Tuesday, July 31, 2012

ભારતમાં ક્રાંતિજ્વાળાઓ ભડકાવા જરૂર એક ચિનગારીની છે


-આનંદ શુક્લ
આપણું ભારત, હિંદુસ્તાનમાંથી ઈન્ડિયા બનેલું ભારત. સનાતનકાળથી સર્વોચ્ચ મૂલ્યોનું વાહક બનેલું ભારત. ઋષિ-મુનિઓના દર્શન અને ચિંતનથી ઉત્કૃષ્ટ જીવનશૈલીનું ધ્વજારોહક બનેલું ભારત. ઈશ્વરની ચેતના અને તેમના અંશના પ્રાગટ્યનું વિશ્વનું એકમાત્ર સ્થાન ભારત. ક્રાંતિની જ્વાળાઓના શિખર પર રહીને પણ ક્રાંતિથી વંચિત રહી જતું ભારત ! ભારત આશરે પાંચ હજાર વર્ષથી ક્રાંતિની પ્રતીક્ષામાં છે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ દ્વારા થયેલી ક્રાંતિ બાદ ભારતમાં સાચા અર્થમાં ક્રાંતિ થઈ શકી નથી. જે ક્રાંતિના નામે પ્રચલિત ઘટનાઓ છે, તે માત્ર પ્રતિક્રિયામાંથી જન્મેલા ત્વરીત પરિવર્તનો કે વધુમાં વધુ અધુરી ક્રાંતિઓ છે. ભારતે અને ભારતના લોકોએ ક્યારેય આ પરિવર્તનોને સ્થાયી કરીને પૂર્ણ ક્રાંતિને પામવા માટે પ્રયત્ન કર્યો નથી.
કદાચ ભારતના લોકોનું વર્તન એવું છે કે ક્રાંતિથી અને ક્રાંતિના લોહિયાળ પરિણામોથી તેઓ ડરી રહ્યા છે. ક્રાંતિ એક મોટું વાવાઝોડું છે, જેમાં જેના મૂળ ઉંડા નહીં હોય તેવી બધી વસ્તુઓ ઉડીને દરિયામાં જઈને પડશે. કુદરતે એટલે જ તો ભારતની ત્રણ બાજુ સમુદ્ર આપ્યો છે કે જે વસ્તુઓના દેશમાં ઉંડે સુધી મૂળિયા ન હોય તેને દરિયામાં ડૂબાડી શકાય. ક્રાંતિના લાલવર્ણી લાગવાનું કારણ તેનામાં રહેલી લોહીની લાલાશ છે. ક્રાંતિમાં લોહીની લાલાશ તેને પામવાની જે લોકોને અદમ્ય ઈચ્છા હોય છે, તેના જ રક્તની હોય છે. ત્યાર પછી ક્રાંતિ તેને રોકનારાઓનું પણ લોહી વહેવડાવે છે. ક્રાંતિ કદી અધુરા હ્રદયે અને ડરતા ડરતા પામી શકાતી નથી. તેના માટે અખંડ શ્રદ્ધા, અડગ વિશ્વાસ અને અવિરત નિર્ભયતા બિલકુલ આવશ્યક બાબતો છે.
ક્રાંતિ તેના નેતા વગર અશક્ય છે. ક્રાંતિનો જે નેતા બને છે, તે ભગવાન બની જાય છે. કૃષ્ણ ભગવાન છે કે નહીં તેની ચર્ચા આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે સતત થતી રહેશે. પરંતુ મહાભારતના યુદ્ધમાં થયેલી રક્તક્રાંતિએ કૃષ્ણને લોકહ્રદયમાં ભગવાન જરૂરથી બનાવી દીધા છે, તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. મહાભારતની રક્તક્રાંતિને અધર્મ વિરુદ્ધ ધર્મના જય સાથે તેના આખરી અંજામ સુધી કોઈએ પહોંચાડી હોય, તો કૃષ્ણના સબળ અને સક્ષમ નેતૃત્વએ. ક્રાંતિ હવામાં હોય છે. ક્રાંતિની હવા ધીરેધીરે ફેલાય છે અને અચાનક વાવાઝોડું બનીને અનિષ્ટો અને અધર્મીઓ પર ત્રાટકે છે. ક્રાંતિની હવા પોતાનો નાયક અને સંગઠન ખુદ બનાવી લેશે. ક્રાંતિ નિશ્ચિત નાયક અને નિશ્ચિત સંગઠનો દ્વારા ક્યારેય થઈ નથી અને થવાની નથી. ક્રાંતિના વાવાઝોડાંમાં નાયક ઉભરી આવે છે અને નાયકની આસપાસનું વર્તુળ સંગઠનનું સ્વરૂપ લઈ લે છે. આ સંગઠન ક્રાંતિને સ્થાયી કરવા માટે સંસ્થાનું સ્વરૂપ ધારણ કરી નાખે છે. પરંતુ સંસ્થા સ્થાયી થવાથી સ્થાપિત હિતોના આગળ વધવાનું જોખમ રહેલુ હોય છે. તેથી ક્રાંતિના ઉન્નત શિખરોને સર કર્યા બાદ તેની સંસ્થા, સંગઠનો અને નાયકોનું વિસર્જન અતિઆવશ્યક છે.
મહાભારતની રક્તક્રાંતિ જોવો. માત્ર પાંચ પાડવોને કૃષ્ણનું નેતૃત્વ મળતા કૌરવોની અઠાર અક્ષૌણી સેના સામે તેમણે બાથ ભીડી. સંખ્યાની દ્રષ્ટિએ પાંડવો પહેલેથી નબળા હતા. કૌરવ સેનાના મહારથીઓ એકએકથી ચડિયાતા હતા. પરંતુ કૌરવો પાસે એક વાતની કમી હતી અને તે ધર્મ હતો. અધર્મના માર્ગ પર ચાલનારા કૌરવોને દુર્યોધનનું નેતૃત્વ હતું અને દુર્યોધન પર અંધ ધૃતરાષ્ટ્રનો અતિમોહ હતો. અધર્મના માર્ગે કૌરવ સેનાને કૃષ્ણના સબળ નેતૃત્વવાળા પાંડવો સામે નિર્બળ બનાવી દીધી. પાંડવો ધર્મયુદ્ધ જીત્યા. ધર્મનો જય થયો. રક્તક્રાંતિના પરિણામો પ્રાપ્ત થયા. પરંતુ ત્યાર પછી શું થયું? પાંડવો હિમાલય ગાળવા નીકળી ગયા. રાજ્ય પોતાના વંશજોને સોંપી દીધું. કૃષ્ણ ભાલકાતીર્થમાં શિકારીના તીરથી વિંધાયને પાછા પોતાની લીલા સમાપ્ત કરીને વૈકુંઠ આવ્યા. મહાભારતની રક્તક્રાંતિ બાદ તમામ વસ્તુઓ અને નાયકો જેઓ તેના માટે જવાબદાર હતા, તેમણે પોતાને વિસર્જિત કરી દીધા. આ ક્રાંતિની અસરો ઘણાં લાંબા સમય સુધી દેશમાં રહી.
ક્રાંતિ થયા પછી પણ ક્રાંતિની અસરો નિરંતર ચાલુ રહે તેના માટે તેને રિચાર્જ કરતા રહેવી પડે છે. ભારતમાં ક્રાંતિના રિચાર્જની પ્રક્રિયામાં કંઈક ખલેલ પડી. તેના કારણો ઘણાં હોઈ શકે, નેતૃત્વની અક્ષમતા, સમાજની શિથિલતા, રાજકીય બેજવાબદારી, સાંસ્કૃતિક ઉદાસિનતા અથવા આર્થિક મહત્વકાંક્ષાઓ. ભારતમાં મહાભારત પછી ક્રાંતિ ક્યારેય રિચાર્જ થઈ નથી. હા, આપણે ક્રાંતિ તરીકે જેને ઓળખીએ છીએ, તેવી કેટલીક ઘટનાઓ જરૂરથી બની. પરંતુ આ ઘટનાઓ ક્રાંતિ જેવી જરૂર હતી, પરંતુ ક્રાંતિ ન હતી. આ ઘટનાઓ અન્ય ઘટનાઓની પ્રતિક્રિયામાંથી જન્મી હતી. ક્રાંતિ ક્યારેય પ્રતિક્રિયા હોતી નથી. ક્રાંતિ પ્રતિક્રિયા વગર એમને એમ જ વ્યવસ્થામાં રહેલી અવ્યવસ્થાઓમાંથી પેદા થાય છે.
મહાભારતની ક્રાંતિ થવાને કારણે ભારત સુગઠિત, સુવ્યવસ્થિત અને શક્તિશાળી બન્યું. સંસ્કાર, મૂલ્યો, નૌતિકતા, સામાજિક વ્યવસ્થા, રાજકીય મોડલ, સાંસ્કૃતિક ઉન્નતિ, આર્થિક વિકાસ બધી વસ્તુઓ ભારતે પ્રાપ્ત કરી. પરંતુ ભારતમાં ક્રાંતિના રિચાર્જ નહીં થવાથી વ્યવસ્થામાં ખુદ અવ્યવસ્થા ઉભી થઈ. આ વ્યવસ્થાની અવ્યસ્થાને કારણે ભારતના વ્યવસ્થિત સમાજ પર બહારની દુનિયાના અવ્યવસ્થિત સમાજો અને સમૂહોએ આક્રમણોનો દોર શરૂ કર્યો. ભારતના સુવ્યવસ્થિત સમાજ પર અવ્યવસ્થામાં ઝઝુમી રહેલા જૂથ-સમૂહો અને સમાજોએ તલવારના જોરે પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું. તેનું કારણ હતું કે ભારતનો સમાજ અતિસંસ્કારીત થવાને કારણે શક્તિની સતત ઉપેક્ષા કરનારો બન્યો હતો. શસ્ત્રો તેમણે પોતાના હાથમાંથી દેવોની પથ્થરની મૂર્તિના હાથમાં મુકી દીધા. પોતાની સુરક્ષા માટે પોતે લડવાને બદલે ચમત્કારોનો આધાર લેવાની મૂર્ખામી પણ આ સમાજે શરૂ કરી. જેનું પરિણામ લગભગ હજાર વર્ષની પરધર્મીઓની ગુલામીમાં આવ્યું.
ક્રાંતિ રિચાર્જ થતી રહેતી હોત, તો ભારતીય સમાજને ગુલામીના હજાર વર્ષ સહન કરવું પડયું ન હોત. એલેક્ઝાંડર સામે ચંદ્રગુપ્ત-ચાણક્યે પ્રતિકાર કર્યો, મહંમદ ગઝનવી સામે રાજા-મહારાજાઓ અલગ-અલગ લડયા, પૃથ્વીરાજ ચૌહાણે હાથમાં આવેલા મંહમદ ઘૌરીને છોડયો, બાબરને રાણા સાંગાની તલવારનો સામનો કરવો પડયો, અકબરને રાણા પ્રતાપની ટેક સામે જીતવા છતાં સતત નમતા રહેવું પડયું, ઔરંગઝેબ સામે છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ અને છત્રસાલની તલવારોએ બરાબરની ઝીંક જીલી, અંગ્રેજો સામે 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, ક્રાંતિકારીઓએ સતત અંગ્રેજી સલ્તનતના પાયા પોતાના બલિદાનો થકી હલબલાવ્યા, આઝાદ હિંદ ફોજ થકી સુભાષ બાબુએ અંગ્રેજોને હિંદુસ્તાનીઓની જાગી રહેલી શક્તિ દેખાડી, 1946માં નૌસેનાએ મુંબઈમાં બળવો કર્યો. આ તમામ ઘટનાઓ પ્રતિક્રિયાઓ હતી, ગુલામી સામેની પ્રતિક્રિયાઓ હતી. તે ક્રાંતિ ન હતી. ક્રાંતિ ગુલામીમાંથી પેદા થતી નથી, તે ગુલામીને ફગાવી દેનારી સમાજની સ્વયંભૂ ઘટના હોય છે. ભારતમાં કહેવાય છે કે દેશની આઝાદીને 65 વર્ષ થયા. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિની સ્વયંભૂ ઘટના નહીં થવાને કારણે પ્રતિક્રિયાવાદી ઘટનાઓથી અંગ્રેજો અને અંગ્રેજી સલ્તનતે જરૂરથી દેશ છોડયો છે. પરંતુ અંગ્રેજીયત, તેમના કાયદા અને તેમની નીતિઓ હજી પણ આ દેશમાં ચાલુ છે. જો આમ હોય તો આ દેશ આઝાદ કેવી રીતે કહી શકાય? ક્રાંતિ આ દેશને સંપૂર્ણ સ્વતંત્ર કરવાની સ્વરાજને સંપૂર્ણ સાર્વભૌમત્વ અપાવવાની અને તેના થકી સુરાજ નિર્માણ કરવાની અતિ જવાબદારીપૂર્ણ પ્રક્રિયા છે.
આ દેશ ક્રાંતિ ઈચ્છી રહ્યો છે. દુનિયામાં અત્યારે ક્યાંય કોઈ ક્રાંતિની શક્યતા છે, તો તે ભારતમાં છે. ભારતમાં ક્રાંતિ ઘટવા માટેના તમામ કારણો મોજૂદ છે અને લોકો પણ ક્રાંતિ ઈચ્છી રહ્યા છે. પરંતુ ભારતમાં ગુલામીના હજાર વર્ષમાં એક ક્રાંતિ વિરોધી માળખું અસ્તિત્વમાં આવ્યું છે, આ માળખું ભારતમાં ક્રાંતિ સર્જવા દેતું નથી. હજાર વર્ષના ગુલામી કાળમાં કેટલીક ક્રાંતિ વિરોધી બાબતો સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે રુઢિચુસ્ત બની ગઈ છે. જ્યારે આ બાબતોને બદલવાની કોઈ ચેષ્ટા કરે છે, તો માળખું પ્રતિક્રિયા આપે છે. આ માળખું પોતે ક્રાંતિની વાતો શરૂ કરી દે છે. આ માળખું પોતે બદલાઈ રહ્યું હોવાની અને પરિવર્તન કરવાની વાતો કરે છે. પરંતુ આ બધું માળખામાં રહેલા માણસો તેને બચાવવા માટે કરી રહ્યા છે. જ્યાં સુધી માળખા અને તેમા રહેલા લોકો સામે મુખર અને પ્રખર લોકજુવાળ નહીં જાગે, ત્યાં સુધી ક્રાંતિ શક્ય નથી. જો કે ક્રાંતિ માટેની તમામ પૂર્વશરતો ભારતમાં હાલ વિદ્યમાન છે. છેલ્લા હજાર વર્ષથી તે અસ્તિત્વમાં છે. પરંતુ તેમાં કોઈએ હજી સુધી ચિનગારી ચાંપી નથી. એક વખત ચિનગારી ચંપાઈ જશે, પછી ભારતમાં ક્રાંતિની જ્વાળાઓ તમામ અનિષ્ટોને ભસ્મીભૂત કર્યા વગર રોકાવાની નથી. ક્રાંતિજ્વાળાઓ ભારતને નવું પ્રભાત આપે તેવો વિશ્વાસ આ દેશના દર્શન અને ચિંતનને છે. જો કે તે પહેલા માળખામાં રહેલા લોકો પ્રેરીત કેટલાંક લોકો પોતે ક્રાંતિ કરી રહ્યા હોવાનો દેખાવ કરશે. પરંતુ ક્રાંતિ તેમના વશની વાત નથી. યાદ રાખો ક્રાંતિ જીવનમાં સાધુતા રાખનારા લોકો કરી શકશે. જેઓ મોતના મરજીવા બનીને મમત્વને છોડીને મેદાનમાં આવશે, જેઓ લોકોની આકાંક્ષાઓને પામવા માટે પોતાના લીલુડા માથા વધેરાવા તૈયાર થશે, જે લોકો સ્વને છોડીને ભારતમાં વિલીન થવા માટેની તૈયારી દર્શાવશે, ક્રાંતિ તો આવા લોકો માટે ચપટીની વાત છે. આવા લોકો ભારતની બહુરત્ના વસુંધરા જ આપશે. 

Saturday, July 28, 2012

ટીમ અણ્ણાનો અનશનનો તાયફો સુપર ફ્લોપ


-આનંદ શુક્લ
ભ્રષ્ટાચાર માત્ર ભારતની જ નહીં, પણ આખી દુનિયાની સમસ્યા છે. માનવીના જન્મની સાથે જ ભ્રષ્ટતાઓ અને ભ્રષ્ટતાઓના વ્યવહારથી ભ્રષ્ટાચાર પણ પેદા થયો છે. ભ્રષ્ટાચાર મૂલ્યહીનતા અને અનૈતિકતાથી જન્મે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે તમામ મૂલ્યો અને નૈતિકતાઓ કાયદા તરીકે તેની વ્યાખ્યામાં  સામેલ નથી. જ્યારે આવા મૂલ્યો અને નૈતિકતા માટે કોઈ આગ્રહ કે હઠાગ્રહ કરે, તો તેને તાલિબાની પ્રવૃતિ ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં દેશ-દુનિયામાં ભ્રષ્ટાચારના અનાચારથી સમાજ સાથે અત્યાચારનું કામ ચાલુ છે. ભ્રષ્ટાચારનો અત્યાચાર કરનાર દરેક વ્યક્તિ પોતે આ નહીં કરતો હોવાનું દ્રઢપણે માનતો હોય છે, તેને માત્ર વાંધો બીજા આમ કરે તેનાથી છે!

ભ્રષ્ટાચારને રોકવા માટે દેશ અને દુનિયામાં અનેક આંદોલનો થયા છે, પરંતુ તેનાથી ભ્રષ્ટાચાર ખતમ થવાને બદલે વધતો રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો છતાં તેમાં વધારો શા માટે થયો તેના સંદર્ભે કોઈ નેતા વિચાર કરવા માટે તૈયાર નથી. બસ ભ્રષ્ટાચારના વિરોધમાં સવા વર્ષથી ચાલતો અનશનના નામનો તાયફો વધુ એક વખત અણ્ણા હજારે અને ટીમ અણ્ણા આગળ વધારી રહ્યા છે. મુંબઈમાં એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના ફ્લોપ શો બાદ દિલ્હીમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ટીમ અણ્ણાના અનશનમાંથી લોકો ગાયબ છે. અણ્ણા હજારેનુ કહેવુ છે કે પાંચ લોકોની હાજરીથી પણ આંદોલન ચલાવી શકાય છે. ભીડની કોઈ આંદોલનના પ્રભાવ સાથે કોઈ લેવાદેવા નથી.

પરંતુ આમ કહેતી વખતે અણ્ણા ભૂલી જાય છે કે દુનિયાનું કોઈપણ આંદોલન લઈ લો, તે જનતા વગર હંમેશા અધુરું રહ્યું છે. જનતાના સાથ વગરની કહેવાતી ક્રાંતિઓ ભારત અને ભારત બહાર હંમેશા અધુરી અને નિષ્ફળ રહી છે. જનજનના જોડાવાથી જનઆંદોલન બને છે અને જનઆંદોલનની આગ ક્રાંતિ પેદા કરે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તા પરિવર્તનથી માંડીને વ્યવસ્થા પરિવર્તનની વાત કરનારા અણ્ણા હજારે પોતાના આંદોલનમાં જનતાને નહીં જોડી શકવાની વાતને સ્વીકારતા નથી. ગત વર્ષ પહેલા બે અનશન દરમિયાન અણ્ણા હજારે સાથે લોકો દેખાયા, ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર લોકોએ અણ્ણાના આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. પરંતુ અણ્ણા હજી સુધી લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કંઈપણ નક્કર કરી શક્યા નથી. જેના કારણે આજની વ્યસ્ત જિંદગીમાં લોકોને અણ્ણાના અનશનથી કોઈ પરિણામ નીકળતુ દેખાયું નથી. જેના કારણે લોકો પોતપોતાની જિંદગીમાં જ વ્યસ્ત છે. કાળઝાળ મોંઘવારી અને જીવન ટકાવી રાખવાની જદ્દોજેહાદમાંથી વ્યક્તિને સમય વેડફવો પોસાય તેમ નથી. જેના કારણે અણ્ણા હજારેના અનશનના નામે ચાલતા તાયફામાં તેઓ જવા માટે તૈયાર નથી.
ટીમ અણ્ણા પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે પણ લોકોમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા ઘટી હોવાની વાતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. આ સિવાય અણ્ણા હજારે અને ટીમ અણ્ણાને સંઘ પરિવારનો સાથે લેવાથી પરહેજ છે, પરંતુ તેઓ દિલ્હીની જુમ્મા મસ્જિદના ઈમામ બુખારીનો સાથ લેવા માટે વિનવણીઓ કરવા પહોંચી જાય છે. જેના કારણે અણ્ણાના આંદોલન પાછળથી સંઘ પરિવારે પણ પોતાના હાથ ખેંચી લીધા છે. દિલ્હીમાં ગત વર્ષ ઓગસ્ટના અનશન દરમિયાન રામલીલા મેદાન ખાતે કથિતપણે વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓ દ્વારા લંગર ચલાવવામાં આવ્યા હતા. જો કે વિશ્વ હિંદુ પરિષદે આની કોઈ આધિકારીક પુષ્ટિ કરી નથી. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ચલાવાયેલા રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી સંત સાધ્વી ઋતંભરાને રામલીલા મેદાન ખાતેના અનશનમાં મંચ પર આવવા દેવામાં આવ્યા ન હતા અને તેમને નીચે બેસીને જ પાછા વળવું પડયું હતું. મુસ્લિમ સમુદાયના લોકોને પ્રતીકરૂપે મંચ પર રાખવા અને તેમને અનશન સ્થાન પર નમાજ પઢવા દેવાની વ્યવસ્થા કરવા સુધીની કાર્યવાહી ટીમ અણ્ણા અને અણ્ણા હજારે દ્વારા કરવામાં આવી હતી.

અણ્ણા હજારે અને ટીમ અણ્ણા દ્વારા હિંદુ સંગઠનો સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો કે જાણે કે તેઓ આ દેશના નાગરીક જ ન હોય અને તેમનો આ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં સાથ લેવો પાપ હોય. અણ્ણા હજારેને આંદોલનમાંથી લોકો ગુમ થવાનું આ કારણ પણ તેમણે વિચારવું જોઈએ. બાબા રામદેવ ટીમ અણ્ણાના અનશન દરમિયાન શુક્રવારે મંચ પર આવ્યા. બાબા રામદેવ સાથે ભીડ આવી અને તેમના જવાની સાથે જ ભીડ ગાયબ થઈ ગઈ. બાબા રામદેવે પણ ટીમ અણ્ણાના મંચ પર આવતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે જનઆંદોલનોમાં દેશના 125 કરોડ લોકોનો સાથ હોવો જોઈએ. તો જ ક્રાંતિ શક્ય બનશે. તેમણે પરિવર્તન લાવનારા કોઈપણ આંદોલન સાથે દેશની વસ્તીના એક ટકા લોકોના સ્થાયીપણે જોડાયેલા હોવા જોઈએ તેવી વાત પણ કરી છે.

આનો સ્પષ્ટ અર્થ છે કે અણ્ણાનું જનલોકપાલ આંદોલન જનશક્તિ વગર સુરસુરિયું થઈ ગયું છે. હાલ ફેસબુક અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ અણ્ણાના સમર્થકોની પાંખી હાજરી નજરે પડે છે. જો કે અણ્ણા હજારેએ અનશનથી આગળ વધીને લોકોને રાજકીય વિકલ્પ આપવાની વાત કરી છે. તેઓ પોતે ચૂંટણીમાં ઉભા નહીં રહે, પરંતુ સારા લોકોને ચૂંટણીમાં ટેકો આપશે. પરંતુ જ્યારે ભારતની લોકશાહી નંબર ગેમ છે, ત્યારે જનતાના ટેકા વગર ઉભો થનારો વિકલ્પ કેટલો ટકશે, તે પણ અંદાજવું ઘણું સરળ છે.

લોકશાહીમાં સત્તા અને શક્તિ જનતામાં કેન્દ્રીત છે. જનતા જેને ચાહે તેને સત્તા અને તેના માટેની શક્તિ આપી શકે છે. જનતાને પોતાની પાસે રહેલી સત્તા અને શક્તિના અધિકારો યોગ્ય વ્યક્તિને આપવા માટે રાજકીય રીતે સાક્ષર બનાવવાની જરૂરત છે. પરંતુ ભારતના લોકોનું અત્યાર સુધીનું રાજકીય કલ્ચર જ એ પ્રકારનું રહ્યું છે કે રાજકારણ અને રાજકારણીઓને હંમેશા ધિક્કારવા, રાજકારણને ઉપેક્ષાથી જોવું. જેના કારણે આજે રાજકારણ પર ખોટા અને ભ્રષ્ટાચારી લોકોનો દબદબો છે. આને ખતમ કરવા માટે જનતાને રાજકીય રીતે સાક્ષર બનાવવી પડશે અને સાથે સાથ તેમની સામે અન્ય યોગ્ય રાજકીય વિકલ્પ મૂકવો પડશે. પરંતુ આ તમામ કવાયત માટે જનતાને સાથે જોડવી જનઆંદોલન ઉભું કરવું તેની પ્રાથમિકતા બનેલી રહેશે. જો કે આંદોલનથી લોકોના ગાયબ થવા પર અણ્ણા હજારેનું નિવેદન દર્શાવે છે કે તેમને લોકો વગર પણ આંદોલન ચલાવવાના મુંગેરીલાલના હસીન સપના આવે છે. 

Friday, July 27, 2012

પાકિસ્તાનમાં હિંદુ યુવકના ધર્માંતરણનું લાઈવ પ્રસારણ!


-આનંદ શુક્લ
ઈસ્લામના નામે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં ધર્મઝનૂની કટ્ટરપંથીઓ પાકિસ્તાની સેના, વહીવટી તંત્રથી માંડીને મીડિયા સુધીમાં છે. પાકિસ્તાનની એક ટેલિવિઝન ચેનલે એક હિંદુ યુવકના ઈસ્લામમાં ધર્માંતરીત થવાની ઘટનાને લાઈવ પ્રસારીત કરી. એટલું જ નહીં લાઈવ કવરેજ દરમિયાન ઉપસ્થિત ઓડિયન્સ પાસેથી પાકિસ્તાની ટેલિવિઝન ચેનલે ધર્માંતરીત થયેલા હિંદુ યુવક માટે મુસ્લિમ નામના સૂચનો પણ માંગ્યા. ઈસ્લામ સિવાયના લઘુમતીમાં રહેલા અન્ય તમામ ધર્મો સાથે પાકિસ્તાનમાં હીણપતભર્યું વર્તન આમ વાત છે. પરંતુ હવે ટેલિવિઝન ચેનલો પર ધર્માંતરણના લાઈવ પ્રસારણ કરીને હિંદુ સહીતના અન્ય લઘુમતી ધર્મો પ્રત્યે પાકિસ્તાની મીડિયાની અસંવેદનશીલતા છતી થાય છે.

આઝાદી વખતે ભારતમાંથી છૂટા પડેલા પશ્ચિમ પાકિસ્તાનમાં 14 ટકા હિંદુઓ હતા. જે આજે માત્ર 2 ટકાની અંદર સમેટાઈ ગયા છે. સિંધના નગરપારકર અને થરપારકર સહીતના કેટલાંક વિસ્તારોમાં તથા કરાચી અને હૈદરાબાદ જેવા શહેરોમાં હિંદુઓની વસ્તી સારાએવા પ્રમાણમાં છે. સિંઘ સિવાય બલુચિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં પણ પાંખી હિંદુ વસ્તી વસવાટ કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવમાં તેમની હાલત અન્ય લઘુમતી સમુદાયોમાં સૌથી વધારે કફોડી છે. સિંધમાં હિંદુ તબીબ ભાઈઓને એકસાથે ગોળીઓ ધરબી દેવાની ઘટના હજી તાજી છે. હિંદુ યુવતીઓના બળજબરીથી અપહરણ કરીને તેમને ધર્માંતરીત કરવાની ઘટનાઓ અવારનવાર બને છે. હિંદુ દલિત યુવક દ્વારા પરબ પર પાણી પીવાના પ્રશ્ને આખા સમુદાયની કત્લેઆમ કરવા માટે સ્થાનિક મુસ્લિમ કટ્ટરપંથીઓ તૈયાર થઈ જાય છે.

પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખો મોટી સંખ્યામાં ભારતમાં આવવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેઓને તેમના હિંદુ અને શીખ હોવા માટે હીણપતનો સામનો કરવો પડે છે. બળજબરી, લાલચ, ભય, કપટ અથવા તેવા અન્ય કોઈ રસ્તે કરવામાં આવતું ધર્માંતરણ કોઈપણ જગ્યાએ અનૈતિક છે. ધર્મ વ્યક્તિના આત્મા કે રુહ સાથે જોડાયેલી અત્યંત વ્યક્તિગત બાબત છે. આવી બાબતોમાં વ્યક્તિ સ્વેચ્છાએ પૂર્ણ વિચાર કરીને કોઈ ધર્મ અંગીકાર કરે અથવા તેનો અનુયાયી બને, તો તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ માત્ર પાકિસ્તાનના સ્થાનિક હિંદુઓને ડરાવવા અને તેમના ઉત્સાહને ઘટાડવા માટે મીડિયામાં રહેલા તાલિબાની તત્વો દ્વારા ધર્માંતરણનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તો તેની ખરેખર ટીકા થવી જોઈએ.

પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચાર બાબતે ભારત સરકારે પણ વિરોધ વ્યક્ત કરીને કૂટનીતિક પગલા લેવા જોઈએ. ભારત સરકારે પણ હિંદુ યુવકના ઈસ્લામ અંગીકાર કરવાની ઘટનાના લાઈવ પ્રસારણ બાબતે વાંધો ઉઠાવવો જોઈએ. હિંદુ યુવકના ધર્માંતરણના લાઈવ કવરેજથી પાકિસ્તાનમાં હિંદુઓ સાથે તાલિબાની તત્વો કેવો વ્યવહાર કરતા હશે તેની વાત ખુલી ચુકી છે. અત્યાર સુધીના ધર્માંતરણોની માત્ર ચર્ચા અને અખબારી અહેવાલો જ આવતા હતા અને હવે તેના ટેલિવિઝન પર લાઈવ પ્રસારણથી તાલિબાની તત્વોના પાકિસ્તાનમાં હોંસલા બુલંદ થઈ જશે. તેમને હિંદુઓના વધુ મોટા પ્રમાણમાં સામુહિક જાહેર ધર્માંતરણો કરવા માટે પ્રોત્સાહન મળશે. પાકિસ્તાનમાં તાલિબાનીઓના કટ્ટરપંથી ખેલમાં ત્યાંનું મીડિયા પણ સામેલ થઈને આવા શોના પ્રસારણો કરવા માટે સ્પર્ધા કરશે.

પાકિસ્તાનના ઈસ્લામિક સમાજની માનસિકતા અને તેમની ગંદી સોચ હિંદુ યુવકના ધર્માંતરણના લાઈવ પ્રસારણમાં પ્રતિબિંબિત થઈ રહી છે. પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર ડૉને આ ઘટનાના વિરોધમાં તંત્રીલેખ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આધુનિક, ઉદારવાદી અને સહિષ્ણુતાની ભાવના ધરાવતા લોકોની ઘણી અછત છે. તેઓ અહીં લઘુમતીમાં છે અને તાલિબાની વિચારધારામાં માનનારા તથા તેના પ્રત્યે ઝુકાવ રાખનારાઓની સંખ્યા ઘણી વધારે છે. પાકિસ્તાનની આવી ઘટનાના પડઘા ભારતમાં પણ પડી શકે છે, કારણ કે એક તરફના કટ્ટરપંથને જોઈને ભારતમાં પણ પ્રતિકાર સ્વરૂપે કટ્ટરપંથ પેદા થઈ રહ્યો છે. આજે કટ્ટરપંથના દેશની રાજનીતિમાં પ્રભાવી બન્યાના બે દાયકા બાદ પાકિસ્તાની તાલિબાની માનસિકતાના કટ્ટરપંથની ભારતમાં પણ પ્રતિક્રિયા ઉભી થઈ શકે છે. આમ ન બને તેના માટે ભારત સરકારે પાકિસ્તાન પર આવી ઘટનાઓ રોકવા માટે દબાણ બનાવવું પડશે. 

મોદીની ઉર્દૂ સાપ્તાહિક ‘નઈ દુનિયા’ને મુલાકાતના ગૂઢાર્થો


-આનંદ શુક્લ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉર્દૂ અખબાર ‘નઈ દુનિયા’ને આપવામાં આવેલી મુલાકાત બાદ રાજકારણ ગરમ થયું છે. નરેન્દ્ર મોદી દ્વારા 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો પછી દશ વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ઉર્દૂ અખબારને મુલાકાત આપવામાં આવી છે. આ મુલાકાતમાં મોદીએ એવા સવાલોનો જવાબ પણ આપ્યો છે કે ભૂતકાળમાં જેને સાંભળીને તેઓ બોલવાનું બંધ કરી દેતા હતા અથવા મુલાકાત અધુરી મૂકીને નારાજગી સાથે સ્ટુડિયોમાંથી ચાલ્યા જતા હતા.

ઉલ્લેખનીય છે કે એનડીટીવીના વિજય ત્રિવેદી દ્વારા 2007ની ચૂંટણી વખતે લેવામાં આવેલા ઈન્ટરવ્યૂ વખતે હુલ્લડ સંદર્ભેના સવાલ પર મોદી ચોપરની બારીની બહાર જોતા રહ્યા અને બોલવાનું બંધ કરી દીધું હતું. આ સિવાય સીએનએન-આઈબીએન ચેનલ પર કરણ થાપરના કાર્યક્રમમાં મોદીને ગુજરાત રમખાણો સંદર્ભે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓ મુલાકાત છોડીને જતા રહ્યા હતા. જો કે કરણ થાપરના કાર્યક્રમમાં બનેલી ઘટનાના અઠવાડિયામાં જ હુલ્લડો સંદર્ભેના સ્ટિંગ ઓપરેશન તહેલકાએ જુદીજુદી ચેનલો પર પ્રસારીત કર્યા હતા.

પરંતુ દશ વર્ષ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવા તમામ સવાલોનો જવાબ નઈ દુનિયાના સંપાદક અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શાહીદ સિદ્દીકીને આપ્યા છે કે જેનાથી મોદી ભૂતકાળમાં આભડછેટ રાખતા હતા. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી 2002 અથવા 2007 જેટલી સરળ દેખાઈ રહી નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મોદી સામે વિરોધનું બ્યૂગલ બજાવ્યું છે. છ સ્થાનો પર પરિવર્તન મહાસંમલનોમાં 20 હજારથી માંડીને 60 હજાર સુધીની ભીડ કોઈપણ જાતની વાહન વ્યવસ્થા વગર એકઠી કરીને કેશુભાઈ પટેલે મોદી સરકારની ખુરશીના પાયા તો હચમચાવ્યા છે. આવા ટાણે ઉર્દૂ અખબારને ગુજરાત રમખાણો સંદર્ભે ઈન્ટરવ્યૂ આપીને મોદી કોઈ નવી રાજકીય શતરંજ માંડી રહ્યા હોવાની વાત પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

રાજકીય નિરીક્ષકોના મતે હાલ ગુજરાતમાં મોદી સરકાર 2012ના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટીઈન્કમબન્સી અને કેશુભાઈ પટેલના વિરોધને કારણે બિનઆરામદાયક પરિસ્થિતિનો અનુભવ કરશે. તેવા વખતે કોઈને કોઈ લાગણીશીલ મુદ્દાની તલાશ મોદીને રહેશે. મોદીને પોતાના તરફ જુવાળ ઉભો કરવા માટે હજી પણ ગુજરાત રમખાણોના મુદ્દા મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે મોદીએ ઈન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ ખૂબ સ્પષ્ટ રીતે મૂક્યો છે અને કોઈ હિંદુહ્રદય સમ્રાટની અદાથી એવી કોઈ છબી બનાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો નથી. તેમ છતાં તેમની સાથે જોડાયેલી રમખાણો સંદર્ભેની બાબતો પ્રજામાં ફરી એક વખત જુવાળ પેદા કરી શકે છે. ગુજરાત રમખાણોની ચર્ચા માત્રથી મોદીનું સ્થાન પ્રજામાં મજબૂત થાય છે.

જો કે ઈન્ટરવ્યૂમાં મોદીએ રમખાણોમાં પોતાની ભૂમિકાનો બચાવ કરતા કહ્યુ છે કે જો તેઓ દોષિત હોય તો તેમને ફાંસી પર ચઢાવી દેવામાં આવે. એવી રીતે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે આવું કૃત્ય કરવાની કોઈ રાજનેતા 100 વર્ષ સુધી હિંમત કરી શકે નહીં. આ સિવાય તેમણે કહ્યુ છે કે કોંગ્રેસમાં જવાથી કોઈ નેતા સેક્યુલર થઈ શકતો નથી. બાબરી ધ્વંસ વખતે શંકરસિંહ વાઘેલા ક્યાં મંચ પર હતા, તે તેમને પુછવું જોઈએ. મોદીએ ઈન્ટરવ્યૂમાં ગુજરાતમાં મુસ્લિમો ખુશ હોવાની, મુસ્લિમ અનામત સંદર્ભે આગવી અસહમતિ દર્શાવી અને ગુજરાતમાં રમખાણો રોકવા તેમની સરકારે શું કાર્યવાહી કરી ત્યાં સુધીની તમામ વાતો કરી છે. આ ઈન્ટરવ્યૂમાં મોદીમાં રમખાણો સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પામેલી એસઆઈટીના રિપોર્ટમાં મળેલી ક્લિનચિટનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો.

રમખાણોના દશ વર્ષ બાદ મોદી જ્યારે હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી બન્યા છે, ત્યારે ઉર્દૂ અખબારને આપવામાં આવેલો ઈન્ટરવ્યૂ મુસ્લિમ સમુદાયમાં પીઆર વધારવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કઠલાલની પેટાચૂંટણીથી ખુદ મોદી પણ એવું કહેતા થયા કે ભાજપને મુસ્લિમના અમુક ટકા વોટ મળ્યા એટલે જીત થઈ. આ ઘણું મોટું પરિવર્તન છે. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. પરંતુ 2007ની વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમોને ઉમેદવારીની તક આપી છે. જેમાં મોદીને લાગે છે કે સારા પરિણામ આવ્યા છે અને તેથી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાંક મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં મોદીએ સદભાવના મિશન અંતર્ગત અમદવાદ ખાતે ત્રણ ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં કુલ 33 ઉપવાસ કરીને પોતે મુસ્લિમ વિરોધી નહીં હોવાનો સંદેશ આપતો સદભાવનાવાદી ચહેરો બનાવવાનો પ્રયત્ન મોદીએ કર્યો. જો કે મોદીને તેમા કેટલી સફળતા મળી તેના પરિણામો તો તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા અને ગુજરાતમાં મુસ્લિમો તરફથી ભાજપને મળનાર મતોથી જ સાબિત થશે. પરંતુ ઉર્દૂ અખબારને મુલાકાત પાછળનું ઈમેજ મેકઓવરનું ગણિત પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ઉર્દૂ અખબાર નઈ દુનિયા ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમુદાયમાં ઘણી મોટી પહોંચ ધરાવે છે. દેશના સૌથી વધારે મુસ્લિમો યૂપીમાં રહે છે અને મુસ્લિમ રાજનીતિ અહીંથી જ નિયંત્રિત થાય છે. જેના કારણે યૂપીમાં મોદીનું ઈમેજ મેકઓવર થાય, તો તેનો ફાયદો રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા વધારવા માટે થઈ શકે છે. શાહીદ સિદ્દીકી સમાજવાદી પાર્ટીના સાંસદ છે, તેથી ઉર્દૂ અખબારમાં ઈન્ટરવ્યૂથી મુસ્લિમ મતોથી યૂપીની સત્તા હસ્તગત કરનારી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ મોદી માટે થોડી નરમાશ દાખવે તેવું પણ શક્ય છે. જેનો ફાયદો મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મળી શકે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત વખતે બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમારે 2014ની ચૂંટણીમાં એનડીએ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એનડીએ તરફથી વડાપ્રધાનપદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. જેના જવાબમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવેત નિવેદન આપ્યું કે હિંદુત્વવાદી નેતા દેશના વડાપ્રધાન શા માટે બની શકે નહીં? આ નિવેદનને મોદીને સંઘ તરફથી મળેલા ટેકા તરીકે જોવામાં આવે છે. પરંતુ તેમ છતાં 2014 દરમિયાન દેશમાં પ્રાદેશિક પક્ષોની શક્તિને નજરઅંદાજ કરવી મોદી માટે શક્ય નથી. પ્રાદેશિક પક્ષો સેક્યુલારિઝમના મુદ્દે મોદીને રાજકીય રીતે અસ્પૃશ્ય ગણે તો તેમની રાજકીય મહત્વકાંક્ષાઓને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. જેના કારણે મોદીનું હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી ઈમેજ મેકઓવર તેમની પહેલી જરૂરત છે.

રાષ્ટ્રીય સ્તરે મુલાયમ સિંહ અને સમાજવાદી પાર્ટી નરેન્દ્ર મોદી તરફ નરમ વલણ અખત્યાર કરે, તો દેશના મુસ્લિમોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય તેવી પણ શક્યતા છે. જો કે પોતાના સાંસદ શાહીદ સિદ્દીકીના ઈન્ટરવ્યૂના ટાઈમિંગથી નારાજ થઈને મુલાયમ સિંહ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 182 બેઠકો પર ઉતારે, તો પણ મોદીને ફાયદો જ થવાનો છે. રાજ્યમાં મુસ્લિમ મતદારોનો જોક સ્વાભાવિકપણે કોંગ્રેસ અને બિનભાજપી ઉમેદવારો તરફ રહેલો છે. તેથી મુસ્લિમોના થોકબંધ વોટ મોદીને બદલે કોંગ્રેસને મળતા રહ્યા છે. સમાજવાદી પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઉભા રાખે, તો તેઓ મુસ્લિમ વોટબેંકમાં ભાગ પડાવે અને તેને કારણે કોંગ્રેસને વોટમાં નુકસાન જાય. જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે બે અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખીને મુસ્લિમ વોટ તોડવાની રણનીતિ ભાજપે ભૂતકાળમાં અપનાવી છે.

રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ વધવા માટે હિંદુત્વવાદી મોદીને સદભાવનાવાદી બનવું જરૂરી છે. સદભાવનાવાદી બનવા માટે મુસ્લિમો સાથે ઘણી પીઆરની કવાયત કરવી પડશે. આમા મુસ્લિમ મતોથી યૂપીમાં સત્તાસ્થાને પહોંચનારી સમાજવાદી પાર્ટીના નેતા શાહીદ સિદ્દીકીના મુસ્લિમોમાં પહોંચ ધરાવતા અખબાર નઈ દુનિયાનો સહારો મળે, તો તે મોદી માટે સૌથી વધારે ઉત્તમ છે. આ સિવાય મોદીને ગઠબંધન અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના યુગમાં વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માટે જેડીયૂના નીતિશ કુમારનો વિકલ્પ પણ ઉભો કરવો પડે તેમ છે. જો કે આ વિકલ્પ તરીકે મુલાયમ સિંહ યાદવ સામે આવે નહીં, તો પણ તેમનું મોદી પ્રત્યેનું નરમ વલણ આવા વિકલ્પથી કમ નહીં હોય. 

Monday, July 23, 2012

દ્વિરાષ્ટ્રવાદને ખોટો ઠેરવવા ભારતે હિંદુ ઓળખ ધારણ કરવી પડશે


પાકિસ્તાન ઈસ્લામના પાયા પર રચાયું છે. પાકિસ્તાન હિંદુ વિરોધના આધાર પર રચાયું છે. પાકિસ્તાન સહસ્ત્રાબ્દિઓથી અસ્તિત્વ ધરાવતા ભારત નામના રાષ્ટ્રના વિરોધના આધારે બન્યું છે. તેના કારણે પાકિસ્તાને પાછળથી બનાવેલી પોતાની રાજધાનીને ઈસ્લામાબાદ નામ આપ્યું છે. પરંતુ અખંડ ભારતના ભાગલા થકી પાકિસ્તાનના કપાયા બાદ બાકી રહેલા ખંડિત ભારતમાં હિંદુઓના નામે કોઈ વસ્તુ સરકારી રાહે થઈ નથી. ભારતના અસ્તિત્વના મૂળમાં હિંદુ તરીકે ઓળખાતી મહાજાતિની સનાતની વિચારધારા છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. ભારતનો આત્મા અને ઓળખ હિંદુઓની જીવનપદ્ધતિ છે. પરંતુ ભારતને હિંદુ ઓળખ હજી સુધી મળી શકી નથી. ભારતને હિંદુ ઓળખ નહીં મળવા માટે સૌથી વધારે જવાબદાર હોય, તો તે છે તથાકથિત સેક્યુલારિઝમના નામે વિભાજન કાળથી ભારતમાં વસી ગયેલા મુસ્લિમોની ખુશામતની નીતિ, મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ, મુસ્લિમોથી ભયભીત થઈને હથિયાર હેઠાં મૂકી દેવાની સરકારી નીતિ.

ભારતે સેક્યુલર બંધારણીય કલેવરમાં જે પણ કંઈ મેળવ્યું છે, તે ઘણું ઓછું છે. ભારતે હિંદુ ઓળખ સાથે આગળ વધવાનું નક્કી કર્યું હોત, તો દેશે આત્મવિશ્વાસ સાથે ઘણી વધારે સિદ્ધિઓ હાંસલ કરી હોત. ઈતિહાસ સાક્ષી છે કે ગાંધીજીએ દ્વિરાષ્ટ્રવાદના મહંમદ અલી ઝીણાના વિચાર સાથે દ્રઢતાથી અસહમતિ દર્શાવી હતી. દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના ઈન્કાર સ્વરૂપે સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઈચ્છા છતાં ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ખંડિત ભારત તથા પાકિસ્તાનમાં હિંદુ-મુસ્લિમ વસ્તીઓની તબાદલા-એ-આબાદીની વાતનો અસ્વીકાર કર્યો હતો. જો કે ભારતમાં રહેનારો મુસ્લિમ પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મનું અભિન્ન અંગ ગણે તેવી માનસિકતા દેશમાં 1857ની પ્રથમ ક્રાંતિ પહેલા શરૂ થયેલા અરબસ્તાની વહાબી આંદોલનને કારણે શક્ય બની શકી નથી. વહાબી અને તેના જેવાં કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણ આંદોલનોએ દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમ લીગી માનસિકતાને ખિલવા માટે ખુલ્લુ આકાશ પુરું પાડયું છે. મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ અલગ હોવા માત્રથી તેમને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણી ન શકાય તે વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે મુસ્લિમોની ઉપાસના પદ્ધતિ જ અલગ નથી, તેમણે વહાબી આંદોલન થકી પોતાની જીવનશૈલીને પણ હિંદુઓથી અલગ કરવા માટે ભરચક પ્રયત્નો કર્યા છે. જેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે.

આમ પણ આક્રમણોના રસ્તે ભારતમાં પગ જમાવવામાં કામિયાબ થયેલા ઈસ્લામના અનુયાયીઓમાં ભરપૂર હિંદુ વિરોધ તો હતો. જેના કારણે દેશમાં ઘણી મોટી સંખ્યામાં હિંદુઓની કતલ કરવી મુસ્લિમ બાદશાહોનું ધાર્મિક કૃત્ય હતુ. હિંદુઓના ધર્માંતરણ મુસ્લિમ બાદશાહોની શાન ગણાતા. પરંતુ ભક્તિ આંદોલન અને સૂફીઓના વધતા પ્રભાવ હેઠળ હિંદુ-મુસ્લિમો ખરેખર એકમેકમાં ભળીને ભારતના હિંદુ પ્રવાહમાં સામેલ થઈ રહ્યા હતા. પરંતુ આ વાત અરબસ્તાન તરફ મોઢું રાખીને વટલાયેલા હિંદુઓને કટ્ટર મુસ્લિમ બનાવવાની મનસા સેવનારા મુલ્લા-મૌલવીઓને ખૂબ ખૂંચી હતી. તેથી ધાર્મિકતાના રંગમાં આ મૌલવીઓ અને મુલ્લાઓએ અરબસ્તાનના વહાબી આંદોલનને ભારતમાં ઈસ્લામના નવજાગરણ હેતુથી આણ્યું. જેના કારણે ભારતના મુસ્લિમોમાં કટ્ટરતાએ પગદંડો જમાવવા માંડ્યો.

વહાબી આંદોલન સિવાય પણ અન્ય કેટલાંક કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો ભારતના જુદાંજુદાં વિસ્તારોમાં ચાલ્યા. જેનો હેતુ ભારતમાં મુસ્લિમના નામે અલગ અને કટ્ટર ધાર્મિક ઓળખ ઉભી કરીને હિંદુ સંસ્કૃતિ અને ધર્મમાં ભળવાને કારણે ઓછા થતા ઈસ્લામના પ્રવાહને નવજાગૃત કરવાનો હતો. કટ્ટર ઈસ્લામપંથી આંદોલનો થકી ભારતમાં મુસ્લિમો પોતાને હિંદુ સંસ્કૃતિ અને ધર્મથી અલગ ગણવા લાગ્યા. જેના ભાગરૂપે મુસ્લિમોએ ટૂંકો લેંઘો અને કમીઝનો પહેરવેશ અપનાવ્યો, જ્યારે હિંદુઓ ધોતી અને ઝભ્ભો પહેરતા. હિંદુઓ હિંદી સહીતની પ્રાદેશિક ભાષા બોલતા, પરંતુ મુસ્લિમોએ ઉર્દૂને પોતાની બોલચાલની ભાષા બનાવવાનો પ્રયત્ન કર્યો. હિંદુસ્થાનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરી છાવણીઓમાં પેદા થયેલી ઉર્દૂ ભાષા મુસ્લિમોની ભાષા તરીકે ઓળખાવાની શરૂઆત થઈ. મુસ્લિમોએ હિંદુ સંસ્કૃતિ અને ધર્મની નાની-મોટી વાતોનો પોતાના નવજાગરણ આંદોલનમાં વિરોધ કરવાનું શરૂ કર્યું. ભાષા, પહેરવેશ, ખાનપાન, રહેણી-કરણીથી માંડીને તમામ નાની-મોટી વાતોમાં હિંદુઓથી અલગ દેખાવાની કોશિશ શરૂ કરી. મુસ્લિમ કટ્ટરપંથીઓને ઈસ્લામના અનુયાયીઓ પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવનાને દ્રઢીભૂત કરવામાં સફળતા, સિંધ, સરહદ પ્રાંત, પાકિસ્તાન, ઉત્તર ભારત અને બંગાળમાં મોટા પ્રમાણમાં મળી.

એક રાષ્ટ્ર તરીકે અસંખ્ય આક્રમણો છતાં અકબંધ રહેલું ભારત કટ્ટર ઈસ્લામપંથી નવજાગરણના વહાબી જેવા આંદોલનોના તબક્કામાં જ દ્વિરાષ્ટ્રમાં રૂપાંતરીત થવા લાગ્યું હતું. આ દેશને એક રાષ્ટ્ર તરીકે ગણવો ભારતમાતા તરફની આપણી હિંદુ લાગણીનું કારણ છે. પરંતુ જ્યારે આપણે દેશને એક રાષ્ટ્ર તરીકે ગણતા હોઈએ અને તેવા વખતે દેશની બીજી મોટી વસ્તી મુસ્લિમો પોતાને અલગ રાષ્ટ્ર ગણતા હોય તો તેનું પરિણામ વિભાજન જ આવે. જે આપણે 1947માં દશ લાખ હિંદુઓની કત્લેઆમ સાથે જોઈ ચુક્યા છીએ. આઝાદી બાદ પણ ભારતમાં મુસ્લિમોમાં પોતે હિંદુઓથી અલગ રાષ્ટ્ર હોવાની ભાવના ગઈ નથી. ઉલ્ટાનું દેશના શાસકોની હિંદુ વિરોધી માનસિકતાથી ચાલેલી મુસ્લિમ ખુશામત અને તુષ્ટિકરણની સેક્યુલારિઝમની નીતિઓને કારણે મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની ભાવના વધારે દ્રઢ બની છે. જેના પરિણામે દેશના ઘણાં મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ભારતથી અલગપણાની ભાવના સ્પષ્ટ દેખાય છે. જમ્મુ-કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યાં 70 હજાર સૈનિકોના બલિદાન છતાં આજે પણ મુસ્લિમ આતંકવાદ અને અલગતાવાદે પગ જમાવેલો છે. કાશ્મીર ખીણમાં 97 ટકા મુસ્લિમ વસ્તી છે, જેના પરિણામે ત્યાં ખતરનાક રીતે આતંકવાદી પ્રવૃતિઓ ચાલી રહી છે.

આ સિવાય ભારતમાં ચાલતી ઈસ્લામિક આતંકવાદી પ્રવૃતિઓને દેશના અન્ય મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી ટેકો મળતો હોવાની વાત ગુપ્તચર સંસ્થાઓએ અલગ-અલગ સ્તરે કરી છે. સેક્યુલરવાદીઓની દલીલ છે કે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશ બનવાને કારણે ઝીણાની દ્વિરાષ્ટ્રવાદની થિયરી ખોટી પડી છે. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો બંને ધર્મના નામે 1947થી 1971 સુધી એક રહ્યા તે હકીકત સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. જો પાકિસ્તાનના શાસકોએ બાંગ્લાદેશ પ્રત્યે સ્નેહાળ અભિગમ અપનાવ્યો હોત, તો આજે પણ બંને એક હોત તે વાતનો પણ ઈન્કાર કરી શકાય તેમ નથી. ભાગલાના 65 વર્ષ બાદ પણ 1971 બાદનું પાકિસ્તાન અનેક ગૃહયુદ્ધો અને કપરી પરિસ્થિતિ છતાં ભારત સામે તો એકજૂટ થઈને ઉભું છે. 1971 બાદ બાંગ્લાદેશનું હજી સુધી વિભાજન થયું નથી. શું પાકિસ્તાન અને બાંગ્લાદેશની એકજૂટતાના પાયામાં ઈસ્લામ નથી? શું ઈસ્લામ સામે પાકિસ્તાન અને બાંગ્લાદેશની હાલની તમામ પ્રાદેશિકતાઓ નિષ્પ્રભાવી નથી? શું આ અખંડ ભારતમાં રહેલા મુસ્લિમોની પોતે અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાની સાબિતી નથી?

પાકિસ્તાન અને બાંગ્લાદેશ એકબીજા સાથે જમીનથી જોડાયેલા હોત, તો તેઓ અલગ થયા ન હોત અથવા ભારત 1971ના યુદ્ધની જેમ તેમને અલગ કરી શક્યું ન હોત. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમો પોતે હિંદુઓ કરતા અલગ રાષ્ટ્ર હોવાની માનસિકતાને કારણે બંને દેશોના અસ્તિત્વ ટકાવી રાખીને જીવી રહ્યા છે. ખંડિત ભારત તરફથી ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના મહાસંઘ અથવા ભાગલા ખતમ થઈ જવાની દલીલો અલગ-અલગ સ્તરે જુદીજુદી સંસ્થાઓ અને લોકોએ કરી છે. પરંતુ પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં આવી કોઈ દલીલબાજી કે નિવેદનબાજી કરવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ શક્યતા નથી. તેનું કારણ છે કે તેઓ પોતાને હિંદુઓથી અલગ રાષ્ટ્ર માને છે. કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુનો ઈન્કાર કરવાથી જમીન પરની હકીકતો બદલાઈ જતી નથી. કોઈને જમીની હકીકતને નજરઅંદાજ કરવાથી તેવી બાબતોના અસ્તિત્વ ખતમ થઈ શકતા નથી.

ભારતની અત્યાર સુધીની અખંડિતતા માટે તેની વિવિધતા અને સેક્યુલર કલેવરને જવાબદાર માનીને તેમને જશ આપવામાં આવે છે. પરંતુ તમે કલ્પના કરો કે ભારતમાં જમ્મુ-કાશ્મીરની જેમ મુસ્લિમ પ્રભાવવાળા અને મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ જેવા ખ્રિસ્તી પ્રભાવવાળા રાજ્યોની સંખ્યા વધારે હોય, તો તેવા સંજોગોમાં ભારત આઝાદીના 65 વર્ષ સુધી અખંડ રહી શકત. ભારતમાં હિંદુ બહુમતીમાં છે, તેવા એકપણ વિસ્તારમાં અલગતાવાદી અથવા આતંકવાદી આંદોલનો-પ્રવૃતિઓ થઈ નથી. આ દેશના એકપણ હિંદુ સંગઠન કે વ્યક્તિએ પોતે હિંદુ હોવાની ઓળખને આગળ કરીને ભારત વિરુદ્ધ કોઈ અલગતાવાદી કે આતંકવાદી આંદોલન કર્યા નથી. ભારતની 65 વર્ષની અખંડિતાનું કારણ દેશમાં હિંદુઓની બહુમતીનો પ્રભાવ હોવાનું છે. દેશ સેક્યુલર સરકાર ધરાવે છે, પરંતુ હિંદુ ઓળખ વગરનો સેક્યુલર સમાજ અસ્તિત્વમાં આવશે તે દિવસે ભારતની એકતા અને અખંડિતા પર મોટું જોખમ હશે. ભારતને પોતાનું માનવાનો ભાવ હિંદુ હોવાને કારણે વ્યક્તિમાં સ્વાભાવિકપણે પેદા થાય છે. જેનું ઉદાહરણ દેશવિરોધી પ્રવૃતિઓ અને આતંકવાદમાં બિનહિંદુઓની બહુલતા છે. (નોંધ:માઓવાદ અને નક્સલવાદ દેશવિરોધી આંદોલન છે, પરંતુ અલગતાવાદી આંદોલન નથી. તેમને ભારતથી અલગ દેશ બનાવવો નથી, પરંતુ ભારતની સત્તા કબજે કરવી છે. તેમનો વિરોધ શાસન અને શાસકો સામે છે. નક્સલવાદી અને માઓવાદી પ્રવૃતિમાં હિંદુ લોકોની બહુલતા છે. પરંતુ તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નથી. જેથી આને કારણ બનાવીને કુતર્કો કરતા પહેલા પોતાને બૌદ્ધિક કહેનારાઓએ વિચારવું જ રહ્યું.)

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંયુક્ત ઐતિહાસિક ઘટનાક્રમના તથ્યો પરથી સ્પષ્ટ છે કે હિંદુઓ દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા નહીં હોવા છતાં ઈસ્લામના આધારે દેશનું વિભાજન થયું. મુસ્લિમો દ્વિરાષ્ટ્રવાદની થિયરીને માનતા હોવાને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ભારતના વિરોધમાં આજે પણ અસ્તિત્વમાં છે. ભારત હિંદુ બહુમતીના પ્રભાવમાં હોવાને કારણે આઝાદીના 65 વર્ષે હજી પણ અખંડિત રહ્યું છે. દેશમાં બિનહિંદુઓની બહુમતીવાળા ક્ષેત્રોમાં અલગતાવાદ, આતંકવાદ અને દેશદ્રોહી પ્રવૃતિ વધારે પ્રમાણમાં થઈ રહી છે. આથી પાકિસ્તાનનું વિભાજન દ્વિરાષ્ટ્રવાદની થિયરીની નિષ્ફળતા ગણાવી દેવી તથ્યો સામે આંખ આડા કાન કરવાની વાત બની રહેશે. એટલે કે દ્વિરાષ્ટ્રવાદની મુસ્લિમોને પોતે અલગ રાષ્ટ્ર હોવાની ઝીણાની થિયરી પાકિસ્તાનના વિભાજન છતાં પણ નિષ્ફળ ગઈ નથી. તેને નિષ્ફળ બનાવવા માટે ભારતે મુસ્લિમ ખુશામતખોરીવાળું સેક્યુલર કલેવર છોડીને હિંદુ ઓળખને ધારણ કરવી પડશે. ભારતને વિકૃત મુસ્લિમોની ખુશામત અને તુષ્ટિકરણ કરનારા સેક્યુલરવાદે બેહદ નુકસાન કર્યું છે.

Sunday, July 15, 2012

નરેન્દ્ર મોદી: નેતા કે અભિનેતા?



- આનંદ શુક્લ

ભારતીય રાજકારણમાં ગાંધીજી સાદગી અને સરળતાનું પ્રતીક છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભવ્યતા અને પરમ વૈભવના સિમ્બોલ બની ગયા છે. કેટલાક ટીકાકારો મોદીની તેમની વૈભવી જીવનશૈલી અને જાતભાતના ડ્રેસ પહેરવાની બાબતની ખૂબ ટીકા કરે છે. તેમના માનવા પ્રમાણે, ભારતીય રાજકારણમાં અભિનેતામાંથી નેતા બનનારાની સંખ્યા ઘણી છે, પરંતુ નેતામાંથી અભિનેતા બનનારા પહેલા રાજકારણી નરેન્દ્ર મોદી છે.

જો કે મીડિયામાં નરેન્દ્ર મોદીની કપડાની પસંદગી સંદર્ભે જાતજાતની ન્યૂઝ સ્ટોરી આવતી રહે છે. ક્યારેક તેમના ઝભ્ભાના કલર પર, ક્યારેક અડધી બાંયના ઝભ્ભાની સ્ટાઈલ પર તો ક્યારેક કોઈક ખાસ પ્રસંગે તેમના દ્વારા પહેરાયેલા ડ્રેસની ચર્ચા થતી રહે છે. આ ચર્ચાનો હેતુ શું હશે, તેની હજી સુધી આધિકારીક ખબર પડી નથી. પરંતુ એક મત એવો છે કે નરેન્દ્ર મોદી દેશ-દુનિયાના બહુચર્ચિત અને વિવાદીત વ્યક્તિઓમાંના એક છે. જેને કારણે તેમના વિશેની કોઈપણ માહિતીને વધારે રીડરશીપ કે વ્યૂઅરશીપ મળે છે. જેને કારણે તેમના વિશેની નાનામાં નાની માહિતી મીડિયામાં ખૂબ મહત્વ સાથે બતાવવામાં આવે છે.

આપણું ગુજરાત, આગવું ગુજરાતના સૂત્ર સાથે સત્તાના સૂત્રો હસ્તગત કરનારા નરેન્દ્ર મોદીએ પોતાની તમામ સ્ટાઈલ આગવી બનાવી છે. મોદી પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યોથી તો ચર્ચામાં છે જ, પરંતુ તેની સાથે તેઓ જુદાજુદા પ્રસંગે જુદાજુદા ડ્રેસ પહેરીને પણ સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ સ્ટોરીઓની શોધમાં ભટકતું મીડિયા પણ મોદીના ધ્યાન આકર્ષણનો ભોગ બનતું હોય તેવું લાગે છે.

2002માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશની કાળી ટોપી પહેરીને આવ્યા હતા. તે વખતે તેમણે સંઘટોપી સાથે જ તિરંગાને સલામી પણ આપી હતી. 2002ની ઘટનાઓ બાદ પોતે સંઘના સ્વયંસેવક અને પ્રચારક હોવાના સ્પષ્ટ સંકેત તેમણે સંઘટોપી પહેરીને ધ્વજવંદન કરીને આપ્યા હતા.

આ સિવાય નવરાત્રિના ઉત્સવ પ્રસંગે તેમણે ધોતી પહેરીને માતાજીની પૂજા કરી હતી. તો રિવરફ્રન્ટ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ટ્રેકશૂટ, વાઈબ્રન્ટ ગુજરાતમાં ત્રણ દિવસ અલગ-અલગ શૂટ પહેર્યા, ઉત્તરાયણમાં ટીશર્ટ પહેરીને પોતાના અલગ મૂડ દર્શાવ્યા હતા.

કિસાનમેળામાં કિસાન ડ્રેસ પહેરીને ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે આઝાદ હિંદ ફોજની સ્થાપના વખતે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જેમ નરેન્દ્ર મોદીએ ટોપી પણ પહેરી હતી. સ્વામી વિવેકાનંદ જન્મજયંતી વખતના કાર્યક્રમમાં મોદીએ કેસરી ઝભ્ભો પહેરીને પોતે જ હિંદુત્વના ધ્વજારોહક હોવાના સંકેત આપ્યા હતા.

મોદી દ્વારા જુદાંજુદાં પ્રસંગે વસ્ત્ર પરિધાનો દ્વારા ચોક્કસ બાબતો પ્રત્યાપિત કરવાની વાતને ઘણાં નાટક અને ભવાઈ ગણાવીને ટીકા કરે છે. જો કે આ ટીકા સાથે સહમત ન થઈએ તો એટલું ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીની જીવનશૈલી અને વસ્ત્રપરિધાનની આદતો ખૂબ જ વૈભવી છે. જેને કોઈપણ સંજોગોમાં સાદી ગણી શકાય તેમ નથી.

ભારતમાં આઝાદીની લડાઈ વખતે અને ત્યાર પછી ઘણાં સમય સુધી નેતાઓની જીવનશૈલી ઘણી સાદી અને વસ્ત્રપરિધાન પણ સાદા જ રહ્યા છે. આઝાદીની લડાઈ સમયના સર્વોચ્ચ નેતાઓમાંના એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરીએ તો તેઓ ચરખા પર જાતે વણેલી એકમાત્ર પોતડી પહેરતા. તેમણે ભારતના દરિદ્રનારાયણોને જોઈને પોતાના વધારાના વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. ગાંધીજીની પોતડી તેમની સાદગીનું સૌથી મોટું પ્રતીક હતી. મહાત્મા ગાંધી ભારતના અંગ્રેજ વાઈસરોય અને ઈગ્લેન્ડના રાણીને મળતી વખતે પણ પોતડીમાં જ પહોંચ્યા હતા. છતાં મહાત્માની મહાનતાનો તેમના વિરોધીઓ પણ ઈન્કાર કરી શક્યા ન હતા.

આઝાદીની લડાઈ વખતે ગાંધીજીની સાદગીથી પ્રેરીત થઈને અનેક નેતાઓએ જાતે વણેલી ખાદીના કપડા પહેરવાના શરૂ કર્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગર્ભશ્રીમંત પરિવારનું સંતાન હતા. પરંતુ તેમના વસ્ત્રો પણ મોટાભાગે સફેદ રંગના રહેતા અને તેમાં ગુલાબનું ફૂલ નાખેલું જોવા મળતું હતું. હાલના વડાપ્રધાન મનમોહન સિંહ પણ વાદળી રંગની પાઘડી શીખ હોવાને કારણે પહેરે છે. મોટેભાગે સાદા લેંઘાઝભ્ભામાં જોવા મળે છે. વિદેશયાત્રાઓ અને અન્ય પ્રસંગો પાત ઈન્ડિયન શૂટ પહેરે છે. પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

ભારતમાં જ્યારે 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે, ત્યારે તેમની ચિંતા કરવાને સ્થાને નીતનવા વસ્ત્રપરિધાનો કરવા અને વૈભવી જીવનશૈલી પ્રમાણે જીવન જીવવું ગરીબો પ્રત્યે ક્રૂરતા છે. પરંતુ ગાંધીજી તો હવે દુનિયામાં રહ્યા નથી અને ગાંધી વિચાર પુસ્તકોમાં બંધ પડેલા છે. ગુજરાતમાં પણ ગરીબ મેળા કરવા પડે તેટલા ગરીબો છે.

ટીકાકારો પ્રમાણે, નેતામાંથી અભિનેતા બનેલા નરેન્દ્ર મોદીના અભિનય અને બેવડા ચાલચરિત્રનું એક ઉદાહરણ ટાંકવુ ચુકાય તેમ નથી. એક બાજુ ચીન સાથે વેપાર વધારવામાં પડેલા નરેન્દ્ર મોદી કહે છે કે ચીનને ગુજરાતી શીખવું પડશે અને બીજી બાજુ સ્કોપની જાહેરાતમાં પોતાના ફોટોગ્રાફ સાથે ગુજરાતના યુવાનોને સંદેશ આપી રહ્યા છે કે અંગ્રેજી શીખો નહીં તો પછાત રહેશો.

ગાંધીજીના હિંદ સ્વરાજ પુસ્તકના સંસ્કરણના ભારતીય વિચારમંચના કાર્યક્રમમાં મોદી દાવો કરે છે કે તેમણે ગુજરાતમાં ગાંધીજીના સ્વપ્નને સાકાર કર્યું છે અને બીજી તરફ ગરીબ આમ આદમીને રાહત આપવાની જગ્યાએ ટાટા-અદાણી જેવા ઉદ્યોગપતિઓને રાહત આપે છે.

એટલે કે નરેન્દ્ર મોદી વિવિધ પ્રસંગે સુંદર વેશભૂષા સાથે સરસ અભિનય કરી શકતા હોવાની છાપ પણ લોકોમાં ઉપસી રહી છે. ગુજરાતમાં ગાંધીજી અને રવિશંકર મહારાજની સાદગી અને ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી ખૂબ મશહૂર છે. પરંતુ વિધિની વક્રતા એ છે કે ફેશન ડિઝાઈનરે તૈયાર કરેલા રંગબેરંગી અતિકિંમતી વસ્ત્રો પહેરીને નરેન્દ્ર મોદી રાજ્યનું ખાતમૂહર્ત કરનારા રવિશંકર મહારાજની સાદાઈ પર બોલે છે.

મોદી વિશાળ સરકારી કાફલા સાથે આવીને મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી પર પણ બોલે છે. તો પરમ વૈભવી જીવનશૈલી જીવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગરીબોના દુ:ખે દુ:ખી થનારા ગાંધીજી વિશે પણ ભાષણ કરે છે!

બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને થોડા સમયથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી તો 2002થી જ ગુજરાતમાં અપાર લોકપ્રિયતા થકી બ્રાન્ડ બન્યા છે. હવે ચર્ચા છે કે ભાજપ પણ તેમને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ત્યારે જીવનમાં સાદગીના સ્થાને પરમ વૈભવ અને સરળતાની સામે ભવ્યતાને મહત્વ આપનારા નરેન્દ્ર મોદી દેશના ઉદ્યોગપતિઓનું દર્દ તો સમજે છે, પરંતુ કરોડો ગરીબોનું દર્દ સમજશે?

Saturday, July 7, 2012

ભાજપે ગુજરાતમાં ક્યારેય વિકાસના મુદ્દાઓ પર સરકાર બનાવી નથી

-          આનંદ શુક્લ
ગુજરાતમાં ભાજપે 1995થી દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. ભાજપને 1990થી દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દાથી કોંગ્રેસ પર સરસાઈ મેળવવાની તક મળતી રહી છે. 2012ના અંત ભાગમાં ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ પ્રેરીત ત્રીજો મોરચો પણ ભાગ લે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પરિદ્રશ્યમાં કેવા ફેરફાર થઈ શકે તેની ચર્ચા ઘેરી બની છે. પરંતુ મામલો કેશુભાઈ પટેલ જેવા ભાજપના વરિષ્ઠ નેતાનો હોવાથી મોદી માટે 2002 અને 2007 જેવી સરળ પરિસ્થિતિ નહીં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

જો કે 1995થી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા વોટિંગની ટકાવારી 55 ટકાથી ઉપર રહી છે. 1995માં 64.39 ટકા અને 2002માં 61.54 ટકા મતદાન થયું છે. વોટિંગની ટકાવારી ઉંચી રહેવાનો ફાયદો હંમેશા ભાજપને મળ્યો છે. પરંતુ 1990થી લઈને 2007ની ચૂંટણીમાં જનમતને અસર કરતા મુદ્દા પર નજર કરવી જરૂરી છે. કારણ કે આ મુદ્દા કોઈને કોઈ રીતે હિંદુત્વના મુદ્દાઓની આસપાસના મુદ્દાઓ હતા. ગુજરાત હિંદુત્વનો ગઢ મનાય છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીના સંભવિત મુદ્દાઓ સામે ભૂતકાળની ચૂંટણીમાં ભાજપને જીત અપાવનારા મુદ્દાઓ પર એક નજર કરવી જરૂરી બને છે.

(1)    1990ની વિધાનસભા ચૂંટણીમાં વી.પી.ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને રામલહેરે કોંગ્રેસની નાવ ડૂબાડી:

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળની યુતિએ કોંગ્રેસના બારે વહાણ ડૂબાડયા હતા. આખા દેશમાં કોંગ્રેસમાંથી અલગ થયેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. બોફોર્સ ડીલમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજીવ ગાંધીની સરકારમાં સંરક્ષણ મંત્રી પદેથી વી. પી. સિંહે રાજીનામું આપીને આખા દેશમાં કોંગ્રેસને કેન્દ્રની સત્તામાંથી મુક્ત કરાવવા માટે આંદોલન ચલાવ્યું. તેમણે જનતાદળ અને ભાજપ સહીતના અન્ય બિનકોંગ્રેસી પક્ષોનો મોરચો બનાવ્યો. જેના પરિણામે ગુજરાતમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ પરિવર્તનનો પવન ફૂંકાયો. જેમાં ભાજપે કેશુભાઈ પટેલ અને જનતાદળે ચિમનભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડયો હતો. તે વખતે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો.

1990માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતના માત્ર 30.74 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ભાગે 182માંથી માત્ર 33 વિધાનસભાની બેઠકો ભાગે આવી હતી. જ્યારે જનતાદળને ચિમનભાઈ પટેલની આગેવાનીમાં સૌથી વધારે 70 બેઠકો અને 29.36 ટકા મત મળ્યા હતા. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 26.69 ટકા મતો મેળવીને ત્રીજા સ્થાને 67 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં જનતાદળ અને ભાજપના સંયુક્ત મતની ટકાવારી 56.05 ટકા હતી, તે કોંગ્રેસના મતો કરતા 25.31 ટકા વધારે હતી.

ઉલ્લેખનીય વાત એ પણ છે કે 1990ના ગાળામાં અયોધ્યા આંદોલન ગતિ પકડી રહ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનના કારણે દેશભરમાં રામલહેર પણ પકડ જમાવી રહી હતી. જેના કારણે ભાજપને સારો એવો ફાયદો બેઠકોની જીતમાં મળ્યો હતો.

(2)    1995માં હિંદુત્વની લહેર પર સવાર થઈને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા:

1990માં ગુજરાતમાં સત્તા પર આવેલી ચિમનભાઈ પટેલના વડપણ હેઠળની જનતાદળ અને ભાજપની સરકાર રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે કાઢવામાં આવેલી અડવાણીની રામરથયાત્રાના વિવાદમાં તૂટી પડી. બિહારના સમસ્તીપુર ખાતે અડવાણીની રામરથયાત્રાને બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે અટકાવી હતી. જેના કારણે કેન્દ્રમાં વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચ્યો હતો. તેના પરિણામ ગુજરાતની ગઠબંધન સરકાર પર પણ પડયા હતા. જો કે ભાજપનો ટેકો પાછો ખેંચાયા બાદ ચિમનભાઈ પટેલની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો. ત્યાર બાદ ચિમનભાઈ પટેલે જનતાદળમાંથી અલગ થઈને જનતાદળ-ગુજરાત નામનો પ્રાદેશિક પક્ષ પણ સ્થાપ્યો. જો કે ચિમનભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેજ અવસાન થયું અને ગુજરાતમાં જનતાદળ-ગુજરાતે વિધિવત કોંગ્રેસમાં સામેલ થવાનું નક્કી કર્યું. એટલે ગુજરાતની રાજનીતિ દ્વિધ્રુવીય બની.

દેશમાં બાબરી ધ્વંસની 6 ડિસેમ્બર, 1992ની ઘટના પછી ચાર રાજ્યોમાં ભાજપની સરકારને બરતરફ કરવાના કેન્દ્રના નિર્ણય સામે જનાક્રોશ ચરમ પર હતો. તેવામાં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ જમ્મુ-કાશ્મીરની શીતકાલિન રાજધાની શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસે લાલચોકમાં તિરંગો ફરકાવાના આતંકવાદીઓના પડકારને જીલ્યો. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરના શ્રીનગરના લાલચોક સુધીની એકતાયાત્રા કાઢી. તે સમયે કોંગ્રેસ વિરોધી વાતાવરણ દેશભરની તાસિર બની ચુકી હતી. ગુજરાત પણ તેમાથી બાકાત ન હતું. રામજન્મભૂમિ, કાશ્મીર સહીતના હિંદુત્વવાદી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર ગુજરાતની જનતા ભાજપની પડખે હતી. જનતાદળ-ગુજરાતનું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. તેથી હિંદુત્વની ગુજરાતમાં ચાલી રહેલી લહેરના પરિણામે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર ગાંધીનગરની ગાદીએ આવી.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ વોટના 42.51 ટકા મત મળ્યા અને 121 બેઠકો પર જીત મેળવી. જ્યારે કોંગ્રેસે 32.86 ટકા મત સાથે માત્ર 45 બેઠકો પર જીત મેળવી. ભાજપને કોંગ્રેસ કરતા 9.65 ટકા મત વધારે મળ્યા. જેનાથી સ્પષ્ટ બને છે કે 1990ની ચૂંટણીમાં જનતાદળ સાથે રહેલા ઘણાં વોટ કોંગ્રેસની વિરુદ્ધ ભાજપને મળ્યા હતા. જેના પરિણામે ભાજપ કોંગ્રેસ પર સરસાઈ મેળવવામાં કામિયાબ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હિંદુત્વના પ્રચંડ મોજા સાથે ગુજરાતની ગાદીએ આવેલી ભાજપની કેશુભાઈ પટેલની સરકારને બે વર્ષમાં ઘરભેગા થવું પડયું. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કરાવ્યો. શંકરસિંહ દ્વારા કેશુભાઈની સરકાર સામે કરવામાં આવેલા બળવાના પરિણામે કેશુભાઈને બે વર્ષમાં જ રાજીનામું આપવું પડયું. શંકરસિંહ વાઘેલાએ ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલી શોકોઝ નોટિસને અમદાવાદમાં જાહેરમાં ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી હતી.

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાની સરકારને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો. જો કે શંકરસિંહની રાજપા અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા 1998માં ફરીથી વિધાનસભા ચૂંટણી આવી.

(3)    1998માં શંકરસિંહ વાઘેલાના બળવા સામેના લોકોના રોષે ભાજપને જીત અપાવી:

ખજૂરાહો કાંડ બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા બળવાથી ગુજરાતની જનતામાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં લગભગ અઢી વર્ષ સુધી શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાની સરકાર સત્તા પર રહી. આ સમયગાળા દરમિયાન સંઘપરિવારના સંગઠનો પ્રત્યે શંકરસિંહ વાઘેલાએ દમનચક્ર ચલાવ્યું હતું. જેના પરિણામે સંઘપરિવારની કેડર વધારે આક્રમક બની હતી. તે સમયે સંઘપરિવારની આરએસએસ અને વીએચપી સહીતની સંસ્થાઓની ગુજરાતના ગામેગામ વ્યાપક પકડ હતી. જેના પરિણામે જનમતને શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ કરવામાં ભાજપને સફળતા મળી.

ગુજરાતની જનતામાં શંકરસિંહ વાઘેલા પર હિંદુત્વવાદી આંદોલનને કમજોર કરવાનો આરોપ લાગી રહ્યો હતો. રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શંકરસિંહ વાઘેલાને તે સમયે શંકરઉલ્લાહખાન તરીકે ચિતરવામાં આવ્યા હતા.

જેના પરિણામે 1998ની ચૂંટણીમાં 44.81 ટકા મતો સાથે ભાજપને 117 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 34.85 ટકા મતો સાથે માત્ર 53 બેઠકો મળી હતી. જો કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપાને 11.68 ટકા વોટ સાથે માત્ર 4 બેઠકો મળી હતી. જો કે માનવામાં આવે છે કે રાજપાએ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીના વોટ તોડયા હતા. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 9.96 ટકા મતોનું અંતર હતું. જો 1998માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને રાજપા સંયુક્ત રીતે લડયા હોત, તો પરિણામ ભાજપ માટે આટલા ગુલાબી રહ્યા ન હોત.

જો કે 1998ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના થોડા વખતમાં શંકરસિંહ વાઘેલાએ રાજપાનું કોંગ્રેસમાં વિધિવત વિલિનીકરણ કર્યું.

ઉલ્લેખનીય છે કે કેટલાંક સુધારવાદી પગલાઓ અને આમ આદમીને રાહત આપતા નિર્ણયો સંદર્ભે કેશુભાઈ પટેલ સરકારની પ્રારંભિક ગાળામાં પ્રશંસા થઈ હતી. જો કે 26 જાન્યુઆરી, 2002ના રોજ આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં રાહત અને પુનર્વસનના કામમાં મંથરતા અને ગડબડોની વાતોએ કેશુભાઈ પટેલ તરફ અણગમો શરૂ કર્યો હતો. મીડિયામાં ટીકાઓ આવવાની પણ શરૂ થઈ હતી. તેવામાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા નેતૃત્વ પરિવર્તન માટે ભાજપ હાઈકમાન્ડ અને સંઘના સર્વોચ્ચ નેતૃત્વને રજૂઆતો થવા લાગી હતી. જેના પરિણામે સંઘના દોરીસંચાર નીચે પ્રચારક એવા નરેન્દ્ર મોદીને એક્ટોબર-2001માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

(4)    2002ની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાવેવે મોદીને હિંદુહ્રદય સમ્રાટ બનાવી જ્વલંત જીત આપી:

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા જંકશન નજીક અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના ત્રણ કોચ સળગાવી દેવાની ઘટના બની. સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગેલી આગમાં અયોધ્યાથી આવી રહેલા 58 જેટલા કારસેવકો ભડથું થયા. જેના કારણે આખા ગુજરાતમાં રોષ વ્યાપી ગયો હતો. મુસ્લિમોના ટોળા દ્વારા આગચંપી થઈ હોવાના વહેતા થયેલા સમાચારો અને અફવા-અટકળો વચ્ચે રાજ્યની સ્થિતિ વિસ્ફોટક બની. ત્યાર પછીના ત્રણ દિવસ ગુજરાતના ઈતિહાસના કેટલાંક લોહિયાળ પૃષ્ઠોમાંના એક બની ગયા.

આ સમયગાળામાં મીડિયા ખાસ કરીને ન્યૂઝ ચેનલો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ ન્યૂઝ સ્ટોરીનો મારો ચલાવવામાં આવ્યો. તમામ ન્યૂઝ ચેનલોએ નરેન્દ્ર મોદીની અવાસ્તવિક ગણી શકાય તેવા તર્કોના આધારે ટીકાઓ કરી. જેને ગુજરાતની જનતાએ પક્ષપાતી ગણી. ગુજરાતમાં તે સમયે ન્યૂઝચેનલો અને મીડિયાના નકારાત્મક પ્રચાર વિરુદ્ધ પણ વાતાવરણ બની રહ્યું હતું. જેના પરિણામે ગુજરાતની જનતામાં નરેન્દ્ર મોદીની તારણહારની છબી ગાઢ બની રહી હતી.

ગુજરાતની ચૂંટણી વહેલી જાહેર કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ યાત્રા કાઢી હતી. તેને ગુજરાતની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તમામ અટકળબાજીઓ વચ્ચે 2002ની ચૂંટણીમાં તારણહારની છબી સાથે નરેન્દ્ર મોદીએ ભાજપને જ્વલંત જીત અપાવી.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.85 ટકા વોટ સાથે 127 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39.28 ટકા મત સાથે 51 બેઠકો મળી હતી. ભાજપને કોંગ્રેસ કરતા 10.57 ટકા મત વધુ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1990થી થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે સૌથી વધારે મતદાન 2002ની ચૂંટણીમાં થયું હતું. એટલે કે આ ચૂંટણીમાં 61.54 ટકાનું ભારે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છેકે 2004ની લોકસભાની ચૂંટણી સુધી જનતાના હીરો બનેલા નરેન્દ્ર મોદી તેમની તથાકથિત કાર્યશૈલીના કારણ સાથે પક્ષ અને સંઘપરિવારમાં અસંતુષ્ટો તરફથી ટીકાને પાત્ર બન્યા. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 12 અને ભાજપને 14 બેઠકો મળી હતી. જેના કારણે નરેન્દ્ર મોદીનું તેમના વિરોધીઓ પ્રત્યેનું વલણ ઘણું કઠોર બનવા લાગ્યું. પરિણામે ભાજપમાં જ નવી ભાંજગડના મંડાણ થયા. ગોરધન ઝડફિયા ભાજપમાંથી અલગ થયા અને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી. તો કેશુભાઈ પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતાઓની સમજાવટ બાદ 2007ની વિધાનસભા ચૂંટણી વખતે પોતાને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાવ્યા.

(5)    2007માં સોનિયા ગાંધીની મોદી માટેની મોત કા સોદાગરની ટીપ્પણીએ જીતનું શઢ મોદી તરફ ફેરવ્યું:

2002થી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં તારણહારની છબી સાથે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા. પરંતુ તેમની કડક કાર્યશૈલીના પરિણામે કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નેતાઓની પાંખો કપાવા લાગી. જેના પરિણામે પક્ષમાં તેમની સામેના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગોરધન ઝડફિયાએ 2005માં કેબિનેટ વિસ્તરણ વખતે કેશુભાઈ પટેલ સાથે ચર્ચાવિચારણા થઈ ન હોવાથી મંત્રીપદ સ્વીકારવાનો જાહેરમાં ઈન્કાર કરીને નરેન્દ્ર મોદીને અપમાનિત અવસ્થામાં મૂકી દીધા હતા. ઝડફિયાએ ભાજપથી અલગ થઈને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી. કાશીરામ રાણા, સુરેશ મહેતા અને કેશુભાઈ પટેલ પણ મોદી વિરોધને હવા આપી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. મોદી વિરુદ્ધ થયેલા પટેલ જ્ઞાતિના સંમલનોથી બહુ મોટી અસર થાય તેવી ગણતરી ચાલી રહી હતી.

જોકે પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના મુદ્દે મોદીનું નામ લીધા વગર તેમને મોત કા સોદાગર ગણાવ્યા. ગુજરાતની જનતામાં મોદી પ્રત્યે સહાનુભૂતિની લહેર દોડી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સહાનુભૂતિની લહેરને વધારે ઉગ્ર બનાવવા ઝડપી અને અસરકારક પ્રચાર કર્યો.
 
જેના પરિણામે 2007માં ભાજપને 49.12 ટકા મત સાથે 117 બેઠકો મળી. કોંગ્રેસને 38 ટકા મત સાથે 59 બેઠકો મળી છે. ભાજપને કોંગ્રેસ કરતા 11.12 ટકા મત વધારે મળ્યા હતા. જો કે 33 બેઠકો એવી છે કે જેના પર ભાજપને 5 હજાર વોટ કરતા ઓછા મતથી જીત મળી હોય.

(6)    પ્રવર્તમાન પરિસ્થિતિ:

ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના બગાવતી તેવરથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ભૂકંપની હલચલ શરૂ થઈ છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ મહાગુજરાત જનતા પાર્ટી સાથે મળીને અથવા નવો પક્ષ રચીને ગુજરાતની જનતાને મોદી અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો વિકલ્પ આપવા ઈચ્છી રહ્યા છે. 24મી જુલાઈએ સૂરત ખાતેના સંમેલનમાં કેશુભાઈ પટેલ પોતાના જન્મદિવસે ત્રીજા મોરચાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણે અને ગોરધન ઝડફિયાના મોદી વિરોધી સૂર તીખા થઈ રહ્યા છે. કેશુભાઈ પટેલે પહેલા રાજ્યના પટેલો દસ વર્ષથી ભયભીત હોવાની વાત કરી. તેના થોડા સમય બાદ ગુજરાતમાં તમામ જ્ઞાતિના લોકો ભયભીત હોવાનું નિવેદન પણ તેમણે કર્યું. પટેલ જ્ઞાતિના સંમેલનોમાં કેશુભાઈએ મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. છેલ્લે દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી હતી. તેમણે સાથે ઉમેર્યુ હતુ કે જો હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન નહીં કરે, તો જનતા પરિવર્તનનો માર્ગ પકડશે.

કેશુભાઈ પટેલ 6 મહાનગર સહીત ગુજરાતમાં કુલ આઠ સંમેલનો કરવાના છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

રાજકીય વિશ્લેષકોના માનવામાં પ્રમાણે, ગુજરાતની રાજનીતિમાં ત્રીજા મોરચાનું કોઈ વજન પડયું નથી. ચિમનભાઈ પટેલે 1975માં રચેલા કિસાનમજદૂર લોકપક્ષને 12 બેઠકો મળી હતી. રતુભાઈ દેસાઈની રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી શકી ન હતી. છેલ્લે શંકરસિંહ વાઘેલાની રાજપાને પણ 1998માં માત્ર 4 બેઠકો મળી હતી. એટલે કે ગુજરાતમાં ત્રીજા મોરચાની જીતને કોઈ અવકાશ નથી.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કેશુભાઈનો ત્રીજો મોરચો પોતાની જીત માટે નહીં પરંતુ મોદીના નેતૃત્વવાળા ભાજપને હરાવવા માટે છે. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરેરાશ 10 ટકાનો તફાવત રહ્યો છે. ત્યારે તેવા સમયે કેશુભાઈ પટેલનો મોરચો 4થી 5 ટકા ભાજપના વોટ કાપવામાં કામિયાબ થઈ જાય તો ભાજપને 25થી 30 બેઠકો ગુમાવવાનો વારો આવે. તેવા સંજોગોમાં નવા સત્તા સમીકરણોને ગુજરાતમાં અવકાશ મળશે.