Sunday, November 27, 2011

25 કરોડ લોકોના રોજગાર પર સંકટની કાળીછાયા


-ક્રાંતિવિચાર

મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સરકારે 51 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપી દીધી છે. જ્યારે સિંગલ બ્રાન્ડ રીટેલમાં 100 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જી-20 દેશોના દબાણમાં લેવામાં આવ્યો છે. ભારતીય રીટેલ બજારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે જી-20 દેશો વડાપ્રધાન મનમોહન સિંહને બેઠકોમાં બોલાવી આનું દર વખતે દબાણ કરતાં હતા. જી-20 સમૂહના દેશોમાં રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ મૂડી રોકાણને ખુલ્લી છૂટ આપવાનો કરાર પહેલા જ થઈ રહ્યો છે. એટલે કે દેશની નીતિનું નિર્ધારણ જી-20 સમૂહની બેઠકમાં મનમોહન પર દબાણ કરીને લેવડાવી દેવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં તેની માત્ર કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી અપાવીને જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશિદે સંસદ બહાર કહ્યુ હતું કે રીટેલમાં એફડીઆઈનો મુદ્દો નીતિ વિષયક છે, તેની સંસદમાં ચર્ચાની જરૂર નથી. વળી જે રાજ્યો રીટેલમાં એફડીઆઈને મંજૂરી આપવા ન ચાહે તેઓ તેમ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ યુપીએ સરકારના ઘટક દળના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકારની અંદરથી નારાજગીના સૂર વ્યક્ત કર્યા. તેની સાથે ડાબેરી મોરચો, ભાજપ, બીએસપી અને અન્ય તમામ રાજકીય પક્ષોએ રીટેલમાં એફડીઆઈને મંજૂરી સામે વિરોધના સૂર વ્યક્ત કર્યા.

ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે વોલમાર્ટના સ્ટોર ભારતમાં ખુલશે, તો તેને તેઓ ખુદ આગ લગાડશે અને તેના માટે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે તેઓ જ્યાં સુધી સત્તા પર છે, ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં વિદેશી મલ્ટીબ્રાન્ડ રીટેલને ઘૂસવા દેશે નહીં. તેમણે રીટેલમાં વિદેશી રોકાણની છૂટને દેશને ગુલામ બનાવવાની સાજિશ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રીટેલમાં વિદેશી મૂડી રોકાણ રાહુલ ગાંધીના વિદેશી મિત્રોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જો કે માઝા મૂકતી મોંઘવારી કાબુમાં આવી જશે તેવા ઠાલા વાયદા કરતી સરકારને આશા છે કે રીટેલમાં એફડીઆઈની મંજૂરીથી મોંઘવારી છૂમંતર થઈ જશે.

જો કે વિશેષજ્ઞોનું એક જૂથ જણાવે છે કે દેશમાં સુપરમાર્કેટના કલ્ચરથી 1.2 કરોડ નાના દુકાનદારો, 4 કરોડ ફેરિયાઓ અને ઓછામાં ઓછા 20 કરોડ જેટલાં નાના ખેડૂતોની આજીવિકા જોખમમાં મૂકાશે. એટલે કે રીટેલમાં એફડીઆઈ અને સુપરમાર્કેટના આમંત્રણથી દેશના ઓછામાં ઓછા 25થી 26 કરોડ લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. આવી સ્થિતિમાં દેશનું શું દ્રશ્ય હશે, તેનો વિચાર કરીને જ કોઈને પણ કંપકપી થઈ જશે. ભારતીય રીટેલ વેપારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને મંજૂરી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલો નિર્ણય ગણાવવા વેપારી સરકારના એજન્ટ જેવાં મંત્રીઓ ઘણાં કથિત બૈદ્ધિક તર્કો આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી વધારે સુપરમાર્કેટ ધરાવતા અમેરિકાના ખેડૂતો લાભ મેળવવામાં પાછા કેમ પડે છે? અમેરિકાની સરકારે તેમને ભારે ભરખમ સબસિડી કેમ આપવી પડે છે? જ્યારે દુનિયાનું સૌથી મોટું રિટેલર જૂથ વોલમાર્ટ અમેરિકામાં જ છે, તો તેનાથી ત્યાંના ખેડૂતો ખુશહાલ બની જવા જોઈતા હતા. પરંતુ વાર્ષિક 21 લાખ કરોડનો ધંધો કરતી વોલમાર્ટ કંપનીના હોવા છતાં અમેરિકાના ખેડૂતોને ત્યાં સુખનો સૂરજ ઉગી શક્યો નથી. અમેરિકાની સરકારે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે 1995થી 2009ની વચ્ચે 12.5 લાખ કરોડ ડોલરની ભારે ભરખમ સબસિડી આપી છે. તેમ છતાં અમેરિકાનો ખેડૂત ખેતીવાડી છોડવા માટે મજબૂર બન્યો છે અને ગરીબી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે 28 કરોડની વસ્તીવાળા અમેરિકામાં ખેડૂતોની સંખ્યા 7 લાખથી પણ ઓછી થઈ ગઈ છે અને વર્ષ 2000 બાદની વસ્તીગણતરીમાં ખેડૂતોની અલગથી ગણતરી કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકા જ નહીં, દુનિયાના ઘણાં દેશોમાં મોટા રીટેલરોની ઓછી કિંમતોને કારણે ખેતી ખરાબ થઈ છે અને સાથે સ્થાનિક નાના રીટલરોનો કચ્ચરઘાણ નીકળ્યો છે. યૂરોપમાં મોટા રીટેલરોના બજારમાં છવાયા બાદ દર મિનિટે એક ખેડૂત ખેતીથી અળગો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, ફ્રાંસમાં 2009માં ખેડૂતોની આવક 39 ટકા ઘટી છે. આ પહેલા 2008માં ફ્રાંસમાં ખેડૂતોની આવકમાં 20 ટકાનો ઘટાડો થઈ ચુક્યો હતો. સ્કોટલેન્ડમાં મોટી સંખ્યામાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો પોતાનો ધંધો છોડી રહ્યા છે. આ બધાંનું કારણ સુપરમાર્કેટની ઓછી કિંમતોને ગણાવાય રહ્યું છે. ઉરુગ્વે, આર્જેન્ટિન અને કોલંબિયા જેવાં લેટિન અમેરિકી દેશોમાં પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ચલાવાય રહેલી સુપરમાર્કેટોથી ખેડૂતોની હાલત ખરાબ છે. આવી પરિસ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ભારતીય કૃષિની કાયાકલ્પ કરી નાખશે. પરંતુ આ વાત અહીંના ખેડૂતો અને નાના રીટેલરો સાથે જ છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર દેશ માટે વિશ્વાસઘાત છે.
ઉલ્લેખનીય છે કે ઉદારીકરણના તબક્કાની શરૂઆતથી દેશમાં ચાલેલી આર્થિક નીતિઓને કારણે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં ખેતી પર નભતી વસ્તી 80 ટકામાંથી ઘટીને 65 ટકાની આસપાસ પહોંચી ગઈ છે. કદાચ એક દશકા બાદ ભારતને કૃષિ પ્રધાન કહેવો કે નહીં તે પણ સવાલ ઉભો થશે. દેશમાં છેલ્લા દશ વર્ષમાં 12 લાખ જેટલાં ખેડૂતોએ ખેતીમાં ઉભી થતી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. આ સિલસિલો વત્તાઓછા પ્રમાણમાં ભારતના વિવિધ રાજ્યોમાં ચાલુ છે. ત્યારે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ ખેડૂતોની આત્મહત્યામાં વધારો નહીં કરે? પણ અમેરિકાના ઈશારે જી-20 દેશોના દબાણ નીચે નિર્ણયો કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ આ બાબતે વધારે વિચારતા હોય તેવું હજી સુધી લાગ્યું નથી. જો કે મમતા બેનર્જીના દબાણ નીચે યુપીએ સરકાર સંસદમાં રીટેલમાં એફડીઆઈનો મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઈ છે, તેટલો તેમનો પાડ માની શકાય.

કહેવામાં આવે છે કે સરકારે રીટેલ વેપારીઓના હિતને સંરક્ષણ આપવા માટે કેટલીક શરતો લગાવી છે. જેમકે કંપનીઓ મોટા શહેરોની આસપાસ જ કારોબાર કરશે અને 30 ટકા સામાન નાના ઉત્પાદકો પાસેથી ખરીદશે. પરંતુ અનુભવ એવો જ રહ્યો છે કે આ કંપનીઓને બોલાવતી વખતે કંઈક શરતો લગાવાય છે અને જ્યારે તેના વિસ્તરણ કરવાની વાત આવે છે, ત્યારે બીજી શરતો લગાવી દેવાય છે. પહેલા 30 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાની વાત થઈ રહી હતી. પરંતુ હવે આવી શરત લગાવવામાં આવી નથી.

સરકાર દાવો કરી રહી છે કે કંપનીઓ કૃષિ ઉત્પાદનોના સંસ્કરણ અને કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલાના માળખા પર મોટી રકમનું રોકાણ કરશે. બીજી તરફ સુપરમાર્કેટ તરફથી દાવો થઈ રહ્યો છે કે તેમને ત્યાં વચેટિયાં નહીં હોય, તેનાથી ખેડૂતોને વધારે ભાવ મળશે. પરંતુ હકીકતમાં તેનાથી ઉલ્ટું જ છે. સુપરમાર્કેટ ખુદ એક બહુ મોટા વચેટિયા કે દલાલની ભૂમિકામાં છે. તેઓ આ ધંધાની નાની માછલીઓને ગળી જાય છે. ધોતી-કુરતાવાળા પરંપરાગત શેઠિયાઓની જગ્યા સુપરમાર્કેટના ટાઈ-બેલ્ટવાળા દલાલો આવી જશે. તેમાંથી કેટલાંક મોટા વચેટિયા કમીશન પણ લેવા લાગ્યા છે. રિટેલરોના વચેટિયાઓના જૂથમાં ગુણવત્તા નિયંત્રક, સર્ટિફિકેશન એજન્સી, પેકેજિંગ ઉદ્યોગ, સંસ્કરણ ઉદ્યોગ અને હોલસેલ વિક્રેતાઓ સામેલ છે. આ નવા વચેટિયાઓને કારણે ખેડૂતોની આવક ઘટી જશે અને સુપરમાર્કેટનો નફો આસમાને પહોંચશે. તેના પરિણામે શક્યતા એવી છે કે ખેડૂતોનું નિકંદન નીકળશે અને તેમની આત્મહત્યાનો સિલસિલો થોભવાને સ્થાન વધશે. વળી મોંઘવારીથી ત્રસ્ત આમ આદમીને પણ કોઈ રાહત થશે નહીં, કારણ કે નફો સુપરમાર્કેટના ખિસ્સામાં જવાનો છે અને આમ આદમીને મોઢું વકાસીને જી-20 દેશો દ્વારા અમેરિકાની પ્રેરણાથી ભારતમાં લાગુ થનારી વ્યવસ્થાને જોયા સિવાય અને તેનો ભાગ બન્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં.

અમેરિકાના જુદાજુદા રાજ્યોમાં વોલમાર્ટના ફેલાવાને કારણે ગરીબી પર પડનારા અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ‘વોલમાર્ટ અને ગરીબી’ વિષય પર અમેરિકાની પેનસિલવેલનિયા યૂનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વિભાગના સ્ટીફન જે. ગોએત્જ અને હેમા સ્વામીનાથને 2004માં સંશોધન કર્યું છે. આ સંશોધન અભ્યાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે 1987માં જે અમેરિકી રાજ્યોમાં વોલમાર્ટના વધારે સ્ટોર હતા, ત્યાં 1999માં ગરીબીનો દર એ રાજ્યોની સરખામણીએ વધારે હતો, જ્યાં વોલમાર્ટના સ્ટોર ઓછા હતા. જે જિલ્લમાં 1987થી 1998ની વચ્ચે વોલમાર્ટના સ્ટોર ખુલ્યા છે, તે રાજ્યોમાં પણ ગરીબીનો દર વધારે રહ્યો હતો. અભ્યાસ પરથી એમ પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે આ ક્ષેત્રોમાં ગરીબી એ વખતે વધી, જ્યારે અમેરિકાના અન્ય ભાગોમાં ગરીબી ઘટી રહી હતી. વોલમાર્ટ જેવી વિદેશી રીટેલ કંપનીઓથી ભારતના રીટેલરોને પરસેવો છૂટી રહ્યો છે. કારણ કે વોલમાર્ટ સ્ટોર્સ કોર્પોરેશન દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની છે. તેનો વાર્ષિક કારોબાર 21 લાખ કરોડ રૂપિયા છે. તે દુનિયામાં ખાણીપીણીના સામાનનું સૌથી વધારે વેચાણ કરનારી કંપની છે. દુનિયાના 15થી વધારે દેશોમાં વોલમાર્ટના સાડા આઠ હજાર જેટલાં સ્ટોર્સ છે અને તેમાં લગભગ 21 લાખ લોકો કામ કરે છે. 2010માં વોલમાર્ટમાં 770 કરોડ લોકોએ ખરીદી કરી હતી, જ્યારે દુનિયાની કુલ વસ્તી 700 કરોડથી વધારે છે. વોલમાર્ટનો વાર્ષિક કારોબાર વિશ્વની 23મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર થવા જાય છે. મનમોહન સરકારની મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકાની એફડીઆઈથી ભારતમાં વોલમાર્ટ જેવાં ઘણાં વાવાઝોડાં આવે તેવી શક્યતા છે. તેમાં ભારતના ખેડૂતો અને રીટેલરોનું શું થશે તે સંદર્ભે ઈશ્વર જ માલિક છે હવે!

ખેતીની સાથે રોજગારની સ્થિતિ પણ ભયાનક રહી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્કોએ 11 હજાર અને સેન્સબરીએ 13 હજાર રોજગાર ઉભા કરવાનો વાયદો કર્યો હતો. બે વર્ષ બાદ ખબર પડી કે આ કંપનીઓએ કેટલાંક સો લોકોને રોજગાર આપ્યો છે. જ્યારે તેમના કારણે ઈંગ્લેન્ડમાં ઘણાં વધારે લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. વિશ્વના સૌથી વધારે ગરીબ ધરાવતાં ભારતમાં નાની ફેરી કરીને આજીવિકા કમાનારા 4 કરોડથી વધારે લોકો છે. તેમનું ભવિષ્ય આનાથી અંધકારમય બની જશે. દેશમાં કુલ 25 કરોડ લોકોના રોજગારને સુપરમાર્કેટોથી સીધી અસર પહોંચે તેવી સંભાવના રહેલી છે.
હકીકતમાં દેશમાં અત્યારે જરૂરત છે કે દેશભરમાં મંડીઓની સ્થાપનામાં સરકારી ખર્ચ વધારવામાં આવે, સરકારી ખરીદીના માધ્યમથી ખેડૂતોને બહેતર મૂલ્ય નિર્ધારણ કરવામાં આવે અને પાકના ભંડારણ અને વિતરણ માટે મજબૂત તંત્ર ઉભું કરવામાં આવે. પરંતુ અમેરિકા અને જી-20 દેશોની આંગળીએ નાચ નાચતા અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહના મનમોહનોમિક્સમાં આવી કોઈ જોગવાઈ હવે રહી નહીં હોય!

Friday, November 25, 2011

જનાક્રોશ સાથે રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી


-ક્રાંતિવિચાર
કૃષિ મંત્રી શરદ પવાર પર મોંઘવારી બેકાબુ થવા માટે ભૂતકાળમાં ઘણાં આરોપો લાગ્યા છે. પરંતુ તેમણે મોંઘવારી માટે પોતે જવાબદાર હોવાની વાતનો સદંતર ઈન્કાર કર્યા કર્યો છે. તેમણે મોંઘવારીને બેકાબુ થવામાં સરકારની સાંઝી જવાબદારી હોવાની વાત પણ કરી છે. પરંતુ દિલ્હીમાં ઈફ્કોના કાર્યક્રમમાં શરદ પવાર પર હુમલો કરવા માટે ટાંપીને બેઠેલા યુવક હરવિન્દર સિંહને શરદ પવારની કોઈ વાતની ખબર નહીં હોય અથવા તો તેને આવી કોઈ વાત ગળે ઉતરી નહીં હોય. દિલ્હીની કોર્ટે ભૂતકાળના એક ટેલિકોમ ગોટાળા માટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારે પણ આ યુવક કોર્ટ પરિસરમાં હતો અને કોર્ટમાંથી સજા ખાઈને બહાર આવી રહેલા સુખરામ પર હુમલો કર્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે હરવિન્દર સિંહે કૃષિ મંત્રી શરદ પવારને મોંઘવારીના મુદ્દે થપ્પડ ઝીંકી દીધી છે. શરદ પવારને અંદાજો પણ નહીં હોય કે દેશમાં થઈ રહેલી બેકાબુ મોંઘવારીની ગુંજ તેમના ગાલે સંભળાશે. આ ઘટના વખોડવા લાયક છે. તમામ રાજકીય પક્ષોએ તેને વખોડી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટના શા માટે ઘટે છે? તેની પાછળ ક્યાં કારણો છે? શું ભારતના લોકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે? શું ભારતના રાજનેતાઓને તેમની લોકલાગણી અને જનાક્રોશ સાથેની રાજરમત હવે ભારે પડી રહી છે? આ તમામ સવાલોના જવાબ સામાજિક અને રાજકીય સ્તરે મેળવવાનો પ્રયાસ મીડિયા સહીત તમામ વર્ગોએ કરવો જોઈએ.

દેશમાં છેલ્લા 7વર્ષથી મોંઘવારી સતત સરેરાશ બે અંકોમાં રહી છે. તાજેતરમાં મોંઘવારી માંડ બે અંકથી નીચે ગઈ છે. આ દેશમાં 70 કરોડ લોકો ગરીબ છે. ગરીબીની રેખા નીચે જીવતા રોજના માંડ 32 રૂપિયા પણ ન મેળવતા લોકોના જીવન માઝા મૂકી રહેલી મોંઘવારીમાં ભારે મુશ્કેલીવાળા બની ગયા છે. જો કે આવી દારૂણ પરિસ્થિતિમાં પણ સરકાર બેશરમીથી જવાબ આપી રહી છે કે દેશમાં ભૂખમરાથી છેલ્લા બે વર્ષમાં કોઈપણ મૃત્યુ થયું નથી. પરંતુ હકીકત એ છે કે દારૂણ ગરીબીવાળા અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ લોકોને અનાજના વિકલ્પ તરીકે જીવલેણ પાંદડાની ભાજી ખાઈને જીવન ગુજારવું પડે છે. તેમ છતાં વક્રતા એ છે કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો દેશના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીને મજબૂત લાગી રહ્યો છે. ભારતની અર્થ વ્યવસ્થા ચીન સાથે સ્પર્ધા કરી રહી છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનીને દુનિયાની સામે છે. હવે ભારતના મલ્ટિબ્રાન્ડ રિટેલમાં 51 ટકાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

ત્યારે સવાલ એ છે કે ભારતના મધ્યમ વર્ગથી ત્રણ ગણા મોટા ગરીબો માટે વિચારવા માટે ભારતના રાજનેતાઓ પાસે સમય નથી. દર વર્ષે મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાનારા પરિવારોની સંખ્યા ઘણી મોટી છે. જો કે ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવનારા લોકોની સંખ્યા ઘણી નહીવત છે. આ હકીકત હોવા છતાં આપણા ભારતનો વિકાસ દર 8-9 ટકા હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. વિકાસના રાગડા તાણતા રાજકારણીઓને ભારતની ગરીબી દેખાતી નથી. જો કે હકીકતમાં એવું છે કે તેઓ ભારતની ગરીબી પ્રત્યે અને ભારતના ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને મોંઘવારીનું ધીમું ઝેર આપીને ઠેકાણે પાડવા માંગે છે. આ દેશ માત્ર મૂડીવાદી માનસિકતા ધરાવતા કેટલાંક ધનવાનોનો દેશ બની ગયો છે. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતનું ઝડપથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન છેલ્લા એક દશકમાં 10 લાખ હેક્ટર જેટલી ઓછી થઈ છે. માંસની નિકાસમાં ભારતે ડંકો વગાડયો છે. વિશ્વમાં ભારત માંસ નિકાસકર્તામાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વિશ્વનું સૌથી વધુ પશુધન છે. પરંતુ જે તીવ્રતાથી દેશમાંથી માંસની નિકાસ થઈ રહી છે અને કતલખાના વધી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ દેશ માંસ નિકાસમાં પ્રથમ સ્થાને પહોંચશે પછી લાંબો સમય સુધી ત્યાં ટકી નહીં શકે. કારણ કે દેશનું પશુધન તો આપણે ખતમ કરી નાખ્યું હશે.

દેશમાં કુટિર ઉદ્યોગ અને ખેતી-પશુપાલન આધારીત ઉદ્યોગોનું નિકંદન નીકળી રહ્યું છે. રિટેલમાં વિદેશી નાણાંની ઘૂસણખોરી પણ ખતરનાક છે. તેના કારણે દેશમાં મોંઘવારી વધારે તીવ્રતાથી આગળ વધે તેવી શક્યતા છે. ત્યારે ગરીબ માણસને ભારતમાં જીવન જીવવું દુભર બની જશે. આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને દેશના નીતિ-નિર્ધારકો કહે છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમની પાસે જાદૂની લાકડી નથી. પરંતુ હકીકત એ છે કે મોંઘવારી વધારવા માટે તેમની પાસે જાદૂઈ લાકડી ઉપલબ્ધ હોય છે. છેલ્લા બે વર્ષથી દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને સક્ષમ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેશની જનતાને આ ડિસેમ્બર કે માર્ચમાં ઘટી જશેના ઠાલા વાયદા કરતાં રહે છે. આવી સ્થિતિમાં ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દુભર બની રહ્યું છે અને વક્રતા એ છે કે સરકાર દેશના વિકાસ દરને ટકાવી રાખવાની ચિંતામાં દેશના આમ આદમીની ચિંતા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે દેશમાં આમ આદમી ક્યાં સુધી પોતાની ધીરજ ટકાવી શકશે? આમ આદમી ક્યાં સુધી દેશના રાજનેતાઓની લોકલાગણીને આંગળી કરવાની નીતિઓ સામે પોતાનો જનાક્રોશ દબાવી શકશે? માની લો કે હરવિન્દર સિંહ નામનો યુવાન પાગલ હશે, પરંતુ તેને પાગલ બનાવવામાં સરકારની શું ભૂમિકા છે? માની લો કે હરવિન્દરને મીડિયામાં ચમકવાની કોઈ મહત્વકાંક્ષા હશે. પરંતુ લોકોમાં તેના આવા વખોડવા લાયક કૃત્યથી તે હીરો બની જાય તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે સરકાર કેટલી હદે જવાબદાર છે?

શરદ પવારને લાફો ઝીંકાયો ત્યારે ગાંધીવાદી અણ્ણા હજારેની પ્રતિક્રિયા હતી કે શું શરદ પવારને માત્ર એક જ લાફો મારવામાં આવ્યો? જો કે શરદ પવારની મજાક કર્યા બાદ અણ્ણા પોતાના સ્ટેન્ડમાંથી ફરી ગયા અને તેમણે સમગ્ર ઘટનાને વખોડી પણ તેમણે એવું તો કહ્યું જ કે લોકોમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સંદર્ભે ઘણો ગુસ્સો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ સરકારને મોંઘવારી સુપેરે કાબુમાં લેવાની ચેતવણી આપી હતી. તેમણે મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા દર્શાવી હતી. યશવંત સિંહાના આ નિવેદનને કોંગ્રેસ શરદ પવાર પરના હુમલા માટે જવાબદાર ગણાવે છે અને તેમને વિપક્ષનું આમા ષડયંત્ર દેખાય છે. આની તપાસ થવી જોઈએ. પરંતુ વિશ્લેષણ એ પણ થવું જોઈએ કે શું યશવંત સિંહા દેશમાં માઝા મૂકતી મોંઘવારીથી ઉભી થનારી પરિસ્થિતિને સારી રીતે વાંચી રહ્યા છે?

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બની રહેલી ઘટનાઓ ચિંતાજનક છે. અમરનાથ યાત્રા અને અમરનાથના શિવલિંગ પર બેફટ લોકલાગણી વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ સ્વામી અગ્નિવેશને અમદાવાદમાં તમાચો પડયો. ટીમ અણ્ણાના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીરમાં જનમત લઈને આઝાદી આપવાની તરફેણ કરી તો કેટલાંક માથા ફરેલા યુવાનોએ તેમને સુપ્રીમ કોર્ટ પરિસર ખાતેની તેમની ચેમ્બરમાં ઠમઠોર્યા અને હવે શરદ પવારને મોંઘવારીની થપ્પડ પડી. પરંતુ આમ આદમીમાં આ ઘટનાઓની પ્રતિક્રિયા જોઈએ તો મોટાભાગે લોકોને પોતાની લાગણીનો પડઘો પડયો હોવાની લાગણી થઈ રહી છે. વળી રાજકીય પક્ષો અને નેતાઓએ આવી ઘટનાને વખોડી છે. પરંતુ તેમણે આવી ઘટના શા માટે બની રહી છે, તેના કારણો શોધવાની વાત પણ એક યા બીજી રીતે કરી છે.

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદીએ કહ્યું છે કે શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પારીત નહીં થાય, તો વધારે થપ્પડ પડશે. ત્યારે ખરેખર બ્લેકકેટ કમાન્ડોના સુરક્ષાચક્રમાં ઘૂમી રહેલા રાજકારણીઓએ વિચારવું પડશે કે જો ભારતનો આમ આદમી વિફરશે તો તેમને કોઈ બ્લેકકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર બચાવી શકશે નહીં. ભારતના રાજનેતાઓએ ભારતના લોકોની લાગણીઓ સાથેની રાજરમત બાજુએ મૂકીને જનકલ્યાણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમની જનાક્રોશ સાથેની રમત તેમના રાજકીય જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

Sunday, November 13, 2011

કલામના અપમાન માટે અમેરિકાનો ઈસ્લામ ફોબિયા જવાબદાર!


-ક્રાંતિવિચાર

અમેરિકા દુનિયાભરમાં માનવતાવાદ અને સેક્યુલારિઝ્મનો ઝંડો પોતાના હિતોની તરફેણમાં હંમેશા ફરકાવતું રહ્યું છે. અમેરિકાની માનવતા ઈરાક અને અફઘાનિસ્તાનના હજારો નિર્દોષ નાગરીકોએ અનુભવી છે. અમેરિકાની માનવતા વિયેતનામે અનુભવી છે, અમેરિકાની માનવતા જાપાનના હીરોશીમા અને નાગાશાકીએ પણ અનુભવી છે. પોતાને માનવતાવાદી ગણાવતા અમેરિકા પાસે દુનિયાનો અનેકવાર વિનાશ કરવાની શક્તિ ધરાવતા ઘાતક પરમાણુ અને અન્ય શસ્ત્રોનો અખૂટ ભંડાર છે. અમેરિકાનું સેક્યુલારિઝ્મ પણ તેના માનવતાવાદ જેટલું જ પોકળ છે. અમેરિકા 9/11ની દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના બાદ સફાળી જાગી અને ત્યાર બાદની તેના દરેક એક્શનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાનું રિએક્શન જોવા મળ્યું છે. અમેરિકાના માનવા પ્રમાણે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પરનો હુમલો દુનિયાના તે વખતા સૌથી વધારે ખતરનાક અને ઘાતક ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલકાયદાએ તેના સરગના ઓસામા બિન લાદેનના આદેશ પર કર્યો છે. ત્યાર બાદ અમેરિકાએ પોતાના તમામ માનવતા અને સેક્યુલારિઝ્મના તમામ સિદ્ધાંતોને કોરાણે મૂકીને પાગલ હાથીની જેમ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. હજી પણ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના અને નાટોદળો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 2014 સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. પણ હજી સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે અમેરિકા પોતાના વચનનું પાલન કરશે.

સતત ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી આતંકી હુમલાના ભયાનક ઓથાર નીચે જીવતું અમેરિકા કદાચ નીતિઓ ઈસ્લામ અથવા મુસ્લિમો વિરુદ્ધ નહીં બનાવતું હોય, પરંતુ તેની દરેક કાર્યવાહી ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધની છે. અમેરિકાના પ્રવર્તમાન આતંકવાદ વિરોધી કાયદા લઈ લો, ઈમિગ્રેશન પોલીસી લઈ લો અથવા તેના એરપોર્ટ અને અન્ય જાહેર સ્થાનોની સુરક્ષાની વ્યવસ્થાના નીતિ-નિયમો અને કાયદા લઈ લો, તેમાં ક્યાંકને ક્યાંક કોઈને કોઈ રીતે મુસ્લિમો વિરુદ્ધની માનસિકતા પ્રતિબિંબિત થઈ રહી છે. અમેરિકાના નીતિ-નિયમો અથવા કાયદામાં મુસ્લિમ વિરોધી જોગવાઈઓ નહીં હોય, પરંતુ લાગે છે કે તેનો અમલ કરનારા અમેરિકીઓમાં મુસ્લિમ અને ઈસ્લામનો વિરોધ જાણે-અજાણે ઘર કરી ગયો છે.

તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના અતિસમ્માનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામનું બે વખત અપમાનજનક રીતે ચેકિંગ કરવામાં આવ્યું. 29 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પર પહેલા તો રાત્રે બે વાગ્યે ભારતના મિસાઈલમેન કલામની તલાશી લેવામાં આવી અને જ્યારે તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા, તો સુરક્ષાકર્મીઓએ વિમાનના બંધ દરવાજા ઉઘાડાવીને કલામની તલાશી લેવા માટે જીદ્દ કરી. એર ઈન્ડિયાના કર્મચારીઓએ કહ્યું કે કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, ત્યારે સુરક્ષાકર્મીઓ થોડા ઢીલા પડયા. પણ વિસ્ફોટકોની તપાસ કરવાના બહાને કલામના જૂતાં અને જેકેટ લઈને જતાં રહ્યાં.

ભારતના સૌથી સમ્માનીય રાષ્ટ્રપતિઓમાંથી એક અબ્દુલ કલામ દેશમાં સુરક્ષા તપાસમાંથી મુક્તિ મેળવનારા સમ્માનિત વ્યક્તિઓના બ્યૂરો ઓફ સિવિલ એવિએશનના લિસ્ટમાં સ્થાન ધરાવે છે. પરંતુ એપ્રિલ-2009માં દિલ્હી એરપોર્ટ પર કોન્ટિનેન્ટલ એરલાઈન્સના અધિકારીઓએ પણ કલામની તલાશી લીધી હતી. આ ઘટના ભારતમાં બની હોવાથી મોટો હોબાળો મચી ગયો હતો. તેના પરિણામે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સના અધિકારીઓ વિરુદ્ધ આપરાધિક કેસ દાખલ કરવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

ભારતના સૌથી સમ્માનિત વૈજ્ઞાનિકોમાંના એક ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ ભારતના મિસાઈલ પ્રોજેક્ટના પિતામહ છે. દેશની સુરક્ષા જરૂરિયાતોની પૂર્તિ કરીને તેને પગભર બનાવવામાં કલામનું અથાગ યોગદાન રહેલું છે. ગીતાનું અધ્યયન કરનારા કલામ ખરેખર દેશહિતચિંતક રાષ્ટ્રપુરુષ છે. તેઓ પંથ-સંપ્રદાયના તમામ ભેદભાવોથી પર છે. તેમના જીવનકાળમાં ક્યારેય પંથ-મજહબના નામે કોઈપણ પ્રકારની સંકુચિતતાને સ્થાન હોવાનું ક્યારેય સામે આવ્યું નથી. આવા મહાન વ્યક્તિને દેશના રાષ્ટ્રપતિ બનવાનું સમ્માન પણ મળ્યું છે. ભારતમાં રાષ્ટ્રપતિને ટર્મ પૂર્ણ થયા બાદ પણ વિશેષ સમ્માન આપવામાં આવે છે. પરંતુ કલામની સાદગીને કારણે તેમણે પોતાના વિશેષાધિકારની ક્યારેય પરવાહ કરી નથી. તેઓ હાલ ભારતના કોમનમેન બનીને સારા કાર્યો કરી રહ્યાં છે.
અમેરિકાની તાજેતરની અપમાનજનક ઘટના બાદ પણ તેમના નજીકના સૂત્રોનું માનીએ તો કલામ આવી ચીજોને કોઈ મુદ્દો બનાવતા નથી અને વાત વધાર્યા વગર સુરક્ષા એજન્સીઓ સાથે હંમેશા સહયોગ કરે છે. આ કલામની મહાનતા છે. પરંતુ સવાલ કલામ નામના વ્યક્તિનો નથી. સવાલ ભારતના રાષ્ટ્રપતિ પદે રહેલા વ્યક્તિની ગરિમાનો છે. કલામ સાથેના કોઈપણ અપમાનજનક વ્યવહાર સીધી રીતે ભારત સામેના અપમાનજનક વ્યવહાર તરીકે જ જોવો જોઈએ.

શું અમેરિકા અન્ય દેશોના ગણમાન્ય વ્યક્તિઓના આવા ચેકિંગ કરે છે? શું અમેરિકાએ રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અથવા અન્ય દેશોના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ ગણમાન્ય રાષ્ટ્રપતિઓ કે વડાપ્રધાનોનું ચેકિંગ કરે છે? જો તેઓ આમ ન કરતાં હોય તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ચેકિંગ માત્ર તેમના નામને કારણે તો કરવામાં આવ્યું નથી ને? શું મુસ્લિમ હોવાનું દર્શાવતા નામોની સાથે અમેરિકી સુરક્ષા એજન્સીઓને કોઈ પક્ષપાત હોય છે? આ તમામ બાબતોના જવાબ ભારત સરકારે અમેરિકા પાસેથી માંગવા રહ્યાં. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે કલામ સાથેના એરપોર્ટ પર થયેલા અપમાનજનક વ્યવહારનો મામલો ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે, તે પ્રશંસનીય છે.

ભારતે કહ્યું છે કે જો એવી અસ્વીકાર્ય પ્રવૃતિઓ રોકાશે નહીં, તો અમેરિકાથી આવનારા સમ્માનિત અતિથિઓ સાથે પમ આવી જ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ અમેરિકામાં ભારતના રાજદૂત નિરુપમા રાવ સાથે વાતચીત કરતાં તેમને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ મામલાને લેખિતમાં વોશિંગ્ટન ખાતે શીર્ષસ્થ સ્તર પર ઉઠાવે. ભારતની સુરક્ષા તપમાસમાં છૂટ મેળવનારા વ્યક્તિઓની યાદી અમેરિકા માટે બાધ્યકારી નથી, પરંતુ તેમણે પણ સમ્માનિત લોકોના મામલામાં એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે કરીએ છીએ. થોડા વખત પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા, પરંતુ તેમને કોઈપણ પ્રકારની સુરક્ષા તપાસમાંથી પસાર થવાનો વખત આવ્યો ન હતો.

અમેરિકા દ્વારા ભારતના નામી લોકો સાથેનો દુર્વ્યવહાર કંઈ નવી વાત નથી. ભારતના ફિલ્મ એક્ટર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને તેમના નામને કારણે લગભગ 8થી 9 કલાક સુધી એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડયું હતું. આ સિવાય જ્યોર્જ ફર્નાન્ડિઝ એનડીએ સરકારમાં સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે તેમને અમેરિકી પ્રવાસ દરમિયાન કપડાં કઢાવીને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. જેનો તેમણે ભારત પાછા ફરીને ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ભારતના સમ્માનિત વ્યક્તિઓના સમ્માનને જાળવી રાખવા માટે કડક શબ્દોમાં કહેવું જોઈએ. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ફિલ્મ એક્ટર્સ છે, એટલે તેમનું ચેકિંગ કરે તેની સામે તો કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ તેમના નામને કારણે તેમને વધારાની કનડગત કરવામાં આવે તે પણ ખોટું છે.

સેક્યુલારિઝ્મ અને માનવતાનો દંભ કરતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓ મોટાભાગે ઈસ્લામ ફોબિયાથી પીડાતી હોય તેવું લાગી રહ્યું છે. તેમના ઈસ્લામ ફોબિયાના જે પણ કોઈ કારણ હશે, પરંતુ તેમ છતાં પણ તેમણે તેનો ઈલાજ કરવો જોઈએ. તેના માટે તેઓ બહારી ઈલાજ તો કરી રહ્યાં છે, પણ કલામ સાથેના દુર્વ્યવહાર પરથી સ્પષ્ટ બન્યું છે કે તેમના ઈસ્લામ ફોબિયાને દૂર કરવા માટે આંતરીક મનોચિકિત્સકીય ઈલાજની પણ જરૂર છે. ભારતને સેક્યુલારિઝ્મના ઉપેદશ આપવા માટે અને સેક્યુલારિઝ્મ શીખવાડવા માટે અમેરિકા પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ઘણો પ્રયત્ન કરી રહ્યું છે. તેના નાણાંથી ફલતી-ફૂલતી એનજીઓનો ભારતમાં કોઈ તોટો નથી. પરંતુ ભારતમાં હજી સુધી આ પ્રકારની કોઈ દેશના સમ્માનિત વ્યક્તિ સાથે અપમાનિત કરવાની ઈસ્લામ ફોબિયાથી કારણભૂત ઘટના બની નથી.

Friday, November 4, 2011

ભારતની ધાર્મિક જનસાંખ્યાયિકીમાં અસંતુલન જોખમી


-ક્રાંતિ વિચાર

ધર્માંતરણ રાષ્ટ્રાંતરણ હોવાની વાત ભારતના વિભાજન અને ત્યાર બાદના ભારતમાં ચાલી રહેલી ભાગલાવાદી અને આતંકવાદી ઘટનાઓથી સાબિત થઈ ગયું છે. ભારતમાં હિંદુ ધર્માંતરીત થયો અને મુસ્લિમ બન્યો તો પહેલા અફઘાનિસ્તાન અને ત્યાર બાદ પાકિસ્તાન ભારતથી કપાઈને અલગ થયું. આજે ભારતમાં સદીઓથી ચાલેલા બળજબરીપૂર્વકના મુસ્લિમ ધર્માંતરણથી અખંડ ભારતના પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવાં દેશો બન્યા છે. વિભાજન બાદની આઝાદી પછીના ભારતમાં જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ બહુલ ખીણ વિસ્તારમાં મુસ્લિમ ભાગલાવાદ અને આતંકવાદ શરૂ થયો. ત્યાંથી ત્રણ લાખ હિંદુ પંડિતોને વિસ્થાપિત કરવામાં આવ્યા. અત્યારે પણ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ધર્મના નામે ભાગલાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરી રહ્યું છે. આસામ અને પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ દેશ વિરોધી પ્રવૃતિઓ જોરશોરથી ચાલી રહી છે. આઈએસઆઈને ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહીતના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સ્લિપર સેલ મળી રહે છે. જેના કારણે ભારતમાં વિસ્ફોટોનું એક દુષ્ચક્ર ચાલી રહ્યું છે. મુંબઈ હુમલામાં પણ છેલ્લે છેલ્લે સ્થાનિક મદદની વાત બહાર આવી રહી છે.

આ સિવાય પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તી મતનો પ્રભાવ અને તેના મતાવલંબીઓની સંખ્યા વધી તેમ તેમ ત્યાં પણ અલગતાવાદી પ્રવૃતિઓએ માઝા મૂકી છે. ભારત વિરોધી પ્રવૃતિમાં ખ્રિસ્તી મિશનરીઓના દોરીસંચારથી પહેલા મિઝોરમ બાદમાં નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા વગેરે સ્થાનો પર આતંકવાદી પ્રવૃતિઓ થઈ રહી છે. દેશના છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વનવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના સક્રિય થવાને કારણે ખ્રિસ્તી મતાવલંબી વધ્યા છે અને ભારત વિરોધી હિંસક માઓવાદી પ્રવૃતિઓ પણ વધી છે. ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનરીઓના ધર્માંતરણનો વિરોધ કરનારા સ્વામી લક્ષ્મણાનંદને પોતાના જીવનું બલિદાન આપવું પડયું છે. તેમની હત્યામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓ સામેલ છે. છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નક્કર પરિણામ લાવીને ખરા દોષિતોને સજા કરવાનું પગલું ભરી રહી નથી.

ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય છે. અહીં 1951ની સરખામણીએ ખ્રિસ્તીઓની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય ગુજરાતના નર્મદા, સાબરકાંઠા, જેવાં વિસ્તારોમાં પણ ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃતિ ચાલી રહી છે. કચ્છના સરહદી વિસ્તારોમાં મુસ્લિમ મદરેસાઓ અને સંસ્થાઓ દ્વારા ધર્માંતરણને ઉત્તેજન અપાઈ રહ્યું છે. ભારતમાં હિંદુઓ 2011ના સેન્સસ પ્રમાણે 80 ટકાની અંદર રહેશે તેવું અનુમાન કરવામાં આવે છે. હિંદુઓનો વસ્તીવૃદ્ધિનો દર દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓના વસ્તી વૃદ્ધિદરના પ્રમાણમાં ઘણો ઓછો છે. દેશમાં ધર્માંતરણ, બહુપત્નીત્વ, કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં અસહકાર, લવ જેહાદ વગેરેને કારણે મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. દેશમાં ધાર્મિક સમુદાયોની વસ્તીનું સંતુલન ખૂબ મોટા પ્રમાણમાં ખોરવાઈ રહ્યું છે. તાજેતરના વર્ષોની ઘટના-દુર્ઘટનાઓ પરથી સામે આવી રહ્યું છે કે દેશના જે ભાગમાં હિંદુ ઘટયા તે ભાગ ભારતના મૂળથી કપાઈ રહ્યાં છે. દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તીનું પરિદ્રશ્ય નીચે દર્શાવ્યું છે.


ભારતમાં ખ્રિસ્તી મતના લોકોની વસ્તી

ભારતમાં સેન્સસ-2011 પ્રમાણે દેશની વસ્તી 121 કરોડે પહોંચી છે. દેશની કુલ વસ્તીમાંથી ખ્રિસ્તી મતને અનુસરનારા લોકોની સંખ્યા 2001ના સેન્સસ પ્રમાણે, 2.3 ટકા એટલે કે 2 કરોડ 40 લાખ થાય છે. સેન્સસ-2011ના ધર્મ આધારીત જનસંખ્યાના આંકડા હજી સુધી બહાર પડયા નથી. પરંતુ અનુમાન છે કે દેશના સરેરાશ વસ્તીવૃદ્ધિના દર કરતાં ખ્રિસ્તીઓની વસ્તીનો વૃદ્ધિદર વધારે રહેશે. તેવા સંજોગોમાં ખ્રિસ્તી મતના અનુયાયીઓની સંખ્યા ભારતમાં વધી છે. ખ્રિસ્તી મતના અનુયાયીઓમાં ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર છે. ખ્રિસ્તી મતના લોકોની વસ્તી વધવાનું મુખ્ય કારણ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વનવાસી વિસ્તારો અને દલિત વસ્તીઓમાં ચાલી રહેલા ધર્માંતરણના કામ છે. દેશમાં ખ્રિસ્તી મતાવલંબીઓમાંના 67.4 ટકા રોમન કેથોલિક, 18.3 ટકા પ્રોટેસ્ટંટ અને 14.3 ટકા ઈસ્ટર્ન ઓર્થોડોક્સ નામના પેટાપંથના છે.

2001ના સેન્સસના ધર્મ આધારીત મતાવલંબીઓના આંકડા પ્રમાણે, દેશની વસ્તીના 2.3 ટકા ખ્રિસ્તીઓ છે. તેમાં મિઝોરમમાં 90.5 ટકા, નાગાલેન્ડમાં 90.0 ટકા, મેઘાલયમાં 70.3 ટકા, મણિપુરમાં 34 ટકા, ગોવામાં 26 ટકા, અંદમાન-નિકોબારમાં 21.7 ટકા, કેરળમાં 19 ટકા, અરુણાચલ પ્રદેશમાં 18.7 ટકા, પોન્ડિચેરીમાં 7 ટકા, સિક્કિમમાં 6.6 ટકા, તમિલનાડુમાં 6.06 ટકા, ઝારખંડમાં 4.05 ટકા, આસામમાં 3.7 ટકા, ત્રિપુરમાં 3.2 ટકા, ઓરિસ્સામાં 2.4 ટકા, કર્ણાટકમાં 2 ટકા, આંધ્ર પ્રદેશમાં 1.5 ટકા, મહારાષ્ટ્રમાં 1.09 ટકા ખ્રિસ્તી મતાવલંબી લોકો છે. ઉલ્લેખનીય છે કે 1901ના સેન્સસ પ્રમાણે, કે જેને અંગ્રેજોએ કર્યો હતો- તેમાં પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા માંડ 2 ટકા હતી. અત્યારે પૂર્વોત્તર ભારતના આસામ અને ત્રિપુરા સિવાયના રાજ્યોમાં ખ્રિસ્તીકરણ તેના પૂર્ણ લક્ષ્યાંકોને પામી રહ્યું છે.

આસામ સિવાયના બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં 1901માં માંડ 2.22 ટકા ખ્રિસ્તીઓ હતા. હાલ 2001ના સેન્સસના આંકડા પ્રમાણે અહીં કુલ 6 રાજ્યોની વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા 38.96 ટકા થાય છે.

દેશની કુલ ખ્રિસ્તી વસ્તીમાંથી અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 9.0 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 32.80 ટકા છે. અન્ય પછાત વર્ગોમાંથી ખ્રિસ્તી બનેલાઓની સંખ્યા 24.8 ટકા છે તથા અન્ય જાતિઓમાંથી ખ્રિસ્તી હોય તેવા 33.3 ટકા લોકો છે. (સચ્ચર કમિટીના કાસ્ટ ડેમોગ્રાફીક ડેટા પરથી)

આસામ અને ત્રિપુરા સિવાયના બાકીના તમામ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓએ 1901થી શરૂ કરેલું ધર્માંતરણનું કામ તેના પૂર્ણ લક્ષ્યાંક સુધી પહોંચી ગયું છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં તો 1991માં જ ખ્રિસ્તીકરણ સંપૂર્ણ બન્યું હતું. પૂર્વોત્તર ભારતના આ રાજ્યોમાં ઉગ્રવાદ અને આતંકવાદ થકી અલગતાવાદની ઘણી મોટી સમસ્યા છે. ભારતની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ બનેલા અનેક આતંકવાદી સંગઠનોને ખ્રિસ્તી મિશનરી પૂર્વોત્તર ભારતમાં નૈતિક અને અન્ય પ્રકારના ટેકાઓ પૂરા પાડી રહી છે. તેમ છતાં પૂર્વોત્તર ભારતમાં અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ સહીતની અન્ય રાષ્ટ્રવાદી સંસ્થાઓના પ્રયત્નોથી ખ્રિસ્તી ધર્માંતરણ પર કંઈક હદે કાબુ મેળવી લેવાયો છે. પરંતુ હજી તે પુરતું નથી. તેના માટે ભારતના અન્ય ભાગોમાંથી સહયોગ સાથે સરકારનો સહકાર પણ ઘણો જરૂરી છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં રહેલા આતંકવાદી જૂથને હાથો બનાવીને ચીન અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પોતાના હિતો સાધી રહી છે.

1972માં ભારતમાં 26 મિશનરી એજન્સીઓ હતી, 1997માં તેની સંખ્યા 200ની થઈ અને અત્યારે તે હજારનો આંકડો વટાવી ગઈ છે. તેમાં સેવાકાર્યો અને સેક્યુલારિઝમના આંચળા નીચે વટાળ પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરનારી એજન્સીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દરરોજ પાંચ હજાર લોકો ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે. એટલે કે દર 17.28 સેકન્ડે ભારતમાં હિંદુ ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે.

ભારતમાં મુસ્લિમોની વસ્તીના આંકડા

ભારતમાં 2030 સુધીમાં મુસ્લિમોની વસ્તી દેશની કુલ વસ્તીના 16 ટકા થાય તેવી સંભાવના છે. પીસ ફોરમ ઓન રિલિજન એન્ડ પબ્લિક લાઈફ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે 2030માં દેશમાં મુસ્લિમોની વસ્તી 23 કરોડ 61 લાખ 82 હજારને પાર કરી જશે. ધ ફ્યૂચર ઓફ ધ ગ્લોબલ મુસ્લિમ પોપ્યુલેશનમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભારત સહીત વિશ્વમાં મુસ્લિમોની વસ્તીમાં બેગણો વધારો થશે. 2010માં ભારતમાં મુસ્લિમોની વસ્તી 17 કરોડ 72 લાખ 86 હજાર હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે દેશની કુલ વસ્તીના 14.6 ટકા છે. માનવામાં આવે છે કે 2030માં દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે.

મુસ્લિમોની વસ્તીવૃદ્ધિનો દર દેશના વસ્તી વૃદ્ધિદરની સરખામણીએ 10 ટકા વધારે છે. 1991-2001ના દશકમાં હિંદુઓનો વસ્તી વૃદ્ધિદર 20.3 ટકા હતો, જ્યારે મુસ્લિમોની વસ્તીવૃદ્ધિ 36 ટકાના દરથી થઈ હતી. (સરકારે આંકડાની માયાજાળ કરીને મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર સુધારીને નીચો કર્યો હતો.)

દેશના સૌથી વધારે મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં રહે છે. જમ્મુ-કાશ્મીર દેશનું મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે. જ્યાં કાશ્મીર ખીણ પ્રદેશ 95 ટકા મુસ્લિમ વસ્તી ધરાવે છે. અહીંથી ત્રણ લાખ જેટલાં કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતના જમ્મુ અને દિલ્હી જેવાં અન્ય શહેરોમાં શરણાર્થી તરીકે જીવન ગુજારે છે.

ભારતમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિનો દર દિલ્હીમાં સૌથી ઉંચો 51.45 ટકા છે. દિલ્હીમાં 9.44 ટકા મુસ્લિમો છે. ત્યાર બાદ આસામમાં 41.62 ટકાનો મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર છે. આસામમાં 28.43 ટકા મુસ્લિમો છે. રાજસ્થાનમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિનો દર 41.46 ટકા છે. રાજસ્થાનમાં 8.01 ટકા મુસ્લિમો છે. ઉત્તર પ્રદેશમાં 36. 54 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 17.33 ટકા છે. પશ્ચિમ બંગમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 23.61 ટકા છે. બિહારમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 14.81 ટકા છે. મહારાષ્ટ્રમાં 31.40 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 9.67 ટકા છે. કેરળમાં મુસ્લિમોની વસ્તી વૃદ્ધિનો દર 25.49 ટકા છે અને તેઓ અહીં 23.33 ટકા છે. આંધ્ર પ્રદેશમાં 30.66 ટકાના વૃ્દ્ધિ દરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.91 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર 25.71 ટકા છે અને ત્યાં મુસ્લિમો કુલ વસ્તીના 11.64 ટકા છે. જમ્મુ-કાશ્મીરમાં 30 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 64.18 ટકા થાય છે. ગુજરાતમાં 24.05 ટકના વૃદ્ધિદરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.73 ટકા થાય છે. મધ્ય પ્રદેશમાં 31.21 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમોની ટકાવારી 4.96 ટકા છે. તમિલનાડુમાં 21.14 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 5.47 ટકા છે. લક્ષદ્વીપમાં મુસ્લિમો 90 ટકા છે.

મુસ્લિમોમાં 39.2 ટકા ઓબીસીમાંથી ધર્માંતરીત થયેલા લોકો છે. 0.80 ટકા મુસ્લિમો અનુસૂચિત જાતિમાંથી અને 0.50 ટકા મુસ્લિમો અનુસૂચિત જનજાતિમાંથી ધર્માંતરીત થયેલા છે. 59.5 ટકા મુસ્લિમો કેટલીક સદીઓ પહેલા અન્ય જાતિઓમાંથી ધર્માંતરીત થયેલા છે.

દેશમાં ધાર્મિક જનસાંખ્યાયકીના આટલા ભયજનક આંકડા પાછળ મુસ્લિમ અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આઝાદી પહેલા અને પછી ચલાવવામાં આવેલું ધર્માંતરણનું કારણ સૌથી મોટું છે. ધર્માંતરણે ભારતના રાષ્ટ્રીય ચરિત્ર પર આઘાત કર્યો છે. 1947માં ભાગલાના જનોઈવઢ ઘા પછી ભારતમાં ફરીથી તેવી પરિસ્થિતિ પેદા ન થાય તેના માટે ભારતના લોકોએ વિચારવાનો સમય પાકી ગયો છે. ભારતમાં આતંકવાદીઓ સાથેના મુસ્લિમ સમાજના પાંચમી કતારિયાના સંબંધો અને ખ્રિસ્તી મિશનરીઓના માઓવાદીઓ તથા પૂર્વોત્તરના ઉગ્રવાદીઓ સાથેના સંબંધો ઉજાગર કરીને તેને તાત્કાલિક નશ્યત કરવાની દિશામાં પગલા લેવા જોઈએ. ભારતે ફરીથી વિભાજનના ઈતિહાસનું પુનરાવર્તન ટાળવું હશે તો ભારતની ધરતી પર પેદા થઈને વિકસેલા તમામ ધર્મોના લોકોમાં ધર્માંતરણ રોકવું પડશે. આ સિવાય જે લોકો ધર્માંતરીત થઈને મુસ્લિમ અથવા ખ્રિસ્તી બન્યા છે, તેમને ભારતીય જીવનધારા સાથે જોડવા માટે પ્રયત્નો કરવા પડશે.

Thursday, November 3, 2011

ચીન-પાક સૈન્ય કવાયતો “યૂયી”ના ખતરનાક ઈરાદા


-આનંદ શુક્લ

ચીન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક દશકામાં સંયુક્ત સૈન્ય પ્રવૃતિઓમાં ઉત્તરોત્તર વ્યૂહાત્મક રણનીતિ નીચે વધારો થઈ રહ્યો છે. તેના કારણે ભારત સરકારે પણ ચીન અને પાકિસ્તાનને જવાબ આપવા માટે પોતાની વ્યૂહરચના વધુ સુદ્રઢ બનાવી છે. ભારતે ચીન સરહદે પાંચ વર્ષમાં એક લાખથી વધારે સૈનિકો તહેનાત કરવાની યોજના જાહેર કરીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને ચીનના સૈન્ય ગઠબંધનથી ભારત માટે ચિંતાના ઘણાં કારણો ઉભા થયા છે. ચીન પાકિસ્તાન સાથે સૈન્ય ગતિવિધિઓ વધારીને ભારત પર સામરીક દબાણ ઉભું કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાનને પણ ભારત વિરુદ્ધ હવા ભરીને તૈયાર કરી રહ્યું છે.

ચીની ભાષામાં ‘યૂયી’નો અર્થ મિત્ર થાય છે. પાકિસ્તાન આગામી સપ્તાહે યૂયી-4ની તૈયારીમાં લાગેલું છે. યૂયી-4 ચીન અને પાકિસ્તાન વચ્ચે ચોથી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. બે સપ્તાહ સુધી ચાલનારો આ સંયુક્ત અભ્યાસ ક્યાં થવાનો છે, તેના સંદર્ભે પાકિસ્તાને હજી સુધી કોઈ જ માહિતી જાહેર કરી નથી. આ પહેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતને સામરીક સંદેશ આપતાં ત્રણ સંયુક્ત સૈન્ય અભ્યાસો થઈ ચુક્યા છે. આમાની એક સંયુક્ત સૈન્ય કવાયત પાકિસ્તાનમાં અને બાકીની બે ચીનમાં થઈ છે.

2004માં પહેલીવાર ચીને શિન્ચિયાંગ પ્રાંતના ટેક્સકોરગનમાં પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ કર્યો હતો. તેને યૂયી-1 તરીકે ઓળખવામાં આવ્યો હતો. 2006માં યૂયી-2 પાકિસ્તાનાના એબટાબાદની પહાડીઓમાં કરવામાં આવ્યો હતો. આ એ જ એબટાબાદ છે કે જ્યાં અલકાયદાનો સરગના ઓસામા બિન લાદેન છુપાયો હતો. ચીની મિલિટ્રી એજન્સીને ઓસામા બિન લાદેન એબટાબાદમાં છૂપાયો હોવાની જાણ ન હોય, તો તે ચીની સેનાની જાસૂસી વિફળતા ગણવી જોઈએ.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 101મી એન્જિનિયરિંગ રેજીમેન્ટ આ વર્ષ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં રાજસ્થાન અને પંજાબની સીમાઓ પર પાકિસ્તાની સેના સાથે સંયુક્ત કવાયત કરી ચુકી છે. આ લશ્કરી કવાયતને યૂયી-3 નામ આપવામાં આવ્યું હતું. આ સૈન્ય કવાયત ભારતીય સરહદના ઘણાં વિસ્તારોમાં થઈ. તે દરમિયાન પાકિસ્તાનના રહીમીયાર ખાન પાસે સુરયાન અને ચોર માનના જે વિસ્તારોમાં ચીનની સેનાની આખી બ્રિગેડ હતી, તે ભારતના જેસલમેર જિલ્લાના તાનોટ-કિશનગઢથી ઘણી નજીકમાં હતી.

રાજસ્થાન અને પંજાબની સરહદો પર કોઈ એક માસ સુધી ચીન અને પાકિસ્તાની સેનાની સંયુક્ત કવાયત થતી રહી અને ભારત ચુપચાપ જોતું રહ્યું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ વાત સામાન્ય જનતાની જાણકારીની પહોંચની બહાર રાખી. પરંતુ એપ્રિલ-2011માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાર હજાર ચીની સૈનિકોની હાજરી હોવાની વાત ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કે.ટી.પરનાયકે કરી અને તેની સાથે જ ચીનની પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિયતા એક ઘણો મોટો મુદ્દો બની ગયો. ભારતીય સેનાના વડા જનરલ વી. કે. સિંહે પણ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સૈનિકોની ઉપસ્થિતિની વાતને સ્વીકારી છે.

વળી ચીન પાકિસ્તાનના તાલિબાની વિસ્તારમાં પોતાનું લશ્કરી થાણું સ્થાપવા માગે છે. તેની પાછળ તેનો હેતુ તેના શિન્ચિયાંગ પ્રાંતમાં ઉઈગુર આતંકવાદીઓને કાબુમાં રાખવાનો છે. ચીને આ પહેલા પાકિસ્તાનને શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને પાકિસ્તાનના વજીરીસ્તાન જેવાં વિસ્તારોમાં તાલીમ મળતી હોવાની વાત કરીને ઝાટકણી પણ કાઢી હતી. આ સિવાય પાકિસ્તાને બલુચિસ્તાન ખાતેના ગ્વાદર પોર્ટ નજીક ચીની નૌસેનાનું થાણું બની રહ્યું છે. ચીન એક વર્ષથી તેની પાછળ લાગેલું હતું. હવે આ પ્રોજેક્ટને પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. આ માત્ર કહેવાની વાત છે કે ચીન ગ્વાદર ખાતેના નૌસૈનિક થાણાંથી શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને કાબૂમાં રાખવાની તજવીજ હાથ ધરશે. હકીકતમાં ગ્વાદર ખાતેના ચીની નૌસેનાના થાણું ભારત સરકાર માટે અલ્ટીમેટમ છે કે તેઓ પોતાની નૌસેનાને ઝડપતી મજબૂત કરે અને અરબી સમુદ્રમાં પોતાના વર્ચસ્વ માટે વધુ સક્રિય બનાવે.

ચીન દ્વારા ગ્વાદર નજીક નૌસૈન્ય થાણાંની સ્થાપના માટે સરસ વાર્તા બનાવવામાં આવી છે. ચીનના શિન્ચિયાંગ પ્રાંતમાં સક્રિય ઉઈગુર મુસ્લિમ વિદ્રોહીઓ અને અલકાયદા સાથે જોડાયેલા તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટના સભ્યોની ટ્રેનિંગ બલુચીસ્તાનમાં થાય છે. તેમને ઈરાદો શિન્ચિયાંગને એક અલગ ઈસ્લામિક દેશ ઘોષિત કરવાનો છે. પરંતુ ચીન દ્વારા બનાવાયેલી વાર્તાથી સત્ય ઘણું અલગ છે. ચીન જે પ્રકારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ નજીક નૌસૈન્ય થાણું બનાવી રહ્યું છે, તેનાથી તેની મધ્ય-પૂર્વ, અફઘાનિસ્તાન અને ઈરાનાં પહોંચ અમેરિકાથી પણ વધારે સુચારું બની જશે.

તાજેતરમાં વિયેતનામના પોર્ટ પરથી પાછા આવી રહેલા ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ ઔરાવતને દક્ષિણી ચીન સાગરમાં ચીનના જહાજે પોતાનો જળવિસ્તાર ખાલી કરવા માટે તાકીદ કરી હતી. દક્ષિણ ચીન સાગર વિસ્તાર પર ચીન દાવો કરી રહ્યું છે. પરંતુ તેના પર વિયેતનામ, ફિલિપિન્સ અને અન્ય દેશો પણ દાવો કરી રહ્યાં છે. આ સિવાય દક્ષિણ ચીન સાગરના વિયેતનામના દાવાવાળા બ્લોકમાં ભારતની તેલ કંપની દ્વારા તેલ દોહન કરવાના પ્રોજેક્ટનો પણ ચીને વિરોધ કર્યો હતો. તેણે આ પ્રોજેક્ટને ચીનની સાર્વભૌમતા પર અતિક્રમણ સુદ્ધાં ગણાવ્યો હતો. પરંતુ તેની સામે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિવાદીત ક્ષેત્ર હોવા છતાં ભારતની પરવાહ કર્યા વગર કારાકોરમ હાઈવે બનાવીને નવા સિલ્ક રુટને તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે જોડાયેલા નવો સિલ્ક રુટ મધ્ય એશિયા અને તુર્કી થઈને યુરોપ સાથે સાંકળવાની ચીનની મહત્વકાંક્ષા છે. આ સિવાય ચીન પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરને જોડવા માટે યૂરો-એશિયા લેન્ડ બ્રિઝ બનાવવાની યોજના પણ બનાવી રહ્યું છે. ચીનની આ મનસા ઈસ્તંબુલમાં ચાલી રહેલા અફઘાન સંમેલનમાં સ્પષ્ટ થઈ છે. નવા સિલ્ક રુટ અને યૂરો-એશિયા બ્રિઝની વાતને આગળ વધારવા માટે શિન્ચિયાંગ પ્રાંતના ગવર્નર નૂર બકરી નવી દિલ્હી આવી રહ્યાં છે. ચીન અફઘાનિસ્તાનમાં ઊર્જા અને ખનીજ દોહનની ગણતરીઓ રાખી રહ્યું છે. પરંતુ તેના માટે ચીને પોતાના મુસ્લિમ બહુલ શિન્ચિયાંગ પ્રાંતનો વિકાસ કરવો પડે તેમ છે. બકરી ભારત મુલાકાત દરમિયાન કઈ બ્લૂ પ્રિન્ટની વાત કરે છે, તેના પરથી ભારત-ચીનની ભૂમિકા વધારે સ્પષ્ટ બનશે.

પાછલી વખતે પાકિસ્તાનના કારણે તુર્કીમાં થયેલા અફઘાન સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ વખતે ભારત અફઘાન સંમેલનમાં ગયું. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત વગર અફઘાનિસ્તાનનું ભલું થશે નહીં તેવી અફઘાનિસ્તાન સહીત ઘણાં દેશોની માન્યતા છે. ખનીજ સંપત્તિથી ભરપૂર અફઘાનિસ્તાનના હાજીગાકથી ઈરાનના છબહાર સુધી ભારત રેલવે લિંક બિછાવવા માંગે છે. જો કે પાકિસ્તાન અહીં પણ અડંગાબાજીની પોતાની આદત ચાલુ રાખી રહ્યું છે. ભારત દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીની ઘટના બાદ અફઘાનિસ્તાન વિસ્તારમાં વધારે આક્રમક છે. ઈસ્તંબુલ સંમેલનમાં અફઘાનિસ્તાનના હાજીગાક અને ઈરાન સીમા સુધી ભારતીય રેલવે લિંકનો પ્રસ્તાવ મૂકીને ભારતે પોતાના ઈરાદા વધારે સ્પષ્ટ કર્યા છે. અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચેની ભારતની પ્રસ્તાવિત રેલવે લિંક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 72 કિલોમીટર પશ્ચિમમાં છે. પાકિસ્તાનને આશંકા છે કે આ રેલવે લિંક બન્યા પછી ભારત તેના પર સામરીક દબાણ વધારી દેશે. સાથે ભારત ગ્વાદર નજીકના ચીની નૌસૈન્ય થાણાં પર પણ નજર રાખી શકશે.

પાકિસ્તાન અમેરિકાના પડખાને લાત મારીને ચીનની સોડમાં જઈ રહ્યું છે. પાકિસ્તાની સેના સાથે ચીની સૈન્ય કવાયત યૂયી એટલે કે મિત્રથી એક વાત સ્પષ્ટ બની છે કે ચીન પાકિસ્તાની સેનાને પોતાનું ગાઢ મિત્ર માની રહ્યું છે. તથા બંને સંયુક્ત લશ્કરી કવાયતો કરીને બંનેના સામાન્ય શત્રુ ભારતને આંખો દેખાડી રહ્યાં છે. તેના જવાબમાં ભારત સેનાના આધુનિકીકરણ પાછળ પાંચ વર્ષમાં 64 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું છે. ભારત સૈન્ય શક્તિમાં વધારો કરીને તેના આધુનિકીકરણને પ્રાથમિકતા આપવા માટે પાંચ વર્ષનો સમયગાળો ફાળવી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે આગામી પાંચ વર્ષમાં દક્ષિણ એશિયામાં ચીન-પાકિસ્તાન જુગલબંધી બનાવીને ભારતને દબડાવાની કોશિશ કરશે. પરંતુ તેની સામે ભારત પણ છાતી કાઢીને ચાલી શકે તેવી રણનીતિ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. ભારતે પણ આગામી સમયમાં અમેરિકા, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવાં દેશો સાથે સૈન્ય સંબંધો વધારે ગાઢ કરીને સંયુક્ત લશ્કરી કવાયતો કરવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની વિકાસના કામોની સક્રિયતા સાથે લશ્કરી રાહે સક્રિય થવા માટેની પણ તૈયારીઓ રાખવી પડશે. ભારતે આગામી સમયમાં દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે પાકિસ્તાનને કાબૂમાં રાખવું પડશે અને તેના માટે તેના ખરેખરા આકા ચીનને ધ્યાનમાં રાખીને લશ્કરી તૈયારીઓ કરવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક સંરક્ષણ નિષ્ણાતોએ ચીન અને પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત વખતે ભારત પર મુંબઈ સ્ટાઈલના આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ત્યાર બાદ ભારતની પાકિસ્તાન સામેની સંભવિત સૈન્ય કાર્યવાહી સામે પાકિસ્તાન અને ચીન બંને મોરચો ખોલશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે ભારતે હવે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિન હેઠળ પાકિસ્તાન અને ચીન બંનેને જવાબ આપવો પડશે.