Thursday, June 30, 2011

રાષ્ટ્રહિતમાં હિંદુત્વને આત્મસાત કરવાનો ગુનો કરો


-આનંદ શુક્લ

આત્માની ઓળખ ભારતમાં એક આધ્યાત્મિક ઉદ્યમ માનવામાં આવ્યો છે. આત્માની ઓળખને અધ્યાત્મિકતાનું સર્વોચ્ચ શિખર ગણવામાં આવે છે, કારણ કે જીવ જ શિવ હોવાની ભારતમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે. ત્યારે સવાલ થાય કે આત્માની ઓળખ ન પામી શકેલા લોકો આત્માના સ્વરૂપની અભિવ્યક્તિ તરફ તિરસ્કાર કરે અને તેને ગાળો આપે, તો તેને શું ગણવું જોઈએ? આમ કરનારનું તે અજ્ઞાન છે કે તે તેનું દુર્ભાગ્ય છે? કદાચ બંને છે. આત્માની ઓળખ માટે ઘણાં મહાપુરુષો, ઋષિ-મુનિઓએ જીવન ખપાવી દીધા છે. આની ભારતમાં એક લાંબી પરંપરા છે.

આ તો વાત થઈ વ્યક્તિના આત્માની ઓળખની. પરંતુ હકીકત એ છે કે સમાજ અને રાષ્ટ્રનો પણ આત્મા હોય છે. સમાજ અને રાષ્ટ્રના આત્મારૂપ કંઈક એવું તત્વ હોય છે કે જે તેમને તમામ કાર્યો કરાવે છે. પરંતુ જ્યારે સમાજ અથવા રાષ્ટ્ર તેમના પોતાના સ્વત્વ અને આત્માના અવાજને ઓળખી શકતો નથી અથવા તેની અણદેખી કરે છે. તો તે સમાજ અને રાષ્ટ્ર દુર્ભાગ્યવશ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. ભારત પણ આવા સમાજનું બનેલું એક રાષ્ટ્ર છે કે જે પોતાના સ્વત્વ, પોતાના આત્માને ઓળખીને પણ ન ઓળખ્યુ કરે છે, જે પોતાના આત્માના અવાજને દબાવે છે, તેને નજરઅંદાજ કરે છે. તેના કારણે ભારત આજે દુર્ભાગ્યની ગર્તમાં ધકેલાયું છે. એલેકઝાન્ડરના આક્રમણ વખતે ભારતે પોતાના આત્માના અવાજને ચાણક્ય-ચંદ્રગુપ્તની પ્રેરણાથી જગાડવાનો સફળ પ્રયત્ન કર્યો હતો. સેલ્યુક્સ નિકટરને ભારતના એકચક્રી સમ્રાટ ચંદ્રગુપ્તે કારમી હાર પણ આપી હતી. ભારતના લોકોએ પોતાના રાષ્ટ્રત્વ અને રાષ્ટ્રના આત્માને વિસ્મૃત ન કર્યો ત્યાં સુધી ભારત પર આક્રમણ કરનારા શક, હુણ, કુષાણોને ભારતીય સંસ્કૃતિમાં આત્મસાત કરી લીધા.

પરંતુ ભારતના લોકોએ જ્યારે પોતાના રાષ્ટ્રત્વને ખોવાની અને સમાજ-રાષ્ટ્રના આત્માને વિસ્મૃત કરવાની શરૂઆત કરી ત્યારથી દુર્ગતિની શરૂઆત થઈ. ભારત પર મોહમ્મદ બિન કાસિમે સિંધમાં દાહિરસેનને મારીને આરબ-મુસ્લિમ સત્તા કાયમ કરી હતી. જો કે તેને ભારતમાં અન્ય જગ્યાએ આગળ વધવાનો માર્ગ મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ કેટલીક સદીઓ બાદ મહોમ્મદ ગઝનવીના આક્રમણોની શરૂઆત થઈ અને બર્બર આક્રમણોમાં રાષ્ટ્રતત્વને વિસરેલા લોકોને હારનો સામનો કરવો પડયો હતો. તે વખતે રાષ્ટ્રના આત્માનો અવાજ હતો કે રાષ્ટ્ર એકજૂટ બને અને મહોમ્મદ ગઝનવીના આક્રમણોનો સામનો કરે. પણ રાષ્ટ્રતત્વથી વિસ્મૃત થયેલા રાજા-મહારાજાઓ ગઝનવીનો મુકાબલો કરી શક્યા નહીં. ગઝનવીએ પ્રાચીન સોમનાથ મંદિરનો ક્રૂરતાપૂર્વક વિધ્વંસ કર્યો અને તેના 17 આક્રમણોમાં લાખો હિંદુઓની કત્લેઆમ કરી.

ત્યાર બાદ મહોમ્મદ ઘોરીએ આક્રમણો ચાલુ કરીને ગઝનવીની પરંપરા આગળ વધારી. ભારતમાં મુસ્લિમ રાજ્યની સ્થાપના થઈ. આ કાળમાં સૌથી વધારે પ્રમાણમાં રાષ્ટ્રતત્વથી લોકો વિસ્મૃત બન્યા અને તેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રના આત્માના અવાજને દબાવીને ઘણાં કા-પુરુષોએ મુસ્લિમ-મોગલ રાજને ટકાવી રાખ્યું. છેલ્લે અંગ્રેજોએ ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વેપારની શરૂઆત કરી અને તેમણે અહીં સત્તાનો વેપાર પણ ચાલુ કર્યો. આ ગાળામાં દિગ્ભ્રમિત લોકોએ પોતાના રાષ્ટ્રતત્વનો ભયંકર અનાદર કર્યો. જેનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્ર-સમાજના આત્માનો અવાજ કહેવાતા સુધરેલા લોકોના પગ નીચે કચડાઈ ગયો. મહંમદ અલી ઝીણા નામના વટલાયેલા હિંદુ ઠક્કર વંશના નબીરાએ ભારતના વિભાજન માટે ખૂબ ખરાબ રાજનીતિ રમીને મોટી ભૂમિકા અદા કરી. રાષ્ટ્રના આત્માથી દૂર થયેલા લોકોએ રાષ્ટ્રવિભાજનની વાતો મંજૂર કરી અને 10 લાખથી વધારે લાશો સાથે ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા.

ભારતની આટલા વર્ષની યાતનાઓનું જો કોઈ કારણ હોય, તો તે છે- ભારતના આત્માને ભૂલાવી દેવો, તેના અવાજને દબાવી દેવો. આ વૃતિ હજી પણ ચાલુ છે. જે રાષ્ટ્રતત્વ કે જેને આપણે રાષ્ટ્રનો આત્મા કહીશું, તેની સૌથી પહેલી રાજકીય ઓળખ વીર સાવરકરે પોતાના પુસ્તક હિંદુત્વમાં 1923માં આપી. તેમણે ખુલીને કહ્યું કે હિંદુત્વ એ જ રાષ્ટ્રતત્વ છે. પરંતુ તેમની વાતને પંથ-સંપ્રદાય સાથે જોડીને કોમવાદીપણાની ગાળ આપવામાં આવી. તેમની વાત ન માનવાનું પરિણામ ભારતે ભાગલા થકી ચુકવવું પડયું છે.

ભારતમાં અનેક પંથ-સંપ્રદાય, ભાષા-બોલી, પહેરવેશ, રહેણી-કરણી છે. છતાં આ ભારતીય રાષ્ટ્રને જોડનાર કોઈ તત્વ હોય, તો તે આ દેશનો આત્મા, આ રાષ્ટ્રનું રાષ્ટ્રત્વ હિંદુત્વ છે. પરંતુ આ દેશમાં આઝાદી સમયથી હિંદુત્વની વાત કરનારા વ્યક્તિને કોમવાદી કહીને ઉતારી પાડવની સમાજવાદી-સામ્યવાદી અને ગાંધીવાદી ફેશન ચાલુ થઈ છે. આ ફેશનના પરિણામે ઈન્દિરા ગાંધીએ મુસ્લિમ વોટોની રાજનીતિ રમવા ભારતીય બંધારણના આમુખમાં સેક્યુલર અને સમાજવાદ બંને શબ્દો બંધારણીય સુધારા થકી ઉમેરાવ્યા છે. પરંતુ ત્યારે સવાલ એ છે કે નખશીખ સેક્યુલર એવા હિંદુત્વનું પાશવી પક્ષપાતી અર્થઘટન અને વોટબેંકની રાજનીતિ રમાનારાઓની વિકૃત વિચારસરણીને સેક્યુલારિઝમનું નામ આપવું, એ ભારતના રાષ્ટ્રત્વ અને ભારતના આત્માને મારી નાખવાનું કામ નથી? આઝાદીની 64મા વર્ષે વિચારવાનો વખત આવી ગયો છે કે ભારત શા માટે હજી ખરા અર્થમાં ભારત બની શક્યું નથી? આ આત્મવિશ્લેષણ અને આત્મચિંતન માટે તૈયાર થાય તેવા દેશના દેશહિતચિંતક રાજપુરુષો કેટલા?

હિંદુત્વના મુદ્દાઓ સંપૂર્ણપણે રાષ્ટ્રીય મુદ્દાઓ છે. જો કે આવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર રાજનીતિનો નિર્લજ્જ પ્રયાસ પણ થયો છે. રામજન્મભૂમિ આંદોલન થકી રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણના મુદ્દા પર દેશમાં ઉઠેલા લોકજુવાળને કારણે સત્તાના શિખરો સુધી ઘણાં લોકો પહોંચી ગયા છે. પરંતુ હિંદુત્વ થકી, રામ થકી સત્તાના શિખરો પર પહોંચેલા લોકોએ હિંદુત્વને વિસારી દીધું. તેમણે વિકાસના મુદ્દા થકી અલગ પ્રકારની રાજનીતિ આરંભી દીધી. પોતાના જનાધારને વધારવાની મોટી શેખીઓ મારી. પરંતુ હકીકત એ છે કે આવી કોઈ શેખી સાચી નથી. હિંદુઓ આ દેશની વસ્તીના 83 ટકા જેટલા છે. હિંદુત્વના અવાજથી રામલહેર પર બેસીને સત્તામાં પહોંચનારા લોકોની પહોંચ 83 ટકા વસ્તી ધરાવતા હિંદુ સમાજમાં પણ અંદર સુધી નથી. પરંતુ તેમને 13 ટકા વસ્તીવાળા મુસ્લિમોના થોકબંધ વોટની બેંક કબજે કરવી છે. જેના કારણે તેમણે આ દેશની આત્મા સાથે જોડાયેલા હિંદુત્વના મુદ્દા રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવી અને સમાન નાગરીક ધારાના મુદ્દે બાંધછોડ કરી છે. હવે આ મુદ્દાઓ તેમણે કોલ્ડ બોક્ષમાં મૂકી દીધા છે. પરંતુ રાજનીતિનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ કરવા માટે આહવાન કરનારા સાવરકરની વાતને ભૂલાવી દઈને રાજનીતિના હિંદુકરણને રોકવાનું એક મહાપાપ થયુ છે. જેનું પરિણામ દેશમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેરોજગારી, હિંસાચાર, કોમવાદ, કટ્ટરવાદ, મોંઘવારી જેવી સમસ્યાઓ થકી દેશના નાગરીકોને ચુકવવું પડે છે.

ભારતમાં અત્યારે વિચિત્ર પરિસ્થિતિ છે. દેશના રાજકારણીઓ દેશના લોકોની ભાવના પ્રમાણે ચાલી રહ્યાં નથી. કારણ કે દેશના નાગરીકોની ઈચ્છા, અભિવ્યક્તિ અને મહત્તા ઘણી અલગ છે અને રાજકારણીઓ તેમના પર થોપી રહ્યાં છે, તે બાબતો ઘણી અલગ છે. ત્યારે ક્યારેક સવાલ પણ ઉભો થાય છે કે આ તે કેવી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા અંતર્ગત ભારતના લોકોની ભાવનાઓ પ્રતિબિંબિત, પરિલક્ષિત અને પરિપૂર્ણ થવા માટેની કોઈપણ પ્રકારની તક બાકી રાખવામાં આવી ન હોય? આ કેવું લોકતંત્ર છે કે જેમાં લોકોનું કોઈ તંત્ર જ નથી અને રાજકારણીઓ પોતાની મેળે જ પોતાના હિતને અનુકૂળ વ્યવસ્થા અને રાજનીતિ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરીને ભ્રમિત કરી રહ્યાં છે. ત્યારે વખત છે, આ દેશની સમસ્યાના ઉકેલ માટે રાજકારણીઓ દ્વારા સર્જવામાં આવેલી ભ્રમણામાંથી બહાર આવવાનો. આ વખત છે, દેશના આત્માને ઓળખવાનો, દેશના આત્માના અવાજને બરાબર સાંભળીને તેના બતાવેલા માર્ગે આગળ વધવાનો. હિંદુત્વ કે જે રાષ્ટ્રત્વ છે, તેને કોમવાદી કહેનારાઓને દેશદ્રોહી કેમ ન કહેવા જોઈએ? હિંદુત્વને ઉતારી પાડીને તેને આતંકવાદ સાથે જોડનારા લોકોને નપાવટ કેમ ન કહેવા જોઈએ? લશ્કરે તોઈબા કરતાં પણ હિંદુત્વની વિચારધારા પર ચાલનારા આરએસએસને ખતરનાક કહેનારા વ્યક્તિની શાન ઠેકાણે લાવવા માટે શા માટે સમાજના સ્તરે પ્રયત્ન ન થવા જોઈએ? હિંદુત્વવાદી હોવું કોઈ ગુનો છે? શું હિંદુત્વવાદી હોવું આધુનિકતા, વિકાસ અને માનવતાની વિરુદ્ધ હોવાની વાત છે? દરેક શિખામણો હિંદુત્વને ઓળખનારાઓને જ શા માટે આપવામાં આવે છે?

હિંદુત્વ રાષ્ટ્રનો પ્રકાશપુંજ છે, ત્યારે હિંદુત્વવાદી હોવું કોઈ ગુનો હોય, તો તે ગુનો આખા હિંદુ સમાજે રાષ્ટ્રહિતમાં કરવા જેવો છે. કારણ કે હિંદુત્વવાદી હોવાનો ગુનો કરવાથી ભારત પર કોઈ એલેકઝાન્ડર પગ નહીં મૂકી શકે, દેશની ધરતીને તેના સપૂતોના લોહીથી કોઈ ગઝનવી ખરડી નહી શકે, કોઈ ઘોરી આ પુણ્યભૂમિને પદાક્રાંત કરી શકશે નહીં, કોઈ બાબર રામજન્મભૂમિ તોડી નહીં શકે, કોઈ ઝીણા આ દેશના ફરીથી ભાગલા કરી નહીં શકે, કોઈ અફઝલ અને કસાબ ભારત પર આતંકવાદી હુમલો નહીં કરી શકે.

Monday, June 27, 2011

કટાક્ષ: સૌને પરાણે ગાંધીવાદી બનાવતું મનમોહનોમિક્સ!


ભારતમાં લોકોને જશના માથે જૂતાં પડવાના. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર કેટલું સારું કામ કરી રહી છે. જે દેશને ગાંધીજી સદેહે હોવા છતાં ગાંધીવાદી બનાવી શકાયા નહીં. આઝાદીના 63 વર્ષ સુધી જે કામ થયું નહીં, તે કામ મેડમ સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના કેબિનેટ મંત્રીઓએ ચપટી વગાડતામાં કરી નાખ્યું છે. ગાંધીજીના તમામ આદર્શો લોકોના દિલો-દિમાગમાં કોતરાઈ જાય તેવી વ્યવસ્થા અર્થશાસ્ત્રી મનમોહન સિંહની સરકાર કરી રહી છે. ગાંધીજી લાકડીના ટેકે પગપાળા ચાલતા, ગાંધીજી ઉપવાસ કરતાં, ગાંધીજી અહિંસાને વરેલા હતા. આ બધાં મહાન સિદ્ધાંતો ભારતની પ્રજામાં પણ ઉતરવા જોઈએ, તેવી કોંગ્રેસની વર્ષોથી દિલની તમન્ના હતી.

કોંગ્રેસ વર્ષોથી ગાંધીજીના નામે સરકાર બનાવતી રહી છે. પરંતુ તેમણે અનુભવ્યું કે આપણા દેશના લોકો ગાંધીજીના બતાવેલા રસ્તા પર બિલકુલ ચાલી રહ્યા નથી, માટે લોકો ગાંધીજીને પોતાના જીવનમાં ઉતારે તેવી કોશિશ કોંગ્રેસે 2004થી શરૂ કરી છે. આ સંદર્ભે ડૉ. મનમોહન સિંહે લોકોના જીવનમાં ગાંધીજીનો સાક્ષાત્કાર કરાવવાનું બીડું ઝડપ્યુ છે. પરંતુ કેટલાંક બુદ્ધિ વગરના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે!

કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની હાલની નીતિ જોતા લાગે છે કે તેમને હકીકતે આટલા વર્ષો સુધી સરકાર ચલાવ્યા બાદ માલૂમ પડયું છે કે લોકો સ્વેચ્છાથી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે નહીં. તેમને મજબૂર કરવા પડશે, ત્યારે જ તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે. માટે જ મનમોહન સિંહ અને તેમના મંત્રીઓની ફોજ પાછલા કેટલાંક વર્ષોથી આ મિશન પર છે. હવે તમામ લોકો ધીરે-ધીરે ગાંધીજીની જીવન શૈલી પોતાનામાં ઉતારતા દેખાઈ રહ્યાં છે.

હવે જોઓ સ્કૂટર, બાઈક, કારો અને બીજા ઘણાં પ્રકારના સ્વચાલિત વાહનોમાં લોકો બિન્દાસ્ત ફરી રહ્યાં છે, જ્યારે ગાંધીજી હંમેશા પગે ચાલીને જ જતા. પરંતુ લોકો પગે ચાલવા માટે તૈયાર થઈ રહ્યા ન હતા, પરંતુ જીઓએમમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે પેટ્રોલના ભાવ એટલા વધારી દો કે લોકો પેટ્રોલ ભરાવી જ ન શકે અને મજબૂરીથી પગે ચાલવાનું શરૂ કરી દે. કેટલાંક લોકો હજીપણ વાહનોમાં ફરી રહ્યાં છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે પેટ્રોલ પાંચ સો રૂપિયા લીટર થઈ જશે, તો આ લોકો પણ પગે ચાલવા માટે મજબૂર બનશે.

આ સિવાય લોકોને ગાંધીજીની જેમ હંમેશા ઓછા કપડામાં રહેવા માટે તૈયાર કરવા શક્ય ન હતા. તેથી મનમોહન સરકારે લોકો પર એટલા ટેક્સ લગાવી દીધા કે તેને ભરવાના ચક્કરમાં પબ્લિકના કપડા ઉતરી જાય.

ગાંધીજી ઘણાં ઉપવાસ કરતા હતા, તો મનમોહનોમિક્સ હેઠળ યુપીએ સરકારે મોંઘવારી એટલી વધારી દીધી છે કે લોકો કંઈ ખાઈ શકે નહીં. બસ થઈ ગયા ઓટોમેટિક ઉપવાસ શરૂ. ઉપવાસના કારણે કેટલાંક દિવસો બાદ, લોકો ચાહે વૃદ્ધ હશે કે જવાન, પણ ગાંધીજીની જેમ લોકોના હાડકાનો માળો દેખાવા લાગશે. એટલી નબળાઈ આવી જશે કે હરવા-ફરવામાં પણ મુશ્કેલી પડશે અને લોકો મજબૂરીથી લાકડી લઈને ચાલશે, જેવી રીતે ગાંધીજી લાકડીના ટેકે ચાલતા હતા.

ગાંધીજી બનવા માટે મજબૂર બનેલો વ્યક્તિ ઘડિયાલ જોઈને દિવસો કાઢશે. જો કે અન્ના હજારે 16 ઓગસ્ટથી દેશની બીજી આઝાદીની લડાઈ શરૂ કરવાના છે. તેના માટે તેઓ અનશન કરશે, પરંતુ તેમને ખબર હોવી જોઈએ કે દેશના 37 ટકા લોકો 64 વર્ષથી અનશન કરી રહ્યાં છે, તેમ છતાં દેશની સ્થિતિમાં કોઈ ફેર પડયો નથી.

પરંતુ એક વાત તો માનવી પડશે કે અહિંસાના મામલામાં આપણા દેશના મોટાભાગના લોકો પહેલેથી જ સંપૂર્ણપણે ગાંધીવાદી છે. લોકો ગમે તેટલા જુલમનો ભોગ બને, પરંતુ કંઈ બોલી શકતા નથી. તેમની પાસે પરાણે ગાંધીવાદી બન્યા સિવાય અન્ય કોઈ માર્ગ મનમોહન સરકારે રહેવા દીધો નથી. તેમની પાસે સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી. ભારતની પબ્લિક તો એકદમ અહિંસાવાદી છે.

Sunday, June 26, 2011

મનમોહન સરકાર દ્વારા આમ આદમીની હત્યાનું ષડયંત્ર!


આનંદ શુક્લ

આમ આદમીના નામે સત્તા પર આવીને ખાસ માટે કામ કરવાની રાજકારણીઓની વૃતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા બંને વધી રહ્યાં છે. તેનાથી પણ વિકટ પરિસ્થિતિ છે કે દેશમાં ગરીબો માટે જીવન ખૂબ જ વિકટ બની ગયું છે. સરકાર ઔદ્યોગિક ગૃહો અને મૂડીપતિઓને ફાયદાકારક નીતિઓ પર ચાલી રહ્યું છે. તેંડૂલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશમાં 37 ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવન ગુજારી રહ્યાં છે કે જેમને દિવસના 20 રૂપિયા પણ મળી રહ્યાં નથી. આવી પરિસ્થિતિમાં મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. મોંઘવારીને છૂટો દોર આપતા સરકારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે મોંઘવારી અને ફૂગાવાના દર ફરીથી ઉંચી સપાટીએ જશે. કલ્યાણ રાજની વિચારધારાને સ્થાને વિકાસ રાજ્યની વિચારધારાને અપનાવીને સરકારે દેશની ઘોર ખોદી છે.

સરકારને વિકાસ દર ટકાવી રાખવો હોય છે અને આ વિકાસદર સરકાર પાસેની મહેસૂલના દરોને કારણે ટકી રહે છે. સરકારની મહેસૂલમાં વધારો થાય, તો જ દેશનો વિકાસદર વધે છે. માટે સરકારે જ્યારથી જનકલ્યાણને સ્થાને વિકાસની રાજનીતિ હેઠળ કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશમાં મૂડીપતિઓ વધ્યા છે, સરકારની તિજોરીમાં આવક વધી છે. પરંતુ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા અપનાવાયેલા અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે ગરીબોના ખિસ્સા બિલકુલ ખાલી થવા લાગ્યા છે અને જે લોકો ગરીબીની રેખાની આસપાસ છે, તેઓ ગરીબીની રેખા નીચે ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ બંને મહાનુભાવોનું અર્થશાસ્ત્ર ક્રિમિનલ છે અને તેમની નીતિઓ આર્થિક આતંકવાદની નીતિઓ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1.53 લાખથી વધારે કરોડપતિઓ છે. પરંતુ આજે દેશનો ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ત્યારે અત્રે વિચારવું પડે કે દેશની આર્થિક નીતિઓમાં ઘણી મોટી ખામી છે.

દેશમાં ગરીબીની રેખાની નીચે અથવા તેની આસપાસ આવતા પરિવારોની મોંઘવારીને કારણે શું હાલત થશે? પેટ્રોલ 68 રૂપિયે લિટર, ડીઝલ 44 રૂપિયે લિટર, રાધણ ગેસમાં એકસાથે 50નો વધારો, કેરોસિનના ભાવમાં વધારો, દાળના ભાવ 80-90ની આસપાસ, દૂધ 32 રૂપિયે લિટર, વીજળીના ભાવમાં તોળાઈ રહેલો ભાવવધારો, જેના કારણે પાંચ વર્ષ પહેલા ભારતમાં વ્યક્તિ જેટલી આસાનીથી જીવતો હતો, તેટલી આસાનીથી 2011માં આમ આદમી જીવી શકે તેમ નથી. મોંઘવારીની રફતાર વધતી જ રહી છે. 11 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં ફૂગાવાનો દર 9.06 ટકા, જ્યારે ખાદ્ય પદાર્થોમાં ફૂગાવાનો દર 9.13 ટકા પહોંચ્યો હતો. આ પરિસ્થિતિથી માત્ર આમ આદમી જ ચિંતિત નથી, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા દબાણોને કષ્ટકારક બતાવ્યા છે. રિજર્વ બેંક ચિંતિત છે, પરંતુ લાગે છે કે સરકાર આ બાબતે જરાપણ ગંભીર નથી.

તેને કારણે તો સરકાર વારંવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાથી બાજ આવતી નથી. આર્થિક નીતિની સામાન્ય જાણકારી રાખનાર પણ સમજી શકે છે કે ઈંધણની કિંમતોમાં વદારો કરવાથી લગભગ તમામ ચીજોના ભાવ વધશે. રિજર્વ બેંક તો પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે, બની શકે કે તે આગામી દિવસોમાં બેંકના રેટ વધારી દે, પરંતુ સરકારે આમ આદમી માટે જે કરવું જોઈએ તે કરી રહી નથી. દોષ માત્ર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો નથી. મોંઘવારી માટે શાસકને સ્થાને વેપારી બની ગયેલી કેન્દ્ર અને રાજ્યોની સરકારો બરાબરની ગુનેગાર છે. આપણી સરકારોને કોઈપણ કિંમતે મહેસૂલમાં વધારો જોઈએ છે.

ભાવ જેટલા વધશે, સરકારની આવક એટલી જ વધતી જવાની છે. ગત એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોથી સરકારને પ્રાપ્ત થયેલી મહેસૂલમાં 21 ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ 2010-2011માં કેન્દ્ર સરકારની મહેસૂલ 1,35,434 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ આમાથી ઘણી મહેસૂલ પ્રાપ્તિ કરી રહી છે. 2009-10માં રાજ્ય સરકારોને 72,082 કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી અને વર્ષ 2010-11માં 89,991 કરોડ રૂપિયા મહેસૂલ મળી છે. સરકાર એક તરફ આપણા ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ તે ઓઈલ કંપનીઓને ઉધારી માટે મજબૂર કરી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓની ઉધારી 1,23,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન છે અને વિદ્વાન પ્રણવ મુખર્જી નાણાં મંત્રી છે, ત્યારે સવાલ એ છે કે જનતાને આખરે કઈ રાહત થઈ? મોંઘવારી આમ આદમીની કમર તોડી રહી છે અને સરકારને માત્ર તેમની મહેસૂલની પડી છે. વધતી મોંઘવારી અને ઓઈલના કારોબાર પર નજર કરવામાં આવે, તો સરકાર નફાખોર વેપારીથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.

સરકારનો તર્ક છે કે દેશનો વિકાસ તેને પ્રાપ્ત થતી મહેસૂલની આવકમાંથી થઈ રહ્યો છે, પરંતુ સરકાર ભૂલી જાય છે કે વધતી મોંઘવારી વિકાસ અને તેના માટેના પ્રયત્નોની વ્યાપકતાને અર્થહીન સાબિત કરવા લાગી છે. દેશમાં હાલ ચાલતી આર્થિક નીતિઓથી કેટલાંક લોકોને લાભ પહોંચતો હશે, પરંતુ મોટાભાગના લોકો મુશ્કેલીમાં છે. દેશના કરોડો પરિવારો ધસમસતા મોંઘવારીના પૂરમાં બેહાલ બની રહ્યાં છે. તેમને ત્યાં બે વખત ચુલો પણ સળગતો નથી. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન પામે છે, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારતના આમ આદમી પર ચારે તરફથી સરકાર પ્રહારો કરી રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે, તો બીજી તરફ ભોજન બનાવવાના સાધનો મોંઘા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે યુપીએ સરકારને આમ આદમીની સરકાર ગણાવવાનો દાવો કરનારી કોંગ્રેસનો હાથ ક્યાં છે? શું આ હાથ 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી જેવાં કૌભાંડોના રૂપિયા ભેગા કરવામાં લાગેલો છે? તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળું નાણું બે અલગ મુદ્દા છે. તેના સંદર્ભે બાબા રામદેવ અને અન્ના હજારેએ અનશન કર્યા છે. વળી અન્ના 16 ઓગસ્ટથી લોકપાલ મુદ્દે અનશન પર બેસવાના છે. ત્યારે બંનેએ સમજવું જોઈએ કે ભારતની તાત્કાલિક સમસ્યા આમ આદમીને મોંઘવારીને કારણે કઠિન બનેલા જીવનનું કષ્ટ છે. આ બંને અનશનવીરોએ હકીકતમાં મોંઘવારી સામે વ્યાપક અનશન આંદોલન ચલાવવું જોઈએ અને નફાખોર વેપારી જેવી વિકાસની આર્થિક નીતિઓ પર ચાલતી સરકારને જનકલ્યાણની વેલફેર સ્ટેટની આઝાદી વખતની નીતિઓ પર લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

Monday, June 20, 2011

ગાંધી ચિંધ્યા અનશન એટલે આત્મઘાતી પાગલપન!

-આનંદ શુક્લ
યોગગુરુ બાબા રામદેવ અને અન્ના હજારેના અનશન બાદ ફરીથી ભારતનું ધ્યાન અનશન પર ગયું છે. ભારતીય આધ્યાત્મમાં ઉપવાસનું અત્યંત મહત્વ છે. પરંતુ આ ઉપવાસનો રાજકીય ઉદેશ્ય માટે શસ્ત્ર તરીકે ઉપયોગ એટલે અનશન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અનશનનું શસ્ત્ર આઝાદીની ચળવળ દરમિયાન કમજોર ભારતીયોના હાથમાં આપ્યું છે. તેમણે તે વખતે કહ્યું હતું કે સત્યાગ્રહી માટે અનશન એ તમામ અહિંસક વિકલ્પો ખતમ થઈ જાય ત્યારે બાકી રહેલુ અંતિમ શસ્ત્ર છે. ગાંધીજીના વિચારોમાં સત્ય અને અહિંસાનું મૂલ્ય હતું. પરંતુ આ દેશનું કમભાગ્ય છે કે સત્ય અને અહિંસાની અલખ જગાવનાર વ્યક્તિ આ દેશની સત્તા પર આવ્યો નહીં, જો કે તેમને પોતાને પણ સત્તા સંદર્ભે કોઈ લોલુપતા હોય તેમ તેમના જીવન પરથી લાગતું નથી.

પરંતુ ગાંધીજીના જે અનુયાયીઓ સત્તામાં ગયા, તેમને સત્તામાં ગયા પછી ખબર પડી કે સત્તા અસત્ય અને હિંસાથી ચાલે છે. તેમા તેમને પોતાનો ફાયદો પણ દેખાયો. સત્તાને હિંસા અને અસત્યથી ચલાવવા માટે સત્તામાં આવેલા ગાંધીવાદીઓએ બેવડું વ્યક્તિત્વ ગ્રહણ કરી લીધું. તેઓ રોજે રોજ હિંસામાં ઉંડા ઉતરતા ગયા, અસત્યમાં જીવવા લાગ્યા. જો કે આ ગાંધીવાદીઓએ વાતો સત્ય અને અહિંસાની વધુ જોરથી કરવા માંડી. એટલા જોરથી કરવી જરૂરી હતી, જેથી તેઓ જે કરી રહ્યા છે, તે છુપાય જાય.

63 વર્ષની આઝાદીમાં હિંદુસ્તાનની અહિંસક સરકારે જેટલી હત્યા અને ખૂન કર્યા છે અને જેટલી ગોળીઓ ચલાવી છે, તેટલી દુનિયાની કોઈપણ હિંસાવાદી સરકાર પણ આટલી હિંસા કરવાનો દાવો કરી શકે તેમ નથી. ઉપર ઉપરથી અહિંસાની વાત ચાલતી રહી અને અંદરખાને હિંસાનો નગ્ન નાચ ચાલ્યો. બહારથી સત્યની વાત કરાતી રહી, પરંતુ અંદર ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો. ભારતમાં ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ સત્તાની દોડમાં ગાંધીવાદીઓએ તમામ પ્રકારના અસત્યનો સ્વીકાર કરી લીધો છે. અપરિગ્રહ અને દરિદ્રતાના વરણની વાતો ચાલતી રહી અને તમામ પ્રકારની સંપત્તિ અને બધાં પ્રકારના લોભ તથા પરિગ્રહ કામ કરતા ચાલ્યા ગયા.

યુદ્ધ લડતી સેનાનું મુખ્ય લક્ષ્ય વિજય હોય છે. માત્ર એ જ યુદ્ધકળા સાચી હોય છે કે જે ન્યાય પક્ષની ઓછામાં ઓછી અને અન્યાય પક્ષની વધુમાં વધુ હાનિ કરે છે. ક્યારેક બલિદાન પણ આ યુદ્ધકળાનું એક અત્યંત જરૂરી ઘટક હોય છે, પરંતુ તે અપવાદના રૂપમાં સ્વીકારી શકાય, નિયમ તરીકે નહીં. પરંતુ માત્ર બલિદાનથી જ નિશ્ચિતપણે વિજય મળી જશે તેવું કહી શકાય નહીં. રાવણે સીતાનું અપહરણ કર્યું. તેમાં સીતાના અપહરણ કરવાની દુષ્ટતા અને નીચતા હતી, તે વખતે જો રાવણની સામે રામે ઉપવાસ કરીને પ્રાણ આપવાની વાત કરી હોત તો નઠારા રાવણનું હ્રદય પીગળી જાત? ના! માટે જ રામે અન્ન-જળનો ત્યાગ કરવાની વાત કરી ન હતી. તેમણે રાવણના મોઢામાંથી કોળિયો છીનવીને તેને ભૂખ્યો મારવાની તૈયારી કરી હતી. સીતાએ પણ, અશોક વનમાં પોતાને ભોજન જોઈએ અથવા યોગ્ય સમ્માન જોઈએ, નહીં તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરીને મરી જશે, તેવી કોઈ પ્રતિજ્ઞા કરી ન હતી. કારણ કે તેમનું મુખ્ય લક્ષ્ય રામ દ્વારા રાવણનો નાશ કરવો અને તેના માટે અન્ન-જળનો ત્યાગ કરવાનું કૃત્ય બિનજરૂરી અને હાનિકારક હતું. સીતાએ એક પ્રતિજ્ઞા અવશ્ય કરી હતી કે તેમનું પ્રીતિ સ્વાતંત્ર્ય પાતિવ્રત્ય અબાધ રહે. આ પ્રતિજ્ઞા પર આંચ આવવાથી પણ પ્રાણ બચાવવાનો અર્થ મુખ્ય લક્ષ્યથી વિચલિત થવાનો હતો. આવી સંભવિત સ્થિતિમાં સીતા મોતને વહાલું કરીને પણ પોતાની પ્રતિજ્ઞા નિભાવત. ગુરુ તેગ બહાદૂર, બંદા વીર, સંભાજી મહારાજનું મુખ્ય લક્ષ્ય સ્વધર્મ રક્ષણ હતું. આ લક્ષ્ય માટે પ્રાણ આપવા જ્યારે જરૂરી થઈ પડયા ત્યારે તેમણે જીવનનો ત્યાગ કર્યો અને તે પરિસ્થિતિમાં તે યોગ્ય પણ હતું.

સ્વાતંત્ર્ય વીર સાવરકરે અન્ન-જળ ત્યાગવાની વાતનો પ્રખર વિરોધ કર્યો હતો. તેમના માનવા પ્રમાણે, પ્રાણહાનિ માટે પ્રાણહાનિ અનિષ્ટકારક છે. આ દ્રષ્ટિથી અન્ન-જળ છોડીને મરી જવાની નવી પરંપરા પ્રચલિત થઈ રહી છે, તેનો યુદ્ધ નીતિની દ્રષ્ટિથી વોરધ કરવો પોતાનું કર્તવ્ય માને છે. તેનો અર્થ એ નથી કે તેઓ તેમની દેશભક્તિ અથવા તેમની કઠોર તપસ્યાના મૂલ્યને નકારી રહ્યાં છે. પરંતુ રાષ્ટ્રહિત માટે પોતાનો બુદ્ધિવાદ પ્રગટ કરવો જ પડશે. અન્ન-જળ છોડવાની આ લહેર આવી જ રીતે ફેલાતી રહેશે તો આ રાષ્ટ્રનું મુખ્ય લક્ષ્ય સ્વતંત્રતા પ્રાપ્તિને નુકસાન પહોંચશે.

ભગતસિંહ અને અન્ય ક્રાંતિકારીઓના જેલમાં રાજકીય બંદી તરીકેની માન્યતા સાથેના અનશન સંદર્ભે પણ સાવરકરે નાખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે શસ્ત્ર વિપક્ષનું નુકસાન ન કરે, ઉલટું પોતાના જ પક્ષનું નુકસાન કરે, તે શસ્ત્ર જ નથી અને માટે તેનો ઉપયોગ કરનારો કુશળ યોદ્ધા માની શકાય નહીં. અનશનની બંદૂકનું નિશાન વિપક્ષ પર નહીં, પરંતુ સ્વપક્ષ પર જ લાગે છે. આ વિશ્વાસઘાતની બંદૂક, આ અનશન, આ ગુસ્સા આ બધી બાબતો પાછળ હેતુ ઉદાત્ત છે, પરંતુ વિચાર પ્રક્રિયા ખોટી છે. માટે આ બધું આત્મનાશનું કારણ બની જશે. આ અનશનને કારણે આપણે એક-બે અથવા દસ-વીસ ભગતસિંહ ગુમાવવા પડશે, તો વિપક્ષને શા માટે દુ:ખ થશે? તેમને થશે તો સુખ જ, કારણ કે વિદેશી સત્તાના રસ્તામાં બિછાવાયેલા કાંટાને તમે ખુદે જ ઉખાડીને ફેંકી દીધા છે. વિચારો કે જો હરણ સિંહના દરવાજા પર જઈને અનશન કે સત્યાગ્રહ કરવા લાગે તો સિંહ તેને ખાવા માટે મનાવવા લાગશે અથવા ખુશીથી તેને પોતાના પેટમાં પધરાવીને ભૂખને શાંત કરશે? સિંહ ડરે છે તો માત્ર શિકાર થવાથી. હરણોના અનશનતી નહીં. સાવરકરના મતે અન્ન ત્યાગથી પોતાને મોતના મોઢામાં ધકેલવાની વાત આત્મઘાતી પાગલપણું છે.

હિંદુસ્થાને અસંભવ આદર્શોની પાછળ પડીને પોતાનું જીવન, પોતાનું ચરિત્ર નષ્ટ કર્યું છે અને કરી રહ્યું છે. ગાંધીજીએ ફરીથી અસંભવ આદર્શોને આપણી સામે મુકી દીધા. અહિંસા, સંપૂર્ણ અહિંસા તેમની કલ્પનામાં છે. સાચી વાત તો એ છે કે ગાંધી ખુદ પણ પૂર્ણ અહિંસક ન હતા અને ન તો તેઓ પૂર્ણ અહિંસક બની શકે. કોઈપણ વ્યક્તિ જીવિત રહેતા પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ખુદ ગાંધી પણ પૂર્ણ અહિંસક થઈ શકે નહીં. ગાંધીવાદીઓની વાત તો દૂરની છે, ખુદ ગાંધી પણ પૂરા ગાંધીવાદી નથી, ન થઈ શકે. જીવિત રહેવું છે, તો હિંસા અનિવાર્ય છે. કોઈપણ એક ક્ષણ માટે પણ હિંસા વગર રહી શકે તેમ નથી. જે વાતોને આપણે અહિંસાનું નામ આપીએ છીએ, તે પણ હિંસાનું જ રૂપ છે.

જો કોઈ તમારી છાતી પર છરો લઈને ઉભો રહી જાય અને તમને કહે કે તે જે કહે છે તે તમારે કરવાનું છે. તો તે હિંસાનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ જો તે વ્યક્તિ પોતાના ગળા પર છરો મૂકીને તમને કહે કે તે કહે તે કરવાનું છે, નહીં તો તે છરો પોતાના પર ચલાવી દેશે. તો અહીં માત્ર હિંસાની દિશા બદલાઈ છે. પહેલા કિસ્સામાં હિંસાની દિશા તમારા તરફ હતી, તે બીજી પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાની તરફ કરી દીધી છે. ગાંધીજીએ જેટલી વખત ખુદને મારવાની ધમકી આપી, એકપણ વ્યક્તિનું હ્રદય પરિવર્તન થયું નથી. ડૉ. આંબેડકરે સ્પષ્ટ કહ્યું છે કે તેમનું હ્રદય પરિવર્તન જરા પણ થયું નથી, પરંતુ માત્ર એમ વિચારીને કે ગાંધી જેવા કિંમતી વ્યક્તિ ન મરી જાય, તેના માટે તેઓ નમ્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ જે માને હતા, તે તેઓ માને છે. તેમનું માનવું તેમ જ છે.

ગાંધીજી અનશન કરીને કોને નમાવી શક્યા? કોને પોતાના ઉપવાસથી સમજાવી શક્યા? કોનું હ્રદય પરિવર્તન કરી શક્યા? પરંતુ ખુદને મારવાની ધમકીથી લોકમાનસ ભયભીત થયું કે આટલો સારો માણસ ક્યાંક મરી ન જાય. તેમને બચાવવાની કોશિશ કરી. આ પણ એક હિંસા છે, આ પણ બળજબરીપૂર્વકનું દબાણ છે. આમ ગાંધીજી પણ પૂર્ણપણે અહિંસક ન હતા, ન થઈ શકે.

વળી ધ્યાન રાખવાની વાત એ પણ છે કે જ્યારે પૂર્ણ અહિંસા પર જોર આપવામાં આવશે, ત્યારે તેના પરિણામ ઘણાં ઘાતક હશે. હિંદુસ્થાનમાં ગાંધીજીએ પૂર્ણ અહિંસા પર જોર આપ્યું, અને હિંદુસ્થાન ગાંધીજીની આંખો સામે એટલી મોટી હિંસાના તબક્કામાંથી પસાર થયું કે તેનો કોઈ હિસાબ લગાવી શકાય તેમ નથી. દસ લાખથી પણ વધારે લોકો હિંદુસ્થાના ભાગલા વખતે કાળનો ગ્રાસ બની ગયા હતા. દસ લાખ લોકો આ આંદોલનની પૂર્ણાહુતિ વખતે મર્યા કે જે અહિંસક હતું. ખુદ ગાંધીની હત્યા પણ હિંસાથી થઈ, તે પણ વિચારણીય બાબત છે.

ગાંધીજીના પ્રખર અનુયાયી અને સમાજવાદી ડૉ. રામ મનોહર લોહિયા તથા લોકનાયક જયપ્રકાશ નારાયણ પણ અનશનના વિરોધી હતા. ડૉ. રામ મનોહર લોહિયાના માનવા પ્રમાણે, અનશન વ્યક્તિવાદ અને પાખંડને પ્રોત્સાહન આપે છે. તો જયપ્રકાશ નારાયણ પણ માનતા કે અનશનથી મુદ્દા પાછા ધકેલાઈ જાય છે અને અનશન કરનાર વ્યક્તિ ચર્ચામાં આવી જાય છે. લોહિયાએ સિવિલ નાફરમાનીની વાત કરીને અહિંસક રસ્તે આંદોલન ચલાવવાની વાત કરી હતી. તો જયપ્રકાશ નારાયણે પણ અહિંસક રીતે સંપૂર્ણ ક્રાંતિ કરવાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે અલખ જગાવી હતી.

શ્રી શ્રી રવિશંકરે સ્પષ્ટ કહ્યું છે કે અનશનના આંદોલન માટે સમાજ અને સરકારનું સંવેદનશીલ હોવુ જરૂરી છે. સમાજની સંવેદનશીલતા હાલ ‘પેસિવ’ છે. પરંતુ સરકાર તદ્દન અસંવેદનશીલ છે. કારણ કે ગંગા નદીના કિનારે ચાલતા ક્રશર બંધ કરાવવા અને તેના શુદ્ધિકરણની માગણી સાથે 115 દિવસ સુધી અનશન કરનારા સ્વામી નિગમાનંદનું મૃત્યુ તેનુ સૌથી મોટું ઉદાહરણ છે. તો બાબા રામદેવના 9 દિવસના અનશન વખતે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસનો ચહેરો દિગ્વિજય સિંહ જેવા નેતાઓના નિવેદનોથી લોકો સામે ખુલ્લો પડયો છે. અણ્ણાએ 15 ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો આમ ન બને, તો અન્ના હજારે 16 ઓગસ્ટથી ફરીથી બીજી આઝાદીની લડાઈ લડવા માટે અનશન પર બેસવાના છે. જો કે તેમને પણ શંકા છે કે કેન્દ્ર સરકાર તેમની સાથે પણ બાબા રામદેવની જેમ સખ્તાઈ કરવાની છે.

ત્યારે અત્યારના સમયમાં આંદોલન માટેની લોકતાંત્રિક રીતોની પુન:સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શું અનશન હકીકતમાં આંદોલનનું લોકતાંત્રિક હથિયાર છે કે માત્ર તાયફો છે? અત્યાર સુધીમાં થયેલા અનશનમાં મોટાભાગે મુદ્દા પ્રત્યે સત્તામાં રહેલી સરકારને સહાનુભૂતિ હોય, તો જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. બાકીના તમામ અનશન કરનારાઓને જીવનથી હાથ ધોવા પડયા છે. શા માટે દેશમાં આટલા આતંકવાદી હુમલાઓ બાદ સશક્ત આતંકવાદ વિરોધી કાયદો બનાવવા માટે અનશન કરવામાં આવ્યા નથી? પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ફરીથી ભારતની પ્રભુસત્તા નીચે લાવવાની માગણી સાથે અનશન શા માટે થતા નથી? સંસદ પરના હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા માટે અનશન શા માટે થતા નથી? મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ત્યારે મોંઘાવારીને કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલાની માગણી સાથે કોઈ અનશન શા માટે થતા નથી? ચૂંટણી સુધારા, રાજકીય પક્ષોમાં લોકતંત્ર, નક્સલવાદ પર લગામ, વોટબેંકની રાજનીતિ વગેરે મુદ્દાઓને લઈને ક્યારેય કોઈ અનશન શા માટે કરાયા નથી? લાગે છે કે ભારતના નવા અનશનવીરો આ વાતની પણ નોંધ લેશે.

Wednesday, June 15, 2011

ભ્રષ્ટાચાર સામેના અનશનમાં ધર્મ અને દંભ

-આનંદ શુક્લ
દેશ ધર્મના માર્ગે છે કે દંભના માર્ગે તે તાજેતરની અનશનની ઘટનાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ શું છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર વ્યક્તિ? દંભી સમાજના લોકોનો દંભ સ્વામી નિગમાનંદના મૃત્યુની ઘટનામાં છુપાયેલા બેવડાં ધારાધોરણોથી સામે આવી ગયો છે. નિગમાનંદ ગત 115 દિવસોથી અનશન પર હતા. પરંતુ તેઓ લોકોની, મીડિયાની, રાજકારણીઓની અને સાધુ-સંતોની જમાતથી ગુમનામ જ રહ્યાં. તેમના અનશન તોડાવવા માટે કોઈ સાધુ-સંતોએ થોડો પણ પ્રયત્ન કર્યો નહીં. કોઈ નેતાએ અપીલ કરીને પોતાની સંવેદનશીલતા પણ દર્શાવી નહી. નિગમાનંદ પણ હરિદ્વારના સંન્યાસી હતા. તેઓ ગંગામૈયાની લડાઈ લડી રહ્યાં હતા. ગેરકાયદેસરનું ખનન વધારે નક્કર મુદ્દો છે. તેમા નરી આંખે સામે થઈ રહેલો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. પરંતુ સ્વામી નિગમાનંદના મૃત્યુ પહેલા તેમની ક્યાંય કોઈ ચર્ચા થઈ નથી?

આપણા દેશમાં દરેક વ્યક્તિના અનશનને મહાન સંઘર્ષનો દરજ્જો મળતો નથી. આપણા દેશમાં અનશન અને અનશનમાં ઘણો મોટો ફર્ક સ્વામી રામદેવના અનશન અને સ્વામી નિગમાનંદના અનશન પરથી સ્પષ્ટ બની જાય છે. અનશન કરનાર દરેક વ્યક્તિની બગડી રહેલી તબિયત પ્રત્યે આપણા દેશના લોકો, નેતાઓ, મીડિયા અને અધિકારીઓના મનમાં કરુણા ઉપજતી નથી. પૂર્વોત્તર ભારતના મણિપુર રાજ્યમાં ઈરોમ શર્મિલા ગત દસ વર્ષોથી અનશન પર છે. તે નાગરીક જીવનને સેનાના નિયંત્રણ બહાર રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તે સ્ત્રી છે અને મનુષ્યના મૂળભૂત હકો માટે લડી રહી છે.

ભ્રષ્ટાચાર તો તેનાથી આગળની વાત છે. પરંતુ સ્વામી નિગમાનંદ અને ઈરોમ શર્મિલાનો આમરણાંત સંઘર્ષ દેશવાસીઓ, મીડિયાની અંદર કોઈ ઉતેજના પેદા કરતો નથી. આપણા માટે અનશન અથવા સંઘર્ષ ત્યારે જ મહત્વપૂર્ણ બને છે કે જ્યારે તે કોઈ માટો ટ્રસ્ટ અથવા સંગઠનના પ્રમુખ દ્વારા શરૂ કરવામાં આવે. આવા પ્રમુખ જેટ વિમાનથી ઉતરીને દિલ્હીના રામલીલા મેદનામાં પોતાના નાણાંથી પંડાલ લગાવીને ભાષણ આપી શકે છે. આ બંને પ્રકારની ઘટનાઓને સામે રાખીને ભારતવાસીઓએ આત્મચિંતન કરવું જોઈએ.

ઉંચ-નીચના જાતિગત ભેદભાવો તો ભારતમાં દરેક ક્ષેત્રમાં વત્તા-ઓછા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં પણ આપણે લોકોએ ઉંચી અને નીચી એવી શ્રેણીઓ બનાવી રાખી છે. મુદ્દો ચાહે જેટલો પણ કાલ્પનિક હોય, પરંતુ કોઈ ઉચ્ચ અધિકારી અથવા નેતા પોતાની સેવાનિવૃતિ બાદ કોઈ સભામાં ઉભો રહીને સંઘર્ષનું એલાન કરે છે અને તે મુદ્દો અચાનક મોટો સંઘર્ષ બની જાય છે. તેની રાજનેતાઓ અને મીડિયા નોંધ લે છે. આપણે આવા લોકોના મોટા કદથી વશીભૂત થઈ જઈએ છીએ. જો કે હકીકતમાં આવા લોકોના નેતૃત્વમાં આગળ વધતા સંઘર્ષમાં લોકો તેમની ચમચાગીરી વધારે કરે છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર નાથી શકાય તેમ નથી-આવા મતલબની ઘણી વાતો છતાં આમ આદમી પોતાની સામે થતાં ભ્રષ્ટાચારને જોવે છે અને તેની સામે પોતાની શક્તિ અને મર્યાદામાં રહીને લડાઈ લડે છે. જો કે આપણે જનતા આમ આદમીની શક્તિ વધારવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. ત્યારે આપણા માટે જરૂરી બને છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ અને અનશન બાબા રામદેવના નેતૃત્વમાં થાય કે અન્ના હજારે દેશવાસીઓને દિશા-નિર્દેશ કરે. પરંતુ તેવે વખતે ઈરોમ શર્મિલા અને સ્વામી નિગમાનંદ જેવા ખરા સંઘર્ષકર્તાઓને યાદ કરીને આત્મમંથન કરીએ તે જરૂરી છે.

Saturday, June 11, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે બહુ ચાલ્યા, NOW CHANGE THE ROAD

-આનંદ શુક્લ
ભ્રષ્ટાચારની સામે અભિયાનો અને મુહિમના નામે દેશમાં બાબા રામદેવ અને અણ્ણા હજારે દ્વારા અનશનના ત્રાગાં ચાલી રહ્યાં છે. ગાંધીજી પાસેથી દેશને અનશનના ત્રાગાં અને હડતાલોનો વારસો મળ્યો છે. તેને બાબા રામદેવ અને અણ્ણા હજારે સારી રીતે જાળવી શકે તેમ લાગતું નથી. બાબા રામદેવ યોગાસનથી અનશનના સાતમા દિવસે આઈસીયૂમાં પહોંચી ગયા છે. અણ્ણા હજારેએ 15મી ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો આમ નહીં થાય તો..અણ્ણા દેશની બીજી આઝાદીની લડત 16મી ઓગસ્ટથી લડવાના છે. તેના માટે પણ અનશનના ત્રાગાંની તેમણે ધમકી આપી છે.

સૌથી પહેલી વાત તો એ કે દેશને અત્યારે જન લોકપાલ બિલ અને વિદેશમાં જમા કાળા ધનને દેશમાં પાછું લાવીને ભ્રષ્ટાચારને રોકવાની પ્રાથમિકતા છે કે આજે લગભગ 68 રૂપિયે લીટર પેટ્રોલ ભરાવતા આમ આદમીના ખિસ્સાને માર પડવો ઓછો થાય તેવી કોઈ મુહિમની જરૂરત છે? દેશમાં ગરીબી અને ગરીબ બંને વધી રહ્યાં છે, ત્યારે એ વાત તો કબૂલ કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર તેના મુખ્ય કારણ છે, પરંતુ 30 કરોડ લોકોના મધ્યમ વર્ગને મોંઘવારીના મારમાંથી રાહત થાય તે માટે ઈમરજન્સીમાં અનશનના ડોકટરો અણ્ણા હજારેએ અને બાબા રામદેવે કોઈ ઈલાજ કરવો જોઈતો હતો. પણ અણ્ણા અને રામદેવના ત્રાગાંમાં દેશના લોકો મોંઘવારીના ભારને ભૂલી ગયા છે. બાબા રામદેવે 400 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વિદેશમાંથી આવી જશે, તો એક રૂપિયાના પચાસ ડોલર થઈ જશેના દીવા સ્વપ્નો દેખાડયા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે એવો કોઈ દેશ નથી અને એવો કોઈ શાસક નથી કે જે કાળા ધન અને ભ્રષ્ટાચારને રોકી શકે. કારણ કે ભ્રષ્ટાચાર તો અર્થશાસ્ત્રના વિદ્વાન ચાણક્યના વખતમાં પણ હતો અને તેથી આગળ વધીને રામ રાજ્યમાં પણ તે હોવાનું નકારી શકાય તેમ નથી. ત્યારે આવા દીવસ્વપ્નોમાં રાચવા કરતા લોકોએ વ્યવહારીકતા અપનાવીને મોંઘવારીના મહાદાનવને હણવા માટે શસ્ત્રો સજ્જ કરવાની જરૂર છે.

પરંતુ બાબા રામદેવ અને અણ્ણા હજારેના આંદોલનની અનશનના ત્રાગાં કરવાની રીત ખોટી હોઈ શકે છે, પરંતુ તેમના બંનેના મુદ્દાઓમાં ઘણો દમ છે. તેમને લાગે છે કે ભારતમાં લોકશાહી છે અને તેઓ લોકતાંત્રિક રીતે પોતાના આંદોલન ચલાવે છે. તો તેમના ખ્યાલ તેમને મુબારક પણ ભારતમાં લોકશાહી ચાલતી નથી, અહીં તો ટોળાશાહી, ઠોકશાહી અને ડંડાશાહી ચાલે છે. ત્યારે 4 જૂન, 2011ની રાત્રે દેશ આખાએ જોઈ લીધું કે યુપીએ સરકારના મંત્રીઓએ ખેલ કરીને એક ભોટ બાબાને ભોળવી નાખ્યો. રામલીલા મેદાનમાં સરકારના ઈશારે પોલીસ તંત્રે રાવણલીલા આચરી. પંડાલમાં ઉંઘમાં રહેલા મહિલા અને બાળકો પર ડંડાઓ વરસાવવામાં આવ્યા. બાબા રામદેવ બાર ફૂટ ઉંચા મંચ પરથી કૂદકો મારીને લોકોમાં પહોંચ્યા, ત્યાંથી તેઓ મહિલાના કપડાં પહેરીને ભાગવાની કોશિશ પણ કરી. પરંતુ તેમા તેઓ સફળ થયા નહીં.

પરંતુ વિચાર કરો કે આ દેશના કોઈ વિસ્તારમાં શાહી ઈમામ જેવા કોઈ બની બેઠેલા મુસ્લિમ નેતા કે તેમની સામાજીક-ધાર્મિક સંસ્થાઓ કોઈ વિરોધ આંદોલન કરતી હોત અને તેમના આંદોલનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવાની શક્યતાથી પોલીસ કાર્યવાહી કરવાની ભારતની કોઈપણ સરકારે હિંમત દાખવી હોત. જો આવી હિંમત દાખવવામાં આવી હોત, તો તેના પ્રત્યાઘાત તરીકે દેશભરમાં હિંસક દેખાવો અને તોફાનો માટે સરકારે તૈયાર રહેવું પડત.

અરે દિલ્હીમાં ઉભા રહીને શાહી ઈમામે કહ્યું હતું કે તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો એજન્ટ છે. આ એ આઈએસઆઈની વાત છે કે જે ભારતમાં ભાંગફોડ અને આતંકવાદ માટે જવાબદાર હોવાનું અવાર-નવાર સરકારી એજન્સીઓ જણાવી ચુકી છે. પરંતુ આ જ સુધી શાહી ઈમામને સરકારે હાથ પણ લગાવ્યો નથી. બીજી તરફ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, આ વાત ભારતનું બંધારણ અને ભારતની સંસદ માને છે. તેમ છતાં કાશ્મીર ભારતનું અંગ ન હોવા સંદર્ભના નિવેદન બાદ માનવાધિકારવાદી કાર્યકર્તા અરુંધતિ રોય અને કાશ્મીરના અલગતાવાદી કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાની સામે ફરીયાદ થવા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જો કે સરકારે અરુંધતિ રોય, સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક માટે દેશભરમાં કાશ્મીર સંદર્ભે અનાપ-સનાપ બોલવા માટે કોન્ફરન્સો કરવાની મંજૂરી પણ આપી હતી. જો કે ભારતના લોકોએ જાગરૂકતા બતાવીને ગિલાની, મિરવાઈઝ અને યાસીનને જૂતાવાળી કરી હતી. તેને કારણે જ આવી કોન્ફરન્સો ભારતમાં અન્ય જગ્યાએ યોજાતી હમણા તો બંધ થઈ છે. માઓવાદીઓને બંદૂકો સાથેના ગાંધીવાદી ગણાવતા અરુંધતિના હાસ્યાસ્પદ નિવેદન છતાં તેના તરફ સરકારનું વલણ ક્યારેય તીખું થયું નથી.

પણ બાબા રામદેવે અનશન ચાલુ રાખવાની વાત કરી કે તેમના રામલીલા મેદાન ખાતેના પંડાલ પર સોનિયા ગાંધીના દોરી સંચાર તળે ચાલતી મનમોહન સિંહની સરકાર દળ-કટક સાથે ત્રાટકી હતી. શું બાબા રામદેવનો ગુનો એટલો છે કે તેઓ પોતાને દેશભક્ત હોવાનું જણાવી રહ્યા છે? તેઓ ભ્રષ્ટાચાર દૂર કરીને વિદેશમાંથી કાળું ધન પાછું લઈ આવવા માટે કાયદો બનાવવાની વાત કરી રહ્યાં છે, તે તેમનો ગુનો છે? શું તેઓ અનશન ચાલુ રાખીને કોઈ ભારત પર હુમલો કરવાનો હોય તેવું મોટું દુષ્કૃત્ય કરી રહ્યાં છે(મિત્રો ભારતની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને મુંબઈ પર હુમલો કરનાર કસાબ જેલમાં બિરયાનીની જ્યાફત ઉડાવી રહ્યાં છે.)? શું બાબા રામદેવ હિંદુ સન્યાસી છે, તે સરકારની અને સોનિયાની નજરમાં ગુનો છે? ભગવામાં આતંકવાદ જોનારા ચિદમ્બરમને રામદેવના ભગવા કપડાથી વાંધો છે? શું બાબા રામદેવે ભારત ભક્ત રહેવું જોઈએ? શું બાબા રામદેવે ભ્રષ્ટાચાર દૂર કરવાની અને કાળું ધન વિદેશમાંથી દેશમાં લાવવાની વાત ન કરવી જોઈએ? આટલા બધાં સંગીન ગુના કરવા બદલ તો બાબાને આઈસીયૂમાં જ નહીં, આ સરકારે તો અફઝલ અને કસાબ પહેલા ફાંસીના માંચડે ચઢાવી દેવો જોઈએ. કારણ કે આ દેશના સત્તાના મઠાધીશોને ભારતના દુશ્મન આઈએસઆઈ, અફઝલ ગુરુ અને કસાબથી જેટલો ખતરો નથી, તેટલો ખતરો બાબા રામદેવ અને અણ્ણા હજારે જેવા માથા ફરેલા ત્રાગાબાજોથી છે.

જો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાતો સાંભળતા સાંભળતા દેશને 63 વર્ષ પૂરાં થયા. પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને હડતાલોના ત્રાગાંથી આ દેશની એકપણ સમસ્યાનું સમાધાન થયું નથી. શું ગાંધી ચિંધ્યા માર્ગે ભ્રષ્ટાચાર દૂર થયો, કાળું ધન વિદેશથી પાછું આવ્યું, સંપૂર્ણ ક્રાંતિ થઈ શકી, આતંકવાદ દૂર થયો, કોમવાદને નાથી શકાયો, મોંઘવારી દૂર થઈ, દેશદ્રોહીઓની નશ્યત થઈ શકી, ભૂખમરો, ગરીબી, અજ્ઞાનતા, બેકારી દૂર થઈ શકી? ભારતનો આટલા લાંબા સમયનો અનુભવ તો કહે છે કે ભારતમાં ગાંધી ચિંધ્યા માર્ગે થયેલા આંદોલનોથી તો દેશની સમસ્યાઓ વધારે ગુંચવાઈ અને ગંભીર બની છે. ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું કોઈ કારણ બાકી રહી જાય છે?

જે વ્યક્તિઓને આ દેશના રાજકારણીઓએ ખૂબ કોસ્યા છે, તેવા ક્રાંતિવીર સાવરકર અને ભગતસિંહ જેવાં ક્રાંતિકારીઓના માર્ગે ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જલિત કરવાનો માર્ગે ચાલવાનું કેમ કોઈને દેખાતું નથી? સાવરકરે જે રસ્તો સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને બતાવ્યો હતો, તે માર્ગ પણ ચાલવાનો સમય પાકી ગયો છે. પરંતુ આના માટે નેતૃત્વ કોણ લે? લોકોને સાવરકર ચિંધ્યા માર્ગે આગળ વધવાનો દિશાનિર્દેશ કોણ આપે? આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે ક્યારે ચાલશે? ગાંધી ચિંધ્યા માર્ગે 63 વર્ષ ચાલ્યા, જો આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે માત્ર ત્રણ વર્ષ ચાલે, તો દુનિયાને પોતાની શક્તિથી નમાવવાની હેસિયત રાખે છે.

Friday, June 3, 2011

સમ્રાટ ચંદ્રગુપ્ત


(લેખક-દીનદયાલ ઉપાધ્યાય,લોકહિત પ્રકાશન)
મનોગત
પ્રસ્તુત પુસ્તકમાં ઐતિહાસિક તથ્યોના માળખા પર પોતાની ભાષાનું માંસ ચઢાવીને ચંદ્રગુપ્તનું ચરિત્ર લખવામાં આવ્યું છે. નાયકની એક ધ્યેયનિષ્ઠાએ સ્વયં જ તેમા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. કેટલીક ઘટનાઓનું વર્ણન પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા લખાયેલા ઈતિહાસ સાથે ભલે મેળ ખાય નહીં. પરંતુ આ વર્ણન કલ્પનાઓના આધાર પર ન રહેતા, આપણા પ્રાચીન ગ્રંથો તથા ભારતીય વિદ્વાનો દ્વારા કરવામાં આવેલી આધુનિક શોધોના આધારે છે. જેમના માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે, તેમને તમામ પ્રકારના ઐતિહાસિક તથ્યોનું વન પરિભ્રમણ કરાવવાની જરૂરત નથી, તેમણે એટલું જાણવું પૂરતુ છે કે યૂરોપિયન વિદ્વાનો દ્વારા પ્રયત્નપૂર્વક અને તેનું આંધળુ અનુકરણ કરનારા ભારતીય વિદ્વાનો દ્વારા અજાણતા ફેલાયેલા અંધકારને નષ્ટ કરનારી ઐતિહાસિક શોધના સૂર્યપ્રકાશમાં દેખાયેલી આ સત્ય ઘટનાઓ છે.
લેખક
વર્ષ પ્રતિપદા
સં. 2003 વિ.
લેખક પરિચય

પં. દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ અત્યંત સાધારણ પરિવરમાં 25 સપ્ટેમ્બર, 1916ના રોજ થયો હતો. તેઓ મથુરા જિલ્લાના એક નાનકડા ગામ નગલા ચંદ્રભાનના વતની હતા.
શૈશવાવસ્થાથી જ દીનદયાલજીને અનેક કષ્ટોમાંથી પસાર થવું પડયું. તેઓ જ્યારે ત્રણ વર્ષના હતા, ત્યારે જ તેમના પિતા શ્રી ભગવતપ્રસાદજીનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને લાચારીથી પોતાની માતા રામપ્યારીજી અને નાના ભાઈ શિવદયાલ સાથે પોતાના મામા શ્રી રાધારમણજીને ત્યાં જવું પડયુ હતુ. વિપત્તિઓ એક બાદ એક કરીને આવતી ગઈ અને સાત વર્ષની ઉંમરે તેમની માતા પણ બંને ભાઈઓને રોતા-કકળતા મૂકીને પરધામ ચાલ્યા ગયા. શૈશવાવસ્થામાં પોતાના પિતાને અને બાલ્યાવસ્થામાં પોતાની માતાને ગુમાવીને હજી દીનદયાલજીએ યૌવનની સીડીઓ પર પગ જ મુક્યો હતો કે તેમના નાનાભાઈ માત્ર 16 વર્ષની ઉંમરે જ કાળનો ગ્રાસ બની ગયા હતા.

વિદ્યાર્થી જીવન:

જો કે દીનદયાલજી પર સતત આફતોના પહાડ તૂટી રહ્યાં હતા, તો પણ તેમણે પોતાના અભ્યાસ તરફ ક્યારેય દુર્લક્ષ્ય કર્યુ ન હતુ. પ્રત્યેક પરીક્ષામાં તેઓ પોતાની વિશેષ પ્રતિભાનો પરીચય આપતા રહ્યા. પ્રાથમિક બોર્ડની પરીક્ષામાં તો તેઓ સર્વપ્રથમ હતા જ, પરંતુ હાઈસ્કૂલમાં અજમેર બોર્ડની પરીક્ષામાં તેમણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તેમની રેખાગણિત (ભૂમિતિ)ની ઉતરવાહી ઘણાં વર્ષો સુધી ઉદાહરણ તરીકે સાચવી રાખવામાં આવી. આ પ્રકારે પિલાનીની બિરલા કોલેજમાં અભ્યાસ કરીને તેમણે ઈન્ટરની પરીક્ષામાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કર્યા. મહારાજા સીકર અને શ્રી ઘનશ્યામદાસ બિરલા બંનેએ તેમને વિશેષ પુરસ્કાર અને શિષ્યવૃતિ આપી. બિરલાજી અને મહારાજા બંને તેમને પોતાને ત્યાં સારી નોકરી આપવા ઈચ્છતા હતા, પરંતુ દીનદયાલજીએ સનાતન કોલજ કાનપુર જઈને ગણિત વિષય લઈને બી.એ.ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કરી હતી. તેમણે એમ.એ. પ્રથમ વર્ષની પરીક્ષામાં પણ સેન્ટ જોન્સ કોલેજ આગ્રાના અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. પરંતુ દુર્ભાગ્યે એમ.એ.ના બીજા વર્ષની પરીક્ષા તેઓ પોતાની બીમાર બહેનની સેવામાં રહેવાને કારણે આપી શક્યા ન હતા. પોતાની મામીના આગ્રહને કારણે તેઓ એક વખત સનદ્દી સેવાઓની પ્રતિયોગિતામાં પણ સામેલ થયા અને તેમની પસંદગી પણ થઈ ગઈ, પરંતુ તેમણે વિદેશી સરકારની નોકરી ન કરવાનો નિર્ણય કર્યો. કેટલાંક સમય બાદ તેમણે બી.ટી.ની તાલીમ મેળવી.

કાર્યકર્તાના રૂપમાં:

ગરીબ હોવા છતાં પણ દીનદયાલજીએ નોકરી ન કરીને દેશસેવાનું જ વ્રત લીધું અને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે દેશસેવા કાર્ય કરવા નીકળ્યા. થોડા સમયમાં જ તેમણે પોતાની સ્વભાવગત મહાનતા અને કાર્ય કુશળતાને કારણે સૌને પ્રભાવિત કર્યા. ત્રણ વર્ષમાં જ તેમને ઉત્તર પ્રદેશના સહપ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા હતા.

સાહિત્યિક સેવાઓ:

દીનદયાલજી પ્રખર બુદ્ધિના ધની હતા. તેમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં ચંદ્રગુપ્ત અને જગદ્દગુરુ શંકરાચાર્ય નામના બે પુસ્તકો લખ્યા. વિષયની પસંદગી અને શૈલી બંને દ્રષ્ટિથી આ પુસ્તકો ઘણાં શ્રેષ્ઠ છે. તેમણે લખનૌમાં જ રાષ્ટ્રધર્મ પ્રકાશન નામની સંસ્થા પણ સ્થાપિત કરી. રાષ્ટ્રધર્મ માસિક, પાંચજન્ય સાપ્તાહીક અને સ્વદેશ નામનું અખબાર પણ પ્રકાશિત કર્યું. આજે પણ રાષ્ટ્રધર્મ અને પાંચજન્ય પોતપોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ સામાયિક ગણાય છે. સ્વદેશ નામનું અખબાર હવે તરુણ ભારત નામથી પ્રકાશિત થઈ રહ્યું છે. આ તમામ સામાયિકો અને અખબારના મૂળમાં દીનદયાલજીનો ગહન વિચાર અને તેમનો સતત પરિશ્રમ જ છે. તે સમયે દીનદયાલજી આ સામાયિક અને અખબારના તંત્રી, કમ્પોઝીટર, ભારવાહક અને કાર્યાલયના પટાવાળાનું કામ પણ જાતે કર્યું.

દીનદયાલજી ગંભીર વિચારક હતા, માટે તેમના ભાષણો પણ અત્યંત સારગર્ભિત અને મૌલિક હતા. તેમના ભાષણોના આધારે ઘણાં પુસ્તકો સંકલિત કરીને પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેમા મુખ્યત્વે છે-ભારતીય અર્થનીતિ! વિકાસ કી એક દિશા, રાષ્ટ્રજીવન કી દિશા અને અંગ્રેજીમાં પોલિટિકલ ડાયરી.

એકાત્મ માનવવાદ:

ભારતીય જીવન દર્શનને વર્તમાન સંદર્ભમાં પ્રસ્તુત કરીને આખા સંસારને નવીન દિશા આપવાનું કાર્ય દીનદયાલજીએ કર્યું. સુખની દોડમાં સતત દોડી રહેલા માનવને દીનદયાલજીના એકાત્મ માનવવાદથી જરૂરથી સ્ફૂર્તિ અને દિશા મળશે.

સ્વર્ગારોહણ:

પં. દીનદયાલજી એટલા સારા સ્વભાવના હતા કે તેમને અજાતશત્રુ કહેવામાં આવે, તો પણ કોઈ અતિશયોક્તિ નહીં થાય કારણ કે તેઓ ભારતીય રાજકારણને એક વિશેષ દિશામાં વળાંક આપવા માટે પ્રયત્નશીલ હતા અને તેમા તેમને ઘણી સફળતા પણ મલી હતી, આ રાજકીય વિચારધારામાં તેમના વિરોધીઓથી તેમનું ઉભરી રહેલું વ્યક્તિત્વ સહન થયું નહીં અને એક દિવસ અર્થાત ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ સવારે મુગલસરાય રેલવે યાર્ડમાં તેમનુ મૃત શરીર પડેલું મળ્યું. સ્પષ્ટ હતું કે કોઈ દૂષિત ષડયંત્ર દ્વારા કેટલાંક નિયોજીત હત્યારાઓએ તેમના સતત ગતિશીલ જીવનનો અચાનક અંત કરી દીધો હતો.

જે સમયે દીનદયાલજીનું શબ ઓળખી લેવાયું સંપૂર્ણ વિશ્વમાં તરત જ તેના સમાચાર ફેલાઈ ગયા. દેશ અને વિદેશના લોકો, નેતાઓ અને વિદ્વાનોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી. કોઈએ સાચું જ કહ્યું છે કે દેશના ગૌરવશાળી અતીત સાથે ભવ્ય ભવિષ્યને જોડનાર વર્તમાનનો મહાન શિલ્પી ચિરનિદ્રામાં પોઢી ગયો. દીનદયાલજીનું પાર્થિવ શરીર તો આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું કર્મશીલ જીવન, મધુર પરંતુ સરળ વ્યવહાર, તેમનું ગહન ચિંતન હંમેશા સંપૂર્ણ સમાજને નવી દિશા આપતું રહેશે.

વિષય પ્રવેશ

પુણ્યમયી ભારત ભૂમિની વિશાળ ઐતિહાસિક પરંપરામાં વૈભવ અને પરાભવ, ઉત્કર્ષ અને અપકર્ષના અનેક કાળખંડ મળે છે. ઉન્નતિ અને અવનતિ બંનેમાં તેણે પોતાની રાષ્ટ્રીય ચેતનાને જાગૃત રાખી છે. બંને પ્રકારની પરિસ્થિતિમાં પોતાના આત્માને બળવાન બનાવ્યો છે. પરાજય પ્રાપ્ત થવા પર પણ કાળચક્રની ગિતને પણ બદલનારા એવા કર્મઠ વીરોને જન્મ આપ્યો કે જેમણે પોતાની મનસ્વિતા, સ્વાભિમાન અને નીતિ-નિપુણતા દ્વારા રાષ્ટ્રીય આત્માની સુશુપ્ત શક્તિને જગાડી. આ શક્તિ અન્યાય અને અત્યાચારની ભીષણ આંધીમાં પણ પોતાના સ્થાન પર શાંત મુદ્રાથી દ્રઢ રહી અને અગત્સ્યની જેમ સમાન કઠણાઈઓથી અલંધ્ય વિંધ્યાચલને પાર કરીને સમુદ્ર જેવી ઉદંડ અને વિશાળ શક્તિનું પણ ત્રણ ઘૂંટડામાં પાન કરવામાં સમર્થ થઈ. તેમના વૈભવ અને શાંતિના કાળમાં એવા ઋષિ તથા તત્વજ્ઞ જેમણે આત્માની ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર કરીને માનવના કલ્યાણ માટે સત્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. આવો જ એક કાળખંડ આજથી 2400 વર્ષ પહેલા આપણને મળે છે. તેમાં ચંદ્રગુપ્ત અને ચાણક્યના સંયુક્ત પ્રયત્નોએ સમાજની એ રચનાત્મક શક્તિનું સર્જન કર્યું કે જેણે એલેકઝાન્ડર (સિકંદર)ને ભારતમાંથી હાંકી કાઢીને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું.

ચંદ્રગુપ્ત અને ચાણક્યે કલ્પનાના મનોરાજ્યમાં જે વિશાળ સામ્રાજ્યનો નકશો ખેંચ્યો હતો, તેને એકે પોતાની અજય શક્તિ અને બીજાએ પોતાની અસાધારણ પ્રતિભાના બળ પર પ્રત્યક્ષ જગતમાં પ્રગટ કરી દેખાડયું. એલેકઝાન્ડરના આક્રમણનો ભારતમાં દરેક સ્થળે વિરોધ થયો. દેશમાં એટલી શક્તિ હતી કે તેઓ પશ્ચિમના મહાન વિજેતા? ને પરાજીત કરી શકે, પરંતુ તેમ છતાં ભારત પૂર્ણપણે શક્તિશાળી ન હતા. સમાજ અસંગઠિત, વિશ્રૃંખલિત, વ્યક્તિત્વનિષ્ઠ હતો. આ અવગુણોને કારણે દેશની વધતી દુર્બલતા ચંદ્રગુપ્ત અને ચાણક્યથી છુપાઈ શકી નહી, કારણ કે તેઓ હતા દેશની નાડને ઓળખનારા ચતુર વૈદ્ય. દેશની આત્મા સાથે પોતાના આત્માને સમરસ કરવાને કારણે આ દુર્બલતાની વેદનાનો તેમણે અનુભવ કર્યો હતો. પર્વતકની વિશાળ શક્તિ જેણે એલેકઝાન્ડરના છક્કા છોડાવી દીધા અને તેને મિત્રતાનો હાથ આગળ કરવા મજબૂર કર્યો અને મગધનું અજેય સૈન્યબળ જેની વીરતા અને શૂરતાની કહાણીઓ સાંભળીને જ એલોકઝાન્ડરની સેના હિંમત હારી બેઠી, આ બંને વાસ્તવમાં રાષ્ટ્રીય દ્રષ્ટિથી કેટલા ખોખલા હતા, તે ચંદ્રગુપ્ત અને ચાણક્ય જાણતા હતા. માટે તેમણે ભારતના દૌર્બલ્યને દૂર કરીને શક્તિશાળી બનાવવાનું બીડું ઉઠાવ્યું.

ભારતના તમામ નાના-મોટા રાજ્યોનો વિજય અને ભારતની સીમાથી તેના શત્રુઓઓને યોગ્ય અંતરે રાખવા માટે ગાંધાર (અફઘાનિસ્તાન), ફારસ (ઈરાન), ચીની તુર્કિસ્તાન, કુસ્તાન (ખોતાન) વગેરેનો વિજય ભારતને વૈભવના શિખર પર પહોંચાડનારા શક્તિ-સોપાનની પહેલી સીડી હતી. વિજય બાદ સામ્રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા નિર્માણ કરવા આ માર્ગની બીજી સીડી હતી.

ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય એટલું સુસંગઠિત અને શાસન એટલું સુદ્રઢ હતું કે વિદેશી યવનોને પણ તેના વખાણ કરવા પડયા. તેના શાસનકાળની શાંતિ વ્યવસ્થા અને સંપન્નતાનું ચિત્ર સેલ્યુકસના દૂત મેગસ્થનીઝના વર્ણનના ઉપલબ્ધ અંશોના આધારે જ ખેંચી શકાય છે. યથાર્થ સ્વરૂપ કેટલું ભવ્ય હશે તેની તો કલ્પના જ કરી શકે છે. ચંદ્રગુપ્તની રાજધાની પાટલિપુત્ર હતી. તેનો વિસ્તાર ગંગાના કિનારે 15 માઈલનો હતો. રાજધાનીની વિશાળતા, સ્વચ્છતા અને વૈભવને જોઈને જ સામ્રાજ્યની સંપન્નતાનું અનુમાન લગાવી શકાતું હતું. નગરમાં 450 રત્નજડિત અટારીઓ હતી. પછી રાજમહેલની શોભા અને રત્નભંડારનું તો કહેવું જ શું! માર્ગોની સ્વચ્છતા અને સજાવટ અત્યંત ચિત્તાકર્ષક હતી. નાની નાની શેરીઓમાં પણ સ્વસ્છતાની યોગ્ય વ્યવસ્થા હતી. પાટલિપુત્ર તે સમયે સંસારનું મુખ્ય નગર હતું. ત્યાં માત્ર દૂરના વેપારીઓ વેપાર-ધંધા માટે આવતા ન હતા, પરંતુ સંસારના તમામ રાજ્યોના રાજદૂત પણ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ઉપસ્થિત રહેતા હતા.

પોતાના વિશાળ સામ્રાજ્યનું શાસન કરવા માટે ચંદ્રગુપ્ત મૌર્યે તેને પાંચ ભાગોમાં વહેંચી દીધું હતું. પૂર્વ ભાગનું શાસન રાજધાની પાટલિપુત્રથી જ થતું હતું, પરંતુ ઉત્તરમાં તક્ષશિલા અને કૌશામ્બી, મધ્ય ભારતમાં ઉજ્જૈન અને દક્ષિણમાં મહિશૂર (મૈસૂર) પ્રતિનિધિ શાસનના કેન્દ્રો હતો. પ્રત્યેક પ્રાંત તથા કેન્દ્રમાં શાસન મંત્રીઓની એક પરિષદ દ્વારા થતું હતું. સમ્રાટ ખુદ સમય-સમય પર સામ્રાજ્યભરમાં મુલાકાત કરતા હતા. દેશભરમાં સ્થાનિક શાસનનો ભાર ગ્રામ પંચાયતો ઉપર હતો. નગરમાં આજની જેમ સ્થાનિક શાસન સંસ્થાઓ (નગરપાલિકાઓ-મ્યુનિસિપાલિટીઓ) કાર્ય કરતી હતી. સ્વચ્છતા પર એટલું વધારે ધ્યાન આપવામાં આવતું હતું કે સડકો પર ગંદૂ પાણી નાખનાર માટે મોટા કઠિન દંડની વ્યવસ્થા હતી. નગરના સમસ્ત ઘરો યોજનાનુસાર બનાવવામાં આવતા હતા અને ઘર બનાવતા પહેલા આરોગ્ય અધિકારીની મંજૂરી મેળવી લેવી જરૂરી હતી. આજના નાના-મોટા શહેરોની જેમ પાટલિપુત્ર ખીચોખીચ વસેલું ન હતું.

ભારતમાં ઘણી મોટી-મોટી સડકો મૌર્ય શાસનમાં બની. તેની બંને બાજુ છાયાદાર વૃક્ષો લગાવવામાં આવ્યા હતા અને થોડાથોડા અંતરે પ્રવાસીઓને રોકાવા માટે ધર્મશાળાઓ અને કૂવા બનાવવામાં આવ્યા હતા. ભારતના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વણિક વર્ગ નિર્ભય થઈને પોતાનો સામાન લઈ જતા હતા. ચોરી અને ધાડનો ભય સંપૂર્ણપણે જતો રહ્યો હતો. નગરમાં લોકો ઘરોને તાળા લગવાતા ન હતા. એટલું જ નહીં, કોઈને ત્યાં ચોરી થાય અને રાજ્ય કર્મચારી તેની ભાળ મેળવી ન શકે તો તેની ભરપાઈ રાજ્યના ખજાનામાંથી કરવામાં આવતી હતી. સત્ય તો એ છે કે જ્યારે બધાં પ્રકારની સુવ્યવસ્થા અને સંપન્નતા હતી, ત્યારે કોઈ ચોરી જેવા ખોટા શાસ્ત્ર નિષિદ્ધ, લોકવિઘાતક અને લોકનિન્ધ કાર્યો તરફ પ્રવૃત કેમ થાય?

રાજ્યમાં ન્યાયની યોગ્ય વ્યવસ્થા હતી. ન્યાય અને શાસન વિભાગનું કામ અલગ-અલગ અધિકારીઓ જોતા હતા. ન્યાયની સામે તમામ સમાન હતા. ત્યાં સુધી કે રાજપુત્ર પણ, જો તે દોષી હોય, તો તેને દંડ આપવામાં આવતો હતો. સમાજ માટે વિઘાતક કામો માટે તો ઘણો કઠિન દંડ આપવામાં આવતો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સ્વયં ન્યાય કરતા હતા. તેના કારણે જનતામાંથી દરેક વ્યક્તિ સમ્રાટ સુધી પહોંચી શકતી હતી.

જ્ઞાન અને વિદ્યાના પ્રસાર માટે પણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે વિશેષ ધ્યાન આપ્યું હતું. તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયો તો ચાલતા જ હતા, પરંતુ સમાજ અને રાષ્ટરના હિતના પ્રશ્નોનો નિર્ણય કરવા માટે સ્થાન-સ્થાન પર પરિષદો હતી. તેમાં વિદ્વાનોને યથેષ્ટ રૂપથી પુરસ્કૃત કરવામાં આવતા હતા. સમાજમાં સમષ્ટિ જીવનની ભાવના રાષ્ટ્રના જીવનનું મૂળ છે, તેનો સમ્રાટ ચંદ્રગુપ્તને ખ્યાલ હતો. તેના માટે જુદાં-જુદાં પ્રચાર માધ્યમોનો ઉપયોગ થતો હતો. પરંતુ કેટલીક બાબતો માટે રાજ્ય તરફથી વિશેષ નિયમ બનેલા હતા. પડોશમાં આગ લાગવાથી એ સમષ્ટિગત કર્તવ્ય છે કે તેને બુઝાવવા માટે મદદ કરવામાં આવે. આ ફરજની અવગણના કરનારને રાજ્ય તરફથી કઠોર દંડ આપવામાં આવતો હતો. નગરના તળાવ વગેરે જાહેર ઉપયોગના કાર્યોમાં પણ સૌએ સહકાર આપવો પડતો હતો. દેશમાં એ પ્રકારની શિક્ષા-દીક્ષાની વ્યવસ્થા હતી કે લોકો વ્યક્તિગત હિતોના સ્થાન પર સમાજ હિતોને જ મહત્વ આપતા હતા.

સમ્રાટ ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થા એટલી નિર્દોષ અને પૂર્ણ હતી કે પશ્ચિમી વિદ્વાનોને પણ તેની મુક્તકંઠે પ્રશંસા કરવી પડી છે. પ્રત્યેક સારી વાતનું ઉદગમ સ્થાન યૂરોપ માનનારાઓને આશ્ચર્ય થાય છે કે આજથી ચોવીસો વર્ષ પહેલા મૌર્ય શાસન આટલું વિકસિત સ્વરૂપ કેવી રીતે ઉપસ્થિત કરી શકયું. આજના વિજ્ઞાનના આવિષ્કારો ન હોવા છતાં પણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે શાસનની આધુનિકતમ પ્રણાલીઓનો ઉપયોગ કર્યો હતો. જો આપણે આનું પૂર્ણ વિવરણ જાણવા માંગતા હોઈએ તો આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી, સહયોગી અને ગુરુ વિષ્ણુગુપ્ત કૌટિલ્યના અપૂર્વ ગ્રંથ અર્થશાસ્ત્રને વાંચવો જોઈએ. તેમાં એ તમામ વિષયો વર્ણન છે કે જેનાથી કોઈપણ રાષ્ટ્ર શક્તિશાળી થઈ શકે છે. તેમાં કોઈ તત્વવેતાની મન:સૃષ્ટિના કાલ્પનિક સિદ્ધાંત નથી, પરંતુ એક સૂક્ષ્મદર્શી ઋષિ, યથાર્થવાદી વિચારક અને ક્રાંતિકારી કર્મયોગીના વિચાર છે, રાજ્યના ઉત્થાન-પતનના કારણોની વિવાચના કરીને સ્વયં રાષ્ટ્ર નિર્માણ કરનારા કૂટનીતિજ્ઞ તપસ્વીના અનુભૂત પ્રયોગો છે, મનોવિજ્ઞાન, રાજનીતિ, અર્થનીતિના સિદ્ધાંતો છે કે જેને વ્યવહારની કસોટી પર કસવામાં આવ્યા છે. એક વિદ્વાનના જણાવ્યા પ્રમાણે આ ગ્રંથ તેમના (ચાણક્ય) તરફથી દેશને આપવામાં આવેલું અધિકાર પત્ર છે, આપણા માટે ઉપયોગી જ્ઞાનનો ભંડાર છે.

આમ તો ભારત ભૂમિ હંમેશાથી સોનુ પેદા કરતી રહી છે, પરંતુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના કાળની શાંતિ અને વ્યવસ્થાને કારણે તો આ ભૂમિ ખરેખર રત્નગર્ભા થઈ ગઈ હતી. ચારે તરફ સુખ અને સંપન્નતાનું રાજ્ય હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના રાષ્ટ્રીય પ્રયત્નોના ફળ સ્વરૂપે જ ભારત મહાન શક્તિને પ્રાપ્ત કકરી શક્યું હતું કે જેના ભરોસે સમ્રાટ અશોકે રાષ્ટ્રીયતાને આગળ વધારીને વિશ્વ કલ્યાણના માર્ગ પર પગ આગળ વધાર્યો હતો. આ રાષ્ટ્ર શક્તિના નિર્માતા ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યમાંથી પોતાના ભૂજાબળના સહારે પરાક્રમ કરનારા અને અંતમાં આ શક્તિના કેન્દ્ર સ્વરૂપ સંસારની સામે પ્રગટ થનારા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું આ પાવન ચરિત્ર છે.


પ્રકરણ-1
વૈભવશાળી રાજ્ય અને વિલાસી રાજા


જે કાળનું વર્ણન કરી રહ્યાં છીએ ત્યારથી અત્યાર સુધી પૃથ્વી સૂર્યની ચારેય બાજુ લગભગ અઢી હજાર ચક્કર લગાવી ચુકી છે અને તેવી જ રીતે ભારતનું ભાગ્યચક્ર પણ ન જાણે કેટલી વાર ઘૂમી ચુક્યું છે. તે સમયે મગધમાં મહાપદ્મ નન્દોનું રાજ્ય હતું. ભારત સ્વતંત્ર હતું, અહીંનો વહેપાર ખૂબ ફૂલ્યો-ફાલ્યો હતો. અહીંના બનેલા માલ-સામનથી દેશ-વિદેશના બજારો ભરેલા પડયા હતા. હિંદુ શિલ્પીઓના હાથમાં કંઈક એવી કુશળતા હતી, કંઈક એવો જાદૂ હતો કે તેઓ જેનું નિર્માણ કરતાં હતા, તે લોકોનું મન મોહી લેતી હતી. રાજા પણ ત્યાંના કળા-કૌશલ્ય અને વહેપારને પ્રોત્સાહન આપતો હતો. કેમ ન આપે? તેનાથી લાભ તો દેશનો અને દેશવાસીઓનો જ થતો હતો. રાજ્યનો ખજાનો પર ભરેલો પડયો હતો. રાજાની પાસે મહાપદ્મ રૂપિયા હોવાને કારણે જ તેનું નામ મહાપદ્મ પડયુ હતુ. જરા આંગળી પર એકમો ગણીને જોવો અને વિચારો કે કેટલા હશે મહાપદ્મ રૂપિયા હશે! આજે દુનિયાના તમામ વ્યક્તિઓમાં આ રૂપિયા વહેંચી દેવામાં આવે, તો એક-એક વ્યક્તિ પાસે 50 લાખ રૂપિયા આવે અને માત્ર એકલા હિંદુસ્થાનમાં જ વહેંચવામાં આવે તો આપણામાંથી દરેક વ્યક્તિને 2.5 કરોડ રૂપિયા મળે! ઓહ! કેટલું હશે આ ધન! અને કેટલા સુખી હતા, તે સમયના સ્વતંત્ર હિંદુસ્થાનના લોકો. આજે તો હિંદુસ્થાનમાં લખપતિઓ જ ગણતરીના છે અને પછી કરોડપતિઓનું તો પુછવું જ શું! બાકી તો આપણી વાર્ષિક આવક કુલ 56 રૂપિયા છે.

આ વૈભવશાળી મગધરાજની રાજધાની હતી, કુસુમપુર. આ તે નગર છે, જે આજે પટના તરીકે ઓળખાય છે. તે સમયે તેનું નામ કુસુમપુર હતું. બાદમાં અહીં જ પાટલિપુત્ર વસાવવામાં આવ્યું, જે બાદમાં અપભ્રંશ થઈને પટના થઈ ગયું. કુસુમપુર હકીકતમાં કુસુમપુર જ હતું. જેવી રીતે ભમરા પુષ્પની સુગંધથી આકર્ષિત થઈને તેની ચારેય તરફ મંડરાય છે, તેના યશગાનનું ગુંજન કરે છે, તેના ગૌરવગીત ગાય છે, તથા કુસુમના મધનું પાન કરીને પોતાની ઈચ્છા તૃપ્ત કરે છે, તેવી જ રીતે કુસુમપુરના વૈભવ અને વહેપારને કારણે દૂરદૂરના પ્રવાસીઓ અને વહેપારીઓ અહીં આવતા હતા, અહીં હંમેશા તેમનો જમઘટ લાગેલો રહેતો હતો. ત્યાંના સૌદર્યને જોઈને પોતાની આંખોને તૃપ્ત કરતા, ત્યાંના વહેપારથી પોતાના ધનની વૃદ્ધિ કરીને પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરીને તથા જ્યાં પણ જાય ત્યાં કુસુમપુરની કળા અને તેના ધનની કહાની પોતાની સાથે લઈ જતાં. દેશ-વિદેશના રાજદૂત પણ આ રાજાના દરબારમાં ઉપસ્થિત થવામાં પોતાનું સૌભાગ્ય સમજતા હતા.

મહાપદ્મનંદના વંશજ ખૂબ સારી રીતે રાજ્ય કરતા રહ્યા. રાજા હોવા છતાં પણ તેઓ પોતાને પ્રજાના સ્વામી ન સમજીને જનતાના સેવક સમજતા હતા. આપણે ત્યાં રાજાનો આ જ આદર્શ છે.જ્યારે રાજા જ પ્રજાની ભલાઈ કરવા અને સેવા કરવી પોતાનું કર્તવ્ય સમજતો હતો, તો નાના કર્મચારીઓ હંમેશા પ્રજાના હિતોનું ધ્યાન રાખતા હતા. પરંતુ આ પરિસ્થિતિ વધારે દિવસો સુધી રહી નહીં. નંદ વંશનો છેલ્લો રાજા ધનનંદ ખૂબ જ મોટો વિલાસી હતો. રાજકાજમાં તેનું મન બિલકુલ લાગતું ન હતું. તે પોતાનો સમય નાચગાન, આમોદ, પ્રમોદ તથા રંગરેલીયા કરવામાં પસાર કરતો હતો. ક્યારેક વસંતોત્સવની ઉજવણીથી મનાવવામાં રૂપિયા પાણીની જેમ વહેવડાવામાં આવતો હતો, ક્યારેક હોલિકાત્સવ પર પ્રજાના પૈસા ખોટી રીતે ફૂંકી મારવામાં આવતા હતા. રાજા પોતાને પ્રજાના ધનનો માલિક સમજવા લાગ્યો હતો. આવા વ્યસની રાજાને કોઈની નેક સલાહ પણ સારી લાગતી ન હતી, તે હંમેશા ખુશામતખોરોના જ વશમાં રહે છે, જે તેની જી-હજૂરી કરતા રહે છે.

સદભાગ્યે આ રાજાનો મંત્રી કાત્યાયન ઘણો જ યોગ્ય હતો. તેનું ઉપનામ રાક્ષસ હતું. તે માત્ર નામનો જ રાક્ષસ હતો. આમ તો બ્રાહ્મણ હતો. તે મોટો વિદ્વાન હતો, નીતિનિપુણ હતો અને નંદના રાજ્યને ઘણી કુશળતાથી સંભાળી રહ્યો હતો. રાજા નંદના હાલ જોઈને તેને ઘણું દુ:ખ થતું હતું. તે ઈચ્છતો હતો કે રાજા રાજકાજમાં ધ્યાન આપે. પરંતુ રાજા નંદ તો પોતાના મહેલોમાંથી જ નીકળી શકતો ન હતો.

મંત્રીની યોગ્યતા હોવા છતાંપણ રાજાના રાજકાજમાં ધ્યાન ન દેવાને કારણે રાજ્યમાં ચારે તરફ ગડબડ મચી ગઈ. પ્રજા દુ:ખી રહેવા લાગી. પ્રજારંજનના કારણે જ રાજાનું રાજા નામ પડયું છે. રાજા નંદ તો પ્રજારંજનની જગ્યાએ પોતાનું જ મનોરંજન જ કરતો હતો. ભગવાન રામે રાજાનો જે આદર્શ રાખ્યો હતો તથા જેને બધાં ભારતીય રાજાઓ અને રાજા ધનનંદના પૂર્વજો પાલન કરતાં આવ્યા હતા, તેને ધનનંદ ભૂલી ચુક્યો હતો.

રામનો આદર્શ લોકશાસન નહીં, પરંતુ લોક આરાધન હતો. હા, આ પ્રકારે પ્રજાની સેવા કરનારા રાજા રામને પ્રજાએ પણ પોતાના સ્વામી માન્યા તથા તેમની ભક્તિ કરવી પોતાનું સૌભાગ્ય સમજ્યું. રાજા નંદ જ જ્યારે પ્રજા માટે સારી ભાવના રાખતો ન હતો, તો પ્રજામાં પણ સ્વભાવત્ તેના પ્રત્યે નિષ્ઠા રાખનારાની અછત થઈ ગઈ હતી. જનતાના દુ:ખોને કોઈપણ સાંભળનાર ન હતું. રાજા ધનનંદ સુધી ન તો કોઈની પહોંચ હતી અને ન તો તેની પાસે એટલો અવકાશ હતો કે તે પોતાના રાગ-રંગ છોડીને દુ:ખ અને દર્દની કહાણીઓ સાંભળે.

પૂર્વના નંદ શાસકોના શાસનકાળમાં પ્રજા જે અધિકારોનો ઉપભોગ કરી ચુકી હતી, તેમનું અપહરણ પ્રજાને ખટકવા લાગ્યું હતું. પ્રજા તો સુખ, શાંતિ અને સમ્માનપૂર્ણ જીવન વિતાવવાની આદી હતી. પરંતુ નંદના રાજ્યમાં આ બધી બાબતો પ્રજા માટે કઠિન થઈ રહી હતી. પોતાની ચારેય તરફ નંદના વિલાસપૂર્ણ કૃત્યોને જોઈને પ્રજાની નૈતિક ભાવનાઓને ઠેસ લાગતી હતી, ક્યાંય પણ અત્યાચાર જોઈને તેમનો આત્મા વિક્ષુબ્ધ થઈ જતો હતો. આત્મ સમ્માનની રક્ષા કરનારા અને તેને મિટાવનારાઓમાં સ્વાભાવિક રીતે સંઘર્ષ છેડાય ગયો હતો. જુદીજુદી જગ્યાએ આકાશ તરફ ઉઠનારા ધુમાડાઓએ જણાવ્યું કે અંદર આગ સળગી રહી છે. આ ધૂર્મપુંજમાંથી લોકોએ એક ભવ્ય મૂર્તિ નિહાળી. આ જ છે, આપણો નાયક ચંદ્રગુપ્ત મૌર્ય.

પ્રકરણ-2
દેશપ્રેમ અથવા રાજદ્રોહ?


ચંદ્રગુપ્ત મોરિય ક્ષત્રિય હતો. પ્રારંભમાં આ જાતિ મોર પર્વતની આસપાસ રહેતી હતી. ચંદ્રગુપ્ત રાજા નંદને ત્યાં એક સાધારણ સૈનિક હતો, પરંતુ તે હતો અત્યંત શૂર અને ધીર. તેનામાં દેશપ્રેમ ઠાંસીઠાંસીને ભરેલો હતો. તેની આસપાસના લોકોમાં તેનો ઘણો આદર હતો. તેના સાથીદારો તેને ઘણી શ્રદ્ધાથી જોતા હતા. તેણે અસ્ત્રશસ્ત્રોના પ્રયોગમાં ઘણી નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. ખાસ કરીને ધનુષ્ય-બાણ અને શૂલમાં તો તેની કોઈ બરાબરી કરી શકતું ન હતું. તેના સાથીદારો તેના અચૂક નિશાનને જોઈને તેને અર્જૂનનો અવતાર કહેતા હતા. પરંતુ આ શસ્ત્રાસ્ત્રોથી પણ વધારે તેની પાસે બીજી એક મોટી ચીજ હતી અને તે હતી તેના હ્રદયની દ્રઢતા, તેની નિર્ભીકતા, તેનો આત્મવિશ્વાસ. જ્યારે તે પોતાના સાથીદારોનું ધ્યાન મગધ રાજ્યના અત્યાચારો તરફ ખેંચતો તથા તેમને તેનો વિરોધ કરવાનું કહેતો, તો તેઓ કહેતા કે “ભાઈ ચંદ્રગુપ્ત, તું તો તેમનો વિરોધ કરી શકે છે, કારણ કે તારી શૂલ શત્રુના પેટના આંતરડાઓને પણ ખેંચીને બહાર લાવી શકે છે, તારો વાર છુપામાં છુપા શત્રુઓનું માથું પણ ધડથી અલગ કરી શકે છે. પરંતુ અમે શું ખાઈને તેનો વિરોધ કરીએ? અમારામાં ક્યાં છે, આટલી કુશળતા? ” ત્યારે ચંદ્રગુપ્ત તેમને એ જ જણાવતો કે શસ્ત્રોની શક્તિ કરતાં દિલની તાકાત વધારે છે. જેનામાં આત્મ વિશ્વાસ છે, તે દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી છે. આપણે અન્યાય અને અત્યાચાર સહન કરીશું નહીં, બસ આ જ ભાવના આપણા હ્રદયમાં હોવી જોઈએ અને આ જ સૌથી મોટી શક્તિ છે. મનુષ્ય નીડર હોય તો, પછી તેને કઈ શક્તિ નમાવી શકે?

એક દિવસ ચંદ્રગુપ્ત અને તેના સાથીદારો બેસીને વાતચીત કરી રહ્યા હતા. કંઈક આઠ-દસ તરુણો એક વૃદ્ધને ઘેરી વળ્યા હતા. તેમના સ્નાયુબદ્ધ શરીર અને મોટી છાતી જોઈને અંદાજો લગાવી શકાતો હતો કે તેઓ નિયમિત વ્યાયામ કરતા હતા. રાજા નંદના વિલાસ અને અત્યાચારોના પરિણામ હજી સુધી પ્રજાના આહાર-વિહાર પર પડયા ન હતા. તેમનો નૈતિક આદર્શ હજી પણ ઉંચો હતો. દુર્બળતા એક પાપ સમજવામાં આવતી હતી. તેના કારણે દરેક વ્યક્તિ શક્તિશાળી બનવા માટે જીવ રેડીને કોશિશ કરતો હતો. ખાવા-પીવાની કોઈપણ રીતે કમી ન હતી અને કોઈ તેમાં લોભ પણ કરતું ન હતું.

આ બધાં તરુણો વચ્ચે બઠેલા વૃદ્ધ તેમને જૂનાં રાજાઓના સમયની પરિસ્થિતિ જણાવતા હતા. તેમણે તેમને રઘુના દિગ્વિજયની વાત જણાવી અને પછી રામ દ્વારા રાક્ષસોના વધ તથા રાવણ વિરુદ્ધ યુદ્ધનું રહસ્ય જણાવ્યું હતું.

તરુણોમાંના એકે પુછયું કે તો શું દાદા તમે સમજો છો કે જો રાવણ સીતાહરણ ન કરત, તો પણ રામ રાવણ સાથે યુદ્ધ કરત?

વૃદ્ધે તરુણને ઉત્તર આપતા જણાવ્યું કે જરૂરથી કરત બેટા! તેમનો ઉદેશ્ય ભારતની સભ્યતા અને ધર્મને મિટાવીને નષ્ટ કરવા ઈચ્છતા તમામ રાક્ષસોને સમૂળ ઉખાડી ફેંકવાનો હતો. જો રાવણ સીતાને પાછી આપી દેત,તો યુદ્ધ માટે અન્ય કોઈ કારણ શોધવું પડત. તેમને તો ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપિત કરવું હતું. તેના વગર દેશ કેવી રીતે સુખ અને શાંતિથી રહી શકત.

તરુણે કહ્યું કે આજે તો કોઈ ચક્રવર્તી સમ્રાટ નથી, દાદા!

‘નહીં બેટા! આજે તો કોઈ ચક્રવર્તી સમ્રાટ નથી, માટે તો સાંભળ્યું છે કે એલેકઝાન્ડરે ભારત પર ચઢાઈ કરવાનું વિચાર્યુ છે. આજ સુધી ભારત પર આક્રમણ કરવાનું તો દૂર, કોઈ મનમાં આ વાતનો વિચાર લાવી શકતું ન હતું.’ આમ કહેતા કહેતા વૃદ્ધનું ગળું રુંધાયું અને તેની આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા.

‘દાદા! આજે ભારતમાં ઘણાં નાના-મોટા રાજાઓ છે, શું તેઓ પરસ્પર મળીને એલેકઝન્ડર સાથે લડી શકે નહીં?’ વિજયગુપ્તે કહ્યું.

‘કેમ, મળશે કેમ નહીં?’ વિનયમિત્ર બોલ્યો ‘દુશ્મન સામે સાથે મળીને સૌએ લડવું જોઈએ.’

‘અરે વિનયમિત્ર! શત્રુ તેમની સાથે એકસાથે ક્યાં લડવાનો છે. તે તો એક-એકની સાથે લડશે. અને અહીંના રાજા લોકો ક્યાં સમજે છે કે પડોશીના રાજ્ય પર હુમલો છે, તો તેઓ પણ ત્યાં જઈને શત્રુઓનો સામનો કરે. જે દુષ્ટ પ્રકૃતિના છે, તે તો પડોશી પર આફત જોઈને ખુશ થશે અને જે જરા સજ્જન છે, તે પોતાના રાજ્યને બચાવવાની ચિંતા કરશે, પરંતુ બીજાની જઈને મદદ નહીં કરે.’ ચંદ્રગુપ્તે કહ્યું.

‘એક અન્ય કઠિનાઈ છે, ચંદ્રગુપ્ત,’ વૃદ્ધ બોલ્યા, ‘આ નાના રાજાઓ એકબીજાના બરાબર, જો તેઓ મળે તો નેતા કોને બનાવે? તેમના એટલી સમજ ક્યાં છે કે આવા સમયે નાના-મોટાનો ખ્યાલ કરી શકાય નહીં. આજે મગધનું રાજ્ય જ ભારતમાં સૌથી મોટું છે. જો તેઓ ચાહે તો તમામ રાજા તેમના માંડલિક બની જાય અને પછી ભારતમાં એકછત્ર રાજ્ય થઈ જશે. આવું રાજ્ય જ એલેકઝાન્ડર જેવાં શત્રુનો સામનો કરી શકે, અન્ય કોઈ નહીં.’

‘તો પછી ભારતની સુરક્ષાની જવાબદારી મગધની છે.’ વિશ્વગુપ્ત બોલ્યા.

‘હા, મગધની જ છે,’ વૃદ્ધે દ્રઢતાથી કહ્યું. ‘પરંતુ આપણા મહારાજને આટલી ફૂરસત ક્યાં છે?’ વૃદ્ધે એક ક્ષણ બાદ ઠંડો શ્વાસ લેતા કહ્યું.

‘ત્યારે તો આપણે યૂનાનીઓના ગુલામ થઈ જઈશું,’ વસુમિત્રે વ્યગ્રતાથી કહ્યું. આ સાંભળીને જ બધાંના ચહેરા ફીકા પડી ગયા, હ્રદય ધડકવા લાગ્યા અને બધાંના મોઢામાંથી નીકળી પડયું કે ગુલામ!...યૂનાનીઓના ગુલામ!

‘અને એટલા માટે કે મગધના સિંહાસન પર એક અકર્મણ્ય અને વિલાસી રાજા બેઠો છે!’ વૃદ્ધે ભારપૂર્વક જણાવ્યું.

ચંદ્રગુપ્તનો હાથ એકદમ તલવારની મૂઠ પર ગયો, માનો સામે જ યૂનાની તેઓને ગુલામ બનાવવા આવી રહ્યાં હોય અને તે તેમની સાથે લડવા માટે ઉતાવળો હોય. તેની ભમરો ખેંચાઈ ગઈ.

‘ભારતવર્ષ ગુલામ! નહીં ક્યારેય નહીં.’ તેણે રોષપૂર્વક દ્રઢતાથી કહ્યું.

‘ક્યારેય નહીં ,’ એક સાથે આઠ અવાજો ગુંજી ઉઠી.

‘ક્યારેય નહીં! પણ કેવી રીતે?’ વૃદ્ધે સ્મિત સાથે પુછયુ. એક ક્ષણ માટે બધાં ચુપ થઈ ગયા. માનો ઉંડા વિચારમાં પડી ગયા હોય. ભારતના સ્વાતંત્ર્યના મહાન ઉત્તરદાયિત્વના પહાડ સમો બોઝ! અને ધનનંદના નિર્બળ ખભા!! તેમણે જોયું કે તેઓ આ ભારને સંભાળી શકતા નથી.

‘અમે મગધના રાજાને જ બદલી નાખીશું,’ અરિમર્દને એક એવા વિજયગર્વિત સ્વરમાં કહ્યું માનો તેણે સમસ્યાનો હલ જ કરી દીધો હોય. બધાંએ અરિમર્દન તરફ જોયું. પછી એક વખત ચારે તરફ જોયું. બધાંની નજર ચંદ્રગુપ્ત પર સ્થિર થઈ.

‘ભાઈ ચંદ્રગુપ્ત અમારા મહારાજ થશો’, બધાં એકદમ બૂમ પાડી ઉઠયા. અને બીજી જ ક્ષણે તે સ્થાન ‘મહારાજ ચંદ્રગુપ્તની જય.’ ‘મગધેશ ચંદ્રગુપ્તની જય!’ના ઘોષથી ગાજી ઉઠયું. તે નાનકડા દળે એક જ ક્ષણમાં સૈનિક ચંદ્રગુપ્તને મહારાજ ચંદ્રગુપ્ત બનાવી દીધો. પરંતુ તેઓ એ જાણતા ન હતા કે ચંદ્રગુપ્તને મહારાજા બનાવવો એટલું સરળ નથી. એકાએક અમાત્ય રાક્ષસ પોતાના ચાર સૈનિકો સાથે જ્યારે ત્યાં આવી પહોંચ્યો, ત્યારે તેમને માલૂમ પડયું કે જયઘોષ દ્વારા પોતાના નિશ્ચયની દાંડી પીટવી તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

‘આ મગધેશ ચંદ્રગુપ્ત કોણ છે, સૈનિકો?’ અમાત્ય રાક્ષસે અધિકાર અને રોષ ભરેલા સ્વરમાં પુછયું. ‘મહારાજ ચંદ્રગુપ્ત’ ધૃણાના સ્વરમાં તેણે બીજી જ ક્ષણે કહ્યું.

બધાં સૈનિકો એકદમ કાપે તો લોહી ન નીકળે તેવા થઈ ગયા. તેઓ શું જવાબ આપે, તેમની સમજમાં આવી રહ્યું ન હતું. કદાચ સ્વયં મહારાજ નંદ તે સમયે આવત, તો તેઓ તેમનો સામનો કરત, તેમને આનંદ થાત કે તેમના નિશ્ચયની પૂર્તિ જલ્દીથી થઈ શકી. આજે જ, અત્યારે હકીકતમાં ચંદ્રગુપ્ત મહારાજ થાત. પરંતુ અહીં તો હતા, અમાત્ય રાક્ષસ. તેમને તેઓ શું કહે? તેમને કહેવાની ન તો હિંમત હતી અને ન તો બુદ્ધિ સલાહ આપતી હતી કે તેમનો વાળ પણ વાંકો કરવામાં આવે, કારણ કે યૂનાનિયોને હરાવવા માટે જ્યાં ચંદ્રગુપ્ત જેવાં વીર અને શૂર રાજાની જરૂરત હતી, ત્યારે રાક્ષસ અમાત્ય જેવાં રાજ્યકાર્ય કુશળ, લોકપ્રિય અને નીતિના જાણકાર મંત્રીની પણ આવશ્યકતા હતી. એક વગર બીજો અપૂર્ણ હતો.

‘અમાત્યવર! યૂનાની ભારત પર આક્રમણ કરી રહ્યાં છે’, અરિમર્દને હિંમત કરીને કહ્યું.

‘મને ખબર છે, સૈનિક!’ રાક્ષસે એકદમ, રોષભર્યા શબ્દોમાં કહ્યું, ‘પરંતુ તેનાથી તો સૈનિક ચંદ્રગુપ્ત મહારાજ ચંદ્રગુપ્ત થઈ શકે નહીં.’

આ દશ સૈનિકોને બંદી બનાવી લેવાયા. તેમના પર રાજવિદ્રોહનો અભિયોગ ચલાવાયો. રાજા ધનનંદ ચંદ્રગુપ્ત દ્વારા રાજવિદ્રોહ કરવાની વાત સાંભળીને ખૂબ ક્રોધિત થયો. તેણે આદેશ કર્યો કે ચંદ્રગુપ્તને ફાંસી આપવામાં આવે. ચંદ્રગુપ્તને મોતનો ડર ન હતો. તે વીર હતો, તે જાણતો હતો કે દેશ માટે મરવાનું સૌભાગ્ય થોડાકને જ મળે છે. તે કોઈ પોતાના માટે સમ્રાટ બનવાનું થોડો ઈચ્છતો હતો. તે તો ભારતને યૂનાનીઓથી બચાવવા માટે અને ભારતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે આ કાંટાના મુગટને ગ્રહણ કરી રહ્યો હતો, પરંતુ તેને એ વાતનું દુ:ખ અવશ્ય હતું કે તે આ અન્યાયી રાજાના હાથે માર્યો જશે અને દેશની રક્ષા કરી શકશે નહીં. જો તે યુદ્ધમાં લડતાં લડતાં માર્યો જાત, તો તે વીરગતિ પ્રાપ્ત કરત.

પરંતુ ચંદ્રગુપ્તને આ પ્રકારે મરવું ન હતું. જનતા નંદથી ખુશ ન હતી, જનતા નંદના અત્યાચારોથી પીડિત હતી. જે પોતે વીર છે, સ્વદેશપ્રેમી છે, તેઓ આવા આળસુ અને વિષયી રાજાને ક્યારે પસંદ કરે? દરેક ચાહતા તો એવું હતા કે નંદ રાજા ન રહે, પરંતુ તે વિચારતા કે માત્ર તે એકલાજ તો આવું ચાહે છે અને તેઓ એકલા કરી પણ શું શકે છે? આ પ્રકારે તે બધાંમાં એકાંકીપણાની ભાવના વ્યાપ્ત હતી, બધાં લોકો ચંદ્રગુપ્તને પોતાના રક્ષક અને નેતા માનવા લાગ્યા, પરંતુ તે પણ મનમાં જ. ચંદ્રગુપ્તે હજી સુધી આવી કોઈ યોજના તો બનાવી ન હતી કે બધાનો તેની સાથે સંબંધ આવે. બધાં જ એક જેવી ભાવના રાખનારા લોકો એકત્રિત થઈને પોતાના સામૂહિક બળનો અનુભવ કરે તથા તે એક નેતૃત્વમાં રહીને કાર્ય કરે. માટે નંદની વિરુદ્ધ જનમત ગમે તેટલો કેમ ન હોય, પરંતુ ચંદ્રગુપ્ત આ પ્રકારના અસંગઠિત સમૂહના ભરોસે રાજા બની શકે તેમ ન હતો. પરંતુ હા, તેને એટલો લાભ અવશ્ય થયો કે કારાગૃહની દિવાલો તેને લાંબો સમય સુધી રોકી શકી નહીં. રાત્રિના ઘનઘોર અંધકારમાં એક દિવસ તે ભાગી નીકળ્યો. ઉંઘી રહેલો નંદ સ્વપ્નમાં બરાડી ઉઠયો અને બીજી તરફ તેની પહોંચથી પર ચંદ્રગુપ્તના રૂપમાં તેનું મૃત્યુ અટ્ટહાસ્ય કરી રહ્યું હતું.

પ્રકરણ-3
ચાણક્યની ચિંતા


આજે આપણે કાશી, પ્રયાગ વગેરે જેવી મોટી મોટી યુનિવર્સિટીઓના નામ સાંભળીએ છીએ. તેવી રીતે પ્રાચીન સમયમાં તક્ષશિલામાં એક વિશ્વવિદ્યાલય હતું. તક્ષશિલા પંજાબમાં છે. આ વિશ્વવિદ્યાલય ઘણી મોટી હતી. આજની યુનિવર્સિટીથી ઘણી મોટી. તેમાં દશ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

અમાત્ય રાક્ષસે અહીં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ જ્યારે અહીં અભ્યાસ કરતાં હતા, ત્યારે તેમની સાથે એક બ્રાહ્મણ બાળક પણ ભણતો હતો. તેનું નામ વિષ્ણુ ગુપ્ત હતું. વિષ્ણુગુપ્ત અત્યંત મેઘાવી અને પ્રખર બુદ્ધિ ધરાવતા હતા. પરંતુ વિધાતાએ જ્યાં તેને મેઘાશક્તિ ખુલ્લા હાથે આપી હતી, ત્યાં શરીર સૌન્દર્ય આપવામાં પોતાના હાથ ખેંચી લીધા હતા. તેનો રંગ કાળો હતો, માનો હ્રદય અને મસ્તિષ્કમાં સ્થાન મેળવી ન શકવાને કાણે અજ્ઞાનાન્ધકાર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સૌન્દર્યહીન વિષ્ણુગુપ્ત અને રાક્ષસમાં ઘણી ઘનિષ્ઠતા હતા, કદાચ એટલા માટે કે બંનેની રાજનીતિ અને સમાજસાસ્ત્રમાં વિશેષ રુચિ હતી. રાષ્ટ્રશક્તિની કારણ મિમાંસા સંદર્ભે તેમની વચ્ચે ઘણી ચર્ચા થતી હતી. આ વિષ્ણુગુપ્ત બાદમાં ચાણક્ય કૌટિલ્યના નામથી પ્રસિદ્ધ થયા.

શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ રાક્ષસ મગધ જેવા મોટા રાજ્યના અમાત્ય બન્યા. પરંતુ ચાણક્ય આ ઝગડાઓથી દૂર ઝૂંપડી બનાવીને રહેતા હતા અને પોતાનો સમગ્ર સમય જ્ઞાનાર્જનમાં લગાવીને જે વિદ્યાર્થીઓ તેમની પાસે અભ્યાસ કરવા માટે આવતા તેમને ભણાવતા હતા.

એક દિવસ એક શિષ્યે આવીને જણાવ્યું કે ‘આર્ય, યવનોએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે.’

આર્ય ચાણક્યના માથા પર સંકુચનને કારણે રેખાઓ પડી ગઈ, વિસ્ફારીત આંખોથી તેમણે શિષ્ય તરફ જોયું અને ધીરેધીરે ‘યવનોએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે’ વાક્યનો પુનરોચ્ચાર કર્યો, સાથે જ તેઓ કોઈ ઉંડા વિચારમાં પડી ગયા.

‘શું ભારતનો પ્રવેશ દ્વાર કોઈએ રોક્યો નહીં?’ તેમણે પુછયું.

‘સીમાન્ત પર અશ્વક જીવથી લડયા ગુરુદેવ! પરંતુ તેમનો કિલ્લો એલેકઝાન્ડરે ખરાબ રીતે ઘેરી લીધો હતો. બીજી તરફ તક્ષશિલાના ગામેગામમાં અત્યાચાર કરવાનો પ્રારંભ કરી દીધો છે. ઘણાં ગામડાં સળગાવી દેવાયા છે. જે કોઈ જરાક પણ માથુ ઉંચકે છે, તેમનો વધ કરી દેવામાં આવે છે. ગામડાં લૂંટવામાં આવી રહ્યાં છે. બળજબરીપૂર્વક લોકો પાસેથી ધન અને સેવા લેવામાં આવી રહી છે. યવનો નાના-નાના વાછરડાંઓની બલિ આપીને ઉત્સવ મનાવી રહ્યાં છે. ગોવંશનો હ્રાસ થઈ રહ્યો છે. આર્ય, આવા અત્યાચારો તો આજ સુધી ક્યારેય સાંભળ્યા નથી.’ શીલભદ્રે જરા ઉત્તેજિત થઈને કહ્યું.

આર્ય ચાણક્ય મૌન હતા. કેટલોક સમય તેઓ આવી રીતે બેઠાં રહ્યા. તેમની મુખમુદ્રા અને ભાવભંગિમાથી એ માલૂમ પડતું હતું કે તેમના મસ્તિષ્કમાં કોઈ વિચાર ઘણો ઝડપથી ચાલી રહ્યો છે. આખરમાં તેઓ બોલ્યા ‘વત્સ, શીલભદ્ર, મહારાજ પર્વતક દ્વારા એલેકન્ઝાન્ડરને હરાવવો સારું રહ્યું. યવનરાજ એલેકન્ઝાન્ડરને ખબર પડી ગઈ હશે કે હિંદુઓથી લડવું કેટલું મુશ્કેલ છે. આનાથી તેમની સેનાની અજેય હોવાની ધારણાં તો નિર્મૂળ થઈ ગઈ. તેમનો આત્મવિશ્વાસ તો જરૂરથી હચમચી ગયો હશે. પરંતુ આને બિલકુલ ઉખાડીને ફેંકવો છે. આ કામ તારે કરવાનું છે. તું પર્વતકની સેનામાં પ્રવેશ કર. તેના સૈનિકો દ્વારા એલેકઝાન્ડરની સેનામાં એ પ્રચાર કર કે મગધની સેના અત્યંત વિશાળ અને શક્તિશાળી છે. દુનિયામાં કોઈ તેનો સામનો કરી શકે તેમ નથી, અને ત્યાંના હાથીઓ પર્વતકના હાથીઓ ચારગણાં વધારે છે. તેમની સંખ્યા એટલી વધારે છે કે તેમના માટે એક અલગ નગર વસાવવામાં આવ્યું છે. ત્યાંના મંત્રી રાક્ષશની એક અલગ પ્રકારની સેના છે, જેમાં રાક્ષસ જ રાક્ષસ છે, તેઓ માણસોને જીવતા જ ખાઈ જાય છે. પાણી તો એટલું વરસે છે કે મહીનાઓ સુધી બંધ થતું નથી. મગધ સુધી પહોંચવામાં હજી 180 નદીઓ પાર કરવી પડશે, તેમાંથી ઘણી તો એવી છે કે તેમાં ડૂબવામાં વાર લાગતી નથી, વગેરે વગેરે. તેનાથી તેમની સેનામાં ભયનો સંચાર થશે.’

‘આ અસત્ય વાત હું કેવી રીતે કરીશ, આર્ય?’

‘આ સમય સત્ય અસત્યનો વિચાર કરવાનો નથી, વત્સ! આપણા રાષ્ટ્રનું કલ્યાણ અને તેની સ્વતંત્રતા જ સૌથી મોટું સત્ય છે. આજે તો આ જૂઠ્ઠા સત્યને લઈને અકર્મણ્ય બની બેસી જઈશ, કાલે આખા દેશ પર વિદેશી યવન મલેચ્છોનું રાજ્ય થઈ જશે. તેમના અત્યાચાર અને તેમનો ગોવધ, શું આ સત્ય હશે? જા આ જ સત્ય છે અને તેને કર. ત્યાં સુધી હું મગધ જવું છું અને એલેકઝાન્ડરના સ્વાગતની તૈયારી કરાવું છું. એવું સ્વાગત થશે, જેવું ક્યાંય નહીં થયું હોય.’

‘આર્ય! મગધથી એક સૈનિક આવ્યો છે. તે પણ લોકોને સમજાવતો રહે છે કે તેમણે યવનોનો વિરોધ કરવો જોઈએ અને તેમને એકદમ ભારતમાંથી બહાર હાંકી કાઢવા જોઈએ. પર્વતકને તે ઘણું ખરું-ખોટું કહી રહ્યો છે. કહેતો હતો કે તે યવાનોના ચુંગલમાં ફસાય ગયો છે, તેમને ભારતના સમ્રાટ બનવું હતું, તો સ્વયં પોતાની શક્તિથી બનત. યવનોની મદદ કરીને તેમના દ્વારા ભારતને પરાધીન કરવું એક હિંદુને શોભા આપતું નથી.’

આર્ય ચાણક્યની આંખોમાં એકદમ ઉત્સુકતાની ચમક આવી ગઈ. ‘વત્સ! એક વખત તેને મારી સાથે મેળવી આપ. જરૂરથી તે આપણા માટે ઉપયોગી થશે.’ ચાણક્યએ કહ્યું.

‘આર્ય! અત્યારે જવું છું, તે અહીં જ લોકો સાથે વાતચીત કરી રહ્યો હશે. તેનામાં કંઈક એવો જાદૂ છે કે જેની સાથે એકવાર વાત કરે છે, તેને પોતાની તરફ ખેંચી લે છે.’

‘નિ:સ્વાર્થ દેશપ્રેમ જ તે જાદૂ છે, શીલભદ્ર! અચ્છા લાવ તો જાદૂગરને, જોવું તો કેવો જાદૂ છે, તેનો.’

પ્રકરણ-4
ગુરુ-શિષ્યની પ્રથમ મુલાકાત


ગુરુને પ્રણામ કરીને શીલભદ્ર ચાલ્યો ગયો. આર્ય ચાણક્યના મનમાં આજે વિચારોનું તોફાન મચ્યુ હતુ. ભારતમાં એક વિદેશી રાજાના પ્રવેશ અને તે પણ અહીંના રાજાથી હાર્યા બાદ! તેમને મનમાંને મનમાં રાજા પર્વતકની મૂર્ખતા પર ક્ષોભ અને ક્રોધ થઈ રહ્યો હતો. શત્રુને તો જડમૂળથી ઉખાડી ફેંકવો જોઈએ, તેમ નીતિ કહે છે. તેનું ઘરમાં ઘુસવું, પછી ચાહે તે પોતાને કેટલો પણ હિતકારક કેમ સાબિત ન કરે પણ તે હાનિકારક જ છે. ખેર, હવે પાછલી ભૂલ પર રોવાથી શું લાભ, તેમણે મનમાં કહ્યું, ‘હા, આગળની વ્યવસ્થા કરવી જોઈએ.’ તેમણે નિશ્ચય કર્યો કે મગધ જઈને જનમત અને સેનાને એલેકઝાન્ડર વિરુદ્ધ કરશે જ. પરંતુ તેના જીતેલા ક્ષેત્રોમાં પણ વિદ્રોહનો અગ્નિ ભડકાવીને તેને બંને તરફથી ઘેરીની પીસી નાખશે. આ પ્રકારની ઘણી યોજનાઓ તેમના મસ્તિષ્કમાં ઘૂમી રહી હતી.

લગભગ બપોર થવા પર શીલભદ્રે ચંદ્રગુપ્ત સાથે કૂટિરમાં પ્રવેશ કર્યો. તેણે જોયુ કે ગુરુ ચાણક્યને જે સ્થિતિમાં છોડી ગયો હતો, તેવી જ રીતે તે બેઠા હતા તથા કોઈ ગહન વિચારમાં મગ્ન છે. શીલભદ્ર અને ચંદ્રગુપ્ત બંનેએ પ્રણામ કર્યા અને બેસી ગયા. ચંદ્રગુપ્ત મનમાં જ વિચારવા લાગ્યો કે આ કાળા-કલૂટા બ્રાહ્મણે તેને શા માટે બોલાવ્યો છે. ક્યાંક રાક્ષસે તેને તેની ખબર લાવવા અને પકડી લાવવા તો મોકલ્યો નથી ને અથવા કોઈ યવન ગુપ્તચર તો નથી ને, આ વિચાર તેના મનમાં આવતા જ તેણે પોતાની તલવાર તરફ જોયું અને નિશ્ચિંત બનીને બેસી ગયો. કેટલો વધારે હતો તેનો આત્મવિશ્વાસ!

આર્ય ચાણક્યે ઘણી ગંભીર વાણીમાં કહ્યું, ‘સૈનિક? આજે એલેકઝાન્ડર મગધ જીતવાની લાલસાથી તેના પર આક્રમણ કરી રહ્યો છે અને તું મગધ છોડીને અહીં ઘૂમી રહ્યો છે. શું તને તારા કર્તવ્યનું ભાન નથી? શું તું એ સમજતો નથી કે મગધના હારવાથી સમગ્ર ભારત પરતંત્ર થઈ જશે?’

‘મને મારા કર્તવ્યનું ભાન છે અને મે ભારતની સ્વતંત્રતા-પરતંત્રતાના પ્રશ્ન પર પણ વિચાર કર્યો છે, વિપ્રવર.’ ચંદ્રગુપ્તે તે પ્રકારની જ ગંભીરતાથી જવાબ આપ્યો.

‘તો પછી અહીં કેમ આવ્યો છું? જો દરેક સૈનિક પોતાની ઈચ્છાથી આમથી તેમ ફરતો રહેશે, તો શું મગધની સુરક્ષા થઈ શકશે?’

‘કેમ નહીં થાય. મગધ કોઈ ફારસ કે મિસર થોડું છે કે જે આ ગર્વથી ફૂલાયેલા સ્વયંને વિશ્વવિજેતા કહેનારા એલેકઝાન્ડરની એક જ ચોટથી નષ્ટ થઈ જશે.’ ચંદ્રગુપ્તે ખૂબ સમજી વિચારીને કહ્યું. ચંદ્રગુપ્તે વિચાર્યુ કે જો આ બ્રાહ્મણ સમક્ષ મગધની દુર્બલતાનું વર્ણન કર્યુ અને જો તે ક્યાંક યવન સેનાનો ગુપ્તચર હશે તો એલેકઝાન્ડરનો ઉત્સાહ વધી જશે. ચંદ્રગુપ્તને ધનાનંદે ફાંસીની સજા આપી હતી, પરંતુ તેમ છતાં તે ઈચ્છતો હતો કે યવનેશ એલેકઝાન્ડર મગધ પર આક્રમણ કરે. કેટલો ઉત્કૃષ્ટ અને સુલજેલો તેનો દેશપ્રેમ, અને આ દેશપ્રેમ છે કોઈપણ વ્યક્તિની બહુમૂલ્ય નિધિ.

આર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત સાથે વાતચીત કરતાં કરતાં ચંદ્રગુપ્તને વેધક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તેનો દેશપ્રેમ તેમનાથી છુપાઈ શક્યો નહીં. માટે જ તેણે આજુબાજુની વાતચીત કર્યા વગર જ તેની સામે પોતાનું હ્રદય ખોલી નાખવાનું યોગ્ય સમજ્યું. તેઓ બોલ્યા ‘સૈનિક! એલેકઝાન્ડર વિરુદ્ધ મગધની સેના સારી રીતે લડી શકે, એટલું જ નહીં, તેને તેઓ મગધ પહોંચતા પહેલા જ રોકી દે તથા ખદેડીને દેશ બહાર હાંકી કાઢે. તેના માટે હું મગધ જઈશ. શું તું મારી કંઈ મદદ કરી શકે?’

આ સાંભળીને ચંદ્રગુપ્તને પણ આર્ય ચાણક્યની સચ્ચાઈ પર ભરોસો થઈ ગયો, કારણ કે શબ્દોથી વધારે આર્ય ચાણક્યના અવાજથી ખબર પડતી હતી કે તેઓ યવનોને ભારત બહાર હાંકી કાઢવા માટે કેટલા નિશ્ચયી છે. ચંદ્રગુપ્તે તેમને પોતાનો પરિચય આપ્યો તથા મહારાજ ધનાનંદના સમગ્ર અત્યાચારોનું સંપૂર્ણ વર્ણન કર્યું, તે શા માટે ભાગીને આવ્યો છે તે પણ જણાવ્યું.

આ સાંભળીને આર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને ખૂબ ધ્યાનથી જોયો અને પછી તેમણે એવી રીતે માથુ હલાવ્યું કે જાણે કે તેમણે કોઈ દ્રઢનિશ્ચય કર્યો હોય. તેમણે જોયું કે ચંદ્રગુપ્ત ખરેખર મગધ સમ્રાટ થવા માટે યોગ્ય છે. પરંતુ તેમ છતાં પણ મગધના સમ્રાટ પદથી વધારે મહત્વનું કાર્ય હતું, યવનોને દેશમાંથી હાંકી કાઢવાનું. ચંદ્રગુપ્તે તેમને જણાવ્યું હતું કે મગધનો રાજા તો એટલો વિલાસી છે કે તે આ વાતની કોઈ ચિંતા કરશે નહીં. ‘પરંતુ તેનો મંત્રી રાક્ષસ તો છે. તે જેમ અન્ય કામો જોવે છે, તેમ આ કાર્ય પણ કરશે’, આર્ય ચાણક્યે કહ્યું.

‘હા આર્ય! અમાત્ય રાક્ષસ તો છે, પરંતુ તેઓ એટલા સ્વામીભક્ત છે કે નંદની આજ્ઞા વગર કંઈ જ કરશે નહીં અને નંદ આજ્ઞા આપશે નહીં’, ચંદ્રગુપ્તે જણાવ્યું.

‘તેમ છતાં પણ જવું તો જોઈએ. રાક્ષસ મારો સહઅધ્યાયી છે. દેશભક્ત પણ છે. જરૂરથી તે મારુ કહેલું માનશે.’ આમ કહીને આર્ય ચાણક્યે એ નિશ્ચય કર્યો કે ચંદ્રગુપ્ત અહીં રહીને એલેકઝાન્ડરના માર્ગમાં જેટલી બની શકે અડચણો ઉભી કરે, તેઓ મગધ જઈને ત્યાંની મદદ મેળવીને યમુનાથી આગળ તો એલેકઝાન્ડરને કોઈ પ્રકારે વધવા ન દે તથા ઝડપથી દેશમાંથી હાંકી કાઢે.

પ્રકરણ-5
આર્ય ચાણક્ય મગધમાં


તે ક્ષણે જ આર્ય ચાણક્ય કુસુમપુરના માર્ગ પર દેખાયા. તેઓ સતત આગળ વધી રહ્યા હતા. માર્ગનો વરસાદ અને તડકો તેમને રોકી શક્યો ન હતો. તેમને તો બસ એક જ ધૂન હતી કે તેઓ મગધ ક્યારે પહોંચે. જો ક્યાંક એક પગલું પણ રોકાઈ જતું તો માલૂમ પડતું કે બસ હવે યવન આગળ વધી ગયા છે. એક-એક ક્ષણ જે વિદેશી અને અત્યાચારી યવનો આ દેશમાં વિતાવી રહ્યા હતા, તે તેમને એક-એક યુગ જેટલી માલૂમ પડતી હતી અને પછી તેની પીડા તો તેમને અસહ્ય હતી. પોતાના ધ્યેય પ્રત્યે જરૂર છે એટલી લગન અને તન્મયતાની. થાકવા છતાં તેઓ પોતાના કદમ આગળ વધારી રહ્યાં હતા. બસ તેમના કદમ રોકાયા મગધના રાજ્ય કાર્યાલયના દ્વાર પર પહોંચીને જ.

અમાત્ય રાક્ષસને તક્ષશિલાના આ બ્રાહ્મણના આગમનની માહિતી આપવામાં આવી. અમાત્યે તેમને એકદમ અંદર બોલાવ્યા, જોતજોતાં બંનેનો પાછલો પ્રેમ ઉમટી પડયો. રાક્ષસે દોડીને ચાણક્યને પોતાના બાહુપાશમાં જકડી લીધા. બંને ખૂબ પ્રેમથી મળ્યા. પરંતુ ચાણક્ય તો પોતાની વાત કહેવા માટે અધિરા થઈ રહ્યાં હતા. ‘કંઈક દેશની ખબર છે, અમાત્ય રાક્ષસ?’ ચાણક્યે પુછયું.

રાક્ષસ પ્રશ્નને સમજી ગયા. બોલ્યા ‘હા, એલેકઝાન્ડરે ભારતમાં પ્રવેશ કરી લીધો છે. પર્વતકથી હારીને પણ તેની મદદથી પંચનંદના રાજાઓને હરાવી રહ્યો છે.’

‘તે મગધ પર તો આક્રમણ કરશે અમાત્ય શ્રેષ્ઠ!’

‘તેના માટે મગધની સેના તૈયાર છે. મગધની પ્રાણ આપીને પણ રક્ષા કરવામાં આવશે.’

‘પરંતુ ક્યારે? જ્યારે તે કુસુમપુરને આવીને ઘેરી લેશે? આજે પંચનંદના નાના રાજ્યોની રક્ષા પણ મગધની જ રક્ષા છે, અને પછી દેશમાંથી પણ યવનોને બહાર કાઢવાનું કાર્ય પણ મગધનું જ છે.’

‘તેના માટે તો મહારાજની સલાહ લેવી પડશે, વિષ્ણુ!’

અંતમાં એ નક્કી થયું કે બીજા દિવસે મહારાજની સલાહ લેવામાં આવે. ચાણક્યનું પણ અમાત્ય રાક્ષસ સાથે જવાનું નક્કી થયું. ચાણક્ય તો ચાહતા જ હતા કે આજે જ તથા અત્યારે મહારાજ પાસે જવાય, પરંતુ રાક્ષસે જણાવ્યું કે આવતીકાલ પહેલા મહારાજ સાથે મુલાકાત થઈ શકે તેમ જ નથી. આ સાંભળીને ચાણક્યને ચંદ્રગુપ્તની વાત યાદ આવી ગઈ. તેમના માથા પર રેખાઓ ખેંચાઈ. વિચારવા લાગ્યા કે જે રાજા સાથે તેનો મંત્રી પણ આટલા મહત્વના કાર્ય માટે મળી શકતો નથી, તે રાજા ભારતના આ મહાન રાજ્યને કદાપિ યોગ્ય નથી.

પ્રકરણ-6
સંઘર્ષનો સંકલ્પ


બીજા દિવસે સવારે જ અમાત્ય રાક્ષસ તથા ચાણક્ય રાજમહેલના દ્વારે પહોંચી ગયા. મહારાજને સૂચના મોકલવામાં આવી. થોડા વિલંબ બાદ જવાબ આવ્યો કે બોલાવી લાવો. બંને અંદર ગયા. મહારાજ તે સમયે પોતાના પ્રમોદ ઉદ્યાનમાં હિંચકે ઝુલી રહ્યા હતા. નર્તકીઓના ઝુંડના ઝુંડ તેમને ઘેરીને ઉભા હતા. મદિરા પાત્ર પાસે જ પડયું હતું. અમાત્યને જોઈને જ મહારાજ કહેવા લાગ્યા, ‘અમાત્ય, તમે અમને કારણ વગરનું કષ્ટ આપો છો. તમે જ શા માટે બધું કામ કરી લેતા નથી? એવું ક્યું મોટું કામ આવી પડયું? શું હોલિકાત્સવની અત્યારથી વ્યવસ્થા કરવાની છે? ઓહ! અરે (ચાણક્ય તરફ જરા તિરસ્કારપૂર્ણ દ્રષ્ટિથી જોયું) આ બ્રાહ્મણ કોણ છે? સાક્ષાત કાળ લાગે છે.’

આર્ય ચાણક્ય આ અપમાનપૂર્ણ વાક્યને સાંભળીને ક્રોધથી એકદમ લાલ થઈ ગયા. તેમની આંખોમાં લોહીના ટસિયા ફૂટવા લાગ્યા, પરંતુ અત્યંત સાવધાનીથી તેમણે પ્રયત્નપૂર્વક પોતાના ક્રોધને દબાવીને શાંતમુદ્રા જાળવી રાખી. તેઓ જાણતા હતા કે આ વખતે યવનોને ભારતમાંથી ખદેડવા માટે મગધની મદદ જોઈએ અને તેના માટે રાજાજ્ઞા મેળવવી જરૂરી છે. આ એક રાષ્ટ્ર કાર્ય છે. રાષ્ટ્રકાર્યમાં આ પ્રકારના માન-અપમાનની ચિંતા કરી શકાય નહીં. તેમના સ્વાભિમાનને ઠેસ અવશ્ય લાગી હતી. પરંતુ તેનાથી પણ મોટો પ્રશ્ન હતો રાષ્ટ્રના સ્વાભિમાનનો.

‘મહારાજ! આ મારા એક સહપાઠી છે, તક્ષશિલાથી આવ્યા છે. એલેકઝાન્ડરે પર્વતકની મદદથી પંચનંદના રાજાઓ સાથે યુદ્ધનો આરંભ કરી દીધો છે અને તે મગધ આવવાનો છે.’

‘મગધની સેના તો તૈયાર છે, અમાત્ય! નવી સેનાની ભરતી શરૂ કરી દો અને જોવો અમારા માટે કુસુમપુરથી દૂર પૂર્વમાં એક મહેલ ઝડપથી બનાવી દો, અમે તો ત્યાં જ રહીશું. લડાઈથી દૂર, એકદમ દૂર. કેમ નર્તકીઓ! ઠીક છે ને?’

‘મગધની સુરક્ષા પહેલા તો પંચનંદના રાજ્યોની સુરક્ષા જરૂરી છે મહારાજ!’ આર્ય ચાણક્યે વચ્ચે જ કહ્યું.

‘પંચનંદના રાજ્યોની સુરક્ષા અમારી સેના કેમ કરે, બ્રાહ્મણ! તું ચાહે છે કે અમારી બધી સેના તો ત્યાં ચાલી જાય અને અમે મગધમાં એકલા રહી જઈએ’, નંદે કહ્યું.

‘મહારાજ, એલેઝાન્ડરનું આગળ વધવું ભારત અને મગધ માટે ઘાતક હશે અને તેને ભારતથી બહાર હાંકી કાઢવો પણ તો મગધ રાજ્ય કાર્ય છે,’ આર્ય ચાણક્યે કહ્યું.

‘હાં!હાં!હાં! અરે બ્રાહ્મણ અમને કર્તવ્ય શીખવવા આવ્યો છે. નર્તકીઓ જરા અમારા ગુરુજીને તો જોવો તો ખરી. કાલ ભૈરવના અવતારને નમસ્કાર તો કરો. હાં!હાં!હાં!’ મહારાજ નંદે કટાક્ષ અને તિરસ્કારયુક્ત શબ્દોમાં કહ્યું.

આર્ય ચાણક્ય ફરી એક વાર લોહીનો ઘૂંટડો પી ગયા. તેમણે શાંતિપૂર્વક કહ્યું, ‘બ્રાહ્મણનું તો આ કાર્ય જ છે, મહારાજ. જો તમે હજી પણ ચૂપ બેસી રહ્યાં તો યવન જરૂરથી એક દિવસ મગધને નષ્ટ કરી દેશે પછી ન તો મગધ રાજ્ય રહેશે અને ન તો મગધના રાજા.’

વિવેકહીન વ્યક્તિની જેમ નંદ પણ એ સમજી શક્યો નહીં કે તેનું હિત પણ રાષ્ટ્રના હિતમાં છે. આર્ય ચાણક્યની આ ચેતવણી પણ તેને ખરાબ લાગી. તે બોલ્યો, ‘તું અમને શાપ આપીને ડરાવવા માંગે છે, બ્રાહ્મણ? નર્તકીઓ આ બ્રાહ્મણને ધક્કા મારીને હાંકી કાઢો! ધૃષ્ટ ના જોયો હોય તો!’

નર્તકીઓ આગળ વધી. રાજાના શબ્દોએ આર્ય ચાણક્યની આશાઓ ભાંગી નાખી. અપમાન ભરેલા શબ્દોથી તેમનું હ્રદય વિંધાઈ ગયું. તેમનો સાત્વિક ગુસ્સો ભભૂકી ઉઠયો. એકદમ તેમણે પોતાની શિખા ખોલીને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી નંદ રાજાનો ઉચ્છેદ કરીને રાષ્ટ્રહિતૈષી અને કર્તવ્યનિષ્ઠ રાજા ગાદી પર બેસાડીશ નહીં, ત્યાં સુધી શિખા બાંધીશ નહીં.

નંદે આને બ્રાહ્મણનો પ્રલાપ ગણ્યો. અને ફરી એક વાર તે નર્તકીઓ સાથે અટ્ટાહાસ્ય કરી ઉઠયો.

આર્ય ચાણક્ય એકદમ રાજમહેલની બહાર થઈ ગયા. અમાત્ય રાક્ષસ હતપ્રભ બનીને આ બધું કૃત્ય જોઈ રહ્યાં. તેઓ શું કરે તે તેમની સમજમાં આવ્યું નહીં. ચુપચાપ તેઓ પણ રાજમહેલની બહાર નીકળી ગયા. બહાર આવીને આર્ય ચાણક્યને કહ્યું, ‘મિત્ર ચાણક્ય! વ્યસનોને આધીન વ્યક્તિની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી, તેને ક્ષમા કર.’

‘પરંતુ રાજાનું વ્યસની થવું તો દેશ માટે ઘાતક છે અમાત્યવર નંદનો ઉચ્છેદ પોતાના માટે નહીં, રાષ્ટ્ર માટે કરવો પડશે. જોતા નથી. એલેકઝાન્ડર એક પછી એક નાના-નાના રાજ્યોને હરાવી રહ્યો છે. પ્રત્યેક રાજ્યના બાળકો પણ જીવ સાટે પોતાની સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ છે. પરંતુ તેની સાથે લડાઈ અલગ-અલગ થઈ રહી છે. એક નાનકડા રાજ્યની સેના હોય પણ કેટલી! એલેકઝાન્ડરના વિશાલ સૈન્યબળના સાગરમાં તે તરંગની જેમ વિલીન થઈ જાય છે. આજે દેશમાં વીરતા છે, શૂરતા છે, પોતાની સ્વતંત્રતાની સુરક્ષા કરવા માટે બધું જ અર્પણ કરવાની શક્તિ છે, પરંતુ જો કોઈ કમી છે તો એકસૂત્રની જે સૌને એકસાથે બાંધી શકે, અખિલ ભારતીય એકછત્ર સમ્રાટની આવશ્યકતા છે. જો આ નહીં થાય, તો ભારતવર્ષમાં યવનોનું આધિપત્ય સદા માટે થઈ જશે, અને જો આ વખતે એલેકઝાન્ડર પાછો ફરી જશે તો પછી કોઈ અન્ય આક્રમણ કરી દેશે. શું નંદ આને યોગ્ય છે? બોલો રાક્ષસ! તમે જ બોલો.’

રાક્ષસ ચુપ હતો. પછી ચાણક્યે કહેવાનું શરૂ કર્યું, ‘રાક્ષસ! તારા હ્રદયમાં દેશભક્તિ છે, હું જાણુ છુ. જ્યારે આપણે સાથે ભણતા હતા, તો હંમેશા દેશભક્તિની વાતો કર્યા કરતો હતો. આજે યવનોનું આક્રમણ દેશમાં સૌથી મોટી આફત છે. દેશના ભાગ્યનો નિપટારો વર્ષો માટે થઈ રહ્યો છે. તું આ મગધ રાજ્યનો અમાત્ય છું. રાજા વ્યસની છે. પરંતુ તને તારા કર્તવ્યનું ધ્યાન છે, શક્તિ તારા જ હાથમાં છે, આવ પોતાની સેનાને લઈને શત્રુઓને ભારતની બહાર હાંકી કાઢીએ.’

‘પરંતુ મિત્ર! શું આ રાજદ્રોહ નહીં થાય?’ અમાત્યે દબાયેલા અવાજમાં કહ્યું.

‘અમાત્યવર! રાજા રાષ્ટ્ર માટે છે, રાષ્ટ્ર રાજા માટે નથી. જો એલેકઝાન્ડર આજે તારો રાજા થઈ જાય, તો તેની ભક્તિ પણ તું રાજભક્તિ માનીને કરીશે? રાજભક્તિ ત્યાં જ પુણ્ય છે કે જ્યાં તે રાષ્ટ્ર અને દેશભક્તિની પોષક હોય, અન્યથા પાપ છે, સર્વથા ત્યાજ્ય છે.’

‘પરંતુ મે રાજાનું આટલા દિવસ સુધી અન્ન ખાધું છે, ચાણક્ય.’

‘છી, છી! તું કેવી અબોધ બાળક જેવી વાતો કરે છે? અન્ન તો તે ખાધું છે, ભારતભૂમિનું. આજે તેના પર આફત છે. આવો તારા અન્નનું મૂલ્ય ચુકાવ.’

‘હું અસમર્થ છું ચાણક્ય!’ આખરે અમાત્યે કહ્યું.

આર્ય ચાણક્યની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું. તેમ છતાં તેમણે હિંમત હારી નહીં. હા, ચુપચાપ એક તરફ ચાલી નીકળ્યા. અમાત્યમાં તેમને રોકવા જેટલું સાહસ ન હતું.

પ્રકરણ-7
ભારતીય પરાક્રમ અને એલેકઝાન્ડરનો અંત

આર્ય ચાણક્ય પાછા ફરીને પંચનંદ ગયા. તેમણે નિશ્ચય કર્યો કે ત્યાં જઈને ત્યાંના તમામ નાના રાજ્યોને સંગઠિત કરીને એલેકઝાન્ડરનો એકસાથે સામનો કરવામાં આવે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે તેમના માટે આ બધાંની કોઈ જરૂરત રહી ગઈ ન હતી. ચંદ્રગુપ્તે પહેલા જ આ સાધનનો સફળ ઉપયોગ કરી લીધો હતો. તેણે આખા પંચનંદમાં ફરીને રાજાઓથી, તેમના સેનાપતિઓથી, ગણરાજ્યોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. તેમને વાસ્તવિક સ્થિતિ સમજાવી. ખુદ રાજા પર્વતકને મળ્યો. તેના હ્રદયમાં ભંડારાયેલા દેશપ્રેમને જગાડયો. તેણે કહ્યું, ‘મહારાજ, તમારા જેવાં વીરોને જન્મ આપીને ભારતભૂમિ પોતાને ધન્ય સમજે છે. જે એલેકઝાન્ડરને ગર્વ હતો કે દુનિયામાં કોઈ તેને હરાવી શક્યું નથી, તેનો ગર્વ તમે જ ચકનાચૂર કરી નાખ્યો. પરંતુ મહારાજ! તે આસ્તિનનો સાપ બનીને ઘરમાં ઘૂસી આવ્યો છે. તમે શું વિચારો છો કે મગધ વિજય કર્યા બાદ તે તમને રાજ્ય કરવા દેશે? અવશ્ય તે કોઈને કોઈ પ્રકારના છળકપટથી તમારો વધ કરાવશે. આમ પણ તે ક્યાં સુધી યોગ્ય છે કે તમે જેને પરાજીત કર્યો હોય, તે બને વિશ્વ સમ્રાટ અને તમે તેને આધિન રહો ભારત સમ્રાટ?’

આ વાતો સાંભળીને પર્વતકની આંખો ઉઘડી ગઈ. તેમણે પોતાની સેનાને આગળ વધવાથી રોકી દીધી. પંચનંદના નાના-નાના રાજ્યો પણ મળીને એલેકઝાન્ડરની સેનાને ત્રસ્ત કરવા લાગ્યા. શીલભદ્રે પણ ચાણક્યની આજ્ઞાનુસાર પોતાનું કાર્ય કર્યું. એલેકઝાન્ડરના સૈનિકોની હિંમત તૂટી ગઈ, મગધ નામ સાંભળતા જ તેમને વાઈ આવતી હતી. બસ, એક દિવસ સૌએ નિર્ણય કર્યો કે હવે તેઓ આગળ નહીં વધે અને પોતાના ઘરે પાછા ફરશે. એલેકઝાન્ડરે તેના સૈનિકોને ઘણું સમજાવ્યું. મદિરા છોડી દીધી, ત્રણ દિવસ સુધી ભોજન ન કર્યું. અંતમાં હારીને તેણે નિશ્ચય કર્યો કે હવે ઘરે પાછા ફરશે તથા થોડા દિવસો બાદ ભારતના બચેલા ક્ષેત્રોને જીતશે.

આર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના પ્રયત્નોથી અત્યાધિક ખુશ થયા. હવે તેમણે નિશ્ચય કર્યો કે એલેકઝાન્ડરને જીવિતપણે પાછો જવા દેવો જોઈએ નહીં. માટે તેઓ સિંધ અને મકરાનના પ્રદેશોમાં ગયા. ત્યાંના ગણરાજ્યોને પહેલેથી જ એલેકઝાન્ડરની વિરુદ્ધ જગાડી દીધા હતા. પશ્ચિમોત્તરનો માર્ગ જેના દ્વારા તે ભારત આવ્યો હતો, તેને તેમણે પહેલેથી જ બંધ કરી દીધો હતો. કારણ કે અહીં અશ્વકોએ વિદ્રોહ કર્યો હતો. તે તરફથી જવાની એલેકઝાન્ડરની હિંમત ન હતી. સિંધ અને મકરાનના માર્ગ સુધી ત્યાંના લોકોને આ આક્રમક વિરુદ્ધ જગાડીને તેના માટે વધુ આ માર્ગને વધારે કઠિન બનાવી દીધો હતો. એલેકઝાન્ડરે પોતાની સેનાને બે ભાગમાં વહેંચી દીધી. એક ભાગને સમુદ્ર માર્ગે નિયારકસની આગેવાનીમાં તથા બીજા ભાગને ખુદ પોતાની સાથે મકરાનના રણમાંથી લઈને નીકળ્યો. મલ્લિઓએ તેને ખૂબ હેરાન કર્યો. ત્યાં સુધી કે તેની છાતીમાં એક તીર એટલા જોરથી લાગ્યું કે તેને ઉંડો ઘાતક ઘા થઈ ગયો. જેના કારણે તે બેબિલોન જઈને મૃત્યુ પામ્યો. પારિપાત્રપારવર્તી (બલૂચી) જાતિઓએ પણ તેને ખૂબ હેરાન કર્યો હતો. સેંકડો સૈનિકો પાણી વગર મરી ગયા, કેટલાંય રેતીમાં ગરમીથી ત્રસ્ત થયા અને યુદ્ધમાં તો અનેક માર્યા ગયા. અંતે એક દિવસ તે બોલી ઉઠયો કે ‘ભારતવર્ષમાં દરેક જગ્યાએ ભારતવાસીઓના આક્રમણ અને ક્રોધનો ભોગ બન્યો. તેમણે મારા ખભાને ઘાયલ કર્યા. ગાંધારીઓએ મારા પગને નિશાન બનાવ્યા. મલ્લિઓએ યુદ્ધ કરીને એક તીરની અણિથી મારી છાતી વીંધી નાખી અને ગર્દન પર પણ ગદાનો જોરદાર ઘા પડયો. ભારત પરનું આક્રમણ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે.’

આ રીતે આર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તે મળીને એલેકઝાન્ડરને માત્ર ભારતમાંથી ખદેડી જ ન હતો મૂક્યો, પરંતુ તેને હાંકી કાઢતા તેના સૈન્યનો સંહાર પણ કર્યો, તથા ખુદ તેને મારવાનો પ્રયત્ન પણ કર્યો. બેબિલોન જઈને તે મૃત્યુ પામ્યો. પરંતુ તેણે પોતાના સેનાપતિ સેલ્યુકસ પાસે પોતાની ભારત વિજયની અભિલાષાને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરાવી લીધી.

પ્રકરણ-8
ભવિષ્યની યોજના


સંધ્યા સમયે લાલ-લાલ સૂર્ય અસ્તાચલ તરફ ભાગી રહ્યો હતો. માનો પશ્ચિમની દિશામાં પીઠ દેખાડીને ભાગી રહેલા દુશ્મનની પીઠ પર લાગેલુ વિશાળ રક્તવ્રણ હોય. ચહેકતા પક્ષી શત્રુના આ પ્રયાણથી આનંદગાન કરી રહ્યાં હતા. અચાનકક આવેલા આ વાવાઝોડાંથી એક દિવસ વિપાશા (બિયાસ-વ્યાસ)નો જળ-પ્રવાહ ક્ષુબ્ધ થઈ ગયો હતો. આજે તે પણ શાંત કલ-કલ ધ્વનિથી વહી રહ્યો હતો અને તેની સાથે જ સંપૂર્ણ દેશ પણ એક સંતોષનો શ્વાસ લઈ રહ્યો હતો, પરંતુ વિપાશાના તટ પર બેઠેલા બે વ્યક્તિઓના મનમાં હજી શાંતિ અને સમાધાન ન હતું. તેમની મુખમુદ્રા પરથી માલૂમ પડતુ હતુ કે તેમનું મસ્તિષ્ક કોઈ ગુંચવાયેલી ગુત્થીને ઉકેલવામાં લાગેલું છે.

‘એલેકઝાન્ડરે અંતે પોતાના જીવથી હાથ ધોવા પડયા આર્ય!’ ચંદ્રગુપ્તે શાંતિ તોડતા કહ્યું.

‘હા વત્સ! એલેકઝાન્ડર તો ભારત આક્રમણનું ફળ ભોગવી ચુક્યો. ચેપી રોગનો રોગી ખુદ તો મરી જાય છે, પરંતુ પોતાનો રોગ દુનિયામાં જ છોડી જાય છે. તેના કીટાણુઓ હવામાં ફેલાઈને બીજાને પોતાનો શિકાર બનાવે છે. આજે સેલ્યુકસ પણ ભારત વિજય કરવાની ઈચ્છા રાખે છે.’

‘વિશ્વવિજયની ઈચ્છા રાખાનારા એલેકઝાન્ડરની જ્યારે અહીં દાળ ગળી નથી, તો સેલ્યુકસ શું ખાઈને ભારત વિજયનો વિચાર કરશે?’ ચંદ્રગુપ્તે મોઢું બનાવીને કહ્યું, ‘અને સાંભળ્યું છે આર્ય! કે એલેકઝાન્ડરના સેનાપતિ સેલ્યુકસ અને ટાલેમીમાં પણ પરસ્પર તેના સામ્રાજ્ય માટે યુદ્ધ થઈ રહ્યું છે.’

‘આ બધું સત્ય છે વત્સ! પરંતુ ભારતનું કલ્યાણ તો ભારતની જ શક્તિથી થશે. બીજાની દુર્બલતાઓના સહારે આપણે ક્યાં સુધી જીવિત રહીશું. ભારતમાં શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપિત કરવાના પોતાના ધ્યેયને શું તું આટલી જલ્દી ભૂલી ગયો?’ આર્ય ચાણક્યે કહ્યું.

‘નહીં આર્ય! નહી, આ મહાન ધ્યેયને કેવી રીતે ભૂલી શકાય? હા, એલેકઝાન્ડરને ભારત બહાર ખદેડીને જરાક શ્વાસ લેવાનો સમય જરૂરથી મળ્યો છે.’

‘હજી તો સેરમાંથી પૂણી પણ કંતાઈ નથી, ચંદ્રગુપ્ત!’ આર્ય ચાણક્યે વ્યાકુળતાથી કહ્યું, ‘ભારતની આ અજેય શક્તિનો ઉષાકાળ તો એ સમયે હશે કે જ્યારે તું મગધના સિંહાસન પર આસિન થઈશ. અસલી કાર્ય તો હજી આગળ પડયું છે.’

આર્ય ચાણક્ય ને ચંદ્રગુપ્ત બંને જ પોતાના ભાવિ કાર્યક્રમ પર વિચાર કરવા લાગ્યા. પશ્ચિમોત્તર, સિંધુ અને આધુનિક રાજસ્થાનના નાના-નાના રાજ્યો પર ચંદ્રગુપ્તનો સિક્કો જામી ચુક્યો હતો. તેને તેમણે પોતાના નેતા તરીકે જોયો અને તેના દ્રઢ નેતૃત્વમાં એલેકઝાન્ડરને ભારતમાંથી હાંકી કાઢયો હતો. પરંતુ એકછત્રીય શાસનની સ્થાપના માટે પર્વતક અને નંદ બે મોટી અડચણો હતી. ભારતમાં સૌથી મોટું રાજ્ય મગધનું જ હતું, પરંતુ પર્વતકનું રાજ્ય પણ કોઈ નાનું-મોટું રાજ્ય ન હતું, અને એલેકઝાન્ડરની મદદથી પંચનંદના નાના-નાના રાજ્યોને જીતીને પર્વતકે પોતાના રાજ્યને વધારે ફેલાવી દીધું હતું. રાજા નંદ વિલાસી હતો, તેને જીવનમાં કોઈપણ પ્રકારની મહત્વાકાંક્ષા ન હતી. પરંતુ પર્વતક મહત્વાકાંક્ષી રાજા હતો. તેની આકાંક્ષા હતી કે તે ભારતનો સમ્રાટ બને. ચંદ્રગુપ્ત અને ચાણક્ય બંને જ તેની મહત્વાકાંક્ષા જાણતા હતા.

‘પર્વતક ભારતનો સમ્રાટ બનવા ચાહે છે, જાણે છે ચંદ્રગુપ્ત?’ આર્ય ચાણક્યે પુછયુ.

‘હા આર્ય! જાણું છું, તેથી તો તેણે એલેકઝાન્ડરને પરાજીત કરીને પણ તેની સાથે મિત્રતા કરી હતી. પરંતુ હવે શું છે, હવે તો એલેકઝાન્ડર આ દુનિયામાં રહ્યો નથી’ ચંદ્રગુપ્તે કહ્યું.

‘એલેકઝાન્ડર ન રહ્યો તો શું થયું, તેનો સેનાપતિ સેલ્યુક્સ તો છે. પર્વતક છે પણ એટલો મહત્વાકાંક્ષી કે પોતાની આ મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે સેલ્યુકસ પાસેથી સહાયતા લેવામાં તે સંકોચ કરશે નહીં. વિદેશીને મદદ માટે બોલાવવો તો શત્રુને ઘરનો માર્ગ દેખાડવા રૂપ છે.’

‘તો પછી પહેલા પર્વતક સાથે યુદ્ધ કરવામાં આવે આર્ય!’

ચંદ્રગુપ્તે ઉત્તેજીત થઈને કહ્યું.

‘નહીં વત્સ!’ આર્ય ચાણક્ય સ્મિત સાથે બોલ્યા, પર્વતક સાથે અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી. નંદ અને પર્વતક આ બંને કાંટા છે, કાંટાથી જ કાંટો કાઢવો બુદ્ધિમાનીનું કામ છે. નંદ તો વિલાસી, આળસુ અને કાયર છે. તેનામાં કોઈપણ પ્રકારની મહત્વાકાંક્ષા નથી. પરંતુ પર્વતક વીર અને મહત્વાકાંક્ષી છે. તેને મગધ પર આક્રમણ કરવા માટે ઉશ્કેરવામાં આવે, તે તૈયાર થઈ જશે, નંદને તે જરૂરથી હરાવી શકશે. પરંતુ તેના પહેલા કે તે મગધ પર અધિકાર જમાવે, તુ મગધના રક્ષક તરીકે પ્રગટ થઈને તેની સાથે યુદ્ધ કરજે. આ યુદ્ધમાં અથવા અન્ય કોઈ ષડયંત્ર દ્વારા તારે પર્વતકનો વધ કરવો પડશે. મગધની જનતા તને તારણહાર જોઈને જરૂરથી તારો અભિષેક કરશે. માટે હું નંદની વિરુદ્ધ અત્યારે જઈને જનસમાજને જગાડી સંગઠિત કરું છું અને તુ પર્વતક સાથે મળીને આક્રમણની તૈયારી કર.

‘પર્વતકની સાથે આ પ્રકારે વિશ્વાસઘાત ક્યાં સુધી ઠીક હશે આર્ય! મારી જગ્યાએ તેને જ ભારતનો સમ્રાટ બનાવા દો. એકછત્ર સામ્રાજ્ય તો જોઈએ. સમ્રાટ પછી કોઈપણ કેમ ન હોય.’

‘ચંદ્રગુપ્ત તુ ભૂલી રહ્યો છું. તારું વ્યક્તિત્વ હજી મટયું નથી. તું તારા માટે નહીં, ભારત માટે સમ્રાટ બનીશ. ચંદ્રગુપ્ત સમ્રાટ નહીં બને, પરંતુ ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત બનશે. પર્વતક જેવો સ્વાર્થી અને મહત્વાકાંક્ષી, પછી તે કેટલોય વીર કેમ ન હોય સમ્રાટ બનવાને યોગ્ય નથી. ભારતનો સમ્રાટ નિ:સ્વાર્થ વૃતિથી સંયમ અને દ્રઢતાપૂર્વક જનતાની સેવા કરનારો વ્યક્તિ હોવો જોઈએ. ભગવાને તેને આ ગુણ આપ્યા છે, પરંતુ તું ભૂલથી તેને તારા સમજી બેઠો છું. તે દેશના છે દેશનો અધિકાર છે, તેનો યોગ્ય ઉપયોગ કર. તું સમ્રાટ બનનારો કોણ છું?

આજે દેશને જરૂરત છે, તો તુ તેની પૂર્તિ માટે સમ્રાટ બનીશ, કાલે આવશ્યકતા હશે તો તેના માટે તારી ભિક્ષુક પણ બનવું પડશે’

આર્ય ચાણક્ય બોલતા બોલતા આવેશમાં આવી ગયા. ચંદ્રગુપ્ત એકદમ શરમ અનુભવવા લાગ્યો. તે ધીરેથી ક્ષમા પ્રાર્થના કરતાં બોલ્યો, ‘ક્ષમા કરો આર્ય! મે દેશની સામે મારા સ્વાર્થોને કોઈ મહત્વ આપ્યું નથી, પર હા, સર્વાંગપૂર્ણ દેશભક્તિની કલ્પના હજી સુધી મારી સામે આવી ન હતી. આજે અવશ્યપણે હું નવો પાઠ ભણ્યો છું.’

‘હા વત્સ! આ પુણ્યભૂમિ ભારત માટે એક પર્વતક નહીં ઘણાં પર્વતકોની બલિ આપવી પડશે. અચ્છા, ઉઠ, સૌથી પૂર્વમાં જઈને વાહ્વીકોને જગાડ. એલેકઝાન્ડરના રાજ્યમાં ભારતનો આ ભાગ હજી પણ છે. વિદ્રોહનો આ યોગ્ય સમય છે. તેમની તથા અન્ય નાના-મોટા રાજ્યોની સેનાને સંગઠિત કરીને પર્વતકની સાથે નંદ પર આક્રમણની તૈયારી કર.’

પ્રકરણ-9
અભિષેકની તૈયારી


આર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને વિદાય કરીને મગધ તરફ પ્રસ્થાન કર્યું. આજથી કેટલાંક વર્ષ પહેલા પણ તેઓ ભારતમાંથી એલેકઝાન્ડરને ખદેડવા માટે મગધરાજ નંદને તેમના કર્તવ્ય જ્ઞાન કરાવવા અને તેમની મદદની યાચના કરવા ગયા હતા. આજે ફરીથી તેઓ મગધ જઈ રહ્યાં હતા, ભવિષ્યમાં કોઈ એલેકઝાન્ડર ભારત તરફ મોઢું પણ ન કરીશકે તેના માટે મગધમાં એક શક્તિશાળી સામ્રાજ્યના નિર્માણ માટે નંદ વંશને નષ્ટ કરવા માટે આજે તેઓ યાચક બનીને નહીં, સંહારક બનીને જઈ રહ્યા હતા. પરંતુ તેમની યાચના અને સંહાર બંનેની પાછળ હતો તેમનો સાત્વિક દેશપ્રેમ. રાત્રિના ઘનઘોર અંધકારમાં આર્ય ચાણક્યે વેષ બદલીને ગુપ્તપણે કુસુમપુરમાં પ્રવેશ કર્યો. રાજા નંદ બેખબર પોતાના રાજમહેલમાં પડયો હતો. સર્વનાશ આ પ્રકારથી વેષ બદલીને ચુપચાપ પ્રવેશ કરે છે.

કુસુમપુરમાં તેમનું નિવાસસ્થાન નંદ રાજ્ય માટે અનાજમાં પડતા કીડાનું કામ કરી રહ્યું હતું. તેમની દરેક ક્ષણ નંદ રાજ્યના મૂળને ખોખલા કરવામાં વીતી રહી હતી. નંદની સત્તા તેમને માટે અસહ્ય થઈ ગઈ હતી. રાજ્યમાં આવીને નંદના દુરાચારોની પ્રત્યક્ષ જાણકારી હોવાને કારણે તેમને વધુ તીવ્ર વેદના થતી હતી. જેમ જેમ તેમની વેદના તીવ્ર થતી, તેમ તેમ તેઓ પોતાના કાર્યની ગતિ તેજ કરી રહ્યા હતા. જનતામાં ફેલાયેલી નંદ વિરોધી ભાવનાઓનો તેમણે પૂરો લાભ ઉઠાવ્યો, મંત્રી રાક્ષસ તથા સેનાપતિ ભાગુરાયણના મતભેદને વધારે ઉશ્કેરીને ભગુરાયણને પોતાની તરફે કરી લીધો. સામંત શકટાર કે જેના છ પુત્રોનો રાજા નંદે વધ કરાવ્યો હતો, તે પણ તેમની તરફ મળી ગયો.

કુસુમપુરમાં આર્ય ચાણક્ય તમામ તૈયારી કરી ચુક્યા હતા. ચંદ્રગુપ્તને આક્રમણ માટે બોલાવવામાં આવે તે વિચારમાં બેઠા હતા, ત્યારે જ ચંદ્રગુપ્તનો દૂત પણ આવી પહોંચ્યો. તે ચાણક્યનું અભિવાદન કરીને એક તરફ ઉભો રહી ગયો. આર્ય ચાણક્યે ક્ષેમકુશળની સાથે સમાચાર પુછયા. દૂત બોલ્યો, આર્ય વાહ્વિકગણ આજ સ્વતંત્ર છે. મહારાજ ચંદ્રગુપ્તે તેમને સ્વાતંત્ર્ય સંદેશ સંભળાવ્યો, તેમણે તેમનામાં નવજીવનનો સંચાર કરી દીધો. તેમની વિદ્રોહની આગ ભભૂકી ઉઠી અને તેમાં તેમની દાસતા અને યૂનાની ક્ષત્રપ બંને ભસ્મીભૂત થઈ ગયા. હવે મહારાજ જ તેમના અધિપતિ છે.

‘આ તો યોગ્ય થયું દૂત, પરંતુ બાકીના રાજ્યોનો શો હાલ છે?’

‘આર્ય! મહારાજે કુલૂતના ચિત્રવર્મા, મલયના સિંહનાદ, કાશ્મીરના પુષ્કરાક્ષ અને સિંધુના સિંધુસેન તથા અન્ય નાના-નાના ગણરાજ્યોને પોતાની તરફ મેળવી લીધા છે. તેઓ બધાં પોતાની સેના લઈને મહારાજ ચંદ્રગુપ્તની આજ્ઞા લઈને કૂચ કરવા માટે તૈયાર છે.’

‘અને પર્વતક સાથે પણ કંઈક વાતચીત થઈ છે કે નહીં?’

‘હા આર્ય! મગધના આક્રમણના પ્રત્યક્ષ નેતા તો તે જ છે. ભારતના ભાવિ સમ્રાટ બનવાની લાલસાથી તેઓ પણ દળ કટક સહીત આવી રહ્યા છે. આક્રમણ માટે ક્યો સમય યોગ્ય રહેશે અને તમારો આદેશ શું છે, તેના માટે મને અહીં મોકલવામાં આવ્યો છે.’

આર્ય ચાણક્ય આ સાંભળીને ફરીથી વિચારોમાં લીન થઈ ગયા. ક્યો દિવસ આના માટે યોગ્ય રહેશે, તે જ તેમની સામે મુખ્ય પ્રશ્ન હતો.

એકાએક જયઘોષની તુમુલ ધ્વનિથી તેમની શાંતિ ભંગ થઈ. દૂતને તેમણે જયઘોષનું કારણ જાણવા માટે મોકલ્યો. થોડી વારમાં દૂતે જણાવ્યું કે આગામી માસમાં આ તિથિએ રાજકુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેકની ઘોષણા કરવામાં આવી રહી છે. આચાર્ય ચાણક્યની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. ક્રૂર મુસ્કાન તેમના હોઠો પર રમવા લાગી. પછી દ્રઢતાની સાથે તેઓ બોલ્યા, ‘દૂત! અભિષેકની ઘોષણા થઈ ગઈ છે, અભિષેક થવો જ જોઈએ. જાઓ ચંદ્રગુપ્તને કહો કે અભિયાનનો આ દિવસ જ યોગ્ય છે, કુસુમપુર પહોંચવા સુધીમાં પોતાની સેનાની ગતિવિધિઓની ખબર લાગે નહીં.’

અભિવાદન કરીને દૂત ચાલ્યો ગયો. આર્ય ચાણક્ય પણ અભિષેકની તૈયારીમાં લાગી ગયા.

પ્રકરણ-10
સમ્રાટ ચંદ્રગુપ્તનો વિજય


મગધના રાજભવનમાં આજે ચહેલ-પહેલ મચેલી છે. નોકરો અને નોકરાણીઓ આમથી તેમ દોડાદોડી કરી રહ્યાં છે. રાજમહિષી ખુદ આજે ઘણાં વ્યસ્ત છે. રાજમહેલનું તમામ સુશોભન પોતાની જ દેખરેખમાં કરાવી રહ્યાં છે. ક્યારેક કોઈક તોરણને અહીંથી દૂર કરાવીને ત્યાં લગાવડાવી રહ્યાં છે, તો ક્યારેક ચિત્રોને આમથી તેમ હટાવી રહ્યાં છે. યૌવરાજ્યાભિષેક બાદ રાજમહિષીની પાસે આશિર્વાદ લેવા માટે આવનારા રાજકુમાર સુમાલ્ય માટે પ્રવેશ દ્વાર વિશેષ રૂપથી બનાવવામાં આવ્યું છે. રાજમહિષીએ કલાકારની જેમ તેનું સુરુચિપૂર્ણ નિર્માણ કરાવ્યું છે. મહારાજ નંદ માટે આજે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરની નર્તકીઓ આજે કુસુમપુરમાં એકઠી થઈ છે. દરેક માટે પોતપોતાની રુચિ પ્રમાણેના વસ્ત્રો અને આભૂષણો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની અપેક્ષા છે કે પોતાની નૃત્યકલાનું અનોખુ પ્રદર્શન કરીને આજે મહારાજ, રાજકુમાર અને દરબારીઓના ચિતને આકર્ષીને મનગમતો પુરસ્કાર મેળવે.

આજે સજાવટ રાજમહેલ સુધી જ સીમિત નથી, પરંતુ આખા કુસુમપુરને સુશોભિત કરવામાં આવ્યું છે. જનતાના હાથ-પગ સજાવટના કામમાં લાગેલા છે, પરંતુ તેમનું હ્રદય તેમાં જોડાયેલું નથી. તેઓ તો હ્રદયમાં અત્યાચારની વેદના સાથે અંતસ્થલમાં વિદ્રોહાગ્નિની ચિનગારીને ઉંડા શ્વાસથી પ્રજ્વલિત કરીને મુખ મંડલ પર હાસ્ય અને પ્રસન્નતાનો દેખાડો કરી રહ્યા છે. તેઓ દીપ-પ્રકાશની તૈયારી અભિષેકના આનંદને પ્રગટ કરવા માટે કરી રહ્યાં નથી. તેમની ઈચ્છા તો એક દીપથી અન્ય દીપ પ્રજ્વલિત બનીને પ્રલયકારી જ્વાળા પ્રગટ થાય જેમાં સમસ્ત નંદવંશ ભસ્મીભૂત થઈ જાય.

ચારે તરફની આ ચહેલ-પહેલમાં આર્ય ચાણક્ય પણ સામેલ છે. પરંતુ તેઓ બીજા જ અભિષેકની તૈયારીમાં છે. તેઓ તો ક્રાંતિના અગ્રદૂતની જેમ વ્યસ્ત છે. તેમણે પોતાના દૂતોને ચારેય તરફ લગાવી દીધા છે. સેનાપતિ ભગુરાયણને, જેને તેમણે પોતાની તરફે ફોડી નાખ્યો હતો, તેને આજે સચેત કરી દીધો છે. સેનાને આજ્ઞા મળી ચુકી છે કે સેનાપતિ સિવાય અન્ય કોઈની આજ્ઞાનું પાલન ન કરે. સુમાલ્યની અપર માતાઓ પણ આજે તેના પ્રાણની ગ્રાહક છે. કૌટિલ્યની કૂટનીતિએ મગધ રાજ્યને ચારે તરફથી જકડી રાખ્યું છે.

મહારાણી અને રાજકુમાર સુમાલ્ય ઘણી ઉત્સુકતાથી રાજતિલકની ઘડીની રાહ જોઈ રહ્યાં હતા. કામમાં લાગેલા લોકોનો સમય ઘોડાની ચાલથી દોડી રહ્યો છે, પરંતુ આજ એક ક્ષણનો અવકાશ ન રહેવા છતાં પણ બંનેનો સમય ખૂબ ધીરે-ધીરે પસાર થઈ રહ્યો છે. સુમાલ્ય ભવિષ્યના સોનેરી સ્વપ્નોના ઝુલામાં ઝુલી રહ્યો હતો, જો તેને પોતાના ભવિષ્યની સાચી માહિતી હોત તો- પરમાત્માએ ભવિષ્યને એટલા માટે અંધકારમાં રાખ્યું છે કે જેથી વર્તમાનના ક્ષણિક સુખમાં તે સુખના આનંદને લૂંટવાથી, અથવા વર્તમાનના ક્ષણિક દુ:ખમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાથી મનુષ્ય વંચિત ન રહી જાય. જેમ તેમ કરીને તે ઘડી આવી ગઈ. રાજમહેલમાંથી મહારાજ, યુવરાજ, અમાત્ય તથા સમસ્ત સભાસદોની સવારી નીકળી. બંદીગણ જયગાન કરતા જઈ રહ્યાં હતા, જયઘોષ ગગન ગજવી રહ્યાં હતા.

એકાએક અમાત્ય રાક્ષસને બીજો જ જયઘોષ સંભળાતા તેમના કાન અનિષ્ટની આશંકાથી ઉભા થઈ ગયા. સેનાપતિએ કહ્યું કે મહારાજના જયઘોષની દૂર રહેલા હિમાલય સાથે ટકરાઈને પાછી ફરનારી પ્રતિધ્વનિ હશે. પરંતુ તે તો વિલાસી નંદના અત્યાચારોથી ક્ષુબ્ધ પ્રજાજનોના નિસાસાના પડધા હતા. તેની ગુંજ વિનાશકારી તોફાનની જેમ પ્રતિક્ષણ વધી રહી હતી. અમાત્ય રાક્ષસના હ્રદયમાં સંતોષ ન થયો, તેમનામાં વ્યાકુળતા વ્યાપ્ત હતી. તેમના કાન આસપાસના તુમુલનાદને ન સાંભળીને દૂર થઈ રહેલા જયઘોષને જ સાંભળી રહ્યાં હતા. તેટલામાં જ દૂત દોડતો આવ્યો. માથું નમાવીને અમાત્ય રાક્ષસની સામે ઉભો રહી ગયો. અમાત્ય રાક્ષસે વ્યાકુળતાથી થોડા ગુસ્સા ભરેલા અવાજમાં પુછયું કે બોલો દૂત શું છે? આ અપશુકન કેવા? બોલો, જલ્દી જણાવ.!

‘પ્રલય થઈ ગયો અમાત્યવર! કુસુમપુરને શત્રુઓએ ઘેરી લીધું છે. જો તુરંત તેમને રોકવામાં નહીં આવે, તો તેઓ રાજમહેલ સુધી પહોંચી જશે. ’ અમાત્ય રાક્ષસને એકદમ ધક્કો લાગ્યો. તેમની શંકા નિર્મૂળ ન રહી. પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી. સવારીને એકદમ રોકી લેવાની આજ્ઞા આપવામાં આવી. મહારાજ નંદ કંઈ સમજી શક્યો નહીં. અમાત્ય રાક્ષસે નંદ સમક્ષ જઈને કહ્યું, ‘મહારાજ! અભિષેક કોઈ અન્ય દિવસે કરો. આજે તો રણ કરવું પડશે. શત્રુઓએ નગરને ઘેરી લીધુ છે.’

કાયરતાની મૂર્તિ જેવો રાજા નંદ એક વખત કાંપી ઉઠયો. પરંતુ બીજી જ ક્ષણે તેણે કહ્યું, ‘અમાત્ય! અમારા શત્રુઓ તો અમને સતાવે જ છે, પરંતુ તમે પણ રંગમાં ભંગ કરી દો છો. આજે અભિષેકનો દિવસ છે. રાજ્યભરમાંથી નર્તકીઓ આવી છે અને તમે કહો છો કે યુદ્ધ માટે ચાલો. જાઓ, તમે અને સેનાપતિ, સેના લઈને યુદ્ધમાં જાવ, તમને લોકોને અને સેનાને આના માટે તો વેતન મળે છે. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો, સવારીને આગળ વધવા દો.’

અમાત્ય ક્રોધમાં દાંત પીસીને રહી ગયા. તેમને વિશ્વાસ થઈ ગયો કે સર્વનાશ નિશ્ચિત છે, જેવી તેમણે પોતાના ઘોડાની લગામ વાળી કે તેમણે ભીડમાંથી એક ચકચકિત કટાર આવતી જોઈ. વિજળીના પ્રકાશની જેમ જ તેનો પ્રકાશ પણ આકાશમાં રમી ગયો અને બીજી જ ક્ષણે નંદની છાતીમાં લોહીથી લથપથ ગ્રહણના ચંદ્રની જેમ ચમકી ઉઠી. નંદ એક ક્ષણ ચિત્કાર કરીને પોતાનું શરીર છોડી ગયો.

ચારે તરફ કોલાહલ મચી ગયો. રાજ્યના કર્મચારી ગણ ગભરાઈ ગયા. તેમની સમજમાં કંઈ આવ્યું નહીં કે શું કરવામાં આવે. તેઓ નંદની લાશ ઉઠાવીને રાજમહેલની દિશામાં ભાગ્યા. એકાએક મહારાજ ચંદ્રગુપ્તનો જયના નાદથી નભ મંડળ ગાજી ઉઠયું. રાક્ષસ અમાત્ય સમજી ગયા કે આ વિદ્રોહનો નેતા ચંદ્રગુપ્ત જ છે. આજથી પાંચ વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની આંખો સામે આ અશાંત વાતાવરણમાં પણ એકસાથે તેમની સમક્ષ ઉભું થઈ ગયું. તેમણે સેનાપતિને અવાજ લગાવ્યો. પરંતુ સેનાપતિ ત્યાં ન હતો. તેઓ સીધા સેનાસ્થળ પહોંચ્યા તથા રણભેરી વગાડવાની આજ્ઞા આપી. તેમના આશ્ચર્યનું કોઈ ઠેકાણું ન રહ્યું કે જ્યારે તેમની આજ્ઞાનો અનાદર કરવામાં આવ્યો.

‘સેના તો સેનાપતિની જ આજ્ઞા માને છે અમાત્યવર!’ એક સૈનિકે અભિવાદન કરીને નમ્રતાપૂર્વક કહ્યું.

‘જો સેનાપતિ ગેરહાજર હોય તો ઉચ્ચ અધિકારીઓની આજ્ઞા માનવી પણ તમારું કર્તવ્ય છે, સૈનિક!’ અમાત્યે કંઈક રોષ તથા વિનંતી મિશ્રિત સ્વરમાં કહ્યું. પરંતુ તેમનો તર્ક નિષ્ફળ રહ્યો. સૈનિક નિશ્ચેષ્ટ ઉભા રહ્યા.

રાક્ષસ સમજી ગયા કે સેના તેમનો સાથ આપશે નહીં. તેમની આંખો સામે અંધકાર છવાઈ ગયો. પરંતુ ભીષણ અંધકારમાં પણ હાથ પર હાથ રાખીને તેઓ બેસવાના ન હતા. રાજમહેલના રક્ષક વગેરે થોડાક સૈન્યને એકત્રિત કરીને સુમાલ્યની આગેવાનીમાં તેમણે પર્વતકનો સામનો કર્યો. પરંતુ તેમની નાનકડી સેના પર્વતક અને ચંદ્રગુપ્તની વિશાળ સેના સામે ક્યાં ટકી શકવાની હતી? પ્રચંડ જ્યોતિપુંજને બુઝાવવાની ઈચ્છા રાખનારા પતંગિયાઓની જેમ તેઓ પણ નષ્ટ જ થઈ ગયા. સુમાલ્ય યુદ્ધમાં માર્યો ગયો.

પર્વતક મગધનો સમ્રાટ બનવાની ઈચ્છાથી આવ્યો હતો, પરંતુ જ્યારે વિજય બાદ તેણે ચંદ્રગુપ્તનો ઉદઘોષ સાંભળ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેના સહકારી સિંધુ, મલય, કાશ્મીર, કુલૂત, વાહ્વિક, અશ્વક, ક્ષુત્રક, ગાલબ, કામ્બોજ, ગાંધાર બધાં જ ચંદ્રગુપ્તની સાથે હતા. અને તેનાથી આગળ વધીને મગધની સેના અને જનતા ચંદ્રગુપ્તનું સ્વાગત કરી રહી હતી. રાજા નહુષની જેમ પર્વતક સ્વર્ગમાંથી ધકેલાઈ રહ્યો હતો. તે પોતાના મદદગાર શોધવા લાગ્યો, જે તેને ફરીથી સ્વર્ગના સિંહાસન પર બેસાડે. તેને પોતાના જૂના મિત્ર એલેકઝાન્ડરની યાદ આવી. આ પ્રકારને પોતાની બાજી હારતી જોઈને પર્વતકે અંતમાં દેશને જ દાવ પર લગાવી દીધો. સ્વાર્થી વ્યક્તિ સ્વાર્થ સિદ્ધિ માટે દેશ સુદ્ધા વેચવા માટે તૈયાર રહે છે. આ પ્રકારે પર્વતકે પણ કર્યું. સેલ્યુકસને ભારત પર આક્રમણ કરવા માટે બોલાવ્યો. પરંતુ તેના વિપક્ષી ખેલાડીઓ ચાણક્ય અને ચંદ્રગુપ્ત હતા. તેમની પાસેથી બાજી જીતવી આસાન ન હતી.

આર્ય ચાણક્યને જાણ થઈ ગઈ કે પર્વતકે પોતાનો દૂત સેલ્યુકસ પાસે મદદ માટે મોકલ્યો છે. પર્વતકને માર્ગમાંથી આમ પણ હટાવવાનો હતો. હવે તો તે દેશદ્રોહી હતો. તેને દૂર કરવામાં વિલંબ કરવો પણ પાપ હતું. પર્વતક વીર હોવા છતાં પણ વિલાસી છે, તે આર્ય ચાણક્ય જાણતા હતા. એક દિવસ આર્ય ચાણક્યે એક સુંદર વિષકન્યા તેની પાસે મોકલી દીધી. બીજા દિવસે જ્યારે પર્વતકની શિબિરમાંથી ઠાઠડી નીકળી તો ખબર પડી કે પર્વતક પણ આ લોકને છોડીને જે લોકમાં સૌને જવાનું છે, ત્યાં પ્રયાણ કરી ગયો.

સમગ્ર ઉત્તર ભારતના રાજા અથવા ગણરાજ્યોના પ્રતિનિધિઓ મગધમાં હાજર હતા. મહારાજા ચંદ્રગુપ્તની જયથી સમગ્ર ઉત્તરાપથ ગુંજી ઉઠયો. પરંતુ આ તો ભારતના ભાગ્યોદયનું પ્રભાત હતું. પશ્ચિમની તરફ ભાગતા અંધકાર આ બાળ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો.

પ્રકરણ-11
સેલ્યુકસનું દુસ્સાહસ


પર્વતક પોતાના દેશદ્રોહનું ફળ મેળવી ચુક્યો, પરંતુ તેનું તીર તો છૂટી ચુક્યું હતું. છૂટેલું તીર પાછું ફરતું નથી. સેલ્યુકસને ભારતના આ કપૂતનો સંદેશ મળી ગયો. તે તો ખુદ ભારત વિજયની તૈયારીમાં હતો. ભારત વિજય વગર તેને ‘નિક્ટર’ (વિજેતા)ની ઉપાધિ ધારણ કરવાની વાત ખટકતી હતી. નિયતિ પણ તેની આ ઉપાધિ પર અને આ ઉપાધિને ધારણ કરવાની ઈચ્છા પર હસી રહી હતી.

‘શું મહારાજ પર્વતકે ગાંધાર પ્રદેશનો માર્ગ યૂનાની સેના માટે સુરક્ષિત કરી દીધો છે?’ સેલ્યુકસે પર્વતકના દૂતને પુછયુ. અશ્વકોના ભીષણ યુદ્ધને યાદ કરીને તેના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. તેમની સાથે ફરીથી તેની યુદ્ધ કરવાની હિંમત ન હતી.

‘સુરક્ષિત કરવાનો પ્રશ્ન જ ક્યાં છે મહારાજ. ઉત્તર ભારતના સમગ્ર રાજા અને અધિપતિગણ તો મગધની રાજધાનીમાં પોતાપોતાની સેના લઈને ગયા છે. સીમાંતથી લઈને મગધ સુધી ભારત અનાથ જેવું છે. બસ મગધમાં જરા ચંદ્રગુપ્ત સાથે લડવું પડશે.’

‘ચંદ્રગુપ્તની સાથે?’ સેલ્યુકસે એકદમ ચોંકીને કહ્યું. બીજી ક્ષણે સેલ્યુકસે ઉંડો શ્વાસ લઈને કહ્યું ‘ચંદ્રગુપ્ત તો ઘણો બેઢબ વ્યક્તિ છે. તેના કારણે તો સમ્રાટ એલેકઝાન્ડરને ભારત છોડવુ પડયુ હતું. ’

દૂતે સેલ્યુકસની હિંમત વધારવાના હેતુથી ગરજીને કહ્યું ‘નંદ વંશને ઉખાડીને ચંદ્રગુપ્તે હજી પોતાના સામ્રાજ્યના બીજ રોપ્યા જ છે. ચાણક્ય જો કે પ્રયત્ન કરી રહ્યો છે કે આ બીજ ઝડપથી વિશાળ વટવૃક્ષના રૂપને ધારણ કરે. પરંતુ મહારાજ મગધમાં હજી પણ એવા વ્યક્તિઓ છે કે જે આ બીજને જામવા દેવાની ઈચ્છા રાખતા નથી. તમારું આક્રમણ જરૂરથી ઉત્તર શીત વાયુની સાથે આવનારી હિમવર્ષા સમાન હશે.’

‘આવા ક્યાં લોકો છે, દૂત! જે ચંદ્રગુપ્તનો વિરોધ કરી રહ્યા છે?’ સેલ્યુકસે ઉત્સુકતાથી પુછયું.

‘નંદ વંશ પ્રત્યે ભક્તિ રાખનારા લોકાની કોઈ કમી નથી મહારાજ. નંદના અમાત્ય રાક્ષસ જ છે કે જે નંદવંશના અભિશાપ ચંદ્રગુપ્તને ફૂટી આંખોથી પણ જોવા ઈચ્છતા નથી.’

‘શું મહારાજ પર્વતકે તેમની સાથે વાતચીત કરી ન હતી દૂત!’

‘જરૂર કરી હતી મહારાજ! પરંતુ રાક્ષસ એ વાતથી સંમત ન હતા કે મગધને ચંદ્રગુપ્તના પંજામાંથી છોડાવનીને મહારાજ પર્વતક મગધની ગાદી પર બેસે. તેઓ તો નંદ વંશની અંતિમ જ્યોતિ ધનાનંદના કાકા સર્વાર્થસિદ્ધિને ગાદી પર બેસાડવા ચાહતા હતા.’

સેલ્યુકસે મનમાં જ કહ્યું ‘હું પણ ક્યાં ચાહું છું કે પર્વતક મગધની ગાદી પર બેસે અને બેસવા પણ નહીં દવું. શું યૂનાનમાં શાસકોની કમી છે કે એક ભારતીય ભારતનો રાજા હોય?’ પરંતુ પ્રત્યક્ષ રીતે જણાવ્યું, ‘હવે તો અમાત્ય રાક્ષસની મદદ મળવી કઠિન છે?’

‘નહીં મહારાજ! મને ભારત છોડતા પહેલા જ જાણકારી મળી ગઈ હતી કે સર્વાર્થસિદ્ધિનો વધ કરી દેવામાં આવ્યો છે અને પછી જ્યારે રાક્ષસને ખબર પડી હશે કે તમે પણ મહારાજ પર્વતકની પીઠ પર છો, ત્યારે જરૂરથી તેને આપણા લોકોના વિજયનો વિશ્વાસ થઈ જશે અને આપણી તરફ આવવામાં જ તે પોતાનું ભલું સમજશે. તમે તમારો દૂત તો મોકલો!’

સેલ્યુકસે સ્વીકારોક્તિમાં માત્ર પોતાની ગરદન હલાવી. ભારત આક્રમણનો તેણે નિશ્ચય કર્યો. દૂતને વિશ્રામ કરવા માટે મોકલી પોતાના સેનાપતિ અને અન્ય અધિકારીઓ સાથે તુરંત મંત્રણા ચાલુ કરી. કલાકો સુધી મંત્રણા ચાલતી રહી. એલેકઝાન્ડર પર કેવું વીત્યું હતું, તે આ બધાં જાણતા હતા. ભારત પર ફરીથી આક્રમણ કરવામાં આવે, તેની હિંમત ન હતી.

‘જો આ વખતે પણ પરાજય થશે, તો પરિણામ ઘણું ભીષણ હશે નિક્ટર,’ એક અનુભવી સેનાપતિએ કહ્યું.

‘પરાજય અને નિક્ટર બંને સાથે સાથે ચાલી શકે નહીં, સેનાપતિ! નિક્ટર પરાજય જાણતો નથી. ભારતની આટલી અસ્ત-વ્યસ્ત દશામાં તથા મહારાજ પર્વતક જેવા સહાયકની પ્રાપ્તિ બાદ પણ ભારત વિજય ન થઈ શકે તો પછી ક્યારેય તેમ થઈ શકશે નહીં.’

સેલ્યુકસે પોતાના બધાં જ સેનાપતિઓને ઉત્સાહિત કર્યા. ભારતમાંથી કેટલું અપાર ધન મળશે, તેની ખૂબ સમજાવટ કરી. સેનાપતિઓના મોઢામાં પાણી આવ્યું. બસ, યુદ્ધની ઘોષણા કરી દેવામાં આવી. હવે તો સેના સુસજ્જિત થવા લાગી. શિરસ્ત્રાણ, ખડગ અને શૂલ ફરી એકવાર સૂર્ય કિરણોમાં ચમકી ઉઠયા.

સેનાએ ભારત તરફ કૂચ કરી દીધી. રાક્ષસની પાસે દૂત તો પહેલા જ મોકલી દેવામાં આવ્યો હતો. તેઓ વિચારતા હતા કે અમાત્ય રાક્ષસ અને મહારાજા પર્વતક ભારતમાં તેમનું સ્વાગત કરવા માટે તૈયાર હશે. પરંતુ અંદરને અંદર તેમનાથી વધારે પ્રબળ શક્તિ કાર્ય કરી રહી હતી.

પ્રકરણ-12
સશક્ત ભારત


સિંધુનો શાંત પ્રવાહ આજે વિક્ષુબ્ધ થઈ ઉઠયો છે. મગધની સેના તેની ડાબી બાજુ ડેરો તાણીને પડી છે. ઘોડાની હણહણાટ તથા હાથીઓના ફૂંકારાએ ફરી એકવાર તપોવનના તપસ્વીઓની શાંતિનો ભંગ કરી દીધો છે. સેનાનો એક ભાગ તો આઠ દિવસ પહેલા જ આવી ગયો હતો. બીજો આજે જ મગધથી આવ્યો છે. તેના બધાં જ કર્મચારીઓ પોતાના શિબિરમાં આયોજન માટેના કામમાં લાગેલા છે.

‘શત્રુને આ વખતે એવો કચડવાનો છે કે ફરીથી તે માથું ઉચકવાનું નામ ન લે,’ એક સૈનિકે કહ્યું કે તંબુના ખીલા પર જોરથી હથોડો મારો.

‘એલેકઝાન્ડરની આટલી દુર્ગતિ થઈ, તેમ છતાં પણ આ યવન ભારત વિજયની કલ્પના કરી રહ્યાં છે, કાકા? કેટલા ધૃષ્ટ છે.’ પાસે તંબુનો રસ્સો પકડીને ઉભેલા એક યુવકે આધેડ વયના સૈનિકને કહ્યું.

‘આમા શત્રુની ધૃષ્ટતા અથવા હિંમતનો પ્રશ્ન ક્યાં છે? હેમનાથ! આ તો આપણો જ દોષ છે. આપણી અરાષ્ટ્રીય પ્રવૃતિઓ જ તેને આપણા ઘરમાં ઘૂસવા માટે ઉશ્કેરે છે. પરંતુ હવે ભારતવર્ષ એલેકેઝાન્ડરના સમયથી વધારે સંગઠિત અને શક્તિશાળી છે. મહારાજ પર્વતક પુરુ રાજ્યની રક્ષા માટે એલેકઝાન્ડર સાથે લડયા હતા, પરંતુ આજે તો આપણે ભારતની સુરક્ષા માટે લડવા આવ્યા છીએ. કેટલું અંતર છે, ત્યારની અને આજની પરિસ્થિતિમાં.’

‘કાકા!તમે પણ લડયા હતા, યવનોથી?’ હેમનાથે પુછયું.

‘મને આ સૌભાગ્ય ક્યાં મળી શક્યું’ અરુણાભે ઠંડો શ્વાસ લેતા કહ્યું, જ્યારે મે સાંભળ્યુ કે એલેકઝાન્ડરે ભારત પર આક્રમણ કર્યું છે. તો મારી ભૂજાઓ ફડકવા લાગી હતી, રક્તમાં ઉભરો આવ્યો, પરંતુ મહારાજા નંદની કાયરતાએ અમારા ખડગને મ્યાનમાંથી નીકળા દીધું નહીં. હમારા તીર ભાથામાં જ રહી ગયા. અને તેમ પણ હેમનાથ! અમારામાંથી ઘણાં થોડા જ મગધની આગળ જોઈ શકતા હતા. હરિશીલને જ પુછો, (એક સૈનિકની તરફ ઈશારો કરતાં) તેણે તે સમયે શું જવાબ આપ્યો હતો?

જૂની વાતો યાદ દેવડાવીને શા માટે લજ્જિત કરે છે, ભાઈ? હરિશીલ બોલ્યો, આજે તો હું સમગ્ર ભારતને પોતાનું સમજુ છું. આજે બેગણા શત્રુઓનો સંહાર કરીને પોતાનું ઋણ ચુકવીશ. અમાત્ય રાક્ષસ જ જ્યારે નંદવંશ અને મગધની આગળ વિચારી શક્યો ન હતો, તો પછી આપણી તો વિસાત જ શું છે? કંઈક સંતોષ માનતા હરિશીલે કહ્યું.

અરુણાભ બોલ્યો કે આજે તો અમાત્ય રાક્ષસની રાષ્ટ્રીયતાની પ્રશંસા કરવી જ રહી. પહેલા તો તે મહારાજ ચંદ્રગુપ્તનો વિરોધ જ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે સેલ્યુકસનો દૂત તેની પાસે દેશદ્રોહનો સંદેશ લઈને આવ્યો તો આ રાષ્ટ્રીય આફતના સમયે તેમણે મહારાજનો સાથ દેવાનું યોગ્ય માન્યું. જાણકારી છે કે તેમણે સેલ્યુકસના દૂતને શું કહ્યું? તેમણે કહ્યું હતું કે દૂત જાઓ, સેલ્યુકસને કહી દેજે, પર્વતક ભારતનો અંતિમ દેશદ્રોહી હતો અને તે ત્યાં પહોંચી ચુક્યો છે, જ્યાં પ્રત્યેક દેશદ્રોહી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. આકાશ કુસુમની જેમ ભારતમાં દેશદ્રોહી શોધવાનો પ્રયત્ન ન કરીશ.

આ જ કારણ છે કે ભારત આજે આટલું સશક્ત છે. રામવીર બોલ્યો. સંપત્તિમાં દેશનો સાથ ન દેનારાને માફ કરી શકાય છે, પરંતુ આફતમાં શત્રુ સાથે મળીને દેશદ્રોહ કરનારો તો દૂર રહ્યો, દેશનો સાથ ન દઈને ચુપ બેસનારાને પણ માફી આપી શકાય નહીં. માટે તો અમાત્ય રાક્ષસે ફરીથી મંત્રીપદ ગ્રહણ કરી લીધું છે, સેલ્યુકસનું આક્રમણ તો આપણા માટે વરદાનરૂપ છે. તેનાથી આપણે લોકો કેટલા નજીક આવી ગયા છીએ.

આજે સમગ્ર ભારત એક અવાજમાં બોલે છે અને એક ઈશારા પર કામ કરે છે. આ એકતામાં કેટલી શક્તિ છે. આ સેલ્યુકસને પણ ખબર પડી જશે, કહેતા કહેતા હરિશીલ જોશમાં આવીને ઉભો થઈ ગયો. એટલામાં રણભેરી વાગવા લાગી, માનો હરિશીલે જે એકતાનું વર્ણન કર્યું હતું, તેને તે પ્રત્યક્ષ જોવા ઈચ્છતી હતી.

પ્રકરણ-13
શબ્દભેદી બાણ


સિંધુના તટ પર સૈનિકોને વધારે રાહ જોવી પડી નહીં. બે જ દિવસમાં ગુપ્તચરે સમાચાર આપ્યા કે સેલ્યુકસ પોતાની વિશાળ સેના લઈને મગધ પર આક્રમણ કરવાની તૈયારીથી થોડેક દૂર ડેરો નાખીને બેઠો છે. ચંદ્રગુપ્તે એ જ યોગ્ય માન્યું કે યુદ્ધ સિંધુના તટ પર જ કરવામાં આવે. એલેકઝાન્ડર વિસ્તતા (વ્યાસ)ના તટ પર હાર્યો હતો, તો સેલ્યુકસને તેનાથી પણ ઉત્તર સિંધુના જ તટ પર પરાજીત કરવામાં આવે.

સેલ્યુકસે બીજા દિવસે સિંધુના બીજા તટ પર ચંદ્રગુપ્તની સેના જોઈ, તો તેની સમસ્ત આશાઓ પર પાણી ફરી વળ્યુ અને તેના મનમાં ફૂટેલા લાડુ ચકનાચૂર થઈ ગયા. વિચારી રહ્યો હતો કે તે પાટલિપુત્ર સુધી બેરોકટોક ચાલ્યો જશે, પરંતુ અહીં તો માથુ મુંડાવતા જ કરાં પડયા. ભારતની અંદર ઝાંખતા જ તમાચો પડવાની આશંકા થઈ ગઈ. તેમ છતાં તેણે ધીરજ છોડી નહીં. તેની સેનામાં અંદરોઅંદર ચર્ચા થવા લાગી. સૈનિકો કહેવા લાગ્યા કે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેમણે જણાવાયું હતું કે મગધ સુધી બેરોકટોક લૂંટફાટ મચાવતા જશે અને ત્યાં ખુદ હજી અસ્થિર ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ કરવુ પડશે. પરંતુ અહીં તો લૂંટ દૂર રહી, પણ પહેલા જ પગથિયે યુદ્ધ સાથે પનારો પડયો.

સેલ્યુકસે સૈનિકોને જણાવ્યું કે આપણા માટે આજે ઘણો સૌભાગ્યનો વિષય છે. મહારાજ એલેકઝાન્ડર જ્યારે ભારતમાં આવ્યા હતા, ત્યારે તેમને અનેક યુદ્ધો કરવા પડયા હતા. પ્રત્યેક રાજાથી, દરેક ગણના અધિપતિ સાથે તેમને યુદ્ધ કરવુ પડયુ હતુ. એક-એક ઈંચ જમીન માટે ખૂબ જ લોહી રેડવું પડયું હતું. પરંતુ આજે તો આપણી પાસે માત્ર એક જ યુદ્ધ છે. સામે પડેલી નાનકડી સેનાને જ્યાં આપણે ધરાશાયી કરીશુ કે બીજી જ ક્ષણે સમગ્ર ભારત આપણા ચરણો પર આળોટતું દેખાશે. ત્યાર પછી યુગો-યુગો સુધી તેની અપાર ધન રાશિથી આપણે આપણા ખજાના ભરીશું. બસ એક વખત દ્રઢતાથી આક્રમણ કરવાની જરૂર છે. સિંધુની પેલે પાર આપણો શિકાર પડયો છે. ત્યારે સૈનિકો દેવાધિદેવ જ્યૂસને સમ્માનાર્થ ગોબલિનું આયોજન થશે.

યવનપતિની જય! નિક્ટરની જય!થી સિંધુનું પશ્ચિમી આકાશ ગુંજી ઉઠયુ. પૂર્વ તટ પર આ ગુંજનો એક ક્ષીણ અવાજ સંભળાયો. વર્ષાકાળની પૂર્વીય હવાઓ પણ તો ભારતના આ શત્રુઓને પશ્ચિમ તરફ ખદેડી રહી હતી. આ જયઘોષને તે તટ પર કેવી રીતે આવવા દે, પ્રકૃતિ પણ વીરોની મદદ કરી રહી હતી.

સેલ્યુકસે તે પ્રકારે ચાલાકીમાં રાત્રિના અંધકારમાં સિંધુ નદી પાર કરવાનો પ્રયત્ન કર્યો, જેવી રીતે એલેકઝાન્ડરે વિતસ્તાને પાર કરી હતી. પરંતુ ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠ ન લેનારા મૂર્ખ લોકો ભારતમાં રહેતા ન હતા. ચંદ્રગુપ્ત માત્ર વીર અને શૂર જ ન હતો. તે એક કુશળ સેનાપતિ પણ હતો, જે યુદ્ધ વિદ્યામાં નિપુણતાને કારણે રણના સમસ્ત દાવ-પેચ પણ જાણતો હતો. તેણે પોતાની સેનાનો એક વિભાગ નદીની ઉપર અને બીજો નીચે નદી પાર કરીને સેલ્યુકસની સેનાના પાશ્વ પર આક્રમણ કરવા માટે મોકલી દીધો હતો. કેટલાંક ચુનિંદા ધનુર્ધારીઓને નદીની ઉત્તરમાં ઝાડીઓની પાછળ તેનાત કરી દીધા. અહીં નદીની વચ્ચે એક ટાપુ હતો. આ સ્થાન પર સેલ્યુકસે નદી પાર કરવાની યોજના બનાવી હતી.

અંધકારમાં હાથને હાથ દેખાતો ન હતો. સેલ્યુકસની સેનાની એક ટુકડી ગુપ્તપણે તે સ્થાન તરફ આગળ વધી રહી હતી. કિનારા પર હોડીઓ તૈયાર હતી. સૈનિકો એક-એક કરીને હોડીઓમાં બેઠા. હલેસાની છપ-છપથી રાત્રિની શાંતિ ભંગ થવા લાગી. એક-એક કરીને નાવડીઓ ટાપુના કિનારા પર આવવા લાગી. સૈનિકો હો઼ડીઓમાંથી ઉતર્યા. તેમની એક મંજિલ પૂરી થઈ ગઈ. તેમની સફળતા પર વિશ્વાસ થઈ ગયો. હિંદુ ઘણાં ભોળા હોય છે, તેઓ માત્ર આમને-સામને જ લડવાનું જાણે છે, આ વાત એક સૈનિકે મનમાં જ વાગોળી. ટાપુથી ફરીથી ડાબા કિનારા તરફ નાવડીઓ ચાલવા લાગી જેવું માંઝીએ હલેસા ચલાવવાની શરૂઆત કરી કે સનનન્ કરતું એક તીર આવ્યું અને નાવિકની છાતીને વેધીને પાર નીકળી ગયું. નાવિક પાણીમાં પડી ગયો. નદીમાં અવાજ આવ્યો. સૈનિકો કંઈપણ સમજે તે પહેલા સનનન્ કરતાં સહસ્ત્રો તીરોથી તેઓ વિંધાઈને એકએક રીને પડવા લાગ્યા. યવનસેનામાં બાણવર્ષાથી હાહાકાર મચી ગયો. અંધકારને કારણે તેઓ એ પણ જાણી શક્યા નહીં કે આ બાણવર્ષા ક્યાંથી અને કોણ કરી રહ્યું છે. એક સૈનિકે પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવ્યું. પાસે જ સૈનિક બોલી ઉઠયો, તે તરફ નિશાન લગાવ. બસ બીજી જ ક્ષણે બંને સૈનિકો ચીસ પાડીને જમીન પર પડયા. ચંદ્રગુપ્તના સૈનિકો શબ્દભેદી બાણ ચલાવી રહ્યા હતા. અંધકારમાં પણ તેઓ પોતાનું લક્ષ્યવેધ કરવાની યોગ્યતા રાખતા હતા. સિંધુનું જળ લાલ થઈ ગયું.

યવનસેનાને પાછા ફરવાની આજ્ઞા થઈ છાતીની જગ્યાએ પીઠ પર વાર સહન કરવાનો નિશ્ચય થયો. કિનારે પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો ચંદ્રગુપ્તની સેના નદી પાર કરી ચુકી હતી. સેલ્યુકસ ગભરાઈ ગયો. તેણે પોતાની બચેલી સેનાને બોલાવવા માટે દૂત મોકલ્યો પરંતુ તે પણ નદીની નીચેની તરફથી તટ પાર કરી ચુકેલી ચંદ્રગુપ્તની સેનાની ટુકડીના આક્રમણોથી વ્યસ્ત હતી. યવન સૈનિકો પર ચારેય તરફથી માર પડવા લાગ્યો. તેમના ખેમામાં હાહાકાર મચી ગયો.

સૂર્યોદય વખતે પૂર્વ અને પશ્ચિમ બંને તરફ રક્ત આભા દ્રષ્ટિગોચર થવા લાગી. પશ્ચિમમાં યવનોના રક્તથી ભૂમિ લાલ થઈ હતી, તો પૂર્વમાં ક્ષિતિજના મુખ પર ભારતના સપૂતોની વીરતાને કારણે પ્રસન્નતાની લાલી વ્યાપી ગઈ હતી. દિવસ નીકળતા સુધીમાં તો અડધાથી વધારે યવનો સમાપ્ત થઈ ગયા હતા. દિવસ ભર યુદ્ધ ચાલ્યુ, પરંતુ યવનોના પગ યુદ્ધભૂમિમાંથી ઉખડી ચુક્યા હતા. સેલ્યુકસના પ્રયત્નોને તેઓ રોકી શક્યા ન હતા. અંતે સેલ્યુકસે સંધિની વિનંતી કરવામાં જ પોતાની કુશળતા હોવાનું માન્યું.

બંને તરફથી યુદ્ધ રોકી દેવામાં આવ્યું. સંધિની શરતો નક્કી થવા લાગી. હકીકતમાં શરતો નક્કી કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. ચંદ્રગુપ્ત વિજયી હતો. તે જે પણ કંઈ કહેતો, તે સેલ્યુકસે માનવું પડત. પરંતુ ભારતે પોતાની સફળતા અને શક્તિનો ક્યારેય આવો નગ્ન પરિચય આપ્યો નથી. સાથે પર્વતકની જેમ આ વખતે સંધિ કરીને ચંદ્રગુપ્તને મૂર્ખ બનાવી શકાય તેમ ન હતો. ખુદ આર્ય ચાણક્યે સંધિની શરતો નક્કી કરી હતી. તેના પ્રમાણે સેલ્યુકસે પહેલા તો ફરીથી ક્યારેય ભારત પર આક્રમણ ન કરવાની પ્રતિજ્ઞા કરી. પોતાના રાજ્યના ચાર પ્રાંતો ચંદ્રગુપ્તને આપ્યા અને પોતાની પુત્રી હેલનના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરી દીધા. તેનો એક દૂત મેગેસ્થનીજ પણ ઘણા સમય સુધી ચંદ્રગુપ્તના દરબારમાં રહ્યો. આ પ્રકારે ચંદ્રગુપ્તનું રાજ્ય આખા મધ્ય એશિયામાં ફેલાઈ ગયું. સંગઠિત અને શક્તિશાળી ભારત શું કરી શકે છે, તે આ યુદ્ધે દેખાડી દીધુ.


પ્રકરણ-14
ભારત યૂનાનનું જમાઈ બન્યું


સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ઈતિહાસ નિર્માતાઓમાંથી એક છે, જેમને હંમેશા સફળતા મળી. તેનું શ્રેય એક તરફ જ્યાં તેમના તીવ્ર લગન અને અનવરત પરાક્રમને છે. ત્યાં તેમની આ વિલક્ષણ બુદ્ધિને પણ છે કે જેના કારણે તેમણે પોતાના હાથમાંથી કોઈપણ અવસર જવા દીધો નહીં. શિકારીની જેમ તે યોગ્ય અવસરની તાકમાં રહ્યાં અને અવસર મળતા પોતાની સંપૂર્ણ શક્તિથી સર્વસ્વને બાજી પર લગાવવામાં જરાક પણ ખચકાટ દાખવ્યો નહીં. કૂટનીતિના સમસ્ત દાવપેચ પોતાના ગુરુ અને સહાયક આર્ય ચાણક્ય પાસેથી વ્યવહારીક રીતે તેમને શીખવા મળ્યા હતા.

તેઓ અત્યંત વીર અને સાહસી હતા. તેમણે હંમેશા સેનાની આગળ રહીને યુદ્ધ કર્યુ. આફતોમાં સ્વયં સૌથી પહેલા કૂદયા અને પછી પોતાના સહાયક દેશભક્તોને આહવાન કર્યું. પોતાન સાહસ અને વીરતાને કારણે જ તેઓ પ્રથમ તો એલેકઝાન્ડર વિરુદ્ધ વિદ્રોહ કરીને અને પછી સેલ્યુકસ પર વિજય મેળવીને પંજાબ, સીમાંત અને દક્ષિણ ભારતની સમસ્ત વીર જાતિઓ તરફથી સમ્માન અને શ્રદ્ધા મેળવી શક્યા. તેમને નિર્ભીક અને સ્વતંત્ર પ્રૃકૃતિની ખબર એ ઘટનાથી જ લાગી જાય છે કે જેમાં તેઓ એલેકઝાન્ડરને મળ્યા અને તેમને ખૂબ ખરીખોટી સંભળાવી હતી. આટલા નિર્ભીક અને સ્પષ્ટવક્તા હોવા છતાં પણ તેઓ હંમેશા લોકપ્રિય રહ્યાં. આ લોકપ્રિયતાને કારણે મગધના સિંહાસન પર બેસતા પહેલા જ તેઓ જનતાના હ્રદયના સમ્રાટ બની ચુક્યા હતા. પોતાના આ જ ગુણોને કારણે લોકશાહી શાસનને કારણે સ્વતંત્ર મનોવૃતિના માલવ, ક્ષુત્રક જેવાં ગણરાજ્યોના નાગરીકો પર તેઓ આધિપત્ય જમાવી શક્યા હતા. તેમની લોકપ્રિયતા તથા ભારતના અબાલ-વૃદ્ધ સૌના હ્રદયમાં આદરનું સ્થાન પ્રાપ્ત કરવાનું કારણ તેમની નિસ્વાર્થ દેશભક્તિ હતી. જો તેમણે માત્ર પોતાના માટે જ બધાં પ્રયત્નો કર્યા હોત, તો કદાચ દેશ તેમને આટલો સાથ ન આપત.

સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાના કાળના એક મહાન વિજેતા પણ હતા, પરંતુ પોતાના વિજયના મદમાં છકી જઈને શત્રુઓ પ્રત્ય ક્યારેય ક્રૂરતાનો વર્તાવ કર્યો નહીં. હિંદુ સંસ્કૃતિની અમૂલ્ય નિધિ સહિષ્ણુતાને તેમણે ક્યારેય છોડી ન હતી. પરંતુ સહિષ્ણુતા, દયા અને મૈત્રીના મોટા-મોટા શબ્દોની માયાજાળમાં ફસાવનારા શત્રુઓની કોઈ કારી તેમની સામે ફાવી શકી નહીં. વિજય બાદ ન તો એલેકઝાન્ડરની જેમ તેમણે હારેલા રાજાનો નિર્દયતાપૂર્વક વધ કરાવ્યો અને ન તો પર્વતકની જેમ વિજયી થવા છતાં હારનારના ચંગુલમાં ફસાયા. સેલ્યુકસને હરાવીને તેની સાથે તેમણે સમ્માનપૂર્વક મિત્રતા કરી, પરંતુ પોતાના દેશ હિત અને ગૌરવને પણ આંચ આવવા દીધી નહીં.

તેઓ એક મહાન વિજેતા જ નહીં, એક સુયોગ્ય શાસક પણ હતા. સામ્રાજ્યને દ્રઢ અને શક્તિશાળી બનાવવા માટે તેમણે ઘણાં કાર્યો કર્યા. પોતાની પ્રજા અને દેશવાસીઓના હિતમાં તેમણે કોઈ કસર છોડી નહીં. દેશની આર્થિક, રાજકીય, ધાર્મિક, સામાજીક, બૌદ્ધિક સર્વાંગીણ ઉન્નતિ માટે તમામ પ્રકારના કાર્યોનો ભાર મૌર્ય શાસકે પોતાના પર રાખ્યો હતો. સામ્રાજ્યની એટલી સુંદર વ્યવસ્થા હતી કે પાટલિપુત્રથી સંચાલિત સમ્રાટની પ્રત્યેક આજ્ઞાનું પાલન આજના ભારતીય સામ્રાજ્યથી બેગણા વિસ્તૃત સામ્રાજ્યમાં ખૂણેખૂણે કોઈપણ અપવાદ વગર કરવામાં આવતું હતું.

સમ્રાટ ચંદ્રગુપ્ત ખુદ અત્યાધિક પરિશ્રમી હતા. જે પરિશ્રમથી તેમણે સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. તે પ્રકારે પરિશ્રમ અને દક્ષતાપૂર્વક શાસનના કર્તવ્યનું તેમણે પાલન કર્યું હતું. શાસનના પ્રત્યેક વિભાગની તેમને જાણકારી હતી અને વખતોવખત તેની તપાસ પણ કરતા રહેતા હતા. ન્યાયાલયમાં ખુદ જઈને બેસતા હતા અને જનસાધારણની પણ તેમના સુધી પહોંચ હતી. નિશ્ચિતપણે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વર્ણિત આદર્શ સમ્રાટનું ચિત્ર તેમના આધારે જ બન્યું છે. આદર્શ સમ્રાટ મહાકુલીન, દૈવબુદ્ધિ, દીર્ઘદર્શી, ધાર્મિક, વીર, ઉત્સાહી, દ્રઢનિશ્ચયી અને સ્વાર્થ-ત્યાગી હોવો જોઈએ. તેનું વ્રત કર્તવ્ય માટે હંમેશા તૈયાર રહેવાનું છે. તેનો યજ્ઞ શાસન સંબંધિત કામ યોગ્ય રીતે કરવાનો છે, તમામ પ્રજાને સમદ્રષ્ટિથી જોવું તેનું પુણ્ય છે. પ્રજાના સુખમાં તેનું સુખ અને પ્રજાના હિતમાં તેનું હિત છે. તેને પોતાનું નહીં પણ પ્રજાનું હિત જ પ્રિય હોવું જોઈએ. રાષ્ટ્રની સ્વતંત્રતા અને શક્તિના કેન્દ્ર સમ્રાટ ચંદ્રગુપ્ત નિશ્ચિતપણે આ આદર્શના અનુયાયી હતા.

સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને વિજયી, તેમના સામ્રાજ્ય નિર્માણ, તેમની સફળ શાસન પ્રણાલી તથા પ્રજા હિતના કાર્યની દ્રષ્ટિથી તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંસારના સફળ વિજેતાઓ, રાષ્ટ્ર નિર્માતાઓ અને શાસકોમાં એક ઉચ્ચ સ્થાન મેળવે છે. માટે તેમને મુદ્રારાક્ષસમાં વિષ્ણુના અવતાર પણ કહેવામાં આવ્યા છે. જે દ્રષ્ટિકોણથી આપણે આપણા અન્ય મહાપુરુષો અને રાષ્ટ્ર નિર્માતાઓને વિષ્ણુના અવતાર માન્યા છે, તે દ્રષ્ટિએ જોવામાં આવે તો મુદ્રારાક્ષસનું કથન કોઈપણ પ્રકારે અતિશયોક્તિપૂર્ણ કહી શકાય નહીં.

ઉપસંહાર

આંખોમાં એક સ્વપ્ન અને હ્રદયમાં મહત્વાકાંક્ષાને પ્રદીપ્ત કરનારી દેશભક્તિની ચિનગારીને લઈને બે હિંદુ યુવકોએ શું કરી દેખાડયું, તે આપણે આગળના પૃષ્ઠોમાં જોયું. બંનેના મનમાં પોતાની માતૃભૂમિની આત્માને જગાડીને હિમાલયથી સમુદ્ર પર્યન્ત સહસ્ત્રયોજનવ્યાપી એક ચતુરન્ત રાજ્ય પ્રસ્થાપિત કરવાની ધુન સમાઈ હતી. બંને પોતાની ધુનના પાક્કા હતા. માતૃભૂમિની સેવામાં જ્યાં એકે પોતાની બુદ્ધિ લગાડી હતી, ત્યારે બીજાએ પોતાની ભૂજાઓને. દબાવીને કચડી નાખનારી આફતોનો ભાર એક તરફ ફેંકીને જ્યારે જ્યારે ભારતવર્ષે પોતાનું મસ્તક ગૌરવથી ઉંચુ ઉઠાવ્યું છે, ત્યારે ત્યારે રાષ્ટ્રની મૂળભૂત ક્ષાત્ર અને બ્રાહ્મ શક્તિઓનો ઉદય થયો છે. ત્યારે તેમના પ્રતિનિધિઓ તરીકે વાલ્મિકી અને રામચંદ્ર, વ્યાસ અને શ્રીકૃષ્ણ, યાજ્ઞવલ્ક્ય અને જનક, રામદાસ અને શિવાજી જેવા બે-બે મહાપુરુષોનો આવિર્ભાવ થયો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્તની પણ આવી જ જોડી હતી. આ બંનેની મહાનતા અલગ-અલગ આંકી શકાય નહીં.

આપણી દ્રષ્ટિ બહિર્મુખી હોવાને કારણે વિદેશીઓ અને વિધર્મીઓના અત્યાચારોના ફળસ્વરૂપ હુતાત્મા થનારા દેશભક્તોના વિદ્યુત પ્રકાશને જ આપણે જોઈ શકીએ છીએ. આ બંનેના જીવનની પ્રત્યેક ક્ષણ દેશ માટે જ વ્યતીત થઈ. દેશ માટે કેવી રીતે જીવી શકાય તેની શિક્ષા આ પ્રત્યેક કાર્ય અને અર્થશાસ્ત્રનો પ્રત્યેક શબ્દ આપી રહ્યો છે. દેશભક્તોની લાંબી પરંપરામાં દેશની બલિવેદી પર પ્રાણોને અર્પણ કરનારા દેશભક્તોના વિદ્યુત પ્રકાશથી જ્યાં બે ચાર પગ આગળ વધારીને ઘનઘોર અંધકારમાં આંખોની સ્વાભાવિક શક્તિને પણ ખોઈને પણ આપણે નિરાશ બની જઈએ છીએ. ત્યારે આ નંદાદીપના પ્રકાશમાં અધ્યવસાય, નીતિ અને સાતત્યના પાઠ લઈને સહજ પોતાના માર્ગ પર જઈ શકાય છે. પાટલિપુત્રનો ગયેલો વૈભવ અને તક્ષશિલાના ખંડેર જ્યાં એક તરફ પોતાના ભૂતકાળના વૈભવની યાદ અપાવે છે, ત્યાં આ કર્મયોગી અને અક્ષુણ્ણ નિષ્ઠાનો પણ સંદેશ આપે છે, જેમણે તેમને આ વૈભવ પ્રદાન કર્યું.

આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને મંત્રી ચાણક્યની પાછળ દેશભક્ત ચંદ્રગુપ્ત અને દેશભક્ત ચાણક્યને જોયા. સમ્રાટ્ય અને મંત્રીત્વ તો તેમની પરિસ્થિતિ વિશેષની સ્થિતિ હતી. તેમનું સાધારણ સ્વરૂપ, તેમની યથાર્થતા તો તેમના એક ભારતવાસી, એક આર્ય, એક હિંદુ હોવાના નાતે જાણી શકાય છે. તેમને સમ્રાટ અને મંત્રી બનવાની લાલસા ન હતી. તેમની કામના હતી કે યવનોના ચુંગલમાંથી ભારતની સ્વતંત્રતાની રક્ષા તથા તે હંમેશા સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે તેના માટે તેને શક્તિ સંપન્ન બનાવે. તેથી જ તો આર્ય ચાણક્યે ઘોષણા કરી છે કે ન ત્વેવાર્યસ્ય દાસ્યભાવ: (આર્યને ક્યારેય પણ ગુલામ બનાવી શકાય નહીં.)

આપણે નિત્ય પ્રતિ મહાન રાષ્ટ્ર નિર્માતાઓનું સ્મરણ કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ એ અગણિત હિંદુ વીરોનું કે જેઓ આ બંનેની હ્રદય જ્યોતિથી પ્રજ્વલિત થઈને આ પ્રકાશ પુંજને પ્રગટ કરી શક્યા કે જેમા ભારતના દુખ, ગરીબી અને દાસ્યતા ભસ્મીભૂત થઈ ગયા. આપણે તે મહાન સંસ્કૃતિ અને સમાજનું પણ તે આદર સાથે સ્મરણ કરીએ છીએ અને જેમણે આવી વિભૂતિઓને ઉત્પન્ન કરી. એ ભારતભૂમિને પ્રણામ છે જેમણે આ મહાન સ્ફૂર્તિ કેન્દ્રને જન્મ આપ્યો.