Monday, November 25, 2013

હિંદુ જીવનપદ્ધતિથી વિશ્વ અને ભારતનું કલ્યાણ થશે

- પ્રસન્ન શાસ્ત્રી
દરેક દેશનું પોતાનું માનસ અને માનસિકતા હોય છે. આ માનસ અને માનસિકતા દેશનો પોતાનો તર્ક તથા દ્રષ્ટિકોણ આપે છે. જેનાથી ઘડાયેલી દિશાઓ દેશના ભાવિને એક સુનિશ્ચિત, યોગ્ય અને સાચી દિશા આપે છે. ભારત એક દેશ જ નહીં, પણ વેદકાળથી એક રાષ્ટ્ર છે. જેમ શરીરમાં આત્માનો વાસ હોય ત્યાં સુધી તે જીવંત રહે છે. તેવી રીતે રાષ્ટ્ર અને રાષ્ટ્રપુરુષની ચિત્તિ હોય છે. આ ચિત્તિ જ્યાં સુધી જીવંત અને સુવ્યવસ્થિત છે, ત્યાં સુધી રાષ્ટ્ર પોતે સુવ્યવસ્થિતપણે જીવંત રહી શકે છે. યૂનાન, મિસર, રોમ જેવા મહાકાય રાજ્યોનું આજે તે સ્વરૂપમાં નામોનિશાન નથી. પરંતુ ભારતનું અસ્તિત્વ અપાર સંકટ સામે પણ અડિખમ રહ્યું છે. જો કે એ વાત એટલી જ સાચી છે કે ભારત સંકટોના વાવાઝોડાઓમાં સમય-સમય પર ખંડિત પણ બન્યું છે. છતાં ભારતની એક રાષ્ટ્ર તરીકેની ચિત્તિ તેને અકબંધ રાખે છે.

નીતિઓ દેશને સાચી કે ખોટી દિશામાં લઈ જવા માટે જવાબદાર હોય છે. ભારતનું લક્ષ્ય વેદકાળથી ઋષિ-મુનિઓએ નક્કી કર્યું છે. વિશ્વનું કલ્યાણ કરવું ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું લક્ષ્ય છે. વિશ્વના કલ્યાણની સદઈચ્છા રાખવા માટે ભારતે વિશ્વગુરુ જેવા સમ્માનીય સ્થાને પહોંચવું પડે કે જે ક્યારેક ભારતનું વિશ્વમાં હતું. પરંતુ અત્યારની સમાજનીતિ, આર્થિકનીતિ, રાજનીતિ, વાણિજ્યનીતિ, કૃષિનીતિ કે કૂટનીતિ ભારતને આ સ્થાન પર પહોંચાડી શકે તેમ નથી. તેની પાછળ એક જ કારણ જવાબદાર છે. ભારતની નીતિઓ ભારતના માનસ અને માનસિકતા પ્રમાણે બનાવાતી નથી. ભારતની નીતિઓ બનાવતી વખતે અમેરિકા, યૂરોપ કે ચીન જેવા દેશોને આદર્શ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. જેના કારણે ભારતને કલ્યાણકારી ભૂમિકામાં લાવવા માટે કોઈ પ્રગતિ સાધી શકાતી નથી ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. પરંતુ ભારતને હજી સુધી ભારતના લોકો માટે કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરી શકાયું નથી.

ભારતની પ્રવર્તમાન ખોટી નીતિઓ તેને ખોટી દિશામાં લઈ જાય છે. જેના કારણે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક નૈતિક અધ:પતનનું એક કુચક્ર શરૂ થયું છે. જેની અસર જીવનને સાંકળતા તમામ ક્ષેત્રોમાં દેખાઈ રહી છે. ભારતના નીતિનિર્ધારકો ખંડિત આઝાદીના કાળથી નીતિ-નિર્ધારણમાં વિદેશની નકલ કરતા આવ્યા છે. ભારતે શરૂઆતમાં કમ્યુનિસ્ટ સોવિયત સંઘની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક નીતિઓની નકલ કરવાની શરૂઆત કરી. ખંડિત આઝાદીકાળથી ભારતે બ્રિટિશ રાજકીય મોડલને સ્વીકાર્યું છે. તેની સાથે 80ના દાયકાના મધ્યભાગથી યૂરોપની આર્થિક પ્રગતિથી અંજાઈને યૂરોપના આર્થિક મોડલની નકલ કરવાનું શરૂ કર્યું. 90ના દાયકાના અંતમાં અમેરિકી આર્થિક મોડલને વૈશ્વિકરણના નામે ભારતમાં પ્રવેશવા માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપી.

આજે ભારતમાં ભારતનું આર્થિક ચિંતન ક્યાંય દેખાતું નથી. ભારતીય દર્શને માનવજીવનના ચાર પુરુષાર્થો ગણાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવજીવનના ચાર પુરુષાર્થો છે. ભારતીય દર્શન પ્રમાણે, માનવીએ અર્થ અને કામ સંબંધિત પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવાની છે, પણ તેનો આધાર ધર્મ છે. ધર્મ તમામ પુરુષાર્થોના મૂળમાં છે, જ્યારે સર્વોચ્ચ અને અંતિમ પુરુષાર્થ મોક્ષ છે. જે માનવીય જીવનની આધ્યાત્મિકતાની સર્વોચ્ચ પ્રાપ્તિ છે. પશ્ચિમના શાસ્ત્રો માણસને સામાજિક પ્રાણી ગણાવે છે. જ્યારે ભારતીય દર્શન પ્રમાણે, માનવીય જીવન આધ્યાત્મિકતા માટે સર્જાયેલું છે અને તેથી માનવી આધ્યાત્મિક યોનિ છે. અહીં ધર્મનો અર્થ રિલિજયન કરીને સંપ્રદાય, પંથ કે મજહબ કરવાની માનસિકતાથી બચવા જેવું છે. ધર્મ એટલે જેને માનવી ધારણ કરે છે અને માનવી જેનાથી રક્ષાયેલો છે, તે ધર્મ. ધર્મ માણસને જીવનજીવવાની પદ્ધતિ ઘડી આપે છે. ભારતીય દર્શન પ્રમાણે, ભારતમાં જીવનજીવવાની પદ્ધતિ યુગોથી અસ્તિત્વમાં છે. કહેવામાં આવે છે કે જ્યારે દુનિયામાં માનવી રખડું જીવન ગુજરાતો હતો, તે વખતે ભારતમાં માનવીય જીવનપદ્ધતિ વિકસિત થઈ હતી. જેને આજે હિંદુ જીવનપદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ ખંડિત આઝાદી મળ્યા બાદ ભારતના નીતિનિર્ધારકોની ખોટી નીતિઓ અને સ્થાપિત હિતોના પરિણામે સૌથી વધારે નિશાન હિંદુ જીવનપદ્ધતિને બનાવવામાં આવી છે. આમ જોવો તો ભારતની ઓળખ હિંદુ જીવન પદ્ધતિના કારણે ભારત કે હિંદુસ્થાન તરીકેની છે. જો આ જીવન પદ્ધતિ પર સંકટ આવશે, તો ભારતની ઓળખ પર સંકટ આવશે. પરંતુ ભારતની હિંદુ જીવનપદ્ધતિના સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓનો પ્રવર્તમાન ભારતની સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક નીતિઓમાં સર્વથા અભાવ દેખાય છે. નીતિઓ દેશ માટે હોય છે, દેશ નીતિઓ માટે નહીં. પરંતુ દેશના નીતિ-નિર્ધારકો એવી રીતે વરતી રહ્યા છે કે જાણે દેશ નીતિઓ માટે હોય. જેના કારણે દેશ ગુંગળાઈ રહ્યો છે. આ દેશની ગુંગણામણ આક્રોશ તરીકે દેશની જનતાના મન-હ્રદયમાં વહી રહી છે. જો તેને દિશા મળશે, તો તે આંદોલન સ્વરૂપે કોઈ મોટા પરિવર્તનની પથગામી બની શકે છે.

1992થી દેશને એક બજાર બનાવી દેવામાં આવ્યો છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણના નામે અમેરિકી આર્થિક મોડલ પ્રમાણેની આર્થિક નીતિઓએ માણસનું સ્થાન વસ્તુઓને આપી દીધું છે. જેના કારણે ભારતના માનવીય જીવનમાંથી વ્યક્તિની બાદબાકી થઈ રહી છે અને વસ્તુઓની ભરમાર વધી રહી છે. જેના કારણે માનવીય સંબંધોમાં ઉષ્મા અને લાગણીની પણ બાદબાકી નજરે પડી રહી છે. હાલ ભારતમાં આર્થિક ઉન્નતિનો અર્થ થાય છે, પારિવારીક ભાવનાઓની બાદબાકી. પ્રવર્તમાન આર્થિક મોડલે ભારતમાં પરિવાર જેવી પાયાની સામાજિક સંસ્થા પર સંકટ ઉભું કર્યું છે. આ પરિવાર ભારતની હિંદુ જીવનપદ્ધતિની પ્રાથમિક સામાજિક સંસ્થા છે. દેશમાં છૂટાછેડા અને તેને પરિણામે સિંગલ પેરેન્ટિંગ, ઘરડાંઘર, એકલતા, આત્મહત્યાઓ, તણાવ, સ્વૈચ્છાચારનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે દેશમાં નૈતિકતાનું અવમૂલ્યન શરૂ થયું છે. પ્રસ્થાપિત સામાજિક મૂલ્યોને તોડવા-મરોડવામાં આવ્યા છે. લોકોની માનસિકતા બજારવાદને અનુરૂપ બનાવવા માટે પહેલું પગથિયું છે પ્રસ્થાપિત હિંદુ જીવનપદ્ધતિના મૂલ્યોને બદલવા. બીજું પગથિયું છે, જો આ મૂલ્યો બદલાય નહીં, તો તેને ખોટા ઠેરવીને આર્થિક મોડલ પ્રમાણેના મૂલ્યો માટે જગ્યા કરવી. ત્રીજું પગથિયું છે કે વ્યક્તિને ઉપભોગવાદી બનાવી દેવો જેથી તેના જીવનમાં મૂલ્યોનું કોઈ મહત્વ રહે નહીં.

ભારતના તૂટી રહેલા સમાજજીવનની અસર દેશની રાજનીતિ પર પણ પડી રહી છે. કોઈપણ દેશની રાજનીતિ તે દેશનું ભવિષ્ય ઘડતી હોય છે. તેવી રીતે ભારતનું ભવિષ્ય ભારતની રાજનીતિમાં છે. જો કે દંભી લોકો રાજનીતિને ખરાબ ગણે છે, પરંતુ કરે છે રાજનીતિ. ભારતની રાજનીતિમાં નૈતિક મૂલ્યહીનતાએ ખૂબ ખરાબ સ્થિતિ પેદા કરી છે. હાલ ભ્રષ્ટાચારના સૌથી વધારે આક્ષેપો રાજકારણ સાથે સંબંધિત છે. જનતામાં લાગણી વહી રહી છે કે આ દેશના રાજકારણીઓએ દેશને આબાદ કરવાના સ્થાને તેને બરબાદ કરી નાખ્યો. તેની સાથે દેશના રાજકારણમાં ગુંડાતત્વોનો વધતો પ્રભાવ પણ એક સમસ્યા છે. ભારતના રાજકારણીઓના સ્થાપિત હિતો સત્તા ટકાવવામાં છે અને તેના માટે તેઓ વિદેશી હિતો ધરાવતી મલ્ટીનેશનલ્સ કંપનીઓ અને કોર્પોરેટના સાથ લેતા પણ નજરે પડી રહ્યા છે. ક્યારેક ભારતના રાજકારણમાં અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને ભૂતપૂર્વ સોવિયત રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના એજન્ટોની ભરમાર હતી. પરંતુ પ્રવર્તમાન સમયમાં જુદાજુદા દેશોના આર્થિક હિતો સાથે સંકળાયેલી મલ્ટીનેશનલ્સ અને કોર્પોરેટના એજન્ટોની દેશની રાજનીતિમાં ભરમાર છે. કેટલાંક જણકારોના મતે, ભારતમાં હવે કોર્પોરેટો નક્કી કરશે કે દેશમાં સત્તા કોની પાસે રહે. કારણ કે રાજકીય પક્ષોને ફંડફાળો આપવામાં આવી કોર્પોરેટ કંપનીઓનો મોટો ફાળો હોય છે. જેના કારણે સત્તા પર આવ્યા બાદ આવા રાજકીય પક્ષો પ્રજાહિતની નહીં, પણ તેમની સાથે સંબંધિત કોર્પોરેટના હિતની નીતિઓ બનાવે છે.

આવી નીતિઓ દેશમાં ભ્રષ્ટાચાર માટે સૌથી મોટું કારણ છે. ભારતમાં છેલ્લા દશ વર્ષમાં ઘણાં કૌભાંડો કેન્દ્રીય સ્તરે અને પ્રાદેશિક સ્તરે ઉજાગર થયા છે. તેની પાછળ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જવાબદાર છે. ભ્રષ્ટાચારા આક્ષેપથી અમુક અપવાદોને બાદ કરતા કોઈ બાકાત નથી. જો કે આવા અપવાદો પણ શંકાથી પર નથી. ત્યારે સ્થિતિ એવી છે કે દેશના રાજકારણીઓની હરકતોને કારણે લોકોનો દેશની રાજનીતિમાં વિશ્વાસ નથી. આવી પરિસ્થિતિને જોતા લોકોને ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર પસંદ નહીં હોવાનો મળેલો વિકલ્પ રાજકારણીઓને સીધા થઈ જવા માટે સંકેત કરે છે. પરંતુ તેમ છતાં રાજકારણીઓ પોતાની હરકતોમાંથી બાજ નહીં આવે, તો જનતા તેમને મળેલા અધિકારોમાંથી જ કોઈ રસ્તો કાઢે તો નવાઈ પામવા જેવી નથી.

દેશની આર્થિક નીતિએ ભારતના ગૃહઉદ્યોગો, નાના-મધ્યમ ઉદ્યોગોનો કચ્ચરઘાણ કાઢયો છે. તો કૃષિક્ષેત્ર પ્રત્યેની ઉદાસિનતાએ દેશની સામે મોંઘવારી અને ફૂગાવા સહીતના સંકટો પેદા કર્યા છે. જેના કારણે દેશમાં આગામી દિવસોમાં આવી ઉદાસિનતા અન્ન સંકટ પેદા કરે તો નવાઈ નથી. દેશમાં આજે જીડીપીમાં કૃષિક્ષેત્રનો ભાગ ભલે ઓછો હોય, પણ દેશમાં સૌથી વધારે નોકરીઓ અને કામ કૃષિક્ષેત્ર જ આપે છે. પ્રવર્તમાન આર્થિક નીતિ દેશની કૃષિની કમર તોડી રહી છે. તેવા સંજોગોમાં દેશમાં અન્નસંકટને સાથે રોજગારીની સમસ્યા વધારે વિકટ બનશે. તો બીજી તરફ શૈક્ષણિક નીતિ પણ દેશમાં નાગરીક નહીં, પણ નોકરિયાત પેદા કરી રહી છે. આ તમામ પરિસ્થિતિ દેશની સાંસ્કૃતિક બાબતને અને હિંદુ જીવનપદ્ધતિને ઘણી મોટી ચોટ પહોંચાડી રહી છે.

ભારતમાં પ્રવર્તમાન આર્થિક મોડલ અને તેના થકી સર્જાય રહેલી રાજકીય સંસ્કૃતિ એક મોટા સંકટના એંધાણ આપી રહી છે. ભારતની હિંદુ જીવનપદ્ધતિ સામેનું સંકટ દેશની ઓળખ સામેનું વિકટ સંકટ બનશે. ભારતને ખંડિત આઝાદી વખતે ઘોષિત હિંદુ ઓળખથી વંચિત રાખવામાં આવ્યું. પરંતુ આઝાદીના 67 વર્ષે હવે છેલ્લા દોઢ દાયકાથી અમલમાં આવેલી દોઢ ડાહ્યા રાજકારણીઓની નીતિઓના પરિણામે સામાજિક-સાંસ્કૃતિક ઓળખ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ ઓળખ મટી ગયા બાદ ભારતનું ભારત તરીકેનું અસ્તિત્વ પણ જોખમાઈ શકે છે. પરંતુ પોતાની સત્તા ટકાવવા માટેના ઉદ્યમમાં લાગેલા નેતાઓને માત્ર પોતાની ખુરશીની ફિકર છે, દેશની કોઈ ચિંતા નથી. ભારત સામે આવનારા સંકટને જોતા દેશના લોકોએ તેની ફિકર કરવી પડશે અને દેશની હિંદુ જીવનપદ્ધતિ જાળવવા માટે સામાજિક-આર્થિક-રાજકીય સ્તરે કોઈ વિશેષ પરિવર્તનો માટેના પગલા ભરવા પડશે. લોકોએ પ્રવર્તમાન વ્યવસ્થાનો ઉપયોગ કરીને પરિવર્તનોને સાદ આપવો પડશે. ભારતની ચિત્તિને જીવંત રાખવા માટે, ભારતને એક રાષ્ટ્ર તરીકે જીવંત રાખવા માટે અને ભારત માટે વેદકાળથી નિર્ધારીત લક્ષ્યોની પ્રાપ્તિ માટે જનતાએ જ આંદોલન સ્વરૂપે નેતૃત્વની ચિંતા કર્યા વગર બહાર આવવું પડશે. જનતા આંદોલન સ્વરૂપે બહાર આવશે, તો નેતા પણ લોકોમાંથી જ ઉભરશે અને વિશાળ ભારતનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લેશે. આગામી પચાસ વર્ષ માટે જનતાનું સૂત્ર હોવું જોઈએ-ભારતને બચાવવા માટે હિંદુ જીવન પદ્ધતિ બચાવો, કારણ કે હિંદુ જીવનપદ્ધતિથી માત્ર ભારતનું જ નહીં, પણ વિશ્વનું કલ્યાણ થશે

Tuesday, October 15, 2013

હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક કોયડો

-         પ્રસન્ન શાસ્ત્રી
છેલ્લા 1200 વર્ષથી હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક વણઉકેલ્યો કોયડો બની રહી છે. આમ તો માનસિકતા વ્યવહારો સાથે સંબંધિત છે. પોતાના અન્યો સાથેના વ્યવહારો અને અન્યોના પોતાની સાથેના વ્યવહારો માનસિકતા ઘડતા હોય છે. ત્યારે હિંદુઓની એક સમાજ તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથેની દ્રઢનિશ્ચયી માનસિકતા રહેલી છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રે પોતાની આકાંક્ષાઓ પ્રમાણે સદઈચ્છાપૂર્વક છેલ્લા 1200 વર્ષમાં અપાર આક્રમક પ્રતિકારપૂર્વકના પ્રયત્નો કર્યા છે. પરંતુ હિંદુ સમાજ અને રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં હિંદુઓનું રાજકીય નેતૃત્વ અને તેમની માનસિકતા હંમેશા વામણાં અને નિષ્ફળ પુરવાર થયા છે. જેમાં અમુક અપવાદો છે, પરંતુ તે ઘણાં ઓછા છે. આમ તો યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા કહેવાય છે. એટલે હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતા અને તેની વામણાપણાંની ઈતિહાસકથા માટે હિંદુ સમાજની અને હિંદુ રાષ્ટ્રની વ્યક્તિગતઅને સામૂહિક ચિંતનમાં કોઈ મુશ્કેલી તરફ સંકેત જરૂર થાય છે. શિષ્ટ ભાષામાં છેલ્લા 1200 વર્ષના હિંદુ રાજકીય નેતૃત્વને મધ્યમમાર્ગી અને વ્યવહારીક ગણવામાં આવે છે. પરંતુ ઈતિહાસનું તથ્યોના આધારે અર્થપરક ચિંતન કરવામાં આવે, તો આ હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા સતત સમજૂતીવાદી અને ક્યારેક મુસ્લિમો તો ક્યારેક અંગ્રેજો તો ક્યારેક અમેરિકનો તો ક્યારેક ચીનાઓ સામે ઘૂંટણિયે પડતી નજરે પડે છે. તેની પાછળ પ્રથમ દ્રષ્ટિએ આમ હિંદુઓની રાજકીય સાક્ષરતા સામે પ્રશ્નાર્થો ઉદભવે છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક હિતોના મુદ્દાઓ પ્રત્યે આમ હિંદુઓની ઘોર ગુનાહિત બેદરકારી કારણભૂત છે. જેનો લાગ માત્ર વ્યક્તિગત વિકાસ અને પોતાના રાષ્ટ્રીય હિતોના ભોગે વિશ્વ અને હિંદુ સિવાયના સમાજ અને દેશોમાં વાહવાહી લૂંટવા માટેની હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા ઉઠાવે છે. જ્યારે આની ખબર પડે છે, ત્યારે હિંદુ સમાજ હંમેશા ઉંઘતો ઝ઼ડપાયો છે.
યૂનાન (ગ્રીસ)થી એલેકઝાન્ડર એટલે કે સિકંદર વિશ્વવિજય અને ભારત વિજયની મહેચ્છાથી ચઢી આવ્યો હતો. ત્યારે તક્ષશિલાના રાજકુમાર આંભિએ પોતાના દેશી શત્રુઓને પરાજિત કરવા માટે રાષ્ટ્રના વિદેશી શત્રુ સિકંદર સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારે તક્ષશિલાના ગુરુકુળમાં એક અસાધારણ શિક્ષક આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યે રાષ્ટ્રયજ્ઞની શરૂઆત કરી. રાષ્ટ્રયજ્ઞમાં રાષ્ટ્રને સર્વસ્વ અર્પણ કરનાર શિષ્યોની ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં ટુકડી તૈયાર કરી. ભારત વિજય માટે આગળ વધી રહેલા સિંકદરને અટકાવવા સિંધુથી મગધ સુધી અખંડ ભારત માટેની ભાવનાઓ જગાડી. સિકંદર સામે પોરસ અને અન્ય રાજાઓએ પ્રતિકાર કર્યો. જેના પરિણામે વિશ્વવિજય ગણાતા સિકંદરના લશ્કરે ગંગાનો કિનારો ઓળંગીને આગળ વધવાનો ઈન્કાર કરી દીધો હતો. સિકંદરના ભારતમાંથી પાછા ફર્યા બાદ પણ અખંડ ભારતની ભાવના સાથે હિંદુઓનું એક સક્ષમ રાષ્ટ્રવાદી નેતૃત્વ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની જોડીના સ્વરૂપે સામે આવ્યું. ચાણક્ય અને ચંદ્રગુપ્તે રાષ્ટ્ર અને તેના હિતોની ઘોર ઉપેક્ષા કરનારા મગધના આતતાયી રાજા ધનનંદનો કુળ સહીત નાશ કર્યો. અખંડ ભારતના સપનાને સાકાર કર્યું. ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્વરૂપે પેદા થયેલા સક્ષમ હિંદુ રાજકીય નેતૃત્વની અસર નીચે ભારત સદીઓ સુધી લગભગ 1000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યું. આ સમયગાળા દરમિયાન ભારતનું હિંદુ રાજકીય નેતૃત્વ દ્રઢનિશ્ચયી અને આક્રમક રહ્યું. જો કે ઈતિહાસના કાળખંડમાં તક્ષશિલાના રાજકુમાર આંભિની જેમ રાષ્ટ્રના વિદેશી શત્રુની મદદથી વ્યક્તિગત વિકાસ કરનારી માનસિકતાવાળું હિંદુ રાજકીય નેતૃત્વ પણ ફાલવા લાગ્યું. દર વખતે ભારતનું ભાગ્ય એટલું નસીબવાન રહ્યું નહીં કે તેની અખંડિતતાની સુરક્ષા માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા મહાજ્ઞાની અને મહારથીઓનું રાજકીય નેતૃત્વ મળે.
ઈસ્લામના ઉદય પછી ગણતરીની સદીઓમાં જ સિંધના હિંદુ રાજા દાહિરસેન પર ખલીફાના રખડું સેનાપતિ મહંમદ-બિન-કાસિમે હુમલો કર્યો. રાષ્ટ્રના વિદેશી શત્રુઓની મદદથી પોતાનો વ્યક્તિગત વિકાસ ઈચ્છનારા નેતૃત્વના કેટલાંક તત્વોના સતત રાષ્ટ્રદ્રોહના પરિણામે મહંમદ બિન કાસિમ ઈ.સ. 712માં સિંધ જીતી શક્યો. જો કે તેના માટે તેણે ઘણાં આક્રમણો અને યુદ્ધો કરવા પડયા. ભારતમાં ઈસ્લામનો સૌ પ્રથમ રાજકીય પ્રવેશ મહંમદ બિન કાસિમના આક્રમણથી થયો હતો. ત્યાર બાદ લગભગ 300 વર્ષના સમયગાળા બાદ અફઘાનિસ્તાનના ગઝનીમાંથી ઈસ્લામના નામે મહંમદ ગઝનવી નામનો જંગલી જેહાદી ભારત પર ઈ.સ. 1000થી 1027 વચ્ચે 17 વખત આક્રમણો કરીને ત્રાટક્યો. મહંમદ ગઝનવીએ પોતાના આક્રમણોમાં સોમનાથ સહીતના અનેક ઐતિહાસિક મંદિરો ધ્વસ્ત કર્યા અને લૂંટયા. ગઝનવીએ અનેક લૂંટ, હત્યાઓ, બળાત્કાર ધર્મના નામે કર્યા. ત્યારે પહેલી વખત સિંઘની સરહદોમાં કેદ થયેલી ઈસ્લામિક માનસિકતાનો ગઝનવી થકી આખા ભારતને અનુભવ થયો. જો કે ગઝનવીના દરેક આક્રમણોનો પ્રતિકાર થયો હોવા છતાં હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રીય ચરિત્રનો અભાવ દેખાતો હતો. જેના કારણે મહંમદ ગઝનવી 17 વખત ભારત પર ઈસ્લામના નામે હુમલો કરવાની હિંમત કરી શક્યો અને તેમા તે સફળ પણ થયો.
ગઝનવી પછી મહંમદ ઘોરીએ ભારત પર ઈસ્લામના નામે આક્રમણો શરૂ કર્યા. ગુજરાતના પાટનગર અહણિલવાડ પાટણ પર ઘોરીએ આક્રમણ કર્યું. જેમાં ગુજરાતના આઠ વર્ષના બાળરાજા મૂળરાજ દ્વિતિયની બહાદૂર સેનાએ તેને કારમી રીતે પરાજિત કર્યો હતો. દિલ્હીશ્વર અનંગપાળે પોતાના દોહિત્ર અને અજમેરના રાજકુમાર પૃથ્વીરાજ ચૌહાણને રાજગાદી સોંપી . તેનો ડંખ કનોજ નરેશ અને અનંગપાળના બીજા દોહિત્ર જયચંદના દિલમાં વાગ્યો. જેના પરિણામે તરાઈની પહેલી લડાઈમાં પૃથ્વીરાજ સામે ભૂંડી રીતે હારી જનારા મહંમદ ઘોરીને તરાઈની બીજી લડાઈમાં જયચંદની પ્રપંચી રાજરમતો થકી જીત મળી. જો કે ઘોરીએ જયચંદનો પણ બાદમાં વધ કર્યો.
આંભિથી શરૂ થયેલા હિંદુઓના રાજકીય નેતૃત્વના તત્વોની જયચંદી માનસિકતા મોગલોના ભારત પરના આક્રમણો અને ત્યાર બાદના મોગલોના રાજને ભારતમાં સ્થિર કરવા માટે મદદરૂપ નીવડી. અકબરના રાજને સ્થિર કરવામાં જયપુર-આમેરના હિંદુ રાજા માનસિંહ અને અન્ય હિંદુ મનસબદારોએ સિંહફાળો આપ્યો. જો કે મેવાડના મહારાણા પ્રતાપે અકબર સામે સ્વતંત્રતાની ટેક પોતાના ભાલા અને તલવારથી અડગ રાખી. પણ મોગલકાળમાં રાષ્ટ્રીય ભાવના રાજા માનસિંહ જેવા વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ હિંદુઓમાં ન હતી. ધીમે ધીમે હિંદુ સમાજના રાજકીય નેતૃત્વમાં આવા તત્વોની માનસિકતાએ સમજૂતીવાદી પક્કડ જમાવી હતી. ધર્માંધ ઔરંગઝેબના શાસનકાળમાં હિંદુ પદપાદશાહીના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સામે લડનારા મોગલ સેનાપતિ રાજા  જયસિંહ હતા. આમ જોવો તો સમગ્ર મોગલકાળમાં હિંદુઓ જ હિંદુની સામે લડયા અને મર્યા. જેના પરિણામે ગાદી મોગલોની સ્થિર થઈ હતી.
ઔરંગઝેબના મૃત્યુ બાદ મરાઠા અને શીખ સામ્રાજ્યો મજબૂત બન્યા. કટકથી અટક સુધી ભગવો ધ્વજ લહેરાવનારા મરાઠાઓને અહમદશાહ અબ્દાલી સામે પાણીપતના ત્રીજા યુદ્ધમાં કારમી હાર ખાવી પડી. તેના માટે તત્કાલિન હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રહિતના સ્થાને વ્યક્તિગત હિતો વધારે પ્રભાવી હોવાનું કારણભૂત માનવામાં આવે છે. જેના કારણે મરાઠાઓનેજાટ, રાજપૂત અને શીખ રાજાઓની પુરતી મદદ મળી શકી નહીં અને અફઘાન મુસ્લિમ આક્રમણખોરોની સેના સામે મરાઠાઓની હિંદુ સેનાને કારમી હાર સહન કરવી પડી. જો કે પાણીપતના ત્રીજા યુદ્ધ પછી પણ મરાઠાઓની દિલ્હી પર આણ પ્રવર્તી રહી હતી. મોગલ શહેનશાહોની સત્તા દિલ્હીમાં તેમના મહેલ બહાર પણ ચાલતી ન હતી. તેમ છતાં મરાઠાઓએ દિલ્હી સર કરવાનો વિચાર કર્યો નહીં. શિવાજી અને પેશ્વાઓના શાસન દરમિયાન ક્યારેય કોઈ મુસ્લિમ ધર્મસ્થાનો તોડવામાં આવ્યા નહીં. તેની સામે ઈસ્લામના નામે બાદશાહોએ ભારતમાં કાશીવિશ્વનાથ, કૃષ્ણજન્મભૂમિ અને રામજન્મભૂમિ સહીત લાખો હિંદુ મંદિરોને તોડીને તેના સ્થાને કે તેની નજીકમાં મસ્જિદ બનાવી છે. સોમનાથ મંદિરને ગઝનવીથી માંડીને ઔરંગઝેબ સુધીના મુસ્લિમ આક્રમણખોરો અને બાદશાહોએ 17 વખત ધ્વસ્ત કર્યુ હતું. જો કે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી આજે સોમનાથમાં સરકારી મદદ વગર ભવ્ય શિવમંદિર સ્થાપિત કરી શકાયું છે. તે વખતે નહેરુએ સરકારી રાહે મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો અને મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હોવા છતા હાજર રહ્યા નહીં. પરંતુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ નહેરુની નારાજગી છતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.
મોગલો બાદ ભારતમાં અંગ્રેજોનું કંપનીરાજ અને બાદમાં બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ અંગ્રેજી સલ્તનત અને તેની સેનાઓને મજબૂત કરવામાં સૌથી વધારે લોહી રેડનારા હિંદુઓ હતા. ભારતના હિંદુ રાજકીય નેતૃત્વની નબળી અને દિશાહીન માનસિકતાને કારણે ભારતના હિંદુઓ અને કંપનીના હિંદુ નોકરિયાતો કંપનીરાજ માટે જવાબદાર હતા. અંગ્રેજી કેળવણી લેવામાં પણ હિંદુઓ આગળ રહ્યા હતા. અંગ્રેજોની સંગતમાં પોતાની અંદરનું હિંદુપણું ખતમ કરીને અંગ્રેજીયત ઓઢવાની ફેશન સુધારાના નામે ચાલુ થઈ. આ ફેશન આઝાદીના 67 વર્ષે પણ ચાલુ છે. 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ મીરજાફરે દગો કર્યો અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવને જીત મળી. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના ક્રાંતિકારીઓ તાત્કાલિક જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા. કારણ કે કંપનીરાજની સેનાના શીખ, ગોરખા, રાજપૂત અને પઠાણ સિપાહીઓએ પોતાની વફાદારી અંગ્રેજો પ્રત્યે રાખી હતી. જો કે ત્યારબાદ દેશભરમાં સ્વતંત્રતા માટે અસંખ્ય ક્રાંતિકારી પ્રયત્નો થયા. 1900થી 1915 સુધી દેશ અને વિદેશમાં ગદર આંદોલન ચાલ્યું. પણ ભારતીય રાજનીતિમાં ગાંધીના મહાત્માપણાના ઉદય સાથે ક્રાંતિ અને બલિદાનોને બાજુમાં મુક્તી અહિંસાના નામે વેવલી, તુષ્ટિકરણ અને સમજૂતીવાદી રાજનીતિ પ્રભાવી બની.
સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક નામી-અનામી ક્રાંતિકારીઓને ભારતના સ્વતંત્રતા આંદોલનના સંગ્રામના ઈતિહાસમાં ઢાંકી દેવામાં આવ્યા. આજે પણ ભારતના બાળકોને શીખવાડાય છે કે ભારતને ગાંધીજીએ અહિંસા થકી આઝાદી અપાવી છે. આ વાત ઐતિહાસિક રીતે ક્રાંતિકારીઓના બલિદાનોને અવગણનારી અને તથ્યોથી વિરુદ્ધની છે.
ઘણાં રાજકીય ચિંતકોનું માનવું છે કે ગાંધીજી સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ હિંદુ હતા. પરંતુ રાજકીય દ્રષ્ટિએ હિંદુઓના રાજકીય-સામાજિક હિતોના સૌથી મોટા દુશ્મન ગાંધીજી જ સાબિત થયા છે. ગાંધીજીની હિંદુવિરોધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ પાકિસ્તાનના નિર્માણ માટેની મુસ્લિમ લીગી જિન્નાવાદી માનસિકતાની પોષક હતી. તેમ છતાં આજે પણ આઝાદ ભારતમાં ગાંધીજીના મહાત્માપણાની હિંદુઓ માટે નકારાત્મક અસરો પેદા કરનારી બાજુઓને ઉજાગર કરવા માટે કોઈ તૈયાર નથી. ભારતનું આજેનું નેતૃત્વ પણ ગાંધીના મહાત્માપણાની આડમાં આતંકવાદ, ચીન અને જેહાદી તત્વો સામેની પોતાની કાયરતા છુપાવી રહ્યું છે. તો કેટલાંક નેતાઓ દહીંમા અને દૂધમાં પગ રાખવા માટે પોતાની સહૂલિયત પ્રમાણે સેક્યુલરવાદી અને હિંદુ રાષ્ટ્રવાદીનો ચહેરો ઓઢતા રહે છે. તેઓ ગાંધીના નામનો ઉપયોગ કરીને પોતે મહાત્મા નહીં હોવા છતાં મહાત્મા સાબિત થવાની ગ્લોબલ રાજરમતો કરી રહ્યા છે.
પાકિસ્તાનના નિર્માણ માટે જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા અને ગાંધીવાદી કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સમાનપણે જવાબદાર છે. તેમ છતાં ભારતને ખંડિત આઝાદી મળ્યા બાદ દેશના હિંદુઓએ કોંગ્રેસને લગભગ 48 વર્ષ સુધીકેન્દ્રની સત્તા ભોગવવા દીધી છે. આજે પણ છેલ્લા દશ વર્ષથી કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ ગઠબંધન દેશની સત્તા ભ્રષ્ટાચારી રીતે ભોગવી રહ્યું છે.
જો કે 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ આંદોલન થકી દેશના રાજકારણની દશા અને દિશા હિંદુવાદી તથા હિંદુતરફી બનવા લાગી હતી. 1992માં બાબરી ઢાંચો હટાવાયા બાદ દેશભરમાં હિંદુ લાગણીઓ જોરમાં હતી. પણ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી માનસિકતા ફરીથી નડી ગઈ. 1998માં હિંદુ હિતના હિંદુ એજન્ડાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો, રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું અને દેશમાં સમાન નાગરીક ધારો લાવવો) તેને ઠેકાણે મૂકવામાં આવ્યા. ત્યાર બાદ 17 વર્ષના સમયગાળામાં ઉભી થયેલી હિંદુ વોટબેંક અને લહેરને વિખેરવાનું પાપ હિંદુ રાજકીય નેતૃત્વએ કર્યું. જો કે હિંદુઓની ઉભી થયેલી વોટબેંકને એક યા બીજા કારણે સત્તાની ગણતરીમાં પડેલા લોકોને મત આપવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પરંતુ લહેરમાં ઉભા થયેલા હિંદુ વોટરો રાજકીય નેતૃત્વના દગાને કારણે ફરીથી કોંગ્રેસ અને અન્ય પક્ષો તરફ વિચારધારાત્મક વિખેરણને કારણે ઢળ્યા. 2004 અને 2009માં વિકાસના નામે વોટ માંગનારા હિંદુ રાજકીય નેતૃત્વને હિંદુઓએ નકાર્યું. પરંતુ હિંદુઓ પાસે અન્ય કોઈ રાજકીય વિકલ્પ નહીં હોવાથી તેનો ફાયદો તેમના નિષ્ક્રિય રહેવાથી કે બીજા પક્ષો તરફ ઢળવાથી વોટોના સમીકરણોમાં કોંગ્રેસને મળ્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ દશ વર્ષથી કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે. આઝાદ ભારતમાં વારંવાર હિંદુદ્રોહ કરનારા નેતાઓ અને રાજકીય પક્ષોને હિંદુઓએ એક યા બીજા કારણે મત આપીને ચૂંટવા પડે છે. હિંદુઓની સામાન્ય માનસિકતા ઝડપથી અન્ય રાજકીય વિકલ્પ ઉભો કરવાની ક્યારેય રહી નથી. ત્યારે તાત્કાલિક રાજકીય વિકલ્પના અભાવમાં પાણીમાં બેસી ગયેલા હિંદુ રાજકીય નેતૃત્વને તેની માનસિકતા બદલીને હિંદુત્વનિષ્ઠ બનાવવી હિંદુઓની પેહલી પ્રાથમિકતા છે.
 
ભારતમાં અધર્મ અને અસત્ય સામે હંમેશા યુદ્ધ થયું છે અને તે જીતવા માટે જ આદરવામાં આવ્યું હતું. મહાભારતકાળથી ઈતિહાસ તેનો સાક્ષી છે. પરંતુ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રભાવનાને વિકૃત કરનારી કાયરતા સામે ગાંધીછાપ સેક્યુલારિઝમ અને તેમના મહાત્માપણાને ઢાલ તરીકે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતની વિચારધારા વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ પંથના અનેક સનાત વિચારના ગ્રંથોએ ઘડી છે. હિંદુઓમાં આ મહાન ગ્રંથોનું ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક-સામાજિક મહત્વ છે. આ ગ્રંથો હંમેશા અધર્મ સામે જીતવાની અને ધર્મનું આચરણ કરવાની પ્રેરણા આપે છે. અધર્મને પરાજિત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાભારતનું યુદ્ધ થયું હતું. હિંદુત્વ હંમેશા અધર્મ સામેના યુદ્ધને મંજૂરી આપે છે. પણ સાથે બ્રહ્મજ્ઞાનીનો નાશ થાય નહીં, તેવી પણ પ્રેરણા આપે છે. અસૂર અને આસૂરીવૃતિનો વિનાશ કરવો હિંદુત્વનો અંતર્નિહિત ભાવ છે. પરંતુ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી વિચારધારા હિંદુ સમાજ અને રાષ્ટ્ર સાથે ખતરનાક પ્રયોગો કરી રહી છે. આપણે ભારતના લોકોએ આવા ખતરનાક પ્રયોગો સામે હિંદુત્વવાદી દ્રષ્ટિકોણ સાથે સાવધ થવાની જરૂરત છે. સાથે કેટલાંક સવાલના જવાબ આમ હિંદુ તરીકે હિંદુઓએ સામૂહિક ચિંતનથી મેળવવા જોઈએ.

-          અંગ્રેજો અને મુસ્લિમો સામે કાયર સાબિત થયેલા તુષ્ટિકરણવાદી ગાંધીછાપ હિંદુ નેતૃત્વને હિંદુઓએ શા માટે પસંદ કર્યું?
-
-          ગાંધીજીની નીતિઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી હિંદુ વિરોધી હતી, છતાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી સાવરકરને હિંદુઓએ આઝાદીની લડત વખતે ટેકો કેમ આપ્યો નહીં?
-
- દેશ તૂટયા પછી પણ લાંબા સમય સુધી કોંગ્રેસ જ દેશના હિંદુઓનો એકમાત્ર રાજકીય વિકલ્પ કેમ બની રહી?

- હિંદુત્વવાદી મુદ્દાઓ થકી સત્તાપર પહોંચનારા રાજકીય વિકલ્પે હિંદુત્વવાદી મુદ્દાઓ સાથે 17 વર્ષ સમજૂતી કરવાની હિંમત કેમ દાખવી?
આના ઉત્તરોની રાહ હિંદુ સમાજ જોઈ રહ્યો છે. આ પ્રશ્નો દરેક હિંદુઓએ પોતાની જાતને પુછવાના છે અને તેના જવાબો શોધવાના છે.

Thursday, October 10, 2013

હિંદુ રાષ્ટ્રને ટકાવવા માટે હિંદુ રાજ્ય જરૂરી

-        પ્રસન્ન શાસ્ત્રી
ભારત સનાતનકાળથી દૈદીપ્યમાન સૂર્યની જેમ વિશ્વમાં માનવતાનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. ભારતનો ભવ્ય ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે માનવ, માનવ બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે ભારતે વિશ્વગુરુ બનીને દુનિયાનું માર્ગદર્શન અને નેતૃત્વ કર્યું હતું. આજે પણ માનવનો માનવ બનવાનો સંઘર્ષ ફરીથી શરૂ થયો છે. માનવતા સામે માનવીએ જ ઉભા કરેલા વિકરાળ સંકટો છે. ત્યારે ભવિષ્યમાં પણ ભારતે વિશ્વનું નેતૃત્વ વિશ્વગુરુ તરીકે પોતાના હાથમાં લઈને દુનિયામાં માનવતાના કલ્યાણ માટે માર્ગદર્શન કરીને માનવતાનું સંરક્ષણ કરવાનું છે.

ભારત એક આધ્યાત્મિક રાષ્ટ્ર છે અને તેની આધ્યાત્મિક શક્તિ જ તેની મૂડી છે. પ્રવર્તમાન સમયમાં વિશ્વના અન્ય ઘણાં દેશો ભારત કરતા વિજ્ઞાન-ટેકનોલોજી, ધન-સંપત્તિ, ખનીજ સંપદા, શિક્ષણ, આરોગ્ય, માનવીય સૂચકાંક વગેરે ક્ષેત્રોમાં આગળ છે. પરંતુ આ તમામ બાબતોને સંપૂર્ણ બનાવતી આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં ભારતથી આગળ ગણાતા આ દેશો ભારતથી યોજનો દૂર છે. સુખ-સમૃદ્ધિ અને શક્તિ મળ્યા પછી શાંતિની સ્થાપના જરૂરી હોય છે. આ શાંતિ ભૌતિક બાબતોના અતિરેક અથવા અગ્રેસરતાથી આવતી નથી. શાંતિ કોઈ ભૌતિક વસ્તુ નથી. શાંતિની સ્થાપના આધ્યાત્મિક આચાર-વિચાર અને વ્યવહાર દ્વારા થઈ શકે છે. આધ્યાત્મિકતા વિશ્વનું કલ્યાણ કરીને શાંતિને જન્મ આપીને તેને સ્થિર કરે છે. ભારતમાં સનાતન કાળથી અજબની આધ્યાત્મિક ચેતના છે. જેના કારણે ભારત વિશ્વનું માર્ગદર્શન કરે છે. પ્રવર્તમાન સમયમાં પશ્ચિમી દેશો, અમેરિકા અને ચીનની હવા અને દેખાદેખીમાં ભારતની આધ્યાત્મિક ચેતના સપાટી પર દેખાતી નથી. આ આધ્યાત્મિક ચેતના પરદેશી વાયરાથી પર એવા રાષ્ટ્રસાધકો અવશ્ય અનુભવી શકે છે. સામાન્ય ભારતીયોને આનો અનુભવ બહુ મુશ્કેલીએ થાય છે. તેનું કારણ ભારતની પ્રવર્તમાન સમસ્યાઓનું જાળું છે. જો કે આ સ્થિતિ રાખથી ઢંકાયેલા લાલચોળ અંગારા કે પ્રકાશવાન સૂર્યની સામે કાળું ડિબાંગ વાદળું આવી જવા જેવી છે. પરંતુ એક બાબત નિશ્ચિત છે કે આ રાખ દૂર થશે અને વાદળો પણ હટશે, અગ્નિ પ્રજ્વલિત થશે અને પ્રકાશ પણ મળશે.


જ્યાં સુધી ભારતની સમસ્યાઓનો સવાલ છે. ભારત પ્રવર્તમાન સમયમાં પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક આતંકવાદ, ચીન દ્વારા સરહદે દાદાગીરી, આંતરીક સ્તરે ક્ટ્ટરપંથી મુસ્લિમોની સંગઠન સ્વરૂપે સક્રિયતા, વિદેશ નીતિમાં ધબડકાને કારણે વૈશ્વિક પ્રભાવમાં ઘટાડો, પાડોશી દેશો સાથે અસહજ સંબંધો, રેડ કોરિડોરમાં નક્સલવાદી હિંસાચાર, પૂર્વોત્તર ભારતમાં અલગતાવાદી ચળવળો, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત પાકિસ્તાન પ્રેમીઓના ઉંબાડિયાઓ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સિવાય ભારતમાં ગરીબી, ભૂખમરો, કુપોષણ, મૂલ્યહીનતા, મોંઘવારી-ફૂગાવો, ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર, ગુનાખારી, કાળું નાણું જેવી સમસ્યાઓ પણ મોટા પ્રમાણમાં છે. દેખાવમાં આ સમસ્યાઓ જુદીજુદી અને વિકરાળ લાગે છે. પણ તેની પાછળ માત્ર એક કારણ જવાબદાર છે. પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ હિંદુસ્થાનમાં રહેલા હિંદુ રાષ્ટ્રને ભૂંસવાનો, તેને નબળું બનાવવાનો બેશરમ પ્રયત્ન કરી રહી છે. હિંદુ રાષ્ટ્રને ભૂસંવા માટે વ્યવસ્થિત આયોજનબદ્ધ પ્રયત્નો થઈ રહ્યા છ. આ કોશિશોમાં રાષ્ટ્રીય પરંપરાના સંસ્કારો ભૂલેલા હિંદુઓ જ હાથો બની રહ્યા છે. તેનાથી વધારે કરુણ પરિસ્થિતિ એ છે કે હિંદુત્વવાદી છબી ધરાવતા નેતાઓ પણ જાણે-અજાણે પોતાની કથની-કરણી દ્વારા આવા પ્રયત્નોને પ્રોત્સાહીત કરી રહ્યા છે. તેની પાછળનું કારણ હિંદુત્વવાદી છબી ધરાવતા નેતાઓની પ્રગતિશીલ, વિકાસવાદી અને સેક્યુલર દેખાવાની ઘેલછા છે.

પરંતુ આ તમામ હિંદુ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં એક જ આશાનું કિરણ હાલ દેખાય છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘની વિચારધારાનો સાર તેને હિંદુ રાષ્ટ્ર સાથેનું અવિભાજ્ય અંગ બનાવે છે. સંઘનો વિશ્વાસ હિંદુત્વમાં છે અને હિંદુસ્થાનને સિદ્ધાંત અને વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે. પરંતુ માનવજીવન સાથે સંલગ્ન અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કરી રહેલા સંઘને રાજકીય મોરચે પોતાના હિંદુત્વવાદી વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે તેવો સક્ષમ અને સ્પષ્ટ રાજકીય મંચ હજી સુધી મળ્યો નથી. તેના આવા પ્રવર્તમાન તથાકથિત રાજકીય મંચોની હિંદુત્વ સંદર્ભે અસ્પષ્ટ અને મુસ્લિમો સાથે સમજૂતીવાદી તુષ્ટિકરણની નીતિઓને પરિણામે અસમંજસતા અને ગુંચવાડાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજકીય બોદાપણું, તકવાદ અને રાજકીય અનૈતિકતાને કારણે હિંદુ રાષ્ટ્રને ભૂંસવાની મનસા રખતા તત્વો ગેલમાં છે. હિંદુ રાષ્ટ્ર આઝાદીના 66 વર્ષે વ્યવહારમાં રાજકીય ઢાંચામાં મજબૂતી મેળવી શક્યું નથી. જેના કારણે ભારત હાલ સમસ્યાઓના સમુદ્રમાં ડૂબી રહ્યું છે.

આમ તો હિંદુસ્થાનમાં રાષ્ટ્રની કલ્પના અત્યંત પ્રાચીન છે. ભારતમાં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ વૈદિકકાળથી થતો આવ્યો છે. ભારતના અર્વાચીન યુગમાં હિંદુ રાષ્ટ્રની પહેલ-વહેલી વ્યાખ્યા અને તેની ઘોષણા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કરી હતી. લોકમાન્ય બાલગંગાધર ટિળક, લાલા લાજપતરાય, વીર સાવરકર, પંડિત મદન મોહન માલવિયા, મહર્ષિ અરવિંદ ઘોષ જેવા મહાપુરુષોએ સંઘની સ્થાપના પહેલા હિંદુસ્થાનને હિંદુ રાષ્ટ્ર માન્યું હતું. 1925માં સંઘની સ્થાપના થઈ. સંઘના આદ્યસંસ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે ભારત હિંદુ રાષ્ટ્ર હોવાની સ્પષ્ટ ઘોષણા કરી હતી. આમ તો રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર સંઘની ભૌતિક ભેટ નથી. પરંતુ હિંદુ રાષ્ટ્રની સુરક્ષા અને સંવર્ધન તેના સ્વઘોષિત રાષ્ટ્રવાદી સિદ્ધાંતો પ્રમાણે પ્રાથમિક જવાબદારી છે. સંઘની શાખામાં આ સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવા માટે વ્યક્તિને સંસ્કારીત કરીને વ્યક્તિત્વ નિર્માણ કરાય છે. સંઘની શ્રદ્ધા છે કે શાખામાં વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણ થશે. જેના કારણે પ્રવર્તમાન સમયમાં એક રાષ્ટ્રવાદી સંગઠન તરીકે માનવજીવનના રાજનીતિ સહીતના તમામ ક્ષેત્રોમાં પહોંચ વધારવી અને સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવાનું કામ સંઘ કરી રહ્યો છે. ત્યારે સમયની માંગ છે કે આ ક્ષેત્રોને હિંદુ જીવનપદ્ધતિ અનુરૂપ બનાવીને હિંદુ રાષ્ટ્રને મજબૂત કરવાનું ઈશ્વરીય કાર્ય ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ઝડપી બનાવવું જોઈએ.

ભારતનો આત્મા હિંદુ છે. ભારતનું રાષ્ટ્રીય મન હિંદુ છે. ભારતનો રાષ્ટ્રીય પ્રવાહ હિંદુ છે. ભારતની રાષ્ટ્રીયતા હિંદુ છે. ભારતની આકાંક્ષાઓ હિંદુ મન-આત્માની દેણ છે. તેથી ભારતમાં કોઈપણ રાષ્ટ્રવાદની વાત હિંદુઓને સ્પર્શે છે. હિંદુ ભારતમાં રાષ્ટ્રવાચક શબ્દ છે. જો કે કેટલાંક વૈચારીક દ્રષ્ટિએ વિકૃત લોકોએ હિંદુ શબ્દને સંપ્રદાયવાચક બનાવી દીધો. આ કામ અંગ્રેજોના સમયમાં કરાયું હતું. ભારતની ઓળખ હિંદુઓને કારણે છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ અકબંધ રાખવા માટે હિંદુ રાષ્ટ્રવાદ અને હિંદુ રાષ્ટ્ર ભારતીય પ્રજાસત્તાક રાજ્યમાં મજબૂત બને તે જરૂરી છે.

વિશ્વનો ઈતિહાસ જણાવે છે કે જ્યારે રાષ્ટ્રને રાજ્યનો આશ્રય મળતો નથી કે આશ્રયદાતા રાજ્ય નબળું પડે છે, ત્યારે  રાષ્ટ્ર પણ નબળું પડીને ધીમેધીમે વિશ્વની ક્ષિતિજ પરથી અદ્રશ્ય બનીને ઈતિહાસ બની જાય છે. પ્રાચીન યૂનાન, રોમ અને ઈજીપ્ત જેવા મજબૂત દેશોને પણ તેમના રાષ્ટ્રની સુરક્ષા કરવામાં તેમના રાજ્યો નિષ્ફળ જતા રાષ્ટ્રીય ઓળખ ગુમાવવી પડી છે. ભારત છેલ્લા 1200 વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અમુક અપવાદોને બાદ કરતા ભારતમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યોએ રસ દાખવ્યો નથી. આજે કહેવામાં આવે છે કે ભારત જીવંત રાષ્ટ્ર છે. પરંતુ સાથે એક બાબત ભૂલવી જોઈએ નહીં કે ભારત સદીઓથી રાષ્ટ્રને જાળવવાની ગુનાહીત બેદરકારીને પરિણામે ખંડિત થતું રહ્યું છે. 1947માં ભારતમાંથી મજહબી આધારે ઈસ્લામિક દેશ પાકિસ્તાનને મંજૂરી આપવી પડી. હાલ આ ખંડિત ભારત કોઈ ઘોષિત રાષ્ટ્રીય ઓળખ વગરનું પ્રજાસત્તાક રાજ્ય છે. હજી પણ ભારતમાં રહેલા હિંદુ રાષ્ટ્રને સુરક્ષિત અને સંવર્ધિત કરવામાં નહીં આવે, તો ભારતને હજીપણ વિભાજન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

આવી સ્થિતિમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યની સ્થાપના કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવતી નથી. ભૂતકાળમાં સ્વતંત્રતાના ત્રણેક દશકા ભારતને હિંદુ રાજ્ય બનાવવાની જરૂરત પર ચર્ચાઓ થઈ છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યની સ્થાપના મુદ્દે બધાંના મોઢા બંધ છે. આ મુદ્દે રાષ્ટ્ર અને રાજ્યની વ્યાખ્યાઓની ચર્ચા કરીને શબ્દોની રમત થકી તર્કો આપવામાં આવે છે. ભારત હિંદુ રાજ્ય બની શકશે નહીં, તેવા નિવેદનો સંસદમાં હિંદુત્વવાદી નેતાઓ આપે છે. જેના કારણે પ્રખર હિંદુત્વવાદીઓ પણ ભારત હિંદુ રાજ્ય બનવું જોઈએ, તેવું કહેતા અચકાય છે. પરંતુ હકીકત એ છે કે હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્ય એક સિક્કાની બે બાજુ છે. હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્યને અલગ પાડી શકાય નહીં. હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર ત્યારે જ રહી શકે, જ્યારે તેને હિંદુ રાજ્ય ઘોષિત કરવામાં આવે. તેના સિવાય ભારત દીર્ઘકાળ સુધી અત્યારનું સ્વરૂપ જાળવીને હિંદુ રાષ્ટ્ર રહી શકશે નહીં.

1947 પહેલા આખું હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર કહેવાતું હતું. 1947માં ભાગલાને કારણે હિંદુસ્થાનની 30 ટકા જમીન કાપની પાકિસ્તાન નામનું ઈસ્લામિક રાજ્ય બનવા દેવાયું. હાલ અખંડ ભારતની 70 ટકા જમીન હિંદુસ્થાન કે ભારત તરીકે ઓળખાય છે. તેને જ હિંદુ રાષ્ટ્ર તાજેતરના સમયમાં કહેવામાં આવે છે. ખંડિત હિંદુસ્થાનને આયોજનબદ્ધ રીતે ઈસ્લામીકરણના કારસ્તાનોનો ભોગ બનવું પડે છે. તેથી ઓછામાં ઓછું ખંડિત હિંદુસ્થાનને કાયમી ધોરણે હિંદુ રાષ્ટ્ર તરીકે ટકાવી રાખવા માટે તેને હિંદુ રાજ્ય ઘોષિત કરવું જોઈએ અથવા અઘોષિતપણે હિંદુ રાજ્ય બનાવવા માટે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ.

સંજોગોની માંગ છે કે ભારતને હિંદુ રાષ્ટ્ર માનવાવાળા લોકો હિંદુસ્થાનને હિંદુ રાજ્ય ઘોષિત કરવા માટે અસરકારક રાજકીય સંગઠન અથવા આંદોલન ઉભું કરીને દેશનું નેતૃત્વ કરવા માટે આગળ આવે. સંઘના ગણાતા રાજકીય મંચમાં બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વોની ભરમાર છે અને તેમનું ઘણું મોટું વર્ચસ્વ છે.તેમના માટે હિંદુ રાષ્ટ્ર, હિંદુઓનો રાજકીય એજન્ડા કોઈ મહત્વ ધરાવતો નથી. આવા બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વો સાથેના હિંદુ રાષ્ટ્રવાદીઓના કજોડાં લગ્ન વધારે સમય સુધી ટકવા કઠિન છે. હિંદુરાષ્ટ્રને હિંદુરાજ્ય ઘોષિત કરવામાં અડચણરૂપ બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વોથી હિંદુ રાષ્ટ્રવાદીઓએ અલગ થઈને હિંદુસ્થાનને હિંદુ રાજ્ય ઘોષિત કરવા માટે આંદોલનનું એક બળવાન માધ્યમ બનવું પડશે. આવા સંગઠન અને આંદોલનને હિંદુ પ્રજામાં વ્યાપક સમર્થન ટૂંકાગાળામાં પણ મળી શકે છે. હિંદુ જનમાનસ ભારતના રાજકીય માળખામાં આમૂલ પરિવર્તન માટે શ્રીરામજન્મભૂમિ આંદોલન કાળથી તૈયાર છે. તેમને યોગ્ય દિશા આપનારા રાજકીય નેતૃત્વ અને સંગઠનની જરૂર છે. આવું હિંદુત્વવાદી સંગઠન અને આંદોલન રાષ્ટ્રીય જીવનમાં ટૂંકાગાળામાં છવાઈ શકે છે. દેશના 85 ટકા હિંદુઓમાંથી 40-45 ટકા હિંદુ મતો એકત્રિત કરીને દેશની રાજનીતિને હિંદુત્વવાદી દિશા આપી શકાય તેમ છે. તેનાથી ભારતને ઘોષિત કે અઘોષિત હિંદુ રાજ્ય બનાવવાનો માર્ગ મોકળો બનશે.

ભૂતકાળમાં આંધ્રપ્રદેશમાં ફિલ્મ અભિનેતા એન. ટી. રામારાવે તેલગુ દેશમ પાર્ટી બનાવીને રાજ્યના 40-45 ટકા હિંદુમતો પોતાની પાછળ એકઠા કરીને નહેરુવાદી કોંગ્રેસને પછાડી આંધ્રપ્રદેશ વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતી મેળવી હતી.

મોરેસિયશમાં 53 ટકા હિંદુઓ છે. ત્યાં ભારતીય મૂળના 16 ટકા મુસ્લિમો અને 27 ટકા ક્રિયોલ ખ્રિસ્તીઓ છે. અહીં મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ સાથે મળીને વિદેશી શક્તિઓના જોરે મોરેસિયશની સત્તા કબજે કરવા માટે આયોજનબદ્ધ યુક્તિ અજમાવી. પરંતુ મોરેશિયસમાં હિંદુ નેતૃત્વની સમજને કારણે 40 ટકા હિંદુ મતો એકત્રિત કરી શકાયા.પરિણામે 21 ઓગસ્ટ, 1983ની નિર્ણાયક સામાન્ય ચૂંટણીમાં હિંદુઓને મોરેસિયશમાં સત્તા ફરીથી મળી.


મલેશિયામાં 51 ટકા મુસ્લિમો છે. પરંતુ તેઓ મલેશિયાને ઈસ્લામિક દેશ પણ બનાવી શકયા અને ત્યાં રાજ્ય પણ કરે છે. શ્રીલંકામાં 70 ટકા બૌદ્ધો છે. પરંતુ ત્યાં સત્તારુઢ પક્ષે 40-45 ટકા બૌદ્ધમતોને પોતાની પાછળ એકત્રિત કરીને લોકશાહી ઢબે શ્રીલંકાને બૌદ્ધ રાજ્ય ઘોષિત કર્યું હતું.

આ ઉદાહરણોનો અભ્યાસ કરવામાં આવે, તો હિંદુસ્થાનમાં 40-45 ટકા હિંદુ મતોને એકત્રિત કરવા કોઈ અશક્ય બાબત નથી. જો આટલા હિંદુ મતો એકત્રિત થાય, તો હિંદુઓના અંતરમનની આકાંક્ષાઓ સાકાર બની શકે. ભારતમાં મલેશિયા,મોરેસિયશ, શ્રીલંકા અને વિશ્વના અન્ય દેશોની લઘુમતીઓની સરખામણીએ ઓછી લઘુમતી છે. એકવાર ભારતના હિંદુ રાષ્ટ્રને હિંદુ રાજ્ય ઘોષિત કરવાના લક્ષ્ય સાથે હિંદુત્વવાદ સંગઠન અને આંદોલન ઉભું થઈ જાય, તો તે ઝડપથી જુદાજુદા સંગઠનોમાં રહેલા અને વિખરાયેલા તમામ હિંદુત્વવાદી તત્વોને પોતાની તરફ એકજૂટ કરી શકશે.

હિંદુ મતો ક્યારેય એકઠા થયા નથી અને થવાના નથી, તેવું કહેવું જૂઠ્ઠાણું છે. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે 1947 અને 1990થી 1998 સુધીના ગાળામાં હિંદુ મતો એકત્રિત થયા હતા. આ સિવાય હિંદુસ્થાનની સંસ્કૃતિ પરના સંકટોનો સામનો હિંદુઓએ સાથે મળીને કર્યો છે. આ કાર્યમાં કહેવાતી પછાત જાતિ અને વર્ગોનો હંમેશા મહત્વનો ફાળો રહ્યો છે. દુર્ભાગ્યનો વિષય છે કે અખંડ ભારતમાં ગાંધીજીએ મુસ્લિમોના સહકાર વગર સ્વતંત્રતા નહીં મળી શકે તેમ કહીને હિંદુઓનું મનોબળ તોડયું હતું. આજે ગાંધીજીના નવા માનસપુત્રો ચૂંટણી ગણિતો સમજાવીને કોઈપણ ભોગે મુસ્લિમ મતો મેળવતા અચકાવું જોઈએ નહીં, તેમ કહીને હિંદુઓને રાજકીય મોરચે હતાશા તરફ ધકેલી રહ્યા છે.

ભારતમાં 543 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો પણ માત્ર મુસ્લિમ મતોના ભરોસે જીતી શકાય તેમ નથી. તેવામાં મુસ્લિમ મતદારો કોમવાદી રીતે એકજૂટ થાય, તો હિંદુઓ પ્રત્યાઘાતમાં રાષ્ટ્રવાદી ભાવનાઓથી એકજૂટ બની શકે છે. જો કે તેના માટે સ્પષ્ટ રાજકીય નેતૃત્વની જરૂર છે. પરંતુ ભારતના હિંદુઓને રાજકીય નેતૃત્વની સતત દગાખોરીનો ભોગ બનવું પડયું છે. જેના કારણે દેશમાં રાજકીય હતાશાનો માહોલ છે અને તેવા સંજોગોમાં હિંદુઓને સક્ષમ રાજકીય નેતૃત્વ આપે તેવા આંદોલનની જરૂર છે. આવું રાજકીય નેતૃત્વ જ ભારતમાં રહેલા હિંદુ રાષ્ટ્રને સુરક્ષિત અને સંવર્ધિત બનાવવા માટે હિંદુ રાજ્ય ઘોષિત કરી શકશે


આવા રાષ્ટ્રવાદી લોકોના એકત્રીકરણને કોમવાદી કે પ્રતિક્રિયાવાદી કહેવું યોગ્ય નથી. જો કે પોતાને પ્રગતિવાદી અને સાચા બિનસાંપ્રદાયિક ગણાવવા માટે આ પ્રકારની પ્રવૃતિઓએ કરાશે. પરંતુ એકવાર જો હિંદુત્વવાદી આંદોલન હિંદુઓના રાજકીય મંચ માટે ઉભું થઈ જાય, તો દેશના સ્વરૂપને બંધારણીય રીતે હિંદુ રાજ્યમાં ફેરવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં. ભારતનું બંધારણ અપરિવર્તનીય નથી. સ્વતંત્રતાથી અત્યાર સુધીમાં ભારતીય બંધારણમાં 100થી વધારે સુધારા અને સંશોધનો થયા છે. આમેય હિંદુ રાષ્ટ્રની સુરક્ષા અને સંવર્ધન તરફની રાજકીય નેતૃત્વની ગુનાહિત બેદરકારી ભારતને વિસ્ફોટક સ્થિતિ તરફ ઘસડી રહી છે. આ વિસ્ફોટક સ્થિતિમાં બંધારણ પણ હવામાં અદ્રશ્ય થાય તો નવાઈ નથી.


ભારતની અંદર અને બહારના ઘટનાચક્રોએ ભારતની જનતા અને સરકાર સામે એવી સ્થિતિ પેદા કરી છે કે જેમાં તેમને છેવટે નિર્ણય કરવો પડે કે તેઓ હિંદુ રાજ્યના સ્વરૂપમાં હિંદુસ્થાનના હિંદુ રાષ્ટ્રને જીવિત જોવા ઈચ્છે છે કે નહીં? કે પછી ભારતને પ્રાચીન રોમ, યૂનાન અને ઈજીપ્તની જેમ ઈતિહાસની ખોવાયેલી સ્મૃતિઓ બનાવવા માગે છે? આજના જેવા સંજોગો બહુ લાંબુ ચાલી શકશે નહીં. હિંદુસ્થાનને વહેલો કે મોડો પોતાના ભાગ્યનો ફેંસલો કરવો પડશે. 

Tuesday, August 6, 2013

ચૂંટણીના પ્રચારમાં હિંદુત્વ કેન્દ્રસ્થાને રહેશે


-         પ્રસન્ન શાસ્ત્રી
આમ તો દરેક અરુણોદય કેસરિયો જ હોય છે. કેસરી રંગને પસંદ કે નાપસંદ કરનારા તમામ પર સૂર્ય પોતાના કેસરિયા કિરણોથી અભિષેક કરે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના અરુણોદયને કેસરિયો ગણવાનો ઈન્કાર કરી દેવાયો. ભારતની પહેલી પરોઢના દિવસે જ પ્રભાત કેસરિયા રંગનું હોય છે, તે વાતને મોટા-મોટા નેતાઓ દ્વારા નકારવામાં આવી. ભારતની આઝાદીની સવાર કેસરી હોવા છતાં તેનો ઈન્કાર કરવા માટે તત્કાલિન કોંગ્રેસી નેતાઓમાં હોડ જામી. આજે આઝાદીના 66 વર્ષે પણ હિંદુસ્થાનને, લોકોને દેખાય, લોકોને અનુભવાય અને લોકો માનવા બાધ્ય થવું પડે તેવા કેસરિયા પ્રભાતનો ઈન્તજાર છે. હિંદુઓ આ દેશમાં બહુમતી છે. હિંદુઓ આ દેશનો આત્મા છે. હિંદુઓ આ દેશની ઓળખ છે. હિંદુસ્થાનની ઓળખાણ હિંદુ છે. હિંદુસ્થાનમાંથી હિંદુઓ અને તેમના વિચારોને બાકાત કરી નાખવામાં આવે, તો હિંદુસ્થાન હિંદુસ્થાન રહેતું નથી. આ દેશના રાષ્ટ્રત્વનો વિચાર અને તેની પ્રક્રિયા સમગ્રપણે હિંદુ ધર્મ અને હિંદુ જીવન પદ્ધતિ છે. આ દેશની ઓળખને પુનર્પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો છેલ્લા એક હજાર વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ હિંદુસ્થાનને તેની સાચી રાષ્ટ્રીય ઓળખ હજી સુધી મળી નથી.

પરંતુ છેલ્લા 25 વર્ષથી દેશનું વાતાવરણ બદલાયું છે. હિંદુઓમાં દેશની ઓળખને પ્રતિષ્ઠિતપણે પુન:પ્રસ્થાપિત કરવાની લલક લાગી છે. હિંદુત્વના વિચારને ટેકો આપનારા નેતાઓ અને પક્ષને ભારતના લોકોએ છ વર્ષ સુધી સત્તાના શિખરે પણ બેસાડયા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી હિંદુ વિચારને મજબૂત બનાવવાની વાત વિકાસના નામે બાજૂ પર મૂકવામાં આવી. જેને કારણે દેશના લોકોએ વાયદા નહીં નિભાવનારાઓને સત્તા બહાર કર્યા. જો કે દેશમાં છેલ્લા 10 વર્ષથી હિંદુઓને સતત અપખોડતી અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સત્તા પર છે. દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું નિવેદન કરીને વડાપ્રધાન મનમોહનસિંહે હદ કરી નાખી. મુસ્લિમોના ઉત્કર્ષ માટે વડાપ્રધાને સચ્ચર સમિતિ બનાવી. સચ્ચર સમિતિએ ભારતના ન્યાયતંત્રથી માંડીને લશ્કરમાં મુસ્લિમોના આંકડા મેળવ્યા. તેમણે મુસ્લિમોને અનામત આપવાની ભલામણ કરી. વડાપ્રધાને મુસ્લિમોના ઉત્કર્ષ માટે 15 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરાવ્યો. મુસ્લિમોને અલગ શિષ્યવૃતિ અને આર્થિક મદદો સરકારી રાહે અપાવા લાગી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોમાં મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની ટકાવારીમાં હરિફાઈ જામી. સેતુસમુદ્રમ નામના પ્રોજેક્ટ માટે રામાયણકાલીન રામસેતુ તોડવા માટે સરકાર તૈયાર થઈ અને ભગવાન શ્રીરામ તથા રામાયણ કપોળકલ્પિત હોવાનું એફિડેવિટ સુપ્રીમકોર્ટમાં કર્યું.
દેશમાં ચાલી રહેલા મુસ્લિમ તુષ્ટિકરણના વાતાવરણમાં ક્યારેક હિંદુહિતની વાત કરનાર રાજકીય પક્ષ ખામોશ રહ્યો. જેના પરિણામે પરિસ્થિતિ વધારે વકરી. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મળી રહેલા સંકેતો જણાવી રહ્યા છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દો પ્રચારના કેન્દ્રસ્થાને રહેશે. દેશના હિંદુઓ સુધી સચ્ચાઈથી વાતો પહોંચાડવામાં આવશે, તો દેશનું રાજકીય તકદીર બદલાય તેવી પ્રબળ શક્યતા છે. એક ગઠબંધનના નામે હિંદુત્વના વિચાર સાથે સંકળાયેલા મુદ્દાઓને 17 વર્ષ સુધી બાંધી રાખવામાં આવ્યા. જેના કારણે હિંદુ સમાજમાં આક્રોશનો અંડરકરંટ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં કટ્ટર હિંદુત્વવાદી તરીકે મીડિયા દ્વારા લોકોમાં જાણીતા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. બસ, ત્યારે હિંદુત્વ વિરોધી રાજકીય શક્તિઓને કરંટનો ઝાટકો લાગ્યો હોય, તેવું વાતાવરણ પેદા થયું. જેડીયૂએ ગઠબંધન છોડીને ભાજપથી અલગ થયું.

ત્યાર પછી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રીશ્યામાપ્રસાદ મુખર્જીના શહીદ દિવસે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સીમા પર આવેલા માધોપુરમાં ભાજપની રેલી થઈ. પરંતુ આ રેલીમાં ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને દૂર કરવાની વાત પર મૌન રહ્યા. તેમણે કોંગ્રેસના કારનામા અને વિકાસની વાતો કરી. પરંતુ તેના બીજા દિવસે ભાજપના સંસ્થાપક સભ્ય અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાની પુરજોર તરફેણ કરી. એનડીએ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બાકાત રખાયેલા પહેલા મુદ્દા પર ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ પહેલી વખત પોતાના વિચારો રજૂ કર્યા. એક તરફ વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ભાજપના મહાસચિવ અમિત શાહે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા છે. કપડાના મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીરામ સમક્ષ અમિત શાહે પ્રાર્થના કરી કે રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય. અમિત શાહના ભવ્ય રામમંદિર નિર્માણના નિવેદન પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જેડીયૂ સહીતની પોતાને સેક્યુલર ગણાવતી રાજકીય પાર્ટીઓના નેતાઓ અકરાંતિયાની જેમ ટીકા કરવા તૂટી પડયા.
વાત એટલેથી અટકતી નથી, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો એક વિદેશી ન્યૂઝ એજન્સીએ ઈન્ટરવ્યૂ લીધો. જેમાં તેમને હિંદુ રાષ્ટ્રવાદ પરનો સવાલ પુછવામાં આવ્યો. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેઓ હિંદુ છે, રાષ્ટ્રવાદી છે અને હિંદુ રાષ્ટ્રવાદી છે. મોદીએ ન્યૂઝ એજન્સીને કહ્યુ કે તમે મને હિંદુ રાષ્ટ્રવાદી કહી શકો છો. હિંદુ રાષ્ટ્ર અને પરમ વૈભવશાળી ભારતની આકાંક્ષાઓમાં કોઈ અંતર નથી. પુરા એક હજાર વર્ષથી હિંદુ રાષ્ટ્રને તેની ઓળખ અપાવવા માટે કરોડો હિંદુ રાષ્ટ્રવાદીઓ પાંપળ પટપટાવ્યા વગર બલિદાનો પર બલિદાનો આપી રહ્યા છે. પરંતુ મોદીના આ નિવેદનથી હિંદુ શબ્દથી નફરત કરનારા લોકોના પેટમાં ઉકળતું તેલ રેડાયું. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીને રાષ્ટ્રવાદી હિંદુ બનવાની સલાહ આપી. બીજી તરફ સતત સંઘ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ ક્ષોભજનક નિવેદનબાજી કરનાર હિંદુત્વ વિરોધી દિગ્વિજયે બ્લોગ લખીને પોતે કેટલા મોટા હિંદુ છે, તેનું ગાણું ગાઈ આગામીચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દે કેન્દ્રસ્થાને જ રહેશે તેમ પરોક્ષ રીતે સૂચવ્યું છે.

મોદીના ઉપરોક્ત ઈન્ટરવ્યૂમાં 2002ની ઘટનાઓ પર સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે તમે ગાડી ચલાવતા હોવ અથવા પાછળની સીટમાં બેઠા હોવ અને ગાડી નીચે કૂતરાંનું બચ્ચું આવી જાય તો પણ દુ:ખ થાય. મોદીના આ નિવેદન પર પણ વિવાદ પેદા કરીને તથાકથિત સેક્યુલર પાર્ટીઓના નેતાઓએ કહ્યુ કે મોદીએ મુસ્લિમો સમુદાયની સરખામણી કૂતરાંના બચ્ચા સાથે કરી. આ નિવેદન પર મોદી સાથે હિંદુત્વને પણ નિશાન પર લેવામાં આવ્યું. પૂણેની એક જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરી ટીપ્પણી કરતા કહ્યુ કે સંકટ સમયે કોંગ્રેસ બુરખો ઓઢીને બંકરમાં છુપાય જાય છે. આ નિવેદનને બરાબર સમજીએ તો કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર,મોંઘવારી, આતંકવાદ, માઓવાદ, મુસ્લિમ તુષ્ટિકરણ જેવા સળગતા મુદ્દા ભૂલવાડવા માટે સેક્યુલારિઝમનું ગાણું ગાય છે. કોંગ્રેસ હંમેશા પોતે સેક્યુલરવાદી હોવાનું જણાવીને મુસ્લિમોને ભાજપ, સંઘ, વીએચપી, બજરંગદળ અને મોદીનો ડર દેખાડે છે. આ વખતે પણ મોદીના ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર થયા બાદ કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે કે મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આમ કરીને કોંગ્રેસ દેશના 20 કરોડ મુસ્લિમ મતદાતાઓને કોઈપણ પ્રકારના પ્રચાર વગર પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે દેશમાં હાલ 90ના દશક જેવું હિંદુત્વનું મોજું નથી કે જેથી હિંદુ મતો વોટબેંકનું સ્વરૂપ લઈ શકે. જેના કારણે 66 વર્ષથી વોટબેંક તરીકે વર્તી રહેલા મુસ્લિમ સમાજનો કોંગ્રેસ સહારો લઈ રહી છે.
મોદીના આ નિવેદન પર કોંગ્રેસ તરફથી તેમના મીડિયા પ્રમુખ અજય માકનની પ્રતિક્રિયા આવી કે નગ્ન કોમવાદ કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. તો અમર્યાદિત ભાષાપ્રયોગ માટે જાણીતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશી થરુરે કહ્યુ છે કે ખાખી ચડ્ડી કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. ત્યારે કોંગ્રેસે જવાબ આપવો પડશે કે નગ્ન કોમવાદ કોણ ફેલાવે છે? આ દેશમાં આઝાદી પછી 50 હજાર જેટલા કોમી હુલ્લડો થયા છે. આ હુલ્લડોમાં કોનો વાંક હતો અને કોણે શું ભૂમિકા નિભાવી તેની સૌથી વધારે ખબર દેશની સત્તા પર 47 વર્ષ ભોગવટો કરનાર કોંગ્રેસને વધારે ખબર હોય. હિંદુત્વની વાત કરવી, હિંદુ એકતાની વાત કરી અને હિંદુત્વની શક્તિથી દેશને તાકતવર બનાવવાની આકાંક્ષા સેવવી કોઈપણ હિસાબે નગ્ન કે કપડા પહેરેલો કોમવાદ નથી, પરંતુ તે કરોડો હિંદુઓની નસોમાં વહેનારો તેજસ્વી હિંદુ રાષ્ટ્રવાદ છે. આ દેશના ટુકડા થવા માટે મુસ્લિમ કોમવાદ જવાબદાર હતો. આ મુસ્લિમ કોમવાદ સામે ઘૂંટણિયા ટેકવીને થાબડભાણા કરનારા કોંગ્રેસ પાર્ટીના વારસોને આજે હિંદુ રાષ્ટ્રવાદ નગ્ન કોમવાદ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ભારતના અત્યાર સુધીના અસ્તિત્વ માટે ભગવદ ગીતાને પ્રેરણા બનાવનારા અનેક દૂધમલ યુવાનોના બલિદાન જવાબદાર હોવાની વાત કોંગ્રેસને સ્વીકારવી નથી. કોંગ્રેસ જણાવે કે સેક્યુલારિઝમના બુરખામાં પેસીને તેણે દેશને નુકસાન કરતા કેવા કારનામા કર્યા છે?

શશી થરુરે એ જ રીતે ખાખી ચડ્ડીની વાત કરી આરએસએસ અને તેમની ભગિની સંસ્થાઓને વિવાદમાં ઘસડી. જેનાથી હિંદુત્વનું વાતવરણ ગાઢ બનશે. થરુરને આ સંસ્થાઓના બલિદાનની ખબર નથી. જેનું રાજકારણ કાસ્ટીઝમ ઉપર સ્થિર થયું છે, તે હિંદુત્વની લહે જો ચૂંટણીમાં આવશે તો સમાપ્ત થઈ જસે,તેવી બીકે બીએસપી અધ્યક્ષ કુ. માયાવતીએ સંઘ અને વીએચપી ઉપર પ્રતિબંધની વાત કી છે. જ્યારે મુલાયમે આવી રહેલા હિંદુત્વના પવનને ખાળવા માટે કારસેવકે ઉપરના ગોળીબારની પરોક્ષ માફી માંગી છે.

શ્રીમોદીના કે શ્રીઅડવાણીના કે શ્રી અમીત શાહના નિવેદનોના કારણે રાજકીય ક્ષેત્રે જે ગરમી આવી છે, તેનો પવન હિંદુત્વ તરફ જ ફેંકાશે તેવું દેખાઈ રહ્યું છે. વિરોધીઓ આ નિવેદનોની ટીકા કર હિંદુત્વના પવનને વાવાઝોડું બનાવી રહ્યા છે. આ બધું જોતા લાગે છે કે ભલે બધા પક્ષો વિકાસની વાત કરતા હોય, પણ ચૂંટણીમાં હિંદુત્વની લહેર ફરી વળશે તેવું દેખાઈ રહ્યું છે. સેક્યુલારિઝમનો બુરખો ઓઢનારા રાજકીય પક્ષોએ એ વાત યાદ રાખવી પડશે કે ભારતમાં કેસરિયું પ્રભાત આવશે અને તેના મૂળ આ લોકસભાની ચૂંટણીમાં નખાશે.


હિંદુ સમાજ સક્ષમ છે. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ પણ આવશ્યક છે. આવા સંજોગોમાં હિંદુઓની લાગણીને સમજનાર રાજકીય પક્ષ કે પક્ષોને ફાયદો થઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં તેમણે પોતાના કરેલા વાયદા પુરા કરવા પડશે. જો આમ નહીં થાય, તો હિંદુ સમાજ રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ બીજો રસ્તો પણ શોધી શકે છે. 

Thursday, June 20, 2013

દેશની સમસ્યાઓનો ઉકેલ: હિંદુઓને તાત્કાલિક પોલિટિકલ સ્ટેજ મળે

- પ્રસન્ન શાસ્ત્રી

વિભાજન સાથેની આઝાદીનો ઈતિહાસ ધરાવતા ભારતમાં સ્વતંત્રતાના 66 વર્ષમાં અંગ્રેજો પાસેથી ભારતીય શાસકોને વારસામાં મળેલી ભાગલાવાદી માનસિકતામાં કોઈ ફેર પડયો નથી. ભારતે 66 વર્ષમાં બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને તથાકથિત સેક્યુલર સિસ્ટમને સ્વીકારી છે. 66 વર્ષો દરમિયાન આ વ્યવસ્થાથી ભારતને ફાયદો થયો છે, તેનાથી વધારે નુકસાન જ થયું છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારતને નુકસાન થવાના ઘણાં ઉદાહરણો છે. ભારતની સામે સમસ્યાઓના પહાડ ઉભા થઈ ચુકયા છે. પરંતુ આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ વ્યવસ્થિત અને પાયાગત વિચાર થયો નથી. ભારતમાં રહેલી સમસ્યાઓના મૂળભૂત કારણો સંદર્ભે વિચાર થતો નથી. 

66 વર્ષના આઝાદીના ગાળામાં ભારતમાં એક પાર્ટીનું શાસન ઘણો લાંબો સમય રહ્યું. 70ના દાયકામાં દેશમાં રાજ્યોમાં બીજી પાર્ટીઓ વિકલ્પ તરીકે ઉભરવા લાગી હતી. પરંતુ કેન્દ્રમાં તો એક જ પાર્ટી સત્તા પર રહી. 1947થી 1989ના સમયગાળામાં કટોકટી બાદ ટૂંકાગાળા માટે સત્તા પર આવેલી જનતા પાર્ટીની સરકારના લગભગ અઢી વર્ષના ગાળાને બાદ કરી દેવામાં આવે, તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો જ સત્તામાં રહી. 1989થી 1998 સુધીના ગાળામાં લઘુમતી સરકારો અને રાજકીય જોડતોડ તથા જોડાણોવાળી સરકારો સત્તા પર આવી. 1998થી 2014 સુધીના ગાળામાં દેશની બે મુખ્ય પાર્ટીઓની આગેવાનીવાળા ગઠબંધનોની સરકારો દેશે જોઈ. 

આ રાજકીય પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ હતી કે આ દેશના 85 ટકા હિંદુઓને દેશની એકપણ રાજકીય પાર્ટીએ પોલિટિકલ સ્ટેજ આપ્યું નથી. આ દેશની તમામ સરકારો બહુમતી હિંદુ મતદારોના વોટથી ચૂંટાઈ છે. પરંતુ સત્તાનો ભોગવટો કરનારી એકપણ સરકારે હિંદુઓને હિંદુના નામે રાજકીય સ્ટેજ પુરું પાડયું નથી. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે દેશ પર અનેક આક્રમણો થયા. કેટલાંક વિદેશીઓ જીતી પણ ગયા. પરંતુ દેશના મૂળનિવાસી એવા હિંદુઓએ પ્રતિઆક્રમણોનો દોર ચલાવી સતત સંઘર્ષ કર્યો. અંગ્રેજોને બાદ કરતા આખો દેશ ક્યારેય કોઈ બાદશાહ કે સુલતાનના તાબામાં રહ્યો નથી અને થોડા ગાળામાં રહ્યો હોય, તો તેમા હિંદુ રાજાઓએ ઘણાં પ્રભાવી પદો ભોગવ્યા છે. મુગલોના અસ્ત પછી મરાઠાઓએ છત્રપતિ શિવાજી થકી હિંદુ પદપાદશાહીની સ્થાપના કરી હતી. અનેક યુદ્ધો બાદ ભારતના હિંદુઓને રાજપૂત કે મરાઠા કે શીખ તરીકે નહીં, પણ હિંદુ તરીકે રાજકીય સ્ટેજ કોઈએ પુરું પાડયું હોય તો તે છત્રપતિ શિવાજી હતા. શિવાજી દ્વારા સ્થાપવામાં આવેલી હિંદુ પદપાદશાહી પેશ્વાઓના પ્રતાપે અટકથી કટક સુધી વિસ્તરી. પરંતુ અંગ્રેજોના આગમન પછી પરિસ્થિતિ બદલાઈ. હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ લઈ લેવા માટે દેશમાં કમજોર પડી ગયેલા મુસ્લિમોને અંગ્રેજોએ ધર્મના નામે આગળ કરવાના શરૂ કર્યા. આમ અંગ્રેજોએ હિંદુઓ પાસેથી પોલિટિકલ સ્ટેજ આંચકી લીધું. 

1857ના અંગ્રેજો સામેના હિંદુ-મુસ્લિમ રાજા-નવાબો અને પ્રજાના લોહિયાળ સ્વતંત્રતા સંઘર્ષ બાદ બ્રિટિશરોએ પોતાની નીતિઓ ફેરવી. શરૂઆતમાં મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું. પરંતુ હિંદુઓની અસીમ રાજકીય શક્તિને જોયા પછી તેને કાબૂમાં કરવા માટે અંગ્રેજોએ મુસ્લિમોની ભારત પર રાજ કરવાની આકાંક્ષાઓને કબરમાંથી ખોદીને કાઢી. અંગ્રેજોએ 1885માં કોંગ્રેસની સ્થાપના કરાવી. તેનો ઉદેશ્ય દેશના ભણેલા હિંદુઓને એકઠા કરીને અંગ્રેજોના કહ્યામાં રહે તેવી રાજકીય પાર્ટી ચલાવી દેશ પર વધુ વર્ષો રાજ પાકું કરવાનો હતો. અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ હિંદુઓનું રાજકીય સ્ટેજ ક્યારેય હતી નહીં. પરંતુ 1906માં અંગ્રેજોએ રાષ્ટ્રવાદી હિંદુઓની કોંગ્રેસમાં વધતી તાકાત જોઈને મુસ્લિમોને મુસ્લિમ લીગ નામે અલગ પોલિટિકલ સ્ટેજ સ્થાપવામાં મદદ કરી. બસ દેશમાં મુસ્લિમોના પોલિટિકલ સ્ટેજ સામે કોંગ્રેસે હિંદુઓના પોલિટિકલ સ્ટેજ તરીકે કામ કરવાનું હતું. પરંતુ વસ્તુસ્થિતિ સાવ વિપરીત નિવડી. કોંગ્રેસે દોઢું મુસ્લિમપણું સ્વીકારીને હિંદુ-મુસ્લિમ એકતાના ગાણાં ગાઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ કર્યું. તેમા પછી ખિલાફત આંદોલન હોય, વંદેમાતરમનો મુસ્લિમ વિરોધ હોય કે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની વાત હોય. તમામ સ્તરે કોંગ્રેસે મુસ્લિમો સામે નમતું જોખ્યું. જેના પરિણામે મુસ્લિમ લીગ નામના પોલિટિકલ સ્ટેજનો સફળ ઉપયોગ મુસ્લિમ નેતાઓએ ભારતમાતાને ખંડિત કરીને અલગ પાકિસ્તાન બનાવવામાં કર્યો. (નોંધ- કોંગ્રેસ ભલે પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી રહી, પરંતુ મુસ્લિમ લીગના નેતાઓ અને અન્ય મુસ્લિમો તેને હિંદુ પાર્ટી તરીકે જોતા હતા. વળી બહુમતી હિંદુ મતદારોની કોંગ્રેસ તરફની લાગણીને પરિણામે કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ બની હતી. પરંતુ જ્યારે હિંદુઓએ કોંગ્રેસને પોતાના પોલિટિકલ સ્ટેજ તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, તો મહાત્મા ગાંધી અને નહેરુ સહીતના કોંગ્રેસી નેતાઓએ હિંદુની અવગણના કરતા વલણો અપનાવી દેશ ઘાતક ખતરનાક નિર્ણયો કર્યા હતા.)

આઝાદી વખતે મહાત્મા ગાંધી અને નહેરુની કોંગ્રેસમાં સદબુદ્ધિ આવી નહીં. ભારતને બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને સેક્યુલર વ્યવસ્થાના વિનાશપંથે અગ્રેસર કર્યું. દેશમાં વ્યવસ્થાના નામે અવ્યવસ્થાનું રાજ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યું. આશ્ચર્ય છે કે આ અવ્યવસ્થાને વ્યવસ્થા ગણવામાં આવી. આજે સુસાશનને નામે વ્યવસ્થા ઠીક કરી લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુદરતી કહેર કે માનવસર્જિત આફતો આવે છે, ત્યારે તમામ સુશાસનોની પોલ ખુલી જાય છે, પછી તે ઉત્તરાખંડ હોય કે ગુજરાત. કોંગ્રેસે સમાજવાદ અને સેક્યુલારિઝમના ગાણા ગાઈને 1989 સુધી કેન્દ્રમાં થોડા વર્ષોના અપવાદને બાદ કરતા સત્તા હસ્તગત રાખી. પરંતુ આ કોંગ્રેસે આઝાદી પહેલા પણ હિંદુઓને હિંદુના નામે પોલિટિકલ સ્ટેજ પુરું પાડયું નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ પણ હિંદુઓને હિંદુ તરીકે રાજકીય સ્ટેજ પુરું પાડવાનો ઈન્કાર કર્યો. આ ત્રણેય વડાપ્રધાનોએ હિંદુઓને રાજકીય સ્ટેજ મળે નહીં, તેના માટે ઘણી રાજરમતો અને ઉધામા કર્યા.  1925માં રાષ્ટ્રવાદી વિચારાધારના આંદોલન તરીકે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. 

આનું એકમાત્ર કારણ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈચ્છા છે કે દેશના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળે અને તેના થકી સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય. આરએસએસની પ્રેરણાથી 1952માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાના ઈરાદા સ્પષ્ટ ઉપસી આવ્યા. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે મળીને જનસંઘના નેતાઓ ચૂંટણી જીત્યા. સત્તામાં આવ્યા બાદ જનતાપાર્ટીમાં વિલિન થઈ ગયા. પરંતુ આરએસએસ સાથે સંબંધને કારણે બેવડી સદસ્યતાનો મામલો ઉઠયો. તેથી કેટલાંક સ્વયંસેવક હતા, તેવા નેતાઓએ અલગ પાર્ટી સ્થાપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. 1980માં ભારતીય જનતા પાર્ટી નામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહીતના સંઘના સ્વયંસેવકોએ જનતાપાર્ટીથી અલગ પાર્ટી બનાવી. આ ઘટનાક્રમમાં પણ એક વાત સ્પષ્ટ છે કે જનસંઘના જનપ્રતિનિધિઓ સામે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવનારા તત્વો સંઘ સાથે તેમનો નાતો તૂટે તેવી રમત રમતા હતા. તેનો સીધો અર્થ હતો કે સંઘ દ્વારા પ્રેરીત હિંદુ પોલિટિકલ સ્ટેજને પુરી રીતે નેસ્તોનાબૂદ કરી દેવું. 

1984માં માત્ર બે બેઠકોથી જીતની શરૂઆત કરનારા ભાજપે 1998થી 2004 સુધી દેશમાં સફળ ગઠબંધન સરકાર ચલાવી. 1997માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર પણ બની હતી. તે સમયના માહોલમાં જય શ્રી રામના નારા ગુંજતા હતા. 1987થી શરૂ થયેલું રામજન્મભૂમિ આંદોલન 1992માં ચરમસીમાએ પહોંચ્યું. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાને બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા બનાવાયેલા બાબરી ઢાંચાને ધ્વસ્ત કરી દેવાયો. દેશમાં હિંદુ ઉત્સાહ અને લાગણીઓ ચરમસીમાએ હતી. સોમનાથથી અયોધ્યા જવા નીકળેલી રામરથયાત્રાનું નેતૃત્વ પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધું. ત્યાર બાદ 1991માં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી. આતંકવાદીઓની ધમકી છતાં જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો હતો. 1989થી 1998 સુધીનો માહોલ દેશમાં હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળી જશે તેવા પ્રકારનો હતો. પરંતુ 1998માં અટલ બિહારી વાજપેયીના વડપણ નીચે 24 પક્ષોનો શંભુમેળો એનડીએના નામે ભેગો થયો. આ શંભુમેળાએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાં હિંદુના હિતના અને તેમને રાજકીય સ્ટેજ આપતા ત્રણ મુદ્દાઓ બાકાત રાખ્યા. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ-370 દૂર કરવી, દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવો અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામંદિર નિર્માણ કરવું હતા.

દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટાતા હતા. લખનૌથી અયોધ્યા 60 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ વાજપેયી ક્યારેય અયોધ્યામાં રામમંદિરની મુલાકાતે ગયા નથી. તેમ છતાં સત્તામાં રહ્યા ત્યાં સુધી દરવર્ષે અજમેરશરીફમાં ચાદર મોકલાવાનુ ભૂલ્યા ન હતા. વાજપેયી શરૂઆતથી રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો. બાબરી ધ્વસ્ત થવાની ઘટના સમયે તેઓ અયોધ્યામાં ન હતા. તો અડવાણી તેમનાથી પણ આગળ નીકળ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ 2005માં પાકિસ્તાન ગયા. ત્યાં પાકિસ્તાનના સંસ્થાપક મહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેક્વ્યું. ઝીણાને સેક્યુલર ગણાવ્યા. પાકિસ્તાનમાં બાબરી ધ્વંસનું દુ:ખ વ્યક્ત કર્યું. બધા કહે છે કે હવે ભાજપમાં વિકાસની નવી હવા ચાલે છે. આ હવા ગાંધીનગરથી દેશભરમાં ફેલાય છે. પહેલા અટલના ઉદારમતવાદી ચહેરાને કારણે હિંદુઓને રાજકીય મંચ મળ્યો નહીં. બાદમાં ઝીણા સંદર્ભેના નિવેદને અડવાણીની હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાની ક્ષમતા હણી નાખી.
હવે વિકાસ અને સદભાવનાના નામે હિંદુઓને પોલિટિકલ સ્ટેજથી હિંદુઓના નામે દૂર રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002થી 5 કરોડ લોકોની વાતો કરતા આવ્યા છે, હવે વસ્તી વધી છે એટલે આંકડા બદલ્યા છે અને 6 કરોડ ગુજરાતીઓ એમ બોલે છે. મોદીએ સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં પણ તથાકથિત સેક્યુલર લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો માઈન્ડ સેટ ઉજાગર થાય છે. આ દેશમાં હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ. ભારતની રાષ્ટ્ર તરીકેની ઓળખને હિંદુઓથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેવા સંજોગોમાં હિંદુત્વના વિકાસમાં સૌનો વિકાસ કોઈ રાજનેતાને દેખાતો નથી. ખરેખર આ સ્થિતિ ભારતનું દુર્ભાગ્ય છે. 

હિંદુઓને આઝાદી પહેલા કોંગ્રેસ પોતાનું પોલિટિકલ સ્ટેજ લાગી. કોંગ્રેસના આંદોલનોને કારણે દેશ આઝાદ થયો તેવી ભ્રમણાઓ પેદા કરીને અન્ય ક્રાંતિકારી ચળવળો તથા બલિદાનો ભૂલાવી દેવાયા. કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ હોવાનો ભ્રમ દ્રઢ રહ્યો, ત્યાં સુધી કોંગ્રેસ આઝાદી પછી એકહથ્થુ સત્તાનો ભોગવટો કરતી રહી. હિંદુઓનો ભ્રમ જ્યારે ભાંગીને ભૂક્કો થયો, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ સત્તા પર છે. પરંતુ તેના કારણો જાતિગત રાજનીતિ અને સેક્યુલારિઝમના નામે સત્તાની બંદરબાટ કરવામાં રહેલા છે. હિંદુઓને લાગ્યું ભાજપ તેમને રાજકીય મંચ પુરો પાડશે. પરંતુ તેમણે તો જીત પછી દગાબાજીના નવા ઈતિહાસ રચ્યા. પાકિસ્તાન સાથે શાંતિના પેગામ મોકલ્યા. પરમાણુ ધડાકા કર્યા પણ લશ્કરને સરહદે ગોઠવીને મુસ્લિમો પાકિસ્તાન સાથે યુદ્ધથી નારાજ થાય નહીં એટલે વાજપેયી મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા. આ પહેલા કારગીલ જેવી શર્મનાક ઘટના બની અને 500 સૈન્ય અધિકારીઓ અને જવાનોએ શહીદી વ્હોરી. દેશમાં 2 કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો અપાયા. આ તમામ ઘટના દર્શાવે છેકે હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ ખંડિત અને આઝાદ ભારતમાં ક્યારેય મળ્યું નથી. 

- અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરી ઢાંચાને હટાવાયા બાદ પણ ભવ્ય રામમંદિર નિર્માણનું સપનું હજી પૂર્ણ થયું નથી. ભગવાન શ્રીરામ હજી પણ કપડાના ટેન્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના અયોધ્યામાં આ સ્થળે જ રામજન્મભૂમિ હોવાના ચુકાદા બાદ પણ હિંદુઓને રામમંદિર નિર્માણ કરવા દેવાતું નથી. આવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ હિંદુઓ પ્રત્યે સંવેદનશીલ હોત, તો સંસદમાં ઠરાવ પસાર કરીને રામજન્મભૂમિની જમીન હિંદુઓને તાત્કાલિક સોંપી દેત. 

- ભગવાન રામ અને રામાયણ કપોળકલ્પિત હોવાના એફિડેવિટ માત્ર એટલા માટે થયા કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભગવાન રામ દ્વારા નિર્મિત મનાતા ભારત-શ્રીલંકા વચ્ચેના રામસેતુને તોડીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને આગળ વધારવા માગતી હતી. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તેમા તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પાર્ટી ડીએમકેના નેતાઓના સ્થાપિત હિતો છે. રામસેતુ મુદ્દે હિંદુઓને પોલિટિકલ સ્ટેજની પરવાહ કર્યા વગર આંદોલન કરવું પડયું. જેના પરિણામે રામસેતુ તોડવાનું કામ સરકારને રોકવું પડયું છે. પરંતુ હિંદુઓના પોલિટિકલ સ્ટેજની ગેરહાજરીમાં રામ, રામાયણ અને રામસેતુ ફરીથી પોતાને સેક્યુલર ગણાવતી સરકારના નિશાના પર આવી શકે છે.

- દેશના હિંદુઓએ ગાયને પવિત્ર અને માતા ગણે છે. પરંતુ આઝાદીના 66 વર્ષમાં ગાયોની કત્લેઆમ દેશમાં ચાલી છે. દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો બનાવવાની માગણી થઈ છે. કેટલાંક રાજ્યોએ નામનો કાયદો બનાવી પણ રાખ્યો છે. પરંતુ ગોહત્યા રોકાતી નથી. ભારત કૃષિપ્રધાન દેશ હતો. આજે ભારતમાં ઔદ્યોગિકરણની લ્હાયમાં ખેતીનું નખ્ખોદ નીકળી રહ્યું છે. નેતાઓ દાવો કરે છે કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસે પહેલા ગાય અને પછી ખેતીને અપાર નુકસાન પહોંચાડયું છે. આવા વિકાસનો પુનર્વિચાર કરવા માટે પણ કોઈ રાજકીય નેતા હાલ તૈયાર નથી.

- આખા ભારતમાં અમદાવાદ, દિલ્હી, હૈદારાબાદ, કાનપુર, અલ્હાબાદ, લખનૌ વગેરે જેવા જૂના શહેરોમાંથી હિંદુઓ બહાર નીકળી તેના પરાવિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. આવા શહેરોના કોટવિસ્તાર મુસ્લિમોના હાથમાં ચાલ્યા ગયા છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આખા દેશમાં ચાલી રહી છે. પણ રાજકીય નેતાઓની આ મુદ્દા પરત્વે ઉદાસનિતા છે. જેના માઠા પરિણામો આવા શહેરોને ભોગવવા પડે છે. 

- દિવાળી, નવરાત્રિ, ઉતરાયણ, હોળી જેવા હિંદુ તહેવારો હિંદુ પરંપરા પ્રમાણે નહીં, પણ હિંદુ-મુસ્લિમ ભાઈચારાના નામે મુસ્લિમોથી ડરીને ઉજવવા પડે છે. 

- જીવો અને જીવાડોના વિચારમાં વિશ્વાસ રાખનારા ભારતમાં આજે 36 હજારથી પણ વધારે કતલકાનાઓ થઈ ગયા છે. 

- આસામ, કેરળ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ઘણાં વિસ્તારોની ધાર્મિક જનસાંખ્યાયિકી ઝડપથી સુવ્યવસ્થિત રીતે બદલાઈ છે. તેના માટે મુસ્લિમોનું બહુપત્નીત્વ અને નસબંધીને નહીં સ્વીકારવાનું વલણ મોટા પ્રમાણમાં જવાબદાર છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક સંતુલન સ્થાપવા માટે કોમન સિવિલ કોડની માગણી થાય છે. પરંતુ તેને કોમવાદી ગણીને રાજકીય પક્ષોએ પોતાના ઉકરડાંઓમાં ફેંકી દીધી છે.

- દેશના ઘણાં મોટા હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે અને તેની આવક સરકાર જ વાપરે છે. 

- અમરનાથ યાત્રા માટે દેશના હિંદુઓને બલિદાની આંદોલનો કરવા પડે છે. જ્યારે હજયાત્રા માટે મુસ્લિમોને સરકાર વ્યવસ્થા કરી આપે છે

- દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક હોવાનું જણાવીને વડાપ્રધાન દેશના 100 કરોડ હિંદુઓનું અપમાન કરે છે.

- રાષ્ટ્રગીત વંદેમાતરમ ચાલતુ હોય, તે વખતે બીએસપીનો મુસ્લિમ સાંસદ સંસદમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાછળથી કહે છે કે વંદેમાતરમનું ગાન ઈસ્લામ વિરુદ્ધ છે. 

- આસામ અને બાંગ્લાદેશ સાથેની અન્ય સરહદે હિંદુઓની જમીન, જંગલ અને ખેતી પડાવી લેવા માટે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા ષડયંત્ર ચલાવાયું છે. પરંતુ દેશની સરકારોને આ મુસ્લિમોમાં વોટબેંક દેખાઈ અને તેના કારણે આજે આસામને બીજા કાશ્મીર બનવાના માર્ગે ધકેલી દેવામાં આવ્યું છે. 

- લઘુમતીઓને પંદર સૂત્રીય કાર્યક્રમ, અલગ બજેટ-સબસિડી અને શિષ્યવૃતિથી વિકરાળ લાભો આપવામાં આવે છે. જેના પરિણામે હિંદુ યુવાવર્ગ સ્પર્ધા અને વિકાસની હરિફાઈમાં પાછળ પડી ગયો છે. પરંતુ વિકાસના ગાણાં ગાનારા રાજકીય ગવૈયાઓને તેની કોઈ પરવાહ નથી. 

દેશની આઝાદીના 66 વર્ષનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એનડીએ હોય કે યુપીએ, ભાજપ હોય કે કોંગ્રેસ બંને મુસ્લિમો, મિશનરી અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે ખોળો પાથરીને ઉભેલા દેખાય છે. આમા આ દેશના 100 કરોડ હિંદુઓની સતત સમજણપૂર્વકની ઉપેક્ષા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આસામ, કાશ્મીર, ઓરિસ્સા જેવા રાજ્યોમાં હિંદુઓને પોતાના જ દેશમાં શરણાર્થી બનવું પડે છે. ગંગા સહીતની નદીઓ પર વિકારાળ ઉદ્યોગોની હારમાળા ઉભી કરી દેવાય છે. જેને પરિણામે ગંગા સહીતની નદીઓના શુદ્ધિકરણ માટે હિંદુઓએ જ ચળવળ ચલાવવી પડે છે. આઝાદી પછી આ દેશની સત્તા પર આવનારા તમામે હિંદુઓને છેતર્યા છે. તેમણે મુસ્લિમ તુષ્ટિકરણના નવા ઈતિહાસ પણ રચ્યા છે. બધાના શાસનમાં થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ હિંદુઓ જ મર્યા છે.

છતાં ચહેરો વાજપેયી જેવો ઉદારમતવાદી અને સેક્યુલર રાખીને હિંદુઓના વોટ મેળવવાની આશા રાખવામાં આવે છે. આજ સુધી કોઈ નેતા હિંદુત્વવાદી હોય કે ન હોય, પરંતુ સંતોના સંમેલનમાં કોઈએ જાહેર કર્યું ન હતું કે તેઓ માત્ર હિંદુઓના નેતા નથી, પણ બધાના નેતા છે. આવું બોલનારા નેતા પાસે હિંદુ સમાજ પોલિટિકિલ સ્ટેજ મેળવવાની આશા કંઈ રીતે રાખી શકશે? દેશમાં હિંદુત્વ જ આગળ રહેશે તેઓ વારંવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હિંદુત્વ જ આગળ રહે તેના માટે રાજકીય મંચની જરૂર છે. એવા રાજકીય મંચની કે જેને દુનિયા જોઈ શકે. જેના પરથી દુનિયાને બતાવી શકાય કે હિંદુ શું કરી શકે છે? પણ કેટલીક વખત હિંદુહિતની રાજનીતિ કરનારાઓ પર દયા આવે છે કે તેઓ બોલી શકતા નથી કે હા, અમે હિંદુહિતની રાજનીતિ કરીશું. આ દેશની સમસ્યાની જડ હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ મળ્યું નથી તે છે, જો હિંદુઓને તેમનું પોલિટિકલ સ્ટેજ મળી જાય, તો દેશની સમસ્યા જેટ ગતિએ ઉકેલાશે. ગુજરાતના વિકાસમાં કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. તે મોડલની ખામી હોઈ શકે. પરંતુ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું, કારણ કે રાજ્યના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ એક હદ સુધી પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાતે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદીને હિંદુત્વવાદી મુદ્દાઓ પર જ વોટ આપ્યા છે. હિંદુત્વવાદી મુદ્દાઓ પર જીતીને જ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું છે. ત્યારે દેશમાં હિંદુત્વવાદી ચહેરો છુપાવીને ગુજરાત વિકાસ મોડલને લઈને આગળ વધવાનો શું અર્થ છે? યાદ રહે ગુજરાતથી દિલ્હી જવાનો રસ્તો અયોધ્યાથી અવશ્ય જઈ શકે છે, પણ ગુજરાતથી ચીન-જાપાન થઈને દિલ્હી કોઈ રસ્તો પહોંચતો નથી. 

Monday, April 15, 2013

જરૂર છે, સંવેદનશીલ વિકાસ મૉડલની


-         આનંદ શુક્લ
આખા દેશ અને ગુજરાતમાં વિકાસના વાયરા વાયા છે. આ વાયરા પહેલા યૂરોપ અને પછી અમેરિકાથી વાયા. ભારતે આઝાદીના 65 વર્ષો બાદ 90ના દશકથી વિકાસની વાટ પકડવા માટે યૂરોપ અને અમેરિકી મોડલને આધાર બનાવ્યું છે. ભારતમાં યૂરોપિયન અને અમેરિકન મોડલના આધારે થઈ રહેલો વિકાસ યંત્રવત હોવાનું ઘણાં વિશેષજ્ઞોનું માનવું  છે. આ વિકાસ પ્રક્રિયા એક યંત્રવત છે. વિકાસ પ્રક્રિયા માણસ માટે હોય છે, માણસ વિકાસ પ્રક્રિયા માટે નહીં. પરંતુ ભારતમાં અમેરિકન વિકાસ મોડલના પ્રભુત્વમાં માણસ વિકાસ પ્રક્રિયા માટે છે! વિકાસ પ્રક્રિયામાં ભવ્યતા અંતિમ પડાવ છે. પરંતુ ભારત અને ગુજરાતમાં વિકાસનો વાયરો વાવાઝોડામાં ફેરવાઈને ભવ્યતાના રવાડે વિષચક્ર બની ચુક્યો છે. આપણે ત્યાં સરકારોએ ભવ્યતા અને રેકોર્ડને વિકાસ માની લીધો છે. આ વિષચક્ર બની ચુકેલા વિકાસના મોડલથી મહિલાઓની સ્થિતિ ખરાબ છે, બાળકો કુપોષણના ભોગ છે, ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે, સીમાડા પર દુશ્મન દેશો ભારતને કનડી રહ્યા છે, વિકાસદર 5 ટકાએ માંડ પહોંચી રહ્યો છે. ખાદ્ય અને દેવામાં સરકારો સપડાઈ રહી છે. દેશમાં માત્ર રસ્તાઓ સારા થઈ જવા માત્રથી વિકાસ થતો નથી. આ સારા રસ્તાઓ તેની આસપાસ વસતા માણસોને ચોક્કસ મદદરૂપ થાય છે. પણ તેનાથી વધારે મદદ આ દેશની કુદરતી સંપત્તિનો વેપલો કરતા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસને કરે છે. આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં.
આ દેશમાં 90ના દશકમાં જે સંવેદનશીલતાનો માહોલ હતો, તે માહોલ વિષચક્ર બનેલા વિકાસના વાવાઝોડામાં ગાયબ છે. આ વિકાસ અસંવેદનશીલ છે, આ વિકાસ પ્રક્રિયા અસંવેદનશીલ છે. જયપુરમાં તાજેતરમાં એક અકસ્માત થયો. રસ્તા પર એક મહિલા અને તેની છ માસની બાળકીનું કોઈ વાહનની અડફેટે અવસાન થયું. મૃત મહિલાનો પતિ અને તેનો નાનો પુત્ર મદદ માટે વલખા મારતા રહ્યા. પરંતુ ત્યાંથી પસાર થતી લગભગ 100 ગાડીઓ અને વાહનોમાંથી એકની પણ સંવેદના જાગી નહીં. તેમણે મહિલા જીવે છે કે મરી ગઈ છે, તે જાણવાની દરકાર સુદ્ધાં લીધી નહીં. અંતે અડધો કલાક બાદ કેટલાંક બાઈકસવારોએ મદદ કરવાનું શરૂ કર્યું. વિકાસમાં માનવીય સંવેદનાઓ મરી પરવારે છે, ત્યારે તે વિકાસ અસંવેદનશીલ બને છે. ભારતીય વિચારધારામાં ધર્મના (નોંધ- ધર્મનો અર્થ અંગ્રેજી રિલિજયન પ્રમાણે કરવો નહીં) આધારે ધન પેદા કરવું, સંપત્તિ પેદા કરવી, ધન-ધાન્ય પેદા કરવું, સુખ-સંપન્ન તા વધારવાની મંજૂરી બેશક છે. પરંતુ શું અત્યારે જે વિકાસ થઈરહ્યો છે, અત્યારે જે વિકાસ પ્રક્રિયા આરંભાઈ છે, તેમાં મૂલ્યો-સિદ્ધાંતો અને માનવીય સંવેદનોઓને સ્થાન છે?
ભારતમાં હાલના અમેરિકન મોડલના તથાકથિત વિકાસના વાયરા વાયા ન હતા, તે વખતે ભારતનો ગરીબ પણ ભૂખ્યાને પોતાના અડધા રોટલામાંથી બટકું આપી દેવાની વૃતિવાળો હતો અને આજે પણ વિકાસના વાયરાથી વંચિત આ વર્ગમાં આ પ્રવૃતિ સામાન્ય રીતે જોવા મળે છે. આજે દેશની મોટાભાગની સંપત્તિ મુઠ્ઠીભર અમીરો અને કોર્પોરેટના હાથમાં કેદ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં સપડાયેલા લોકામાં ભારતના ગરીબ પહેલા હતી અને અત્યારે છે, તેવી સંવેદનાનો અભાવ છે. કોર્પોરેટો, મલ્ટીનેશનલ્સો અને ઔદ્યોગિક ગૃહોને વિકાસ પ્રક્રિયાના સાધન ગણવામાં આવે છે, પરંતુ તેમની ખુદની આંતરીક વ્યવસ્થા અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી એકપણ વ્યવસ્થામાં સંવેદનાનો રડયો-ખડયો સૂર પણ રાખવામાં આવ્યો નથી. આવા વિકાસના તથાકથિત વાહકોના રવાડે ચઢીને ભારતનું તંત્ર પણ અસંવેદનશીલ બની રહ્યું છે. ભારતમાં ગરીબોની સંખ્યા ઘણીમોટી છે, ઘણો મોટો મધ્યમ વર્ગ છે અને નવમધ્યમ વર્ગ વિકસિત થઈ રહ્યો છે. તેમના માટે જુદીજુદી સબસિડીની વ્યવસ્થાઓ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં અસંવેદનશીલ બનેલી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સબિસિડીઓ આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. ગરીબવિરોધી, જનવિરોધી અર્થશાસ્ત્રીઓની પેનલ સબિસિડીઓ નાબૂદ કરવાની વિચારધારા પર કામ કરે છે, પરંતુ તેની સામે ઔદ્યોગિક ગૃહોને લગભગ સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની મબલખ સહાય આપતા ખચકાતા નથી. મદદની જરૂર કોને છે, જે કમજોર છે તેને કે જે મજબૂત છે અને વધારે મજબૂત થવાનો છે તેને?
ભારતમાં હાલ વિકાસનું વિકસેલું વિષતંત્ર એટલી હદે બેશરમ બની ગયું છે કે ખુલ્લેઆમ ધન-ધાન્યના સટ્ટા અને સંગ્રહાખોરી થાય છે, ખેતીનું સત્યાનાશ નીકળી રહ્યું છે, ગાય અને અન્ય ઉપયોગી પશુઓનું નિકંદન નીકળી રહ્યું છે અને તેને આ લોકો પિંકરિવોલ્યૂશન કહી રહ્યા છે, બાળકો શાળામાં સારા સંસ્કારની જગ્યાએ માત્ર કમાવવું કંઈ રીતે તેની જ ચિંતા કરી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. જાતીય સ્વૈચ્છાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. દેશમાં એટલો વિકાસ થયો છેકે કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણ વધી રહ્યા છે. મૂલ્યો અને નૈતિકતાના હ્રાસને વિકાસના નામે ઓળખવામાં આવે છે. માનવીય સંવેદનાઓની ગેરહાજરીમાં શહેર, રાજ્ય કે દેશની ભવ્યતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. અસંવેદનશીલતા વચ્ચે વ્યક્તિની સાધન-સંપન્નતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. પરંતુ વ્યક્તિની માનસિકતા માનવીય સંવેદનાઓ પ્રત્યે વિકસિત બને તેના માટે પ્રયત્નો થતા નથી. અરે, આશ્ચર્ય એ વાતનું છે કે જે માનવીય સંવેદનાઓ પરંપરાગત રીતે ભારતીય જીવનપદ્ધતિમાં વણાયેલી છે, તેને પણ દૂર કરવાનો આ વિકાસ પ્રક્રિયામાં પ્રયત્ન કરવામાં આવે છે.
પરગજુ વૃતિ અને અન્યને મદદ કરવાની પ્રવૃતિ આ વિકાસના આડંબરી વિષચક્રમાં ફસાયેલો વ્યક્તિ ગુમાવી રહ્યો છે. જ્યાં સુધી માનવીય જીવનનો સવાલ છે, ત્યાં સુધી તેમાં યંત્રવત બાબતોને કોઈ સ્થાન ન હોઈ શકે. માનવીય જીવન લાગણીઓ, ભાવનોઓ, સંવેદનાઓ, સદકર્મોનો સંપુટ છે. ત્યારે વિકાસ માનવીય જીવનના મૂલ્યોને વધારે મજબૂત બનાવનારું હોવું જોઈએ. ભારતે અપનાવેલા અમેરિકન-યૂરોપિયન વિકાસ મોડલમાં વ્યક્તિ સ્વકેન્દ્રી બની રહ્યો છે, તેના માટે સમાજ, દેશ અને દુનિયાનું કોઈ મહત્વ નથી. જે રીતે અમેરિકા દુનિયાની પરવાહ કર્યા વગર જીવી રહ્યું છે, તેવી રીતે અમેરિકન મોડલ પણ તેને અપનાવનાર વ્યક્તિ અને દેશમાં આ પ્રકારની જ લાગણી જન્માવે છે. ભારતે આઝાદીની 65 વર્ષની અંદર વિકાસનું ભારતીય મોડલ વિકસાવવાનો વિચાર કર્યો નથી. વિકાસની વાત થાય છે, તો કોઈ ટકાઉ વિકાસની વાત કરે છે. કોઈ ઈકો-ફ્રેન્ડલી વિકાસની વાત કરે છે. પરંતુ કયારેય વિશ્વમાં રહેલા દરેક પ્રકારના જીવન માટે સંવેદનશીલ વિકાસની ચર્ચા જ કરવામાં આવતી નથી. અત્યારના વિકાસમાં સંપત્તિ કેન્દ્રમાં છે અને તેને પેદા કરવા માટે માણસ સાધન છે. જ્યારે વિકાસમાં બનવું એવું જોઈએ કે માનવીય જીવન સાથેના તમામ પ્રકારનું જીવન કેન્દ્રમાં હોય અને સંપત્તિ તેને ઉન્નત બનાવવાનું સાધન બને.
ભારતે પોતાનું આગવું વિકાસ મોડલ વિકસાવ્યું હોત, તો તેની સફળતા તેની પોતાની હોત અને સમસ્યાઓ જો હોત-તો તે પણ પોતીકી હોત. જ્યારે અમેરિકી અને યૂરોપિયન મોડલની વિકાસની સફળતાઓ ઓછી છે અને સમસ્યાઓ વધારે છે. આ એવી સમસ્યાઓ છે, જ્યારે અમેરિકા અને યૂરોપે પોતાની વિકાસના ટેક-ઓફ પિરિયડમાં અનુભવી હતી. આ અનુભવ હોવા છતાં પણ ભારતની સરકારોની ખાડામાં પડવાની શું મજબૂરી હતી? ગુજરાતમાં વિકાસની ખૂબ વાતો થાય છે. પરંતુ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં પાણીપાણીના પોકારો શાંત થયા નથી. બાળકો, મહિલાઓ અને આદિવાસીઓમાં કુપોષણની સમસ્યાઓ નાથી શકાય નથી. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતનો ક્રાઈમ રેટ ગુજરાતમાં વધી રહ્યો છે. તેનો એક જ અર્થ છે કે ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે. ગઝનવીએ સોમનાથની સમૃદ્ધિને લૂંટી અને આજે ગુજરાતની સમૃદ્ધિ લૂંટવા નાના-મોટા ગુનેગારો આવી રહ્યા છે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં જ ઘણાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ગુજરાતની જે સમસ્યા થોડા નાના પ્રમાણમાં છે, તે સમસ્યાઓ આખા ભારતની મોટા પ્રમાણમાં છે. તેનું એક જ કારણ છે, મનમોહન અને મોદીના વિકાસ મોડલમાં કોઈ તાત્વિક તફાવત નથી.
પરંતુ અત્યારે વિચારવાનું માત્ર એટલું છે કે માનવીય સંવેદનાઓ રહીત વિકાસ જનતાને ક્યાં લઈ જશે? જે વિકાસમાં જનતાની સંવેદનાઓની બાદબાકી હોય, તેને વિકાસ કઈ રીતે ગણી લેવો? બજેટ અને જુદાંજુદાં રિપોર્ટમાં આંકડાનું અંકગણિત ઠીક રાખવા મથતી સરકારો જો જનતા માટે વિચારતી હોત, તો મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીતની સમસ્યાઓ પળભરમાં દૂર થઈ શકી હોત. આ વિકાસ મોડલો મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધારે છે. તેનું સૌથી મોટું નુકસાન જનતાને થઈ રહ્યું છે. તો જનતાને નુકસાન કરનાર મોડલને કઈ રીતે વિકાસ મોડલ ગણી શકાય?

Tuesday, March 12, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

Monday, March 4, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે.