Wednesday, December 14, 2016

રાષ્ટ્રીય ઓળખ ગુમાવવાના ડરને કારણે યુરોપે પકડી દક્ષિણપંથની દિશા

-   પ્રસન્ન શાસ્ત્રી

યુરોપ અને અમેરિકામાં રાષ્ટ્રીય ઓળખ સામે ઉભા થયેલા જોખમોના પરિણામે ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટ વધારેમાં વધારે મજબૂત બની રહી છે. ફાર રાઈટ પોપ્યુલિટ મૂવમેન્ટને એવું કહી શકાય કે દેશ-રાષ્ટ્રની ઓળખ સામેના જોખમો સામેની જનતાની ચિંતાને કારણે દક્ષિણપંથી લાગણીઓની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયા.

2016માં આવી બે આશ્ચર્યજનક પરંતુ લોકપ્રિય વિજયની ઘટનાઓ જોવા મળી છે. જૂન માસમાં યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે બ્રિટનમાં આવેલું જનમત સંગ્રહનું પરિણામ આવી પહેલી આશ્ચર્યજનક ઘટના હતી. જેમાં બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવા માટેનો બ્રેક્ઝિટ તરીકે જાણીતો બનેલો ચુકાદો ફરમાવ્યો હતો. 

બીજી ઘટના ડિસેમ્બર માસમાં અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામોમાં સામે આવી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. આ બંને જનચુકાદાઓ અમેરિકા અને બ્રિટન જેવા બે તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક સમાજો માટે દુનિયાના અન્ય દેશો અને ખાસ કરીને ભારત ખાતે ઉદારવાદનો આડંબર કરનારા રાજકીય, સામાજિક સંગઠનો માટે આઘાતજનક રહ્યા છે. વિસ્થાપિતોને આશ્રય સહીતના ઈમિગ્રેશન માટેના નીતિગત ખુલ્લાપણાના મતભેદો, વિવિધતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દાઓને કારણે યુરોપ અને અમેરિકામાં ઘણી મોટી હદે રાષ્ટ્રીય ઓળખ અને અસ્તિત્વ બાબતે સ્થાનિક લોકોના અંતરમનમાં ઘૂઘવાટ અને ઉકળાટની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયાનો સંકેત આપી રહ્યા છે. 

બ્રેક્ઝિટ બાદ ફ્રેક્ઝિટની માગણી થઈ ચુકી છે. તો યુરોપની ત્રીજી એક મોટી ઘટનાની પણ ચર્ચા કરવી પડે તેમ છે. ઈટાલીને પરંપરાગત રીતે યુરોપીયન યુનિયનનું કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેમ છતાં ઈટાલીમાં પણ યુરોપિયન યુનિયનથી વિરુદ્ધના વલણોની શરૂઆત થઈ ચુકી છે. તાજેતરમાં ઈટાલીએ પણ એસ્ટાબ્લિશમેન્ટને નામંજૂર કર્યું છે. ઈટાલીના જનમત સંગ્રહના પરિણામો અહીં દક્ષિણપંથી લાગણીઓ માટે આશાસ્પદ માનવામાં આવે છે. આવા જ વલણો ઘણાં યુરોપીયન દેશોમાં ચરમસીમા તરફ આગળ વધી રહ્યા છે.

અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીનેગંભીરતાથી લેવામાં આવતી ન હતી.  અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પ્રચાર વખતે સ્થાનિક મીડિયા જૂથો, નીતિ-રાજકારણ સંબંધિત સંસ્થાનોએ ટ્રમ્પને બિલકુલ ગંભીરતાથી લીધા ન હતા. પરંતુ તેમ છતાં અમેરિકાના મતદાતાઓની ભીતરના ઉંડાણમાં સામાજિક પરિવર્તનો સંદર્ભેની ગંભીર ચિંતાઓને કારણે ટ્રમ્પની ઉમેદવારી તેમના માટે બેહદ ગંભીર હતી. જેને કારણે અમેરિકાના તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક મૂલ્યોની પરવાહ કર્યા વગર અમેરિકનોએ અમેરિકાના હિતોની પરવાહ સાથે ટ્રમ્પને જીતાડયા છે. ભારત માટે અમેરિકા ખાતે સામે પ્રવાહે તરીને ટ્રમ્પે મેળવેલી જીત કોઈ આશ્ચર્ય પમાડનારી વાત નથી. ભારતમાં ગુજરાતમાં વિધાનસભાની ત્રણ ચૂંટણીઓમાં અને 2014ની લોકસભાની ચૂંટણીમાં મીડિયા અને કથિત થિંક ટેન્કો-બૌદ્ધિક સંગઠનોની લાગણીઓ વિરુદ્ધ ભારતની જનતા પોતાનો ચુકાદો ફરમાવી ચુકી છે. આવા પરિણામો માટે પણ ગુજરાત અને ભારતના લોકોના હ્રદય-મનમાં રાષ્ટ્ર સામેના ખતરાઓ અને પડકારો સંદર્ભે દશકાઓથી ધરબાયેલી ચિંતાઓ જ કારણભૂત હતી. 

અમેરિકનો જેવી જ ચિંતા અંગ્રેજોના દિલમાં પણ હતી. તેના કારણે મધ્ય-એશિયામાંથી આવી રહેલા મુસ્લિમ શરણાર્થીઓને આશ્રય આપવાના પ્રમાણમાં ઘટાડો કરવા માટે બ્રિટિશ મતદાતાઓએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો ચુકાદો આપ્યો હતો. બ્રેક્ઝિટ ફરમાવતો જનમત બ્રિટનના રાજકીય નેતાઓને વિસ્થાપિતોને આવતા અટકાવવા માટેની નીતિના વાસ્તવિક અમલીકરણનો માર્ગ મોકળો કરવાની લાગણી ધરાવતો હતો. 2016માં અમેરિકા અને બ્રિટનના બંને વિજયો ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટના હાથમાં સાંકેતિક રીતે સત્તાના હસ્તાંતરણો દર્શાવનારા છે. 

યુરોપમાં કથિત ઈસ્લામફોબિક અતિવાદી દક્ષિણપંથી રાજકીય પક્ષોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓમાં મોટા ફાયદાઓ થયા છે. જર્મનીમાં રાજકીય તાસિરમાં ધરખમ ફેરફારોના સંકેત મળી રહ્યા છે. જર્મનીમાં દક્ષિણપંથી રાજકીય પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની એટલે કે એએફડી 16 જર્મન સ્ટેટ પાર્લામેન્ટ્સમાંથી દશમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. 2017માં અલ્ટરનેટિવ ફોર જર્મનીને પહેલી ફેડરલ વિકટ્રીની આશા છે. 

શરણાર્થીઓ વિરોધી નીતિઓ ધરાવતી ડેનિસ પીપલ્સ પાર્ટી ડેનમાર્કમાં 2015ની ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બની છે. ડેનમાર્કની સંસદમાં શરણાર્થીઓ વિરોધી ખરડાને પસાર કરવામં ડેનિસ પીપલ્સ પાર્ટીના સમર્થન પર સત્તાધારી ગઠબંધનને આધારીત રહેવાની રાજકીય મજબૂરી છે. 

તો 2015માં સ્વીડન ખાતે મોટી સંખ્યામાં શરણાર્થીઓના આવ્યા બાદ અહીંના લોકોએ ઐતિહાસિક ચુકાદાના સંકેત આપ્યા છે. તાજેતરના ઓપનિયન પોલ્સમાં અતિવાદી દક્ષિણપંથી સ્વીડન ડેમોક્રેટ્સને 20 ટકાથી વધારે મત મળ્યા છે. 

ફ્રાન્સમાં પણ મરીન લે પેન દ્વારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સંસ્કૃતિને સંપૂર્ણપણે આત્મસાત કરવા માટેની કરેલી હાકલે ઘણી મોટી અસર પેદા કરી છે. લા પેન ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ યુરોઝોન છોડીને ફ્રેન્ચ ફ્રાન્કને તાત્કાલિક અમલી બનાવવાનું જણાવી ચુક્યા છે. યુરોપ અને અમેરિકામાં મુસ્લિમ લઘુમતી અને મધ્ય-પૂર્વ એશિયામાંથી આવતા મુસ્લિમ શરણાર્થીઓને લઈને પેદા થયેલી જનતાની ચિંતાઓની અવગણના કરનારા રાજનેતાઓ હારી રહ્યા છે અથવા તો નબળા થવા લાગ્યા છે. 

યુરોપમાં 80ના દાયકાથી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓએ સ્થાન જમાવ્યું છે. પરંતુ આવી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓને યુરોપમાં સાતત્યપૂર્ણ અને સાર્વત્રિક રાજકીય ફાયદો મળ્યો નથી. ઓસ્ટ્રિયામાં બીજા વિશ્વયુદ્ધ બાદ અતિવાદી દક્ષિણપંથીઓના સત્તામાં આવવાની પ્રબળ આશંકાઓ પ્રવર્તી હતી. પરંતુ ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના મે માસના પ્રથમ રાઉન્ડમાં દક્ષિણપંથી ફ્રીડમ પાર્ટીના ઉમેદવારોને માત્ર એક ટકાની સરસાઈથી જીત મળી હતી. તો ડિસેમ્બર માસમાં ફ્રીડમ પાર્ટીને ઓસ્ટ્રિયાની ગ્રીન પાર્ટીથી સાત પોઈન્ટથી હારી ગઈ હતી. જો કે ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટીની લોકપ્રિયતા ત્રીસ વર્ષથી નીચેની વયજૂથના મતદાતાઓમાં વધી રહી છે. તો સ્વિટ્ઝરલેન્ડમાં પણ શરણાર્થીઓનો વિરોધ કરનારી સ્વિસ પીપલ્સ પાર્ટી 1999થી તમામ ફેડરલ ઈલેક્શનમાં વીસ ટકાથી વધારે મત પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. 

દક્ષિણપંથી શક્તિઓના ઉભારને કારણે યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ સંદર્ભે નીતિગત પરિવર્તનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્સ પાર્ટીની સંસદમાં એક જ બેઠક હોવા છતાં બ્રેક્ઝિટ જનમત દરમિયાન તેની હાકલોની અસરકારક ભૂમિકા રહી છે. આ એક સૂચક ઉદાહરણ છે. 2017માં ફ્રાન્સની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટના લા પેનને એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. માર્ચ-2017માં યોજાનારીચૂંટણીઓ માટે ગીર્ટ વાઈલ્ડર્સની આગેવાનીવાળી ડચ ફ્રીડમ પાર્ટીની સરસાઈમાં વધારો થયો છે. ગીર્ટ વાઈલ્ડર્સે -મેક ધ નેધરલેન્ડ્સ ગ્રેટ અગેઈનની વાત કરી છે.

યુરોપ અને અમેરિકામાં આગામી ચૂંટણીના પરિણામો કોઈપણ હોય, પરંતુ શરણાર્થીઓ સામેની લાગણીઓ નક્કરપણે સામાન્યીકરણ તરફ આગળ વધી રહી છે. અમેરિકામાં મુખ્ય પાર્ટીના ઉમેદવારોએ ક્યારેય ખુલ્લેઆમ ઈસ્લામફોબિયાને પ્લેટફોર્મ બનાવીને રાષ્ટ્રીય હિતો માટે મત માંગીને ટ્રમ્પ પહેલા ક્યારેય જીત મેળવી નથી. ટ્રમ્પે પણ પ્રચાર વખતે ગેરકાયદેસર મુસ્લિમ ઈમિગ્રેન્ટ્સને સામુહિકપણે હાંકી કાઢવાની અને તેમના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.

જર્મનીના ચાન્ચેસલર એન્જેલા મર્કેલને શરણાર્થીઓ માટે ઉદારતા દર્શાવનારા નેતા તરીકે યુરોપિયન યુનિયનમાં ઓળખવામા આવે છે. પરંતુ મર્કેલે પણ કાયદેસર રીતે શક્ય હોય તેવા તમામ સ્થાનો પર બુરખા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. સરહદ વગરના યુરોપની કલ્પનામાંથી જન્મેલા યુરોપિયન યુનિયનના ઉદારવાદી મૂલ્યો ધરાવતા સંસ્થાપક દેશો- ઈટાલી, જર્મની, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને ફ્રાન્સ 2017માં ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટની ચરમસીમા તરફ આગળ વધે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે ચૂંટણીઓમાં ઈમિગ્રેશન પોલિસી જ એક માત્ર મુદ્દો નથી. પરંતુ યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ માટેની પ્રવર્તમાન નીતિઓને લઈને જનતાની અંદર ધરબાયેલી દહેશત અને ચિંતાઓ એક ચહેરો ચોક્કસપણે છે. 

Monday, November 21, 2016

અમેરિકામાં ટ્રમ્પયુગ : ઈસ્લામિક આતંકવાદને છાવરતા અમેરિકન ગ્લોબલાઈઝેશનની હાર

-  પ્રસન્ન શાસ્ત્રી

અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ભારત ખાતે મીડિયાના કેટલાંક ખાસ તત્વો વિકૃત મુલવણી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકાની લોકશાહીની હાર છે! શું અન્ય દેશની લોકશાહીને ભારતની અંદર વ્યાપ્ત કથિત સેક્યુલારિઝમના વિકૃત માપદંડોથી મુલવી શકાય? અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ભારતની અંદર કેટલાક ખાસ રાજકીય-સામાજિક-મીડિયાના વર્તુળોમાં ચાલતો અથવા તો ચલાવાતો ગુંચવાડો નથી. આવો ગુંચવાડો હશે તો તેને અમેરિકામાં ભારતના ચોક્કસ તત્વોની જેમ છાવરવામાં આવતો નથી. લોકશાહીમાં જનતા જનાર્દન છે અને જનતાનો ચુકાદો જ સર્વોચ્ચ છે. તેથી અમેરિકાની લોકશાહી પ્રક્રિયામાં ત્યાંની જનતાએ આપેલો ચુકાદો ઐતિહાસિક છે અને તે દુનિયામાં કથિતપણે ઉદારવાદી અને નિર્વિવાદીતપણે આત્મઘાતી સાબિત થયેલા માપદંડો સામે અસ્વીકારનો બુલંદ થઈ રહેલો અવાજ પણ દર્શાવી રહ્યો છે. 

ઈસ્લામિક આતંકવાદ દુનિયાની 1400 વર્ષ જૂની સમસ્યા છે. આ ઈસ્લામિક આતંકવાદની સમસ્યા તાજેતરના દોઢસો વર્ષથી વધારે મોટો પડકાર બની છે. તેની પાછળનું કારણ પોલિટિકલ ઈસ્લામનો ઉદભવ અને ઉપયોગ છે. પોલિટિકલ ઈસ્લામના માઠા પરિણામોથી વિશ્વમાં કોઈપણ દેશ સૌથી વધારે પરિચિત અને પીડિત હોય તો તે ભારત છે. 1947 પહેલા અને 1947ના ભાગલા બાદ પોલિટિકલ ઈસ્લામના વિવિધ સ્વરૂપો અને તેની તકવાદી રાજકીય તત્વો સાથેની સાંઠગાંઠ અને તેને દુષ્પરિણામોથી ભારત સુપેરે પરિચિત છે. એ અલગ વાત છે કે હજીસુધી ભારતવિરોધી રહેલા પોલિટિકલ ઈસ્લામને નાથવા માટે ખુરશી પર બેસવા માટેના રાજકારણમાંથી નવરા નહીં પડેલા રાજકારણીઓ કંઈ કરી શક્યા નથી. 

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકામાં ઈસ્લામિક આતંકવાદી વિચારધારા અને તેના વાહકોની સામે ઉભા થઈ રહેલા ખ્રિસ્તી દક્ષિણપંથીઓની સામુહિક ચિંતામાંથી ઉભા થયેલા ચિંતનની જીત છે. ભારતમાં કેટલાંક ચોક્કસ તત્વો ટ્રમ્પની જીતને ઈસ્લામફોબિયાની અમેરિકા ખાતેની જીતમાં ખપાવે છે. ટ્રમ્પની જીતને કારણે આઈએસઆઈએસ, અલકાયદા જેવા ઈસ્લામિક આતંકવાદીઓ તેનો પોતાના સંગઠનોમાં આતંકીઓની ભરતી માટે ઉપયોગ કરશે તેવા આકલનો પણ કરી રહ્યા છે. ખેર, આવા આકલનોનો તો ચાલતા રહેવાના.. પણ હકીકત એ છે કે ભારત હોય કે મ્યાંમાર હોય, યુરોપ હોય કે અમેરિકા હોય, જાપાન હોય કે પૂર્વ એશિયાના દેશો હોય તમામ બિનઈસ્લામિક દેશોમાં ઈસ્લામિક આતંકવાદના પડકાર સામે અસરકારક પગલા લેવા માટે અહીંની સરકારો પાસે લોકો આશા રાખીને બેઠા છે. તેથી અમેરિકામાં પણ ઈસ્લામિક આતંકવાદ સામે ઢીલીઢાલી નીતિની તરફદારી કરનારા ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના સ્થાને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકનોએ પસંદગી કરી છે. ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, યુરોપના અન્ય દેશોમાં આતંકવાદી હુમલાઓ બાદ દક્ષિણપંથી ઉભાર જોવા મળી રહ્યો છે. આખી દુનિયાને વીસ વર્ષ પહેલા ઉદારવાદી મુક્ત નીતિઓની સલાહ આપતા યુરોપ અને અમેરિકા હવે ભયાનક હદે રાષ્ટ્રવાદી બનવા તરફ આગળ વધી રહ્યા છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો તેને પણ અહીં દક્ષિણપંથી રાષ્ટ્રવાદી ઉભાર તરીકે જોવાઈ રહ્યો છે. ફ્રાન્સ અને જર્મનીની આગામી ચૂંટણીઓમાં તેના સત્તાના સૂત્રો દક્ષિણપંથી પાર્ટી કે દક્ષિણપંથી વિચારો ધરાવતા નેતાઓના હાથમાં જવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. વિશ્વ આખાની એકમાત્ર ચિંતા આતંકવાદનો ખાત્મો કરવા બાબતે છે. 

2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાની 9/11ના નામથી કુખ્યાત દુર્ઘટના સર્જાઈ હતી. તેના પંદર વર્ષના સમયગાળા દરમિયાન અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ. બુશ અને નિવર્તમાન રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા દ્રઢતાપૂર્વક આતંકવાદ મુસ્લિમ માન્યતાઓની આસપાસ વણાયેલા હોવાના અભિપ્રાયને નકારતા રહ્યા છે. 

11 સપ્ટેમ્બર-2001ના આતંકી હુમલાના બીજા દિવસે બુશે વોશિંગ્ટન ખાતેના ઈસ્લામિક સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશે ઈસ્લામ એટલે શાંતિ હોવાનું જણાવ્યું હતું. આતંકવાદનો ચહેરો ઈસ્લામનો વાસ્તવિક ચહેરો નહીં હોવાનું પણ બુશે જણાવ્યું હતું. ઈસ્લામની માન્યતાઓ ઉદ્દામવાદ અને આતંકવાદનું કારણ હોવાનું જાણવતા વિશેષજ્ઞો અને જૂથોને મુખ્યપ્રવાહમાંથી અમેરિકામાં હાંસિયામાં ધકેલી દેવાયા હતા. તેમને ઈસ્લામફોબિક ગણવવામાં આવ્યા હતા. 

પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકાનની ઈસ્લામિક દુનિયા સામેની નીતિઓને ઘડવાનું કામ આવા કથિત ઈસ્લામફોબિકના હાથમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના કેટલીક ટીપ્પણીઓ આને ખાસ ઉજાગર કરનારી છે. તેમણે સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અભિપ્રાય આપ્યો હતો કે ઈસ્લામ આપણને (અમેરિકાને કે બિનમુસ્લિમોને?) ધિક્કારતો હોવાનું લાગે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મુસ્લિમોની સંપૂર્ણપણે અમેરિકા ખાતે પ્રવેશબંધી કરવાના અને મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને પાછા ધકેલી દેવાની વાત પણ કરી છે. તો આતંકવાદીઓ સામે ઘાતક હથિયારોના ઉપયોગ અને આતંકવાદીઓના પરિવારજનોને ખતમ કરવા સુધીની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આઈએસ સામેની બરાક ઓબામાની નીતિઓ સામે અસંતોષ પ્રગટ કરીને વધુ આકરી કાર્યવાહી જમીની અભિયાનોની વાત પણ કરી છે. હવે ટ્રમ્પ 20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કરવા જઈ રહ્યા છે. અમેરિકામાં સત્તા હસ્તાંતરણ માટેની પ્રક્રિયામાં તેમની એક ટીમ લાગેલી છે. ગત ફેબ્રુઆરી માસમાં અમેરિકાના આગામી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક ફ્લિને ટ્વિટ કર્યું હતું કે મુસ્લિમોથી ડર કારણ વગરનો નથી. બ્રિટન ખાતેના ઈરાકી મૂળના વિશેષજ્ઞ આઈ. ક્યૂ. અલ-રાસુલીનો એક વીડિયો પણ તેમણે ફોરવર્ડ કરવા માટે વિનંતી કરી હતી. ઈરાકી મૂળના બ્રિટિશર અલ-રાસુલીએ ઈસ્લામને પશ્ચિમ સામે અવિરત યુદ્ધરત પંથ ગણાવ્યો હતો. 

તો ટ્રમ્પના ચીફ સ્ટ્રેટર્જિસ્ટ સ્ટીવ બેન્નોને 2014માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પશ્ચિમી ખ્રિસ્તી જગત જેહાદિસ્ટ ઈસ્લામિક ફાસિજ્મ સામેના ક્રૂર અને લોહિયાળ સંઘર્ષના ખૂબ પ્રારંભિક તબક્કામાં છે. આ દુશ્મનની સામે કડક માપદંડો સાથે પગલા ભરવામાં નહીં આવે તો ગત બે હજારથી પચ્ચીસો વર્ષમાં મેળવેલું બધું નષ્ટ થઈ જશે. 2001થી 2016 સુધીના સમયગાળામાં અમેરિકાના નીતિ-નિર્ધારકોમાં આવેલું પરિવર્તન કોના કારણે આવ્યું તેનો પણ જવાબ આઈએસને ટ્રમ્પની જીતમાંથી  આતંકીઓની ભરતીમાં મદદ મળશે તેવી વાતો કરનારાઓએ ચોક્કસપણે આપવો જોઈએ. 

ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલા અમેરિકાના આગામી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક ફ્લિને ઈસ્લામને એપિક ફેલ્યોર એટલે કે ઐતિહાસિક નિષ્ફળ ગણાવ્યો છે. આની પાછળ પણ તેમના ઘણાં તર્કો છે. તો પાકિસ્તાનના આતંકી નેટવર્કોથી તેઓ સારી રીતે અવગત છે. તેમણે પાકિસ્તાનને અપાતી મદદને બંધ કરવાની ઘણી વખત પેરવી કરી છે. જો કે અમેરિકાની કેટલીક થિન્ક ટેન્કો ઓબામાના વહીવટી તંત્ર પર ઈજીપ્તના કટ્ટરવાદી સંગઠન મુસ્લિમ બ્રધરહુડના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતી રહી છે. હુમા અબેદીન હિલેરી ક્લિન્ટનના પ્રચાર અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. પાકિસ્તાની મૂળની આ મુસ્લિમ મહિલા પર પણ મુસ્લિમ બ્રધરહુડ માટે લાગણી દાખવવાનો આરોપ લાગતો રહ્યો છે.

ટ્રમ્પની જીતની સાથે વૈશ્વિકરણની કથિત વાતો વાર્તાઓ બનવા તરફ આગળ વધી રહી છે. વૈશ્વિકરણનું સૌથી મોટું તરફદાર અમેરિકા પોતાની પ્રકૃતિમાં ફેરફાર કરે તેવી પુરેપુરી શક્યતા છે. ત્યારે આવા મોટા પરિવર્તનના કારણ ઈસ્લામિક આતંકવાદને પ્રોત્સાહિત કરનારા ઈસ્લામિક દુનિયાના તત્વોને હતોત્સાહીત કરવાની પ્રક્રિયા બાબતે કેવી રીતે શરૂઆત કરવામાં આવશે? નહીંતર દુનિયાના ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ એટલે કે સભ્યતાઓના સંઘર્ષના પથ પર આગળ વધવાની સંભાવનાઓ વધારે પ્રબળ બનશે. જો કે આતંકવાદ અને તેના સમર્થકોને સભ્ય નહીં પણ અસભ્ય જ ગણી શકાય. એટલે કે સભ્યતાઓનો અસભ્યતા સામેના સંઘર્ષની શક્યતાઓ વધુ પ્રબળતા તરફ આગળ વધશે. બાકી સાઉદી અરેબિયાના નાણાંનું જોર અમેરિકામાં પણ નીતિઓ પર અલગ-અલગ લોબિસ્ટો દ્વારા દેખાતું રહે છે. આવી જ રીતે ઈસ્લામિક દુનિયાના પેટ્રોડોલરનું જોર ભારતમાં પણ ચોક્કસ રાજકીય વર્તુળો, મીડિયાના તત્વો, કથિત એનજીઓ સુધી જોઈ શકાય છે. પણ સવાલ એ પણ છે કે તેમની સામે કેમ કંઈ કરી શકાતું નથી? તેના સંદર્ભે પણ નિર્ણાયક વિચાર કરવો જરૂરી છે. 

બ્રિટિશરોએ વસાહતો સ્થાપીને આખી દુનિયા પર રાજ કર્યું હતું. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ બાદ કમ્યુનિઝમનો ડર દેખાડી વિશ્વમાં અલગ-અલગ દેશોમાં લશ્કરી થાણા સ્થાપ્યા હતા. તેની સાથે અમેરિકાના મૂડીવાદી મૂડીપતિઓએ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા દુનિયાના ગરીબ વિકાસશીલ દેશોમાં આર્થિક શોષણનો ભરડો લેવાનું શરૂ કર્યું. તેના માટે તેમણે ઉદારીકરણ અને વૈશ્વિકરણના નામે નવી અમેરિકાના શોષણને સ્થાન આપતી વૈશ્વિક નીતિના ચક્કરમાં દુનિયાને નાખી દીધી હતી. અમેરિકન છાપ ગ્લોબલાઈઝેશનમાં ભારત જેવા દેશોને ઈસ્લામિક આતંકવાદ સામે આંખ આડા કાન કરવાના હતા. પાકિસ્તાનમાંથી ફેલાતા ઈસ્લામિક આતંકવાદે અમેરિકાને અફઘાનિસ્તાનના માર્ગે નુકસાન કર્યું નહીં ત્યાં સુધી સેક્યુલારિઝમના વિકૃત માપદંડોનું પ્રચલન ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં દ્રઢીકરણ કરવા માટે મીડિયા લોબિસ્ટોને યેનકેન પ્રકારે સીધા કે આડકતરી રીતે પ્રેરીત પણ કરાતા રહ્યા છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના એજન્ટ ફઈની પાસે ઘણાં ભારતીય મીડિયાકર્મીઓ અને કથિત વિચારકો અવાર-નવાર જઈ આવ્યા છે.

પણ અમેરિકામાં ટ્રમ્પની જીત અમેરિકા દ્વારા અત્યાર સુધી ચલાવવામાં આવેલા ગ્લોબલાઈઝેશનની હાર છે. તેની સાથે અમેરિકન રાષ્ટ્રવાદની ટ્રમ્પની જીત સાથે મોટી જીત થઈ છે. દેશના અસ્તિત્વનો આધાર રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદ વગરના ગ્લોબલાઈઝેશનનો વિચાર અમેરિકાની લોકશાહીના ચુકાદામાં નામંજૂર કરાયો છે. તેમાં ઈમિગ્રેશન પોલિસીથી માંડીને ઈસ્લામિક આતંકવાદ સુધીની સમસ્યાઓ સંદર્ભે નવી નીતિઓના આગાજના સંકેત મળી રહ્યા છે. એક ધ્રુવીય દુનિયામાં અમેરિકાનો ઘટી રહેલો વૈશ્વિક પ્રભાવ અમેરિકાની ચૂંટણીમાં એક ઘણો મોટો મુદ્દો રહ્યો છે. અમેરિકના ઘટતા વૈશ્વિક પ્રભાવની પાછળ ઈસ્લામિક આતંકવાદ ઘણું મોટું કારણ છે. અમેરિકાને ઈસ્લામિક દુનિયાના પાકિસ્તાન જેવા કટ્ટરવાદી દેશો સાથે મિલભગત કરીને ચીન પડકારી રહ્યું છે. ઉત્તર કોરિયાને પણ ચીન પોતાના વ્યૂહાત્મક હથિયાર તરીકે અમેરિકા સામે વાપરી રહ્યું છે. રશિયા સાથે સારા સંબંધો બાંધવામાં બરાક ઓબામા નિષ્ફળ ગયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રેટ અમેરિકા બનાવવાના નામે મેળવેલી જીત અમેરિકનોની હકીકતમાં રહેલી પીડાની ઘણી હદે ચાડી ખાય છે. 

Tuesday, October 11, 2016

પાકિસ્તાની આતંક સામે સર્જિકલ સ્ટ્રાઈક આવકાર્ય શરૂઆત

- પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનનો પાયો અમન નથી. તેથી પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની શાંતિ માટેની કોશિશો ઠગારી નિવડશે. પાકિસ્તાન એક એવી સમસ્યા છે કે જે માત્ર ભારત માટે પડકાર નથી રહી. પાકિસ્તાનની સમસ્યાના મૂળિયાને તપાસવામાં આવે, તો તે આખી દુનિયાની સમસ્યાનું મૂળ છે. પાકિસ્તાન આખી દુનિયા માટે પડકારરૂપ બનેલી સમસ્યા છે. પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા માટે અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયે 1947થી ભારત પર ખૂબ મોટું દબાણ રાખ્યું છે. 1971 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવા દેવાયું નથી. કારગીલમાં પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની ઘૂસણખોરી છતાં ભારતને અંકુશ રેખા નહીં ઓળંગવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પરથી અને ખાસ કરીને અમેરિકા દ્વારા ભયાનક દબાણ કરવામાં આવ્યું હતું.

ભારતની સામે પાકિસ્તાની આતંકવાદને નાથવા માટે ઘણી વ્યૂહાત્મક અડચણો છે. આવી વ્યૂહાત્મક અડચણોમાં ક્યારેક અમેરિકા, તો ક્યારેક ચીન  એક અથવા બીજી રીતે પાકિસ્તાનને બચાવતા રહ્યા છે. પરંતુ ત્રણ દાયકાથી ચાલી રહેલા પાકિસ્તાની આતંકવાદ સામે ભારતીયોની સહનશક્તિ હવે સમાપ્ત થઈ ચુકી છે. ભારતની સરકારો પર છેલ્લા ઘણાં વર્ષોથી ભારતની જનતાના આક્રોશનું ઘણું મોટું દબાણ પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ગુરુદાસપુરથી શરૂ કરીને પઠાનકોટથી માંડીને ઉરી ખાતેના હુમલાઓએ પાકિસ્તાનના આતંકવાદીઓની હરકતો સામે ભારતીયોના આક્રોશને ભડકાવી દીધો છે. બસ અચાનક ભારતની સરકારે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પીઓકે તરીકે ઓળખાતા વિસ્તારમાં જઈને સેનાના કમાન્ડોને સર્જિકલ સ્ટ્રાઈક માટે મોકલવા માટે મજબૂર થવું પડયું છે. આતંકવાદીઓ સામે કડક હાથ કામ લેવાની પહેલ અને વ્યૂહાત્મક અડચણની અંકુશ રેખા ઓળંગીને પાકિસ્તાનીઓના કબજા હેઠળના વિસ્તારમાં જઈને કાર્યવાહી કરવી એક આવકાર્ય પગલું છે. છેલ્લા ત્રીસ વર્ષથી ભારતની જનતા જેની રાહ જોઈ રહી હતી તેવું એકમાત્ર પગલું જનતાની જાણકારીમાં સરકાર દ્વારા સત્તાવાર મૂકવામાં આવ્યું છે.

પરંતુ એક સર્જિકલ સ્ટ્રાઈક એ તો માત્ર એક મોટી લડાઈની શરૂઆત માત્ર છે. ઉરી હુમલા બાદ પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ લગભગ ત્રણથી ચાર હુમલા સેના અને પોલીસને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. તેનો સીધો અર્થ છે કે પાકિસ્તાની આતંકવાદીઓ અને તેનું આકા પાકિસ્તાની સેના –સરકાર- આઈએસઆઈ બિલકુલ સુધરવાના નથી. પાકિસ્તાનના આતંકી નેટવર્કના ખાત્મા માટે ભારતે આવી ઘણી બધી સર્જિકલ સ્ટ્રાઈક્સ અને ભીષણ યુદ્ધ સુધીના વિકલ્પો માટે તૈયારી કરવી પડશે. પાકિસ્તાન એક એવો રોગ છે કે જેનો ઈલાજ માત્ર બળપ્રયોગ છે. પાકિસ્તાનને બળપ્રયોગ સિવાયની અન્ય કોઈ ભાષાથી બુદ્ધિ આવતી નથી. પાકિસ્તાનના આતંકવાદીઓને સંરક્ષણ આપતી તેમની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને નબળી પાડવાની દિશામાં ભારત તરફથી વૈશ્વિક કૂટનીતિક અને વ્યૂહાત્મક કોશિશોને અસરકારક રીતે ઝડપથી આગળ વધારવી જરૂરી છે. 

કોઈપણ લડાઈમાં પોતાની શક્તિઓ અને ખામીઓની ઓળખ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. તેની સાથે સામે રહેલા દુશ્મની ઓળખ પણ મહત્વપૂર્ણ છે. ભારતની સામે રહેલા પાકિસ્તાની આતંકવાદને દુશ્મન સમજીને માત્ર તેના સુધીની મર્યાદીત કાર્યવાહી દુરસ્ત ઈલાજ કરી શકશે નહીં. ભારતમાં આતંકવાદનું મૂળ કારણ પાકિસ્તાનની વિચારધારા અને તેમાંથી ઉભી થયેલી માનસિકતા છે. પાકિસ્તાન પોતાના ઈસ્લામિક દેશ ગણાવી રહ્યું છે. ઈસ્લામની કંઈ વિચારધારા સાચી અને કઈ વિચારધારા ખોટી તેની ચર્ચામાં ભારત અને ભારતના લોકોએ ફસાવવાની જરૂર નથી. પાકિસ્તાનના મલીન દિમાગમાં ચાલી રહેલા જોખમી વિચારોના મૂળ પ્રવાહને ભારતે બરાબર ઓળખવો પડશે. પાકિસ્તાન ધાર્મિક સહઅસ્તિત્વના ઈન્કારના આધારે બનાવાયું છે. આ ધાર્મિક સહઅસ્તિત્વનો ઈન્કાર વિભાજન પહેલાની રાજકીય ઈસ્લામની મજહબી માન્યતાઓનું પરિણામ છે. પાકિસ્તાન રુઢિવાદથી કટ્ટરવાદ,કટ્ટરવાદથી આતંકવાદ અને આતંકવાદથી અંતિમવાદના માર્ગે કથિત મજહબી માન્યતાઓને આધારે આગળ વધી રહ્યું છે. ભારતના લોકોના મનમાં માનવતાને બચાવવા માટેની લડાઈ સંદર્ભે કોઈપણ પ્રકારની શંકાઓ હોવી જોઈએ નહીં. માનવતાને બચાવવાની વૈશ્વિક લડાઈમાં ભારતની ઈચ્છાએ કે અનિચ્છાએ તેને તેમા સામેલ થવાનું જ છે. વળી માનવતાને બચાવવાની લડાઈ ખુદ ભારતના સ્વરક્ષણની લડાઈ પણ છે. 

પ્રવર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યોમાં આમૂલચૂલ પરિવર્તનો દેખાઈ રહ્યા છે. અમેરિકા હવે ભારતનું વધુ સારું મિત્ર બની રહ્યું છે, પરંતુ પાકિસ્તાન સાથેની દોસ્તી અમેરિકાની વ્યૂહાત્મક લાચારી હોય તેવું ઘણાં જાણકારો તારણ કાઢી રહ્યા છે. તો ચીન પાકિસ્તાનની પડખે વધુ મજબૂતાઈથી ઉભેલું દેખાય છે. રશિયા પણ પાકિસ્તાન સાથે ઠંડાયુદ્ધની સમાપ્તિ પછી ગત ત્રણ વર્ષોમાં સંબંધો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતું દેખાઈ રહ્યું છે. ઠંડાયુદ્ધમાં તત્કાલિન સોવિયત સંઘની લાલસેનાઓ સામે લડનારા તાલિબાનો સાથે તેનું ઉત્તરાધિકારી એવું રશિયા ખાનગી રાહે પાકિસ્તાનની મદદથી પોતાના મધ્ય-પૂર્વના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને વાટાઘાટો પણ કરી રહ્યું હોવાના આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો છે. તો દક્ષિણ ચીન સાગરમાં આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નહીં માનવાની જીદ અહીં ચીન અને અમેરિકા વચ્ચે મોટા તણાવને આકાર આપી રહી છે. આવા સંજોગોમાં ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિતોની સર્વોપરીતા રાષ્ટ્રીય સુરક્ષા હોવા અંગે એક સ્પષ્ટતા હોવી જરૂરી છે. પાકિસ્તાનનની ન્યૂસન્સ વેલ્યૂને કારણે અમેરિકા સામેના સમીકરણોને જોતા ચીન અને રશિયા બંને તેની સાથે નજીક જવાની કોશિશ કરી રહ્યા છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદને કારણે શાંતિ અને સ્થિરતા પંદર વર્ષના આતંકવાદ સામેના અમેરિકાના યુદ્ધ છતાં પણ સ્થાપિત કરી શકાઈ નથી. આવા સંજોગોમાં અમેરિકા અને નાટો દેશોને પણ અફઘાનસ્તાનમાં એકસો અબજ ડોલરના અત્યાર સુધીના સૌથી વધુ ખર્ચાળ યુદ્ધમાંથી પોતાના હાથ પાછા ખેંચવા છે. પરંતુ તેના માટે કદાચ તેમને દક્ષિણ એશિયા ખાતે એક મજબૂત ખભાની પણ વ્યૂહાત્મક જરૂરીયાતો છે. કદાચ અમેરિકા છેલ્લા ઘણાં વર્ષોથી પાકિસ્તાનની હરકતોને સંતુલિત કરવા માટે ભારતની ભૂમિકા સંદર્ભે ગંભીરતાથી વિચાર કરી રહ્યું હોવાના સંકેતો પણ કેટલીક અમેરિકન થિન્ક ટેન્કો અને સામરિક વિશ્લેષકોની ટીપ્પણીઓમાંથી મળી રહ્યા છે. જો કે ભારત અને અમેરિકાના સરકારો સત્તાવાર રીતે આવી કોઈપણ ભૂમિકા સંદર્ભે ચુપકીદી સેવી રહ્યા છે.

પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના ઠંડાયુદ્ધમાં વોશિંગ્ટનનો સાથે તેની વ્યૂહાત્મક ન્યૂસન્સ વેલ્યૂને કારણે મળ્યો હતો. તો હવે નવા વૈશ્વિક પરિદ્રશ્યમાં પણ તેને રશિયા અને ચીન દ્વારા આવો સાથ મળે તેવી શક્યતાઓ ઘણી પ્રબળ હોવાનું નકારવામાં આવતું નથી. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરવાના મામલે ચીન ત્રણ વખત વીટો શક્તિનો ઉપયોગ કરી ચુક્યું છે. તો ભારતના ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશના બાધિત કરવામાં પણ ચીન અને પાકિસ્તાનની જુગલબંધી કોઈનાથી અજાણી નથી. 

ભારતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિની સત્વરે સમીક્ષા કરીને તેને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે. ભારતમાં થનારી કોઈપણ વિકાસયાત્રા મજબૂત સેના થકી મળનારી સુરક્ષા વગર ગમે ત્યારે અને પાકિસ્તાન-ચીન ઈચ્છે ત્યા અટકી જશે. તેથી વ્યૂહાત્મક અડચણોને દૂર કરીને પાકિસ્તાની આતંકવાદીઓ, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની નાપાક સાજિશો અને પાકિસ્તાની સેનાના ઉંબાડિયાઓને મજબૂતાઈથી જવાબ આપવાની રણનીતિ પ્રમાણે આગળ વધવું જરૂરી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને અસરકારક ઈન્ટેલિજન્સ માટે વધુ સક્રિય કરવાની જરૂર છે. તેની સાથે ભારતની અંદર રહેલા આતંકી નેટવર્ક સામે કડકાઈપૂર્વકની કાર્યવાહી માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ તથા જે-તે રાજ્યોની ક્રાઈમ બ્રાન્ચને વધુ અસરકારક કામગીરી માટે ફ્રીહેન્ડ આપવાની જરૂર છે. 

પાકિસ્તાન સાથે શાંતિ માટેની કોઈપણ વાટાઘાટો તેની નાપાક હરકતોને કારણે સફળ થવાની નથી. પાકિસ્તાન સાથેની કૂટનીતિ પણ સૈન્ય શક્તિના પરચા વગર અસરકારક નિવડવાની નથી. કોઈપણ ડિપ્લોમસી જમીન પર સૈન્યની શક્તિને સક્રિય કર્યા વગર સફળ થઈ શક્તી નથી. તેથી પાકિસ્તાન અને તેના પાયાના મલિન વિચારોના પડકારોનો સામનો કરવા માટે ભારતની સામર્થ્યવાન સેનાને વધુ શક્તિશાળી બનાવવી જરૂરી છે. એટલે કે ભારતને બૂલેટ ટ્રેન કરતા પહેલા પાંચમી પેઢીના અત્યાધુનિક યુદ્ધવિમાનો વસાવવાની જરૂર છે. આ સિવાય મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, અત્યાધુનિક નૌસૈન્ય શક્તિ અને આર્ટલરી તથા ભૂમિસેનાને વધુ અસરકારક કામગીરી કરવા માટેના આધુનિકીકરણને પુરઝડપે આગળ વધારવું જરૂરી છે. 

તેની સાથે જનતાની માનસકિતા અને પરિપક્વતાને વધારે ઉચ્ચસ્તરે લઈ જવા માટેની કાર્યવાહીઓ સરકાર અને સામાજિક-રાજકીય ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓએ હાથમાં લેવી જોઈએ. તેના માટે હવે વધુ રાહ જોઈને સમય બગાડવાની જરૂર નથી. આ સિવાય માનવતાનો વિરોધ કરનારાઓ સામે દુનિયાના તમામ માનવતામાં વિશ્વાસ કરનારા ધર્મો, વિચારધારાઓ, સમાજો, દેશોએ એકજૂટ બનવાની જરૂર છે. આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ આશ્રય આપતા દેશ અથવા દેશોના સમૂહો અને વિચારસરણીઓને તેમની ભાષામાં લડત આપવી નવા વર્લ્ડ ઓર્ડરની વૈશ્વિક જરૂરિયાત પણ છે અને મજબૂરી પણ છે. વળી આવી વ્યવસ્થા ઉભી કરવાની કોશિશો અને કાર્યવાહીઓમાં રાજકારણ ખેલવાથી ભારતના તમામ રાજકીય પક્ષોએ રાષ્ટ્રહિતમાં દૂર રહેવું જોઈએ. પહેલા આવું બધું કરી ચુક્યા છીએ અને અમે જ આમ કર્યું એવા કોઈ પણ વાદવિવાદમાં પડયા વગર ભારતીય સેનાની સાથે મજબૂતાઈથી ઉભા રહીને પરાક્રમ કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આવો આપણે ભારતના લોકો સાથે મળીને ભારતને આતંકમુક્ત બનાવીએ..   


Sunday, September 25, 2016

આતંકવાદના નામે ખુલ્લું યુદ્ધ: પાકિસ્તાનને કરાવો ભારતની શક્તિનો અહેસાસ

-     પ્રસન્ન શાસ્ત્રી
સેના ભારતના અસ્તિત્વની મુખ્ય વાહક છે. ભારતની મુક્તપણે શ્વાસ લેતી લોકશાહીનો મૂળ આધાર સેના છે. ખરેખર સેના બોલતી નથી, પણ પરાક્રમ કરે છે. પરંતુ સેના પરાક્રમ કરતી હોય, ત્યારે દેશના નેતાઓએ ચુપ રહેવું જરૂરી છે. સેનાને તેનું પરાક્રમ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ મુક્ત વાતાવરણ પુરું પાડવાનું કામ રાજકીય નેતૃત્વની ઈચ્છાશક્તિ પર નિર્ભર છે. ઉરીનો આતંકવાદી હુમલો પહેલો પણ નથી અને કદાચ યોગ્ય પગલા નહીં ઉઠાવાય તો છેલ્લો પણ નહીં હોય. ભારતમાં આતંકવાદની સમસ્યા હોવાનું છેલ્લા ત્રણ દાયકાથી કહેવામાં આવે છે. પરંતુ હવે કથિત આતંકવાદ મામલે અને તેને આપવામાં આવનાર જવાબ સંદર્ભે તલસ્પર્શી સમીક્ષાનો સમય પાકી ગયો છે. 

હકીકતમાં જેને આતંકવાદ ગણાવીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.. તે આતંકવાદ નથી. આ એક યુદ્ધ છે. એક એવું યુદ્ધ કે જેને પાડોશી દેશ પાકિસ્તાન પોતાની મનમરજી પ્રમાણે શરૂ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે તેને પૂર્ણ કરે છે. 2001માં સંસદ પરનો આતંકવાદી હુમલો હોય કે 2008નો મુંબઈ પરનો હુમલો હોય. આતંકવાદના આંચળા નીચે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધનું પ્રોક્સિ વૉર એક ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. હા
, ઉરી હુમલો અને તેના પહેલાના તમામ કથિત આતંકી હુમલા પાકિસ્તાનનું ખુલ્લું યુદ્ધ છે. આવા આતંકવાદી હુમલાઓની પાછળ પાકિસ્તાની સેના અને તેની ખુરાફાતી ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ભૂમિકા સંદર્ભે ભારતમાં સારા એવા પ્રમાણમાં જાણકારી છે.
ઉરી હુમલામાં 18 જવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે. આ હુમલો છેલ્લા ઘણાં વર્ષો બાદ સેનાને નિશાન બનાવીને કરાયેલો મોટો હુમલો હતો. ભારતીય સેનાને આટલા મોટા સ્તરે નુકસાન કરનાર લોકોને દંડિત કરવા જોઈએ. પરંતુ આ કોઈ ખૂન કેસનો મામલો નથી. આ યુદ્ધ અપરાધ છે. આ યુદ્ધ અપરાધને અંજામ આપનાર પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ છે. તેથી પાકિસ્તાની સેના અને આઈએસઆઈને પણ દંડ આપવો જરૂરી બને છે. તેથી પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ આતંકવાદી હુમલાઓને અનુરૂપ ભારતીય સેનાની કાર્યવાહી થવી ન્યાયોચિત બને છે. 

હવે તો દેશના લોકોની ધીરજની સાથે ભારતીય સેનાના સૈનિકોની ધીરજની પણ પરીક્ષા કહી શકાય. સેનામાં જોડાનારા દરેક સૈનિક અને અધિકારીને તેમની ફરજો અને તેમા જીવનું બલિદાન કરવાની તમામ બાબતોની સુપેરે જાણકારી હોય છે. સેનામાં કામ કરવું એ નોકરી નથી.. પણ દેશસેવા છે. સેનામાં સામેલ થનારાઓની દેશભક્તિ પર ક્યારેય કોઈપણ પ્રકારની શંકાને કોઈ કારણ નથી. કોઈપણ સ્થિતિમાં દેશની સુરક્ષા કરવી અને દેશના દુશ્મનો દ્વારા થોપવામાં આવતા યુદ્ધોને લડીને જીતવા સૈનિકોની પહેલી પ્રાથમિકતા છે. યુદ્ધમાં લડીને વીરગતિ પ્રાપ્ત કરવી દરેક સૈનિકોના જુસ્સાની ચરમસીમા છે. પરંતુ ઉરી હુમલામાં વીરગતિ પ્રાપ્ત કરનારા સૈનિકોની જેમ કોઈપણ જવાન બલિદાન આપવા ઈચ્છશે નહીં. સેનાના જવાનો દુશ્મન સામે લડવા ઈચ્છી રહ્યા છે. દુશ્મનને તેની બેરેક્સમાં જ ખતમ કરવાની મનસા ધરાવે છે. 

પાકિસ્તાનના મનસ્વી યુદ્ધોમાં વીરગતિ પામનારા જવાનોના પાર્થિવ દેહને જોઈને દેશની જનતામાં ગુસ્સો છે. આ આક્રોશ ખરેખર રાષ્ટ્રીય ચેતના છે. પરંતુ કોઈપણ નક્કર કાર્યવાહીની ગેરહાજરી આવી રાષ્ટ્રીય ચેતના પર કુઠારાઘાત બનીને ત્રાટકશે. આથી હવે યુદ્ધને યુદ્ધની જેમ રાજકીય નેતૃત્વ દ્વારા લેવાય તે જરૂરી છે. શાંતિ જરૂરી છે. પરંતુ શાંતિ ત્યારે જ ટકે છે.. જ્યારે યુદ્ધખોર પાડોશીને કચડી નાખવા માટેની અસરકારક તૈયારીઓનો તેને અહેસાસ કરાવવામાં આવે. ભારતની શક્તિનો ખરેખર પાકિસ્તાનને નક્કર અહેસાસ કરાવવાનો સમય પાકી ગયો છે. તેના માટે માત્ર આર્થિક, કૂટનીતિક, રાજદ્વારી, વ્યૂહાત્મક કોશિશો જ પુરતી નથી. જમીન પર પાકિસ્તાનની ગુસ્તાખીઓનો લશ્કરી રાહે સંપૂર્ણ તૈયારી સાથે મજબૂત જવાબ મળવો જોઈએ. 

પાકિસ્તાની સેના-આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનોનું એક ડીપ-સ્ટેટ પાકિસ્તાનની અંદર અસ્તિત્વમાં છે. એમ પણ માની શકાય કે પાકિસ્તાનના ડીપ સ્ટેટે પાકિસ્તાનના લોકોને વૈચારીક, રાજકીય અને આર્થિક રીતે એક જમીનના ટુકડામાં કેદ કર્યા છે. પાકિસ્તાનનું ડીપ-સ્ટેટ આતંકવાદને પોતાનું વ્યૂહાત્મક હથિયાર ગણે છે. આ આતંકના હથિયારનો માત્ર ભારતમાં જ નહીં.. પણ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ ઉપયોગ કરે છે. તાલિબાનોને પેદા કરવા અને અફઘાનિસ્તાનને બરબાદ કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. તો વૈશ્વિક આતંકવાદી નેટવર્કમાં પણ પાકિસ્તાનના લોકોની ઘણી મોટી ભૂમિકા છે. પાકિસ્તાન આતંકવાદનું સૌથી મોટું નિકાસકાર છે. મુંબઈ પરનો 2008નો હુમલો હોય કે પઠાનકોટ હુમલો હોય પાકિસ્તાને હંમેશા પુરાવાને નકાર્યા છે. પાકિસ્તાન પોતાના દ્વારા ઉછેરવામાં આવેલા આતંકવાદીઓને ખતમ કરવા માંગતું નથી. પરંતુ આવા નેટવર્ક દ્વારા પાકિસ્તાનનો ઈરાદો ભારતને રક્તરંજિત કરવાનો છે. 

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોની સેંકડો ટુકડીઓ પાકિસ્તાની સેનાની આતંકવાદની જાળને તોડવાના સંઘર્ષમાં લાગેલી છે. આની ઘણી મોટી અસર ભારતીય સંરક્ષણ બજેટ અને દેશની આર્થિક પ્રગતિ પર પડી રહી છે. સૌથી પહેલા પાકિસ્તાની સેના અને તેના બગલબચ્ચા જેવા લશ્કરે તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનને ભારતમાં મોકલવામાં આતંકી મોકલવા બદલ આકરો બોધપાઠ ભણાવવો પડશે. તેના માટે પાકિસ્તાનના બંકરો તબાહ કરવા, સરહદ પાર કરવી, વાયુસેનાનો ઉપયોગ કરવો, ભારે આર્ટલરી વાપરવી, સર્જિકલ સ્ટ્રાઈક કરવી, આતંકવાદી સરગનાઓને ગુપ્ત અભિયાનો હેઠળ ઠેકાણે પાડવા અથવા પરિસ્થિતિના અનુપાત પ્રમાણેની અસરકારક કામગીરી કરવા માટેની રણનીતિને ધાર આપીને હકીકત બનાવવા તરફ આગળ વધવું પડશે. મનમરજી પ્રમાણે યુદ્ધ કરનારા આતંકવાદીઓને તેમની શૈલીમાં જ ખતમ કરવા માટે ભારતના રાજકીય નેતાઓએ ભાષણબાજીથી આગળ વધીને કામગીરીને બોલવા દેવી પડશે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને કાર્યક્ષમ અને અસરકારક બનાવવી જરૂરી છે. તેના માટે સિત્તેરના દાયકામાં હતો તેવો ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓનો ખોફ ફરીથી જમાવવાની વ્યૂહરચના પર આગળ વધવું પડશે. સરહદની આ પાર જ નિર્દોષોના લોહી વહેવાનો સિલસિલો હવે વધુ લાંબો ચાલવો જોઈએ નહીં. 

ભારતે પહેલા લશ્કરી રાહે મજબૂત અને અસરકારક પગલા લીધા બાદ કૂટનીતિક, રાજદ્વારી, આર્થિક, વ્યૂહાત્મક સ્તરે આગળ વધવાની જરૂર છે. પાકિસ્તાનના આતંકી ખેલ હેઠળ ચાલતા ખુલ્લા યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કકળાટ અને પ્રેમપત્રો કે પ્રેમસંદેશાઓ લઈને દૂતો મોકલવાનો કોઈ અર્થ નથી. 125 કરોડ લોકોના શક્તિશાળી દેશે પોતાની શક્તિ મુજબ જ વ્યવહાર કરવો જરૂરી છે.

યાદ કરાવું-

1993ના મુંબઈના શ્રેણીબદ્ધ વિસ્ફોટોને યાદ રહ્યા હોત અને તાત્કાલિક કાર્યવાહી થઈ હોતતો ઉરી હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોના બલિદાન નહીં ભૂલએ તેવું કહેવાની જરૂર પડી જ ન હોત..

Monday, August 22, 2016

કાશ્મીરમાં હિંસાના કલાકાર પાકિસ્તાનનું બલુચિસ્તાનમાં પણ બખડજંતર

- પ્રસન્ન શાસ્ત્રી

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ભારતની વિદેશ નીતિમાં એક મોટા સ્ટ્રેટજિક શિફ્ટ તરીકે જોવાઈ રહ્યું છે. આ ભાષણમાં બલુચિસ્તાનનો સંદર્ભ ટાંકવાના ગર્ભિત સંકેતો છે કે ભારત બલુચિસ્તાનની આઝાદીના આંદોલનને નૈતિક ટેકો આપશે અને અહીં પાકિસ્તાની સેનાના વંશીય નરસંહાર તરફ દુનિયાનું ધ્યાન પણ ખેંચશે. બલુચિસ્તાન ખાતેના જઘન્ય વંશીય નરસંહાર કરતા અભિયાનો પાકિસ્તાની સેના માટે કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પાકિસ્તાની સેના તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં આવા જ ભયાનક અત્યાચારો કરી ચુક્યું છે. જેના પરિણામે ડિસેમ્બર-1971માં બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. 1948થી પાકિસ્તાની સેના દ્વારા લોહિયાળ દમનચક્રોને કારણે બલુચિસ્તાનને હજારો જખમો મળી ચુક્યા છે. 

બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ રહ્યું નથી. કલાત સ્ટેટ તરીકે બલુચિસ્તાનની અલગ ઓળખ રહી છે. પરંતુ માર્ચ-1948માં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાના હુકમથી બલુચિસ્તાન પર આક્રમણ કરવામાં આવ્યું હતું. બલુચિસ્તાનના લોકો તરફથી પાકિસ્તાનમાં સામેલ થવાની બાબતનો આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ અલી ઝીણા કલાત સ્ટેટના લિગલ એડવાઈઝર તરીકે ભારત વિભાજન પહેલા કામ કરી ચુક્યા હતા. 


બલુચિસ્તાનના લોકોએ ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવાની વાતને સ્વીકારી નથી. અહીં ત્રણ ટ્રાઈબલ જૂથો મુર્રી, મેન્ગલ અને બુગ્તીની આગેવાનીમાં બલોચી સ્વતંત્રતા આંદોલન ચલાવવામાં આવ્યું છે. ઝીણાથી લઈને ભુટ્ટો સુધી અને ત્યાર બાદ જનરલ ઝીયા ઉલ હક અને જનરલ મુશર્રફ સુધીના તમામ લોકોએ બલોચી સ્વતંત્રતા આંદોલને બેરહેમીથી કચડી નાખવા માટે બર્બરતાપૂર્વક પાકિસ્તાની સેનાનો ઉપયોગ કર્યો છે. હાલ પણ પાકિસ્તાની સેના પોતાનું દમનચક્ર ચલાવી રહી છે. પાકિસ્તાનના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ નાસિરખાન ઝાંઝુઆ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર તરીકે ઘણાં દમનચક્રો ચલાવી ચુક્યા છે. જનરલ નાસિરખાન ઝાંઝુઆને બુચર ઓફ બલુચિસ્તાન તરીકે ઘણી કુખ્યાતી મળી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બલોચ નેશનને ટેકો આપતા સંદર્ભોના મીડિયામાં મચક્યા બાદ પાકિસ્તાની અત્યાચારોનો ભોગ બનેલા બાંગ્લાદેશે પણ પાકિસ્તાનની સેના સામે મોઢું ખોલ્યું છે. બાંગ્લાદેશે પૂર્વ પાકિસ્તાન તરીકેની ઓળખના સમયગાળામાં થયેલા અમાનવીય અત્યાચારોની પૃષ્ઠભૂમિમાં બલોચ જનતા સાથે થઈ રહેલા પાકિસ્તાની સેનાના જુલ્મોસીતમને વખોડયા છે. 
પૂર્વ પાકિસ્તાનની પેટર્ન પર પાકિસ્તાની સેના બલુચિસ્તાન ખાતે કાળજીપૂર્વક પસંદગી યુક્ત અને લક્ષિત હિંસા કરી રહી છે. બલુચિસ્તાનમાં આઝાદી સમર્થક રાજકીય નેતાઓ, વકીલો, શિક્ષિત સંસ્થાઓને પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવાઈ રહી છે. બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલામાં સિત્તેર જેટલા વકીલોએ જીવ ગુમાવ્યા છે. આઈસિસે આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ પાકિસ્તાનની સેના, ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, પાકિસ્તાની સેનાના સામરિક હથિયાર જેવા ઈસ્લામિક જેહાદી જૂથો અને આતંકી ગેંગ્સ દ્વારા આવા જ ટાર્ગેટેડ હિંસાચારને અંજામ આપે છે. 

લક્ષિત હિંસાચાર પાછળનો મુખ્ય ઉદેશ્ય બલોચ સ્વતંત્રતા સંગ્રામની આગેવાની કરતી નેતાગીરીની ક્ષમતા અને અસરકારકતાને ખતમ કરવાનો છે. બલુચિસ્તાનના મૂળ બલોચ લોકો પાકિસ્તાન પર સૌથી વધુ પ્રભાવ ધરાવતા પંજાબ સાથે કોઈપણ પ્રકારની રાજકીય, આર્થિક અથવા સાંસ્કૃતિક એકતા ધરાવતા નથી. વળી બલુચિસ્તાન પાકિસ્તાન પર પરાવલંબન પણ ધરાવતું નથી. પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવ્યા બાદ બલુચિસ્તાન પાસે રાજકીય, આર્થિક અને ભૂરાજકીય રીતે પોતાની જાતે ટકી રહેવા માટે ઊર્જા અને ખનીજ સંપત્તિની પુરતી ઉપલબ્ધતા છે. 

પાકિસ્તાનનો મુખ્ય સમુદ્રીતટ પણ બલુચિસ્તાન પાસે છે. બલુચિસ્તાનનો સમુદ્રતટ ચારસો સિત્તેર માઈલનો છે. પાકિસ્તાનનું એક માત્ર ડીપ-વોટર પોર્ટ ગ્વાદર બલુચિસ્તાનમાં આવેલું છે. બલુચિસ્તાનનો વિસ્તાર પાકિસ્તાનના કુલ વિસ્તારના 43 ટકા જેટલો છે. તેથી પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનની સ્વતંત્રતાના સંગ્રામને કચડવા અહીં વંશીય હત્યાકાંડો કરીને પણ તેના પર કબજો ચાલુ રાખવો તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો ભાગ છે. 

પાકિસ્તાન બન્યાના સિત્તેર વર્ષે પણ બલુચિસ્તાનને અલ્પવિકસિત રાખવામાં આવ્યું છે. તો પાકિસ્તાનની સેના અને સરકારનું તંત્ર અહીં બલોચ વસ્તીસંતુલનને ખોરવીને પૂર્વ પંજાબી સૈન્યકર્મીઓને અહીં વસાવી રહ્યું છે. તેની સાથે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે ગ્વાદર પોર્ટ સુધી બીજિંગનો કાયમી હસ્તક્ષેપ પણ પાકિસ્તાને સ્વીકારી લીધો છે. 

બલુચિસ્તાનને પાકિસ્તાની હૂકમરાનોએ એક ખાસ રણનીતિ હેઠળ અલ્પવિકસિત રાખ્યું છે. અહીં શૈક્ષણિક અને આરોગ્યની સુવિધાઓની કોઈ ખાસ વ્યવસ્થા ઉભી થવા દેવાઈ નથી. બલુચિસ્તાનમાં આઝાદી માટેના આંદોલનોને જોતા પાકિસ્તાની સેનાની અહીં ખૂબ મોટા પ્રમાણમાં તેનાતી છે. ગ્વાદર પોર્ટ સુધી પહોંચવા માટેના બલુચિસ્તાનના વિસ્તારોમાં બલુચીઓની જમીનો પંજાબીઓ અને પાકિસ્તાની સેનાના સેવાનિવૃત્ત થયેલા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને આપવામાં આવે છે. આની પાછળ પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનનું વસ્તીસંતુલન બદલવા માટેની એક વ્યૂહરચના હોવાનું પણ માનવામાં આવે છે. તેને કારણે પંજાબીઓને બલુચિસ્તાનમાં મોટા પ્રમાણમાં વસાવવાનું છેલ્લા ઘણાં દાયકાઓ પહેલા જ શરૂ કરી દેવાયું છે. પાકિસ્તાને બલુચિસ્તાનમાં તેના વ્યૂહાત્મક સાથીદાર ચીન પાસેથી પ્રેરણા લીધી છે. ચીને તિબેટ પર 1949માં કબજો જમાવ્યો ત્યારથી આવી જ રણનીતિને અમલી બનાવી છે. 


ગ્વાદર પોર્ટ સાથે જોડાયેલા ચીનના વ્યૂહાત્મક અને આર્થિક હિતોને કારણે બલુચિસ્તાન હાલ ખૂબ ચર્ચામાં આવ્યું છે. ગ્વાદર પોર્ટને ચીનને લાંબાગાળા માટે લીઝ પર આપવાની સાથે ગ્વાદરથી ચીનના શિનજિયાંગ પ્રાંતને જોડતા ઈકોનોમિક કોરિડોરની 46 અબજ ડોલરના રોકાણવાળી યોજનાને કારણે પણ બલુચિસ્તાનથી માંડીને પીઓકે સુધી ચીનની મોટી દખલગીરી અસ્તિત્વમાં આવી રહી છે. બલુચિસ્તાનનું ડીપવોટર પોર્ટ ગ્વાદર ચીનના નેવલ બેઝ તરીકે ઉભરી રહ્યું છે. ચીનને પણ બલુચિસ્તાનના ભૂરાજનીતિક મહત્વને કારણે તેમા ખાસો રસ છે. પાકિસ્તાને ચીનને બલુચિસ્તાનમાં ખાસી સુવિધાઓ આપી છે. આની પાછળ પાકિસ્તાન સાથે ચીનના ઘનિષ્ઠ વ્યૂહાત્મક અને લશ્કરી સંબંધોની પણ ઘણી મોટી ભૂમિકા છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અમેરિકાના વોર ઓન ટેરર અને વોશિંગ્ટન સાથે વણસેલા દ્વિપક્ષીય સંબંધોનો મામલો પણ એક મોટું પરિમાણ છે.


ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનના ધમપછાડા કોઈનાથી અજાણ્યા નથી. બલુચિસ્તાનમાં સીપીઈસીનો આકરો વિરોધ થઈ રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફે કોઈપણ ભોગે આર્થિક કોરિડોરનું કામ પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા રજૂ કરી છે. પાકિસ્તાની સેનાનો આરોપ છે કે ભારતીય એજન્સીઓ કોરિડોરના પ્રોજેક્ટને ખોરંભે પાડવા માટે અહીં સક્રિય છે. 

પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને પૂર્ણ કરવા માટે દર્શાવેલી સંકલ્પબદ્ધતામાં તેના વિરોધને બર્બરતાપૂર્ણ રીતે કચડી નાખવાનો ઈરાદો પણ ટપકી રહ્યો છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાન અને ચીન બંને સંયુક્તપણે ઉપનિવેશ ઉભું કરી રહ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફ બલુચિસ્તાન ખાતે મોટા બળપ્રયોગ અને વંશીય હિંસાચારની ગર્ભિત ધમકી પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં બલુચિસ્તાન ખાતેનો કોઈપણ પ્રકારનો હિંસાચાર પ્રાદેશિક સ્થિરતાની સાથે વૈશ્વિક સામરિક ગણતરીઓ પણ અસ્તવ્યસ્ત થશે. બલુચિસ્તાનના 60 લાખ બલૂચી લોકો પર પાકિસ્તાની સેના દ્વારા વંશીય હિંસાચારના ખતરા નીચે જીવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બલુચિસ્તાનની કુલ વસ્તી એક કરોડ ત્રીસ લાખ જેટલી છે. જેના કારણે બહાદૂર બલોચ અને તેમનું બલુચિસ્તાન આઝાદ થવા માટે વૈશ્વિક અને ક્ષેત્રીય સમર્થન મેળવવાના હકદાર છે. 

બાંગ્લાદેશના મુસ્લિમો પર પાકિસ્તાની સેનાએ કર્યો હતો તેવો અત્યાચાર બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા આઝાદીના આંદોલનની તીવ્રતામાં વધારા સાથે ઉગ્રતા આવે તેવી શક્યતા છે. આમ કરતી વખતે પાકિસ્તાની સેનાની તરફેણમાં જીઓપોલિટિકલ અને જીઓસ્ટ્રેટજીક ફેક્ટર્સ મદદરૂપ થવાની શક્યતા છે. બલુચિસ્તાનમાં હિંસાચાર રોકવામાં અમેરિકાની સૌથી મોટી ભૂમિકા રહી છે. પરંતુ હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચાર સામે અમેરિકા દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બલુચિસ્તાનની આઝાદીને સમર્થન નહીં આપવાની ટીપ્પણી કરી હતી. બલુચિસ્તાનમાં હિંસાચારના વિરોધ મામલે અમેરિકાના વહીવટી તંત્ર અને અમેરિકાના સાંસદોના દ્રષ્ટિકોણમાં પણ મોટો વિરોધાભાસ છે. 

તો ચીનના ખૂબ મોટા ભૂરાજનીતિક અને સામરિક હિતો બલુચિસ્તાનમાં હોવાથી તેઓ પણ બલોચ લોકોના આઝાદીના આંદોલનને ઉગ્ર થવા દેવાની સ્થિતિ વિરુદ્ધ જ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવહાર કરશે. પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનના આંદોલનોને કચડવાની કોઈપણ બર્બર કોશિશને ચીન સામેલ પણ થઈ શકે છે. પરંતુ આનાથી બલોચ લોકોએ નિરાશ થવાની જરૂરત નથી. અમેરિકા અને ચીન દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં ચાલેલા બાંગ્લાદેશ મુક્તિ આંદોલનનો પણ વિરોધ કરાયો હતો. પરંતુ શું બંગ્લાદેશી મુસ્લિમોની પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી વંશીય હિંસા બાદ બાંગ્લાદેશને અસ્તિત્વમાં આવતું રોકી શકાયું?

બાંગ્લાદેશની જેમ જ બલૂચ લોકોએ પોતાની આઝાદી માટેની ઈચ્છાની જ્યોતને છેલ્લા છ દાયકાની જેમ આગળ પણ  પ્રજ્વલિત રાખવી જરૂરી છે. બલોચ લોકોની આઝાદીની લડાઈમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પચ્ચીસ હજાર લોકો ગુમ થયા છે. બલુચિસ્તાનની 60 લાખની બલોચ લોકોની વસ્તી માટે આઝાદીની આ ઘણી મોટી કિંમત છે. તેમ છતાં બલુચિસ્તાન ખાતે બલોચ સ્વતંત્રતા આંદોલન વારંવાર પુનર્જિવિત થતું રહ્યું છે. 


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી આઝાદી દિવસે કરેલા સંબોધનમાં બલુચિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘનના મામલાઓને હિંમતપૂર્વક ઉઠાવ્યો હતો. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને પ્રાદેશિક તથા ઉભરતી વૈશ્વિક તરીકે ક્ષેત્રીય હિંસાચારની ઉભરતી કોઈપણ શક્યતાને અવગણી શકે નહીં. વળી માનવતાની પુનર્સ્થાપના માટેની વિકસતા વૈશ્વિક સમાજની લડાઈમાં માનવાધિકારના આદારો અને માનવાધિકારની સુરક્ષાના મુદ્દે દુનિયા આંખ આડા કાન કરી શકે નહીં. તેથી પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાં ભૂતકાળમાં કરવામાં આવેલા વંશીય હત્યાકાંડોને આંતરરાષ્ટ્રીય સમુદાયો પણ મંજૂર કરી શકે તેમ નથી. 

પાકિસ્તાનને કાશ્મીરમાં ઉંબાડિયા પર પીઓકે-બલૂચિસ્તાનથી જવાબ

- પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનની સમસ્યા તેના નાપાક ઉદભવના પાંચ-સાડા પાંચ દાયકા સુધી માત્ર અને માત્ર ભારતની સમસ્યા જ માનવામાં આવી હતી. પરંતુ જેહાદી આતંકવાદના નીત-નવા વિચારોના સંસ્કરણો પેદા કરનારું પાકિસ્તાન આખી દુનિયામાં આતંકવાદ અને આતંકવાદીઓનું નિકાસકાર બની ચુક્યું છે. જો કે દુનિયાએ ભારતને લોહીલુહાણ થતું અને બાદમાં અફઘાનિસ્તાનને બરબાદ થતું જોવાનું ચાલુ રાખ્યું હતું. કમ્યુનિસ્ટ વિચારધારાના વાહક સોવિયત સંઘ સામે લડવામાં પાકિસ્તાનનો અમેરિકા અને યુરોપના દેશોએ ખૂબ ઉપયોગ કર્યો છે. પરંતુ 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાએ સાબિત કરી દીધું કે પાકિસ્તાનમાં 1979થી 1991 સુધીમાં સોવિયત સેનાઓ સામે ઉભું કરાયેલું આઈડિયોલોજિકલ વેપન તેના અમેરિકા અને યુરોપ સહીતના આકાઓ માટે ભસ્માસુર સાબિત થવાનું શરૂ થઈ ચુક્યું છે. મજહબી કટ્ટરવાદનો અતિરેક અને તેના થકી ઉભો થયેલો રાજ્ય પ્રાયોજિત પાકિસ્તાની આતંકવાદ દુનિયામાં ઠેરઠેર કાળો કહેર વર્તવી રહ્યો છે. 

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હામિદ કરજાઈએ તો ત્યાં સુધી કહ્યુ છે કે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ એટલે કે દાઈશને પાકિસ્તાનમાંથી ટેકો મળી રહ્યો છે અને તેના અફઘાનિસ્તાન પાસે પુરાવા છે. મહત્વપૂર્ણ છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હવે માત્ર ઈસ્લામિક સ્ટેટ બનીને સ્ટેટ ઓફ ખોરોસાન જીતવા માટે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત સુધી પોતાના જેહાદી આતંકના ઈરાદા વિસ્તારવા માંગે છે. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પોતાની જાળ વિસ્તારી રહ્યા છે. કેટલાંક આતંકવાદી જૂથોએ આઈએસ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી છે. પાકિસ્તાનમાં ઘણાં આતંકવાદી હુમલામાં છેલ્લા બે વર્ષથી આઈએસ પોતાની જવાબદારી લઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો દેશોની સેનાઓ છેલ્લા સોળ વર્ષથી આતંકના ખાત્મા માટે યુદ્ધ લડી રહી છે. પરંતુ આતંકવાદ અહીં સમાપ્ત થયો નથી. તેના સ્થાને તાલિબાનો અને અન્ય આતંકવાદીઓ અલકાયદાના નબળા પડવા છતાં અહીં ખાસા સક્રિય છે. 

વૈશ્વિક આતંકવાદને સમાપ્ત કરવા માટે સૌથી મોટી જરૂર તેના મૂળ સ્ત્રોતને ખતમ કરવાની છે. આમ તો તેના મૂળ સ્ત્રોતની ચર્ચામાં ઉતરીશું, તો છેક ઈસ્લામના મૂળ ઉપદેશો સુધીની ચર્ચા કરવી પડશે. પરંતુ હાલ માત્ર દેખીતી અભિવ્યક્તિ તરીકે ઈસ્લામના ઉપદેશોનો ઉપયોગ કરીને દુનિયાભરમાં હિંસાનો ખેલ ખેલનારો એકમાત્ર અનિયંત્રિત સ્ત્રોત કોઈ હોય, તો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છે. વિશ્લેષકોના મતે મજબૂત અને સ્થિર પાકિસ્તાન ભારત માટે સારું હોવાનું કહેવાતું રહ્યું છે. પરંતુ મજબૂત અને સ્થિર પાકિસ્તાને ભારતને યુદ્ધ અને આતંકની પીડા જ આપી છે. તેથી હવે ભારત અને દુનિયાના નેતાઓએ પાકિસ્તાનને પાકિસ્તાનવાદી વિચારધારા નબળી પાડીને તેને તોડી નાખીને અહીં કેદમાં સબડતા લોકોને તેમની વંશીય, પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખ પાછી અપાવવી જરૂરી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વિવિધતાને ફરીથી સજીવ કરવામાં આવશે, તો ઈસ્લામિક આતંકવાદીની સમસ્યા આપોઆપ સમાપ્ત થઈ જશે. 

આમ તો પાકિસ્તાની સેના જેહાદી જોકરોનું એક સરકસ ચલાવી રહી છે અને આ સરકસમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ એક રિંગમાસ્ટર છે. માનવતાને ખતમ કરવા મથતા જેહાદી આતંકવાદીઓનો મેળાવડો સમાપ્ત થવો જરૂરી છે. પાકિસ્તાન છેલ્લા સાત દાયકાથી કાશ્મીરનું ગાણું ગાયે રાખે છે. આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદીઓ કાશ્મીર ખીણમાં દેખાવોના નામે હિંસાચાર કરીને જનજીવન ઠપ્પ કરીને બેઠાં છે. આ ભાગલાવાદીઓ છેલ્લા દોઢ વર્ષથી કાશ્મીર ખીણમાં હિંસા અને આતંકવાદીને બેઠો કરવા માટેની કોશિશો કરી રહ્યા છે. જેમાં દર શુક્રવારે નમાજ બાદ પાકિસ્તાની, લશ્કરે તોઈબા અને આઈએસના વાવટા ફરકાવવાની ભાગલાવાદીઓની ઈબાદતોને આખા દેશે જોઈ છે. જો કે તે વખતે આવી હરકતોને ડામવા માટેની કોઈ અસરકારક કોશિશો સમયસર હાથ નહીં ધરાયાનું પણ દેશના લોકોને લાગી રહ્યું છે. કાશ્મીરની પરિસ્થિતિ સંદર્ભે આઝાદી દિવસ પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલુચિસ્તાન અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા કાશ્મીરના વિસ્તારોમાં પાડોશી દેશના અત્યાચારનો મુદ્દો ઉજાગર કરવાનો વખત આવી ગયો હોવાનું એલાન કર્યું હતું. તેની સાથે છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન સાથેની નિષ્ફળ રહેલી પરંપરાગત ઉદારવાદી નીતિની સમીક્ષા પણ જરૂરથી શરૂ કરાઈ હશે. સ્વતંત્રતાદિવસે લાલકિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલુચિસ્તાન, પાકિસ્તાનના ગેરકાયદેસર નિયંત્રણમાં રહેલા કાશ્મીર અને તેના જ અલગ કરાયેલા હિસ્સા ગિલગિત-બાલ્તિસ્તાનમાં માનવાધિકાર ભંગના મામલાને ઉઠાવીને પાકિસ્તાન નીતિની ચાલઢાલ બદલવાનીનું એલાન પણ કર્યું છે. તો સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે પાકિસ્તાન જવું નરક સમાન ગણાવ્યું છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે પીઓકેમાં તિરંગો ફરકાવવાની વાત કહી છે.


આતંકવાદી બુરહાન વાનીને શહીદ જાહેર કરીને પાકિસ્તાને ભારતને છંછેડવાની મોટી ભૂલ કરી છે. કાશ્મીર પર વાટાઘાટોની વાત કરતું પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદીને ચાલુ રાખવો પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે હવે ભારત અને પાકિસ્તાનના સંબંધો એક નવા યુગમાં પ્રવેશી ચુક્યા છે. ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાનના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ, પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને પાકિસ્તાની સેનાપ્રમુખ જનરલ રાહીલ શરીફ સુધીના તમામનો સમાવેશ થાય છે. હવે ભારત તરફથી પણ તેના જવાબમાં સંવાદની ભાષામાં આવેલું પરિવર્તન સંબંધોનો નવો દ્રષ્ટિકોણ દર્શાવી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાન સાથે શાંતિના કબૂતરો ઉડાડવાની તુષ્ટિકરણની નીતિનો શું અંત આવશે? તેવી એક આશા પણ ભારતના લોકોમાં જાગી છે. પાકિસ્તાનના આતંકવાદી હુમલાઓ છતાં શાંતિના કબૂતરો ઉડાડનારી ભારત સરકારોની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય મંચો પર ખૂબ વાહવાહી થઈ છે. પણ આવી વાહવાહી લૂંટવા માટે જનતા અને સૈનિકોએ અવિરત બલિદાન આપવા પડયા છે.. પણ દુખદ વાત એ રહી છે કે વાહવાહી લૂંટવાની લ્હાયમાં ભારતના ભૂતકાળના શાસકોને તેની બિલકુલ યાદ આવી નથી. 

ભારત સામે એકસાથે ઘણાં કૂટનીતિક મોરચાઓ પાકિસ્તાને ખોલ્યા છે. પહેલા ચીનના પ્રોક્સિ તરીકે ભારતના ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશને વિલંબિત કરવાના કામમાં પાકિસ્તાને બીજિંગનો સાથ આપ્યો હતો. તો બાદમાં કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રથી માંડીને 56 ઈસ્લામિક દેશોના સમૂહ ઓઆઈસી ખાતે પણ પાકિસ્તાન તરફથી રજૂઆતો કરવામાં આવી છે. ઈસ્લામિક દેશોના જૂથે કાશ્મીરને ભારતનો આંતરીક મામલો ગણવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે ભારત તરફથી પણ ઓઆઈસીને કહેવામાં આવ્યું છેકે ધીરજની પરીક્ષા કરવાનું રહેવા દો. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાર્ક દેશોના ગૃહપ્રધાનોની બેઠકમાં ઈસ્લામાબાદ જઈને પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘણું સંભળાવી આવ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં રાજનાથસિંહ સાથે પ્રોટોકોલ તોડીને ગેરવર્તન કરાયું અને તેમના ભાષણથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. રાજનાથસિંહે પણ પાકિસ્તાનને સંભાળાવ્યા બાદ લંચ કર્યા વગર ભારત પાછા ફર્યા હતા. રાજનાથસિંહે યાદ અપાવ્યુ કે તેઓ પાકિસ્તાન લંચ કરવા ગયા ન હતા. પાકિસ્તાનથી મળેલી ધમકીઓને કારણે તેમણે ઈસ્લામાબાદ જઈને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને દુનિયા સામે બેનકાબ કરવાનું નક્કી કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ અને શિષ્ટાચારની પરવાહ કર્યા વગર 25 ડિસેમ્બર-2015ના રોજ કાબુલથી લાહોર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જન્મદિવસની મુબારકબાદ આપવા ગયા હતા. પરંતુ પાકિસ્તાન તરફથી ભારતના ગૃહ પ્રધાન સાથે દેખાડવામાં આવેલો ખોખલો અહંકાર દર્શાવી રહ્યો છેકે પાડોશી દેશને વિવેકની ભાષા સમજમાં આવતી નથી. રાજનાથસિંહ સાથેનો અશોભનીય વ્યવહાર પાકિસ્તાનની દ્વિપક્ષીય સંબંધોની ગરિમા અને કૂટનીતિક ઔપચારીકતાઓ પણ નહીં જાળવાની પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. 
પાકિસ્તાનમાં લોકશાહી માત્ર દેખાડા પુરતી છે. હકીકતમાં પાકિસ્તાન તેની સેના અને આઈએસઆઈ દ્વારા સંચાલિત થાય છે.  ભારતમાં પોતાને સેક્યુલર અને ઉદારવાદી ગણાવતી એક ખાસ ટોળકી પત્રકાર જગત અને રાજકારણમાં સક્રિય છે. પાકિસ્તાનની આતંકી હરકતો વિરુદ્ધ દ્રઢતાપૂર્વક બોલનારાઓને આવી ટોળકીના સરગનાઓ અતિરાષ્ટ્રવાદી અથવા ઉગ્રવાદી ગણાવીને તેમને ઉતારી પાડવાની કોશિશ પણ કરતા રહે છે. પાકિસ્તાની આતંકના ખેલ સામે અમન કી આશાઓના નામે શાંતિના કબૂતરો ઉડાડનારાઓની ફોજ કેવી રીતે ભારતના લોકોના રાષ્ટ્રવાદની હદ નક્કી કરી શકે? આવા દંભીઓને પણ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાની આતંકી નીતિઓને ચુપચાપ સહન કરવી રાષ્ટ્રવાદ હોઈ શકે નહીં. આના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના રાષ્ટ્રવાદીઓને ઉતારી પાડવાની તમારી હરકતોની પણ એક હદ છે, તેનું ધ્યાન નહીં રાખવામાં આવે તો આવી હરકતો કરનારા દંભીઓના શંભુમેળા સામે ઘણી તકલીફો પણ ઉભી થવાની છે. આખરે ભારતના લોકોની રાષ્ટ્રવાદી લાગણીઓને ગાળ આપવાની તમારી હરકતો ક્યાં સુધી ચાલશે? એનો પણ અંત આવશે.

પાકિસ્તાનમાં તાજેતરમાં પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાન ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને આ ચૂંટણીઓમાં પાકિસ્તાની સેનાની ગડબડ બાદ નવાઝ શરીફની પાર્ટીને જીત મળી. આ ગોલમાલથી સ્થાનિક પ્રજામાં ખૂબ રોષની લાગણી છે. તો ચીન-પાકિસ્તાન વચ્ચેના ઈકોનોમિક કોરિડોર સામે પીઓકે, ગિલગિત-બાલ્તિસ્તાન અને બલુચિસ્તાનમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ભારત સાથેની સરહદ અને અંકુશ રેખા પર આક્રમક રહેતી પાકિસ્તાની સેના આ વિસ્તારોમાં પણ દમનચક્રો ચલાવી રહી છે. બલુચિસ્તાન અને સિંધ સહીતના પાકિસ્તાનના તમામ પ્રાંતોમાં પાકિસ્તાન સામે આક્રોશ અને પોતાની ઓળખ માટેની સભાનતા હવે વ્યક્ત થઈ રહી છે. કેટલાંક પાકિસ્તાની વિશ્લેષકો પણ સવાલ કરી રહ્યા છે કે પાકિસ્તાન ક્યાં છે? હકીકતમાં તો પાકિસ્તાની સેના જ પાકિસ્તાનના નામે ભારત અને હિંદુ વિરોધી મજહબી લાગણીઓથી કોઈક રીતે પોતાના જમીનના ટૂકડાઓ એક રાખવાની કોશિશમાં લાગેલી છે. નવેમ્બર માસમાં પાકિસ્તાનનો નવો સેના પ્રમુખ આવશે. જનરલ રાહીલ શરીફ બાદ આવનારો પાકિસ્તાની સેના પ્રમુખ પણ કાશ્મીર કાર્ડ ખેલીને પાકિસ્તાનમાં સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. તો 2018માં પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે પણ કાશ્મીર મુદ્દે વોટ માંગવાની કોશિશમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પોતાનો કઠપૂતળી વડાપ્રધાન સત્તામાં લાવશે. તેના પહેલા પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ પડખું બદલશે તો નવાઝ શરીફના સ્થાને પાકિસ્તાનના ગૃહ પ્રધાન ચૌધરી નિસાર અલી ખાનના આવવાની શક્યતાઓ જાણકારો નકારતા નથી. મહત્વપૂર્ણ છેકે ભારતના ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે કૂટનીતિક વિવેકના સ્થાને ગેરવર્તન કરીને નિવેદનબાજી કરનાર ચૌધરી નિસાર અલી ખાન જ હતા. તેની પાછળ ચૌધરી નિસારની પાકિસ્તાની સેનાની આંખોના તારા બનવાની લલક સ્પષ્ટ છલકતી હતી. યાદ રાખવું જોઈએ કે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને સંરક્ષણ આપનારી પાકિસ્તાની સેના માટે મજહબી કટ્ટરવાદ સર્વોપરી છે અને ભારત વિરોધી લાગણીઓ તેમનું મોટું મોટિવેશનલ ફેક્ટર છે. 

કાશ્મીરમાં અશાંતિ પેદા કરવાની પાકિસ્તાની સેના અને આઈએસઆઈની મેલીમુરાદ સામે માત્ર કાશ્મીરીયત, જમ્હુરિયત અને ઈન્સાનિયતની રટ લગાવવી પુરતી નથી. પાકિસ્તાનની કઠપૂતળી સરકારને જમ્હૂરિયત સાથે કઈ લેવા દેવા નથી? તો ભારતના સત્તાધીશોએ પણ કાશ્મીરીયતની સાથે જમ્મુઈયત અને લડાખિયતને પણ માન્યતા આપવી પડશે. જો કે તેના માટે જમ્મુ-કાશ્મીરને વિભાજિત કરવું જરૂરી નથી. કાશ્મીર ખીણને પોતાની જાગીર સમજીને અશાંતિ ફેલાવનારા પાકિસ્તાન-પરસ્ત તત્વોને જમ્મુઈયત અને લડાખિયત પણ જમ્મુ-કાશ્મીરનો ભાગ હોવાનું સ્પષ્ટપણે અહેસાસ કરાવવાનો પણ સમય હવે પાકી ગયો છે. 

ભારતનું હાલનું વલણ સ્પષ્ટ છેકે પાકિસ્તાન કાશ્મીર પર વાટાઘાટો કરવા ઈચ્છતું હોય.. તો તેણે પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર,ગિલગિત-બાલ્તિસ્તાન અને બલુચિસ્તાનના માનવાધિકાર ભંગના મામલાઓ પર પણ આંતરરાષ્ટ્રીય મંચો પર જવાબ આપે. ભારત સાથે વાટાઘાટો કરવી જ હોય, તો પોતે ગેરકાયદેસર રીતે હડપેલા ગિલગિત-બાલ્તિસ્તાન સહીતના પીઓકે પર પાકિસ્તાન વાત કરે. ભારત સરકારની વાટાઘાટો માટેની નીતિમાં આવેલું પરિવર્તન પાકિસ્તાનની આતંકવાદને પોતાનો હક માનતી નીતિ સામે બિલકુલ ખોટી પણ નથી લાગતી. ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારના નિવેદનોમાં બે વર્ષની પાકિસ્તાન પ્રત્યેની ઉદરતા બાદ કડકાઈ આવી છે. તેનો સીધો અર્થ એવો કાઢી શકાય કે પાકિસ્તાનના આતંકવાદને સહન કરવાની ભારતની પણ એક સીમા છે. જો કે પાકિસ્તાનની સામેની નીતિમાં કેન્દ્ર સરકારના શબ્દોમાં આવેલું પરિવર્તન વાસ્તવિકતાના સ્તરે પણ દેખાવું જરૂરી છે. કાશ્મીરની સમસ્યાનું પાકિસ્તાને પકાવેલું ગુમડું ભારતને આઝાદીના સમયથી પીડા આપી રહ્યું છે અને તેથી કાશ્મીરમાંથી પાકિસ્તાન પરસ્તી ખતમ કરવા માટેના નીતિગત પરિવર્તનોની પણ તાતી જરૂરિયાત છે. 

પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની રણનીતિ અને કૂટનીતિ અપનાવવા માટે બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ બરહમદાગ બુગ્તીનું તાજેતરમાં કરાયેલું કથન પણ સમજવું જરૂરી છે. બલૂચ નેતા બરહમદાગ બુગતીએ કહ્યુ છે કે એક જવાબદાર પાડોશી અને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારતે બલુચિસ્તાનમાં દખલગીરી કરવી જોઈએ. કાશ્મીરમાં પાકિસ્તાનની વિધ્વંસકારી ભૂમિકા અને ભારતમાં મુંબઈ તથા પઠાનકોટ જેવા આતંકવાદી હુમલામાઓમાં પાકિસ્તાનનો સીધો સંબંધ સામે આવી ચુક્યો છે. પાકિસ્તાન કાશ્મીરમાં તો આત્મનિર્ણય અને સ્વશાસનની માગણી કરે છે. પરંતુ બલુચિસ્તાનમાં પાકિસ્તાન પોતાની સૈન્ય શક્તિના જોરે બલૂચ નેતાઓની આવી માગણીને કચડી રહ્યું છે. આનાથી પાકિસ્તાનના બેવડા માપદંડો ઉજાગર થાય છે અને તેના ક્ષેત્રીય શાંતિ-સ્થિરતાને ખતમ કરવાના બદઈરાદાઓ પણ સામે આવી રહ્યા છે.

Monday, July 18, 2016

આતંકીના ટેકામાં હિંસા!: કાશ્મીરના જેહાદી આતંકવાદને લશ્કરી પ્રતિઘાત જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી બુરહાન વાનીને ઠાર કરવામાં આવે અને કાશ્મીર ખીણમાં ભાગલાવાદીઓ પાકિસ્તાનની શેહ પર ભીડ સાથે મળીને ભારતને પડકારે આવી સ્થિતિ શાખી શકાય તેવી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓની પાકિસ્તાનવાદી દાદાગીરીને તેઓ સમજે છે, તેવી ભાષામાં જવાબ આપવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં સુરક્ષાકર્મીઓને માર મારતા કે તેમના વાહનો પર પથ્થરમારો કરતી કાશ્મીર ખીણની ભીડને જોઈને લોહી ઉકળી ઉઠે છે. પ્રશ્ન પણ થાય છે કે હાથ બાંધીને સિપાહીને યુદ્ધના મેદાનમાં કેવી રીતે છોડી દેવાય? ભારતમાં પરિવર્તનની 70 વર્ષથી લગાવાયેલી આશા હજીપણ પરિપૂર્ણ થવાની બાકી છે તેવું ચોક્કસપણે દરેક રાષ્ટ્રવાદી વ્યક્તિને લાગે છે. જ્યારે સેના-અર્ધલશ્કરી દળોને નિશાન બનાવનારી ભીડની સામે આત્મરક્ષામાં કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને અત્યાંતિક બળપ્રયોગના નામે સેક્યુલર અને ઉદારવાદી દેખાવા માટે હંમેશા તૈયાર રહેતી એક ભીડ આતંકવાદીને નેતા અને સરકાર-સુરક્ષાદળોને કાર્યવાહી રોકવા માટે કકળાટ કરતી જોવા મળે છે. આવા સેક્યુલર કાગડાઓ અને વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં જ્યારે સુરક્ષાદળોને જરૂરી બળપ્રયોગની વાત કરીને સ્થિતિ કાબુમાં લેવા માટેની કાર્યવાહીમાં નિયંત્રણો લગાવવાની કોશિશો થાય છે, ત્યારે પણ સવાલ ચોક્કસ થાય છે કે હાથ બાંધીને જંગમાં ઉતારાયેલા ભારતના સપૂતો કંઈ શહીદ થવા માટે જ તો નથી અને તેમની આત્મરક્ષાનો અધિકાર ગિરવે મૂકવાનો અધિકાર દેશની જનતાએ કોઈને આપ્યો છે શું?

 જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર અને તેના ટેકામાં ચાલતા આતંકવાદનો સવાલ છે, તો આ આતંકવાદને જેહાદી આતંકવાદ ચોક્કસપણે કહેવો પડે. જેહાદી આતંકવાદનો ઈસ્લામ સાથે બિલકુલ ચોક્કસ અને ગાઢ સંબંધ છે. જેહાદ અને ઈસ્લામની ખોટી પરિભાષાઓનો ઉપયોગ કરાયો છે કે નહીં, તેની ચર્ચાઓ અહીં અસ્થાને છે. પરંતુ આવા ધાર્મિક ઝનૂન પર આધારીત આતંકવાદને તથાકથિત સેક્યુલર રાજવ્યવસ્થા ધરાવતું હિંદુઓની બહુમતી ધરાવતું પ્રવર્તમાન ભારત સ્વીકારી શકે તેમ નથી. છતાં સેક્યલુર રાજવ્યવસ્થાના સિંહાસન બેસનારા મોટાભાગના શાસકો દેશની રાજકીય મજબૂરીઓ અને પોતાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય છબીની ચિંતાઓમાં દેશહિતને શહીદોની ચિતામાં સળગાવતા રહ્યા છે. આવી સ્થિતિ કાશ્મીરની તાજેતરની ઘટનાઓને અનુલક્ષીને હવે સદંતર કડકાઈપૂર્વક બંધ કરવા માટેની કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. આના માટે મુસ્લિમ મતદાતાના વોટ ગુમાવી દેવાના ડરને દરકિનાર કરવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ બેહદ જરૂરી છે. 

રાજનેતાઓ સિવાય બુદ્ધિજીવીઓ, સામાજિક-સાંસ્કૃતિક અને મીડિયાના માંધાતાઓએ દંભ હોય તો દંભ અને ડર હોય તો ડર દૂર કરીને બેવડા માપદંડો છોડવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. ભારતમાં ઈસ્લામને લઈને કંઈક વધારે જ સેક્યુલરપણું આપોઆપ આવા લોકોના દિલોદિમાગમાં છવાઈ જતું હોય છે. તેથી રાષ્ટ્રવાદી નિવેદનો અને ઘટનાક્રમોને કોમવાદી ગણાવીને છાતી કૂટનારા તથાકથિત સેક્યુલરો અફઝલ ગુરુ જેવા આતંકવાદીની ફાંસીનો વિરોધ કરતા નજરે પડે છે અને બુરહાન વાનીના એન્કાઉન્ટર પર સવાલો કરતા પણ ખચકાતા નથી. વાની જેવા આતંકવાદીને કાશ્મીરનો નેતા બનાવીને પણ રજૂ કરવાની કોશિશો કરતા હોય છે. આવી સ્થિતિમાં લોકમતને યોગ્ય દિશામાં વાળવા માટે દંભ છોડીને હિંમત કરીને સેક્યુલારિઝમની વાર્તાઓને બાજૂએ મૂકી ભારતના અસ્તિત્વને અખંડ રીતે જાળવી રાખવા માટે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદ અને આતંકવાદ સામે આવા વર્ગે પણ ઝીરો ટોલરન્સ દેખાડીને તેમને પ્રાણવાયુ પુરો પાડવાનું બંધ કરવાની જરૂર છે. 

કાશ્મીરમાં અઢી દાયકા પહેલા ત્રણ લાખ લોકોને પોતાના ઘરબાર છોડીને વિસ્થાપિત એટલા માટે થવું પડયું કારણ કે તેઓ પાકિસ્તાન પ્રેરીત જેહાદી આતંકવાદીઓ માટે કાફિર હતા. તેમના હિંદુ હોવાને કારણે તેમને હિંદુ બહુમતી ધરાવતા દેશમાં વિસ્થાપિત થવું પડે તેનાથી મોટી કોઈ શરમ હોઈ શકે નહીં. એટલું જ નહીં ત્યાર બાદ ચાલેલા આતંકવાદની અંદર જેહાદી આતંકવાદીઓએ હિંદુઓના કેટલાંક મોટા હત્યાકાંડો કર્યા હતા. જેમાં તેમણે હત્યાકાંડ પહેલા ધાર્મિક માન્યતાઓને આધારે ઘણાં અત્યાચાર કર્યા અને ધર્મ બદલવા માટે ગૌમાંસ ખાઈને ખાતરી આપવા માટેના દબાણમાં લોકોના જીવ પણ લીધા હતા. આ હકીકતોથી દેશના લોકોને હજીસુધી વાકેફ કરાયા નથી. પરંતુ હવે આવી ઘટનાઓના પુરતા અહેવાલો લોકો સામે રજૂ કરવાની પણ જરૂર છે. જેથી તેમની સામેના જોખમની ભયાનકતાનો ખ્યાલ આવી શકે અને તેઓ આત્મરક્ષા માટે સજ્જ થઈ શકે. તાજેતરમાં ઢાકા ખાતેના આતંકવાદી હુમલામાં મુસ્લિમોના જીવ બક્ષવામાં આવ્યા અને બિનમુસ્લિમોના નિર્દયતાપૂર્વક ગળા રહેંસી નાખવામાં આવ્યા હતા. ધાર્મિક પરીક્ષા માટે કુરાનની આયાતો પણ બોલાવવામાં આવી હતી. આમા નિષ્ફળ જનારા કેટલાંક લોકોના પણ ઢાકા એટેકના આતંકવાદીઓએ સિર કલમ કર્યા હતા. એક મુસ્લિમ મહિલાએ હિજાબ નહીં પહેર્યો હોવાથી અને કુરાનની આયાતોને આતંકીઓના હુકમના અમલ તરીકે પઢવાનો ઈન્કાર કરવા બદલ ઢાકા એટેકમાં જીવ ગુમાવ્યો હતો. 

આતંકથી ડરી જવું આતંકવાદીઓની જીત છે. આતંકનો મુકાબલો બહાદૂરીથી જ શક્ય છે. બહાદૂરી દરેક જીવંત વ્યક્તિમાં હોય છે. બસ તેને બહાર લાવવા માટે તેની સામે રહેલા જોખમની યોગ્ય વિગતો તેની સામે લાવવી જરૂરી હોય છે. આતંક અચાનક મોત બનીને સામે આવતું હોય છે. આવા ખતરા સામેની યોગ્ય જાણકારી બચાવ વખતે બહાદૂરીને બહાર લાવવાનું કારણ બની શકે છે. 2008ના મુંબઈ પરના પાકિસ્તાની આતંકવાદી હુમલા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ખૂબ મહત્વપૂર્ણ વાત જણાવી હતી કે જ્યારે ખરાબ લોકો ખરાબ હરકતો કરે છે, તો સારા લોકોએ સંગઠિત બનીને આવા લોકોનો સામનો કરવો જરૂરી બને છે. 

ઈરાક અને સીરિયાના આઈએસઆઈએસના આતંકવાદીઓ શરિયતના નિજામના નામે જંગાલિયતની તમામ હદો વટાવતા દેખાઈ રહ્યા છે. વહાબી અથવા સલાફી ઈસ્લામના નામે ચાલી રહેલા આતંકવાદના વૈશ્વિક હિંસાચારને ખતમ કરવા માટે આવા લોકો દ્વારા ઈસ્તંબુલ, બગદાદ, ફ્લોરિડા, ઢાકાના રમઝાન માસમાં થયેલા હત્યાકાંડોની વિગતોની અવગણના કરી શકાય નહીં. 

જેહાદી આતંકવાદીઓ ઘણીવાર પોતાની હિંસાને ઈસ્લામ સાથે જોડાયેલી સાબિત કરવાની કોશિશો કરી ચુક્યા છે. ઈન્ટરનેટ પર આઈએસના આતંકવાદીઓ કુરાનની આયાતોથી પોતાની તમામ હિંસાને ઈસ્લામિક ઠેરવી ચુક્યા છે.પરંતુ આમિરખાન જેવા ઉદારવાદી ગણાતા મુસ્લિમો પણ ઢાકા એટેક બાદ કહે છે કે આતંકવાદની કોઈ મજહબ સાથે લેવાદેવા નથી. જેહાદી આતંકવાદ ઈસ્લામની માન્યતાઓને આધારે પેદા કરવામાં આવ્યો હોવાનું જ્યાં સુધી આવા કથિત ઉદારવાદીઓ અને સેક્યુલરપણાનો દંભ કરનારા લોકો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી જેહાદી આતંકવાદીઓની જીત થતી રહેશે. નીસ ખાતેના હુમલા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યુ છે કે તેમનો દેશ ઈસ્લામિક આતંકવાદનો સામનો કરી રહ્યો છે. તેની સાથે યુદ્ધને યુદ્ધની રીતે લડવાનું એલાન પણ તેમણે કર્યું છે. આટલી સ્પષ્ટતા અને તેની સાથેની પરિપક્વતા ભારતમાં પણ એટલી જ જરૂરી છે. 

ભારત માટે કાશ્મીરની સમસ્યા કોઈ નિવેદનબાજી અથવા રાષ્ટ્રીય રાજકીય ઘટનાક્રમોનું કારણ નથી. પાકિસ્તાન કાશ્મીરને પાર્ટીશનનો અનફિનિશ્ડ એજન્ડા ગણાવે છે. આવા સંજોગોમાં ભારતે પાકિસ્તાન અને વૈશ્વિક આતંકવાદીઓથી સાવધ રહેવાની જરૂર છે ઈન્ડોનેશિયા બાદ દુનિયામાં સૌથી વધારે મુસ્લિમો ભારતમાં છે. ભારતના મુસ્લિમ સમુદાયને પાકિસ્તાનવાદી તત્વો સેક્યુલારિઝમના નામે કટ્ટરપંથી બનાવી રાખવા રાજકીય ઝેર રેડતા રહે છે. તો જેહાદી આતંકવાદીઓ ઈસ્લામિક માન્યતાઓના આધારે ભારતની બહુમતી સામે તેમને ઉભા કરવાની કોશિશો પણ કરી રહ્યા છે. જેહાદી આતંકવાદીઓ માટે ભારત એક મોટું સોફ્ટ ટાર્ગેટ હોવાનું છેલ્લા બે દાયકાની આતંકી હુમલાની ઘટનાઓ દર્શાવી ચુકીછે. વળી ભારત હિંદુ બહુમતીવાળો દેશ છે અને જેહાદી આતંકવાદીઓ માટે કાફિરોને મારવા મજહબી કાર્ય હોવાનું ઠસાવાય છે. આરબ દેશોથી પાકિસ્તાન થઈને જેહાદી આતંકવાદની હવાઓ સલાફી અથવા વહાબી ઈસ્લામના કથિત ઉપદેશકો અને પ્રચારકો તેને ભારતમાં ફેલાવવાના પ્રયત્ન કરીરહ્યા છે. આવા સંજોગોમાં ભારતના શાસકોએ સજ્જતાપૂર્વક પરિપકવ વ્યવહાર કરવાની સાથે જનતાની અંદર આત્મવિશ્વાસ પેદા કરીને તેમને આત્મરક્ષા માટે પુરતા પ્રમાણમાં તૈયાર કરવાના પ્રયત્નો ઝડપથી શરૂ કરવાની પણ જરૂરી છે. 

Saturday, July 9, 2016

ઢાકા એટેકના સંકેત: ISISના બુરખામાં ISIનો ભારતમાં આતંકી ખેલનો નવો કારસો

- પ્રસન્ન શાસ્ત્રી

દુનિયા વૈશ્વિક આતંકવાદના નવા સ્વરૂપના જોખમ સામે ઝઝૂમી રહી છે. પોતાના વ્યૂહાત્મક હિતો માટે આતંકવાદને સામરિક હથિયાર સમજતા દેશો આઈએસના નામે ચાલી રહેલા આતંકના ખેલમાં પોતાના હિત સાધી રહ્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓથી આશંકા પેદા થઈ રહી છે કે શું આઈએસઆઈએસના આંચળા હેઠળ પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા આતંકનો નવો ખૂની ખેલ શરૂ થયો છે અને તેની આંચ ભારત સુધી પહોંચશે?

બાંગ્લાદેશમાં પાકિસ્તાનવાદીઓનો આતંક- 

1906માં ઢાકા ખાતે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. આ ક્ષેત્રમાં પૂર્વ પાકિસ્તાન ઉભું થતા 1947 સુધીનો એકત્તાલિસ વર્ષનો સમયગાળો લાગ્યો. પરંતુ 1971માં માત્ર 23 વર્ષમાં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું. મુસ્લિમ લીગના કટ્ટરવાદી ઉદભવ સાથે પૂર્વ પાકિસ્તાન બનેલા બાંગ્લાદેશમાં બંગલા અસ્મિતા ક્યારેય મારી શકાય નહીં. બાંગ્લાદેશમાં બંગલા અસ્મિતાના ઉભારને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના તત્કાલિન શાસકોએ ભારે કત્લેઆમ ચલાવી હતી. પરંતુ બાંગ્લાદેશ મુક્તિ વાહિનીએ પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવવામાં કામિયાબી મેળવી હતી. 

તાજેતરમાં થયેલા ઢાકા ખાતેના આઈએસના કથિત આતંકવાદી હુમલા અને ઈદની નમાજ વખતે જ કિશોરગંજ ખાતે ફેંકવામાં આવેલા પેટ્રોલબોમ્બ અને હિંસાની કોશિશો શું બાંગ્લાદેશના ફરીથી પાકિસ્તાન બનવાની પ્રક્રિયાનો ભાગ છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે.. કારણ કે બાંગ્લાદેશમાં ગત બે વર્ષથી બેફામ રાજકીય હિંસા અને બાદમાં લઘુમતી ખાસ કરીને હિંદુઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થયો છે. ધર્મનિરપેક્ષ બ્લોગરો.. પ્રકાશકો અને ઉદારવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ વણથંભી ચાલી રહી છે. ઢાકા એટેકમાં પણ બાવીસ લોકોમાં વીસ લોકો વિદેશી હતા. 

આઈએસના ઓનલાઈન પ્રકાશનમાં બાંગ્લાદેશમાં આતંકના ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. આઈએસ દ્વારા બાંગ્લાદેશમાં આતંકના ખેલ ખેલવાના ખૂની મનસૂબા વ્યક્ત થયા છે. વીડિયો દ્વારા આઈએસ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી છે.  ઢાકા એટેકની જવાબદારી આઈએસ દ્વારા લેવામાં આવી છે. પરંતુ બાંગ્લાદેશની સરકાર પ્રમાણે આખો મામલો પોતાને ત્યાં વિકસી ચુકેલા સ્થાનિક ઈસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના દોરીસંચાર હેઠળ ઉભા કરાયેલા આતંકવાદીઓ સાથે સંકળાયેલો છે. 

ISI પર તણાયેલી શંકાની સોય- 

ભારત માટે મિત્રવત વ્યવહાર ધરાવતી બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારે પોતાના દેશમાં આઈએસઆઈએસની હાજરીના દાવાઓને નકાર્યા છે. આઈએસઆઈ બાંગ્લાદેશને ફરીથી પાકિસ્તાન બનાવવાની ફિરાકમાં છે. આવા સંજોગોમાં ભારત અને બાંગ્લાદેશે સાથે મળીને આતંકનો સામનો કરવા પ્રેક્ટિકલ મોડલ તૈયાર કરવું જોઈએ અને આઈએસઆઈ હોય કે આઈએસઆઈએસ તેના આતંકી મનસૂબાઓને સરહદની બંને તરફ નાકામિયાબ બનાવવા જોઈએ. 

બાંગ્લાદેશના ગૃહ પ્રધાને આખો મામલો રાજકીય રંગે રંગાયેલા આતંકવાદનો હોવાના મતલબનું એક નિવેદન પણ કર્યું છે. બાંગ્લાદેશના ગૃહ પ્રધાન પ્રમાણે.. બંગાળી રાષ્ટ્રવાદને ખતમ કરીને અહીં ઈસ્લામિક કટ્ટરવાદને આતંકવાદમાં બદલવાની આઈએસઆઈની રણનીતિ હોવાનું પણ જણાવી ચુક્યા છે. 

ભારતના પૂર્વ અને પશ્ચિમી પડખામાં આવેલા બંને દેશો અનુક્રમે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ટેરર હબ બની ચુક્યા છે. આજે વૈશ્વિક સ્તરે આતંકવાદને રોકવા માટે સહયોગની જરૂર છે. મજહબી આતંકવાદને રોકવામાં મુલ્કોની સરહદો બેઅસર થઈ રહી છે... ત્યારે ભારત માટે પહેલી પ્રાથમિકતા બાંગ્લાદેશની સરકાર સાથે મળીને પાડોશી દેશને બીજું પાકિસ્તાન બનતા અટકાવવાનો હોવો જોઈએ. 

ભારત ગત બે દશકથી આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિની તરફદારી કરી રહ્યું છે. આની શરૂઆત પણ ભારત અને બાંગ્લાદેશના કારગર સહયોગથી આતંક વિરોધી આંતરરાષ્ટ્રીય સહયોગના એક વ્યવહારીક મોડલનને પણ દુનિયા સામે મૂકવું જોઈએ. 

બાંગ્લાદેશમાં આઈએસ નહીં પણ આઈએસઆઈ ખૂની ખેલના મંડાણ કરી ચુક્યું હોવાના કેટલાંક સંકેતો ઢાકા એટેકમાં મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં આતંકથી અસ્થિરતાના ખેલ પાછળ જમાત-એ-ઈસ્લામીની નારાજગી અને શેખ હસીના સરકારને હટાવવાની વિપક્ષી દળોની રાજકીય કોશિશોની ગણતરીઓ સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. 

ઢાકા એટેકની જવાબદારી ભલે આઈસિસ દ્વારા લેવામાં આવી હોય.. પરંતુ આ હુમલો અલકાયદા અથવા આઈસિસ દ્વારા દુનિયાભરમાં થતા ફિદાઈન હુમલા જેવો બિલકુલ નહીં હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. કેટલાંક જાણકારો પ્રમાણે આતંકવાદીઓ વૈશ્વિક આતંકવાદી જૂથોના આતંકીઓની જેમ તાલીબદ્ધ પણ ન હતા. 

આઈએસ અથવા અલકાયદાના આતંકવાદી હુમલાનો ઉદેશ્ય મહત્તમ જાનમાલનું નુકસાન પહોંચાડવાનો હોય છે. આઈએસ અથવા અલકાયદાના આતંકવાદીઓ સરકારો સાથે વાટાઘાટોમાં સામેલ થતા નથી. ઢાકા એટેકમાં સામેલ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. 

બાંગ્લદેશમાં આતંકી હુમલા પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોવાની પુરેપુરી આશંકા સેવાય છે. જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં સંપૂર્ણપણે ઈસ્લામિક રાજ્યની સ્થાપના ઈચ્છી રહી છે. 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટેના યુદ્ધમાં વોર ક્રાઈમ્સ બદલ જમાત-એ-ઈસ્લામીના ટોચના નેતાઓને ફાંસીની સજાથી તેઓ નારાજગી ધરાવે છે. આ કટ્ટરવાદી સંગઠન બાંગ્લાદેશના તમામ જેહાદી આતંકી સંગઠનોનું અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન છે. જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રત્યે હમદર્દી ધરાવે છે અને કેટલાક દાવાઓ પ્રમાણે આઈએસઆઈના એજન્ટોના ખાસા પ્રભાવમાં પણ છે. 

ઢાકા અને ત્યાર બાદ કિશોરગંજ ખાતેના આતંકવાદી હુમલા પાછળના ઉદેશ્ય બાંગ્લાદેશમાં અસ્થિરતા પેદા કરીને આંતરરાષ્ટ્રીય પબ્લિસિટી દ્વારા શેખ હસીનાની સરકારની બદનામીની કોશિશ થઈ રહી છે. બાંગ્લાદેશમાં અસ્થિરતા વધશે.. તેની અસર ભારતના પૂર્વીય ક્ષેત્રોમાં પડશે. પશ્ચિમ બંગાળ, આસામથી લઈને સિક્કિમ સુધીના ભારતના રાજ્યો બાંગ્લાદેશની અસ્થિરતાથી પ્રભાવિત થવાની શક્યતા છે. ભારત માટે બાંગ્લાદેશને અસ્થિરતા તરફ આગળ વધારતા આતંકના ખેલ સામે ભારતે તકેદારી રાખવાની વિશેષ જરૂર છે. 

આતંકનો વૈશ્વિક ખૂની ખેલ - 

મુસ્લિમો માટેના રમઝાનના પાક મહિનામાં આતંકવાદીઓએ ઈસ્લામના નામે આતંકી હત્યાના ખૂની ખેલનો રેકોર્ડ બનાવ્યો છે. પમ્પોર એટેક પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ અને ઢાકા ખાતેના આતંકી હુમલા બાદ શેખ હસીનાએ નિર્દોષોના લોહી વહેવડાવનારાઓને મુસ્લિમ ગણવા સુદ્ધાંનો ઈન્કાર કરીને આતંકને બિનઈસ્લામિક કૃત્ય ગણાવ્યું છે. 

દુનિયામાં ચારે તરફ આતંકવાદે પોતાનો ખૂની પંજો વધુ ફેલાવ્યો છે. આતંકવાદીઓની પોતાને ઈસ્લામિક સ્ટેટ નામથી ઓળખાવતી ટોળકી હાલ સૌથી શક્તિશાળી અને ખતરનાક ગણાય છે. મુસ્લિમો માટે રમઝાન માસ સૌથી વધારે પાક અને મુબારક મહિનો હતો. રમઝાન માસમાં હિંસાનો સંપૂર્ણપણે નિષેધ હોય છે. સ્ટ્રેટજીક બાબતોના નિષ્ણાતો પ્રમાણે.. જેહાદના નામે આતંકવાદીઓ પોતાના સ્વાર્થોની પૂર્તિ કરવા માટે આવી બાબતોની ખોટી વ્યાખ્યાઓ કરીને લોકોને ગેરમાર્ગે દોરતા રહે છે. 

12મી જૂને અમેરિકાના ઓરલાન્ડો શહેરમાં 49 લોકોની હત્યા કરવામાં આવી હતી. 21 જૂને સીરિયા-જોર્ડન બોર્ડર ખાતે એક સૈન્ય ચોકી પર બોમ્બ હુમલામાં સાત સૈનિકોને મારી નાખવામાં આવ્યા હતા. 27 જૂને યમનના મુકાલા શહેરમાં 43 લોકોની કતલ કરવામાં આવી હતી. એક હુમલામાં સૈનિકોને રોઝા ખોલવા માટે મોકલવામાં આવેલા ભોજનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. 27 જૂને સીરિયાની સરહદે લેબનાનના એક ગામડાંમાં આત્મઘાતી હુમલાખોરોએ પાંચ લોકોને મારી નાખ્યા હતા. 28 જૂને ત્રણ આત્મઘાતી હુમલાખોરોએ તુર્કીના ઈસ્તંબુલના એરપોર્ટ પર 44 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

પહેલી જુલાઈએ બાંગ્લાદેશના ઢાકામાં 22 લોકોની હત્યાની જવાબદારી આઈએસ દ્વારા સ્વીકારવામાં આવી હતી. ત્રીજી જુલાઈએ ઈરાકના બગદાદ નજીક બસ્સોથી વધારે લોકોને કરપીણ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ચોથી જુલાઈએ મદીનાની પવિત્ર એવી પયગમ્બરની મસ્જિદ સહીત ત્રણ સ્થાનો પર આતંકી હુમલા કરીને ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. છઠ્ઠી જુલાઈએ યમનના અદનમાં સૈનિકો પર કારબોમ્બ હુમલામાં દશ લોકોની હત્યા કરવામાં આવી હતી. સાતમી જુલાઈએ બાંગ્લાદેશના શહેર કિશોરગંજમાં ઈદની નમાજ વખતે જ ઈદગાહ નજીક હુમલો કરાયો અને ચાર લોકોના મોત નીપજ્યા હતા. કિશોરગંજમાં ત્રણ લાખ લોકો ઈદની નમાજ અને ઉજવણી માટે એકઠા થયા હતા. 

સામાન્ય રીતે રમઝાન માસમાં આતંકવાદી જૂથો હિંસાની ઘટનાઓ ટાળતા હોય છે. પરંતુ આતંકના ખૂની ખેલથી પાગલ બનેલાઓએ ઈન્સાનિયતના આધારરૂપ મજહબી માન્યતાઓનો પણ છેદ ઉડાડયો.. 
દુનિયામાં ઠેકઠેકાણે આતંકની ક્ષિતિજો વિસ્તરી રહી છે. સંગઠનો અલગ છે અને તેમના નિશાના પણ અલગ છે. પરંતુ બર્બરતામાં તમામ આતંકવાદી જૂથો લગભગ એકસમાન છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક - 

એક તરફ દુનિયા આઈએસના આતંકી જોખમ સામે લડી રહી છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદ ફરીથી માથું ઉંચકી રહ્યો છે. 29 જૂને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ત્રીસથી વધુના મોત નીપજ્યા અને પચાસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તાલિબાનોએ કાબુલ એટેકની જવાબદારી લીધી હતી. 19 જૂને કાબુલમાં એક બસ પર તાલિબાનો દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં 14 નેપાળી સુરક્ષાગાર્ડોના મોત નીપજ્યા હતા. પાંચમી જૂને પણ કાબુલમાં એક વિસ્ફોટમાં એક અફઘાન સાંસદ અને ત્રણ અન્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

હિંસાગ્રસ્ત ઈરાક અને સીરિયાથી માંડીને ઉદારવાદી ઈસ્લામિક દેશ તુર્કી સુદ્ધાં આતંકની પીડામાંથી બાકાત નથી. અફઘાનિસ્તાન.. ભારત અને બાંગ્લાદેશમાં પણ આતંકી હિંસાનો ખેલ યથાવત છે. 

પાકિસ્તાનમાં પણ આતંકી હુમલા થાય છે.. પણ પાકિસ્તાનના આતંકી હુમલા પોતાના પેદા કરેલા ભસ્માસુર જેવા આતંકીઓના કારણે થઈ રહ્યા છે. મલેશિયા અને ઈન્ડોનેશિયા તરફ પણ આતંકની આગની લપટો પહોંચી રહી છે. અમેરિકા.. ફ્રાન્સથી લઈને બેલ્જિયમ અને જર્મની સુધી દહેશતગર્દોની દહેશત છે. યુરોપ આખું આતંકના ઓથાર નીચેથી નીકળવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પોતાના દેશમાં પણ ઈસ્તંબુલ સ્ટાઈલના એટેકની આશંકા વ્યક્ત કરાઈ છે. 

હૈદરાબાદ અને તેના પહેલા પણ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આઈએસના મોડ્યુલ્સને ક્રેક કર્યા છે. આઈએસ અને તાલિબાનો દ્વારા થઈ રહેલી રોજબરોજની આતંકી હિંસામાં અલકાયદાની ભારતીય ઉપખંડની શાખા પણ સક્રિય થવાની કોશિશમાં લાગેલી છે. ભારતમાં ગુરુદાસપુરથી ઉધમપુર અને પઠાનકોટથી પમ્પોર સુધીના આતંકી હુમલા પાછળ પાકિસ્તાનની આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી સંગઠનો લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદની ભૂમિકા છે. પાકિસ્તાન દ્વારા ભારત અને અફઘાનિસ્તાનમાં વ્યૂહાત્મક કારણોથી આતંકનો ખેલ ખેલાઈ રહ્યો છે. આઈએસ અને અલકાયદાના નામે આશંકાઓ એવી પણ પ્રવર્તી રહી છે કે પાકિસ્તાનની આઈએસઆઈ ભારતમાં દહેશતગર્દીની નવી ઈનિંગ શરૂ કરે તેવી શક્યતા છે. 

આઈએસ અને અલકાયદા ઈસ્લામિક આતંકવાદી સંગઠનો છે. બંને પોતપોતાને દુનિયામાં ઈસ્લામિક રાજની એટલે કે ખિલાફતની સ્થાપના કરવા માટેના સંગઠનો ગણાવી રહ્યા છે. તો આતંકવાદી દેશ પાકિસ્તાન અને તેના સ્ટેટ એક્ટર્સથી સમર્થિત એવા કથિત નોન-સ્ટેટ એક્ટર્સ પણ ઈસ્લામિક યૂનિયનના નામે ભારતમાં આતંકનો ખૂની ખેલ ત્રણ દાયકાથી ખેલી રહ્યા છે. આઈએસ અને અલકાયદા સાથે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ પોતાને વધુ પાક્કા ઈસ્લામી ગણાવવાની હોડમાં સામેલ થઈ ચુક્યા છે. આને કારણે મજહબી ઝનૂનને કારણે દુનિયાભરમાં દહેશતગર્દોએ દહેશત પેદા કરી છે. પરંતુ દુનિયાના આતંક સામે લડનારા દેશો પણ ગુડ ટેરેરિસ્ટ અને બેડ ટેરરિસ્ટના ચક્કરમાં ફસાતા રહ્યા છે. જેને કારણે આતંક સામેની લડાઈમાં દુનિયા એકજૂટતા દાખવી શકી નથી. આનાથી મોટો અફસોસ દુનિયાએ બીજો તો ક્યો કરવો જોઈએ?

આઈએસઆઈએસના નામે આઈએસઆઈનું નવું કાવતરું - 

પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પરના પાકિસ્તાની આતંકીઓના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસ્લામાબાદ પર બેહદ વૈશ્વિક દબાણ છે. પમ્પોર એટેક અને હજી કેટલા હુમલા ભારતે સહન કરવાના તેવી એક વિચાર પ્રક્રિયા પણ આંતરીક રીતે શરૂ થઈ ચુકી છે. આવા સંજોગોમાં આઈએસઆઈ પર પણ દબાણમાં વધારો થયો છે. ત્યારે આશંકા વહેતી થઈ છે કે શું આઈએસઆઈએસના નામે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ આતંકના નવા ષડયંત્રને આકાર આપી રહી છે? 

ઢાકા પરના આતંકવાદી હુમલા બાદ બાંગ્લાદેશની સરકારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈ સામે આશંકાની સોય તાકી છે. આઈએસઆઈનો ઈતિહાસ અને વર્તમાન દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતમાં પાકિસ્તાનથી સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ ફેલવતું રહ્યું છે. ઢાકાના હુમલાના ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ સારા સંકેત નથી. 

જેહાદી આતંકવાદનો નવો યુગ આતંકી કમાન્ડરો વચ્ચે વર્ચસ્વની લડાઈનો છે. આ આખા વૈશ્વિક આતંકવાદમાં પાકિસ્તાનના ઘરઆંગણાના ઈસ્લામિક આતંકી જૂથો અને આંતરરાષ્ટ્રીય સુન્ની આતંકી સંગઠનો વચ્ચે આઈએસઆઈ સુવિધા આપનાર અને સંયોજક તરીકેની ભૂમિકા નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય અને પાકિસ્તાની આતંકવાદી જૂથો ખિલાફતની સ્થાપનાના નામે આતંકનું દુષ્ચક્ર ચલાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય જેહાદી આતંકવાદીઓના રડાર પર ભારત 80ના દાયકાથી છે. તાજેતરમાં આઈએસ દ્વારા વાયા બાંગ્લાદેશના માર્ગે ભારતમાં આતંકનો ખેલ ખેલવાની મનસા જાહેર કરાઈ છે. 

ભારતમાં આઈએસઆઈનો આતંક - 

દક્ષિણ એશિયામાં ઈસ્લામિક કટ્ટરવાદી નેટવર્કને વિચારધારાત્મક અને સરસામાનથી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જ આઈએસઆઈની રાહબરી હેઠળ મદદ મળી રહી છે. આઈએસઆઈની બાજ નજર ભારતના વિવિધતાપૂર્ણ સમાજના નાના-મોટા મતભેદોની તિરાડોને વધારે પહોળી કરવા પર મંડાયેલી છે. ભારત ખાતેના આઈએસઆઈના એજન્ટો અને સ્લીપર સેલ્સ કોમવાદી લાગણીઓને ઉશ્કેરવામાં લાગેલા છે. આનો ફાયદો સોશયલ મીડિયાના માધ્યમથી ભારતમાં રહેલા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. 

સિમી, ઈન્ડિયન મુજાહિદ્દીન, લશ્કરે તોઈબા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તોઈબા, જમાત-ઉદ-દાવા જેવા પ્રતિબંધિત આતંકવાદી જૂથોના માધ્યમથી આઈએસઆઈ ભારતમાં આતંકી પ્રવૃત્તિ કરી રહ્યું છે. કટ્ટરવાદથી પોષાયેલો આતંકવાદ પાકિસ્તાનથી આગળની આતંકી ક્ષિતિજોને પણ પાર કરવા ઈચ્છી રહ્યો છે. આવા સંજોગોમાં આઈએસ અને અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોની આતંકી જાળને વણવા માટે આઈએસઆઈ દ્વારા પુરેપુરી મદદ થઈ રહી છે. ભારતમાં આઈએસ-અલકાયદાના નેટવર્કથી પાકિસ્તાનને ઘણાં વ્યૂહાત્મક ફાયદા થઈ શકે છે અને તેની જવાબદારી પણ પાકિસ્તાનના સિરે નહીં આવે તેવી એક ગણતરી પણ આઈએસઆઈ ધરાવતી હોવાની આશંકાઓ વહેતી થઈ છે. 

વિકિલીક્સ પ્રમાણે અમેરિકાના વિદેશ વિભાગે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને અલકાયદા અને તાલિબાન સમકક્ષ આતંકવાદી સંગઠન ગણાવી છે. પાકિસ્તાનમાં આઈએસઆઈનો સ્ટેટ વિધિન સ્ટેટ જેવો દરજ્જો છે. પાકિસ્તાનની નાગરિક સરકાર પર આઈએસઆઈનો પુરેપુરો કાબુ રહેતો હોય છે અને તેની ડ્રગ્સના કારોબારથી માંડીને પાકિસ્તાની સેનાના તમામ ગેરકાયદેસર વ્યૂહાત્મક કામકાજમાં સામેલગીરી છે. 
નશીલા પદાર્થોના સ્મગલરો અને જેહાદી આતંકવાદી સંગઠનો વચ્ચે નાપાક ગઠબંધન છે. આ બંનેના વાલી તરીકે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ છે. 1988માં અફઘાનિસ્તાનથી કાશ્મીર ખાતે જેહાદી આતંકવાદી જૂથોના નેજા હેઠળ આતંકીને ખસેડવામાં આઈએસઆઈએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાન.. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આઈએસઆઈ પ્રેરીત જેહાદી આતંકવાદે ખૂબ ઊંડા મૂળિયા જમાવ્યા છે. 

ભારતની આસપાસ આતંકનું દુષ્ચક્ર- 

ભારત પાકિસ્તાન પ્રેરીત આઈએસઆઈ પ્રાયોજિત જેહાદી આતંકવાદનું સૌથી મોટું પીડિત છે. આઈએસઆઈ નેપાળ, શ્રીલંકાની અંદર પણ ભારતના હિતોને નુકસાન પહોંચાડવા માટે પોતાનું આતંકી નેટવર્ક સ્થાપિત કરી ચુક્યું છે. સુન્ની મુસ્લિમોની બહુમતી ધરાવતા માલદીવ્સમાં પણ આઈએસઆઈ દ્વારા આતંકવાદીઓ માટેના આશ્રયસ્થાનો ઉભા કરી દેવાયા છે. 

આઈએસઆઈ પર પાકિસ્તાની સેનાની મજબૂત પકડ છે. પાકિસ્તાની સેના માટે એક વાત ખૂબ કુખ્યાત છે. આમ તો જુદાજુદા દેશો પાસે પોતાની સેના હોય છે. પરંતુ પાકિસ્તાની સેના એક એવી સેના છે કે જેની પાસે પોતાનો દેશ છે. આમ તો ઈસ્લામિક આતંકવાદ ડાબેરી રૂપરંગ સાથે મધ્ય-પૂર્વ એશિયા સુધી મર્યાદીત રહેવા સાથે શરૂ થયો હતો. પાકિસ્તાનના માર્ગદર્શન હેઠળ ઈસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા જેહાદી આતંકવાદમાં રૂપાંતરીત થઈ ચુક્યો છે. આ જેહાદી આતંકવાદના સ્વરૂપ અને સંયોજક તરીકે પાકિસ્તાની સેનાએ આઈએસઆઈની પોતાના ખતરનાક હથિયાર તરીકે રચના કરી છે. 

પાકિસ્તાન 26/11ના મુંબઈ એટેક અને પઠાનકોટના આતંકવાદી હુમલા બાદ આતંકવાદ ફેલાવવાના મામલે દુનિયાભરમાં ખૂબ નામોશી ભોગવી રહ્યું છે. તેમ છતાં અફઘાનિસ્તાન અને ભારત બાદ બાંગ્લાદેશને પણ આઈએસઆઈ પોતાના જેહાદી આતંકવાદના હથિયારથી ઘાયલ કરવાનું ચાલુ રાખશે. 

2001ના ભારતીય સંસદ પરના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પરમાણુ યુદ્ધમાં બદલા તેવી શક્યતાઓ ઈરાક યુદ્ધની તપાસ કરનારા બ્રિટિશ પંચની તપાસમાં સામે આવી છે. 2008નો લશ્કરે તોઈબા દ્વારા કરાયેલો મુંબઈ ટેરર એટેક પણ એક આવો જ ફ્લેશ પોઈન્ટ હતો. પહેલી જાન્યુઆરી-2016ના રોજ પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પરનો જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલો આતંકી હુમલો ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનું કારણ બન્યો છે. પરંતુ છેલ્લે પમ્પોર એટેકમાં લશ્કરે તોઈબાએ પણ ભારતમાં આતંકી હુમલા ચાલુ રહેવાની આઈએસઆઈની રણનીતિને આગળ વધારી છે. 

આઈએસઆઈ માટે લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સલાહુદ્દીનની અધ્યક્ષતાવાળી જેહાદ કાઉન્સિલ એક સામરિક હથિયાર છે. આ બધાં સંગઠનોને ચોક્કસ વ્યૂહાત્મક ગણતરીઓ સાથે આઈએસઆઈ ભારત વિરુદ્ધ ઉપયોગ કરે છે. આવી જ રણનીતિ આગળ વધી રહી હતી. પરંતુ ભારતની અમેરિકા સાથેની સૈન્ય સહયોગમાં વધી રહેલી ઘનિષ્ઠતા હવે પાકિસ્તાન અને તેના આતંકી આકાઓને પોતાના માટે જોખમી લાગી રહી છે. 

આવા સંજોગોમાં ભીષણ આતંકી હુમલાની ભારત તરફથી આકરી લશ્કરી પ્રતિક્રિયાની આશંકા બ્રુસ રીડલ સહીતના સ્ટ્રેટજિક એનાલિસ્ટો વ્યક્ત કરી ચુક્યા છે. તાજેતરમાં હાફિઝ સઈદે પણ ભારત અને અમેરિકા સાથે મળીને યુદ્ધની તૈયારી કરી રહ્યા હોવાનું નિવેદન ગદ્દાફી સ્ટેડિયમ ખાતેના પોતાના સંબોધનમાં કર્યું છે. આવા સંજોગોમાં આઈએસઆઈ અને તેના બગલબચ્ચા જેવા આતંકવાદી આકાઓ પણ રણનીતિ બદલશે. આવા સંજોગોમાં ભારતમાં આતંકી ખેલ ખેલવા માટે આઈએસઆઈએસનું નામ આઈએસઆઈના કામમાં આવી શકે છે. 

વૈશ્વિક જેહાદીઓ અને પાકિસ્તાન વચ્ચે આંતકના આકા બનવાની સ્પર્ધા - 

આઈએસઆઈએસના આંચળો ઓઢીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ઢાકા ટેરર એટેક બાદ ભારત ખાતે પણ નવી ટેરર ગેઈમ શરૂ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તેના પાકિસ્તાન માટે વ્યૂહાત્મક ફાયદા છે અને આઈએસઆઈ નવી વ્યૂહરચના અખત્યાર કરે તેવી પણ શક્યતા છે. 

અમેરિકાનું પાકિસ્તાન પ્રત્યેનું વલણ છેલ્લા ઘણાં સમયથી બદલાયું છે. તેના કારણે પાકિસ્તાનને અમેરિકાથી મળતી કરોડો ડોલરની મદદ પર સંકટના વાદળો છવાયા હતા. પરંતુ તેવા સમયે અફઘાનિસ્તાનમાં એક પછી એક આતંકી હુમલા થયા અને તેમાં તાલિબાનોના હક્કાની નેટવર્કની ભૂમિકા હતી. આવા સંજોગોમાં માનવામાં આવે છે કે આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં અસ્થિરતા અને આતંકનો ખેલ ચાલુ રાખવા ઈચ્છે છે. જેથી પાકિસ્તાનને અમેરિકા કરોડો ડોલરની મદદ કરતું રહે. 

પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા સંચાલિત અને સંયોજિત આતંકવાદી સંગઠનોના હુમલાને કારણે ભારત પાસે તેમની સામે કામ કરવા માટેના આધારો પેદા થઈ રહ્યા છે. આવા સંજોગોમાં ભારતને અમેરિકાનો સાથ મળે તો આર્થિક.. રાજદ્વારી.. સહીતના આંતરરાષ્ટ્રીય મોરચે પાકિસ્તાનને ઘણી મોટી પછડાટ મળે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં પાકિસ્તાન સામે અમેરિકા સહીતના દેશો પ્રતિબંધો અને લશ્કરી રાહે પગલા ભરવાની પણ કોઈ ભૂમિકા પેદા થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. 

આઈએસઆઈ પ્રેરીત જેહાદી આતંકવાદીઓ 9/11 જેવી કોઈ આતંકી હુમલાની ઘટના કરી નાખે તો આખી પરિસ્થિતિ 2001ના અફઘાનિસ્તાન ખાતેના અમેરિકાના વોર ઓન ટેરર જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનનું ખુદનું અસ્તિત્વ પણ જોખમમાં આવી શકે છે. ત્યારે ભારતને આતંકથી લોહીલુહાણ કરવાની પાકિસ્તાની નીતિને તો આઈએસઆઈ આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ તેના માટે આતંકવાદી બેનરને બદલવાની પણ ઈચ્છા ધરાવે છે. આના માટે હાલના સંજોગોમાં આઈએસઆઈએસનું નામ પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈ માટે એક આંચળા તરીકેની ભૂમિકા ઉભી કરી શકે છે. 

અલકાયદા અને તાલિબાનો વચ્ચેની ઘનિષ્ઠતા જગજાહેર છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો આવા આતંકી નેટવર્ક સાથેનો ધરોબો છે. આઈએસઆઈએસ અલકાયદાનું સ્પ્લિન્ટર ગ્રુપ છે. પરંતુ તેની સાથે હજી આઈએસઆઈ કે પાકિસ્તાનની સીધી લિન્કનો ખુલાસો થયો નથી. આવા સંજોગોમાં આઈએસઆઈએસના નામે દક્ષિણ એશિયામાં આતંકનો ખેલ આઈએસઆઈને બચવામાં મદદગાર સાબિત થાય તેવી શક્યતા તેને દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારત સામેના સુરક્ષા પડકારો વધુ વિકટ બનવાની પણ શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે આઈએસઆઈએસમાં ભારતમાંથી ગયેલા કેટલાક યુવાનો ભૂતકાળમાં ઈન્ડિયન મુજાહિદ્દીન.. સિમી અથવા તો અલકાયદાના જૂથો સાથે જોડાયેલા રહેલા હોવાની બાબત પણ નજરઅંદાજ થઈ શકે તેમ નથી. 

Wednesday, June 22, 2016

પરમાણુ હુમલાની ધમકી આપતું આતંકનું આકા પાકિસ્તાન હજીપણ અમેરિકાનું લાડકવાયું

 ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતું પાકિસ્તાન

આતંકનું આકા પાકિસ્તાન હજીપણ અમેરિકાનું લાડકવાયું

-  -  પ્રસન્ન શાસ્ત્રી

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની દોસ્તીના મોટા-મોટા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ભારત અને દુનિયામાં આતંકવાદના એપીસેન્ટર એવા પાકિસ્તાનને અમેરિકા દ્વારા જંગી મદદ ચાલુ રાખવામાં આવી છે. અમેરિકાની પ્રતિનિધિસભામાં પાકિસ્તાનને મદદમાં કાપ મૂકવાની માગણી કરતા એક નહીં પણ બે કાયદાકીય સંશોધનો નામંજૂર થયા છે.

અમેરિકાનું હજીપણ લાડકું પાકિસ્તાન-

ભારતમાં છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો ખેલ ખેલતું પાકિસ્તાન આતંકના આકાઓનો વૈશ્વિક અડ્ડો છે. અલકાયદાના ચીફ ઓસામા-બિન-લાદેન અને તાલિબાન ચીફ મુલ્લા મંસૂર અખ્તરને અમેરિકાએ જ પાકિસ્તાનમાં ખતમ કર્યા છે. આ પહેલા મુલ્લા ઓમર પણ પાકિસ્તાનમાં જ માર્યો ગયો હતો. આટ.. આટલા પુરાવા છતાં આતંકના એપીસેન્ટર પાકિસ્તાનને જંગી આર્થિક મદદ અમેરિકા દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ખૂબ પ્રભાવશાળી ભાષણ કર્યું હતું. જ્યારે અમેરિકાના સાંસદોએ 66 વખત તાળીઓ વગાડી અને નવ વખત ઉભા થઈને મોદીની વાતને બિરદાવી ત્યારે લાગ્યું કે આ અમેરિકાના નીતિ-નિર્ધારકનું માનસ પરિવર્તન છે. પરંતુ જ્યારે અમેરિકન સાંસદો દ્વારા પાકિસ્તાનને અપાતી મદદમાં ઘટાડો કરવા માટેના એક નહીં.. પણ બે-બે કાયદાકીય સંશોધનોને મંજૂરીનો ઈન્કાર થયો..  ત્યારે તેમના પાકિસ્તાન પ્રેમની મજબૂરી ખૂબ મજબૂતપણે ઉજાગર થઈ.

એક તરફ અમેરિકા દુનિયામાંથી આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈ લડવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ પાકિસ્તાનને જંગી આર્થિક મદદ કરીને મોટું આશ્ચર્ય અને આઘાત બંને પેદા કરી રહ્યું છે. આશ્ચર્ય સાથે અમેરિકાની પ્રતિનિધિ સભાના મોટાભાગના સાંસદોએ કહ્યુ છે કે પરમાણુ હથિયારોથી સંપન્ન એક દેશ સાથે સંબંધ બનાવી રાખવો જરૂરી છે. પછી ભલે તે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં વધુ કંઈ કરી રહ્યો હોય નહીં.  

અમેરિકાની પ્રતિનિધિસભામાં નામંજૂર થયેલું પહેલું સંશોધન કોંગ્રેસના સભ્ય ટેડ પો દ્વારા લાવવામાં આવ્યું હતું. જેમાં તેમણે ગઠબંધન સહયોગ ફંડ- એટલે કે સીએસએફમાંથી પાકિસ્તાનને આપવામાં આવનારી મદદને 90 કરોડ ડોલરના સ્થાને ઘટાડીને 70 કરોડ ડોલર કરવાની માગણી કરી હતી. ટેડ પોનું સંશોધન અમેરિકાની પ્રતિનિધિસભામાં 191 વિરુદ્ધ 230 મતોએ નામંજૂર થયું હતું.

બીજું સંશોધન અમેરિકન કોંગ્રેસના સભ્ય ડાના રોહરાબચરનું હતું. તેમાં પાકિસ્તાનને મદદ ઉપલબ્ધ કરાવવા માટે ફંડનો ઉપયોગ નહીં કરવાની માગણી કરી હતી. આ સંશોધન પણ 84 વિરુદ્ધ 236 મતના મોટા અંતરથી નામંજૂર થયું હતું.

મદદની લ્હાણી અને ચેતવણી-
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. પેન્ટાગોને એક સીધા સંદેશામાં કહ્યુ છે કે આતંકવાદના અડ્ડાઓથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર અસર પેદા થશે.

મિત્ર પાકિસ્તાન હવે અમેરિકાનું કેટલા પ્રમાણમાં દોસ્ત રહ્યું છે.. તેના સંદર્ભે અંકલ સેમ જ જાણ છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે નવા મિત્ર છે. એક તરફ પાકિસ્તાનને અમેરિકાની સંસદમાંથી જંગી ફંડને મંજૂરી આપવામાં આવે છે.. તો બીજી તરફ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવે છે.

અમેરિકન કોંગ્રેસને મોકલવામાં આવેલા અફઘાનિસ્તાન પરના છમાસિક રિપોર્ટમાં પેન્ટાગોને ચેતવણી સંદર્ભે સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકના સુરક્ષિત સ્થાનો હજીપણ અસ્તિત્વ ધરાવે છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાન ઉણું ઉતરી રહ્યું છે. તેના કારણે પાકિસ્તાન સાથેના અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને અસર પહોંચશે તથા તેની અસર સુરક્ષા માટેની મદદ પર પણ પડશે.

પાકિસ્તાન દ્વારા આતંકી નેટવર્ક સામે કાર્યવાહીમાં નિષ્ક્રિય રહેવાના કારણે અફઘાનિસ્તાનની સ્થિરતાને પણ અસર પહોંચી રહી હોવાનું પેન્ટાગોને જણાવ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન એશ્ટોન કાર્ટરે હક્કાની નેટવર્ક સામે પાકિસ્તાને કાર્યવાહી કરી હોવાનું પ્રમાણિત કર્યું નથી. જેના કારણે 30મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહેલા અમેરિકાના પ્રવર્તમાન નાણાંકીય વર્ષ માટે પાકિસ્તાનને કોએલેશન સપોર્ટ ફંડના ત્રણસો મિલિયન અમેરિકન ડોલર રોકવામાં આવ્યા હતા. પેન્ટાગોને પાકિસ્તાનને કડક સંદેશો આપતા કહ્યુ છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ હજીપણ ઘણાં આતંકવાદી સમૂહો માટે અભ્યારણ તરીકે યથાવત છે.

પેન્ટાગોનના એકસોથી વધારે પૃષ્ઠોના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમા તાલિબાનો.. અલકાયદા.. એક્યુઆઈએસ.. હક્કાની નેટવર્ક.. લશ્કરે તોઈબા.. તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન.. આઈએસ-ખોરસાન પ્રોવિન્સ અને ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ અભ્યારણ અને આ સંગઠનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમ બંને દેશોની સુરક્ષા માટે પડકાર છે. તેનાથી પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સામે પણ ખતરો છે. પાકિસ્તાને આતંકવાદી અને ઉગ્રવાદી જૂથો દ્વારા ક્ષેત્રમાં ઉભા થયેલા જોખમને ઘટાડવામાં ભૂમિકા અદા કરવી જોઈએ.

પેન્ટાગોન દ્વારા ખાસ કરીને કુનાર પ્રાંતમાં વણસી રહેલી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.  પેન્ટાગોને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે નિર્ધારીત મામલાઓ પર મધ્યમ સ્તરના સાતત્યપૂર્ણ મિલિટ્રી-ટુ-મિલટ્રી ડાયલોગનું સૂચન કર્યું છે. જેમાં આઈએસ-ખોરસાન પ્રોવિન્સને લઈને ઉભા થયેલા જોખમો પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સરકાર અને સૈન્ય સ્તરે પ્રસંગોપાત ઉચ્ચસ્તરીય ચર્ચાઓને પણ પ્રોત્સાહન આપવાની તૈયારી પેન્ટાગોન દ્વારા દર્શાવવામાં આવી છે.

મોતનું સોદાગર પાકિસ્તાન-

દક્ષિણ એશિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો હોવાનું અમેરિકાએ માન્યું છે. કોંગ્રેસનલ રિસર્ચ રિપોર્ટમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને કારણે ભારત સાથે જંગનું જોખમ વધ્યું હોવાનું આકલન રજૂ કરાયું છે. જો કે હાલની જટિલ પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તેની અમેરિકાને ચિંતા છે કે ભારતને પોતાના પડખે લેવા માટેની કોઈ કોશિશ થઈ રહી છે.. તેના સંદર્ભે પણ સાવધાન રહેવું એટલું જ જરૂરી છે.

પાકિસ્તાને ફૂલ સ્પેક્ટ્રમ ન્યૂક્લિયર ડેટેરન્સનો સિદ્ધાંત અપનાવ્યો છે. પાકિસ્તાન તરફથી પરમાણુ હથિયારો પ્રત્યે સક્રિયતામાં અચાનક વધારો થયો છે. જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરંપરાગત યુદ્ધમાં પરમાણુ ટકરાવનું જોખમ પણ વધી ગયું છે. એક તરફ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ માટે અમેરિકા પુરજોર કોશિશ કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાને પણ ચીનની મદદથી એનએસજીમાં દાખલ થવા માટેના ધમપછાડા શરૂ કર્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન કોંગ્રેસની રિસર્ચ સર્વિસ તરફથી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી તોળાઈ રહેલા પરમાણુ યુદ્ધના જોખમ સંદર્ભે ચિંતા વ્યક્ત કરાઈ છે.

સીઆરએસ તરફથી રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ.. નવા પ્રકારના હથિયારોનું નિર્માણ અને પરમાણુ કાર્યક્રમને ઝડપી બનાવવાથી નિરીક્ષકોની ચિંતા વધી ગઈ છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે.

બિનપરમાણુ પ્રસાર બાબતોના વિશ્લેષક પૉલ કે. કેર અને વિશેષજ્ઞ મેરી બેથ તરફથી પાકિસ્તાનના પરમાણુ હથિયાર શીર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સીઆરએસ રિપોર્ટ પ્રમાણે.. પાકિસ્તાન પાસે 110થી 130 જેટલા પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે. આ સંખ્યા વધારે હોવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

14મી જૂને સોંપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે.. ભારત પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે નહીં.. તેના માટે પોતાના પરમાણુ હથિયારો વધારી રહ્યું છે. સીઆરએસ અમેરિકન કોંગ્રેસની એક સ્વતંત્ર રિસર્ચ વિંગ છે. તે વખતોવખત અમેરિકાના સાંસદોને સંબંધિત વિષયો પર પોતાના અહેવાલ ઉપલબ્ધ કરાવે છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર જોખમ હોવાની માન્યતા વચ્ચે રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા આવા શસ્ત્રની સુરક્ષા માટે ઘણાં પગલા ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભરોસો ઉભો કરવાની કોશિશ થઈ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપાયો પર પાકિસ્તાનનું યથાવત રહેવું અને આગળ વધવું હજીપણ સવાલોના ઘેરામાં છે.

અમેરિકાના સાંસદોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય હિતોના મુદ્દા પર સીઆરએસ દ્વારા નિયમિતપણે અહેવાલ રજૂ કરાય છે. આ રિપોર્ટ માત્ર માહિતી માટે હોય છે. સીઆરએસ રિપોર્ટ અમેરિકન કોંગ્રેસના સત્તાવાર અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતો નથી. જો કે તેનાથી આંકવામાં આવેલા જોખમને ઓછું ગણી શકાય તેમ નથી.

પાકિસ્તાનની ઘાતક મનસા -

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના જમાનાથી પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ શંકાસ્પદ હોવાની ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. પરંતુ તાજેતરમાં અમેરિકાની થિન્ક ટેન્ક્સ દ્વારા ન્યૂક્લિયર પાકિસ્તાન પર ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 220થી 225 પરમાણુ હથિયારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.

બુલેટિન ઓફ એટોમિક સાઈન્ટિસ્ટ્સની ન્યૂક્લિયર નોટબુકના એક રિપોર્ટમાં પાકિસ્તાનના આગામી દશ વર્ષમાં વિશ્વની પાંચમી સૌથી મોટી પરમાણુ શક્તિ બની જવાની આકલનો રજૂ કરાયા છે. પરંતુ અહીં અમેરિકાની નીતિ પર વિશેષ વિચારણાની જરૂર છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર ખૂબ છાતી પીટી હતી. ઈરાન પાસેના બેહદ ખતરનાક હથિયારો દુનિયા માટે ખતરો સાબિત થાય તેવી સંભાવનાઓ સાથેના દાવાઓ અમેરિકા અને તેના સમર્થિત દેશોએ કર્યા હતા. અમેરિકાના દબાણમાં ઈરાનની લગભગ સંપૂર્ણ તલાશી લેવામાં આવી.. પણ અમેરિકાને હાથ કંઈ લાગ્યું નથી. તેમ છતાં વૈશ્વિક દબાણ ઉભું કરવામાં કમિયાબ રહેલા અમેરિકાએ ઈરાન સાથે વિશેષ શરતો ધરાવતી ડીલ કરવામાં સફળતા મેળવી છે.

પરંતુ અમેરિકાની રહેમ નજર હેઠળ ચાલતા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી તેને કોઈ સમસ્યા નથી. આવું લાગવાને કારણ પણ છે. પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકાના અસરકાર અને સંપૂર્ણ વર્ચસ્વવાળા તબક્કામાં વિકસ્યો હતો. પાકિસ્તાને એક ખુલાસો કર્યો હતો કે તેણે ભારતની સાથેની સરહદે શોર્ટ રેન્જ પરમાણુ બોમ્બની તેનાતી કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અમેરિકાને ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવાના અહેવાલો પર મરચાં લાગ્યા હતા.. તેવું પાકિસ્તાન તરફથી ભારતને આપવામાં આવેલી પરમાણુ હથિયારોની ધમકીથી વોશિંગ્ટનને થયું નથી. આ અમેરિકાની બેવડી નીતિ નથી તો શું છે?

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન.. ગૃહ પ્રધાન... વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ અને ખુદ વડાપ્રધાન નવાઝ શરીફ પરમાણુ હુમલાની ધમકીઓ સીધી કે આડકતરી રીતે આપી ચુક્યા છે. પાકિસ્તાનની સર્વેસર્વા સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ આવી ધમકીઓ આપી ચુક્યા છે. તેમ છતાં અમેરિકા દ્વારા પાકિસ્તાન સામે આકરા પગલા લેવાના સ્થાને તેની આળપંપાળની નીતિઓ યથાવત રહેવાનું અકળ રહસ્ય હજી પણ અકબંધ છે.

પાકિસ્તાનના તોપખાનામાં પરમાણુ મિસાઈલ -

પાકિસ્તાનના ટેક્ટિકલ શોર્ટ રેન્જ પરમાણુ હથિયારો અને મિસાઈલ ભારત સાથેના યુદ્ધમાં ઉપયોગના ઈરાદે જ બનાવવામાં આવ્યા છે. તેને ભારત સામે પાકિસ્તાનની અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક યુદ્ધનીતિ માનવામાં આવે છે.

પાકિસ્તાનના ઈરાદા બેહદ ખરાબ છે. પાકિસ્તાને શોર્ટ રેન્જના પરમાણુ હથિયારો અને મિસાઈલ તૈયાર કર્યા છે. ઈરાદો સ્પષ્ટ છે.. યુદ્ધની સ્થિતિમાં તેનો ભારતીય સેના સામે ઉપયોગ કરવાની પાડોશી દેશ નાપાક મનસા ધરાવે છે. પાકિસ્તાનના શોર્ટ રેન્જ ન્યૂક્લિયર વેપન્સ પરંપરાગત પરમાણુ બોમ્બથી અલગ હોવા છતાં બેહદ ખતરનાક છે.

પાકિસ્તાનની પરમાણુ શક્તિથી સજ્જ આવી મિસાઈલો ભારતીય ઉપખંડમાં મોટી તબાહીનું કારણ બને તેવી શક્યતા છે. પાકિસ્તાની સેનાએ આવી મિસાઈલો પોતાની સેનામાં સામેલ કરી લીધી છે. તેથી હવે ભારત માટે પાકિસ્તાન તરફના સૈન્ય પડકારમાં વધારો થયો છે. આ શોર્ટ રેન્જ લૉ યિલ્ડ ન્યૂક્લિયર વેપન્સ એક નાના વિસ્તારમાં તબાહીનું તાંડવ ખેલવા માટે સક્ષમ છે.

પરમાણુ શક્તિથી સજ્જ પાકિસ્તાનની નાના અંતરની ઓછી ક્ષમતાની પરમાણુ મિસાઈલ યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાની ટુકડીને પલકવારમાં નેસ્તોનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડતો હોવાથી હવે તેણે પરમાણુ ગુસ્તાખી કરવાની પુરેપુરી તૈયારી કરી રાખી છે.

પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવાતી નાની મિસાઈલનું નાપાક નામ નસ્ર છે. તે પાકિસ્તાનની હત્ફ શ્રેણીની મિસાઈલ છે. જોવામાં તે એક પાતળા રોકેટની જેમ દેખાય છે. નસ્ર મિસાઈલ 60 કિલોમીટરની રેન્જમાં તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. તેમા ન્યૂક્લિયર વોરહેડ્સ લગાવી શકાય છે. તેને એક ટ્રક પર લગાવાયેલા મસ્ટિબેરલ રોકેટ લોન્ચરથી પણ છોડી શકાય છે. પાકિસ્તાને નસ્ર મિસાઈલ માટે ચાર બેરલવાળું લોન્ચર બનાવ્યું છે. એટલે કે પાકિસ્તાની સેના એકસાથે આવી ચાર ચાર મિસાઈલો છોડવા સક્ષમ છે. નવી તકનીકથી તૈયાર આ નાના પરમાણુ બોમ્બ પોતાના વિસ્ફોટના સ્થાને રેડિએશનથી તબાહી મચાવે છે. નાના પરમાણુ બોમ્બના વિસ્ફોટ બાદ ભીષણ ગરમીની સાથે રેડિએશન નીકળે છે. તે એક નિશ્ચિત વિસ્તારમાં મોતનો ખેલ ખુલીને ખેલી શકે છે.

અમેરિકા સહીત દુનિયાના ઘણાં દેશો પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી ચિંતિત છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓની ગતિવિધિઓ પુરજોરમાં ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાનના પરમાણુ હથિયારોના આતંકવાદીઓના હાથમાં પડવાની સ્થિતિ જાણકારો નકારતા નથી. તો પાકિસ્તાનની નાગરિક સરકાર અને સેના વચ્ચેના સંબંધો નરમ-ગરમ રહેતા હોય છે. પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્રોગ્રામનું નિયંત્રણ ત્યાંની સેનાના હાથમાં છે. આ બંને સંજોગોમાં ભારત માટે પાકિસ્તાની પરમાણુ હથિયારોનું મોટું જોખમ હોવાનું પણ આકલન છે.

દક્ષિણ એશિયામાં મિસાઈલ રેસ-

યુદ્ધખોર પાકિસ્તાને ઘોરી અને શાહીન નામની પરમાણુ મિસાઈલો વિકસિત કરી છે અને અંદમાન-નિકોબાર સુધીના ભારતીય વિસ્તારમાં પરમાણુ હુમલાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનનો મિસાઈલ કાર્યક્રમ ચીનની રાહબરી હેઠળ જ આગળ વધ્યો છે. જાણકારો પ્રમાણે.. તો ચીનની તૈયાર મિસાઈલોને જ પાકિસ્તાને નવા નામ આપ્યા છે.

પાકિસ્તાનની પરમાણુ મિસાઈલો-

પાકિસ્તાની શાહીન-3 નામની ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ એક ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે બે હજાર સાતસો પચાસ કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.  ઘોરી નામની ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 700 કિલોગ્રામ ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પંદરો કિલોમીટર સુધીમાં ત્રાટકી શકે છે.  જ્યારે ગઝનવી નામની પાકિસ્તાની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 700 કિલોગ્રામના ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે ચારસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.  બાબર નામની પાકિસ્તાની ક્રૂઝ મિસાઈલ 100 કિલોગ્રામ ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે 700 કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.  નસ્ર નામની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ એકસો કિલોગ્રામ જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે 60 કિલોમીટરની રેન્જમાં હુમલો કરવા સક્ષમ છે.  પાકિસ્તાને પોતાની આર્ટલરીમાં રણનીતિક પરમાણુ હથિયાર તરીકે નસ્ર મિસાઈલને સામેલ કરી છે. આ ઘટનાક્રમે ભારતીય ઉપખંડને દુનિયાની સૌથી ખતરનાક વસાહત બનાવી દીધી હોવાનું અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું છે.

ભારતની પરમાણુ મિસાઈલ-

ચીન અને તેના ચાળે ચઢેલા પાકિસ્તાનની મિસાઈલોના જોખમ સામે ભારતે પણ તૈયારીઓ કરી છે. અગ્નિ-પાંચ મિસાઈલ દ્વારા ભારતીય સેનાઓ ચેન્નઈથી ઈસ્લામાબાદ અને ચીનના મહત્વપૂર્ણ ઠેકાણાઓ સુધી હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતની અગ્નિ-5 ઈન્ટરમીડિયેટ રેન્જ મિસાઈલ દોઢ ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-3 ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ બેથી અઢી ટન ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પાંત્રીસ્સો કિલોમીટરની રેન્જમાં પોતાના ટારગેટને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 600 કિલોગ્રામથી એક ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે દોઢસોથી સાડી ત્રણસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલકે-15 અથવા બી-05 એક ટન ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે સાડી સાતસો કિલોમીટરની રેન્જમાં ટાર્ગેટને તબાહ કરવાની શક્તિ ધરાવે છે.  ભારતની કે-ફોર સબમરીન લોન્ચડ બેલેસ્ટિક મિસાઈલ બે ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે સાડા ત્રણ હજાર કિલોમીટર સુધીમાં ભીષણ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ તફાવત છે.. ભારતનો મિસાઈલ કાર્યક્રમ સ્વદેશી છે અને પાકિસ્તાનને ચીનનો તૈયાર માલ મળી રહ્યો છે.

દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન-

સૈન્ય શક્તિ અને સંશાધનોની દ્રષ્ટિએ ભારત દેખીતી રીતે પાકિસ્તાન પર મોટી સરસાઈ ધરાવે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકાની મદદ અને ચીનના ખીલે ભારત સામે ઘૂરકિયાં કરવાનું ચુકતું નથી.

ભારત-પાકિસ્તાનની સરખામણી-

ભારતની કુલ વસ્તી 125 કરોડ અને પાકિસ્તાનની કુલ જનસંખ્યા વીસ કરોડ છે. ભારત પાસે ઉપલબ્ધ કાર્યક્ષમ માનવશક્તિ 62 કરોડ અને પાકિસ્તાન પાસે આવા લોકોની સંખ્યા નવ કરોડ ત્રીસ લાખ જેટલી છે. ભારતમાં લશ્કરી કામગીરી માટે સક્ષમ લોકો 49 કરોડ છે.. જ્યારે પાકિસ્તાનમાં આવી જનસંખ્યા સાડા સાત કરોડની છે. ભારતના સક્રિય સૈનિકોની સંખ્યા તેર લાખ પચ્ચીસ હજારની છે અને પાકિસ્તાન પાસે છ લાખ સત્તર હજાર જેટલા સક્રિય સૈનિકો છે. ભારત પાસે રિઝર્વ સૈનિકોની સંખ્યા 21 લાખ 43 હજાર સુધીની છે અને પાકિસ્તાન પાસે પાંચ લાખ પંદર હજાર અનામત દળો છે.

ભૂમિસેનાની તુલના-

ભારત અને પાકિસ્તાનની ભૂમિસેનાઓની સરખામણી કરીએ.. ભારતની પાકિસ્તાન પર દેખીતી સરસાઈ છે. ભારત પાસે છ હજાર ચારસો ચોસઠ ટેન્કો છે અને પાકિસ્તાન પાસે બે હજાર નવસો ચોવીસ ટેન્કો છે. ભારત પાસે 6 હજાર સાતસો ચાર આર્મ્ડ ફાઈટિંગ વ્હીકલ્સ ઉપલબ્ધ છે અને પાકિસ્તાન પાસે બે હજાર આઠસો અઠ્ઠાવીસ એએફવી છે. ભારત પાસે સેલ્ફ પ્રોપેલ્ડ ગન્સની સંખ્યા 290 અને પાકિસ્તાન પાસે 465 એસપીજી છે. ભારત પાસે આર્ટિલરી સાત હજાર ચારસો ચૌદ જેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે અને પાકિસ્તાન પાસે ત્રણ હજાર બસ્સો ઈઠ્ઠીયોત્તેર જેટલી આર્ટલરી છે. ભારત પાસે મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સની સંખ્યા 292 છે અને પાકિસ્તાન પાસે 134 એમએલઆરએસ ઉપલબ્ધ છે. ભારતની જમીન સરહદ પંદર હજાર કિલોમીટર જેટલી અને વિવિધતા સભર દુર્ગમતા ધરાવે છે. તેથી પાકિસ્તાન સામેની સૈન્ય સરસાઈ અન્ય સરહદી સમસ્યાઓને ઉકેલવામાં પણ લગાવવી પડે છે. તેની સાથે ભારતે ચીન અને પાકિસ્તાન બંને મોરચે મજબૂત રણનીતિક તૈયારીઓ કરવી પડશે તેવું પણ ઘણાં સંરક્ષણ નિષ્ણાતો અવાર-નવાર જણાવી ચુક્યા છે.

વાયુસેનાની તુલના-

ભારત અને પાકિસ્તાનના એરપાવરની સરખામણી કરીએ.. તો ભારત પાસે કુલ એક હજાર નવસો પાંચ જેટલા એરક્રાફ્ટ છે અને પાકિસ્તાન પાસે કુલ 914 એરક્રાફ્ટ છે. જેમાંથી ભારત પાસે ફાઈટર પ્લેનની સંખ્યા છસ્સો ઓગણત્રીસ જેટલી અને પાકિસ્તાન પાસે ત્રણસો સિત્યાસી ફાઈટર્સ છે. ભારત પાસે 761 એટેક એરક્રાફ્ટ્સ અને પાકિસ્તાન પાસે 387 એટેક એરક્રાફ્ટ્સ છે. ભારત પાસે 263 ટ્રેનર એરક્રાફ્ટ્સ છે અને પાકિસ્તાન પાસે 170 ટ્રેનર એરક્રાફ્ટ્સ ઉપલબ્ધ છે. ભારત પાસે કુલ પાંચસો ચોર્યાસી હેલિકોપ્ટરો છે અને પાકિસ્તાન પાસે 313 હેલિકોપ્ટર છે. ભારત પાસે વીસ એટેક હેલિકોપ્ટર્સ છે અને પાકિસ્તાન પાસે 48 એટેક હેલિકોપ્ટર્સ છે.

નૌસેનાની શક્તિનું બળાબળ-

સમુદ્રી સૈન્ય શક્તિની સરખામણી કરીએ તો.. ભારત પાસે કુલ 202 યુદ્ધજહાજો છે અને પાકિસ્તાન પાસે 74 જહાજો છે. ભારત પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. પાકિસ્તાન પાસે એકપણ વિમાનવાહક જહાજ નથી. તો ભારત પાસે 15 અને પાકિસ્તાન પાસે 10 ફ્રિગેટ્સ છે. ભારત પાસે નવ ડિસ્ટ્રોયર્સ અને પાકિસ્તાન પાસે કોઈ ડિસ્ટ્રોયર નથી. ભારત પાસે પચ્ચીસ જેટલી કોરવેટ્સ છે અને પાકિસ્તાન પાસે આવું એકપણ જહાજ નથી. ભારત પાસે પંદર સબમરીનો છે અને પાકિસ્તાન પાસે આઠ સબમરીન છે. તો ભારત પાસે કોસ્ટલ ડિફેન્સ ક્રાફ્ટની સંખ્યા 46 છે અને પાકિસ્તાન પાસે બાર કોસ્ટલ ડિફેન્સ ક્રાફ્ટ ઉપલબ્ધ છે. માઈન વોરફેર માટે ભારત પાસે સાત જેટલા જહાજો છે અને પાકિસ્તાન પાસે આવા માત્ર ત્રણ જહાજો છે.

ભારતીય વાયુસેનાને પોતાની સરસાઈ જાળવી રાખવા માટે ઉન્નત સંસ્કરણના ચોથી અને પાંચમી પેઢીના નવા યુદ્ધવિમાનોની તાત્કાલિક જરૂરિયાત છે. તો ભારતની સમુદ્રી સીમા સાત હજાર કિલોમીટર જેટલી લાંબી છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની વધતી સક્રિયતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌસેનાને વધુ સજ્જતા અને તૈયારીઓની જરૂરિયાત હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાનની પરમાણુ નીતિ-

પરમાણુ હથિયારોવાળું પાકિસ્તાન ભારત માટે ખૂબ ખતરનાક ન્યૂક્લિયર પોલિસી ધરાવે છે. ભારત પર પરમાણુ હુમલો કરવા માટે પાકિસ્તાન દ્વારા તેની પરમાણુ નીતિમાં ચાર જોગવાઈ છે. એક.. જો ભારત પાકિસ્તાનના મોટા ભૂભાગને પોતાના તાબા હેઠળ લઈ લે... બીજું.. ભારત દ્વારા પાકિસ્તાની સેના અથવા એરફોર્સનો મોટોભાગ નેસ્તોનાબૂદ કરાય.. ત્રીજી સ્થિતિમાં ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ગુંગળાવાની કોશિશ કરે.. ચોથા કારણમાં ભારત પાકિસ્તાનને રાજકીય રીતે અસ્થિર કરવા માટે મોટાપાયે આતંરીક ઉથલ-પાથલો કરાવે.

ભારતની પરમાણુ નીતિની સમીક્ષા જરૂરી-

તેની સામે ભારતની પરમાણુ નીતિ વધુ જવાબદાર ગણાય છે. ભારત પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની ન્યૂક્લિયર પોલિસી જાહેર કરી ચુક્યું છે. જો કે સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટી માટે ભારતની તૈયારીઓ ખૂબ મજબૂત હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન પણ આ બાબતથી ડરે છે.  જો કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને પાકિસ્તાનની વધુ આક્રમક પરમાણુ નીતિ સામે હવે ભારતે પણ પોતાની પરમાણુ નીતિની સમીક્ષા હાથ ધરવી પડે તેવા સંજોગો છે. પાકિસ્તાનની બાબતમાં અમેરિકા હાલના સંજોગોના વલણોના આધારે કેટલું ભરોસાપાત્ર સાબિત થશે? આ પણ વિચારણાનો એક મુદ્દો છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને માપમાં રાખતી પરમાણુ નીતિ બનાવવાની તાતી જરૂર છે.

ઉત્તર કોરિયામાં પરમાણુ પ્રસાર-

પાકિસ્તાનથી ઉત્તર કોરિયાને પરમાણુ તકનીક પહોંચાડવામાં આવી હોવાની આશંકા છે. ઉત્તર કોરિયા પાસેના પરમાણુ હથિયારો અમેરિકા માટે જોખમી છે. તેમ છતાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા પરમાણુ પ્રસાર સંદર્ભે અમેરિકાના બેવડા ધોરણો છે.

પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સુરક્ષાના મસ મોટા દાવા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાનના હથિયારો અને તકનીકની સુરક્ષા હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. વર્ષ-2004માં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન દ્વારા પરમાણુ હથિયારો સાથે જોડાયેલી બેહદ ગુપ્ત બાબતો અન્ય દેશોને વેચવામાં આવી હોવાના આરોપ લાગ્યા હતા. માનવામાં આવે છે કે અબ્દુલ કાદિર ખાને પાકિસ્તાનની પરમાણુ તકનીક ઉત્તર કોરિયાને વેચી હતી. પરંતુ અમેરિકા આખા મામલામાં ખાનાપૂર્તિ કરતું જ દેખાયું છે. આવા પાકિસ્તાનના પરમાણુ હથિયારો આતંકવાદીઓના હાથમાં પડે તેવી સંભાવના પણ નકારવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 2009માં ઈસ્લામાબાદની હાઈકોર્ટે એ. ક્યુ. ખાનને મુક્ત કરી દીધો અને અમેરિકા મૂકદર્શક બનીને આખા મામલાને જોઈ રહ્યું છે.

અમેરિકાની પૂર્વનિર્ધારીત નીતિમાં ફેરફાર થયો છે. હવે અમેરિકાના પાંચ હજાર પાંચસો જેટલા સૈનિકો 2017 સુધી અફઘાનિસ્તાનની ધરતી પર તેનાત રહેશે. તેનો સીધો અર્થ છે કે અમેરિકાને પાકિસ્તાનની જરૂરત પડશે. ગત 14 વર્ષોમાં અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈના નામે પાકિસ્તાનને વીસ અબજ ડોલરથી વધારેની મદદ કરી છે.

અમેરિકા અફઘાનિસ્તાનમાં ફસાયેલું રહે તેમાં પાકિસ્તાનની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પણ મોટા હિતો છે. આમ થવાથી બંનેને અમેરિકા તરફથી જંગી સહાયતારૂપે ડોલરના ઢગલા મળતા રહેશે. આમ તો અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યને સંપૂર્ણપણે ખસેડી લેવાનો બરાક ઓબામાએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વાયદો કર્યો હતો. પરંતુ ઓબામા પોતાની બંને ટર્મ પૂર્ણ થવા છતાં વાયદો પુરો કરી શક્યા નથી.

પાકિસ્તાનમાં રહેલા આતંકી નેટવર્ક હજીપણ અમેરિકાના રાષ્ટ્રીય હિતો સામે મોટું જોખમ છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાનો આઈએસઆઈના દોરીસંચાર હેઠળ માથું ઉંચકી રહ્યા છે. તેથી અફઘાનિસ્તાનમાં ફરીથી 1996ની જેમ તાલિબાનો અથવા કોઈ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો કાબુલનો કબજો લઈ લેશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આવા સંજોગોમાં જનરલ ઝીયા ઉલ હક વખતે પાકિસ્તાની અને અફઘાનિસ્તાની મદરસાઓમાં થયેલી કટ્ટરવાદની ખેતીનો ફાયદો હવે અલકાયદામાંથી છૂટા પડેલા આઈએસઆઈએસ દ્વારા ઉઠાવાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. અફઘાનિસ્તાનમાં કેટલાંક આતંકવાદી જૂથોએ પોતાની નિષ્ઠા આઈએસ પ્રત્યે વ્યક્ત કરી હોવાના અહેવાલો પણ દેખાઈ રહ્યા છે. આવા સંજોગોમાં અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે અમેરિકી દળોની વાપસી અમેરિકા સાથે દુનિયા માટે ખતરનાક સાબિત થાય તેવી શક્યતાઓ નકારવામાં આવતી નથી. આમ છતાં પાકિસ્તાનની પરમાણુ હથિયારોની હોડને રોકવા માટે અમેરિકા કોઈપણ નક્કર રણનીતિ સાથે આગળ વધી રહ્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું નથી.

વૈશ્વિક રાજકારણની મનસાથી આશંકા-

આમ તો ચીન પાકિસ્તાન દ્વારા ભારતને ભીડાવી રહ્યું છે.. તો ભારત દ્વારા અમેરિકા ડ્રેગનના વર્ચસ્વને સંતુલિત કરવામાં લાગ્યું છે. પરંતુ અમેરિકાથી થયેલી કેટલીક નિવેદનબાજીમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સંદર્ભે ભારતના ઉપયોગની મનસાની ગંધ આવી રહી છે. આવા સંજોગોમાં ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણયો લેવામાં સાવધાની પણ રાખવી પડશે.

પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય સિદ્ધાંતો સંદર્ભે એક પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક સૂચક ટીપ્પણી કરી હતી. વોશિંગ્ટન ખાતેના બે દિવસીય સંમેલનના સમાપન વખતે તેમણે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોને ઘટાડવા આગળ વધવું જોઈએ. એ નિર્ધારીત કરવું જોઈએ કે સૈન્ય સિદ્ધાંત વિકસિત કરતી વખતે સતત ખોટી દિશામાં આગળ વધે નહીં.

અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ઓબામાની ટીપ્પણી પર ટાઢા ઢોળવાની કોશિશ કરી હતી. પરંતુ તેમણે કહ્યુ હતુ કે કેટલાંક દેશોમાં પરમાણુ હથિયારો વધી રહ્યા છે અને કેટલાંક નાના પરમાણુ હથિયારોની ચોરીનો ખતરો વધારે હોઈ શકે છે.

તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા સંકેતો આખા મામલાને વધુ સ્પષ્ટ કરવા માટે પુરતા છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ પરમાણુ હથિયાર સંપન્ન અર્ધ-અસ્થિર દેશ પાકિસ્તાનની સમસ્યાના સમાધાન માટે ભારત અને અન્ય દેશોની મદદ માંગશે. અમેરિકા સામે સૌથી મોટી સમસ્યા પરમાણુ હથિયારોની છે. આ હથિયારો ધરાવતા દેશોની છે. તેઓ પાકિસ્તાનમાં સંપૂર્ણપણે અસ્થિરતા જોવા ઈચ્છતા નથી. અમેરિકાનો પાકિસ્તાન સાથે થોડો સારો સંબંધ છે. તેમને લાગે છે કે તેઓ કોશિશ કરશે અને તેને જાળવી રાખશે.

ટ્રમ્પે પાકિસ્તાન સાથેના સંબંધો જાળવવાની વાત પોતાના સ્વભાવ વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. પરંતુ તેની સાથે તેમણે પાકિસ્તાનને બીજા રસ્તે જતું અટકાવવા માટે નાણાં અને મદદ ચાલુ રાખવાની પણ તરફદારી કરી છે. તેમનું પણ સીધેસીધું માનવું છે કે પાકિસ્તાન પર અમેરિકાની ધાક અને વર્ચસ્વ ઘટશે.. તો તેનાથી વધારે મોટી મુશ્કેલી પેદા થશે. જો કે પાકિસ્તાનનું બીજી તરફ જવું એટલે માત્ર આતંકવાદીઓના વર્ચસ્વ તણે જવું કે ચીનના વર્ચસ્વ હેઠળ જવું? તેની સ્પષ્ટતા થવી બાકી છે.

ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠતા વધી રહી છે. આવા સંજોગોમાં ભારતને ગ્લોબલ ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ અમેરિકાની સેનેટમાં નામંજૂર થયું છે. અમેરિકાની સંસદમાં રિપબ્લિકન પાર્ટીનું મોટું વર્ચસ્વ છે. ત્યારે ટ્રમ્પનું એક સૂચક નિવેદન પણ યાદ કરવું જોઈએ. ટ્રમ્પે કહ્યુ હતુ કે જ્યારે ભારત અને અન્ય કેટલાંક દેશો તરફ જોઈએ છીએ. તો લાગે છે કે કદાચ તેઓ અમેરિકાની મદદ કરશે. અમેરિકા આ દિશામા જોઈ રહ્યું છે. અમેરિકા પાસે આવા ઘણાં દેશ છે. જેમને અમેરિકા નાણાં આપે છે અને તેના બદલામાં કંઈ મળતું નથી. પરંતુ આ ટૂંક સમયમાં થોભી જશે.

અમેરિકા સામાન્ય રીતે પોતાનું હિત હોય નહીં તેવી બાબતોમાં જીભથી જલેબીઓ પાડીને દુનિયાદારી નિભાવતું હોય છે. પરંતુ પોતાના મતલબની બાબતો માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો-કાયદાઓને તાક પર મૂકતા પણ ખચકાતું નથી. ઈરાક અને ઈરાન સાથેની દાદાગીરી અને પાકિસ્તાનની આળપંપાળ તેના મોટા ઉદાહરણ છે. અમેરિકાની નીતિની અસલિયત છે કે ચોરને ચોરી કરવાનું કહેવાનું ચાલુ રાખશે અને શાહૂકારને જાગતા રહેવા માટે બૂમો પણ પાડતું રહેશે.