Thursday, November 22, 2018

રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ કરી પાપ ધોવે રામદ્રોહીઓ


રામના નામે રાજકારણ રામદ્રોહ
 

રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ કરી પાપ ધોવે રામદ્રોહીઓ

-    પ્રસન્ન શાસ્ત્રી

 

રામભક્તોની વ્યથા બની વાચા-

રામભક્તો અને રામભક્ત હોવાનો દંભ કરનારાઓ વચ્ચેનું ધર્મયુદ્ધ છે. આ ધર્મયુદ્ધમાં અધર્મ સામે ઝુકનારાઓને ધર્મ માટે માથું ઉંચુ રાખીને અડગ રહેનારા વ્યક્તિ પસંદ પડતા નથી. રામભક્ત હોવાનો દંભ કરનારાઓ રામ નામના દમ પર જ સત્તાની ખુરશી સુધી પહોંચ્યા છે. પરંતુ રામલલા હજી તાડપત્રીમાં જ વિરાજમાન છે. ફાઈવસ્ટાર અને સેવનસ્ટાર પાર્ટી કાર્યાલયો બન્યા છે, પણ તાડપત્રીમાં વિરાજમાન રામલલાને ભૂલાવી દેવાયા છે. ખાલી ચૂંટણી સમયે વોટરોને ખેંચવા માટે રામલલાને યાદ કરવાનો સિલસિલો 1992થી યથાવત છે. રામજન્મભૂમિની ચળવળને 1942ના ભારત છોડો આંદોલન અને તેના કરતા પણ મોટી ચળવળ તરીકે જોવામાં આવે છે. પરંતુ આવી મોટી ચળવળ સાંસ્કૃતિક સ્વાભિમાનને પ્રસ્થાપિત કરવાના સ્થાને ખુરશી પર પ્રસ્થાપિત થવાનું માધ્યમ બનાવી દેવાઈ અને ભૂલાવી દેવાઈ છે. આવી હરકત રામદ્રોહ છે. રામદ્રોહને હિંદુઓ માફ નહીં કરે. પહેલા રામમંદિર પછી સરકારની વાત 2019 પહેલા વધુ બુલંદ બનશે. રામભક્ત હોવાનો દંભ કરનારાઓ માટે 2019ની ચૂંટણી રામદ્રોહી તરીકે યથાવત રહેવાની સ્થિતિમાં કપરા ચઢાણરૂપ બનવાની છે. ચેતી જાવ. બાકી મારો રામ તો તમને જોવે જ છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવીને રામદ્રોહનું પાપ ધોઈ નાખો. હિંદુઓ માફ કરી દેશે.

 
રામજન્મભૂમિ સાંસ્કૃતિક આઝાદીની લડાઈ
 

ભારતને રાજકીય આઝાદી 15મી ઓગસ્ટ-1947ના રોજ મળી હતી. પરંતુ ભારત માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજીક આઝાદીની લડાઈ રાજકીય આઝાદીના સાત દશકો બાદ પણ અધુરી છે. ભારતની ઓળખ શું? શું આપણે આપણી ઓળખ તરીકે ધર્મનિરપેક્ષતાના નામે નમાલાપણું જ ઓઢી રાખવું છે? 26 જાન્યુઆરી, 1950 પહેલા પણ ભારત હતું. ભારતના બંધારણના આમુખમાં સેક્યુલર શબ્દ ઉમેરાયો તે 1975 પહેલા પણ ભારત હતું. ભારતની પ્રગટ-અપ્રગટ, પ્રત્યક્ષ-પરોક્ષ ઓળખ તેની અક્ષુણ્ણ હિંદુ સંસ્કૃતિ હતી, છે અને તેને ટકાવી રાખવા માટે સ્વાભિમાનને પુનર્પ્રસ્થાપિત કરવા માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક આઝાદીની ચળવળ સ્વતંત્રતા બાદ પણ ચાલી રહી છે. હિંદુ સાંસ્કૃતિક ઓળખને ટકાવી રાખવા માટે આઝાદીની લડાઈ જીતવાની છે.

 
આ સાંસ્કૃતિક આઝાદીની લડાઈ કેવી રીતે આગળ વધી રહી છે, તેની અનુભૂતિ આખા ભારતને રામનામથી થઈ ચુકી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર બાબર નામના પરદેશી મુઘલ પદાક્રાંતાના સેનાપતિ મીર બાંકી દ્વારા ઉભો કરાયેલો બાબરી ઢાંચો ભારતની સાંસ્કૃતિક ગુલામીનું એક પ્રતીક હતો. 1989ની કારસેવા અને યુપીના તત્કાલિન મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવના ગોળીબારના આદેશ બાદ પોતાના જીવનનું રામજન્મભૂમિને આઝાદ કરાવવા માટે બલિદાન આપનારા રામ કોઠારી અને શરદ કોઠારી જેવા ઘણાં વીર યુવાનો ભારતમાતાએ જોયા છે અને તેમને ઘેરી નિંદરમાં પોતાના પાલવમાં ફરીથી સમાવી પણ લીધા છે. 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ઢાંચો ધ્વસ્ત થવી ભારતની સાંસ્કૃતિક આઝાદીનો વિશ્વમાં રણટંકાર સમો ઘંટનાદ હતો.

 
અયોધ્યા, મથુરા, કાશી વિશ્વનાથ- તીનો લેંગે એકસાથ

 
આ સાંસ્કૃતિક આઝાદીની લડાઈ રામજન્મભૂમિ પરથી અપવિત્ર બાબરી ઢાંચો હટાવાયા બાદ ભવ્ય શ્રીરામમંદિરના નિર્માણ સુધી અધુરી છે. અરે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તો ભારતની સાંસ્કૃતિક આઝાદીનો પહેલો પડાવ હશે. હજી તો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ભારતની ધાર્મિક રાજધાની કાશીમાં ભગવાન વિશ્વનાથના મંદિરને પણ આવું જ ગૌરવ અપાવવાનું ભગીરથ કાર્ય હિંદુ સમાજે કરવાનું છે. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતમાં સૂત્ર બોલાતું હતું કે અયોધ્યા-મથુરા-કાશી વિશ્વનાથ તીનો લેંગે એકસાથ ભારતને સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજીક ગુલામીના ઈરાદે જ વિદેશી મુસ્લિમ આક્રમણખોરોએ સોમનાથ હોય કે અયોધ્યા, મથુરા હોય કે કાશી. હિંદુઓના સર્વોચ્ચ આસ્થા કેન્દ્રોમાં સામેલ રામ, કૃષ્ણ અને શિવના મંદિરોને ધ્વસ્ત કરીને મસ્જિદો બનાવવાનું પાપ કર્યું હતું. આ મંદિરોને ફરીથી ગૌરવમય રીતે નિર્મિત કરીને પવિત્ર સ્થાનો પર પાપીઓ દ્વારા કરાયેલા પાપને ધોવાના છે. અયોધ્યા, મથુરા, કાશી વિશ્વનાથ તીનો લેંગે એકસાથને હકીકત બનાવવાનો હવે સમય આવી ચુક્યો છે.

 
 હિંદુઓ પોલિટિકલી ફૂલ નથી

 
અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાએ ગત ચાર દશકથી ભારતની રાજનીતિમાં આમુલચૂલ પરિવર્તનો આણ્યા છે. ભારતની રાજનીતિના કેન્દ્રમાં હિંદુઓ, હિંદુઓની લાગણીઓ આવી છે. ભારતની રાજનીતિનું હિંદુકરણ ભારતના સશક્તિકરણ માટે આવકાર્ય છે. પરંતુ ભારતની હિંદુ કેન્દ્રીત બનેલી રાજનીતિ હવે 1947 જેવો કોઈ દ્રોહ કરે નહીં તેના માટે પણ હિંદુઓએ સાવધાન અને સક્રિય રહેવું પડશે. હિંદુઓ હવે પોલિટિકલી ફૂલ એટલે કે રાજકીય મૂર્ખ બનવા માટે તૈયાર થવાના નથી.

 
ઝુકનારાઓને માથું ઉંચુ રાખનારો ખટકે જ

 
જમીન સંપાદન મામલે વટહુકમો પર વટહુકમો અને પછી યુટર્ન, નોટબંધી, જીએસટી, ટ્રિપલ તલાક પર વટહુકમ વગરે ઘટનાક્રમોમાં વધતી મોંઘવારી વચ્ચે પિસાતા ભારતના લોકોને છેલ્લા કેટલાક મહીનાઓથી કાનમાં ફરી એકવાર રામમંદિર નિર્માણનો મુદ્દો ગુંજવા લાગ્યો છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ મામલે સંઘ પરિવારમાં તાજેતરના મહીનાઓમાં ખાસી ઉથલ-પાથલો જોવા મળી છે. વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાને સંસદમાં કાયદો બનાવીને રામજન્મભૂમિ પર મંદિર નિર્માણની માગણીને લઈને આખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવારથી અલગ અભિપ્રાયને કારણે હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો થઈ હતી. આખરે પ્રવીણભાઈ તોગડિયાએ વિશ્વ હિંદુ પરિષદ છોડીને રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ જેવા હિંદુ એજન્ડાઓને આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરી છે.

 
તોગડિયાના વિશ્વ હિંદુ પરિષદ છોડયા બાદ અને સંઘ પરિવારથી અલગ હિંદુ સંગઠન બનાવ્યા બાદ સમસ્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવાર તરફથી રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે વટહુકમ અથવા કાયદો બનાવવાની વાત થઈ રહી છે. આખરે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિર નિર્માણ કરવાની માળા જપતા સંઘ પરિવારમાં આવું અભૂતપૂર્વ વિચાર પરિવર્તન આવવાનું કારણ શું છે? અહીંઆ એક સ્પષ્ટતા અવશ્ય કરવી પડશે. રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ થાય, તો તેની સૌથી વધુ ખુશી મને થશે, મારા જેવા હિંદુઓને થશે અને સમગ્ર હિંદુ સમાજને થશે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે જીવતા-મરતા હિંદુઓ સારા હિંદુ છે અને સાચા હિંદુ છે. શશી થરુર છાપ વિચારસરણી ધરાવતા ગુડ હિંદુ અને બેડ હિંદુની વાત કરનારાઓને આ જવાબ પણ છે.

 
સંઘ પરિવારની રામધૂનનું રહસ્ય

 
મૂળ મુદ્દા પર આવીએ તો હાલની સ્થિતિમાં સંઘ પરિવારના વલણમાં અચાનક આવેલા પરિવર્તનને સમજવું જરૂરી છે. મુસ્લિમો વગર હિંદુત્વ અધુરું હોવાની વાત કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે નાગપુરથી 2018ની  વિજયાદશમીએ ઘોષણા કરી હતી કે રામજન્મભૂમિ પર રામનું જ મંદિર બને અને ભવ્ય મંદિર બને. તેના માટે જરૂરી હોય તો કાયદો બનાવવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે 2012ના વિજયાદશમી ભાષણ બાદ પહેલીવાર રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાનો મામલો 2018ના વિજયાદશમી ભાષણમાં ઉઠાવ્યો છે.
 

વિજયાદશમીનું ભાષણ આરએસએસના સ્વયંસેવકો માટે આદેશ સમાન નિર્દેશ આપનારું હોય છે. હાલના વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ અને ઘણાં રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સંઘના સ્વયંસેવકો છે અને તેને કારણે વિજયાદશમીનું સરસંઘચાલકનું ભાષણ તેમના માટે પણ આદેશરૂપ નિર્દેશથી કમ નથી. ગત કેટલાક વિજયાદશમીના સરસંઘચાલક મોહનરાવ ભાગવતના ઉદ્ભબોધનો પણ ઘણાં રસપ્રદ રહ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા 2012માં રામમંદિરનો મુદ્દો 2018ના વિજયાદશમીના સંબોધનની જેમ ઉઠાવવામાં આવ્યો હતો. તો 2013ના વિજયાદશમી ભાષણમાં લોકસભાની ચૂંટણી પહેલા વોટિંગથી દૂર રહેવું અથવા તો નોટાનો ઉપયોગ કરવો બિનઅસરકારક માટે ફાયદાકારક બનશે તેવી વાત મોહનરાવ ભાગવતે લોકોને સમજાવી હતી. 2018ના વિજયાદશમી ભાષણમાં પણ 2019ની લોકસભા ચૂંટણી વખતે વોટર્સને ઉપલબ્ધ શ્રેષ્ઠને પસંદ કરીને એકસો ટકા વોટિંગ કરવાની હાકલ પણ તેમણે કરી હતી.
 

2013ના વિજયાદશમીના ભાષણમાં મોહનરાવ ભાગવતે સંઘના સ્વયંસેવકોને એકસો ટકા વોટિંગ કરવાની હાકલ કરીને તત્કાલિન યુપીએ સરકાર દ્વારા હિંદુઓ સાથે વિચાર,વાણી અને વર્તનથી પક્ષપાત કરીને લઘુમતીઓનું તુષ્ટિકરણ કરાતું હોવાની વાત જણાવી હતી. 2013માં સરસંઘચાલકે ચૂંટણી લોકતાંત્રિક ફરજ હોવાનું જણાવીને એકસો ટકા વોટિંગની હાકલ કરી હતી. તેના માટે તેમણે યુવાવર્ગના વોટરોને મતદાતા યાદીમાં પોતાનું નામ ચકાસવાની પણ તાકીદ કરી હતી. 
 

સમજાય તેને વંદન, બાકી અભિનંદન
 

2018ના વિજયાદશમીના ભાષણમાં સરસંઘચાલક મોહનરાવ ભાગવતે મોદી સરકારની સુરક્ષા મામલે અને સરકારી યોજનાઓ માટે પ્રશંસા કરી અને ઈંધણના ભાવમાં વધારો અને ગગડતા રૂપિયા પર મૌન પાળ્યું હતું. જો કે 2013ના વિજયાદશમીના ભાષણમાં તેમણે તત્કાલિન યુપીએ સરકારની મોંઘવારી અને ગગડતા રૂપિયાના મામલે આકરી ઝાટકણી કાઢી હતી. સમજાય એની સમજશક્તિને વંદન બાકી અભિનંદન...
 

મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ 2014ની વિજયાદશમીના ભાષણમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ હતુ કે આ વર્ષે વાતાવરણ બિલકુલ અળગ છે અને સૌ કોઈ અનુભવી રહ્યા છે. તેમણે સરકારને ઈકોનોમી, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક સંબંધો પર કામ કરવા અને પશ્ચિમ બંગાળ તથા આસામમાં ગેરકાયદેસર ઘૂસણખોરી મામલે સાવધાન કરવાનું કામ કર્યું હતું. 
 

2015માં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વિજયાદશમીના ભાષણમાં સ્વેચ્છાએ રાંધણગેસની સબસિડી છોડવાની બાબત અને સ્કિલ ઈનિશિયેટિવ્સના મુદ્દાઓને સ્પર્શ્યા હતા. ભાગવતે વોટબેંકના રાજકારણથી ઉપર ઉઠીને તમામ નાગરિકોને લાગુ પડે તેવો સમગ્ર દ્રષ્ટિકોણ વસ્તીનીતિને લઈને અપનાવવાની વાત કરી હતી.
 

2016ના વિજયાદશમીના ભાષણમાં સરસંઘચાલક મોહનરાવ ભાગવતે કહ્યુ હતુ કે સાચા ગૌરક્ષકોને અવાંછિત તત્વોની સાથે સરખાવી શકાય નહીં. આવા અવાંછિત તત્વો પોતાના સાંકડા અંગત અને રાજકીય સ્વાર્થી મુદ્દને બદનામ કરે છે અથવા અફવા ફેલાવે છે. મહત્વપૂર્ણ છે કે ગૌહત્યા રોકવામાં બનેલી કથિત મોબ લિંચિંગની ઘટનાઓને લઈને મીડિયામાં ખૂબ હંગામો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં ગૌરક્ષકોને ગુંડા કહી દીધા હતા. જેને કારણે ગૌસેવકો અને ગૌભક્તોની લાગણી દુભાઈ હતી. તેને ધ્યાનમાં રાખીને વિજયાદશમીમાં સરસંઘચાલક મોહન ભાગવતે વાતને વાળવી પડી હતી. 2016માં મહબૂબા મુફ્તિ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-ભાજપની ગઠબંધનની સરકારમાં મુખ્યપ્રધાન બન્યા હતા. 2016માં વિજયાદશમીના દિવસે ભાગવતે કહ્યુ હતુ કે રાષ્ટ્રીય ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવાની જરૂરત હોવાનું જણાવીને કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીર ખીણમાં વસાવવાની વાત સરકારોને યાદ કરાવી હતી.
 

2017માં વિજયાદશમીના ભાષણમાં સરસંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અને ચીનની સરહદે ચાલતી હરકતો સામે મજબૂત અને દ્રઢ વલણ દાખવવાની હાકલ કરી હતી. રોહિંગ્યા ઘૂસણખોરો સંદર્ભેનો નિર્ણય લેતી વખતે આ લોકો રાષ્ટ્રીય સુરક્ષા અને એકતા માટે ખતરો હોવાનું ધ્યાનમાં રાખવા માટેની હાકલ પણ તેમણે કરી હતી. આમ તો 2016 પછી સંઘ, ભાજપના નેતાઓને રામ નામ યાદ આવવા લાગ્યું હતું. 2017થી 2018 વચ્ચે ભાગવત પણ ઘણી વખત અયોધ્યામાં રામમંદિર નિર્માણની વાત કહી ચુક્યા છે. પરંતુ 2018ના વિજયાદશમીના ભાષણમાં રામમંદિર નિર્માણ માટે કાયદો અથવા તો વટહુકમની વાત તેમણે લગભગ પહેલીવાર કરી હતી. 
 

રાજકીય નફા-નુકસાનનું ગણિત
 

જો કે રામમંદિરનો મામલો જટિલતાની ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. જટિલ અને વિવાદીત મુદ્દાઓના નિવારણથી આમ તો સરકારોને લાભ થતો હોતો નથી. રાજકીય લાભ તો આવા મુદ્દાઓના સતત જટિલ થવાથી જ મળતો હોય છે. આવી જટિલ સ્થિતિમાં પહોંચી ચુકેલા રામમંદિરના મુદ્દાના સમાધાન માટે ભાગ્યે જ કોઈ સરકાર હાથ નાખવા તૈયાર થાય. જેને કારણે મોદી સરકાર પણ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની રામમંદિર નિર્માણ મુદ્દે કાયદો લાવવાની રાજકીય ઈચ્છાશક્તિ દેખાડે તેવી શક્યતા ખૂબ ઓછી હોવાનું જાણકારોનું માનવું છે. જો કે ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ પ્રાઈવેટ બિલ લાવવાની વાત કરી છે. પરંતુ તેને રામમંદિર પર ખરડો લાવવાના એક પ્રતીકાત્મક ક્રિયાકાંડથી વધુ મહત્વનું માનવામાં આવતું નથી. શું રાકેશ સિંહા પ્રાઈવેટ બિલ મૂકીને ભારતની સંસદમાં સાંસદોને હિંદુઓના નામે રામમંદિર પર વોટ કરવા માટે હાકલ કરી શકશે અને જો આવી હાકલ નિષ્ફળ નિવડશે તો રામમંદિરના ખરડાને મંજૂરી નહીં આપનારી સંસદમાં રાકેશ સિંહા બેસવાનું ચાલુ રાખશે? કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના વલણને ખુલ્લા પાડવાનો ભાજપી આત્મસંતોષ લેવાનું મુનાસિબ માનશે? સરકાર ધારે તો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રામમંદિર માટે સોમનાથ મંદિરની તર્જ પર કાયદો બનાવવા માટેનો ખરડો રજૂ કરીને તેને મંજૂર પણ કરાવી શકે છે. રાજ્યસભામાં તો સરકારની બહુમતી પણ નથી. તેવામાં રાકેશ સિંહાનું પ્રાઈવેટ બિલ મંજૂર થવાની કોઈ શક્યતા દૂર-દૂર સુધી દેખાઈ રહી નથી.

અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભાજપની રાજનીતિની ધરી ગણતો મુદ્દો છે. પરંતુ ભાજપ હવે પોતાની રાજનીતિને રામમંદિરની ચર્ચાઓથી ઘણી આગળના સ્તરે પહોંચાડી ચુક્યું છે અને રાજકીય સચ્ચાઈ એ પણ છે કે રામલહેર પર સવાર થઈને જ ભાજપ કોંગ્રેસનો વિકલ્પ બનીને નવા રાજકીય ધ્રુવ તરીકે સ્થાપિત થવામાં સફળ રહ્યું છે. 
 

રામમંદિરના મુદ્દે ઉભી થયેલી રાજનીતિએ સમસ્ત સંઘ પરિવાર એવી સ્થિતિમાં લાવી દીધું છે કે જ્યાં રામમંદિર નિર્માણ નહીં થવાની સ્થિતિમાં તેમની રાજકીય સ્થિતિ પર વિશેષ અસર પડવાની નથી. આનું સાંકેતિક પ્રમાણ છે કે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થઈ ગયું, પરંતુ તેમણે જેવી રીતે સોમનાથ મંદિરનું આઝાદી પછી નિર્માણ કરાવ્યું તેવી ગૌરવમય પરંપરાથી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ભાજપને ચોથી વખત સત્તા મળી હોવા છતાં થઈ શક્યું નથી. 
 

આજની સ્થિતિમાં રામમંદિર નિર્માણનો મામલો સંઘ પરિવાર માટે તેમના રાજકીય અસ્તિત્વ માટે કોઈ ખાસ મહત્વ ધરાવતો નથી. પરંતુ રામમંદિરનો જ મુદ્દો ભવિષ્યની રાજનીતિ પર મોટી અસર કરે તેવી શક્યતા છે. જેને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નેતાઓ રામમંદિર નિર્માણના મામલે માત્ર નિવેદનબાજીઓ કરીને 1992 જેવા આંદોલનની વાત કરીને નવેસરથી સક્રિય થવાનો આભાસ ઉભો  કરી રહ્યા છે. 
 

તોગડિયાએ આયનો દેખાડતા, ભાજપને બચાવવાની કોશિશ
 

સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઈતિહાસમાં એવો પ્રસંગ પહેલીવાર આવ્યો છે કે જ્યારે તેમના સંગઠનનો હિસ્સો રહેલો સદસ્ય તેમનાથી અલગ થયા બાદ તેમના જેવી વાત કરીને સમાજનું સમર્થન પ્રાપ્ત કરી રહ્યાછે. આ પહેલા સંઘ પરિવારથી અલગ થનારા વ્યક્તિને અપ્રાસંગિક બનવું પડતું હતું અથવા તો તેમને પાછા સંઘના શરણે આવવું પડતું હતું. પરંતુ ડૉ. પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિંદુ પરિષદથી અલગ થયાના થોડાક મહીનામાં જ પોતાની હિંદુ નેતા તરીકેની ઓળખ ફરીથી પ્રસ્થાપિત કરી લીધી છે. જેને કારણે સંઘ પરિવારને ચિંતા છે કે તોગડિયાની સફળતાથી પ્રેરીત થઈને સંઘ પરિવારના અન્ય આયામોના સદસ્યો આવી સ્થિતિ ઉભી કરી શકે છે. જેના કારણે હિંદુનિષ્ઠ રાજનીતિનું કેન્દ્રબિંદુ બદલાય અથવા તો વિભાજીત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. જેને કારણે ભાજપ સહીત સંઘ પરિવારના તમામ સંગઠનો એકસૂરમાં અયોધ્યામાં રામમંદિર માટે સંસદમાં કાયદો બનાવવાની વાત કરી રહ્યા છે. જેથી તોગડિયાથી લોકોનું ધ્યાન હટાવી શકાય. ખાસ કરીને સંઘ પરિવારના સદસ્યો અને સ્વયંસેવકો તોગડિયાની પાછળ દોરવાય નહીં. 1992 બાદ 21થી 23 ઓક્ટોબર-2018ના રોજ અયોધ્યામાં ફરી એકવાર રામભક્તો પહોંચ્યા હતા અને તોગડિયાએ આગેવાની કરી હતી. રામભક્તોનો દમ જોતા રામભક્તિનો દંભ કરનારાઓના પગ પેટમાં પેસવા સ્વાભાવિક હતા. 
 

રામમંદિર પર સંસદમાં કાયદો બનાવવાની માગણી માટે તોગડિયાને હટાવવા માટે આકાશ-પાતાળ એક કરનારા સંઘ પરિવારે ફરી એકવાર ભાજપની મદદ કરવાની મનસા વ્યક્ત કરી છે. જેની પાછળનો ઉદેશ્ય  રામમંદિર નિર્માણને લઈને સંઘ પરિવાર અને ભાજપની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠવાના બંધ થઈ જાય. તેની સાથે કોંગ્રેસ સહીતના વિપક્ષી દળો સામે સવાલો ઉઠવાના શરૂ થઈ ચુક્યા છે. સંઘ પરિવાર અને ભાજપના ટેકેદાર વર્ગમાં સંસદમાં રામમંદિર નિર્માણનો કાયદો બનાવવાનો પ્રશ્ન ભાજપના સ્થાને કોંગ્રેસ અને અન્ય વિપક્ષોને પુછાઈ રહ્યા છે.
  

જવાબદારીથી બચવાની પણ કોશિશ!
 

આ સિવાય હિંદુત્વના વિચારના ટેકેદાર હોવાની વાત કરતા લોકો દ્વારા યોજનાબદ્ધ રીતે સોશયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વિલંબનો મામલો ઉઠાવાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ હિંદુ ભાવનાઓની અવગણના કરતી હોવાની વાત પણ ઉઠાવાઈ રહી છે અને આવા મામલામાં ભાજપના નેતાઓ પણ સામેલ છે. તેની પાછળનો ઉદેશ્ય પણ રામમંદિરનો વિષય સુપ્રીમ કોર્ટના પાલામાં નાખવાનો છે. આમ કરીને દેશની આખી વ્યવસ્થાને હિંદુત્વને અનુરૂપ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપને સતત મજબૂત કરવાની જરૂરિયાત હોવાનું લોકોમાં પ્રસ્થાપિત કરવાનો મૂળ ઉદેશ્ય છે. આમ કરીને હિંદુ એજન્ડાને આગળ વધાર્યા વગર તેના નામે હિંદુ સમાજની સમજનું દોહન કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે આવા મામલાઓ પરની મોનોપોલી જાળવવાનો ગંદો ખેલ વોટબેંકના પોલિટિક્સથી પણ ખતરનાક રીતે ચલાવાઈ રહ્યો છે. આ ખેલમાં ઝુકનારા અને ઘૂંટણિયે પડનારાઓને હિંદુત્વ માટે માથું ઉંચુ કરીને છાતી કાઢીને ઉભો રહેનારો એકપણ વ્યક્તિ પસંદ પડતો નથી. ડૉ. પ્રવીણ તોગડિયા પણ આવા લોકોને ખૂંચે તે સ્વાભાવિક છે. 
 

આસ્થાનું પોલિટિકલ એન્કાઉન્ટર કરતા નહીં
 

25મી નવેમ્બરે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ શિવસેનાને સમાંતર કાર્યક્રમ કરી રહી છે. બાબરી ધ્વંસના કેટલા વર્ષ બાદ અયોધ્યામાં આવું સંમેલન થઈ રહ્યું છે. જ્યારે હિંદુવાદી ગણાતી સરકાર સત્તામાં હોય, ત્યારે હિંદુઓને રામમંદિર નિર્માણ માટે આંદોલન કરવું પડે,તો પછી હિંદુઓ માટે મોદી હોય કે મુલાયમસિંહ શું ફરક ગણવાનો
 

રામમંદિર નિર્માણનો મુદ્દો સાંસ્કૃતિક આઝાદીની ચળવળના સ્થાને રાજકીય બનાવી દેવાયો છે અથવા રાજકીય બની ચુક્યો છે. આની રણનીતિ સંઘ પરિવાર દ્વારા બદલાતી રહી છે. હાલની સ્થિતિમાં સંઘ પરિવાર અને ભાજપ આના સંદર્ભે કોઈ જવાબદારી લેશે તેવી શક્યતાઓ બેહદ પાંખી છે. તેઓ કોંગ્રેસ સહીતના વિપક્ષ અને ન્યાય વ્યવસ્થા પર રામમંદિર નિર્માણ નહીં થવાની જવાબદારી નાખી દેશે. સંઘ પરિવાર અને ભાજપના ટેકેદારોના આર્ટિકલ્સ, ટીવી ડિબેટમાં તર્ક-કુતર્કથી સત્તામાં આવ્યાના સાડા ચાર વર્ષે કોંગ્રેસ સહીતના વિપક્ષને સવાલ કરાય છે કે અમે તો સંસદમાં કાયદો આજે લાવી દઈએ, શું તમે સમર્થન આપશો? પરંતુ આવા વખતે ભૂલી જવામાં આવે છે કે રામમંદિર નિર્માણ માટે હિંદુ સમાજનું સમર્થન લેવા માટે પાલમ ખાતે ઠરાવ કરવામાં આવ્યો હતો. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની પ્રતિબદ્ધતા માત્ર વિશ્વ હિંદુ પરિષદ નહીં, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે પણ વ્યક્ત કરી છે. આવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઠરાવને મંજૂર કરતી વખતે શું વીએચપી, ભાજપ કે આરએસએસ દ્વારા કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોનું સમર્થન માંગવામાં આવ્યું હતું કે તમે ટેકો આપશો તો અમે ઠરાવને મંજૂરી આપીશું? સંસદમાં રામમંદિર માટે પ્રતિબદ્ધતા દેખાડતું એકપણ કામ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું કોઈને પણ યાદ આવે તો દેશના હિંદુઓને જાણ કરવી જોઈએ. રામમંદિર નિર્માણના મુદ્દાને એક પોલિટિકલ એન્કાઉન્ટર બનાવીને નિર્દોષ હિંદુઓ કે જેમણે આસ્થા અને શ્રદ્ધાથી આંદોલનને ટેકો આપ્યો હતો તેમના ભોગ લેવાયા અને હવે આવી તૈયારી ફરી એકવાર થઈ રહી છે.
 

સવાલોના ચક્રવ્યૂહમાં રામદ્રોહીઓ 
 

બચ્ચા-બચ્ચા રામ કા અને જો રામ કા નહીં વો કામ કા નહીં. પણ રામના નામે સત્તામાં આવીને ગુલતાન કરનારાઓ રામમંદિરના સ્થાને રામની મૂર્તિ બનાવવાની વાતો કરનારાઓને કેવી રીતે રામના ગણવા? બાકી રામમંદિર બનતું હોય, તો બધાં રામકામમાં જોતરાઈ જવા તૈયાર છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થાન શિવનેરી કિલ્લાની માટીનો કળશ ભરીને રામજન્મભૂમિ મંદિરના મહંતને સોંપવાના છે. જો આવી પવિત્ર માટીમાંથી આવતી છત્રપતિ શિવાજી મહારાજની વીરતાની મહેકની કોઈ અસર થાય, તો તેમના હિંદવી સ્વરાજના સ્વપ્નને સાકાર કરવાના પ્રથમ પગલા તરીકે રામમંદિર નિર્માણની રાજકીય ઈચ્છાશક્તિ પેદા થાય. બાકી તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સવાલ કર્યો છે કે શું પંદર લાખ આવશેની જેમ રામમંદિર નિર્માણ પણ બીજો જુમલો છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈય્યાજી જોશી અયોધ્યામાં તાડપત્રીની નીચે વિરાજમાન રામલલાના દર્શન કરવા માટે ગયા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે હવે ભવ્ય રામમંદિરમાં રામલલાના દર્શન કરવા આવશે. પરંતુ સંઘના સર્વોચ્ચ પદાધિકારીઓને તાડપત્રીમાં વિરાજમાન રામલલા કેટલા વર્ષે યાદ આવ્યા? દર વર્ષે અજમેર ચાદર મોકલતા અને અમદાવાદને કર્ણાવતી નહીં કરી શકનારા ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિદ્દી સૈયદની મસ્જિદથી માંડીને વિદેશોની મસ્જિદો અને બહાદૂર શાહ ઝફરની મજાર પર આંટાફેરા કરતા જોવા મળ્યા છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ જે રામરથ યાત્રામાં પોતાની ભૂમિકા હતી તેવા નરેન્દ્ર મોદીને તાડપત્રીમાં વિરાજમાન રામલલાના દર્શન કરવાની બિલકુલ ફૂરસત નથી
 

પરંતુ રામમંદિરના મુદ્દે નિવેદનબાજીથી વધારે કંઈ નહીં કરનાર ભાજપને સંઘ પરિવાર રામમંદિરના ચૂંટણી ટાણે આલાપવામાં આવતા રામરાગથી હાલ કોઈ મદદ કરી શકશે? પેટ્રોલ-ડીઝલની કિંમતોએ મનમોહનસિંહની સરકારનો રેકોર્ડ તોડી ચુકી છે. રૂપિયો ગગડવામાં મોદી સરકારમાં નવો વિક્રમ સ્થાપિત કરી ચુક્યો છે. રફાલ ડીલમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો શંકા-કુશંકાના તાણાવાણા વણી રહ્યા છે. નોટબંધી અને જીએસટીના લાગુ કરવામાં લોકો અને કારોબારીઓને અનુભવાયેલી મુશ્કેલીઓને હજીપણ યાદ કરાઈ રહી છે. ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. આવા સમયે સાડા ચાર વર્ષ રામમંદિર મામલે કંઈ નહીં કરનારી મોદી સરકારને મજબૂત થઈ રહેલી એન્ટિ-ઈન્કમ્બન્સીથી બચાવવા માટે સંઘ પરિવારે સાગમટે રામધૂન શરૂ કરી છે. પણ રામલલા તાડપત્રીના સ્થાને ભવ્ય રામમંદિરમાં વિરાજમાન થશે કે કેમ તેના પર આશંકાઓ યથાવત છે.