Wednesday, July 20, 2022

કચ્છ બોર્ડર પર પાકિસ્તાની સેનાને ભારે પડનાર ભારતીય સેનાના રાહબર વાવના વીર રણછોડ પગીની વીરગાથા

 

-0-

પેથાપુર ગઢડોથી ઉચાળા ભરીને વાવના લિંબળામાં સ્થાયી થયા-

નડાબેટથી થોડાક કિલોમીટરના અંતરે આવેલા વાવ તાલુકાના લિંબાળા ગામના રણછોડભાઈ રબારી ઉર્ફે રણછોડ પગી ભારત અને પાકિસ્તાનની સરહદના રખેવાળ, સેનાના રાહબર અને ભોમિયા હતા. 1965 અને 1971માં ભારતીય સેનાની જીતમાં રણછોડ રબારીની રાહબરી ઘણી મહત્વની સાબિત થઈ હતી. 1901માં રણછોડ પગીનો જન્મ અવિભાજીત ભારતના થરપારકર જિલ્લાના પેથાપુર ગઢડો ગામમાં થયો હતો અને ત્યાં જ તેઓ મોટા થયા હતા. જો કે સ્વતંત્રતા બાદ પાકિસ્તાન બન્યા પછી થરપારકર જિલ્લો પાકિસ્તાનમાં ગયો હતો. પાકિસ્તાન બન્યા પછી પાકિસ્તાની સેનાના સૈનિકોએ હિંદુ બહુલ સિંધ પ્રાંતના નગરપારકર અને થરપારકર જિલ્લામાં સ્થાનિકો પર જુલ્મો ગુજારવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી પોતાના બાપદાદાઓના ઘરબાર છોડવા મજબૂર થયેલા હિંદુઓમાં રણછોડભાઈ રબારી પણ સામેલ હતા. તેઓ પેથાપુર ગઢડો ગામમાં પોતાની જમીન અને પશુ છોડીને બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામમાં નિરાશ્રિત બનીને આવ્યા હતા. બાદમાં રણછોડ પગી તેમના મોસાળના ગામ લિંબાળામાં સ્થાયી થયા હતા.

સુઈગામ પોલીસ સ્ટેશનમાં રણછોડભાઈ રબારીની પગી તરીકે નિમણૂક-

બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા મથક છે. સુઈગામ કચ્છના રણથી 10 કિલોમીટર દૂર નાની ટેકરી પર વેસલું છે અને રણની પેલેપાર થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે. સુઈગામથી 35થી 40 કિલોમીટરના અંતરે ભારતની સીમા પુરી થાય છે. આ સ્થાન પર બીએસએફની બોર્ડર પોસ્ટ આવેલી છે. બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ પોલીસ મથક સૌથી સંવેદનશીલ માનવાં આવે છે. સુઈગામ પોલીસ સ્ટેશનની હદ છેક ઝીરોલાઈન સુધી છે. સ્વતંત્રતા બાદ પાકિસ્તાનથી ભારતમાં સીમાનું ઉલ્લંઘન કરીને પગપાળા ઘૂસણખોરી, ચોર-લૂંટારાનો ત્રાસ સૂઈગામ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળતો હતો.

રણછોડ પગી પાકિસ્તાનથી ભારત નિરાશ્રિત બનીને આવ્યા હતા. તેમની પાસે પાકિસ્તાની ક્ષેત્રોની ખૂબ ચોક્કસ અને સારી માહિતી હતી. પગલા પારખવામાં તેઓ નિષ્ણાત હતા. તેમની આવી વિશેષતાઓને કારણે સૂઈગામ પોલીસ સ્ટેશનમાં તેમની પગી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સુઈગામ પોલીસને પગલાનો પારખું, રણનો ભોમિયો અને પગલાની છાપ પરથી ઘૂસણખોરોને શોધી કાઢનારા અને સરહદી વિસ્તારમાં પાકિસ્તાનીઓની હિલચાલની ખબર આપનાર જાંબાજ પગી તરીકે રણછોડ રબારી મળી ગયા હતા. જો કે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા આ દુર્ગમ રણવિસ્તારમાં અનેક કિલોમીટરો સુધી ચાલવું પડતું હતું.

1965ના યુદ્ધમાં 1200 પાકિસ્તાની સૈનિકો પર ભારે પડયા રણછોડ પગી-

1965ના યુદ્ધમાં રણછોડ પગીનું આગવું કૌશલ્ય ભારતીય સેનાને જીતમાં ઘણું કામ આવ્યું હતું. એપ્રિલ, 1965 પાકિસ્તાની સેનાએ કચ્છના રણમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી હતી. ઓગસ્ટ, 1965 સુધીમાં તો ભારત અને પાકિસ્તાનની સીમા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ચુકી હતી. આ યુદ્ધમાં રણછોડ પગીનું પગલાની છાપ જોઈને સૈન્ય ગતિવિધિઓની ચોક્કસ જાણકારી મેળવવાની લાક્ષણિકતા ભારતીય સેનાની જીતમાં રાહબર બની હતી. રણછોડ પગીને ભારતીય ફોર્સિસમાં ઑલ્ડ વૉર કેમલના હુલામણા નામે બોલાવવામાં આવતા હતા. તેઓ ઉંટ પર બેસીને પોતાની નજરો સરહદ પર જમાવતા ને પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની ચોક્કસ જાણકારી આપતા હતા. તેઓ પગલાની છાપ પરથી ઘૂસણખોરોની સંખ્યા, ઉંટ પર કોઈ સામાન છે કે નહીં અને તેમની ઝડપ-દિશા-રોકાણ સહીતની જણાવતા હતા.

1965ના યુદ્ધ પહેલા પાકિસ્તાની સૈનિકોએ કચ્છની રણનીતિક દ્રષ્ટિએ મહત્વની વિઘાકોટ સીમા પોસ્ટ પર કબજો કર્યો હતો. બાદમાં થયેલી લડાઈમાં 100 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા. આ પોસ્ટને મુક્ત કરાવવા માટે 10 હજાર ભારતીય સૈનિકોની એક ટુકડી મોકલવામાં આવી હતી. પરંતુ આ સૈન્ય અભિયાનની સફળતા માટે માત્ર ત્રણ દિવસમાં દુર્ગમ સીમા ક્ષેત્રમાં આવેલી છારકોટ ખાતે પહોંચવું જરૂરી હતી, કારણ કે આમા જો વધુ સમય લાગે તો પાકિસ્તાનની સેનાને રિઈન્ફોર્સમેન્ટ મળી જાય અને તે પોતાની સ્થિતિ મજબૂત કરી લે તેવી શક્યતા હતી. જો પાકિસ્તાની સેનાની સ્થિતિ મજબૂત થઈ જાય, તો ભારતીય સેનાને અભિયાનમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા હતી. આ મિલિટ્રી મિશન માટે ભારતીય સેનાએ પોતાના સૌથી મહત્વપૂર્ણ અને કાબેલ જાસૂસને તહેનાત કર્યા અને તે હતા રણછોડ પગી. રણછોડભાઈ પગીએ પોતાના જીવની પરવાહ કર્યા વગર ભારતીય સેનાને છારકોટ પહોંચવાનો ટૂંકો રરસ્તો બતાવ્યો હતો. આ રસ્તે રણછોડ પગીએ ભારતીય સેનાના 10 હજાર સૈનિકોને નિર્ધારીત સમયના 12 કલાક પહેલા છારકોટ પહોંચાડી દીધા હતા. આ સિવાય રેતના દરિયામાં થઈને અંધારામાં વિઘાકોટમાં છૂપાયેલા 1200 પાકિસ્તાની સૈનિકોની ચોક્કસ જાણકારી પણ ભારતીય સેનાને આપી હતી. જેના પરિણામે ભારતીય સેનાએ વિઘાકોટ પોસ્ટ મુક્ત કરાવીને જીત પ્રાપ્ત કરી હતી.

1971માં પાલીનગર પર તિરંગો ફરકાવવામાં મહત્વની ભૂમિકા-

1965માં પોતાનું રણકૌશલ દેખાડનારા રણછોડભાઈ પગીએ 1971ના યુદ્ધમાં તો કમાલ કરી હતી. 1971ના યુદ્ધમાં રણછોડ પગીએ બેરિયાબેટથી ઊંટ પર પાકિસ્તાન જઈને ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાની સૈન્યની માહિતી ભારતીય સેનાને પહોંચાડી હતી. તેના આધારે ભારતીય સેનાએ આક્રમણ કર્યું અને પાકિસ્તાની સેનાની ચાલને ધોબીપછાડ આપ્યો હતો. તે વખતે ભીષણ બોમ્બમારો ચાલુ હતો અને ભારતીય સેનાનો દારૂગોળો ખૂટી ગયો હતો. ત્યારે ભારતીય સેનાની 50 કિલોમીટર દૂર આવેલી બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટો પર દારૂગોળાનો જથ્થો લાવીને સેનાને આપ્યો હતો. સમયસર દારૂગોળો પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોએ ધોરા અને ભાલવા થાણા પર હુમલા કરીને તેને ભારતના નિયંત્રણ હેઠળ લાવી દીધા હતા. રણછોડ પગી દારૂગોળો ઝડપથી પહોંચાડતી વખતે ઘાયલ પણ થયા હતા. 1971ના યુદ્ધમાં સેનાને પાલીનગર પોસ્ટ પર રણછોડ પગી દ્વારા પહોંચાડવામાં આવેલી મદદ અવિસ્મરણીય છે. રણછોડ રબારી ઉર્ફે રણછોડ પગીની પગલા પારખવાની આગવી કુશળતા અને સરહદી વિસ્તારમાં રાહબરીના કારણે ભારતીય સેનાના 10 હજારથી વધુ જવાનોના જીવ બચ્યા હતા અને ભારતને પાકિસ્તાનના બદઈરાદાઓને ધોબીપછાડ આપવામાં સફળતા મળી હતી. 1971ના યુદ્ધમાં ભારતીય સેનાએ નગરપારકરના વિસ્તારમાં પહોંચીને પાકિસ્તાનનો 10 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો.

જનરલ સેમ માનેકશૉ રણછોડ પગીના હુન્નરના હતા કાયલ-

16 ડિસેમ્બર, 1971ના રોજ ઢાકામાં પાકિસ્તાની સેનાના 93 હજાર સૈનિકોએ જાહેરમાં હથિયારો હેઠાં મૂકીને સરન્ડર કર્યું હતું. આ યુદ્ધ બાદ તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ સેમ માનેકશૉએ રણછોડ પગીને ઢાકામાં મળવા માટે બોલાવ્યા હતા. રણછોડ પગીના હુન્નરના જનરલ માનેકશૉ કાયલ હતા. તેમણે પગીને લાવવા માટે એક હેલિકોપ્ટર મોકલ્યું હતું. રણછોડ પગી હેલિકોપ્ટરમાં બેઠા અને હેલિકોપ્ટરે ઉડાણ ભરી. ત્યારે અચાનક રણછોડભાઈને યાદ આવ્યું કે તેમની થેલી તો નીચે જ રહી ગઈ છે. બાદમાં રણછોડ પગીએ થેલીને લેવા માટે હેલિકોપ્ટરને ફરીથી લેન્ડ કરવા જણાવ્યું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયું અને થેલી લેવામાં આવી હતી. જ્યારે ઢાકામાં જનરલ માનેકશૉ સાથે ડિનર કરવાનું હતું. ત્યારે રણછોડ પગીએ થેલી ખોલી તો તેમાથી બે બાજરીના રોટલા, ડુંગળી અને ગાંઠિયા હતા. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. પરંતુ જનરલ માનેકશૉએ રણછોડ પગી સાથે મળીને તેઓ થેલીમાં જે ભોજન લાવ્યા હતા તેને ખૂબ ખુશી સાથે આરોગ્યું હતું. જનરલ માનેકશૉએ પગીને તેમના બહેતરીન કામ માટે પોતાની પાસેથી 300 રૂપિયાનું ઈનામ પણ આપ્યું હતું.

રણછોડ પગી જીવતી વીરગાથા બન્યા-

રણછોડ પગીને તેમની પ્રશંસનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને સંગ્રામ પદક, પોલીસ પદક અને ગ્રીષ્મકાલિન સેવા પદક પણ આપવામાં આવ્યા છે. તેમને તેમના સાથીદારો દ્વારા ગામમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવાનું પણ સમ્માન આપવામાં આવ્યું હતુ. બનાસકાંઠા બોર્ડર પર બીએસએફે રણછોડદાસ પગીના નામે પોસ્ટનું નામકરણ પણ કર્યું છે. આ પહેલો બનાવ છે કે ભારત-પાકિસ્તાન બોર્ડર પરની કોઈ પોસ્ટનું નામ કોઈ વ્યક્તિના નામ પરથી આપવામાં આવ્યું હોય. અહીંના લોકગીતોમાં પણ રણછોડ પગીના કામનો ઉલ્લેખ કરવામાં આવે છે.

1965 અને 1971ના યુદ્ધો બાદ પણ રણવિસ્તારના ભોમિયા એવા રણછોડ પગીએ બીએસએફ અને ભારતીય સેનાની રાહબરી કરવાની સેવાઓ ચાલુ રાખી હતી. 1998માં મુશર્રફ નામના ઉંટને પકડવામાં સફળતા મેળવી હતી અને તેના પરથી 22 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેના એક વર્ષ બાદ રણછોડ પગીએ ભગત વેરી પાસે 24 કિલોગ્રામ આર્ડીએક્સ સાથે પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડયા હતા અને હાજીપીરમાં છૂપાવાયેલા 46 કિલોગ્રામના વિસ્ફોટકો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

જનરલ માનેકશૉના નિધન પછી સેનામાંથી લીધી પગીએ સ્વૈચ્છિક નિવૃત્તિ-

27 જૂન, 2008ના રોજ ભૂતપૂર્વ સેનાધ્યક્ષ ફીલ્ડમાર્શલ સેમ માનેકશૉનું નિધન થયું  હતું. કહેવામાં આવે છે કે તેમને પોતાના અંતિમ દિવસો સુધી રણછોડ પગી યાદ કરતા રહ્યા હતા. ફીલ્ડમાર્શલ માનેકશૉના નિધન બાદ 2009માં રણછોડ પગીએ સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને 18 જાન્યુઆરી- 2013માં 112 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી હતી. તેમના નિધન બાદ બીએસએફે બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સીમા પરની એક ચોકીને રણછોડ ચોકી નામ આપ્યું છે. ગુજરાત પોલીસે પણ તેમને અનોખું સમ્માન આપતા તેમના સમુદાયના અન્ય જાસૂસોને પોલીસ પગીનું ઉપનામ આપ્યું છે.

સરહદના રખોપાની જવાબદારી રણછોડ પગીએ પુત્ર-પૌત્રને વારસામાં આપી-

રણછોડભાઈ સવાભાઈ રબારી ઉર્ફે રણછોડ પગીને જનરલ સેમ માનેકશૉ સેનાના હીરો કહેતા હતા. રણછોડ પગીએ સુઈગામ પોલીસ ચોકીમાં પગી તરીકે કામગીરી શરૂ કરી અને બાદમાં યુદ્ધ વખતે સેનામાં સ્કાઉટ્સ તરીકે જોડાયા હતા. રણછોડભાઈના પુત્ર માનજીભાઈ રબારી પણ સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે. હવે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડ પગીના પૌત્ર મહેશભાઈ પગી સેવા આપી રહ્યા છે.

નડાબેટ: નડેશ્વરી માતાજીના મંદિરનો મહિમા

ભારત-પાકિસ્તાન બોર્ડર પર કચ્છના રણમાં ઘણાં રણદ્વીપ એટલે કે બેટ આવેલા છે. આ એવો વિસ્તાર હોય છે કે જ્યાં આસપાસ અફાટ રણનો રેતનો દરિયો દેખાય છે અને આ બેટ પર લીલોતરી જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના જલોયા ગામની નજીક આવેલું નડાબેટ પણ એક આવો જ રણદ્વીપ છે. નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીનું સ્થાનક છે. નડેશ્વરી માતાને આ વિસ્તાર અને સમગ્ર દેશના રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે. નડાબેટ સરહદ પરની એવી બીજી જગ્યા છે કે જ્યાં દેશના સૈનિકો માતાજીના મંદિરમાં પૂજા કરે છે. સુઈગામથી 20 કિલોમીટર દૂર આવેલા જલોયા ગામમાં બીએસએફની છાવણી છે. આ છાવણીની નજીક આવેલું નડેશ્વરી માતાનું મંદિર ચમત્કારીક માનવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર નોમના દિવસે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે ઉમટે છે. અહીં કોઈ પૂજારી નથી, બીએસએફના જવાનો જ નડેશ્વરી માતાની આરતી ઉતારે છે. જો કે આ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા નિયુક્ત પૂજારી પણ  પૂજા કરાવે છે.

નડેશ્વરી માતાજીના મંદિરની દંતકથા-

માનવામાં આવે છે કે નડેશ્વરી માતાનું મંદિર હજાર વર્ષ જૂનું છે. પહેલા તે એક ડેરી સ્વરૂપે હતું અને બાદમાં તેને આજના મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એક દંતકથા મુજબ, જૂનાગઢના રાજા રા નવઘણ પોતાની વિશાળ સેના સાથે સિંધના મુસ્લિમ રાજાની કેદમાં રહેલી પોતાની બહેન જાસલને મુક્ત કરાવવા માટે અહીંથી પસાર થયા હતા. નાડાબેટ ખાતે ચારણ કન્યા આઈ વરુડી (આઈ વરુવડી)એ રા નવઘણના સૈન્ય કાફલાને જમાડીને રણનો સલામત માર્ગ બતાવીને વિજયશ્રીના આશિર્વાદ આપ્યા હતા. આ ચારણ કન્યાના આશિર્વાદથી રા નવઘણને સિંઘના મુસ્લિમ રાજાને હરાવીને બહેન જાસલને મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. આ ચારણ કન્યા આઈ વરુડી, શ્રીનડેશ્વરી માતાજી તરીકે અઙીં પૂજાયા છે.

નડાબેટ-વાવનો પ્રાચીન ઈતિહાસ-

નડાબેટ-સુઈગામનો વિસ્તાર ચૌહાણોની જાગીર વાવમાં આવતો હતો. વાવનો પ્રાચીન ઈતિહાસ છે. વાવ પ્રાચીન સમયમાં દરિયાકિનારે આવેલું હતું. આ વિસ્તાર હડપ્પાની સંસ્કૃતિના સમયમાં ખૂબ સમૃદ્ધ હતો. આ વિસ્તારમાં કેટલાક બંદરો પણ હતા અને અહીંથી વિદેશોમાં વેપાર પણ થતો હતો. આ વાવ તાલુકાના બેણપ ગામનો ઉલ્લેખ મળે છે. બેણપને બેનાતટ બંદર તરીકે ઓળખવામાં આવતું હતું. બેણપ ગામથી સમુદ્રકિનારાના કેટલાક અવશેષો મળી આવ્યા છે. ઈ.સ. પૂર્વે 2400માં હડપ્પાની સંસ્કૃતિના સમયમાં બેણપ ગામના બંદરેથી ઈરાન, ઈજીપ્ત, દક્ષિણ ભારત વગેરે સાથે સમુદ્રી વેપાર થતો હતો. જૂના જમાનામાં સોમનાથ મહાદેવને ચઢાવવા માટેના કાશ્મીરથી આવતા કમળ પણ વાવ-થરાદના માર્ગેથી જ પસાર થતા હતા.

હાલ અફાટ રણ વચ્ચે આવેલા નડાબેટે તેની જાહોજલાલી ગુમાવી દીધી છે. પરંતુ પ્રાચીન સમયમાં નડાબેટની પણ જાહોજલાલી હતી. લગભગ એક સદી પહેલા નડાબેટમાં પુષ્કળ ખડીઘાસ થતું હતું. અહીં જાગીરદારો અને માલધારીઓ રહેતા હતા. કુદરતી ઝરણાંઓ પણ વહ્યા કરતા હતા. દુકાળ વખતે જ્યારે આસપાસથી લોકો સિંઘ તરફ જતા ત્યારે નડેશ્વરી માતાના દર્શન કરીને પ્રસાદી ચઢાવીને જતા હતા. નડેશ્વરી માતાના મંદિરથી 35 કિલોમીટર દૂર પાકિસ્તાનના સિંધ પ્રાંતનું નગરપારકર શહેર આવેલું છે. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલી છે. જ્યારે બી.એસ.એફ.નો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.

સીમા પર તહેનાત જવાનોની નજર 24 કલાક આ મંદિરની સુરક્ષા કરતી રહે છે. આ સ્થાન સમુદ્રના તળથી 50 મીટર જેટલી ઊંચાઈએ છે. તેથી વરસાદમાં રણમાં ભરાતા પાણી ક્યારેય મંદિરની આસપાસ આવી શકતા નથી. કહેવામાં આવે છે કે વર્ષણાં એકવાર વરસાદ દરમિયાન જોરથી પાણીની લહેરો આવે છે, પરંતુ તે વખતે મંદિર પ્રબંધન દ્વારા રણમાં દીવા પેટાવીને વિધિ કરવામાં આવે છે. જેના કારણે પાણી ધીરેધીરે ઉતરવા લાગે છે. જો કે ઉનાળામાં નડાબેટ ખાતે એક અલગ જ અનુભવ હોય છે. નડેશ્વરી માતાના મંદિરમાં કોરાનાકાળ પહેલા દૈનિક અંદાજે એકથી દોઢ હજાર લોકો નિશુલ્ક ભોજન કરતા હતા. દર મહીનાની પૂનમે અહીં મેળાનું પણ આયોજન થતું હતું. રામનવમી પર પણ મેળો ભરાય છે. આ સ્થાન પર 60ના દાયકામાં પડેલા દુકાળ વખતે સ્વામી સચ્ચિદાનંદજી પણ આવી ચુક્યા છે.

1971ના યુદ્ધમાં નડેશ્વરી માતાના ચમત્કારી પરચા-

એવું કહેવામાં આવે છે કે 1971ના યુદ્ધ દરમિયાન દાંતીવાડા બીએસએફ છાવણીના મુખ્ય અધિકારી નડેશ્વરી માતાના દર્શન માટે આવ્યા હતા, કારણ કે તેમને આ માર્ગે જ પાકિસ્તાનની સીમા પર જવાનું હતું. દર્શન કર્યા બાદ કર્નલ સાહેબે મંદિરના ટ્રસ્ટી ભાણાભાઈ રાજપૂતને મળ્યા અને કહેવા લાગ્યા કે કદાચ આ છેલ્લી મુલાકાત છે, કારણ તે ત્યારે યુદ્ધ ચરમસીમાએ હતું. પરંતુ કર્નલ સાહેબ કહે છે કે જ્યારે તેઓ પાકિસ્તાનના નગરપારકરની સીમા તરફ આગળ વધી રહ્યા હતા, તો માતાજીની જ્યોતિ આગળ-આગળ તેમનું માર્ગદર્શન કરી રહી હતી. આ યુદ્ધમાં તેમની બટાલિયનના એકપણ જવાને જીવ ગુમાવ્યો ન હતો. તો ભારતીય સેનાએ નગરપારકર સુધીના પાકિસ્તાનના 10 હજાર વર્ગ કિલોમીટરના વિસ્તાર પર જીત મેળવીને પોતાના નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. તે સમયથી સેનાનો એક જવાન આજે પણ દરરોજ માતાજીની પૂજાવિધિ કરે છે અને એવું માનવામાં આવે છે કે આજે પણ કોઈ જવાન આ રણમાં માર્ગ ભૂલી જાય છે, તો નડેશ્વરી માતા તેનું માર્ગદર્શન કરે છે.

અન્ય એક પ્રચલિત ચમત્કાર અને માતાના પરચાની ઘટના પ્રમાણે, 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની લડાઈ વખતે ભારતીય સેનાની એક ટુકડી પાકિસ્તાનની સીમામાં પ્રવેસ કરી ગઈ હતી અને માર્ગભૂલી ગઈ હતી. પરંતુ આ ટુકડીના કમાન્ડરે માતા નડેશ્વરીને મનોમન સહાયતા કરવા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના માતાએ સાંભળી અને દીવાના પ્રકાશ દ્વારા ભારતીય સેનાની ટુકડીને માર્ગ દેખાડયો અને પાછા તેમને પોતાના બેસ કેમ્પ ખાતે સકુશળ પહોંચાડયા હતા અને કોઈપણ જવાનને એક ઘસરકો સુદ્ધા પડયો ન હતો. યુદ્ધ સમાપ્ત થયા બાદ માતા નડેશ્વરીના ચમત્કારની અનુભૂતિ કરનારા કમાન્ડરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં માતા નડેશ્વરી વિરાજમાન છે અને તેમના કારણે કોઈપણ જવાનને કંઈપણ થઈ શકે નહીં.

ભારતીય સેના અને બીએસએફ માટે ઘણાં મંદિરો આસ્થાના કેન્દ્ર છે. આવા આસ્થાના કેન્દ્રમાં નડેશ્વરી માતાના મંદિરનો પણ સમાવેશ થાય છે. સીમા પર પહેરો ભરનારા આપણા દેશના જવાનો બનાસકાંઠા બોર્ડર પર આવેલા આ મંદિરમમાં પોતાની ડ્યૂટી જોઈન કરતા પહેલા માથું ટેકવા ખુદ જાય છે. અતૂટ શ્રદ્ધા છે કે માતા નડેશ્વરી ખુદ જવાનોની સુરક્ષા કરે છે. આ મંદિરની બાજુમાં એક તળાવ છે અને બીએસએફની છાવણી આવેલી છે.


નડાબેટ-સીમા દર્શન પ્રોજેક્ટ

 આમ તો સરહદી વિસ્તારો સામાન્ય લોકો માટે બંધ હોય છે. પરંતુ સીમા પર તહેનાત બીએસએફ-સેનાના જવાનોની કપરી કામગીરીનો અંદાજ દેશની અંદર સામાન્ય નાગરીક જીવનમાં આવી શકે તેમ નથી. યુવાવર્ગમાં દેશની સરહદો પ્રત્યે સ્વાભાવિકપણે આકર્ષણ હોય છે. આવા સંજોગોમાં સીમા દર્શન હેઠળ દેશની બોર્ડર પર આવા યુવાવર્ગ અને સામાન્ય લોકોની મુલાકાત થાય, તો તેનાથી તેમને આપણા સરહદે તહેનાત સુરક્ષાકર્મીઓની કપરી કામગીરીનો અંદાજ આવી શકે. તેમને પણ દેશ માટે સેના, અર્ધલશ્કરી દળો કે પોલીસમાં જોડાવાની પ્રેરણાનું એક બહુ મોટું ચાલકબળ બોર્ડર ટુરિઝમ પુરું પાડી શકે છે. આ સિવાય બોર્ડર વિસ્તારમાં વસ્તી પાંખી હોય છે અને મોટાભાગે રોજગારને કારણે ગામડાઓમાંથી પણ લોકો અંદર તરફના શહેરો-કસબાઓમાં ખસી જતા હોય છે. આવા સંજોગોમાં બોર્ડર પર લોકોની અવર-જવર એક ઘણું મહત્વનું ફેક્ટર છે. સીમા પર આવેલા ઘણાં એવા સ્થાનો છે કે જેનો ગૌરવમય ઈતિહાસ ત્યાં ગયા પછી જ ખબર પડે. બની શકે કે આવા સ્થાનો ઘણાં મોટા કે ભવ્ય ન હોય, પરંતુ તેની ગાથાઓ ભવ્ય ઈમારતોથી પણ મહાન હોય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના રણવિસ્તારમાં રણોત્સવની શરૂઆત કરાવી હતી. ઘણાં મોટા આયોજન થકી રણોત્સવને પર્યટનના ઉદેશ્યથી ઘણી મોટી સફળતા મળી છે. નરેન્દ્રભાઈ મોદીનું ખેંચાણ હંમેશા દેશની સરહદો અને દેશના સૈનિકો રહ્યા છે. કચ્છ બોર્ડર પર તેમની અવાર-નવાર મુલાકાતો અને બીએસએફના જવાનો માટે બોર્ડર પર જરૂરી સુવિધાઓ પુરી પાડવાની કામગીરી તેમણે સતત કરી છે. 2014માં વડાપ્રધાન પદે પહોંચ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી લડાખ, કાશ્મીર, રાજસ્થાન, પંજાબ સિક્કીમ, અરુણાચલ અને ગુજરાતના સરહદી વિસ્તારોની મુલાકાત લઈ ચુક્યા છે. ટૂરિઝ્મને લઈને તેમનો એક અલગ દ્રષ્ટિકોણ છે. બોર્ડર ટૂરિઝ્મની પરિકલ્પના તેમના મન-મસ્તિષ્કમાં હંમેશા રહેલી છે. સીમા દર્શન પ્રોજેક્ટ પ્રધાનમંત્રી યોજનામાં પણ સામેલ છે.

આપણે વર્ષોથી અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના જવાનોની જોશભેર થતી બીટિંગ ધ રિટ્રીટ પરેડ જોતા આવ્યા છીએ. અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના લોકો પરેડ દરમિયાન પોતપોતાના દેશના જવાનોના ઉત્સાહવર્ધન માટે સૂત્રો પોકરતા હોય છે અને ગીતો ગાતા હોય છે. આ દરરોજ થતી રિટ્રીટ પરેડમાં હજારોની સંખ્યામાં પર્યટકો બંને તરફથી બોર્ડર પર આવે છે. બોર્ડર ટૂરિઝમનો ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પરનો આ સૌથી મોટો પોઈન્ટ છે.

પરંતુ આવું જ બોર્ડર ટૂરિઝમ અન્ય સ્થાનો પર પણ શરૂ થઈ શકે છે. આ બની શકે તેનું સ્વરૂપ અટારી-વાઘા બોર્ડર જેવું અથવા તેને મળતું આવતું હોય. આના માટે ગુજરાતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ બોર્ડર ટૂરિઝ્મને વેગ આપવાની યોજના બનાવવામાં આવી છે.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકામાં આવેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પરના નડાબેટમાં 125 કરોડ રૂપિયાના ખર્ચે સીમા પર્યટન કેન્દ્રને તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. આ ગુજરાતનું એકમાત્ર બોર્ડર ટૂરિઝ્મનું સેન્ટર હશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર જઈને નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે દેશભરના પર્યટકો માટે અહીં સીમા પર્યટનને પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ સીમા દર્શન પ્રોજેક્ટ હેઠળ રણવિસ્તારમાં આવેલા નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાનની સરહદના ઝીરો પોઈન્ટને પર્યટકો જોઈ શકશે. આ પ્રોજેક્ટ હેઠળ ફેઝ-1નું લગભગ 23 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ થયું છે. જેમાં આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ,રિટેઈનિંગ વૉલ અને પીવાના પાણીની સુવિધા સિવાય ટોયલેટ બ્લોક સામેલ છે. પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પ્રવાસન નિગમે નડેશ્વરી માતાજીના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે. મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બર, 2016માં નડાબેટ બોર્ડર ટૂરિઝ્મ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સે ઝીરો પોઈન્ટને સીમા દર્શન તરીકે માન્યતા આપી હતી. તેના પછી અહીં વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે.

જ્યારે ફેઝ-2ની કામગીરીમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન પરિસરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાત લઈ ચુક્યા છે. બીજા ફેઝમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એક્ઝીબિશન સેન્ટર અને સરહદ સલામતની વિશેષ પ્રતિકૃતિ સમાન ગેઈટના કામ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યુ છે કે નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝ્મ ક્ષેત્રે વિશ્વ પ્રવાસનના નક્શામાં ગુજરાતને આગવું સ્થાન અપાવશે. આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસનની પ્રવૃત્તિ વધવાથી સ્થાનિક રોજગારીનું સર્જન પણ થશે.

 

 

 

નડેશ્વરી મંદિરની સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ રૂટ ઉપર ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી આ પ્રવાસન વિકાસ કામો ૪ ફેઇઝમાં હાથ ધરાવાના છે. આ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી પણ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ(Tourism) પ્રોજેકટમાં હાથ ધરવામાં આવી છે.

સીમાદર્શન માટે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી સારી રીતે પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવાની કામગીરી પણ હાથ ધરાય છે. નડાબેટ ખાતે એક સેલ્ફી ટાવર પણ બનાવવામાં આવ્યું છે. અહીંથી પર્યટકો બોર્ડર એરિયાની પૃષ્ઠભૂમિમાં સેલ્ફી પણ લઈ શકશે.

નડાબેટ પર પાકિસ્તાન દ્વારા હુમલાની ઘટના બની નથી. પરંતુ તેનું સૈન્ય મહત્વ ઘણું વધારે છે. 1971ના યુદ્ધ વખતે અહીંથી લઈને નગરપારક સુધીના પાકિસ્તાનના વિસ્તારને ભારતીય સેનાએ જીતી લીધો હતો. હવે આ બાબતોને દેશવાસીઓ જાણી શકે અને જોઈ શકે તેના માટે નડાબેટ પર બોર્ડર ટૂરિઝ્મ વિકસિત કરાઈ રહ્યું છે.

1965માં પાકિસ્તાની દગાબાજીના રણમાં CRPFએ કચ્છ સીમા પર બલિદાનો દ્વારા કંડારી શૌર્યગાથા

કચ્છના રણમાં ગજનીના લૂંટારા મહમૂદ ગઝનવીને જીવતા અફઘાનિસ્તાન પહોંચવું ભારે પડયું હતું. કચ્છ અને કચ્છનું રણ સદીઓથી મોટીમોટી વીરગાથાના શૌર્યરસથી ભરપૂર છે. પરંતુ ધાર્મિક ઝનૂનમાં મદમસ્ત પાકિસ્તાને 1965માં કચ્છના રણમાં ધરબાયેલી વીરગાથાઓને ભૂલવાની મોટી ભૂલ કરી હતી અને પાકિસ્તાનને નામોશી ભરી હાર સાથે પારોઠના પગલા ભરવા મજબૂર પણ થવું પડયું હતું.

કચ્છ બોર્ડર પર આમ તો સ્વતંત્રતા બાદ પાકિસ્તાન કેટલાક વિવાદો પેદા કરતું રહ્યું હતું. સીરક્રીકનો વિવાદ પણ આમાનો એક છે. છાડબેટ-કંથકોટનો વિવાદ પણ પાકિસ્તાને 1965 પહેલા શરૂ કર્યો હતો. પાકિસ્તાનનો ડોળો મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર પર સ્વતંત્રતાથી હતો. 1962માં ભારતની ચીન સામેના યુદ્ધમાં હાર બાદ પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર કબજે કરવાની તક દેખાવા લાગી હતી. આના માટે પાકિસ્તાનના ખૂરાફાતી જનરલો અને સત્તાધીશોએ એક વ્યૂહરચના ઘડી હતી. આ વ્યૂહરચના હેઠળ 1965ના યુદ્ધને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ઓપરેશન ડેઝર્ટ હૉક, ઓપરેશન જિબ્રાલ્ટર અને ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ.

પાકિસ્તાને એપ્રિલ-1965માં ભારતીય સીમાની એક સૈન્ય ચોકી પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ભારતીય સીમાની અંદરના કચ્છના રણના વિસ્તારોને કબજે કરવા માટે પાકિસ્તાની સેનાએ ઓપરેશન ડેઝર્ટ હૉક-1 શરૂ કર્યું હતું. 9 એપ્રિલ, 1965ના રોજ સવારે ત્રણ વાગ્યે પાકિસ્તાની સેનાની 51મી બ્રિગેડના 3500 સૈનિકોએ કચ્છના રણમાં આવેલી ટાક અને સરદાર પોસ્ટ પર ભીષણ હુમલો કર્યો હતો. 1965માં સીમાની સુરક્ષા ગુજરાત રાજ્ય પોલીસ ફોર્સ અને સીઆરપીએફ કરતી હતી. ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના થઈ ન હતી.

પાકિસ્તાની સેનાને આંકડે મધ દેખાતું હતું, કારણ કે કચ્છના રણમાં સીમા સુરક્ષા કેન્દ્રીય પોલીસ દળ અને રાજ્યનું પોલીસ દળ કરી રહ્યા હતા. તેથી પાકિસ્તાની સેનાને હતું કે પોલીસ ફોર્સને હટાવીને તેઓ ભારતના રણવિસ્તારના મોટા ભાગને કબજે કરશે અને ભારતીય સેનાને કચ્છ બોર્ડર પર ગુંચવીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કરીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લેશે.

તે દિવસે સીઆરપીએફની બીજી બટાલિયનની 4 કંપનીઓ સીમાડાઓની સુરક્ષામાં તહેનાત હતી. સ્વાભાવિકપણે સીઆરપીએફ અને ગુજરાત રાજ્ય પોલીસના જવાનોની તાલીમ સૈન્ય તાલીમની કક્ષાએ હોય નહીં અને પાકિસ્તાની બ્રિગેડ 3500 સૈનિકો સાથે ભારે હથિયારો લઈને હુમલાની તૈયારી સાથે ખાબકી હતી. પરંતુ 15 કલાક સુધીના જીવનસટોસટના જંગમાં સીઆરપીએફના જવાનોએ કચ્છના રણમાં ફરી એકવાર શૌર્યગાથાને જીવંત કરી. 15 કલાકના મહાભીષણ જંગમાં પાકિસ્તાને પોતાના 34 સૈનિકો ગુમાવ્યા અને 4 પાકિસ્તાની પીઓડબ્લ્યૂ તરીકે ઝડપાયા હતા. જો કે સીઆરપીએફના જવાનોએ પણ મોટું બલિદાન આપ્યું અને 9 જવાનો વીરગતિ પામ્યા તથા 19 જવાનો પાકિસ્તાની સેનાએ કેદ પણ કર્યા હતા. પરંતુ સીઆરપીએફની બીજી બટાલિયને પાકિસ્તાની બ્રિગેડના 3500 જવાનોને 12થી 15 કલાક સુધી સીમા પર પગ મૂકવા દીધો ન હતો. ભારતીય સેના વીગાકોટ, સરદાર પોસ્ટ સહીતના વિસ્તારોમાં આવી, ત્યાં સુધી સીઆરપીએફે પોસ્ટને બચાવવામાં સફળતા મેળવી હતી.

પાકિસ્તાનની બ્રિગેડ સાથેની લડાઈના બીજા દિવસની સવારે કર્નલ કેશવ એસ. પુણતેંબાકરે આ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે લખ્યુ છે કે ઊંચાઈ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે દુશ્મનોને ઘણું વધારે નુકસાન પહોંચ્યું હતું. કદાચ તેથી જ તેમનું મનોબળ તૂટી ગયું અને તેઓ આ વિસ્તારને કબજે કરી શક્યા નહીં. આશ્ચર્યની વાત એ છે કે પુરા શસ્ત્રસરંજામ સાથે પાકિસ્તાની સેનાની એક આખી બ્રિગેડ ભારતીય સશસ્ત્ર પોલીસની એખ કંપનીને પોતાની પોસ્ટ પરથી ડગાવી શકી નહીં. એ પણ ત્યારે કે જ્યારે પાકિસ્તાની બ્રિગેડની પાસે તોપખાનાની મદદ પણ હતી. સીઆરપીએફના મીડિયમ મશીન ગનરોએ સારી રીતે ફાયરિંગ કર્યું અને પાકિસ્તાની બ્રિગેડને એટલું નુકસાન પહોંચાડયું કે તેણે લડાઈ ચાલુ રાખવાનો વિચાર છોડી દીધો હતો.

1965માં અહીં કોઈ ફેન્સિંગ ન હતું અને રાત્રે ફ્લડલાઈડ ચાલુ કરવામાં આવતી હતી. આખા વિસ્તારમાં રેતનો સમુદ્ર જ હતો અને માત્ર ઊંટો દ્વારા અહીં પહોંચી સકાય તેમ હતું. એટલે કે માંગવામાં આવેલી મદદને પહોંચતા પણ ઘણો સમય લાગે તેમ હતો. માણસને રહેવા લાયક આબોહવા તો અહીં આજે પણ નથી. ઉનાળામાં 50 ડિગ્રીની આસપાસનું તાપમાન અને રેતનું તોફાન-ચક્રાવાત માનવજીવનને અહીં કઠિન બનાવે છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે સીઆરપીએફની કંપનીના જવાનોએ વીરતાથી યુદ્ધ લડીને પાકિસ્તાનની આખી બ્રિગેડને પારોઠના પગલા ભરવા મજબૂર કરી હતી. જો કે 9 એપ્રિલ, 1965ના રોજ સરદાર પોસ્ટ, છાડબેટ અને બેરિયાબેટ પર પાકિસ્તાની હુમલાની ઘટનાએ એક વધુ સુસજ્જ અને વધુ તાલીમબદ્ધ સીમા સુરક્ષા દળની જરૂરિયાતને પણ ઉજાગર કરી હતી.

હાલ આ બોર્ડરની સુરક્ષા બીએસએફના હાથમાં છે. પરંતુ 9 એપ્રિલ, 1965ના રોજ લડાયેલા યુદ્ધના સ્થાન પર એક ચબૂતરો છે અને તેના પર સંગેમરમરના એક પથ્થર પર આ વીરતાની ગાથા કંડારવામાં આવી છે. આ સ્મારક સીમા પર છે અને ચારે તરફ કાંટાળા તારથી ઘેરાયેલું છે. સામાન્ય લોકો માટે અહીં પ્રવેશ વર્જિત પણ છે. તેથી ગુજરાત સરકારે 2013માં ગુજરાતના ધર્મશાળામાં એક સીમા ચોકી પર આ લડાઈની યાદમાં વધુ એક સ્મારક બનાવ્યું છે.

ધર્મશાળાના બહારના વિસ્તારમાં એક હનુમાન મંદિર છે.  આ મંદિર ક્યારેક પાકિસ્તાનમાં હતું. 1965ની લડાઈ પહેલા આ મંદિર જાટ તલાઈમાં હતું. જાટ તલાઈનો વિસ્તાર ભારતનો ભાગ હતો. લડાઈ બાદ ભારતે આ વિસ્તાર પાકિસ્તાનને સુપ્રદ કર્યો હતો. જ્યારે ભારતીય સેનાના જવાનો જાટ તલાઈથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે મંદિરમાંથી અવાજ આવ્યો કે મને પણ સાથે લઈ ચાલો. સૈનિકોએ હનુમાનજીની મૂર્તિ સાથે લઈ લીધી. લગભગ 27 કિલોમીટર બેદિયા બેટ પહોંચ્યા અને અહીં રાતવાસો કર્યો હતો. બીજા દિવસે સવારે હનુમાનજીની આ મૂર્તિ આપોઆપ ત્યાં સ્થાપિત થઈ ચુકી હતી. તેને જમીનમાંથી કાઢવી મુશ્કેલ બની ગઈ હતી અને તેથી અહીં એક નાનકડું મંદિર બનાવી દેવામાં આવ્યું હતું. આ હનુમાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા પુરી થયા બાદ ઘંટડી બાંધી જાય છે. આખા ભારતમાં શૌર્ય અને આસ્થાની ગાથાઓ વિખેરાયેલી છે અને સરદાર પોસ્ટનું સ્મારક તથા ધર્મશાળાનું હનુમાનમંદિર ભારતની આ સચ્ચાઈના બે રૂપક છે.

BSF: ‘ડ્યૂટી અન ટૂ ધ ડેથ’ના જોશથી છલોછલ ભારતની ‘ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ’

 બીએસએફનો પરિચય-

બીએસએફ એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ભારતની સુરક્ષાની પ્રથમ હરોળ ગણાય છે. ભારતના સૌથી મહત્વના અર્ધલશ્કરી દળોમાં સીમા સુરક્ષા દળનો સમાવેશ થાય છે. બીએસએફની પાસે ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમાઓની શાંતિકાળમાં સુરક્ષા કરવાની જવાબદારી છે. બીએસએફની સ્થાપના પાકિસ્તાન સાથેના 1965ના યુદ્ધ બાદ કરવામાં આવી હતી. 1 ડિસેમ્બર, 1965ના રોજ સ્થપાયેલા બીએસએફના સંસ્થાપક અને પહેલા નિદેશક એફ. રુસ્તમજી હતા. બીએસએફે તેની સ્થાપના સાથે જ પોતાના કૌવતનો પરિચય દુશ્મનને આપવાનું શરૂ કર્યું હતું. બીએસએફ પાસે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના સીમાડાઓની સુરક્ષાના દાયિત્વો હતા. 1971માં બાંગ્લાદેશ બન્યા બાદ પૂર્વ પાકિસ્તાનની સીમા ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા બની હતી અને બીએસએફ તેની સુરક્ષા પણ કરે છે.

બીએસએફનું સૂત્ર છે- જીવન પર્યંત કર્તવ્ય એટલે કે ડ્યૂટી અનટૂ ડેથ.બીએસએફમાં હાલ 2.50 લાખથી વધુ જવાનો છે. તેમા 190થી વધારે બટાલિયનો છે. તેનું વાર્ષિક બજેટ 19650.74 કરોડ રૂપિયા છે. સીમા સુરક્ષા દળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત બીએસએફ એક્ટ-1968 હેઠળ બનાવવામાં આવ્યું હતું. તેનું મુખ્યમથક દિલ્હીમાં છે અને તેના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાના છે. 24 વિમાનો અને 400થી વધારે બોટ્સ તથા આર્ટિલરી વિંગ ધરાવતું બીએસએફ પોતાના તમામ મિશનોને યોગ્ય રીતે પાર પાડે છે.

બીએસએફની સ્થાપનાનું કારણ----

1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું હતું. 1965 સુધી ભારતીય સીમાડાંઓની સુરક્ષા સ્ટેટ આર્મ્ડ પોલીસ બટાલિયનોના હાથમાં હતી. 1965ના યુદ્ધ પહેલા પાકિસ્તાને 9 એપ્રિલ-1965ના રોજ કચ્છ બોર્ડર પર સરદાર ચોકી, છાડબેટ અને બેરિયા બેત પર હુમલો કરી દીધો હતો. સ્ટેટ આર્મ્ડ પોલીસ અને સીઆરપીએફે મોટા બલિદાનો આપીને પાકિસ્તાની સેનાને જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું. સ્ટેટ આર્મ્ડ પોલીસ અને સીઆરપીએફે પાકિસ્તાનની એક બ્રિગેડને પાછળ ધકેલવામાં સફળતા મેળવી હતી. પરંતુ 1965ના યુદ્ધ પછી ભારત સરકારને કેન્દ્ર સરકારને આધિન એક વિશેષ સીમા સુરક્ષા દળની જરૂરિયાત મહેસૂસ થઈ હતી. તેને જોતા સશસ્ત્ર અને તાલીમબદ્ધ ફોર્સની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો હતો. તત્કાલિન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષા માટે 1 ડિસેમ્બર, 1965ના રોજ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.

આમ તો 1962ના ચીન યુદ્ધના પાંચમા દિવસે સીમા સુરક્ષા માટે મોટી પહેલ કરતા ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસની રચના કરવામાં આવી હતી. જો કે તેમ છતાં 1962ના યુદ્ધમાં ભારતની હાર થઈ હતી. તે વખતે પણ સીમા સુરક્ષા માટે સ્ટેટ આર્મ્ડ પોલીસ ફોર્સના સ્થાનને ટ્રેન્ડ કેન્દ્રીય સીમા સુરક્ષા દળોની જરૂરિયાત હોવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ તેનો અમલ 1965ના યુદ્ધમાં પાકિસ્તાન સામે જીત્યા બાદ થયો હતો.

બીએસએફની ભૂમિકા-

બીએસએફના જવાનો યુદ્ધ અને શાંતિ એમ બંને સમયમા સક્રિય રહે છે. શાંતિકાળમાં તેમની મુખ્ય જવાબદારી આપણી સીમાઓની સુરક્ષા, સીમા પારથી થનારા અપરાધો, તસ્કરી સહીતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાની છે. આ સિવાય ગેરકાયદેસર પ્રવાસ અને ઘૂસણખોરીને પણ બીએસએફ રોકે છે. ઘૂસણખોરીને રોકવા માટે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ એકઠા કરવાની જવાબદારી પણ બીએસએફ બેહદ સક્ષમ રીતે પુરી કરી રહી છે. બીએસએફ મર્યાદીત સ્તર પર આક્રમક કાર્યવાહી પણ કરે છે અને શરણાર્થીઓને નિયંત્રિત પણ કરે છે. દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની કાર્યવાહીઓમાં બીએસએફ સ્થાનિક પ્રશાસનની મદદ કરે છે. તેના સિવાય દેશમાં કોઈપણ ભાગમાં વિદ્રોહને રોકવાની કાર્યવાહી પણ બીએસએફ દ્વારા કરવામાં આવે છે. બીએસએફ ઘણાં આતંકવાદી વિરોધી અને નક્સલ વિરોધી ઓપરેશનમાં સામેલ છે.

બીએસએફની વ્યાપકતા-વિશાળતા-

બીએસએફ દુનિયાનું સૌથી મોટું સીમા સુરક્ષા દળ છે. તેના સંગઠનાત્મક માળખાના વિસ્તરણ સાથે તેની જવાબદારી પણ વધી છે. બીએસએફ ભારતનું એકમાત્ર અર્ધલશ્કરી દળ છે કે જેની પાસે એરવિંગ, નેવલવિંગ, આર્ટિલરી વિંગ, કેમલ વિંગ અને ડોગ સ્ક્વોર્ડ છે. આ સિવાય ગુજરાતના તટવર્તી ક્ષેત્રો- સીરક્રીક, કોરીક્રીક જેવા દુર્ગમ વિસ્તારોની સુરક્ષા માટે બીએસએફ પાસે ક્રોકોડાઈલ વિંગ પણ છે. તેના ઓપરેશન્સમાં સંચાર તકનીક, ઈજનેરી, તકનીકી-પ્રશાસનથી લઈને કાયદાકીય, તબીબી અને હથિયાર સંબંધિત સહાયતાઓ સામેલ છે. હાલ બીએસએફ ભારતની પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમાની સુરક્ષાની સાથે આંતરીક માલાઓમાં પણ સ્થાનિક પ્રશાસનને જરૂરિયાત પ્રમાણે મદદ કરવાનું કામ કરે છે. બીએસએફની ત્રણ બટાલિયનો રાષ્ટ્રીય આફત નિવારણ દળમાં સામેલ છે. આ ત્રણેય બટાલિયનો કોલકત્તા, ગૌહાટી અને પટનામાં તહેનાત છે. તે બટાલિયનો અત્યાધુનિક તકનીકથી સુસજ્જ છે.

બીએસએફના જવાનો કચ્છ-રાજસ્થાનના ગરમીથી બળબળતા રણવિસ્તારો, કારગીલ જેવા ઠંડા ક્ષેત્રોની સીમાઓ અને બાંગ્લાદેશ બોર્ડર પર નદીઓના વહેણને કારણે દુર્ગમ બનેલા સીમાવિસ્તારોની સુરક્ષા કરે છે. આકરી તાલીમથી તૈયાર થયેલો બીએસએફના જવાનોના શૌર્યથી દુશ્મનો થરથર કાંપે છે.

બીએસએફની ક્રોકોડાઈલ વિંગ-

ગુજરાતના તટવર્તી ક્ષેત્રોની સીમાઓ ખાસ કરીને સીરક્રીકની પાકિસ્તાન દ્વારા વિવાદ પેદા કરીને તણાવગ્રસ્ત કરાયેલા તટવર્તી વિસ્તારોની સુરશ્રક્ષા બીએસએફ કરે છે. હંમેશા સજાગ, સતર્ક રહીને દુશ્મનની ગતિવિધિઓ પર બીએસએફ બાજ નજર રાખે છે. જરૂરિયાત ઉભી થયે મર્યાદીત યુદ્ધ લડવા માટે પણ તૈયારી ધરાવે છે. તેમને સુપર સોલ્જર પણ કહેવામાં આવે છે. તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુદને ઢાળવા માટે સમર્થ છે. આ સીમા સુરક્ષા દળ 1882 જમીની અને 18 જળીય ચોકીઓ દ્વારા સીમા સુરક્ષા અને પ્રબંધનનું કાર્ય કરે છે.

બીએસએફના જવાનોની ટ્રેનિંગ –

બીએસએફની કપરી કામગીરીને જોતા તેના જવાનોની ટ્રેનિંગ પણ બેહદ કઠિન હોય છે. તેમને દરેક પરિસ્થિતિમાં લડવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આવી કપરી ટ્રેનિંગને કારણે જ બીએસએફનો જવાન શાંતિકાળમાં સીમાઓની સુરક્ષા કરી શકે છે અને યુદ્ધકાળમાં પ્રોફેશનલ સૈનિકની જેમ દુશ્મને પરાજીત પણ કરી શકે છે.

સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન એન્ડ ટેક્ટિસ –ઈન્દૌર તથા ટ્રેનિંગ સેન્ટર એન્ડ સ્કૂલ હજારીબાગ ઝારખંડ ખાતે તેમની ટ્રેનિંગ થતી હોય છે. આ સિવાય સીમા સુરક્ષા બલ અકાદમી ટેકનપુર, સેન્ટ્રલ સ્કૂલ ઓફ મોટર ટ્રાન્સપોર્ટ ટેકનપુર, નેશનલ ટ્રેનિંગ ફોર ડોગ્સ ટેકનપુર, બીએસએફ ટેકનપુરમાં 1976થી અલગ ટીયર સ્મોક યુનિટ પણ ચલાવે છે. ટીયર સ્મોક યુનિટ હુલ્લડો દરમિયાન ટિયરગેસ છોડવાને લઈને તાલીમ આપે છે.

બીએસએફમાં મહિલાઓની ભાગીદારી-

બીએસએફમાં પણ સમય પ્રમાણે નિયમો અને સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ અનેક સુધારા કરવામાં આવ્યા છે. જેમા મહિલાઓની ભરતી પણ સામેલ છે. હાલ બીએસએફમાં 1000થી વધારે મહિલા સુરક્ષાકર્મીઓની ભરતી થઈ ચુકી છે. બીએસએફના મહિલા સુરક્ષાકર્મીઓને પંજાબ અને જમ્મુ સહીતની બોર્ડર પર તહેનાત પણ કરવામાં આવ્યા છે. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન રેન્જર્સને બીએસએફના મહિલા સુરક્ષાકર્મીઓએ બીટિંગ ધ રિટ્રીટ પરેડમાં જોશભેર સામે થઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. 2017માં બીએસએફના પહેલા ફીલ્ડ અધિકારી તનુશ્રી પારેખ હતા.

બીએસએફની સિદ્ધિઓ-

બાંગ્લાદેશની મુક્તિમાં મહત્વની ભૂમિકા-

1971ના યુદ્ધ વખતે બીએસએફની સ્થાપનાને પાંચ વર્ષ થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ બીએસએફના સંસ્થાપક મહાનિદેશક કે. એફ. રુસ્તમજીને બોલાવીને બાંગ્લાદેશની સ્વતંત્રતાના અભિયાનમાં મદદ કરવાની જવાબદારી સોંપી હતી. બીએસએફના અધિકારીઓ અને જવાનોએ બાંગ્લાદેશ મુક્તિવાહિનીને પૂર્વ પાકિસ્તાનની અંદર હુમલો કરવામાં મદદ કરી હતી. બીએસએફે બાંગ્લાદેશની પ્રાંતીય સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું બંધારણ તૈયાર કરવું અને એક રાષ્ટ્રધ્વજની પસંદગી કરવી. બાંગ્લાદેશની ક્રાંતિકારી સરકારે બીએસએફના કોલકત્તા ખાતેના ફ્રન્ટિયર મુખ્યમથકથી પોતાની કામગીરી શરૂ કરી હતી.

ઓપરેશન બ્લૂ સ્ટાર, ઓપરેશન બ્લેક થંડરમાં મહત્વની જવાબદારી-

80ના દશકમાં પંજાબમાં અશાંતિ ચરમ પર હતી, ત્યારે ઓપરેશન બ્લૂ સ્ટારની કાર્યવાહીમાં સેના સાથે મળીને બીએસએફના જવાનોએ મહત્વની જવાબદારીઓ સારી રીતે પુરી કરી હતી.

કારગીલ યુદ્ધ-

બીએસએફે કારગીલ યુદ્ધમાં સેનાની કાર્યવાહીમાં પણ ખભેખભો મિલાવીને સાથ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી હરકત થાય નહીં તેના માટે સજાગતા દાખવી હતી.

2001ના સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડનો ખાત્મો-

2003ના એક ઓપરેશનમાં 11 કલાકના અભિયાન બાદ એક ઘરમાં છૂપાયેલા ગાઝીબાબાનો બીએસએફે ખાત્મો કર્યો હતો. ગાઝીબાબા છૂપાયો હતો, તે મકાનને મોર્ટારથી ઉડાડી દેવામાં આવ્યું હતું. આતંકવાદી ગાઝીબાબા આઈસી-814 કંદહાર અપહહરણ, કાશ્મીરમાં વિદેશીઓના અપહરણથી લઈને જમ્મુ-કાશ્મીર વિધાનસભા અને બાદમાં સંસદ પરના હુમલામાં આતંકીઓનો સરગના હતો.

આ સિવાય 2001ના કચ્છ ભૂકંપ વખતે પણ બીએસએફે રાહત અને બચાવ કામગીરી કરી હતી. આ સિવાય પણ દેશમાં કુદરતી આફતો વખતે બીએસએફે લોકોના જીવ બચાવવાની મોટી કામગીરીઓ કરી છે.

યુએન પીસકીપિંગ ફોર્સમાં બીએસએફનું યોગદાન-

યુએન પીસકીપિંગ ફોર્સમાં સૌથી વધુ સૈનિકો મોકલનાર દેશ ભારત છે. તેમા પણ સૌથી વધુ બીએસએફના જવાનોને અન્ય દેશોમાં શાંતિ સ્થાપિત કરવા માટે મોકલવામમાં આવે છે. બીએસએફના ઘણાં જવાનો યુએનના એવોર્ડથી પણ સમ્માનિત છે.

 

ભારતીય સેના અને બીએસએફ વચ્ચેનો તફાવત-

સશસ્ત્ર દળોના કાર્યો લગભગ એક જેવા હોય છે, પરંતુ દરેક ફોર્સની કાર્યપદ્ધતિઓ અલગ હોય છે. બીએસએફ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આવે છે. તે ગૃહ મંત્રાલયને આધિન છે. બીએસએફ શાંતિકાળ દરમિયાન તહેનાત કરવામમાં આવે છે.

જ્યારેસેના યુદ્ધ દરમિયાન સીમા પર તહેનાત થઈને દુશ્મનોનો મુકાબલો કરે છે. શાંતિ કાળમાં સેના સીમાડાઓથી દૂર રહીને યુદ્ધ માટે પોતાને તૈયાર રાખે છે. તે ક્રોસ બોર્ડર ઓપરેશન પણ કરે છે. ભારતી સેનાના જવાનોને બીએસએફના જવાનોથી વધુ સુવિધાઓ મળે છે. તેમાં કેન્ટીન, આર્મી સ્કૂલ વગેરે સેવાઓ સામેલ છે. ભારતીય સેના સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે.

-----------0---------

સ્વતંત્ર ભારતે લડેલા 5 યુદ્ધોની શૌર્યગાથા-

 ભારતે સ્વતંત્રતા બાદ પોતાના બે પાડોશી દેશો સાથે કુલ પાંચ યુદ્ધો લડયા છે. જેમા ચાર યુદ્ધો પાકિસ્તાન સાથે અને એક યુદ્ધ ચીન સાથે ભારતને લડવું પડયું છે. આ યુદ્ધના સંક્ષિપ્ત વિવરણ પર એક નજર કરીએ-

1)    1947-48નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ:  22 ઓક્ટોબર, 1947

અંત : 5 જાન્યુઆરી, 1949

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 441 દિવસ

ભારતની જાનહાનિ: 1104 મૃત્યુ, 3154 ઘાયલ

પાકિસ્તાન ખુવારી: 6000 મૃત્યુ, 14000 ઘાયલ

યુદ્ધનું વિવરણ-

બંને દેશો વચ્ચે સ્વતંત્રતા સાથે જ કાશ્મીર સમસ્યા કેન્દ્રમાં હતી. ભાગલા બાદ મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રિયાસતના હિંદુ શાસક મહારાજા હરિસિંહે સ્વતંત્ર રહેવાનું સપનું જોયું હતું. સપ્ટેમ્બર-1947માં કાશ્મીરના પશ્ચિમ વિસ્તારોમાં વિદ્રોહ દ્વારા આઝાદ કાશ્મીર સરકારની ઘોષણા કરવામાં આવી હતી. પાકિસ્તાને તકનો લાભ ઉઠાવતા કબાયલીઓને અહીં મોકલ્યા અને તેઓ રાજધાની શ્રીનગરથી માત્ર 15 માઈલ દૂર હતા. મહારાજા હરિસિંહે ભારતની મદદ માંગી હતી. ત્યારે તેમને સરકાર તરફથી વિલિનીકરણ માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા જણાવાયું હતું. મહારાજા હરિસિંહે હસ્તાક્ષર કર્યા અને નેશનલ કોન્ફરન્સ ઓફ કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાએ આના પર સંમતિ આપી હતી. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના વિલયને માન્યતા આપી હતી. બાદમાં ભારતે કાશ્મીરમાં પોતાની સેના મોકલી હતી. પાકિસ્તાને આઝાદ કાશ્મીર આંદોલનને મદદ કરવા માટે સૈન્ય સહાયતા કરી હતી. ભારતીય સેનાઓ આગળ વધી રહી હતી.. ત્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનની અનિયમિત સેનાઓને પાછી બોલાવવા માટેની કોશિશ માટે નવનિર્મિત સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી રાજદ્વારી સંશાધનોનો આદર્શવાદી માર્ગ અપનાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના પ્રસ્તાવ-39 અને 47 ભારતની તરફેણમાં ન હતા અને પાકિસ્તાને આ પ્રસ્તાવોને માનવાનો ઈન્કાર કર્યો હતો. 1947-48માં થયેલું કાશ્મીર માટેનું યુદ્ધ ભારતીય સેનાઓની પાકિસ્તાન પર સરસાઈ સ્થપાવા છતાં અનિર્ણાયક રહ્યું અને મામલો સ્વતંત્રતાના સાત દાયકાથી પણ વધુ સમયથી લટકેલો છે.

પરિણામ:

પાકિસ્તાને મહારાજા હરિસિંહના તાબા હેઠળની રિયાસત-એ-જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પોતાના ગેરકાયદેસર કબજા હેઠળ લીધો હતો. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ગિલગિત અને બાલ્તિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતે રિયાસત-એ-જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલંબથી થયેલા વિલિનીકરણ છતાં સેનાના શૌર્યથી જમ્મુ,કાશ્મીર ખીણ અને લડાખને પાકિસ્તાનના કબાઈલીઓ અને રેગ્યુલર્સના કબજામાં જતું બચાવ્યું હતું. આ યુદ્ધમાં 1 જાન્યુઆરી, 1949ના રોજ યુદ્ધવિરામનું યુએન દ્વારા એલાન કરાયું હતું.

-------------------------------0---------------------------------------

2)  2)1962નું યુદ્ધ

શત્રુ: ચીન

પ્રારંભ: 20 ઓક્ટોબર, 1962

અંત : 21 નવેમ્બર, 1962

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 32 દિવસ

ભારતની જાનહાનિ: 1383 મૃત્યુ, 548થી 1047 ઘાયલ

ચીનની ખુવારી: 722 મૃત્યુ, 1647 ઘાયલ

યુદ્ધનું વિવરણ-

ભારતની સ્વતંત્રતા બાદ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન સાથે મિત્રતાભર્યા સંબંધો રાખવા માટે પુરતી કોશિશ કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુરક્ષા  પરિષદમાં ચીનના કાયમી સભ્યપદ માટે પણ 1950માં સમર્થન કર્યુ હતું. પરંતુ તિબેટ પર કબજો કર્યા બાદ ચીને મેકમોહન લાઈનને માનવાનો ઈન્કાર કરીને દાદાગીરી શરૂ કરી હતી. 1954માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર થયા અને હિંદી-ચીની ભાઈ ભાઈના સૂત્રો ગાજવા લાગ્યા હતા. 1959માં દલાઈ લામા ચીનના અત્યાચારોથી તંગ આવીને ભારતમાં રાજ્યાશ્રય માટે આવ્યા હતા. તેના પછી ચીન એક તરફ પંચશીલના કરારો કરતું રહ્યું અને બીજી તરફ 1959થી 1962 વચ્ચે ભારત અને ચીન વચ્ચે નાનામોટા ઘર્ષણો થતા રહ્યા હતા. 10 જુલાઈ-1962નારોજ 350 ચીની સૈનિકોએ ચુશુલ ખાતેની ભારતીય ચોકીને ઘેરી લીધી હતી. 20 ઓક્ટોબર, 1962ના રોજ ચીને લડાખ અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સીમાં મેકમોહન લાઈન પાર કરીને હુમલા કર્યા હતા. ભારતના તત્કાલિન સત્તાધીશો આ યુદ્ધમાં ઉંઘતા ઝડપાયા હતા અને ચીને દોસ્તીનો રાગ આલાપતા દોસ્તીની પીઠમાં ખંજર ભોંક્યું હતું. ભારતે યુધ ક્ષેત્રમાં માત્ર બે ટુકડીઓની તહેનાતી કરી હતી અને ચીને ત્યાં ત્રણ રેજિમેન્ટ્સ તહેનાત કરી હતી. ચીની સૈનિકોએ ભારતીય ટેલિફોનલાઈન કાપી નાખી હતી અને તેથી ભારતીય સૈનિકો માટે મુખ્યમથકનો સંપર્ક કરવો મુશ્કેલ થયો હતો. 24 ઓક્ટોબર સુધીમાં ચીની સેના ભારતીય ક્ષેત્રમાં 15 કિલોમીટર અંદર સુધી આવી ગઈ હતી. ચીનના તત્કાલિન વડાપ્રધાન જો ઈનલાઈએ નહેરુને પત્ર લખીને સંઘર્ષવિરામનો પ્રસ્તાવમૂક્યો હતો. જેમાં નેફામાંથી ચીને પાછા હટવાનો અને અક્સાઈ ચીનમાં યથાસ્થિતિ બનાવી રાખવાની વાત કહી હતી. નહેરુએ ચીનનો પ્રસ્તાવ નકારીને કહ્યુ કે અક્સાઈ ચીન પર ચીનનો દાવો ગેરકાયદેસર છે. તો તત્કાલિન સોવિયત યૂનિયને પોતાનું વલણ બદલતા ચીનને સમર્થન આપતા કહ્યુ હતુ કે મેકમોહન લાઈન બ્રિટિશ સામ્રાજ્યવાદનું ખતરનાક પરિણામ છે. ભારતીય સંસદે ભારતની પવિત્ર ભૂમિ પરથી આક્રમણકારીઓને ખદેડવા માટે એક પ્રસ્તાવ પારીત કર્યો હતો. 14 નવેમ્બરથી ફરીથી બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં એક સપ્તાહ બાદ ચીને એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી દીધી હતી. પરંતુ ચીન અક્સાઈ ચીન પર કબજો કરીને પૂર્વોત્તરના વિસ્તારોમાંથી પાછું હટી ગયું હતું.

પરિણામ:

ચીને અક્સાઈ ચીનનો 1960માં ક્લેમ લાઈન સુધીનો વિસ્તાર કબજે કર્યો. ચીને 1962ના યુદ્ધમાં ભારતનો 38 હજાર વર્ગ કિલોમીટરનો વિસ્તાર ચીને દબાવી દીધો હતો. આ યુદ્ધમાં ચીને એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી હતી.

--------0-----------

3)1965નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 5 ઓગસ્ટ, 1965

અંત:  23 સપ્ટેમ્બર, 1965

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 50 દિવસ

ભારતની જાનહાનિ: 3000 મૃત્યુ

પાકસ્તાનની ખુવારી: 3800 મૃત્યુ

યુદ્ધનું વિવરણ-

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં બીજું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની પાછળ ઘણાં વિવાદો કારણભૂત હતા. જેમાં વિભાજન વખતે ભારતમાંથી પસાર થતી સિંધુ, ચિનાબ, સતલજ, બિયાસ અને રાવીના પાણીની વહેંચણીનો વિવાદ હતો. 1948માં ભારતે આ નદીઓના પાણી બંધ કર્યા હતા. 1960માં જવાહરલાલ નહેરુ અને અયૂબખાન વચ્ચે સિંધુ જળ સંધિ દ્વારા આ વિવાદનો અંત થયો હતો. પાકિસ્તાન ઝેલમ, ચિનાબ, સિંધુના પાણી અને ભારત સતલજ, બિયાસ અને રાવીના પાણીનો ઉપયોગ કરી શકશે તેવી સંધિ થઈ હતી. જળ વિવાદ બાદ સીમા આયોગ દ્વારા સીમા વિવાદને ઉકેલવાની કોશિશો થઈ હતી. 1965માં કચ્છ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાના પરિણામે વિવાદ શરૂ થયો હતો. ભારતે આ મામલો યુએનમાં ઉઠાવ્યો હતો. આને ભારતની કમજોરી સમજીને પાકિસ્તાને કાશ્મીરમાં ઉપદ્રવ મચાવવાની કોશિશ કરી હતી.

5 ઓગસ્ટ, 1965ના રોજ પાકિસ્તાને અંકુશ રેખા પર સેનાની મોટી તહેનાતી અને આક્રમણ શરૂ કર્યું હતું.જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના અનિયમિત જેહાદી દળોની ઘૂસણખોરી અને તેના ઓપરેશન જિબ્રાલ્ટર સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી. 1965ના યુદ્ધમાં ભારતીય સેનાઓ લાહોરના સીમાડાઓ સુધી પહોંચી ચુકી હતી. યુએન નિર્દિષ્ટ યુદ્ધવિરામ બાદ લડાઈ સમાપ્ત થઈ હતી. તાશ્કંદમાં ભારતના તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અયૂબ ખાને 10 જાન્યુઆરી-1966ના રોજ સોવિયત સંઘની મધ્યસ્થતામાં વિવાદોના દ્વિપક્ષીય વાટાઘાટોથી ઉકેલ અને શાંતિ જાળવવા મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાશ્કંદમાં લાલબહાદૂર શાસ્ત્રીનું રહસ્યમયી સંજોગોમાં નિધન થયું હતું.

પરિણામ-

1965ના યુદ્ધમાં ભારતના સૈન્યની સરસાઈ રહી હતી. આ યુદ્ધમાં ભારતે 3000 સૈનિકો ગુમાવ્યા હતા. તેની સાથે 150થી 190 ટેન્કો, 60થી 75 યુદ્ધવિમાનો પણ ગુમાવ્યા હતા. પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં હુમલો કરીને 540 વર્ગ કિલોમીટરનો વિસ્તાર પોતાના કબજામાં લીધો હતો. તો સામે પક્ષે પાકિસ્તાનને પણ મોટી ખુવારી થઈ હતી અને તેના 3800 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાની 200થી 300 ટેન્કો, 20 એરક્રાફ્ટ્સ પણ બરબાદ કરવામાં ભારતીય સેનાને સફળતા મળી હતી. ભારતીય સેનાએ સિંધ, લાહોર, સિયાલકોટ અને કાશ્મીર સેક્ટરમાં પાકિસ્તાનનો કુલ 1840 વર્ગ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. જો કે તાશ્કંદ કરાર બાદ ભારત અને પાકિસ્તાને એકબીજાના વિસ્તારો પરત કર્યા હતા.

-------------0----------------------------

4) 1971નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 3 ડિસેમ્બર, 1971

અંત:  16 ડિસેમ્બર, 1971

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 13 દિવસ

ભારતની જાનહાનિ: 2500થી 3843ની વીરગતિ, 9851થી 12000 ઘાયલ

પાકસ્તાનની ખુવારી: 9000 મૃત્યુ, 25000 ઘાયલ

પાકિસ્તાનનું ઢાકામાં જાહેરમાં આત્મસમર્પણ : 93000 પાકિસ્તાની સૈનિકોનું સરન્ડર

 યુદ્ધ વિવરણ-

1965ના અનિર્ણાયક યુદ્ધનો આંશિક ફેંસલો 1971ના ત્રીજા યુદ્ધમાં થયો હતો. માત્ર 13 દિવસના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા થયા હતા. તેની સાથે મજહબી રાષ્ટ્રવાદનો પાકિસ્તાનનો વિચાર પણ ખોખલો સાબિત થયો હતો. મજહબી ઝનૂનથી અસ્તિત્વમાં આવેલા પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન 1947માં અસ્તિત્વમાં આવ્યા હતા. બંને ભાગ વચ્ચે ભારત હતું અને 1200 માઈલોનું અંતર હતું. આ સિવાય પૂર્વ પાકિસ્તાનમાં પંજાબી મુસ્લિમોનું વર્ચસ્વ હતું અને ઉર્દૂ ભાષાને પૂર્વ પાકિસ્તાનના બંગાળી ભાષી મુસ્લિમો પર થોપી દેવામાં આવી હતી.

પૂર્વ પાકિસ્તાનના નેતા શેખ મુજીબુર રહમાનને ચૂંટણી જીતવા છતાં સત્તાની સોંપણી નહીં કરવાનો મામલો બાંગ્લાદેશના નિર્માણ માટેનો ટર્નિંગ પોઈન્ટ હતો. રહમાનની પાર્ટીએ 1970માં 300માંથી 160 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને રાષ્ટ્રપ્રમુખ યાહ્યા ખાને મુજીબુર રહમાનને સત્તા સોંપણીનો ઈન્કાર કર્યો હતો. 26 માર્ચ-1971ના રોજ રાત્રે 1-15 કલાકે શેખ મુજીબુર રહમાનને પાકિસ્તાની સેનાની ત્રણ કમાન્ડો યુનિટ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા હતા. પૂર્વ પાકિસ્તાનમાં જનરલ યાહ્યાખાને દમનચક્ર ચલાવ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધમાં 70 લાખ યહૂદીઓની હત્યા કરનારા એડોલ્ડ હિટલર સાથે તેઓ સ્પર્ધામાં ઉતર્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા શરૂ કરાયેલા દમનચક્રમાં ત્રીસ લાખથી વધુ બંગાળીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તો 1971ના નવ માસમાં પૂર્વ પાકિસ્તાનમાં બે લાખથી વધુ મહિલાઓના પાકિસ્તાની સેના દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા બંગાળી મહિલાઓ પર સામુહિક બળાત્કારની કરુણતા પણ હ્રદય કંપાવનારી હતી...પૂર્વ પાકિસ્તાનમાં અત્યાચારોને કારણે શરણાર્થીઓના ધાડેધાડા ભારતમાં ઉતરી આવ્યા હતા. જેના કારણે ભારતને આના માટે પગલા ભરવા જરૂરી હતા.

3 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સાથે યુદ્ધ શરૂ થયું હતું અને તેના 13 દિવસમાં 16 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાનના વિભાજન સાથે બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો... શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તો પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ઝુલ્ફિકારઅલી ભુટ્ટો જૂન-1972માં ભારત આવ્યા હતા. સિમલા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બહાલી માટે કરાર થયો હતો. સિમલા કરાર મુજબ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા વિવાદો અને સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલની સંમતિ સધાઈ હતી. બંને દેશ પ્રવર્તમાન સ્થિતિને એકતરફી રીતે બદલવાની કોશિશ નહીં કરે તેવી પણ સંમતિ બની હતી. જો કે પાકિસ્તાને સિમલા કરાર બાદ પણ પોતાની હરકતો ચાલુ રાખી છે.

પરિણામ-

પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ઢાકામાં જાહેરમાં ભારતીય સેના સમક્ષ હથિયાર નાખીને નામોશી સાથે આત્મસમર્પણ કર્યું હતું. 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર પણ થયો હતો. ભારતે 15010 વર્ગ કિલોમીટરનો પાકિસ્તાનનો વિસ્તાર કબજે કર્યો હતો અને તેને સિમલા કરાર બાદ પાકિસ્તાનને પાછો સોંપી દેવામાં આવ્યો હતો.પાકિસ્તાને બાંગ્લાદેશનો બદલોલેવા બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ પહેલા પંજાબ અને બાદમાં જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદ અને આતંકવાદને ઉછેરવાનું શરૂ કર્યું હતું.

----0-------

5) 1999નું યુદ્ધ

શત્રુ: પાકિસ્તાન

પ્રારંભ: 3 મે, 1999

અંત: 26 જુલાઈ, 1999

કેટલા દિવસ ચાલ્યું યુદ્ધ?: 85 દિવસ

ભારતની જાનહાનિ: 527ની વીરગતિ, 1363 ઘાયલ

પાકિસ્તાનની જાનહાનિ: 737થી 1200ના મોત, 1000થી વધુ

યુદ્ધ વિવરણ-

જમ્મુ-કાશ્મીરના કારગીલ જિલ્લા અને નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સૈનિકો અને પાકિસ્તાનના ઉછેરેલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય સેના દ્વારા શિયાળામાં ખાલી કરવામાં આવેલી પોઝિશનો પર ઘૂસણખોરી કરીને નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાની કેપ્ટન સૌરભ કાલિયાની પેટ્રોલિંગ પાર્ટી સાથે પાકિસ્તાની સેના અને આતંકીઓએ બર્બરતાપૂર્ણ વ્યવહાર કરીને તેમના જીવ લીધા હતા. ભારતીય સેના અને સરકારને સમગ્ર હકીકતની જાણકારી મળ્યા બાદ કારગીલના ક્ષેત્રો પાછા લેવા માટે ઓપરેશન વિજય હાથ ધરાયું હતું. ભારતીય વાયુસેનાએ પણ ઓપરેશન વિજયમાં મિરાજ-2000 અને મિગ શ્રેણીના વિમાનો સાથે ભાગ લીધો હતો. 85 દિવસ ચાલેલા કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ શૌર્ય અને બલિદાનોની હેલી લગાવીને પાકિસ્તાની ઘૂસણખોરોને વીણીવીણીને ખદેડી મૂક્યા હતા.  મહત્વપૂર્ણ છે કે કારગીલ યુદ્ધ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી લાહોર બસ લઈને ગયા હતા અને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે 21 ફેબ્રુઆરી, 1999ના રોજ લાહોર ડેક્લેશન પર બંનેએ હસ્તાક્ષર કર્યા હતા. વાજપેયીની લાહોર મુલાકાત વખતે પાકિસ્તાની સેનાના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફે અટલજીને સેલ્યૂટ કરી ન હતી. પાકિસ્તાની સેનાધ્યક્ષના દિમાગમાં ચાલતા ખુરાફાતના આનાથી સંકેત મળ્યા હતા. જો કે કારગીલ યુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ 2001માં જનરલ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે અટલ બિહારી વાજપેયી સાથે વાટાઘાટો કરવા માટે આગ્રા આવ્યા હતા.

પરિણામ-

ઓપરેશન વિજયને પાકિસ્તાની ઘૂસણખોરોને કારગીલમાંથી હાંકી કાઢવા સુધી ચાલુ રાખવામાં આવ્યું અને ભારતીય સેનાને આમા મોટા-મોટા બલિદાનો આપ્યા બાદ સફળતા મળી હતી. પાકિસ્તાની સેનાની પણ મોટી ખુવારી થઈ હતી. પાકિસ્તાની સેના પોતાના સૈનિકોની લાશો લેવા માટે પણ તૈયાર ન હતી. જનરલ મુશર્રફે કારગીલ યુદ્ધને લઈને મોટામોટા દાવા કર્યા અને તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પાકિસ્તાનમાંથી દેશવટો આપ્યો હતો.

--------0--------