Tuesday, March 12, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

Monday, March 4, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે.