Sunday, August 3, 2014

ચીન-નેપાળના દોરીસંચાર હેઠળ નેપાળમાંથી ભારત માટેની ઉષ્મામાં ઘટાડો રાષ્ટ્રીય હિતો માટે જોખમી

આનંદ શુક્લ
નેપાળના રાજકીય ઈતિહાસમાં અનેક ઉથલ-પાથલો બાદ રાજાશાહીથી લોકશાહીના માર્ગે ચાલવા લાગ્યું છે. પરંતુ ભારત માટે અતિ મહત્વના પાડોશી દેશ પ્રત્યે છેલ્લા 17 વર્ષથી ઉપેક્ષિત વલણ અપનાવાયું છે. 1997માં તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ કાઠમંડૂ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ભારતના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહનસિંહ નેપાળની મુલાકાતે ગયા નથી. પણ નેપાળના રાજકીય ઘટનાક્રમ પ્રત્યેનું દુર્લક્ષ્ય ભારત માટે ખતરનાક નીવડી શકે છે....
મે-2009માં વડાપ્રધાન પ્રચંડે રાષ્ટ્રપ્રમુખ રામ બરન યાદવ સાથેના વિવાદમાં રાજીનામું આપી દીધું. માઓવાદીઓને નેપાળી સેનામાં સામેલ કરવાના મામલે મતભેદ સર્જાયા હતા. માઓવાદીઓએ સરકાર છોડી દીધી હતી. કમ્યુનિસ્ટ નેતા માધવ કુમાર નેપાળ નવા વડાપ્રધાન બન્યા હતા. તે જ સમયે બ્રિટિશ સેનામાં ચાર વર્ષ ફરજ બજાવનારા ગુરખા સૈનિકોને ઈંગ્લેન્ડમાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડિસેમ્બર-2009ના રોજ માઓવાદીઓ દ્વારા બળપૂર્વક જમીન કબજે કરવાના મામલે ચાર લોકોની હત્યા કરાઈ હતી. તેના કારણે ફરીથી શાંતિ પ્રક્રિયા પર જોખમ પેદા થયું હતું.
મે-2010માં નવા બંધારણના મુસદ્દાને તૈયાર કરવા માટે મે-2011 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જૂન-2010માં વડાપ્રધાન માધવકુમાર નેપાળે માઓવાદીઓના દબાણમાં સરકાર છોડી હતી. જાન્યુઆરી-2011માં યુએસ પીસ મોનિટરિંગ મિશનને પોતાનું નેપાળ ખાતેનું અભિયાન સમાપ્ત કર્યું.. ફેબ્રુઆરી-2011ના રોજ જ્હાલનાથ ખનાલ નેપાળના વડાપ્રધાન બન્યા હતા. મે-2011માં બંધારણીય સભામાં નવા બંધારણના મુસદ્દાની રચના માટેની ડેડલાઈન જાળવી શકાય નહીં. ઓગસ્ટ-2011માં નવા બંધારણના વિરોધ મામલે ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયેલા પીએમ ખનાલે રાજીનામું આપ્યું હતું.
માઓવાદી પાર્ટીના બાબુરામ ભટ્ટારી નવા વડાપ્રધાન બન્યા હતા. તેમણે માઓવાદી બળવાખોરોને સેનામાં સામેલ કરવા અને નવા બંધારણના મુદ્દે સંમતિ સાધવા તબક્કાવાર કોશિશો કરવાનું વચન આપ્યું હતું. મે-2012માં ભટ્ટારીએ નવા બંધારણ સંદર્ભે સંમતિ નહીં સધાતા સંસદ ભંગ કરીને નવેમ્બરમાં ચૂંટણી જાહેર કરી હતી. તેઓ કાર્યવાહક સરકારના વડાપ્રધાન તરીકેના પદભાર પર યથાવત રહ્યા હતા.

માર્ચ-2013માં મુખ્ય ન્યાયાધીશ ખિલરાજ રેજ્મીને વચગાળાની એકતા સરકારની નેતાગીરી સોંપવામાં આવી હતી. એપ્રિલ-2013માં નાગરિક યુદ્ધમાં ગુનાઓની તપાસ માટે સરકારની યોજનાને નેપાળની સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી હતી. મે-2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરાયાની સાઠમી વરસીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવેમ્બર-2013માં નવી બંધારણીય સભાની ચૂંટણી યોજાઈ હતી.

નેપાળી કોંગ્રેસ પાર્ટીને મોટાભાગની બેઠકો જીતવામાં સફળતા મળી હતી. માઓવાદીઓએ ચૂંટણીના પરિણામો સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી હતી. 26 મે-2014ના રોજ નેપાળના વડાપ્રધાન સુરેશ કુમાર કોઈરાલાએ પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજરી આપી હતી. 26 જુલાઈ-2014 ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ નેપાળની ત્રણ દિવસીય યાત્રાએ ગયા હતા. અહીં ભારત અને નેપાળના સંયુક્ત પંચની 23 વર્ષ બાદ બેઠક પણ યોજાઈ હતી.
ઉતાર-ચઢાવવાળા ભારત અને નેપાળના સંબંધોમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ઉષ્મા ગાયબ છે. ત્યારે મોદી સરકાર નેપાળ સાથે સંબંધો સુધારીને ભારતના સામરિક હિતોને ક્ષેત્રીય સ્તરે સાધવા ઈચ્છે છે. વળી પરંતુ વાજપેયી અને મનમોહનસિંહના 15 વર્ષ જેટલા કાર્યકાળમાં નેપાળની ઉપેક્ષા થઈ હોય તેવી એક લાગણી બંને દેશોમાં પ્રવર્તી રહી છે. ત્યારે નેપાળમાં ચીન અને પાકિસ્તાનની સક્રિયતા જોતા આતંકવાદ અને નકલી ભારતીય ચલણ તથા ચીનના માલના ડમ્પિંગને અટકાવવા માટે જરૂરી સમજૂતીઓની મોટી જરૂરી છે. 

મોદીનું પાશુપતાસ્ત્ર નેપાળમાં ચીનના દોરીસંચાને ખતમ કરવામાં સફળ થશે?

આનંદ શુક્લ

17 વર્ષ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાઠમંડૂમાં મહત્વના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારશે. પરંતુ 17 વર્ષના ગાળામાં વિદેશનીતિમાં માહેર ગણાતા અટલ બિહારી વાજપેયી અને તેમના અનુગામી પીએમ મનમોહનસિંહ ચીન ગયા પણ નેપાળ ગયા નથી.

 ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધો છતાં બંને વચ્ચે અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને ઘટાડીને ભારતના સામરિક હિતોની સુરક્ષા થાય તેના માટે મોદીની કાઠમંડૂની મુલાકાત મહત્વની છે. ભારતના બોલીવુડ સ્ટાર અને ફિલ્મોનો વિરોધ.. પાશુપતિનાથના મંદિરમાં દક્ષિણ ભારતીયોની પૂજાનો મામલો.. ભારતીય મૂળના મધેશીનો મામલો.. બિહાર સરહદે ભારતની છ હજાર એકર જમીન પર કબજાનો મામલો... ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ ઝા દ્વારા હિંદીમાં શપથ લેવાનો વિવાદ.. ઉકેલવા પણ એટલા જ જરૂરી છે.

1815-16માં એંગ્લો-નેપાળ યુદ્ધ બાદ સુગૌલી સંધિ થઈ. નેપાળને બટવાલનો વિસ્તાર મળ્યો હતો.  1949માં માઓના કુખ્યાત પુસ્તક ચાઈનિઝ રિવોલ્યૂશન એન્ડ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં નેપાળને ચીનના એક રાજ્ય તરીકે ગણાવવામાં આવ્યું હતું. 1950માં ભારત-નેપાળ વચ્ચે શાંતિ અને મૈત્રીની મહત્વપૂર્ણ સમજૂતી થઈ. 1951-59 દરમિયાન ભારત-નેપાળ સંબંધોમાં સરકારી દબાણ હેઠળ તબક્કાવારપરિવર્તન થયા. ચીન અને સોવિયત સંઘ સહીત અનેક દેશો સાથે કૂટનીતિક સંબંધોમાં પરિવર્તન કરવા નેપાળ તરફથી પ્રયત્ન કરાયા હતા. 1955માં નેપાળને સંયુક્તરાષ્ટ્રનું સભ્યપદ પ્રાપ્ત થતા વિદેશ અને સંરક્ષણ ક્ષેત્રે કૂટનીતિક પરિવર્તનો વધુ ઝડપી બન્યા હતા. નવેબર-1959માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં કહ્યુ કે નેપાળ પર કોઈપણ પ્રકારનો હુમલો ભારત પર કરવામાં આવેલો હુમલો માનવામાં આવશે. તો તેને જવાબમાં બી. પી. કોઈરાલાએ જવાબ આપ્યો કે ભારત નેપાળની વિનંતી વગર આવું એકપક્ષીય પગલું ભરી શકે નહીં.

1962ના ભારત અને ચીન યુદ્ધમાં નેપાળે પ્રત્યક્ષપણે તટસ્થ નીતિ અપનાવી હતી. પરંતુ જાણકારો પ્રમાણે.. સહાનુભૂતિ પરોક્ષપણે ચીન તરફી હતી.  1962ના ચીનના ભારત પર આક્રમણ અને યુદ્ધ બાદ નેપાળ સાથેના સંબંધો ભારત માટે અતિ મહત્વપૂર્ણ બન્યા હતા. તત્કાલિન ગૃહ પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીને નેપાળની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ નેપાળ નરેસ ભારતની 13 દિવસની મુલાકાતે આવ્યા અને પછી તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ નેપાળ ગયા હતા. આ સમયગાળા દરમિયાન નેપાળ સાથે સંબંધો એટલી હદે સુધર્યા કે નેપાળની રાષ્ટ્રીય પંચાયતના અધ્યક્ષ સૂર્યબહાદૂર થાપાએ કહ્યુ કે જ્યાં સુધી એકપણ નેપાળી જીવિત છે.. ત્યાં સુધી નેપાળના રસ્તે કોઈપણ શક્તિને ભારત પર આક્રમણ કરવાની મંજૂરી મળી શકશે નહીં.  23 સપ્ટેમ્બર, 1964ના રોજ ભારતીય વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ પણ નેપાળ જઈને એક સમજૂતી કરી આવ્યા હતા. કોસી યોજનાની નહેરનું ઉદ્ઘાટન 24 એપ્રિલે, 1965ના રોજ તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ કરી હતી. ડિસેમ્બર-1965ના રોજ નેપાળના મહારાજા ફરીથી ભારતના પ્રવાસે આવ્યા હતા. નેપાળ નરેશે સ્વીકાર કર્યો હતો કે ભારતની મદદથી નેપાળમાં પુરતી પ્રગતિ સાધી શકાઈ છે.

1964માં ચીન અને નેપાળ વચ્ચે એક વ્યાપારીક સંધિ થઈ હતી. નેપાળના વડાપ્રધાન સૂર્યબહાદૂર માર્ચ-1966માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના થોડા સમય બાદ સાડા ચાર ચોરસ માઈલ લાંબા સુસતા નામના ક્ષેત્ર બાબતે વિવાદ પેદા થયો હતો. 22 ઓક્ટોબર-1967ના રોજ તત્કાલિન નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈએ નેપાળની યાત્રા દરમિયાન આર્થિક અને તકનીકી મદદનું વચન આપ્યું હતું. તો 5થી 9 જૂન 1968 દરમિયાન તત્કાલિન વિદેશ પ્રધાન દિનેશસિંહે સુસ્તા વિસ્તાર અને પશ્ચિમી કોસી નહેર સંદર્ભે વાતચીત કરી હતી. તે સમયે પશ્ચિમી કોસી નહેર યોજનાને નેપાળે મંજૂરી આપી ન હતી.

1968માં ચીન અને નેપાળે સાંસ્કૃતિક તથા વૈજ્ઞાનિક સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. નેપાળ અને ચીન વચ્ચે આ સમયગાળા દરમિયાન જ કાંઠમંડૂ-કોંડારી રાજપથ નિર્માણ માટે સમજૂતી થઈ હતી. તેના કારણે ભારતની ઉત્તરીય સરહદે સુરક્ષા સંકટ પેદા થઈ ગયું છે. 1969માં ભારત યાત્રા દરમિયાન નેપાળના વિદેશ પ્રધાને આ મામલો ઉઠાવ્યો હતો અને બંને દેશો વચ્ચે પશ્ચિમી સરહદના પુનર્નિર્ધારણ કરવાની માગણી કરી હતી.. 22 જૂને-1969ના રોજ નેપાળના તત્કાલિન વડાપ્રધાને ભારત વિરોધી ગણી શકાય તેવું નિવેદન આપ્યું હતું. કાર્તિનિધિ બિષ્ટે કહ્યુ હતું કે ભારત અને નેપાળ વચ્ચે કોઈ વિશેષ સંબંધ નથી. તથાકથિત ભારતીય સુરક્ષા માટે નેપાળ પોતાના સાર્વભૈમત્વને મર્યાદિત કરી શકે નહીં. કીર્તિનિધિએ શસ્ત્રસરંજામ પુરવઠાની સમજૂતી રદ્દ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

ભારત સરકારે જુલાઈ-1970માં પોતાના સૈન્ય દળોને પાછા ફરવા આદેશ આપ્યા હતા.  ફેબ્રુઆરી-1973માં ઈન્દિરા ગાંધી નેપાળ ગયા હતા. ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે નેપાળ એક સાર્વભૌમ રાજ્ય છે અને ભારત તેના પર કંઈપણ થોપવા માટેની ઈચ્છા ધરાવતું નથી. 10 મે-1973ના રોજ નેપાળી એરલાઈન્સનું એક વિમાન કેટલીક વ્યક્તિઓએ હાઈજેક કર્યું હતું. ફારસીગંજ નામની ભારતીય સરહદ નજીક આ વિમાનને ઉતરાણ માટે મજબૂર કરાયું હતું. અફવાઓ તેજ બની હતી કે ભારતની ઈચ્છાને કારણે જ વિમાન હાઈજેક થઈ શક્યું છે. નેપાળે ભારતને અપહરણકર્તાઓની ભાળ મેળવવા જણાવ્યું હતું. ભારતને આ વિમાન અપહરણ મામલે કેટલાંક તથ્યો પ્રાપ્ત થયા હતા અને તેને નેપાળ સરકારને સોંપવામાં આવ્યા હતા.
1975માં તત્કાલિન નેપાળ નરેશ વીરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવે નેપાળને આંતરરાષ્ટ્રીય શાંતિ ક્ષેત્ર તરીકે માન્યતા મળે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ચીન અને પાકિસ્તાને ટેકો આપ્યો હતો.

1976માં બને દેશો વચ્ચેના સંબંધોમાં નક્કર કાર્ય થયું હતું. રાજકીય અને સરકારી સ્તરે ઘણી યાત્રાઓ થઈ હતી. તેનાથી બંને સરકારો વચ્ચે સતત વાતચીત અને સંપર્ક જળવાયો હતો. ભારતે એ નિશ્ચય કર્યો કે નેપાળના જે નાગરિક ભારતના સંરક્ષિત પ્રતિબંધિત વિસ્તારોમાં આવવા ઈચ્છે તેમને પણ અન્ય વિદેશી રાષ્ટ્રોની સમકક્ષ માનવામાં આવશે અને પ્રવાસ માટે પરમિટ મેળવી પડશે.

માર્ચ-1977માં ભારતમાં નવી સરકાર બનતા વાતાવરણ વધુ સુખદ બન્યું હતું. પાડોશી દેશો સાથે મિત્રતા વધારવાના હેતુથી તત્કાલિન ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નેપાળની યાત્રા કરીને બંને દેશો વચ્ચેની ઘણી સમસ્યાઓને ઉકેલી હતી.

બાદમાં એપ્રિલ-1977ના રોજ નેપાળ નરેશ વીરેન્દ્રએ પણ ભારતનો પ્રવાસ કર્યો હતો. એક સમજૂતી પ્રમાણે- ભારતે નેપાળને બાંગ્લાદેશ સાથે વેપાર કરવા માટે ભારતમાં થઈને જવાની સુવિધા પ્રદાન કરી હતી. તેનાથી સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. 1977માં ભારતીય જનમતે જે. પી.ની સાથે જ રાજા વીરેન્દ્રને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન જી. પી. કોઈરાલાને જેલમાંથી છોડવાની અપીલ કરી હતી. તેનું અનુકૂળ પરિણામ આવ્યું.

ડિસેમ્બર-1977માં તત્કાલિન વડાપ્રધાન મોરરાજી દેસાઈએ નેપાળનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા ઘણી સફળ રહી હતી. આ પ્રસંગે નેપાળના તત્કાલિન વડાપ્રધાન કીર્તિનિધિ વિષ્ટે કહ્યુ કે ભારત સરકારની નીતિઓમાં એક નવો દ્રષ્ટિકોણ દેખાઈ રહ્યો છે. તેના માટે પરિસ્થિતિઓને વધારે ગંભીર અને પરિપકવ ઢંઘથી સમજવાની ભાવના છે. આ યાત્રામાં બંને દેશોના સામૂહિક પ્રયત્નોથી વીજ પરિયોજનાઓ અને બંને દેશો વચ્ચે પાણીનાસ્ત્રોતના ઉપયોગની અન્ય સમસ્યાઓ પર પણ સંમતિ સાધી શકાઈ છે. આ યોજનાઓ કરનાલી.. પંચેશ્વર અને રષ્પી સાથે સંબંધ ધરાવે છે. દેવીઘાટ વીજ પ્રોજેક્ટ પર ભારત લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું હતું. તેવી રીતે દુલાલઘાટ ધાનકુટ્ટા પર્વતીય માર્ગ પર પણ કામ થવાનું હતું. આ વિરાટ પરિયોજના પાછળ 2 અબજ રૂપિયાનો ખર્ચ આવ્યો.

1984માં નેપાળે ફરથી આંતરરાષ્ટ્રીય શાંતિક્ષેત્ર ઘોષિત કરવાના પ્રસ્તાવનું પુનરાવર્તન કર્યું હતું. પણ ભારતે પ્રતિક્રિયા આપી નહીં. નેપાળ ચીનની મદદથી આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય મંચો પર આગળ વધારતુંગયું અને 1990માં તેને આ મામલે 112 દેશોનો ટેકો પણ મળ્યો હતો. 1988માં વેપાર-પરિવહન સંધિ મામલે વિવાદ પેદા થયો હતો. તેમા નેપાળે 1988માં ચીન પાસેથી શસ્ત્રો આયાત કરતા મામલો વધુ વણસ્યો હતો. નેપાળની આ હરકતને ચીન સાથે સૈનિક સંબંધોની સ્થાપનાનો સંકેત માનવામાં આવ્યો હતો. 23 માર્ચ, 1989ના રોજ બે વખત મર્યાદા વધાર્યા બાદ વેપાર અને પરિવહન સંધિઓ સમાપ્ત થઈ હતી. એપ્રિલ-1990માં ભારતે નેપાળ સાથે આર્થિક સહયોગ પણ સમાપ્ત કરીદીધો હતો

 જૂન-1990માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન કૃષ્ણાપ્રસાદ ભટ્ટરાયે બંને દેશના આર્થિક અને રાજકીય સંબંધોની પુનર્સ્થાપનાનું મહત્વ સમજીને ભારતના તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સાથે નવી દિલ્હી ખાતેના સંમેલનમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધોની નવેસરથી શરૂઆત કરી હતી.ડિસેમ્બર-1991માં નેપાળી વડાપ્રધાન ગિરિજાપ્રસાદ કોઈરાલાની ભારત યાત્રા બંને દેશોએ નેપાળને વધારે આર્થિક લાભ માટે નવી અને અલગ વ્યાપારિક અને પરિવહન સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

એપ્રિલ-1995માં નેપાળના વડાપ્રધાન મનમોહન અધિકારીએ નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય વાતચીતમાં 1950ની શાંતિ-મૈત્રી સંધિની વ્યાપક સમીક્ષાનો આગ્રહ કર્યો હતો. 1990ના દશકના અંતમાં ભારતની આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ગુજરાલ ડોક્ટ્રિને ભારત-નેપાળ સંબંધો પર અસર પેદા કરી હતી. જૂન-1997માં વૈશ્વિક પરિવર્તનોના તબક્કામાં વડાપ્રધાન આઈ. કે. ગુજરાલે નેપાળની યાત્રા કરીને નવાયુગની શરૂઆત કરી હતી. ગુજરાલે બાંગ્લાદેશ થઈને નવા વ્યાપારીક માર્ગની નેપાળની માગણી સ્વીકારી લીધી.

1998માં બોલીવુડ સ્ટાર માધુરી દિક્ષિત નેપાળ ગયા હતા. ત્યાં તેમણે કથિતપણે નેપાળ ભારતનો ભાગ હોવાનું નિવેદન કર્યું હતું. તેના કારણે ઉગ્ર ભારત વિરોધી દેખાવો થયા હતા. તો 2000માં ફિલ્મ સ્ટાર રીતિક રોશનની એક કથિત મુલાકાતમાં નેપાળ અને નેપાળીઓને ધિક્કારતા હોવાના કથિત નિવેદન મામલે કાઠમંડૂમાં હિંસક ભારત વિરોધી દેખાવો થયા હતા. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ભારત વિરોધી દેખાવ પાછળ માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના હાથની આશંકાઓ પ્રદર્શિત કરાઈ હતી.

2003માં ભારતના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે નેપાળના માઓવાદીઓ અને ભારતના નક્સલીઓ ભારતીય ઉપખંડમાં નેપાળથી આંધ્રપ્રદેશ સુધી એક રેડ કોરિડોર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2008માં પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ ચીનની પહેલી વિદેશ યાત્રા કરીને ભારત કરતા ચીનને વધારે મહત્વ આપવાની નીતિ અખત્યાર કરી હતી. તેમમે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને બિનફાયદાકારક ગણાવ્યા છે. 18-22 ઓગસ્ટ, 2009ના રોજ નેપાળના વડાપ્રધાન માધવકુમાર નેપાલે ભારતની ચાર દિવસીય યાત્રા કરી હતી.

નેપાળમાં ચીનની યોજનાઓ અને ચીનના પ્રભાવથી થયેલા રાજકીય પરિવર્તનો છેલ્લા ઘણાં સમયથી ભારતીય હિતો માટે જોખમી બન્યા છે. તો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈનું ભારત વિરોધી નેટવર્ક પણ અહીં ખૂબ જ સક્રિય છે. આઈસી-814 ઈન્ડિયન એરલાઈન્સના અપહરણની ઘટના પણ કાઠમંડૂથી થઈ હતી.

ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સુધારવા માટે વિશેષ પ્રયત્ન બંને દેશો તરફથી થઈ રહ્યા છે. તો ભૂટાન બાદ મોદીની નેપાળની વિદેશ યાત્રા હિમાલયન વિસ્તારમાં ચીનની જોહૂકમીને રોકવાના એક વિશિષ્ટ પ્રયાસ તરીકે પણ જોવાઈ રહી છે. જાણકારો પ્રમાણે... નેપાળ સાથે ભારતના ઉપેક્ષિત સંબંધોને દ્રઢ બનાવવાની પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીન સામેનું પાશુપતાસ્ત્ર છે.


નેપાળમાં રાજાશાહીને રૂખસદ લોકશાહીનું આગમન, માઓવાદી પ્રચંડ વડાપ્રધાન બન્યા

આનંદ શુક્લ

નેપાળમાં લોકોની લોકશાહી માટેની આકાંક્ષાઓ વધી રહી હતી. તો નેપાળની રાજાશાહી લોકલાગણીને કચડવા માટે લશ્કરી શક્તિનો બેફામ ઉપયોગ કરવાનું વલણ ધરાવતી હતી. ત્યારે હિંસાચાર અને ચીન તરફી વલણ ધરાવતા માઓવાદીઓને લોકોનું પણ ઘણું મોટું સમર્થન મળવા લાગ્યું હતું. જેના કારણે નેપાળના રાજાના વિશેષાધિકારો ખતમ થયા અને માઓવાદી નેતા પ્રચંડ વડાપ્રધાન બન્યા હતા.

ઓગસ્ટ-2003માં માઓવાદી બળવાખોરોએ સરકાર સાથે વાતચીત બંધ કરી. તો ફરી હિંસાચાર શરૂ કરતા સાત માસ જૂનો યુદ્ધવિરામ કરાર પણ પડતો મૂક્યો હતો. બાદમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બેફામ હિંસક ઘર્ષણો શરૂ થયા અને માઓવાદીઓએ લાશોની ખેતી શરૂ કરી હતી. એપ્રિલ-2004માં નેપાળ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થયું હતું. મે-2004માં લોકશાહીને ફરીથી લાગુ કરવાની માગણી સાથે જનઆંદોલન ઉગ્ર બન્યા હતા. જેના કારણે રાજાશાહીના ટેકેદાર વડાપ્રધાન સૂર્યબહાદૂરસિંહ થાપાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ફેબ્રુઆરી-2005માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ સરકારને બરખાસ્ત કરી. સત્તાના સૂત્રો હસ્તગત કર્યા. માઓવાદીઓના ખાત્મા માટે ફરીથી કટોકટીની જાહેરાત પણ કરી હતી. એપ્રિલ-2005માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ રાજા જ્ઞાનેન્દ્રને કટોકટી હટાવી લેવી પડી હતી. નવેમ્બર-2005માં માઓવાદીઓ અને વિપક્ષી દળો વચ્ચે લોકશાહીના પુનર્સ્થાપન માટે સમજૂતી સધાઈ હતી. એપ્રિલ-2006માં નેપાળી સંસદે સર્વસંમતિથી રાજા જ્ઞાનેન્દ્રના તમામ રાજકીય વિશેષાધિકારો અને સત્તાને ખતમ કરી હતી.

નવેમ્બર-2006માં સરકાર અને માઓવાદીઓ વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. વ્યાપક શાંતિ કરાર હેઠળ 10 વર્ષ જૂની બળવાખારીની ઔપચારીક સમાપ્તિ થઈ હતી. જાન્યુઆરી-2007માં હંગામી બંધારણ પ્રમાણે માઓવાદીઓ નેપાળની સંસદમાં પ્રવેશ્યા હતા.

એપ્રિલ-2007માં નેપાળના મુખ્ય રાજકીય પ્રવાહમાં માઓવાદી બળવાખોરો પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તેઓ વચગાળાની સરકારમાં પણ જોડાયા હતા. સપ્ટેમ્બર-20087માં માઓવાદી હિંસાની સમાપ્તિની ઘોષણા બાદ પહેલીવાર કાંઠમંડૂમાં ત્રણ બોમ્બ વિસ્ફોટો થયા હતા. રાજાશાહીને પ્રતીકાત્મક રીતે પણ અસ્તિત્વમાં નહીં રહેવા દેવાની માગણી સાથે માઓવાદીઓએ સરકાર છોડી હતી. જેના કારણે નવેમ્બર માસમાં યોજનારી બંધારણીય સભાની ચૂંટણીઓ રદ્દ કરવી પડી હતી

 ડિસેમ્બર-2007માં શાંતિ કરાર હેઠળ માઓવાદીઓ સરકારમાં ફરીથી જોડાવા રાજી થયા હતા. તેમની સાથેની સમજૂતી પ્રમાણે નેપાળી સંસદે રાજાશાહીને સંપૂર્ણપણે રૂખસદ આપવાની મંજૂરી આપી હતી. જાન્યુઆરી-2008માં દક્ષિણ તરાઈના મેદાન પ્રદેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. જેમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. તરાઈમાં આંદોલનકારીઓ પ્રાદેશિક સ્વાયત્તાતાની માગણી કરી રહ્યા હતા.

એપ્રિલ-2008માં ભૂતપૂર્વ માઓવાદી બળવાખોરો બંધારણીય સભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમને સ્પષ્ટ બહુમતી મળી નહીં. મે-208માં નેપાળ પ્રજાતાંત્રિક દેશ બન્યું. જૂન-2008માં નવા રાષ્ટ્રપ્રમુખ સંદર્ભે ઉભા થયેલા વિવાદને કારણે માઓવાદી પ્રધાનોએ રાજીનામા ધરી દીધા હતા. જુલાઈ-2008માં રામબરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.

ઓગસ્ટ-2008માં માઓવાદી નેતા પ્રચંડે ગઠબંધન સરકારની રચના કરી હતી. નેપાળી કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું.

ચીન તરફી ગણાતા માઓવાદીઓ નેપાળના રાજકારણના મુખ્યપ્રવાહમાં સામેલ થતા જ નેપાળમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ઉગ્ર બનવા લાગી હતી. નેપાળમાં ભારતીય હિતોને માઓદીઓની સરકાર નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ હતી. તો માઓવાદી નેતા પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પરંપરા તોડીને ચીનની સૌ પ્રથમ વિદેશ યાત્રા કરી હતી. પ્રચંડ ભારત પણ આવ્યા હતા. પરંતુ તેમણે ભારત વિરોધી વલણ સહેજ પણ ઢીલું કર્યું નહીં.


2001થી 2003 દરમિયાન નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર અને રાજકીય અસ્થિરતા

આનંદ શુક્લ

નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર... 2001માં નેપાળના લોકપ્રિય રાજા બીરેન્દ્ર અને તેમના રાજપરિવારની હત્યાને કારણે રાજકીય અસ્થિરતાએ વેગ પક્ડયો હતો. તો નવા રાજા જ્ઞાનેન્દ્રને માઓવાદીઓ તરફથી મોટા રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.

1994થી 2001 સુધી નેપાળમાં રાજકીય અસ્થિરતાઓ અવાર-નવાર સપાટી પર આવી હતી. 1994માં કોઈરાલા સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. નવી ચૂંટણીમાં ડાબેરીઓની સરકાર સત્તા પર આવી હતી. 1995માં ડાબેરી પક્ષોની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. 1995થી ચીન તરફી વિચારધારાવાળા માઓવાદી ડાબેરીઓએ નેપાળમાં એક દાયકા જેટલી લાંબી લડાઈ શરૂ કરી હતી. આ હિંસામાં એક અંદાજ પ્રમાણે.. 20 હજારથી વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 1997માં શેર બહાદૂર દેઉબાની સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. વારંવાર વડાપ્રધાનો બદલાતા નેપાળમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ હતી. 2000માં ગિરિજાપ્રસાદ કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. તેઓ નેપાળમાં 10 વર્ષમાં સત્તા પર આવેલી નવમી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.

જૂન.. 2001ના રોજ નેપાળ નરેન્દ્ર બિરેન્દ્ર.. મહારાણી ઐશ્વર્યાદેવી અને રાજપરિવારના અન્ય સભ્યોની રહસ્યમયી સામૂહિક હત્યા થઈ હતી. દાવા પ્રમાણે- આ હત્યાઓ યુવરાજ દીપેન્દ્રએ દારૂના નશામાં બેફામ ગોળીબાર કરીને કરી હતી. બાદમાં યુવરાજ દીપેન્દ્રએ પણ આત્મહત્યા કરી હતી. 2001માં બીરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્ર નેપાળ નરેશ બન્યા હતા. જુલાઈ-2001માં માઓવાદી હિંસામાં બેફામ વધારો થયો હતો. તેને કાબુમાં નહીં કરી શકવાને કારણે ગિરિજાપ્રસાદ કોઈરાલાને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. તેમના સ્થાને શેર બહાદૂર દેઉબાને વડાપ્રધાન બનાવાયા હતા. નવેમ્બર-2001માં માઓવાદીઓએ શાંતિવાર્તાને નિષ્ફળ ગણાવી હતી. તેમણે ચાર માસ જૂનો યુદ્ધવિરામ પણ રદ્દ કર્યો હતો. ત્યાર બાદ માઓવાદીઓએ નેપાળી સેના અને પોલીસ પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા.

નવેમ્બર-2001માં બેફામ હિંસાચાર વચ્ચે માત્ર ચાર દિવસમાં 100 લોકોની કરપીણ હત્યા કરાઈ હતી. જેના કારણે નેપાળમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ માઓવાદીઓને કચડી નાખવાના કડક આદેશ જારી કર્યા હતા. નેપાળી સેના અને માઓવાદીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મે-2002માં નેપાળી સંસદ ભંગ કરાઈ હતી. વચગાળાની સરકારમાં શેર બહાદૂર દેઉબા વડાપ્રધાન બન્યા હતા. કટોકટીને લંબાવવાની તેમણે મંજૂરી આપી હતી. ઓક્ટોબર-2002માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ દેઉબા સરકારને બરખાસ્ત કરી હતી. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાના આદેશ પણ આપ્યા હતા. જાન્યુઆરી-2003માં નેપાળી સરકાર અને માઓવાદીઓએ યુદ્ધવિરામ પણ જાહેર કર્યો હતો.

નેપાળની અશાંતિની આગમાં ચીન તરફી તત્વોએ ઘી હોમ્યુ હોવાની આશંકાઓ તેજ બની હતી. તેવા સંજોગોમાં નેપાળની અસ્થિરતાથી વિશિષ્ટ સંબંધો ધરાવતા પાડોશી દેશ ભારતની ચિંતામાં વધારો થયો હતો. જો કે ભારતે નેપાળમાં અસ્થિરતામાં કોઈ નકારાત્મક ભૂમિકા અપનાવવાની જગ્યાએ લોકશાહીની માગણીને ટેકો આપીને સમગ્ર મામલે તટસ્થ રહેવાની નીતિ અખત્યાર કરી હતી.

1768માં શાહ વંશી રાજાશાહી દ્વારા એકીકૃત નેપાળ બન્યા બાદ 1991માં આંશિક લોકશાહી આવી

આનંદ શુક્લ

હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલું નેપાળ તેની રાજકીય તવારીખની તારીખમાં ઘણાં ઉતાર-ચઢાવ જોઈ ચુક્યું છે. નેપાળમાં ગોરખા શાસકોના પ્રભુત્વ બાદ દુનિયાના એકમાત્ર હિંદુ રાજ્ય તરીકે આધુનિક સમયમાં પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ આજે નેપાળમાં સંપૂર્ણ રાજાશાહીના સ્થાને સંપૂર્ણ લોકશાહી છે. તો હિંદુ રાજ્યના સ્થાને હવે તે ધર્મનિરપેક્ષ પ્રજાતાંત્રિક રાજ્ય બન્યું છે.

1768માં ગુરખા શાસક પૃથ્વી નારાયણ શાહે કાઠમંડૂ જીતીને એકીકૃત નેપાળનો પાયો નાખ્યો હતો. 1792માં તિબેટમાં ચીનના હાથે હાર ખાધા બાદ નેપાળનું વિસ્તરણ અટક્યું હતું. 1814થી 1816 સુધી ચાલેલા એન્ગ્લો નેપાળ યુદ્ધ બાદ તેને બ્રિટિશરો સાથે સંધિ કરવી પડી. આ સંધિ દ્વારા નેપાળની પ્રવર્તમાન સરહદો નક્કી થઈ છે. 1846માં નેપાળની સત્તા વંશાનુગત રાણા વંશના મુખ્યમંત્રીઓ હસ્તગત હતી. રાણાઓએ નેપાળના રાજતંત્ર પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે નેપાળને દુનિયાથી અલગ પાડી દીધું હતું. 1923માં બ્રિટિશરોએ નેપાળની સાર્વભૌમતાને સંધિ દ્વારા સ્વીકારી હતી.

સંપૂર્ણ રાજાશાહી તરફ પગરણ માંડતા 1950માં રાણાઓ વિરુદ્ધ ભારત તરફી શક્તિઓએ રાજાશાહી સાથે જોડાણ કર્યું. 1951માં નેપાળમાં રાણાઓનું વર્ચસ્વ ખતમ થયું. નેપાળ નરેશની પ્રભુસત્તા ફરીથી સ્થપાઈ હતી. રાણાઓ સામે બળવો કરનારા નેતાઓના વર્ચસ્વવાળી નેપાળી કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી.

1953માં ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હિલેરી અને નેપાળી શેરપા તેન્ઝિંગ નોર્ગેગ્વેએ માઉન્ટ એવરેસ્ટ સૌ પ્રથમ સર કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1955માં નેપાળ યુનોનું સભ્ય બન્યું હતું. તો તે વર્ષે નેપાળ નરેશ ત્રિભુવનનું નિધન તથા મહેન્દ્ર નવા રાજા બન્યા હતા.

1959માં નેપાળે બહુપક્ષીય બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો. 1960માં નેપાળી કોંગ્રેસ પાર્ટીની જીત બાદ બી. પી. કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. નેપાળ નરેશ મહેન્દ્રએ બંધારણ અને સંસદ સ્થગિત કર્યા હતા. 1962માં નેપાળમાં નવું બંધારણ લાગુ થયું હતું. પક્ષવિહીન રાષ્ટ્રીય પંચાયતની રચના થઈ હતી.

નેપાળ નરેશે સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. 1963માં રાષ્ટ્રીય પંચાયતની પ્રથમ ચૂંટણી થઈ હતી. 1972માં નેપાળ નરેશ મહેન્દ્રનું નિધન થયું. તેમના પુત્ર બીરેન્દ્રનો નેપાળના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો.

નેપાળમાં બહુપક્ષીય રાજકારણના તબક્કામાં 1980માં આંદોલનોને કારણે બંધારણીય જનમત લેવાયો. તેમાં રાષ્ટ્રીય પંચાયત પદ્ધતિને ખૂબ ઓછું સમર્થન મળ્યું. નેપાળ નરેશે નેશનલ એસેમ્બલીમાં પક્ષવિહીન પદ્ધતિથી સીધી ચૂંટણીને સંમતિ આપી દીધી હતી. 1985માં એનસીપીએ બુહપક્ષીય પદ્ધતિ લાગુ કરવા માટે સવિયન કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું હતું. 1986માં નેપાળી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 1989માં ભારત સાથે વ્યાપારિક અને પરિવહન મામલે વિવાદ સર્જાયો. જેના કારણે લેન્ડલોક નેપાળની નાકાબંધી કરાઈ હતી. તેનાથી નેપાળમાં આર્થિક સંકટ પેદા થયું હતું.

1990માં એનસીપી અને ડાબેરી પક્ષોના ટેકાથી લોકશાહી માટે આંદોલને જોર પકડયું હતું. રોયલ નેપાળ આર્મીએ આંદોલન કચડવા સેંકડો લોકોની હત્યાઓ કરી હતી. જનઆંદોલનના દબાણને કારણે નેપાળ નરેશ બીરેન્દ્ર નવા બંધારણ માટે સંમત થયા હતા. 1991માં નેપાળી કોંગ્રેસે પ્રથમ બહુપક્ષીય લોકશાહી ઢબની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગિરિજાપ્રસાદ કોઈરાલા નેપાળના વડાપ્રધાન બન્યા હતા.

ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક એવા લેન્ડલોક નેપાળની આંતરીક સમસ્યાઓ વિશિષ્ટ પ્રકારની હતી. નેપાળમાં 1949થી 1991ના સમયગાળામાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા. તેમાં ભારત સાથેના સંબંધોમાં મીઠાશ-કડવાશ અને ચીન સાથે સંબંધો વધારવાની ફિરાકમાં ભારત સાથે સંબંધો બગાડવાની હદે કૂટનીતિક ભૂલો કરાઈ હતી. તો રાજાશાહી સામે લોકશાહી માટેની ઈચ્છાશક્તિ પ્રબળ બનવા લાગી હતી. તેથી નેપાળ આ તબક્કામાં સંપૂર્ણ રાજાશાહીથી આંશિક લોકશાહી મેળવવામાં સફળ થયું હતું.

મોદી સરકાર આવ્યા સત્તામાં આવ્યા બાદ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના નવા યુગનો પ્રારંભ

આનંદ શુક્લ

મનમોહનસિંહના કાર્યકાળના આખરી તબક્કામાં અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. પરંતુ ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવતા જ બંને તરફથી સંબંધો પ્રત્યે સકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. તો સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાના છે.

31 માર્ચ, 2014ના રોજ રાજદ્વારી તકરારમાં બંને દેશો વચ્ચેના સંબંદોમાં કડવાશ આવી હતી. અમેરિકામાં ભારતીય રાજદ્વારી સાથે અપમાનજનક વ્યવહાર કરાયો હોવાના અહેવાલોથી કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યુંહતું. ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડેની અમેરિકામાં ધરપકડ કરાઈ હતી. આ વિવાદ બાદ ભારત ખાતેના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી.

લોકસભા ચૂંઠણી વખતે ભારત ખાતેના અમેરિકી રાજદૂતાવાસ દ્વારા ઘોષણા કરાઈ હતી. પરંતુ અમેરિકી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરી ન હતી. જો કે નેન્સી પોવેલે ચૂંટણીના પરિણામો બાદ રાજીનામું આપ્યું હતું.
20 મે, 2014ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન આવવાનંત આમંત્રણ આપ્યું હતું. ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે ઓબામાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ મોદીને વ્હાઈટહાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

28 જુલાઈ, 2014ના રોજ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં કથિત ભૂમિકાના આરોપ મામલે ક્લિનચિટ આપી હતી. અમેરિકાના આંતરીક ઈન્ટરનેશનલ રિલિજયસ ફ્રીડમ રિપોર્ટમાંથી મોદીના તમામ ઉલ્લેખો અને સંદર્ભો હટાવી દેવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં એસઆઈટી દ્વારા મોદીને મળેલી ક્લિનચિટવાળા અહેવાલને કોર્ટની મંજૂરીનો પણ ઉલ્લેખ કરાયો છે.

30 જુલાઈ, 2014ના રોજ અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. તેમની સાથે ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પ્રેની પ્રિત્સકર પણ સામેલ છે. 31 જુલાઈએ તેમણે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. તેમણે સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મુલાકાત કરી હતી. પહેલી ઓગસ્ટે જોન કેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. આ મુલાકાતમાં સપ્ટેમ્બર માસમાં મોદીની પ્રસ્તાવિત મુલાકાત સંદર્ભે પૃષ્ઠભૂમિ તૈયાર કરાઈ છે.

બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં ચીનના તાકતવર થયું છે. તો આતંકવાદના પડકાર વચ્ચે લોકતાંત્રિક મૂલ્યોના અસ્તિત્વની જાળવણી માટે બંને મહત્વની લોકશાહીના સાથે આવવું જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે અમેરિકાની જગત જમાદારની ભૂમિકા અને પોતાના હિતોની જ નિસ્બતનો સ્વાર્થી દ્રષ્ટિકોણ ભારતના રણનીતિક હિતોનો બલિ લઈ લે નહીં તે જોવું પણ અત્યંત જરૂરી છે.

1991-2001: સોવિયત સંઘના તૂટયા બાદ ઉદારીકરણને અપનાવનાર ભારત અમેરિકાની નજીક આવ્યું

આનંદ શુક્લ

1991થી ભારતે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો. જેના કારણે ભારત એક બજાર તરીકે વિશ્વ સામે ખુલ્લું મૂકાયું. અમેરિકાને ભારતના બજારમાં પોતાના આર્થિક હિતો દેખાતા તેણે દ્વિપક્ષીય સંબંધો સુધારવાની શરૂઆત કરી. પણ 1998માં વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણો કરતા ફરીથી અમેરિકા સાથેના સંબંધો પાટા પરથી ઉતરી ગયા હતા. પરંતુ વાજપેયી સરકારના કાર્યકાળમાં જ ભારત અમેરિકા સાથે સૌથી વધારે નજીક પહોંચવા લાગ્યું હતું. જે ભારતની પરંપરાગત બિનજોડાણવાદી અને બાદમાં રશિયા તરફી નીતિઓમાં બહુ મોટો વળાંક હતો.

24 જુલાઈ, 1991ના રોજ તત્કાલિન નરસિંહરાવ સરકારે ભારતને ઉદારીકરણના આર્થિક સુધારાના રસ્તે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરસિંહરાવે આર્થિક ઉદારીકરણને મંજૂરી આપી હતી. જેના કારણે આર્થિક હિતોની આસપાસ અમેરિકા સાથેના સંબંધો વિકસવાની શરૂઆત થઈ હતી. તે સમયે ડૉ. મનમોહનસિંહ ભારતના નાણાં મંત્રી તરીકે મહત્વની ભૂમિકામાં હતા.

ભારત અને અમેરિકાના આગળ વધી રહેલા સંબંધોમાં 11 મે, 1998ના રોજ ભારત દ્વારા બીજું પરમાણુ પરીક્ષણ કરાયું હતું. પોખરણમાં તત્કાલિન વાજપેયી સરકારે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને અંધારામાં રાખીને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને ચુગઈની પહાડીઓમાં છ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. જેના કારણે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની દોડ તેજ થવાનો વૈશ્વિક ડર પેદા થયો હતો. જેના કારણે અમેરિકાના ભારત સાથેના સંબંધો ફરીથી વણસ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને અમેરિકી કાયદા પ્રમાણે ભારત પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

3 મે, 1999ના રોજ કારગીલ યુદ્ધને કારણે અમેરિકાની પાકિસ્તાન પરસ્ત નીતિઓમાં ફરીથી પરિવર્તન આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. તેના જવાબમાં ભારતે હવાઈ આક્રમણો સહીત લશ્કરી કાર્યવાહી શરૂ કરી અને આ યુદ્ધ જુલાઈ સુધી ચાલ્યું હતું. 4 જુલાઈ, 1999ના રોજ કિલન્ટને પાકિસ્તાના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. કિલન્ટના કડક નિર્દેશ બાદ શરીફે પાકિસ્તાની સેનાને કારગીલમાંથી પાછી ખેંચી હતી. તો ભારતે પણ તેમને સેફપેસેજ આપવા તૈયારી દેખાડી હતી.

20 માર્ચ, 2000ના રોજ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા. 1978 બાદ પહેલી વખત કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની યાત્રાએ આવ્યા હતા. 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ક્લિન્ટને સંબંધો સુધારવા ભારતની મુલાકાત લીધી હતી. જો કે તેણે ભારત પર સીટીબીટી પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કર્યું હતું. ઈન્ડો-યુએસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવી. ભારતીય અર્થતંત્રએ મજબૂતી પકડતા અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું હતું. શીતયુદ્ધ વખતની પાકિસ્તાનની આળપંપાળની અમેરિકી નીતિમાં પણ ફેરફાર થયો હતો.

અમેરિકા પર 9-11ના આતંકી હુમલા બાદ 22 સપ્ટેમ્બર-2001ના રોજ તેણે ભારત પર પરમાણુ પરીક્ષણ બાદ લગાવેલા આર્થિત પ્રતિબંધો હટાવી લીધા હતા. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે ભારતની આર્થિક રોક હટાવી હતી.


2005થી 2013: ડૉ. મનમોહનસિંહના કાર્યકાળમાં ભારત અમેરિકી સંબંધો સ્થિર અને પ્રગાઢ બન્યા

- આનંદ શુક્લ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં વધુ મજબૂત બન્યા હતા. ભારતે અમેરિકા સાથે નાગરિક પરમાણુ ઊર્જા કરાર કર્યા હતા. તો ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા વચ્ચે માત્ર ચાર વર્ષના સમયગાળામાં ત્રણ મહત્વની બેઠકો યોજાઈ હતી.

15 માર્ચ, 2005ના રોજ બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષા સંદર્ભે વાટાઘાટો થઈ હતી. અમેરિકી વિદેશ પ્રધાન કોન્ડોલિઝા રાઈસ ભારત આવ્યા હતા. તે વખતે ભારતના ઈરાન સાથેના સંભવિત ઊર્જા સહકાર અને અમેરિકા દ્વારા પાકિસ્તાન સાથે ફાઈટર જેટ આપવાની ડીલ મુદ્દે તણાવ હતો. જો કે બંને દેશો વચ્ચે તણાવ વચ્ચે પણ ઊર્જા સુરક્ષા સંદર્ભેની વાટાઘાટો આગળ વધી હતી.

28 જૂન, 2005ના રોજ ભારતે નવા ડિફેન્સ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા હતા. મેરિટાઈમ સિક્યુરિટી, આતંકવિરોધી મદદને પ્રાથમિકતા આપવા માટે સંમતિ સધાઈ હતી. ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે મોટી નૌસેના કવાયત થઈ હતી. બાદમાં વાયુસેના અને ભૂમિસેનાની પણ સંયુક્ત કવાયતો થઈ હતી. 

18 જુલાઈ, 2005ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે નાગરિક પરમાણુ ઊર્જા કરાર થયો હતો. ત્રણ દશક જૂની ન્યૂક્લિયર ટ્રેડ પરની રોક હટાવી લેવાઈ હતી. ભારતે નાગરિક અને લશ્કરી પરમાણુ કાર્યક્રમો અલગ કર્યા હતા. તો નાગરિક પરમાણુ કાર્યક્રમોને આઈએઈએના સેફગાર્ડ હેઠળ આવરી લીધા હતા. અમેરિકાએ ભારતને સંપૂર્ણ નાગરિક પરમાણુ સહકારની ખાતરી આપી હતી.

જો કે 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાએ વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બુશ જૂનિયરના વહીવટી તંત્રે મોદીને વીઝા આપવાનું નકાર્યું હતું. 2002માં હુલ્લડો સંદર્ભે મોદીની કથિત ભૂમિકાના આરોપમાં અમેરિકાએ આવી નીતિ અપનાવી હતી.

માર્ચ, 2006ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા. ત્યારે નાગરિક પરમાણુ કરારને આખરી ઓપ અપાયો હતો. બંને દેશો વચ્ચે સંરક્ષણ અને આર્થિક બાબતોના કરારો પણ થયા હતા. જુલાઈ-2007માં પરમાણુ કરાર પૂર્ણ કરાયો હતો. આ કરાર બાદ ભારતને ન્યૂક્લિયર કોમર્સમાં ભાગીદારી મળી હતી. નોનપ્રોલિફેરેશન ટ્રેટીની બહાર માત્ર ભારતને જ આવી મંજૂરી મળી હતી.

નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્રણ દિવસ ચાલેલા આતંકી હુમલામાં 166 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 6 અમેરિકનો પણ માર્યા ગયા હતા. અમેરિકાએ ભારતની એજન્સીઓને મજબૂત મદદ કરી હતી. અમેરિકી તપાસ સંસ્થા એફબીઆઈના અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ભારત મોકલવામાં આવ્યા હતા.

29 નવેમ્બર, 2009ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અમેરિકા ગયા હતા. તેમનું અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મનમોહન-ઓબામા વચ્ચેની મંત્રણાનું પ્રતીકાત્મક મહત્વ હતું. જો કે તેમાં દ્વિપક્ષીય સંબંધોના મામલે સીમાચિન્હરૂપ પરિણામો મળી શક્યા નહીં.

5 એપ્રિલ, 2010ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક ભાગીદારી આગળ વધી હતી. અમેરિકી નાણાં પ્રધાન તિમોથી ગેઈથનરે ભારતની મુલાકાત લીધી. તેમણે તત્કાલિન ભારતીય નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી સાથે વાટાઘાટો કરી હતી. બંન દેશો વચ્ચે મજબૂત આર્થિક સંબંધોનો પાયો નખાયો હતો.

1 જૂન, 2010ના રોજ બંને દેશો વચ્ચે પ્રથમ રણનીતિક વાટાઘાટો થઈ હતી. તેનાથી ભારત-અમેરિકા રણનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી. તેના સંદર્ભે ભારતનું ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન ગયું હતું. અમેરિકાના તત્કાલિન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ભારતને અનિવાર્ય રણનીતિક સાથીદાર ગણાવ્યું હતું. તો ઓબામાએ બંને દેશોના સંબંધોને 21મી સદી માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. બંને દેશો વચ્ચે વાર્ષિક રણનીતિક વાટાઘાટોને પણ મંજૂરી અપાઈ હતી.

5 નવેમ્બર, 2010ના રોજ અમેરિકાએ યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના દાવાને ટેકો આપ્યો. ભારત યુએનએસસીમાં કાયમી સભ્ય પદનો દાવો કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય સંસદને સંબોધિત કરતી વખતે આ દાવાને ટેકો આપ્યો હતો. ઓબામાએ ત્યારે 14.9 અબજ ડોલરની ટ્રેડ ડીલની પણ જાહેરાત કરી હતી. જો કે તેનો હેતુ ભારતીય બજારો સુધી અમેરિકી પહોંચ વધારવા અને નાગરિક પરમાણુ કરાર પર મહત્વપૂર્ણ ચર્ચાના ભાગરૂપે જાહેર કરાઈ હતી.

19 જુલાઈ, 2011ના રોજ બંને દેશો વચ્ચે સાયબર સિક્યુરિટી કોર્પોરેશન મામલે સંમતિ સધાઈ હતી. તેને ભારત અને અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોમાં મહત્વના સ્થંભ તરીકે જોવામાં આવે છે.

30 મે, 2012ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે પેનેટ્ટા બુસ્ટ્સ મિલિટિરી સંધિ કરવામાં આવી હતી. અમેરિકી સંરક્ષણ પ્રધાન લેઓન પેનેટ્ટા ભારત આવ્યા હતા. તેમણે આ સંધિને એશિયા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેના પહેલા જાન્યુઆરી-2010માં અમેરિકી સંરક્ષણ પ્રધાન રોબર્ટ ગેટ્સ ભારત આવ્યા હતા.

27 સપ્ટેમ્બર, 2013ના રોજ વડાપ્રધાન તરીકે ડૉ. મનમોહનસિંહ અમેરિકાની આખરી મુલાકાતે ગયા હતા. તે સમયે છેલ્લા ચાર વર્ષના ગાળામાં મનમોહન-ઓબામા વચ્ચે ત્રીજી બેઠક યોજાઈ હતી. તે સમયે સુરક્ષા, વેપાર, ઈમિગ્રેશન, પરમાણુ કરાર સહીતના ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત ભારતની કથળેલી આર્થિક પરિસ્થિતિ વચ્ચે યોજાઈ હતી.


9-11ના આતંકવાદી હુમલા બાદ અમેરિકાનો ભારત માટેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. વાજપેયી સરકાર  દ્વારા અમેરિકા સાથે ઘનિષ્ઠતાની નીતિને ડૉ. મનમોહનસિંહે પોતાના વડાપ્રધાન તરીકેના દસ વર્ષના ગાળામાં વધુ મજબૂત અને સ્થિર બનાવ્યા હતા. 

1978-1990: શીતયુદ્ધની ચરમસીમાએ અમેરિકાનો પાકિસ્તાન તરફી ઝુકાવ

- આનંદ શુક્લ
ભારતમાં કટોકટી બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈની સરકારના કાર્યકાળમાં અમેરિકા સાથેના સંબંધો ફરીથી જીવિત થવા લાગ્યા હતા. અમેરિકાની નોનપ્રોફિલફેરેશન ટ્રેટી, ઈન્દિરા ગાંધીની હત્યા.. ભોપાલ ખાતેની અમેરિકી કંપનીમાં ગેસલીકની દુર્ઘટના અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકી પ્રવૃતિઓએ ફરીથી બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પાટા પર ચઢવા દીધા નહીં.

1 જાન્યુઆરી, 1978ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા. કાર્ટરે રાષ્ટ્રપતિ સંજીવ નીલમ રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે પણ મહત્વપૂર્ણ વાટાઘાટો કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્ટરે ભારતીય સંસદને સંબોધિત પણ કરી હતી. કાર્ટરની મુલાકાત બાદ જૂનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ અમેરિકાની યાત્રાએ ગયા હતા. મોરારજી દેસાઈ અમેરિકામાં છ દિવસ રોકાયા હતા.

10 માર્ચ, 1978ના રોજ અમેરિકાએ પોતાની જગત જમાદારીને સાબૂત રાખવા માટે ન્યૂક્લિયર નોન-પ્રોલિફેરેશન એક્ટ બનાવ્યો હતો. ન્યૂક્લિયર નોન-પ્રોલિફેરેશન ટ્રેટીમાં જોડાવા ભારતે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જેના કારણે અમેરિકાએ ભારતને અપાતી તમામ પરમાણ્વિક મદદને સ્થગિત કરી દીધી હતી.

31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ઓપરેશન બ્લૂસ્ટારનો બદલો લેવા માટે તેમની હત્યા કરાઈ હતી. ઈન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. 1971માં ઈન્દિરા ગાંધી અને અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સ વચ્ચે કડવાશભર્યા સંબંધો હતા. બંને વચ્ચે 1971માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ મામલે તીવ્ર મતભેદો હતા. 1982માં ઈન્દિરા ગાંધી ફરીથી અમેરિકા ગયા હતા. ત્યાર બાદ સંબંધોની નવી શરૂઆત સ્વરૂપે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યૂ બુશ ભારતની મુલાકાતે આવ્યા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ બંને દેશના સંબંધોમાં થોડી અસ્પષ્ટતાઓ કાયમ રહી હતી.

3 ડિસેમ્બર, 1984ના રોજ ભોપાલમાં ઝેરી ગેસ લીક થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક અંદાજ પ્રમાણે 10 હજારથી વધારે લોકોના મોત નીપજ્યા હતા. ભોપાલમાં અમેરિકી કંપની યૂનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં સર્જાયેલી ભીષણ દુર્ઘટના થઈ હતી. જેના કારણે પીડિતોને વળતર અને મહત્વના અમેરિકી અધિકારીઓને સેફપેસેજના મામલે બંને દેશોના સંબંધો ફરીથી પાટા પરથી ઉતરી ગયા હતા.

20 મે, 1990ના રોજ અમેરિકી ક્રાઈસિસ મિશન ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવ્યું હતં. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને કારણે ભારત સાથેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. અમેરિકી ક્રાઈસિસ મિશન બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની શક્યતાઓને ટાળવાના મિશન સાથે અહીં આવ્યું હતું. અમેરિકી મિશનમાં અમેરિકાના તત્કાલિન નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ગેટ્સ બંને દેશોના શીર્ષસ્થ નેતાઓને મળ્યા હતા.

જો કે આ સમયગાળા દરમિયાન જગત જમાદારી ટકાવવાની ફિરાકમાં દુનિયાભરમાં ઘર્ષણો પેદા કરનારા અમેરિકાનું પલડું હંમેશા ભારતની સરખામણીએ પાકિસ્તાન તરફ વધારે ઝુકેલું રહ્યું હતું. 




1949-1974 ભારત-અમેરિકા સંબંધ: નહેરુની બિનજોડાણવાદી નીતિ, ઈન્દિરા ગાંધીએ જગત જમાદારીને પડકારી

-આનંદ શુક્લ

ભારતની આઝાદીના સમયથી અમેરિકા સાથેના સંબંધોમાં સતત ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ શીતયુદ્ધની શરૂઆતમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદી નીતિ અપનાવીને અમેરિકાના પિછલગ્ગુ બનાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. તો ઈન્દિરા ગાંધીએ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને અમેરિકાની નારાજગી છતાં પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને બાંગ્લાદેશની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી. તો 1974માં ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કરીને જગત જમાદાર અમેરિકાની ખફગી વ્હોરી લીધી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે આઝાદીકાળથી બધું બરાબર રહ્યું નથી. 13 ઓક્ટોબર, 1949ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અમેરિકાની યાત્રાએ ગયા હતા. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેનને મળ્યા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા-સોવિયત સંઘ વચ્ચેના શીતયુદ્ધના પ્રારંભકાળમાં ભારતે મહત્વની ઘોષણા કરી. ભારતે અમેરિકા-સોવિયત સંઘમાંથી કોઈ એક સાથે જોડાવાના સ્થાને બિનજોડાણવાદી આંદોલનનું નેતૃત્વ લેવાની જાહેરાત કરી. ભારતનું વલણ સમગ્ર શીતયુદ્ધના સમયગાળામાં યથાવત રહ્યું હતું. તેનાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં અડચણો સપાટી પર આવી હતી. જેના કારણે ભારત અને સોવિયત સંઘ વચ્ચે ઘનિષ્ઠતા વધવા લાગી. તો અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લીધું.

9 ડિસેમ્બર, 1959ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ આઈસનહોવર ભારતની મુલાકાતે આવ્યા. આઈસનહોવર ભારતની મુલાકાતે આવનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ હતા. તેમણે તત્કાલિન ભારતીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાટાઘાટો કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ આઈસનહોવરે ભારતીય સંસદને સંબોધિત પણ કરી હતી

20 ઓક્ટોબર, 1962ના રોજ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતે ચીનના આક્રમણ સામે અમેરિકાનો ટેકો માંગ્યો હતો. વડાપ્રધાન નહેરુએ અમેરિકી રાષ્ટ્રપતિ જહોન એફ. કેનેડીને આ સંદર્ભે પત્ર પણ લખ્યો હતો. અમેરિકાએ ત્યારે બંને દેશો વચ્ચેની મેકમોહન રેખાને સરહદ તરીકે માન્યતા આપી હતી. ભારતને અમેરિકાએ હવાઈ મદદ અને શસ્ત્રસરંજામ પુરા પડવાની ખાતરી આપી હતી. 1965 સુધી ભારત અને અમેરિકા વચ્ચે સામરિક-લશ્કરી સંબંધો યથાવત રહ્યા હતા. પરંતુ 1965માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ બાદ અમેરિકા સાથેના સંબંધોના સમીકરણો બગડયા હતા.

1963માં ભારતના ખાદ્યાન્ન સંકટના ઉકેલમાં અમેરિકાએ ખાદ્યાન્ન ક્રાંતિને પ્રોત્સાહન આપીને મદદ કરી હતી. અમેરિકી કૃષિ વિશેષજ્ઞ નોર્મન બોરલોગ ભારત આવ્યા હતા. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંની પ્રજાતિઓના પરીક્ષણો શરૂ કર્યા હતા. તેમણે ભારતમાં હરિત ક્રાંતિ માટે મજબૂત સહયોગ પુરો પાડયો હતો. જેના કારણે ભારતના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામિનાથનને હરિત ક્રાંતિમાં સફળતા મળી હતી. ભારત આ સમયગાળામાં ખાદ્યાન્ન ઉત્પાદનમાં પગભર બન્યું હતું.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશીઓ પર સૈન્ય અત્યાચાર થયા હતા. પાકિસ્તાની સેના સામે નાગરિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતમાં શરણાર્થીઓના ધાડાઓ ઉતરી આવતા ભારતે પૂર્વ પાકિસ્તાનમાં હસ્તક્ષેપ કરવો પડયો હતો. અમેરિકાએ આ યુદ્ધમાં પાકિસ્તાનનો પક્ષ લઈને ભારતને ધમકાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમના ભારત વિરોધી વલણ મામલે કુખ્યાત બન્યા હતા. જેના પરિણામે ભારતે પોતાની ઘોષિત બિનજોડાણવાદી નીતિમાં પરિવર્તન કરીને સોવિયત સંઘ સાથે ઓગસ્ટ માસમાં સંઘિ કરી હતી. 1971માં 16 ડિસેમ્બરે ઢાકા કબજે કરીને ભારતીય સેનાઓએ બાંગ્લાદેશની રચનામાં ભારતની મુખ્ય ભૂમિકા પ્રસ્થાપિત કરી હતી.

18 મે, 1974ના રોજ ભારતે પોખરણ ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ભારત યૂએનએસસીના પાંચ કાયમી સભ્યો સિવાય છઠ્ઠુ પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર બન્યું હતું. જેના કારણે અમેરિકા અને ભારત વચ્ચે બે દાયકા સુધી કડવાશ ભર્યા સંબંધો રહ્યા હતા. 

જગત જમાદારી માટે અમેરિકાને પણ છે ભારત સાથે સારા સંબંધોની જરૂરત

- આનંદ શુક્લ

દુનિયામાં જગત જમાદાર તરીકે પોતાના રાષ્ટ્રીય અને સામરિક હિતોની પૂર્તિ માટે યુદ્ધો ખેલવાની તાસિર ધરાવતા અમેરિકા સામે હાલ ઘણાં મોટા રણનીતિક પડકારો છે. સોવિયત સંઘના તૂટયા બાદ હવે ચીન પડકાર છે, તો ઈસ્લામિક દેશોમાં હસ્તક્ષેપને કારણે અમેરિકા સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તો મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હિંસક કાર્યવાહીમાં ટેકો આપવાના કારણે આરબ દેશોમાં અમેરિકા વિરોધી લાગણીઓ જોર મારી રહી છે. આવા સંજોગોમાં અમેરિકાની પણ ભારત પાસે ઘણી મોટી અપેક્ષાઓ છે.

ઈરાકમાં બે વખત સૈન્ય કાર્યવાહી અને 9-11ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન-અલકાયદાને ખતમ કરવા માટેના આતંકવાદ સામેના યુદ્ધને કારણે અમેરિકાની આર્થિક સ્થિતિ કથળી છે. અમેરિકા ઘરઆંગણે બેરોજગારીના પડકારનો પણ સામનો કરી રહ્યું છે. તો ઈસ્લામિક દેશોમાં અમેરિકી હસ્તક્ષેપથી ઈજીપ્ત, લીબિયા, ઈરાન સહીતના દેશોમાં આક્રોશનું વાતાવરણ છે. આવા સંજોગોમાં અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સામરિક પડકારો ઉભા થયા છે. ત્યારે અમેરિકાને દક્ષિણ એશિયામાં પોતાના હિતોની પૂર્તિ માટે અને ચીનની આક્રમકતાને કાબુમા રાખવા માટે ભારત તરીકે મજબૂત રણનીતિક સાથીદાર જોઈએ છે. 2016 સુધીમાં અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકી સેનાની વાપસી બાદ આતંકવાદી પરિબળોને નાથવા ભારત સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયારી દાખવે તેવી અમેરિકાને અપેક્ષા રહેશે.

તો ભારત સંરક્ષણ અને વીમા સહીત ઘણાં ક્ષેત્રોમાં એફડીઆઈને મંજૂરીની મર્યાદા વધારી છે. તેવા સંજોગોમાં અમેરિકા પોતાના દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ભારતમાં આવા ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માટે પુરજોર કોશિશ કરવા ઈચ્છે છે. ભારત અમેરિકા માટે એક ઘણું મોટું બજાર છે. તેવા સંજોગોમાં અમેરિકા ભારત સાથે પ્રગાઢ સંબંધો વધારીને પોતાના આર્થિક હિતોની પણ પૂર્તિ કરવા ઈચ્છે છે.

આવા સંજોગોમાં અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીની ભારત યાત્રામાં અમેરિકી અપેક્ષાઓ પણ સ્પષ્ટ બની છે. ડૉ. મનમોહનસિંહના કાર્યકાળમાં થયેલા નાગરિક પરમાણુ ઊર્જા કરારના મામલે ભારત આગળ  વધે. પરમાણુ વીજ સંયંત્રમાં રોકાણ માટે સાર્થક આશ્વાસન આપે. ભારત વિશ્વમાં શસ્ત્રનું સૌથી મોટું ખરીદાર છે. ત્યારે સંરક્ષણ સોદાઓમાં અમેરિકાને પ્રાથમિકતા મળે અને ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં અમેરિકાને સ્થાન મળે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારીક સંબંધો માટે ઓબામા વહીવટી તંત્રને ખૂબ આશા છે,

હાલ બંને દેશ વચ્ચે 100 અબજ ડોલરનો વાર્ષિક વેપાર થાય છે. અમેરિકાને ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર 400થી 500 અબજ ડોલર સુધી લઈ જવો છે. અમેરિકા ભારત સાથેના રણનીતિક સંબંધો વધુ પ્રગાઢ બનાવવા ઈચ્છે છે. દક્ષિણ એશિયા અને ચીન સામે સામરિક હિતોની સુરક્ષા માટે અમેરિકા ભારત સાથેના રણનીતિક સંબંધોને સક્રિય સૈન્ય સંબંધો સુધી વિકસિત કરવાની મનસા ધરાવે છે. સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દાઓ પર સંમતિ સાધી શકાય તેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી શકાય. તો ડબલ્યૂટીઓની તાજેતરની બેઠકમાં સબસિડીની કપાતના મામલે ભારત તરફથી દર્શાવાયેલી અસંમતિ બાદ અમેરિકા મોદી સરકારને તેના માટે રાજી કરવા ઈચ્છે છે.

અમેરિકાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ સાથે અન્ય દેશોના સંસાધનોનું અને બજારનું મોટું આર્થિક શોષણ કર્યું હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. ત્યારે અમેરિકા કોઈપણ દેશ સાથે પોતાના સામરિક અને આર્થિક હિતોના આધારે જ સંબંધો વધારતું હોવાનું માનવામાં આવે છે. પરંતુ 9-11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલા બાદ અમેરિકાના સામરિક દ્રષ્ટિકોણમાં ઘણો મોટો ફેરફાર થયો છે અને તેમાં ભારતના રાષ્ટ્રીય હિતોની પૂર્તિ થાય તેવી કેટલીક શક્યતાઓ પણ ઉભી થઈ છે. ત્યારે બંને દેશો વચ્ચેના પ્રગાઢ સંબંધો ખરેખર પારસ્પરિક જરૂરિયાત છે.


વૈશ્વિક પરિવર્તનોવાળી 21મી સદીમાં ભારતની અમેરિકા પાસેથી અપેક્ષા

- આનંદ શુક્લ
અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી સાથે આવેલા ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પેની પ્રિત્સકર પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાનની મુલાકાત બહુકોણીય ઉદેશ્યોની પૂર્તિ માટે હતી. ત્યારે જોઈએ ભારતની અમેરિકા પાસે કઈ સંભવિત અપેક્ષાઓ છે....

અમેરિકાના વિદેશ પ્રધાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુરુવારે ભારત-અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. કેરીએ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મહત્વની વાતચીત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર માસની પ્રસ્તાવિત અમેરિકાની યાત્રા માટે પણ જોન કેરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે. એક નજર કરીએ અમેરિકા પાસે ભારતની તાત્કાલિક અપેક્ષાઓ પર...

ભારતની અમેરિકા પાસે અપેક્ષા રહેશે કે ઓબામા વહીવટી તંત્ર દ્વારા ભારતીયોના વીઝાના કડક બનાવાયેલા નિયમોમાં મુક્તિ મળે. દક્ષિણ એશિયા અને ભારતમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી પ્રવૃતિઓ સામે કડક પગલા આંતરરાષ્ટ્રીય મંચ પર લેવાય.

2008માં થયેલા મુંબઈ પરના ભીષણ આતંકવાદી હુમલાના અમેરિકી જેલમાં બંધ ગુનેગાર ડેવિડ હેડલીની પુછપરછ માટે ભારતને મંજૂરી મળે. વ્હીસલ બ્લોઅર સ્નોડેનના દાવા પ્રમાણે, અમેરિકી એજન્સીને ભારતના નેતાઓની જાસૂસીની મંજૂરી મળી છે. તો આ કથિત જાસૂસી બંધ કરવાની મોદી સરકારની તાત્કાલિક ઈચ્છા રહેશે. દેવયાની ખોબ્રાગડે સાથે થયેલા દુર્વ્યવહાર બાદ અમેરિકામાં અન્ય કોઈ ભારતીય રાજદ્વારીઓ સાથે અપમાનજનક વ્યવહારની સ્થિતિ ફરીથી ઉભી થાય નહીં.

સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દે સમજૂતી બને. તકનીકી બાબતો અને સંશોધનોમાં સહયોગમાં વધારો થાય. ભારતીય સૈન્યના આધુનિકીકરણ માટે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની મદદ મળે. વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી બાદ અમેરિકી મૂડી રોકાણને આકર્ષિત કરવું.

દક્ષિણ એશિયામાં અસ્થિરતા અને આતંકવાદની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રીય હિતોને અમેરિકાનો ટેકો મળે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય પદ માટે અમેરિકા વલણ બદલી ટેકો આપે. શીતયુદ્ધ બાદ એકધ્રુવીય થયેલા વિશ્વમાં ભારતને અમેરિકા સ્વરૂપે મજબૂત સાથીદાર મળે.

તાજેતરમાં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે કલાક રાહ જોવડાવી અને બીજા દિવસે મુલાકાત આપી હતી. જેને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં એક મોટા ફેરફાર તરીકે પણ જાણકારો જોઈ રહ્યા છે. તો પાકિસ્તાનને તાજેતરમાં રશિયાએ ભારતને વેચ્યા હતા.. તેવા જ હેલિકોપ્ટરોની ખેપ આપી છે.

ત્યારે રશિયાના મર્યાદિત બનેલા વૈશ્વિક પ્રભાવ અને ભારત માટે સોવિયત સંઘના તબક્કા જેવી સંબંધોમાં ગાયબ થઈ રહેલી ઉષ્મા વચ્ચે અમેરિકા-ભારત નજીક આવે તે બંને દેશોની રણનીતિક જરૂરિયાત છે. 9-11ના હુમલા બાદ અમેરિકાને પોતાના રાષ્ટ્રીય હિતો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતની જરૂરિયાત થોડાઘણાં અંશે સમજાઈ છે.

Saturday, July 12, 2014

વિકાસની ઉધઈ એટલે મોંઘવારી: ફૂગાવાના સતત ઉંચા રહેલા દરથી ગરીબો “મીઠા” ફળથી વંચિત

આનંદ શુક્લ

ઉદારીકરણ પછી અર્થતંત્રે વિકાસની ગતિ પકડી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ સમયગાળામાં આવેલી સરકારોએ ફૂગાવાના ઉંચા દર અને મોંઘવારીની સમસ્યાનો સામનો કર્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવવધારાને કારણે જનતાનું જીવન દુભર બન્યું છે. લોકોને પોષણ સંબંધિત મામલાઓમાં સમજૂતીઓ કરવી પડે છે. મોંઘવારીને કારણે ખાદ્યાન્ન, પેટ્રોલિયમ પેદાશ, રેલવે ભાડા સહીતની સેવાઓ મોંઘી થઈ છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પર વિકાસના દાવાઓ વચ્ચે મોંઘવારીએ વિપરીત પ્રભાવ ઉભો કર્યો છે.

મોંઘવારીની વિકાસ સાથે સ્પર્ધા-

ભારતે ઉદારીકરણની આર્થિક નીતિ અપનાવ્યા બાદ મોંઘવારી દેશનો ઘણો મોટો પ્રશ્ન બન્યો છે. જો કે 1974 અને 1975-76માં દેશમાં ફૂગાવાનો દર સૌથી વધારે હતો. પરંતુ જો 1991થી ફૂગાવાના દરને જોઈએ, મોંઘવારી અને વિકાસના દર વચ્ચે સતત સ્પર્ધા જોવા મળે છે.

ઉદારીકરણ પછીનો સમયગાળો-

કન્ઝૂમર  પ્રાઈસ ઈન્ડેક્સના આધારે 1991માં કોંગ્રેસની નરસિમ્હારાવની સરકારના કાર્યકાળમાં ફૂગાવાનો દર 13.07 ટકા હતો. 1992માં ફૂગાવો 8 ટકા, 1993માં 8.64 ટકા, 1994માં મોંઘવારી 8.64 ટકા અને 1995માં ફૂગાવાનો દર 9.69 ટકા રહ્યો છે.

રાજકીય અસ્થિરતાનો ગાળો-

1996થી 1998 વચ્ચે કાંખઘોડીવાળી ત્રીજા મોરચાની કોંગ્રેસના ટેકાવાળી સરકારોમાં દેશમાં ફૂગાવાનો દર વધ્યો હતો. 1996માં ફૂગાવો 10.41 ટકા,  1997માં મોંઘવારી દર 6.29 ટકા અને 1998માં 15.32 ટકા ફૂગાવાનો દર રહ્યો હતો.

એનડીએનો કાર્યકાળ- 

1999માં એનડીએની વાજપેયીના નેતૃત્વવાળી સરકારના સમયે ફૂગાવાનો દર 0.47 ટકા હતો. 2000માં મોંઘવારી 3.48 ટકા, 2001માં 5.16 ટકા, 2002માં 3.20 ટકા, 2003માં 3.72 ટકા, 2004માં ફૂગાવો 3.78 ટકા થયો હતો.

યુપીએનો શાસનકાળ- 

યુપીએ સરકારના સત્તા પર આવ્યાના 2005ના વર્ષમાં ફૂગાવો 5.57 ટકા થયો હતો. 2006માં 6.53 ટકા, 2007માં 5.51 ટકા, 2008માં 9.70 ટકા, 2009માં 14.97 ટકાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. જ્યારે 2010માં ફૂગાવો 9.47 ટકા, 2011માં ફૂગાવો 6.49 ટકા..તો 2012માં મોંઘવારી ફરીથી બે અંકમાં એટલે કે 11.17 ટકાએ પહોંચી હતી. જ્યારે 2013માં ફૂગાવાનો દર 9.13 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે મે-2014માં મોંઘવારીનો દર 7.02 ટકા રહ્યો હતો.

ઉદારીકરણ પછી વિકાસનો દર વધ્યો હોવાનું કહેવાય છે. પરંતુ તેની સાથે સાથે મોંઘવારીએ પણ ઉદારીકરણ પછીના સમયગાળામાં માઝા મૂકી છે. તેની પાછળ સરકારની આર્થિક નીતિ જવાબદાર છે કે આંતરરાષ્ટ્રીય બજારવાદને કારણે લોકોમાં વધેલી ઉપભોગની ભાવના? કારણ કે મોંઘવારીને કારણે વિકાસના ફળ દેશના ગરીબો સુધી પહોંચી રહ્યા નથી. મોંઘવારી વિકાસને ખાઈ રહી છે.

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


મોદીના અચ્છે દિનના સ્વપ્નલોકની સચ્ચાઈ જનતાને કડવી દવા!

આનંદ શુક્લ

મોંઘવારી ક્યારે ઘટશે? દેશના આર્થિક આરોગ્ય સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર બનીને કડવી દવા પાઈ રહ્યા છે. જેના કારણે દૂધ… પેટ્રોલ-ડીઝલ.. રેલવે ભાડા… સબસિડી વગરના સિલિન્ડર.. ડુંગળી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની છે. 10મી જુલાઈએ બજેટમાં પણ મોદી સરકાર કમ્મરતોડ ભાવવધારાથી જનતાને કોઈ રાહત આપે તેવા સંકેતો સાંપડતા નથી. લોકોને મનમોહનોમિક્સ અને મોદીનોમિક્સમાં હજી સુધી કોઈ તફાવત દેખાયો નથી. ત્યારે જનતાનો સવાલ એ છે કે મોદીએ ચૂંટણી પહેલા અચ્છે દિનનો વાયદો કર્યો હતો, તે અચ્છે દિન ક્યાં ખોવાય ગયા છે? જનતાને મોદી સરકારની મુશ્કેલીઓ સાંભળવા કરતા પોતાની સમસ્યાઓના ઉકેલમાં વધારે રસ છે.

લગભગ 10 વર્ષ સુધી મોંઘવારીના ભાર તળે દબાયેલી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનના વાયદામાં આશાનો સંચાર થયો હતો. પરંતુ ત્યાર બાદ દૂધ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓમાં ભાવવધારા થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે પોતાની સરકારની મજબૂરી ગણાવી. તેમણે દેશની આર્થિક દુર્દશા માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી અને અર્થતંત્રના આરોગ્યને સુધારવા માટે કડવી દવા આપવાની વાત કરી હતી.

દેશના અર્થતંત્રને કડવી દવા પાવા માટે વડાપ્રધાન મોદી ડોક્ટરની ભૂમિકામાં આવ્યા. તેમની સરકારે રેલવે ભાડામાં આઝાદી બાદનો સૌથી મોટો 14 ટકા જેટલો વધારો જનતાના માથે ઝીંક્યો અને નૂરભાડા પણ વધાર્યા. મોદી સરકારના મંત્રીઓએ યુપીએ સરકારની જેમ તર્કો આપવા માંડયા અને નિર્ણયને પુરોગામી સરકારનો ગણાવીને પોતાના હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો. રેલવે ભાડમાં વધારા સામે લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે.

ડોક્ટર મોદીની કડવી દવાના ડોઝ અપતા હતા અર્થતંત્રને પણ તેનાથી મોઢું કડવું થવા લાગ્યું જનતાનું. મોદી સરકારે પેટ્રોલમાં 1.69 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો તાજેતરમાં કર્યો. ડુંગળી સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા. તો સબસિડી વગરના રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા 50 પૈસાનો વધારો કરાયો છે. જેના પરિણામે જનતાએ ઉપરાઉપરી ભાવવધારા સામે દેશભરમાં દેખાવો થયા અને મોદીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યુ છે કે નબળા ચોમાસાની મીડિયામાં આવતી ખબરોને કારણે જમાખોરી વધી રહી છે અને જમાખોરીથી મોંઘવારી વધી રહી છે. દિલ્હીમાં જમાખોરોના ઠેકાણાઓ પર છાપામારી શરૂ થઈ છે અને રાજ્યોને પણ તેના માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

તો કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટ પહેલા સંકેત આપ્યા છે કે તેઓ સામાન્ય બજેટમાં સસ્તી લોકપ્રિયતાના સ્થાને અર્થતંત્રની સ્થિતિ સુધારવા પર જોર આપશે.

તેવામાં જનતાને આગામી સપ્તાહે રજૂ થનારા મોદી સરકારના બજેટમાં આકરા નિર્ણયો જોવા મળી શકે છે. જેટલીએ કહ્યુ છે કે મહેસૂલી ખાદ્ય એક મોટો પડકાર છે. મોંઘવારી પણ અત્યારે આસામાને છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટટોને એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જેટલીએ કહ્યુ છે કે અત્યારે મોંઘવારી સ્વીકાર્ય મર્યાદાથી ઉપર છે. તેમ છતાં ત્રણ-ચાર વર્ષની નિરાશા બાદ આશા દેખાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલા લેવાથી પરહેજ કરશે,કારણ કે તેનાથી રાજકોષની હાલત બગડી જશે.

આર્થિક સુધારાને નામે કેન્દ્રમાં આવેલી છેલ્લી કેટલીક સરકારોએ મોંઘવારીને ખુબ જ સોંઘી કરી નાખી છે. જેના કારણે સોંઘવારીની આશામાં સેવતી જનતાનું જીવન દુભર બન્યું છે. ભારતમાં સત્તામાં કોઈપણ આવે પણ સત્તાપક્ષની ભાષા અને નીતિઓમાં હાલના તબક્કે કોઈ જ ફરક લાગી રહ્યો નથી. વળી જાણકારો પ્રમાણે, સબસિડી હટાવી લેવાની નીતિ આગળ કરનારી સરકારોએ ઉદ્યોગો માટે અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની રાહતોની લ્હાણી કરી છે. ત્યારે સવાલ એ છે કે કલ્યાણરાજ્ય ભારતની સરકાર પ્રોફિટ મેંકિગ કંપનીમાં ફેરવાઈ ગઈ છે? લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ કેવા આર્થિક સુધારા છે..જેમાં મોંઘવારી સતત વધતી રહે છે. આ આર્થિક વિકાસના સુધારાના નામે કોનો વિકાસ થઈ રહ્યો છે?

ચૂંટણી પ્રચારમાં મોદી લોકોને પુછતા હતા કે યુપીએ સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો પુરો કર્યો છે? પણ હવે મોદી ખુદ સત્તામાં છે અને મોંઘવારી મામલે લોકોને નિરાશા પ્રાપ્ત થઈ છે. ત્યારે મોદી 200 દિવસમાં પણ મોંઘવારીને ઘટાડે તો તેમની અચ્છે દિન આવ્યાની વાત થોડી-ઘણી સાચી સાબિત થાય..

કૃષિ ક્ષેત્રની ગુનાહિત અણદેખી ભારતના અર્થતંત્ર સામેના પડકારોનું મુખ્ય કારણ

આનંદ શુક્લ

ઉદારીકરણના તબક્કામાં ભારતમાં વિકાસનું વાવાઝોડું આવ્યું હોવાનો તમામ સરકારો દાવો કરતી રહી છે. વિકાસના નામે ભારતમાં ઉદારીકરણ અને બજારવાદને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું. જેમાં ભારતના અર્થતંત્રની કરોડરજ્જૂ બનેલા કૃષિ ક્ષેત્રની ગુનાહિત અણદેખી કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે કૃષિ ક્ષેત્ર નબળું પડતું ગયું અને તેની અસર કાચા માલની ઉપલબ્ધતા, ખાદ્યાન્ન ફૂગાવાનું વધવું અને રોજગારી ઉપલબ્ધતા પર પડવા લાગી છે.

ખેડૂતોને અન્નદાતા કહેવાય છે, પરંતુ આજે અન્નદાતાને આત્મહત્યાનો માર્ગ પકડવો પડે છે. એક અંદાજ પ્રમાણે, છેલ્લા દોઢ દાયકામાં દેશભરમાં સાડા ત્રણ લાખથી વધારે ખેડૂતોએ આત્મ હત્યા કરી લીધી છે. આ આત્મહત્યાનો દોર હજી પણ અટકતો દેખાતો નથી. તો ખેડૂતો જમીનો વેચીને હવે અન્ય રોજગારીના વિકલ્પો તરફ વળ્યા છે. ખેતી છોડી દેનારા ખેડૂતો અને ખેત મજૂરોની સંખ્યા કરોડોમાં છે. ત્યારે તેની અસર ખાદ્યાન્ન ઉત્પાદન અને કાચા માલની ઉપલબ્ધતા પર પડી રહી છે. સાથે ખેતી છોડી ચુકેલા ખેડૂતો રોજગારીના મામલે પણ અસ્થિરતા અનુભવી રહ્યા છે.

આજે ખેતીનું જીડીપીમાં યોગદાન માત્ર 13.7 ટકા છે. તેમ છતાં તે દેશના બાકીના 86.3 ટકાના યોગદાન પર ભારે પડી રહી છે. આઝાદી વખતે ખેતી દેશના જીડીપીમાં 66 ટકા યોગદાન આપતી હતી. પરંતુ નહેરુથી મોદી સરકાર સુધીની આઝાદ ભારતની સફરમાં 13.7 ટકાએ પહોંચી ચુકી છે. આ તબક્કામાં સર્વિસ સેક્ટરનું જીડીપીમાં યોગદાન 20 ટકાથી વધીને 67 ટકા સુધી પહોંચી છે. એટલે કે આઝાદી વખતે જે ભૂમિકા ખેતીની હતી, તે આજે જીડીપી યોગદાનમાં સર્વિસ સેક્ટરની છે. તેમ છતાં દેશના અર્થતંત્રમાં ખેતીની મહત્વપૂર્ણ ભૂમિકાને નજર અંદાજ કરી શકાય તેમ નથી.

આજે પણ દેશના જીડીપીમાં માત્ર 13.7 ટકા યોગદાન આપતી ખેતી અને તેના આનુષંગિક ક્ષેત્રો સાથે સંબંધિત રોજગારો પર કુલ વસ્તીના 60 ટકા લોકો આજીવિકા મેળવે છે. જ્યારે બીજી તરફ સર્વિસ સેકટર દ્વારા વધારે નફો મેળવવાની સ્થિતિમાં પણ દેશના માત્ર 20 ટકા લોકો જ તેના પર નિર્ભર રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે અલ-નીનોની અસર હેઠળ નબળા ચોમાસાની ભીતિ હેઠળ વિકાસ દર સંદર્ભેની ચિંતા આર્થિક સર્વેક્ષણની સમીક્ષા દરમિયાન પણ જોવા મળી હતી. ખાદ્યાન્ન ફૂગાવાનો દર વધવાની શક્યતાઓ અને આશંકાઓ વચ્ચે મોદી સરકાર પણ કૃષિ ક્ષેત્ર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી ચુકી છે. ત્યારે સવાલ એ છે કે ખેતી અથવા ખેડૂત જ ભારતનો અસલ મર્મ છે અથવા ખેડૂતોની વાત કરીને ખેતીના કોર્પોરેટીકરણની દિશામાં મોદી સરકાર પગલા ભરવા માટે ગણતરીપૂર્વક આવી ચિંતાઓ વ્યક્ત કરી રહી છે?

વાસ્તવિક સંકટ નીતિઓનું છે. સરકારી નીતિઓથી કોઈ માળખાગત સુવિધા કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ થઈ શકી નથી. તેના કારણે ખેતીની શક્તિ ઓછી થઈ છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સરકારનું ધ્યાન નહીવત છે. 50 વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ત્રણ ટકાનો વધારો થયો છે. તેનો સીધો અર્થ એ છ કે સરકાર માટે વિકાસનો રસ્તો એ કમાણી પર ટકેલો છે કે જે વિદેશી ઉત્પાદનોને ભારતમાં લઈને આવે છે અને પછી ભારતના કાચા માલને કોડીઓના મોલે બહાર લઈ જવાનો રસ્તો ખોલે છે. આ સેવાની અવેજમાં મળનારું કમિશન જ સરકારો માટે વિકાસનો પ્રાણવાયુ બની ચુક્યું છે. ભારતના વિકાસ દરના આંકડા પાછળની વરવી વાસ્તવિકતા આ જ છે.

હાલ 125 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં 8 કરોડ ખેડૂતો અને 25 કરોડ ખેતમજૂરો છે. એટલે કે માત્ર ટેકાના ભાવથી કામ ચાલશે નહીં. ખેતીમાં સરકારે રોકાણ કરવું જ પડશે. ચોથી પંચવર્ષીય યોજનાથી 12મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકના માત્ર 1.3 ટકાથી પણ ઓછું રોકાણ કૃષિ ક્ષેત્રમાં થયું છે. ત્યારે જે દેશમાં 62 ટકા વસ્તી ખેતી પર આશ્રિત છે. 50થી 52 ટકા ખેત મજૂરો હોય, ત્યાં 1.3 ટકા ખર્ચથી સરકાર ખેડૂતોનું શું ભલુ કરી શકશે? આનાથી મોટી વરવી વાસ્તવિકતા એ છે કે ખાનગી રોકાણને આમાંથી કાઢી નાખવામાં આવે તો રાષ્ટ્રીય આવકના સરકાર માત્ર 0.3 ટકા જ રોકાણ છે. તેથી હકીકત એ છે કે દેશમાં કૃષિ ક્ષેત્રમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તેમાં સરકારનું યોગદાન માત્ર નામ પુરતું છે અને ખેડૂતો પોતાની તાકાત પર જ ઝઝૂમી રહ્યા છે.

ખાદ્ય સુરક્ષા બિલ અને સબસિડીના આંકડા જ બે લાખ કરોડ રૂપિયાને પાર કરી જાય છે. ખેતી માટે સરકારો પુરતી સિંચાઈ વ્યવસ્થા પણ કરી શકી નથી. દેશની 67 ટકા ખેતીલાયક જમીન આજેપણ પાક લેવા માટે વરસાદ પર નિર્ભર છે. મોંઘવારી અને ખેડૂતોની સમસ્યા પર કેન્દ્ર સરકાર કહે છે કે રાજ્ય સરકારોની જવાબદારી છે. જો ખેતીનો મામલો રાજ્ય સરકારોનો વિષય હોય, તો પછી કેન્દ્રીય કૃષિ મંત્રાલયની જરૂરત પર પણ સમીક્ષા કરવી પડે.

પચાસના દશકમાં ભારતમાં અન્ય ઉદ્યોગો નહીવત હતા. જેને કારણે કૃષિની આવક અને ઉત્પાદન પર અર્થતંત્ર સંપૂર્ણપણે આશ્રિત હતું. પરંતુ ભારતમાં ઉદ્યોગો વધવાની સાથે જીડીપીમાં તેમની ભાગીદારી પણ વધવા લાગી અને કૃષિની હિસ્સેદારી આઘાતજનક રીતે ઘટી છે. કૃષિ ક્ષેત્રની હાલની ઉદાસિનતા માટે ઉદારીકરણને પણ જવાબદાર ગણવામાં આવે છે. ખેતીના પાયાગત માળખાને મજબૂત કર્યા વગર અન્ય ઉદ્યોગો પ્રત્યે ઝડપથી આધારીત થવું અને તેની સરખામણીએ ખેડૂતોનો ખેતીથી મોહભંગ પણ થવા લાગ્યો છે.

કૃષિ નીતિમાં વિઝનના અભાવે અગિયાર પંચવર્ષીય યોજના બાદ પણ એવું મોડલ વિકસિત કરી શકાયું નથી કે જેમાં રોજગાર અથવા લાભની શક્યતાઓ દેખાય. ત્યારે જરૂર છે કૃષિ ક્ષેત્રોમાં વ્યવસાયપરક નક્કર પગલા ઉઠાવવામાં આવે. ભારતના પાયાગત આર્થિક આધારને એક આકર્ષક મોડલ બનાવવા માટે યોજનાબદ્ધ શરૂઆત કરવામાં આવે.

હરિત ક્રાંતિ બાદ ખાદ્યાન્ન ઉત્પાદનમાં વ્યાપક વધારા છતાં ભારત કૃષિ મોરચે અસફળ સાબિત થયું છે. હરિત ક્રાંતિ બાદ ભારતનું કુલ અનાજ ઉત્પાદન 25થી 26 કરોડ ટનની આસપાસ પહોંચી ગયું છે. પરંતુ આયાત-નિકાસ વચ્ચે અસંતુલન તથા ખોટી ભંડારણ નીતિના કારણે તેનો અપેક્ષિત લાભ ઉઠાવી શકાતો નથી. ઘઉંના ઉત્પાદનના મામલામાં અગ્રણી પંજાબમાં ગત બે વર્ષ દરમિયાન લગભગ 85 લાખ ટન ઘઉં ખુલ્લામાં રાખવા પડયા હતા. એટલે કે કૃષિ ક્ષેત્ર  પર માળખાગત સ્તર પર એટલી ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવી નથી કે જેનાથી ખેડૂતોના પરિશ્રમથી પેદા થતા અનાજને સંરક્ષિત કરી શકાય.

આ સિવાય કેટલાંક ખોટા નિર્ણયો પણ દેશની લાચારી માટે જવાબદાર છે. 90ના દશકમાં ડબલ્યૂટીઓ સમજૂતી અંતર્ગત નિકાસ પ્રત્યે ઉદાર વલણ અપનાવાનું કહેવામાં આવ્યું હતું કે ખાદ્યાન્ન સંકટ આયાતથી પુરુ કરી લેવાશે. આ નિર્ણય સારો નિર્ણય સાબિત થઈ શક્યો નથી.

આ દેશમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થયા છે. તેના પર એક-એક દિવસ સંસદમાં ચર્ચા થાય છે. પરંતુ ખેતી પર દેશની 60થી 65 ટકા વસ્તી આધારીત છે. ત્યારે કૃષિ ક્ષેત્ર માટે કોઈ સ્વતંત્ર બજેટ નથી અને તેના સાથે સંબંધિત નીતિ-નિર્માણ પર કોઈ ચર્ચા પણ સંસદમાં થતી નથી. ભારતમાં ખેતીના ક્ષેત્રો એટલા વિશાળ છે કે જો સરકારી સ્તરે તેના પર નીતિગત પગલા લેવામાં આવે અને તેને વ્યાપારીક મોડલ તરીકે સંચાલિત કરવામાં આવે તો ખેડૂતો માટે માત્ર ખાદ્યાનન્ન ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ જ નહીં, પરંતુ રોજગારલક્ષી વ્યવસાય બનીને ઉભરી શકે છે. ખેતીથી મોહભંગ થવાને કારણે ખેડૂતો ગામડા છોડીને પલાયન કરી રહ્યા છે. 

વિવાદ: ગાંધી હત્યામાં RSS પર આરોપ લગાવી રાહુલ ગાંધી ફસાયા

આનંદ શુક્લ

ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા 67 વર્ષ બાદ પણ રાજકીય મુદ્દો બને છે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની હત્યાનો મુદ્દો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ સંદર્ભે તેમણે આરએસએસના લોકો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે મહારાષ્ટ્રના ભિવંડીની કોર્ટે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

મહાત્મા ગાંધી.. ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના રાષ્ટ્રપિતા... જનતા પર એક અમીટ છાપ ધરાવે છે. ગાંધીજીનું મહાત્માપણું આજે પણ જનતાના દિલમાં રાજ કરી રહ્યું છે. પરંતુ તેમની સાથે રાજકીય રીતે અસંમત નાથુરામ ગોડસે અને તેના સાથીદારોએ તેમની હત્યા કરી નાખી હતી. ગાંધીજીની હત્યા બાદ સાવરકર સહીત ઘણાં નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તો સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ કોર્ટે નાથુરામ ગોડસે અને તેના એક સાથીદારને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મામલામાં વિનાયક દામોદર સાવરકર અને આરએસએસને ક્લિનચીટ આપવામાં આવી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસના લોકો અને વિચારધારા પર ગાંધીજીની હત્યાનો સીધો આરોપ લગાવ્યો હતો.

ભિવંડીના આરએસએસના સચિવ રાજેશ કુંતે કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરી કાર્યવાહીની માગણી કરી હતી. કોર્ટે હવે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં ગાંધી હત્યા બાબતે સંઘ પર આપેલા નિવેદન સંદર્ભે કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કર્યો છે. સંઘની દલીલ છે કે ગાંધી હત્યાના મામલામાં જવાબદારોને સજા અપાઈ છે. જ્યારે આરએસએસને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારનો વિવાદ શા માટે?

આરએસએસએ કહ્યુ છે કે આ મામલો કોર્ટમાં છે. પરંતુ રાહુલ ગાંધીએ ઈતિહાસની ઘટનાઓમાંથી શીખ લેવી જોઈએ. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરીને ગાંધી હત્યા મામલે આવી જ ટીપ્પણી બદલ કોર્ટમાં માફી માગવી પડી હતી.

ગાંધીજીની હત્યા દેશ માટે આઝાદી બાદ પહેલો કારમો આઘાત હતો. પરંતુ તે વખતની પરિસ્થિતિ અને લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓના માહોલમાં કેટલાંક લોકો ગાંધીજીના વિરોધી બન્યા હતા. જેમાંથી નાથુરામ ગોડસે જેવા વ્યક્તિઓ ભારતની તત્કાલિન સમસ્યાઓ માટે ગાંધીજીને મોટું કારણ ગણતા હતા.

તેમણે ગાંધીજીની હત્યા કરી.. ઘટના ખૂબ જ દુખદ અને આઘાતજનક હતી. આજે પણ તેની અસર ભારતના લોકોના દિલમાં છે. પરંતુ કોર્ટ અને કમિશનો દ્વારા ગાંધી હત્યાના મામલે આરએસએસનો દોષમુક્ત જાહેર કરાયું હોય, તો પછી તેમના પર રાજકીય પ્રતિસ્પર્ધાથી પ્રેરીત થઈને આરોપ લગાવવો કેટલું યોગ્ય ગણાય? જો કે આનો નિર્ણય હવે કોર્ટ કરશે... પણ ભારતની બેજવાબદાર રાજકારણને જવાબદાર બનાવવા માટે રાજનેતાઓનું જવાબદાર બનવું ખૂબ જ જરૂરી છે.

રાજકીય એજન્ડા માટે ગડકરી નહીં, તો સંઘ માટે અમિત શાહ હી સહી

આનંદ શુક્લ

સંઘ પરિવારમાં  કોંગ્રેસના પોલિટિકલ મોડલને ખતમ કરીને ભાજપને માધ્યમ બનાવીને પોતાના આદર્શો પ્રમાણેની રાજનીતિ ઉભી કરવા માટેની મહત્વકાંક્ષા છે. જેના માટે રાજકીય ઈમાનદારી અને વફાદારી ઉભી કરવા અને કોઈને પણ રાજકીય નફો નહીં આપવાના નવા મોડલ સાથે ખામોશીથી કામ થઈ રહ્યું છે. જો કે તેના માટે પણ સંઘ પરિવારને માધ્યમ તરીકે ચોક્કસ વ્યક્તિઓની જરૂર હોય છે. સંઘ જે પ્રયોગને નીતિન ગડકરી દ્વાર અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.. હવે તેને અમિત શાહ સંઘની મહત્વકાંક્ષાઓની ક્ષિતિજ પર મોદીના માર્ગદર્શનમાં પહોંચાડશે.

ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ ગડકરી દિલ્હીના ન હતા. તેમને નાગપુરથી ભાજપને કેમોથેરપી આપવા મોકલાયા હતા. તેવી રીતે અમિત શાહ પણ દિલ્હીના નથી અને ભાજપના સમગ્ર દેશમાં કાયાકલ્પ માટેના મિશન સાથે અધ્યક્ષ બન્યા છે. ગડકરી કોઓપરેટિવથી કોર્પોરેટ સુધીને સમજનારા વેપારી પણ છે. અમિત શાહે પણ કેશુભાઈના શાસનકાળમાં નાણાંકીય કોર્પોરેશન દ્વારા રાજકારણને સાધ્યું. તેમના આ હુન્નરનો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ કર્યો. સંઘે પણ આ વાસ્તવિકતાને ઝીણવટથી પારખી છે.

મોદીની ભાજપના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી જીતથી સંઘના મહત્વકાંક્ષી એજન્ડાઓને હાલ તો ઓક્સિજન મળ્યો છે. બાકી પહેલા દિલ્હીની રાજનીતિથીના કાદવમાંથી ભાજપને બહાર કાઢવા માટે સંઘે મોદીને હથિયાર જ બનાવ્યા હતા. પરંતુ જ્યારે મોદીને પ્રચંડ જનાદેશ મળ્યો.. તો સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે દિલ્હીની સત્તા મળી શકે .. તો દરેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર કેમ બનાવી શકે નહીં?

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રભાવ વધારવાનો વિચાર સંઘની અંદર હવે જાગી ચુક્યો છે. સંઘનું માનવું છે કે કલમ-370 અને કાશ્મીરી પંડિતોના પુનર્વાસનો મુદ્દો સામાજિક રીતે ઉઠાવતા પહેલા રાજકીય સ્તરે ઉઠાવવો જરૂરી છે. તેવી જ રીતે કમ્યુનિસ્ટ વિચારધારાના ખાત્મા બાદ મમતા બેનર્જીના રાજકારણને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડવાની જરૂર છે. તેના દ્વારા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય પ્રભાવને ઘટાડી પણ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપને જીત મળી છે અને પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મત પણ મળ્યા છે.

કેન્દ્રની સત્તા ભાજપને મળે તેના માટે સંઘ પરિવાર ખૂબ જ અધીરો બન્યો હતો. સંઘે મનમોહન સરકારના કાર્યકાળમાં પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ આવતું દેખાયું હતું. જ્યારે સરસંઘચાલકથી લઈને ઈન્દ્રેશ કુમાર સહીત ડઝનબંધ શીર્ષસ્થ પદાધિકારીઓની આસપાસ આતંકના નામે ઉભી થયેલી આરોપોની જાળ ગુંથાઈ હતી. તેથી લોઢું લોઢાને કાપેના અંદાજથી મોદી અને તેમની સાથે અમિત શાહને ભાજપમાં શીર્ષસ્થ સ્તરે આગળ વધારવા માટે સંઘની મદદથી ખુલ્લુ મેદાન આપવામાં આવ્યું. કંઈક આ જ અંદાજમાં સંઘ હવે રાજકીય શુદ્ધિકરણનું મિશન આગળ વધારી રહ્યો છે. તેની એક બાજી પર મોદી સર્વેસર્વા છે... તો બીજી તરફ મોદીના વજીર અમિત શાહ સુપ્રીમો છે. 


અમિત શાહ: ખામોશીથી કાર્યવાહીની શૈલી ધરાવતા ભાજપના નવા અધ્યક્ષ

આનંદ શુક્લ

9 જુલાઈ-2014ના રોજ ભાજપની જીતના ચાણક્ય અને સૌથી અસરકારક વ્યૂહરચનાકાર અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પરંતુ દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ મહદ અંશે ખામોશ રહ્યા. દોઢ વર્ષ પહેલા 23 જાન્યુઆરી-2014ને યાદ કરીએ તો જશ્નના માહોલમાં રાજનાથસિંહની અધ્યક્ષ પદે તાજપોશી થઈ હતી. ભાજપમાં પરંપરા છે કે અધ્યક્ષ બન્યા બાદ તુરંત કાયકર્તાઓને મીડિયા દ્વારા દરેક અધ્યક્ષ સંબોધિત કરે છે. પરંતુ અમિત શાહે અમદાવાદ આવીને પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરી.

અમિત શાહનો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટેની લગન તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આસિન કરી શકી છે. જાણકારો પ્રમાણે, અમિત શાહની ખામોશી તેમની વ્યૂહરચનાકાર તરીકેની કાર્યશૈલીનું સૌથી મોટું હથિયાર છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય વિષય પર બોલવા માટે ખૂબ પંકાયેલા છે. અમિત શાહ બોલે છે, તેના કરતા સંગઠન માટે જે જરૂરી હોય તે ખામોશીથી કરી નાખે છે. યૂપીના ભાજપ પ્રભારી તરીકે અમિત શાહે આ વાત પ્રસ્થાપિત પણ કરી છે. ભારતના દરેક રાજ્યોમાં લોકસભાની જ્વલંત જીતનું પુનરાવર્તન કરીને ભાજપના કાયાકલ્પનું મિશન અમિત શાહને સોંપવામાં આવ્યું છે.

ભાજપના સંગઠનમાં રાજ્ય સ્તરે નવસંચાર માટે અમિત શાહનો પહેલો રાજકીય મંત્ર મોટાભાગના રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવાની કવાયત બની રહેવાની શક્યતા છે. એટલું જ નહીં.. નરેન્દ્ર મોદીના ખાસમખાસ સેનાતપિત અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ ભાજપ મુખ્યમથકના નાના-નાના ઓરડામાં કબજો જમાવીને બેઠેલા કેટલાંય નેતાઓની ખુરશીના પાયા પણ હચમચશે.

સંઘના નેતાઓ અને અમિત શાહ વચ્ચે તેમની અધ્યક્ષ પદે નિયુક્તિ પહેલા ઘણી મહત્વની બેઠક થઈ છે. માનવામાં આવે છે કે સંઘના ત્રણ મંત્રો આગામી સમયમાં ભાજપમાં જોવા મળશે. પહેલું..દરેક રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂનો સમાવેશ થાય તો નવાઈ નથી. બીજું...સંઘની શાખાઓ સાથે સંબંધિત અથવા એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશનારાઓને નંબર-1 અને નંબર-2 માટે મહત્વ આપવામાં આવશે. આમાથી પ્રદેશ પ્રમુખ પસંદ થાય તેવી શક્યતાઓ રહેશે. ત્રીજું.. ગઠબંધનના રાજકારણ હેઠળ ભાજપને સત્તામાં લાવવાના સપના પિરસતા નેતાઓને હાંસિયામાં ફેકી દેવા.

17 વર્ષ સુધી એનડીએ ગઠબંધનનો યુગ ચાલ્યો. ત્યારે સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે રાજકીય પ્રચાર દ્વારા સંઘનો સ્વયંસેવક ભાજપ માટે રાજકીય જમીન તૈયાર કરે છે.. પરંતુ તેનો લાભ ગઠબંધનના પક્ષોને શા માટે મળવો જોઈએ? તેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં સંઘ અને મોદી-અમિત શાહનું લક્ષ્ય ભાજપને પોતાના દમ પર સત્તાએ પહોંચાડવાનું હતું. હવે અધ્યક્ષ તરીકે અમિત શાહ ભાજપને મહારાષ્ટ્ર.. હરિયાણા અને ઝારખંડમાં પોતાના દમ જીત મળે તેવા લક્ષ્ય સાથે કામ કરશે.


પરંતુ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીવાળા ત્રણેય રાજ્યોમાં લોકસભા ચૂંટણી જેવી જીત દોહરાવવાના અમિત શાહના મિશનમાં ત્રણ અડચણો પણ છે. .એક.. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસે એવો કોઈ નેતા નથી કે જેની પાછળ આખી પાર્ટી ચાલવા તૈયાર હોય. બીજું... ત્રણેય રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાઓને લઈને જૂથબંધીનો ભોગ બન્યા છે. ત્રીજુ.. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે.. પરંતુ તેના સાથીપક્ષો વંશવાદમાં ગળાડૂબ છે. 

કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે મોદીનું પોલિટિકલ મોડલ લાગુ થયું

આનંદ શુક્લ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગવું પોલિટિકલ મોડલ છે. આ પોલિટિકલ મોડલનો અનુભવ ગુજરાતના ભાજપના સંગઠન અને સરકારી તંત્ર-રાજકીય વર્તુળોને 13 વર્ષથી થયો છે. આ મોદી મોડલ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં પણ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પછી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચાપલુસીની હદ સુધી કરતી પ્રશસ્તિ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ પર મોદીની પક્કડ-

મોદીના પોલિટિકલ મોડલ પ્રમાણે, સંગઠનની બાબતમાં મજબૂત ગણાતા કેડરબેઝ ગુજરાતા ભાજપમાં વ્યક્તિવાદ પ્રભાવી બન્યો અને મોદી તારણહાર તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ છે. પરંતુ આમાના કોઈપણ નરેન્દ્ર મોદીનો કોઈપણ પ્રકારે ક્યારેય વિરોધ કર્યો નથી. આ બધાં મોદીના યસમેન બનીને રહ્યા અને હજીપણ મોદીના યસમેન છે.
તો ગુજરાતમાં ચાલેલી મોદી સરકારની વાત કરીએ તો તેમાં પણ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં જાહેરાતોમાં, સભાઓમાં, સરઘસોમાં, પ્રચારોમાં છવાયેલા રહ્યા. કેટલાંક પ્રસંગે ધાર્મિક ઉત્સવો દરમિયાન શુભેચ્છા સંદેશની જાહેરાતોમાં ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા ભગવાન કે આધ્યાત્મિક પુરુષ કરતા પણ મોદીની મોટી તસવીરો લાગતી હતી.
ગુજરાતના રસ્તાઓ, બસો, કેટલીક જગ્યાએ ભીંતો પર મોદીના અલગ-અલગ મુદ્રામાં ફોટોગ્રાફ રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓની જાહેરાત સાથે અઢળક પ્રમાણમાં દેખાઈ હતી. જો સરકારના સંચાલનની વાત કરીએ, તો જાણકારો પ્રમાણે, મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાણ બહાર એક પણ મંત્રી કે અધિકારી કંઈપણ કરી શક્તો ન હતો. વિધાનસભામાં અને સભા-ભાષણોમાં ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ ચાપલુસીની કક્ષાએ કરવાનું ચુક્તા ન હતા.

મોદીનું પોલિટિકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બન્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમનું આગવું પોલિટીકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે સરકાર અને સંગઠનમાં લાગુ થવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્ર સરકારમાં મંત્રાલયો-નોકરશાહી પર પ્રભાવ પાથર્યો

જો કેન્દ્રની સરકારમાં મોદી મોડલના પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની છે. નરેન્દ્ર મોદીએ પહેલા કેબિનેટની બેઠક બોલાવીને તમામ મંત્રીઓને તેમની આદત પ્રમાણે મંત્રાલયના એજન્ડાઓ નક્કી કરીને જણાવવા માટે કહ્યુ હતું.

બાદમાં તેમણે સચિવો સાથે બેઠક કરી અને સરકાર તેમની સાથે રહેશે તેઓ નિર્ભયપણે કામ કરે તેમ જણાવ્યું. પીએમ મોદીએ સચિવોને તેમની સાથે સીધા વાત કરવાની છૂટ આપી છે. તેનાથી કેટલાંક જાણકારો મોદી સરકારના મંત્રીઓનો નોકરશાહી પર પ્રભાવ ઘટવાની અને વડાપ્રધાનની બ્યૂરોક્રસી પર અસર વધવાની સંભાવનાઓ દર્શાવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશના 674 જિલ્લાના કલેક્ટરો સાથે સીધો સંપર્ક બનાવવાના મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે. તેનો સીધો અર્થ છે કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલા મોડલની જેમ પોતાના મોડલને સરકારી તંત્રમાં સ્થાપિત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીની પકડ બ્લોક લેવલ પર પણ હતી. તેવી જ પકડ મોદી જમાવવાની શરૂઆત કરી ચુક્યા છે. જાણકાર પત્રકારો પ્રમાણે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં ઈન્દિરા ગાંધી બાદ હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અધિકારીઓમાં ખોફ દેખાઈ રહ્યો છે.

ભાજપના સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે મોદીની જ પક્કડ રહેશે

સરકારની સાથે ભાજપના સંગઠન પર પણ મોદી પોતાનો પ્રભાવ વધુ પ્રગાઢ બનાવીને તેમની કામગીરીમાં સંગઠન તરફથી કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બેકસીટ ડ્રાઈવિંગ હતું. તો મોદી ભાજપ સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ગુજરાત પ્રદેશ એકમની જેમ પાથરીને આ સમસ્યા ઉભી થાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. તેના માટે ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા મોદીના ખાસ અમિત શાહ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભાજપના એવા અધ્યક્ષ છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરામાં પગે લાગીને આદર આપવાનું ક્યારેય ચુક્યા નથી.

તેના ભાગરૂપે ઘણી રાજકીય કવાયતો બાદ ના-ના કરતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર-ટુ એટલે કે ગૃહમંત્રી બની ગયા છે. તેના કારણે સંગઠનમાં બીજા સત્તાકેન્દ્રના ઉદભવની સંભાવના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

તેની સાથે મોદીના ખાસમખાસ અને ગુજરાતમાં મોદી સાથે ખભેખભો મિલાવાની દરેક મિશન પાર પાડનારા અમિત શાહને 50 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે મોદી સરકાર અને સંગઠન વચ્ચે અમિત શાહ વડાપ્રધાનના સંકેતો અને એજન્ડાઓ બાબતે કડીરૂપ કામ કરશે. જેના કારણે મોદી સરકારને તેમના કામકાજમાં અડચણ ઉભી થાય નહીં તેની તકેદારી રખાશે. હિંદુત્વવાદી મુદ્દાઓ, એફડીઆઈ-ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ, સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે કામ કરતા સંઘ પરિવારના સંગઠનોને પણ અમિત શાહના સંઘના શીર્ષસ્થ નેતાઓ સાથે ઘનિષ્ઠતાના આધારે કાબુમાં રાખવામાં આવશે.

હાલ સત્તાવાર રીતે ભાજપના નેતાઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ પાર્ટીમાં શીર્ષસ્થ નેતાઓમાં આંતરીક બેચેની ખૂબ વધી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ એક સપ્તાહની અંદર જ નરેન્દ્ર મોદીએ સંગઠન સ્તર પર બે મોટી પહેલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેનાથી ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે તેઓ આ મુદ્દે જાહેરમાં કંઈપણ કહી રહ્યા નથી.

સૌથી પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 7-આરસીઆર ખાતેના પીએમ નિવાસમાં ભાજપના મહાસચિવોની બેઠક બોલાવી હતી. મોદી ખુદ ભાજપમાં લાંબા સમય સુધી મહાસચિવ રહ્યા હતા. માટે તેમનો મહાસચિવો પ્રત્યે લગાવ સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં મહાસચિવ ઉપાધ્યક્ષથી વધારે સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માટે વડાપ્રધાન નિવાસ પર પાર્ટીના મહાસચિવોની બેઠકથી મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવોસમાં તેઓ મળેલી સફળતાને નબળી નહીં પડવા દે.

આ બેઠકથી પણ વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે આ બેઠકની માહિતી રાજનાથસિંહને આપવામાં આવી ન હતી. બેઠક બાદ જ્યારે સમાચાર આવ્યા, ત્યારે રાજનાથસિંહે મહાસચિવોને ટેલિફોન કરીને જાણકારી પ્રાપ્ત કરી હતી. કે બેઠકમાં મોદીએ શું વાતચીત કરી છે. જો કે રાજનાથસિંહ તે વખતે પાર્ટી અધ્યક્ષ સાથે મોદી સરકારના ગૃહમંત્રી પણ હતા. પરંતુ મોદીની આ પહેલથી તેઓ પણ ચોંકી ગયા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ બીજી પહેલ કરીને નવી દિલ્હી ખાતેના 11 અશોકા રોડ પરના ભાજપના મુખ્યમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી મુખ્યાલયમાં કામ કરનારા કર્મચારીઓને મળ્યા અને પોતાના હાથે કર્મચારીઓને બોનસ પણ આપ્યું. અહીં તેમણે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહની સાથે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું.

બીજી પહેલનો સંકેત સ્પષ્ટ હતો કે તેઓ ભલે પાર્ટી અધ્યક્ષને કિનારે કરે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનને મહત્વ આપતા રહેશે. આનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપમાં મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમો છે ને બીજો કોઈ નેતા તેમની આ છબીની આડે આવી શકે નહીં.

આનાથી વધારે ચોંકવાનારી વાત એ છે કે વડાપ્રધાન તરીકે તમામ જિલ્લા કલેક્ટર સાથે મોદી જોડાશે. તેની સાથે ભાજપના સંગઠન સ્તરે પણ તેઓ એક એવું તંત્ર વિકસિત કરવા જઈ રહ્યા છે કે જેનાથી દેશભરમાં જિલ્લા સ્તર પર મોદી પોતાની પકડ બનાવી રાખી શકે. તેના માટે તેઓ દરેક જિલ્લામાં એક સીઈઓ નિયુક્ત કરવાની યોજના અમલી બનાવવાની વિચાર પ્રક્રિયા ચાલુ કરી ચુક્યા છે. આ પાર્ટી સીઈઓ જિલ્લા સ્તરે સત્તા અને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરશે અને ભાજપના અધ્યક્ષ અને મોદીના ખાસ અમિત શાહને સીધો રિપોર્ટ કરશે. એ કહેવાની જરૂર નથી કે આમાની મહત્વની બાબતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન પર જરૂરથી મૂકતા રહેશે.

Saturday, June 21, 2014

ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી
વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.

કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો
તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.

જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી
બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.

મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો

મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.

દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા

મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.

આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન

ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ

ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.
બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.

આઈએસઆઈએસની કરમ કુંડળી

હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.

આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી

આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.

પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?

પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.

પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.

તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.

વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ

ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.

સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.

સત્તા સંતુલનો ખોરવાયા

મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.

ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.

પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન

એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.

1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.

આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.

આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ

આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.

ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.

ભારતે તૈયાર રહેવું જોઈએ

વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.

અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના

ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.

આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.
રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.

ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.

ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.

થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.

નિષ્કર્ષ

વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.