Friday, January 27, 2012

ભારતના રાજકારણની દુર્દશા ‘કોંગ્રેસ મૉડલ’ની દેણ


-ક્રાંતિવિચાર

ભારતીય રાજકારણમાં ઘણી બદીઓ અને નબળાઈઓની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે થતી ચર્ચામાં પણ રાજકીય કલેવરને બદલવા સુધીના તર્કો આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી સુધારાની વાતો પણ જોરશોરથી થઈ રહી છે. આઝાદ ભારતની રાજનીતિક સંસ્કૃતિ ઘણો મોટો અભ્યાસનો વિષય રહી છે. આઝાદી પહેલા 1885માં અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ ભારતની રાજનીતિનું મોડલ હતી અને આઝાદી પછી પણ સૌથી વધારે વર્ષ સત્તાનો ભોગવટો કરવાને કારણે દેશના રાજકીય મોડલ તરીકે ચાલુ રહી. 1885માં અંગ્રેજ દ્વારા થયેલી કોંગ્રેસની સ્થાપના શું દેશને આઝાદ કરાવવા માટે થઈ હતી કે અંગ્રેજોની સત્તા ટકાવી રાખવા માટે થઈ હતી? આની બિટવિન ધ લાઈન્સ વાચક ખુદ સમજી શકે છે. (ઘોષિત એજન્ડા સિવાયના અઘોષિત એજન્ડાઓ હોવા રાજનીતિમાં હંમેશાથી સામાન્ય વાત રહી છે) 1885થી 1920 સુધી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતની સામે કરેલા આંદોલનોની યાદી આજના કોંગ્રેસીઓ મહેરબાની કરીને આપે તો ખબર પડે કે તેમણે આંદોલનના નામે પત્રાચાર સિવાય કશું જ કર્યું ન હતું.

1920 બાદ દેશમાં ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલન થયા, પરંતુ કોંગ્રેસના બધાં આંદોલન અહિંસક રહ્યા. તેની પાછળનો તર્ક ગાંધીજીની અહિંસામાં આસ્થા હોઈ શકે. પરંતુ એક નીતિ સ્પષ્ટ રહી કે ગાંધીજીના નેતૃત્વમાં બનેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમતનો એક ચોક્કસ મર્યાદામાં રહીને વિરોધ કર્યો હતો, આજના કેટલાંક ટીકાકારો કહે છે કે માત્ર વિરોધનો દેખાવ કર્યો હતો. ભારતમાં અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવામાં દેશ-વિદેશમાં ભારતીય યુવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનો અને સુભાષચંદ્ર બોઝ દ્વારા દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સામ્રાજ્ય સામે જર્મન-જાપાનીઓ સાથે હાથ મિલાવવાની નીતિ વધારે કારણભૂત હતી. ગદ્દર આંદોલનથી લઈને મુંબઈમાં થયેલા નૌસૈનિક વિદ્રોહની તવારીખ ગાંધી અને તેમની આગવી કોંગ્રેસના આંધળા ભક્તોએ જોઈ લેવી. તેના સંદર્ભે અંગ્રેજી હકૂમત દ્વારા કરવામાં આવેલી નોંધો અને ફૂટનોટો અભિલેખાગારમાંથી તપાસી લેવી.

ગાંધીજીની કોંગ્રેસ આગવી એટલા માટે બની ગઈ હતી કે સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. પણ ગાંધીજીની નામરજીને કારણે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ટકી શક્યા નહીં અને તેમને હારીને રાજીનામું આપવું પડયું. ત્યાર બાદ તેમને વિદેશની ધરતી પર આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને લશ્કરી રાહે દેશને આઝાદ કરવાનો રસ્તો લેવો પડયો હતો. ગાંધીજીની હત્યા બાદ કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારની આગવી કોંગ્રેસ બની ગઈ. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહે છે, તે કોંગ્રેસમાં અમુક અપવાદોને બાદ કરતાં આખરી સિદ્ધાંત બની રહેતો. વડાપ્રધાન નરસિંહ રાવના વખતમાં કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીએ સોનિયા ગાંધીને થોડા સાઈડ લાઈન કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ તેમ છતાં તેમને કોંગ્રેસીઓએ તેમના કાર્યાલયમાંથી ધોતી-બંડીમાં ટિંગાટોળી કરીને બહાર કાઢયા હતા.

ખેર આવી અંગ્રેજ દ્વારા સ્થપાયેલી પહેલા ગાંધીજીની અને પછી નહેરુ-ગાંધી પરિવારની આગવી બની ગયેલી કોંગ્રેસ પાર્ટી સિવાય છેલ્લા 112 વર્ષથી હિંદુસ્તાન પાસે રાજકીય પક્ષનું કોઈ મોડલ જ નથી. ભારતીય રાજનીતિમાં હંમેશા કોંગ્રેસ મોડલ હાવી રહ્યું છે. સ્વાતંત્ર્યવીર સાવરકરે દેશને બચાવવા માટે રાજનીતિનું કોંગ્રેસ મોડલ ખતમ કરવાની વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરને કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક ગોલવલકરને સાવરકરે ભારતીય જનસંઘની સ્થાપના કરવાને સ્થાને હિંદુ મહાસભા લઈ લેવાની વાત કરી હતી. પરંતુ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ભારતીય જનસંઘ અને પછી 1979માં બનેલી ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ હોવાનું ગાણું ગાતી રહી. પરંતુ આજે સ્થિતિ જોવો તો કોંગ્રેસનું રાજકીય મોડલ વધારે મજબૂત બન્યું છે અને દેશના સૌથી મોટા વિપક્ષ ભાજપ પર પણ પડી છે. થોડાઘણાં અંશે કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને પ્રાદેશિક પક્ષો પર પણ તેની અસર પડી છે.

ભારતના સમાજવાદી, કમ્યુનિસ્ટ અને હિંદુત્વવાદી નેતાઓના રાજકીય કુળ કોઈને કોઈ રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. આઝાદી પહેલા અને પછી કોંગ્રેસમાંથી પક્ષો બનવાનો કાળક્રમ ચાલુ જ રહ્યો છે. હજીપણ તે ચાલુ છે. સૌથી મોટા વિપક્ષ ભાજપમાં પણ કોંગ્રેસી કુળના વ્યક્તિઓનો પગપેસારો સારા પ્રમાણમાં થયો છે. જો કે અપવાદમાં શિવસેના અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ છે. પરંતુ તેમનો ગજ રાષ્ટ્રીય સ્તરે વાગતો નથી, તેઓ સીમિત ક્ષેત્રની પાર્ટીઓ છે. કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિક પરંપરા રહી છે કે હંમેશા સત્તાની સાથે રહેવું અને સત્તાના વિરોધમાં રહેવું પડે તો તેવા સમયે સીમિત વિરોધ કરવો. કોંગ્રેસમાં આંતરીક લોકશાહી બિલકુલ ખતમ છે. નહેરુથી રાજીવ ગાંધી સુધી નિર્ણયોમાં આંતરીક લોકશાહીને ધ્યાને લેવાતી ન હતી. સોનિયા ગાંધીમાં પણ આ પરંપરા પ્રત્યક્ષ રીતે ચાલુ છે. રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં ચૂંટણીઓ કરાવીને આંતરીક લોકશાહી હોવાનો દેખાડો કર્યો છે. પરંતુ રાજકારણના જાણકારો કોંગ્રેસમાં આંતરીક લોકશાહી હોવાની વાતથી સહમત નથી.

આ સિવાય કોંગ્રેસના આંદોલનો આઝાદી પહેલા પણ મૂડીવાદી અને સામંતી લોકોના કબજામાં રહ્યા હતા. આઝાદી બાદ પણ કોંગ્રેસના ફંડમાં મૂડીવાદીઓનો ઘણો મોટો ફાળો છે. જેના કારણે કોંગ્રેસના શાસકોએ દેશ માટેના હિત માટે નીતિ ઘડવાને બદલે તેમના દાનદાતા મૂડીવાદીઓને ફાયદો કરાવતી અર્થનીતિ બનાવતા રહ્યા. પ્રજાનો અનુભવ છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે, દેશમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી છે. કોંગ્રેસ અથવા તેના વડપણવાળી સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચારની કલંકિત પરંપરા છે. જેને જીપકાંડથી લઈને 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કાંડ સુધીનો વારસો મળ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના રંગઢંગને અન્ય રાજકીય પક્ષોએ પણ વત્તાઓછા પ્રમાણમાં સ્વીકાર્યો છે. જો કે આવા પક્ષોની કોંગ્રેસ પર કોઈ અસર થઈ નથી. કોંગ્રેસ પાર્ટીના ઝંડામાં લીલો રંગ છે, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો છે. શિવસેના જેવી કેટલીક પાર્ટીઓને બાદ કરતાં દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓના ઝંડામાં લીલો રંગ છે. લીલા રંગનો સવાલ નથી, સવાલ છે કે તેઓ લીલા રંગને ચોક્કસ સંપ્રદાય સાથે જોડીને પોતાની પાર્ટીના ઝંડામાં સમાવી રહ્યા છે. કોંગ્રેસના રાજકીય મોડેલે દેશમાં બહુમતીને ભાંડવાની અને લઘુમતી ખાસ કરીને મુસ્લિમોને ગળે લગાડવાની નીતિ અપનાવી. દેશની વસ્તીના 83 ટકા હિંદુઓને જાતિઓમાં વહેંચીને ક્યારેય એક થવા દીધા નહીં, પરંતુ મુસ્લિમ વોટબેંકને ફાલવા દીધી. વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.

ભારતની આર્થિક નીતિ હંમેશા મૂડીવાદી રહી છે અને તેનાથી અમીર-ગરીબની ખાઈ સતત વધી રહી છે. ઉદારીકરણને એવી રીતે અપનાવ્યું છે કે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ બેવડી થઈ ગઈ છે. ગરીબોના કલ્યાણની વાત કોંગ્રેસ સહીતના તમામ પક્ષો કરે છે, પરંતુ ગરીબોનું કલ્યાણ ગરીબી હટાવોના નારાથી આજ સુધી થઈ શક્યું નથી. ગરીબો પણ દેશમાં સતત વધી રહ્યા છે. તેનો અર્થ છે કે ગરીબી પણ વધી રહી છે.

દેશમાં ચાલી રહેલા આતંકવાદને નાથવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે. તેનું કારણ છે કે આતંકવાદના મુદ્દે પણ મુસ્લિમ મતોનું રાજકારણ કોંગ્રેસ સહીતના પક્ષો પર હંમેશા હાવી રહે છે. તેને કારણે આતંકવાદને નાબૂદ કરવા માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બની શકી નથી. વિકટ પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસની દરેક વાત એક યા બીજી રીતે અન્ય રાજકીય પક્ષો પણ આગળ વધારી રહ્યા છે. કોંગ્રેસે પોતાના પક્ષમાં એસસી, એસટી, લઘુમતી, મહિલા વગેરે સેલ બનાવ્યા તો તેનું પણ તમામ પક્ષોએ અનુકરણ કર્યું છે. (અપવાદો ઘણા થોડા છે અને તે નિષ્પ્રભાવી છે) એક સમયે પોતાની સભામાંથી મુસ્લિમોને ઉઠીને જતા રહેવાનું કહેનાર દેશનો મુખ્ય વિપક્ષ પણ લઘુમતી સેલ બનાવી રહ્યો છે. સેક્યુલર દેખાવાની રાજકીય સંસ્કૃતિ પણ કોંગ્રેસના રાજકીય મોડલની દેણ છે. તેનો અત્યારનો સૌથી મોટો પુરાવો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે.

હાર્ડલાઈન હિંદુત્વના પોસ્ટરબોય ગણાતા નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનથી સેક્યુલર ચહેરો ઓઢવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેઓ ટોપી અને દાઢીવાળા સાથે સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. એક સમયે તેમની સભામાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર સંભળાતા હતા, આજે સદભાવના ઉપવાસની શરૂઆત અલ્લાહ હો અકબરના નારાથી થાય છે. મુસ્લિમ ટોપીઓ અને લીલી પાઘડી પહેરવાના કોંગ્રેસી કલ્ચરને ભાજપના અટલ બિહારી વાજપેયી અને અડવાણીએ ઘણાં વખત પહેલેથી અપનાવી લીધું હતું. કદાચ નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસ આ કડીમાં નવું આયામ ઉમેરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

ભારતમાં કોંગ્રેસની સત્તાનો વિકલ્પ થોડા સમય માટે મળી શક્યો છે. પરંતુ કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ હજી સુધી ભારતને મળી શક્યો નથી. દેશના રાજકારણમાં કોંગ્રેસી મોડલના ઉત્પાતને કારણે જ ભારતમાં કટોકટી અને અન્ય રાજકીય બ્લંડરો સર્જાયા છે. જો આ કોંગ્રેસી મોડલનો ભારત વિકલ્પ નહીં શોધી શકે તો ફરીથી એક વખત ભારત પોતાના 65 વર્ષ જૂના ઈતિહાસના કાળને દોહરાવશે. ઉલ્લેખનીય છે કે ભારતના વિભાજન વખતે પણ કોંગ્રેસનું રાજકીય મોડલ સૌથી વધારે પ્રભાવી હતું અને તેણે મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણિયા ટેકવીને વિભાજન અને હિંદુઓની કત્લેઆમ ડાયરેક્ટ એક્શનના નામે મુંગે મોઢે ભૂખ્યા પેટે સહન કરી હતી. ભારતને પોતાની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક સમસ્યાઓથી છૂટકારો મેળવવો હશે તો કોંગ્રેસના રાજકીય મોડલને સમાપ્ત કરવું પડશે.

Sunday, January 22, 2012

હિંદુત્વવાદી વિકાસ પુરુષ મોદીને સદભાવના પુરુષની માન્યતા મળશે?


-ક્રાંતિવિચાર
ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા હતી, પરંતુ હવે તે મોદીત્વની લેબોરેટરી બની ગયું છે. અહીં મોદીત્વ હેઠળ મિશન સદભાવનાના પ્રયોગો થઈ રહ્યા છે. જે હાલ તેના અંતિમ ચરણમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદરેલા સદભાવનાના પ્રયોગો સંદર્ભે ઘણી શંકા-કુશંકાઓ સાથે સંભાવનાઓ પણ છે. રાજકીય વિશ્લેષકો માટે ચર્ચાનો વિષય છે કે સદભાવના મિશનને ગુજરાતની જનતા કેવી રીતે જોઈ રહી છે, તેના માટે આગામી ચૂંટણીમાં કેવું વલણ અપનાવશે, લઘુમતી સમાજનો દ્રષ્ટિકોણ શું રહ્યો છે અને તે ક્યું રુખ અપનાવશે, મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા માટે સદભાવના ઉભી કરવાનો મોકો મળશે કે કેમ, મોદીની હિંદુત્વના પોસ્ટરબોયની ઈમેજ બદલાશે કે કેમ?

2001ના ઓક્ટોબર માસમાં નરેન્દ્ર મોદીને કેશુભાઈ પટેલને હટાવીને સંઘના દોરીસંચારથી ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા હતા. સંઘ અને ભાજપના ઉપરના નેતાઓ આમ કરી શક્યા કારણ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા બની ચુક્યું હતું. ગુજરાતમાં કોઈ નેતા નહીં, પણ વિચારધારાને પ્રજામત મળી રહ્યો હતો. પરંતુ 27 ફેબ્રુઆરી, 2002ની ગોઝારી ગોધરાકાંડની ઘટના બાદ રાજ્ય મોદીત્વની પ્રયોગશાળામાં ફેરવાયું. સાબરમતી ટ્રેનના ત્રણ કોચને લગાડવામાં આવેલી આગ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. આખા ગુજરાતને દઝાડનારી કમનસીબ ઘટનાઓમાં અંદાજે 1200 લોકોના મોત થયા. ત્યાર પછી હિંદુત્વની વિચારધારા, સંઘ-ભાજપ-વીએચપી અને મોદીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામીભર્યા કલંકિત કરનારા આક્ષેપો સામે ઝઝુમવું પડયું. કેટલેક ઠેકાણે દેશી-વિદેશી મીડિયાએ ભાન ભૂલીને ગુજરાત અને ગુજરાતની જનતાને પણ નિશાન બનાવીને કેટલીક બદનામ વાતો ફેલવવાનો પ્રયત્ન કર્યો.

આ બધી ઉથલ-પાથલ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે તક હતી, હિંદુત્વની વિચારધારાના સંરક્ષક તરીકે જનતા અને હિંદુવાદી સંગઠનોમાં પોતાનો સિક્કો જમાવવાની, હિંદુત્વના પોસ્ટરબોય બનવાની. પોતાના પર ઉછળી રહેલા કીચડની પરવાહ કર્યા વગર મોદીએ ગુજરાતના ગૌરવને મુદ્દો બનાવીને ગૌરવ યાત્રા કાઢી. ગૌરવયાત્રાની સભામાં એક સાથે લાખ-લાખ ઉંચા થતા હાથ આજે પણ ભૂલાય તેમ નથી. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મીડિયાના પક્ષપાતી વલણ છતાં નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ભવ્ય વિજય અપાવ્યો. 1989 પછી રામજન્મભૂમિ આંદોલનની તીવ્રતાને કારણે બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતમાં સત્તા પર આવવા માટે હિંદુત્વ જ એકમાત્ર રસ્તો હતો. સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી માટે આ રસ્તો સરળ હતો અને તેઓ તેના દ્વારા સત્તા પર પણ પહોંચી ગયા, એટલું જ નહીં પોતાની સત્તાને પક્ષમાંના વિરોધોને ડામીને સુદ્રઢ પણ બનાવી શક્યા.

આજે એક દશકાથી વધારે સમયથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આસિન છે. આ એક દશકામાં ગુજરાતે ઘણાં ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ પણ ભરી છે. પરંતુ મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની એક સંભાવના રહેલી છે. આ વાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટાથી માંડી ઘણાંએ કરી છે. ચીન-જાપાન જેવા દેશો પણ નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના જોઈ રહ્યા છે. અમેરિકામાં કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં 2014નો ચૂંટણી જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવા સંદર્ભની વાતો પણ આવી હતી.

પરંતુ સવાલ એ હતો કે 2002ની કમનસીબ હુલ્લડોની ઘટનાનું કલંક લઈને શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન પદે આસિન થઈ શકે છે? જો મોદીનું નામ આટલું કલંકિત થયું ન હોત, તો કદાચ 2009ની સામાન્ય ચૂંટણીમાં અડવાણીને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જગ્યાએ મોદીનું નામ આગળ કરાયું હોત. પરંતુ એક તરફ કટ્ટર હિંદુત્વવાદી હોવાની છબીથી મોદીને ગુજરાતમાં સત્તા મળી હતી, તો બીજી તરફ કેન્દ્રમાં તેમને દેશના સર્વોચ્ચ પદે પહોંચવાની રાજનીતિ કરવામાં આ છબી જ અડચણરૂપ લાગી રહી હતી. તેનો સૌથી કડવો અનુભવ તેમને બિહારની ચૂંટણીમાં થયો. જેડીયૂના નીતિશ કુમારના દબાણના કારણે જ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા હતા. તેની સાથે હકીકત એ હતી કે હિંદુત્વની ગાડીમાં ચઢીને મોદીએ વિકાસના પાટા પર ગુજરાતને ઘણું આગળ દોડાવ્યું હતું. તેમની સરકારનો પર્ફોર્મન્સ રિપોર્ટ ઘણો સારો હોવાનું ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ માન્યું છે. ભાજપની દેશમાં જ્યાં પણ સત્તા આવતી તે તમામ જગ્યાએ ગુજરાતના વિકાસ મોડેલને અપનાવવાની વાત પણ થતી.

પરંતુ મોદીને તેમના રાષ્ટ્રીય રાજકારણના પ્રતિસ્પર્ધીઓ મહત્વની અથવા તો મુખ્ય ભૂમિકામાં આવવા ન દેવા માટે તેમની કટ્ટર હિંદુત્વવાદી છબીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આની ખાતરી થતાં જ મોદી પોતાની ઈમેજ મેકઓવર માટેની તકની રાહ જોઈ રહ્યા હતા. આમ તો તેમણે પોતાની કટ્ટર રાજનીતિને સારા એવા સમય પહેલા જ બદલી નાખી છે. તેવામાં ગુલમર્ગ કાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સીટના અહેવાલના આધારે સ્થાનિક કોર્ટમાં કેસની ચલાવવા સંદર્ભે ચુકાદો આપ્યો. તેનું મોદીના ખેમા તરફથી અર્થઘટન કરવામાં આવ્યું કે તેમને ગુજરાત રમખાણોના આરોપો સંદર્ભે ક્લિનચીટ મળી ગઈ છે. આ ચુકાદાને અવસર બનાવીને તેમણે 17 સપ્ટેમ્બરે, 2011ના રોજ 55 કલાકના ઉપવાસ કર્યા અને તેને સદભાવના નામ આપ્યું. આ ઉપવાસ બાદ તેમણે ગુજરાતના જિલ્લેજિલ્લે જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસના મિશનની જાહેરાત કરી. મોદીની સભામાં જય શ્રી રામના નારાની જગ્યાએ અલ્લાહ હો અકબરના નારા બોલાયા.

નરેન્દ્ર મોદીએ 20 જાન્યુઆરીએ 2002ની કમનસીબ ઘટનાઓના એપી સેન્ટર ગોધરા ખાતે એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા. આ પ્રસંગે તેઓ ગ્રીન સેડના વસ્ત્રપરિધાન અને સ્ટેજ પરના પોસ્ટરથી સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે તેઓ હવે કેસરી રંગની જગ્યાએ લીલા રંગને પણ મહત્વ આપી રહ્યા છે. તેમણે ગોધરા ખાતેના સદભાવના મિશનમાં કેસરી પાઘડીના સ્થાને તિરંગા પાઘડી પહેરી હતી. આની સાથે તેમમે ગોધરા ખાતે આપેલા પોતાના ઉદબોધનમાં એકપણ વાર ગોધરાકાંડનો ઉલ્લેખ કર્યો નથી, અહીં તેમણે એકપણ વાર ગોધરાકાંડમાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી નથી, તેમણે ગોધરાકાંડ પછીના તોફાનોમાં માર્યા ગયેલાઓ માટે પણ ગોધરાની સદભાવનામાં કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. તેમણે ગોધરા ખાતેના ઉપવાસમાં એવી કોઈ ખાતરી પણ આપી નથી કે ગુજરાતમાં આવી ગોધરાકાંડ કે તેના બાદના તોફાનો જેવી કોઈ ઘટના તેમના શાસનમાં ક્યારેય બનશે નહીં.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર વિકાસની વાત કરી, પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી, જેમકે પહેલા વણઝારા માટી નાખવા ગધેડા રાખતા અને હવે જેસીબી મશીન રાખે છે, પાણીની અછતને કારણે પહેલા ટેન્કરો દોડતા અને તેમણે પાઈપલાઈનોથી પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. તેમણે જિલ્લે જિલ્લે ઉદ્યોગોની જાળ બિછાવીને ગુજરાતનું ઔદ્યોગિકકરણ કર્યું છે. અહીં સારા રસ્તા બનાવ્યા છે, 15 વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન લાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કોમી હુલ્લડ થયું નથી, બાળકોને કર્ફ્યુ શબ્દની ખબર નથી. કોંગ્રેસના નેતાઓ પણ વોટ માંગવા માટે ગુજરાતના વિકાસની વાત કરે છે. અન્ય પ્રદેશને ગુજરાત બનાવી દેવાના નામે વોટ માંગવામાં આવે છે. ગુજરાત એટલે વિકાસ છે અને વિકાસ એટલે ગુજરાત છે, બંને એક સિક્કાની બે બાજુ છે.

ઉપરોક્ત તમામ વાતો નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2011થી પોતાના દરેક સદભાવના ઉપવાસમાં રટી રહ્યા છે. પણ આનો અર્થ શું કરવો? શું મોદી હવે વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ કરવાની કોશિશ કરી રહ્યા છે?

શું ગુજરાતમાં ખરેખર સદભાવના પ્રવર્તી રહી છે? સદભાવના પ્રવર્તી રહી છે, તો કોના માટે પ્રવર્તી રહી છે? કેટલાંક ઉદ્યોગપતિઓ માટેની સદભાવના, ગોહત્યા કરનારા કસાઈ પ્રત્યેની સદભાવના, ભૂમાફિયાઓ પ્રત્યેની સદભાવના, કેટલાંક નામચીન શખ્સો માટેની સદભાવના, ગુજરાતમાં છાશવારે લૂંટ કરનારા લૂંટારાઓ પ્રત્યેની સદભાવના? આનો જવાબ ગુજરાતના મુખ્યમંત્રી પાસે જરૂરથી હશે અને તેમણે તેનો પણ જવાબ ગુજરાતની છ કરોડની જનતાને આપવો જોઈએ.

આની સાથે સવાલ એ છે કે શું સદભાવનાથી મોદીની ઈમેજ મેકઓવરની કોશિશ કામિયાબ થશે? શું મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા મળે તેવી સદભાવના ઉભી થશે? શું લઘુમતી સમુદાય તેમના પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલશે? શું હિંદુ મતદારો તેમના સદભાવના પુરુષના સ્વરૂપને સ્વીકારશે? કટ્ટર હિંદુત્વવાદી નેતામાંથી વિકાસ પુરુષ અને વિકાસ પુરુષમાંથી સદભાવના પુરુષ બનવાનો પ્રયત્ન કરી રહેલા મોદીને ગુજરાતની જનતા ભૂતકાળની ચૂંટણીઓની જેમ જ સ્વીકારશે?

Sunday, January 1, 2012

લઘુમતી અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બનશે?


-ક્રાંતિવિચાર

2014માં યોજાનારી લોકસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની તકો ઘણી પાંખી છે. ભાજપને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસે ભાજપને લાભ ન પહોંચે તેના માટે લઘુમતી અનામતના કાર્ડ દ્વારા ચૂંટણીમાં મતના સમીકરણો સરભર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એક હકીકત એ છે કે હિંદુઓએ થોડાક અપવાદને બાદ કરતાં ધર્મના નામે વોટિંગ કર્યું નથી. વળી આખા દેશમાં તો હિંદુઓએ એકસાથે ધર્મના નામે વોટિંગ ક્યારેય કર્યું નથી. જેના કારણે ભાજપને દિલ્હીમાં અન્ય પક્ષો સાથે જોડાણો કરીને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. ગઠબંધનની રાજનીતિના તબક્કામાં 1998 પછી ભાજપે હિંદુકાર્ડ પોતાના તુરકમાં પાછું મૂકી દીધું છે, તેઓ હવે વિકાસની રાજનીતિનું કાર્ડ ખેલી રહ્યા છે. પરંતુ તેને કારણે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને હિંદી બેલ્ટમાં ઉભી કરેલી હિંદુ વોટબેંક હાલ વેરવિખેર છે. જેને કારણે મુસ્લિમ વોટો ચૂંટણીની હારજીતમાં ઘણી બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. કારણ કે માનવામાં આવે છે કે મુસ્લિમ મતો હંમેશા થોકબંધ રીતે કોઈ એક પાર્ટીને મળે છે. જો કે આમા હજી અભ્યાસને અવકાશ છે. પરંતુ એક હકીકત એ છે કે ભાજપને મુસ્લિમ મતો ક્યારેય સારા પ્રમાણમાં મળ્યા નથી.

હિંદુત્વના રાજકારણથી સત્તાના સિંહાસન ભાગીદારીમાં સ્વાદ માણી ચુકેલુ ભાજપ પણ હવે સેક્યુલર રાજનીતિના નામે મુસ્લિમોના મતો મેળવવા માટે જાતજાતની તિકડમબાજી કરી રહ્યા છે. આ એવા સંજોગો છે કે જ્યારે ભારતીય રાજનીતિમાં દરેક પક્ષ લઘુમતી-મુસ્લિમોની સરભરા કરવાની વાત કરી રહ્યો છે. પરંતુ આ સ્થિતિ ભારત માટે બિલકુલ સારી નથી. તેને કારણે ભારતમાં બહુ મોટો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. પહેલી જાન્યુઆરીએ અમદાવાદની એક જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદે લઘુમતી-મુસ્લિમ અનામત સામે દેશવ્યાપી આંદોલનની ઘોષણા કરી છે અને હિંદુઓને પણ વોટબેંક ઉભી કરીને બક્ષીપંચના કોટામાંથી લઘુમતીઓના કોટા સામે લડવાની હાકલ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના નવનિયુક્ત આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ કહ્યુ છે કે મુસ્લિમોને અનામત આપવાની તુષ્ટિકરણની નીતિઓ દેશમાં સિવિલ વોરની સ્થિતિ પેદા કરી શકે છે. આ પહેલા ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ ધર્મ આધારીત અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

આની સંભાવના પ્રબળ છે, રામજન્મભૂમિ પરના અલ્હાબાદ હાઈકોર્ટના હકારાત્મક ચુકાદા બાદ હાલ પૂરતો આ મુદ્દો કોલ્ડ બોક્ષમાં છે. પરંતુ કોંગ્રેસે પોતાના ટૂંકા રાજકીય હિતોને સાધવા માટે વિશ્વ હિંદુ પરિષદ જેવા હાલ સુષુપ્ત અવસ્થામાં રહેલા હિંદુત્વવાદી સંગઠને એક્ટિવ મોડમાં આવવાની તક પુરી પાડી છે. વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુવાદી સંગઠનો પાસે હિંદુત્વની રાજનીતિને ફરીથી કેન્દ્રમાં લાવવાનો હાલ મોકો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે હાલ કોઈ હિંદુત્વના મુદ્દાઓને સંપૂર્ણ ટેકો કરનારી પાર્ટી ઉપલબ્ધ નથી. ભાજપથી હિંદુ સંગઠનો સારા એવા પ્રમાણમાં આહત છે. રામમંદિર આંદોલન વખતે ભાજપે ખુલીને વિશ્વ હિંદુ પરિષદને ટેકો આપ્યો હતો. જેથી તેમના દ્વારા થયેલા જનજાગરણને ભાજપ તરફી મતોમાં પરિવર્તિત કરી શકાયું હતું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં વીએચપી દ્વારા શરૂ કરવામાં આવનારા આવા કોઈ જનજાગરણની રાજકીય સ્તરે ચૂંટણીના માધ્યમથી અભિવ્યક્તિ કરી શકાય તેવો પક્ષ અસ્તિત્વમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે નિમણૂક વખતે મોહન ભાગવતે ભાજપની સર્જરી અને કેમોથેરપીની વાત કરી હતી. પરંતુ ભાજપ પણ હાલના વાતાવરણમાં હાર્ડકોર હિંદુત્વના માર્ગ પર આગળ વધવા માટે તૈયાર દેખાતું નથી.

તેવા સંજોગોમાં હાર્ડકોર હિંદુત્વના મુદ્દાઓ પર લઘુમતી અનામત સામે જાગૃત થનારા હિંદુ મતદારોને કોઈ પાર્ટી દ્વારા રાજકીય અભિવ્યક્તિની તક મળશે નહીં. આવા સંજોગોમાં હતાશ હિંદુ મતદાર અન્ય કોઈ રસ્તો પણ અપનાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. જ્યારે સમાજની રાજકીય અભિવ્યક્તિનો સામાન્ય વિકલ્પ બંધ થઈ જતો હોય છે, તો તેવા સંજોગોમાં સમાજ રાજકીય મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓની પૂર્તિ માટે અન્ય માર્ગો પણ અપનાવતી હોય છે. ટ્યુનેશિયા, ઈજીપ્ત અને લીબિયા સહીતના દેશોના ઉદાહરણો આપણી પાસે છે. વળી લોકોને અહિંસક માર્ગે વાળનારા ગાંધી આપણી વચ્ચે 63 વર્ષ પહેલા ચાલ્યા ગયા છે. અહિંસક આંદોલનનો વારસો આગળ વધારનારા ગાંધીવાદી અણ્ણા હજારેની અણ્ણાગીરી મુંબઈમાં મોળી પડી છે. ત્યારે લોકો પોતાની આકાંક્ષા પૂર્ણ કરવા માટે અહિંસક વિકલ્પો સિવાયના અન્ય રસ્તા પર પણ આગળ વધશે તો દેશમાં ઘણી વિસ્ફોટક પરિસ્થિતિ પેદા થશે. આ દેશની સેક્યુલર રાજનીતિ લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિમાં ફેરવાઈ ગઈ ત્યારથી જ સિવિલ વોરની સ્થિતિ માટેની પટકથા લખાઈ ચુકી છે.

કોંગ્રેસ સહીતના પોતાને સેક્યુલર ગણાવતા અને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષો માટે ખરેખર આત્મવિશ્લેષણ કરવાનો સમય છે કે શું તેઓ દેશમાં હિંદુઓમાં જન્મજાત સેક્યુલારિઝમની ભાવનાને નષ્ટ કરવા માંગે છે? શું તેઓ હિંદુઓને હિંદુ તરીકે વોટ કરવા અને બીજી રાજકીય અભિવ્યક્તિ માટે કટ્ટર બનાવવા માંગે છે? શું તેઓ દેશમાં હિંદુઓને કટ્ટર રાજકીય અભિવ્યક્તિ તરફ ધકેલીને સિવિલ વોરની પરિસ્થિતિ પેદા કરી રહ્યા નથી? શું આગળ જતાં આજે બક્ષીપંચના અનામતમાં લઘુમતીનો ભાગ કર્યો, ભવિષ્યમાં અનુસૂચિત જાતિના અનામતમાં લઘુમતીને ભાગ આપશે અને પછી ઓપન કેટેગરીમાંથી 10 ટકા અનામત કાપીને લઘુમતીઓને રંગનાથ મિશ્ર પંચની ભલામણ પ્રમાણે અનામત આપશે? શું સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત માટેની મહત્તમ 50 ટકાની મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવા માટે સરકાર બંધારણીય અને કાયદાકીય સ્તરે પ્રયત્નો અને તૈયારીઓ કરી રહી છે?

આ તમામ સવાલોના જવાબ સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષોએ આપવા પડશે. કારણ કે દેશ નિશ્ચિતપણે એક બહુ મોટી વિસ્ફોટક પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. લઘુમતી અનામતને ભારતના વિભાજન સાથે જોડીને ફરી ભાગલાના બીજ રોપાયાના પણ દાવા થઈ રહ્યા છે. ભારતનો ઈતિહાસ ધર્મના નામે થયેલી મારકાટથી ભરપૂર છે. છેલ્લા 64 વર્ષમાં ઈતિહાસની ધર્મના નામે થયેલી મારકાટના પ્રમાણમાં ઘણાં નાના છમકલાં થયા છે. પરંતુ કદાચ આ પરિસ્થિતિ હિંદુઓમાં અધિકારો પર ધાડ પડે તેવા નિર્ણયો કરનારને ગોઠતી હોય તેમ લાગતું નથી. લઘુમતીઓને ધર્મના નામે અનામતની રેવડી વહેંચીને ચૂંટણી જીતવા નીકળેલા રાજકીય પક્ષો ફરીથી ધર્મના નામે મારકાટનો દોર શરૂ કરાવવા માંગે છે.

ભારત સેક્યુલર લોકશાહી દેશ છે. પરંતુ ભારતના લોકોને તેવો અનુભવ થઈ રહ્યો નથી. નથી આવો અનુભવ હિંદુને થઈ રહ્યો, નથી મુસલમાનને થઈ રહ્યો, નથી ખ્રિસ્તીને થઈ રહ્યો કે નથી શીખને આવો અનુભવ થઈ રહ્યો. કારણ શું છે, આ બધાંનું? કારણ માત્ર સેક્યુલારિઝમના નામે વિકૃત લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ કરીને બહુમતી હિંદુ સમાજમાં અન્યાય બોધ ઉભો કરવાની રાજકારણીઓની રણનીતિ. શું આ સ્થિતિ એક ભારતીય તરીકે તમને સિવિલ વોરનું કારણ બને તેવી વિસ્ફોટક લાગતી નથી? ઉલ્લેખનીય છે કે અમદાવાદની જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ હિંદુઓને બંધારણ બદલીને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની હાકલ કરી છે.

સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં ધાર્મિક લઘુમતી કેવી?


-ક્રાંતિવિચાર

ભારત એક સેક્યુલર દેશ છે. એવો દેશ કે જેનો કોઈ ધર્મ નથી. પરંતુ આ દેશમાં ધર્મ આધારીત અનામત આપવાનો ખેલ શરૂ થઈ ગયો છે. શું સેક્યુલર દેશમાં ધર્મ વિશેષના લોકોને અનામત હોઈ શકે? ભારતના બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ નથી. તેના કારણે આવો કોઈપણ પ્રયાસ હાલના બંધારણ પ્રમાણે ગેરબંધારણીય છે. એટલે કે ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ કરવા માટે બંધારણીય સુધારો કરીને તેમા ફેરફાર કરવો આવશ્યક છે.

તાજેતરમાં લોકપાલ બિલની ચર્ચા દરમિયાન જોગવાઈ કરવામાં આવી કે એક અધ્યક્ષ અને આઠ સભ્યોવાળી લોકપાલ સમિતિમાં ઓછામાં ઓછું 50 ટકા અનામત આપવામાં આવે. આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે લોકપાલ બિલમાંથી લઘુમતી અનામત શબ્દ હટાવાયા સંદર્ભે હોબાળો કરીને કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને ઢળવા માટે ઢાળ આપ્યો. લોકપાલ બિલમાં લઘુમતી શબ્દ દાખલ કરવામાં આવ્યો. જ્યારે લોકપાલ બિલમાં લઘુમતી અનામતને ભાજપે ગેરબંધારણીય ગણાવ્યું, ત્યારે કોંગ્રેસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે લઘુમતીને અનામત ગેરબંધારણીય નથી અને સંસદને કાયદો બનાવવાની સત્તા છે, તે બંધારણીય કે ગેરબંધારણીય છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે.

મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં આનાથી મોટી કોઈ બેશરમી હોઈ શકે નહીં. હકીકતમાં બંધારણ પ્રમાણે બંધારણીય પદો અને સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું અનામત નથી. વળી ધર્મ આધારીત અનામત પણ શિક્ષણ, નોકરીથી માંડીને કોઈપણ જગ્યાએ રાખવામાં આવ્યું નથી. જો કોઈ કાયદો બંધારણની જોગવાઈ સાથે બંધબેસતો ન હોય, તો તે ગેરબંધારણીય કહેવાય કે નહીં? વળી સંસદને કાયદો બનાવવાની અને બંધારણને બદલવાની પણ સત્તા છે. પરંતુ તેના સંદર્ભે બંધારણે તેમને અમુક શરતો અને જોગવાઈઓ હેઠળ આવી સત્તા આપી છે. શું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર આવી જોગવાઈઓની શરતો પુરી કરે છે?

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ લઘુમતી નક્કી કરવા માટે ચર્ચાની જરૂરત હોવાનું જણાવ્યુ છે, કારણ કે ધર્મનિરપેક્ષ લોકશાહીમાં ધાર્મિક લઘુમતીનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યુ છે કે રાજકીય કારણો અથવા દપબાણને કારણે એક ધાર્મિક જનસમૂહ કોઈ એવા રાષ્ટ્રમાં વસેલો હોય કે જેનો પોતાનો ધર્મ હોય, માત્ર તેવી સ્થિતિમાં જ તે વર્ગને ધાર્મિક લઘુમતી કહેવો જોઈએ. એટલે કે ભારતમાં સેક્યુલર લોકશાહી છે. અહીં ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. દેશનું શાસન ધર્મનિરપેક્ષે છે. માટે ભારતમાં કોઈ ધાર્મિક લઘુમતી નથી. જો કે પડોશી દેશ પાકિસ્તાન ધર્મના આધારે પેદા થયો છે. તે ઈસ્લામિક પ્રજાસત્તાક છે. માટે પાકિસ્તાનમાં રહેનારા બિનમુસ્લિમો ધાર્મિક લઘુમતી છે. તેમના હકીકતમાં લઘુમતી અનામતની જરૂરત છે.

જોશીએ પોતાના તાર્કિક દલીલમાં કહ્યુ છે કે ભાષાકીય લઘુમતી તો સમજમાં આવે છે, પરંતુ એ સ્પષ્ટ કરવું જોએ કે દેશનો ધર્મ ક્યો છે અને ક્યાં લોકોને બહુમતી કહી શકાય છે. જોશીએ એમ પણ કહ્યુ છે કે જૈનવાદનો એક ધર્મ તરીકે અર્થ છે, પરંતુ હિંદુત્વ માટે શું કહીશું ખુદ સુપ્રીમ કોર્ટ પણ કહી ચુકી છે કે આ જીવન જીવવાની રીત છે. એટલે કે શું ભારતમાં 80 ટકાથી વધારે લોકો હિંદુ પંથ-સંપ્રદાયના લોકો છે? પરંતુ શું તેમના પંથ-સંપ્રદાયને દેશનો પંથ-સંપ્રદાય ગણાવામાં આવે છે? જો તેમને દેશના પંથ-સંપ્રદાય ગણવામાં ન આવતા હોય, તો દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-સંપ્રદાયના લોકો લઘુમતીમાં કેવી રીતે ગણાય?

વળી ભારતમાં ધાર્મિક લઘુમતીઓની એક મોટી વસ્તી એવા લોકોની છે જે ધર્માંતરણથી આ વર્ગમાં આવ્યા છે. અહીંના મૂળ નિવાસી ધર્મને બદલી નાખ્યા બાદ તેમને લઘુમતી કેવી રીતે કહી શકાય? ખુદ મહાત્મા ગાંધીએ પણ આ સવાલ ઉઠાવ્યો હતો કે ધર્મ પરિવર્તન બાદ નાગરીક પોતાના જ દેશમાં લઘુમતી કેવી રીતે કહી શકાય? ગાંધીજીએ પણ આવા લોકોને લઘુમતી ગણવાનો ઈન્કાર કર્યો હતો.

આ દેશની 121 કરોડની વસ્તીમાં મુસ્લિમો અંદાજે 14 ટકા છે. એટલે કે દેશમાં અંદાજે કુલ 18 કરોડ મુસ્લિમો છે. જ્યારે સામે હિંદુઓમાં સેંકડો પંથ-સંપ્રદાય, નાત-જાત છે. હિંદુ સમાજના કોઈપણ એક પંથ-સંપ્રદાય, નાત-જાતની સંખ્યા મુસ્લિમોના 18 કરોડના આંકડાની આસપાસ પહોંચતી નથી. જો લઘુમતીઓ ગણવી હોય તો તેઓ પણ એક રીતે લઘુમતી છે. આમ જોવો તો ભારત લઘુમતીઓનો જ દેશ છે. તો પછી મુસ્લિમોને લઘુમતી ગણીને અનામતના લાભ કેવી રીતે વહેંચી શકાય?

ભારતમાં ખરેખર ધાર્મિક લઘુમતી કોણ? તેની નવેસરથી ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જરૂરત છે. વોટબેંકના રાજકારણમાં મસ્ત રાજકીય પાર્ટીઓ લઘુમતીઓના નામે મુસ્લિમોના થોક વોટ પર કબજો જમાવવા રાજકીય તિકડમબાજી કરી રહ્યા છે. આ રાજકીય તિકડમબાજીનું જ ફરજંદ ધર્મ આધારીત અનામત છે. આ રાજકીય તિકડમબાજી કેટલી ખતરનાક છે, તેનો આ રાજકીય પાર્ટીઓ પોતાના નાના અને નજીકના રાજકીય હિતોને સાધવામાં વિચાર કરતાં નથી.

લોકપાલને બંધારણીય દરજ્જો આપવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે. લોકપાલને બંધારણીય સંસ્થા બનાવવામાં કોંગ્રેસ કામિયાબ થશે, તો પ્રવર્તમાન બિલ પ્રમાણે તે કદાચ એવી પહેલી બંધારણીય સંસ્થા હશે કે જેમાં ધર્મ આધારીત લઘુમતી અનામત હશે. વળી કેન્દ્રીય કેબિનેટે ઓબીસીના 27.5 ટકા કોટામાં લઘુમતીઓને 4.5 ટકા સબકોટા આપ્યા છે. તેનો પહેલી જાન્યુઆરીથી અમલ થઈ રહ્યો છે.

શિક્ષણ, નોકરી સાથે બંધારણીય સંસ્થાઓમાં પણ લઘુમતી અનામત ઘુસાડવાનું ગંદુ વોટબેંકનું રાજકારણ આગળ જતાં ધર્મ આધારે સંસદ, વિધાનસભાઓ, વિધાનપરિષદો, મંત્રીમંડળો, સીવીસી, સીબીઆઈ જેવી બંધારણીય સંસ્થાઓ અને પદો માટે અનામતની માગણી કરશે. કદાચ ફરીથી દેશમાં સેપરેટ ઈલેક્ટોરેટ માટે પણ ચળવળ ચલાવવામાં આવે. આ બધી પરિસ્થિતિ ખંડિત ભારતના ઈતિહાસના પુનરાવર્તન જેવી હશે. ત્યારે સવાલ એ છે કે શું આપણે પાકિસ્તાનની માગણી કરનારાઓની ચાલો અને માગણીઓ ભૂલી ગયા? ફરીથી ખંડિત ભારતમાં આપણે નવી પાકિસ્તાન જેવી માગણીને જન્મ તો આપી રહ્યા નથી ને? પણ દૂરગામી પરિણામોને જોઈને દેશહિતમાં દેશહિતચિંતક રાજકારણીઓના દુકાળમાં આ વાત વિચારવાની કોઈને દરકાર નથી.