Tuesday, January 22, 2013

હિંદુ આતંકવાદનો મુદ્દો કોંગ્રેસ માટે આત્મઘાતી


-          -  આનંદ શુક્લ
રાજહિતથી રાષ્ટ્રહિત સર્વોપરી હોય છે. દરેક દેશની રાજનીતિ રાષ્ટ્રહિતને આગળ કરીને ચલવાની હોય છે. પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો અહીંથી છેલ્લા 25 વર્ષથી ભારત સહીત દુનિયાભરમાં ઈસ્લામિક આતંકવાદની નિકાસ થતી રહી છે. પરંતુ પાકિસ્તાને ક્યારેય સ્વીકાર્યું નથી કે દુનિયાભરમાં તેમને ત્યાંથી આતંકવાદની નિકાસ થઈ રહી છે. ભારત છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરતું આવ્યું છે. પરંતુ ભારતના ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેને એક નિવેદને પાકિસ્તાનના આતંકવાદી તત્વોનો જુસ્સો વધારી દીધો છે. સુશિલકુમાર શિંદેએ કહ્યુ છે કે ભાજપ અને આરએસએસની શિબિરોમાં હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતનું સૌથી મોટું સામાજિક-સાંસ્કૃતિક સંગઠન છે અને ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. જ્યારે ભારતનો ગૃહમંત્રી આવા બંને સંગઠનો પર હિંદુ આતંકવાદ ભડકાવાનો આરોપ લગાવતો હોય, ત્યારે પાકિસ્તાનના ભારત પર આકરા હુમલા સ્વાભાવિક છે. લશ્કરે તોઈબાના સંસ્થાપક અને જમાત-ઉદ-દાવા નામના કટ્ટરપંથી સંગઠનના વડા હાફિઝ સઈદે શિંદેના નિવેદનનો લાભ લઈ ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરી છે. તેણે કહ્યુ છે કે ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો છે. શિંદેના એક નિવેદનથી પાકિસ્તાન સામેની ભારતની વ્યૂહરચના નેસ્તોનાબૂદ થઈ ગઈ.
ભારતને આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી કરનારો હાફિઝ સઈદ ખુદ એક આતંકવાદી છે. લશ્કરે તોઈબા જેવા ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ સંગઠનનો તે સર્વેસર્વા રહ્યો છે. હાફિઝ સઈદ પર મુંબઈ પરના 26/11ના હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. આ આતંકવાદી હાફિઝ સઈદ ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો હોવાની વાત કરે છે. પરંતુ તેણે ભુલવું ન જોઈએ કે અખંડ ભારતના ધર્મના નામે ભાગલા કરાવનારા મુસ્લિમ લીગી માનસિકતાવાળા મુસ્લિમોના મગજની પાકિસ્તાન પેદાશ છે. ભારત આઝાદીના 65 વર્ષ બાદ પણ બંધારણીય રીતે સેક્યુલર છે. દુનિયાના ઘણાં સમાજશાસ્ત્રીઓ અને રાજકીય વિશ્લેષકોના મતે, ભારત સેક્યુલર હોવા પાછળ આ દેશના 84 ટકા હિંદુઓ કારણભૂત છે. આ દેશ બંધારણથી નહીં, આ દેશના હિંદુઓને કારણે સેક્યુલર રહી શક્યો છે. પોતાનું, પોતાના સમાજનું કે પોતાના દેશનું નહીં વિશ્વના તમામ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હિંદુઓને ગળથૂથીમાં પાવામાં આવે છે. આવો હિંદુ અકારણ લોહી વહાવાની થિયરીમાં માની શકે નહીં. હિંદુ વિચારને મન અને આત્માથી માનનારા વ્યક્તિ શાંતિ માટે ક્રાંતિ કરી શકે, પણ આતંક ફેલાવી શકે નહીં. હિંદુઓની માનસિકતા આતંકવાદી હોત, તો 1947 સુધી દેશમાં ધર્મના નામે થયેલી કત્લેઆમનો જવાબ તેના ફેલાવનારાઓને ધર્મના નામે જ મળ્યો હોત. 1946ના ડાયરેક્ટ એક્શનના મુસ્લિમ લીગી આતંકી ફરમાનનો જવાબ હિંદુઓએ હિંસક રસ્તે આપ્યો હોત. હિંદુઓ ખુલ્લુ યુદ્ધ કરી શકે, કાયરની જેમ આતંક ફેલાવી શકે નહીં તે તો ઐતિહાસિક તથ્ય છે.
શિંદેનું નિવેદન દેશના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન પર હિંદુ આતંકવાદને પ્રોત્સાહાન આપવાનો આરોપ કરે છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 55 હજારથી વધારે શાખાઓ આખા દેશમાં સવારે અને સાંજે, દરરોજ અને સાપ્તાહિક સમયે નિશ્ચિત જગ્યાએ મળે છે. સંઘની શાખાની પ્રવૃતિ ભારતમાં ખુલ્લા મેદાનમાં થાય છે. સંઘની શિબિરો પણ ભારતમાં ઘોષિત કાર્યક્રમો પ્રમાણે ખુલ્લા મેદાનમાં થાય છે. આ દેશમાં સંઘ સાથે જોડાયેલા હોય તેવા અટલ બિહારી વાજપેયી અપાર લોકપ્રિયતાથી 6 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હતા. શું તેમણે દેશમાં આતંકવાદ ફેલાવ્યો? શું તેમણે પાકિસ્તાન સાથે અકારણ યુદ્ધની કોઈ ચેષ્ટા કરી? સંઘની તમામ પ્રવૃતિઓ ખુલ્લેઆમ અને ઘોષિત થાય છે. જો તેમા કોઈ ગુનાખોરી હોય અને તેના ગૃહમંત્રી પાસે પુરાવા હોય તો તેમણે તાત્કાલિક પગલા લેવા જોઈએ. પરંતુ સંઘની પ્રવૃતિની વાત કરીએ તો 1947માં ભાગલા વખતે સ્વયંસેવકોએ સરહદે વિસ્થાપિતોને મદદ કરી હતી. 1962ના ચીન યુદ્ધ વખતે જાન જોખમમાં નાખીને સંઘના સ્વયંસેવકોએ ભારતીય સેનાને મદદ કરી હતી. જેના પરિણામે 1963ની 26મી જાન્યુઆરીએ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કર્યા હતા. દેશમાં ભૂકંપ, પુર કે અન્ય કુદરતી આફતો આવે, ત્યારે સંઘના સ્વયંસેવકો દેશવાસીઓની મદદ કરવા માટે દોડી જતા હોય છે. શું આ સંઘનો હિંદુ આતંકવાદ છે?
કોંગ્રેસી ગૃહમંત્રી શિંદે ભાજપને આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ ગણી રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. ભાજપ સાથે રાજકીય મતભેદો કોંગ્રેસી મંત્રી તરીકે હોય તે સ્વાભાવિક છે. ભાજપની વિચારધારા સાથે શિંદે સહમત ન થાય તે પણ યોગ્ય છે. પરંતુ ભાજપને હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપતો પક્ષ ગણવો તેમની મોટી ભૂલ છે. ભારતની લોકશાહીના સ્વાસ્થ્ય માટે આ સારી વાત નથી. શું ગૃહમંત્રી શિંદે ડાબેરી વિચારધારા હેઠળ ચાલી રહેલા નક્સલવાદને ડાબેરી પક્ષોનો લાલ આતંક કહેશે? દેશના 200થી વધારે જિલ્લામાં ચાલી રહેલા વિકૃત અને હિંસક નક્સલી આતંકવાદને રોકવાની ગૃહમંત્રીની ફરજ છે. પરંતુ તેઓ જેનું અસ્તિત્વ નથી, તેવા કાલ્પનિક હિંદુ આતંકવાદને નાથવામાં પડયા છે. 1984થી પંજાબમાં આતંકવાદ શરૂ થયો. શિંદેએ જવાબ આપવો જોઈએ કે આ આતંકવાદ કેમ ચાલુ થયો અને તેનો રંગ શું ભગવો હતો? કાશ્મીર ખીણ 1990થી હિંદુવિહીન બની છે. શું કાશ્મીર ખીણમાં ચાલી રહેલો આતંકવાદ હિંદુ આતંકવાદ છે?
જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ દેશમાં ચાલી રહેલા જેહાદી આતંકવાદને કોઈ ધર્મ સાથે નહીં જોડવાનો તર્ક આપે છે. તે જ તુષ્ટિકરણની નીતિ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા હિંદુ આતંકવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો તર્ક આપી રહી છે. કોંગ્રેસના મુસ્લિમ વોટબેંકના રાજકારણે રાષ્ટ્રહિતની રાજહિતને કારણે બલિ લીધી છે. સમજૌતા એક્સપ્રેસ કાંડ, અજમેર બ્લાસ્ટ, મોડાસા-માલેગાંવના વિસ્ફોટો અને હૈદરાબાદ મક્કા મસ્જિદ બોમ્બ કાંડના કેસોમાં કેટલાંક હિંદુઓને એનઆઈએએ જુદાજુદા આરોપો હેઠળ ઝડપ્યા છે. જો કે તેમની સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હજી સુધી તેના પર કોઈ ચુકાદો આવ્યો નથી. ત્યારે આ બધાં હિંદુ આતંકવાદના કિસ્સા હોવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. બની શકે તેમની પૃષ્ઠભૂમિ આરએસએસ સાથે જોડાયેલી હોય. પરંતુ તેઓનો તર્ક શું છે, તેઓ ખરેખર આવા કિસ્સાઓમાં સંડોવાયેલા છે, સંડોવાયેલા છે તો કેટલી હદે સંડોવાયેલા છે. તેના સંપૂર્ણ જવાબો લોકો સામે લાવવા જોઈએ. 90ના દાયકામાં શરૂ થયેલા પાકિસ્તાન પરસ્તોના મુસ્લિમ લીગી માનસિકતાવાળા આતંકવાદ સામે તત્કાલિન શાસકોની કૂણી નજર અને ઢીલી નીતિએ જનતામાં એક આક્રોશ પેદા કર્યો હતો. ત્યારે એ તપાસનો વિષય બને છે કે આવા આક્રોશથી કોઈ દોરવાયા તો નથી ને? તેવા સંજોગોમાં આ હિંદુ આતંકવાદની ઘટનાઓ પણ નથી. ભારત સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓ જ તેના માટે જવાબદાર છે. જો કે આવી હિંસાનું ક્યારેય કોઈ સમર્થન ન હોઈ શકે. પરંતુ આવી હિંસાને સરકારે કારણ આપ્યું તેમ તો ચોક્કસ કહી શકાય.
આતંકવાદ પર આ દેશમાં બહુકોણીય રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેહાદી આતંકવાદ પ્રત્યે કૂણી નીતિના પગલે કોંગ્રેસ શાસિત સરકારો ભીંસમાં આવતી હતી. હવે કોંગ્રેસે ભાજપ અને સંઘને ભીંસમાં લેવા માટે તેમની સામે હિંદુ આતંકવાદના મુદ્દાને ઉછાળ્યો છે. પરંતુ આમ કરે તેઓ દેશનું તો નુકસાન કરી રહ્યા છે, પરંતુ તેઓ ખુદ પોતાનું નુકસાન પણ કરી રહ્યા છે. 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે દિગ્વિજય સિંહે હિંદુ આતંકવાદને મુદ્દે બેફામ નિવેદનો કર્યા અને જનતાએ કોંગ્રેસને નકારી હતી. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હિંદુ આતંકવાદના મુદ્દાને આગળ કરવાની નીતિ કદાચ તેમને મુસ્લિમોના વોટ અપાવે, પરંતુ હિંદુઓના વોટોથી દૂર કરે તો નવાઈ પામવા જેવી નથી. આવા સંજોગોમાં કોંગ્રેસનું સત્તા પર ફરીથી કાબિજ થવું લગભગ અશક્ય બની જશે.
જ્યાં સુધી ભગવા આતંકવાદનો સવાલ છે. ભગવો આ દેશની આધ્યાત્મિકતાનો રંગ છે. આધ્યાત્મિકતા ઉગ્ર હોઈ શકે, આતંકી નહીં. આ દેશના રાષ્ટ્રધ્વજમાં પણ સૌથી પહેલો રંગ ભગવો કે કેસરી છે. આ દેશના ત્યાગી અને સમર્પિત લોકોનું તે પ્રતીક છે. ત્યારે આતંકવાદને ભગવા રંગ સાથે જોડવો આ દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન છે. કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરના મત પ્રમાણે, પાકિસ્તાન નહીં, હિંદુત્વ તેમનું દુશ્મન છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકી સંગઠન માને છે, પરંતુ પ્રતિબંધિત સીમીને આતંકી ગણવા માટે તેઓ પુરાવા માંગી રહ્યા છે. કોંગ્રેસના આવા ચરિત્રવાળા નેતાઓ તેને પ્રજાથી વિમુખ બનાવે તો આગામી સમયમાં કોઈને આશ્ચર્ય થશે નહીં.  

Friday, January 18, 2013

પાકિસ્તાન એટલે કૂતરાંની વાંકી પુંછડી


- આંનદ શુક્લ
આખરે ભારતીય નેતાઓની પાકિસ્તાન સાથે શું મજબૂરી છે? પાકિસ્તાન વારંવાર ગુસ્તાખી પર ગુસ્તાખી કરતું જાય છે અને ભારતની વિદેશ નીતિ વાતચીત કરીશું અને નહીં કરીએ, તેવા લોલક વચ્ચે ઝુલી રહી છે. 1947માં આઝાદી વખતથી ભારત માટે નાસૂર બનેલું પાકિસ્તાન 2012 સુધીમાં એટલી હદે વકરી ચુક્યું છે કે તેનું ઓપરેશન કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોટી મુશ્કેલી સર્જાશે.

2013ની શરૂઆતમાં 8મી જાન્યુઆરીએ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરના મેંઢર પાસેની અંકુશ રેખા પર જઘન્ય કસાઈ કાંડ કર્યો. જલ્લાદોની સંસ્કૃતિમાંથી પેદા થયેલા પાકિસ્તાની સૈનિકોએ ભારતના બે સૈનિકોની બર્બરતાથી હત્યા કરી. આ બંને ભારતીય સૈનિકોના મૃતદેહને અપમાનિત કર્યા અને તેની સાથે છેડછાડ કરી. જેમાંથી શહીદ લાન્સનાયક હેમરાજનું સિર કલમ કરીને તેઓ પોતાની સાથે લઈ ગયા. જ્યારે શહીદ લાન્સનાયક સુધાકરસિંહના મૃતદેહને પણ વિક્ષિપ્ત કરવામાં આવ્યો. અંકુશ રેખા પર બનેલી બર્બર ઘટના બાદ ભારતમાં જનાક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. પરંતુ ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શિદ હજી કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથેની શાંતિપ્રક્રિયાને બાધિત થવા દેવાશે નહીં. આનાથી મોટું આશ્ચર્ય ભારતીય વિદેશ નીતિ માટે અન્ય બીજું કોઈ હોઈ શકે નહીં.

વિદેશ નીતિની વાત કરીએ તો તેનો જે-તે દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પોતાના પાડોશી દેશો સાથેના સંબંધો સાથે સંબંધ છે. અમેરિકાની વિદેશ નીતિ છે કે તમે અમારી પર હુમલો કરશો, તો અમે તમારી પર હુમલો કરીશું. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તામાં અમેરિકા પરના સૌથી મોટા આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી ઓસામા બિન લાદેનના છુપાયા હોવાની આશંકા હતી. વળી છેલ્લે અમેરિકાએ એક ગુપ્ત ઓપરેશનમાં પાકિસ્તાના એબટાબાદ ખાતે છુપાયેલા શેતાનોના સરદાર ઓસામા બિન લાદેનને ખતમ પણ કરી નાખ્યો.

ઈસ્લામિક દેશો વચ્ચે ઘેરાયેલા અને પોતાની રચનાથી અત્યાર સુધી સતત અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા ઈઝરાયેલની વિદેશ નીતિ ઘણી આક્રમક છે. ઈઝરાયેલ કહે છે કે તમે અમારા પર હુમલો કરશો, તો અમે તમને તબાહ કરી દઈશું. ઈઝરાયેલથી ઈસ્લામિક દુનિયાના સરગના સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન સહીતના તમામ દેશો ડરે છે. 1968માં ઈઝરાયેલ પર તેની આસપાસના આરબ દેશો અને ઈજીપ્તે સામુહિક હુમલા કર્યા હતા. પરંતુ ઈઝરાયેલે આ તમામ દેશોને યુદ્ધમાં બોધપાઠ ભણાવ્યો છે. ઈઝરાયેલને ખતમ કરવા માટે ઈરાન અણુ બોમ્બ બનાવી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. પરંતુ ઈઝરાયેલ પોતાની પાસેની શક્તિમાં વિશ્વાસ રાખીને પોતાની વિદેશ નીતિના અસ્તિત્વ પર આધારીત સિદ્ધાંતો પર અડગ છે.

ઈસ્લામિક વિશ્વની આતંકી શક્તિઓથી જેને સૌથી વધારે ખતરો છે, તે ભારતની વિદેશ નીતિ છેલ્લા બે દાયકાથી અસ્તવ્યવસ્ત છે. આતંકની ફેક્ટ્રી પાકિસ્તાન ભારતના પાડોશમાં છે. પાકિસ્તાનમાંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થાય છે. તેની સૌથી વધારે અસર ભારતને થઈ રહી છે. ભારતના મસ્તક જમ્મુ-કાશ્મીરને કલમ કરવા માટે પાકિસ્તાને પોતાની સેના દ્વારા અને બાદમાં આતંકવાદની શેતાની શક્તિથી અનેક પ્રયત્નો કર્યા છે. જો કે પાકિસ્તાનને તેમા કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સંદર્ભેની પોતાની નીતિથીઓથી ભારતને ખૂબ રંજાડયું છે. જો કે તેની પાછળ સૌથી મોટું કારણ ભારતના નપાણિયા નેતાઓની રાજકીય ઈચ્છાશક્તિ કારણભૂત છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સાથેની અંકુશ રેખા પર બનેલી ભારતીય સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પહેલા સેના દ્વારા ભારતીય સૈનિકોના મૃતદેહને વિક્ષત કરાયાની વાત પર પડદો રાખવાનો પ્રયત્ન થયો. પરંતુ મીડિયાની સક્રિય ભૂમિકાને કારણે ભારતીયો સામે પાકિસ્તાની સૈનિકોની જલ્લાદ વૃતિ સામે આવી. પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતના એક સૈનિકનું સિર કલમ કરી સાથે લઈ જવાની ઘટના બાદ જનાક્રોશ દેશમાં દેખાવા લાગ્યો. જનતાની માગણી છે કે પાકિસ્તાન સામે ભારત સરકાર સખત કાર્યવાહી કરે. પરંતુ ભારત સરકાર તોપગોળા ચલાવવાને બદલે માત્ર જીભ ચલાવી રહી છે અને તે પણ વિલંબથી.

ભારતીય સૈનિકના સિર કલમ કરવાની ઘટના બાદ સરહદે રાજપૂતના રાઈફલ્સની સંબંધિત બટાલિયનમાં સૈનિકો પણ આક્રોશિત હતા. તેમણે લગભગ બે દિવસ સુધી ભોજન પણ ગ્રહણ કર્યું ન હતું. તેઓ પોતાના સાથીદારોની શહીદીનો બદલો લેવા માંગતા હતા. આ સૈનિકોને તેમના કમાન્ડિંગ ઓફિસરે ઘણી મહેનતથી સમજાવ્યા છે. આ સિવાય ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે પાકિસ્તાની સેનાને તેની કાર્યવાહીનો જડબાતોડ જવાબ મળશે. તેના માટેનું સ્થાન અને સમય ભારતીય સેના નક્કી કરશે. તેમણે ઉત્તરી કમાન્ડના તમામ ભારતીય કમાન્ડરોને સંરક્ષણાત્મક નહીં, આક્રમક અભિગમ માટે ટકોર કરી છે. જેના પરથી ભારતીય સેનાનો હવે પછીનો પાકિસ્તાની સેના સામેનો મિજાજ સ્પષ્ટ થઈ રહ્યો છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે 15મી જાન્યુઆરીએ સેના દિવસ પર પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ અત્યાર સુધી દેશના લોકોની લાગણી પ્રમાણે કામ કર્યું છે અને આગળ પણ ભારતીય સેના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

ભારતીય સેનાધ્યક્ષના નિવેદન સિવાય ભારત સરકારના કોઈપણ નેતાનું વલણ સ્પષ્ટ દેખાતું ન હતું. વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ભેદી મૌન જાળવ્યું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહ મોડે મોડે બોલ્યા કે પાકિસ્તાન સાથે હવે પહેલા જેવા સંબંધો શક્ય નથી. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજી સુધી કંઈ જ બોલ્યા નથી. છેલ્લા બે દશકોથી ગોથા ખાઈ રહેલી ભારતીય વિદેશ નીતિ છેલ્લા બે વર્ષથી વધારે ખરાબે ચઢી છે. તેમા તાજેતરમાં સલમાન ખુર્શિદને વડાપ્રધાન મનમોહનસિંહે વિદેશ મંત્રીની નવી જવાબદારી આપી. હાલ વિદેશ મંત્રાલયમાં મુસ્લિમ મંત્રીઓ અને અધિકારીઓનો દબદબો છે. જેને ભારત તરફથી પાકિસ્તાન માટે અપનાવવામાં આવતા કૂણાં વલણ માટે મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય ક્રિકેટ ડિપ્લોમસીથી સંબંધો સુધારવા માટે કામ કરી રહી હોવાનું સ્પષ્ટ દેખાયું. પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં ક્રિકેટ માટે વિરોધ વચ્ચે આમંત્રિત કરવામાં આવી. ભારતના દુશ્મન દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વીઝા આપવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે માફિયા ડોનમાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી બ્લેક લિસ્ટ કર્યો નથી. ભારતમાં મિયાંદાદને વીઝા આપવા સામે ઘણો વિરોધ થયો. અંતે દિલ્હીની મેચ પહેલા મિયાંદાદે ધાર્મિક કારણ બતાવી ભારત પ્રવાસ પોતાની મેળે જ પડતો મૂક્યો.

આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયના આમંત્રણ પર પાકિસ્તાનના આંતરીક બાબતના મંત્રી રહેમાન મલિક ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં આવીને ડિપ્લોમેટિક ટેરરિઝમ ફેલાવ્યો. પોતાના નિવેદનોથી ભારતીય લાગણીઓને ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે મુંબઈ હુમલાની સરખામણી બાબરી ધ્વંસની ઘટના સાથે કરીને હદ કરી દીધી. તેમણે કહ્યુ કે હવે મુંબઈ હુમલા અને બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ નહીં બને. ત્યારે સવાલ એ છે કે રહેમાન મલિકની ભારત યાત્રાનો હેતુ શું હતો? મલિકની ભારત યાત્રા, મિયાંદાદને વીઝાનો વિવાદ અને અંકુશ રેખા પર ભારતીય સૈનિકોની બર્બર હત્યા ભારતીય વિદેશ મંત્રાલયની અને આખી ભારત સરકારની પાકિસ્તાન સંદર્ભેની નીતિના સૌથી મોટા બ્લન્ડર છે.

ભારતીય સૈનિકોની બર્બર હત્યા માટે સૌથી પહેલી શંકા પાકિસ્તાનની 29 બલોચ રેજીમેન્ટના સૈનિકો પર જઈ રહી છે. જ્યારે કેટલાંકના મતે પાકિસ્તાનની સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીની આ હરકત છે. જો કે ભારતમાં તે વખતે મીડિયામાં અચાનક સમાચાર આવ્યા કે આ ઘટના પહેલા પાકિસ્તાન તરફની સંબંધિત અંકુશ રેખાની મુલાકાતે લશ્કરે તોઈબાનો પ્રમુખ હાફિઝ સઈદ ગયો હતો. તેણે ત્યાં ઉશ્કેરણી કરી હતી. ત્યાર પછી પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું કે તેમના સૈનિકોએ ભારતીય સૈનિકોની હત્યા કરી નથી. પછી એવી થિયરી આવી કે ભારતીય સૈનિકોની હત્યા પાછળ સરહદે સક્રિય આતંકવાદી જૂથો હશે. ભારતના કેટલાંક ઉત્સાહી વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય સૈનિકોની હત્યા આતંકવાદીઓએ કરી છે અને આ આતંકવાદીઓ પાકિસ્તાનના એવા નોન સ્ટેટ એક્ટર્સ છે કે જેમના પર પાકિસ્તાની સરકારનું કોઈ નિયંત્રણ નથી. પરંતુ આ ઉત્સાહી વિશ્લેષકો ભૂલી જાય છેકે પાકિસ્તાનના તમામ નોન સ્ટેટ એક્ટર્સો (આતંકવાદી જૂથો વાંચવું) પર પાકિસ્તાનની શેતાની સેનાનો કાબુ છે. પાકિસ્તાનમાં બે પ્રકારના સૈનિકો છે. એક જેઓ પાકિસ્તાની સેનાના નિયમિત સૈનિકો છે. બીજા આવે જેઓ પાકિસ્તાન સેના સમર્થિત આતંકવાદી જૂથોમાં કામ કરી રહ્યા છે. હાફિઝ સઈદની સરહદી વિસ્તારની મુલાકાતની વાત જાણે-અજાણે પાકિસ્તાની સરકાર અને સેનાને બચાવવાનો પ્રયાસ માત્ર છે.

આ ઘટના પછી ભારતનું રાજકીય વાતાવરણ પણ થોડા અપવાદોને બાદ કરતા નિરાશાજનક અને નિર્લજ્જ રહ્યું. શહીદ હેમરાજ ઉત્તર પ્રદેશમાં મથુરા પાસેના શેરનગરના વતની હતા. તેમની અંત્યેષ્ટિમાં ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી અખિલેશ યાદવની તો વાત જવાદો, એક મંત્રી સુદ્ધાં હાજર રહ્યો ન હતો. હેમરાજની અંત્યેષ્ટિ વખતે ગામમાં વીજળી ન હતી, પેટ્રોમેક્સના પ્રકાશમાં ચિતાને આગ આપવામાં આવી. શહીદની ઉપેક્ષાથી નારાજ હેમરાજના પરિવારજનોએ ઉપવાસ કર્યો. ત્યાર બાદ યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શેરનગરની મુલાકાત લઈને પરિવારજનોના ઉપવાસ તોડાવ્યા. ભાજપના નેતાઓ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સૂર્યપ્રતાપ શાહી વગેરે પણ હેમરાજના પરિવારજનોની મુલાકાતે ગયા હતા. સિર કલમ કરીને લઈ જવાયાની બર્બરતાથી નારાજ પરિવારની લાગણીને માન આપીને સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પણ શેરનગરમાં શહીદના પરિવારજનોની મુલાકાત લીધી. અહીં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે એક ભારતીય શહીદના માથાના બદલે દશ પાકિસ્તાનીઓના માથા લઈ આવવાનું બેબાક નિવેદન કર્યું. જેની કોંગ્રેસ તરફથી ટીકા પણ થઈ. બીજી તરફ મધ્ય પ્રદેશના વતની શહીદ સુધાકરસિંહની અંત્યેષ્ટિમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા.

કોંગ્રેસના એક નેતાએ સુષ્મા સ્વરાજના નિવેદનને ભારતના ચોક્કસ ધર્મના લોકોની ધાર્મિક ભાવના સાથે જોડીને કહ્યુ કે તેમણે આ લોકોની ધાર્મિક ભાવનાનો ખ્યાલ કરવો જોઈએ. તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કહે છે કે ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સંજોગોમાં યુદ્ધ કરવું જોઈએ નહીં. ભારતના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાવનાને સૌથી વધારે ચોટ તથાકથિત સેક્યુલર લોકોના સેક્યુલારિઝમ અને ઉદારવાદે પહોંચાડી છે. પાકિસ્તાન સામે બોલવામાં ભારતના ક્યાં લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે? તેને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ. પાકિસ્તાન ભારતના વિરોધમાંથી પેદા થયું છે. ભારતની આઝાદીના 65 વર્ષે પાકિસ્તાન સાથે લાગણી ધરાવનારા લોકોને શા માટે ભારત વિરોધી નહીં ગણવા, તેની વાત પણ આ તથાકથિત સેક્યુલરો અને ઉદારવાદીઓએ ભારતની રાષ્ટ્રવાદી જનતાને સમજવવી જોઈએ. પાકિસ્તાન સંદર્ભેના રાજકારણીઓના વલણથી આશંકા જાગે છે કે ભારતમાં પાકિસ્તાન માટે લાગણી ધરાવનારા ચોક્કસ લોકોની વોટબેંક અંકે કરવા માટેની આવા લોકોની કોઈ રાજકીય ગણતરી તો નથી ને?

કેટલાંક વિશ્લેષકો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જ્યારે સારા થઈ રહ્યા હોય છે, ત્યારે જ પાકિસ્તાનના ભારત વિરોધી તત્વો દ્વારા સંબંધો બગડે તેવા કૃત્યો કરાય છે. પરંતુ જ્યારે હકીકતો તપાસવામાં આવે છે, તો પાકિસ્તાનનું બેવડું ચરિત્ર સામે આવે છે. 1999માં લાહોર બસ યાત્રા બાદ ત્રણ મહિને કારગીલ થયું. કારગીલમાં શરૂઆતમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાની વાતનો તત્કાલિન નવાઝ શરીફ સરકારે ઈન્કાર કર્યો. પરંતુ બાદમાં તેમણે સ્વીકારવું પડયું કે કારગીલ કાંડમાં પાકિસ્તાની સેના સામેલ છે. 2008માં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતમાં વાતચીત માટે આવ્યા હતા, તેવા સમયે મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ભારત પર હુમલો કર્યો હતો. તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે શ્રેણી પુરી થઈ અને અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ બર્બરતા દેખાડી. ત્યારે પાકિસ્તાનનો બચાવ કરનારાઓએ જવાબ આપવો જોઈએ કે પાકિસ્તાની સેનાથી મોટો ભારત વિરોધી પાકિસ્તાનમાં બીજો કોઈ છે?

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથેની 772 કિલોમીટર લાંબી અંકુશ રેખાને હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા તરીકે વ્યવહારમાં જોવામાં આવે છે. સંયુક્તત રાષ્ટ્ર દ્વારા મૂળરૂપથી પરિભાષિત યુદ્ધવિરામ રેખાને 1972માં બંને દેશો વચ્ચે સિમલા સમજૂતીમાં અંકુશ રેખા નામ આપવામાં આવ્યું છે. ભારતીય નિયંત્રણમાં રહેનારો વિસ્તાર જમ્મુ-કાશ્મીર છે. જ્યારે પાકિસ્તાનના નિયંત્રણમાં રહેનારા વિસ્તારોમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ગુલામ કાશ્મીર છે. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતે 550 કિલોમીટરની અંકુશ રેખા પર કાંટાળા તારની વાડ લગાવી છે. આ અંકુશ રેખાનું 40 હજાર સૈનિકો દિવસરાત રક્ષણ કરી રહ્યા છે. અંકુશ રેખા પર દર 500 મીટરે ચેકપોસ્ટ લગાવવામાં આવી છે. તેમ છતા 2009માં યુદ્ધવિરામનું 28 વાર ઉલ્લંઘન થયું અને ચાર સૈનિકો શહીદ થયા હતા. 2010માં 44 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું અને ત્રણ સૈનિકો શહીદ થયા. 2011માં 51 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું, આ વર્ષે કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી. 2012માં પાકિસ્તાને 117 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતના 8 સૈનિકો શહીદ થયા છે. 2013માં અત્યાર સુધીમાં 7 વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. જેમાંથી પાંચ વખત પુંછના ચક્કન દા બાગની ફ્લેગ મિટિંગ બાદ યુદ્ધવિરામનો ભંગ થયો છે.

પાકિસ્તાન એક તરફ ભારતના ગાલ પર થપ્પડો પર થપ્પડો ઝીંકી રહ્યું છે અને બીજી તરફ પીઠમાં ખંજર ભોંકી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે તાજેતરમાં કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો છે. વળી તેમણે વાતચીતની વાત માટે પાકિસ્તાન તૈયાર હોવાનું કહીને સાથે ભારત પર યુદ્ધોન્માદી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. પાકિસ્તાનની હરકતો અને તેના નિવેદનો તેની કરણી અને કથની વચ્ચેનું અંતર બતાવી રહ્યા છે. ત્યારે ભારતે પાકિસ્તાન સાથે વાતચીતની સંભાવનાનો હાલ ઈન્કાર કર્યો છે. પરંતુ ભારતના દર વખતના સ્ટેન્ડથી હવે અલગ અભિગમનો સમય પાકી ગયો છે. પરંતુ ભારત સરકારની ઢીલી નીતિ જનતામાં આક્રોશ પેદા કરવાનું કારણ બની શકે છે.

છેલ્લે-

દિલ્હીમાં ગેંગરેપની ઘટના બાદ સતત 15 દિવસ સુધી દેખાવો થયા. પરંતુ ભારતના બે સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યા બાદ આ કેન્ડલિયા ક્રાઉડે એક દિવસ પણ દેખાવો કર્યા નથી.

Friday, January 4, 2013

ભારતે પેટ ચોળી શૂળ ઉભી કરી!!


-આનંદ શુક્લ
નિયમોના નિયમન વગરની સ્વતંત્રતાની વાતે જાતિય ગુનાઓના પ્રમાણમાં વધારો કર્યો, ઉપભોગતાવાદે સ્ત્રીને ભોગનું સાધન બનાવી
ભારતમાં સૌનું કલ્યાણ કરતું રામરાજ હતું. મુસ્લિમ અને અંગ્રેજ શાસનમાં ભારતના રાજની તાસિર બદલાઈ. આઝાદીની લડાઈ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભારતમાં સૌના માટે કલ્યાણકારી રામરાજ લાવવા માંગતા હતા. પરંતુ રામ હિંદુઓના આરાધ્ય હોવાને કારણે મુસ્લિમ લીગે અને અન્ય તથાકથિત સેક્યુલર પાર્ટીઓએ તેને ધાર્મિક ચશ્માથી જોયું. સૌના કલ્યાણ માટેની ગાંધીજીની ભાવનાને દરકિનાર કરી. ભારતમાં 1947થી સ્થપાયેલું સેક્યુલરરાજ 2012 સુધીમાં રાવણરાજ બની ગયું છે. 1947 સુધી ભારતમાં ઈમાન, ધરમ, મૂલ્યો, નૈતિકતા, સારાસ જેવી સકારાત્મક ઊર્જા ખૂબ મોટા પ્રમાણમાં સચવાયેલી હતી. એવું પણ ન હતું કે આવી સકારાત્મક ઊર્જા કોઈ એક સમાજમાં જ હતી. જેને માનવતા કહેવામાં આવે છે, તે આઝાદી વખતે ભારતના તમામ લોકોમાં તમામ વર્ગોમાં સચવાયેલી અને ધરબાયેલી હતી. પરંતુ 1947માં ગાંધીજીના રામરાજની જગ્યાએ સેક્યુલરરાજ સ્થાપવામાં આવ્યું અને તેમાં સકારાત્મક ઊર્જાને નકારાત્મક રીતે જોવાની શરૂઆત કરવામાં આવી.
દુનિયામાં બ્રિટિશરો પછી અમેરિકનોએ અલગ પ્રકારનો સામ્રાજ્યવાદ ચલાવ્યો. અમેરિકન મલ્ટિનેશનલ્સો અને કોર્પોરેટ કલ્ચરના ભારતમાં વધી રહેલા પ્રભાવમાં સકારાત્મક ઊર્જા સમા ભારતીય મૂલ્યો અડચણરૂપ હતા. આ મૂલ્યોને દૂર કરવા માટે તેનો પ્રભાવ ઘટાડવા માટે ધીમેધીમે લોકોને અલગ પ્રકારે વાળવાની વિવિધ રીતે કોશિશો થઈ. આધુનિકતા તો દરેક સમાજનો અધિકાર છે. પરંતુ આધુનિકતાને નામે અન્ય સંસ્કૃતિને ઓઢી લેવાની ચાલ માત્ર ભારતમાં જ દેખાઈ. ભારતે પોતાનો પહેરવેશ બદલ્યો, ખાણીપીણી બદલી અહીં સુધી વાંધો આવ્યો નહીં. પરંતુ કેળવણીમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને પોષતી વાતો દાખલ કરવામાં આવી. જીવન સૌનો અધિકાર છે, તેમ સમજાવવામાં આવ્યું. પરંતુ જીવન કેવી રીતે જીવવું તેની સમજણ આપવાનું બંધ કરવામાં આવ્યું. આને કારણે સમાજમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાથી મનફાવે તેમ જીવનારો એક વર્ગ ઉભો થયો. તેનો પ્રભાવ સમાજના ઉપરના વર્ગમાં ખૂબ ઝડપથી સ્થપાયો. તો નીચલા વર્ગના લોકોએ પણ આવા લોકોનું અનુકરણ કરવાનું ચાલુ કર્યું. લોકોએ મૂલ્યો અને નૈતિકતાઓ સાથે ઈમાન-ધરમ સાથે બાંધછોડ કરવાની શરૂઆત કરી. બસ અહીંથી ભારતની તમામ મુસીબતોનો પ્રારંભ થયો.
90ના દાયકામાં ભારત વૈશ્વિકરણ અને ઉદારીકરણના રસ્તે બેફામ દોડવા લાગ્યું. સમાજમાં નાણાંની લિક્વિડિટી વધી. ભારતનો મિડલ ક્લાસ ખૂબ વધ્યો અને ફૂલ્યો ફાલ્યો. મિડલ ક્લાસની પહોંચ એશોઆરામ અને આરામદાયક વસ્તુઓ સુધી પહોંચી. પરંતુ ત્યારે મિડલ ક્લાસ વર્ગને વૈશ્વિકરણ અને ઉદારીકરણમાં પોતાના મૂલ્યો અને નૈતિકતાને આધારે સ્વતંત્રતાનો કેવી રીતે ઉપયોગ કરવો તેની કેળવણી આપવાની કોઈ સામાજિક, સાંસ્કૃતિક અથવા રાજકીય વ્યવસ્થા થઈ નહીં. આ સમયગાળામાં આવેલો ઉપભોગતાવાદ બેધારી તલવાર સાબિત થયો. ભારતની અંદર 90ના દાયકાથી કહેવાતા વિકાસની સાથે સાથે ક્રાઈમ રેટ વધવા લાગ્યો. ભ્રષ્ટાચાર, ગુનાખોરી, બળાત્કાર, લૂંટફાટ, ખૂનામરકીની ઘટનાઓ પણ ઝડપથી વધવા લાગી. આજે ભારતમાં અંદાજે અડધો કલાકે એક બળાત્કારની ઘટના બની રહી છે. તેની પાછળ ફિલ્મ અને ટેલિવિઝન સિરિયલ્સના માધ્યમથી પિરસવામાં આવતું સેક્સ અને હિંસા પણ ઘણાં મોટા પ્રમાણમાં કારણભૂત છે. આજે ટેલિવિઝન સામે બેસનારી પેઢીને જે સિરિયલ્સો જોવા મળે છે, તેમાં ઉપભોગતાવાદને પ્રમોટ કરતી થીમની જ રજૂઆત હોય છે. પ્રેમના નામે અનૈતિકતા અને મૂલ્યહીનતાને વધારે પ્રમાણમાં ટીવી સિરિયલ્સોમાં પ્રાધાન્ય મળી રહ્યું છે. ભારતીય સમાજનો પાયો લગ્ન સંસ્થા છે. પરંતુ તેના પાયા હચમચી જાય તેવી વાતો ફિલ્મો અને ટેલિવિઝનના માધ્યમથી બોમ્બમારાની જેમ દર્શાવવામાં આવે છે.
માનવીય સંબંધોમાં નૈતિકતા ખલાસ થવાની પ્રક્રિયાનો પ્રારંભ 1995ની ટેલિવિઝન શોપઓપેરા અને ફિલ્મોમાં એનઆરઆઈ પૃષ્ઠભૂમિની પટકથાઓના ચલણથી થયો. ફિલ્મોમાં ખુલ્લેઆમ સેક્સ સીનો અને બોલાતી અશ્લિલ ભાષા નાનપણથી બાળક સાંભળી રહ્યો છે અને તેને જોઈ રહ્યો છે. માબાપ પાસે પણ બાળકને ફિલ્મની વાત સાચા અર્થમાં સમજવાની સમજ અને સમય નથી. તેના કારણે 90ના દાયકા પછીની પેઢીમાં સ્વતંત્રતાના નામે જાતીય છૂટછાટ લેવાની વૃતિ પણ વધી છે. સ્વછંદતા તરફ લઈ જતી સ્વતંત્રતા ખતરનાક છે અને તેનો અનુભવ ભારત કરી રહ્યું છે. કોઈપણ વસ્તુ નિયમ વગરની હોતી નથી. સ્વતંત્રતાનું નિયમન પણ નિયમોથી થવું જોઈએ. પરંતુ સ્વતંત્રતાની વાત કરનારા 99 ટકા લોકો નિયમોના નિયમન વગરની સ્વતંત્રતાની માગણી કરી રહ્યા છે. ત્યારે તેવા સમયમાં અનૈતિકતા, મૂલ્યહીનતાનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે. જેના કારણે જાતીય છૂટછાટોના વધવાને કારણે જાતીય હુમલા અને ગુનાઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.
બળાત્કાર જઘન્ય અપરાધ છે. આ માત્ર સ્ત્રીના શરીરને જ ચૂંથવાનો ગુનો નથી, પણ તેના આત્માને આઘાત પહોંચાડવાનો ગુનો છે. સંસ્કૃત સમાજમાં બળાત્કાર જેવા જાતીય ગુનાને કોઈ સ્થાન હોઈ શકે નહીં. પરંતુ બળાત્કારની વધી રહેલી સંખ્યા અને મહિલાઓ તરફનો દ્રષ્ટિકોણ દર્શાવી રહ્યો છે કે સમાજ સંસ્કૃત અને સભ્ય બનવાની જગ્યાએ વિકૃતિઓ તરફ આગળ વધી રહ્યો છે. બળાત્કારના ગુનાઓ સામે સડકો પર આંદોલન થયા. પરંતુ શું સડકો પર ઉતરવા માત્રથી બળાત્કાર રોકાઈ જશે? બળાત્કાર માણસની અંદર રહેલા શેતાની તત્વોની નિપજ છે. આ શેતાની તત્વો માણસ કેવી રીતે નષ્ટ કરી શકે કે નિયંત્રિત કરી શકે તેની કોઈ સિસ્ટમ આજના સમાજમાં સાબૂત બચી છે ખરી? બળાત્કાર રોકવા માટે દરેક માણસે આત્મવિશ્લેષણ કરવું પડશે. તેનો મહિલાઓને જોવાનો તેમની સાથે વર્તવાનો દ્રષ્ટિકોણ ક્યો છે. ભારતની સંસ્કૃતિ રહી છે કે પારકી સ્ત્રીને માતા સમાન ગણવી. પરંતુ આ પ્રકારનો દ્રષ્ટિકોણની વાત જ જવા દો. નારીને ઉપભોગનું સાધન માત્ર સમજવાનો દ્રષ્ટિકોણ સમાજમાં વધારે પ્રભાવી બન્યો છે. નારીને એક વ્યક્તિ તરીકેનું સમ્માન આપવા માટે પણ લોકો વ્યક્તિગત અને સામાજિક રીતે તૈયાર દેખાતા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યુ છે કે બળાત્કાર ઈન્ડિયામાં વધારે થાય છે, ભારતમાં ઓછા થાય છે. ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભારતને ઈન્ડિયા બનાવીને તેને વિકાસ કહેનારા આપણે બધાં જ છીએ. ભારતમાં ભારત બચ્યું ક્યાં છે? આપણે શું ભારતને ભારતમાં જીવતું રહેવા દીધું છે? ભારત એટલે શું? દરેક ભારતીય એક ભારત છે. તેમના દરેકમાં જો ભારત જીવતું હોય, તો ભારતને ભારત ગણી શકાય. પરંતુ શું દરેક ભારતીયમાં આપણે ભારતને જીવાડી શક્યા છીએ? શહેરોમાં પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થયું છે. પરંતુ શહેરની મહિલાઓની સ્થિતિ ગ્રામીણ મહિલાઓની સરખામણીએ સારી છે. ગામડામાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઘણી વાતો બહાર પણ આવતી નથી. આવી સ્થિતિમાં ગામડામાં સ્ત્રીઓની સ્થિતિ સારી કેવી રીતે કહી શકાય? શહેરો ઈન્ડિયા અને ગામડા ભારત હોવાના માઈન્ડ સેટ સાથે પણ સહમત થવાય તેવું નથી. ભારતને ભારત બનાવવા માટે હજી ઘણું કરવું પડે તેમ છે.
મધ્ય પ્રદેશના ઉદ્યોગ મંત્રી કૌલાસ વિજયવર્ગીયે પણ આઘાતજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે એક મર્યાદા હોય છે, જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, તો સીતાનું હરણ થઈ જાય છે. લક્ષ્મણરેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. આ લક્ષ્મણરેખાને જે પણ પાર કરશે, તો રાવણ સામે બેઠો છે, તે સીતાનું હરણ કરીને લઈ જશે. મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો ગુનો મહિલાઓ માથે જ શા માટે ઢોળવામાં આવે છે? શું કોઈ સ્ત્રી સાથે અણછાજતું બળાત્કારી વર્તન કરનાર પુરુષ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી? મર્યાદા દરેક વ્યક્તિને લાગુ પડે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય. એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિએ કઈ રીતે વર્તવું તેની મર્યાદાઓ વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ હોય છે. આ મર્યાદાનું પાલન દરેક વ્યક્તિ કરે, તો આવા ગુના થવાનું અટકી જાય. પરંતુ સ્ત્રી પુરુષ કરતા શારીરિક રીતે કમજોર હોવાથી મર્યાદાનું પાલન માત્ર તેમણે જ કરવાનું અને મર્યાદાનો ભંગ કરવો પુરુષોનો જન્મસિદ્ધ અધિકાર હોવાની માનસિકતા પણ ખોટી છે. પ્રશ્ન એ છે કે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર સીતાનું હરણ થાય છે, પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર રાવણનો નાશ થતા લાંબો સમય કેમ લાગે છે?
સમાજમાં વિફરેલી ઉપભોગતાવાદી માનસિકતાના શમન માટેના રસ્તાઓ શોધવાનો સમય હવે પાકી ગયો છે. આ છેલ્લી ટ્રેન છે. બળાત્કારની વધી રહેલી ઘટનાઓ અને વધી રહેલો જાતીય સ્વેચ્છાચાર બંને સમાજ માટે ખતરનાક છે. મનફાવે તેમ જીવવું સ્વતંત્રતા નથી, પણ આજુબાજુના સૌને ફાવે તેમ જીવવું સ્વતંત્રતા છે. સહઅસ્તિત્વ માનવજીવનનો પાયો છે. સહઅસ્તિત્વને ખતમ કરતી કોઈની પણ સ્વતંત્રતા નકામી છે. ત્યારે સ્વતંત્રતાનું નિયમોના આધારે નિયમન થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે. 65 વર્ષના સેક્યુલરરાજે ભારતને ક્યાં પહોંચાડયું તેનું પણ આત્મવિશ્લેષણ થવું અત્યારે બેહદ જરૂરી છે.