-
પ્રસન્ન
શાસ્ત્રી
ભારતનું
રાજકારણ ઘણું જટિલ છે. ભારતમાં બ્રિટિશ મોડેલ પ્રમાણેની સંસદીય લોકશાહી અમલમાં છે.
દેશની લોકશાહીને લૂંટશાહીમાં તબ્દીલ કરનારા સત્તાના દલાલો તેને શ્રેષ્ઠ ગણાવતા
થાકતા નથી. પરંતુ કેટલાંક કરોડની વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ ઈંગ્લેન્ડની
રાજવ્યવસ્થાને કરોડોની આબાદીવાળા એશિયન દેશ ભારતમાં અમલી બનાવતા કેટલીક ખામીઓ
ઉજાગર થઈ છે. બ્રિટિશ મોડેલની ઉજાગર થયેલી ખામીઓ ભારતની રાજવ્યવસ્થા દેશને
સંપૂર્ણપણે અનુકૂળ નહીં હોવાની અથવા તેમા હજી પણ આ શાસનવ્યવસ્થાને રાષ્ટ્ર માટે
યોગ્ય બનાવવા માટે ઘણો અવકાશ હોવાની વાત તરફ ઈશારો કરે છે. જાણકારો જણાવે છે કે
ભારતના લોકતંત્રને રાજકારણના વચેટિયાઓએ ભ્રષ્ટતંત્ર બનાવી દીધું છે. જેના કારણે
દેશની જનતામાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારતની
લોકશાહીની ખામી કહો કે દેશના રાજકારણીઓની કરણી કહો, પણ આપણી લોકશાહીમાં રાજકીય વિકલ્પો
વચ્ચે પણ લોકોને સતત વિકલ્પવિહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં
રાજકારણીઓ પ્રત્યે એક રોષનું વાતાવરણ છે.
આઝાદીની
ચળવળ વખતે મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના પરિણામે દેશના ભાગલા થયા.
કોંગ્રેસની નીતિઓને કારણે મુસ્લિમો દેશના ખાસ આદમી બની ગયા. જ્યારે બહુમતી હિંદુઓ
દેશના (બિચારા!!) આમ આદમી બની રહ્યા. આઝાદીની ચળવળ વખતે દેશનો હિંદુ કોંગ્રેસને
રાષ્ટ્રવાદી હિંદુ વિકલ્પ તરીકે જોતો હતો. પરંતુ ગાંધી-નહેરુની રાહબરી હેઠળ
કોંગ્રેસે પોતાની મુસ્લિમોમાં સ્વીકાર્યતા દેખાડવા માટે હિંદુઓના ભોગે મુસ્લિમ
તુષ્ટિકરણની રાજનીતિ ચાલુ રાખી હતી. દેશના આમ આદમી હિંદુઓને તત્કાલિન કોંગ્રેસી
નેતાઓએ રાજકીય રીતે ભરમાવી રાખ્યા. બીજું એક હજાર વર્ષની તુર્ક-અફઘાન-મોગલ-બ્રિટિશ
ગુલામીમાં હિંદુઓમાં રાજકારણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પણ પેદા થયો હતો. હિંદુઓની
ઉપેક્ષા અને બેધ્યાનપણાને કારણે દેશની રાજનીતિ મનસ્વી બની. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ
ઉચ્ચ સાક્ષરતા ધરાવતો હિંદુ સમાજ પોતાના સામૂહિક રાજકીય હિતોને જોઈ શકે તેવી
બહાદૂરીભરી રાજકીય સાક્ષરતા દાખવી શક્યો નહીં.
જેના
કારણે રાષ્ટ્રવાદી હિંદુનું મહોરુ પહેરેલા, પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને વરેલા
નેતાઓ અને કોંગ્રેસ-કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો વચ્ચે હિંદુ સમાજ અટવાતો
રહ્યો. તેમ છતા પાકિસ્તાનના પેદા થયા પછી હિંદુઓમાં કોંગ્રેસ સિવાયના રાજકીય
વિકલ્પની એક આકાંક્ષા હતી. પરંતુ દેશના રાજકીય માળખા અને વ્યવસ્થા પર ઉપરથી નીચે
સુધી ગાંધીવાદી દંભમાં ડૂબેલા કોંગ્રેસી મોડલે પકડ જમાવી દીધી. જેના કારણે 1947થી
1977 સુધી કેન્દ્રની એકહથ્થુ સત્તા કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી-નહેરુ પરિવારના
જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કેન્દ્રીત બની ગઈ હતી. ઈન્દિરા ગાંધી દ્વારા
લોકશાહીને ટૂંપો દેવાયો અને કટોકટી જાહેર થઈ હતી. પરંતુ તે પહેલા ભ્રષ્ટાચારના
મુદ્દે લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશમાં નવા રાજકીય વિકલ્પ માટે વાતાવરણ પેદા
કર્યું હતું.
કટોકટી
વિરુદ્ધના આંદોલનોમાં સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની મોટી ભૂમિકા હતી. તો કોંગ્રેસ
સામે અન્ય રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ એકઠા થયા હતા. તત્કાલિન
વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા મનસ્વીપણે લાગુ કરાયેલી કટોકટી જનવિરોધના કારણે
પાછી ખેંચીને લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આ ચૂંટણીમાં પહેલી
વખત દેશની જનતાએ કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે મુખ્યત્વે જનતા પાર્ટીને
પસંદ કરી હતી. પરંતુ સત્તાની સાઠમારીના કોંગ્રેસી મોડલમાં ઉછરેલા નેતાઓ કોંગ્રેસનો
વિકલ્પ બની શક્યા નહીં. તેણે સાબિત કર્યું કે દેશમાં કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ
નથી, પરંતુ
રાજકીય મોડલ છે. 1980ની ચૂંટણીમાં ફરીથી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા પર આવી.
1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં
કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસ બહુમતી મળી. ત્યારે લાગતું હતું કે કોંગ્રેસનો રાજકીય
વિકલ્પ પેદા થઈ શકશે નહીં.
પરંતુ
બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા બાદ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું
આપનારા વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસના રાજકીય વિકલ્પની શોધ
શરૂ થઈ. વી. પી. સિંહની આગેવાની હેઠળ જનતાદળ-ભાજપનું ગઠબંધન થયું. 1989માં વી. પી.
સિંહ વડાપ્રધાન બન્યા. જો કે ભાજપની સફળતા પાછળ તેની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની
હિંદુ વિચારધારાનો ઘણી મોટી ભૂમિકા હતી. એક તરફ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના
ચુકાદાને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં દેશના આમ આદમી હિંદુઓએ આપેલી
અભૂતપૂર્વ બહુમતીના જારે મુસ્લિમો ઈચ્છા પ્રમાણે તેમની તરફેણમાં પલટાવી નાખ્યો
હતો. તેની સામે હિંદુઓમાં વિરોધનું વાતાવરણ હતું. આ સાથે ભાજપે હિંદુઓની રાજકીય
આકાંક્ષાઓને વાચા આપવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર
નિર્માણ માટે શિલાપૂજનના કાર્યક્રમોએ હિંદુત્વવાદી વાતાવરણ તૈયાર કર્યું હતું.
જેની અસર દેશના રાજકારણ પર પડી રહી હતી. હિંદુ લાગણીઓને તત્કાલિન ભાજપ થકી રાજકીય
મંચ ઉપલબ્ધ થઈ રહ્યો હતો.
જો
કે વી. પી. સિંહએ હિંદુત્વવાદી વાતાવરણનો તોડ અનામતના મંડલ કમિશનના રાજકારણમાં
શોધ્યો. તેની સામે ભાજપે પણ હિંદુત્વની રાજનીતિને તેજ કરી હતી. વિશ્વ હિંદુ
પરિષદના રામજન્મભૂમિ આંદોલનને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ
નેતા અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10 હજાર કિલોમીટરની રામરથયાત્રા ચાલુ કરી
હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર હલબલી ઉઠી હતી. જનસમર્થન
પોતાની પાસેથી ખસીને હિંદુત્વના રામરથ પર સવાર ભાજપ તરફ ખસી રહ્યું હતું. બિહારના
સમસ્તીપુર ખાતે તત્કાલિન જનતાદળના લાલુપ્રસાદ યાદવે અડવાણીની રથયાત્રાને રોકીને
તેમની ધરપકડ કરી. તેની સાથે ભાજપે ટેકો પાછો ખેંચતા વી. પી. સિંહની જનતાદળ
સરકારનું પતન થયું. ચંદ્રશેખરના નેતૃત્વમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર ટૂંકાગાળા
માટે સત્તા પર આવી. 1991-92માં જનતાએ ફરીથી વિકલ્પો વચ્ચે વિકલ્પવિહીનતાની
સ્થિતિમાં જનતાદળથી મોહભંગ થઈને કોંગ્રેસને મત આપ્યા.
જો
કે આ સમયગાળામાં દેશમાં હિંદુ લાગણીઓ જોર પર હતી અને હિંદી બેલ્ટમાં અસરકારક હિંદુ
વોટબેંક અસ્તિત્વમાં હતી. જેના કારણે અહીં ભાજપને ઘણું સારું સમર્થન મળ્યું હતું.
પરંતુ કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી સારો ટેકો મળ્યો. તેની પાછળ તમિલનાડુના
શ્રીપેરામ્બદૂર ખાતે રાજીવ ગાંધીની એલટીટીઈની આત્મઘાતી દ્વારા કરાયેલી હત્યાની ઘણી
મોટી ભૂમિકા હતી. જો કે રાજીવ ગાંધીની હત્યા કોંગ્રેસ માટે ઈન્દિરા ગાંધીની હત્યા
જેવો સિમ્પથી વેવ પેદા કરી શકી નહીં. કારણ કે હિંદી બેલ્ટમાં રામજન્મભૂમિ આંદોલનના
કારણે હિંદુત્વવાદી વોટબેંક તૈયાર થઈ ચુકી હતી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની
સરકાર લઘુમતી સરકાર હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી. પણ તેને પૂર્ણ બહુમતી
મળી ન હતી. 1996માં ભાજપ હિંદુ વોટબેંકના આધારે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપના નેતા
અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. વાજપેયી ભારતમાં સૌથી પહેલા
બિનકોંગ્રેસી મૂળ ધરાવતા વડાપ્રધાન હતા. અહીંથી દેશના આમ આદમી એવા હિંદુઓએ
મુસ્લિમોને ખાસ બનાવતી રાજનીતિ કરતી કોંગ્રેસને જાકારો આપવાની રાષ્ટ્રનીતિને
પ્રભાવીપણે લાગુ કરી.
1998-99માં
ભાજપ ફરીથી દેશનો સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે ભાજપના ચૂંટણી
ઢંઢેરામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર
કરવો અને સમાન નાગરીક ધારો લાગુ કરવાની વાત સામેલ હતી. પરંતુ 24 પક્ષોના ટેકા સાથે
આ ત્રણેય મુદ્દાને એનડીએના નેજા નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા દૂર રાખવામાં
આવ્યા. તેની પાછળનો હેતુ કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને દેશહિતોનું વધુ નુકસાન
અટકાવવાનો હતો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર છ વર્ષ ચાલી. કોંગ્રેસના
રાજકીય વિકલ્પ તરીકે ભાજપની આ સફળતા હતી.
પરંતુ
હિંદુત્વના મુદ્દાઓ પર બાંધછોડે ફરીથી હિંદુ વોટબેંકને વિહવળ બનાવી દીધી. જો કે
તેની પાછળ દેશમાં રૂઢિગત બનેલુ કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હતું. ભારતની
રાજનીતિમાં મૂળથી માંડીને ટોચ સુધી કોંગ્રેસના ડીએનએ ધરાવતા નેતાઓની સતત પકડ રહી
છે. જેના કારણે કોંગ્રેસના સત્તા પરથી જવા છતાં કોંગ્રેસનું રાજકીય મોડલ પ્રભાવી
રહે છે. જેનો અનુભવ બિનકોંગ્રેસી રાજકીય મૂળ ધરાવતા અટલ બિહારી વાજપેયીની એનડીએ
સરકારને પણ થયો હતો. હિંદુ આકાંક્ષાઓને કેટલીક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં દબાવી દેવાની
પ્રવૃતિ રાજકીય સ્તરે તેજ બની હતી. જેના કારણે રામજન્મભૂમિ આંદોલન વખતે તૈયાર
થયેલી હિંદુત્વવાદી વોટબેંક હિંદી બેલ્ટથી આગળ વધવાને સ્થાને વિખેરાવા લાગી.
2004ની લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડયા. 2004થી
કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી. વિખેરાયેલી હિંદુ વોટબેંક ફરીથી
પ્રભાવી બનાવવા માટે પ્રયત્ન નહીં કરાતા 2009માં પણ ફરીથી કોંગ્રેસના નેતૃત્વમાં
યુપીએ સરકાર સત્તા પર આવી.
2014ની
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી
નીતિઓના ઓવરડોઝથી આમ હિંદુ ત્રસ્ત બન્યો છે. તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી સહીતના મુદ્દાઓ પણ આમ
હિંદુઓમાં કોંગ્રેસ વિરોધી લહેર પેદા કરનારા બન્યા છે. જેના કારણે રાજકીય
ઉપેક્ષાનો ભોગ બનેલી હિંદુ આકાંક્ષાઓ ફરીથી એકજૂટ બની છે. દેશમાં ફરીથી કટોકટી
સમયની લહેર હોવાની વાત રાજકીય જાણકારો કરી રહ્યા છે.
આ
હિંદુ આકાંક્ષાઓ ફરીથી વોટબેંકનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 2011માં અણ્ણા હજારેના
નેતૃત્વમાં શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટેના આંદોલને
જનઆકાંક્ષાઓને ફરીથી સડકથી સંસદ સુધી આંદોલિત કરી હતી. આ જનઆકાંક્ષાઓમાં હિંદુ
રાજકીય વિકલ્પનો અંડરકરંટ પણ દેખાયો હતો. જો કે અણ્ણા હજારેના આંદોલનનો ઉપયોગ
કરીને ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે કમ્યુનિસ્ટ વિચારસરણી તરફ
ઝોક ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. દિલ્હી વિધાનસભા
ચૂંટણીમાં 9 માસ જૂની આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી. ભાજપ દિલ્હીમાં 32
બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ટેકાથી આમ આદમી
પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બનીને દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવી.
ત્યાર બાદ જનલોકપાલ બિલ દિલ્હીની વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે ઉભી થયેલી
બંધારણીય અંટસના પરિણામે તેમણે રાજીનામું આપ્યું. આ વખતેની લોકસભની ચૂંટણીમાં તેઓ
પણ મેદાનમાં છે.
પરંતુ
ભારતના આમ હિંદુ મતદાતાઓએ પોતાના વિવેક પ્રમાણે વિચારવાનો સમય છે કે શું દેશમાં
હાલ કોઈ હિંદુ રાજકીય વિકલ્પ ઉપલબ્ધ છે અથવા આગામી સમયમાં કોઈ હિંદુત્વવાદી રાજકીય
વિકલ્પનો ગર્ભ બની શકે છે? તેવા સંજોગોમાં હાલ ઉપલબ્ધ રાજકીય
વિકલ્પોમાંથી હિંદુ મતદાતાઓએ રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય કરવાનો છે. આમ આદમી
પાર્ટીની પૃષ્ઠભૂમિમાં રહેલા અણ્ણા હજારેના આંદોલન વખતે કોંગ્રેસી મોડેલ હેઠળની
મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ દેખાઈ હતી. એક તરફ અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા અને
બીજી તરફ મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા માટે અણ્ણાના તત્કાલિન ટેકેદારો અનશન સ્થાને
ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. અણ્ણાના મંચ પર મુસ્લિમ પ્રતિનિધિત્વ
દેખાડવાનો પ્રયત્ન કરાયો હતો. અણ્ણાના આંદોલનની શરૂઆતમાં મંચ પર દેખાયેલી
ભારતમાતાના તસવીર આંદોલનના છેલ્લા તબક્કામાં ગાયબ થઈ હતી...તો દિલ્હીની જમા
મસ્જિદના ઈમામ બુખારીનું સમર્થન લેવા માટે અરવિંદ કેજરીવાલે અંદાજે અઢી કલાક સુધી
રાહ જોઈ હતી. જો કે ત્યાર બાદ પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.
આમ
આદમી પાર્ટીની જાહેરાત બાદ પણ મુસ્લિમ સમર્થન માટે અરવિંદ કેજરીવાલના હવાતિયાં
જગજાહેર છે. મુઝફ્ફરનગર ખાતેના હુલ્લડો બાદ કેજરીવાલ હુલ્લડખોર મનાતા તૌકીર રજા
નામના શખ્સને રાજકીય ટેકા માટે મળ્યા હોવાનું મનાય છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે
સોગંદવિધિ દરમિયાન સેક્યુલર દેખાવા માટે કેજરીવાલે પોતાના ભાષણમાં ઈશ્વર સાથે
અલ્લાહનો વારંવાર ઉપયોગ કર્યો હતો. જો કે મુસ્લિમ અનામતની તરફદારી કરતા કોંગ્રેસ
અને સમાજવાદી પાર્ટી સહીતના પક્ષોની એક અલગ પ્રકારની રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે.
આ દોડમાં ભાજપે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે થોડાઘણાં પ્રયત્નો કર્યા હોવાનું
ઘણાં લોકો માની રહ્યા છે. આમાના ઘણાની લાગણી છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે
અને કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ બની ગઈ છે. પરંતુ આ તમામની પાછળ ભારતમાં
મૂળ સુધી પ્રસરેલું કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હોવાની વાત હિંદુ મતદારોએ
ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે ઘણાં હિંદુ મતદારો ઘોષિત હિંદુ રાજકીય વિકલ્પનો
અભાવ અનુભવી રહ્યા છે. તેમ છતાં તેમણે કોંગ્રેસના રાજકીય મોડેલને ખતમ કરવા માટે
વ્યૂહાત્મક મતદાન કરવાની રાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે
2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ બિનકોંગ્રેસી રાજકીય વિકલ્પ માટે ફરીથી સક્રિય
બને તે જરૂરી છે. ત્યારે દેશના હિંદુ મતદારોએ રાષ્ટ્રીય હિતમાં વ્યૂહાત્મક રીતે
વિચારવું આવશ્યક છે. ત્યારે હિંદુઓનું વ્યૂહાત્મક રીતે પ્રવર્તમાન રાજકીય
વિકલ્પોમાંથી હિંદુ રાજકીય વિકલ્પ તરીકે નજીકના પક્ષ કે મોરચાના ઉમેદવારની
તરફેણમાં 100 ટકા મતદાન ભારતને નવી સંભાવનાઓ તરફ આગળ લઈ જઈ શકશે.