- આનંદ શુક્લ
એક તો નીટ-યુજીનું પેપર લીક થાય અને તેની સામે વિદ્યાર્થીઓ વિરોધ વ્યક્ત કરે તો તેમની વાત કાને ધરવામાં આવે નહીં અને આંદોલન કરે... તો આંદોલનકારીઓને જ રાષ્ટ્રવિરોધી અને બહારી શક્તિઓના રમકડાં હોય તેવા નરેટિવ ચલાવવામાં આવે.
કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીની સ્થાપના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવી, અભિજીત દીપકે સીજેપીના સંસ્થાપક અમેરિકાથી સ્વદેશ પાછા ફર્યા અને દિલ્હી જંતર-મંતર પર સોનમ વાંગ્ચુકની ભૂખ હડતાળ અને સીજેપીના દેખાવો શરૂ થયા.
દિલ્હીમાં છાત્ર આંદોલન વખતે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું અને વિવાદ પણ થયો... શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું પણ આપવું પડયું.
જે સોનમ વાંગ્ચુકને દેશદ્રોહી ગણાવતા નરેટિવ ચલાવાયા તેમના પારણાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ દ્વારા થયા. ખુદ વાંગચુકે પણ કહ્યુ કે જો તેઓ દેશદ્રોહી હોત તો સરકાર તેમને છોડત...
કેટલીક ન્યૂઝ ચેનલોના પ્રાઈમ ટાઈમ જોયા હશે તો તેમા એક કે બીજા સ્વરૂપે છાત્ર આંદોલન, સોનમ વાંગચુક અને અભિજીત દીપકે સહીતના લોકો પર તેઓ દેશદ્રોહી હોય કે દેશવિરોધી કામ કરી રહ્યા હોય કે બહારના તત્વોના હાથમાં રમતા હોય તેવા નરેટિવ સીધા કે આડકતરી રીતે ચલાવાતા હતા.
ભાજપના એક સાંસદ છે નિશિકાંત દુબે... તેમણે દાવો કર્યો હતો કે છાત્રોનું આંદોલન વિદેશી શક્તિઓ અને રાષ્ટ્રવિરોધી તત્વોએ પોતાના કબજામાં લઈ લીધું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતન નવીને પણ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે વાયરસ અને કોકરોચ જેવી પાર્ટીઓ આવી રહી છે, જે દેશને ખોખલો કરવા માંગે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ આરોપ લગાવ્યો હતો કે છાત્ર આંદોલન દરમિાયન રાષ્ટ્રવિરોધી ગેંગ ફરી સક્રિય થઈ છે.
ભાજપના મુંબઈ પ્રદેશ પ્રમુખ અમિત સાટમે દાવો કર્યો હતો કે સીજેપીના આંદોલનમાં રાષ્ટ્રવિરોદી તત્ત્વ સામેલ હતા અને વિપક્ષ પર આવા લોકોને સાથ આપવાનો આરોપ લગાવાયો હતો.
એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈપણ વ્યવસ્થા એટલે કે સિસ્ટમ ખુદ અંદરથી પોતાનો બચાવ કરતી હોય છે. સિસ્ટમને ચલાવનારા-સંચાલન કરનારાઓ વખતોવખત બદલાય છે. પણ આ બદલાયેલા લોકો સિસ્ટમને વફાદાર બની જતા હોય છે, એટલે કે ખુદ સિસ્ટમ જ બની જતાં હોય છે. જ્યારે સિસ્ટમની ખામીઓ ઉજાગર થતી હોય છે, ત્યારે સિસ્ટમના આવા કર્તાધર્તાઓ સિસ્ટમનો જ બચાવ કરતા હોય છે.. એટલે ખુદનો જ બચાવ કરતા હોય છે. આવી જ કંઈક સ્થિતિ દિલ્હી જંતર-મંતર ખાતે સીજેપીના આંદોલન વખતે જોવા મળી હતી.
દિલ્હીના સીજેપીના આંદોલન બાદ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત ઝેન-ઝી અને ઝેન-આલ્ફા સાથે સંવાદ કરી રહ્યા છે. 100થી વધુ સ્થાનો પર આ સંવાદ થવાનો છે. મુંબઈમાં ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટૂ યૂનાઈટેડ નેશન્સના 15મા સંમેલમાં 15થી 19 વર્ષના 2000થી વધુ વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો.
ભાગવતે આ સંવાદમાં કહ્યુ કે જ્યારે અન્ય માર્ગો કામ આવતા નથી, તો વિરોધ પ્રદર્શન એક યોગ્ય લોકશાહી પદ્ધતિ હોય છે. એ પણ સંવાદ અને સંમતિ બનાવવાની એક રીત છે. બંધારણ અને બી. આર. આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે લોકશાહીમાં વિરોધની રીત અને નિયમ હોય છે. દેખાવ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પણ વ્યવસ્થામાં સુધારા માટે હોવા જોઈએ.
આરએસએસના ચીફે કહ્યુ કે નવી પેઢી પણ સમાજનું અભિન્ન અંગ છે. તેમના વિચારો અને સવાલો સમજવા માટે વાતચીત જરૂરી છે. મતભેદો છતાં સંવાદ અને ચર્ચા થવી જોઈએ, કારણ કે દરેક સમસ્યાનું સમાધાન પરસ્પર વાતચીતથી જ સંભવ છે.
ઝેન - ઝી પર પૂર્ણ વિશ્વાસ હોવાની વાત કરીને ભાજપના જે નેતાઓએ દિલ્હીના જેન-ઝીના આંદોલનને રાષ્ટ્રવિરોધી તત્વોના હાથમાં રમતું ગણાવ્યું તેમને પણ જવાબ આપતા ભાગવતે કે જેન-ઝી કોઈ મુદ્દા પર વિરોધ કરી રહ્યુ ંછે, તો તે દેશવિરોધી થઈ જતા નથી. તે આપણા જ લોકો છે. આપણી આગલી પેઢી છે. હું આંખ મિંચીને ઝેન-ઝી પર વિશ્વાસ રાખીશ. તેમણે ક્હયુ છે કે જે કંઈપણ થયું છે, ફરિયાદ યોગ્ય છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં હજી ઘણું બધું કરવાનું બાકી છે. પણ આવું થઈ રહ્યું નથી, માટે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે.
ઝેન-ઝી અને ઝેન-આલ્ફા પેઢીને અણસમજુ અને બેજવાબદાર ગણાવનારાઓને પણ આ સંવાદ દરમિયાન સંઘ પ્રમુખ ભાગવતે જવાબ આપતા કહ્યુ છે કે ઝેન-ઝી અને ઝેન-આલ્પા સવાલ પુછે છે.. તેમને તાર્કિક જવાબ જોઈએ. આ નવી પેઢી અમારી હાલની પેઢીથી વધુ ઈમાનદાર છે. દેશભક્તિ અને સેવાની ઈમાનદારી અપીલ તેમના પર અસર કરે છે. દિલ્હીમાં ઝેન-ઝી ના આંદોલન દરમિયાન પેલેટ ગન ચાલ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ સવાલ ઉઠાવાય રહ્યા છે. ત્યારે ભાગવતે મુંબઈ ખાતેના સંવાદમાં કહ્યુ કે આનું કારણ (પેલેટ ગન ચાલવાનું) અમને ખબર નથી, પણ તપાસ કરવી પડશે.
ભાજપનું વૈચારિક કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. 1951-52માં ભારતીય જનતા પાર્ટીની પુરોગામી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી અને તેના પહેલા તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘાચલ શ્રી ગુરુજી સાથે વાતચીત પણ કરી હતી. શ્રીગુરુજીએ ત્યારે ડૉ. મુખર્જીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક પ્રચારકો અને કાર્યકર્તાઓ જનસંઘનું કામ કરવા માટે સોંપ્યા હતા. કટોકટી બાદ બનેલી જનતા પાર્ટીમાં જ્યારે ભારતીય જનસંઘનો વિલય થયો અને મધુ લિમયે જેવા નેતાઓએ જનસંઘના નેતા-કાર્યકર્તાઓ જનતા પાર્ટીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદસ્ય હોવાનો ડ્યૂઅલ મેમ્મબશિપનો મુદ્દો ઉઠાવ્યો. ત્યારે જનતા પાર્ટી છોડીને આવા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. હવે આ ભાજપના જે નેતાઓ ઝેન-ઝીના દિલ્હી જંતર-મંતર ખાતેના આંદોલનને સીધી કે આડકતરી રીતે રાષ્ટ્રવિરોધી ગણાવી રહ્યા છે, તેમના કાને સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની વાત પહોંચશે કે કેમ, તે સવાલ પણ આગામી સમય જ આપી શકશે.
સરકારની સામેનો દરેક અસંતોષ કે દરેક વિરોધ દેશ કે રાષ્ટ્રની વિરુદ્ધનો નથી હોતો. કોઈપણ આંદોલનને તોડી પાડવા કે કોઈ સાચી રજૂઆતને ઉતારી પાડવા માટે રાષ્ટ્રવિરોધી-દેશવિરોધી ગણાવવી કે ચીન-પાકિસ્તાન કે અન્ય બહારી શક્તિઓના આમા દોરીસંચારની વાત કહેવી ખરેખર દેશદ્રોહ કેમ ન ગણવો જોઈએ, તેવો સામે સવાલ પણ થવો જોઈએ.
તમને યાદ હશે કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના બેનર હેઠળ અણ્ણા હજારેના જનલોકપાલની માગણી સાથે દિલ્હીમાં અનશન થયા હતા. 2014માં સત્તા પણ બદલાઈ.. પણ વ્યવસ્થા પરિવર્તન થયું નથી. ત્યારે પણ અણ્ણા આંદોલનનો લાભ લઈને રાજકીય પાર્ટી બની અને રાજકીય નેતાઓ પણ માર્કેટમાં આવ્યા. તેમની સામે પણ સવાલો ઉઠયા છે. પણ તેમને સદંતર ખોટા ગણાવીને દેશ કે રાષ્ટ્રવિરોધી ગણાવીને અમારી પાર્ટી જ સાચી આવી માનસિકતા લોકશાહીની ભાવનાઓની વિરુદ્ધ જ છે. જાહેર વિમર્શ લોકશાહીમાં હંમેશા આવકાર્ય હોવો જોઈએ, લોકશાહીમાં વ્યવસ્થાના સાચા માલિક દેશના લોકો -જનતા છે. આ પબ્લિક છે અને પબ્લિક બધું જાણે છે... તેમને મુર્ખ બનાવી શકાય તેમ નથી, આ વાત જ્યારે વ્યવસ્થામાં બેઠેલા ભૂલી જાય છે.. ત્યારે તેમને આ પબ્લિક જ પાઠ ભણાવે છે. પણ તેના પહેલા વાજબી વાતોની ચર્ચાવિચારણા કરીને તેને સ્વીકારીને સુધારો કરવામાં આવે, તો લોકશાહી પણ જીવંત રહે છે અને જનતા પણ ખુશ રહે છે.