Tuesday, February 21, 2017

જવાનોના ભોગે કાશ્મીરના પથ્થરબાજો પ્રત્યે હમદર્દી કેમ ?

માનવાધિકારના દંભમાં રાષ્ટ્રીય સુરક્ષા નેવે મૂકી શકાય નહીં

-     પ્રસન્ન શાસ્ત્રી


કાશ્મીરના બાંદીપોરાના પારી મોહલ્લા ખાતે એન્કાઉન્ટર વખતે જ પથ્થરબાજો દ્વારા સેનાના જવાનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજોના ભારે પથ્થરમારાને કારણે ત્રણ જવાનોને શહીદ થવાનો વારો આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટના કંઈ નવી નથી અને કદાચ છેલ્લી પણ નથી. પરંતુ આમા પથ્થરબાજોનો ઈરાદો બેહદ ખતરનાક હતો. એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડનારી બચાવ ટીમને રોકી રાખવા માટે ભારે પથ્થરમારો થયો હતો. આ જવાનો એટલા માટે શહીદ થયા.. કારણ કે પથ્થરબાજોના પાપે તેમને સમયસર સારવાર મળી શકી નહીં. ભાગલાવાદીઓના પિઠ્ઠુઓ એવા પથ્થરબાજો દ્વારા સેના અને સુરક્ષાદળોની બેહદ મોટી ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેના પરિણામે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને આકરી ચેતવણી આપવી 
પડી છે.

15 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પથ્થરબાજોને ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી હતી. કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનો દરમિયાન સુરક્ષાદળો પર પથ્થરો ફેંકનારાઓને આતંકવાદી ગણીને તેમની વિરુદ્ધ આતંકીઓ સામે કરાતી કાર્યવાહી કરવામાં આવશે. જનરલ રાવતની ચેતવણીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય,જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી તરફથી સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજિજૂ દ્વારા ભારતીય સેનાધ્યક્ષની ટીપ્પણીને ટેકો આપતા કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે અને પથ્થરબાજો સામે કાર્યવાહી થવી જોઈએ. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી તરફથી પણ કહેવામાં આવ્યુ છે કે જો પથ્થરબાજો એન્કાઉન્ટરના સ્થળોથી દૂર જવાનું નકારશે તો તેમને પણ ખતમ કરવામાં આવશે. ભારતીય સેનાધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી એકસૂરમાં બોલી રહ્યા છે.. તેનો અર્થ એ છે કે ભાગલાવાદી તત્વો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ અને પથ્થરબાજોના કરતૂતો હદ વળોટી ચુક્યા છે.

બીજી તરફ જનરલ બિપિન રાવતની ચેતવણી ભારતની કથિત મુખ્યપ્રવાહની પાર્ટીઓ અને કાશ્મીરના ભાગલાવાદી તત્વોને પચી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસિન મલિકે પથ્થરબાજોની તરફદારી કરીને ભારતીય સેનાધ્યક્ષના નિવેદનને તાત્કાલિક પડકાર્યું હતું. ભાગલાવાદી પિઠ્ઠુઓએ એકસૂરમાં જનરલ રાવતના નિવેદનને નાગરિકોની કથિત હત્યાની ધમકી તરીકે જોયું છે અને પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ હિંસાની જમીન તૈયાર કરનારા નાપાક તત્વોએ કાશ્મીરની કથિત આઝાદીની લડાઈ ચાલુ રાખવાની ગુલબાંગો પણ પોકારી છે.

ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને મુખ્ય પ્રવાહની ગણાતી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓનો ટેકો મળ્યો છે. તો જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી ગઠબંધનની આગેવાની કરતી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પણ પથ્થરબાજોનું સમર્થન કરાયું છે. આ સૌથી મોટી આઘાતજનક બાબત છે. નેશનલ કોન્ફરન્સના નેતા દ્વારા પથ્થરબાજોને જાણે કે એન્કાઉન્ટર વખતે પથ્થરો ફેંકવાનો અધિકાર હોય તેવી અદામાં જનરલ બિપિન રાવત સામે અણછાજતી ટીપ્પણી પણ કરવામાં આવી છે.

કોંગ્રેસના દ્રષ્ટિકોણનું સ્પષ્ટીકરણ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ તરફથી આપવામાં આવ્યું છે. ગુલામ નબી આઝાદે પથ્થરબાજોને બાળકો ગણાવ્યા છે. તેની સાથે ભારતીય સેનાધ્યક્ષ દ્વારા એન્કાઉન્ટરો વખતે હસ્તક્ષેપ કરનારા કાશ્મીરના આવા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાના નિર્ણય સામે પણ ગુલામ નબી આઝાદે સવાલ ઉભો કર્યો છે. આઝાદે કહ્યુ છે કે ગત વર્ષ એકસોથી વધારે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે બસ્સોથી વધારે બાળકોએ પોતાની આંખો ગુમાવી છે. બાર હજાર લોકોને જેલમાં ધકેલી દેવાયા હતા. શું કેન્દ્ર સરકાર આનું પુનરાવર્તન કરવા માંગે છે? આઝાદે કાશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાનું જણાવીને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીને કારણે સ્થિતિ વધુ વણસવાની ભવિષ્યવાણી પણ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગઠબંધન સરકારની આગેવાની કરનારી પીડીપી પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસથી પાછળ નથી. પીડીપીએ ભારતીય સેનાને આવી સ્થિતિમાં શિસ્તબદ્ધ ફોર્સની જેમ સંયમ જાળવવાની સલાહ આપી છે. આ સલાહ આપનારા નિઝામુદ્દીન ભટ પીડીપીના મહાસચિવ અને ઉપાધ્યક્ષ છે.

બીજી તરફ પાડોશી દેશની વાત કરીએ. આ પાડોશી દેશ કાશ્મીરની હિંસાનો પ્રાયોજક અને પ્રોત્સાહક છે. તેની એક ઘટનાની વાત કરીએ. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મુસ્લિમ દરગાહ ખાતે આત્મઘાતી હુમલામાં એકસો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ માત્ર ચોવીસ કલાકમાં એકસોથી વધુ આતંકવાદીઓને ઠાર કરવાનો દાવો કર્યો છે. તો અફઘાનિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની સેનાને શૂટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. જો કે આ પાકિસ્તાનના ચમચા જેવા ભાગલાવાદીઓ અને તેમના આતંકવાદીઓ માટે ભારતમાં માનવાધિકારના હોબાળા કરવામાં આવે છે. 

બુરહાન વાની નામના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીને જમ્મુ-કાશ્મીર પોલીસે ઠાર કર્યો અને તેના બહાને પાકિસ્તાની આતંકવાદીઓ અને ભાગલાવાદીઓએ કાશ્મીર ખીણને બાનમાં લીધી હતી. માનવાધિકારના નામે આતંકવાદીઓના સમર્થનમાં ભાગલાવાદીઓના એજન્ટો જ નહીં, ભારતની કથિત મુખ્યપ્રવાહની રાજકીય પાર્ટીઓના નાના-મોટા નેતાઓએ સીધી કે આડકતરી રીતે આતંકવાદી બુરહાન વાનીના બહાને ખૂબ રાજકારણ ખેલ્યું છે. હવે તેમણે ભારતીય સેનાધ્યક્ષના જનરલ બિપિન રાવતના નિવેદન પર દેશદ્રોહી “ટોન” અખત્યાર કર્યો છે. શું પાકિસ્તાનમાં આવી સ્થિતિની કોઈ કલ્પના પણ કરી શકે છે? શું 100 આતંકવાદીઓને મારવા બદલ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ બાજવા સામે કોઈએ વાવટા ફરકાવ્યા?  કોઈએ પાકિસ્તાની સેના અને સરકારને માનવાધિકારનો ઉપદેશ આપ્યો છે?

શુક્રવારે 17 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં ફરીથી પાકિસ્તાનના વાવટા લહેરાવામાં આવ્યા અને ભાગલાવાદીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. તમે ટેલિવિઝન પર આવેલા કેટલાક ફૂટેજ જોવો તો સુરક્ષાકર્મીઓ ગિલોલમાં પથ્થર ભરાવીને ભાગલાવાદી પથ્થરબાજોનો સામનો કરી રહ્યા છે. શું આ પથ્થરબાજોને ગિલોલમાંથી પથ્થર મારવા જોઈએ કે ભડાકે દેવા જોઈએ? આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે જનરલ બિપિન રાવતે પથ્થરબાજોને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ભારત માટે કાશ્મીર એક જમીનનો ટુકડો નથી. ભારત માટે કાશ્મીર દેશની ઓળખ સાથે જોડાયેલો અભિન્ન હિસ્સો છે. કાશ્મીર મજહબી રાહે જોનારા પાડોશી દેશ માટે તે એક જમીનનો ટુકડો છે કે જે તેમણે 1947માં પાકિસ્તાન તરીકે મેળવ્યો છે. પાકિસ્તાની આતંકવાદ અને હિંસાવાદથી ત્રસ્ત કાશ્મીર ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ નિર્ણાયક છે.

જમ્મુ-કાશ્મીરનો મજહબી આતંકવાદ ભારત કોઈપણ હિસાબે ચલાવી શકે નહીં. જેવી રીતે ભારતે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને 1947માં નામંજૂર કર્યો હતો, તેવી જ રીતે ભારતે પાકિસ્તાનના મજહબી આતંકવાદનો પણ અસ્વીકાર કરવો જરૂરી છે. તેના માટે કાશ્મીરના ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને પાકિસ્તાનના મજહબી આતંકવાદની જમીન તૈયાર કરવા માટેની પરિસ્થિતિ પેદા કરવાની મંજૂરી આપી શકાય નહીં. તેના માટે આવા તત્વો સામે ભારતીય સેના અને સુરક્ષાકર્મીઓએ નિશ્ચિતપણે કડક હાથે કામ લેવું પડશે.

માનવાધિકારની વાતો રાષ્ટ્રના ભોગે બોલવી, સાંભળવી કે વ્યવહારમાં ઉતારવી અયોગ્ય પણ છે અને દેશના લોકોની સાથે આવું વર્તન અન્યાય પણ છે. રાષ્ટ્રહિત છે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો અને દેશના ખૂણેખૂણામાંથી મજહબી કટ્ટરવાદની સમાપ્તિ. વિકસિત બનવા તરફ આગળ વધી રહેલા ભારતના વિકાસને ટકાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બેહદ જરૂરી છે. સુરક્ષા વગરના વિકાસનો પણ કોઈ અર્થ રહેશે નહીં. દેશની રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ થઈ શકે નહીં. આવી નીતિ સૌના સાથ અને સૌના વિકાસમાં અડચણરૂપ છે.

Monday, February 13, 2017

પાકિસ્તાન આઈએસઆઈએસથી વધુ ખતરનાક


આતંક સામેની લડાઈ જીતવા પાકિસ્તાનના પાપનો ખાત્મો જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી


અમેરિકાના ઘણાં રાજદ્વારીઓ, સેનેટરો, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ આતંકવાદની સામેની લડાઈમાં પાકિસ્તાનને ડબલ ક્રોસ માને છે. છતાં છેલ્લા અઢી દાયકાથી અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી નથી. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક આતંકવાદ અને આઈએસઆઈએસના આતંકવાદના ખાત્માના ઘણાં વાયદા કરીને સત્તામાં આવ્યા છે. ત્ચારે તેમની પાસે આશા રખાઈ રહી છે કે તેઓ દુનિયામાંથી ઈસ્લામિક આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈને નિર્ણાયક મોડ તરફ દોરી જશે અને આતંકનો ખાતમો કરશે. પરંતુ જ્યારે ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવી ત્યારે તેમા આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. જો કે ટ્રમ્પના ઓર્ડર પર અમેરિકન કોર્ટે રોક લગાવી છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની નકારાત્મક ભૂમિકાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવગણી શકે તેમ નથી. આવી અવગણના આતંકવાદના યુદ્ધમાં જીતના લક્ષ્યને વિલંબમાં નાખી શકે છે. 

અમેરિકાની 2001માં 9/11ની આતંકી હુમલાની ઘટના બાદ આતંકવાદ સામેની લડાઈ શરૂ થઈ હતી. પરંતુ તેના સોળ વર્ષ જેટલા સમયગાળામાં અફઘાનિસ્તાન અને ઈરાકમાં અબજો ડોલરનું આંધણ કરવા છતાં પરિણામ લગભગ શૂન્ય છે. તેનું એકમાત્ર કારણ પાકિસ્તાન નામનું પાપ છે. દુનિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસને સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદને પોતાની વ્યૂહાત્મક નીતિનું માધ્યમ બનાવનારા પાકિસ્તાનનો ખતરો આઈએસ કરતા અનેકગણો વધારે છે. પાકિસ્તાન દુનિયાનો માન્યતા પ્રાપ્ત દેશ છે અને તેની સાથે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાનો હજીપણ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદેશ છે. 

પરંતુ ઈસ્લામિક આતંકવાદની નીતિની રણનીતિથી પાકિસ્તાન અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ લઈ રહ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મજહબી આતંકવાદને પોત્સાહિત કરીને અહીં અસ્થિરતા અને હિંસા પેદા કરવાનું કામ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા થઈ રહ્યું છે. આશંકાઓ તો એવી પણ વ્યક્ત થઈ ચુકી છે કે આઈએસઆઈએસની ફંડિંગ ચેનલની પાછળ પણ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની અગ્રણી ભૂમિકા છે. મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશોના નેતા બનવાની હોડમાં પાકિસ્તાને જ અહીં આતંકની આગ ભડકાવી હોવાના પણ વ્યૂહાત્મક પુરાવાઓની ચર્ચાઓ વૈશ્વિક થિન્ક ટેન્કો દ્વારા થતી રહે છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાના આતંકી સામ્રાજ્યને કાયમ કરવાનું કામ તેમના આકાની ભૂમિકામાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ કર્યું હતું. તાલિબાનોને કથિત વૈશ્વિક જેહાદના નામે મજહબી આતંકનું અફીણ પાવાનું કામ આઈએસઆઈ દ્વારા થયું છે. પાકિસ્તાની સેના હજીપણ અફઘાનિસ્તાન અને તેની સરહદ નજીકના વિસ્તારોમાં તાલિબાની આતંકી નેટવર્કને પોષી રહ્યું છે અને તેમને આશ્રય પણ આપી રહ્યું છે. તેમા હક્કાની નેટવર્કની ઘણી કુખ્યાતી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના સંસ્થાનો સાથે ભારતીય મિશનોને પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનો થકી કાબુ મેળવવા માટે પાકિસ્તાન હવે નવી ચાલ હેઠળ ભારતને બહાર રાખવા માટે આઈએસઆઈએસનું કાર્ડ ખેલી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના નબળા પડવાથી તેમનું સ્થાન આઈએસ લઈ લેશે તેવી શક્યતાઓ દર્શાવીને રશિયા અને ચીનને પાકિસ્તાન ભોળવવાની કોશિશ કરી રહ્યું છે. 

અમેરિકા આ વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી લશ્કરી રાહે સક્રિય છે. તેથી તેમની ગુપ્તચર સંસ્થા સીઆઈએના એજન્ટ્સ આઈએસઆઈના કારનામાઓથી સારી રીતે વાકેફ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા અફઘાનિસ્તાનમાં આતંકનો ખેલ ચાલુ રાખીને અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ ઓકાવી રહી છે. તો બીજી તરફ પોતાનું વ્યૂહાત્મક વર્ચસ્વ વિસ્તારવા માટે આતંકનો ખેલ અફઘાનિસ્તાન અને કાશ્મીર એમ બંને ઠેકાણે ખેલી રહ્યું છે. 

ડબલ ક્રોસ પાકિસ્તાન અને તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કરમકુંડળીથી ઘણાં અમેરિકન સેનેટેરો હવે વાકેફ થઈ ચુક્યા છે. આવા અમેરિકન સેનેટરોનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકી જૂથોને સમર્થન બંધ નહીં કરે, ત્યાં સુધી અમેરિકા વોર ઓન ટેરર જીત જીતી નહીં શકે. પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવાના આતંકી ચીફ હાફિઝ સઈદની કથિત નજરકેદને ડોનાલ્ડ ટ્રમ્પની અસર તરીકે જોવામાં આવે છે. તો અમેરિકાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને યુએનમાં આતંકવાદી જાહેર કરાવવાની ભારતની પહેલને પોતાના હાથમાં લઈ લીધી છે. તો તાજેતરમાં પાકિસ્તાનની સેનેટના ડેપ્યુટી સ્પીકરને અમેરિકાએ વીઝાઆપવાનો ઈન્કાર કર્યો છે. 

પરંતુ આવી કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચુકી છે. ત્યારે વ્યૂહાત્મક અને સંરક્ષણ બાબતોના જાણકારોનો અભિપ્રાય છે કે જ્યાં સુધી પાકિસ્તાનને સામરિક અને નાણાંકીય મદદ બંધ કરવામાં નહીં આવે..ત્યાં સુધી પાકિસ્તાનની સેનાના ટોચના કમાન્ડરોના વલણમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. પરંતુ અમેરિકાની હંમેશા દુવિધા રહીછે કે પાકિસ્તાનનો હક્કાની નેટવર્ક અને તાલિબાનો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનો ઈન્કાર તેને શકમંદ બનાવી દે છે. પરંતુ બીજી તરફ લેન્ડ-લૉક અફઘાનિસ્તાનમાં શાંતિઅને સ્થિરતા માટે અમેરિકાને પાકિસ્તાનનો સહયોગ જરૂરી પણ લાગે છે. આ સિવાય દુનિયા અને દક્ષિણ એશિયાના ઈસ્લામિક જગત પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે અમેરિકાને પાકિસ્તાનને પોતાની અસર હેઠળ રાખવું જરૂરી દેખાઈ રહ્યું છે. 

તેને કારણે પરમાણુ હથિયારોથી સજ્જ પાકિસ્તાન બાબતે અમેરિકા કોઈ નિર્ણય લઈ શકતું નથી. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાનના અસ્તિત્વ વગરની દુનિયા ખરેખર વધુ શાંતિ ધરાવતી બની શકે છે. પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન.. મુલ્લા ઓમર જેવા અલકાયદા અને તાલિબાની આતંકવાદીઓને વર્ષો સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા. તો અલકાયદાનો નવો પ્રમુખ અલ ઝવાહીરી પણ પાકિસ્તાનમાં છૂપાયો હોવાની આશંકા છે. આ સિવાય 2015માં કેટલાંક આઈએસઆઈએસના ટોચના આતંકવાદીઓને પાકિસ્તાનમાં આશ્રય મળે તેવી શક્યતાઓ વહેતી થઈ હતી. આવા સંજોગોમાં આતંકના જનક પાકિસ્તાનનું વિખંડન એક ઉકેલ હોવા બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે. આ દિશામાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહીતની વૈશ્વિક શક્તિઓએ વિચારવી જરૂરી છે. દક્ષિણ એશિયામાં સંતુલન સ્થાપિત કરવા માટે પાકિસ્તાનની વ્યૂહાત્મક ઓકાત ઘટાડવી જરૂરી છે. ભારતને પ્રાદેશિક અને ગ્લોબલ પાવર તરીકે અમેરિકા સહીતના સુપરપાવરોએ વધુ વ્યૂહાત્મક મજબૂતાઈ આપવાની જરૂર છે. આના માટે અમેરિકાએ પોતાના વૈશ્વિક વર્ચસ્વનો નિર્ણાયક ઉપયોગ કરવાની પણ જરૂર છે. 

અમેરિકા ખાતેના પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પાકિસ્તાનની દશકાઓ જૂની કાશ્મીર નીતિને નિશાને લેતા તેના વ્યૂહાત્મક હથિયાર સમા ઈસ્લામિક આતંકવાદ પર સવાલ પણ ઉઠાવ્યા છે. હુસૈન હક્કાનીનું માનવું છે કે કાશ્મીરનો મામલો ઉકેલાવાથી પણ મજહબી આતંકવાદ અને કોમવાદી ઘર્ષણોના પડકારો યથાવત રહેવાના છે. તાલિબાનો અફઘાનિસ્તાનમાં પોતાની જૂની ઈસ્લામિક વ્યવસ્થા કાયમ કરવાનું લક્ષ્ય છોડવાના નથી. તેમણે કહ્યુ છે કે મજહબી આતંકવાદનો અર્થ છે કે તમારા ધાર્મિક પંથમાં નહીં માનનારા લોકોની હત્યા કરવી. પાકિસ્તાનમાં મજહબી આતંકવાદને એક અતિ-રાષ્ટ્રવાદી દલીલ તરીકે રજૂ કરીને તેનું સમર્થન પણ કરવામાં આવે છે. તેથી આવા દ્રષ્ટિકોણના ચરમસીમા તરફ આગળ વધવાની સ્થિતિ પાકિસ્તાનના ખતરાનો સામનો કરવાનો યુદ્ધ એકમાત્ર વિકલ્પ રહી જશે. 

ભારત વિરોધી માનસિકતા અને આતંકની નીતિને કારણે પાકિસ્તાનનું વ્યૂહાત્મક ચિંતન ન તો અમેરિકાના હિતોની પૂર્તિ કરીરહ્યું છે અને ન તો તેનાથી પ્રાદેશિક સ્થિરતાનું લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને આતંકવાદની તેની નીતિ છોડવા માટે બાધ્ય કરવા માટે આર્થિક-રાજદ્વારી-કૂટનીતિક અને જરૂરપડે લશ્કરી દબાણોની વળતી રણનીતિ જરૂરી બની જાય છે. 

અમેરિકા દ્વારા દાયકાઓથી પાકિસ્તાની સેનાને મજબૂત કરવાની એક નીતિ અપનાવવામાં આવી છે. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે કાશ્મીરને બળપૂર્વક તફડાવી લેવાની શેખી મારનારા આતંકી જૂથોની શક્તિમાં વધારો થયો છે. આવા સંજોગોમાં ઈરાક-સીરિયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાન સામે ટ્રમ્પ વહીવટી તંત્રે વધુ કડક બનીને કાર્યવાહી કરવી પડશે. આના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પોતાના દેશની બેવડી નીતિ છોડવાના સંકેત આપતા પાકિસ્તાનનનો મેજર નોન-નાટો એલાયનો દરજ્જો લઈ લેવાની અને તેને તેની હરકતો બદલ આતંકવાદી દેશ જાહેર કરાવવાના પગલા પણ ભરવાની તૈયારી રાખવી પડશે.