- આનંદ શુક્લ
આંદોલન ઉભા કરવા સંઘ અને આનુષંગિક સંગઠનો માટે ભાજપનું વિપક્ષમાં હોવું જ એક પ્રાથમિક શરત છે?
શું ભાજપ અને સંઘના સંગઠનોની શક્તિ ઘટી ગઈ છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે કોકરોચ જનતા પાર્ટી ડિજિટલ પ્લેટફોર્મ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની એક ટીપ્પણી બાદ બને છે, તેના હજારો-લાખો ફોલોઅર્સ પણ બને છે અને નીટ-યુજી પેપર લીક કાંડમાં શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ કરાવી શકે છે. પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય અને ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન હોવાનો દાવો કરતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી આખા મામલામાં ગેરહાજર હોય. આ આશ્ચર્ય નથી...? કોકરોચ જનતા પાર્ટીએ તો રાજસ્થાન સરકારને પણ અલ્ટીમેટમ આપ્યું છે કે જો આશુતોષ રાંકા અને તેમની ટીમ પર સ્કૂલ ઠીક કરો અભિયાન દરમિયાન થયેલા હુમલાના ગુનેગારોને ઝડપવામાં નહીં આવે અને સ્કૂલનું સમારકારમ શરૂ નહીં થાય તો 48 કલાકમાં સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકે જયપુર પહોંચશે અને આંદોલન શરૂ કરશે.
હવે સવાલ એ પણ ઉભો થાય છે કે જાહેરજીવનમાં ખાસ કરીને રાજકારણ અને સામાજીક-આર્થિક-
સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સક્રિય આરએસએસના આનુષંગિક સંગઠનોની આને લગતા પ્રશ્નોમાં ગેરહાજરી શું સૂચવી રહી છે, કે ભાજપ અને સંઘના સંગઠનોની શક્તિ એઠલી ઘટી ગઈ છે કે સરકાર સામે થનારા કોઈ આંદોલનની સમાંતર ન તો કોઈ અન્ય આંદોલન કરી શકે છે અને ન તો આવા આંદોલનની હવા કાઢી શકે છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અખિલ ભારતીય સમન્વય બેઠક સંઘના વડપણ હેઠળ થઈ, પણ આ બેઠકમાં શું એવી ચર્ચા થઈ હશે કે આપણા જ આનુષંગિક રાજકીય ક્ષેત્રના સંગઠન ભાજપની સરકાર છે અને આપણા જ સ્વયંસેવકો સરકારમાં છે, તો સરકારની નકારાત્મક બાબતને છાવરવી કે દબાવવી અને તેની સામે આંદોલન કરવા નહીં ? નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી જીતી રહ્યા હોવાથી બાકી કોઈ બાબતની જરૂર નહીં હોવાનું અખિલ ભારતીય સમન્વય બેઠકોમાં મંથન થતું હશે કે આનો સાર હશે કદાચ..
તેમને એવું પણ લાગી રહ્યું હશે કે ભાજપને દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવી દીધી તો હવે દુનિયામાં કંઈ કરવાનું બાકી રહ્યું નથી. ભાજપનું સૌથી મોટી રાજકીય પાર્ટી બનવું જ શું ભારત નિર્માણ કે રાષ્ટ્ર નિર્માણ છે ? પણ આંદોલનની ક્ષમતા ગુમાવી ચુકેલા સંઘના આનુષંગિક સંગઠનો અને ખુદ ભારતીય જનતા પાર્ટી હાલ તો ફૂલેલા પણ પોતાની શક્તિ ગુમાવી ચુકેલા શરીરો સિવાય કંઈ લાગતા નથી.
2011 અને 2012માં દિલ્હીમાં કોંગ્રેસની આગેવાનીવાળી તત્કાલિન યુપીએ-2 સરકાર સામે થયા હતા. ત્યારે અણ્ણા હજારેનું ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન હોય કે બાબા રામદેવનું આંદોલન હોય કે નિર્ભયા ગેંગરેપ કાંડ સામેનું આંદોલન હોય કે કોમનવેલ્થ ગેમ્સમાં દિલ્હીની તત્કાલિન કોંગ્રેસના શિલા દિક્ષિત સરકારની સામેના આંદોલન હોય, સત્તાધારી પક્ષ પરેશાન થયો હતો. ત્યારે ભાજપ અને સંઘ પર આંદોલનને હવા આપવાના આરોપ લાગી રહ્યા હતા અને તેમાં ઘણી હદે સચ્ચાઈ પણ હતી. સીધા આંદોલનમાં સામેલ થવા કરતા ત્યારે ભાજપે અને સંઘે જનાક્રોશને પડદા પાછળથી દિશા આપી અને તેનો રાજકીય લાભ 2014થી તેમને મળી રહ્યો છે. પણ હવે ભાજપ હોય કે સંઘ હોય કે કૉંગ્રેસ રાજ વખતના તેમના કોઈ બાબા હોય કે ઉપદેશકાર હોય કે સામાજિક કાર્યકર્તા, આવા કોઈનામાં પણ હાલ આંદોલન ઉભું કરવાની ક્ષમતા નથી.
સીજેપીના આંદોલન પછી જંતર-મંતર પર 21 ઓગસ્ટે અનામત સુધારણા માટે એક દેખાવ થયા, તેને પોલીસની મંજૂરી પણ મળી ન હતી અને તેમને જંતર-મંતર પરથી હટાવાયાના અહેવાલ છે. આ આંદોલનની પાછળ કોણ હશે, તેનો હાલ તો ખુલાસો થયો નથી. પણ એટલું નક્કી છે કે આ આંદોલનકારીઓ મોદી સરકાર, ભાજપ અથવા સંઘ કે હિંદુવાદી સંગઠનોને સીજેપી આંદોલનકારીઓની જેમ ગાળો આપી રહ્યા ન હતા. તેથી તેનો અર્થ કાઢવામાં આવે છે કે આ આંદોલન આવા કોઈ આવા સંગઠનોના સમર્થકોના દોરીસંચાર હેઠળ ઉભા કરીને સીજેપી આંદોલનની અસરને ખાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે હાલ તો આવો પ્રયાસ સદંતર નિષ્ફળ દેખાઈ રહ્યો છે અને આ જ દર્શાવે છે કે 2011-12માં જેઓ આંદોલનની ક્ષમતા ધરાવતા હતા, તેઓ હવે આંદોલન કરવા માટે સક્ષમ લાગી રહ્યા નથી.
આંદોલન ત્યારે જ ઉભું થાય છે કે જ્યારે સમાજની લાગણીઓને ઠેસ પહોંચે કે તેને આઘાત લાગે, ત્યારે સમાજ આંદોલિત થયા છે અને તેના આક્રોશને એક દિશા આપવા માટે વૈચારિક અને સંગઠનિક પ્રમાણિકતા ધરાવતા ચહેરા કે સંગઠન મળે તો તે જનાંદોલનનું સ્વરૂપ લે છે.
ભારતીય જનતા પાર્ટી 1980માં તેની સ્થાપનાકાળથી વિરોધ પક્ષની પાર્ટી તરીકે એક આંદોલનવાળી પાર્ટી ગણાતી હતી. 1984માં ભલે તેની માત્ર 2 બેઠકો આવી હતી, પણ આ જ પાર્ટીએ 1989-90માં પોતાની વૈચારીક અને સંગઠનિક ઈમાનદારી થકી ભારતના ઈતિહાસના સૌથી મોટા જનાંદોલનમાંથી એક એવા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનને ઉભું કર્યું હતું. ત્યારે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનને ખાળવા માટે શરૂ કરાયેલા મંડલ આંદોલનને ખાળવા માટે પણ ભાજપે પોતાના ટેકેદાર જૂથોને આંદોલિત કરીને મંડલ વિરુદ્ધ પણ એક વ્યાપક નરેટિવ બનાવ્યો હતો. રામજન્મભૂમિ મુક્તિ આંદોલન અને મંડલ વિરોધી આંદોલનોએ ભાજપની રાજકીય શક્તિને સતત વધારી અને પહેલા 13 દિવસ, પછી 13 માસ અને પછી ગઠબંધનમાં પુરા પાંચ વર્ષની સરકાર બનાવવાની ક્ષમતા આપી હતી.
જ્યારે ભાજપની આગેવાનીમાં એનડીએની વાજપેયી સરકાર હતી, ત્યારે પણ રામમંદિર માટે વીએચપી, સ્વદેશીના આગ્રહ માટે સ્વદેશી જાગરણ મંચ, એબીવીપી, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય જ રહ્યા હતા. સંઘ વિચારક અને સ્વદેશી જાગરણ મંચના પ્રેરક દત્તોપંતજી ઠેંગડીએ આર્થિક નીતિઓને કારણે વાજપેયી સરકારના નાણાં મંત્રી યશવંત સિંહાને ક્રિમિનલ ફાયનાન્સ મિનિસ્ટર પણ ગણાવી દીધા હતા.
પણ 2014થી 2026ના 12 વર્ષ જેટલા સમયગાળામાં મોદી સરકાર 1,2 અને 3ના કાર્યકાળમાં ઘણાં એવા મુદ્દાઓ છે કે વૈચારિક ધરાતલ પર તેનો સંઘના આનુષંગિક સંગઠનો દ્વારા વિરોધ થઈ શકે તેમ હતો. પણ હાલ વીએચપી લગભગ ચુપ છે, સ્વદેશી જાગરણ મંચ પણ ચુપ છે, નીટ-યુજી પેપરલીક કાંડ મામલે એબીવીપી પણ ચુપ રહ્યું અને આંદોલન સીજેપીએ અંકે કરી લીધું, કિસાનોના મુદ્દા પર પણ ભારતીય કિસાન સંઘ એટલું સક્રિય નથી, શ્રમિકોના મુદ્દાઓને લઈને ભારતીય મજદૂર સંઘ પણ મોટાભાગે ચુપ રહે છે. શું આ બધી રણનીતિ અખિલ ભારતીય સમન્વય બેઠકોમાં બનતી હશે કે આપણામાંના લોકો રાજ કરી રહ્યા છે માટે તેમને તકલીફ થવી જોઈએ નહીં? જો આવું થશે તો જે આંદોલનોનું નેતૃત્વ હિંદુવાદી સંગઠનો ખાસ કરીને સંઘના આનુષંગિક સંગઠનોને લેવાનું હતું, તે આગેવાની કોઈ બીજાના હાથમાં જતી રહેશે. પછી અર્બન નક્સલની પરિભાષાને અપડેટ કરીને દિમાગી નક્સલ કહીને તેને અલગ-થલગ કરવાની હાકલ કરવી પડશે. જો કે આવી વૈચારીક અને સંગઠનિક અપ્રમાણિકતા દિમાગી નક્સલને મેનસ્ટ્રીમમાં લઈ આવશે અને હિંદુવાદી સંગઠનોને અલગ-થલગ કરી દે તેવી પરિસ્થિતિ પેદા થશે.
આમ તો મોદી સરકાર નીટ-યુજી પેપર લીક કાંડ મામલે પહેલીવાર ઝુકી નથી. યુપીએ સરકારના વખતના જમીન સંપાદન કાયદાને બદલવાનું મોદી સરકારને ભારે પડયું હતું અને કિસાન આંદોલનો કે જેમાં ભારતીય કિસાન સંઘની લગભગ ગેરહાજરી જ ગણી લો, સરકારને આ કાયદો પાછો લેવો પડયો હતો. તેવામાં મોદી સરકારે કૃષિ કાયદો બનાવ્યો અને ખેડૂતોની કિસ્મત બદલી નાખવાની વાત કરી હતી. પણ એક વર્ષ ચાલેલા આંદોલનમાં ખેડૂતોએ ત્રણેય કાયદાઓને પાછા ખેંચાવ્યા. રાષ્ટ્રીય ટીવી પર માફી માંગતા વડાપ્રધાન કાયદા પાછા ખેંચ્યા હતા. સરકાર અને ભાજપના નેતા કહેતા હતા કે આ સરકારમાં રાજીનામું થતું નથી. પણ સીજેપી આંદોલનકારીઓએ ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું લેવડાવ્યું.
આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે સરકારની પાછળની સંગઠનશક્તિ હવે ખોખલી થઈ રહી છે. તેની નૈતિકતા અને વૈચારિક પ્રામાણિકતાની વિશ્વસનીયતા રસાતળ તરફ આગળ વધી રહી છે.
એક સમય હતો કે ભાજપ ખુદ મોટા આંદોલન ઉભા કરતું હતું અથવા લોકપ્રિય આંદોલનમાં પડદા પાછળ ભૂમિકા નિભાવતું હતું. પણ ભાજપ કે સંઘ આનુષંગિક સંગઠનો કે તેની સાથે સિમ્પથી ધરાવનારા લોકો ઝારખંડ સિવાયના કોઈ રાજ્યમાં પરીક્ષામાં થઈ રહેલા પેપર લીક કે ગડબડ મામલે આંદોલન ઉભા કરી શક્યા નથી.