Tuesday, December 22, 2015

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2015માં તાલુકા-જિલ્લા-નગરપાલિકા-મહાનગરપાલિકાઓની વોટિંગ પેટર્ન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતોની વોટિંગ પેટર્ન

230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ઘણાં લાંબા અરસા બાદ કોંગ્રેસને તાલુકા પંચાયતોમાં ભાજપથી વધારે મત મળ્યા છે. તાલુકા પંચાયતોના પરિણામોને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે રેડ સિગ્નલ સમાન ગણવામાં આવે છે. વોટિંગ પેટર્નમાં નોટા- અપક્ષના મતોની સંખ્યા ભાજપને ઘણો મોટો રાજકીય સંદેશો પાઠવી રહી છે. 

ગુજરાતની 230 તાલુકા પંચાયતો તાજેતરની ચૂંટણીની વોટિંગ પેટર્ન ઘણી ચોંકવનારી દેખાઈ છે. લગભગ પંદર વર્ષ બાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. મળેલા આંકડા પ્રમાણે કોંગ્રેસને 46 ટકા એટલે કે 72 લાખ 35 હજાર 708 મત મળ્યા છે. તો ભાજપને કોંગ્રેસ કરતા 2.68 ટકા ઓછા મત સાથે કુલ મતના 43.32 ટકા મત મળ્યા છે. ભાજપને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 68 લાખ 14 હજાર 573 મત મળ્યા છે. 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષોને 4.96 ટકા એટલે કે સાત લાખ 81 હજાર 486 મત મળ્યા છે. તો અન્યના ખાતામાં 1.41 ટકા એટલે કે બે લાખ બાવીસ હજાર બસ્સો ત્રીસ મત મળ્યા છે. જ્યારે નોટાના બટનનો ઉપયોગ કરનારા મતદાતાઓની સંખ્યા 2.88 ટકા એટલે કે ચાર લાખ 53 હજાર 149 મત મળ્યા છે. તો બીએસપીને 0.63 ટકા સાથે 99 હજાર 987 મત મળ્યા છે. જ્યારે એનસીપીને 0.18 ટકા એટલે કે 28 હજાર 659 મત મળ્યા છે. તો સીપીએમને માત્ર 1305 મત મળી શક્યા છે. સમાજવાદી પાર્ટીને 2549.. જેડીયુને 88 હજાર 169 મત મળી શક્યા છે. 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ 57 લાખ 27 હજાર 815 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

કોંગ્રેસને ભાજપ કરતા 2.68 ટકા જેટલા ઓછા મત મળ્યા છે. ભાજપ કરતા કોંગ્રેસને ચાર લાખ 21 હજાર 135 જેટલા વધુ વોટ મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મતના અંતરમાં કરતા નોટાનો ઉપયોગ કરનારા મતદાતાઓની સંખ્યા બત્રીસ હજાર 14 જેટલી વધારે હતી. એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પસંદ કરનાર ઉપલબ્ધ તમામ વિકલ્પો સિવાયના વિકલ્પની શોધમાં દેખાયા છે. તો અપક્ષ અને અન્યને પસંદ કરનાર મતદાતાઓની સંખ્યા 10 લાખ ત્રણ હજાર 716 જેટલી છે. તેથી અપક્ષ અને અન્યનો વોટ કાપવા માટે ક્યાં પક્ષે કેવી રીતે ઉપયોગ કર્યો તે પણ એક રાજકીય અભ્યાસનો વિષય બન્યો છે. 

કોંગ્રેસની ગુજરાતમાંથી સત્તા ગઈ ત્યારે મતદાતાઓની વોટિંગ પેટર્નમાં આવા જ સંકેતો સાંપડયા હતા. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીતને 2017માં ભાજપના વળતા પાણીની શરૂઆત તરીકે જોવામાં આવે છે. તો મોદીકાળમાં ગુજરાતમાં મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસને ફરીથી કળ વળી હોય તેવું પણ દેખાઈ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આક્રમકતાથી દેખાઈ રહ્યું છે. પરંતુ ભાજપ પાસે હજીપણ નોટા અને અપક્ષ દ્વારા કપાયેલા મતોને પોતાના તરફ વાળવા માટે પોણા બે વર્ષ જેટલો સમય છે.. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોની વોટિંગ પેટર્ન

31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ વોટિંગ પેટર્ન ભાજપની પોતાના ગઢમાં બગડી રહેલી રાજકીય પરિસ્થિતિનો તાગ આપે છે. નોટા અને અપક્ષની ભૂમિકાને કારણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. 

31 જેટલી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને 47.85 ટકા સાથે 73 લાખ 34 હજાર 455 મત મળ્યા છે. તો ભાજપને 43.97 ટકા સાથે 67 લાખ 40 હજાર 397 મત મળ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષને 2.91 ટકા સાથે 4 લાખ 47 હજાર 136 મત મળ્યા છે. તો નોટાનો ઉપયોગ 2.95 ટકા એટલે કે 4 લાખ 53 હજાર 328 મતદાતાઓએ કર્યો છે. જ્યારે અન્ય પક્ષોના ઉમેદવારોને 0.97 ટકા સાથે એક લાખ 49 હજાર 652 મત મળ્યા છે. 

જ્યારે બીએસપીને 0.40 ટકા સાથે 61 હજાર 893 મત.. એનસીપીને 0.08 ટકા સાથે 13 હજાર 630 મત મળ્યા છે. સીપીએમએમને 0.02 ટકા સાથે 4 હજાર 496 મત.. એસપીને 0.01 ટકા સાથે એક હજાર 948 મત અને જેડીયુને 0.7 ટકા મત સાથે એક લાખ 19 હજાર 218 મત મળ્યા છે. 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ 53 લાખ 26 હજાર 53 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

31 જિલ્લા પંચાયતો માટે કુલ એક કરોડ 53 લાખ 26 હજાર 53 મતદાતાઓએ વોટિંગ કર્યું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા 3.88 ટકા વધુ મત મળ્યા છે. કોંગ્રેસને ભાજપ કરતા પાંચ લાખ 94 હજાર 58 જેટલા વધુ મત મળ્યા છે. આ તફાવત નોટા કરતા એક લાખ ચાલીસ હજાર 730 જેટલો વધુ છે. બંને પાર્ટીઓ વચ્ચેના મતનો તફાવત અપક્ષને મળેલા મત કરતા એક લાખ 46 હજાર 922 જેટલો વધુ છે. અપક્ષ અને નોટાને મળેલા કુલ મત નવ લાખ ચારસો ચોસઠ જેટલા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નોટા અને અપક્ષને મળેલા મતની કોંગ્રેસને મળેલી સરસાઈમાં મોટી ભૂમિકા રહી છે. 

શહેરી વિસ્તારની પાર્ટી ગણાતા ભાજપ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાના પરિણામો રાહત આપનારા જરૂર છે. પરંતુ અહીં પણ મતોનું ધોવાણ થયું છે અને કોંગ્રેસના મતમાં વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોના આધારે સેમીઅર્બન અને અર્બન વિસ્તારોમાં કોંગ્રેસને અમુક વિધાનસભાઓમાં સરસાઈ મળી હોવાનું તારણ પણ વહેતું થયું છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાઓની વોટિંગ પેટર્ન 

56 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 44.69 ટકા સાથે 37 લાખ ત્રણ હજાર 127 મત મળ્યા હતા. તો કોંગ્રેસને 39.59 ટકા સાથે 32 લાખ 80 હજાર 150 મત મળ્યા હતા. અપક્ષનો 11.97 ટકા સાથે નવ લાખ 91 હજાર 932 મત મળ્યા હતા. અન્ય પક્ષોને 1.44 ટકા સાથે એક લાખ 19 હજાર 448 મત મળ્યા હતા. તો નોટાનો ઉપયોગ માત્ર 0.36 ટકા એટલે કે 30 હજાર 623 મતદાતાઓએ કર્યો હતો. તો બીએસપીને 0.72 ટકા સાથે 60 હજાર તેંત્રીસ મત.. એનસીપીને 0.65 ટકા સાથે 54 હજાર 91 મત.. સીપીએમને 0.07 ટકા સાથે 6 હજાર 536 મત... સીપીએમએમને 0.07 ટકા સાથે 6 હજાર 10 મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને 0.05 ટકા એટલે કે ચાર હજાર 434 મત.. જેડીયુને 0.34 ટકા સાથે 28 હજાર 437 મત મળ્યા છે. નગરપાલિકા માટે કુલ 82 લાખ 84 હજાર 821 મતદાતાઓએ મતદાન કર્યું હતું. 

અર્ધશહેરી વિસ્તારોમાં ભાજપને કોંગ્રેસ કરતા પાંચ ટકા વધારે મત મળ્યા છે. બંને પક્ષો વચ્ચે ચાર લાખ બાવીસ હજાર 977 મતનો રહ્યો છે. જો કે અપક્ષ અને અન્યને મળેલા મતનો સરવાળો અગિયાર લાખ અગિયાર હજાર 360નો છે. જે ભાજપ અને કોંગ્રેસના મતોની તફાવત કરતા લગભગ બેગણો છે. આવા સંજોગોમાં અપક્ષ અને અન્ય અહીં ભાજપ અને કોંગ્રેસની હાર-જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની વોટિંગ પેટર્ન

છ મહાનગરપાલિકાની વોટિંગ પેટર્ન ભાજપ માટે સારી છે. અહીં ભાજપે પોતાની સત્તા તો જાળવી રાખી છે. પરંતુ તેમના મતની ટકાવારીમાં ખાસું ધોવાણ જોવા મળ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 50.13 ટકા એટલે કે 76 લાખ 4 હજાર 169 મત મળ્યા છે. તો કોંગ્રેસને 41.12 ટકા એટલે કે 62 લાખ 37 હજાર 26 મત મળ્યા છે. અન્ય પક્ષોના ખાતામાં 1.69 ટકા સાથે બે લાખ 57 હજાર 673 મત ગયા છે. અપક્ષને 2.71 ટકા એટલે કે ચાર લાખ 11 હજાર 583 મત મળ્યા છે. નોટાનો ઉપયોગ કરનારા મતદાતા 0.54 ટકા એટલે કે 82 હજાર 382 જેટલા રહ્યા હતા. તો બીએસપીને 1.85 ટકા એટલે કે બે લાખ 80 હજાર 667 મત.. એનસીપીને 1.16 ટકા એટલે કે એક લાખ 77 હજાર 405 મત... સીપીએમએમને 0.26 ટકા એટલે કે 40 હજાર 691 મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને 0.48 ટકા સાથે 73 હજાર 776 મત મળ્યા હતા. તો જેડીયુને 0.009 ટકા સાથે માત્ર એક હજાર 421 મત મળ્યા હતા. છ મહાનગરપાલિકામાં એક કરોડ 51 લાખ 66 હજાર 793 મતદાતાઓએ વોટિંગ કર્યું હતું. 

ગુજરાતમાં લગભગ 43 ટકા જેટલો શહેરી વિસ્તાર છે. છ મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. ભાજપને કોંગ્રેસ કરતા 9.01 ટકા વધુ મત મળ્યા છે. બંને વચ્ચે 13 લાખ 67 હજાર 143 જેટલા મતનો તફાવત છે. જેમાં અપક્ષ અને અન્યના મતનો સરવાળો છ લાખ 69 હજાર 256 થાય છે. તો મહાનગરપાલિકામાં બીએસપી અને એનસીપીના મતોનો સરવાળો ચાર લાખ 58 હજાર 72 જેટલો થાય છે. અપક્ષ.. અન્ય.. બીએસપી અને એનસીપીના મતોનો સરવાળો અગિયાર લાખ 27 હજાર 328 થાય છે. મહાનગરપાલિકામાં બીએસપી દલિત સમાજ અને એનસીપી પણ ચોક્કસ સમુદાયનો મોટો વોટ શેયર ધરાવે છે. 

અમદાવાદ અને સૂરતની મહાનગરપાલિકાઓ પર સૌની નજર હતી. અહીં બીએસપી-એનસીપી ફેક્ટર સાથે સુરતમાં અપક્ષને મળેલા મતોનું પરિબળ ઘણું મહત્વનું રહ્યું છે. મહાનગરપાલિકાઓમાં સૌથી રસપ્રસદ મુકાબલો રાજકોટમાં રહ્યો હતો. 
અમદાવાદની વોટિંગ પેટર્ન પ્રમાણે ભાજપને 50. 47 ટકા સાથે 31 લાખ 47 હજાર 131 મત મળ્યા હતા. કોંગ્રેસને 42.22 ટકા સાથે 26 લાખ 32 હજાર 840 મત મળ્યા છે. બંને વચ્ચે પાંચ લાખ 14 હજાર 291 મતનો તફાવત છે. ભાજપને કોંગ્રેસ કરતા 8.25 ટકા વધુ મત મળ્યા છે. 

અમદાવાદમાં બીએસપીને 92 હજાર 171.. એનસીપીને 66 હજાર 972 .. સીપીએમએમને 16 હજાર 478.. સમાજવાદી પાર્ટીને 12 હજાર 454 અને અન્યના ખાતામાં 32 હજાર 900 મત ગયા છે. જ્યારે અપક્ષને 38 હજાર 647 મત મળ્યા છે. 

સુરતમાં ભાજપને 51.76 ટકા સાથે 18 લાખ 89 હજાર 891 મત મળ્યા હતા. તો કોંગ્રેસને 39.01 ટકા સાથે 14 લાખ 45 હજાર 521 મત મળ્યા છે. ભાજપને કોંગ્રેસ કરતા 12.75 ટકા જેટલા વધુ મત મળ્યા છે. ભાજપને કોંગ્રેસ કરતા ચાર લાખ 65 હજાર 370 જેટલા વધુ મત મળ્યા છે. 

સૂરતમાં બીએસપીને 71 હજાર 186 .. એનસીપીને 34 હજાર 554 .. સીપીએમએમને ત્રણ હજાર અઠ્ઠાવીસ.. અન્યને 66 હજાર 273.. અપક્ષને એક લાખ પિસ્તાલીસ હજાર 787 મત મળ્યા છે. અહીં નોટાનો 16 હજાર 14 મતદાતાઓએ ઉપયોગ કર્યો છે. સુરતમાં અપક્ષને મળેલા પોણા બે લાખ મતોની ભૂમિકા પણ અવગણી શકાય તેમ નથી. 

જેટલીના બચાવમાં અડવાણીનું ઉદાહરણ, વડાપ્રધાન મોદીના વઝીરને ખાસ રાજકીય સંકેત ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ વઝીર અરુણ જેટલીની કામગીરીથી છેલ્લા કેટલાંક સમયથી તેઓ નારાજ છે. પરંતુ તેમને સીધું કહી શકતા નથી. બિનઆધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે.. સેવન- આરસીઆરથી જેટલી તરફ આંગળી ચિંધતા ડીડીસીએ વિવાદની શરૂઆત કરવાની લીલીઝંડી આપી હોવાનું મનાય છે. આ વિવાદ સંપૂર્ણપણે ચગાવાયા બાદ જેટલીના સંરક્ષણના નામે મોદીએ ભાજપની સંસદીય દળની બેઠક સમક્ષ  અડવાણીની જેમ બેદાગ બનીને જેટલી બહાર આવશે તેવું નિવેદન કરીને પોતાના પ્રધાનમંડળના વઝીરને કોઈ ખાસ રાજકીય સંકેતો આપ્યા છે. 

ભાજપના દિગ્ગજ નેતાઓને ઘેરતા વિવાદોના ટાઈમિંગ પણ ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ તરફ સંકેત કરે છે.. બજેટ સત્ર પહેલા ડીડીસીએના આરોપના ચક્રવ્યૂહમાં અરુણ જેટલીને ફસાવવાની કોશિશ અને કીર્તિ આઝાદને ખુલ્લા દાવાઓની આઝાદી પાછળ ભાજપની અંદરની કોઈ હરકત છે કે કેમ તેવા પણ સવાલો અને અટકળબાજીઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે. 

ભાજપની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પર ડીડીસીએ મામલે કરાયેલા આરોપના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી પ્રતિક્રિયાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે જેવી રીતે રામજન્મભૂમિ આંદોલનના રથ પર સવાર થઈને અડવાણી લોકપ્રિયતાને આંબી રહ્યા હતા. ત્યારે જ હવાલા કાંડમાં તેમનું નામ ઉછળ્યું હતું. તે વખતે ડાયરીમાં ખાલી નામના ઉલ્લેખ માત્રથી અડવાણીએ સાંસદ પદ સહીતના પાર્ટીના પદો પરથી રાજીનામા આપી દીધા હતા. હવાલા કાંડમાંથી તેઓ બેદાગ સાબિત થયા ત્યારે જ તેમણે ફરીથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉચ્ચપદે કામ કરવાની જવાબદારી સ્વીકારી હતી. 

અડવાણીની જેમ જેટલીને બેદાગ સાબિત થઈને નીકળશે તેવા પીએમ મોદીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં અટકળબાજી તેજ બની છે. આમ તો 2002 ઘટનાઓની પડકારજનક રાજકીય સ્થિતિમાં જેટલી નરેન્દ્ર મોદી સાથે જ રહ્યા હતા. ગોવા કારોબારીમાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ તેવો ભાજપનો સ્પષ્ટ મત ઉભો કરવામાં અરુણ જેટલીની ઘણી મોટી ભૂમિકા હતી. આમ તો જેટલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગતપણે ઘણાં ખુશ છે. તેથી તેમને અમૃતસર ખાતે નવજોતસિંહ સિદ્ધૂના સ્થાને લોકસભાની ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. હારવા છતાં જેટલીને કેન્દ્રીય નાણાં પ્રધાન અને સંરક્ષણ પ્રધાન એમ એક સાથે બે મહત્વના પ્રધાનપદા પણ આપ્યા હતા. મનોહર પર્રિકરના સંરક્ષણ પ્રધાન બનાવ્યા બાદ જેટલી પાસે નાણાં મંત્રાલય જેવું મહત્વપૂર્ણ ખાતું છે. 

આમ તો મોદીની કેબિનેટમાં ભલે રાજનાથ નંબર-ટુ ગણાતા હોય.. પરંતુ અરુણ જેટલી હકીકતમાં વડાપ્રધાનના વઝીર હોવાની માન્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા માટે અર્થતંત્રની ગતિ અને ઊંચો વિકાસ દર નાણાં મંત્રાલય પાસેથી તેમની પહેલી અપેક્ષા હોઈ શકે છે. પરંતુ નાણાં મંત્રાલયનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે.. તેવું નહીં હોવાની ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ડીડીસીએ વિવાદમાં જેટલી સામે આમ આદમી પાર્ટીના આરોપો બાદ ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને એક કાંકરે બે પક્ષીઓ માર્યા હોવાની ચર્ચા છે. 

ચર્ચા છે કે વડાપ્રધાન મોદી આમ તો અંગતપણે જેટલીથી ખુશ છે. પરંતુ નાણાં મંત્રાલયના પ્રદર્શનથી એટલા ખુશ નથી. જેનો સીધો અર્થ થાય છે કે જેટલીના કામકાજથી તેઓ ખુશ નહીં હોય. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને જેટલીને રાજીનામું આપવાના સંકેત આપ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. કેટલાંક રાજકીય જાણકારોનું કહેવું છે કે આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ માટેની કામરાજ યોજનાની શરૂઆત પણ કહી શકાય. જેવી રીતે ઈન્દિરા ગાંધીના વડાંપ્રધાન બન્યા બાદ કામરાજ યોજના હેઠળ કોંગ્રેસના અડચણરૂપ જૂનાજોગીઓને સરકારમાંથી હટાવીને પાર્ટી સંગઠનમાં મોકલવામાં આવ્યા હતા. તેવી રીતે વડાપ્રધાન મોદી પણ તેમની સરકારના બાકી બચેલા સાડા ત્રણ વર્ષથી ઓછા સમય માટે કામરાજ યોજનાની તર્જ પર પ્રધાનમંડળમાં કોઈ ફેરફારની ઈચ્છા ધરાવતા હોય તો તેને નકારી શકાય તેમ નથી. 

વળી લલિતગેટ મામલે કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ.. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા સામેની આક્ષેપબાજી થઈ ચુકી છે. જેના કારણે મોનસૂન સત્ર ધોવાયું હતું. તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન સામે વ્યાપમનું કૌભાંડ પણ ખૂબ આક્રમક રીતે કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યું હતું. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ સામે પણ ચોખાના કૌભાંડનો મામલો ઉઠાવાયો હતો. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે રિપીટ થવાનું નક્કી મનાતું હતું તેવા સમયે જ પ્રવર્તમાન પરિવહન પ્રધાન નીતિન ગડકરી સામે પૂર્તિ કાંડ સામે આવ્યો હતો. ભાજપના મહત્વના નેતાઓ સામે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના ટાઈમિંગને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ રહે છે કે કદાચ ક્યાંક પીએમઓમાંથી તો કોઈ દોરીસંચાર તો થતો નથી ને... ગડકરીના મામલે તો આરએસએસના એક વયોવૃદ્ધ નેતાએ સીધી શંકાઓ પણ વ્યક્ત કરી હતી. 

ત્યારે જેટલી સામે બજેટ સત્ર પહેલા જ ડીડીસીએ મામલે ભાજપના જ સાંસદ કીર્તિ આઝાદ દ્વારા કરવામાં આવેલા ખુલ્લા દાવાઓ અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસના આક્રમક વલણો ચોક્કસ રાજકીય સંકેતો આપી રહ્યા છે. જેટલી પણ સોનિયા ગાંધી સાથે મળીને તેમની પાર્ટીના સાંસદ દ્વારા તેમની વિરુદ્ધ કથિત ષડયંત્રની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. 

ત્યારે સવાલ એ છે કે કીર્તિ આઝાદને જેટલી દબાણમાં આવે તેવા સાત વર્ષ જૂના મામલાને આવી રીતે ઉઠાવવાની આઝાદી કોણે આપી?.. શું ભાજપની અંદરથી કોઈ દોરીસંચાર છે? .. શું પીએમઓ કીર્તિ આઝાદની આક્ષેપબાજી કરતા દાવાઓની આઝાદી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? દિલ્હીના રાજકીય વર્તુળોમાં જેટલીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી બાદ ઉપરથી શાંત લાગતા કેન્દ્રીય રાજકારણમાં અટકળબાજીના વમળો પેદા થયા છે.

Sunday, November 15, 2015

સીરિયાના ગૃહયુદ્ધની સાઈડ ઈફેક્ટ યુરોપ પર ત્રાટકેલું શરણાર્થીઓનું સંકટ

સીરિયાને વિદેશી શક્તિઓએ ભેગા મળીને પોતાની સરસાઈ સાબિત કરવાનો અખાડો બનાવી દીધું છે. તો સુપરપાવરોના ટકરાવ વચ્ચે ઈરાન અને સાઉદી અરેબિયાની પ્રાદેશિક સ્તરે પ્રભાવ વધરવાની લડાઈ પણ તીવ્ર બની છે. જેના કારણે સીરિયા હવે શિયા-સુન્નીપંથીઓની સૌથી મોટી યુદ્ધભૂમિમાં તબ્દીલ થઈ ચુક્યું છે. પરંતુ અહીં લાગેલી આતંકની આગ દુનિયાને દઝાડી રહી હોવાથી હવે તે વૈશ્વિક પડકાર છે.

સીરિયાના ગૃહયુદ્ધને બીજા વિશ્વયુદ્ધના સૌથી મોટા માનવીય સંકટ ગણવામાં આવે છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેટલા જ લોકો ગુમ થયા છે અથવા ઈજાગ્રસ્ત બન્યા છે. તો બે કરોડ વીસ લાખ જેટલા લોકો નિરાશ્રિત બનીને દુનિયામાં ભટકીને દોઝખનો જીવતેજીવત અનુભવ કરી રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે સીરિયા ઈસ્લામિક જગતના સૌથી તીવ્ર ધાર્મિક મતભિન્નતાના શિયા-સુન્ની પંથી વર્ગવિગ્રહની સૌથી મોટી યુદ્ધભૂમિ પણ બની ચુક્યું છે. તેના પરિણામે મધ્ય-પૂર્વ એશિયાની સરહદો પર તેની ગંભીર અસર થઈ રહી છે અને વિશ્વમાં પણ આતંકવાદની આગ સીરિયાની સમસ્યા સાથે વધુ ભભૂકી ઉઠી છે. 

સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદે દેશમાં વિરોધને દબાવી દેવા માટે કરેલી કોશિશોએ પ્રાદેશિક ગૃહયુદ્ધને ભડકાવ્યું છે. સીરિયામાં હાલ ત્રણ અલગ-અલગ શક્તિઓનું વર્ચસ્વ છે. સીરિયાના પશ્ચિમ ભાગમાં અલાવાઈટ અને લઘુમતીના પ્રભાવવાળી અસદની સરકારની સત્તા છે. તેને ઈરાનિયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા તાલીમ પામેલા શિયા જૂથોનો ટેકો છે. સીરિયાના મધ્યભાગમાં સુન્ની મોડરેટ.. ઈસ્લામિક અને જેહાદી જૂથોનું વર્ચસ્વ છે. જેમાં આઈએસઆઈએસ અને અલકાયદા સાથે જોડાયેલા જમાત-અલ-નુસરાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં કુર્દીશ લોકોના પીપલ્સ પ્રોટેક્શન યુનિટ્સ એટલે કે વાયપીજી પશ્ચિમ કુર્દીસ્તાનના રોજાવા સુધીના ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું છે. 

ઘરવિહોણા થયેલા લોકો નજીકના દેશોમાં શરણ શોધતા હોય છે. તેનો ફાયદો પાડોશી દેશો પોતાના વંશીય એજન્ડાને આગળ વધારવા માટે કરતા હોય છે. તેના કારણે સીરિયાના સામાજિક તાણાવાણાંને તોડી રહ્યા છે. ઈરાન અને રશિયાના ટેકાથી અસદ હજી સુધી સત્તામાં ટકી રહ્યા છે. તો તુર્કી.. જોર્ડન.. સાઉદી અરેબિયા.. કતર અને યુએઈ સુન્નીપંથી બળવાખારો જૂથોને ટેકો આપી રહ્યા છે. જ્યારે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી વાયપીજીને સમર્થન આપી રહી છે. 

રશિયા-અમેરિકાના હસ્તક્ષેપ બાદ સીરિયાના ગૃહયુદ્ધમાં હાર-જીતનો ફેંસલો અધ્ધરતાલ

સીરિયામાં હિંસાગ્રસ્ત સ્થિતિ અને આઈએસના આતંકને કારણે નિરાશ્રિતો આશ્રય શોધવા માટે દુનિયાભરમાં ભટકી રહ્યા છે. શરણાર્થીઓ અન્ય દેશમાં આશ્રય મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સીરિયા અને ઈરાકની સરહદો ભૂંસીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કબજો જમાવ્યો છે. આઈએસના આતંકના ખેલને કારણે સીરિયાના લોકોએ દેશ છોડીને અન્ય સ્થાનો પર આશ્રય શોધવાનું શરૂ કર્યું છે. ચાલીસ લાખ નોંધણી પામેલા સીરિયન નિરાશ્રિતોમાંથી લેબનોન અને તુર્કીએ સંયુક્તપણે ત્રીસ લાખ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. 2011થી અત્યાર સુધીમાં પાંચ લાખ સીરિયન નિરાશ્રિતોએ યુરોપમાં શરણું શોધવાની કોશિશ કરી છે. અમેરિકાએ પણ બે હજાર જેટલા રેફ્યુજીને પોતાને ત્યાં શરણ આપ્યું છે. તો અમેરિકા પણ આવતા વર્ષે દશ હજારથી વધારે સીરિયન શરણાર્થીઓને આશ્રય આપે તેવી પણ શક્યતા છે.
ટ્યુનેશિયા અને ઈજીપ્ત ખાતે આંદોલનો સાથે બંને આરબ દેશોના તાનાશાહને સત્તા  છોડવી પડી હતી. પરંતુ સીરિયાનું યુદ્ધ આરબ વિશ્વમાં ઉભી થયેલી હલચલમાં વિશિષ્ટ છે. પરંતુ ગૃહયુદ્ધના મામલે સીરિયા કંઈ ખાસ નથી. સ્ટેન્ડફોર્ડ્સ જેમ્સ ફીયોરનની દલીલ છે કે ગૃહયુદ્ધ માટે ભાગે મજબૂત બનેલા અને પહેલેથી અસ્તિત્વમાં રહેલી નીતિઓ પર અસંમતિ ધરાવતા રાજકીય જૂથોની સાપેક્ષ શક્તિના ધક્કાથી મોટાભાગે શરૂ થાય છે. ત્યાર બાદ જંગમાં સામેની બાજુને તાત્કાલિક સરસાઈ મેળવતા રોકવા માટે આગળ વધારવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપતના રિપોર્ટ પ્રમાણે અસદે પહેલા વિરોધ પ્રદર્શનોની પ્રતિક્રિયામાં કેટલાંક રાજકીય કેદીઓને મુક્ત કરીને નાગરિકોની ફરિયાદ પર પુરતું ધ્યાન આપવા માટે આદેશ કર્યા હતા. પરંતુ તીવ્ર પરિવર્તનો સાથેના વિખવાદો સીરિયામાં રાષ્ટ્રીય કટોકટીનું સ્વરૂપ ધારણ કરી ચુક્યા છે.
એટલાન્ટિક ડોમિનિક તિર્નેય પ્રમાણે અસદ હેતુપૂર્વક વિરોધીઓને ઉગ્રવાદી બનાવે છે કે જેથી બળવાખોરો અપ્રસ્તુત બની જાય. આ સાથે અસદે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ સામે લડવાનું ટાળીને જેલમાંથી આતંકવાદીઓને મુક્ત કર્યા છે. આઈએસના મજબૂત થવાથી અસદની સામેના બળવાખોર જૂથોને આતંકવાદી સંગઠનની સામે હિંસક ઘર્ષણોમાં ઉતરવું પડે છે.
રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર બાર્બરા એફ. વોલ્ટરે કહ્યુ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ગૃહયુદ્ધો સરેરાશ દશ વર્ષ જેટલા ચાલ્યા છે. પરંતુ તેમાં સામેલ કેટલાંક જૂથો તેને લંબાવવા ધમપછાડા કરતા રહે છે. મોટા ભાગે બળવો વિદેશી દોરીસંચાર દૂર થાય કે તેમના દ્વારા ટેકો પાછો ખેંચાય ત્યારે બંધ થઈ જતો હોય છે. તો અસાતત્યપૂર્ણ અથવા આંશિક ટેકો પણ મોટાભાગે હારની ભૂમિકા તૈયાર કરતા હોય છે. પરંતુ જ્યારે સીરિયાના ગૃહયુદ્ધની જેમ બંને તરફથી વિદેશી હસ્તક્ષેપ વધે છે... ત્યારે આવા ગૃહયુદ્ધનો હારજીતનો ફેંસલો થતો નથી અને તે ઝડપથી પુરું પણ થતું નથી. 

સીરિયાનું ગૃહયુદ્ધ મહાસત્તાનો જંગ કે ઈસ્લામિક શિયા-સુન્ની મતભેદોની સૌથી મોટી યુદ્ધભૂમિ?

ઈરાક અને સીરિયામાં વધી રહેલા આતંકવાદી જૂથ આઈએસના વર્ચસ્વ અને સીરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિએ મિડલ-ઈસ્ટની સ્થિતિને વધુ ગંભીર અને જટિલ બનાવી દીધી છે. સીરિયાની સમસ્યા દેખાય છે.. તેટલી સરળ નથી. તેમાં અમેરિકા અને રશિયા સહીતની મહાસત્તાઓથી માંડીને ઈસ્લામિક જગતના આંતરીક મતભેદોની પણ મોટી ભૂમિકા છે.
સિરીયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધના પાંચમા વર્ષે રશિયા દ્વારા 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા હવાઈ હુમલાથી નવો તબક્કો શરૂ થયો છે. સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની સરકારને બચાવવા માટે રશિયાના હવાઈ હુમલા ઘણાં મદદગાર સાબિત થઈ રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ પોતાની સૈન્ય હાજરી વધારવાની શરૂઆત કરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન અસદની સ્થિતિ મજબૂત કરીને ગૃહયુદ્ધના અંત બાદ અમેરિકા સાથેની રાજદ્વારી વાટાઘાટોમાં મહાસત્તા તરીકેનો પ્રભાવ જાળવી રાખવાની મનસા ધરાવે છે. પરંતુ ધ એટલાન્ટિક્સના નવા પ્રોજેક્ટ હેઠળ ડેવિડ ઈગ્નાસિયસે અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સીરિયાની શિયાપંથી સરકાર અને ઈરાન સાથેની રશિયાની ભાગાદીરીથી સીરિયા યુદ્ધ માટે કારણભૂત ઈસ્લામિક વિશ્વમાં ચાલતા શિયા-સુન્ની મતભેદ વધુ ઘાતક બનશે.
તાજેતરના સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત 20111માં અસદની સરકાર સામેના શાંતિપૂર્ણ દેખાવોથી થઈ હતી. ત્યાર બાદ અહીં હિંસક બળવાખોરી શરૂ થઈ હતી. સીરિયાનું ગૃહયુદ્ધ આંશિકપણે સરકાર વિરુદ્ધ લોકોનો જંગ છે.. આંશિકપણે અસદના લઘુમતી સમુદાય અલાવાઈટ્સ સામેનું ધર્મયુદ્ધ છે.. જેમાં ઈરાન અને લેબનાનના હિઝબુલ્લાહનો અસદને સાથ મળી રહ્યો છે. જો કે સીરિયાનું ગૃહયુદ્ધ રશિયા અને ઈરાનનું અમેરિકા તથા તેના મિત્રદેશો સામેનું પ્રોક્સી વૉર પણ છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં લગભગ બે લાખ ત્રીસ હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આઈએસના વધતા પ્રભાવ વચ્ચે સીરિયાની અડધોઅડધ વસ્તી નિરાશ્રિત બનીને દુનિયાના દેશોમાં આશ્રય શોધી રહ્યા છે.
સીરિયામાં અસદના સત્તાવાર જોડાણને રશિયા અને ઈરાન તરફથી ટેકો મળી રહ્યો છે.. તો અમેરિકા અને મિત્રદેશો સાઉદી અરબિયાના સાથી ખાડીદેશો સાથે મળીને અસદ સામેના બંડખોરોને મદદ કરી રહ્યા છે. જો કે આ બધાં દેશોનો એકમાત્ર સમાન શત્રુ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ છે. જો કે પરસ્પર એકબીજાના હિતોનો વેધ સીરિયાના તમામ જૂથોને ઈસ્લામિક સ્ટેટ કરતા વધુ એકબીજા સાથે લડાવી રહ્યો છે.
2013થી ગણતરી કરવામાં આવે તો સીરિયામાં તેર જેટલા મોટા બળવાખોર જૂથો યુદ્ધ લડી રહ્યા છે. અમેરિકાની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીએ નાનાથી માંડીને મોટા બંડખોર જૂથોની ગણતરી કરીને સીરિયામાં કુલ 1200 જૂથો લડી રહ્યા હોવાનું જણાવ્યું છે. અમેરિકાની આગેવાનીમાં નવ દેશોની ગઠબંધન સેના સીરિયામાં હવાઈ હુમલા કરી રહી છે. જો કે કેનેડાના નવા વડાપ્રધાને સીરિયાના સૈન્ય અભિયાનથી અલગ થવાની વાત કરી છે. રશિયાએ ઈરાન અને હિઝબુલ્લાહના લડાકુઓ સાથે મળીને સીરિયામાં આઈએસ અને અન્ય બંડખોર જૂથો વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ સિવાય દુનિયાના ડઝનબંધ દેશોના લોકો આઈએસ અને સીરિયાના અલગ-અલગ બંડખોર જૂથોમાં સામેલ થવા માટે આવતા રહે છે.
સીરિયાના ગૃહયુદ્ધને મુખ્યત્વે ચાર મુખ્ય શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. જેમાં પહેલા મોડરેટમાંથી જેહાદી બનેલા બંડખોરો.. અસદની સેનાઓ અને તેમના ટેકેદારોના વફાદારો.. ઉત્તર-પૂર્વ સીરિયામાં સ્વાયત્તતા મેળવી ચુકેલા કુર્દીશ.. આ કુર્દીશ જૂથો હાલ અસદને દૂર કરવા ઈચ્છતા નથી. કુર્દીશ જૂથો આઈએસ સામે લડી રહ્યા છે. જ્યારે ચોથી શ્રેણીમાં વિદેશી શક્તિઓનો સમાવેશ થાય છે.
સીરિયાના ગૃહયુદ્ધમાં અસદની સરકારને રશિયા, ઈરાન અને હિઝબુલ્લાનો ટેકો મળ્યો છે. તો અસદ સામે લડી રહેલા બંડખોર જૂથોને અમેરિકાની ગઠબંધન સેના.. તુર્કી અને સાઉદી અરેબિયાના દોરીસંચારવાળી ખાડી દેશોની સેનાનો સાથ મળ્યો છે. 
સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ઈસ્લામિક જગતના ધાર્મિક મતભેદોની ભૂમિકા ઘણી મોટી છે. જેમાં શિયાપંથી ઈરાન, અસદના અલાવાઈટ્સ સમુદાય અને હિઝબુલ્લા એક તરફ છે.. તો બીજી તરફ ખાડીદેશો, અસદ વિરોધી બંડખોરો અને સુન્ની આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો સમાવેશ થાય છે. જો કે અસદ સામેના બંડખોર જૂથો અને આઈએસઆઈએસ એકબીજાના કટ્ટર દુશ્મનો તરીકે લડી રહ્યા છે. 
સીરિયાના ગૃહ યુદ્ધમાં અમેરિકા અને રશિયા વચ્ચે મહાસત્તા તરીકે મિડલ-ઈસ્ટમાં વર્ચસ્વના જંગ માટે પ્રોક્સી વૉર લડાતું હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં અમેરિકા અને ખાડી દેશો સાથે યુરોપીયન દેશોની ગઠબંધન સેના છે. તો સામેની બાજું હિઝબુલ્લાહ અને ઈરાનને રશિયાનો ટેકો મળ્યો છે. 
સીરિયામાં લડી રહેલા તમામ દેશો આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમાં રશિયા અને ઈરાન જેવા દેશો સીરિયામાં અસદની સત્તા રહે તેવો દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યારે અમેરિકા અને ખાડી દેશો ઈસ્લામિક સ્ટેટ સામે લડવાના નામે અસદ પદભ્રષ્ટ થાય તેવો અભિપ્રાય ધરાવે છે. 
કુલ મળીને રશિયાએ અસદના ટેકેદારોની તરફદારી સાથે સીરિયાના ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો છે. તો અમેરિકાએ અસદ વિરુદ્ધ બળવો કરનારા જૂથો તરફથી સીરિયામાં ઝંપલાવ્યું છે. તેના માટે અમેરિકા દ્વારા બળવાખોરોના ચોક્કસ જૂથોને તાલીમ અને શસ્ત્રો આપવામાં આવે છે. અમેરિકાના અસદને પદભ્રષ્ટ કરવાના લક્ષ્યાંકમાં વિરોધાભાસ પણ ઉભરી આવ્યો છે. સીરિયામાં આઈએસ સૌથી મજબૂત અસદ વિરોધી આતંકી જૂથ છે. પરંતુ અમેરિકા આઈએસને ખતમ કરીને તેના સિવાયના બંડખોરોને અસદના સ્થાને સત્તા પર બેસાડવા ઈચ્છે છે. એટલે કે દુશ્મનનો દુશ્મન સીરિયાની લડાઈમાં અમેરિકાનો મિત્ર નથી. પરંતુ અસદના કેટલાંક ચોક્કસ દુશ્મન બળવાખોર જૂથને અમેરિકા મિત્ર બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
જ્યારે સીરિયા સંકટમાં રશિયાએ ખૂબ ઓછી સંવેદનશીલતા દાખવીને બળવાખોર જૂથોમાં કોઈ ભેદ નહીં કરવાનો દ્રષ્ટિકોણ અપનાવીને તમામ અસદ વિરોધી જૂથોને એક જ કાટલે તોળવાનું પોતાની લશ્કરી કાર્યવાહીમાં શરૂ કર્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ઓક્ટોબર માસમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આપેલા નિવેદનનો પડઘો સીરિયામાં રશિયાની કાર્યવાહીમાં દેખાઈ રહ્યો છે. સર્ગેઈ લાવરોવે કહ્યુ હતુ કે જો આતંકવાદી લાગે તો આતંકવાદીની જેમ વર્તો અને આતંકવાદીની જેમ લડો.. તે આતંકવાદીઓ છે.. 
બરાબર ? 

સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવનારા બનાવનારા ત્રણ ખેલાડી – અમેરિકા, ઈરાન અને રશિયા!

સીરિયાના ગૃહયુદ્ધમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ છે. જેમાં સૌથી મોટું ખેલાડી અમેરિકા છે. તેની સાથે ઈરાન અને રશિયા પણ અન્ય મહત્વના સૂત્રધાર છે. સીરિયામાં આ ત્રણેય દેશના હિતો એકબીજા સાથે હરિફાઈ કરી રહ્યા છે અને એકમાત્ર લક્ષ્ય તેમને જોડે તેવી શક્યતા છે. જેમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખાતમો અમેરિકા, ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્ય છે.
અમેરિકાનું લક્ષ્ય સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસદને પદભ્રષ્ટ કરવાનું છે. તેના માટે અમેરિકા ચોક્કસ સીરિયન બળાવખોર જૂથોનું સમર્થન કરી રહ્યું છે. આ સિવાય અમેરિકા અન્ય ત્રણ લક્ષ્યો પણ ધરાવે છે. જેમાં ઈરાકને સૈન્ય સહયોગ આપવાનું લક્ષ્ય ઈરાન સાથે મેળ ખાય છે. તો ઈઝરાયલ સાથે મિત્રતા જાળવી રાખવાનું હિત રશિયા સાથે મેળ ખાય છે. જો કે તેના માટે અમેરિકાએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા માટે પણ લડાઈ લડવી પડે છે. તે અમેરિકા.. ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્યાંક છે.
સીરિયામાં ઈરાનના પણ મોટા હિતો સંકળાયેલા છે. ઈરાનના ચાર સ્વતંત્ર રાષ્ટ્રીય હિતો છે. જેમાં સૌથી પહેલું લેબનાનના બળાવખારો જૂથ હિઝબુલ્લાહનું સમર્થન કરવાનું છે. બીજું હિત ઈરાનનું પ્રાદેશિક વર્ચસ્વ વધારવાનું છે. તેના માટે તે સાઉદી અરેબિયાના પ્રાદેશિક વર્ચસ્વને પડકારવા ઈચ્છે છે. તેની સાથે ઈઝરાયલ સાથે આમનો-સામનો કરવાનું પણ તેનું ચોથું રાષ્ટ્રીય હિત છે. ઈરાનના રશિયા સાથે મેળ ખાતા હિતોમાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસાદને સૈન્ય અને રાજદ્વારી સમર્થન પુરું પાડવાનું લક્ષ્ય છે. બીજું ઈરાન અને રશિયા બંને સીરિયા ખાતે અમેરિકાની નીતિનો સામનો કરવા ઈચ્છે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મેળ ખાતું માત્ર એક જ લક્ષ્ય છે અને તે છે ઈરાકને અરાજકતામાંથી બહાર લાવવા માટે ઈરાકની સરકારને લશ્કરી સહયોગ પુરો પાડવાનું છે.
30 સપ્ટેમ્બરથી રશિયાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા છે. જેમાં રશિયાના બે સ્વતંત્ર હિતો છે. એક રશિયા પોતાની મહાસત્તા તરીકેની પ્રતિષ્ઠાની પુનર્સ્થાપના કરવા ઈચ્છે છે અને તેની સાથે ભૌગોલિક રીતે રશિયાની નજીકના મધ્ય-પૂર્વ એશિયા પર પ્રાદેશિક પ્રભાવ જમાવવાની પણ મોસ્કો ઈચ્છા ધરાવે છે. આ સાથે અમેરિકા અને રશિયાનું સમાન લક્ષ્ય ઈઝરાયલ સાથેની મિત્રતા જાળવવાનું પણ છે.
અમેરિકા, રશિયા અને ઈરાન ત્રણેયને સુન્ની આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટથી જોખમ છે. તેથી ત્રણેયનું સમાન લક્ષ્ય સીરિયા અને ઈરાકમાંથી આતંકવાદી જૂથ આઈએસનો પ્રભાવ ખતમ કરવાનું છે. આ ત્રણેય દેશોના સમાન અને સ્પર્ધાત્મક હિતોના ટકરાવે સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવી દીધો છે.

2015ના નવેમ્બર માસ સુધીમાં ફ્રાન્સમાં થયા છે 6 આતંકી હુમલા

ફ્રાન્સ અને ખાસ કરીને તેની રાજધાની પેરિસ 2015ની શરૂઆતથી જ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના આતંકી હુમલાના જોખમ તળે જ રહ્યું છે. ફ્રાન્સની ભૌગોલિક સ્થિતિ અને ડેમોગ્રાફીનો આઈએસ પર ઘણી મોટી ભૂમિકા હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. તાજેતરના હુમલાને સામેલ કરવામાં આવે 2015માં ફ્રાન્સમાં કુલ છ આતંકવાદી હુમલા થયા છે.
સાત જાન્યુઆરી, 2015ના રોજ પેરિસમાં કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દોના કાર્યાલય પર બે બંદૂકધારીઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને ચાર કાર્ટૂનિસ્ટ એક મુખ્ય સંપાદક સહીત વીસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

3 ફેબ્રુઆરી, 2015ના રોજ નાઈસમાં એક યહુદી સામુદાયિક કેન્દ્ર પર હુમલો કરીને તેની સુરક્ષામાં તેનાત ત્રણ સૈનિકોને ઘાયલ કરાયા હતા. 

19 એપ્રિલ, 2015ના રોજ એક અલ્જેરિયન દ્વારા બે ચર્ચો પર હુમલો કરાયો હતો. તેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. 

26 જૂન, 2015ના રોજ પૂર્વ ફ્રાન્સની ગેસ ફેક્ટરીમાં શંકાસ્પદ હુમલાખોરે એક વ્યક્તિનું માથું વાઢયું હતું અને બે વ્યક્તિઓને ઘાયલ કરી હતી. 

21 ઓગસ્ટ-2015ના રોજ એમ્સટર્ડમથી પેરિસ જતી એક હાઈસ્પીડ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી. તેમા ચાર લોકો ઘાયલ થયા હતા. 

14 નવેમ્બર, 2015ના રોજ પેરિસમાં સાત સ્થાનો પર આતંકી હુમલા થયા અને 160થી વધુ લોકોના મોત નીપજ્યા.. જ્યારે બસ્સોથી વધારે લોકો ઘાયલ થયા છે. 

ISISની મધ્ય-પૂર્વ એશિયાથી વિસ્તરી રહેલી આતંકની જાળ, 11 દેશો બન્યા છે ખૂની ખેલનો ભોગ

આઈએસનો ચીફ બગદાદી...આતંકનો આકા હોવા છતાં પોતાને ખલીફા ગણાવે છે. આઈએસ દ્વારા અગિયાર દેશોને નિશાન બનાવાયા છે અને બગદાદીનું આતંકી સંગઠન આઈએસ વૈશ્વિક પડકાર છે. 

પેરિસમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓની જવાબદારી આઈએસઆઈએસએ લીધી છે. ઈરાક અને સીરિયાના કેટલાક ભાગ પર કબજો કરાયા બાદ આઈએસના ચીફ અબુ બકર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરીને સીરિયા અને ઈરાકના મોટા ભાગ પર પોતાની હકૂમત સ્થાપવાનો દાવો કર્યો છે.
પેરિસ પર તાજેતરમાં (13-11-2015) થયેલા હુમલાઓ સંકેત આપી રહ્યા છે કે આઈએસ યુરોપમાં પણ પોતાના પગ ફેલાવી રહ્યું છે. આ પહેલા પણ પેરિસમાં થયેલા હુમલામાં આઈએસનો હાથ હોવાનું સામે આવી ચુક્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ લગભગ અગિયા દેશોમાં આતંકવાદી હુમલા કર્યા છે. જેને કારણે આઈએસને હવે દુનિયાના દેશો વૈશ્વિક પડકાર માની રહ્યા છે.
આઈએસઆઈએસએ દુનિયાના અગિયાર દેશોને નિશાન બનાવ્યા છે. જેમાં સાઉદી અરેબિયા.. ફ્રાન્સ.. લીબિયા.. લેબનાન.. ઈજીપ્ત.. ટ્યૂનેશિયા.. યમન.. અફઘાનિસ્તાન.. તુર્કી.. કુવૈત અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
2015ના વર્ષની શરૂઆતમાં સાતમી જાન્યુઆરીએ ફ્રાન્સના કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દો પર હુમલો કરીને ચાર કાર્ટૂનિસ્ટો અને એક મુખ્ય સંપાદક સહીત વીસ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. બાંગ્લાદેશમાં એક પછી એક બ્લોગરોની હત્યામાં પણ આઈએસનો હાથ છે. ઈજીપ્તથી રશિયા જતી ફ્લાઈટને તોડી પાડવનાનો પણ આતંકી જૂથે દાવો કર્યો છે. જેમાં 224 પ્રવાસીઓના મૃત્યુ થયા છે.
રશિયા સીરિયામાં આઈએસ સામે હવાઈ હુમલા કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન સહીત મોટાભાગના દેશોમાંથી આઈએસ સાથે જોડાયેલા શકમંદ આતંકવાદીઓની ધરપકડ થઈ ચુકી છે. પાકિસ્તાનમાં પણ કરાચી ખાતે ખોજા યાત્રાળુઓની બસ પર હુમલો કરીને પચાસથી વધુ શિયાપંથી લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં આઈએસનો હાથ હોવાનું ચર્ચાયું હતું. આઈએસની વધતી સક્રિયતા અને વર્ચસ્વના સીધા સંકેત છે કે તેણે અલકાયદા અને અન્ય ઈસ્લામિક આતંકી જૂથોનું સ્થાન લેવાનું શરૂ કર્યું છે. 

Wednesday, November 4, 2015

પાટલિપુત્રનું પાણિપત: બિહારમાં ભાજપની જીત લાલુ-નીતિશનો રાજકીય અંત, ભાજપની હાર મોદીના વળતા પાણી

- પ્રસન્ન શાસ્ત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એકબીજાના કટ્ટર રાજકીય વિરોધી ગણાય છે. બંને વચ્ચેની રાજકીય દુશ્મની બંનેની જનતામાં લોકપ્રિયતા સાબિત કરવાનો જંગ લોકસભાની ચૂંટણીથી બની રહ્યો છે. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોદી અને નીતિશના રાજકીય જંગનો ચુકાદો સંભળાવશે.
બિહારનો ચૂંટણી જંગ જીતવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. ભારતના રાજકીય ઈતિહાસમાં કદાચ પહેલા પ્રસંગ છે કે જ્યારે કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાને ચાલીસથી વધારે ચૂંટણી સભાઓને સંબોધિત કરી હોય. પરંતુ આ રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે થયો છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બિહારનો ચૂંટણી જંગ વડાપ્રધાન મોદી માટે કેટલો વધારે મહત્વનો છે. વડાપ્રધાન મોદીની આખી કેબિનેટ... ભાજપના પચાસ જેટલાં સાંસદો અને આરએસએસના હજારો કાર્યકર્તાઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાતદિવસ એક કરીને એનડીએની જીત માટે સંપૂર્ણપણે સક્રિય રહ્યા છે. મોદીએ બિહારની ચૂંટણીને પોતાના માટેનો પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો. સૌને ચોક્કસ સવાલ થતો હશે કે આખરે બિહારની ચૂંટણી મોદી માટે આટલી મહત્વપૂર્ણ શા માટે છે? બિહારની ચૂંટણી માત્ર મોદી માટે જ નહીં.. પણ લાલુ તથા નીતિશ માટે પણ અસ્તિત્વની લડાઈ છે.

બિહારમાં ભાજપની જીતનો અર્થ- 



જો બિહારની ચૂંટણીમાં લાલુ અને નીતિશના ગઠબંધનની હાર થશે તો તેનાથી સામાજિક પરિવર્તનના દાવાવાળા તેમના રાજકીય આંદોલનને મોટો ફટકો પડશે અને આ પ્રક્રિયામાં તેઓ પોતાની ઉપયોગિતા ગુમાવી દેશે. સેક્યુલર રાજનીતિના નામે મોદીને ઘેરવાનો ચક્રવ્યૂહ પણ લાલુ-નીતિશની હારથી ધ્વસ્ત થશે. આ સાથે લાલુ અને નીતિશના રાજકીય પક્ષોના અસ્તિત્વની પણ ભવિષ્યમાં કોઈ ગેરેન્ટી રહેશે નહીં. તેના કારણે તેઓ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના બિનભાજપી પક્ષો માટે ચૂંટણી સમીકરણોમાં મહત્વ ગુમાવી દેશે.
બિહારમાં ભાજપની જીતનો અર્થ થશે મોદીની સત્તાને પક્ષમાં કોઈ પડકારી નહીં શકે અને તેમના માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવાની સૌથી મોટી રાજકીય પરીક્ષા એકદમ આસાન બની જશે. વ્યક્તિગત રીતે મોદી સામે ભાજપની અંદર રહેલા તેમના વિરોધીઓનો ખતરો સમાપ્ત થઈ જશે. મોદી કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ વગર પોતાના એજન્ડા પર વધુ અસરકારક રીતે આગળ વધી શકશે અને ભાજપમાંથી કોઈ વિરોધના સૂર ઉભા થઈ શકશે નહીં. ભાજપની ભગવા નીતિ પર મોદી એન્ગલ પ્રભાવી બની જશે. સંઘ પરિવારમાં પણ નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવશે. બિહારમાં ભાજપની જીત મોદીની જીત ગણાશે અને આરએસએસના સર્વોચ્ચ નેતૃત્વને પણ વડાપ્રધાનની લોકપ્રિયતા સામે ગુજરાતની જેમ જ વામણા બનીને ઉભા રહેવું પડશે.

ભાજપની હારની સંભવિત અસરો- 



પરંતુ ભાજપ બિહારમાં હારશે તો સૌથી વધારે મુશ્કેલી જેમના નામે વિધાનસભાની ચૂંટણી લડાઈ તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સર્જાશે. ભાજપની અંદર મોદી વિરોધી સૂર વધુ મુખર બનશે. વડાપ્રધાન મોદીના નિર્ણયો સાથેની અસંમતિઓ પણ ખુલ્લેઆમ પ્રદર્શિત થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ બનશે. ભાજપના મોદીકરણથી દુખી એવા વરિષ્ઠ નેતાઓ સાથે મળીને પ્રતિરોધની જમીન તૈયાર કરે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી. વખતોવખત અડવાણી.. શાંતાકુમાર.. શત્રુઘ્નસિંહા.. અરુણ શૌરી.. યશવંતસિંહા.. મુરલી મનોહર જોશી.. સહીતના ઘણાં નેતાઓ પરોક્ષપણે મોદી નીતિ સામે પોતાનો અણગમો વ્યક્ત કરી ચુક્યા છે. આ સંખ્યામાં વધારો થઈ શકે છે. બિહારમાં ભાજપની હાર એનડીએના સમીકરણોમાં પણ અસંતુલનો પેદા કરી શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને પંજાબમાં શિરોમણી અકાલી દળ ભાજપથી નાખુશ છે. બંનેની નારાજગી વખતોવખત સપાટી પર આવતી રહી છે. આવા સંજોગોમાં બિહારમાં ભાજપની હાર થાય તો તેનો પહેલો રાજકીય ફટાકડો મહારાષ્ટ્રમાં શિવસેના અને ત્યાર બાદ પંજાબમાં શિરોમણી અકાલીદળ ફોડે તેવી શક્યતાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી. 


ભાજપની હારની સંભવિત અસરો - 



બિહારમાં લાલુ-નીતિશનું મહાગઠબંધન જીતી જશે.. તો તેનો અર્થ થશે કે સીધી મોદીની લહેર સમાપ્ત થઈ ચુકી છે. મોદીની સરકારને સત્તર માસ બાદ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે વાયદા અને વાતોથી આગળ વધીને પરિણામલક્ષી વાસ્તવિક કામ આપવું પડશે. વડાપ્રધાન મોદીના વિશ્વવિહારની સાથે રાષ્ટ્રવિહાર પણ જરૂરી બનશે. મોદીએ પોતાની લોકપ્રિયતા અને લોકસંપર્ક જાળવવા માટે ચૂંટણી સિવાયનું દેશવ્યાપી સંપર્ક અભિયાન કરવું પડશે. સંસદમાં લાલુ-નીતિશની જીત બાદ વિપક્ષી દળો ગેલમાં આવીને સરકારને ઘેરવા માટે વધુ આક્રમક વલણ અખત્યાર કરશે. કથિતપણે વધતી અસહિષ્ણુતા અને લલિતગેટ સહીતના મુદ્દે મોદી સરકારને સંસદમાં વધુ તીખા રાજકીય હુમલા સહન કરવા પડશે.
બિહારમાં લાલુ-નીતિશની જીતનો અર્થ થશે કે ભાજપની ભગવા નીતિ અને તેનો મોદી એન્ગલ નરમ બનવવો પડશે. યુપીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વધુ આક્રમક રણનીતિ દ્વારા લોકસભા જેવી જીત મેળવવા તનતોડ મહેનત કરવી પડશે. તેની સાથે સેક્યુલારિજમના નામે લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ કેટલાંક સ્તરે લાલુ-નીતિશની બિહારમાં જીતથી સપાટી પર આવી જશે. તેના માટે મોદી સરકારે પણ કેટલીક સમજૂતીઓ કરવી પડશે. અનામતની રાજનીતિ વધુ વકરશે અને લાલુ-નીતિશનું મહાગઠબંધન સરકાર સામે નવો પડકાર સર્જી શકશે.
મોદીને લોકસભા અને રાજ્યસભામાં મહત્વના બિલો મામલે મનસ્વી વલણથી દૂર રહેવાની ફરજ પડશે. દિલ્હી વિધાનસભાની હાર બાદ જેવી રીતે જમીન સંપાદન બિલ મામલે પારોઠમાં પગલા ભરવા પડયા તેવી સ્થિતિ અન્ય આર્થિક સુધારાના એજન્ડા પર ઉભી થશે. જેના કારણે વર્લ્ડ બેન્ક.. અમેરિકા.. રેટિંગ એજન્સીઓ ઈચ્છે છે તેવા આર્થિક સુધારા વડાપ્રધાન મોદીને કરવા હશે તો તેઓ લાલુ-નીતિશની બિહારમાં જીત બાદ કરી શકશે નહીં. બિહાર જેવા જ મોદી વિરોધી મોરચા માટે બિનભાજપી પક્ષો રાષ્ટ્રીય સ્તરે પણ કોશિશો કરે તેવી શક્યતાઓ પણ મહાગઠબંધનની જીત બાદ પ્રબળ બની જશે.
બિહાર હાલ સ્પષ્ટપણે બે મોરચામાં વહેંચાઈ ચુક્યું છે. પાંચ તબક્કામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દરેક તબક્કા બાદ બંને તરફથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આઠમી નવેમ્બરે બિહારની જનતાનો ચુકાદો માત્ર લાલુ અને નીતિશના રાજકીય ભવિષ્ય માટે જ નહીં.. પણ આ પરિણામ ભારતના ભવિષ્યની રાજનીતિની દિશા નક્કી કરનાર બની રહેશે.

બિહારનો ચુકાદો : મોદીની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા કે લાલુ-નીતિશના રાજકીય અસ્તિત્વનો ફેંસલો?

- પ્રસન્ન શાસ્ત્રી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર ખાતેની સરકારનો સત્તર માસનો સમયગાળો પૂર્ણ થયો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે મોદીનો વિજયરથ રોક્યો.. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોદીની લોકપ્રિયતાની લહેર અને ભારતના રાજકારણની ફંટાઈ રહેલી દિશાના ભવિષ્યને નક્કી કરશે. 


બિહાર વિધાનસભાની ચૂંટણીને દેશની ચૂંટણી ગણાવીને લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમારે જાની દુશ્મની છોડીને દોસ્તીનું મહાગઠબંધન બનાવ્યું. તેમાં કોંગ્રેસે પણ સાથ પુરાવ્યો.. તો સામે છેડે ભાજપ સાથે રામવિલાસ પાસવાનની એલજેપી.. જિતનરામ માંઝીની હમ અને આરએલએસપીનું એનડીએ છે. 

બિહાર ભારતના સૌથી પછાત રાજ્યોમાંથી એક છે. અહીં ગરીબી અને પછાતપણાનું સૌથી મોટું કારણ જાતિવાદી રાજકારણ છે. બિહારની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને લહેર દાંવ પર છે. તો નીતિશ અને લાલુના રાજકીય ભવિષ્યમાં ઘણું બધું દાંવ પર લાગેલું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બંને ગઠબંધનોની આગામી રાજકારણની દિશાને નક્કી કરતો ચુકાદો આપશે. 



બિહારમાં પછાત જાતિઓની બહુમતી છે. પરંતુ રાજ્યના રાજકારણ.. સંસાધનો અને અર્થવ્યવસ્થામાં કેટલીક ચોક્કસ જાતિઓના એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. બિહારની સામંતવાદી વ્યવસ્થાને રાજકીય સ્તરે સૌથી પહેલીવાર લાલુપ્રસાદ યાદવે જનતાદળ હેઠળ રહીને પડકારી હતી. તેમણે મુખ્યપ્રધાન તરીકે સામાજિક પરિવર્તનનું એક નવું રાજકારણ શરૂ કર્યું અને પછાત વર્ગોનો રાજકીય અવાજ બુલંદ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ ચારાકાંડ સહીતના ભ્રષ્ટાચારના મુદ્દા અને વધેલી ગુનાખોરીએ લાલુ અને તેમના જેલગમન બાદ તેમના પત્ની રાબડી દેવીના રાજને જંગલરાજની ઉપમા મળી હતી. જો કે લાલુપ્રસાદ યાદવના રાજકીય મૂળ ભ્રષ્ટાચાર સામેના જેપી આંદોલનમાં છે. પરંતુ તેમને ચારા કાંડના મામલે કોર્ટે સજા ફટકારી છે અને હાલ તેઓ જામીન પર જેલમાંથી બહાર છે. 



જેપી આંદોલનથી લાલુપ્રસાદ યાદવના સાથીદાર રહેલા નીતિશ કુમાર તેમનાથી કંટાળીને પહેલા સમતા પાર્ટી અને બાદમાં જનતાદળ-યૂનાઈટેડ બનાવી છે. નીતિશ કુમારની પાર્ટી અટલ-અડવાણીના યુગની ભાજપ સાથે જોડાણ કરીને એનડીએ સાથે સત્તર વર્ષ સુધી રહી. પરંતુ ભાજપમાં મોદીયુગના ઉદય સાથે નીતિશ કુમારે જેડીયુનો ભાજપ સાથે સંબંધ વિચ્છેદ કર્યો હતો. બિહારમાં મોદીની લોકપ્રિયતાની લહેર પર આગળ વધી રહેલા વિજયરથને રોકવા માટે લગભગ દોઢ દાયકો એકબીજાના જાની રાજકીય દુશ્મન રહેલા નીતિશ અને લાલુ મહાગઠબંધનના મિત્ર બન્યા છે. 


નીતિશ કુમાર પણ દશ વર્ષથી બિહારના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કરી ચુકયા છે. જેમાં 2005થી 2013 સુધી જેડીયુ અને ભાજપે બિહારમાં વિકાસના મસમોટા દાવા સાથે રાજ કર્યું હતું. પરંતુ બાદમાં નીતિશની વ્હારે લાલુ અને કોંગ્રેસ આવ્યા.. નીતિશ કુમારે પણ દલિત અને મહાદલિત તથા અતિપછાતની રાજનીતિને આગળ વધારી છે. તેમણે સુશાસન બાબુ તરીકે બિહારની ખોરંભે પડેલી સંસ્થાઓને બહાલ કરીને સ્થિરતા પ્રદાન કરી છે. બિહારના ચૂંટણી પરિણામો રાજ્યમાં નીતિશ કુમારની લોકપ્રિયતાની પણ અગ્નિપરીક્ષા છે. 

Friday, October 30, 2015

સમયનો સાદ સરદાર – 4: ભારતની અખંડિતતાના ગૌરવપથના શિલ્પી

- આનંદ શુક્લ

હૈદરાબાદમાં પોલીસ પગલાં

હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.

ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.

હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.

કનૈયાલાલ મુન્શીના પુસ્તક એન્ડ ઓફ એન એરામાં આપેલા સંદર્ભે પ્રમાણે નિજામે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ રોકવા માટે પાકિસ્તાનના તત્કાલિન ગવર્નર જનરલ મહંમદ અલી જિન્નાને સંદેશ મોકલીને જાણવાની કોશિશ કરી હતે કે શું તેઓ ભારત વિરુદ્ધની લડાઈમાં હૈદરાબાદનું સમર્થન કરશે? જાણીતા પત્રકાર કુલદીપ નૈયરે પોતાની આત્મકથા બિયોન્ડ ધ લાઈન્સમાં લખ્યું છે કે જિન્નાએ તેના જવાબમાં કહ્યુ હતુ કે તેઓ મુઠ્ઠીભર શાસકવર્ગના લોકો માટે પાકિસ્તાનના અસ્તિત્વને જોખમમાં નાખવા ઈચ્છશે નહીં. બીજી તરફ નહેરુ લોર્ડ માઉન્ટબેટની સલાહ પ્રમાણે હૈદરાબાદના મામલાનો ઉકેલ શાંતિપૂર્ણ ઢંગથી કરવાની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ લોખંડી પુરુષ સરદાર પટેલ નહેરુના દ્રષ્ટિકોણથી અસંમત હતા. તેઓ માનતા હતા કે નિજામની ઈચ્છા પ્રમાણે ભારતથી અલગ હૈદરાબાદ રાજ્ય દેશના પેટમાં કેન્સર સમાન હતું. તેને સહન કરી શકાય નહીં.

મુત્સદીગીરીમાં માહેર સરદાર સાહેબ સંપૂર્ણપણે જાણતા હતા કે નિજામ સંપૂર્ણપણે પાકિસ્તાનના પ્રભાવમાં હતો. ત્યાં સુધી કે પાકિસ્તાન પોર્ટુગીઝો સાથે હૈદરાબાદની સમજૂતી કરાવવાની ફિરાકમાં હતું. જેના પ્રમાણે હૈદરાબાદ ગોવામાં પોર્ટ બનાવીને જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે.

તો હૈદરાબાદના નિજામે પોતાના એક બંધારણીય સલાહકાર સર વોલ્ટર મૉન્કટોન દ્વારા લોર્ડ માઉન્ટબેટનનો સીધો સંપર્ક કર્યો હતો. મૉન્કટૉન કન્જર્વેટિવ પાર્ટી સાથે ઘનિષ્ઠતા ધરાવતો હતો. ત્યારે માઉન્ટબેટને તેને સલાહ આપી કે હૈદરાબાદે બંધારણીય સભામાં તો પોતાનો ઓછામાં ઓછો એક પ્રતિનિધિ મોકલવો જોઈતો હતો. તો તેના જવાબમાં મૉન્કટૉને કહ્યુ હતુ કે જો તેઓ વધારે દબાણ નાખશે તો હૈદરાબાદ પાકિસ્તાન સાથે વિલિનીકરણ સંદર્ભે ગંભીરતાથી વિચારશે.

સરદાર પટેલના દ્રઢ નિર્ધાર સામે નિજામને ઢીલા પડવું પડયું અને તેણે હૈદરાબાદને એક સ્વાયત્ત રાજ્ય રાખીને વિદેશ, સંરક્ષણ અને સંચારની જવાબદારી ભારતને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તેને આખરી સ્વરૂપ આપવા માટે તેઓ રજાકારોના પ્રમુખ કાસિમ રાજવીને રાજી કરી શક્યા નહીં. રજાકારોની હિંદુઓ પર હુમલા કરવાની આતંકી પ્રવૃતિએ ભારતના જનમતને તેમની વિરુદ્ધ કરી દીધો. 22મી મે, 1948ના દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હિંદુઓ પર ગંગાપુર રેલવે સ્ટેશને હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે હૈદરાબાદના રજાકારો પ્રત્યેનું વલણ ભારત સરકારે આકરું કર્યું હતું.

ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉપસેનાધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સિન્હાએ પોતાની આત્મકથા- સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટમાં લખ્યું છે કે “ હું જનરલ કરિયપ્પા સાથે કાશ્મીરમાં હતો કે સંદેશ મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા ઈચ્છે છે. દિલ્હી પહોંચીને બંને પાલમ એરપોર્ટથી સીધા સરદાર પટેલના નિવાસસ્થાને ગયા. હું વરંડામાં રહ્યો જ્યારે કરિયપ્પા અંદર તેમને મળવા ગયા અને પાંચ મિનિટમાં બહાર આયા. બાદમાં તેમણે મને કહ્યુ કે સરદારે તેમને સીધો સવાલ પુછયો જેને તેમણે એક શબ્દમાં જવાબ આપ્યો છે. સરદારે તેમને પુછયું કે જો હૈદરાબાદના મામલે પાકિસ્તાન તરફથી કોઈ સૈન્ય પ્રતિક્રિયા આવે છે તો શું તેઓ કોઈપણ વધારાની મદદ વગર તે પરિસ્થિતિનો સામનો કરી શકશે? કરિયપ્પાએ તેનો એક શબ્દમાં જવાબ આપ્યો – હા- અને ત્યાર બાદ બેઠક પૂર્ણ થઈ ગઈ.”

ત્યાર બાદ નહેરુની નામરજી છતા સરદાર પટેલે દેશહિતમાં ગૃહપ્રધાન તરીકે હૈદરાબાદ વિરુદ્ધ લશ્કરી પગલાને આખરી રૂપ આપ્યું. ભારતના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ રોબર્ટ બૂચર અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંને સરદારના નિર્ણય વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે પાકિસ્તાનની સેના તેના જવાબમાં અમદાવાદ અથવા મુંબઈ પર બોમ્બમારો કરી શકે છે. બે વખત હૈદરાબાદમાં સૈન્ય કાર્યવાહીની તારીખો નક્કી થઈ પણ રાજકીય દબાણોને કારણે તેને રદ્દ કરવી પડી. દુર્ગાદાસે પોતાના પુસ્તક – ઈન્ડિયા ફ્રોમ કર્જન ટૂ નહેરુ એન્ડ આફ્ટરમાં લખ્યું છે કે જ્યારે નિજામના કાર્યવાહી રોકવા સંબંધિત પત્રના જવાબનો મુસદ્દો તૈયાર થયો ત્યારે પટેલે ઘોષણા કરી કે ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી ચુકી છે અને તેને રોકવા માટે હવે કંઈ કરી શકાય નહીં. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર પુસ્તકનો સંદર્ભ ટાંકીને દાવો કર્યો હતો કે હૈદરાબાદના પોલીસ એક્શનને કારણે જવાહરલાલ નહેરુએ સરદાર પટેલ પર કોમવાદી હોવાનો આરોપ મૂકતું નિવેદન પણ કર્યું હતું...

નહેરુ અને રાજાજી ચિંતિત હતા કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. પરંતુ ચોવીસ કલાક સુધી પાકિસ્તાન તરફથી કોઈ જ કાર્યવાહી થઈ નહીં. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાને ડિફેન્સ કાઉન્સિલની બેઠકમાં પુછયું કે શું હૈદરાબાદમાં પાકિસ્તાન કોઈ એક્શન લઈ શકે છે? બેઠકમાં હાજર ગ્રુપ કેપ્ટન અલવર્દીએ દ્રઢતાથી કહ્યું, ના.

ભારતીય સેનાના હૈદરાબાદ ખાતેના લશ્કરી પગલાને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું... કારણ કે તે વખતે હૈદરાબાદમાં વિશ્વમાં સૌથી વધારે 17 પોલો મેદાન હતા. પાંચ દિવસ ચાલેલી લશ્કરી કાર્યવાહીમાં 1373 રજાકારો માર્યા ગયા હતા. હૈદરાબાદ સ્ટેટના 807 જવાનો માર્યા ગયા હતા. તો ભારતીય સેનાના 66 જવાનો શહીદ થયા અને 97 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાના હૈદરાબાદમાં લશ્કરી પગલાના બે દિવસ પહેલા 11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના સંસ્થાપક મહંમદઅલી જિન્નાનું નિધન થયું હતું. પાંચ દિવસના પોલીસ એક્શન બાદ હૈદરાબાદની સેનાના મેજર જનરલ સૈયદ અહમદ અલ ઈદ્રશે ભારતીય સેનાના મેજર જનરલ જે. એન. ચૌધરી સામે આત્મસમર્પણ કર્યું હતું.

જમ્મુ-કાશ્મીરને બચાવવા માટેની સરદારની કોશિશ


સરદાર પટેલે જમ્મુ-કાશ્મીરના વણઉકેલ્યા વિવાદને ભારત માટે લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પેચીદા મામલાને ઉકેલવા માટે સરદારે પોતાની તમામ કુનેહ અને મુત્સદીગીરી દ્રઢતાપૂર્વક લગાવી દીધી હતી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો શ્રીનગર સહીતનો ઘણો મોટોભાગ ભારત બચાવી શક્યું છે. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગરની દખલગીરી અને માઉન્ટબેટનની સલાહથી પાકિસ્તાનને ખદેડયા વગર યૂનોમાં જવાની ભૂલનું ભોગ આજે પણ ભારતને બનવું પડે છે. ત્યારે ખરેખર સરદાર સાહેબને યાદ કરીને ભારતની જનતા આજે પણ કાશ્મીર મામલે આવી જ કુનેહ ફરી વખત દેખાડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહી છે.

દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતથી જિન્નાની જીદે અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામના ટુકડાઓ ધર્મના નામે બંને બાજુના પડખામાંથી કાપી લીધા. જિન્નાની મહત્વકાંક્ષા વિશાળ પાકિસ્તાનની રહી હતી. પરંતુ પંજાબ અને બંગાળના ભાગલા કરીને તૂટેલું-ફૂટેલું પાકિસ્તાન મળવાનો જિન્નાહને ભારે વસવસો હતો. જિન્નાહે 543 રજવાડાઓ પર નજર બગાડવાની શરૂ કરી. તેમાં મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રાજ્ય પર તેમની ગીધ દ્રષ્ટિ મંડાઈ. જમ્મુ-કાશ્મીરમાં રાજા હિંદુ હતા અને વસ્તીની બહુમતી મુસ્લિમોની હતી. તત્કાલિન મહારાજા હરિસિંહ પાકિસ્તાન સાથે જવા ઈચ્છતા ન હતા અને મુસ્લિમ બહુમતી હોવાને કારણે રાજકીય સમીકરણો પ્રમાણે ભારત સાથે વિલીનીકરણના સ્થાને સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા.

પરંતુ પાકિસ્તાન પ્રેરીત હરકતો અને ખુદ પાકિસ્તાની સૈનિકોએ કબાઈલીઓનો વેશપલટો કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. 23 ઓક્ટોબર, 1947ના દિવસે કબાઈલીઓના વેશમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર પર હુમલો કર્યો હતો. ગિલગિટ સ્કાઉટ્સના બ્રિટિશ સેનાપતિએ બળવો કરીને ગિલગિટ પાકિસ્તાનને સોંપી દીધું. તો બાલટિસ્તાનમાં પણ પાકિસ્તાને કબજો જમાવવામાં સફળતા મેળવી હતી. મુઝફ્ફરાબાદમાં તેનાત કાશ્મીરની બટાલિયયના તમામ મુસ્લિમ સૈનિકોએ બળવો કરીને કમાન્ડિંગ ઓફિસર અને પોતાના સાથી સૈનિકોને ઠાર કર્યા હતા. ભયાનક કત્લેઆમ કરતા તેઓ શ્રીનગર પર કબજો જમાવવા આગળ વધી રહ્યા હતા.

મહારાજા હરિસિંહે પોતાની સેનાઓની પીછેહઠના પરિણામે ભારત સરકારને મદદ માટે પેગામ મોકલ્યો. ભારત સરકારે પોતાના વિશેષ દૂત વી. પી. મેનને શ્રીનગર મોકલ્યા અને મહારાજાને જોડાણપત્ર પર હસ્તાક્ષર કરાવા માટે સમજાવ્યા. જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનના કબજામાં જાય નહીં તેના માટે ભારતના ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલ સૌથી વધારે ચિંતિત હતા. ભારતના રજવાડાઓને એકઠા કરીને આધુનિક ભારતનું નિર્માણ તેમના હસ્તગત આવતી જવાબદારી હતી. 26 ઓક્ટોબર, 1947ના રોજ મહારાજા હરિસિંહ દ્વારા જોડાણખત પર હસ્તાક્ષર કરાયા બાદ તાત્કાલિક ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનીઓને ખદેડવા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. તેના માટે સરદાર પટેલે સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને જણાવ્યું કે કાશ્મીર બચાવવા માટે જે જરૂર હોય તે કરો. જો કે પંડિત નહેરુનું વલણ થોડું ઢચુંપચું હતું. ત્યારે સરદારે તેમને દ્રઢતાપૂર્વક પુછયું કે તેઓ કાશ્મીર બચાવવા ઈચ્છે છે કે કેમ? નહેરુએ પણ તાત્કાલિક જવાબ આપતા કહ્યુ કે નિશ્ચિતપણે કાશ્મીર ભારત સાથે ઈચ્છે છે. તુરંત સરદારે સૈન્ય અધિકારીઓને કહ્યુ કે તમને આદેશ મળી ગયો છે.
ભારતીય સેનાના જવાનોએ અપાર સાહસ અને બહાદૂરી સાથે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર ખાતે પહોંચીને પાકિસ્તાનીઓને ભારતની ધરતી પરથી ખદેડવામાં સફળતા મેળવી. શ્રીનગર બચાવવામાં ભારતીય સેનાને મળેલી સફળતા બાદ અન્ય મોરચાઓ પર પણ પાકિસ્તાનની પીછેહઠ થઈ રહી હતી. તેવા સમયે ડિસેમ્બર-1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું પંચ દિલ્હી અને કરાચીના પ્રવાસે આવ્યું હતું. લોકમત સંગ્ર માટે અમુક ઠરાવો રજૂ કર્યા. પાકિસ્તાન તેને સ્વીકારવા માટે ટાંપીને જ બેઠું હતું.

ભારતીય લશ્કર પાકિસ્તાનીઓને ખદેડી મૂકે તે પહેલા જ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુદ્ધવિરામની ઘોષણા કરી નાખી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પાકિસ્તાનના કબજા હેઠળ છે. જાણકારોનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પંડિત નહેરુએ હસ્તક્ષેપ કર્યો ન હોત અને સરદાર પટેલને કાર્યવાહી કરવા દીધી હોત.. તો હૈદરાબાદની જેમ જ જમ્મુ-કાશ્મીરનો મામલો પણ કાયમ માટે ઉકેલી શકાત

ભારતના પ્રથમ વડાપ્રધાનની વરણીના પચ્ચીસ વર્ષ બાદ ચક્રવર્તી રાજગોપાલાચારીએ પંડિત જવાહરલાલ નહેરુની ભૂલોનો સીધો ઉલ્લેખ ટાળતા લખ્યું હતુ કે નિશંકપણે સારું હોત, જો નહેરુને વિદેશ પ્રધાન અને સરદાર પટલને વડાપ્રધાન બનાવવામાં આવત. જો પટેલ થોડા દિવસ વધુ જીવિત રહેત તો તેઓ પ્રધાનમંત્રી પદે જરૂરથી પહોંચત અને તેના માટે કદાચ તેઓ યોગ્ય પાત્ર હતા. ત્યારે ભારતમાં કાશ્મીર, તિબેટ, ચીન અને અન્ય વિવાદોની કોઈ સમસ્યા રહેત નહીં. સરદાર સાહેબે પણ એચ. વી. કામતને જમ્મુ-કાશ્મીરનો મામલો ગૃહ વિભાગના સ્થાને વિદેશ વિભાગ હસ્તગત કરવાના મામલે પોતાની નાખુશી વ્યક્ત કરી હતી.


જૂનાગઢમાં આરઝી હૂકુમત


જૂનાગઢનો નવાબ આઝાદી વખતે પોતાની પ્રજાના અભિપ્રાય વિરુદ્ધ પાકિસ્તાનમાં જોડાવાની જીદ લઈને બેઠો હતો. તેણે પાકિસ્તાનમાં જોડાવા માટે બેનઝીર ભૂટ્ટોના દાદા અને જૂનાગઢના તત્કાલિન દિવાન શાહનવાઝ ભુટ્ટોના દોરીસંચાર હેઠળ ખૂબ ધમપછાડા કર્યા છે. પણ જનતાના વિરોધ વચ્ચે નવાબને પોતાની એક બેગમ અને બાળકને છોડીને ભાગવું પડયું. જો કે આશ્ચર્યની વાત એ છે કે જૂનાગઢનો નવાબ ભાગતી વખતે પોતાના કૂતરાં અને રોકડ-દસ્તાવેજો-આભૂષણો સાથે લઈ જવાનો ભૂલ્યો નહીં

ગુજરાતના કાઠિયાવાડમાં જૂનાગઢનું રાજ્ય એક મુસ્લિમ નવાબના હાથમાં હતું. રાજ્યની એક બાજુ સમુદ્ર અને બંને તરફ હિંદુ રાજાઓના રજવાડા હતા કે જેઓ ભારતનો ભાગ બની ચુક્યા હતા. જમીન માર્ગે જૂનાગઢનો પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી. છતાં મહોમ્મદ અલી જિન્નાહે નવાબને પાકિસ્તાનમાં ભળવા માટે રાજી કર્યો અને કરાચીના મુસ્લિમ લીગી દિવાન શાહનવાઝ ભૂટ્ટોને હાથો બનાવીને પોતાની રાજકીય ચાલ પૂર્ણ કરવા પ્રયત્નો કર્યા હતા.

જૂનાગઢ સાથે જોડાયેલા બાવરિયાવાડ અને માંગરોળના રજવાડા ભારત સાથે જોડાઈ ગયા. જૂનાગઢના નવાબની સેનાએ આ વિસ્તારો પર ચઢાઈ કરીને તે વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો. વી. પી. મેનન પ્રમાણે, આ સંદર્ભે માઉન્ટબેટન પાકિસ્તાન તરફી ચાલ ચાલ્યા હતા. વી. પી. મેનને કહ્યુ હતુ કે આ સંદર્ભે સરદાર પટેલનો અભિપ્રાય હતો કે જૂનાગઢ દ્વારા બાવરિયાવાડમાં સેના મોકલવીઅને તેને પાછી બોલાવવાનો ઈન્કાર કરવાની કાર્યવાહી આક્રમણ જેવી છે. તેનો જવાબ દંડાથી જ આપવો જોઈએ. માઉન્ટબેટને આ પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રને સોંપવાનું સૂચન કર્યું હતું. પરંતુ સરદાર પટેલે દ્રઢતાથી તેનો ઈન્કાર કર્યો અને યુદ્ધની શક્યતાઓ વચ્ચે ભારતીય સેનાને પોતાના રાજ્ય ક્ષેત્રોમાં રહે તેવી રીતે તાત્કાલિક જૂનાગઢ તરફ મોકલવાનો નિર્ણય કરાયો.

જૂનાગઢ અને કાઠિયાવાડના લોકોએ તાત્કાલિક વિદ્રોહનું બ્યૂગલ ફૂંક્યું અને એક આરજી હકૂમતની રચના કરી અને તેના સ્વયંસેવકોએ વહીવટી તંત્ર પર કબજો જમાવી દીધો હતો. તો ભારતીય સેનાએ પણ ત્યાં પહોંચીને સ્થિતિને સામાન્ય બનાવી દીધી. જૂનાગઢનો પાકિસ્તાનવાદી નવાબ પુંછડી દબાવીને પોતાની રિયાસત છોડીને ભાગી ગયો હતો. જૂનાગઢમાં લોકોએ ભારતમાં જોડાવાની તરફેણ કરતો મત વ્યક્ત કર્યો. જૂનાગઢના મામલાનો સરદાર પટેલ દ્વારા દ્રઢતાથી ઉકેલ તેમની દબાણોમાં ત્વરિત નિર્ણય લેવાની શક્તિનો પરિચય આપે છે.

સોમનાથ મંદિરના પુનર્નિમાણથી ભારતના ગૌરવનું પુનર્સ્થાપન

માનવના હ્રદયમાં સર્જનાત્મકતા શક્તિ અને શ્રદ્ધા સર્વદા વાસ કરે છે. તે તમામ શસ્ત્રો, સેનાઓ કે સમ્રાટોથી વધુ શક્તિશાળી છે. સોમનાથજીનું આ મંદિર આજે પોતાનું મસ્તક ઊંચુ કરીને સંસારની સામે એ ઘોષણા કરે છે કે જેને જનતા આદર કરે છે, જેના માટે જનતાના હ્રદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્નેહ છે. તેને સંસારમાં કોઈ મિટાવી શક્તું નથી. આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી થઈ રહી છે અને જ્યાં સુધી તેનો આધાર જનતાના હ્રદયમાં બનેલો રહેશે, ત્યાં સુધી આ મંદિર અમર રહેશે.. આ અસામાન્ય શબ્દો ભગવાન સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હતા. જો કે તેમના આ શબ્દોને સાકાર કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. સરદાર અને સોમનાથ વચ્ચેના અજ્ઞાત અને દિવ્ય સંબંધોને સાચી શબ્દાંજલિ આપતા કનૈયાલાલ મુન્શીએ કહ્યુ હતું કે જો સરદાર ન હોત.. તો આપણી આંખો સોમનાથનું પુનર્નિમાણ જોવા ન પામી હોત..

શ્રદ્ધાસ્થાનો પર આઘાત કરવાથી અને તેને ધ્વસ્ત કરી નાખવાથી... વારંવાર આમ કરવાથી કોઈપણ શ્રદ્ધાનો નાશ કરી શકાતો નથી. ગુજરાતના દરિયાકિનારે ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું ભગવાન સોમનાથનું મંદિર આનું સૌથી મોટું ઉદાહરણ છે. અફઘાનિસ્તાનના ગઝનીના મહેમૂદ ગઝનવીએ સૌથી પહેલી વખત 1015માં ભગવાન સોમનાથના ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું અને આ સિલસિલો ઔંરંગઝેબના શાસનકાળ સુધી ચાલુ રહ્યો.. ભારતના શ્રદ્ધાકેન્દ્રોને ધ્વસ્ત કરવાની શેતાની માનસિકતા છતા વારંવાર મંદિર તો ફરીથી બનાવી લેવાતું હતું. પરંતુ હાલનું ભવ્ય સોમનાથ મંદિર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોહપુરુષ સરદાર પટેલના પ્રયત્નોનું પરિણામ છે.

જૂનાગઢના નવાબને ભગાડીને પ્રજામતથી તેનું ભારતમાં વિલિનીકરણ સોમનાથ મંદિરના પુનર્નિમાણનું પ્રથમ પગલું હતું. 13મી નવેમ્બર, 1947ના રોજ સરદાર પટેલ જૂનાગઢમાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ કનૈયાલાલ મુન્શી, જામસાહેબ દિગ્વિજસિંહજી અને કાકાસાહેબ ગાડગીલ સાથે સોમનાથ ગય હતા. સોમનાથ મંદિરના ભગ્નાવશેષો જોઈને તમામ રાષ્ટ્રભક્તોના હ્રદય દ્રવી ઉઠયા હતા. સાથીદારો સાથે સંવાદ કર્યા પછી સરદાર સાગર કિનારે ગયા અને રત્નાકરની અંજલિ હાથમાં લઈને સોમનાથના ચરણે મંદિરના પુનર્નિમાણનો સંકલ્પ-અર્ઘ્ય સમર્પિત કર્યો. સરદાર પટેલે જનમેદની સામે મંદિર નિર્માણનો સંકલ્પ રજૂ કર્યો અને જામસાહેબથી શરૂ થયેલી દાનની સરવાણીએ શ્રીસોમનાથ મંદિર ટ્રસ્ટના શ્રીગણેશ કર્યા. પરંતુ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સોમનાથ મંદિરના પુનર્નિમાણના પક્ષમાં ન હતા. તેમનું કહેવું હતું કે બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર આવું કેવી રીતે કરી શકે.. પરંતુ સરદારની મક્કમતા હિમાલયની જેમ અડગ રહી. નિયમ પ્રમાણે મહાત્મા ગાંધી વચ્ચે પડયા અને મંદિર માટે સરકારની તિજોરીમાંથી નાણાં નહીં વપરાય તેવી જાહેરાત કરવામાં આવી. પરંતુ તમામ વિઘ્નો વચ્ચે સરદારના માર્ગદર્શન પ્રમાણે સોમનાથ મંદિરનું પુનર્નિમાણ કાર્ય શરૂ થઈ ગયું.

19 એપ્રિલ, 1950ના રોજ તત્કાલિન સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઢેબરભાઈના હસ્તે ગર્ભગૃહ નિર્માણ માટે ભૂમિખનન વિધિ થઈ હતી. તો 8 મે, 1950ના રોજ નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે મંદિરનો શિલાન્યાસ થયો. 15મી ડિસેમ્બર, 1950ના રોજ સરદારના દેહત્યાગ બાદ પણ સોમનાથ મંદિરનું કામ ચાલુ જ રહ્યું. 11 મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે દમના દર્દી હોવાછતાં સમુદ્રસ્નાન કરીને સવારે સાડા નવ વાગ્યે હોરા નક્ષત્રમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી નવા મંદિરનો શ્રીગણેશ કરાવ્યો. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા પર તત્કાલિન વડાપ્રધાન પંડિત નહેરુનો વિરોધ હોવાનું ચર્ચાતું રહ્યું છે.

13 મે, 1965ના રોજ મહારાજા જામસાહેબના હસ્તે મંદિરના ગર્ભગૃહ અને સભામંડપ પર કળશ પ્રતિષ્ઠા અને શિખર ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. 28મી નવેમ્બર, 1966ના રોજ સ્વર્ગવાસી જામસાહેબના પત્ની ગુલાબકુંવરબા દ્વારા તૈયાર થનારા દિગ્વિજય દ્વારનો કનૈયાલાલ મુન્શીના હસ્તે શિલાન્યાસ કરાયો હતો. 4 એપ્રિલ, 1970ના રોજ રવિશંકર મહારાજના હસ્તે સરદારની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું. 19 મે, 1970ના રોજ સત્ય શ્રી સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું લોકાર્પણ થયું. 1 ડિસેમ્બર, 1995ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા દ્વારા નૃત્ય મંડપ પર કળશ પ્રતિષ્ઠા સાથે સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.

સમયનો સાદ સરદાર-3 : RSS પરત્વેનું વલણ અને મુસ્લિમો પ્રત્યેનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતા લોહપુરુષને કથિત સેક્યુલરોના પક્ષપાતપૂર્ણ દ્રષ્ટિકોણથી અન્યાય

- આનંદ શુક્લ

કટ્ટર હિંદુવાદી અથવા મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા નેતા તરીકે બદનક્ષી પામેલા સરદાર પટેલ ભારતના પહેલા ગૃહ પ્રધાન હતા કે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સૌથી પહેલો પ્રતિબંધ લગાવ્યો હતો. સરદાર પટેલ વ્યવહારકુશળ અને હકીકતોને આધારે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારા વ્યક્તિ હતા. તેઓ પોતાના જાહેરજીવનની છાપ કરતા ભારતના હિતને વધારે મહત્વ આપતા હતા. તેના કારણે સરદાર સાહેબને ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો છે.


આરએસએસ પ્રત્યેનો સરદારનો દ્રષ્ટિકોણ


1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સૌથી પહેલો પ્રતિબંધ પંડિત જવાહરલાલ નહેરુએ નહીં, પણ સરદાર પટેલે ગૃહપ્રધાન તરીકે લગાવ્યો હતો. ગાંધીજીની હત્યા બાદ સંઘના દ્વિતિય સરસંઘચાલક ગુરુ ગોલવલકરને નહેરુએ નહીં, પણ પટેલે જેલમાં બંધ કર્યા હતા. નહેરુ તો સંઘ પર પ્રતિબંધ લગાવવા માત્રથી સંતુષ્ટ હતા. તેઓ વધુ કંઈ કરવા ઈચ્છતા ન હતા. પરંતુ કટ્ટર હિંદુવાદી ગણાતા સરદાર પટેલે કહ્યુ હતુ કે બસ હવે બહુ થઈ ચુક્યું, સંઘને હવે છૂટ્ટા સાંઢની જેમ સમાજમાં ખુલ્લો મૂકી શકાય નહીં. તેના પર લગામ કસવી પડશે.

27મી ફેબ્રુઆરી, 1948ના રોજ નહેરુને લખેલા પત્રમાં તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે આની પાછળ હિંદુ મહાસભા અને સંઘનું ષડયંત્ર છે. . 4 ફેબ્રુઆરી, 1948ના રોજ સંઘ પર પ્રતિબંધનું જાહેરનામું જારી કરતી વખતે ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે સંઘના સ્વયંસેવકો અયોગ્ય કાર્ય પણ કરી રહ્યા છે. હિંદુ મહાસભાના નેતા અને આઝાદ ભારતની પહેલી સરકારમાં ઉદ્યોગ પ્રધાન શ્યામ પ્રસાદ મુખર્જીને સરદાર પટેલે 18મી જુલાઈ, 1948ને મોકલેલા પત્રમાં સરદારે સ્પષ્ટપણે લખ્યું હતું કે આરએસએસ અને હિંદુ મહાસભાની વાતને લો. ગાંધીજીની હત્યાનો મામલો કોર્ટમાં છે અને આ બંને સંગઠનોની ભાગીદારી સંદર્ભે કંઈ કહેવું જોઈએ નહીં.પણ તેમને મળેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ થાય છે કે બંને સંસ્થા ખાસ કરીને આરએસએસની ગતિવિધિઓના પરિણામે દેશમાં આવો માહોલ બન્યો કે આવો બર્બર કાંડ શક્ય બન્યો. મારા દિમાગમાં કોઈ શંકા નથી કે હિંદુ મહાસભાનું અતિવાદી જૂથ ષડયંત્રમાં સામેલ હતું.

ગાંધીજીની હત્યા સંદર્ભે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરને 19મી સપ્ટેમ્બર, 1948ના રોજ પત્ર લખીને જણાવ્યું હતુ કે હિંદુનું સંગઠન કરવું, તેમની મદદ કરવી એક વાત છે. પરંતુ તેમની મુસીબતોનો બદલો નિશસ્ત્ર લાચાર મહિલાઓ, બાળકો અને વ્યક્તિઓથી લેવો બીજી વાત છે. તેમના તમામ ભાષણો કોમવાદી વિષથી ભરેલા હતા. હિંદુઓમાં જોશ પેદા કરવો અને તેમની સુરક્ષા કરવા માટે એ જરૂરી ન હતુ કે આવું ઝેર ફેલાવવામાં આવે. આ ઝેરનું ફળ આખરે એ આવ્યું કે ગાંધીજીની અમૂલ્ય કુરબાની દેશને સહન કરવી પડી.

લોખંડી નિર્ણયો કરવા માટે જાણીતા સરદાર પટેલે આરએસએસને સ્પષ્ટ જણાવ્યુ હતુ કે પ્રતિબંધ ત્યારે જ હટાવાશે અને ગુરુ ગોલવલકર ત્યારે જ જેલની બહાર આવશે જ્યારે સંઘ પોતાનું લેખિત બંધારણ બનાવે. દેશના ગૃહ પ્રધાન તરીકે સરદાર પટેલે સંઘ પાસે લેખિત બંધારણ દ્વારા હિંસાનો ત્યાગ, ગુપ્તતાનો ત્યાગ અને દેશના બંધારણમાં આસ્થાનો સ્વીકાર કરવાની ખાતરી માંગી હતી. સરદાર પટેલના પ્રસ્તાવ પર ગુરુ ગોલવલકરે વચન આપ્યું કે જેલમાંથી બહાર નીકળીને તેઓ સંઘનું બંધારણ બનાવશે. તે વખતે ગોલવલકર મધ્યપ્રદેશની શિવની જેલમાં હતા. ગોલવલકરના આશ્વાસનથી સરદાર પટેલ માન્યા નહીં. સરદારે પૂર્ણ દ્રઢતાથી કહ્યુ કે પહેલા સંઘનું બંધારણ બને પછી ગુરુ ગોલવલકર જેલમાંથી બહાર આવશે. શિવની જેલમાં જ સંઘનું બંધારણ બનાવવામાં આવ્યું. આરએસએસનું લેખિત બંધારણ બાલાસાહેબ દેવરસ, એકનાથ રાનડે અને પી. બી. ધાતીએ તૈયાર કર્યું હતું. પટેલે જૂન-1949માં સંઘ દ્વારા તૈયાર કરાયેલા બંધારણને મંજૂરી આપી હતી અને 11મી જુલાઈ, 1949ના રોજ આરએસએસ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. જાણકારોનું માનીએ તો આરએસએસને સાંસ્કૃતિક સંગઠન તરીકે જ કામ કરવા માટે સરદાર પટેલે બાધ્ય કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે ગાંધીજીની હત્યા વખતે સરદાર પટેલ પર ગંભીર આક્ષેપબાજી દ્વારા રાજીનામાની ઉગ્ર માગણી થઈ હતી. કેટલાક સરદાર પટેલ વિરોધી તત્વોએ ષડયંત્રમાં સરદાર પટેલની સામેલગીરી જેવા બેહૂદા આક્ષેપો પણ લગાવ્યા હતા. પરંતુ સરદારની ગાંધી ભક્તિ અને રાષ્ટ્ર સાધના તમામ શંકાઓથી પર છે. સરદાર પટેલ સંઘના સ્વયંસેવકોની રાષ્ટ્રભક્તિ માટે શંકા ધરાવતા ન હતા. પરંતુ તેમની પદ્ધતિ સામે તેમને વાંધો હતો. પ્રતિબંધ દૂર થયા બાદ કોંગ્રેસની કારોબારીમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો કે સંઘના સ્વયંસેવકો ઈચ્છે તો કોંગ્રેસમાં જોડાઈ શકશે. પરંતુ તેઓ કોંગ્રેસ કે સેવાદળ સિવાય બીજા કોઈ સંગઠનમાં ભાગ લઈ શકશે નહીં. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા પ્રાત્ સ્મરણ વખતે ગવાતા એકાત્મતા સ્તોત્રમાં સરદાર વલ્લભાઈ પટેલનું નામ પણ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. સંઘ અને સરદાર પટેલને જોડતી કડી માત્ર રાષ્ટ્રભક્તિ છે. બંનેનું એકબીજા પ્રત્યેનું વલણ પાર્ટી લાઈન પર છે. ગાંધી-નહેરુ પરિવારની રાજસત્તાના તબક્કાઓમાં સરદાર પટેલની અવગણનાઓ વચ્ચે તેમના યોગદાનને લોકો આજે પણ યાદ કરે છે.

સાચા સેક્યુલર સરદાર


સરદાર પટેલ બહુમતીવાદી અને લઘુમતીવાદી એમ બંને પ્રકારની કોમવાદી માનસિકતાના વિરોધી હતા. જિન્નાની પાકિસ્તાનવાદી વિચારધારા અને મુસ્લિમ લીગના કોમવાદનો સરદાર પટેલે ખૂબ દ્રઢતાથી વિરોધ કર્યો હતો. તો હિંદુ મહાસભા અને આરએસએસના અંતિમવાદી વલણોનો પણ સરદાર પટેલે ખૂબ જ આક્રમકતાથી વિરોધ કર્યો. ઘણાં ઈતિહાસવિદ્દો એ વાત સાથે સંમત છે કે સરદાર પટેલનું જીવન દર્શન બિલકુલ બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી હતું. ભારતનું દુર્ભાગ્ય છે કે રાષ્ટ્રવાદને કોમવાદ ગણાવવાની કોશિશો ચોક્કસ ષડયંત્રો હેઠળ છેલ્લા દોઢસો વર્ષથી ચાલી રહી છે અને તેનો સરદાર પટેલને પણ ભોગ બનવું પડયું છે.

1937માં સરદાર સાહેબે કેન્દ્રીય એસેમ્બલીના ભાષણમાં કહ્યું હતું કે- આપણે 25 કરોડ હિંદુઓની આઝાદી નહીં, પરંતુ 35 કરોડ ભારતીયોની આઝાદી ઈચ્છીએ છીએ. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી, તમામ છે. સ્વરાજથી પહેલાની કોંગ્રેસે 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે હિંદુ મહાસભા, આરએસએસ અને મુસ્લિમ લીગનું સભ્યપદ લેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરદાર પટેલની તેમાં પૂર્ણ સંમતિ હતી.

કોમવાદના કટ્ટર વિરોધી અને બિનસાંપ્રદાયિકતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ લોહપુરુષે જૂન-1947માં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સૂચન ફગાવતા કહ્યું હતું કે આપણે એ ભૂલવું જોઈએ નહીં કે આપણે ત્યાં અન્ય લઘુમતી પણ છે, તેમની સુરક્ષા આપણી જ પ્રાથમિક જવાબદારી છે. રાજ્ય બધા માટે છે અને તેમાં જાતિ અથવા ધર્મનો કોઈ ભેદભાવ નથી. ડિસેમ્બર-1948માં જયપુરમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં પટેલે કહ્યુ હતુ કે કોંગ્રેસ તથા સરકાર ભારતને એક સાચ્ચો ધર્મનિરપેક્ષ દેશ બનાવવા માટે કટિબદ્ધ છે. સરદારે ફેબ્રુઆરી-1949ના રોજ હિંદુ રાજ્યને એક પાગલપણાથી ભરેલો વિચાર ગણવ્યો હતો.

1950માં એક જાહેરસભામાં સરદારે કહ્યુ હતુ કે આપણે એક ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ અને આપણી નીતિઓ અને અન્ય રીતિ-નીતિઓને પાકિસ્તાનની રીતિ-નીતિઓ પર આધારીત કરી શકીએ નહીં. આપણે જોવું જોઈએ કે આપણે ધર્મનિરપેક્ષ વિચાર અને આદર્શને વ્યવહારમાં પણ ઉતારીએ. અહીં દરેક મુસ્લિમોને પોતાના ભારતીય નાગરિક હોવા અને તેને કારણે સમાન અધિકારો મેળવવાની આશા રાખવી જોઈએ. જો આપણે તેમના મનમાં આ ભાવના ઉભી કરી જગાવી શકતા નથી, તો આપણે પોતાના દેશ અને વારસા, એમ બંને માટે ઉણાં ઉતરીએ છીએ.

જો કે  સરદાર પટેલે પાકિસ્તાનના કોમવાદી વિચારોને ક્યારેય સમર્થન આપ્યું ન હતું. મુસ્લિમ લીગના રાજકારણ સામે સરદાર ચટ્ટાનની જેમ ઉભા રહ્યા હતા. મુસ્લિમ નેશનલ ગાર્ડ, ખાકસાર અને આરએસએસ ત્રણેય સંદર્ભે સરદારની સમદ્રષ્ટિ હતી અને તેમની સામે ગૃહ પ્રધાન તરીકેની જવાબદારીઓના નિર્વહન વખતે એક સરખું વલણ અખત્યાર કર્યું હતું. ભાગલા વખતની કોમી હિંસાથી તેઓ અત્યંત દુખી હતા. પરંતુ મસ્લિમ લીગના કોમવાદી ગુંડાઓથી સરદાર પટેલ જરા પણ ડગ્યા ન હતા. તેમની સામે કડક હાથે કેમ લેવા બદલ સરદારની ફરિયાદ ગાંધીજી સુધી કરવામાં આવી હતી. છતાં પોતાની છાપની પરવાહ કર્યા વગર તેમણે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ જેવા મામલાઓમાં ભારતના હિતોને ધ્યાનમાં રાખીને પગલા લીધા હતા. તો કોમી હિંસા કરતા મુસ્લિમ લીગી ગુંડાઓને તેમની ભાષામાં સમજાવાની પણ તેમણે શરૂઆત કરી હતી.

બે વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે મૌલાના આઝાદને નામને આગળ કરનારા સરદાર પટેલ જ હતા. ભાગલા વખતે પટિયાલામાં રાજપુર-લુધિયાણા અને રાજપુર-ભટિંડા વચ્ચે મુસ્લિમો પરના હુમલાઓ અટકાવામાં સરદારે મહત્વની ભૂમિકા નિભાવી હતી. દિલ્હીમાં હુલ્લડો વખતે સરદારે રામપુરના નવાબની વિનંતીથી હજારો મુસ્લિમ નિવાસીઓ માટે સ્પેશ્યલ ટ્રેન રામપુર ખાતે દોડાવી હતી. મુસ્લિમ હિજરતીઓને સહીસલામત પાકિસ્તાન પહોંચાડવા સરદાર પટેલે પુરતો બંદોબસ્ત પણ કર્યો હતો અને અમૃતસરમાં સભા લઈને લોકોને શાંત પણ પાડયા હતા. આ દ્રષ્ટાંતો સરદારને મુસ્લિમ વિરોધી કહેતા લોકોને જવાબ છે.
જો કે સરદાર પટેલની ધર્મનિરપેક્ષતા તુષ્ટિકરણની નીતિને આધારીત પણ ન હતી. સરદારને બે મોઢાં રાખીને ભારતમાં ઉન્મતતાથી ફરનારા કટ્ટરવાદી મુસ્લિમોથી સખત નફરત હતી. સરદાર કહેતા કે ભારતના મુસ્લિમોને મારે એક સવાલ પુછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી? હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોય તે જઈ શકે છે.

તો ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યે તેમનો વ્યવહાર અત્યંત શાલીન અને લાગણીસભર રહેતો હતો. તેઓ ભારત માટે વફાદારી દેખાડનારા પાકિસ્તાન વિરોધી મુસ્લિમો માટે કહેતા કે રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈપણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે.

બંધારણ સભાની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે 28 ઓગસ્ટ, 1947ના રોજ સરદાર પટેલે સેપરેટ ઈલેક્ટોરેટની માગણીને ફગાવતા કહ્યુ હતુ કે ભારતનું નવું રાષ્ટ્ર કોઈપણ પ્રકારની ખંડનાત્મક પ્રવૃતિઓને ચલાવી લેશે નહીં. જો કોઈ ફરી એ જ માર્ગ અપનાવા ઈછ્છશે જે માર્ગે દેશના ભાગલા થયા, તો જે લોકો ફરી ભાગલા કરવા માગે છે અને ભાગલાના બીજ વાવવા માગે છે તેમના માટે અહીં કોઈ જ સ્થાન નહીં હોય. કોઈ ખૂણો પણ નહીં હોય. પરંતુ હું જોઈ રહ્યો છું કે દેશમાં અલગ મતદાર મંડળોની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી ત્યારે જે યુક્તિઓનો ઉપયોગ કરાયો હતો તે જ યુક્તિઓ આજે ફરીથી અપનાવાઈ રહી છે. મુસ્લિમ લીગના વક્તાઓની વાણીમાં અત્યંત મીઠાશ હોવા છતાં પણ તેમણે અપનાવેલા ઉપાયોમાં ઝેરનું ભરપૂર પ્રમાણ છે.

સિદ્ધાંતોના આદર્શવાદને સ્થાને વ્યવહારકુશળતા, કુશાગ્ર રાજકીય સમજ, દૂરદ્રષ્ટિ, કુનેહબાજ મુત્સદી અને સ્પષ્ટવાદિતા સરદાર પટેલના મહત્વના ગુણ હતા. જેના કારણે તેઓ ભારતના એકમાત્ર લોહપુરુષ છે. સરદાર પટેલના જીવનમાં ક્યારેય તેમના બેવડા ચહેરા દેખાયા નથી. તેઓ જેવા હતા તેવા જ દેશના લોકો સામે હતા. તેમના વ્યવહારની પ્રામાણિકતાએ તેમને લોકોના હ્રદયના સમ્રાટ બનાવ્યા હતા. સરદાર સાહેબ ધર્મનિરપેક્ષ હતા, પણ કોઈ જૂથ કે કોમનું તુષ્ટિકરણ કરવાની બિલકુલ વિરુદ્ધ હતા. રાષ્ટ્રયજ્ઞમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સરદાર સાહેબ પોતાની છાપની નહીં પણ રાષ્ટ્રહિતની પરવાહ કરતા હતા.

સમયનો સાદ સરદાર-2 : લોખંડી મનોબળના ખેડૂતપુત્રની લોહપુરુષ બનવાની જીવન સફર

- આનંદ શુક્લ

આધુનિક ભારતની અખંડતા અને એકતાનું મૂળ ગુજરાતના ખેડૂતપુત્રે નાખ્યું છે. લોખંડી મનોબળ દ્વારા વલ્લભભાઈ પટેલ ભારતની આઝાદીના આંદોલના સરદાર બન્યા. ભારત વિભાજન બાદ ખંડિત બનેલા ભારતના પ્રવર્તમાન સ્વરૂપની અખંડિતતા અને એકતાને શિલ્પીની જેમ કંડારીને સરદાર પટેલ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા. ખેડૂતપુત્રમાંથી લોહપુરુષ સરદારથી ભારતની અખંડિતતાના શિલ્પી તરીકેની ગુજરાતના પનોતાપુત્ર વલ્લભભાઈ પટેલની જીવનસફર ઘણાં સંઘર્ષો અને ત્યાગ-બલિદાનોની કહાણી છે.

31મી ઓક્ટોબર, 1875ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મોસાળમાં ઝવેરભાઈ અને લાડબાના ચોથા પુત્ર તરીકે વલ્લભાઈ પટેલનો જન્મ થયો હતો. 1891 સુધીમાં વતન કરમસદ, પેટલાદ અને નડિયાદમાં વલ્લભભાઈએ અંગ્રેજીના છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1893માં કરમસદ નજીકના ગાના ગામમાં ઝવેરબેન સાથે તેમના લગ્ન થયા. 16મી એપ્રિલ, 1897ના રોજ વલ્લભભાઈએ અંગ્રેજી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એક ડિસેમ્બર, 1900ના રોજ વકીલાતની પરીક્ષા પાસ કરીને ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી. 7મી ડિસેમ્બરે, 1902ના રોજ ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરી. ફોજદારી વકીલ તરીકે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી. 3 એપ્રિલ, 1903માં પુત્રી મણિબહેનનો જન્મ થયો. પહેલી નવેમ્બર, 1905નમા રોજ પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો. 2 જાન્યુઆરી, 1909ના રોજ વલ્લભભાઈના પત્ની ઝવેરબાનું મુંબઈ ખાતે અવસાન થયું.

1910માં સરદાર બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ ગયા. મિડલ ટેમ્પલ નામની સુપ્રસિદ્ધિ કાનૂની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 31મી મે, 1912ના રોજ બેરિસ્ટરની આખરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા. 50 પાઉન્ડનું ઈનામ મેળવ્યું અને બાદમાં ભારત આવવા માટે પ્રયાણ કર્યું. પહેલી ફેબ્રુઆરી, 1913થી અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી. પહેલી જાન્યુઆરી, 1914ના રોજ પિતા ઝવેરભાઈનું 85 વર્ષની વયે વતન કરમસદ ખાતે અવસાન થયું.

1915માં અમદાવાદની સંસ્થા ગુજરાત સભાના સભ્ય બન્યા અને જાહેરજીવનનો પ્રારંભ કર્યો. ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. લખનૌ ખાતેના કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાત સભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. 1916માં અમદાવાદની સેનીટરી કમિટીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપાલિટીના કમિશનર તરીકે અંગ્રેજ અધિકારીની નિમણૂકને રદ્દ કરાવી હતી. ગોધરા ખાતે મળેલી પ્રથમ ગુજરાત પ્રાંતિક રભાની કારોબારી સમિતિનું મંત્રીપદ પણ સંભાળ્યું હતું. સરદારે વેઠપ્રથા સામે આંદોલન કર્યું. 1918માં અમદાવાદમાં ફાટી નીકળેલા ઈન્ફ્લૂએન્ઝાના રોગચાળાના પ્રતિકાર માટે મ્યુનિસિપાલીટી પાસેથી ગુજરાત સભાને સહાય અપાવી અને કામચલાઉ હોસ્પિટલની સ્થાપના કરાવી. અસરગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસે સરકાર દ્વારા વસૂલ કરતા જમીન મહેસૂલની વિરુદ્ધ –ના-કર લડતનું સફળ સંચાલન કર્યું. સરદારે ખેડા સત્યાગ્રહ દ્વારા અંગ્રેજ હકૂમત સામે પ્રથમ સફળ જંગ ખેલ્યો.

1919માં અમદાવાદની મ્યુનિસિપાલિટીની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ બન્યા. આઝાદીના આંદોલનને કચડવા અંગ્રેજ સરકારે લાદેલા રોલેટ એક્ટ સામે લડત આપી. 7મી એપ્રિલે ગુજરાતીમાં સત્યાગ્રહ પત્રિકાનો પ્રારંભ કર્યો. 1920માં અમદાવાદ મ્યુનિસિપાલીટીની ચૂંટણીમાં કોંગ્રેસની તમામ બેઠકો પર જીત થઈ. સરદારે પાશ્ચાત્ય વસ્ત્રોને ત્યાગીને ખાદીના સાદા વસ્ત્રો અપનાવ્યા. સવિનય કાનૂન ભંગના પ્રસ્તાવના ટેકામાં 10 લાખનું ફંડ ઉઘરાવ્યું અને કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા હતા. ગાંધીજી સાથે મળીને અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય કર્યો. 1921માં ગુજરાત પ્રાંતિ કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. સરદાર ડિસેમ્બર-1921ના રોજ અમદાવાદ ખાતેના કોંગ્રેસના 36મા અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 1922માં તેમણે ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે બર્માના રંગૂનથી 10 લાખ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું.

વલ્લભભાઈ પટેલે 1923માં અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ કર્યો હતો. બોરસદ તાલુકામાં સરકારે નાખેલા અન્યાયી હેડિયા વેરા વિરુદ્ધ સત્યાગ્રહ કરીને તેને રદ્દ કરાવ્યો હતો. જેને કારણે તેમને બોરસદના સૂબાનું બિરુદ મળ્યું હતું. 1924માં વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે કરવેરો નહીં ભરનારાઓ સામે કડક પગલા ભરીને મ્યુનિસિપાલિટીની આવકમાં કર વસૂલીથી વધારો કર્યો હતો. 1927માં ગુજરાતમાં અભૂતપૂર્વ પૂરસંકટ આવ્યું. વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટી માટે પૂરરાહત માટે સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની મદદ મેળવી હતી. 1928માં તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથીરાજીનામું આપ્યું અને ખેડૂતો પરના મહેસૂલ કરના વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો.

બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમને ખેડૂત નેતા તરીકે સરદારનું બિરૂદ અપાવ્યું હતું. કોલકત્તા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભાઈ પટેલને આઝાદીની લડતના સરદાર તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. 1929માં પૂનામાં મળેલી મહારાષ્ટ્ર રાજકીય પરિષદ અને મોરબી ખાતેની કાઠિયાવાડ રાજકીય પરિષદના અધ્યક્ષ બન્યા હતા. 1930માં નમક સત્યાગ્રહ માટે પ્રચાર કરતા 7મી માર્ચે રાસ ગામની જાહેરસભામાં સરદારની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. 26મી જૂને તેમને જેલમાંથી મુક્ત કરાયા. આ સરદારની પહેલી જેલયાત્રા હતી. 30મી જૂને કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઈ અને પહેલી ઓગસ્ટે ફરીથી તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલાયા હતા.

1931માં ગાંધી-ઈરવિન કરારના પરિણામે સરદારને માર્ચ માસમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કરાચી ખાતે 1931માં યોજાયેલા 46મા કોંગ્રેસ અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવાયા હતા. 1932માં અંગ્રેજ સરકાર વિરુદ્ધ આઝાદીની આંદોલનની આગેવાની લેવા બદલ જાન્યુઆરી માસમાં યરવડા જેલમાં ગાંધીજી સાથે 16 માસ નજરકેદ રખાયા હતા. તે જ વર્ષે નવેમ્બર માસમાં સરદારના માતા લાડબાનું વતન કરમસદ મુકામે અવસાન થયું હતું. 1933માં સરદારને યરવડાથી નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તે વર્ષે 23મી ઓક્ટોબરે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું સ્વિટ્ઝરલેન્ડ ખાતે અવસાન થયું હતું.

1938માં કેન્દ્રીય કોંગ્રેસ પાર્ટીની શિસ્તના અનુપાલન માટે પ્રાંતિય કોંગ્રેસની નેતાગીરી સોંપાઈ હતી. કડક પગલા અને શિસ્તપાલનની ફરજ પાડવાની નીતિ-રીતિને કારણે સરદારને ટીકાકારો દ્વારા હિંદના તાનાશાહનું બિરૂદ પણ આપવામાં આવ્યું. 1938માં તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા. 1940માં ગાંધીજી પ્રેરિત સ્વતંત્રતા આંદોલનને દેશભરમાં વેગવંતુ બનાવવા માટે સરદારે આગેવાની લીધી. જેના કારણે અંગ્રેજ હકૂમતે તેમની 18મી નવેમ્બરના રોજ ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. બાદમાં તેમના પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

1941ની 18મી નવેમ્બરે નાદુરસ્ત તબિયતને કારણે સરદારને અંગ્રેજ સરકારે કેદમાંથી મુક્ત કર્યા હતા. 1942માં તેમણે ક્રિપ્સ મિશનની મંત્રણમાં સક્રિય ભાગ લીધો. પણ ક્રિપ્સ મંત્રણાઓ નિષ્ફળ રરહી હતી. 1942ની 8મી ઓગસ્ટે મુંબઈ ખાતે અખિલ હિંદ કોંગ્રેસ કારોબારી બેઠકમાં હિંદ છોડોના ઠરાવને મંજૂરી મળી. તેના બીજા દિવેસ 9મી ઓગસ્ટે સરદાર પટેલની ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ કારોબારીના અન્ય રાષ્ટ્રીય સભ્યો સાથે મહારાષ્ટ્રના અહમદનગરના કિલ્લામાં તેમને કેદી તરીકે મોકલવામાં આવ્યા હતા. 1944 સુધી સરદાર અહમદનગર કિલ્લામાં અંગ્રેજોની કેદમાં જ રહ્યા હતા. 1945માં તેમને અહમદનગરથી પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. 1040 દિવસના કારાવાસ દરમિયાન આંતરડાનું દર્દ વકરતા સરદારને 15મી જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

1946માં 9મી ડિસેમ્બરે સરદારે ભારતીય બંધારણ સભામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. 1947માં ચોથી એપ્રિલે તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તે વર્ષે 5મી જુલાઈએ દેશી રાજ્યોની સમસ્યાને ઉકેલવા માટે સરદારની અધ્યક્ષતામાં નવું રિયાસતી ખાતું બનાવાયું અને તેમણે દેશના તમામ રાજાઓને દેશની સ્વતંત્રતા અને એકતાને સુદ્રઢ કરવા અનુરોધ કર્યો હતો. 15મી ઓગસ્ટે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. તેમની પાસે માહિતી અને પ્રસારણ, રિયાસતી ખાતા સહીત નિરાશ્રિતોના પુનર્વસનની મહત્વની જવાબદારીઓ પણ હતી. 1947માં 13મી નવેમ્બરે સરદાર પટેલે સોમનાથ પાટણની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આક્રમણખોરો દ્વારા વારંવાર ધ્વસ્ત કરાયેલા સોમનાથ મહાદેવના મંદિરની પુનર્પ્રતિષ્ઠાનો સંકલ્પ લીધો હતો.

1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા બાદ ગૃહપ્રધાન તરીકે રાષ્ટ્રજોગ પ્રવચન આપ્યું હતું. તે વર્ષે 15મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર સંઘની સ્થાપના કરી હતી. તો 7મી એપ્રિલે તેમણે જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોના બનેલા રાજસ્થાન સંઘનું ઉદ્ઘાટન કર્યું. 22મી એપ્રિલે ગ્વાલિયર, ઈન્દૌર, મધ્ય ભારતના 23 રાજ્યોના રાજાઓએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા માટેના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. 1948ની ત્રણ નવેમ્બરે નાગપુર યુનિવર્સિટી તરફથી સરદારને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી એનાયત કરાઈ હતી. 25મી નવેમ્બરે બનારસ હિંદુ યુનિવર્સિટી તરફથી તેમને ડોક્ટર ઓફ લોઝનું સમ્માન આપવામાં આવ્યું. તો તે જ વર્ષે 27મી નવેમ્બરે સરદારને અલ્હાબાદ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી આપી હતી.

1949માં 26મી ફેબ્રુઆરીએ ઉસ્માનિયા યુનિવર્સિટીએ પણ સરદાર સાહેબને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવીથી સમ્માનિત કર્યા હતા. તે વર્ષે 7મી ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી વડાપ્રધાન જવાહરલાલ નહેરુની અમેરિકા, કેનેડા અને બ્રિટનની મુલાકાત દરમિયાન સરદાર પટેલે દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકેની કામગીરી પણ સંભાળી હતી. 1950માં 20થી 22 સપ્ટેમ્બર સુધી ચાલેલા નાસિક ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી હતી. તે વર્ષે 15મી ડિસેમ્બરે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ સરદાર સાહેબે બિરલાભવન ખાતે દેહત્યાગ કર્યો હતો. મુંબઈના સોનાઘાટ સ્મશાનઘાટમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ગુજરાતના ખેડૂતપુત્રના લોખંડી મનોબળે તેમને સરદાર બનાવ્યા. સરદારે આઝાદી વખતે ખંડિત બનેલા આજના ભારતની અખંડિતા માટે એક શિલ્પીની જેમ કામ કર્યું. ભારતની કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છતી કામરૂપ સુધીની એકસૂત્રતાને કંડારવાનું કામ સરદાર પટેલની દ્રઢતા અને મુત્સદીગીરીથી પૂર્ણ થયું છે. સરદાર સાહેબનું આધુનિક ભારતના આજના સ્વરૂપમાં યોગદાન તેમને આભને આંબતી ઊંચાઈ પ્રદાન કરે છે. આ ઊંચાઈ સામે તમામ પ્રતિમાઓ અને સરદાર બનવા તેમના પગરખામાં પગ નાખવાની કોશિશ કરનારા તમામ નેતાઓ વેંતિયા લાગે છે. બસ સરદારના બલિદાનથી મળેલા આ વારસાની જતનપૂર્વકની જાળવણી આપણે એટલે કે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાની સંયુક્ત જવાબદારી છે...આપણા સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.

સમયનો સાદ સરદાર-1 : નહેરુએ થાપ ખાધી સરદારે ચીનના ખતરાને પિછાણ્યો, લોહપુરુષની દૂરંદેશીમાં ટુ ફ્રન્ટ વૉર ડોક્ટ્રિનનું મૂળ

- આનંદ શુક્લ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમના તરફ ચીનને વિશેષ અનુરાગ રહ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન સાથે વ્યાપારિક સંબંધો વધારવા માટે ઉત્સુક છે. જાણકારો કહી રહ્યા છે કે નહેરુના હિંદી-ચીની ભાઈ ભાઈના યુગ બાદ હવે મોદી-ચીની ભાઈ ભાઈનો યુગ આવ્યો છે. પરંતુ નહેરુને 1962માં ચીનની લાલસેનાના ભીષણ આક્રમણનો આઘાત અને નામોશીભરી હારનું કલંક ખમવું પડયું હતું. આમ તો ઈતિહાસમાંથી બોધપાઠ નહીં લેનારા માટે તેનું પુનરાવર્તન થતું હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી નહેરુવાદી વિચારસરણીથી અલગ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. ત્યારે ચીન સાથે સંબંધો સુધારવાની આવકારદાયક પહેલ સાથે ભારતની અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર પટેલની વાતો પણ યાદ રાખવી જરૂરી છે.


ચીન માટેની સરદારની દૂરંદેશીને ચેતવણી ગણવી- 



ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સાવધ કર્યા હતા. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના ભીષણ આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની નહેરુની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે. વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોંધમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. ગિરિજાશંકર વાજપેયી આશંકિત હતા કે ચીન સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યપદ માટેના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

ગિરિજાશંકર વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતની પોતાની સરહદોને હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેરે તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને અવગણીને નહેરુએ ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. તેના બદલામાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે અક્સાઈ ચીન અને લડાખના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી. ભારતીયોને ચિંતા માત્ર આ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તેની હોય તે સ્વાભાવિક છે.


ભારતે ચીન-પાકિસ્તાન બંને મોરચે સૈન્ય સજ્જતા કેળવવી પડશે



સંરક્ષણ નિષ્ણાતો ભારત અને ચીન વચ્ચેના સળગતા સરહદી વિવાદ અને ચીનની આક્રમક ઘૂસણખોરીની કાર્યવાહીને યુદ્ધનો ટાઈમબોમ્બ ગણાવી રહ્યા છે. ભારત માટે સૈન્ય સજ્જતા તેની વ્યૂહાત્મક જરૂરિયાત છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના નાપાક સૈન્ય જોડાણને કારણે પણ ભારત માટે ઘણી મોટી સામરિક સમસ્યાઓ પેદા થઈ છે. ત્યારે ભારતે ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે સૈન્ય સજ્જતા રાખીને બંને તરફના સંભવિત એકસાથેના આક્રમણનો સામનો કરવા માટે તૈયારી રાખવી પડશે, તેવી ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની થિયરી 2010માં ભારતના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે લશ્કરી આવશ્યકતા પ્રમાણે જણાવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી હતી, તેને 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનો ઉપયોગ કરવો જોઈએ.’ સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન દેશ તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.

સરદાર પટેલની સલાહ નહેરુએ અવગણી તો અવગણી.. પણ હવે ભારતના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને સરદાર પટેલની સલાહને નવા દ્રષ્ટિકોણ સાથે મોદી સરકાર ધ્યાનમાં લે તે જરૂરી છે. બાકી ચીન સાથે વેપાર-વેપારની માળા જપવાથી તેનું વિસ્તારવાદી વલણ કાબુમાં આવવાનું નથી. તેના માટે ભારતે વેપારની સાથે સામરિક તૈયારીઓ પણ રાખવી પડશે.

Saturday, October 17, 2015

સેક્યુલર હોવાનો અર્થ હિંદુવિરોધ અને મુસ્લિમોની આંધળી તરફદારી!!

- પ્રસન્ન શાસ્ત્રી 

ભારતમાં સેક્યુલર તરીકે લેખક અથવા સ્વનામધની બુદ્ધિજીવીને ત્યારે જ માન્યતા મળે છે કે જ્યારે તેઓ ભારતના સનાતન હિંદુ ધર્મ.. પરંપરાઓ.. સંસ્કૃતિ.. સમાજ અને લાગણીઓને ગાળો આપવામાં આવે. આવા કથિત સેક્યુલરો બુદ્ધિજીવીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ ત્યારે જ મળતી હોય છે કે જ્યારે તેઓ હિંદુવિરોધથી આગળ વધીને માત્ર મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતીઓને તરફદારી કરવી અને તેમની કટ્ટરતાને છાવરવાની પ્રવૃત્તિ ખૂબ જ ઝનૂનપૂર્વક કરવામાં આવે. 

હિંદુત્વવાદી વિચાર.. વ્યક્તિ અને સંગઠન પ્રત્યે આવા કથિત સેક્યુલરોનો પક્ષપાત વૈચારીક ધ્રુવીકરણની પરાકાષ્ઠા જેવો જ દેખાય છે. આઝાદ ભારતમાં લાંબો સમય ગાંધીજીના નામે નહેરુ મોડલ ચાલતું રહ્યું છે. તેની સાથે રાજકીય વ્યવસ્થાઓમાં પણ સમાજવાદના નામે અસમાજવાદી મોડલ અસંવેદનશીલતાની હદે મજબૂત બનતું ગયું છે. આ નહેરુ મોડલને મજબૂત કરવાનું કામ આવા કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓએ ખૂબ ઝનૂનપૂર્વક કર્યું છે. 

તાજેતરમાં કન્નડ લેખક કલબુર્ગીની હત્યાના મામલેથી શરૂ કરીને દાદરી કાંડ બાદ સંખ્યાબંધ લેખકોએ પોતાના એવોર્ડો પાછા આપવાનું શરૂ કર્યું છે. તેમણે એવોર્ડો પાછા આપવા માટે કારણ આપ્યું છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. કેટલાકનું કહેવું છેકે હિંદુ કટ્ટરવાદ વધી રહ્યો છે. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી ઢબે કોઈને પણ અહીં વિરોધ અને સમર્થન વ્યક્ત કરવાનો અધિકાર છે. લેખકો પણ પોતાના આવા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જો માત્ર વિરોધ માટે જ આવા લેખકો અને બુદ્ધિજીવીઓ એવોર્ડ પાછા આપતા હોય.. તો તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. 

પરંતુ લેખકો-બુદ્ધિજીવીઓનો વિરોધ માત્ર અહિષ્ણુતાનો વિરોધ નથી. પરંતુ નહેરુ મોડલ બદલવા માટે સક્ષમ હિંદુત્વવાદી વિચારધારાના રાજકારણમાં પ્રભાવી થવાના અને સત્તામાં સ્પષ્ટ બહુમતીથી આવવાને અટકાવી નહીં શકવાનો અફસોસ વધારે દેખાઈ રહ્યો છે. 

કથિત સેક્યુલર રાજકીય પક્ષોના શાસનકાળમાં ભારતમાં મોટા પ્રમાણમાં કોમવાદી હુલ્લડો થતા રહ્યા છે. 1984ના શીખ વિરોધી રમખાણો.. 1989ના ભાગલપુરના હુલ્લડો.. યુપીના મેરઠનો હત્યાકાંડ.. આસામ ખાતે ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કોમી હિંસા.. બાબરી ધ્વંસ પછીના મુંબઈના રમખાણો.. ગોધરાકાંડ અને ત્યાર પછીના હુલ્લડો પણ આ દેશે જોયા છે. આઝાદ ભારતમાં જબલપુરથી જ કોમી હુતાસણની શરૂઆત થઈ છે. 1969ના અમદાવાદ ખાતે થયેલા રમખાણોથી માંડીને 2013ના મુઝફ્ફરનગર અને મુરાદાબાદ સુધીની કોમી વૈમનસ્યની ઘટનાઓ થતી રહી છે. આવી ઘટનાઓ બિલકુલ બનવી જોઈએ. પરિપક્વતા પકડી રહેલી લોકશાહી આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકશે. 

પરંતુ સવાલ એટલો છે કે એવોર્ડો પાછા આપનારા સાહિત્યકારો. લેખકોને સમ્માનિત કરાયા તે સમયે કથિત સેક્યુલર પક્ષોની સરકારો હતી અથવા તેમના દ્વારા જ તેમને એવોર્ડો અપાયા છે. પરંતુ 1984ના શીખ વિરોધી રમખાણો બાદ કે ભાગલપુરના રમખાણો બાદ કે મુંબઈના રમખાણો બાદ આવો કોઈ વિરોધ આવા બુદ્ધિજીવી સાહિત્યકારોએ પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કર્યો ન હતો. આવી ઘટનાઓ વખતે કેન્દ્રમાં કથિત સેક્યુલર પક્ષની સરકારો સત્તામાં હતી. 

આવા કથિત સેક્યુલરોની માનસિકતાને સામે છેડેથી જોવાની પણ જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં 1989-90માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના દેશમાં જ નિરાશ્રિત બનીને દર-દર ભટકવું પડયું.. પણ કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓનું રુવાડુંય ફરક્યું નહીં. 1984ના શીખ વિરોધી રમખાણો વખતે પણ આવી જ સ્થિતિ રહી.. મુંબઈના રમખાણો કે ગોધરાકાંડમાં 59 રામસેવકોના મોત પર પણ આવા કથિત સેક્યુલરોનો દંભ ચાલુ રહ્યો અને તેમણે કોઈપણ પ્રકારે વિરોધ કર્યો નહીં. 

ભારતમાં એક પછી એક ઈસ્લામિક આતંકવાદના હુમલા થતા રહ્યા છે... 2008ના મુંબઈ હુમલાની ઘટના તેની પરાકાષ્ઠા હતી. પણ એકપણ સાહિત્યકાર કે બુદ્ધિજીવી કે કર્મશીલે પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કોઈપણ પ્રકારનો વિરોધ વ્યક્ત કર્યો નહીં. કારણ કદાચ માત્ર એટલું જ હતું કે હુમલો કરનારા મુસ્લિમ હતા અને મરનારા મોટાભાગના હિંદુઓ કે બિનમુસ્લિમો હતા. અપવાદરૂપ કેટલાંક મુસ્લિમોએ પણ આવી ઘટનાઓમાં જીવ ગુમાવ્યો હશે. પરંતુ ભારતીય મીડિયામાં આવા મુસ્લિમ પરિવારોના દ્રશ્યો જ આવર-નવાર હાઈલાઈટ કરવાની એક પરંપરા બની ચુકી છે. 

દાદરી કાંડની વાત કરીએ તો ગાયનું માંસ ખાધાની કથિત અફવાના પગલે ઉશ્કેરાયેલી ભીડે એક વ્યક્તિને માર માર્યો અને તેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓ થઈ છે. ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના માટે મુખ્યપ્રધાન અખિલેશ યાદવ કરતા વધારે જવાબદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગણાવવાની કોશિશ કરવામાં આવી. ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યની જવાબદારી છે. 

સવાલ અહીં કોઈ પક્ષ કે વ્યક્તિનો નથી.. પણ દાદરી કાંડમાં મરનારના બચાવમાં ઉતરેલા લોકોની માનસિકતાનો છે. મરનાર મુસ્લિમ વ્યક્તિ હતો અને ગાય હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગાયનું માંસ ખાવું હિંદુઓમાં વર્જ્ય છે. છતાં ગોકુશીની ઘટનાઓ થતી રહે છે. આવા સંજોગોમાં તર્કો આપવામાં આવ્યા કે વ્યક્તિને પોતાને શું ખાવું તેવું નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે. 

દાદરી કાંડની બિટવિન ધ લાઈન છે કે આખરે ભારતમાં બહુમતી હિંદુઓના આસ્થા કેન્દ્ર ગાયની હત્યાની અવગણના શા માટે કરવામાં આવે છે? ગૌહત્યાનો વિરોધ કરનારા વિચાર અને વ્યક્તિથી માંડીને સંગઠનની મજાક ઉડાવવાની સાથે તેમને મૂઢ સાબિત કરવાની ભયાનક કોશિશ થઈ રહી છે. ગાય પણ અન્ય પશુઓ જેવી છે અને પોતે પણ ગોમાંસનું સેવન કરતા હોવાની વાતો ભાંડ ઋષિકપૂરથી માંડીને જજ રહેલા માર્કંડેય કાત્જૂ સુધીના કથિત બુદ્ધિજીવીઓએ કરી છે. આવા લોકોએ કહ્યુ કે તેઓ ગૌમાંસ ખાય છે અને હિંમત હોય તો આઓ મારી નાખો.. ભારતીયો ગર્વથી કહો અમે ગૌમાંસ ખાઈએ છીએ. અમુક ગ્રંથો કહે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ પણ ગૌમાંસનું સેવન કરતા હતા. કેરળ અને કેટલાંક અન્ય ક્ષેત્રોમાં હિંદુઓ પણ ગૌમાંસ ખાય છે. વોટની ખેતીમાં લાલુ યાદવે હિંદુઓ પણ ગૌમાંસ ખાતા હોવાનું જણાવીને હદ કરી.. તો તેમના ખુશામતખોર નેતા રઘુવંશ પ્રસાદે પણ કહ્યુ કે ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા હતા. ગાય આખા ભારતનું આસ્થા કેન્દ્ર છે અને આખા દેશની જવાબદારી તેના સંરક્ષણ તથા સંવર્ધનની છે. પરંતુ હજી સુધી એક ખાસ ચોક્કસ પક્ષ અને વિચારધારા સિવાયના લોકો સિવાય કોઈને ગૌહત્યા પ્રતિબંધની જરૂરિયાત હોવાનું લાગતું નથી. 

ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતા આઝમ ખાન હાલ સમાજવાદી પાર્ટીમાં છે. 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એકલા ઉત્તર પ્રદેશની બાવીસ કરોડની વસ્તીમાં પોણા ચાર કરોડ જેટલી મુસ્લિમોની વસ્તી છે. બિહારમાં પણ દોઢ કરોડ જેટલા મુસ્લિમોની વસ્તી છે. ઉત્તર ભારતમાં મુસ્લિમોની નેતાગીરીમાં ઝડપથી હૈદરાબાદના અસદુદ્દીન ઓવૈસી પગપેસારો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ઉત્તર ભારતના મુસ્લિમોની નેતાગીરી જળવવા માટે આઝમ ખાને ધમપછાડા શરૂ કર્યા છે. આઝમ ખાને વિચિત્ર નિવેદનબાજીઓ સાથે દાદરી કાંડને યુએનમાં લઈ જવા માટે પત્ર લખ્યો છે. દાદરી કાંડને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળીને હિંદુત્વવાદી વિચારધારા સાથે કથિત ઝુકાવ ધરાવતી સરકારને બદનામ કરીને દબાણમાં લાવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર હાથ ધરવામાં આવ્યું છે. 
જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપી સાથે ભાજપની જોડાણ સરકાર બન્યા બાદ અહીં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનવા તરફ જઈ રહી છે. આતંકવાદી હુમલા અને ભાગલાવાદીઓની પથ્થરબાજીની ઘટનાઓ વધી છે. દર શુક્રવારે પાકિસ્તાન, લશ્કરે તોઈબા, આઈએસ અને હાફિઝ સઈદના પોસ્ટરો અને તેમના તરફી સૂત્રોચ્ચાર સાથે તેમના વાવટા ફરકાવા એક કર્મકાંડ બની ચુક્યો છે. 

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ દ્વારા ગૌહત્યાને રાજ્યમાં પ્રતિબંધિત કરવાના ચુકાદા સામે તો આસિયા આંદ્રાબી નામની ભાગલાવાદી કાશ્મીરી મહિલાએ વિરોધ માટે કાશ્મીરમાં કોઈ સ્થાને કથિત ગૌકુશી કરી હોય તેવો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો હતો. બકરી ઈદ પહેલા ભાગલાવાદી તત્વો દ્વારા શ્રીનગરના લાલચોક ખાતે જાહેરમાં ગોકુશી કરવાની જાહેરાત કરાઈ હતી. આસિયા અંદ્રાબીને અલગ મામલામાં ધરપકડમાં લેવાઈ હતી. 

પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરે બીફ પાર્ટીઓ આપીને ગૌહત્યા પ્રતિબંધ વિરોધનો ઝંડો કદાચ પાકિસ્તાનવાદી ભાગલાવાદીઓને ખુશ કરવા માટે જ ઉઠાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આવા ભાગલાવાદી તત્વો સેક્યુલર હોવાની વાત કરતા રહે છે. પરંતુ તેઓ ત્યાંની લઘુમતીઓ કે જે હિંદુ છે અને તેમના માટે ગાય આસ્થાનું કેન્દ્ર છે. તેવી ગાયોની હત્યા રોકવા માટે તૈયાર નથી. જમ્મુ-કાશ્મીરના આવા ભાગલાવાદી તત્વો મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યમાં ગૌહત્યાને પોતાના મૂળભૂત અધિકાર ગણાવે છે. 

જમ્મુ-કાશ્મીર સરકારે હાઈકોર્ટની જમ્મુ બેચ તરફથી આપવામાં આવેલા ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને બેચ બનાવીને આ મામલે સુનાવણી કરવા જણાવ્યું હતું. શ્રીનગરની હાઈકોર્ટ બેચે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા પ્રતિબંધિત કરતો ચુકાદો રદ્દ કર્યો છે. શું મુસ્લિમ આસ્થાની બાબતો સાથે કોઈપણ હિંદુ બહુમતી ધરાવતા રાજ્યમાં આવી કોઈ ઘટના કરવા માટે કોઈ ધારાસભા કે કોઈ અદાલતી નિર્ણય દ્વારા પડકાર ફેંકવાની ક્ષમતા ધરાવે છે? 

ભારતની કેટલીક કોર્ટોએ ધ્વનિ પ્રદૂષણ મામલે મસ્જિદો પરના માઈકના ભૂંગળા ઉતારવાના આદેશ... નિર્દેશ કે ટીપ્પણીઓ કરી છે. પરંતુ ભારતની કોઈપણ કાયદાનો અમલ કરનાવનારી વ્યવસ્થા તેને લાગુ કરી શકી નથી. વિદેશમાં કોઈ અખબારમાં મહોમ્મદ પયગંબરનું કાર્ટૂન બને અને તેના દેખાવો ભારતના તમામ શહેરોમાં થાય છે. તેમાં હિંસાની ઘટનાઓ પણ હિંદુઓ વિરુદ્ધ થયેલી નોંધાઈ છે. દુનિયામાં કોઈ ઠેકાણે કોઈ કુરાને-શરીફ સળગાવે તો તેના વિરોધમાં ભારતમાં પણ આતંકની હદે ઉત્પાત મચાવવામાં આવે છે. પ્રોફેટ મોહમ્મદ પર અમેરિકામાં બનેલી ફિલ્મનો વિરોધ છ માસ બાદ અમદાવાદ સહીતના ભારતના શહેરોમાં આયોજનબદ્ધ રીતે કરાય છે. અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન સહીતની સરકારી સંપત્તિઓને આગચંપી અને નુકસાન પહોંચાડવામાં આવે અને કથિત સેક્યુલરો આવા ઉત્પાતિયા વિરોધનો બચાવ કરે.. આનાથી મોટું આશ્ચર્ય અને દુર્ભાગ્ય દુનિયાના કોઈપણ ઠેકાણે જોવા મળતું નથી. 

કાશ્મીર ખીણમાં ચાલી રહેલો ભાગલાવાદ અને આતંકવાદ બંને મજહબી કારણોથી વધારે ભડકાવામાં આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન ગિલાની દિલ્હીમાં પાકિસ્તાનના હાઈકમિશનમાં માથું ટેકવે છે.. પાકિસ્તાનના રાજદ્વારીઓ અને નેતાઓ ભાગલાવાદીઓને ભારત સરકાર સાથેની વાતચીત પહેલા મોઢામાં મોઢું નાખીને વાતો કરે છે. તેના કારણે વિદેશ સચિવ અને એનએસએ સ્તરની વાતચીત રદ્દ કરાય તો માછલા ભારત સરકાર પર ધોવાના.. 1972ના સિમલા કરાર અને લાહોર ડેક્લેરેશનમાં જમ્મુ-કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો માનવામાં આવ્યો છે. જેમાં અન્ય કોઈપણ ત્રીજા પક્ષને સામેલ નહીં કરવાની વાત કરાઈ છે. આવા સંજોગોમાં ભારત સરકાર ક્યાં ઠેકાણે ખોટી છે? એવું કોઈપણ કારણ આવા કથિત સેક્યુલર સ્વનામધનીઓ આપતા નથી. પણ વાતચીત રદ્દ કરાયાની કાગારોળ મચાવીને પાકિસ્તાનના પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાની વાતો કરીને સરકાર અને ભારતને ડરાવવાની હદ સુધી શાંતિપાઠ કરવા માટે મજબૂર થવા દબાણ કરાતું રહે છે. 

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે હિંદુ બહુમતીવાળા વિસ્તારો પર પાકિસ્તાન તરફથી સતત થયેલા ગોળીબાર સંદર્ભે પણ કોઈ સેક્યુલર ચીપિયો પછાડવા તૈયાર નથી. જમ્મુ ખાતેના વિસ્તારોની ડેમોગ્રાફી બદલવા માટેની કોશિશો આતંકીઓ.. પાકિસ્તાન અને ભાગલાવાદીઓ સાથે મળીને કરી રહ્યા છે. મુફ્તિ મોહમ્મદ સઈદની આગેવાનીવાળી જોડાણ સરકાર સત્તામાં આવી પછી પીડીપીએ સંસદ હુમલાના ગુનેગાર આતંકી અફઝલ ગુરુના દેહાવશેષોની માગણી કરીને કાશ્મીર ખાતે સ્મારક બનાવવાની વાતો કરી.. મસર્રત આલમને મુક્ત કરીને કાશ્મીરમાં હાફિઝ સઈદ છાપ આતંકવાદના ટેકામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો હતો. 

ગિલાનીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ઈસ્લામાબાદ આવવાનું આમંત્રણ આપ્યું છે. ગિલાનીએ એનએસએ સ્તરની વાતચીત રદ્દ થયા બાદ શરીફને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કાશ્મીર વિવાદના ઉકેલ માટે મજબૂત પાકિસ્તાનની જરૂરિયાત હોવાનું જણાવીને ભાગલાવાદીઓની ખરી મનસા પ્રદર્શિત કરી દીધી છે. 

શું સાઉદી અરેબિયા.. પાકિસ્તાન કે અન્ય કોઈપણ ઈસ્લામિક દેશમાં સ્થાનિક માન્યતા.. પરંપરા.. ધાર્મિક લાગણી અને સંસ્કૃતિ કે સમાજ વિરુદ્ધ અથવા તેમને નામંજૂર વાત કોઈપણ હિસાબે ચલાવવામાં આવે? આવા દેશોમાં આવા કથિત સેક્યુલરોને લવરી કરીને વૈચારીક આતંકવાદ ચલાવવાની કોઈ પરવાનગી ક્યારેય આપવામાં આવે ખરી? ઉત્તર પ્રદેશના કેટલાંક મુસ્લિમ બહુમતી ધરાવતા ગામડામાં મંદિરોમાં આરતી અને ઘંટારવ કરવાથી પણ હિંદુઓને રોકવામાં આવે છે. કારણ કે મુસ્લિમો તેનો ધાર્મિક માન્યતાઓના આધારે વિરોધ કરે છે. આવી ઘટનાઓમાં પણ સહિષ્ણુતા હિંદુઓની જ જવાબદારી હોવાના ઉપદેશો આપવામાં આવે છે. 

સેક્યુલારિઝમના ઉપદેશ આપનારા પોતે સમજતા હોય તેવા સેક્યુલારિઝમને સ્પષ્ટ કરે તેની હવે ખરેખર જરૂરત ઉભી થઈ છે. સેક્યુલારિઝમના નામે બેવડા માપદંડોથી મુસ્લિમોની તુષ્ટિકરણની હદેથી પણ નીચે ઉતરીને તરફદારી અને હિંદુઓનો દુશ્મનની કક્ષાએ વિરોધ દેશના લોકો લાંબો સમય ચલાવવા નહીં માગતા હોવાનો ગૂઢાર્થ પણ ઘણી આવી ચોક્કસ ઘટનાઓથી સામે આવી રહ્યો છે. સેક્યુલારિઝમમાં તમામ સાથે કોઈપણ પ્રકારના પક્ષપાત અને ભેદભાવ વગર સમાન વ્યવહાર એક પાયાગત શરત છે. પરંતુ કથિત સેક્યુલરો આવી કોઈ પાયાગત યોગ્યતાથી પરિપૂર્ણ નથી. 

કથિત સેક્યુલર વિચારધારાવાળા અને આવા કથિત બિનસાંપ્રદાયિકતાના ઝંડાધારી પક્ષોની સરકારોના કાર્યકાળમાં સત્તાધારીઓ માટે બિલકુલ નિરુપદ્રવી રહેલા લોકો હવે એવું સાબિત કરવાની હોડમાં આવી ગયા ।છે કે જાણે મોદીના શાસનમાં તો આમ જ થવાનું હતું. એક દાદરી કાંડને કારણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાને અર્થહીન ગણાવી દેવામાં આવી. સેક્યુલારિઝમ હંમેશા માટે દફન થઈ ગયાની કાગારોળ પણ થવા લાગી. આવી ઘટનાઓ માટેની જવાબદારી મોદી સરકારની નીતિ-રીતિના દુષ્પરિણામો તરીકે સ્થાપિત કરવાની કોશિશો પણ વિકૃત્તિની હદે કરવા લાગી. આશ્ચર્યની વાત એ છે કે જવાબદાર પણ કેન્દ્ર સરકાર અને જવાબદેહ પણ કેન્દ્ર સરકાર. ભારતમાં સહઅસ્તિત્વ માટેની રૂપરેખા બંધારણમાં આપવામાં આવી છે. તેમાં તમામની ધાર્મિક લાગણીઓના સમ્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારે પરસ્પર ધાર્મિક સમ્માનની લાગણીને ઠેસ પહોંચાડનારા તત્વોને જવાબદાર ગણવાની પ્રવૃત્તિ આઘાતજનક રીતે સહિષ્ણુતાનો ઉપદેશ આપનારા કરતા નથી. વળી ગોહત્યા પ્રતિબંધના કાયદા અમલી હોવા છતાં કાયદા વિરુદ્ધ વર્તન કરીને ગુનો કરનારને છાવરવાની વ્યવસ્થિત કોશિશો વોટબેન્કનું ગણિત સાચવવા માટે કરાઈ રહી છે. 

હવે જો કઈ હિંદુઓનું ટોળું અન્ય સમુદાયના વ્યક્તિને કોઈ કારણસર ઘેરે કે મારે તો તેના માટે પણ કેન્દ્ર સરકારને પ્રેરક અને સંચાલક માનવાની પ્રવૃત્તિ થતી રહે છે. સંબંધિત રાજ્યમાં સરકાર ક્યાં પક્ષની છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની છે.. તેના વિશે કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી. જ્યારે મુઝફ્ફરનગરના હુલ્લડો થયા ત્યેરે આવો કોઈ સૂર સંભાળતો ન હતો. મોટાભાગે તત્કાલિન યુપીએ સરકારના સ્થાને ઉત્તરપ્રદેશ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી હતી. ત્યાં સુધી  કે તમામ આવા સેક્યુલરો અને ખુદ મનમોહનસિંહની સરકારના નિશાને પણ યુપીની અખિલેશ યાદવની સરકાર જ હતી. 

હદ તો ત્યારે છે કે જ્યારે અમેરિકાના વિદેશ વિભાગના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના મામલે રિપોર્ટ આવતા પહેલા દાદરી કાંડ પર ખામોશ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું મૌન તોડવું પડે છે. વડાપ્રધાનનો પોતાનો અધિકાર છે કે તેઓ ક્યાં મુદ્દે ક્યારે બોલે અને ક્યારે બોલે નહીં.. પરંતુ અમેરિકાના રિપોર્ટ પહેલા બંગાળી અખબાર આનંદ બાજાર પત્રિકાની મુલાકાતમાં દાદરી કાંડને વડાપ્રધાન મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેથી એક ચિંતા અવશ્ય થાય છે કે શું ભારતના ઘરઆંગણાના નાના-મોટા મામલા પર પણ અમેરિકાનું દબાણ રહેશે? શું અમેરિકા અથવા આંતરરાષ્ટ્રીય મંચોને ધ્યાનમાં રાખીને ભાજપના સાંસદ સત્યપાલસિંહ દ્વારા નાની ગણાવાયેલી ઘટના પર પણ પ્રતિક્રિયા આપવાની મજબૂરીનું કારણ શું હોઈ શકે? 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા પ્રજાસત્તાક દિવસે ભારતના મહેમાન બન્યા હતા. તેમણે દિલ્હીના સિરીફોર્ટ ખાતે ભારતને સહિષ્ણુતાના પાઠ ભણાવીને ઉપદેશ આપ્યો. અમેરિકા ગયા બાદ ફરીથી ભારતમાં અસહિષ્ણુતા વધવાની વાત કરીને ગાંધીજીને ટાંકીને નિવેદન કર્યું હતું. આ નિવેદન પણ ઓબામાએ ખ્રિસ્તી ધર્મગુરુઓ અને ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં કર્યું હતું. એક તો તુષ્ટિકરણની રાજનીતિને કારણે ભારતનો બહુમતી સમાજ અંદરને અંદર ધુંધવાયા કરે છે. લગભગ 68 વર્ષમાં એવો કોઈ અપવાદ દેખાયો નથી કે જેમાં કોઈપણ પક્ષે તુષ્ટિકરણની રાજનીતિને સંપૂર્ણપણે કોરાણે મૂકી દીધી હોય. આવી અપેક્ષા નહેરુ મોડલ હેઠળની વ્યવસ્થામાં તુષ્ટિકરણની રાજનીતિમાંથી છૂટકારો મળી શકે તેમ નહીં હોવાની પણ માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારતમાં મુસ્લિમ નેતાઓની રાજનીતિને સમજીને ભારતના હિતમાં વર્તવા માટે હિંદુ સમાજે સજ્જ થવાની જરૂર છે. તેના માટે રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની જરૂર છે. આમા ભારત સામેના તમામ પડકારોનો જવાબ પણ છે.