Wednesday, February 24, 2010

મોંઘવારી પર ચર્ચાથી બચતી યુપીએ સરકાર!!!

મોંઘવારી સામે મનમોહન સરકારની મજબૂરી છતી થઈ ગઈ છે. સંસદમાં આમ આદમીને છેલ્લા છ વર્ષથી ત્રસ્ત કરતાં મોંઘવારીના મુદ્દે યુપીએ સરકારે ચર્ચા કરવાની મંજૂરી આપી નહીં. જો કે મોંઘવારીની ચર્ચા ક્યાં નિયમોને આધારે થવી જોઈએ તેની ચર્ચા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે થઈ. જે બતાવે છે કે બંને પક્ષોની દિલચસ્પી મોંઘવારીનું સમાધાન શોધવાની બિલકુલ નથી. જો કે સત્તાપક્ષ જે પ્રકારે મતવિભાજનવાળા નિયમ હેઠળ ચર્ચા કરવાની વાતથી પાછો હઠયો તેના પરથી સ્પષ્ટ છે કે તે મોંઘવારી પર રોક લગાવવા માટે અક્ષમ તો છે જ, પણ વિપક્ષની ઘેરાબંધીથી ભયભીત પણ છે. જો કેન્દ્ર સરકાર માનતી હોય કે મોંઘવારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી કરણી છે. તો ચર્ચામાં પોતાની વાત સાબિત કરવા માટે તૈયાર શું કામ ન થઈ? એવું લાગે છે કે મોંઘવારીના મુદ્દે ક્યાંક તેમના સહયોગી પક્ષો સાથ છોડી ન દે તેનાથી તેઓ આશંકિત છે. જો તેમની આ આશંકા સાચી છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે મોંઘવારીના મામલે તેઓ પોતાના સાથી પક્ષોને એ વિશ્વાસ અપાવવામાં ઊણી ઉતરી છે કે જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુના અનિયંત્રિત ભાવવધારા પાછળ તેની કોઈ ભૂલ નથી કાર્ય સ્થગન પ્રસ્તાવ હેઠળ મોંઘવારી પર ચર્ચા કરવાની વિપક્ષની માગણીને સરકારે જે તર્કોના આધારે ખારિજ કરી તે કુલ મળીને હાસ્યાસ્પદ તર્કો હતા. મોંઘવારી ચર્ચા માટે નવો વિષય ન હોવાની વાત કરીને સરકારે પોતાની આમ આદમી તરફની સંવેદનહીનતા જ વ્યક્ત કરી છે. સંસદમાં જીવન-મરણનો બનેલો મોંઘવારીનો વિષ જૂનો હોવાથી ચર્ચા માટે યોગ્ય ઠરાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે? તે પણ એક અલગ ચર્ચાનો વિષય છે. આખરે જ્યારે મોંઘવારી મુદ્દે આના પહેલા વિવિધ નિયમો હેઠળ ચર્ચા થઈ ગઈ છે અને પરિણામ શૂન્ય આવ્યું છે, ત્યારે કોઈ નવા નિયમ હેઠળ સંસદમાં ચર્ચા કેમ થવી ન જોઈએ? દેશની જનતા મહેસૂસ કરી રહી છે કે મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર કંઈજ કરી રહી નથી. ત્યારે સત્તાપક્ષ મોંઘવારી મુદ્દે સ્થગન પ્રસ્તાવ હેઠળ ચર્ચાનો ઈન્કાર કરીને પોતાની કમજોર સ્થિતિ જ ઉજાગર કરી રહી છે. જો તે પોતાની જીદ્દ પર અક્કડ રહેશે તો તેની સમસ્યા હજી વધશે. પોતાના કાર્યવ્યવહારથી મોંઘવારી ચર્ચાનો વિષય ન હોવાની વાત પૂરવાર કરનારી કેન્દ્ર સરકાર અન્ય કોઈને દોષ આપી શકે તેમ નથી. પોતાના કૃષિ મંત્રી શરદ પવાર સામેની અસહાયતા મનમોહન સરકારની મજબૂરીની રહીસહી કસર પૂરી કરી રહી છે. ખાંડ સહીત જીવનજરૂરિયાતની વસ્તુઓના માઝા મૂકતા ભાવવધારાથી મોટા ગોટાળાની આશંકાથી પર રહી શકાય તેવી સ્થિતિ નથી. જો કે મોંઘવારી રોકવા માટેની રાજ્ય સરકારોની ભૂમિકા હોવા અંગેની કેન્દ્ર સરકારની દલીલને નિરાધાર ગણી શકાશે નહીં. પણ શું કોઈપણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાવવધારા પર અંકુશ લાગ્યો છે? કેન્દ્ર સરકાર માત્ર મોંઘવારીના મોરચે જ નહીં, અન્ય તમામ મોરચે પણ અસફળ રહી છે. ત્યારે આવી કેન્દ્ર સરકારની ઘેરાબંધી કરવામાં કોઈ હર્જ નથી, પણ વિપક્ષે એ પણ ધ્યાન રાખવું પડશે કે સંસદમાં કેવળ હંગામો જ ન થયા કરે.

નક્સલીઓની સંઘર્ષવિરામની પેશકશ!!!

માઓવાદી કમાન્ડર કિશનજીએ કેન્દ્ર સરકાર સામે ઓપરેશન ગ્રીન હન્ટ રોકવામાં આવે તો 72 દિવસના સંઘર્ષ વિરામની પેશકશ કરી છે. જો કે આ પેશકશના 12 કલાકમાં જ નક્સલીઓએ પશ્ચિમ બંગાળમાં પોલીસ પર શક્તિશાળી હુમલો કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે નક્સલીઓની શરતોના આધારે વાતચીત કરવાની માગણી ફગાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્સલીઓને સંઘર્ષ વિરામ સંદર્ભે ફેક્સ દ્વારા લેખિતમાં જાણ કરવા માટે જણાવ્યું છે. જેના કારણે એક તો નક્સલીઓના 25 કરતાં વધારે શીર્ષસ્થ નેતાઓ કે કમાન્ડરો છે. આ નેતાઓમાં એકમત હોવાની કોઈ સંભાવના દેખાતી નથી. કારણ કે કિશનજીના નિવેદન બાદ 12 કલાકમાં જ નક્સલીઓએ પશ્ચિમ બંગાળમાં પોલીસ પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે સવાલ ઉભો થાય છે કે સંઘર્ષ વિરામના પ્રસ્તાવમાં સફેદ ઝંડો લહેરાવાનો હોય કે બંદૂક અથવા બોમ્બના ધડાકા કરીને નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવાના હોય. અત્રે ઉલ્લેખનીય છે કે હથિયાર હેઠાં મૂકયાના 72 કલાકમાં વાતચીતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પેશકશનો જવાબ આપતા માઓવાદીઓ ઓપરેશન ગ્રીન હન્ટ રોકવાની શરતે 72 દિવસના યુદ્ધ વિરામની પેશકશ બંદૂકો અને બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે કરી રહ્યાં છે. તેમનો હેતુ સ્પષ્ટ છે કે તેઓ ઓપરેશન ગ્રીન હન્ટથી બચવા માગે છે અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાંથી કેન્દ્રીય સુરક્ષાદળોને બહાર મોકલીને પોતાનો પ્રભાવ જાળવી રાખવા માગે છે. છેલ્લા કેટલાંક સમયથી છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં નક્સલાવાદીઓનો કાળોકેર ચાલુ જ છે. વળી કેટલાક બુદ્ધિજીવીઓનો તર્ક છે કે અલ્પ વિકાસના કારણે નકસલવાદી પ્રવૃતિ વધી રહી છે. જેના કારણે આવા બુદ્ધિજીવીઓ નક્સલીઓ સાથે સોફ્ટ કોર્નર રાખીને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. નક્સલવાદીઓએ આ વખતે નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરતાં બુદ્ધિજીવીઓને મધ્યસ્થી બનાવવાની માગણી કરી છે. પણ બંદૂકો અને ગોળા-બારુદના ધડાકાઓના ચાલુ રહેતા સંવાદ અને વિકાસ કેવી રીતે સંભવ છે? એક આશંકા એવી પણ છે કે સંઘર્ષ વિરામના નામે નક્સલી સંગઠન વધારે એકજૂટ બનીને પોતાના અડ્ડાઓને સુરક્ષિત બનાવીને મોટી હિંસક વારદાતોની તૈયારી કરશે. સંઘર્ષ વિરામના ઝાંસામાં આવ્યા વગર દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ તથા સુરક્ષાદળોની કડક કાર્યવાહી દ્વારા પ્રભાવિત ક્ષેત્રોની સામાન્ય જનતાને રાહત અપાવવાની આવશ્યકતા છે. સાથે જો નક્સલીઓ રાજી થાય તો હિંસા રોકવા માટે બિનશરતી વાતચીત કરવામાં હાલ તુરંત કોઈ વાંધો દેખાતો નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે નક્સલીઓએ હિંસક માર્ગ છોડવો પડશે. તેના માટે સરકાર બંદૂકનો માર્ગ અપનાવે કે વાતચીતનો તે નક્સલીઓના આગળના વલણ પર નિર્ભર કરે છે.

તાલિબાનોની બર્બરતા

પાકિસ્તાનમાં બે શીખોના તાલિબાનો દ્વારા સર કલમ કરવામાં આવ્યા તે બર્બરતાની પરાકાષ્ઠા છે. મધ્યયુગીન આ પાશિવક કૃત્યથી માત્ર એટલું સ્પષ્ટ થાય છે કે તાલિબાન જેટલા ક્રૂર છે, તેટલા જ ધર્માંધ છે. સંભવત્ તેવો બેલગામ પણ છે. કારણ કે તેઓ જ્યારે ચાહે છે, ત્યારે શીખોનું અપહરણ કરીને તેમની હત્યા કરી રહ્યાં છે. તાલિબાનોએ બે શીખોને મોતને ઘાટ ઉતારી દીધા કારણ કે તેમને મંજૂર નથી કે તેમના પ્રભાવી ક્ષેત્રોમાં અન્ય ધર્મના લોકો રહે. જો કે તાલિબાનો ઘણાં વખતથી અન્ય ધર્મના લોકો પાસેથી જજિયા વેરો વસૂલી રહ્યાં છે અને તેમા નાકામિયાબી મળવાને કારણે તેમની હત્યામાં લાગેલા છે. આવી ભયાવહ પરિસ્થિતિ છતાં કોઈ તેમનો ત્યાં વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેનાથી વિરુદ્ધ કેટલાંક પાકિસ્તાની રાજકીય પક્ષો તાલિબાનોની આવી પ્રવૃતિઓનું સમર્થન કરી રહ્યાં છે. શીખોની નૃશંસ હત્યાનો મામલો સંસદમાં ઉઠયો અને વિદેશ સચિવ તથા વિદેશ મંત્રીએ તેના પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારત તેનાથી વધારે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેવી જ રીતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શીખોના સિર કલમ કરવાની નિંદા કરી છે અને પોતાના અધિકારીઓને હત્યારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. જો કે આ માત્ર કાગળ પરનો જ નિર્દેશ છે. કારણ કે જો તેમને શીખોના જીવની આટલી જ ચિંતા હોત, તો તેમણે તેમની હત્યા સુધી રાહ જોઈ ન હોત. પેશાવરના કબાયલી ઈલાકાઓમાંથી 34 દિવસ પહેલા ચાર શીખોને તાલિબાનો ઉઠાવી ગયા હતા. જેમાના બે શીખો હજી પણ તાલિબાનો પાસે છે. વળી પાકિસ્તાનમાં વધુ એક શીખનું અપહરણ થયું છે. ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાન સરકાર શીખોના અપહરણની સૂચના મળી ત્યારે કેમ ન જાગી? સવાલ એ પણ છે કે શું તાલિબાનો પર અંકુશ લગાવવા માટે પાકિસ્તાન સરકાર સક્ષમ છે? વિડંબણા એ છે કે પાકિસ્તાનના શાસકો ક્યારેય એ બાબત પર વિચાર કરવાની જહેમત ઉઠાવતા નથી કે તેમના દેશમાં લઘુમતીઓનું નિકંદન કેમ નીકળી રહ્યું છે? પ્રવર્તમાન સમયમાં તેવી આશા ઠગારી નીવડવાની છે. પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખોની જાનમાલની રક્ષા માટે જજિયા વેરો ઉઘરાવવાના તાલિબાનોના ફરમાન સામે પાકિસ્તાનના નીતિ-નિયંતાઓ કોઈ ધ્યાન આપશે તેવી શક્યતાઓ પણ નહીવત્ છે. પાકિસ્તાનના આતંકવાદ સંદર્ભેના વલણ અને લઘુમતીઓ પ્રત્યેના વહેવાર બાદ ભારત સરકારની આંખ ઉઘડવી જોઈએ કે વાતચીત કરવી અને વાતચીત ન કરવી જેવા માત્ર બે વિકલ્પ સિવાય અન્ય ત્રીજા કોઈપણ વિકલ્પ સંદર્ભે દ્રઢતા અને સ્પષ્ટતાપૂર્વક વિચારવું પડશે

બજેટસત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ:એક પ્રતિકાત્મક અનુષ્ઠાન

છેલ્લા કેટલાંક સમયથી બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ એક પ્રતિકાત્મક અનુષ્ઠાન બનીને રહી ગયું છે. સરકારના કાર્યક્રમો સંદર્ભે રાષ્ટ્રપતિ અભિભાષણમાં બૈદ્ધિક ઉત્તેજના અને ભાવનાત્મક વિશ્વાસ પેદા થવો જોઈએ. જો કે આ વખતે પણ દર વખતની જેમ રાષ્ટ્રપતિ અભિભાષણ પ્રતિકાત્મક અનુષ્ઠાન બનીને રહી ગયું. દેશ અત્યારે નક્સલવાદ, મોંઘવારી અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ રૂપી મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ અભિભાષણમાં તેનો બેશક ઉલ્લેખ છે. પણ આ સમસ્યાઓનો ઉકેલ ક્યારે અને કેવી રીતે મેળવવામાં આવશે, તેનો વિશ્વાસ અપાવવામાં અભિભાષણ કામિયાબ નીવડયું નથી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કડક શબ્દોમાં નકસલવાદીઓની આલોચના અવશ્ય કરી છે, પણ એવું લાગે છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીના દબાણને કારણે સરકાર નકસલવાદીઓ વિરુદ્ધ પોતાની નીતિઓને ફરી એક વાર નિર્ણાયક રૂપથી પરિભાષિત કરવામાં સંકોચમાં પડી છે. તેવી જ રીતે અભિભાષણમાં કહેવામાં આવ્યું છે કે તેમની સરકાર ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને નિયંત્રણમાં લાવવા માટે વચનબદ્ધ છે અને આમ આદમીને રાહત પહોંચાડવાના ઉપાયોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવમાં આવી રહી છે. પણ બજારમાં ખાદ્યાન્નોની વધી રહેલી અનિયંત્રિત કિંમતો કંઈક બીજી જ બાબત તરફ અંગુલિનિર્દેશ કરી રહી છે. ખાદ્યાન્નોની કિંમતોની મોંઘવારીનો દર 19 ટકાની આસપાસ પહોંચ્યો છે. ત્યારે ફક્ત 20 રૂપિયા રોજ પર જીવન ગુજારનારા 77 ટકા લોકોનું જીવન બેહદ કઠિન થઈ ગયું છે. એ સાચું છે કે મંદીની અસર છતાં આપણો આર્થિક વિકાસ દર 7.5 ટકા પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે મોંઘવારીને કારણે દુષ્કર બનેલા આમ આદમીના જીવનને કારણે સમાજના નીચલા સ્તરને દેખાતી આર્થિક સમૃદ્ધિનો લાભ મળ્યો નથી. પાકિસ્તાન સરકાર સાથે વાતચીતના મામલે પણ સરકાર પોતાની ઘોષિત નીતિઓ પર કાયમ રહેવામાં વિફળ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાંક વખતથી ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ભારત વિરોધી સંમેલનો કરી રહ્યાં છે અને ભારત વિરુદ્ધ ધમકીભરી ભાષામાં ઝેર ઓકી રહ્યાં છે. તેમ છતાં સરકારને સાર્થક સંવાદની આશા છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમના અભિભાષણમાં પાકિસ્તાન આતંકવાદને રોકે તો સાર્થક સંવાદની આશા વ્યક્ત કરી છે. ભારત પાકિસ્તાનના વિદેશ સચિવોની વાતચીતના બરોબર પહેલા તથાકથિત તાલિબાનોએ 34 દિવસ પહેલા અપહ્રત કરાયેલા બે શીખોની નૃસંશ હત્યા કરી છે. જેની જવાબદારીમાંથી પાકિસ્તાન સરકાર બચી શકે તેમ નથી. આ તમામ બાબતોને જોતા રાષ્ટ્રપતિના અભિભાષણમાં જે ધાર અને ત્વરા હોવી જોઈએ તેનો સર્વથા અભાવ જોવા મળ્યો છે.

Friday, February 19, 2010

મઝહબી અનામતનું ખતરનાક રાજકારણ

આ દેશના વિકાસમાં જો કોઈ રાજકીય બાબત અડચણરૂપ બની હોય, તો તે છે વોટબેંકનું રાજકારણ. આઝાદી બાદ સદીઓથી શોષિત દલિત વર્ગોને અને વંચિત જનજાતિય સમાજને સામાજિક-રાજકીય અધિકાર સ્વરૂપે બંધારણના ઘડવૈયાઓએ અનામતની વ્યવસ્થા કરી આપી હતી. જો કે અસ્તિત્વનું રાજકારણ ખેલતા રાજકારણીઓએ અનામતના મુદ્દાને જાતિવાદી રાજકારણનું મ્હોરું બનાવીને પોતાના રાજકીય રોટલા શેકવાનું સાધન બનાવ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ બદલાઈ છે અને જાતિવાદી રાજકારણમાં ઘણાં પ્રતિસ્પર્ધીઓ ઉભા થઈ ચૂક્યા છે, ત્યારે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓની થોક વોટબેંકને પોતાના તરફે કરવા ધર્મ આધારિત અનામતના મંડાણ થઈ ચૂક્યા છે. સચ્ચર સમિતિના અહેવાલ અને ત્યાર બાદ રંગનાથ મિશ્રના અનામત સંબંધી અહેવાલ બાદ મુસ્લિમ અને લઘુમતી અનામતનો ખેલ કોંગ્રેસ તથા ડાબેરીઓ જોરશોરથી એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા ખેલી રહ્યાં છે. જે દિવસે આંધ્રપ્રદેશની હાઈકોર્ટે આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકારનો મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ચાર ટકા અનામત આપતો અધિનિયમ ગેરમાન્ય ઠેરવ્યો હતો, તે જ દિવસે ડાબેરીઓના ગઢ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રાજ્યમાં મુસ્લિમોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.
જે રંગનાથ મિશ્ર અહેવાલને આધાર બનાવીને પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારે મુસ્લિમોને દસ ટકા અનામતની જાહેરાત કરી છે, તે સંસદમાં માત્ર રજૂ થયો છે. રંગનાથ મિશ્ર અહેવાલ પર સંસદમાં ચર્ચા થઈ નથી કે આમ રાય બંધાઈ નથી. આ અહેવાલ પર "એકશન ટેકન રિપોર્ટ" રજૂ થયો નથી કે તેની જોગાવાઈઓએ કાયદાનું સ્વરૂપ લીધું નથી. ત્યારે પશ્ચિમ બંગાળમાં રંગનાથ મિશ્ર અહેવાલને અમલી બનાવવાની કવાયત દાળમાં કંઈક કાળું હોવાનું સૂચવી રહી છે. પશ્ચિમ બંગાળની કુલ વસ્તીમાં 25 ટકા મુસ્લિમો છે. સચ્ચર સમિતિના અહેવાલ પ્રમાણે, તેમની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં વધારે પ્રમાણમાં ખરાબ છે. આમ તો પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારોને મુસ્લિમ તરફી ગણાવવામાં આવતી હતી. જો કે સચ્ચર સમિતિના તારણોએ આ માન્યતાને ખોટી ઠેરવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રીસ વર્ષથી ડાબેરીઓ સત્તા પર છે. જેના કારણે પશ્ચિમ બંગાળના મુસ્લિમોની બદહાલી માટે રાજ્યની ડાબેરી સરકાર વધારે પ્રમાણમાં જવાબદાર છે. કોંગ્રેસે ડાબેરી સરકારને ખુલ્લી પાડીને રાજકીય બઢત હાસિલ કરી છે. ત્યારે ડાબેરીઓએ પણ રંગનાથ મિશ્ર અહેવાલ પર મુસ્લિમ અનામતના રાજકારણના મંડાણ કર્યા છે. પશ્ચિમ બંગાળમાં મે-જૂન માસમાં કોલકત્તા અને અન્ય 82 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓને 2011ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા લિટમસ ટેસ્ટની જેમ જોવાઈ રહી છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ડાબેરીઓને મુસ્લિમ અનામતની જાહેરાતથી લાભ થયેલો દેખાશે, તો તેઓ વિધાનસભા ચૂંટણીઓ પહેલા કોઈ નવું તિકડમ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અનામત જેવા મુદ્દા પર ચૂંટણી સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં કોઈપણ નિર્ણય કરવો ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલા દેશમાં તિરાડો ઉભી કરવા જેવો છે. અનામત સાથે જોડાયેલી સંવેદનશીલતાને અને પોતાના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રંગનાથ મિશ્ર અહેવાલની ભલામણોનો અમલ કરવાની દિશામાં ઢીલ કરી રહી છે. પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રંગનાથ મિશ્ર અહેવાલની ભલામણોની આડ લઈને મુસ્લિમો વચ્ચે પાર્ટીની ઘટતી શાખને બચાવવા માટે અનામતનો રાજકીય દાવ ખેલ્યો છે. તેઓ એ વાત સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની સંમતિ વગર આ પહેલ આગળ વધી શકે તેમ નથી અને તે અદાલતમાં કાયદાની કસોટીઓ પણ પાર કરી શકે તેમ નથી.
મુસ્લિમોને અનામત આપવાની જે તત્પરતા અને રીત-ભાત અપનાવવામાં આવી છે તેને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ઉજાગર કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં હાઈકોર્ટે ત્રણ વાર કોંગ્રેસની સરકારોની ટીકા કરી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના મુસ્લિમ અનામત સંબંધિત અધિનિયમને રદ્દબાતલ કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય ત્રણ કારણોથી મહત્વપૂર્ણ છે. પહેલું, તેણે અનામતની મર્યાદામાં પછાત મુસ્લિમોને લાવવાની જોગવાઈને મતાંતરણને પ્રોત્સાહિત કરનારો વિચાર ગણાવ્યો છે. તેને બંધારણનું ઉલ્લંઘન ઘોષિત કર્યો છે. બીજું, કોર્ટે મુસલમાન અને અન્ય વર્ગોને પરિભાષિત કરવામાં અધિનિયમને નબળો ગણાવ્યો છે. હાઈકોર્ટ પ્રમાણે અન્ય મુસ્લિમ વર્ગોનું નિર્ધારણ જે પ્રકારે થયું છે, તેના માટે કોઈ ઠોસ સામાજિક-આર્થિક માપદંડો નથી. અને ત્રીજુ, ન્યાયમૂર્તિ ટી. મીનાકુમારીએ સ્પષ્ટપણે માન્યું છે કે જે પછાત પંચે કથિત પછાત મુસ્લિમ જાતિઓને અનામત આપવાની વાત કરી છે, તે વાસ્તવિક તથ્યો અને આંકડાઓ પર આધારિત નથી. વળી ભારતનું બંધારણ ધાર્મિક આધારે અનામતનો નિષેધ કરે છે. સુપ્રિમ કોર્ટે વારંવાર કહ્યું છે કે અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારી શકાય નહીં. ત્યારે રંગનાથ મિશ્ર અહેવાલનું આટલું મહત્વ શા માટે દર્શાવાય રહ્યું છે? શું આ પંચને આધાર બનાવીને દેશના રાજકારણીઓને બંધારણની વ્યવસ્થાની વિપરીત જવાની છૂટ પ્રાપ્ત છે?
આ સંદર્ભે કોઈ ઠોસ નિર્ણય દેશની સુપ્રિમ કોર્ટે અને જનતાજનાર્દને ટૂંક સમયમાં કરવો જ પડશે. નહીંતર રાજકારણીઓની બંદરબાટમાંથી દેશને બચાવી શકાશે નહીં. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને કહ્યું છે કે "સચ્ચર સમિતિએ જાણ્યું છે કે મુસ્લિમ વસ્તીની સામાજિક-આર્થિક સ્થિતિ ભારતની અનુસૂચિત જનજાતિઓ સમાન છે. તેને જોતાં સુપ્રિમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી પચાસ ટકાની મર્યાદાને વધારવી યોગ્ય ગણાશે. કારણ કે મંડળ પંચે પછાત જાતિઓ માટે 52 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે તેમને આપવામાં આવે છે, 27.5 ટકા અનામત. જેના કારણે 50 ટકા અનામતની મર્યાદા વ્યવહારિક નથી." રામ વિલાસ પાસવાન જેવા નેતાઓ મુસ્લિમ અનામતની તરફેણ તો કરે છે, પણ તેમના પછાત જાતિઓ અંતર્ગત અનામતની તરફેણ કરતા નથી. આવા રાજકારણીઓએ મુસ્લિમોને અનામત આપવા માટે 50 ટકાના મહત્તમ અનામતની મર્યાદામાં વધારો કરવાની માગણી કરીને પોતાના રાજકીય અસ્તિત્વને વિસ્તારવા નવી રાજરમતના મંડાણ કરી દીધા છે. મુસ્લિમ દ્રવિડ મુનેત્ર કઝગમના ઈબ્રૈસ મુહમ્મદે કહ્યું છે કે "આપણે દેશને એક કોર્પોરેટ કંપનીની જેમ જોવો જોઈએ. આ ગણતરી પ્રમાણે મુસ્લિમોના પંદર ટકા શેર આ કંપનીમાં થાય છે." ભારતને એક રાષ્ટ્રની જગ્યાએ જમીનના ટુકડા તરીકે જોનારા મુસ્લિમોની આવી જ માનસિકતા રહી છે. જેના કારણે ભારતના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે ટુકડા થયા છે. દેશને કોર્પોરેટ કંપની તરીકે જોવાની વાત કરનારા આવા મુસ્લિમ નેતાઓ એ પણ બતાવી દે કે આ દેશના ટુકડા કરવામાં અને આ દેશને બરબાદ કરવામાં મુસ્લિમોનો શેર કેટલો છે? સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશનના સચિવ શાહનવાઝ અનામતને મુસ્લિમોનો હક ગણાવી રહ્યાં છે. તેઓ કહે છે કે "મુસલમાનોને અનામત ભીખમાં નથી જોતું. તે મુસ્લિમોનો હક છે. અમારા માટે અનામત કોઈ ખેરાત નથી. મુસ્લિમ આ દેશના 23 ટકા છે. (સેન્સસ રિપોર્ટ પ્રમાણે મુસ્લિમો દેશના 13.26 ટકા) જેમાંથી 10 ટકાને અનામતની જરૂરત નથી. પણ બાકીના 12 ટકા મુસ્લિમોને નોકરીમાં અનામતની જરૂર છે. દસ ટકા અનામત ઓછું છે અને 15 ટકા અનામત વધારે લાગે છે. માટે 12 ટકા અનામતની માગણી કરીએ છીએ." આ મુસ્લિમ નેતાઓની માનસિકતા છે. તેમને ધર્મ આધારિત અનામત જોઈએ છે અને રંગનાથ મિશ્ર અહેવાલમાં અપાયેલા અનામતની જોગાવાઈઓથી ખુશ પણ નથી.
દેશમાં "મુસ્લિમ અનામત માટે રાષ્ટ્રીય આંદોલન" નામની સંસ્થાનો જન્મ થઈ ચૂક્યો છે. સૈયદ શાહબુદ્દીન તેના સંયોજક છે. જ્યારે સચ્ચર સમિતિના સભ્યો સૈયદ હામિદ અને સભ્ય સચિવ અબુદસલેહ શરીફ પણ સંયોજન સમિતિમાં છે. સચ્ચર સમિતિના ચરિત્રને સમજવા માટે આનાથી વધારે સારું ઉદાહરણ ઓર શું હોઈ શકે? હાલમાં ચાલી રહેલા મુસ્લિમ અનામતના રાજકારણ પાછળ વોટબેંક સબળ કારણ છે. આઝાદી પછી દેશમાં કોંગ્રેસે દલિત-જનજાતિય અને પછાત વર્ગીય અનામતનું રાજકારણ ચલાવ્યું હતું. જો કે રામજન્મભૂમિ આંદોલન બાદ દલિતો મોટી સંખ્યામાં ભાજપ તરફ વળ્યા હતા. જેના કારણે આજે પણ એસસી અને એસટી બેઠકો પરથી સૌથી વધારે ભાજપના સાંસદો ચૂંટાયેલા છે. તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના ઉદય પછી ઉત્તરપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં દલિત વોટ કોંગ્રેસથી દૂર થયા છે. બહુજન સમાજ પાર્ટીએ દેશના દલિતોના સારા એવા પ્રમાણમાં મતો મેળવ્યા છે. કોંગ્રેસને તેના કુલ મતોમાંથી 67માં 41.4 ટકા દલિત મતો, 71માં 41.2 ટકા દલિત મતો, 80માં 50.5 ટકા દલિત મતો, 96માં 31.6 ટકા દલિત મતો, 98માં 29.6 ટકા દલિત મતો, જ્યારે 2009માં 27.1 ટકા દલિત મતો મળ્યા છે. આમ કોંગ્રેસની રાજકીય જમીન ધોવાઈ રહી છે. આ જ પરિસ્થિતિ એસટી અને ઓબીસી મતોમાં પણ સર્જાઈ રહી છે. જેના કારણે કોંગ્રેસને દલિત, જનજતિય અને ઓબીસી રાજકારણમાં ઓછો રસ રહ્યો છે. જો કે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી દલિતોને આકર્ષવા માટે દલિતોના ઘરે ભોજન કરવાની પદ્ધતિ અપનાવી છે. જો કે તેઓ વોટબેંકના રાજકારણથી પર રહીને આમ કરતાં હોય, તો તે આવકાર્ય છે.
બાબરી ધ્વંસ પછી દૂર થયેલા મુસ્લિમ વોટોને નજીક લાવવા માટે કોંગ્રેસ સચ્ચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચ જેવા તિકડમો કરી રહી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓના આંકડા જોઈએ, તો કોંગ્રેસનો મુસ્લિમ પ્રેમ સમજાય તેવી બાબત છે. કોંગ્રેસને તેના કુલ મતોમાંથી 96માં 32 ટકા મુસ્લિમ મતો મળ્યા, 98માં 32 ટકા મુસ્લિમ મતો મળ્યા, 99માં 40 ટકા મુસ્લિમ મતો મળ્યા, 2004માં 36 ટકા મુસ્લિમ મતો મળ્યા અને 2009ની ચૂંટણીમાં 38 ટકા મુસ્લિમ મતો મળ્યા છે. જ્યારે ડાબેરીઓને તેમના કુલ મતોના 96માં 13 ટકા મુસ્લિમ મતો મળ્યા, 98માં 8 ટકા મુસ્લિમ મતો મળ્યા, 99માં 10 ટકા મુસ્લિમ મતો મળ્યા, 2004માં 9 ટકા મુસ્લિમ મતો મળ્યા અને 2009માં 12 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. જ્યારે પોતાના કુલ મતોમાંથી 96માં 25 ટકા મુસ્લિમ મતો મેળવનારી સમાજવાદી પાર્ટીને 2009માં 10 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. જો કે એસપી અને બહુજન સમાજ પાર્ટીના ઉદયે ઉત્તરપ્રદેશમાંથી કોંગ્રેસને દલિત-મુસ્લિમ અને યાદવ મતોથી વંચિત રાખીને લાંબા સમય સુધી દેશવટો આપ્યો હતો. પણ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ મુસ્લિમ વોટના મોટા ફાયદા થકી સુધરી છે. બાબરી ધ્વંસ પછી મુસ્લિમોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસને મુસ્લિમ અનામતના રાજકારણથી મોટી સફળતાઓ મળી રહી છે. મુસ્લિમ સંગઠનોએ 99ની ચૂંટણીઓથી મુસ્લિમ અનામતની માગણી કરી હતી. થોકબંધ વોટબેંકને જોઈને કોંગ્રેસે આ સંદર્ભે મુસ્લિમ નેતાગીરી સાથે ખાનગી વાતચીત કરી હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. 2004માં સત્તા પર આવેલી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સચ્ચર સમિતિ બનાવી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચ બનાવીને મુસ્લિમ અનામતનું કાર્ડ રમવામાં આવ્યું છે. સચ્ચરની ભલામણો રાજકીય હતી, તો પણ તેના પર અમલીકરણ ચાલી રહ્યું છે. રંગનાથ પંચનો રિપોર્ટ અલગતાવાદી હોવા છતાં તેના અમલની દિશામાં કેન્દ્ર અને ડાબેરીઓ આગળ વધી રહ્યાં છે. જો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશ્ર્વ સામાજિક સ્થિતિ રિપોર્ટ-2010 પ્રમાણે ભારતમાં દલિતોની સ્થિતિ ખરાબ છે. ત્યારે દલિતો, ઓબીસી અને જનજાતિયોના હકોમાં ભાગ પડાવતી રંગનાથ મિશ્ર પંચની ભલામણોના આધારે મુસ્લિમ અનામત શા માટે? પચાસ ટકાની સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલી અનામતના વધારાની માગણી શા માટે? દેશના વિભાજન માટે કારણભૂત ધાર્મિક આધારે અનામતની વ્યવસ્થાના જીનને બોટલમાંથી બહાર કાઢવાનું કારણ શું છે? માત્ર મુસ્લિમોના થોકબંધ વોટ માટે કે અન્ય કોઈ કારણ છે.
અત્રે પ્રશ્ન એ છે કે જે સેક્યુલર હોવાનો દાવો કરી રહી છે, દેશના બંધારણને માનવાનો અને અનુસરવાનો દાવો કરી રહી છે , તેવી કોંગ્રેસ પાર્ટી ધર્મના આધારે અનામતની વાત કરી રહી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે ધર્મના આધારે કોઈપણ રીતભાતથી દાખલ કરાયેલું અનામત બંધારણીય ભાવનાથી વિરુદ્ધ છે. ત્યારે તેઓ બંધારણીય ભાવનાઓ વિરુદ્ધ અને સેક્યુલારિઝમના સિદ્ધાંતો વિરુદ્ધ ધર્મ આધારિત અનામત માત્ર વોટબેંકની લાલચમાં દાખલ કરીને દેશને ફરીથી 1947 પહેલાના રસ્તે શા માટે લઈ જઈ રહ્યાં છે? સેક્યુલારિઝમના ગાણાં ગાનાર અને દેશના બંધારણની ભાવના વિરુદ્ધ વર્તનારાઓએ યાદ રાખવું જોઈએ કે દેશ છે, તો તેમનું અસ્તિત્વ છે. દેશ છે, તો બધું જ છે. માટે દેશમાં વૈમનસ્ય અને અલગાવ ઉભો કરનારી પ્રવૃતિથી આવા તત્વો દૂર રહે , તે જરૂરી છે.
ધર્મને અફીણ ગણાવતા ડાબેરીઓ પોતાની વિચારધારાને અવગણીને ધર્મના નામે અનામત દાખલ કરી રહ્યાં છે. તેમણે કેરળમાં મુસ્લિમોને શિક્ષણમાં 10 ટકા અનામત અને નોકરીઓમાં 12 ટકા અનામત અને ખ્રિસ્તીઓને શિક્ષણમાં 2 ટકા અનામત અને નોકરીઓમાં 4 ટકા અનામત આપેલું છે. તેઓ જ પશ્ચિમ બંગાળમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા દસ ટકા અનામતની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે દુનિયાને "હેવ્ઝ" અને "હેવ્ઝ નોટ"માં વિભાજીત કરનારા અને આર્થિક બાબતોને જરૂર કરતાં વધારે પ્રાધાન્ય આપનારા ડાબેરીઓને ખબર હોવી જોઈએ કે પશ્ચિમ બંગાળમાં 23 ટકા દલિતો મુસ્લિમો કરતાં ખરાબ સ્થિતિમાં જીવી રહ્યાં છે. મુસ્લિમો કરતાં વધારે દબાયેલા, કચડાયેલા, શોષિત અને વંચિતો હિંદુ સમાજમાં છે. તો શું તેમના તરફ તેઓ હિંદુ હોવાના કારણે પૂરતુ ધ્યાન અપાતું નથી? શું સામાજિક, આર્થિક સ્તર ઊંચુ આવે તે માટે મુસ્લિમ હોવું જ પ્રાથમિક યોગ્યતા છે? ડાબેરીઓ આવા હિંદુ સમાજના વર્ગો માટે કઈ યોજનાઓ અને જોગવાઈઓ કરી રહ્યાં છે? તે પણ જણાવે. જેથી દેશને ખબર પડે કે હિંદુસ્થાનમાં હિંદુ હોવાનું કેટલું કપરું બનાવી દીધું છે , આ વોટબેંકના ઠેકેદારોએ.
વળી અનામતની વ્યવસ્થા ઈસ્લામની મૂળ વિચારધારાથી પણ વિરુદ્ધ છે. કુરાને શરીફ મુસ્લિમો વચ્ચે કોઈપણ પ્રકારના ફરકને અનુમોદન આપતું નથી. કુરાને શરીફના જાણકારો પ્રમાણે, તમામ મુસલમાન સમાન છે. કુરાને દુનિયાને મુસ્લિમો અને ગેરમુસ્લિમો વચ્ચે વહેંચી છે. એટલે જે ફરક છે, તે મુસ્લિમો અને ગેર મુસ્લિમો વચ્ચે છે. મુસ્લિમો વચ્ચે કોઈ ભેદભાવ નથી. વળી તેઓના ઉલેમાઓ ગાઈવગાડીને કહે છે કે મુસ્લિમોમાં જાતિપ્રથા બિલકુલ નથી. ત્યારે મુસ્લિમોને જાતિ આધારિત વર્ગોમાં વહેંચીને અનામત કઈ રીતે આપી શકાય? જે મુસ્લિમો કુરાને શરીફ અને મુસ્લિમ કાયદાની દુહાઈ દઈને વંદેમાતરમ જેવા નિર્દોષ ગીતને ઈસ્લામ વિરોધી ગણાવતા હોય. તેઓ અનામતની માગણી કરે અને તે સ્વીકારે તેને શું કહેવાય? આનો જવાબ વાચકો જ વિચારે કે આ મુસ્લિમોનું તકવાદીપણું છે કે બીજું કંઈ?
વળી ભારતમાં મુસ્લિમ અનામતની વાત કરનારા બતાવે કે ક્યાં દેશો હિંદુઓને ધર્મના આધારે અનામત આપે છે અને કેટલું આપે છે? પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ અને બૌદ્ધોને કેટલું અનામત આપવામાં આવે છે? તેમની પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ છે?
દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે ભારત વિભાજન કરાવીને 24 ટકા મુસ્લિમો માટે 25 ટકા ભૂભાગ "હોમલેન્ડ" તરીકે "રિઝર્વેશન"માં મેળવનારા મુસ્લિમો સ્વતંત્ર ભારતમાં ધર્મના આધારે અનામત મેળવવા માટે કેટલા યોગ્ય છે? સ્વતંત્ર ભારતમાં આવું ઘર્મને નામે અનામત આપવાનું કોઈપણ પગલું દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત અને મુસ્લિમ ઉપરાષ્ટ્રવાદી પ્રવૃતિને સજીવ કરવા સમાન હશે. થોડા ફ્લેશબેકમાં જઈએ તો ખબર પડશે કે અત્યારનું રાજકારણ કેટલું ખતરનાક છે? 1909માં બ્રિટિશરોએ મુસ્લિમોને ધારાસભાઓમાં અનામત બેઠકો આપી હતી. 1926માં મુસ્લિમો માટે "સેપરેટ ઈલેકટોરેટ" અને 24 ટકા મુસ્લિમો માટે સનદી સેવાઓમાં 25 ટકા અનામત આપ્યું હતું. જેનાથી મુસ્લિમોની વધેલી તાકાતના પરિણામે મુસ્લિમ લીગે 1940માં પાકિસ્તાન પ્રસ્તાવ પારિત કર્યો હતો. 1946માં પાકિસ્તાનની માગણી મનાવડાવવા માટે "સીધી કાર્યવાહી"ના નામે હિંદુઓની દેશભરમાં પોતાના પ્રભાવી ક્ષેત્રોમાં કત્લેઆમ કરાવી હતી. જેના કારણે 1947માં ગાંધી, કોંગ્રેસ અને અન્ય રાષ્ટ્રવાદી નેતાઓએ મન મારીને પાકિસ્તાનની માગણી સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા. આજે પણ ઈતિહાસમાંથી કંઈ ન શીખેલા ભારતીય રાજકારણીઓ ફરીથી ઈતિહાસની ભૂલોને પુનરાવર્તિત કરીને એ જ મુસ્લિમ જોહુકમીનો ઈતિહાસ ફરી લખી અને લખાવી રહ્યાં છે.
ત્યારે હિંદુ સમાજે એક થવાની અને ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપતી કોઈપણ જોગવાઈનો ન્યાયિક, રાજકીય તેમ જ તમામ સ્તરે વિરોધ કરવો પડશે. હિંદુઓનો પ્રચંડ વિરોધ અને પ્રબળ હિંદુ નેતાગીરી રાજકીય ક્ષેત્રમાં હિંદુ હિતની વાત કરતાં કતરાતા રાજકીય નેતાઓની શાન ઠેકાણે લાવે તે જરૂરી છે. હિંદુ દલિતો અને મુસ્લિમ તથા અન્ય લઘુમતીઓ પાછળ છેલ્લા દસ વર્ષમાં ફાળવાયેલા નાણાંની ગણતરી હિંદુ સમાજ અને આ દેશના લોકો સામે મૂકવામાં આવે. જેનાથી લોકો તેમની અવગણનાને જોઈ શકે અને આવી અવગણનારા કરનારાઓ પાસે તેનો જવાબ માગી શકે. માત્ર મુસ્લિમોના "ફીફટીન પોઈન્ટ પ્રોગ્રામ"ની વાત કરીએ તો તેની પાછળ સરકાર હજારો કરોડ રૂપિયા ખરચી રહી છે. ત્યારે આ દેશમાં સૌથી વધારે "ટેક્સ પે" કરનારા સમાજને જાણવાનો અધિકાર છે કે જ્યારે ધર્મ આધારિત પરિભાષામાં વાત થતી હોય, ત્યારે તેમના ધર્મના શોષિત અને વંચિતોના ઉત્થાન માટે સરકાર કેટલા નાણાં ખરચી રહી છે? તેમના માટે કઈ વ્યવસ્થા કરી રહી છે? જે વ્યવસ્થા થઈ રહી છે, તે તેના સમાજના ભોગે તો નથી થઈ રહીને? ? ?

Wednesday, February 3, 2010

જરૂર છે, યુવાનોના નેતાની...નહીં કે યુવાનેતાની!!!

યુવાન ઊર્જાપુંજ, શક્તિપુંજ અને યુવાનો એટલે શક્તિ, ઊર્જાનો ધગધગતો-ધસમસતો લાવા. વિશ્વમાં કોઈપણ પરિવર્તન કે ક્રાંતિ યુવાનોની મદદ વગર શક્ય બની નથી અને બનવાની નથી. જગતની કોઈપણ ક્રાંતિકારી ઘટના લઈ લો કે પુરાતન કાળથી અત્યાર સુધીના કોઈપણ યુદ્ધોને જોઈ લો. યુવાન વગર તે ક્રાંતિકારી ઘટના ક્યારેય ઘટી નથી કે પુરાતન કાળના કોઈપણ યુદ્ધો યુવાનો વગર તેમના જોમ અને જુસ્સા વગર ક્યારેય જીતાયા નથી. વૃદ્ધો વિચાર આપી શકે છે, જ્યારે યુવાનો વિચારને અમલમાં મૂકીને આમૂલ પરિવર્તન આણી શકે છે. જો કે યુવાનોમાં જેટલો જોશ હોય છે, તેટલો તેમનામાં હોશ હોવાની ઘટનાઓ બહુ ઓછી છે. જેના કારણે વિશ્વમાં દરેક ઠેકાણે યુવાનોને હાથો બનાવીને તેમના ભવિષ્ય સાથે ચેડાં કરીને જે-તે દેશના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ કામ આગળ પણ થતાં રહેવાના છે.
ભારતના યુગપુરુષ ગણાતાં રાજકારણીઓથી માંડીને દેશના ટાંચા રાજકારણીઓ સુધીના કોઈ આમાંથી બાકાત રહ્યાં નથી. દેશની આઝાદીની ચળવળમાં ગાંધીજી જેવા દેશહિતચિંતક રાજકારણીએ વિદ્યાર્થીઓ અને યુવાનોનો આંદોલનોમાં ઉપયોગ કર્યો હતો. ત્યારે મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ચેતવ્યા હતા કે યુવાનોને તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન કોલેજોમાંથી બહાર કાઢશો, શાળાઓમાંથી બહાર કાઢશો, તો શાળા-કોલેજોમાં ભણશે કોણ? જો કોઈ ભણશે નહીં તો તેમની અને દેશી યુગાનુકૂળ પ્રગતિ કેમ કરીને થશે? વિદ્યાર્થીકાળમાં યુવાનો એક વખત શાળા-કોલેજની બહાર નીકળી જશે, તેઓ કેમે કરીને પાછા પોતાના શૈક્ષણિક સંસ્થાનોમાં જશે નહીં. આવી પરિસ્થિતિમાં દેશના શિક્ષણ અને તેની અછતમાં વિકાસની દુર્દશા જ થશે. આઝાદી પ્રાપ્ત કર્યા બાદ એટલે કે કોંગ્રેસ સંસ્થાનો રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો હેતુ સર્યા પછી તેના નેતાઓએ યુવાનોને ફરીથી શાળા-કોલેજોમાં જતાં રહેવા કહ્યું હતું. પણ યુવાનોને પોતાના તરફે ઉપયોગ કરનારા રાજકારણીઓએ તેમ થતું અટકાવ્યું.
દેશની તમામ રાજકીય સંસ્થાઓ અને પક્ષોએ વિદ્યાર્થી સંગઠનો એટલે કે સ્ટુડન્ટ યુનિયન બનાવીને પોતાના રાજકીય એજન્ડાને જોશભેર આગળ વધારીને પૂરજોર રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન વ્યવસ્થિત રીતે આદર્યો છે. જેના કારણે રાજકીય ચક્રવ્યૂહમાં વિદ્યાર્થીકાળમાં ભણતરના બોજ તળે દબાઈ રહેલો કિશોર-યુવાન રૂપી અભિમન્યુ રાજકીય મહાભારતના મહારથીઓના હાથે અનીતિથી હણાય છે. પણ કોને ચિંતા છે? સૌને પોતપાતાના રાજકીય એજન્ડા આગળ વધારવાનો રસ છે, પોતપોતાના રાજકીય હિસાબોના તાળા મેળવવામાં રસ છે. અરે! પોતાના યુવાન પુત્ર કે પુત્રીને રાજકીય વારસાની સોંપણી માટે યુવાનો રૂપી ચમચાંઓની ફોજ વારસામાં આપવા માટે રાજકારણીઓ તૈયાર છે. તો કેટલાંક યુવાન રાજકારણીઓ પોતાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવા માટે યુવાનોને રાજકારણમાં આવવાનું આહ્વાન કરી રહ્યાં છે, તેમને રાજકીય કમાન સોંપવાની પેરવી કરી રહ્યાં છે. જેના કારણે તેમને વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે પ્રધાન બનવાના રસ્તાઓ ખુલી જાય.
કોંગ્રેસના મહાસચિવ યુવાન છે. હજી માંડ પાંત્રીસીએ પહોંચ્યા છે. ગાંધી નહેરુ પરિવારના સીધા રાજકીય વારસ છે. જેના કારણે કોંગ્રેસમાં પરિવારવાદી માનસિકતા ધરાવનારા લોકો કે જેઓ સોનિયા ગાંધીને વડાપ્રધાન પદે બેસાડવામાં નિષ્ફળ ગયા છે, તેઓ હવે રાહુલ ગાંધીના નામે રાજકીય સોગઠાં રમી રહ્યાં છે. રાજકીય ચોપાટ પર આવા ખેલ ખેલનારાઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂનસિંહ કે દિગ્વિજય સિંહને રાહુલ ગાંધી કોંગ્રેસના કોઈપણ નેતા કરતા વડાપ્રધાન પદ માટેના સૌથી યોગ્ય ઉમેદવાર લાગ્યા હતા. તેમને અને આવા અન્ય કોંગ્રેસી નેતાઓને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીમાં પીએમ મટિરીયલ દેખાયું હતું. જો કે પરિવારવાદના વિવાદ અને વમળના કળણમાંથી બચવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ વિવાદ પર પડદો પાડીને અમેઠીના યુવા સાંસદ રાહુલ ગાંધીને જમીની સ્તરે કામ કરવા માટેનો આદેશ કર્યો છે. જો કે દલિતો અને શોષિતો વચ્ચે કામ કરી રહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ માટે યુવા બ્રિગેડ તૈયાર કરી રહ્યાં છે. કોંગ્રેસમાં વધારેમાં વધારે યુવાનો સામેલ થાય તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે અવારનવાર કહ્યું છે કે યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. આ સંદર્ભે થતાં તેમના નિવેદનો સ્પષ્ટ કરે છે કે તેઓ તેમની ગાંધી-નહેરુ પરિવારના વારિસથી અન્ય એક યુવા નેતા હોવાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવાની તમામ કવાયત કરી રહ્યાં છે. કોંગ્રેસના ક્ષત્રપો તેના માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યાં છે. રાહુલ ગાંધી માટે યુનિવર્સિટીઝમાં યુવાનો સાથેની બેઠકો યોજી રહ્યાં છે. તો તેની સામેના ભાજપ જેવા રાજકીય સંગઠનો પોતાની યુવાપાંખ એબીવીપીનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારે જે-તે જગ્યાના પ્રભાવી રાજકીય પક્ષો જવાબ આપે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.
આ સમગ્ર ઘટના ક્રમ દર્શાવે છે કે દેશના રાજકારણીઓ યુવાનો પર, યુવાનોના નામે રાજકારણ રમી રહ્યાં છે. પરંતુ આ રાજકારણ યુવાનો માટેનું નથી, તે પણ દિવા જેવું સ્પષ્ટ છે. કોલેજમાંથી ઉત્તીર્ણ થયેલો યુવાન રાજકારણમાં કઈ ભૂમિકાને માટે ઉપલબ્ધ બની શકે તેમ છે? માંડ ગધ્ધાંપચ્ચીસીમાં દાખલ થયેલા યુવાન માટે રાજકારણીઓ વેઠિયાગીરીથી વધારે મોટી કોઈ ભૂમિકા આપી શકે તેમ છે? કારણ કે યુવાનોની વાત કરતી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાને સામાન્ય ઘરના યુવાનોને મોટા પદો કે સાંસદ તરીકેની ટિકીટોની વહેંચણી કરવામાં આવી નથી. જો કે કેટલાંક પીઢ કોંગ્રેસી રાજકારણીઓ અને વરિષ્ઠ દિવંગત કોંગ્રેસી નેતાઓના પુત્રોને સાંસદ તરીકેની ટિકીટો આપીને ચૂંટણી લડાવવામાં આવી છે. તેઓમાંથી મોટાભાગના યુવા સાંસદો ચૂંટણી જીતી ગયા છે. તેમને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ પદો પણ મળ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કે સચીન પાયલોટ જેવા સાંસદો કોંગ્રેસના આવા પોસ્ટર બોય છે. રાહુલ ગાંધી તો કોંગ્રેસના આવા યુવા સાંસદોના રોલ મોડલ છે. ત્યારે સામાન્ય ઘરના યુવાનો માટે આવા રાજકારણીઓ કોઈ મોટી ભૂમિકા રાખી શકશે, તે બાબતે શંકા યથાયોગ્ય છે. સામે પક્ષે ભાજપ જેવા પક્ષો પણ યુવાનોને પોતાના રાજકીય એજન્ડા અને સત્તાસુખ મેળવવાના પેંતરામાં પ્યાદાં બનાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં છે. તેમની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાસે બાંગ્લાદેશી ઘૂસણખોર વિરોધી આંદોલનો સહિતના મોટા આંદોલનો માટે અને રાજકીય ગરમાવા માટે ઉપયોગ કર્યો છે. હજી પણ તેમનો ઉપયોગ થવાનો છે. માર્કસવાદી પક્ષો પણ આવી પ્રવૃતિઓમાંથી બાકાત નથી. જેનએનયુ અને દિલ્હી યુનિવર્સિટી સહિતની દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ યુવાનોના નામે પોતાના રાજકીય આટાંપાટા રમનારા પક્ષોની રાજકીય રમતોના સંકુલ સમાન દેખાઈ રહી છે.
ત્યારે યુવાનોએ સ્પષ્ટ નિર્દેશ રેખા દોરવી પડશે કે તેમના નામે રમાતા રાજકારણમાં તેઓ રાજકીય વેઠિયા બનતા કઈ રીતે બચે? આમ તો આઝાદી કાળથી આંદોલનમાં વ્યસ્ત ભારતીય યુવાનની બુદ્ધિનો સમગ્રતાથી વિકાસ કર્યા વગર જ તેને 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તેના પર બહુ મોટી જવાબદારી નાખી દીધી છે. ત્યારે યુવાનો પર રાજકારણ રમનારા તમામ રાજકીય પક્ષોએ યુવાનો માટે તેમના ઉત્કર્ષ માટે રાજકારણ કરવુ જોઈતું હતું. તેમણે યુવાનોને રાજકીય રીતે શિક્ષિત કરવા જોઈતા હતા કે જેથી તે તેની ત્રીસી કે ચાલીસીમાં રાજકારણમાં દેશહિત, જનહિતના મુદ્દાઓ સાથે પ્રવેશી શકે. આજે ભણતરના ભાર તળે દબાઈ રહેલા કિશારો અને બેકારીના દાવાનળમાં બળતા યુવાનો આપઘાતના રવાડે ચઢી ગયા છે. દેશના યુવાવર્ગનું આ વલણ સંકેત આપે છે કે ઓલ ઈઝ નોટ વેલ. પણ રાજકારણીઓને માટે તો યુવાનો એક પ્યાદાં છે. દેશમાં છેલ્લા કેટલાંક સમયથી દેશમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ કથળેલી છે. યોગ્ય યુવાનો પોતાના સારા ભવિષ્ય માટે દેશ બહાર યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઈ રહ્યાં છે. જેના કારણે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આપણા દેશના યોગ્ય યુવાનોને વંશવાદી હુમલાનો ભોગ બનીને પણ ત્યાં રહેવું પડે છે. તો તેની સામે ઉજ્જવળ ભવિષ્ય ન ભાસતા કિશોરો માતાપિતા અને પોતાની મહત્વકાંક્ષાના ભાર તળે આવી જઈને આત્મહત્યાનો માર્ગ પકડે છે.
ત્યારે દેશના રાજકારણીએ જવાબ આપવો પડશે કે દેશમાં આઈઆઈએમ અને આઈઆઈટીની સંખ્યા બમણી કેમ નથી થતી? જો દેશના યોગ્ય યુવાનો પરદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવામાં સફળ થતાં હોય તો તેઓ ઘરઆંગણે સુવિધાઓ આપવાથી સફળ થઈ શકે છે. દેશમાં તબીબી ક્ષેત્રે પણ વિપુલ તકો રહેલી છે. દેશમાં ઔદ્યોગિક વિકાસ અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક વિકાસ માટે પણ વિપુલ તકો થઈ પડેલી છે. પણ આ તકો અવસરમાં બદલાતા બદલાતા રહી જાય છે. કારણ શું હોઈ શકે? કારણ માત્ર એટલું જ હોઈ શકે કે આઝાદી અને કટોકટીકાળના આંદોલનો કે આસુ જેવા વિદ્યાર્થી સંગઠનો બનાવીને આ દેશના યુવાનને તેની અંદર ઉલજાવી રાખવામાં આવ્યો છે. સૌથી મોટા, સૌથી વધારે સભ્યો ધરાવતા આંદોલનોના દાવાઓ કરીને યુવાનોને રાજકીય રીતે ભરમાવવામાં આવી રહ્યાં છે. તેમને અભ્યાસથી વંચિત રાખવાનું કૃત્ય જોરશોરથી કરાઈ રહ્યું છે. ત્યારે જે દેશમાં વિદ્યાર્થીઓ યુવા અવસ્થા સુધીમાં સફળતાપૂર્વક અભ્યાસ કરીને દેશની ઉન્નતિમાં સક્ષમ બનવામાં ઉણાં ઉતરતા હોય અને આ કામ દેશના યુગપુરુષ ગણાતા રાજકારણીઓથી માંડીને ટાંચા અને ટૂંકા રાજકારણીઓ દ્વારા થતું હોય, તો તે દેશની ઉન્નતિમાં અડચણો આવવાની જ છે. આપણી સાથે આઝાદ થયેલા દેશોના દાખલા લઈએ તો સિંગાપુર, મલેશિયા કે ચીનના યુવાનો એટલી બધી ઉલઝનભરી સ્થિતિમાં બહુ ઓછી વખત આવ્યા છે. જેના કારણે આ દેશો વિકાસના મામલે આપણા કરતા કોસો આગળ છે. જ્યારે આપણે હજી પણ વિકાસના મામલે દ્રઢતાથી આગળ વધી શકયા નથી. આપણે આ માટે ક્યારેય આત્મનિરીક્ષણ કર્યું નથી. આપણે પરદેશ જતા યુવાધનને દેશમાં સહુલિયત આપવાનું ક્યારેય પ્રામાણિકતાથી વિચાર્યું નથી. જેના કારણે દેશની પ્રગતિની ગાડી પાટાં પર ચઢી નથી, એક સાંધો ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ છે.
રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીના કરિશ્માથી અંજાઈને પોતાનો અભ્યાસ કરવાની જગ્યાએ તેમની રાહ જોતા યુવાન છોકરાં-છોકરીઓને જોતા લાગે છે કે દેશનું ઉજળું ભાવિ ઉજળું રહ્યું નથી. યુવાનોનો વ્યથામાં છે, ત્યારે તેમને જરૂર છે. તેમના હિતનું વિચારનાર તેમને માર્ગદર્શન આપનારા નેતાની. એવા નેતાની કે જે તેમને શિખવાડે કે રાજકારણમાં હાથા બનતા કઈ રીતે અટકી શકે છે ? રાજકારણમાં દાખલ થવાની તૈયારી કેવી રીતે કરાય? રાજકારણમાં દેશહિત અને જનહિત કઈ રીતે સધાય? ભારતના યુવાનો ઈચ્છે છે, યુવાનોના નેતા નહીં કે યુવાનેતા? કોઈ પાર્ટીના નેતાઓની સરેરાશ ઉંમર પરથી તે પાર્ટી યુવા હોવાની સાબિતી મળશે નહીં. કોઈ પાર્ટીની કમાન યુવા નેતૃ્ત્વના હાથમાં સોંપી દેવાથી તે પાર્ટી યુવાન ગણાશે નહીં. કે કોઈ પાર્ટીના પીઢ દિવંગત નેતાઓના યુવાન પુત્ર-પુત્રીઓને સત્તા સોંપવા માત્રથી જે-તે પક્ષ યુવાન થવાનો નથી. યુવાનોનો પક્ષ તો એ હશે કે જે યુવાનોને દેશહિંત અને જનહિંતનું માર્ગદર્શન આપે. યુવાનોને દેશનું નેતૃત્વ લેવા માટે સક્ષમ બનાવે. જે પક્ષના આચાર,વિચાર, નીતિ-નિર્દેશો અને માનસિકતા યુવાનો માટેની હોય તે પક્ષ અને તેવા નેતા જ યુવાનોના નેતા બની શકે. બાકી તો બધા યુવાનોના નામે રાજકારણ રમનારા યુવા નેતા જ રહી જવાના!!!