Friday, November 23, 2012

બાળાસાહેબ ઠાકરે: હિંદુત્વના આંદોલનના સેનાપતિ

- ક્રાંતિવિચાર

વ્યક્તિને પોતાના પરનો વિશ્વાસ પોતાના વિચારો અને માન્યતાઓમાં અસીમ શ્રદ્ધા પ્રગટાવે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પણ આવા જ વ્યક્તિ હતા. તેમણે પોતાના પરના વિશ્વાસને કારણે જ પોતાના વિચારો અને માન્યતાઓને દ્રઢતાથી વળગી રાખવાનું વલણ મૃત્યુ સુધી જાળવી રાખ્યું. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબને હકીકતમાં હિંદુત્વના સેનાપતિ કહેવું વધારે યોગ્ય છે. જ્યારે દેશમાં હિંદુત્વના પંથને કટ્ટરપંથ તરીકે વગોવવામાં આવતો હોય, ત્યારે બાળાસાહેબ ઠાકરેની ત્રાડે તમામ હિંદુવિરોધીઓને સીધા દોર રાખ્યા છે. આનાથી પણ મોટી ઘટના એ છે કે જ્યારે રામરથયાત્રીઓ અને હિંદુત્વના આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા કંઈક હિંદુ હ્રદયસમ્રાટોની નકલી છબીઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ભષ્મીભૂત બની છે. જ્યારે બાળાસાહેબ ઠાકરેની હિંદુ હ્રદયસમ્રાટની છબી તેમના મૃત્યુ પછી પણ અકબંધ રહી છે. તેમને હિંદુ હ્રદયસમ્રાટની ઉપાધિ દેશના કરોડો હિંદુઓના પ્રેમને કારણે મળી છે, તેમને તેના માટે કોઈ ગોબેલ્સ પ્રચારનો સહારો લેવો પડયો નથી. તેમની વાતમાં હિંદુત્વનો પડઘો હતો અને તેના કારણે દેશના કરોડો હિંદુઓ તેમને દિલથી ચાહતા હતા.
17મી નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું. 18મી નવેમ્બરે રવિવારે મુંબઈની સડકો પર હિંદુત્વના સેનાપતિની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયું હતું. કહેવાય છે કે બાલાસાહેબની અંતિમ યાત્રામાં અંદાજે 20 લાખ લોકોએ ભાગ લીધો અને શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર વખતે બે લાખથી વધારે લોકો હાજર હતા. હિંદુત્વની દ્રઢતાથી વાત કરનારા બાળાસાહેબને કટ્ટર ગણાવાયા. હિંદુત્વને આજીવન વળગી રહેનારા બાળાસાહેબને કોમવાદી રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યા. હિંદુત્વના હિતની વાત કરનારા બાળાસાહેબને જલ્લાદ દર્શાવવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તેમની અપાર લોકપ્રિયતાએ મીડિયાને પણ મજબૂર કર્યું કે તેઓ હિંદુત્વના સેનાપતિને છાજે તેવી તેમને શ્રદ્ધાંજલિ આપે. 1966માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ મરાઠી માનુષના હિત અને શિવશાહી સ્થાપિત કરવા માટે શિવસેનાની સ્થાપના કરી. મરાઠી માનુષની રાજનીતિ કરતી વખતે તેમને હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમની હિંદુ પદપાદશાહીની વાતો યાદ રહેતી હતી. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ બાળ ઠાકરેએ હિંદુ હિતની વાતોને રાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણીને તેના પર દ્રઢતાથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. મરાઠી માનુષના હિતની રાજનીતિ બાળ ઠાકરેની રાજનીતિનું મહત્વનું અંગ હતું, તો હિંદુત્વના મુદ્દે દ્રઢતા તેનો આત્મા હતો.
દેશમાં 90ના દાયકામાં હિંદુઓના શ્રદ્ધાકેન્દ્રો પર આઘાત કરવાની ફેશન ચાલતી હતી. ત્યારે મીડિયા પણ આવા તત્વોને સાથ આપતું નજરે પડતું હતું. મુંબઈના એક અગ્રણી અખબારમાં છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે અયોગ્ય વાત પ્રકાશિત થઈ. બાળ ઠાકરેને આની ખબર પડી, તુરંત તેમણે શિવસૈનિકોને આદેશ આપ્યો કે શિવાજી વિશે અભદ્ર વાતો પ્રકાશિત કરનારા અખબારની એકપણ નકલ વાચકો સુધી પહોંચે નહીં. શિવસૈનિકોએ તેમના સેનાપતિની વાતને અક્ષરશ માની અને આવી ગલીચ હરકત કરનારા અખબારની એકપણ નકલને મુંબઈની બહાર જવા દીધી નહીં.
1992માં બાબરી ઢાંચાને કારસેવાના અંતે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બાબરી ઢાંચો ધ્વસ્ત થવાથી આંદોલનમાં સામેલ નેતાઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા અને સંગઠનો સંરક્ષણાત્મક સ્ટેન્ડ લઈ રહ્યા હતા. ત્યારે બાળ ઠાકરેએ કહ્યુ કે જો શિવસૈનિકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો હોય, તો તેનો તેમને ગર્વ છે. બાળ ઠાકરેની આ બેબાકી જ હતી કે જેણે તેમને હિંદુ હ્રદય સમ્રાટના પદે સ્થાપિત કર્યા હતા.
બાલ ઠાકરેએ દેશમાં વધી રહેલા ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોના હુમલાની સામે સરકારના ઉદાસિન વલણની છડેચોક ટીકા કરી હતી. 2002માં તેમણે કહ્યુ હતુ કે આવા ફિદાયિનોના જવાબમાં હિંદુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી બનાવવી જોઈએ. મુંબઈ રમખાણો વખતે બાળ ઠાકરેએ મુસ્લિમોને દેશમાં કેન્સર સમાન ગણાવ્યા હતા. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતના દરેક મુસ્લિમોના વિરોધી નથી, પરંતુ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન નહીં કરતા મુસ્લિમોના તેઓ વિરોધી છે. તેમણે આવા લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે 2008માં ફરીથી કડક નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈસ્લામિક આતંકવાદનો જવાબ હિંદુ આતંકવાદમાં છુપાયેલો છે. હિંદુઓ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વોર્ડની જરૂર છે. બાળ ઠાકરેના વિચારો ઉદ્દામવાદી લાગી શકે છે. પરંતુ તેમના વિચારો ભારત સરકારની ઈસ્લામિક આતંકવાદ સંદર્ભેની ઢીલી નીતિઓ સામેના રોષમાંથી પ્રગટયા હતા. નિર્દોષ ભારતીયો અને સુરક્ષાકર્મીઓના રક્તસ્ત્રાવથી બાળ ઠાકરે નારાજ હતા. જેના પરિણામે તેમણે ઉદ્દામવાદી વિચારો પુરી બેબાકીથી રજૂ કર્યા હતા.
પાકિસ્તાન સાથેના સંબંધો બાબતે પણ તેમના વિચારોની ધાર સ્પષ્ટ અને તેજ રહેતી. પાકિસ્તાન સાથે થોડું પણ નમતું મૂકવાના મતના તેઓ ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેમને એક દિવસ માટે દેશની સત્તા સોંપવામાં આવે, તો તેઓ કાશ્મીર સમસ્યા એક દિવસમાં જ ઉકેલી બતાવશે. તેમણે વાજપેયીની પાકિસ્તાન સાથેની પીસ પ્રોસેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પાકિસ્તાની દોરીસંચાર હેઠળ ભારતમાં આતંકવાદી હુમલા છતાં પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવાની ભારતીય નીતિની આકરી ટીકા કરી છે. ઠાકરેએ ભૂતકાળમાં પાકિસ્તાનની ટીમ ભારતમાં કોઈપણ સ્થાને ક્રિકેટ મેચ રમી શકે નહીં તેની તકેદારી રાખવા શિવસૈનિકોને જણાવ્યુ હતુ. જેના પરિણામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ શિવસૈનિકોએ ભારત-પાકિસ્તાનની મેચના આગલા દિવસે જ ખોદી નાખી હતી. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ ભારત ક્રિકેટ રમવા આવવાની છે. ત્યારે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યુ છે કે ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી જોઈએ. આ નિવેદનની બાળાસાહેબે આકરી ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાનની ટીમને ભારત નહીં બોલાવવાનો મત વ્યક્ત કર્યો હતો.
સંસદ પરના આતંકવાદી હુમલામાં ફાંસી પામેલા આતંકવાદી અફઝલ ગુરુની દયા અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવી બાળ ઠાકરેને ઈચ્છા હતી. મહત્વપૂર્ણ છે કે બાળ ઠાકરે એનડીએમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના મોતના ચોથા દિવસે ભારત સરકારે મુંબઈ પરના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસીને માંચડે લટકાવી દીધો છે.
મુંબઈમાં મુસ્લિમ ગુંડા દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલની દાદાગીરી ચાલતી હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, બંનેને ભારત છોડવા માટે મજબૂર કરનારા બાળ ઠાકરે હતા. મુસ્લિમ ડોન દાઉદ સામે હિંદુ ડોન અરુણ ગવળીની વાત પણ બાળ ઠાકરેએ ભૂતકાળમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અરુણ ગવળી શરૂઆતના સમયમાં શિવસૈનિક હતો.
બાળ ઠાકરેએ હિંદુત્વના મોટામોટા સિદ્ધાંતો અને વિચારધારાની ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે હિંદુત્વને વ્યવહારીકતામાં કેવી રીતે સર્વોપરી બનાવી શકાય તેની સતત ચિંતા કરી છે. જેને કારણે સેક્યુલર માઈન્ડ સેટમાં ઘડાયેલા સેક્યુલરમેનિયાથી પીડાતા બુદ્ધિજીવીઓને બાળાસાહેબ કોમવાદી લાગી શકે છે, તેમને બાળાસાહેબ દબંગ લાગી શકે છે, તેમને બાળાસાહેબ મુંબઈના દાદા લાગી શકે છે. પરંતુ બાળાસાહેબ શું હતા, તે તો તેમની અંતિમ યાત્રામાં સામેલ 20 લાખ લોકો અને દેશમાં ટેલિવિઝન પર નિહાળનારા કરોડો હિંદુઓ સારી રીતે જાણતા હતા.
બાળાસાહેબને શિવસેનાના તાનાશાહ ગણવામાં આવતા હતા. જો કે હકીકત તેનાથી વિપરીત હતી. શિવસૈનિકોના અપાર પ્રેમે તેમને શિવસેનના સર્વોચ્ચ સ્થાને 45 વર્ષોથી બેસાડયા હતા. જો કે તેમણે દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહ હિટલરની એક મુલાકાતમાં પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ હિટલરના બહુ મોટા પ્રશંસક છે અને તેમને આવું કહેવામાં કોઈ શરમ અનુભવાતી નથી. હિટલરની તમામ પદ્ધતિથી તેઓ સહમત પણ ન હતા. તેમણે કહ્યુ કે હિટલર સારો આયોજક અને વક્તા હતો.તેમને લાગે છેકે તેમના બંનેમાં ઘણું સામ્ય છે. ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૂર છે.
બાળાસાહેબ હંમેશા પોતાને સાચી લાગતી વાત કરતા, પોતાની સાચી વાતને અંતિમ ક્ષણ સુધી વળગી રહ્યા. તેમણે ક્યારે પોતાની વ્યક્તિગત મર્યાદાને પડદામાં રાખીને દંભ કર્યો નથી. તેઓ બિયર અને વાઈન પીતા હતા, સિંગાર અને ચિરુટના ભૂતકાળમાં બંધાણી હતા. આવી કોઈ વાત તેમણે ક્યારેય પડદામાં રાખી નથી. તેઓ હિંદુત્વની વાત કરતા હતા, પરંતુ માંસાહાર કરતા હોવાની વાતને ક્યારે છુપાવી નથી. બાળાસાહેબે પોતાના જીવન દરમિયાન રાજકીય સમજૂતીઓ પોતાની રાજનીતિ પ્રમાણે કરી હશે, પરંતુ હિંદુત્વના મુદ્દે આજીવન એકપણ સમજૂતી તેમણે કરી નથી. આવા દંભ વગરના દ્રઢ જીવને જ તેમને હિંદુ હ્રદય સમ્રાટ બનાવ્યા છે.