેતાઓને પોતાના મંચ પર બોલાવીને મજબૂત લોકપાલ માટે ચર્ચા પણ અણ્ણા હજારેએ કરાવી. પરંતુ 27 ડીસેમ્બરે અણ્ણા હજારે ત્રણ દિવસના ઉપવાસ પર બેઠાં હતા. પરંતુ અનશનના બીજા જ દિવસે હજારેએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને પોતાના ઉપવાસ આટોપી લીધા. હાલ તેઓ પૂણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એક માસ આરામ કરવાની તબીબોએ સલાહ આપી છે.

સવાલ એ છે કે અણ્ણા હજારેનો પરપોટો કેમ ફૂટી ગયો? કારણ કે આ પ્રકારના બાદશાહી અને ડેંડાટી ઉપવાસનું નાટક જનતા સમજે નહીં તેટલી મૂર્ખ નથી. તેથી જ તો 60 હજારની ક્ષમતાવાળા મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના અનશનમાં માત્ર 8-10 હજાર લોકો માંડમાંડ ભેગા થયા. પરંતુ આમા ખરો ખેલાડી કેજરીવાલ છે, અણ્ણાનો ઉપયોગ કરીને એ પોતાની મહત્વકાંક્ષાઓ પાર પાડવાની દાનત રાખે છે. લોકપાલ નીચે સીબીઆઈ હોત તો ચિદમ્બરમ જેલમાં હોત કે નહીં તે પ્રશ્ન છે પણ કિરણ બેદી અને કેજરીવાલ જરૂરથી જેલમાં હોત.

અણ્ણા હજારે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે અને લોકો તેમનામાંથી પ્રેરણા લઈને લડે તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ અણ્ણા હજારેને ગાંધીવાદી ગણાવવા ઘણું મોટું ષડયંત્ર છે. એક ગાંધીએ આઝાદીની લડાઈ લડી અને દેશને સ્વતંત્ર કરાવ્યો. હવે અણ્ણાને બીજા ગાંધી બનાવીને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના દાવાઓ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વની સામે અણ્ણાનું વ્યક્તિત્વ ક્યાંય ટકી શકે તેમ છે? ગાંધીજી અને અણ્ણા હજારેના વ્યક્તિત્વમાં થોડીઘણી સમાનતા હશે, પરંતુ વધારે તો બંનેના વ્યક્તિત્વમાં અસમાનતા છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે કહી રહ્યો છે કે અણ્ણાનું વ્યક્તિત્વ ગાંધીવાદી નથી. પરંતુ અણ્ણાને જબરદસ્તીથી ગાંધીવાદી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ખુદ અણ્ણા કહી રહ્યા છે કે તેઓ ગાંધીજીના પગ પાસે બેસવાને પણ લાયક નથી. પોતે ગાંધીવાદી ન હોવાની વાત કરીને અણ્ણાએ કહ્યુ છે કે તેઓ ગાંધીજી સાથે શિવાજીને પણ માને છે.

અણ્ણાની માગણી ગાંધીવાદી નથી

સૌથી પહેલા તો અણ્ણાની જનલોકપાલની માગણી જ ગાંધીવાદી નથી. ગાંધીજી સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરતા હતા. તેમનું માનવું હતું કે સત્તા ગામડાં સુધી પહોંચે અને દરેક ગામ આત્મનિર્ભર થાય. આમ થવાથી જ લોકોનું ભલું થશે અને અસલી લોકતંત્ર આવશે. પરંતુ અણ્ણાની જનલોકપાલની માગણીને જોવો. અણ્ણા એવા જનલોકપાલ બિલની હિમાયત કરી રહ્યા છે, જેના દ્વારા દેશના વડાપ્રધાન, સાંસદ, ન્યાયતંત્ર, કેન્દ્રથી લઈને ગ્રામીણ સ્તર સુધીના વહીવટી અધિકારીઓની તપાસ અને તેમને સજા સંભળાવવાનો હક હશે. બસ લોકપાલની પોતાની જેલ નહીં હોય. શું ગાંધીજી આવી કેન્દ્રીયકૃત સંસ્થાનું ક્યારેય સમર્થન કરતા હતા?

લોકશાહીમાં લોકો સર્વોપરી હોવાનું અણ્ણા ખાલી કહે જ છે!

અણ્ણા હજારેએ અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે જો સંસદ તેમનું બિલ રદ્દ કરે છે, તો તેઓ તેના નિર્ણયને માની લેશે. અણ્ણાએ પોતાના સમગ્ર આંદોલનનું શીર્ષાસન કરાવી દીધું. આનાથી મોટી મજાક શું હોઈ શકે? જો અણ્ણા હજારેએ ગાંધીજીની હિંદ સ્વરાજને ઉપરઉપરથી વાંચી હશે, તો પણ તેમને ખબર હશે કે તે સમયે બ્રિટિશ પાર્લામેન્ટ સંદર્ભે ગાંધીજીએ કેટલા કઠોર શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તે શબ્દોનો પ્રયોગ આજે આપણી સંસદ માટે ક્યારેય કરી શકાય નહીં. પરંતુ અણ્ણાએ એ વાત સમજવી જોઈએ કે સંસદ જનતાથી ઉપર નથી. બંધારણ જનતાની લાગણીથી ઉપર નથી. જો સંસદે જ આખા દેશના વિવેકનો ઠેકો લઈ રાખ્યો હોય, તો 42 વર્ષથી વધારે સમય સુધી લોકપાલનો મુદ્દો અધરમાં લટકતો કેમ રહ્યો? કોઈપણ લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમતા જનતાની જ હોય છે. પરંતુ અણ્ણા જનતાને લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમ માનવાના ગાંધીજીના મત સાથે પોતાના સમગ્ર આંદોલન દરમિયાન સાતત્યતાથી વળગી રહ્યા છે?

અણ્ણામાં દેશની ભાષા પ્રત્યેની લાગણી ગેરહાજર?

અણ્ણા હજારે સરકાર સાથેની લોકપાલ મુદ્દે બનેલી કમિટીમાં મુખ્ય સભ્ય હતા. પરંતુ અખબારો કહે છે કે બેઠકમાં થઈ રહેલી વાતચીત અણ્ણા હજારેના પલ્લે પડતી ન હતી. કારણ કે તે માત્ર મરાઠી અને હિંદી જ જાણ છે. તેમને ભારતની કાળા અંગ્રેજોની રાજભાષા અંગ્રેજી આવડતું નથી. જો અણ્ણા હજારે ગાંધીવાદી હોત અને ખરેખર સત્યાગ્રહી હોત તો આ મંત્રીઓ અને તેમના સાથીદારોને કહેત કે જનભાષા વગર જનલોકપાલ કેવી રીતે બનાવશો? સમગ્ર જનવિધેયક અને તેની વ્યાખ્યા લગભગ 100 પૃષ્ઠોમાં છે. આ બધી વાત પહેલા અંગ્રેજીમાં જ હતી. ત્યારે સવાલ એ છે કે અંગ્રેજી ન જાણનારા અણ્ણા હજારેએ તેમના નવરત્નોને પહેલા હિંદીમાં સમગ્ર જનવિધેયકને મુકવાની વાત કેમ કરી નહીં? ગાંધીજી હિંદીભાષાના પ્રખર આગ્રહી હતા. પાછળથી તેમણે ઉર્દૂ મિશ્રિત હિંદીની પુરજોર તરફેણ કરી હતી. પરંતુ અણ્ણા હજારેએ ક્યારેય હિંદી ભાષામાં અથવા લોકોની ભાષામાં વાત કરવાની વાત કરી નથી.

અણ્ણા પોતાના નવરત્નોની દોરવણીથી જ ચાલે છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીના દરેક આંદોલનની રૂપરેખા પોતાની રીતે નક્કી કરતા હતા. તેઓ અવશ્ય તેમના સાથીદારોના સૂચન લેતા હતા, પરંતુ કરતા હતા તેમના અંતરમનના અવાજ પ્રમાણેનું કામ. ગાંધીજી તે વખતના ભારતની આઝાદી માટે લડતા સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય કોંગ્રેસના નેતા હતા. (જો કે તેઓ તેના સભ્ય ન હતા!) પરંતુ અણ્ણા એક નકલી સંગઠનની દેણ છે. તેથી જ ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામનું સંગઠન જેના નામ પર અણ્ણાએ ભૂખ હડતાલ કરી હતી, તે ખતમ થઈ ગયું છે. કોઈ જણાવે કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામના એનજીઓને રામલીલા મેદાનમાં જનતા પાસેથી મળેલા લાખો રૂપિયા ક્યાં ખર્ચ કર્યા? એવું સંગઠન જેના સંસ્થાપકોમાંથી બે મોટા નામો સ્વામી રામદેવ અને સ્વામી અગ્નિવેશને અલગ કરી દેવામાં આવ્યા, શું એવું આ સંગઠનના પ્રસ્તાવ બાદ થયું છે? અથવા તે કહ્યું અને મે સાંભળ્યુંની તર્જ પર બંને મોટા નામો બેગાના થઈ ગયા છે.

ગાંધીજી પોતાના વક્તવ્યો, કાર્યક્રમોની રૂપરેખાને આપમેળે આપસુઝ પ્રમાણે આખરી ઓપ આપતા હતા. પરંતુ અણ્ણા હજારેના મામલામાં એવું નથી. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની કોર કમિટી નક્કી કરે છે કે અણ્ણા વડાપ્રધાનને પત્ર લખશે અથવા ટીમ અણ્ણા હિસ્સારમાં કોંગ્રેસનો વિરોધ કરશે. આજ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કોણ સભ્ય છે અને કોણ પદાધિકારી છે. જ્યારે ગાંધીજી જે કરતાં તેનું અનુસરણ તેમની આજુબાજુના લોકો અને ટેકેદારો કરતાં હતા. જ્યારે અણ્ણા હજારેનું જીવનમાં કોઈ અનુસરણ કરતું નથી. તેમના સ્વયંસેવકો અને નવરત્નોમાંથી કોઈએ અણ્ણાના ઉપવાસમાં સાથ પુરાવ્યો નથી. (અંશત્ અપવાદ મુંબઈના ઉપવાસ) પરંતુ ગાંધીજીના આમરણ અનશન વખતે તેમની સાથે ઉપવાસ કરનારાઓની સંખ્યા પણ ઘણી મોટી રહેતી હતી. કિરણ બેદી અને કેજરીવાલ બે ટાઈમ ભરપેટ જમીને રામલીલા મેદાનમાં સૂત્રો પોકારતા અને તિરંગો લહેરાવતા નજરે પડતા હતા. આ સંગઠન ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શને ગત બે વર્ષોમાં કેટલા ગોટાળાબાજોને બેનકાબ કર્યા અથવા કોઈ અન્ય સમાજસુધારાના કામ કર્યા હોય, તો તેનો જવાબ શૂન્ય છે. (ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટીકાઓથી બચવા કેજરીવાલ અને બેદી અણ્ણા સાથે ઉપવાસ કર્યા હતા. પરંતુ તેમના સદભાગ્યે અણ્ણાના ઉપવાસ ત્રણ દિવસ પહેલા જ આટોપી લેવાયા. બાકી તેમના ભૂખ્યા રહેવાની ક્ષમતા પર દેશવાસીઓને હંમેશા શંકા રહેશે.)


અણ્ણાનો ગાંધીવાદ ટોપી-ધોતી સુધી સીમિત


અણ્ણાનો ગાંધીવાદ માત્ર ટોપી અને ધોતી સુધી સીમિત છે. માત્ર રાજઘાટ પર માથું નમાવવાથી અને ગાંધીની અમુક વાતો કરવાથી ગાંધીવાદી થવાય નહીં. ગાંધીજીના નિર્મળ, નિષ્પાપ, સરળ અને સ્વચ્છ જીવન મૂલ્યોને અનુસરવા અને તેના પ્રમાણે જીવન જીવવું વ્યક્તિને ગાંધીવાદી બનાવે છે. અણ્ણાના કર્મ અથવા વિચારોની ગાંધીવાદ સાથે કોઈ લેવાદેવા નથી. અણ્ણાનું કર્મ ત્યાંથી શરૂ થાય છે, જ્યાં ગાંધીવાદનું અંતિમ ચરણ આવતું હતું. ગાંધીજીએ જેટલીવાર આમરણ અનશન કર્યા તે પોતાના આંદોલનના અંતિમ ચરણમાં કર્યા. જનજાગરણ, જનચેતના, નો તો અણ્ણાના વશની વાત છે અને ન તો તેમના એજન્ડામાં આવી કોઈ વાત છે.

ગાંધીજી કર્મયોગી, અણ્ણા હઠયોગી

ગાંધીજી ગીતાના કર્મયોગના ઉપાસક હતા. ગાંધીજીના કાર્યોમાંથી કર્મયોગ છલકતો હતો, પરંતુ અણ્ણા હજારેના ક્રિયાકલાપોમાંથી અને તેમની બેકાબુ જુબાનથી માત્ર હઠયોગ જ છલકી રહ્યો છે. ગાંધીજીના વિધાનોમાં ધમકી ક્યારેય હતી નહીં, બસ તેઓ માત્ર માગણી કરતા હતા. ત્યાર બાદ માગણી ન માનવામાં આવે તો જ્યાં હોય ત્યાં અનશન શરૂ કરી દેતા હતા. પરંતુ અણ્ણા હજારે બ્લેકમેઈલરની તર્જ પર અનશનની ધમકી આપતા રહ્યા છે. ગાંધીજી કોઈના વિરોધમાં જીવનમાં ક્યારેય હતા નહીં.

અણ્ણાને લક્ષ્ય કરતાં જીવન વધારે વ્હાલું?

ગાંધીજીએ પોતાના સમગ્ર જીવનમાં સાચા મહાત્માની જેમ પોતાના શરીર અને જીવનની ક્યારેય ચિંતા કરી ન હતી. જ્યારે અણ્ણાના અનશન પ્રખ્યાત તબીબ ડોક્ટર ત્રેહાનની દેખરેખમાં થયા. હવે તમે જ વિચારો કે અણ્ણાને જીવન સાથે કેટલો મોહ છે. કદાચ આ દુનિયાના પહેલા અનશન હતા કે જ્યાં અનશનકારી પોતાના ખાનગી ડોક્ટર સાથે ઉપવાસ કરવા ઉતર્યો હોય. મુંબઈના અનશનમાં તેમને તબીબોની સલાહથી પીછેહઠ પણ કરવી પડી છે.

અણ્ણાની ઉપલબ્ધિ શું?

ગાંધીજીની આસપાસ હંમેશા જનકલ્યાણ અને નિર્માણની યોજનાઓને રચનાત્મકતા રહેતી હતી. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ સહીતની સામાજિક કુરીતિઓ સામે લડવા માટે સમાજની સમજ પેદા કરી. તેમણે રેંટિયો કાંતીને પોતાનું કાપડ બનાવીને વિદેશી કપડાના બહિષ્કારની વાત કરી. તેમણે સંડાસ જાતે સાફ કરીને સ્વચ્છતાના પાઠ લોકોને ભણાવ્યા.

પરંતુ અણ્ણાની ઉપલબ્ધિઓની વાત છે તેઓ હંમેશા મહારાષ્ટ્રના પોતાના અનશનોની વાત કરે છે. જેમાં ઘણાં મંત્રીઓ અને સેંકડો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. પરંતુ ત્યાર બાદની વાત કોઈ કરતું નથી કે હટાવાયેલા તમામ મંત્રીઓમાંથી કેટલાં ફરીથી મંત્રી બન્યા, કેન્દ્રીય મંત્રી બન્યા અથવા તે મંત્રીઓના ભ્રષ્ટાચારનું આગળ શું થયું? ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, આવા તમામ લોકો રાજનીતિમાં આજે પણ સક્રિય છે. જ્યારે મહાત્મા ગાંધી માટે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ હતો, તેને તેમણે પોતાના જીવનકાળમાં પૂર્ણ કર્યો હતો.


ગાંધીવાદી અણ્ણાના મંચ પરથી હિંસાની તરફેણ કેમ?


અનશન દરમિયાન હિંસાની તરફેણ અણ્ણાના મંચ પરથી ખૂબ મોટા પ્રમાણમાં થઈ. સાંસદો અને રાજકારણીઓ માટે શિષ્ટાચારવિહીન વાતો પણ કરવામાં આવી. અણ્ણાના મંચ પરથી ભ્રષ્ટાચારીઓના હાથ કાપી નાખવાની અને તેમને ફાંસીએ ચઢાવી દેવાની વાત કરવામાં આવી. અણ્ણાએ એકપણ વાર આવી વાતોનો વિરોધ કર્યો નથી. અણ્ણાએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવાં ક્રાંતિકારીઓના નામ લઈને નવજુવાનિયાઓને પોરસ ચઢાવ્યું. નવજુવાનિયાઓને ભારત માટે સર્વસ્વ ત્યાગનારા ક્રાંતિકારીઓનું નામ લેવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ શું કોઈ ગાંધીવાદી સ્વપ્નમાં પણ હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન આપી શકે? આનાથી પણ મોટી વાત એ છે કે દિલ્હીમાં શરદ પવારને એક માથાફરેલા યુવાને થપ્પડ મારી દીધી. અણ્ણાની પ્રતિક્રિયા પુછવામાં આવી તો તેમણે કહ્યુ કે માત્ર એક જ થપ્પડ મારી? એક ગાંધીવાદી હિંસાત્મક કૃત્યની તત્કાળ આલોચના કરવાની જગ્યાએ તેને સમર્થન કરવા જેવા ટોનમાં પવારનો ઉપહાસ કરવાનું કૃત્ય કરે, તે શું હિંસા નથી?

શરદ પવારને થપ્પડથી અણ્ણા ખુશ થયા?


પરંતુ અણ્ણા આટલેથી અટક્યા નથી, તેમણે તો પોતાના બ્લોગ પર પોતાના પવાર પરના ઉપહાસને યોગ્ય ઠેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો છે. શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરેએ તેના સંદર્ભે પ્રતિક્રિયા આપીને સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે ગાંધીવાદી અણ્ણાની કમરે કોઈ બીજાની ધોતી છે. તેમની સામે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીના કાર્યો અને મત-અભિપ્રાયોથી કોઈ અસંમત જરૂરથી હોઈ શકે. પરંતુ તેમની અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી કોઈ ઈન્કાર કરી શકે નહીં. ગાંધીજીએ અસહકાર આંદોલનને ચૌરાચૌરી હિંસા કાંડ બાદ અટકાવી દીધું હતું. ગાંધીજીએ ભગતસિંહના હિંસક ક્રાંતિકારી કૃત્યોને દેશભાવના તરફેણમાં હોવા છતાં સમર્થન આપ્યું ન હતું. ગાંધીજીએ નોઆખલીની હિંસાને રોકવા માટે આમરણાંત ઉપવાસ કર્યા હતા. પોતાના જીવનમાં તેમણે ક્યારેય હિંસાને જાણે-અજાણે કોઈપણ જાતનું ઉત્તેજન આપ્યું ન હતું.

અણ્ણાનું આંદોલન બિનરાજકીય નથી, છેવાડાનો માણસ ગેરહાજર

ગાંધીજીનું સૌથી મોટું શસ્ત્ર વિરોધ ન હતું, પણ અસહકાર હતું. ગાંધીજીનો અસહકાર કોઈના વિરોધમાં ન રહેતા કોઈ કામ માટેનો રહેતો હતો. જ્યારે અણ્ણા હજારેનો વિરોધ સત્તાધારી કોંગ્રેસ પક્ષ વિરુદ્ધનો થઈ રહ્યો છે. પહેલા હિસ્સારની પેટા ચૂંટણીમાં અણ્ણાની ટીમે કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી હતી. તો હવે અણ્ણા કહી રહ્યા છે કે મજબૂત લોકપાલ નહીં આવે તો તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની લોકોને અપીલ કરશે. જો કે તેમના પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા સંદર્ભે હજી તેમની તબિયતને કારણે આશંકાઓ છે.


ગાંધીજીના આંદોલનો સામાજિક પ્રકારના રહેતા અને તેનો રાજનીતિ પર પ્રભાવ પડતો હતો. પરંતુ હવે અણ્ણાના આંદોલન સામાજિક રહ્યા નથી. અણ્ણાના છેલ્લા અનશન સુધી રાજનેતાઓને મંચથી દૂર રાખવામાં આવ્યા. પણ 11મી ડિસેમ્બરે સંસદ બહાર સંસદ ચલાવવાની અદાથી અણ્ણાએ મંચ પર વિરોધ પક્ષના નેતાઓને આમંત્ર્યા અને લોકપાલ મુદ્દે ચર્ચા કરી. ગાંધીજીના આંદોલનમાં ગામડાંનો છેવાડાનો માણસ પણ જોડાતો, પરંતુ અણ્ણાના આંદોલનમાં ભારતને એલિટ ગણાતો ફેસબુકિયો અને ઈન્ટરનેટિયો વર્ગ વધારે પ્રમાણમાં જોડાયો છે. અણ્ણા દેશના છેવાડાના માણસને પોતાના અનશનો અને આંદોલનો સાથે જોડવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે.

બેદી-કેજરીવાલ મુદ્દે અણ્ણાની ‘મજબૂર’ ચુપકીદી


ગાંધીજી પોતાના સાથીદારોની શુદ્ધતા અને પવિત્રતા માટે આગ્રહી હતા. તેઓ પોતાના સાથીદારોના આચરણની બાબતમાં કઠોર હતા. પરંતુ અણ્ણા હજારેમાં આ ખૂબી ગેરહાજર છે. ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદી પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો લાગેલા છે. પરંતુ અણ્ણા લાંબા સમય સુધી મૌન રહ્યા બાદ બેદીના ટેકામાં ઉતરી આવ્યા છે. અરવિંદ કેજરીવાલ પર સરકારના લેણાના કેટલાંક રૂપિયા બાકી હતા. પરંતુ અણ્ણા તે મુદ્દે પણ ચુપ રહ્યા છે. અણ્ણાના સાથીદાર કુમાર વિશ્વાસ કોલેજમાં હાજર ન રહેતા હોવાની ફરીયાદો ઉઠી છે. પરંતુ અણ્ણાએ એકપણ વખત તેમને તેમનું અધ્યાપન કાર્ય સારી રીતે કરવા માટે સલાહ આપી નથી.

ગાંધીજી પોતાના આશ્રમોના આવક-જાવકના હિસાબ પર કડક નિરીક્ષણ રાખતા હતા. આશ્રમોના ખાતા બધાં માટે ખુલ્લા રહેતા હતા. એ ઘણું સારું રહેત કે અણ્ણાના આંદોલન માટે આવેલા નાણાંને તુરંત હિસાબ સાથે ચાર-છ દિવસમાં જાહેર કરી દેવાત કે જેથી સમગ્ર સમાજસેવી સંસ્થાઓ માટે તે ઉદાહરણ બની શકત. એ જોવું પણ આયોજકોનું કામ છે કે આ નાણાં તેમને ધનકુબેરો પાસેથી નહીં પણ સામાન્ય જનતા પાસેથી મળે. કારણ કે મોટી રકમ આપનારી સંસ્થાઓ અથવા ધનકુબેરો પોતાના હિત માટે ક્યારેક આંદોલનની નસ દબાવી શકે છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે તમારી આંખો સામે છે. ત્યારે એવી આશંકાઓ પણ છે કે અણ્ણાના આંદોલનથી ભીડતંત્ર સામે મજબૂર બનીને લોકતંત્ર અને તેની પ્રક્રિયાઓ કમજોર કરીને એક એવા તંત્રને જન્મ આપશે, જેમાં સ્વયંસેવી સંગઠનોના નામ પર નવી હુકમશાહીનું રાજ કાયમ થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અણ્ણાને હાથો બનાવીને એનજીઓનો આતંકવાદ પણ વિકસશે. સવાલ જનલોકપાલમાં વડાપ્રધાન અથવા ન્યાયતંત્રને સામેલ કરવાનો નથી, સવાલ દરેક સ્તરે સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારથી નિપટવાનો છે. ગાંધીવાદી મૂલ્યો સાથે લોકતાંત્રિક આઝાદ ભારતમાં આંદોલનને સફળતા મળશે તેવી ઘણાંને શ્રદ્ધા છે. સવાલ છે કે અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વના એક્સરે પ્રમાણે તેવો કેટલાં ગાંધીવાદી છે?