Tuesday, August 6, 2013

ચૂંટણીના પ્રચારમાં હિંદુત્વ કેન્દ્રસ્થાને રહેશે


-         પ્રસન્ન શાસ્ત્રી
આમ તો દરેક અરુણોદય કેસરિયો જ હોય છે. કેસરી રંગને પસંદ કે નાપસંદ કરનારા તમામ પર સૂર્ય પોતાના કેસરિયા કિરણોથી અભિષેક કરે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના અરુણોદયને કેસરિયો ગણવાનો ઈન્કાર કરી દેવાયો. ભારતની પહેલી પરોઢના દિવસે જ પ્રભાત કેસરિયા રંગનું હોય છે, તે વાતને મોટા-મોટા નેતાઓ દ્વારા નકારવામાં આવી. ભારતની આઝાદીની સવાર કેસરી હોવા છતાં તેનો ઈન્કાર કરવા માટે તત્કાલિન કોંગ્રેસી નેતાઓમાં હોડ જામી. આજે આઝાદીના 66 વર્ષે પણ હિંદુસ્થાનને, લોકોને દેખાય, લોકોને અનુભવાય અને લોકો માનવા બાધ્ય થવું પડે તેવા કેસરિયા પ્રભાતનો ઈન્તજાર છે. હિંદુઓ આ દેશમાં બહુમતી છે. હિંદુઓ આ દેશનો આત્મા છે. હિંદુઓ આ દેશની ઓળખ છે. હિંદુસ્થાનની ઓળખાણ હિંદુ છે. હિંદુસ્થાનમાંથી હિંદુઓ અને તેમના વિચારોને બાકાત કરી નાખવામાં આવે, તો હિંદુસ્થાન હિંદુસ્થાન રહેતું નથી. આ દેશના રાષ્ટ્રત્વનો વિચાર અને તેની પ્રક્રિયા સમગ્રપણે હિંદુ ધર્મ અને હિંદુ જીવન પદ્ધતિ છે. આ દેશની ઓળખને પુનર્પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો છેલ્લા એક હજાર વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ હિંદુસ્થાનને તેની સાચી રાષ્ટ્રીય ઓળખ હજી સુધી મળી નથી.

પરંતુ છેલ્લા 25 વર્ષથી દેશનું વાતાવરણ બદલાયું છે. હિંદુઓમાં દેશની ઓળખને પ્રતિષ્ઠિતપણે પુન:પ્રસ્થાપિત કરવાની લલક લાગી છે. હિંદુત્વના વિચારને ટેકો આપનારા નેતાઓ અને પક્ષને ભારતના લોકોએ છ વર્ષ સુધી સત્તાના શિખરે પણ બેસાડયા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી હિંદુ વિચારને મજબૂત બનાવવાની વાત વિકાસના નામે બાજૂ પર મૂકવામાં આવી. જેને કારણે દેશના લોકોએ વાયદા નહીં નિભાવનારાઓને સત્તા બહાર કર્યા. જો કે દેશમાં છેલ્લા 10 વર્ષથી હિંદુઓને સતત અપખોડતી અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સત્તા પર છે. દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું નિવેદન કરીને વડાપ્રધાન મનમોહનસિંહે હદ કરી નાખી. મુસ્લિમોના ઉત્કર્ષ માટે વડાપ્રધાને સચ્ચર સમિતિ બનાવી. સચ્ચર સમિતિએ ભારતના ન્યાયતંત્રથી માંડીને લશ્કરમાં મુસ્લિમોના આંકડા મેળવ્યા. તેમણે મુસ્લિમોને અનામત આપવાની ભલામણ કરી. વડાપ્રધાને મુસ્લિમોના ઉત્કર્ષ માટે 15 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરાવ્યો. મુસ્લિમોને અલગ શિષ્યવૃતિ અને આર્થિક મદદો સરકારી રાહે અપાવા લાગી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોમાં મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની ટકાવારીમાં હરિફાઈ જામી. સેતુસમુદ્રમ નામના પ્રોજેક્ટ માટે રામાયણકાલીન રામસેતુ તોડવા માટે સરકાર તૈયાર થઈ અને ભગવાન શ્રીરામ તથા રામાયણ કપોળકલ્પિત હોવાનું એફિડેવિટ સુપ્રીમકોર્ટમાં કર્યું.
દેશમાં ચાલી રહેલા મુસ્લિમ તુષ્ટિકરણના વાતાવરણમાં ક્યારેક હિંદુહિતની વાત કરનાર રાજકીય પક્ષ ખામોશ રહ્યો. જેના પરિણામે પરિસ્થિતિ વધારે વકરી. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મળી રહેલા સંકેતો જણાવી રહ્યા છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દો પ્રચારના કેન્દ્રસ્થાને રહેશે. દેશના હિંદુઓ સુધી સચ્ચાઈથી વાતો પહોંચાડવામાં આવશે, તો દેશનું રાજકીય તકદીર બદલાય તેવી પ્રબળ શક્યતા છે. એક ગઠબંધનના નામે હિંદુત્વના વિચાર સાથે સંકળાયેલા મુદ્દાઓને 17 વર્ષ સુધી બાંધી રાખવામાં આવ્યા. જેના કારણે હિંદુ સમાજમાં આક્રોશનો અંડરકરંટ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં કટ્ટર હિંદુત્વવાદી તરીકે મીડિયા દ્વારા લોકોમાં જાણીતા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. બસ, ત્યારે હિંદુત્વ વિરોધી રાજકીય શક્તિઓને કરંટનો ઝાટકો લાગ્યો હોય, તેવું વાતાવરણ પેદા થયું. જેડીયૂએ ગઠબંધન છોડીને ભાજપથી અલગ થયું.

ત્યાર પછી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રીશ્યામાપ્રસાદ મુખર્જીના શહીદ દિવસે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સીમા પર આવેલા માધોપુરમાં ભાજપની રેલી થઈ. પરંતુ આ રેલીમાં ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને દૂર કરવાની વાત પર મૌન રહ્યા. તેમણે કોંગ્રેસના કારનામા અને વિકાસની વાતો કરી. પરંતુ તેના બીજા દિવસે ભાજપના સંસ્થાપક સભ્ય અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાની પુરજોર તરફેણ કરી. એનડીએ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બાકાત રખાયેલા પહેલા મુદ્દા પર ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ પહેલી વખત પોતાના વિચારો રજૂ કર્યા. એક તરફ વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ભાજપના મહાસચિવ અમિત શાહે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા છે. કપડાના મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીરામ સમક્ષ અમિત શાહે પ્રાર્થના કરી કે રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય. અમિત શાહના ભવ્ય રામમંદિર નિર્માણના નિવેદન પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જેડીયૂ સહીતની પોતાને સેક્યુલર ગણાવતી રાજકીય પાર્ટીઓના નેતાઓ અકરાંતિયાની જેમ ટીકા કરવા તૂટી પડયા.
વાત એટલેથી અટકતી નથી, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો એક વિદેશી ન્યૂઝ એજન્સીએ ઈન્ટરવ્યૂ લીધો. જેમાં તેમને હિંદુ રાષ્ટ્રવાદ પરનો સવાલ પુછવામાં આવ્યો. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેઓ હિંદુ છે, રાષ્ટ્રવાદી છે અને હિંદુ રાષ્ટ્રવાદી છે. મોદીએ ન્યૂઝ એજન્સીને કહ્યુ કે તમે મને હિંદુ રાષ્ટ્રવાદી કહી શકો છો. હિંદુ રાષ્ટ્ર અને પરમ વૈભવશાળી ભારતની આકાંક્ષાઓમાં કોઈ અંતર નથી. પુરા એક હજાર વર્ષથી હિંદુ રાષ્ટ્રને તેની ઓળખ અપાવવા માટે કરોડો હિંદુ રાષ્ટ્રવાદીઓ પાંપળ પટપટાવ્યા વગર બલિદાનો પર બલિદાનો આપી રહ્યા છે. પરંતુ મોદીના આ નિવેદનથી હિંદુ શબ્દથી નફરત કરનારા લોકોના પેટમાં ઉકળતું તેલ રેડાયું. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીને રાષ્ટ્રવાદી હિંદુ બનવાની સલાહ આપી. બીજી તરફ સતત સંઘ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ ક્ષોભજનક નિવેદનબાજી કરનાર હિંદુત્વ વિરોધી દિગ્વિજયે બ્લોગ લખીને પોતે કેટલા મોટા હિંદુ છે, તેનું ગાણું ગાઈ આગામીચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દે કેન્દ્રસ્થાને જ રહેશે તેમ પરોક્ષ રીતે સૂચવ્યું છે.

મોદીના ઉપરોક્ત ઈન્ટરવ્યૂમાં 2002ની ઘટનાઓ પર સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે તમે ગાડી ચલાવતા હોવ અથવા પાછળની સીટમાં બેઠા હોવ અને ગાડી નીચે કૂતરાંનું બચ્ચું આવી જાય તો પણ દુ:ખ થાય. મોદીના આ નિવેદન પર પણ વિવાદ પેદા કરીને તથાકથિત સેક્યુલર પાર્ટીઓના નેતાઓએ કહ્યુ કે મોદીએ મુસ્લિમો સમુદાયની સરખામણી કૂતરાંના બચ્ચા સાથે કરી. આ નિવેદન પર મોદી સાથે હિંદુત્વને પણ નિશાન પર લેવામાં આવ્યું. પૂણેની એક જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરી ટીપ્પણી કરતા કહ્યુ કે સંકટ સમયે કોંગ્રેસ બુરખો ઓઢીને બંકરમાં છુપાય જાય છે. આ નિવેદનને બરાબર સમજીએ તો કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર,મોંઘવારી, આતંકવાદ, માઓવાદ, મુસ્લિમ તુષ્ટિકરણ જેવા સળગતા મુદ્દા ભૂલવાડવા માટે સેક્યુલારિઝમનું ગાણું ગાય છે. કોંગ્રેસ હંમેશા પોતે સેક્યુલરવાદી હોવાનું જણાવીને મુસ્લિમોને ભાજપ, સંઘ, વીએચપી, બજરંગદળ અને મોદીનો ડર દેખાડે છે. આ વખતે પણ મોદીના ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર થયા બાદ કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે કે મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આમ કરીને કોંગ્રેસ દેશના 20 કરોડ મુસ્લિમ મતદાતાઓને કોઈપણ પ્રકારના પ્રચાર વગર પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે દેશમાં હાલ 90ના દશક જેવું હિંદુત્વનું મોજું નથી કે જેથી હિંદુ મતો વોટબેંકનું સ્વરૂપ લઈ શકે. જેના કારણે 66 વર્ષથી વોટબેંક તરીકે વર્તી રહેલા મુસ્લિમ સમાજનો કોંગ્રેસ સહારો લઈ રહી છે.
મોદીના આ નિવેદન પર કોંગ્રેસ તરફથી તેમના મીડિયા પ્રમુખ અજય માકનની પ્રતિક્રિયા આવી કે નગ્ન કોમવાદ કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. તો અમર્યાદિત ભાષાપ્રયોગ માટે જાણીતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશી થરુરે કહ્યુ છે કે ખાખી ચડ્ડી કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. ત્યારે કોંગ્રેસે જવાબ આપવો પડશે કે નગ્ન કોમવાદ કોણ ફેલાવે છે? આ દેશમાં આઝાદી પછી 50 હજાર જેટલા કોમી હુલ્લડો થયા છે. આ હુલ્લડોમાં કોનો વાંક હતો અને કોણે શું ભૂમિકા નિભાવી તેની સૌથી વધારે ખબર દેશની સત્તા પર 47 વર્ષ ભોગવટો કરનાર કોંગ્રેસને વધારે ખબર હોય. હિંદુત્વની વાત કરવી, હિંદુ એકતાની વાત કરી અને હિંદુત્વની શક્તિથી દેશને તાકતવર બનાવવાની આકાંક્ષા સેવવી કોઈપણ હિસાબે નગ્ન કે કપડા પહેરેલો કોમવાદ નથી, પરંતુ તે કરોડો હિંદુઓની નસોમાં વહેનારો તેજસ્વી હિંદુ રાષ્ટ્રવાદ છે. આ દેશના ટુકડા થવા માટે મુસ્લિમ કોમવાદ જવાબદાર હતો. આ મુસ્લિમ કોમવાદ સામે ઘૂંટણિયા ટેકવીને થાબડભાણા કરનારા કોંગ્રેસ પાર્ટીના વારસોને આજે હિંદુ રાષ્ટ્રવાદ નગ્ન કોમવાદ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ભારતના અત્યાર સુધીના અસ્તિત્વ માટે ભગવદ ગીતાને પ્રેરણા બનાવનારા અનેક દૂધમલ યુવાનોના બલિદાન જવાબદાર હોવાની વાત કોંગ્રેસને સ્વીકારવી નથી. કોંગ્રેસ જણાવે કે સેક્યુલારિઝમના બુરખામાં પેસીને તેણે દેશને નુકસાન કરતા કેવા કારનામા કર્યા છે?

શશી થરુરે એ જ રીતે ખાખી ચડ્ડીની વાત કરી આરએસએસ અને તેમની ભગિની સંસ્થાઓને વિવાદમાં ઘસડી. જેનાથી હિંદુત્વનું વાતવરણ ગાઢ બનશે. થરુરને આ સંસ્થાઓના બલિદાનની ખબર નથી. જેનું રાજકારણ કાસ્ટીઝમ ઉપર સ્થિર થયું છે, તે હિંદુત્વની લહે જો ચૂંટણીમાં આવશે તો સમાપ્ત થઈ જસે,તેવી બીકે બીએસપી અધ્યક્ષ કુ. માયાવતીએ સંઘ અને વીએચપી ઉપર પ્રતિબંધની વાત કી છે. જ્યારે મુલાયમે આવી રહેલા હિંદુત્વના પવનને ખાળવા માટે કારસેવકે ઉપરના ગોળીબારની પરોક્ષ માફી માંગી છે.

શ્રીમોદીના કે શ્રીઅડવાણીના કે શ્રી અમીત શાહના નિવેદનોના કારણે રાજકીય ક્ષેત્રે જે ગરમી આવી છે, તેનો પવન હિંદુત્વ તરફ જ ફેંકાશે તેવું દેખાઈ રહ્યું છે. વિરોધીઓ આ નિવેદનોની ટીકા કર હિંદુત્વના પવનને વાવાઝોડું બનાવી રહ્યા છે. આ બધું જોતા લાગે છે કે ભલે બધા પક્ષો વિકાસની વાત કરતા હોય, પણ ચૂંટણીમાં હિંદુત્વની લહેર ફરી વળશે તેવું દેખાઈ રહ્યું છે. સેક્યુલારિઝમનો બુરખો ઓઢનારા રાજકીય પક્ષોએ એ વાત યાદ રાખવી પડશે કે ભારતમાં કેસરિયું પ્રભાત આવશે અને તેના મૂળ આ લોકસભાની ચૂંટણીમાં નખાશે.


હિંદુ સમાજ સક્ષમ છે. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ પણ આવશ્યક છે. આવા સંજોગોમાં હિંદુઓની લાગણીને સમજનાર રાજકીય પક્ષ કે પક્ષોને ફાયદો થઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં તેમણે પોતાના કરેલા વાયદા પુરા કરવા પડશે. જો આમ નહીં થાય, તો હિંદુ સમાજ રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ બીજો રસ્તો પણ શોધી શકે છે.