Thursday, December 22, 2011

અણ્ણાના આંદોલનને કોંગ્રેસી જવાબ લઘુમતી અનામતની ભ્રમજાળ!


-ક્રાંતિવિચાર
લઘુમતી અનામતના કોંગ્રેસી કાર્ડથી અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ફૂગ્ગો ફૂટી જશે. લોકસભામાં લોકપાલ બિલ રજૂ થવાનું હતું, ત્યારે તે કેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તંત્ર પેદા કરશે તેના પર ચર્ચા થઈ ન હતી. પરંતુ લોકપાલની સમિતિ અને સર્ચ કમિટીમાંથી એસસી, એસટી, ઓબીસી, મહિલા માટે ઓછામાં ઓછું 50 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી. પરંતુ કોંગ્રેસના વડપણ નીચેની યુપીએ સરકારે લોકપાલના અનામતની જોગવાઈમાંથી લઘુમતી શબ્દ હટાવી લીધો. લોકસભામાં લાલુપ્રસાદ યાદવે આ મુદ્દે તોફાન મચાવ્યું અને લોકપાલમાં લઘુમતીઓને અનામતની જોગવાઈ પાછી લેવડાવી. ભારતીય બંધારણ પ્રમાણે ધર્મ આધારીત અનામત ગેરબંધારણીય છે. પરંતુ ભારતીય બંધારણને સુપ્રીમ ગણવાની વાત કરનારી ભારતીય લોકશાહીની સુપ્રીમ સત્તા સંસદમાં બંધારણની ભાવનાને દરકિનાર કરવામાં આવી. લોકસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી લોકપાલ બિલના નવા ડ્રાફ્ટમાં અનામતની જોગવાઈમાં લઘુમતી શબ્દ ફરીથી દાખલ કરવામાં આવ્યો.

લોકસભામાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજે ધર્મ આધારીત લઘુમતી અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું છે. ભાજપ લોકપાલમાં ધર્મ આધારીત લઘુમતી અનામતનો વિરોધ કરી રહ્યું છે. વળી બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈ જોગવાઈ નથી. આથી જો લોકપાલમાં લઘુમતી અનામત દાખલ કરવું હોય તો બંધારણીય સંશોધનની જરૂરત પડશે. આ બંધારણીય સંશોધનને પારીત કરવા માટે ગૃહમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. પરંતુ ભાજપ લોકપાલમાં લઘુમતી અનામતના મુદ્દે વિરોધ પર કાયમ રહે તો બંધારણીય સંશોધન પારીત થશે નહીં અને લાલુ, મુલાયમ, બીએસપી, ડાબેરીઓ લઘુમતી અનામત વગરનું લોકપાલ પારીત થવા દેશે નહીં. આવા સંજોગોમાં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને માટે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે તેવી પરિસ્થિતિ પેદા થશે. એટલે કે અણ્ણાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન નબળું પડશે અને ભાજપને લઘુમતી અનામતની ભ્રમજાળમાં ફસાવીને કોંગ્રેસ વિરોધી વાતાવરણને તરફેણમાં ફેરવવાની તક મળશે.

ભ્રષ્ટાચારથી ભ્રમિત બનેલી યુપીએ સરકારે હાલ દેશને દિગ્ભ્રમિત કર્યો છે. યુપીએ સરકારના ભ્રષ્ટાચારના પાપનો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. અણ્ણા હજારે યુપીએ સરકારના પાપના ઘડાને ફોડવા માટે જનલોકપાલનો પાણો ફેંકી ચુક્યા હતા. પરંતુ યુપીએ સરકારની શાતિર વકીલ મંત્રી ત્રિપુટીએ અણ્ણા હજારેના જનલોકપાલના પાણાનું નિશાન લોકપાલમાં લઘુમતી અનામતના કીડીના ચટકાથી ચુકવી દીધું છે. કોઈપણ પરિસ્થિતિમાં સરકારની લોકપાલનો ભાજપ અથવા અન્ય પક્ષો દ્વારા વિરોધ થવાનો છે અને તેવા સંજોગોમાં લોકપાલ બિલ પારીત થશે નહીં અથવા મહામુશ્કેલીએ પારીત થશે. વળી બે તૃતિયાંશ બહુમતીથી ધર્મ આધારીત લઘુમતી અનામતને લોકપાલમાં દાખલ કરાવવાની કોંગ્રેસની મનસા પૂર્ણ થશે નહીં. પરંતુ તેઓ રાજકીય રીતે કહી શકશે કે તેમણે લોકપાલમાં લઘુમતી અનામત માટે લાલુ, મુલાયમ, બીએસપી અને ડાબેરીઓના દબાણમાં પ્રયત્ન કરી જોયો પણ લઘુમતી વિરોધી ભાજપે તેને સફળ થવા દીધો નહીં. આ સ્થિતિમાં જીત યુપીએ સરકારની થવાની છે. તેની સાથે મુસ્લિમોના ઉત્થાન માટેની સચ્ચર કમિટીની ભલામણો અને રંગનાથ મિશ્રા પંચની લઘુમતી અનામતની જોગવાઈ લાગુ કરવાનો મુદ્દો પણ કોલ્ડ બોક્ષમાંથી ગરમ થઈને બહાર આવ્યા છે.

જેના આધારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે લઘુમતી અનામતના કાર્ડનો ઉપયોગ કરી શકશે. ઉત્તર પ્રદેશમાં દેશના કુલ મુસ્લિમોના 50 ટકા મુસ્લિમો રહે છે. જ્યારે ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોની ટકાવારી 20 ટકા છે. મુસ્લિમ મતો યૂપીની 403માંથી 100થી વધારે બેઠકો પર નિર્ણાયક સ્થિતિમાં છે. તેવા સંજોગોમાં કોઈપણ પક્ષને મુસ્લિમ વોટની લાલચ જાગી શકે છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે તેઓ સંસદમાં આવનારા લઘુમતી-મુસ્લિમ અનામતના કોઈપણ બિલને ટેકો આપશે. માયાવતીએ પોતાની અનામતની રાજનીતિ હેઠળ મુસ્લિમોને અનામત આપવા સંદર્ભે વડાપ્રધાનને પત્રો લખ્યા હતા. જો કે વડાપ્રધાને આ સંદર્ભે એક રાજ્ય તરીકે માયાવતી સરકાર નિર્ણય કરી શકે તેમ હોવાની વાત અન્ય રાજ્યોના મુસ્લિમ અનામતની વ્યવસ્થાને ટાંકીને કરી હતી. હાલ કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો મુસ્લિમ અને/અથવા ખ્રિસ્તી અનામત આપી રહ્યા છે.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુસ્લિમ મતોની ફસલ લણવા માટે કોંગ્રેસ પણ ટાંપીને બેઠી હતી. જેવો લોકપાલમાં લઘુમતી અનામતનો મુદ્દો ગરમ થયો કે તેમણે હથોડો મારી દીધો. 22મી ડીસેમ્બરે ક્રિસમસ નિમિત્તે સંસદની કાર્યવાહી 27 ડીસેમ્બર સુધી સ્થગિત રહેવાની છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતી-મુસ્લિમોને 4.5 ટકા અનામત આપવાની ઘોષણાને મંજૂરી આપી દીધી છે. વળી આ ટાઈમિંગનું પણ ઘણું મહત્વ છે. ઉત્તર પ્રદેશ સહીતના પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત પણ 23મી ડીસેમ્બરની આસપાસ થવાની છે. ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહીતા લાગુ થઈ જાય તો તેવી સ્થિતિમાં મુસ્લિમ-લઘુમતી અનામતનું કાર્ડ ખેલી શકાય નહીં. આથી આચાર સંહીતા લાગુ થતાં પહેલા કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓને અનામત આપવાની જાહેરાત કરીને મુસ્લિમ મતોનો લાભ ખાંટી લેવાનો પેંતરો કોંગ્રેસના વડપણવાળી યુપીએએ કર્યો છે.

કોંગ્રેસના ઈશારે યુપીએ સરકાર દ્વારા શરૂ થયેલી લઘુમતી અનામતની રાજનીતિને કારણે ભાજપને પોતાના જૂના પથ પર જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભાજપ ધર્મ આધારીત અનામતને ટેકો આપી શકશે નહીં. જો તેઓ લઘુમતી અનામતને ટેકો આપશે, તો તેમની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જશે. જો તેઓ લઘુમતી અનામતને ટેકો નહીં આપે, તો મુસ્લિમ વોટો ભાજપને મળવાનો જે આભાસ પેદા થયો છે તે અદશ્ય થઈ જશે. પરંતુ ભાજપ પોતાની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જાય તેવું બિલકુલ ઈચ્છશે નહીં. તેવા સંજોગોમાં ભાજપ દ્વારા ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈનો વિરોધ થશે. વળી સંઘ પરિવાર પણ આવી જોગવાઈના વિરોધ સંદર્ભે સક્રિય બનશે. વિશ્વ હિંદુ પરિષદે પણ લઘુમતી અનામતના વિરોધમાં 27-28 ડીસેમ્બરે દેખાવ કરવાનું એલાન કર્યું છે. આ એલાન એવા વખતે છે કે જ્યારે અણ્ણા હજારે મુંબઈના આઝાદ મેદાનમાં જનલોકપાલ બિલ માટે 27થી 29 ડીસેમ્બર સુધીના ત્રણ દિવસના અનશન કરવાના છે.

આને કારણે સંભાવના એવી પણ છે કે લોકપાલનો મુદ્દો લઘુમતી અનામતના ઉછાળાયેલા મુદ્દાથી અભરાઈ પર ચઢી જશે અથવા અણ્ણાનું આંદોલન કમજોર પડશે. આ સ્થિતિ કોંગ્રેસ અને યુપીએ માટે બેહદ હકારાત્મક રહેશે. હાલની પરિસ્થિતિમાં અણ્ણાના આંદોલનથી પેદા થયેલું કોંગ્રેસ વિરોધી વાતાવરણ એનડીએ માટે ફાયદાકારક છે. પરંતુ લઘુમતી અનામતની જોગવાઈઓ અને જાહેરાતથી કોંગ્રેસ તેની સામેની રાજકીય નકારાત્મકતાને સંતુલિત કરવામાં સફળ થશે. જો કે તેના કારણે દેશ માટે માઠી પરિસ્થિતિ ઉભી થશે. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મઝહબી અનામતના વિભાજનકારી પેંતરાઓથી ઘર્ષણ અને તણાવ પેદા થશે. જેના કારણે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ચીનનું આક્રમક વલણ, પાકિસ્તાનનું પ્રોક્ષીવોર, આતંકવાદ અને અન્ય મહત્વની સમસ્યાઓ તરફથી જનતાનું ધ્યાન હટી જશે. દેશ મઝહબી અનામતના ભમ્મરિયા વમળમાં ફસાઈ જશે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર કદાચ ઈચ્છશે કે જેથી તેમની ભ્રષ્ટાચારની ભૂતાવળો કબરોમાંથી બહાર ન આવે.

Sunday, December 4, 2011

ભ્રષ્ટાચાર બૂમબરાડા અને અનશન-આંદોલનથી નહીં ભાગે!


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચાર સામે ભારત માતા કી જયના સૂત્ર સાથે અનશનવીર ગાંધીવાદી અણ્ણા હજારેએ આ વર્ષે બે વખત ઉપવાસ કર્યા. તેમણે દેશમાં ભ્રષ્ટાચારને કાબુમાં લાવવા માટે જનલોકપાલ બિલની પુરજોર માગણી કરી છે. સરકારે 22 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્રમાં મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપીને વિવાદના મધપૂડાને જાણીજોઈને છેડી દીધો છે. જેના કારણે શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી 11 દિવસ ચાલી શકી નથી. ત્યારે સરકારની મનસા કદાચ મજબૂત લોકપાલ બિલને શિયાળુ સત્રમાં લટકાવાની હોય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ખુદ અણ્ણાએ પણ આ સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી છે.

ભ્રષ્ટાચાર સામે અણ્ણા અલખ જગાવતા રહે તેની સામે કોઈને કોઈ વાંધો ન હોઈ શકે. ભ્રષ્ટાચાર દેશ માટે આફત છે, ધીમું ઝેર છે. તેનો ઈલાજ થવો જોઈએ. આ બાબતે કોઈ અસંમત નથી. પરંતુ અણ્ણા દાવો કરે છે કે લોકો જાગી ગયા છે અને 27 ડિસેમ્બરે તેમના પ્રસ્તાવિત અનશન માટે જનતા તૈયાર છે. પરંતુ તેની સામે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત દેશમાં અણ્ણાના આંદોલન છતાં 11 ક્રમાંક નીચે પછડાયું છે. ભારત કરપ્શન ઈન્ડેક્સમાં 95માં સ્થાને છે. એકથી દસ સ્કેલ પર રેન્કિંગના આધારે તમામ દેશોની વાર્ષિક યાદી બનાવનારી સંસ્થાએ ભારતને ઈન્ડેક્સમાં ચીનથી નીચે રાખ્યું છે, જ્યારે પાકિસ્તાનથી ભારત ઉપરના ક્રમાંકે છે. કરપ્શન ઈન્ડેક્સમાં ભારતથી વિકાસના મામલામાં કોસો દૂર રહેલા ચીનનું સ્થાન 75મું છે. જ્યારે પાકિસ્તાન કરપ્શન ઈન્ડેક્સમાં 134મા સ્થાને છે.

તાજેતરના ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના કરપ્શન ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ પરથી સ્પષ્ટ છે કે ભારતમાં ભ્રષ્ટાચારને ભગાડવો જોઈએ તેની વાત બધાં કરે છે. પરંતુ ભ્રષ્ટાચારને કોઈ ભગાડતું નથી. લોકો વધારેને વધારે ભ્રષ્ટાચારમાં ખૂંચતા જાય છે. તેનું પરિણામ છે કે ભારત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કરપ્શન ઈન્ડેક્સમાં 11 ક્રમાંક નીચે ઉતર્યું છે. અણ્ણાના આંદોલન વખતે આંદોલનમાં ભાગ લેવા જતાં આંદોલનકારીઓએ ટ્રાફિકના નિયમના ભંગ બદલ થનારા દંડને ટાળવા માટે પોલીસને લાંચ આપી હોવાના કિસ્સા દેશમાં ઘણે ઠેકાણે બન્યા છે. ત્યારે સવાલ એ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેવા માટે જનારા લોકો લાંચ આપીને કેવી રીતે ભ્રષ્ટાચારને ભગાડી શકશે?

ભ્રષ્ટાચારને ભગાડવાની વાત કરતાં પહેલા સમજવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર માનવીય આચાર સાથે સંકળાયેલી બાબત છે. આ એવો આચાર છે કે જે શિષ્ટાચાર નથી, સત્યાચાર નથી, પણ માનવીય સ્વભાવ વિરુદ્ધના રસ્તે લઈ જતો આચાર છે. માણસ પેદા થાય છે, ત્યારે તે પૂર્ણરૂપથી સત્યાચારી હોય છે. તે જેમ જેમ જીવનમાં આગળ વધે છે, તેમ તેમ તેના સત્યાચારી માર્ગ બદલાય છે અને તે ભ્રષ્ટાચાર તરફ આગળ વધે છે. દુનિયાના લગભગ 99 ટકા લોકો સાથે આવી ઘટના બને છે. ભ્રષ્ટાચારી એટલે માત્ર નાણાંની લાંચ આપવી એટલું જ ભ્રષ્ટાચારમાં સામેલ થતું નથી. જીવનમાં મૂલ્યવિહીન, અનૈતિક, સિંદ્ધાત વિરુદ્ધ કરવામાં આવતું દરેક આચરણ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર માનવતાની પણ વિરુદ્ધ છે. કારણ કે તે માનવીય મૂલ્યો, આચાર-વિચાર, સિદ્ધાંત વિરુદ્ધનું વર્તન છે.

ભ્રષ્ટાચાર માનવીય માનસ સાથે સંકળાયેલી વસ્તુ છે. ત્યારે પ્રશ્ન એ છે કે એક લોકપાલ લાવી દેવાથી એટલે કે કોઈ તંત્રને દંડો લઈને વ્યવસ્થામાં રહેલા લોકોના વોચડોગ તરીકે બેસાડી દેવું ભ્રષ્ટાચારનો ઉકેલ છે? શું ભ્રષ્ટાચાર લોકોના ટોળા ભેગા કરવાથી, રેલીઓ કાઢવાથી, બૂમો પાડીને ભાષણો કરવાથી, ટેલિવિઝન પર ઉટપટાંગ દલીલો કરવાથી, તર્ક-વિતર્ક-કુતર્કની શ્રેણી ચલાવવાથી, ભારત માતા કી જયની ચીસો પાડવાથી અને દેશભક્તિના ગીતો પર નાચવાથી દૂર થવાનો છે? ભ્રષ્ટાચારનો ઉકેલ કોઈ કડક કાયદા ન હોઈ શકે. ભ્રષ્ટાચાર મૂલ્યો અને સિદ્ધાંતો જોડે સંકળાયેલી વસ્તુ છે. ભારતમાં મૂલ્યો અને સિદ્ધાંતોની શું સ્થિતિ છે? આજે ભારતમાં અનૈતિકતાને ઓજાર, મૂલ્યહીનતાને મિલ્કત અને સિદ્ધાંતહીનતાને સત્ય ગણીને પોતાના હિતો સાધવાને હોશિયારી ગણવાની નવી પરિભાષા સામે આવી છે. આ પ્રકારની પરિભાષા માનવીય માનસને ભ્રષ્ટાચારી બનાવે છે અને ભ્રષ્ટાચારનું મૂળ આ માનસિકતામાં રહેલું છે. અણ્ણા જનલોકપાલ લાવે કે જનતાલને લોકપાલ બનાવે, પણ તેઓ મૂલ્યહીનતા, સિદ્ધાંતવિહીનતા અને અનૈતિકતાને રોકવા માટે કોઈ એક્શન પ્લાન ધરાવતા નથી. ભારતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સેંકડો કાયદા છે. પણ તેમ છતાં ભ્રષ્ટાચારમાં દેશ નંબર વન બનવા તરફ આગળ જઈ રહ્યો છે. તેના કારણમાં ભારતનું માનસ પરિવર્તન છે. સ્વયંસંચાલિત સત્યાચારી ભારતીય વ્યક્તિ મૂલ્યહીનતા અને અનૈતિકાના માર્ગ પર પથભ્રષ્ટ બનીને ભ્રષ્ટાચારી બની ગયો છે. આજે દેશમાં એકપણ વ્યક્તિ એવો નહીં હોય કે જે પોતે 100 ટકા સત્યાચારી હોવાનો અને શૂન્ય ટકા ભ્રષ્ટાચારી હોવાનો દાવો કરી શકે. ખુદ ભ્રષ્ટાચાર ન કરવો તમને માત્ર ભ્રષ્ટાચારી નહીં બનાવે. ભ્રષ્ટાચાર થતો જોવો અને તેને રોકવા માટે કંઈ ન કરવું પણ તમને ભ્રષ્ટાચારી બનાવે છે.

ભારતના મૂલ્યો અને નૈતિકતાને તોડવાનું કામ 1200 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. ભારતના જીવન સિદ્ધાંતો બદલવા માટે જોર-જુલમ અને છેતરપિંડીનો 1200 વર્ષનો ઈતિહાસ છે. અંગ્રેજોએ ભારતના પરંપરાગત મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતા પર કુઠારાઘાત કર્યો. તેમના માનસિક ગુલામોએ આ બાબતને ભારતમાં આઝાદી પછી પણ આગળ વધારી. ઉદારીકરણના યુગમાં અંગ્રેજોના માનસિક ગુલામોએ દેશને વધારે પથભ્રષ્ટ કર્યો. દેશ ભોગવાદી બન્યો, દેશમાં પૈસો પરમેશ્વરના સ્થાને આવી ગયો. બસ કોઈપણ રીતે અને કોઈપણ ભોગે પૈસો પોતાની પાસે આવવો જોઈએ. ભોગવિલાસના સાધનો પોતાની પાસે અઢળક માત્રામાં હોવા જોઈએ. બસ આ માનસિકતા સાથેની પથભ્રષ્ટતા મંત્રીથી માંડીને સંત્રી સુધી વ્યાપક અને ઉંડી બની. તેના કારણે આજે 64 કરોડના કૌભાંડમાં હલબલી જનારો દેશ પોણા બે લાખ કરોડના કૌભાંડમાં પણ સંવેદનશીલતા બતાવવા માટે તૈયાર નથી. જે સંવેદનશીલતા દેખાય છે, તે માત્ર દેખાડો હોય તેવું વધારે લાગે છે. તેમા એ આગ નથી કે જે પરિવર્તનનો યજ્ઞ કરી શકે. જેપી આંદોલન જેવી આંચ હજી થઈ નથી. વીપી આંદોલન જેવો ઉભરો હજી આવ્યો નથી.

ભ્રષ્ટાચાર કોઈને હટાવવો નથી અને માટે તે હટતો નથી. પણ કોઈને ખુરશી પરથી ઉઠાડી પોતે ખુરશી પર બેસવા માટે ભ્રષ્ટાચારના નામે રાજકારણ ખેલનારા રાજકારણીઓ અને રાજકીય પક્ષોનો ખેલ બરાબર જામ્યો છે. ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સવાળી વ્યવસ્થા હોય તે સદા આવકાર્ય છે. પરંતુ તેનાથી આગળ વધીને વિચારવું પડશે કે ભારતીયોની માનસિકતા જ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સવાળી બને. તેના માટેની કોઈ જનલોકપાલ કરતા મોટી વ્યવસ્થા વિચારવી પડશે.

તેના માટે સમાજમાં મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતાના ભારતીય મૂલ્યોની પુનપ્રતિષ્ઠા કરવી પડશે. તેમની પુનપ્રતિષ્ઠા માટે જો કોઈ પ્રયત્ન થઈ શકે તો તે બાળકના ઉછેરથી શરૂ થઈ શકે. બાળકના ઉછેરમાં સૌથી મોટી ભૂમિકા માતા-પિતા અને શિક્ષક ભજવી શકે છે. તેમની સૌથી મોટી જવાબદારી છે કે બાળક ભ્રષ્ટાચારમુક્ત માનસિકતા સાથે જીવનના મોરચે આગળ વધે. તેના માટે પડી ભાંગેલી ભારતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવી પડશે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં અત્યારે મૂલ્ય, સિદ્ધાંત અને નૈતિક વિચારોની બાદબાકી જેવી સ્થિતિ છે. પહેલાના વખતમાં શાળામાં બાળક માત્ર શિક્ષિત જ ન હતો બનતો પણ સંસ્કારી પણ બનતો હતો. પરંતુ હવે શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થામાં શિથિલતા આવવાને કારણે બાળક શિક્ષિત તો બની જાય છે, પણ સંસ્કારી થઈ શકતો નથી. બાળકને શાળામાં ગણિત, વિજ્ઞાન અને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે, પણ મૂલ્ય શીખવાડાતા નથી, સિદ્ધાંતો ભણાવાતા નથી અને નૈતિકતા દેખાડાતી નથી.

આનું પરિણામ શું આવ્યું છે, તે આપણે આઝાદીના માત્ર 64 વર્ષમાં જોઈ શક્યા છીએ. 1000 વર્ષના ગુલામી કાળમાં ભ્રષ્ટાચાર ચોક્કસ પ્રકારના ઉપરના સ્તરે હતો. પરંતુ આઝાદીના 64 વર્ષમાં આપણે ભ્રષ્ટાચારને એટલો વિકસવા દીધો છે કે તે છેક નીચલા સ્તરે મૂળ સુધી પહોંચી ગયો છે. તેનું એકમાત્ર કારણ શિક્ષણમાંથી ભારતીય જીવન મૂલ્યો અને તત્વચિંતનની બાદબાકી છે. વ્યક્તિમાં ભારતીય જીવનમૂલ્યો જીવતા હોત, ભારતીય તત્વચિંતન હિલોરા મારતું હોત તો શું તે ભ્રષ્ટાચારી બની શકત? આટલા ભ્રષ્ટાચાર છતાં ભારતમાં હજી સુધી કોઈ સરકાર, નેતા, પક્ષ, એનજીઓ, સમાજસેવકે મૂલ્ય આધારીત શિક્ષણ માટે પરિણામદાયક પહેલ કરી નથી. બાકી ભ્રષ્ટાચારને ભગાડવા માટે અત્યારે જે પ્રયત્ન થઈ રહ્યા છે, તે આભને થીંગડા મારવાની કોશિશ જ સાબિત થવાના છે. બાકી વેલ્યુ એજ્યુકેશન વ્યક્તિને ઢાળમાં પણ ગબડે નહીં તેવો બનાવશે.

Sunday, November 27, 2011

25 કરોડ લોકોના રોજગાર પર સંકટની કાળીછાયા


-ક્રાંતિવિચાર

મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સરકારે 51 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપી દીધી છે. જ્યારે સિંગલ બ્રાન્ડ રીટેલમાં 100 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જી-20 દેશોના દબાણમાં લેવામાં આવ્યો છે. ભારતીય રીટેલ બજારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે જી-20 દેશો વડાપ્રધાન મનમોહન સિંહને બેઠકોમાં બોલાવી આનું દર વખતે દબાણ કરતાં હતા. જી-20 સમૂહના દેશોમાં રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ મૂડી રોકાણને ખુલ્લી છૂટ આપવાનો કરાર પહેલા જ થઈ રહ્યો છે. એટલે કે દેશની નીતિનું નિર્ધારણ જી-20 સમૂહની બેઠકમાં મનમોહન પર દબાણ કરીને લેવડાવી દેવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં તેની માત્ર કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી અપાવીને જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશિદે સંસદ બહાર કહ્યુ હતું કે રીટેલમાં એફડીઆઈનો મુદ્દો નીતિ વિષયક છે, તેની સંસદમાં ચર્ચાની જરૂર નથી. વળી જે રાજ્યો રીટેલમાં એફડીઆઈને મંજૂરી આપવા ન ચાહે તેઓ તેમ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ યુપીએ સરકારના ઘટક દળના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકારની અંદરથી નારાજગીના સૂર વ્યક્ત કર્યા. તેની સાથે ડાબેરી મોરચો, ભાજપ, બીએસપી અને અન્ય તમામ રાજકીય પક્ષોએ રીટેલમાં એફડીઆઈને મંજૂરી સામે વિરોધના સૂર વ્યક્ત કર્યા.

ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે વોલમાર્ટના સ્ટોર ભારતમાં ખુલશે, તો તેને તેઓ ખુદ આગ લગાડશે અને તેના માટે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે તેઓ જ્યાં સુધી સત્તા પર છે, ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં વિદેશી મલ્ટીબ્રાન્ડ રીટેલને ઘૂસવા દેશે નહીં. તેમણે રીટેલમાં વિદેશી રોકાણની છૂટને દેશને ગુલામ બનાવવાની સાજિશ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રીટેલમાં વિદેશી મૂડી રોકાણ રાહુલ ગાંધીના વિદેશી મિત્રોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જો કે માઝા મૂકતી મોંઘવારી કાબુમાં આવી જશે તેવા ઠાલા વાયદા કરતી સરકારને આશા છે કે રીટેલમાં એફડીઆઈની મંજૂરીથી મોંઘવારી છૂમંતર થઈ જશે.

જો કે વિશેષજ્ઞોનું એક જૂથ જણાવે છે કે દેશમાં સુપરમાર્કેટના કલ્ચરથી 1.2 કરોડ નાના દુકાનદારો, 4 કરોડ ફેરિયાઓ અને ઓછામાં ઓછા 20 કરોડ જેટલાં નાના ખેડૂતોની આજીવિકા જોખમમાં મૂકાશે. એટલે કે રીટેલમાં એફડીઆઈ અને સુપરમાર્કેટના આમંત્રણથી દેશના ઓછામાં ઓછા 25થી 26 કરોડ લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. આવી સ્થિતિમાં દેશનું શું દ્રશ્ય હશે, તેનો વિચાર કરીને જ કોઈને પણ કંપકપી થઈ જશે. ભારતીય રીટેલ વેપારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને મંજૂરી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલો નિર્ણય ગણાવવા વેપારી સરકારના એજન્ટ જેવાં મંત્રીઓ ઘણાં કથિત બૈદ્ધિક તર્કો આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી વધારે સુપરમાર્કેટ ધરાવતા અમેરિકાના ખેડૂતો લાભ મેળવવામાં પાછા કેમ પડે છે? અમેરિકાની સરકારે તેમને ભારે ભરખમ સબસિડી કેમ આપવી પડે છે? જ્યારે દુનિયાનું સૌથી મોટું રિટેલર જૂથ વોલમાર્ટ અમેરિકામાં જ છે, તો તેનાથી ત્યાંના ખેડૂતો ખુશહાલ બની જવા જોઈતા હતા. પરંતુ વાર્ષિક 21 લાખ કરોડનો ધંધો કરતી વોલમાર્ટ કંપનીના હોવા છતાં અમેરિકાના ખેડૂતોને ત્યાં સુખનો સૂરજ ઉગી શક્યો નથી. અમેરિકાની સરકારે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે 1995થી 2009ની વચ્ચે 12.5 લાખ કરોડ ડોલરની ભારે ભરખમ સબસિડી આપી છે. તેમ છતાં અમેરિકાનો ખેડૂત ખેતીવાડી છોડવા માટે મજબૂર બન્યો છે અને ગરીબી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે 28 કરોડની વસ્તીવાળા અમેરિકામાં ખેડૂતોની સંખ્યા 7 લાખથી પણ ઓછી થઈ ગઈ છે અને વર્ષ 2000 બાદની વસ્તીગણતરીમાં ખેડૂતોની અલગથી ગણતરી કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકા જ નહીં, દુનિયાના ઘણાં દેશોમાં મોટા રીટેલરોની ઓછી કિંમતોને કારણે ખેતી ખરાબ થઈ છે અને સાથે સ્થાનિક નાના રીટલરોનો કચ્ચરઘાણ નીકળ્યો છે. યૂરોપમાં મોટા રીટેલરોના બજારમાં છવાયા બાદ દર મિનિટે એક ખેડૂત ખેતીથી અળગો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, ફ્રાંસમાં 2009માં ખેડૂતોની આવક 39 ટકા ઘટી છે. આ પહેલા 2008માં ફ્રાંસમાં ખેડૂતોની આવકમાં 20 ટકાનો ઘટાડો થઈ ચુક્યો હતો. સ્કોટલેન્ડમાં મોટી સંખ્યામાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો પોતાનો ધંધો છોડી રહ્યા છે. આ બધાંનું કારણ સુપરમાર્કેટની ઓછી કિંમતોને ગણાવાય રહ્યું છે. ઉરુગ્વે, આર્જેન્ટિન અને કોલંબિયા જેવાં લેટિન અમેરિકી દેશોમાં પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ચલાવાય રહેલી સુપરમાર્કેટોથી ખેડૂતોની હાલત ખરાબ છે. આવી પરિસ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ભારતીય કૃષિની કાયાકલ્પ કરી નાખશે. પરંતુ આ વાત અહીંના ખેડૂતો અને નાના રીટેલરો સાથે જ છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર દેશ માટે વિશ્વાસઘાત છે.
ઉલ્લેખનીય છે કે ઉદારીકરણના તબક્કાની શરૂઆતથી દેશમાં ચાલેલી આર્થિક નીતિઓને કારણે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં ખેતી પર નભતી વસ્તી 80 ટકામાંથી ઘટીને 65 ટકાની આસપાસ પહોંચી ગઈ છે. કદાચ એક દશકા બાદ ભારતને કૃષિ પ્રધાન કહેવો કે નહીં તે પણ સવાલ ઉભો થશે. દેશમાં છેલ્લા દશ વર્ષમાં 12 લાખ જેટલાં ખેડૂતોએ ખેતીમાં ઉભી થતી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. આ સિલસિલો વત્તાઓછા પ્રમાણમાં ભારતના વિવિધ રાજ્યોમાં ચાલુ છે. ત્યારે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ ખેડૂતોની આત્મહત્યામાં વધારો નહીં કરે? પણ અમેરિકાના ઈશારે જી-20 દેશોના દબાણ નીચે નિર્ણયો કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ આ બાબતે વધારે વિચારતા હોય તેવું હજી સુધી લાગ્યું નથી. જો કે મમતા બેનર્જીના દબાણ નીચે યુપીએ સરકાર સંસદમાં રીટેલમાં એફડીઆઈનો મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઈ છે, તેટલો તેમનો પાડ માની શકાય.

કહેવામાં આવે છે કે સરકારે રીટેલ વેપારીઓના હિતને સંરક્ષણ આપવા માટે કેટલીક શરતો લગાવી છે. જેમકે કંપનીઓ મોટા શહેરોની આસપાસ જ કારોબાર કરશે અને 30 ટકા સામાન નાના ઉત્પાદકો પાસેથી ખરીદશે. પરંતુ અનુભવ એવો જ રહ્યો છે કે આ કંપનીઓને બોલાવતી વખતે કંઈક શરતો લગાવાય છે અને જ્યારે તેના વિસ્તરણ કરવાની વાત આવે છે, ત્યારે બીજી શરતો લગાવી દેવાય છે. પહેલા 30 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાની વાત થઈ રહી હતી. પરંતુ હવે આવી શરત લગાવવામાં આવી નથી.

સરકાર દાવો કરી રહી છે કે કંપનીઓ કૃષિ ઉત્પાદનોના સંસ્કરણ અને કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલાના માળખા પર મોટી રકમનું રોકાણ કરશે. બીજી તરફ સુપરમાર્કેટ તરફથી દાવો થઈ રહ્યો છે કે તેમને ત્યાં વચેટિયાં નહીં હોય, તેનાથી ખેડૂતોને વધારે ભાવ મળશે. પરંતુ હકીકતમાં તેનાથી ઉલ્ટું જ છે. સુપરમાર્કેટ ખુદ એક બહુ મોટા વચેટિયા કે દલાલની ભૂમિકામાં છે. તેઓ આ ધંધાની નાની માછલીઓને ગળી જાય છે. ધોતી-કુરતાવાળા પરંપરાગત શેઠિયાઓની જગ્યા સુપરમાર્કેટના ટાઈ-બેલ્ટવાળા દલાલો આવી જશે. તેમાંથી કેટલાંક મોટા વચેટિયા કમીશન પણ લેવા લાગ્યા છે. રિટેલરોના વચેટિયાઓના જૂથમાં ગુણવત્તા નિયંત્રક, સર્ટિફિકેશન એજન્સી, પેકેજિંગ ઉદ્યોગ, સંસ્કરણ ઉદ્યોગ અને હોલસેલ વિક્રેતાઓ સામેલ છે. આ નવા વચેટિયાઓને કારણે ખેડૂતોની આવક ઘટી જશે અને સુપરમાર્કેટનો નફો આસમાને પહોંચશે. તેના પરિણામે શક્યતા એવી છે કે ખેડૂતોનું નિકંદન નીકળશે અને તેમની આત્મહત્યાનો સિલસિલો થોભવાને સ્થાન વધશે. વળી મોંઘવારીથી ત્રસ્ત આમ આદમીને પણ કોઈ રાહત થશે નહીં, કારણ કે નફો સુપરમાર્કેટના ખિસ્સામાં જવાનો છે અને આમ આદમીને મોઢું વકાસીને જી-20 દેશો દ્વારા અમેરિકાની પ્રેરણાથી ભારતમાં લાગુ થનારી વ્યવસ્થાને જોયા સિવાય અને તેનો ભાગ બન્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં.

અમેરિકાના જુદાજુદા રાજ્યોમાં વોલમાર્ટના ફેલાવાને કારણે ગરીબી પર પડનારા અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ‘વોલમાર્ટ અને ગરીબી’ વિષય પર અમેરિકાની પેનસિલવેલનિયા યૂનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વિભાગના સ્ટીફન જે. ગોએત્જ અને હેમા સ્વામીનાથને 2004માં સંશોધન કર્યું છે. આ સંશોધન અભ્યાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે 1987માં જે અમેરિકી રાજ્યોમાં વોલમાર્ટના વધારે સ્ટોર હતા, ત્યાં 1999માં ગરીબીનો દર એ રાજ્યોની સરખામણીએ વધારે હતો, જ્યાં વોલમાર્ટના સ્ટોર ઓછા હતા. જે જિલ્લમાં 1987થી 1998ની વચ્ચે વોલમાર્ટના સ્ટોર ખુલ્યા છે, તે રાજ્યોમાં પણ ગરીબીનો દર વધારે રહ્યો હતો. અભ્યાસ પરથી એમ પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે આ ક્ષેત્રોમાં ગરીબી એ વખતે વધી, જ્યારે અમેરિકાના અન્ય ભાગોમાં ગરીબી ઘટી રહી હતી. વોલમાર્ટ જેવી વિદેશી રીટેલ કંપનીઓથી ભારતના રીટેલરોને પરસેવો છૂટી રહ્યો છે. કારણ કે વોલમાર્ટ સ્ટોર્સ કોર્પોરેશન દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની છે. તેનો વાર્ષિક કારોબાર 21 લાખ કરોડ રૂપિયા છે. તે દુનિયામાં ખાણીપીણીના સામાનનું સૌથી વધારે વેચાણ કરનારી કંપની છે. દુનિયાના 15થી વધારે દેશોમાં વોલમાર્ટના સાડા આઠ હજાર જેટલાં સ્ટોર્સ છે અને તેમાં લગભગ 21 લાખ લોકો કામ કરે છે. 2010માં વોલમાર્ટમાં 770 કરોડ લોકોએ ખરીદી કરી હતી, જ્યારે દુનિયાની કુલ વસ્તી 700 કરોડથી વધારે છે. વોલમાર્ટનો વાર્ષિક કારોબાર વિશ્વની 23મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર થવા જાય છે. મનમોહન સરકારની મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકાની એફડીઆઈથી ભારતમાં વોલમાર્ટ જેવાં ઘણાં વાવાઝોડાં આવે તેવી શક્યતા છે. તેમાં ભારતના ખેડૂતો અને રીટેલરોનું શું થશે તે સંદર્ભે ઈશ્વર જ માલિક છે હવે!

ખેતીની સાથે રોજગારની સ્થિતિ પણ ભયાનક રહી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્કોએ 11 હજાર અને સેન્સબરીએ 13 હજાર રોજગાર ઉભા કરવાનો વાયદો કર્યો હતો. બે વર્ષ બાદ ખબર પડી કે આ કંપનીઓએ કેટલાંક સો લોકોને રોજગાર આપ્યો છે. જ્યારે તેમના કારણે ઈંગ્લેન્ડમાં ઘણાં વધારે લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. વિશ્વના સૌથી વધારે ગરીબ ધરાવતાં ભારતમાં નાની ફેરી કરીને આજીવિકા કમાનારા 4 કરોડથી વધારે લોકો છે. તેમનું ભવિષ્ય આનાથી અંધકારમય બની જશે. દેશમાં કુલ 25 કરોડ લોકોના રોજગારને સુપરમાર્કેટોથી સીધી અસર પહોંચે તેવી સંભાવના રહેલી છે.
હકીકતમાં દેશમાં અત્યારે જરૂરત છે કે દેશભરમાં મંડીઓની સ્થાપનામાં સરકારી ખર્ચ વધારવામાં આવે, સરકારી ખરીદીના માધ્યમથી ખેડૂતોને બહેતર મૂલ્ય નિર્ધારણ કરવામાં આવે અને પાકના ભંડારણ અને વિતરણ માટે મજબૂત તંત્ર ઉભું કરવામાં આવે. પરંતુ અમેરિકા અને જી-20 દેશોની આંગળીએ નાચ નાચતા અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહના મનમોહનોમિક્સમાં આવી કોઈ જોગવાઈ હવે રહી નહીં હોય!

Friday, November 25, 2011

જનાક્રોશ સાથે રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી


-ક્રાંતિવિચાર
કૃષિ મંત્રી શરદ પવાર પર મોંઘવારી બેકાબુ થવા માટે ભૂતકાળમાં ઘણાં આરોપો લાગ્યા છે. પરંતુ તેમણે મોંઘવારી માટે પોતે જવાબદાર હોવાની વાતનો સદંતર ઈન્કાર કર્યા કર્યો છે. તેમણે મોંઘવારીને બેકાબુ થવામાં સરકારની સાંઝી જવાબદારી હોવાની વાત પણ કરી છે. પરંતુ દિલ્હીમાં ઈફ્કોના કાર્યક્રમમાં શરદ પવાર પર હુમલો કરવા માટે ટાંપીને બેઠેલા યુવક હરવિન્દર સિંહને શરદ પવારની કોઈ વાતની ખબર નહીં હોય અથવા તો તેને આવી કોઈ વાત ગળે ઉતરી નહીં હોય. દિલ્હીની કોર્ટે ભૂતકાળના એક ટેલિકોમ ગોટાળા માટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારે પણ આ યુવક કોર્ટ પરિસરમાં હતો અને કોર્ટમાંથી સજા ખાઈને બહાર આવી રહેલા સુખરામ પર હુમલો કર્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે હરવિન્દર સિંહે કૃષિ મંત્રી શરદ પવારને મોંઘવારીના મુદ્દે થપ્પડ ઝીંકી દીધી છે. શરદ પવારને અંદાજો પણ નહીં હોય કે દેશમાં થઈ રહેલી બેકાબુ મોંઘવારીની ગુંજ તેમના ગાલે સંભળાશે. આ ઘટના વખોડવા લાયક છે. તમામ રાજકીય પક્ષોએ તેને વખોડી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટના શા માટે ઘટે છે? તેની પાછળ ક્યાં કારણો છે? શું ભારતના લોકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે? શું ભારતના રાજનેતાઓને તેમની લોકલાગણી અને જનાક્રોશ સાથેની રાજરમત હવે ભારે પડી રહી છે? આ તમામ સવાલોના જવાબ સામાજિક અને રાજકીય સ્તરે મેળવવાનો પ્રયાસ મીડિયા સહીત તમામ વર્ગોએ કરવો જોઈએ.

દેશમાં છેલ્લા 7વર્ષથી મોંઘવારી સતત સરેરાશ બે અંકોમાં રહી છે. તાજેતરમાં મોંઘવારી માંડ બે અંકથી નીચે ગઈ છે. આ દેશમાં 70 કરોડ લોકો ગરીબ છે. ગરીબીની રેખા નીચે જીવતા રોજના માંડ 32 રૂપિયા પણ ન મેળવતા લોકોના જીવન માઝા મૂકી રહેલી મોંઘવારીમાં ભારે મુશ્કેલીવાળા બની ગયા છે. જો કે આવી દારૂણ પરિસ્થિતિમાં પણ સરકાર બેશરમીથી જવાબ આપી રહી છે કે દેશમાં ભૂખમરાથી છેલ્લા બે વર્ષમાં કોઈપણ મૃત્યુ થયું નથી. પરંતુ હકીકત એ છે કે દારૂણ ગરીબીવાળા અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ લોકોને અનાજના વિકલ્પ તરીકે જીવલેણ પાંદડાની ભાજી ખાઈને જીવન ગુજારવું પડે છે. તેમ છતાં વક્રતા એ છે કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો દેશના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીને મજબૂત લાગી રહ્યો છે. ભારતની અર્થ વ્યવસ્થા ચીન સાથે સ્પર્ધા કરી રહી છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનીને દુનિયાની સામે છે. હવે ભારતના મલ્ટિબ્રાન્ડ રિટેલમાં 51 ટકાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

ત્યારે સવાલ એ છે કે ભારતના મધ્યમ વર્ગથી ત્રણ ગણા મોટા ગરીબો માટે વિચારવા માટે ભારતના રાજનેતાઓ પાસે સમય નથી. દર વર્ષે મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાનારા પરિવારોની સંખ્યા ઘણી મોટી છે. જો કે ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવનારા લોકોની સંખ્યા ઘણી નહીવત છે. આ હકીકત હોવા છતાં આપણા ભારતનો વિકાસ દર 8-9 ટકા હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. વિકાસના રાગડા તાણતા રાજકારણીઓને ભારતની ગરીબી દેખાતી નથી. જો કે હકીકતમાં એવું છે કે તેઓ ભારતની ગરીબી પ્રત્યે અને ભારતના ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને મોંઘવારીનું ધીમું ઝેર આપીને ઠેકાણે પાડવા માંગે છે. આ દેશ માત્ર મૂડીવાદી માનસિકતા ધરાવતા કેટલાંક ધનવાનોનો દેશ બની ગયો છે. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતનું ઝડપથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન છેલ્લા એક દશકમાં 10 લાખ હેક્ટર જેટલી ઓછી થઈ છે. માંસની નિકાસમાં ભારતે ડંકો વગાડયો છે. વિશ્વમાં ભારત માંસ નિકાસકર્તામાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વિશ્વનું સૌથી વધુ પશુધન છે. પરંતુ જે તીવ્રતાથી દેશમાંથી માંસની નિકાસ થઈ રહી છે અને કતલખાના વધી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ દેશ માંસ નિકાસમાં પ્રથમ સ્થાને પહોંચશે પછી લાંબો સમય સુધી ત્યાં ટકી નહીં શકે. કારણ કે દેશનું પશુધન તો આપણે ખતમ કરી નાખ્યું હશે.

દેશમાં કુટિર ઉદ્યોગ અને ખેતી-પશુપાલન આધારીત ઉદ્યોગોનું નિકંદન નીકળી રહ્યું છે. રિટેલમાં વિદેશી નાણાંની ઘૂસણખોરી પણ ખતરનાક છે. તેના કારણે દેશમાં મોંઘવારી વધારે તીવ્રતાથી આગળ વધે તેવી શક્યતા છે. ત્યારે ગરીબ માણસને ભારતમાં જીવન જીવવું દુભર બની જશે. આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને દેશના નીતિ-નિર્ધારકો કહે છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમની પાસે જાદૂની લાકડી નથી. પરંતુ હકીકત એ છે કે મોંઘવારી વધારવા માટે તેમની પાસે જાદૂઈ લાકડી ઉપલબ્ધ હોય છે. છેલ્લા બે વર્ષથી દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને સક્ષમ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેશની જનતાને આ ડિસેમ્બર કે માર્ચમાં ઘટી જશેના ઠાલા વાયદા કરતાં રહે છે. આવી સ્થિતિમાં ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દુભર બની રહ્યું છે અને વક્રતા એ છે કે સરકાર દેશના વિકાસ દરને ટકાવી રાખવાની ચિંતામાં દેશના આમ આદમીની ચિંતા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે દેશમાં આમ આદમી ક્યાં સુધી પોતાની ધીરજ ટકાવી શકશે? આમ આદમી ક્યાં સુધી દેશના રાજનેતાઓની લોકલાગણીને આંગળી કરવાની નીતિઓ સામે પોતાનો જનાક્રોશ દબાવી શકશે? માની લો કે હરવિન્દર સિંહ નામનો યુવાન પાગલ હશે, પરંતુ તેને પાગલ બનાવવામાં સરકારની શું ભૂમિકા છે? માની લો કે હરવિન્દરને મીડિયામાં ચમકવાની કોઈ મહત્વકાંક્ષા હશે. પરંતુ લોકોમાં તેના આવા વખોડવા લાયક કૃત્યથી તે હીરો બની જાય તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે સરકાર કેટલી હદે જવાબદાર છે?

શરદ પવારને લાફો ઝીંકાયો ત્યારે ગાંધીવાદી અણ્ણા હજારેની પ્રતિક્રિયા હતી કે શું શરદ પવારને માત્ર એક જ લાફો મારવામાં આવ્યો? જો કે શરદ પવારની મજાક કર્યા બાદ અણ્ણા પોતાના સ્ટેન્ડમાંથી ફરી ગયા અને તેમણે સમગ્ર ઘટનાને વખોડી પણ તેમણે એવું તો કહ્યું જ કે લોકોમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સંદર્ભે ઘણો ગુસ્સો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ સરકારને મોંઘવારી સુપેરે કાબુમાં લેવાની ચેતવણી આપી હતી. તેમણે મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા દર્શાવી હતી. યશવંત સિંહાના આ નિવેદનને કોંગ્રેસ શરદ પવાર પરના હુમલા માટે જવાબદાર ગણાવે છે અને તેમને વિપક્ષનું આમા ષડયંત્ર દેખાય છે. આની તપાસ થવી જોઈએ. પરંતુ વિશ્લેષણ એ પણ થવું જોઈએ કે શું યશવંત સિંહા દેશમાં માઝા મૂકતી મોંઘવારીથી ઉભી થનારી પરિસ્થિતિને સારી રીતે વાંચી રહ્યા છે?

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બની રહેલી ઘટનાઓ ચિંતાજનક છે. અમરનાથ યાત્રા અને અમરનાથના શિવલિંગ પર બેફટ લોકલાગણી વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ સ્વામી અગ્નિવેશને અમદાવાદમાં તમાચો પડયો. ટીમ અણ્ણાના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીરમાં જનમત લઈને આઝાદી આપવાની તરફેણ કરી તો કેટલાંક માથા ફરેલા યુવાનોએ તેમને સુપ્રીમ કોર્ટ પરિસર ખાતેની તેમની ચેમ્બરમાં ઠમઠોર્યા અને હવે શરદ પવારને મોંઘવારીની થપ્પડ પડી. પરંતુ આમ આદમીમાં આ ઘટનાઓની પ્રતિક્રિયા જોઈએ તો મોટાભાગે લોકોને પોતાની લાગણીનો પડઘો પડયો હોવાની લાગણી થઈ રહી છે. વળી રાજકીય પક્ષો અને નેતાઓએ આવી ઘટનાને વખોડી છે. પરંતુ તેમણે આવી ઘટના શા માટે બની રહી છે, તેના કારણો શોધવાની વાત પણ એક યા બીજી રીતે કરી છે.

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદીએ કહ્યું છે કે શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પારીત નહીં થાય, તો વધારે થપ્પડ પડશે. ત્યારે ખરેખર બ્લેકકેટ કમાન્ડોના સુરક્ષાચક્રમાં ઘૂમી રહેલા રાજકારણીઓએ વિચારવું પડશે કે જો ભારતનો આમ આદમી વિફરશે તો તેમને કોઈ બ્લેકકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર બચાવી શકશે નહીં. ભારતના રાજનેતાઓએ ભારતના લોકોની લાગણીઓ સાથેની રાજરમત બાજુએ મૂકીને જનકલ્યાણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમની જનાક્રોશ સાથેની રમત તેમના રાજકીય જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

Sunday, November 13, 2011

કલામના અપમાન માટે અમેરિકાનો ઈસ્લામ ફોબિયા જવાબદાર!


-ક્રાંતિવિચાર

અમેરિકા દુનિયાભરમાં માનવતાવાદ અને સેક્યુલારિઝ્મનો ઝંડો પોતાના હિતોની તરફેણમાં હંમેશા ફરકાવતું રહ્યું છે. અમેરિકાની માનવતા ઈરાક અને અફઘાનિસ્તાનના હજારો નિર્દોષ નાગરીકોએ અનુભવી છે. અમેરિકાની માનવતા વિયેતનામે અનુભવી છે, અમેરિકાની માનવતા જાપાનના હીરોશીમા અને નાગાશાકીએ પણ અનુભવી છે. પોતાને માનવતાવાદી ગણાવતા અમેરિકા પાસે દુનિયાનો અનેકવાર વિનાશ કરવાની શક્તિ ધરાવતા ઘાતક પરમાણુ અને અન્ય શસ્ત્રોનો અખૂટ ભંડાર છે. અમેરિકાનું સેક્યુલારિઝ્મ પણ તેના માનવતાવાદ જેટલું જ પોકળ છે. અમેરિકા 9/11ની દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના બાદ સફાળી જાગી અને ત્યાર બાદની તેના દરેક એક્શનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાનું રિએક્શન જોવા મળ્યું છે. અમેરિકાના માનવા પ્રમાણે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પરનો હુમલો દુનિયાના તે વખતા સૌથી વધારે ખતરનાક અને ઘાતક ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલકાયદાએ તેના સરગના ઓસામા બિન લાદેનના આદેશ પર કર્યો છે. ત્યાર બાદ અમેરિકાએ પોતાના તમામ માનવતા અને સેક્યુલારિઝ્મના તમામ સિદ્ધાંતોને કોરાણે મૂકીને પાગલ હાથીની જેમ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. હજી પણ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના અને નાટોદળો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 2014 સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. પણ હજી સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે અમેરિકા પોતાના વચનનું પાલન કરશે.

સતત ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી આતંકી હુમલાના ભયાનક ઓથાર નીચે જીવતું અમેરિકા કદાચ નીતિઓ ઈસ્લામ અથવા મુસ્લિમો વિરુદ્ધ નહીં બનાવતું હોય, પરંતુ તેની દરેક કાર્યવાહી ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધની છે. અમેરિકાના પ્રવર્તમાન આતંકવાદ વિરોધી કાયદા લઈ લો, ઈમિગ્રેશન પોલીસી લઈ લો અથવા તેના એરપોર્ટ અને અન્ય જાહેર સ્થાનોની સુરક્ષાની વ્યવસ્થાના નીતિ-નિયમો અને કાયદા લઈ લો, તેમાં ક્યાંકને ક્યાંક કોઈને કોઈ રીતે મુસ્લિમો વિરુદ્ધની માનસિકતા પ્રતિબિંબિત થઈ રહી છે. અમેરિકાના નીતિ-નિયમો અથવા કાયદામાં મુસ્લિમ વિરોધી જોગવાઈઓ નહીં હોય, પરંતુ લાગે છે કે તેનો અમલ કરનારા અમેરિકીઓમાં મુસ્લિમ અને ઈસ્લામનો વિરોધ જાણે-અજાણે ઘર કરી ગયો છે.

તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના અતિસમ્માનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામનું બે વખત અપમાનજનક રીતે ચેકિંગ કરવામાં આવ્યું. 29 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પર પહેલા તો રાત્રે બે વાગ્યે ભારતના મિસાઈલમેન કલામની તલાશી લેવામાં આવી અને જ્યારે તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા, તો સુરક્ષાકર્મીઓએ વિમાનના બંધ દરવાજા ઉઘાડાવીને કલામની તલાશી લેવા માટે જીદ્દ કરી. એર ઈન્ડિયાના કર્મચારીઓએ કહ્યું કે કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, ત્યારે સુરક્ષાકર્મીઓ થોડા ઢીલા પડયા. પણ વિસ્ફોટકોની તપાસ કરવાના બહાને કલામના જૂતાં અને જેકેટ લઈને જતાં રહ્યાં.

ભારતના સૌથી સમ્માનીય રાષ્ટ્રપતિઓમાંથી એક અબ્દુલ કલામ દેશમાં સુરક્ષા તપાસમાંથી મુક્તિ મેળવનારા સમ્માનિત વ્યક્તિઓના બ્યૂરો ઓફ સિવિલ એવિએશનના લિસ્ટમાં સ્થાન ધરાવે છે. પરંતુ એપ્રિલ-2009માં દિલ્હી એરપોર્ટ પર કોન્ટિનેન્ટલ એરલાઈન્સના અધિકારીઓએ પણ કલામની તલાશી લીધી હતી. આ ઘટના ભારતમાં બની હોવાથી મોટો હોબાળો મચી ગયો હતો. તેના પરિણામે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સના અધિકારીઓ વિરુદ્ધ આપરાધિક કેસ દાખલ કરવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

ભારતના સૌથી સમ્માનિત વૈજ્ઞાનિકોમાંના એક ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ ભારતના મિસાઈલ પ્રોજેક્ટના પિતામહ છે. દેશની સુરક્ષા જરૂરિયાતોની પૂર્તિ કરીને તેને પગભર બનાવવામાં કલામનું અથાગ યોગદાન રહેલું છે. ગીતાનું અધ્યયન કરનારા કલામ ખરેખર દેશહિતચિંતક રાષ્ટ્રપુરુષ છે. તેઓ પંથ-સંપ્રદાયના તમામ ભેદભાવોથી પર છે. તેમના જીવનકાળમાં ક્યારેય પંથ-મજહબના નામે કોઈપણ પ્રકારની સંકુચિતતાને સ્થાન હોવાનું ક્યારેય સામે આવ્યું નથી. આવા મહાન વ્યક્તિને દેશના રાષ્ટ્રપતિ બનવાનું સમ્માન પણ મળ્યું છે. ભારતમાં રાષ્ટ્રપતિને ટર્મ પૂર્ણ થયા બાદ પણ વિશેષ સમ્માન આપવામાં આવે છે. પરંતુ કલામની સાદગીને કારણે તેમણે પોતાના વિશેષાધિકારની ક્યારેય પરવાહ કરી નથી. તેઓ હાલ ભારતના કોમનમેન બનીને સારા કાર્યો કરી રહ્યાં છે.
અમેરિકાની તાજેતરની અપમાનજનક ઘટના બાદ પણ તેમના નજીકના સૂત્રોનું માનીએ તો કલામ આવી ચીજોને કોઈ મુદ્દો બનાવતા નથી અને વાત વધાર્યા વગર સુરક્ષા એજન્સીઓ સાથે હંમેશા સહયોગ કરે છે. આ કલામની મહાનતા છે. પરંતુ સવાલ કલામ નામના વ્યક્તિનો નથી. સવાલ ભારતના રાષ્ટ્રપતિ પદે રહેલા વ્યક્તિની ગરિમાનો છે. કલામ સાથેના કોઈપણ અપમાનજનક વ્યવહાર સીધી રીતે ભારત સામેના અપમાનજનક વ્યવહાર તરીકે જ જોવો જોઈએ.

શું અમેરિકા અન્ય દેશોના ગણમાન્ય વ્યક્તિઓના આવા ચેકિંગ કરે છે? શું અમેરિકાએ રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અથવા અન્ય દેશોના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ ગણમાન્ય રાષ્ટ્રપતિઓ કે વડાપ્રધાનોનું ચેકિંગ કરે છે? જો તેઓ આમ ન કરતાં હોય તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ચેકિંગ માત્ર તેમના નામને કારણે તો કરવામાં આવ્યું નથી ને? શું મુસ્લિમ હોવાનું દર્શાવતા નામોની સાથે અમેરિકી સુરક્ષા એજન્સીઓને કોઈ પક્ષપાત હોય છે? આ તમામ બાબતોના જવાબ ભારત સરકારે અમેરિકા પાસેથી માંગવા રહ્યાં. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે કલામ સાથેના એરપોર્ટ પર થયેલા અપમાનજનક વ્યવહારનો મામલો ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે, તે પ્રશંસનીય છે.

ભારતે કહ્યું છે કે જો એવી અસ્વીકાર્ય પ્રવૃતિઓ રોકાશે નહીં, તો અમેરિકાથી આવનારા સમ્માનિત અતિથિઓ સાથે પમ આવી જ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ અમેરિકામાં ભારતના રાજદૂત નિરુપમા રાવ સાથે વાતચીત કરતાં તેમને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ મામલાને લેખિતમાં વોશિંગ્ટન ખાતે શીર્ષસ્થ સ્તર પર ઉઠાવે. ભારતની સુરક્ષા તપમાસમાં છૂટ મેળવનારા વ્યક્તિઓની યાદી અમેરિકા માટે બાધ્યકારી નથી, પરંતુ તેમણે પણ સમ્માનિત લોકોના મામલામાં એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે કરીએ છીએ. થોડા વખત પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા, પરંતુ તેમને કોઈપણ પ્રકારની સુરક્ષા તપાસમાંથી પસાર થવાનો વખત આવ્યો ન હતો.

અમેરિકા દ્વારા ભારતના નામી લોકો સાથેનો દુર્વ્યવહાર કંઈ નવી વાત નથી. ભારતના ફિલ્મ એક્ટર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને તેમના નામને કારણે લગભગ 8થી 9 કલાક સુધી એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડયું હતું. આ સિવાય જ્યોર્જ ફર્નાન્ડિઝ એનડીએ સરકારમાં સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે તેમને અમેરિકી પ્રવાસ દરમિયાન કપડાં કઢાવીને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. જેનો તેમણે ભારત પાછા ફરીને ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ભારતના સમ્માનિત વ્યક્તિઓના સમ્માનને જાળવી રાખવા માટે કડક શબ્દોમાં કહેવું જોઈએ. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ફિલ્મ એક્ટર્સ છે, એટલે તેમનું ચેકિંગ કરે તેની સામે તો કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ તેમના નામને કારણે તેમને વધારાની કનડગત કરવામાં આવે તે પણ ખોટું છે.

સેક્યુલારિઝ્મ અને માનવતાનો દંભ કરતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓ મોટાભાગે ઈસ્લામ ફોબિયાથી પીડાતી હોય તેવું લાગી રહ્યું છે. તેમના ઈસ્લામ ફોબિયાના જે પણ કોઈ કારણ હશે, પરંતુ તેમ છતાં પણ તેમણે તેનો ઈલાજ કરવો જોઈએ. તેના માટે તેઓ બહારી ઈલાજ તો કરી રહ્યાં છે, પણ કલામ સાથેના દુર્વ્યવહાર પરથી સ્પષ્ટ બન્યું છે કે તેમના ઈસ્લામ ફોબિયાને દૂર કરવા માટે આંતરીક મનોચિકિત્સકીય ઈલાજની પણ જરૂર છે. ભારતને સેક્યુલારિઝ્મના ઉપેદશ આપવા માટે અને સેક્યુલારિઝ્મ શીખવાડવા માટે અમેરિકા પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ઘણો પ્રયત્ન કરી રહ્યું છે. તેના નાણાંથી ફલતી-ફૂલતી એનજીઓનો ભારતમાં કોઈ તોટો નથી. પરંતુ ભારતમાં હજી સુધી આ પ્રકારની કોઈ દેશના સમ્માનિત વ્યક્તિ સાથે અપમાનિત કરવાની ઈસ્લામ ફોબિયાથી કારણભૂત ઘટના બની નથી.

Friday, November 4, 2011

ભારતની ધાર્મિક જનસાંખ્યાયિકીમાં અસંતુલન જોખમી


-ક્રાંતિ વિચાર

ધર્માંતરણ રાષ્ટ્રાંતરણ હોવાની વાત ભારતના વિભાજન અને ત્યાર બાદના ભારતમાં ચાલી રહેલી ભાગલાવાદી અને આતંકવાદી ઘટનાઓથી સાબિત થઈ ગયું છે. ભારતમાં હિંદુ ધર્માંતરીત થયો અને મુસ્લિમ બન્યો તો પહેલા અફઘાનિસ્તાન અને ત્યાર બાદ પાકિસ્તાન ભારતથી કપાઈને અલગ થયું. આજે ભારતમાં સદીઓથી ચાલેલા બળજબરીપૂર્વકના મુસ્લિમ ધર્માંતરણથી અખંડ ભારતના પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવાં દેશો બન્યા છે. વિભાજન બાદની આઝાદી પછીના ભારતમાં જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ બહુલ ખીણ વિસ્તારમાં મુસ્લિમ ભાગલાવાદ અને આતંકવાદ શરૂ થયો. ત્યાંથી ત્રણ લાખ હિંદુ પંડિતોને વિસ્થાપિત કરવામાં આવ્યા. અત્યારે પણ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ધર્મના નામે ભાગલાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરી રહ્યું છે. આસામ અને પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ દેશ વિરોધી પ્રવૃતિઓ જોરશોરથી ચાલી રહી છે. આઈએસઆઈને ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહીતના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સ્લિપર સેલ મળી રહે છે. જેના કારણે ભારતમાં વિસ્ફોટોનું એક દુષ્ચક્ર ચાલી રહ્યું છે. મુંબઈ હુમલામાં પણ છેલ્લે છેલ્લે સ્થાનિક મદદની વાત બહાર આવી રહી છે.

આ સિવાય પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તી મતનો પ્રભાવ અને તેના મતાવલંબીઓની સંખ્યા વધી તેમ તેમ ત્યાં પણ અલગતાવાદી પ્રવૃતિઓએ માઝા મૂકી છે. ભારત વિરોધી પ્રવૃતિમાં ખ્રિસ્તી મિશનરીઓના દોરીસંચારથી પહેલા મિઝોરમ બાદમાં નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા વગેરે સ્થાનો પર આતંકવાદી પ્રવૃતિઓ થઈ રહી છે. દેશના છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વનવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના સક્રિય થવાને કારણે ખ્રિસ્તી મતાવલંબી વધ્યા છે અને ભારત વિરોધી હિંસક માઓવાદી પ્રવૃતિઓ પણ વધી છે. ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનરીઓના ધર્માંતરણનો વિરોધ કરનારા સ્વામી લક્ષ્મણાનંદને પોતાના જીવનું બલિદાન આપવું પડયું છે. તેમની હત્યામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓ સામેલ છે. છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નક્કર પરિણામ લાવીને ખરા દોષિતોને સજા કરવાનું પગલું ભરી રહી નથી.

ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય છે. અહીં 1951ની સરખામણીએ ખ્રિસ્તીઓની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય ગુજરાતના નર્મદા, સાબરકાંઠા, જેવાં વિસ્તારોમાં પણ ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃતિ ચાલી રહી છે. કચ્છના સરહદી વિસ્તારોમાં મુસ્લિમ મદરેસાઓ અને સંસ્થાઓ દ્વારા ધર્માંતરણને ઉત્તેજન અપાઈ રહ્યું છે. ભારતમાં હિંદુઓ 2011ના સેન્સસ પ્રમાણે 80 ટકાની અંદર રહેશે તેવું અનુમાન કરવામાં આવે છે. હિંદુઓનો વસ્તીવૃદ્ધિનો દર દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓના વસ્તી વૃદ્ધિદરના પ્રમાણમાં ઘણો ઓછો છે. દેશમાં ધર્માંતરણ, બહુપત્નીત્વ, કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં અસહકાર, લવ જેહાદ વગેરેને કારણે મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. દેશમાં ધાર્મિક સમુદાયોની વસ્તીનું સંતુલન ખૂબ મોટા પ્રમાણમાં ખોરવાઈ રહ્યું છે. તાજેતરના વર્ષોની ઘટના-દુર્ઘટનાઓ પરથી સામે આવી રહ્યું છે કે દેશના જે ભાગમાં હિંદુ ઘટયા તે ભાગ ભારતના મૂળથી કપાઈ રહ્યાં છે. દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તીનું પરિદ્રશ્ય નીચે દર્શાવ્યું છે.


ભારતમાં ખ્રિસ્તી મતના લોકોની વસ્તી

ભારતમાં સેન્સસ-2011 પ્રમાણે દેશની વસ્તી 121 કરોડે પહોંચી છે. દેશની કુલ વસ્તીમાંથી ખ્રિસ્તી મતને અનુસરનારા લોકોની સંખ્યા 2001ના સેન્સસ પ્રમાણે, 2.3 ટકા એટલે કે 2 કરોડ 40 લાખ થાય છે. સેન્સસ-2011ના ધર્મ આધારીત જનસંખ્યાના આંકડા હજી સુધી બહાર પડયા નથી. પરંતુ અનુમાન છે કે દેશના સરેરાશ વસ્તીવૃદ્ધિના દર કરતાં ખ્રિસ્તીઓની વસ્તીનો વૃદ્ધિદર વધારે રહેશે. તેવા સંજોગોમાં ખ્રિસ્તી મતના અનુયાયીઓની સંખ્યા ભારતમાં વધી છે. ખ્રિસ્તી મતના અનુયાયીઓમાં ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર છે. ખ્રિસ્તી મતના લોકોની વસ્તી વધવાનું મુખ્ય કારણ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વનવાસી વિસ્તારો અને દલિત વસ્તીઓમાં ચાલી રહેલા ધર્માંતરણના કામ છે. દેશમાં ખ્રિસ્તી મતાવલંબીઓમાંના 67.4 ટકા રોમન કેથોલિક, 18.3 ટકા પ્રોટેસ્ટંટ અને 14.3 ટકા ઈસ્ટર્ન ઓર્થોડોક્સ નામના પેટાપંથના છે.

2001ના સેન્સસના ધર્મ આધારીત મતાવલંબીઓના આંકડા પ્રમાણે, દેશની વસ્તીના 2.3 ટકા ખ્રિસ્તીઓ છે. તેમાં મિઝોરમમાં 90.5 ટકા, નાગાલેન્ડમાં 90.0 ટકા, મેઘાલયમાં 70.3 ટકા, મણિપુરમાં 34 ટકા, ગોવામાં 26 ટકા, અંદમાન-નિકોબારમાં 21.7 ટકા, કેરળમાં 19 ટકા, અરુણાચલ પ્રદેશમાં 18.7 ટકા, પોન્ડિચેરીમાં 7 ટકા, સિક્કિમમાં 6.6 ટકા, તમિલનાડુમાં 6.06 ટકા, ઝારખંડમાં 4.05 ટકા, આસામમાં 3.7 ટકા, ત્રિપુરમાં 3.2 ટકા, ઓરિસ્સામાં 2.4 ટકા, કર્ણાટકમાં 2 ટકા, આંધ્ર પ્રદેશમાં 1.5 ટકા, મહારાષ્ટ્રમાં 1.09 ટકા ખ્રિસ્તી મતાવલંબી લોકો છે. ઉલ્લેખનીય છે કે 1901ના સેન્સસ પ્રમાણે, કે જેને અંગ્રેજોએ કર્યો હતો- તેમાં પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા માંડ 2 ટકા હતી. અત્યારે પૂર્વોત્તર ભારતના આસામ અને ત્રિપુરા સિવાયના રાજ્યોમાં ખ્રિસ્તીકરણ તેના પૂર્ણ લક્ષ્યાંકોને પામી રહ્યું છે.

આસામ સિવાયના બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં 1901માં માંડ 2.22 ટકા ખ્રિસ્તીઓ હતા. હાલ 2001ના સેન્સસના આંકડા પ્રમાણે અહીં કુલ 6 રાજ્યોની વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા 38.96 ટકા થાય છે.

દેશની કુલ ખ્રિસ્તી વસ્તીમાંથી અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 9.0 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 32.80 ટકા છે. અન્ય પછાત વર્ગોમાંથી ખ્રિસ્તી બનેલાઓની સંખ્યા 24.8 ટકા છે તથા અન્ય જાતિઓમાંથી ખ્રિસ્તી હોય તેવા 33.3 ટકા લોકો છે. (સચ્ચર કમિટીના કાસ્ટ ડેમોગ્રાફીક ડેટા પરથી)

આસામ અને ત્રિપુરા સિવાયના બાકીના તમામ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓએ 1901થી શરૂ કરેલું ધર્માંતરણનું કામ તેના પૂર્ણ લક્ષ્યાંક સુધી પહોંચી ગયું છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં તો 1991માં જ ખ્રિસ્તીકરણ સંપૂર્ણ બન્યું હતું. પૂર્વોત્તર ભારતના આ રાજ્યોમાં ઉગ્રવાદ અને આતંકવાદ થકી અલગતાવાદની ઘણી મોટી સમસ્યા છે. ભારતની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ બનેલા અનેક આતંકવાદી સંગઠનોને ખ્રિસ્તી મિશનરી પૂર્વોત્તર ભારતમાં નૈતિક અને અન્ય પ્રકારના ટેકાઓ પૂરા પાડી રહી છે. તેમ છતાં પૂર્વોત્તર ભારતમાં અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ સહીતની અન્ય રાષ્ટ્રવાદી સંસ્થાઓના પ્રયત્નોથી ખ્રિસ્તી ધર્માંતરણ પર કંઈક હદે કાબુ મેળવી લેવાયો છે. પરંતુ હજી તે પુરતું નથી. તેના માટે ભારતના અન્ય ભાગોમાંથી સહયોગ સાથે સરકારનો સહકાર પણ ઘણો જરૂરી છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં રહેલા આતંકવાદી જૂથને હાથો બનાવીને ચીન અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પોતાના હિતો સાધી રહી છે.

1972માં ભારતમાં 26 મિશનરી એજન્સીઓ હતી, 1997માં તેની સંખ્યા 200ની થઈ અને અત્યારે તે હજારનો આંકડો વટાવી ગઈ છે. તેમાં સેવાકાર્યો અને સેક્યુલારિઝમના આંચળા નીચે વટાળ પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરનારી એજન્સીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દરરોજ પાંચ હજાર લોકો ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે. એટલે કે દર 17.28 સેકન્ડે ભારતમાં હિંદુ ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે.

ભારતમાં મુસ્લિમોની વસ્તીના આંકડા

ભારતમાં 2030 સુધીમાં મુસ્લિમોની વસ્તી દેશની કુલ વસ્તીના 16 ટકા થાય તેવી સંભાવના છે. પીસ ફોરમ ઓન રિલિજન એન્ડ પબ્લિક લાઈફ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે 2030માં દેશમાં મુસ્લિમોની વસ્તી 23 કરોડ 61 લાખ 82 હજારને પાર કરી જશે. ધ ફ્યૂચર ઓફ ધ ગ્લોબલ મુસ્લિમ પોપ્યુલેશનમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભારત સહીત વિશ્વમાં મુસ્લિમોની વસ્તીમાં બેગણો વધારો થશે. 2010માં ભારતમાં મુસ્લિમોની વસ્તી 17 કરોડ 72 લાખ 86 હજાર હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે દેશની કુલ વસ્તીના 14.6 ટકા છે. માનવામાં આવે છે કે 2030માં દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે.

મુસ્લિમોની વસ્તીવૃદ્ધિનો દર દેશના વસ્તી વૃદ્ધિદરની સરખામણીએ 10 ટકા વધારે છે. 1991-2001ના દશકમાં હિંદુઓનો વસ્તી વૃદ્ધિદર 20.3 ટકા હતો, જ્યારે મુસ્લિમોની વસ્તીવૃદ્ધિ 36 ટકાના દરથી થઈ હતી. (સરકારે આંકડાની માયાજાળ કરીને મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર સુધારીને નીચો કર્યો હતો.)

દેશના સૌથી વધારે મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં રહે છે. જમ્મુ-કાશ્મીર દેશનું મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે. જ્યાં કાશ્મીર ખીણ પ્રદેશ 95 ટકા મુસ્લિમ વસ્તી ધરાવે છે. અહીંથી ત્રણ લાખ જેટલાં કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતના જમ્મુ અને દિલ્હી જેવાં અન્ય શહેરોમાં શરણાર્થી તરીકે જીવન ગુજારે છે.

ભારતમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિનો દર દિલ્હીમાં સૌથી ઉંચો 51.45 ટકા છે. દિલ્હીમાં 9.44 ટકા મુસ્લિમો છે. ત્યાર બાદ આસામમાં 41.62 ટકાનો મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર છે. આસામમાં 28.43 ટકા મુસ્લિમો છે. રાજસ્થાનમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિનો દર 41.46 ટકા છે. રાજસ્થાનમાં 8.01 ટકા મુસ્લિમો છે. ઉત્તર પ્રદેશમાં 36. 54 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 17.33 ટકા છે. પશ્ચિમ બંગમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 23.61 ટકા છે. બિહારમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 14.81 ટકા છે. મહારાષ્ટ્રમાં 31.40 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 9.67 ટકા છે. કેરળમાં મુસ્લિમોની વસ્તી વૃદ્ધિનો દર 25.49 ટકા છે અને તેઓ અહીં 23.33 ટકા છે. આંધ્ર પ્રદેશમાં 30.66 ટકાના વૃ્દ્ધિ દરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.91 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર 25.71 ટકા છે અને ત્યાં મુસ્લિમો કુલ વસ્તીના 11.64 ટકા છે. જમ્મુ-કાશ્મીરમાં 30 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 64.18 ટકા થાય છે. ગુજરાતમાં 24.05 ટકના વૃદ્ધિદરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.73 ટકા થાય છે. મધ્ય પ્રદેશમાં 31.21 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમોની ટકાવારી 4.96 ટકા છે. તમિલનાડુમાં 21.14 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 5.47 ટકા છે. લક્ષદ્વીપમાં મુસ્લિમો 90 ટકા છે.

મુસ્લિમોમાં 39.2 ટકા ઓબીસીમાંથી ધર્માંતરીત થયેલા લોકો છે. 0.80 ટકા મુસ્લિમો અનુસૂચિત જાતિમાંથી અને 0.50 ટકા મુસ્લિમો અનુસૂચિત જનજાતિમાંથી ધર્માંતરીત થયેલા છે. 59.5 ટકા મુસ્લિમો કેટલીક સદીઓ પહેલા અન્ય જાતિઓમાંથી ધર્માંતરીત થયેલા છે.

દેશમાં ધાર્મિક જનસાંખ્યાયકીના આટલા ભયજનક આંકડા પાછળ મુસ્લિમ અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આઝાદી પહેલા અને પછી ચલાવવામાં આવેલું ધર્માંતરણનું કારણ સૌથી મોટું છે. ધર્માંતરણે ભારતના રાષ્ટ્રીય ચરિત્ર પર આઘાત કર્યો છે. 1947માં ભાગલાના જનોઈવઢ ઘા પછી ભારતમાં ફરીથી તેવી પરિસ્થિતિ પેદા ન થાય તેના માટે ભારતના લોકોએ વિચારવાનો સમય પાકી ગયો છે. ભારતમાં આતંકવાદીઓ સાથેના મુસ્લિમ સમાજના પાંચમી કતારિયાના સંબંધો અને ખ્રિસ્તી મિશનરીઓના માઓવાદીઓ તથા પૂર્વોત્તરના ઉગ્રવાદીઓ સાથેના સંબંધો ઉજાગર કરીને તેને તાત્કાલિક નશ્યત કરવાની દિશામાં પગલા લેવા જોઈએ. ભારતે ફરીથી વિભાજનના ઈતિહાસનું પુનરાવર્તન ટાળવું હશે તો ભારતની ધરતી પર પેદા થઈને વિકસેલા તમામ ધર્મોના લોકોમાં ધર્માંતરણ રોકવું પડશે. આ સિવાય જે લોકો ધર્માંતરીત થઈને મુસ્લિમ અથવા ખ્રિસ્તી બન્યા છે, તેમને ભારતીય જીવનધારા સાથે જોડવા માટે પ્રયત્નો કરવા પડશે.

Thursday, November 3, 2011

ચીન-પાક સૈન્ય કવાયતો “યૂયી”ના ખતરનાક ઈરાદા


-આનંદ શુક્લ

ચીન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક દશકામાં સંયુક્ત સૈન્ય પ્રવૃતિઓમાં ઉત્તરોત્તર વ્યૂહાત્મક રણનીતિ નીચે વધારો થઈ રહ્યો છે. તેના કારણે ભારત સરકારે પણ ચીન અને પાકિસ્તાનને જવાબ આપવા માટે પોતાની વ્યૂહરચના વધુ સુદ્રઢ બનાવી છે. ભારતે ચીન સરહદે પાંચ વર્ષમાં એક લાખથી વધારે સૈનિકો તહેનાત કરવાની યોજના જાહેર કરીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને ચીનના સૈન્ય ગઠબંધનથી ભારત માટે ચિંતાના ઘણાં કારણો ઉભા થયા છે. ચીન પાકિસ્તાન સાથે સૈન્ય ગતિવિધિઓ વધારીને ભારત પર સામરીક દબાણ ઉભું કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાનને પણ ભારત વિરુદ્ધ હવા ભરીને તૈયાર કરી રહ્યું છે.

ચીની ભાષામાં ‘યૂયી’નો અર્થ મિત્ર થાય છે. પાકિસ્તાન આગામી સપ્તાહે યૂયી-4ની તૈયારીમાં લાગેલું છે. યૂયી-4 ચીન અને પાકિસ્તાન વચ્ચે ચોથી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. બે સપ્તાહ સુધી ચાલનારો આ સંયુક્ત અભ્યાસ ક્યાં થવાનો છે, તેના સંદર્ભે પાકિસ્તાને હજી સુધી કોઈ જ માહિતી જાહેર કરી નથી. આ પહેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતને સામરીક સંદેશ આપતાં ત્રણ સંયુક્ત સૈન્ય અભ્યાસો થઈ ચુક્યા છે. આમાની એક સંયુક્ત સૈન્ય કવાયત પાકિસ્તાનમાં અને બાકીની બે ચીનમાં થઈ છે.

2004માં પહેલીવાર ચીને શિન્ચિયાંગ પ્રાંતના ટેક્સકોરગનમાં પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ કર્યો હતો. તેને યૂયી-1 તરીકે ઓળખવામાં આવ્યો હતો. 2006માં યૂયી-2 પાકિસ્તાનાના એબટાબાદની પહાડીઓમાં કરવામાં આવ્યો હતો. આ એ જ એબટાબાદ છે કે જ્યાં અલકાયદાનો સરગના ઓસામા બિન લાદેન છુપાયો હતો. ચીની મિલિટ્રી એજન્સીને ઓસામા બિન લાદેન એબટાબાદમાં છૂપાયો હોવાની જાણ ન હોય, તો તે ચીની સેનાની જાસૂસી વિફળતા ગણવી જોઈએ.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 101મી એન્જિનિયરિંગ રેજીમેન્ટ આ વર્ષ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં રાજસ્થાન અને પંજાબની સીમાઓ પર પાકિસ્તાની સેના સાથે સંયુક્ત કવાયત કરી ચુકી છે. આ લશ્કરી કવાયતને યૂયી-3 નામ આપવામાં આવ્યું હતું. આ સૈન્ય કવાયત ભારતીય સરહદના ઘણાં વિસ્તારોમાં થઈ. તે દરમિયાન પાકિસ્તાનના રહીમીયાર ખાન પાસે સુરયાન અને ચોર માનના જે વિસ્તારોમાં ચીનની સેનાની આખી બ્રિગેડ હતી, તે ભારતના જેસલમેર જિલ્લાના તાનોટ-કિશનગઢથી ઘણી નજીકમાં હતી.

રાજસ્થાન અને પંજાબની સરહદો પર કોઈ એક માસ સુધી ચીન અને પાકિસ્તાની સેનાની સંયુક્ત કવાયત થતી રહી અને ભારત ચુપચાપ જોતું રહ્યું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ વાત સામાન્ય જનતાની જાણકારીની પહોંચની બહાર રાખી. પરંતુ એપ્રિલ-2011માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાર હજાર ચીની સૈનિકોની હાજરી હોવાની વાત ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કે.ટી.પરનાયકે કરી અને તેની સાથે જ ચીનની પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિયતા એક ઘણો મોટો મુદ્દો બની ગયો. ભારતીય સેનાના વડા જનરલ વી. કે. સિંહે પણ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સૈનિકોની ઉપસ્થિતિની વાતને સ્વીકારી છે.

વળી ચીન પાકિસ્તાનના તાલિબાની વિસ્તારમાં પોતાનું લશ્કરી થાણું સ્થાપવા માગે છે. તેની પાછળ તેનો હેતુ તેના શિન્ચિયાંગ પ્રાંતમાં ઉઈગુર આતંકવાદીઓને કાબુમાં રાખવાનો છે. ચીને આ પહેલા પાકિસ્તાનને શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને પાકિસ્તાનના વજીરીસ્તાન જેવાં વિસ્તારોમાં તાલીમ મળતી હોવાની વાત કરીને ઝાટકણી પણ કાઢી હતી. આ સિવાય પાકિસ્તાને બલુચિસ્તાન ખાતેના ગ્વાદર પોર્ટ નજીક ચીની નૌસેનાનું થાણું બની રહ્યું છે. ચીન એક વર્ષથી તેની પાછળ લાગેલું હતું. હવે આ પ્રોજેક્ટને પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. આ માત્ર કહેવાની વાત છે કે ચીન ગ્વાદર ખાતેના નૌસૈનિક થાણાંથી શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને કાબૂમાં રાખવાની તજવીજ હાથ ધરશે. હકીકતમાં ગ્વાદર ખાતેના ચીની નૌસેનાના થાણું ભારત સરકાર માટે અલ્ટીમેટમ છે કે તેઓ પોતાની નૌસેનાને ઝડપતી મજબૂત કરે અને અરબી સમુદ્રમાં પોતાના વર્ચસ્વ માટે વધુ સક્રિય બનાવે.

ચીન દ્વારા ગ્વાદર નજીક નૌસૈન્ય થાણાંની સ્થાપના માટે સરસ વાર્તા બનાવવામાં આવી છે. ચીનના શિન્ચિયાંગ પ્રાંતમાં સક્રિય ઉઈગુર મુસ્લિમ વિદ્રોહીઓ અને અલકાયદા સાથે જોડાયેલા તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટના સભ્યોની ટ્રેનિંગ બલુચીસ્તાનમાં થાય છે. તેમને ઈરાદો શિન્ચિયાંગને એક અલગ ઈસ્લામિક દેશ ઘોષિત કરવાનો છે. પરંતુ ચીન દ્વારા બનાવાયેલી વાર્તાથી સત્ય ઘણું અલગ છે. ચીન જે પ્રકારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ નજીક નૌસૈન્ય થાણું બનાવી રહ્યું છે, તેનાથી તેની મધ્ય-પૂર્વ, અફઘાનિસ્તાન અને ઈરાનાં પહોંચ અમેરિકાથી પણ વધારે સુચારું બની જશે.

તાજેતરમાં વિયેતનામના પોર્ટ પરથી પાછા આવી રહેલા ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ ઔરાવતને દક્ષિણી ચીન સાગરમાં ચીનના જહાજે પોતાનો જળવિસ્તાર ખાલી કરવા માટે તાકીદ કરી હતી. દક્ષિણ ચીન સાગર વિસ્તાર પર ચીન દાવો કરી રહ્યું છે. પરંતુ તેના પર વિયેતનામ, ફિલિપિન્સ અને અન્ય દેશો પણ દાવો કરી રહ્યાં છે. આ સિવાય દક્ષિણ ચીન સાગરના વિયેતનામના દાવાવાળા બ્લોકમાં ભારતની તેલ કંપની દ્વારા તેલ દોહન કરવાના પ્રોજેક્ટનો પણ ચીને વિરોધ કર્યો હતો. તેણે આ પ્રોજેક્ટને ચીનની સાર્વભૌમતા પર અતિક્રમણ સુદ્ધાં ગણાવ્યો હતો. પરંતુ તેની સામે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિવાદીત ક્ષેત્ર હોવા છતાં ભારતની પરવાહ કર્યા વગર કારાકોરમ હાઈવે બનાવીને નવા સિલ્ક રુટને તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે જોડાયેલા નવો સિલ્ક રુટ મધ્ય એશિયા અને તુર્કી થઈને યુરોપ સાથે સાંકળવાની ચીનની મહત્વકાંક્ષા છે. આ સિવાય ચીન પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરને જોડવા માટે યૂરો-એશિયા લેન્ડ બ્રિઝ બનાવવાની યોજના પણ બનાવી રહ્યું છે. ચીનની આ મનસા ઈસ્તંબુલમાં ચાલી રહેલા અફઘાન સંમેલનમાં સ્પષ્ટ થઈ છે. નવા સિલ્ક રુટ અને યૂરો-એશિયા બ્રિઝની વાતને આગળ વધારવા માટે શિન્ચિયાંગ પ્રાંતના ગવર્નર નૂર બકરી નવી દિલ્હી આવી રહ્યાં છે. ચીન અફઘાનિસ્તાનમાં ઊર્જા અને ખનીજ દોહનની ગણતરીઓ રાખી રહ્યું છે. પરંતુ તેના માટે ચીને પોતાના મુસ્લિમ બહુલ શિન્ચિયાંગ પ્રાંતનો વિકાસ કરવો પડે તેમ છે. બકરી ભારત મુલાકાત દરમિયાન કઈ બ્લૂ પ્રિન્ટની વાત કરે છે, તેના પરથી ભારત-ચીનની ભૂમિકા વધારે સ્પષ્ટ બનશે.

પાછલી વખતે પાકિસ્તાનના કારણે તુર્કીમાં થયેલા અફઘાન સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ વખતે ભારત અફઘાન સંમેલનમાં ગયું. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત વગર અફઘાનિસ્તાનનું ભલું થશે નહીં તેવી અફઘાનિસ્તાન સહીત ઘણાં દેશોની માન્યતા છે. ખનીજ સંપત્તિથી ભરપૂર અફઘાનિસ્તાનના હાજીગાકથી ઈરાનના છબહાર સુધી ભારત રેલવે લિંક બિછાવવા માંગે છે. જો કે પાકિસ્તાન અહીં પણ અડંગાબાજીની પોતાની આદત ચાલુ રાખી રહ્યું છે. ભારત દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીની ઘટના બાદ અફઘાનિસ્તાન વિસ્તારમાં વધારે આક્રમક છે. ઈસ્તંબુલ સંમેલનમાં અફઘાનિસ્તાનના હાજીગાક અને ઈરાન સીમા સુધી ભારતીય રેલવે લિંકનો પ્રસ્તાવ મૂકીને ભારતે પોતાના ઈરાદા વધારે સ્પષ્ટ કર્યા છે. અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચેની ભારતની પ્રસ્તાવિત રેલવે લિંક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 72 કિલોમીટર પશ્ચિમમાં છે. પાકિસ્તાનને આશંકા છે કે આ રેલવે લિંક બન્યા પછી ભારત તેના પર સામરીક દબાણ વધારી દેશે. સાથે ભારત ગ્વાદર નજીકના ચીની નૌસૈન્ય થાણાં પર પણ નજર રાખી શકશે.

પાકિસ્તાન અમેરિકાના પડખાને લાત મારીને ચીનની સોડમાં જઈ રહ્યું છે. પાકિસ્તાની સેના સાથે ચીની સૈન્ય કવાયત યૂયી એટલે કે મિત્રથી એક વાત સ્પષ્ટ બની છે કે ચીન પાકિસ્તાની સેનાને પોતાનું ગાઢ મિત્ર માની રહ્યું છે. તથા બંને સંયુક્ત લશ્કરી કવાયતો કરીને બંનેના સામાન્ય શત્રુ ભારતને આંખો દેખાડી રહ્યાં છે. તેના જવાબમાં ભારત સેનાના આધુનિકીકરણ પાછળ પાંચ વર્ષમાં 64 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું છે. ભારત સૈન્ય શક્તિમાં વધારો કરીને તેના આધુનિકીકરણને પ્રાથમિકતા આપવા માટે પાંચ વર્ષનો સમયગાળો ફાળવી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે આગામી પાંચ વર્ષમાં દક્ષિણ એશિયામાં ચીન-પાકિસ્તાન જુગલબંધી બનાવીને ભારતને દબડાવાની કોશિશ કરશે. પરંતુ તેની સામે ભારત પણ છાતી કાઢીને ચાલી શકે તેવી રણનીતિ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. ભારતે પણ આગામી સમયમાં અમેરિકા, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવાં દેશો સાથે સૈન્ય સંબંધો વધારે ગાઢ કરીને સંયુક્ત લશ્કરી કવાયતો કરવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની વિકાસના કામોની સક્રિયતા સાથે લશ્કરી રાહે સક્રિય થવા માટેની પણ તૈયારીઓ રાખવી પડશે. ભારતે આગામી સમયમાં દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે પાકિસ્તાનને કાબૂમાં રાખવું પડશે અને તેના માટે તેના ખરેખરા આકા ચીનને ધ્યાનમાં રાખીને લશ્કરી તૈયારીઓ કરવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક સંરક્ષણ નિષ્ણાતોએ ચીન અને પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત વખતે ભારત પર મુંબઈ સ્ટાઈલના આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ત્યાર બાદ ભારતની પાકિસ્તાન સામેની સંભવિત સૈન્ય કાર્યવાહી સામે પાકિસ્તાન અને ચીન બંને મોરચો ખોલશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે ભારતે હવે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિન હેઠળ પાકિસ્તાન અને ચીન બંનેને જવાબ આપવો પડશે.

Saturday, October 29, 2011

રાજનીતિ નહીં, રાજકારણીઓ ગંદા!


-આનંદ શુક્લ

ભારતમાં રાજ્યને સમાજ અને સમાજને ધર્મ સંચાલિત કરતો આવ્યો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. આઝાદી પછી રાજ્ય સમાજને અને સમાજ ધર્મને સંચાલિત કરી રહ્યો છે. ભારતમાં રાજ્ય સમાજની બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે. સમાજ તેને કારણે પોતાની ધાર્મિક પરંપરાઓ અને આધુનિકતાને કારણે શ્રદ્ધા-આસ્થાની બાબતો સાથે બાંધછોડ કરી રહ્યો છે. ભારતમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે રાજ્ય મોટાભાગે હિંદુ સમાજની સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હિંદુ કોડ બિલ, મંદિર-હિંદુ ધાર્મિક ટ્રસ્ટોને સરકારની જદ્દમાં લેવા વગેરે પ્રવૃતિઓ પૂરજોરમાં ચાલી રહી છે. ભારતમાં ગોહત્યા હંમેશાથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે, ગોહત્યા સૌથી મોટું પાપ છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પાપનું પ્રાયશ્ચિત છે. પરંતુ ગોહત્યાના પાપનું પ્રાયશ્ચિત ઘણું અઘરું છે. પરંતુ આઝાદી બાદ કથિત વિકાસના માર્ગે પ્રગતિની હોડમાં ભારતમાં ગોહત્યા પ્રત્યેની હિંદુઓની ધાર્મિક સંવેદનશીલતાને ખતમ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્રકારી વલણ અખત્યાર કર્યું છે. આજે ભારતમાં ગોહત્યા અઢી લાખ કરોડ રૂપિયાનું સ્થાપિત હિત બની રહ્યું છે. વિકાસના નામે રસ્તા પરની કબરો-ચર્ચો એમના એમ રહે છે, પરંતુ હિંદુ આસ્થા કેન્દ્રોને તોડી નાખવા ભારતના રાજકારણીઓની નવી ફેશન છે. હિંદુ આસ્થા સંદર્ભે કોઈ વાત કહેવી કોમવાદી ગણાય છે. હિંદુઓને હવે તો દરેક હુલ્લડો માટે દોષિત ઠેરવવા માટેનો કાયદો પણ કેન્દ્ર સરકાર લાવવા માંગે છે.

ધર્મને કારણે સમાજની એક ખાસ બાંધણી હતી. પરંતુ રાજ્યના સક્ષમ અને સબળ થવાને કારણે સમાજની બાંધણી વિખાઈ છે. તેમાં રાજ્યનો સૌથી મોટો ફાળો છે. આ રાજ્ય નામની સંસ્થા પર સમાજની પકડ ફરીથી સ્થાપિત થાય અને સમાજ પર ધર્મની પકડ પુનર્પ્રસ્થાપિત થાય તેના માટે રાજનીતિ જ સૌથી વધારે યોગ્ય રસ્તો છે. પરંતુ ભારતમાં રાજનીતિ પ્રત્યે ઉપેક્ષા, દુર્લક્ષ અને અનાદરની ભાવના છે. રાજનીતિને નીચા દરજ્જાની ગણવામાં આવે છે. તેના કારણે રાજનીતિમાં સારાં માણસોનું જવું ઘણું ઓછું થઈ ગયું છે. રાજનીતિમાં રહેનારા રાજકારણીઓને ભારતમાં ખૂબ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. ભારતના રાજનીતિ પ્રત્યેના દ્રષ્ટિકોણને કારણે અહીંની રાજનીતિ તેના ભ્રષ્ટ આચારના સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. ભારતની રાજનીતિ આજે અપરાધ, ભ્રષ્ટાચાર અને દેશહિત વિરોધી બાબતોથી સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. ભારતનો રાજનીતિ પ્રત્યેનો આ દ્રષ્ટિકોણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધારે વિકટ બનશે. રાજનીતિને ગંદી ગણવાને કારણે કોઈ સારો અને સજ્જન વ્યક્તિ તેમાં ગંદો થવા માટે તૈયાર નથી. તેના કારણે રાજનીતિમાં ગંદગી વધી રહી છે. ભારતે રાજનીતિને સ્વચ્છ બનાવવા માટે પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. ભારતે રાજનીતિને ચોખ્ખી બનાવવા માટે તેમા રહેલી ગંદગીને સાફ કરવા માટે ગંદા થવાની હિંમત ધરાવતા વ્યક્તિઓને કીચડમાં ઉતારવા પડશે. આ ઘણું હિંમતનું કામ છે કે ગંદગીમાં ઉતરીને તેને ઉલેચીને સ્વચ્છતા ઉભી કરવી. આમ કરનાર વ્યક્તિને સમાજ કદાચ હાલ પૂરતો સારી નજરથી જોશે નહીં. પરંતુ આગળ જતાં આવા વ્યક્તિની કિંમત સમાજને જરૂરથી માલૂમ પડશે.

હકીકતમાં રાજનીતિ હાલના સંજોગોમાં જનકલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. રાજ્ય અત્યારે સૌથી પ્રભાવી સંસ્થા થઈ ગઈ છે. ત્યારે રાજ્ય પર સમાજનો અને સમાજ પર ધર્મનો પ્રભાવ રહે તેના માટે વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે રાજનીતિ દ્વારા રાજ્ય પર વર્ચસ્વ મેળવવું પણ આવશ્યક છે. લોકોને સમજાવવાની જરૂર છે કે રાજનીતિ સ્વત્ ખરાબ નથી. રાજનીતિ તેમા આવેલા સ્વાર્થી અને ટૂંકી દ્રષ્ટિના ગંદા માણસોને કારણે ગંદી બની છે. રાજનીતિ ફરીથી સ્વચ્છ અને જનકલ્યાણનું સૌથી સશક્ત માધ્યમ બની શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે રાજનીતિમાં ગંદા માણસોનો પ્રભાવ દૂર કરીને સારાં માણસોનો પ્રભાવ વધારવામાં આવે. આમ કરવાથી રાજનીતિ સ્વચ્છ બનશે અને તેના મૂળ ઉદેશ્યને પાર પાડવા માટે કામ કરી શકશે.

દંભી લોકો અને દંભી સંગઠનો પોતે રાજકીય ન હોવાની વાત કરે છે. પરંતુ તેમણે અખત્યાર કરેલા રસ્તા અને વિકલ્પોનો પ્રભાવ એટલો નથી કે જેનાથી રાજનીતિ પર વર્ચસ્વ જમાવીને તેને જનકલ્યાણ અને સત્યના માર્ગે પાછી લાવી શકાય. રાજનીતિ દંભી લોકો અને સંગઠનોના વિકલ્પોને પણ વટલાવી નાખે છે. તેના કારણે રાજનીતિનું સમાજકરણ અને સમાજનું ધાર્મિકીકરણ કરવું આવશ્યક છે. ધર્મનો અર્થ કર્મકાંડ, વિધિ-વિધાન અને પરંપરાઓ સુધી સીમિત નથી. ધર્મ આ બધી બાબતો સાથે નૈતિકતા, મૂલ્ય અને સિદ્ધાંતને પણ આવરી લે છે. તે જીવન શૈલી અને જીવન પદ્ધતિના દરેક આયામને પોતાનામાં સમાવિષ્ટ કરે છે.

ભારતમાં રાજનીતિને નીચી ગણવાની શરૂઆત લગભગ બારસો વર્ષ જૂની હશે. બાકી ભારતમાં રાજનીતિને કલ્યાણનીતિ તરીકે વેદ, રામાયણ અને મહાભારતમાં જોવામાં આવી છે. ભારતની રાજનીતિના સિદ્ધાંતો મનુ, શુક્રનીતિ, વિદૂરનીતિ અને ચાણક્ય નીતિથી દ્રષ્ટિમાન થાય છે. રાજનીતિ કેટલી ઉદ્દાત છે અને તેની શું શક્તિ છે તથા આ શક્તિનો આવિર્ભાવ કરીને તેને લોકકલ્યાણ માટે કેવી રીતે વાપરી શકાય તે ભારતના મહાન ઋષિ-મુનિઓ અને રાજકીય વિચારકોએ જણાવ્યું છે. ચાણક્યના રાજનીતિ સૂત્રો આધુનિક રાજનીતિ સૂત્રો કરતાં પણ વધારે ગહન છે. ભારતમાં મુસ્લિમ આક્રમણો વખતે ભારે રક્તપાતને કારણે લોકોનો રાજ્ય, રાજા અને રાજનીતિ પરથી મોહભંગ થયો હતો. રાજ્ય, રાજા લોકોની રક્ષા કરવામાં સક્ષમ રહ્યાં નહીં અને સત્તા વિધર્મીઓના હાથમાં જવાથી રાજ્ય અને રાજનીતિ નીચતા અને અધમતાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી. જેના કારણે રાજનીતિ પ્રત્યે અલિપ્તતાએ રાજનીતિ માટે ઉપેક્ષા, અણગમો, દ્વેષ અને દુર્લક્ષ સહીતના અનાદરની શરૂઆત કરી હતી. આ વૃતિ આઝાદી પછી પણ આજે ચાલુ છે. મહાત્મા ગાંધી ચૂંટણીના રાજકારણથી અલિપ્ત રહ્યાં અને મહાત્મા તરીકે પંકાયા. મહાત્મા ગાંધીએ આઝાદ ભારતમાં કોઈપણ સરકારી પદ ગ્રહણ કરવાની વાતને સ્વીકારી નહીં. તેમની આવી વૃતિને કારણે તેઓ બિનરાજકીય ગણાયા અને રાષ્ટ્રપિતાના સર્વોચ્ચ સમ્માનને પામ્યા. પદ લાલસા વગર કામ કરવાની પરંપરામાં જયપ્રકાશ નારાયણને લોકનાયકની ઉપાધિ આપવામાં આવી. લોકનાયકે કટોકટીની લોખંડી સાંકળોને તોડીને ઈન્દિરા ગાંધીની તાનાશાહીથી દેશને આઝાદ કરાવ્યો હતો. હકીકતમાં ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલી આંતરીક કટોકટીને લોકનાયકની આગેવાની દ્વારા થયેલા આંદોલનમાં ઉઠાવી લેવી પડી તે દેશની બીજી આઝાદી છે. અણ્ણા હજારે અત્યારે જનલોકપાલ બિલની તરફેણમાં અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે. પરંતુ તેઓ કહે છે કે તેમનું આંદોલન અરાજનીતિક છે. તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષની તરફેણમાં નથી. તેમણે પોતાના અનશનના મંચ પર કોઈ રાજકારણીને આવવા દીધા ન હતા. અણ્ણાના અનશન આંદોલનમાં રાજકારણીઓને ભરપૂર ટીકાને પાત્ર બનાવવામાં આવ્યા. પરંતુ અહીં પણ દ્રષ્ટિકોણ ખોટો છે કે રાજનીતિ અણગમાને પાત્ર છે. રાજનીતિમાં ગયા વગર જ બધું વ્યવસ્થિત, યોગ્ય કરીને પાટા પર લાવી દેવામાં આવશે, તેવો તર્ક બિલકુલ અયોગ્ય છે. રાજનીતિને બદલવા માટે રાજનીતિના ખેલમાં સામેલ થવું જ પડશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે સાંસ્કૃતિક સંગઠન હોવાની વાત કરે છે. પરંતુ એ હકીકત છે કે ભારતીય રાજનીતિના બીજા ધ્રુવ ભાજપની કમાન અને કંટ્રોલ આરએસએસના હાથમાં વિવિધ પદ્ધતિઓ હેઠળ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થાય છે. સાંસ્કૃતિક અને સામાજીક આકાંક્ષાઓની પૂર્તિ માટે રાજનીતિ માધ્યમ બની શકે છે અને હાલના સંજોગામાં તેને માધ્યમ બનાવવું પડશે. પરંતુ તેમ છતાં તેનાથી દૂર રહેવાની વૃતિ સમજથી પર છે. પરંતુ એક હકીકત એ છે કે સંઘની આવી વૃતિને કારણે રાષ્ટ્રહિત અને સમાજહિતને ઘેરું નુકસાન પહોંચી રહ્યું છે. આજે ભાજપ કોંગ્રેસના રસ્તા પર ચાલી નીકળ્યું છે અને કોંગ્રેસ મુસ્લિમ લીગ બનવા તરફ અગ્રેસર છે. તેવા સંજોગોમાં ભારતીય હિંદુ સમાજની રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ સશક્ત વિકલ્પ રહેતો નથી. ત્યારે ભારતના વિરાટ હિંદુ સમાજને રાજકીય અભિવ્યક્તિ માટે જો કોઈ પ્લેટફોર્મ નહીં મળે, તો તેવા સંજોગોમાં તે વિકલ્પહીન પરિસ્થિતમાં મૂકાશે. હિંદુ સમાજ રાજકીય વિકલ્પહીનતાનો શિકાર બનશે, તો તેની અસર અત્યાર સુધી કરેલા તેની એકતાના પ્રયાસો પર પડશે. હિંદુ એકતા પર થયેલી ખરાબ અસરનું પરિણામ રાષ્ટ્રહિત અને સમાજહિતના નુકસાનથી ચુકવવાનો વારો આવશે.

રાજનીતિ કરવા માટે મહાભારતના શાંતિપર્વમાં ખૂબ સૂચનો આપવામાં આવ્યા છે. લંકાપતિ દશાનન રાવણ જ્યારે મૃત્યુશૈય્યા પર હતા, ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને તેમની પાસે મોકલીને રાજનીતિના સૂત્રો શીખવાની આજ્ઞા કરી હતી. ભારતની રાજનીતિમાં શુક્ર, વિદૂર અને ચાણક્યએ ગંભીર ચિંતનના પરિપાકરૂપ રાજકીય સૂત્રો આપ્યા છે. તેનો ગહન અભ્યાસ કરીને અત્યારે રાજનીતિને સમાજનીતિ બનાવવા અને સમાજનીતિને રાષ્ટ્રનીતિ બનાવવાના મિશન સાથે કેટલાંક મરજીવાઓને રાજનીતિમાં ઉતારવાની સૌથી મોટી આવશ્યકતા છે. આવા એક હજાર મરજીવાઓએ રાજનીતિને આગામી એક દશકામાં સાફસૂફ કરીને સ્વચ્છ બનાવી શકે તેમ છે. પરંતુ આવા જીવનવ્રતી મરજીવાઓને રાજનીતિના કીચડમાં ઉતારવા માટે હાલ કોઈ તૈયાર થઈ રહ્યું નથી. વળી જે મરજીવાની જેમ કામ કરી રહ્યાં છે, તેમના કપડાં રાજનીતિના કીચડમાં ગંદા થયેલા જોઈને ગભરાટ અને કકળાટ ઉભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે જરૂર છે કે તન-મનથી ગંદા થયેલા લોકોની શુદ્ધિ થાય અને જેમના આત્મા મરી પરવાર્યા છે, તેમની સાથે સંબંધ વિચ્છેદ કરવામાં આવે. પરંતુ આટલી મોટી હિંમત ક્યારે બતાવવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. વિક્રમ સંવત 2068ના પ્રારંભે રાજનીતિના શુદ્ધિકરણના સંકલ્પ સાથે મરજીવાઓ તૈયાર કરવાના મિશન પર સમાજ અને દેશ-રાષ્ટ્રની ચિંતા કરનારા વિચારકો-ચિંતકોએ વિચાર કરવો જોઈએ.

Monday, October 24, 2011

પાકિસ્તાનની અમેરિકાને ધમકી: વિનાશકાળે વિપરીત બુદ્ધિ!


-આનંદ શુક્લ

9/11ના ભીષણ આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ઓક્ટોબર-2001માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દશ વર્ષોમાં અમેરિકાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં તાલિબાનો અને અલ કાયદાના ખાત્મા માટે અબજો ડોલરનો ધુમાડો કર્યો છે. પાકિસ્તાનને પણ આતંકવાદના યુદ્ધમાં પોતાના સામરીક સાથીદાર ગણાવીને કરોડો અબજ ડોલરની સૈન્ય સહાયતા કરી છે. અમેરિકાના અબજો ડોલરના ધુમાડા છતાં હજી અફઘાનિસ્તાનમાં તાલિબાની નેટવર્ક સાબૂત છે. તો પાકિસ્તાને પણ અમેરિકી સૈન્ય સહાયતાનો ભારત પર લશ્કરી સરસાઈ સ્થાપવા માટે જ ઉપયોગ કર્યો છે. આમ તો અમેરિકાને પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં ભારત તરફથી સૈન્ય કાર્યવાહીનો ભય દેખાડીને બ્લેક મેઈલિંગ કરતું હતું. 26/11ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદેથી પોતાના એક લાખ સૈનિકોને ભારત સાથે યુદ્ધની સંભાવના દેખાડીને પોતાની પૂર્વ સરહદે ખસેડવાની ધમકી આપી હતી.

ભારતે પાકિસ્તાનને આતંકવાદી સમસ્યાનું મૂળ કહ્યું છે. ભારતના ઘણાં રાજકારણીઓ પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરાવવા માટેની પેરવી કરી રહ્યાં છે. પરંતુ ત્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં પોતાનું મજબૂત સાથીદાર ગણાવીને આવી તમામ દલીલોને નજરઅંદાજ કરતું આવ્યું છે. અમેરિકાને હવે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના એક દશકા બાદ ખબર પડી છે કે સમસ્યા તો પાકિસ્તાનમાં છે. અમેરિકાએ પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાન ખાતેથી ઉબાડિયા કરતાં હક્કાની નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાનને તાકીદ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે જો પાકિસ્તાન હક્કાની નેટવર્કને ખતમ નહીં કરે તો પછી તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં એકતરફી લશ્કરી કાર્યવાહી કરીને હક્કાની નેટવર્કને ખતમ કરશે. પરંતુ આતંકવાદને રાજકીય અને સામરીક હથિયાર તરીકે ઉપયોગ કરતાં પાકિસ્તાનની સેનાના વડા જનરલ કયાની હક્કાની નેટવર્કને રણનીતિક સંપત્તિ માની રહ્યા છે. પાકિસ્તાની કટ્ટરપંથીઓ 2014ની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે અમેરિકી અને નાટો દળોની અગ્રિમ પંક્તિના સૈનિકો અફઘાનિસ્તાન છોડી દેશે. પાકિસ્તાની જનરલને લાગે છે કે ત્યારે હક્કાની નેટવર્ક જેવાની મદદથી તે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.

છેલ્લા કેટલાંક મહીનાઓથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો ઘણાં કથળ્યા છે. અમેરિકા પોતાના સૈનિકોને ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે ટકરાવા માટે તૈયાર કરી રહ્યું છે. અમેરિકાનું દ્રઢપણે માનવું છે કે હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોને ધક્કો પહોંચાડી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર સંસ્થાનું માનવું છે કે કાબુલના અમેરિકી દૂતાવાસ પર હુમલા માટે હક્કાની નેટવર્ક જ જવાબદાર છે. આથી અમેરિકા હક્કાની નેટવર્કને તેના દુસ્સાહસની સજા આપવા માટે પાકિસ્તાન પર તેમની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે દબાણ બનાવી રહ્યું છે. જો કે પાકિસ્તાની સેના હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતી નથી. તેના બે અનિવાર્ય કારણો છે.

પાકિસ્તાની સેના થોડા વર્ષો પહેલા વજીરીસ્તાનમાં તાલિબાન સામેની લડાઈમાં પરાજીત થઈ હતી. પાકિસ્તાની સેના માટે આ અપમાનજનક સ્થિતિ હતી. પાકિસ્તાની સેનાને અનિચ્છાએ ક્ષેત્રમાં તાલિબાની વર્ચસ્વ પણ સ્વીકારવું પડયું છે. આથી પાકિસ્તાની સેના ફરીથી તાલિબાની નેટવર્ક સામે લડીને પોતાની વધારે ફજેતી કરાવવા ઈચ્છતી નથી. વળી આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાનમાં સૈન્ય પ્રતિષ્ઠાનો અને સરકારી મશીનરી વિરુદ્ધ તાલિબાની કાર્યવાહી તેજ થવાનો ખતરો પણ છે. બીજી તરફ જનરલ કયાની ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે હક્કાની નેટવર્કનો ઉપયોગ કરવા માટે તલપાપડ છે. ત્યારે અમેરિકા હક્કાની નેટવર્કને આઈએસઆઈની સેના કહી રહ્યું છે, તે અનાયાસ નથી.

કથિત સીઆઈએ એજન્ટ રેમન્ડ ડેવિસની પાકિસ્તાનમાં ધરપકડ બાદ અમેરિકા અને પાકિસ્તાનના સામરીક સંબંધોમાં ઓટની સ્થિતિ સર્જાઈ હતી. રેમન્ડ ડેવિસ પર બે પાકિસ્તાનીઓના ખૂનનો આરોપ હતો. અમેરિકા ઘણી સમજૂતી બાદ તેને પાકિસ્તાનથી મુક્ત કરાવી શક્યું. આ ઘટના પછી અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકાય? ત્યાર બાદ મે-2011માં અમેરિકાની સ્પેશ્યલ ફોર્સે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ નજીક એબટાબાદમાં આતંકના સરગના અલકાયદાના સુપ્રિમો ઓસામા બિન લાદેનને એક ગુપ્ત ઓપરેશનમાં ખતમ કર્યો. આ ઓપરેશનમાં પાકિસ્તાન અપમાનિત તો થયું, સાથે તેના જૂઠ્ઠાણાં પણ બેનકાબ થયા. આ નિરાશામાં પાકિસ્તાની સેના સાબિત કરવા મથી રહી છે કે હજી પણ તે પોતાના દેશની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફે ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો હતો. પાકિસ્તાની સેના દેશવાસીઓ વચ્ચે પોતાનો સિક્કો જમાવવા માટે છેલ્લા છ માસથી અમેરિકા સામે આકરું વલણ દર્શાવી રહી છે.

પાકિસ્તાની સેના પોતાના કથિત છાપ અને શાખ બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. અમેરિકાની સંભવિત એકતરફી લશ્કરી કાર્યવાહીનો મુકાબલો કરવા માટે પાકિસ્તાની જનરલે કડક નિવેદન આપીને તેની સાબિતી પણ આપી દીધી છે. અમેરિકાને આપવામાં આવેલી જનરલ કયાનીની ચેતવણીના અર્થો પાકિસ્તાનતી વધારે સારી રીતે અન્ય કોઈ જાણી શકે તેમ નથી. કયાનીનું નિવેદન દુસ્સાહસની પરાકાષ્ઠા છે. જનરલ ક્યાનીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સામે એક તરફી લશ્કરી કાર્યવાહી કરતાં પહેલા દશ વખત વિચારવું જોઈએ, કારણ કે પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. પરંતુ હકીકત એ છે કે જો અમેરિકા પોતાનો સંયમ ગુમાવી દેશે, તો પાકિસ્તાન પાસે કોઈ મોકો રહેવાનો નથી. પાકિસ્તાનને અમેરિકાનો ગુસ્સો ઈરાક અથવા અફઘાનિસ્તાનથી પણ બદતર સ્થિતિમાં પહોંચાડી શકે છે. વળી પાકિસ્તાનના જનરલ કયાનીએ યાદ રાખવું જોઈએ કે જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન રિચર્ડ આર્મિટેજે 9/11 બાદ અલકાયદાનો પક્ષ તાણી રહેલા જનરલ મુશર્રફને કડક ચેતવણી આપી હતી અને તેના કારણે પાકિસ્તાનને તાલિબાનો સાથે પોતાના દશકો જૂનાં સંબંધો ખતમ કરીને અફઘાનિસ્તાનમાં પોતાની વિદેશ નીતિ બદલવા માટે મજબૂર થવું પડયું હતું.

પાકિસ્તાન ફરીથી પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાની સેનાના કેટલાંક મઠાધીશો માની બેઠા છે કે અમેરિકા સાથે ક્યારેય અથડામણ થવાની નથી. પરંતુ અમેરિકાને પોતાની પરમાણુ ક્ષમતાની ધમકી આપનારી પાકિસ્તાની સેનાએ સમજી લેવું જોઈએ કે અમેરિકા ભારત નથી. માની લો કે અફઘાન-પાક સીમા પર અમેરિકી સૈનિકો પર પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે, તો શું વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટનાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન સુધી દોડી આવનાર અમેરિકા પાકિસ્તાનને પાસરું કરવામાં કોઈ કચાશ ચોડશે? આવી પરિસ્થિતિમાં કદાચ પાકિસ્તાનનું નામોનિશાન મટી જાય તે હદે પણ અમેરિકા જઈ શકે છે. ક્રિયા અને પ્રતિક્રિયાના પાયાના સિદ્ધાંતથી પાકિસ્તાની જનરલ સારી રીતે વાકેફ છે. ભારત પર નિશાન સાધવા માટે આતંકવાદી જૂથોનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન ભારતના વાણીશૂરા રાજનેતાઓને સારી રીતે જાણે છે. તેના કારણે તેઓ સંસદ પર હુમલો અને મુંબઈ હુમલા જેવાં જઘન્ય આતંકીકાંડ કર્યા પછી પણ શાંતિથી સોડ તાણી શકે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકા સાથે ભારત જેવો વ્યવહાર કરશે, તો અમેરિકા પાકિસ્તાનના આવા તત્વોને સદા માટે સુવડાવી દેશે. વળી ભારત પાકિસ્તાન પડોશી દેશો છે અને અમેરિકા પાકિસ્તાનથી 5 હજાર કિલોમીટર દૂર છે. ત્યાં સુધી પાકિસ્તાનના પરમાણુ હથિયાર પહોંચી શકે તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર વાપરવાના કોઈપણ ઉબાડિયાંથી પાકિસ્તાનના અસ્તિત્વ સામે અમેરિકા બહુ મોટા જોખમો ઉભા કરવા માટે સક્ષમ છે.

તાલિબાનો સાથેની જુગલબંધી પાકિસ્તાનના અસ્તિત્વ માટે હવે સૌથી મોટું જોખમ છે. લશ્કરે તોઈબા પણ હવે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લશ્કરે તોઈબાને પાળ્યું-પોષ્યું છે અને તેના હિતોને આગળ વધાર્યા છે. અમેરિકા સામે પરમાણુ હથિયાર વાપરવાની ધમકી આપ્યા બાદ પણ પાકિસ્તાની જનરલ આવી કોઈ ગુસ્તાખી કરે તેવા પાગલ નથી. કારણ કે અમેરિકા પાકિસ્તાન સાથે સરહદો ધરાવતો દેશ નથી. વળી છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિએ કરવટ બદલી છે, ત્યારથી એક વાત સ્પષ્ટ બની છે કે અમેરિકા પોતાના સામરીક હિતોને ધ્યાનમાં રાખીને લાંબો સમય સુધી ધીરજ રાખવાની ભૂલ કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં પાકિસ્તાનની અક્કડ રહેવાની ગુસ્તાખી તેને ભારે પડી શકે તેમ છે.

તાજેતરમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ દેશ હુમલો કરશે, તો તેવી પરિસ્થિતિમાં તે પાકિસ્તાનો સાથે આપશે. પરંતુ હકીકત એ છે કે હામિદ કરજાઈ અમેરિકા અને નાટો દળોની પરવાનગી વગર પાંદડુ પણ હલાવી શકે તેમ નથી. વળી લીબિયામાં નાટો દળોની મદદથી તાનાશાહ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના 42 વર્ષના શાસનનો અમેરિકાના દોરીસંચારથી અંત આવ્યો છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાને આંકવામાં ભૂલ કરવી ભારે પડી શકે તેમ છે.

Sunday, October 23, 2011

કંચનની છબીની વાસ્તવિકતા કથીર પણ હોય!


-આનંદ શુક્લ

મીડિયા અને સભા-રેલી-યાત્રાઓ અથવા અન્ય કાર્યક્રમો નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલની છબીઓ બનાવે છે. આ છબીઓને આધારે નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલ વ્યક્તિઓના વ્યક્તિત્વને બનાવે છે. જનતા તેમની છબીમાંથી નીખરેલા વ્યક્તિત્વને કારણે તેમની સાથે અથવા તેમની વિરુદ્ધમાં હોય છે. પરંતુ મોટાભાગે મીડિયા અને રેલી, યાત્રા, સભાઓ જેવાં જાહેર કાર્યક્રમોથી બનતી છબી હંમેશા સાચી હોતી નથી. આવી છબીથી જનતા છેતરાય છે. આવા કિસ્સા ઈતિહાસના પાના પર તો અંકીત છે જ, પણ સાથેસાથે આજે પણ આવી ઘટનાઓ બની રહી છે. છબીથી અંજાઈને લોકો જેમને સોનાના ગણે છે, તે પિત્તળના નીકળે છે.

અત્યારે મીડિયા અને જાહેર કાર્યક્રમો તથા ઈન્ટરનેટ-ફેસબુકની મદદથી ભ્રષ્ટાચાર સામે આંદોલન જગાવનાર ટીમ અણ્ણાની પણ જનનાયક તરીકેની છબી ઉપસી આવી છે. લોકોમાં ટીમ અણ્ણાના લોકો ભ્રષ્ટાચારી ન હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ મીડિયામાં આવી રહેલી હકીકતો કદાચ ટીમ અણ્ણાના સભ્યો માટે લોકોનો વિચાર બદલવાનું કારણ બની શકે છે. ટીમ અણ્ણાના સેનાપતિ અરવિંદ કેજરીવાલ પાસે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 9 લાખ રૂપિયા લેણા નીકળતા હોવાની નોટિસ મોકલે છે. અરવિંદ કેજરીવાલ નોટિસો પર સ્પષ્ટીકરણ આપતા રહે છે. સ્વામી અગ્નિવેશે દાવો કર્યો છે કે અણ્ણાના અનશન વખતે 80 લાખ રૂપિયા દાનના મળ્યા હતા. તેને અરવિંદ કેજરીવાલે પોતાની સંસ્થામાં જમા કરાવી લીધા છે. સ્વામી અગ્નિવેશે આ 80 લાખ રૂપિયાનો હિસાબ માગ્યો છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, અણ્ણાના અનશન વખતે ભ્રષ્ટાચારી રાજકારણીઓની દુપટ્ટો ઓઢીને ફિરકી ઉતારનારા આઈપીએસ તરીકે પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા કિરણ બેદી પર પણ રાહતો મેળવીને પૂરું ટિકિટ ભાડું વસૂલવાના આરોપ લાગ્યા છે. કિરણ બેદીને એર ઈન્ડિયામાંથી 75 ટકા રાહત મળે છે. અહેવાલ મુજબ કિરણ બેદીને બોલાવનારી એનજીઓ તેમને બિઝનેસ ક્લાસની એર ટિકિટ મોકલતા હતા. કિરણ બેદી ઈકોનોમી ક્લાસમાં એનજીઓના કાર્યક્રમ સ્થળે જતાં હતા. ત્યાર બાદ તેઓ બિલ બિઝનેસ ક્લાસનું પુરું વસૂલતા હતા. કિરણ બેદીએ સ્પષ્ટતા કરી છે કે આ બચતને તેઓ તેમની ઈન્ડિયા વિઝન ફાઉન્ડેશન એનજીઓમાં જમા કરાવતા હતા. તો ટીમ અણ્ણાના ડૉ. કુમાર વિશ્વાસ પર પણ આરોપ છે કે તેઓ જે કોલેજમાં છે, ત્યાં અધ્યાપન કાર્ય વ્યવસ્થિત રીતે કરી રહ્યાં નથી. કુમાર વિશ્વાસ છેલ્લા કેટલાય દિવસોથી કોલેજમાં લેકચર લેતા નથી.

કંચનની છબી ધરાવનારા કથીર અને કથીરની છબી ધરાવનારા કંચન નીકળે તેવા બનાવો ઘણાં બને છે. છબીનું બનવું અને ભૂંસાઈ જવું એક મોટો ખેલ છે. આ ખેલમાં આજે મીડિયા અને સોશ્યલ નેટવર્કિંગ બહુ મોટી ભૂમિકામાં છે. જો કે છબી જોઈને આકર્ષાયેલા લોકોને ભૂતકાળમાં પણ ઘણાં કડવા અનુભવો થયા છે. તો કોઈક વ્યક્તિએ તેમની છબી કરતાં તદ્દન વિપરીત વર્તન પણ કર્યું હોય તેવું માલૂમ પડયું છે.

ગુજરાતના એક ખૂબ જાણીતાં કોલમિસ્ટની કોલમથી આકર્ષાઈને તેમના પ્રશંસક તેમને તેમના ઘરે મળવા માટે ગયા. બપોરનો સમય હતો, ત્યારે આંખો ચોળતા ગુજરાતી કોલમિસ્ટે બારણું ખોલ્યું અને પોતાના પ્રશંસકને પાણી તો દૂર પરીચય કેળવ્યા વગર તેમને હડધૂત જ કરી દેવામાં આવ્યા. ગાંધીજીની પણ એક નિશ્ચિત છબીએ તેમને મહાત્મા બનાવ્યા. આજે જ્યારે ગાંધીજીના અંગત જીવનના કિસ્સાઓ પુસ્તક સ્વરૂપે આપણી સામે આવે છે, ત્યારે આપણે તેનો તિરસ્કાર કરીએ છીએ, આપણને દુ:ખ થાય છે. આપણે ગાંધીજીની મહાત્માની છબી તૂટે તેવું ઈચ્છતા નથી. આપણે ક્યારેય માનવા માટે તૈયાર થતાં નથી કે ગાંધીજી સામાન્ય માણસ હતા, તેમનામાં પણ માનવ સહજ નબળાઈઓ હતી. તેમને પ્રેમ ઉભરાતો, ગુસ્સો આવતો, ખેદ થતો, કરુણા ઉપજતી, ટીખળના પ્રસંગો બનતા, એ બધું જ ગાંધીજી કરતાં જે સામાન્ય માણસ કરે છે. પરંતુ ગાંધીજીને દેશની આઝાદીની લડાઈના મહાનાયક અને રાષ્ટ્રપિતા તરીકે આપણે આપણાં હ્રદયમાં સ્થાન આપ્યું છે. ગાંધીજીને મહાત્મા ગણીને આપણા દિલોદિમાગમાં બેસાડી દીધા છે. તેને કારણે ગાંધીજીના અંગત જીવનના માનવીય પાસાઓ આપણા માટે અસહ્ય થઈ જાય છે. બની શકે કે તેમાના કેટલાંક વાસ્તવિકતાથી કોશો દૂર હોય.

અમિતાભ બચ્ચનની પડદા પર એન્ગ્રી યંગમેનની છબી ઉભી થઈ હતી. પરંતુ અમિતાભ અંગત જીવનમાં ખૂબ સાલસ અને ક્રોધથી ઘણાં દૂર રહેનાર વ્યક્તિ છે. હિંદી ફિલ્મોના જાણીતા વિલન પ્રાણ સાથે પણ તેમની પડદા પર ઉભી થયેલી ઈમેજને કારણે રમૂજી ઘટના બની હતી. પ્રાણ એક સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આગળની બેઠકમાં બેસીને મેચ જોઈ રહેલા વ્યક્તિનું પાકિટ નીચે પડી ગયું. પ્રાણે સહજતાથી આ પાકિટ તે વ્યક્તિને પાછું આપ્યું, પરંતુ ત્યારે તે વ્યક્તિનો પ્રતિભાવ વિચિત્ર હતો. તેણે પ્રાણને કહ્યું કે તમારી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. પ્રાણની પડદા પર છાપ એક ખૂંખાર વિલનની હતી. પ્રાણ વિલનના પાત્રમાં દુનિયાની તમામ બુરાઈઓને ઠાલવીને અભિનય કરતાં હતા. પ્રાણે આખી ઘટના પર પ્રતિક્રિયા આપી કે જો પાકિટ પાછું આપ્યા પછી તે વ્યક્તિએ મારી પ્રશંસા કરી હોત, તો મારા અભિનયમાં કચાશ હોવાનું તથ્ય સામે આવત.

છબી અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા અંતર રહે છે. દેશમાં જિન્નાને કોમવાદી ગણવામાં આવે છે. પાકિસ્તાનના જનક તરીકે તેમને ધિક્કારવામાં આવે છે. પરંતુ ભારતની સૌથી વધારે દક્ષિણપંથી રાજકીય પાર્ટીઓમાંની એકના ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જિન્નાને પાકિસ્તાનમાં સેક્યુલર નેતા ગણાવે છે. મુસ્લિમ લીગના કટ્ટરવાદી નેતા તરીકે પંકાયેલા જિન્નાહે સૌથી પહેલા ગાંધીજીના ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમણે રહેમત અલીના પાકિસ્તાન માટેના વિચારને શેખચલ્લીનો ખ્વાબ ગણાવ્યો હતો. તેમને સરોજિની નાયડુએ હિંદુ-મુસ્લિમ એકતાના એમ્બેસેડર પણ કહ્યા હતા. જિન્નાહે લોકમાન્ય ટીળકનો કેસ પણ લડયા હતા. જિન્નાહ ક્યારેય નમાઝ પઢતા ન હતા અને તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હતા. જિન્નાના નજીકના મિત્ર હિંદુ હતા. તેમણે પારસી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માટે ત્યાંની બંધારણીય સભામાં ભાષણ આપ્યું હતું. આમ જોવો તો જિન્નાની વ્યક્તિગત રીતે કટ્ટર મુસ્લિમ ન હોવા છતાં તેમની છાપ કટ્ટરવાદી મુસ્લિમ લીગી નેતાની હતી. તેમની છાપે જ તેમને પાકિસ્તાન સર્જવામાં ઘણી મોટી મદદ કરી હતી.


મીડિયાની છબી કૃત્રિમ નૈતિકતાને આધારે બને છે. હાલના સમયમાં મીડિયા વ્યક્તિ કે સંગઠનને માથે પણ ઉંચકે છે અને તેને પગની નીચે પણ નમાવી શકે છે. મીડિયામાં પેદા થયેલી કાચની છબીઓ એક કાંકરીના પ્રહાર માત્રથી તૂટી જાય છે. મીડિયામાં કોઈની છબી બને છે, પછી તેમની પાછળ સક્રિય તેના હિત તંત્રની ખબરો પણ આવે છે. સ્પષ્ટ છે કે મીડિયામાં કોઈ છબી માસૂમ, તટસ્થ, નિષ્કલંક અથવા પૂરી રીતે નૈતિક આદર્શ હોતી નથી. પરંતુ તે તેવું દેખાવાની કોશિશ કરે છે અને છળ પેદા કરે છે. તે પોતાના છળથી સંચાર બળને સ્થિર કરે છે. સંચાર યુગમાં મસીહાઓ હવે કાચ અને કાગળના બની રહ્યાં છે. મીડિયા કેટલીય કાગળની હોડીઓને તેમના હિતોની વેતરણી પાર કરાવી રહ્યું છે. પરંતુ લોકોએ છબીઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવો ન જોઈએ. જો છબીને ધ્યાનમાં રાખીને લોકો વ્યક્તિની પડખે ઉભા રહેશે, તો ચોક્કસપણે છેતરાશે. વ્યક્તિના વાણી-વર્તનની માહિતી મેળવવી, તેનું વિશ્લેષણ કરવું અને આ વિશ્લેષણને આધારે છબી ચકાસવી જોઈએ. એક હિંદી કવિતામાં લખ્યું છે કે-
છાયા મત છૂના મન, હોગા દુ:ખ દૂના મન! એટલે કે માનેલા કંચન જ્યારે કથીર નીકળે છે, ત્યારે ખૂબ દુ:ખ થાય છે. તેથી જરૂરી છે કે વ્યક્તિની તમામ સાચી માહિતી મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો તેનું વિશ્લેષણ કરે.

સંપૂર્ણ ગોહત્યાબંધીમાં ભારતની સરકારોને બિલકુલ રસ નથી!


-આનંદ શુક્લ

ભારતના ભારતીયત્વનો આધાર ગાયો પ્રત્યેની ભારતીયોની ભાવના, આસ્થા અને આદર છે. ગાયોને ભારતના લોકો પૂજનીય ગણે છે. હિંદુઓની આસ્થાઓના સૌથી મોટા કેન્દ્રબિંદુઓમાં ગાયનો સમાવેશ થાય છે. વેદોમાં ગાયને માતા ગણાવતી ઘણી ઋચાઓ છે. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના ગાય વગર થઈ શકે તેમ નથી. ભગવાન શ્રીરામ પણ ગાય પ્રત્યે આસ્થા ધરાવતા હતા. ભારતના રાજાઓ ગાયોની રક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા હતા. સૌરાષ્ટ્રના ગામેગામ ગોરક્ષા માટે લડનારા વીરોના અનેક પાળિયાઓ આવેલા છે. પ્રાચીન કાળથી ગાય ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ રહી છે. ગોધન પ્રદેશની સમૃદ્ધિનું પરિમાણ હતું. ગાયને હિંદુઓ માતા ગણે છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતાને કારણે તે પવિત્ર ગણવામાં આવે છે. ગોહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા, સ્ત્રીહત્યા જેવાં પાપોમાં ગોહત્યાનું કોઈ જ પ્રાયશ્ચિત કર્મ નથી. ગોહત્યાનું પાપ ક્યારેય ધોવાતું નથી. ભારતમાં પરમાત્માએ ખુદ ગોપાલ બનીને ગોપાલન કર્યું છે. ભારતમાં ગોપાલનની પરંપરા સનાતન છે.ગૌ, ગંગા અને ગાયત્રી (સૂર્ય) એ ભારતની પહેચાન છે.

મહાત્મા ગાંધીએ ગાયનું આર્થિક વિશ્લેષણ કરતાં કહ્યું હતું કે “આજે તો ગાય મૃત્યુના કિનારે ઉભી છે અને મને વિશ્વાસ નથી કે અંતમાં આપણાં પ્રયત્નો તેને બચાવી શકશે. પરંતુ તે નષ્ટ થઈ જશે તો તેની સાથે જ આપણે પણ એટલે કે આપણી સભ્યતા પણ નષ્ટ થઈ જશે.” રાષ્ટ્રપિતાએ કહ્યું હતું કે “આપણા ઋષિઓએ આપણને ઉપાય બતાવી દીધો છે. તેઓ કહે છે કે ગાયની રક્ષા કરો, સૌની રક્ષા થઈ જશે. ઋષિ જ્ઞાનની કુંજી ખોલી ગયા છે, તેને આપણે વધારવી જોઈએ, બરબાદ કરવી જોઈએ નહીં.” અંગ્રેજ સલ્તનતકાળમાં ભારતના વાઈસરોય લોર્ડ લિનલિથગોએ કહ્યુ હતુ કે ભારતમાં ગાય પોતાની પીઠ પર સંપૂર્ણ આર્થિક ઢાંચાનો ભાર સંભાળી રહી છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક સંદેશમાં કહ્યું હતું કે ભારત ટ્રેક્ટર, ખાતર વગેરેનો ખેતીમાં ઉપયોગ ન કરે. ભારતે પોતાની ખેતીનો આધાર ગાય અને બળદને જ રાખવો જોઈએ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના શબ્દો હતા કે ગોબર ગેસ ઊર્જાનો અક્ષય સ્ત્રોત છે. પ્રસિદ્ધ અમેરિકી વૈજ્ઞાનિક ડોનાલ્ડ ક્લાંસે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને સૂચન કર્યું હતુ કે ભારત પોતાના પશુધનની રક્ષા કરે તો તેનાથી 2.28 કરોડ બેરલ પેટ્રોલિયમ જેટલી ઊર્જા પ્રાપ્ત થશે.

ગાય દૂધ આપનારી ડેરી છે. ખાતર આપનાર ફર્ટિલાઈઝર પ્લાન્ટ છે. બળદના રૂપમાં ટ્રેક્ટર છે અને માલ લાવવા-લઈ જવા માટે ટ્રક છે. મનુષ્યની આ તમામ જરૂરિયાતો તે ઘાસ ખાઈને પૂરી કરે છે. ગાય અને ગોવંશની આ સૌથી મોટી વિશેષતા છે. ગાય અને ગોવંશ ખુદ ઘાસ અને ભુસું ખાઈને મનુષ્યને અન્ન, ઊર્જા અને દૂધ આપે છે.

ગોહત્યાથી સામાન્ય હિંદુઓની ધાર્મિક ભાવના દુભાય છે. જો કે મુસ્લિમો ગોહત્યાને પોતાનો ધાર્મિક અધિકાર સમજીને વર્તી રહ્યાં છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં ગોહત્યા કરનારા અને પશુહત્યાના ધંધામાં સીધી કે આડકતરી રીતે પોતાનો નફો રળનારાઓમાં હિંદુઓ હવે વટલાયેલા મુસ્લિમ જેવાં થઈ ગયા છે. આર્થિક લાભ માટે ધાર્મિક સિદ્ધાંતોના ભંગનો આવા હિંદુઓને લેશમાત્ર રંજ નથી. ગોહત્યાથી આર્થિક લાભ મેળવનારા મુસ્લિમોની જેમ હિંદુઓની સંખ્યા પણ નાનીસૂની નથી. પૈસો એ જ પરમેશ્વરનો મંત્ર અત્યારે ચારેકોર ગુંજી રહ્યો છે. તેના કારણે ઉભા થયેલા સ્થાપિત હિતોના પરિણામે આઝાદીના 64 વર્ષ બાદ પણ દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી થઈ શકી નથી.

ચામડાની નિકાસના 15 હજાર કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

કતલ કરવામાં આવતા પ્રાણીઓના ચામડાની નિકાસની વાત કરીએ તો આ ઉદ્યોગમાં ભારતે હરણફાળ ભરી છે. એક સમય હતો કે જ્યારે આપણા દેશમાં પ્રાણીઓની કતલ ખૂબ મર્યાદીત પ્રમાણમાં થતી. જે પશુઓના કુદરતી રીતે મોત થતા, તેમનું અહિંસક ચામડું જ ઉપયોગમાં લેવાતું હતું. ઈન્ડિયન ઈકોનોમિક સર્વેના પ્રમાણભૂત આંકડા મુજબ 1961માં ભારતમાંથી ચામડાની નિકાસ માત્ર 28 કરોડ રૂપિયાની હતી. આ નિકાસ 1971માં 80 કરોડ અને 1981માં 390 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 1981થી 1991 વચ્ચેના દસ વર્ષમાં ભારતની ચામડાની નિકાસમાં લગભગ 600 ટકાનો ધરખમ વધારો થયો. 1991માં ચામડાની નિકાસ 2600 કરોડ રૂપિયા ઉપર અને 2001માં 9004 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 2001થી 2011 વચ્ચે પણ ચામડાની નિકાસે મોટા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. 2006-07માં 3059.43 મિલિયન યુએસ ડોલર, 2007-08માં 3548.51 મિલિયન યુએસ ડોલર, 2008-09માં 3403.57 મિલિયન યુએસ ડોલર અને 2010-11માં 3844.46 મિલિયન યુએસ ડોલર એટલે કે 3.8 બિલિયન યુએસ ડોલર. એક ડોલરના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણીએ તો 2010-11માં ભારતમાંથી 15000 કરોડ રૂપિયાની ચામડાની નિકાસ થઈ છે. યુરોપિયન ઈકોનોમીમાં મંદી છતાં ભારતમાંથી ચામડાની નિકાસમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. એસોચેમનું અનુમાન છે કે 2014માં ભારત ચામડાની નિકાસમાં 5.4 બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે.

ચામડાની નિકાસ દ્વારા દેશમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધારેના સ્થાપિત હિતો પેદા થયા છે. આ સ્થાપિત હિતો થોડા વખતમાં અઢી લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. તેથી ગોહત્યાબંધી કરવામાં આવે, ચામડાના ઉદ્યોગપતિઓને મોટો આર્થિક ફટકો પડે. આ નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માત્ર મુસ્લિમ જ છે, તેવું નથી. તેમાં હિંદુઓ પણ મોટી સંખ્યામાં છે. આ સ્થાપિત હિતોને પરિણામે દેશભરમાં ગોહત્યા પ્રતિબંધનો કડક કાયદો આવી શક્યો નથી. વળી જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધના કાયદા છે, ત્યાં તેનો અમલ પણ કડકાઈથી ન થવા પાછળ આવા સ્થાપિત હિતો કારણભૂત છે.

ભારતમાં મુસ્લિમ સલ્તનત અને મોગલકાળમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. ક્રૂરતમ મોગલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. મોગલ સલ્તનતનો પાયો નાખનાર કટ્ટર મુસ્લિમ બાબરે પોતાના અનુગામી સુલ્તાન-બાદશાહોને કહ્યું હતું કે ભારતમાં ટકવું હશે, તો ગોહત્યા પર પ્રતિબંધ મુકવો પડશે. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રા પછી ભારત નબળું પડયું તેનો લાભ અંગ્રેજોએ મોટાપાયે પશુઓની કતલ કરવામાં લીધો. કારણ કે યુરોપ અને અમેરિકાના ઠંડા વાતાવરણને કારણે ત્યાં ચામડાની ઘણી જરૂરિયાત રહે છે. રમેશચંદ્ર દત્તે લખેલા પુસ્તક ધી ઈકોનોમિક હિસ્ટરી ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, 1857થી 1900 વચ્ચેના માત્ર 43 વર્ષના ગાળામાં કુલ 1667 કરોડ રૂપિયાની કિંમતનું ચામડું યુરોપ અને અમેરિકા મોકલવામાં આવ્યું હતું. એ જમાનામાં બળદની કિંમત માંડ પાંચથી છ રૂપિયા હતી. આ ગણતરીએ 43 વર્ષમાં અંગ્રેજોએ 300 કરોડ ગાય-બળદની આપણાં દેશમાં કતલ કરી. આ આંકડો દર વર્ષે સાત કરોડ ગોવંશની કતલ સૂચવે છે. ભારત સ્વતંત્ર બન્યું ત્યારે દેશમાંથી ચામડાની નિકાસ બિલકુલ બંધ થઈ ગઈ હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ માંસ અને ચામડાના સોદાગરોના દબાણમાં સરકાર ઝુકી ગઈ અને દેશમાં કતલખાનાઓ ખોલવાની મંજૂરી આપવા માંડી. આજે ભારત માંસ અને ચામડાના નિકાસમાં વિશ્વના પ્રથમ દશ દેશોમાંનો એક દેશ બની ગયો છે.


ભારતમાં ગાયોની કત્લેઆમનો વિકાસ!


1760માં રોબર્ટ ક્લાઈવે કોલકત્તામાં દેશનું સૌથી પહેલું કતલખાનું બનાવ્યું હતું. આ કતલખાનામાં તે વખતે રોજની 30 હજાર ગાયો અને અન્ય પશુઓ કપાતા હતા. આઝાદી વખતે ભારતમાં માત્ર 300 કતલ ખાના હતા. પરંતુ આજે દેશમાં 36 હજારથી વધારે નાના-મોટા કતલખાના અસ્તિત્વમાં છે. આ સિવાય ગેરકાયદેસરના કતલખાના પણ મોટા પ્રમાણમાં છે. દેશમાં ગાયો અને ગોવંશમાં 80 ટકાનો ઘટાડો આઝાદી પછી નોંધાયો છે. જે કામ મોગલો અને અંગ્રેજોના કાળમાં થયું ન હતું, તે આઝાદ ભારતના કપૂત શાસકોએ કર્યું છે. દેશમાં હાલ ગાયોના 70 નસ્લોમાંથી માત્ર 33 નસ્લો જ બચી છે. દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાંથી 10 મોટા અને અત્યાધુનિક કતલખાના છે. હૈદરાબાદના અલ-કબીર કતલખાનાને દર વર્ષે 6 લાખ પશુઓની કતલ કરવાનો પરવાનો અપાયેલો છે. મુંબઈના દેવનાર કતલખાનામાં દર વર્ષે 1,20,000 ગાયો અને 60,000 ભેંસોની કતલ કરવામાં આવે છે. કોલકત્તામાં દર વર્ષે 12 લાખ ગાયો અને ભેંસોની કતલ થાય છે. 1951માં દર હજાર માણસે 430 ગાયો હતી, 1961માં દર હજાર માણસે 400 ગાયો, 1971માં દર હજાર માણસે 326 ગાયો, 1981માં દર હજાર માણસે 278 ગાયો, 1991માં દર હજાર માણસોએ 202 ગાયો, 2001માં દર હજાર માણસોએ 110 ગાયો હતી. પરંતુ 2011માં અનુમાન લગાવાય છે કે દર હજાર માણસે માત્ર 20 ગાયો ભારતમાં બચી છે! ભારતની ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં આ સૌથી મોટી પ્રગતિ છે.

ગોહત્યાથી અઢી લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

વિશ્વમાં ગોમાંસ પેદા કરનારા દેશોમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. વિશ્વના ગોમાંસની નિકાસકર્તા દેશોમાં ભારતનું સ્થાન ત્રીજું છે. દુનિયામાં 10.47 ટકા ગોમાંસ ભારતમાંથી નિકાસ થાય છે. આઝાદી વખતે ભારતમાંથી ગોમાંસની નિકાસ શૂન્ય હતી. પરંતુ દેશમાં કતલખાના વધવાની સાથે જ ગોમાંસની નિકાસ પણ વધી છે. 1961માં દેશમાંથી માત્ર 1 કરોડ રૂપિયાનું ગોમાંસ નિકાસ થતું હતું. 1971માં ગોમાંસની નિકાસ 3 કરોડ અને 1981માં ગોમાંસની નિકાસ 56 કરોડ રૂપિયાએ પહોંચી હતી. 1991માં ઉદારીકરણના તબક્કામાંથી પસાર થતાં ભારતમાં ગોમાંસની નિકાસ 140 કરોડ રૂપિયા અને 2001માં ઉદારીકરણના તબક્કામાં 1600 કરોડ રૂપિયાની ગોમાંસની નિકાસ થઈ હતી. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓમાં ગોવંશની કતલને પ્રોત્સાહન મળ્યું, તેના કારણે દેશમાં દસ વર્ષમાં જ ગોમાંસની નિકાસ દસ ગણી વધી ગઈ. હાલ ભારત 800 મેટ્રિક ટન ગોમાંસ ભારતમાંથી નિકાસ કરે છે. ગોમાંસ ઉત્પાદનના 2005ના આંકડા પ્રમાણે 2250 મિલિયન ટન ગોમાંસ, 2006માં 2375 મિલિયન ટન ગોમાંસ, 2007માં 2413 મિલિયન ટન ગોમાંસ, 2008માં 2470 મિલયન ટન ગોમાંસ, 2009માં 2475 મિલિયન ટન ગોમાંસનું ઉત્પાદન થયું છે. 2011માં ભારતમાં ગોમાંસ ઉત્પાદનમાં હજી 10 ટકાનો વધારો થયો છે. ભારતના પશુધનને કાપીને અમેરિકા, યુરોપ, મધ્ય એશિયા, ખાડીદેશો, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાનને માંસ ખવડાવાય છે. ગાયને પૂજ્ય ગણનારા ભારતીય હિંદુઓના નાક નીચે દરરોજ 30 હજારથી વધારે ગાયોની કતલ થાય છે. હૈદરાબાદ ખાતેના અલકબીર નામના કતલખાનામાં પણ હજારો ગાયોની કતલ થાય છે. આ કતલખાનાનો માલિક બિનમુસ્લિમ છે. ગોમાંસના લાખો કરોડ રૂપિયાના કારોબારમાં સરકારને પણ વિદેશી હુંડિયામણ કમાવવાની ઘેલછા છે. તેના કારણે ગોમાંસ અને ચામડાના કારોબારને પ્રોત્સાહન આપી રહી છે.

28 ઓક્ટોબર, 2010ના રોજ ગોવંશ 32,57,58,250 હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો તેમાં ભેંસો મેળવી લેવામાં આવે તો આ સંખ્યા 45 કરોડની થાય છે. જો કે 70 ટકા ગોવંશ ભાગ્યે જ બચ્યો હશે. પરંતુ સરકારી આંકડાને સાચા માની લઈએ તો આપણી પાસે 20.5 કરોડ ગાયો છે. આ ગાયો દર વર્ષે ઓછામાં ઓછા 6 કરોડ ગોવંશને જન્મ આપે છે. વળી દશ કરોડ ભેંસો પણ ત્રણ કરોડ બચ્ચાઓને જન્મ આપે છે. આ પ્રજનન સંપૂર્ણપણે ગોચર જ હોતું નથી. એટલે કે લગભગ ગાય-બળદ, ભેંસ બે લાખ કરોડ રૂપિયાનું 2 કરોડ ટન ગોમાંસ પ્રદાન કરે છે. તેમાંથી 50 હજાર કરોડ રૂપિયાનું ચામડું, હાડકાં અને લોહીનો પણ વેપાર થાય છે. આ કુલ અઢી લાખ કરોડનો વેપાર દેશના વિકાસમાં કંઈજ ઉપયોગી થતો નથી. તેનાથી ન તો ગ્રામીણ વિકાસ થાય છે, ન તો રોજગારી ઉભી કરવાની તક પુરી પાડે છે. ભારતમાં ગાય સાથે ભેંસ, ઘેટાં-બકરાં-ડુક્કર વગેરેની પણ મોટાપાયે કતલ કરવામાં આવે છે. ભારતે 2006માં 29890 મેટ્રિક ટન, 2007માં 26212 મેટ્રિક ટન અને 2008માં 15648 મેટ્રિક ટન માંસની નિકાસ કરી છે. આનાથી ભારત સરકારે 58,361 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં, ભારતમાં જ્યારે પણ કોઈ અન્ય દેશથી માંસ નિકાસની માંગ આવે છે, ત્યારે ભારત સરકાર પશુઓની કતલ કરીને માંસની નિકાસ કરવા ઉતાવળી રહે છે. ભારત સરકાર માંસ નિકાસને વિદેશી મુદ્રા કમાવવા માટે જરૂરી માને છે. પરંતુ પ્રાણીઓના રક્ત અને માંસના વેપારથી દેશનું ભલું થઈ શકે? જો તેમ જ હોય તો ભારતમાં 121 કરોડ માનવજીવો છે, ભારત સરકારે માનવીય રક્તના વેપારનો કારોબાર પણ શરૂ કરવો ન જોઈએ?

માંસ લોબીનું ભારત સરકાર પર દબાણ

ધી કેટલ સાઈટ લેટેસ્ટ ન્યૂઝ પર 17 સપ્ટેમ્બર, 2008માં પ્રસારીત થયેલા સમાચારમાં ભવિષ્યવાણી છે કે ભારત ગોમાંસનું ઉત્પાદન વધારે. તેની ભવિષ્યવાણી છે કે ગોમાંસ નિકાસમાં ભારતને અનિવાર્યપણે દર વર્ષે પાંચ ટકાની વૃદ્ધિ કરવી પડશે. દુર્ભાગ્યથી વણસેલી પરિસ્થિતિમાં ગાયને માતા ગણનારા ભારતમાં ગોમાંસ એક મહત્વપૂર્ણ વેપાર બની ગયો છે. 1981માં ભારતમાં ગોમાંસની નિકાસ 39 હજાર ટનની હતી. હવે તે વધીને 5 લાખ ટન વાર્ષિક થઈ છે. વિશ્વમાં સૌથી વધારે પશુધન ભારતની પાસે છે, માટે વિશ્વની માંસ લોબી એ ચિંતામાં રહે છે કે ભારત પોતાના પશુધનની કતલ કરીને માંસ, ચામડા, લોહી અને હાડકાંની આપૂર્તિ યથાવત રાખે. આ ઉદેશ્યોની પૂર્તિ માટે ભારત પર જુદીજુદી પદ્ધતિઓથી વિદેશી શક્તિઓ દબાણ બનાવવા માટે સક્રિય રહે છે. ભારત સરકાર પર વિશ્વની માંસ લોબીનું દબાણ રહે છે કે તે વધારેમાં વધારે પશુઓને કાપવાની વ્યવસ્થા કરે. માંસ લોબી વારંવાર એ વાતને પ્રચારીત કરે છેકે જો વિશ્વમાં માંસ, ચરબી, ચામડા અને હાડકાની કિંમતોમાં સંતુલન બનાવી રાખવું હશે, તો ભારતના પશુધનને કતલખાનામાં લઈ જવું ઘણું જરૂરી છે.

ટ્રેક્ટર લોબીના સ્થાપિત હિતો

ભારતમાં 48 કરોડ એક ખેતીલાયક જમીન છે. આ સિવાય 15 કરોડ 80 લાખ એકર બંજર ભૂમિ છે. ભારતમાં ખેતી માટે 10 કરોડ બળદોની જરૂરિયાત છે. પરંતુ દેશમાં હાલ ટ્રેક્ટરોનું ચલણ વધી રહ્યું છે. 1951માં દેશમાં માત્ર 9 હજાર ટ્રેક્ટરો વપરાશમાં હતા. 1961માં 31 હજાર ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું. 1971માં વધીને 1.40 લાખ ટ્રેક્ટરો ઉપયોગમાં આવ્યા. 1991માં 5.20 લાખ ટ્રેક્ટરો થયા. 1991ના વર્ષમાં 14.50 લાખ ટ્રેક્ટરો અને 1998-90ના વર્ષમાં 27 લાખ ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું છે. હાલ ભારતમાં 40 લાખથી વધારે ટ્રેક્ટરો ખેતીકામમાં ઉપયોગમાં લેવાય છે. આ ટ્રેક્ટરોની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા થાય છે. ટ્રેક્ટર દ્વારા ભારતની માત્ર 50 ટકા ખેતીલાયક જમીન પર જ ખેતી થઈ રહી છે. હજી બીજી 24 કરોડ એકર જમીન પર ખેતી કરવા માટે આટલા જ ટ્રેક્ટરની જરૂરિયાત લંબાવી શકાય તેમ છે. માટે દેશની ટ્રેક્ટર લોબી માટે ગોહત્યા પ્રતિબંધ નુકસાનીનો ધંધો છે. કારણ કે ટ્રેક્ટર વગર ખેતી બળદોથી થતી હતી. દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી કરવામાં આવે, તો ખેતી માટે ઉપયોગી બળદોનો પુરવઠો વધી જાય અને ટ્રેક્ટરની માંગ ઘટી જાય.આથી ટ્રેક્ટર લોબી દેશમાં ગોઆધારીત ખેતી વિકાસને આગળ વધવા દેવા તૈયાર નથી.

વધતો માંસાહાર અને ખાદ્ય સંકટ

1961માં વિશ્વમાં માંસની કુલ માંગ 7 કરોડ ટન હતી. જે 2008માં ચાર ગણી વધીને 28 કરોડ ટન થઈ ગઈ. આ દરમિયાન પ્રતિ વ્યક્તિએ માંસની ખપત બેગણી થઈ છે. ખાદ્ય ઉત્પાદનમાં પશુ ઉત્પાદોનો હિસ્સો લગભગ 40 ટકાએ પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું આકલન છે કે 2050 સુધીમાં પશુ ઉત્પાદનોની માગણી બેગણીથી વધારે થઈ જશે. ભારતમાં પણ માંસાહારનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં 68 ટકા લોકો શુદ્ધ શાકાહારી હતા, પરંતુ અત્યારે ભારતની કુલ વસ્તીના માત્ર 30 ટકા લોકો વિશુદ્ધ શાકાહારી છે. જો કે 25 ટકા લોકો ઘણાં ઓછા પ્રસંગે માંસાહાર કરે છે. બાકીના 45 ટકા લોકો માંસાહાર અને શાકાહાર બંનેનો ઉપયોગ કરે છે. એક સમય હતો કે જ્યારે દેશી રિયાસતો વખતે વર્ષમાં 106 દિવસ કતલખાના બંધ રહેતા હતા, પરંતુ હવે પર્યુષણ અને રામનવમી જેવાં તહેવારોમાં પણ બજારમાં જેનું ચાહો તેનું માંસ ઉપલબ્ધ થઈ જાય છે. ભારતના એક કૃષિ મંત્રીનું માનવું હતું કે અન્ય વસ્તુઓના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થાય છે. પંરતુ માંસ એક એવો વેપાર છે કે તેમાં આપણું કંઈપણ ખર્ચાતુ નથી. પશુને કતલખાને મોકલો તેટલી વાર છે, બસ પછી તો ડોલર, યૂરો અને રૂપિયાના વરસાદથી ઝોળી ભરાય જાય છે. મુંબઈના એક મોટા માંસ નિકાસકારના માનવા પ્રમાણે, વિપુલ સંખ્યામાં પશુધન ભારત માટે પેટ્રોલનો કૂવો છે. જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરો. ભારતમાં પશુધન સંદર્ભે સરકારની શું નીતિ હશે, તેનો સંકેત ભારત સરકારના એક મોટા અધિકારી ખુરોદીએ જીનિવા સંમેલનમાં આપેલા ભાષણ પરથી સમજી શકાય તેમ છે. ખુરોદીએ જીનિવા સંમેલનમાં કહ્યું હતું કે ભારતના 80 ટકા પશુધનને નષ્ટ કરી દેવું જોઈએ. જો કે ખુરોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 80 ટકા પશુધનને સમાપ્ત કરતી વખતે ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આજે અમેરિકામાં પેદા થનારું 70 ટકાથી વધારે અનાજ જાનવરોને ખવડાવી દેવામાં આવે છે. દુનિયાની બે તૃતિયાંશ જમીન પર પશુ આહાર પેદા કરવામાં આવે છે. પરંતુ જાણકારોનું માનીએ તો 100 કેલોરી જેટલું બીફ (ગોમાંસ) પેદા કરવા માટે 700 કેલોરી બરાબર અનાજ વપરાય છે. સીધું અનાજ ખાવાની સરખામણીમાં જાનવરોને ખવડાવીને તેમાંથી માંસ, ઈંડા અને દૂધ તૈયાર કરવામાં અનાજની વધારે ખપત થાય છે. ઉદાહરણ તરીકે વિકસિત દેશોમાં એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવા માટે સાત કિલોગ્રામ અનાજની ખપત થાય છે. એક કિલોગ્રામ સુવ્વરનું માંસ તૈયાર કરવામાં સાડા છ કિલોગ્રામ અનાજની લાગત આવે છે. જ્યારે એક કિલોગ્રામ ચિકન અથવા ઈંડા માટે અઢી કિલોગ્રામ અનાજ વાપરવું પડે છે. આ સિવાય પ્રત્યક્ષ રીતે અનાજના ઉપભોગની સરખામણીએ માંસના ઉપયોગથી ઊર્જા અને પ્રોટીન પણ ઓછું મળે છે. એક કિલો ચિકન અથવા ઈંડાના ઉપયોગથી 1090 કેલોરી ઊર્જા અને 290 ગ્રામ પ્રોટીન મળે છે. પરંતુ એક કિલો ચિકન તૈયાર કરવામાં લાગતા અનાજથી 6900 કેલોરી ઊર્જા અને 200 ગ્રામ પ્રોટીન મળી શકે છે.

ખાસ કરીને મોટા જાનવરોનું માંસ ખાવું ઊર્જા અને પ્રોટીનની દ્રષ્ટિએ અનાજ પ્રત્યે વધારે બિનજરૂરી ખર્ચો છે. એક કિલોગ્રામ ગોમાંસમાંથી માત્ર 1140 કેલોરી ઊર્જા અને 226 ગ્રામ પ્રોટીન મળે છે. જ્યારે એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવામાં લાગતા અનાજમાંથી 24,150 કેલોરી ઊર્જા અને 700 ગ્રામ પ્રોટીન મળે છે. અમેરિકામાં દર કલાકે ચાર હજાર ગાયો કપાય છે. માંસાહાર અને ખાદ્ય સંકટના સંબંધને વધારે આસાનીથી એ તથ્યથી સમજી શકાય કે બ્રાઝિલ અને અમેરિકામાં ખવાતા ગોમાંસના બનેલા એક પાઉન્ડના એક બર્ગરમાં જેટલાં અનાજનો ઉપભોગ થાય છે, તેમાં ત્રણ ભારતીયોનો આખા દિવસનો ખોરાક પૂરો પડી શકે છે.


પાકિસ્તાનને 38 હજાર ટનનું માંસ ખવડાવ્યું


સરકારના આંકડા જણાવે છે કે 2006-07માં ભારતે પાકિસ્તાનને 25,606.38 મેટ્રિક ટન, 2007-08માં 9,947.68 મેટ્રિક ટન અને 2008-09માં 2789.37 મેટ્રિક ટન માંસની આપૂર્તિ કરી છે. તેના બદલામાં ભારતને અનુક્રમે 13,309.63, 6125.58 અને 1,743.53 લાખ રૂપિયાની આવક થઈ છે. ટૂંકાણમાં કહીએ તો 38343.43 ટન માંસના બદલામાં ભારત સરકારે પાકિસ્તાન પાસેથી 21178.74 લાખ ની કમાણી કરી છે. ભારતની જાગરૂક જનતાએ વિચાર કરવો જોઈએ કે કેટલાં સસ્તી કિંમતમાં આપણાં પશુધનને શત્રુદેશનું ભોજન બનાવી દેવાય છે!

ભારતની ગાયોની કતલથી બાંગ્લાદેશને વર્ષે 1.13 ખરબ રૂપિયાની કમાણી

બાંગ્લાદેશમાં ગાયો રહી નથી. પરંતુ એક અનુમાન પ્રમાણે, દર વર્ષે બાંગ્લાદેશમાં ભારતની 45-50 લાખ ગાયોની દાણચારો થાય છે. પ.બંગાળના રસ્તે ભારતમાંથી 20થી 25 હજાર પશુઓ દરરોજ બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે લઈ જવાય છે. એક આકલન પ્રમાણે, ભારતમાંથી દાણચોરી કરીને લવાયેલા પશુઓના ચામડાં, માંસ, હાડકાં અને લોહીમાંથી બાંગ્લાદેશને દર વર્ષે લગભગ 1.13 ખરબ રૂપિયાનો વેપાર થાય છે. બાંગ્લાદેશમાં ગાયો નથી, પણ બાંગ્લાદેશ દર વર્ષે એક લાખ ટન ગોમાંસની નિકાસ કરે છે! બાંગ્લાદેશ સિવાય રાજસ્થાન સરહદેથી પણ ગાયોની તસ્કરી થાય છે. ગાયોની તસ્કરી પાછળ પણ દેશભરમાં મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ નેટવર્કના પણ કરોડો રૂપિયાના સ્થાપિત હિતો છે. તેઓ ગાયોની તસ્કરી કરવા માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ કરી રહ્યાં છે. દેશની સરહદે સુરક્ષાદળોના નાક નીચે થઈ રહેલી ગાયોની તસ્કરી ઘણાં સવાલો પેદા કરી રહી છે.

દેશમાં કુલ મળીને ગોવંશની કુલ સંખ્યા પચ્ચીસ કરોડ 11 લાખ બેતાલીસ હજારની આસપાસ હોવાનું અનુમાન છે. તેમાંથી માત્ર 35-36 લાખ ગોવંશ ગોશાળાઓમાં સુરક્ષિત છે. સ્પષ્ટ છે કે દેશનું સાડા ચોવીસ કરોડ ગોવંશ સમાજ અર્થાત ગામ, કસબા અને નગરોમાં નિવાસ કરનારા પશુપાલકો અને નાગરીકોના દરવાજે આશ્રય લીધો છે. આજે દેશમાં ભયંકર સ્થિતિ છે કે દર મિનિટે દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાં 2800 ગાયો કપાય છે. ગોહત્યાની જગ્યાએ ગોવસંવર્ધન અને ગોપાલનથી દેશને વધારે લાભ થઈ શકે તેમ છે. ગોવંશ 4 ટન પ્રતિ વર્ષના હિસાબથી 120 કરોડ ટન ગોબર અને 80 કરોડ લીટર ગોમૂત્ર પ્રદાન કરે છે. આ માત્રા દેશના વિકાસમાં સહાયક થવી જોઈએ. જો ગોશક્તિને ઉપયોગમાં લાવવામાં આવે, તો દેશમાં 120 કરોડ ટન ગોબર, 50 હજાર કરોડનું પ્રાકૃતિક ખાતર, 35 હજાર કરોડની 10 હજાર કરોડ યૂનિટ વીજળી અને એક બળદ બરાબર આઠ અશ્વશક્તિના હિસાબે 80 કરોડ અશ્વશક્તિ સમાન બળદશક્તિથી દેશની ગ્રામીણ વિદ્યુત, ઈંધણ અને પીવાના પાણીની સમસ્યાનું નિદાન થઈ શકે છે.

ભારતમાં આડેધડ થઈ રહેલી ગોહત્યા અને પશુધનની હત્યા આપણી સંસ્કૃતિ અને સભ્યતાના અસ્તિત્વની સામે લાલબત્તી ધરે છે. જાણકારોના માનવા પ્રમાણે, સમૃદ્ધ અને સમર્થ ભારતની વ્યવસ્થાને 1500 વર્ષોના હુમલાથી જેટલું નુકસાન પહોંચ્યું ન હતું, તેટલું ગત પાંચસો વર્ષમાં થયું છે. તેમાં ગત 250 વર્ષમાં જેટલું નુકસાન થયું છે, લગભગ તેટલું જ નુકસાન આપણે 50 વર્ષોમાં કર્યું છે. ગોહત્યાથી દેશનો વિકાસ ટકાઉ અને પર્યાવરણલક્ષી રહ્યો નથી. તેના કારણે ભારત એક ઉંડી ખાઈ તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારે ગોહત્યા રોકીને ગાય અને ગોવંશ આધારીક કૃષિ વિકાસ તરફ ભારત અગ્રેસર બને, તેવી વ્યાપક રાષ્ટ્રીય નીતિની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ દેશમાં ગોહત્યાના પ્રત્યક્ષ 3થી 5 લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો આવી રાષ્ટ્રીય નીતિઓને ઘડવા દેશે નહીં અને આવી નીતિ ઘડાશે તો તેનો અમલ થવા દેશે નહીં. પરંતુ જેમને મન ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પહેલી પ્રાથમિકતા છે, તેઓ ગાય અને ગોવંશ સહીતના પશુધનને બચાવવા માટે સરકાર પર દબાણ કરશે, જો તેઓ દબાણ ન કરે તો તેઓ પોતાની જીવનપદ્ધતિમાં ગાય અને ગોવંશનું મહત્વ જળવાય તેવી બાબતો અપનાવે તે જરૂરી છે. ગાયોની રક્ષાથી રાષ્ટ્રની રક્ષા થશે. બાકી ગાયોની કતલથી મળેલા લાખો કરોડ રૂપિયા દેશના નાગરીકોના વિકાસમાં કોઈ રીતે કામમાં આવવાના નથી.