Tuesday, June 30, 2015

સ્માર્ટ સિટી ઉપેક્ષિત શહેરીકરણની સમસ્યાઓના ઉકેલનું એક પગલું

- પ્રસન્ન શાસ્ત્રી

ગામડાંઓમાં વસેલા ભારતમાં શહેરીકરણને એક ઉપેક્ષિત દ્રષ્ટિકોણથી જોવામાં આવતું રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે સિંઘુ ઘાટીની સભ્યતાના મળેલા અવશેષોમાં ધોળાવીરા-લોથલથી માંડીને હડપ્પા-મોહેન-જો-દડો સુધીના શહેરી જીવનની ઝલક જોવા મળે છે. 1992થી ઉદારીકરણને અપનાવ્યા બાદ વૈશ્વિકરણના વાવાઝોડામાં શહેરીકરણ ઉપેક્ષા છતાં રોકી શકાયું નથી. શહેરીકરણની ઉપેક્ષા આજે સમસ્યા બની ચુકી છે. શહેરીકરણને શરૂઆતમાં ઉપેક્ષિત દ્રષ્ટિકોણથી જોવાયું હોત નહીં તો વિકાસ અને આર્થિક સમૃદ્ધિના એન્જિન તરીકે દેશની પ્રગતિને વધુ ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકત. 

ભારતમાં હાલ 31 ટકા લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. 2050 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ શહેરી વસ્તી ભારતમાં હશે. હાલ ભારતના શહેરો દેશના કુલ જીડીપીના 60 ટકા હિસ્સેદારી ધરાવે છે. 2030 સુધીમાં શહેરોની ભાગીદારી ભારતના જીડીપીમાં 75 ટકા સુધી પહોંચી જશે. 

કટોકટીની 40મી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે બેહદ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી ત્રણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાઓના ઉદ્ઘાટન વખતે કહ્યુ હતુ કે શહેર દેશની અર્થવ્યવસ્થાની શક્તિ અને વિકાસના એન્જિનની જેમ કામ કરે છે. ગત 25થી 30 વર્ષોમાં દેશમાં શહેરીકરણે ખૂબ ઝડપ પકડી છે. તે વખતે જો શહેરીકરણને એક અવસર તરીકે જોવામાં આવ્યું હતો, તો આજે ભારતના શહેરો દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોની બરાબરી કરી શકે તેવા હોત. તેમણે કહ્યુ કે જૂના અનુભવો ભલે ખરાબ રહ્યા હોય. પરંતુ તેનાથી નિરાશ થયા વગર સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે આગળ વધવું આપણું લક્ષ્ય હોવું જોઈએ.


શહેરીકરણ વિકાસનો અવસર બને

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એફડીઆઈની જરૂરિયાત રહેશે. તેના માટે સ્માર્ટ સિટીનો વિકાસ મહાનગરો અને મોટા શહેરોના ઉપનગરો તરીકે કરવાનો ઉદેશ્ય છે. તેની પાછળનો મુખ્ય હેતુ લોકોને શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધા, રોજાગર વગેરે ઉપલબ્ધ કરાવવાની સાથે શહેરોમાં વધતી ભીડના નિયંત્રણ માટે પણ આવા સ્માર્ટ સિટી જરૂરી છે.

અંગ્રેજીમાં કામકાજ કરવાની ક્ષમતા, સસ્તી મજૂરીને કારણે વૈશ્વિકરણના યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે સારા એવા પ્રમાણમાં આકર્ષિત કરી છે. ગત બે દશકોમાં ભારત દુનિયાનું સૌથી મોટા પ્લેસમેન્ટ સેન્ટરમાંથી એક બની ગયું છે.

વૈશ્વિકરણનો ભારતની વિકાસ યાત્રામાં વધુ અસરકારક રીતે લાભ ઉઠાવવા માટે શહેરોને સુનિયોજિતપણે વિકસિત કરવા એક મોટી પ્રાથમિકતા છે. શહેરો આધુનિક માળખાગત સુવિધાઓ, પરિવહન અને સંચાર સાધનોથી સુસજ્જિત હોવા જોઈએ. શહેરોમાં વિકાસની મૂળભૂત સંરચના, માનવ સંસાધનનો સારો ઉપયોગ, જીવનની મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાના પડકારોને પહોંચી વળવા યોજનાબદ્ધ કોશિશોની પણ જરૂરિયાત છે. 

દુનિયાના વિકસિત અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશોમાં શહેરીકરણ ઘણું મોટા પ્રમાણમાં થયું છે. વિકાસના મામલે ભારતનું મુખ્ય સ્પર્ધક ગણાતું ચીન શહેરીકરણના મામલે ભારત કરતા ઘણું આગળ છે. કેટલાંક જાણકારો પ્રમાણે, આયોજનબદ્ધ શહેરીકરણ વિકાસ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈપણ દેશ માટે એક તક છે.

વિશ્વ બેન્ક પ્રમાણે, 1990માં ભારત અને ચીનમાં શહેરીકરણ સમાન સ્તરે હતું. 2012માં ભારતમાં 32 ટકા અને ચીનમાં 52 ટકા જેટલું શહેરી વસ્તીનું પ્રમાણ થયુ છે. 2020 સુધીમાં ચીન પોતાની 60 ટકા વસ્તીને શહેરોમાં વસાવવાની ઈચ્છા ધરાવે છે.

ભારતને વિકાસ પથ પર આગળ વધારવા માટે હાલના સંજોગોમાં શહેરી જીવનની અવગણના શક્ય નથી. ભારત સરકારે 100 નવા સ્માર્ટ સિટી બનાવવાની યોજના જાહેર કરી છે. આ યોજના ઘણી મહત્વકાંક્ષી છે. સ્માર્ટ સિટીના વિચારને ભારતીય સંદર્ભોમાં અને કોઈપણ પ્રકારના તકનીક કેન્દ્રીત પક્ષપાત વગર તમામ સમસ્યાઓના સમાધાન તરીકે જોવો જોઈએ નહીં. 

નવા સંશોધન, સારું આયોજન, વધુ ભાગીદારીનું વલણ, ઉચ્ચ ઊર્જા ક્ષમતા, સારી જાહેર પરિવહન વ્યવસ્થા, ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજીનો સારો ઉપયોગ સ્માર્ટ સિટીનો પાયો રહેશે. 

માનવીય જીવનના સ્તરને ઉંચે ઉઠાવવું અને માનવકેન્દ્રીત વિકાસને ઝડપી બનાવવા માટે સ્માર્ટ સિટી અને તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ એક અસરકારક માધ્યમ બની શકે છે. જો કે સ્માર્ટ સિટી ટેક્નોલોજી સેન્ટ્રિક મિકેનિકલ શહેર હોવાની માન્યતા તોડવી જરૂરી છે. આવી માન્યતા ઘણાં મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. ત્યારે સ્માર્ટ સિટી માનવ કેન્દ્રીત વિકાસ માટે ટેક્નોલોજીના સારા ઉપયોગ સાથે દેશના વિકાસ એન્જિન તરીકે અગ્રણી ભૂમિકામાં આવે તેવી આશા હોય તે સ્વાભાવિક છે. 

સ્માર્ટ સિટીનો વિચાર મૂળભૂત રીતે યુરોપિયન વિચાર છે. પશ્ચિમની દુનિયાના અનુભવ, સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાના આધારે તેમણે તેને વિકસિત કર્યો છે. પરંતુ તેની બિલકુલ નકલખોરીના જોખમો ઘણાં વધારે છે. યુરોપિયન વિચાર હોવાથી તેનો વિરોધ કરવો તેવું વલણ પણ યોગ્ય નથી. માત્ર તેમણે પોતાના અનુભવોના આધારે આ વિચારને પોતાના પરિવેશમાં ઢાળ્યો છે. ત્યારે સ્માર્ટ સિટીના વિચારને ભારતીય સંદર્ભોમાં જોવો ખૂબ જરૂરી છે. 

સ્માર્ટ સિટી શહેરીકરણની ચરમસીમા ગણી શકાય. શહેરીકરણ ભારત માટે કોઈ નવી વાત નથી. પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણોના અત્યાર સુધી મેળવવામાં આવેલા પડાવોમાં ભારત અમેરિકા, યુરોપ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો કરતા પાછળ છે. શહેરીકરણના તબક્કામાં પ્રવર્તમાન સમયમાં સૌથી ઉપલી કક્ષામાં સ્માર્ટ સિટીના વિચારને મૂકી શકાય છે. 

ભારતનો મોટા ભાગે અનુભવ છે કે કોઈ વિચારને યુરોપ, રશિયા, અમેરિકા, ચીન, બ્રાઝીલની તર્જ પર ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે, તો તેના સારા પરિણામોના સ્થાને દુષ્પરિણામો અને નવી સમસ્યા સમયસમય પર સામે આવી છે. એટલે કે અન્યોના વિચારના આધારે ભારતના વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે સ્વદેશી પરિપ્રેક્ષ્યો અને સંદર્ભોને અવગણી શકાય તેમ નથી. 

ભારતીય જીવન પદ્ધતિ, સાંસ્કૃતિક મૂલ્યોને સંરક્ષિત કરીને દુનિયાની અગ્રણી હરોળમાં અગ્રક્રમે વિકાસિત દેશ તરીકે ભારતે સ્થાન અવશ્ય ઉભું કરવું જોઈએ. તેના માટે શહેરીકરણનો વિરોધ જ કરવો તેવું કોઈ વલણ જોખમોથી પર નથી. સાથે સ્માર્ટ સિટીની દિશામાં આગળ વધવા માટે ભારતમાં હજી લગભગ 6 લાખ જેટલા નાના-મોટા ગામડા છે, તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. સ્માર્ટ સિટી તકોને અમુક શહેરો સુધી મર્યાદીત કરવાના સ્થાને તેને વિકેન્દ્રિત કરવાની દિશામાં ભૂમિકા ભજવે તેવી એક પ્રામાણિક કોશિશોનો પરિપાક હોવો જોઈએ. તેનાથી 100 જેટલા સ્માર્ટ સિટી દેશભરમાં તેની આજુબાજુના ઘણાં વિસ્તારોમાં રહેતા લોકોને સારી તકો પુરી પાડશે. ભારત સરકારના મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાના પ્રોજેક્ટો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ તેના માટે યુરોપિયન સ્માર્ટ સિટી દ્રષ્ટિકોણનું અંધાનુકરણ યોગ્ય નથી.

ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો છે. પ્રાચીન સમયમાં જનપથનો વિચાર હતો. ગામડાઓ અને શહેરો વચ્ચે પ્રાચીન કાળથી જ ભારતમાં સામંજસ્યપૂર્ણ વ્યવસ્થા હતી. આપણે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ વિચારમાં આગળ વધીને સારા પરિણામો પ્રાપ્ત કરી શકીશું. પ્રાચીન ભારતમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વચ્ચે કોઈ વિભાજન હતું નહીં. કોશલ જનપથની રાજધાની અયોધ્યા, માલવા જનપથનું પાટનગર ઉજ્જૈન અને વિજયનગર સામ્રાજ્યના શહેરો તેના ઉદાહરણ છે. 


સ્માર્ટ સિટીની સફળતા તેના સૂત્રધારોના સ્માર્ટ હોવા પર નિર્ભર કરશે. તેના માટે નાગરિકોની માનસિકતામાં પરિવર્તન જરૂરી છે. મોટી જનભાગીદારી માટે જાગરૂકતા ઉભી કરવી જરૂરી છે. સ્માર્ટ સિટીના પ્રબંધનના જવાબદાર લોકોને વિશિષ્ટ રીતે તાલીમબદ્ધ કરવા જરૂરી છે. સ્માર્ટ સિટીનો અર્થ માત્ર સોફ્ટવેર અથવા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા સંચાલિત અસ્વાભાવિક શહેરો નથી. સ્માર્ટ સિટી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને સમૃદ્ધ બનાવવા આધાર ઉભો કરવા માટે મદદરૂપ થાય તેવી એક મોટી અપેક્ષા જરૂરથી દેશના લોકોની રહેશે. 

સ્માર્ટ સિટીની સ્માર્ટનેસમાં ઊર્જા, ટ્રાન્સપોર્ટ અને આઈટીને પરસ્પરાવલંબી અને સમાંતર ભૂમિકા રહેશે. સ્માર્ટ ગવર્નન્સ તેની કરોડરજ્જૂ હશે. ભારતના શહેરોના પ્રબંધનમાં ઘણી બધી કોઓર્ડિનેશનની ઉણપો દેખાય છે. તેનું સરળીકરણ કરીને તેને વધારે અસરકારક બનાવવામાં આવશે.


ભારતના શહેરીજીવનના પડકારો

હાલ ભારતના શહેરી જીવનના બે કલાક દરરોજ ટ્રાફિકના નામે કુરબાન થાય છે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં એક કિલોમીટર સડક પર 170 વાહનોનું ઘનત્વ છે. આગામી 20 વર્ષોમાં ટ્રાફિક જામનો સમય બે ગણો થવાનું આકલન છે. ખાનગી પરિવહનના વાહનોને ભારતમાં વધારે વિસ્તરણ થવાની તકો આપવામાં આવી છે. તેને કારણે જાહેર પરિવહન સેવાઓ બેહદ કમજોર થઈ ગઈ છે. આજે ભારતના શહેરી વિસ્તારોમાં 70 ટકા જેટલો વાહનવ્યવહાર ખાનગી રાહે થાય છે. તેને અડધો કરવાની જરૂરત છે. 

કાર્બન ઉત્સર્જન, દુર્ઘટનાઓ અને તણાવ પણ ટ્રાફિકની અવ્યવસ્થાના મોટા પરિણામ છે. પાણી પુરવઠો, કચરાનો નિકાલ અને વીજળીની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ભારતના શહેરોની મળખાગત સુવિધા વૈશ્વિક માપદંડોના આધારે બિલકુલ નબળી છે.

તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 908 શહેરો દરરોજ 3.80 અબજ લિટર પ્રદૂષિત પાણી પેદા કરે છે. જેમાંથી 2.80 અબજ લિટર ગંદૂ પાણી કોઈપણ પ્રકારના ઉપચાર વગર સીધું જ નદીઓમાં છોડી દેવામાં આવે છે. 113 શહેરો દ્વારા ગંગા અને તેની સહાયક નદીઓના વિસ્તારમાં દરરોજ દોઢ અબજ લિટર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે.

પ્રોફેસર સુરેશ તેન્ડુલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે, 25.7 ટકા શહેરી ગરીબી રેખાની નીચે છે. મકાનોની ઉપલબ્ધતા સંદર્ભે નિષ્કર્ષો શહેરી વિસ્તાર માટે ઘણાં ગંભીર છે. આજની જરૂરિયાત પ્રમાણે કુલ ત્રણ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત છે. આ અંતર 2030ના સમયગાળામાં ખૂબ વધવાનું છે. ત્યારે લગભગ પાંચ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત રહેશે.

2007માં 83 અબજ લિટરપાણીની જરૂરિયાત હતી. પરંતુ માત્ર 56 અબજ લિટર પાણીની આપૂર્તિ થઈ શકી હતી. એટલે કે 27 અબજ લિટર પાણીની અછત હતી. વર્ષ 2030માં 189 અબજ લિટર પાણીની જરૂરિયાત સામે માત્ર 95 અબજ લિટર પાણી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે પાણીની ઉણુપ 27 અબજથી વધીને 96 અબજ ડોલર સુધી થઈ જશે. હાલ દર વર્ષે 5.10 કરોડ ટન કચરો પેદા થાય છે. 2030માં વધીને 37.70 કરોડ ટન થઈ જશે. આ સિવાય સડકોની અછત અને રેલવે વ્યવહારના મામલામાં સમસ્યાઓ ખૂબ વધે તેવી શક્યતા છે.

આજે ત્રણ ભારતીયોમાંથી એક વીજળીથી વંચિત છે. જે વિસ્તારોમાં વીજળી પહોંચી રહી છે, ત્યાં તેની આપૂર્તિ ઘણી ઓછી છે. હાલમાં દેશમાં પ્રતિ વ્યક્તિ વીજળીનો ઉપયોગ વિશ્વની સરેરાશના 1/3 જેટલી છે. ચીનના સરેરાશ વીજ ઉપયોગના 35 ટકા અને બ્રાઝીલના સરેરાશ વીજ ઉપયોગના 28 ટકા છે. વીજળીની અછત શહેરીકરણ અને વિકાસની સૌથી મોટી અડચણ છે. વીજળી, પાણી, સીવર, મકાન, વાહનવ્યવહાર,શિક્ષણ સહીતની સમસ્યાઓ સિવાય આરોગ્ય, આર્થિક,સામાજિક અને પર્યાવરણના અભૂતપૂર્વ સંકટની શક્યતાઓ આયોજનની ઉણપને કારણે વિકરાળ બને તેવી શક્યતા છે.

માત્ર સ્માર્ટ સિટીની સુવિધાઓ જ પુરતી નથી

વૈશ્વિક જરૂરિયાતોની પૂર્તિ કરનારા શહેરોના વિકાસની દ્રષ્ટિએ ભારત પાસે એક સારી તક છે. ભારતમાં હજી મોટાભાગના શહેરી માળખાનું નિર્માણ કરવાનું બાકી છે અને શહેરીકરણના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત પાસે શહેરીકરણના મોડલને પરિવર્તિત કરવાની અને સારા વિચારબદ્ધ આયોજન સાથે શહેરોના વિકાસ માટે પુરતો સમય હજી ઉપલબ્ધ છે. શહેરીકરણમાં માનવીય ઉષ્મા, સમાજ અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી જેવા મામલાઓ પર પણ પુરતું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બનશે. માત્ર સુવિધાઓ ઉપલબ્ધ થઈ જવાથી આવા વિષયોની જાળવણી થવાની નથી. તેના માટે પણ વિશિષ્ટ બાંધણી અને કોશિશોની જરૂર રહેશે. માણસને મશીન તરીકે જોવો એ પણ સ્માર્ટ સિટીની કલ્પના નહીં જ હોય. સ્માર્ટ સિટી માણસ માટે બનવાના છે અને માણસ તેમાં માણસ બનીને રહી શકે તેવી એક અપક્ષા પણ જરૂરથી હોઈ શકે છે.



Monday, June 29, 2015

સ્માર્ટ સિટી: શહેરીકરણને સમસ્યા નહીં, વિકાસના અવસર તરીકે જોવાની તક

- ANAND SHUKLA
કટોકટીની 40મી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે બેહદ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી ત્રણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં 100 જેટલા સ્માર્ટ સિટીની યોજના, શહેરોના કાયાકલ્પ માટેની અટલ મિશન યોજના અને સાત વર્ષમાં બે કરોડ મકાનોના નિર્માણ માટેની વડાપ્રધાન આવાસ યોજનાનો સમાવેશ થાય છે. આ ત્રણેય યોજનાઓના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ચાર લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અમૃત મિશન યોજના હેઠળ એક લાખની વસ્તીવાળા પાંચસો શહેરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું મહત્વપૂર્ણ લક્ષ્ય નક્કી કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાઓના ઉદ્ઘાટન વખતે કહ્યુ હતુ કે શહેર દેશની અર્થવ્યવસ્થાની શક્તિ અને વિકાસના એન્જિનની જેમ કામ કરે છે. ગત 25થી 30 વર્ષોમાં દેશમાં શહેરીકરણે ખૂબ ઝડપ પકડી છે. તે વખતે જો શહેરીકરણને એક અવસર તરીકે જોવામાં આવ્યું હતો, તો આજે ભારતના શહેરો દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોની બરાબરી કરી શકે તેવા હોત. તેમણે કહ્યુ કે જૂના અનુભવો ભલે ખરાબ રહ્યા હોય. પરંતુ તેનાથી નિરાશ થયા વગર સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે આગળ વધવું આપણું લક્ષ્ય હોવું જોઈએ.

100 સ્માર્ટ સિટીમાંથી યુપીમાં 13, તમિલનાડુમાં 12, મહારાષ્ટ્રમાં 10, મધ્ય પ્રદેશમાં 7,ગુજરાતમાં 6, કર્ણાટકમાં 6, રાજસ્થાનમાં 4 અને બિહારમાં ત્રણ સ્માર્ટસિટી બનાવવામાં આવશે. વિકાસ અને આર્થિક સમૃદ્ધિના પથ પર ભારતને આગળ વધવા માટે શહેરીકરણની સમસ્યાને અવસરમાં પલટવાની એક બહુ મોટી જરૂરિયાત હોવાનું જાણકારો પણ માની રહ્યા છે. તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે બિલ્ડરો નહીં જણાવે કે વિકાસ કેવો થશે. તેની પાછળ બિલ્ડરો દ્વારા રાજકીય મિલીભગતથી આયોજન વગર થતા શહેરીકરણ સામે આડકતરી નાખુશી પણ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ભાજપની સરકારે પોતાના કાર્યકાળના પહેલા સંપૂર્ણ બજેટમાં 100 સ્માર્ટ સિટીની યોજનાની ઘોષણા કરી હતી. તેના માટે સરાકરે 7000 કરોડ રૂપિયાની ફાળવણીની જોગવાઈ પણ કરી હતી.

શહેરીકરણ વિકાસનો અવસર બને

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એફડીઆઈની જરૂરિયાત રહેશે. તેના માટે સ્માર્ટ સિટીનો વિકાસ મહાનગરો અને મોટા શહેરોના ઉપનગરો તરીકે કરવાનો ઉદેશ્ય છે. તેની પાછળનો મુખ્ય હેતુ લોકોને શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધા, રોજાગર વગેરે ઉપલબ્ધ કરાવવાની સાથે શહેરોમાં વધતી ભીડના નિયંત્રણ માટે પણ આવા સ્માર્ટ સિટી જરૂરી છે.

અંગ્રેજીમાં કામકાજ કરવાની ક્ષમતા, સસ્તી મજૂરીને કારણે વૈશ્વિકરણના યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે સારા એવા પ્રમાણમાં આકર્ષિત કરી છે. ગત બે દશકોમાં ભારત દુનિયાનું સૌથી મોટા પ્લેસમેન્ટ સેન્ટરમાંથી એક બની ગયું છે.

વૈશ્વિકરણનો ભારતની વિકાસ યાત્રામાં વધુ અસરકારક રીતે લાભ ઉઠાવવા માટે શહેરોને સુનિયોજિતપણે વિકસિત કરવા એક મોટી પ્રાથમિકતા છે. શહેરો આધુનિક માળખાગત સુવિધાઓ, પરિવહન અને સંચાર સાધનોથી સુસજ્જિત હોવા જોઈએ. શહેરોમાં વિકાસની મૂળભૂત સંરચના, માનવ સંસાધનનો સારો ઉપયોગ, જીવનની મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાના પડકારોને પહોંચી વળવા યોજનાબદ્ધ કોશિશોની પણ જરૂરિયાત છે.

સ્માર્ટ સિટીનો અર્થ ગામડાંની ઉપેક્ષા નથી

જો કે શહેરીકરણને પ્રોત્સાહન અને આયોજનનો અર્થ એવો બિલકુલ થતો નથી કે ભારતના આત્મા સમી ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની ઉપેક્ષા કરવામાં આવે. ગામડા ભારતનો આત્મા છે. પરંતુ તેની સાથે ભારતના ગામડાને સુવિધાયુક્ત અને વિકસિત કરવા માટે કેટલાક ચોક્કસ શહેરોમાં કેન્દ્રીકૃત થયેલી તકોને ભારતમાં અલગ-અલગ સ્થાનો પર ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તેને કારણે ચોક્કસ શહેરોમાં ભીડને નિયંત્રિત કરીને વિકાસને પહોંચાડી શકાશે.

આયોજનબદ્ધ શહેરીકરણનો સ્વીકાર સમસ્યાનો ઉકેલ

વિશ્વનું 50 ટકા શહેરીકરણ થઈ ચુક્યું છે. હાલ દુનિયાની 50 ટકા જેટલી વસ્તી શહેરો અને કસબાઓમાં વસવાટ કરી રહી છે. ભારતમાં શહેરોમાં વસવાટ કરતા લોકોની સંખ્યા કુલ વસ્તીના 31 ટકા છે. આમ જોવામાં આવે તો વિશ્વના 50 ટકા શહેરીકરણની સરખામણીએ ભારતમાં શહેરોમાં વસવાટ કરતા લોકોનું પ્રમાણ લગભગ 20 ટકા ઓછું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યોમાં શહેરીકરણની સરેરાશ વિશ્વની સરેરાશ જેટલી એટલે કે 50 ટકાની આસપાસ છે. જ્યારે ભારતના આસામ અને બિહાર જેવા વિકાસની દોડમાં પાછળ રહેલા રાજ્યોમાં શહેરીકરણની સરેરાશ 10 ટકાથી પણ ઓછી છે.

વર્ષ-2014 માટેનો વિશ્વની વસ્તી અને શહેરીકરણ સંદર્ભેનો યુનોનો રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટમાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ભારતમાં વધી રહી છે. તેની સાથે ભારતનું વિશ્વમાં સૌથી વધુ ઝડપથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, વિશ્વની હાલની શહેરી વસ્તી 3.9 અબજ છે. 2050માં દુનિયાના કુલ 6.3 અબજ લોકો શહેરોમાં વસવાટ કરવા લાગે તેવું અનુમાન છે. હાલ ભારતના શહેરોમાં વસતા લોકોની સંખ્યા 41 કરોડ છે અને 2050માં તેમની વસ્તી 81.4 કરોડ થઈ જશે. એટલે કે 2050માં ભારતમાં દુનિયાની સૌથી વધુ શહેરી વસ્તી હશે.

શહેરીકરણ અને અર્થવ્યવસ્થાની સુદ્રઢતા વચ્ચે સંબંધ

દુનિયાના વિકસિત અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશોમાં શહેરીકરણ ઘણું મોટા પ્રમાણમાં થયું છે. વિકાસના મામલે ભારતનું મુખ્ય સ્પર્ધક ગણાતું ચીન શહેરીકરણના મામલે ભારત કરતા ઘણું આગળ છે. કેટલાંક જાણકારો પ્રમાણે, આયોજનબદ્ધ શહેરીકરણ વિકાસ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈપણ દેશ માટે એક તક છે. જ્યારે સાડા છ લાખ કરતા વધુ ગામડા ધરાવતા ભારતમાં શહેરીકરણને એક સમસ્યા તરીકે જોવામાં આવતું રહ્યું છે.

ભારતમાં અત્યાર સુધીના શહેરીકરણમાં અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા શહેરીકરણથી ઘણી સમસ્યાઓ પેદા થઈ હોવાની પણ હકીકત છે. જો કે 1992માં ઉદારીકરણને અપનાવ્યા બાદ વૈશ્વિકરણના યુગમાં ભારતમાં શહેરીકરણની ઉપેક્ષા શક્ય નથી. શહેરીકરણ રોકી શકાય તેમ નથી અને તેવા સંજોગોમાં જો તેને યોજનાબદ્ધ રીતે કરવામાં નહીં આવે તો તે ચોક્કસ સમસ્યા બની શકે છે.

ભારતની હાલની 31 ટકા શહેરી વસ્તીનું દેશના કુલ જીડીપીમાં યોગદાન 60 ટકા જેટલું છે. તો દેશની 69 ટકા ગ્રામ્ય વસ્તીનું જીડીપીમાં યોગદાન 40 ટકા છે. એક અનુમાન પ્રમાણે 2030 સુધીમાં એટલે કે આગામી 15 વર્ષના સમયગાળામાં ભારતની શહેરી વસ્તીનું દેશના જીડીપીમાં કુલ યોગદાન 75 ટકા જેટલું થઈ જશે. શહેરો દેશના આર્થિક વિકાસના એન્જિન તરીકે વધુ અસરકારક રીતે કામ કરવા લાગશે.

વિશ્વ બેન્ક પ્રમાણે, 1990માં ભારત અને ચીનમાં શહેરીકરણ સમાન સ્તરે હતું. 2012માં ભારતમાં 32 ટકા અને ચીનમાં 52 ટકા જેટલું શહેરી વસ્તીનું પ્રમાણ થયુ છે. 2020 સુધીમાં ચીન પોતાની 60 ટકા વસ્તીને શહેરોમાં વસાવવાની ઈચ્છા ધરાવે છે.

2050માં ભારતમાં હશે સૌથી વધુ શહેરી વસ્તી

વૈશ્વિક પટલ પર ભારત સહીત એશિયાના અન્ય દેશો શહેરીકરણમાં ડગ માંડનારા અપેક્ષાકૃત નવા ખેલાડી છે. લેટિન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનું એશિયાથી ઘણું પહેલા શહેરીકરણ થઈ ચુક્યું છે.

1901માં ભારતની કુલ વસ્તીની 10.8 ટકા શહેરોમાં વસવાટ કરતી હતી. 1991 સુધીમાં દેશની શહેરી વસ્તી 26 ટકાએ પહોંચી હતી. 2011ના સેન્સસ પ્રમાણે, ભારતની શહેરી વસ્તી 31 ટકાએ પહોંચી છે. ગત એક દશકમાં 2800 નવા કસ્બાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. 2011ના આંકડા પ્રમાણે, ભારતમાં નાના-મોટા કુલ મળીને 5161 શહેરો છે.તેમાં 100 સ્માર્ટ સિટીને જોડી દેવામાં આવે તો તેની સંખ્યા 5261 થઈ જશે.

2011થી 2030 સુધીમાં વૈશ્વિક શહેરી વસ્તીમાં 140 કરોડના વધારાનું અનુમાન છે. જેમંથી 27.6 કરોડ વૃદ્ધિ ચીનમાં અને 21.8 કરોડ શહેરી વસ્તી ભારતમાં વધશે. ચીન અને ભારત નવી શહેરી વસ્તીમાં દુનિયામાં 37 ટકા જેટલી હિસ્સેદારી કરવાના છે. 2030થી 2050 સુધીમાં ફરીથી પરિસ્થિતિ બદલાઈ જશે. ત્યારે વિશ્વની શહેરી વસ્તીમાં 130 કરોડનો વધારો થવાનું અનુમાન છે.

2011થી 2030 વચ્ચે શહેરી વસ્તી વૃદ્ધિની સરખામણીમાં 2030થી 2050 વચ્ચે તેમાં ઘટાડો નોંધાય તેવું અનુમાન છે. પરંતુ 2030થી 2050 વચ્ચે ભારતમાં 27 કરોડ જેટલી શહેરી વસ્તી વૃદ્ધિનું અનુમાન છે. ત્યાર પછીના ક્રમે નાઈજીરિયામાં 12.1 કરોડ શહેરી વસ્તી વધશે. આ સમયગાળામાં વિશ્વની શહેરી વસ્તીમાં ભારત અને નાઈજીરિયા 31 ટકાની ભાગીદારી કરશે. જ્યારે ચીનમાં 2030થી 2050ના સમયગાળામાં માત્ર 4.4 કરોડ શહેરી વસ્તી વધશે.

વૈશ્વિક દ્રષ્ટિકોણથી ભારતની શહેરીકરણની પ્રક્રિયા વધુ ઝડપી અને બેહદ મહત્વપૂર્ણ બની રહેશે તેવું જાણકારોનું અનુમાન છે. ભારતમાં 2030 સુધીમાં દશ લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોની સંખ્યા 70 જેટલી હશે. મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, બેંગલુર અને પુણે એક કરોડથી વધારે વસ્તીવાળા શહેરો હશે. મુંબઈ અને દિલ્હી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ મોટા શહેરોમાં સામેલ થશે.

શહેરીકરણની ઉપેક્ષા બની છે સમસ્યા

પરંતુ શહેરીકરણની તકોનો ભારતને ઓછો લાભ મળ્યો છે અને પડકારોનો વધુ સામનો કરવો પડયો છે. ભારતના શહેરીકરણની આ સમસ્યાનું મૂળ કારણ તેના પ્રક્રિયા પ્રબંધનમાં આયોજનનો અભાવ છે. ચીનની સરખામણીએ ભારતના શહેરોમાં વિકાસ મામલે રોકાણ ખૂબ ઓછું રહ્યું છે. યુનોના આકલનો પ્રમાણે, ભારતના શહેરી વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ રોકાણ માત્ર 17 ડોલર છે. આ રોકાણ ચીનની સરખામણીએ સાતમા ભાગનું અને ન્યૂયોર્કના 17મા હિસ્સા જેટલું છે. ભ્રષ્ટાચાર, સંસાધનોની ખોટી રીતની ફાળવણી અને ખરાબ અમલીકરણને કારણે રોકાણના પ્રમાણમાં અપેક્ષિત પરિણામો પણ પ્રાપ્ત કરી શકાયા નથી. ભારતમાં શહેરી જીવનનું સ્તર ઉપર ઉઠાવવા માટે શહેરોમાં મળખાગત સુવિધા પાછળ થનારા ખર્ચમાં સાતથી દશ ગણા વધારાની જરૂરિયાત છે. એક સરકારી અનુમાન પ્રમાણે,દર વર્ષ ભારતમાં 27 લાખ જેટલા લોકો ગામડાં છોડીને રોજગારની શોધમાં શહેરો તરફ સ્થળાંતરિત થાય છે.

શહેરીકરણ ભારત માટે નવું નથી

આખી દુનિયાની જેમ ભારતમાં પણ શહેરીકરણને આધુનિક વિકાસમાંથી પેદા થયેલા વિચારમાંથી પેદા થયું હોવાનું ગણી શકાય નહીં. સુનિયોજિત અને સુવ્યવસ્થિત શહેરીકરણની પરંપરા ભારતને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં દુનિયાના અન્ય દેશોથી અલગ ઓળખ અપાવે છે. પાંચ હજાર વર્ષ પહેલા સિંઘુ ગાટીની સભ્યતામાં શહેરી વસવાટના નિશાન ધોળાવીરા- લોથલથી માંડીને મોહેંજોદડો અને હડપ્પા સુધી મળે છે.

મધ્યયુગમાં સત્તા વ્યવસ્થાઓના ઉત્થાન અને પતનના પરિણામો શહેરોની સ્થાપના એક સતત ચાલનારી પ્રક્રિયા તરીકે જોઈ શકાય છે. ઘણીવાર તેને એક સાંસ્કૃતિક વ્યવહાર સાથે સાંકળીને પણ જોવાય છે.

આધુનિક ભારતમાં ઝડપી શહેરીકરણનો તબક્કો 18મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતમાં આવ્યા બાદ જોવા મળ્યો હતો. તેના દ્વારા વેપાર અને બાદમાં સત્તા પર કબજો જમાવવાના ઉદેશ્યોથી બંદરગાહોના નિર્માણ કાર્યને મોટા પ્રમાણમાં હાથમાં લીધું હતું. આવા બંદરગાહોની આસપાસ શહેરોની રચના અથવા તેને વિકસિત કરવામાં આવ્યા હતા.

એક દ્રષ્ટિકોણ પ્રમાણે ભારતના ગામડાના સંસાધનોને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે અંગ્રેજોએ શહેરોને માધ્યમ બનાવ્યા હતા. જો કે આઝાદી પછીના ગાળામાં ભારતના ગ્રોથ એન્જિન તરીકે મુંબઈ, દિલ્હી સહીતના મોટા શહેરોની ઘણી મોટી ભૂમિકા રહી છે. ગાંધીજી કહેતા હતા કે ભારત સાત લાખ ગણરાજ્યોનો દેશ છે અને વર્ષ-2001ની વસ્તીગણતરીના નિષ્કર્ષો જણાવે છે કે હવે દેશમાં પાંચ લાખ ત્રાણું હજાર સાતસો એકત્રીસ ગામો અસ્તિત્વમાં છે. એટલે કે અંદાજે બાણું હજાર જેટલાં ગામડાઓ ગાયબ થઈ ચુક્યા છે. એક અંદાજ પ્રમાણે 28 ગામોની કિંમતે એક નવું શહેર અસ્તિત્વમાં આવ્યું છે. હાલના દશકમાં 7863 ગામોને શહેરોની સરહદમાં સામેલ કરી દેવામાં આવ્યા છે.

ભારતના શહેરીજીવનના પડકારો

હાલ ભારતના શહેરી જીવનના બે કલાક દરરોજ ટ્રાફિકના નામે કુરબાન થાય છે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં એક કિલોમીટર સડક પર 170 વાહનોનું ઘનત્વ છે. આગામી 20 વર્ષોમાં ટ્રાફિક જામનો સમય બે ગણો થવાનું આકલન છે. ખાનગી પરિવહનના વાહનોને ભારતમાં વધારે વિસ્તરણ થવાની તકો આપવામાં આવી છે. તેને કારણે જાહેર પરિવહન સેવાઓ બેહદ કમજોર થઈ ગઈ છે. આજે ભારતના શહેરી વિસ્તારોમાં 70 ટકા જેટલો વાહનવ્યવહાર ખાનગી રાહે થાય છે. તેને અડધો કરવાની જરૂરત છે. કાર્બન ઉત્સર્જન, દુર્ઘટનાઓ અને તણાવ પણ ટ્રાફિકની અવ્યવસ્થાના મોટા પરિણામ છે. પાણી પુરવઠો, કચરાનો નિકાલ અને વીજળીની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ભારતના શહેરોની મળખાગત સુવિધા વૈશ્વિક માપદંડોના આધારે બિલકુલ નબળી છે.

તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 908 શહેરો દરરોજ 3.80 અબજ લિટર પ્રદૂષિત પાણી પેદા કરે છે. જેમાંથી 2.80 અબજ લિટર ગંદૂ પાણી કોઈપણ પ્રકારના ઉપચાર વગર સીધું જ નદીઓમાં છોડી દેવામાં આવે છે. 113 શહેરો દ્વારા ગંગા અને તેની સહાયક નદીઓના વિસ્તારમાં દરરોજ દોઢ અબજ લિટર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે.

પ્રોફેસર સુરેશ તેન્ડુલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે, 25.7 ટકા શહેરી ગરીબી રેખાની નીચે છે. મકાનોની ઉપલબ્ધતા સંદર્ભે નિષ્કર્ષો શહેરી વિસ્તાર માટે ઘણાં ગંભીર છે. આજની જરૂરિયાત પ્રમાણે કુલ ત્રણ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત છે. આ અંતર 2030ના સમયગાળામાં ખૂબ વધવાનું છે. ત્યારે લગભગ પાંચ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત રહેશે.

2007માં 83 અબજ લિટરપાણીની જરૂરિયાત હતી. પરંતુ માત્ર 56 અબજ લિટર પાણીની આપૂર્તિ થઈ શકી હતી. એટલે કે 27 અબજ લિટર પાણીની અછત હતી. વર્ષ 2030માં 189 અબજ લિટર પાણીની જરૂરિયાત સામે માત્ર 95 અબજ લિટર પાણી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે પાણીની ઉણુપ 27 અબજથી વધીને 96 અબજ ડોલર સુધી થઈ જશે. હાલ દર વર્ષે 5.10 કરોડ ટન કચરો પેદા થાય છે. 2030માં વધીને 37.70 કરોડ ટન થઈ જશે. આ સિવાય સડકોની અછત અને રેલવે વ્યવહારના મામલામાં સમસ્યાઓ ખૂબ વધે તેવી શક્યતા છે.

આજે ત્રણ ભારતીયોમાંથી એક વીજળીથી વંચિત છે. જે વિસ્તારોમાં વીજળી પહોંચી રહી છે, ત્યાં તેની આપૂર્તિ ઘણી ઓછી છે. હાલમાં દેશમાં પ્રતિ વ્યક્તિ વીજળીનો ઉપયોગ વિશ્વની સરેરાશના 1/3
જેટલી છે. ચીનના સરેરાશ વીજ ઉપયોગના 35 ટકા અને બ્રાઝીલના સરેરાશ વીજ ઉપયોગના 28 ટકા છે. વીજળીની અછત શહેરીકરણ અને વિકાસની સૌથી મોટી અડચણ છે. વીજળી, પાણી, સીવર, મકાન, વાહનવ્યવહાર,શિક્ષણ સહીતની સમસ્યાઓ સિવાય આરોગ્ય, આર્થિક,સામાજિક અને પર્યાવરણના અભૂતપૂર્વ સંકટની શક્યતાઓ આયોજનની ઉણપને કારણે વિકરાળ બને તેવી શક્યતા છે.

માત્ર સ્માર્ટ સિટીની સુવિધાઓ જ પુરતી નથી

વૈશ્વિક જરૂરિયાતોની પૂર્તિ કરનારા શહેરોના વિકાસની દ્રષ્ટિએ ભારત પાસે એક સારી તક છે. ભારતમાં હજી મોટાભાગના શહેરી માળખાનું નિર્માણ કરવાનું બાકી છે અને શહેરીકરણના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત પાસે શહેરીકરણના મોડલને પરિવર્તિત કરવાની અને સારા વિચારબદ્ધ આયોજન સાથે શહેરોના વિકાસ માટે પુરતો સમય હજી ઉપલબ્ધ છે. શહેરીકરણમાં માનવીય ઉષ્મા, સમાજ અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી જેવા મામલાઓ પર પણ પુરતું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બનશે. માત્ર સુવિધાઓ ઉપલબ્ધ થઈ જવાથી આવા વિષયોની જાળવણી થવાની નથી.



Tuesday, June 23, 2015

આઈએસઆઈએસના ભારત પર આતંકી જોખમની અવગણના ખતરનાક, બહુવિકલ્પીય વ્યૂહાત્મક સજ્જતા જરૂરી

-      પ્રસન્ન શાસ્ત્રી

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે પોતાને અન્ય ઈસ્લામિક આતંકી જૂથો કરતા અલગ સાબિત કર્યું છે. જેના કારણે તે ભૂતકાળના અને હાલના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરતા ખૂબ ઝડપથી વિસ્તરણ પામ્યું છે. ઈસ્લામિક સ્ટેટ આજનું આતંક ફેલાવામાં સૌથી સફલ અને ઈતિહાસનું સૌથી અમીર આતંકી સંગઠન છે. ઈસ્લામના નામે આતંક ફેલાવવાની આઈએસની ક્ષમતાઓને કારણે તેની તરફ મુસ્લિમ વિશ્વના કટ્ટરવાદીઓ મોટા પ્રમાણમાં આકર્ષાયા છે. આઈએસ અન્ય આતંકવાદી જૂથો સાથે મળીને ભારતને નિશાન બનાવવાની વેતરણમાં હોય તો તેનાથી નવાઈ પામવા જેવું નથી.

તાજેતરમાં ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા પહેલી વખત ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા દેશમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરાયું છે. ઈસ્લામિક સ્ટેટ તરફથી સંભવિત આતંકી હુમલાનું એલર્ટ ભારતમાં પહેલી વખત ઈન્ટેલિજન્સ એજન્સીએ જાહેર કર્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે, ઈસ્લામિક સ્ટેટના 35 જેટલાં જેહાદી મોડ્યુલ્સ ભારતમાં સક્રિય હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.તો જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓની સભાઓમાં પાકિસ્તાનના ઝંડા તો ફરકાવાયા જ છે.

પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે અહીં ભાગલાવાદીઓની સભાઓમાં ઈસ્લામિક સ્ટેટના વાવટા પણ છેલ્લા એક વર્ષ જેટલાં સમયગાળામાં છાશવારે ફરકતા રહે છે. હવે કાશ્મીર ખીણમાં ઈસ્લામિક સ્ટેટની તરફેણમાં લખાણો પણ કેટલાંક સ્થાનો પર દેખાયા છે.

એક વાત ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભારતમાં પાકિસ્તાનપરસ્ત ભાગલાવાદીઓ અને આતંકવાદીઓનું પ્રવેશદ્વાર રહી છે. હવે ઈસ્લામિક સ્ટેટ માટે ફરકી રહેલા વાવટા અને તેના તરફેણના લખાણો અરેબિયન ક્ષેત્રથી સંચાલિત દારુલ-ઈસ્લામની ખેવના ધરાવતા ઈસ્લામિક આતંકવાદીઓનું પણ પ્રવેશદ્વાર બની શકે છે. આ મામલો આખા દક્ષિણ એશિયા માટે ખતરનાક છે. પાકિસ્તાનમાં કરાચી ખાતે શિયા સમુદાયના લોકોની બસ પર હુમલો કરીને 45 લોકોને મારી નાખવાના મામલામાં ઈસ્લામિક સ્ટેટનું નામ ખુલ્યું છે. તો અફઘાનિસ્તાનમાં 10 તાલિબાનોને મારી નાખવામાં પણ ઈસ્લામિક સ્ટેટની સીધી સામેલગીરી હતી.

ઈસ્લામિક સ્ટેટની આતંકની આગ સીરિયા-ઈરાક થઈને અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે. જો કે ઈસ્લામિક આતંકની ઈસ્લામિક સ્ટેટની આગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લાગેલી બીજી આગથી અલગ પ્રકારની છે. સાથે તેની વધુ ઉગ્ર પણ છે.

ઈસ્લામિક સ્ટેટ ભારત માટે જોખમ હોવાના મામલે ચર્ચા કરતા પહેલા એ જાણવું બેહદ જરૂરી છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હકીકતમાં છે શું? આઈએસઆઈએસને અલ-તવહિદ અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ પણ કહેવામાં આવે છે. તે સુન્ની ઈસ્લામિક આતંકવાદી જૂથ છે. હાલ ઈરાક અને સીરિયામાં તે બર્બર હિંસા અને આતંક ફેલાવી રહ્યું છે. સીરિયાનો લગભગ 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર આઈએસના કબજામાં છે. ઈરાકના પણ સુન્ની બહુલ વિસ્તારો મોસુલ જેવા ઘણાં મોટા શહેરો તેમના નિયંત્રણમાં છે. આઈએસ શરિયાના કાયદા હેઠળનું ઈસ્લામિક રાજ્ય બનાવવા ઈચ્છે છે. પોતાના ઈસ્લામિક સ્ટેટમાં સુન્ની પંથી આતંકી જૂથ સીરિયા, ઈઝરાયલ,જોર્ડન, લેબેનન,ઈજીપ્ત, દક્ષિણ તુર્કી અને પેલેસ્ટાઈનના ક્ષેત્રોને સામેલ કરવા ઈચ્છે છે.

અમેરિકા અને નાટો દળોના ઈરાક પર આક્રમણ બાદ ગુરિલ્લા યુદ્ધમાં આઈએસઆઈએસનો જન્મ થયો છે. અલકાયદા ઈન ઈરાક જૂથે અહીં સુન્ની બળવાખોરોની આગેવાની લીધી હતી. ગત વર્ષે 29 જૂને અબુ બકર અલ બગદાદીએ આઈએસઆઈએસ દ્વારા કબજે કરેલા વિસ્તારને ઈસ્લામિક સ્ટેટ જાહેર કરીને પોતે તેનો સ્વયંભૂ ખલીફા બની ગયો. અમેરિકા અને મિત્રદેશોની સેનાઓની ઈરાકમાંથી સ્વદેશ વાપસી બાદ અહીં નાગરિક યુદ્ધ શરૂ થયું અને પાવર વેક્યુમ સર્જાયું. આ પાવર વેક્યુએમ ઝડપથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ ભરી દીધું.

હાલ આઈએસઆઈએસ ભારતથી દૂરના વિસ્તારોમાં યુદ્ધો ખેલી રહ્યુ છે. દેખીતી રીતે ભારતને સીધો ખતરો આઈએસ દ્વારા હોય તેવું લાગતું નથી. આઈએસનો પ્રાથમિક ઉદેશ્ય ઈરાક અને સીરિયાના ક્ષેત્રો પર કબજો જમાવીને સ્વતંત્ર દેશ બનાવવાનો છે. જો કે તેનાથી દિગ્ભ્રમિત થઈને એમ માનવાની જરૂર નથી કે ભૌગોલિક રીતે ઘણું દૂર રહેલું ઈસ્લામિક સ્ટેટ ભારત માટે જોખમ નથી. ઈસ્લામિક સ્ટેટ પાસે ઈસ્લામિક આતંકની રણનીતિ હેઠળ વૈશ્વિક મહત્વકાંક્ષાઓ પણ છે. આઈએસ વિશ્વમાં વસતા મુસ્લિમોની ખિલાફત સ્થાપીને વૈશ્વિક શક્તિ બનવાનું અંતિમ લક્ષ્ય ધરાવે છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરવતા પ્રથમ ત્રણ દેશોમાં સામેલ છે. ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ 125 કરોડના દેશમાં 18 કરોડથી 20 કરોડ જેટલાં મુસ્લિમો હોવાનો અંદાજ છે. ભારતની વસ્તીના પ્રમાણમાં મુસ્લિમો 14 ટકાની આસપાસ છે. પરંતુ તેમની રાજકીય શક્તિઓ ભારતમાં ઘણી વધારે છે. આ સિવાય પાકિસ્તાન અને અન્ય ઈસ્લામિક વિશ્વના દોરીસંચાર હેઠળ આતંકી પ્રવૃત્તિઓને પણ ખાસું પીઠબળ સાંપડી રહ્યું છે. આવા સંજોગોમાં શક્તિશાળી બની રહેલું ઈસ્લામિક સ્ટેટ ભારતના મુસ્લિમોમાં પણ પોતાની પહોંચ બનાવી શકે છે. હાલ ભારતમાંથી ઈસ્લામિક સ્ટેટમાં કથિત જેહાદમાં સામેલ થયેલા 11 મુસ્લિમોની માહિતી છે. જેમાંથી એક ભારત પાછો ફર્યો છે અને હાલ એનઆઈએની કસ્ટડીમાં છે. પાંચ લોકો લડાઈમાં માર્યા ગયાનું માનવામાં આવે છે. જો કે હજી પણ ભારતમાંથી ગયેલા પાંચ મુસ્લિમો ઈરાક અને સીરિયાના મોરચાઓ પર લડી રહ્યા છે. તો બ્રિટનથી આઈએસમાં જોડાયેલા ભારતીય મૂળના બે આત્મઘાતીઓની વાત પણ સામે આવી છે. તેમાં ખાસ વાત એ છે કે આ આત્મઘાતી ઈસ્લામિક આતંકીઓના પૈતૃક ગામ ગુજરાતના ભરૂચ જિલ્લા સાથે સંબંધિત છે.
અબુ બકર અલ બગદાદીએ જેહાદીઓને કરેલા પહેલા સંબોધનમાં મુસ્લિમોને ચીન, ભારત, પેલેસ્ટાઈન, સોમાલિયા, અરેબિયન ક્ષેત્ર, સીરિયા, ઈજીપ્ત, ઈરાક, ઈન્ડોનેશિયા,અફઘાનિસ્તાન, ફિલિપિન્સ, ઈરાન,પાકિસ્તાન, ટ્યુનિશિયા, લીબિયા, અલ્જેરિયા અને મોરક્કોમાં સત્તા કબજે કરવા લડાઈ લડવાની વાત કરી હતી. બગદાદીનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમો સાથે નાઈન્સાફી થઈ છે. તેની વેબસાઈટ પ્રમાણે, આઈએસની આખરી યોજનામાં ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહીતના ક્ષેત્રોને પોતાના વર્ચસ્વ હેઠળ લાવાવની શેખી હાંકી છે.

હાલ ભારતથી તેનું અંતર તેની મહત્વકાંક્ષાઓમાં મોટી અડચણ છે. પરંતુ તેના ભારત માટેના ઈરાદા ખૂબ જ સ્પષ્ટ છે. બગદાદીએ પોતાના ભાષણોમાં ઘણી વખત ભારતનો ઉલ્લેખ કર્યો છે. દક્ષિણ એશિયાના ઈસ્લામિક આતંકવાદમાં અલ-કાયદા અને તેના બગલબચ્ચાઓ તાલિબાન તથા લશ્કરે તોઈબાનું વર્ચસ્વ છે. તે ઈસ્લામિક સ્ટેટથી વિચારધારાત્મક રીતે ખૂબ નજીક છે અને ફક્ત ભારત પર ધ્યાન કેન્દ્રીત કરવાની વ્યૂહરચના પર આગળ વધવાને જાહેર કરી ચુક્યું છે.

આતંક ફેલાવવામાં સફળ રહેલું આઈએસ અન્ય ઈસ્લામિક આતંકી સંગઠનોથી પોતાને અલગ સાબિત કરતું રહ્યું છે. તેનું વિસ્તરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને ઈતિહાસનું સૌથી ધનિક આતંકી જૂથ પણ બન્યું છે. તેની તરફ યુરોપ, અમેરિકા, એશિયા, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ઘણાં લોકો આકર્ષિત થઈ રહ્યા છે. ટ્યુનિશિયા અને કેન્યાના આતંકવાદી હુમલામાં પણ ઈસ્લામિક સ્ટેટની સામેલગીરી સામે આવી છે. ત્યારે પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આઈએસની આતંકી પ્રવૃત્તિઓ સ્થાનિક તાલિબાનો અને અન્ય આતંકી જૂથો સાથે મળીને વધી રહી છે. આવા સંજોગોમાં ભારત પર આવા આતંકી હુમલાની આઈએસનું કોઈ ષડયંત્ર નકારી શકાય તેવી સ્થિતિ નથી.

આઈએસ સામે છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ગઠબંધન સેનાઓએ હવાઈ હુમલા શરૂ કર્યા છે. પરંતુ તેની પાછળ અબજો ડોલરના ધૂમડા છતાં ધારી સફળતા મળી શકી નથી. આવા સંજોગોમાં ઈસ્લામિક સ્ટેટનું જોખમ અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો સેનાઓની વાપસી સાથે તેની ચરમસીમાએ હશે. ભારત પણ તેના આતંકી ખતરાથી પર રહી શકે તેવી સ્થિતિ આગામી સમયમાં ટકી નહીં શકે.

આવા સંજોગોમાં ભારતે અલગ-અલગ પ્રકારના આતંકવાદી જૂથોની નશ્યત માટે જુદી-જુદી વ્યૂહરચનાથી વિચારધારાત્મક સ્તરથી માંડીને સૈન્ય કાર્યવાહી સુધીના તમામ મોરચે મજબૂત વ્યૂહરચના સાથે નિર્ણાયક યુદ્ધ માટે ઉતરવું પડશે. જેમાં ભારતે જરૂર પડે ત્યારે મધ્ય-પૂર્વ અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં લશ્કરી કાર્યવાહીઓમાં ભારતના રાષ્ટ્રહિતોની સુરક્ષા માટે મર્યાદીત કે સંપૂર્ણ સામેલગીરી સુધીના વિકલ્પોને ખુલ્લા રાખવા પડશે.  આ સિવાય  મોરક્કો અને અલ્જેરિયાની જેમ મોડરેટ થિયોલોજીકલ રાહે કટ્ટરવાદની સમાપ્તિ માટે વિચારધારાત્મક સ્તરે પણ એક મોટું યુદ્ધ લડવું પડશે. તો ઈજીપ્ત અને જોર્ડન જેવા દેશોની જેમ આઈએસની વિચારધારા સાથે પોતાને જોડતા કટ્ટરવાદીઓને જેલભેગા કરીને કાર્યવાહી કરવાના વિકલ્પો પણ હાથ ધરવા પડશે.

આ સિવાય ઈસ્લામિક વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંદર્ભે અને તેનાથી ભારતની અંદર તથા બહાર રાષ્ટ્રીય હિતોને નુકસાન સંદર્ભેની ઈન્ટેલિજન્સ શેરિંગની વ્યવસ્થા પણ વધુ મજબૂત નેટવર્કથી અન્ય દેશો સાથે સંકલનથી બહેતર બનાવવી પડશે. તેના માટે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મિડલ-ઈસ્ટ સહીતના ક્ષેત્રોમાં વધુ મજબૂત ઈન્ટેલિજન્સ નેટવર્ક બનાવવા માટે વ્યૂહાત્મક સ્વતંત્રતા આપવી જરૂરી છે. જેથી ઈસ્લામિક સ્ટેટ અને તેના જેવા અન્ય આતંકવાદી જૂથોને જરૂર પડે તેમની ભાષામાં જવાબ આપી શકાય. તો પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો સાથે સિક્યુરિટી લિન્ક્સ પણ ઉભી કરવી જરૂરી છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકારી આંકડા કરતા વધુ પ્રમાણમાં ગેરમાર્ગે દોરાયેલા ભારતના મુસ્લિમ યુવાનો ઈસ્લામિક સ્ટેટમાં જોડાયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાડી દેશોમાં ભારતના ઘણાં લોકો કામ કરી રહ્યા છે. તેમાંથી કેટલાંક ગેરમાર્ગે દોરાયેલા ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરીત થઈને ઈરાક અને સીરિયામાં જોડાયા હોય કે આગામી સમયમાં જોડાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે ખાડી દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો અને ભારતમાંથી ગયેલા નાગરિકોનો ડેટાબેસ ત્યાંના ભારતીય રાજદૂતાલયો દ્વારા તૈયાર કરવો જરૂરી છે. તેના સિવાય તેમના વિશે જરૂરી તમામ માહિતી હોવી પણ ખૂબ જ જરૂરી છે.

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં કાશ્મીર અને ગુજરાતના નામે ભારતમાં રહેતા ઘણાં મુસ્લિમ યુવાનોની સામેલગીરી ભૂતકાળમાં સામે આવી છે. હવે ભારત વિરુદ્ધ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા દ્વારા થઈ રહેલું નવું વિષવમન રાષ્ટ્રીય હિતો સામે નવા સામરિક પડકારો પેદા કરી રહ્યું છે. જેના કારણે ભારતે એક નવા જ પ્રકારનું લાંબુ યુદ્ધ લડવું પડશે. આ યુદ્ધ માત્ર જમીન પર સૈનિકો દ્વારા જ નથી લડાવાનું. પણ તેના વિચારધારાત્મક સ્તરે આવા તત્વોના મગજથી માંડીને તેમના વર્ચસ્વવાળા વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી સુધી માનવતાની જીત માટે લડવું પડશે. જો કે ઈસ્લામિક સ્ટેટના આતંકની હકીકત એ છે કે અહીં આરબ સામ્રજ્યવાદની બોલબાલા છે. બિનઆરબી મુસ્લિમોની તેવો કોઈ ગણતરી કરતા નથી અને તેને ઉતરતા ગણે છે.