-
આનંદ શુક્લ
ઋષિતુલ્ય સરળ અને સાદું જીવન, સ્પષ્ટ
વક્તા, હિંદુ પરંપરાઓમાં અગાધ શ્રદ્ધારૂપી જીવન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
પાંચમા સરસંઘચાલક શ્રદ્ધેય કુપહલ્લી સીતારામૈયા સુદર્શન (કે. એસ. સુદર્શન). સુદર્શનજીનો
જન્મ 18 જૂન, 1931ના રોજ તત્કાલિન મધ્ય પ્રદેશ (હાલ છત્તીસગઢ)ના રાયપુર જિલ્લામાં
એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. સુદર્શનજી મૂળ તમિલનાડુ અને
કર્ણાટકની સીમા પર વસેલા કુપ્પહલ્લી (મૈસૂર) ગામના નિવાસી હતા. કન્નડ પરંપરામાં
સૌથી પહેલા ગામ, પછી પિતાનું નામ અને છેલ્લે વ્યક્તિનું નામ બોલાય છે. તેમના પિતા
સીતારામૈયા વનવિભાગમાં નોકરીના કારણે મોટાભાગનો સમય મધ્ય પ્રદેશમાં જ રહ્યા. ત્રણ
ભાઈઓ અને એક બહેન વાળા પરિવારમાં સુદર્શનજી સૌથી મોટા હતા. રાયપુર, દમોહ, મંડલા
અને ચંદ્રપુરમાં પ્રારંભિક શિક્ષણ મેળવીને તેમણે જબલપુર સાગર યુનિવર્સિટીમાંથી
1954માં ટેલિકોમ્યુનિકેશન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. પરંતુ હિંદુત્વના
વિચારવાળા પ્રખર રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
પ્રચારક તરીકે 1954થી કામ કરવાનું નક્કી કર્યું. આમ તો સુદર્શન 9 વર્ષની વયથી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. 1964માં તેમને મધ્ય ભારત પ્રાંતના
પ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા. સુદર્શનજી એવા પહેલા સરસંઘચાલક છે કે જેઓ અખિલ
ભારતીય સ્તરે આરએસએસના શારીરિક પ્રમુખ અને બૌદ્ધિક પ્રમુખ બંને રહ્યા હોય.
તેમને 1969માં સંઘના અખિલ ભારતીય શારીરિક
પ્રમુખ બનાવાયા હતા. 19 માસ સુધી કટોકટી વખતે મિસા હેઠળ જેલવાસ ભોગવીને તેઓ
1977માં પૂર્વાંચલ ક્ષેત્રના પ્રચારક બન્યા. 1979માં અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ
અને 1990માં તેઓ સહ સરકાર્યવાહ બન્યા. તેમને પ્રો. રાજેન્દ્રસિંહ બાદ 10મી માર્ચ,
2000ના રોજ આરએસએસના સર્વોચ્ચ પદ સરસંઘચાલક તરીકેની જવાબદારી આપવામાં આવી. મણે 21
માર્ચ, 2009ના રોજ આ પદ પરથી સ્વયં નિવૃત થઈને મોહન ભાગવતને સરસંઘચાલક પદનું
દાયિત્વ સોંપ્યું. તેઓ ત્યારથી ભોપાલમાં રહીને દેશનો પ્રવાસ કરતા રહ્યા અને
સામાજિક કાર્યોમાં માર્ગદર્શન આપતા રહ્યા.
ખાલિસ્તાન આંદોલનના દિવસોમાં રાષ્ટ્રીય
શીખ સંગત નામના સંગઠનનો પાયો નાખ્યો, આજે તે વિશ્વભરમાં શીખોનો એક સશક્ત મંચ બની
ચુક્યું છે. આરએસએસના સરસંઘચાલક તરીકે તેઓ હંમેશા તુષ્ટિકરણની વિરુદ્ધ રહ્યા,
પરંતુ તેઓ મુસ્લિમોના ભારતીયકરણના પક્ષધર હતા. તેમની પ્રેરણાથી રાષ્ટ્રીય મુસ્લિમ
મંચની રચના થઈ. પ્રખ્યાત કોલમિસ્ટ મુજફ્ફર હુસૈન હોય કે વડીલ નેતા આરિફ બેગ,
સુદર્શનજી સાથે ઈસ્લામ વિષયમાં કલાકો સુધી ચર્ચા કરતા હતા. તેઓ મુસ્લિમોને ઉદાર,
શિક્ષિત, સહિષ્ણુ અને રાષ્ટ્રવાદી બનાવવા માટે ફીકરમંદ હતા.
આ વર્ષે ઈદના પ્રસંગે કે. એસ. સુદર્શને
મસ્જિદ જઈને નમાજ પઢવાની જિદ પણ પકડી હતી. ભોપાલમાં તે દિવસે સવારે તેમણે અરેરા
કોલોની ખાતે સંઘ કાર્યાલયથી પોતાના સુરક્ષાકર્મીઓના દળને તાજુલ મસ્જિદ જવા માટે
કહ્યુ. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેમને અધવચ્ચે રોકવાની કોશિશ કરી, પરંતુ તેઓ માનવા
માટે તૈયાર ન હતા.
સુદર્શનજીને ડિમેન્શિયા નામની ભૂલવાની
બીમારી હતી. એકવાર તેઓ મૈસૂરમાં પોતાના ભાઈના ઘરેથી સવારે ટહેલવા નીકળ્યા હતા અને
ગુમ થઈ ગયા હતા. જો કે પાંચ કલાક બાદ પોલીસે તેમને શોધી કાઢયા હતા. કહેવામાં આવે
છે કે સ્મૃતિલોપની બીમારીને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા.
સુદર્શનજી સ્પષ્ટવક્તા હોવાને કારણે તેમના
નિવેદનોને કારણે હંમેશા ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે. છતાં તેમણે પોતાની
સ્પષ્ટતાઓ ક્યારેય છોડી નથી. તેમની સામે વિવાદોને પરિણામે ઉગ્ર દેખાવો પણ થયા,
છતાં તેઓ પોતાના નિવેદનોમાંથી ડગ્યા ન હતા.
2010માં ભોપાલમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા
ગાંધી પર કરવામાં આવેલી ટીપ્પણીથી આખા દેશમાં બબાલ મચી હતી. તેમણે સોનિયા ગાંધી પર
ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. એટલું
જ નહીં, તેમણે સોનિયા ગાંધીને સીઆઈએ એજન્ટ અને અવૈદ્ય સંતાન પણ કહી દીધા હતા.
તેમણે દાવો કર્યો હતો કે સોનિયાનું અસલી નામ સોનિયા માઈનો છે. આ નિવેદનને લઈને
કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેશવ્યાપી દેખાવો કર્યા હતા.
સુદર્શનના કાર્યકાળમાં ભાજપ અને સંઘના
સંબંધોમાં નરમી-ગરમી આવતી રહી. સુદર્શન રાજકારણમાં યુવાનોની પ્રભાવી ભૂમિકાના
તરફદાર હતા. તેમણે એક વખત એનડીએના કાર્યકાળ દરમિયાન સૂચન કર્યું હતુ કે વાજપેયી
અને અડવાણીએ હવે ઓછી ઉંમરવાળા લોકોને પાર્ટીની કમાન સોંપી દેવી જોઈએ. જો કે
સુદર્શનને તેમનાથી ઘણી ઓછી ઉંમરવાળા મોહન ભાગવતને સરસંઘચાલક પદ સોંપીને તેને
આચરણમાં મૂક્યું હતું.
અયોધ્યામાં વિવાદીત ઢાંચા સંદર્ભે તેમણે નિવેદન
આપ્યુ હતુ કે તેને બોમ્બથી ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2005માં હિંદુઓની
વસ્તીને લઈને તેમણે કહ્યુ કે હિંદુઓએ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ જેથી
હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજની સુરક્ષા થઈ શકે.
2009માં તેમણે પાકિસ્તાનના સર્જક મહંમદઅલી જિન્ના
પર ટીપ્પણી કરી હતી કે જિન્નાના ઘણાં ચહેરા હતા. જો તમે ઈતિહાસને યોગ્ય રીતે વાંચો
તો તે ટીળકની જેમ સંયુક્ત ભારત માટે પ્રતિબદ્ધ હતા.
તેમણે પંડિત નેહરુ પર ટીપ્પણી કરી હતી કે પંડિત
નેહરુ અને લોર્ડ માઉન્ટબેટન કાશ્મીર સમસ્યા માટે જવાબદાર હતા. પંડિત નેહરુ એડવિના
માઉન્ટબેટનના પ્રભાવમાં કામ કરતા હતા. ઈન્દિરા ગાંધી તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર
શાસ્ત્રીના મોત માટે જવાબદાર હતા.
સુદર્શનજી પોતાના સમગ્ર જીવન દરમિયાન નિર્દોષ, સરળ
અને સહજ પરંતુ સ્પષ્ટ અને બેબાક વિચારોને કારણે ઘણાં વિવાદો પણ થયા. તેઓ રાજનીતિની
કુટિલતા અને પ્રપંચને ખૂબ સારી રીતે સમજતા હતા, પરંતુ તેમના વ્યક્તિત્વની સરળતાને
કારણે તેઓ કુટિલતા અને પ્રપંચો સામે હંમેશા હારતા રહ્યા. તેના કારણે વિવાદીત પણ
થયા. કદાચ તેના કારણે જ પાછળના દિવસોમાં તેઓ પોતાનો વધારે સમય ગ્રામ વિકાસ,
હિંદીના વિકાસ અને વિસ્તાર, તકનીકોના સ્થાનીકરણ અને લોકોપયોગી રચનાત્મક કામોમાં
લાગેલા રહ્યા હતા. કોઈ તેમને મળવા આવે તો પહેલા તેઓ પરંપરાગત તકનીક અને દેશભરમાં
થઈ રહેલા સેંકડો પ્રયોગો સંદર્ભે કલાકો સુધી મુલાકાતીને જણાવતા હતા. પછી પોતાની
પાસે સંગ્રહિત મોડલો દેખાડતા હતા. ગ્રામ વિકાસ, કૃષિ ગોપાલન અને ઊર્જા વગેરેને
દેશજ અને પરંપરાગત અનુભવો અને જાણકારીઓ સંદર્ભે વાત કરીને કોઈપણ તેમને પોતાના
પ્રશંસક બનાવી શકતુ હતુ.
સુદર્શનજીએ હંમેશા પોતાની નહીં, પણ પોતાનાઓની પરવાહ
કરી છે. દેહ અને શરીર કમજોર થતું ગયું, પરંતુ તે દેશ-સમાજની સમસ્યાઓથી ઝઝુમતા
રહ્યા. તેમના નજીકના લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેઓ જ્યોતિષના પણ જાણકાર
હતા. જ્યોતિષના ઘણાં વિદ્વાનો સાથે લાંબી ચર્ચાઓ પણ કરતા હતા. કદાચ તેઓ આ જીવનના
અંત અને આગામી જીવનના પ્રારબ્ધ વિશે પણ પરિચિત હશે. એ પણ સંજોગ છે કે 15
સપ્ટેમ્બર, 2012ના રોજ તેઓ પોતાના જન્મસ્થાન રાયપુર ખાતે યોગમુદ્રામાં દેહોત્સર્ગ કરી
શક્યા. તેમણે એક હિંદુ તરીકે જન્મ લીધો. એક સ્વયંસેવક તરીકે દેશ-સમાજ અને માનવતાની
સેવા કરી. પુનર્જન્મમાં હિંદુઓનો અકાટય્ વિશ્વાસ છે. પોતાના ધર્મ પ્રતિ નિષ્ઠા,
હિંદુત્વ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને માનવતાની સેવાનું વ્રત તથા સંઘની પ્રતિજ્ઞા
તેમને વારંવાર આપણી વચ્ચે જરૂરથી લાવશે.