Saturday, June 19, 2010

દક્ષિણ એશિયામાં અમેરીકાનું સામરીક ગણિત!

દક્ષિણ એશિયામાં અમેરીકા પોતાના સામરીક ગણિતને આધારે કામ કરી રહ્યું છે. તેના માટે ભારત અને પાકિસ્તાન તેના સામરીક કોયડાનો ઉકેલ મેળવવાની બે બાજુઓ છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ધમપછાડા કરી રહ્યું છે. તેના માટે તે પોતાના સામરીક ગણિતના આધારે ભારત અને પાકિસ્તાન પાસે કામ લઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ થનારી વાતચીત અને વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણાના પાકિસ્તાન પ્રવાસ પાછળ પણ અમેરીકી પ્રભાવ કામ કરતો હોવાની વાત નકારી શકાય તેમ નથી.

અમેરીકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી. જે. ક્રાઉલેએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની ભાગીદારી છે અને તેની સાથે તેનું હિત જોડાયેલું છે. યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે અમેરીકા ભારત સાથે સહયોગ વધારવા માટે ઈચ્છુક છે. ગત સપ્તાહે અમેરીકા અને ભારત વચ્ચેની સામરીક વાતચીત વખતે પણ અફઘાનિસ્તાનનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સાથે અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત અને પાકિસ્તાનની ઈચ્છા હોય તો અમેરીકા તેમની વચ્ચે ‘ઈન્ટરલોક્યુટર’ એટેલે કે ‘વાર્તાકાર’ બનવા માટે પણ તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપ્રક્રિયા શરૂ થઈ રહી છે. અમેરીકી યાત્રા પરથી પાછા ફરી રહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. ભારત અને અમેરીકા વચ્ચેની સામરીક ચર્ચામાં અફઘાનિસ્તાન અને કાશ્મીરના મુદ્દા ઉઠવા સ્વાભાવિક હતા અને તે ઘણાં સૂચક પણ છે.
અમેરીકાની સામરીક નીતિ ઘણી જટિલ છે. તેને સમજવી ઘણી અઘરી છે. ઓબામાએ સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરીકી સેનાઓની વાપસી માટે 2011ની ‘ડેડ લાઈન’ ઘોષિત કરી છે. તેમણે તેના માટે જમીન પર અને સામરીક રીતે પ્રયત્નો પણ આદર્યા છે. અમેરીકાને અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ભારત અને અમેરીકા બંનેની જરૂર છે. ભૌગોલિક સ્થિતિને કારણે પાકિસ્તાન અમેરીકાને અફઘાનિસ્તાનના હાલના મિશનો પૂરા કરવા માટે મદદરૂપ થઈ શકે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા પછી ‘દૂધના રખોપા બિલાડીને સોંપાય તેમ નથી’. એટલે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટો દોર આપી શકાય તેમ નથી. જો અમેરીકાની વાપસી બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટોદોર મળશે તો તે તાલિબાનો માટે ઘણી સારી અને વ્યાપક તકો ઉભી કરશે. આમ ન થાય તે માટે અમેરીકાને ભારતની મદદની જરૂર છે. ભારત અફઘાનિસ્તાનમાં વિકાસના કામોમાં લાગેલું છે. ભારત દ્વારા માળખાગત સુવિધા અને અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર સુદ્રઢ કરવામાં મદદ મળે, તો પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનમાં વઘારે હસ્તક્ષેપને અવકાશ રહેતો નથી.

અમેરીકાની હાલની પ્રાથમિકતા 2011 સુધીમાં તાલિબાનો સામેના મિશનોને સમાપ્ત કરવાની છે. તેમા તેને લાગે છે કે પાકિસ્તાનની મદદની જરૂર છે. પરંતુ પાકિસ્તાન ભારતનો ભય દેખાડીને પોતાનું મહત્તમ ધ્યાન અને સેના ભારતની સરહદે રાખી રહ્યું છે. તેઓ અમેરીકાની સામરીક જરૂરિયાતો સમજીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે દબાણ કરી રહ્યાં છે. અમેરીકા પણ તેના આધારે ભારત પર પાકિસ્તાન સાથે કાશ્મીર સહીતના તમામ મુદ્દાઓ ઉકેલવા માટે શાંતિવાર્તા કરવા માટે પ્રભાવના દબાણનો ઉપયોગ કરી રહ્યું છે. તેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દોર ફરી ચાલુ થઈ રહ્યો છે. પણ એક વખત પાકિસ્તાન સંદર્ભે નીતિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે રોનાલ્ડ રેગનની એક ઉક્તિનો ઉપયોગ કર્યો હતો કે ‘ભરોસા પછી પુષ્ટિ કરો’. પણ અહીં તો ભારત અમેરીકાના પ્રભાવમાં મુંબઈ જેવા ભીષણ આતંકવાદી હુમલા બાદ પણ ભરોસો અને માત્ર ભરોસો કરવાની જ નીતિ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સચિવ સ્તરની વાતચીતના એક દિવસ પહેલા જ પુણેની જર્મન બેકરીમાં પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ઈન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કરે તોઈબાના નેટવર્કથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 17 લોકાના જીવ ગયા હતા. ત્યારે ભારતને પાકિસ્તાન પર ભરોસા બાદ કેવી પુષ્ટિ મળે છે? તે તો આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ બને છે.

ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો ઉઠે તેનો સીધો સંબંધ અમેરીકાના અફઘાનિસ્તાનના સામરીક હિતો સાથે છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માગે છે. તેના માટે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદના તાલિબાનના પ્રભાવવાળા ક્ષેત્રોની નાકાબંધી કરે તેમાં એમેરીકાને વિશેષ રસ છે. પણ પાકિસ્તાન ભારતનો ભય બતાવીને અમેરીકાને `બ્લેક મેઈલ` કરી રહ્યું છે. જેના કારણે અમેરીકાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરાવીને ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો પણ સામેલ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. વળી પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની ઉપસ્થિતિ પણ પસંદ નથી. તેના કારણે પાકિસ્તાને શર્મ-અલ-શેખમાં ભારત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવતું હોવાની વાત કરી ચુક્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ચર્ચા થાય છે, ત્યારે પાકિસ્તાન તેમા બલુચિસ્તાનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનારી તાજેતરની વાતચીતમાં કાશ્મીર સહીતના મહત્વના મુદ્દા બાજુ રાખવાની વાત ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ તૈયાર કરવા તરફ હોય તેમ જણાવાય છે. આ વિશ્વાસપૂર્ણ વાતાવરણ સ્થપાયા બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે, તે પ્રકારનું એક નિવેદન કે સ્પષ્ટતા ભારતે વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાના અમેરીકા પ્રવાસ બાદ અને તેમના પાકિસ્તાન પ્રવાસ પહેલા કરી છે.

દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક વિચારધારાએ પોતાના સામ્રજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા. જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી. દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા.

પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં હતા. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું. કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના રેલાએ જ્યારે અમેરીકાને પલાળ્યું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે તેની કોઈ આધિકારીક ઘોષણા થઈ ન હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું. તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો ઉપયોગ રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા. ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી. તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે. એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અમેરિકાને ભારત ચીન સાથે દ્રઢ વલણ અપનાવે તે પસંદ છે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કડક વલણ ન અપનાવે તેના માટે પ્રયત્નો કરે છે. જ્યારે પાકિસ્તાન ભારત સામે આક્રમક હરકતો કરે તેનો અમેરીકાને ખાસ કોઈ વાંધો હોતો નથી, તો પાકિસ્તાનના ચીન તરફી ઝુકાવની પણ અમેરીકાની સામરીક ગણતરીમાં કોઈ મોટી કિંમત નથી. ત્યારે કોલ્ડ વોરની સમાપ્તિ પછી અને સોવિયત રશિયાના વિઘટન બાદ વૈશ્વિક પરિદ્રશ્ય સાથે દક્ષિણ એશિયાની સામરીક પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો છે. હાલના રશિયાનો વૈશ્વિક પ્રભાવ ઓગળી ગયો છે. ત્યારે ભારતના રાજકારણીઓએ અમેરીકાની નજીક પહોંચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરંતુ અમેરીકા હજી પણ ભારતને પાકિસ્તાન જેટલું મજબૂત સહયોગી ગણતું નથી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણાની યાત્રા અમેરીકા સાથેની પહેલી સામરીક વાટાઘાટો છે. ત્યારે પી. વી. નરસિંહરાવના સમયથી શરૂ થયેલી અમેરીકાની નજીક જવાની નીતિથી અમેરીકાને ભારત પાકિસ્તાનની સરખામણીએ ખાસ પ્રભાવિત કરી શક્યું નથી.

અમેરીકા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દાનો ઉપયોગ દક્ષિણ એશિયામાં પોતાના સામરીક ગણિતના કોયડાનો તાળો મેળવવા માટે પાકિસ્તાન તરફે કરી રહ્યું હોવાની છાપ ઘણાં ભારતીય જાણકારોના મનમાં પ્રવર્તી રહી છે. પહેલા સોવિયત રશિયા સામે પોતાનો પ્રભાવ કાયમ કરવા માટે પાકિસ્તાનને પોતાની તરફે વાળવા માટે અને ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિમાંથી સાંગોપાંગો નીકળવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે અમેરીકા કાશ્મીર મુદ્દામાં ચંચુપાત અને પોતાનો પ્રભાવ દબાણી હદ સુધી લઈ જવાની વૃતિ ધરાવે છે. ત્યારે ભારતે પણ પોતાના સામરીક ગણિતને બરાબર બેસાડવું પડશે અને અમેરીકાને ખાતરી કરાવડાવી પડશે કે વિશ્વની પરમાણુ શક્તિ બનેલું ભારત વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તરે બહુ મોટા શક્તિ સંતુલનો પેદા કરવા માટે સક્ષમ છે અને તેવા સંજોગોમાં તેના સામરીક હીતોને તાક પર મૂકીને અમેરીકા દક્ષિણ એશિયામાં સામરીક ગણિતના કોઈપણ કોયડાનો સંતોષજનક જવાબ મેળવી શકશે નહીં. પાકિસ્તાન દક્ષિણ એશિયામાં અસંતુલનનું કારણ છે અને તેને દૂર કરવા માટેનો એકમાત્ર જવાબ ભારત બની શકે છે. પરંતુ અત્યારે અમેરીકાના દક્ષિણ એશિયાના સામરીક ગણિતમાં આ બાબતે બહુ મોટી સ્પષ્ટતાઓ જોવા મળતી નથી.

આવા સંજોગોમાં અમેરીકી પ્રભાવથી પાકિસ્તાન સાથે જમ્મુ-કાશ્મીર મુદ્દે શું ચર્ચા થવી જોઈએ? ભારત પાકિસ્તાનની ઈચ્છાથી ઈન્ટરલોક્યુટર બનવાની વાત કરનારા અમેરીકાએ કહ્યું છે કે કાશ્મીર નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારે અમેરીકાનો પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને જોવાનો એક ખાસ દ્રષ્ટિકોણ છે. તેમાં ભારત કેટલો બદલાવ કરી શકે છે? તેના પર પણ વિચાર થવો જોઈએ. અત્યારે પાકિસ્તાનની ઈચ્છા પ્રમાણે કાશ્મીર મુદ્દે ભારત પર અમેરીકી પ્રભાવની અસર પડી રહી છે. તેની જગ્યાએ ભારતીય વ્યૂહાત્મક નીતિના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે ભારતની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન પર અમેરીકી પ્રભાવની અસર ઉભી થાય અને તે ભારતમાં આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારતના દ્રષ્ટિકોણને સમ્માન આપે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકાય. જો કે હાલ એક વાત સ્પષ્ટ બને છે કે અફઘાનિસ્તાનમાં પોતાના મિશનોને પાર પાડવા માટે અમેરીકાને પાકિસ્તાનની મદદની જરૂર છે અને અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં નિયંત્રિત કરવા માટે ભારતની ઉપસ્થિતિની અમેરીકાના જરૂર છે. પણ તેના માટે તેને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાવી જોઈએ અને તેને લાગે છે કે આ શાંતિ કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાથી અને તેને ઉકેલવાથી સ્થપાઈ શકે છે. પરંતુ દક્ષિણ એશિયામાં અમેરીકાના સામરીક ગણિતમાં ભારતીય હિતો કેટલા સચવાય છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.

Saturday, May 22, 2010

જાતિ આધારીત સેન્સસ-2011 પાછળનું ષડયંત્ર

સરકાર વિભિન્ન રાજકીય પક્ષોના દબાણમાં જાતિ આધારીત વસ્તીગણતરીનો લગભગ સ્વીકાર કરીને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક એવો અધ્યાય જોડવાની તૈયારીમાં લાગી ગઈ છે કે જેના દૂરગામી પરિણામો દેશ માટે ઘણાં ઘાતક હોય શકે છે. સામાજિક ન્યાયનો તકાજો અને પછાત જાતિઓ માટે કલ્યાણકારી યોજનાઓને સારી રીતે લાગુ કરવાનો તર્ક આપીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદ યાદવ અને જનતાદળ-યુનાઈટેડના શરદ યાદવે જાતિ આધારીત વસ્તીગણતરી-2011ની જોરદાર વકાલત કરી છે. તેમના સમર્થનમાં ભાજપ અને ડાબેરીઓ ઉતર્યા છે. કોંગ્રેસની અંદરથી પણ જાતિ આધારીત સેન્સસના સ્વર ઉઠયા બાદ વડાપ્રધાન મનમોહન સિંહે કહેવું પડયું છે કે કેબિનેટ જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય કરશે.

લગભગ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેવાય ગયો છે. હવે માત્ર ઔપચારીકતા જ બાકી છે. સાઠ વર્ષથી વધારે જૂની નીતિમાં ગંભીર ચર્ચા વગર અચાનક આવેલો બદલાવ ષડયંત્રની દુર્ગંધથી ખદબદી રહ્યો છે. આ અપરાધ એટલા માટે પણ વધારે સંગીન બની જાય છે, કારણ કે આટલો મહત્વપૂર્ણ નિર્ણય કોઈપણ તર્ક આપ્યા વગર લઈ લેવામાં આવ્યો છે. 1990માં તત્કાલિન વડાપ્રધાન વી.પી.સિંહ માટે મુશ્કેલી પેદા કરી રહેલા નાયબ વડાપ્રધાન દેવીલાલની પ્રસ્તાવિત રેલીની હવા કાઢી નાખવા માટે મંડળ પંચની ભલામણો સ્વીકારી લેવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઘણી ઉદારતાથી જાતિ આધારીત વસ્તીગણતરીને આશ્ચર્યજનક રીતે સ્વીકારી લીધી છે. માનવામાં આવે છે કે આમ કરવાથી જાતિ આધારીત પાર્ટીઓ સાથેના કોંગ્રેસના બગડતા સંબંધોમાં સુધારો આવે તેવી સંભાવના પેદા થશે. આધિકારીક રૂપથી માન્યતાપ્રાપ્ત જાતિગત આધારે હિંદુ સમાજને પુનર્પરિભાષિત કરવાની ચેષ્ટા ભારતીય પરિદ્રશ્યને બદલી નાખનારી છે. રાજકીય મોલભાવ માટે જાતિય સંખ્યાનો ઉપયોગ પહેલા ડીંગો હાંકવા માટે કરવામાં આવ્યો છે. જ્યારે આ વખતે તે વાસ્તવિક સંખ્યા પર આધારીત હશે અને તેના આધારે વધારે હિસ્સેદારીની માગણી પણ કરવામાં આવશે.

છેલ્લા કેટલાંક સમયથી ભારતીય સમાજમાં જાતિ આધારીત રાજકારણનું પ્રત્યક્ષ પ્રમાણ ઘટયું છે. હિંદુ સમાજ એક વિરાટ સમાજ તરીકે વિચારતો થયો છે. જેના કારણે રાષ્ટ્રીય મુદ્દાઓ પર સત્તા કરવાનો અવસર ભાજપને પ્રાપ્ત થઈ ચુક્યો છે. જો કે તેઓ આ વાત સ્વીકારવા માટે તૈયાર થાય તેવી શક્યતા બહુ ઓછી છે. પણ હકીકત એ છે કે એનડીએનું નેતૃત્વ કરવા જેટલા સાંસદો લોકસભામાં આવ્યા તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે હિંદુ સમાજે જાતિઓમાં વહેંચાયને નહીં, પણ એક વિરાટ સમાજ તરીકે ભાજપ અને અન્ય હિંદુવાદી ગણાતા પક્ષોને મતો આપ્યા હતા. ત્યારે હિંદુઓનો હિંદુ તરીકે વિચાર બધ થાય તે માટે કોંગ્રેસ યાદવ તિકડીના નામ પર જાતિ આધારીત વસ્તીગણતરીનો દાવ રમી રહ્યું છે. એ સાચું છે કે જાતિ આપણા સમાજની સચ્ચાઈ છે અને દેશના વિકાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અડચણ પણ જાતિ છે. આંબેડકર, નહેરું અને પટેલ વગેરે નેતાઓએ વસ્તીગણતરીમાં જાતિ ગણનાને દૂર રાખી હતી. આપણી સ્વાધીનતાના નાયકો એ વાત સારી રીતે જાણતા હતા કે દેશની એકતા અને અખંડતા બનાવી રાખવા માટે જાતિના જિન્નને બોટલમાં બધ રાખવો બહેતર છે. કારણ કે તેમ કરવામાં ન આવે, તો જાતિને વૈદ્યતા મળે, જાતિવાદ વધે, જાતિનો રાજકીય પક્ષો ખુલ્લેઆમ વોટબેંક તરીકે ઉપયોગ કરે અને જાતિવિહીન સમાજની પરિકલ્પનાનો છેદ ઉડી જાય. જો કે અત્યારે પણ જાતિ અને ધર્મ આધારીત અનામતનું રાજકારણ ખેલાયું છે અને ખૂબ ખેલાયું છે. તેમા રાજકીય પક્ષોએ ધર્મ અને જાતિની વોટબેંકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને બનાવી પણ છે. જો કે જાતિ આધારીત વસ્તીગણતરી આવા સ્થાપિત હીતો ધરાવતા તત્વોને ખુલ્લેઆમ કાયદાકીય રીતે મદદગાર સાબિત થશે. માર્ક ગેલેન્ટર જેવા પશ્ચિમી સમાજશાસ્ત્રીઓએ કહ્યું છે કે જાતિગત ગણના ભારતીય રાષ્ટ્રીય અવધારણા અને એકતાને કમજોર કરવાની ઉપનિવેશિક સાજિશ હતી. ત્યારે સવાલ એ છે કે આવી ઉપનિવેશિક સાજિશને ભારતના રાજકારણીઓ આગળ કેમ વધારી રહ્યાં છે? તેમાં તેમના ક્યાં સ્થાપિત હીતો રહે છે?

આજે પણ જાતિ આધારીત વસ્તીગણતરીનો ઉદેશ્ય પછાતોનું કલ્યાણ નથી પણ પોતાના રાજકીય આધારને ફરીથી પ્રાપ્ત કરવાની દરેક રાજકીય પક્ષોની કવાયત છે. અત્યારે રોજગાર અને શિક્ષણમાં પછાત વર્ગોને 27 ટકા અનામત ઉપલબ્ધ છે. તેમની વસ્તી વધારે હોવાના આધિકારીક આંકડાઓ પ્રાપ્ત થયા બાદ તેમના માટે વધુ અનામતની માગણી કરીને જુદાંજુદા સ્થાપિત હીતો ધરાવતા રાજકીય પક્ષો પોતાની રાજનીતિ ચમકાવી શકશે.

હિંદુ સમાજે જ્યારે જ્યારે હિંદુ સમાજ તરીકે, એક વિરાટ સમાજ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે, ત્યારે ત્યારે તેને જાતિઓમાં,પ્રાદેશિકતાઓમાં, ભાષાઓમાં વહેંચવાની કલિષ્ટ હિંદુદ્રાહી ચેષ્ટાઓ થઈ છે. જેના કારણે હિંદુ સમાજની તાકાત વિરાટ હિંદુ સમાજ તરીકેની તાકાત રહી શકી નથી. 1891માં અંગ્રેજો દ્વારા સેન્સસ એટલે કે વસ્તીગણતરી કરવાનું શરૂ કરાયું હતું. સેન્સસમાં ધીમેધીમે જાતિ આધારીત વસ્તીગણતરી અંગ્રેજોએ દાખલ કરી હતી. તેમણે સાથે ધર્મ આધારીત વસ્તીગણતરી પણ સમાંતરે ચાલુ રાખી હતી. હિંદુ સમાજને હિંદુ તરીકે વિચારી ન શકે તે માટે જાતિઓના આંકડામાં 1931 સુધી ઉલજાવેલો રાખ્યો હતો. તેના કારણે મુસ્લિમ સમાજ હિંદુ સમાજ સામે એકજૂટ થઈને સામે આવ્યો હતો. મુસ્લિમ સમાજને અંગ્રેજોએ જાતિમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો ન હતો. જો કે વાસ્તવિકતા એવી પણ છે કે ભારતના મુસ્લિમ સમાજમાં પણ જાતિઓ રહેલી છે. જો કે ફરી એક વખત એ જ ઈતિહાસનું પુનર્રાવર્તન થઈ રહ્યું છે. અંગ્રેજોની રાજકીય વિરાસત સંભાળી રહેલા ખાદીધારી અંગ્રેજો પણ હિંદુ સમાજને જાતિઓમાં ફરીથી ઉલઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેના કારણે તેઓ પોતાના રાજકીય હિતોને જાળવી શકે.

અત્યારે કોંગ્રેસને ધર્મ આધારીત અનામતનું રાજકીય કાર્ડ રમવું છે. પણ તેના માટે તેમની પાસે યોગ્ય પરિસ્થિતિનો અભાવ છે. 1992માં મંડળ પંચ વખતે સુપ્રિમ કોર્ટે દેશમાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધવી ન જોઈએનો ચુકાદો આપ્યો હતો. જો કે ત્યારે જાતિ આધારીત વસ્તીગણતરીના 1931ના સેન્સસના આંકડા ઉપલબ્ધ હતા. અત્યારે પણ દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરીના આંકડા જ ઉપલબ્ધ છે. નવા 2011ના સંભવિત જાતિ આધારીત સેન્સસના આંકડા ઘણાં ધરખમ ફેરફારોવાળા આવે તેવી સંભાવના છે. કારણ કે કથિત ઉચ્ચ કે સવર્ણ જાતિઓના વસ્તીવૃદ્ધિના આંકડા પછાત, અનુસૂચિત જાતિ અન અનુસૂચિત જનજાતિના વસ્તીવૃદ્ધિના આંકડા કરતાં ઓછા છે. ત્યારે સ્વાભાવિક પણે તેમના વસ્તીના આંકડા કથિત સવર્ણો કરતાં વધવાના નિશ્ચિત છે. તેવા સંજોગોમાં તેઓ 27 ટકાના ક્વોટામાં વધારો કરવાની વાતથી ભ્રમિત થઈ શકે છે. સુપ્રિમ કોર્ટે અનામતની મર્યાદા પચાસ ટકાની કરી છે. એટલે કે તે વખતે જેમને અનામત મળતું હતું અને અત્યારે પણ જેમને અનામત મળી રહ્યું છે, તેવા હિંદુ એસસી, એસટી, અને ઓબીસીને પચાસ ટકા સુધીનુ અનામત મળી શકે તેમ છે. ત્યારે 2007માં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલ નીચે મુસ્લિમોને દસ ટકા અનામત અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામત એટલે કે મુ્લિમ સહીતનીલઘુમતીઓ માટે 15 ટકા અનામત લાગુ કરાવવું એક યક્ષપ્રશ્ન બનીને કોંગ્રેસની સામે ઉભેલો પ્રશ્ન છે. ત્યારે તેવા સંજોગોમાં લઘુમતી અને મુસ્લિમ અનામત માટેની જમીન પણ જાતિ આધારીત સંભવિત વસ્તીગણતરી-2011 કોઈ રસ્તો આપે તેવી પણ સંભાવના રહેલી છે. આવી સંભાવનાઓ શોધવા માટે પણ કોંગ્રેસ સહીતના અનામતનું રાજકારણ રમતા પક્ષો પ્રયત્ન કરવાના છે, તે નિશ્ચિત છે. તેના કારણે જો કોઈ ચિંતામાં આવશે, તો તે ભારતની જનતા હશે.


યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.

પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.

રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.


સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.


ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.


આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.


સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?

એક એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે જે જાતિઓના લોકોની સંખ્યા વધારે હશે, રાજકીય પક્ષો તેમને જ પૂછશે અને ઓછી સંખ્યાવાળી જાતિઓ હાશિયામાં ધકેલાય જશે. આનો જે ખતરનાક પ્રભાવ હશે તે એ હશે કે દેશમાં જાતિની ઘોર રાજનીતિ ખુલ્લેઆમ શરૂ થઈ જશે. જો કે અત્યારે પણ રાજકારણમાં જાતિ તો ઘૂસેલી જ છે, પરંતુ વસ્તીગણતરી બાદ જાતિ અને રાજકારણનું એવું કોકટેલ તૈયાર થશે કે જે દેશમાં ઝેર જેવું વિનાશક સાબિત થશે. આ એવો સંવેદનશીલ મુદ્દો છે કે જેને માત્ર રાજકારણીઓ નક્કી ન કરી શકે.તેના માટે સમાજશાસ્ત્રીઓ અને નાગરીક સમાજની મદદ લેવાવી આવશ્યક છે.

અત્યારે અચનાક જાતિને ભારતીય જીવનનું કેન્દ્ર બિંદુ બનાવી દેનારો આ નિર્ણય કોંગ્રેસની ગઠબંધન પ્રબંધનની કુશલળતાની કિંમત છે. જે દેશ ચુકવી રહ્યો છે. આના પરિણામ ઘણાં વિઘાતક હશે. દેશ જાતિવાદી અને ધર્મવાદી અનામતની આગમાં ઝોકાય રહ્યો છે. ત્યારે અત્યારે વાત પૂરી કરતાં પહેલા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરામ આંબેડકરની વાત યાદ કરવી ઘટે. કારણ કે અનામતની અને અન્ય વ્યવસ્થા આપણને બંધારણ થકી જ મળી છે. ભારતની પહેલી બંધારણ સભાના સમાપન ભાષણમાં ડૉ. બાબાસાહેબ આંબેકરે કહ્યું હતું કે-
“હું સમજું છું કે બંધારણ ચાહે ગમે તેટલું સારું હોય, તે ખરાબ સાબિત થઈ શકે છે, જો તેનું અનુસરણ કરનારા લોકો ખરાબ હોય. એક બંધારણ ચાહે ગમે તેટલું ખરાબ હોય, તે સારું સાબિત થઈ શકે છે, જો તેનું પાલન કરનારા લોકો સારા હોય. બંધારણની પ્રભાવશીલતા પૂર્ણ રીતે તેની પ્રકૃતિ પર નિર્ભર નથી. બંધારણ કેવળ રાજ્યોના અંગો- ધારાતંત્ર, કાર્યપાલિકા, ન્યાયપાલિકાનું પ્રાવધાન કરી શકે છે. રાજ્યોના આ અંગોનું પ્રચાલન જે તત્વો પર નિર્ભર છે, તે છે જનતા અને તેમની આંકાક્ષાઓ તથા રાજકારણને સંતુષ્ટ કરવાના ઉપકરણના રૂપમાં તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો. એ કોણ કહી શકે કે ભારતની જનતા અને તેના પક્ષો ક્યાં પ્રકારનું આચરણ કરશે? ”

ભારતની અનામત સાથેની તમામ રાજકીય વ્યવસ્થા બંધારણને આધિન છે. બંધારણના ઘડવૈયાઓમાંના એક બાબાસાહેબ આંબેડકરના શબ્દો ઘણા સૂચક છે. બંધારણને સારું કે ખરાબ સાબિત કરવા માટે માત્ર લોકો, તેમની આંકાક્ષાઓ અને તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો જવાબદાર છે. ત્યારે લોકો એક એવી નાગચુડમાં ફસાયા છે કે તેની આંકાક્ષાઓ માટેના ઉપકરણ એવા રાજકીય પક્ષોને પોતાની આંકાક્ષાઓની અને હિતોની પૂર્તિ માટે જનતા એક ઉપકરણ લાગી રહ્યું છે. તેના કારણે જ જાતિ આધારીત વસ્તીગણતરી કરાવીને જાતિ અને ધર્મ આધારીત અનામતનું લોહીયાળ રાજકારણ ખેલવા માટે ખેલૈયાના સ્વરૂપે તમામ રાજકીય પક્ષો જનતાના લોહીની હોળી રમવા માટે તૈયાર થયા છે. હવે વિચારવાનું જનતાએ છે કે તેમનું હિત શેમા છે અને તેઓ પોતાના હિતની રક્ષા કરવા માટે કેવા ઉપાયો કરી શકે છે?

Saturday, May 15, 2010

વસ્તીગણતરી-2011 જાતિ આધારીત થવી જોઈએ?

જાતિ આધારીત વસ્તીગણતરી માટેની લાલુપ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સહીતના વિપક્ષી દળોની માગણી પર વિચાર કરવા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સંમત થઈ છે. વડાપ્રધાને લોકસભામાં નિવેદન કરીને જાતિ આધારીત વસ્તીગણતરી કરાવવા સંદર્ભે ઝડપથી નિર્ણય લેવાશેની વાત કરી છે. જો વડાપ્રધાન મનમોહન સિંહ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેશે તો દેશમાં 1931 બાદ પહેલી વખત જાતિ આધારીત વસ્તી ગણતરી થશે. આ જાતિ આધારીત વસ્તીગણતરીનો અહેવાલ સેન્સસ-2011 તરીકે ઓળખાશે. આ અહેવાલ 2011-12માંઅથવા લોકસભાની 2014ની ચૂંટણી આસપાસ આવે તેવી સંભાવના છે.

યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.

પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.

રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.

ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.

આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.

સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?

Monday, April 5, 2010

નક્સલવાદ: ગણતંત્ર વિરુદ્ધનું "ગનતંત્ર"


દેશમાં ગણતંત્ર છે, પણ તેની સામે સમાંતર "ગનતંત્ર" ઉભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિંસાની વિચારધારાથી સત્તા માટે ગરીબ, શોષિત, વંચિત અને દબાયેલા-કચાડેયેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતાં દેશના 1/3 ભાગ પર ગનતંત્ર દ્વારા હિંસાનું તોફાન મચાવી દેવાયું છે. આ હિંસાની હેલી નક્સલવાદ તરીકે ઓળખાય છે. નક્સલવાદને ખુદ વડાપ્રધાન મનમોહનસિંહ આતંકવાદ કરતાં મોટું જોખમ હોવાની વાત કરી ચૂક્યા છે. નક્સલવાદનું જે મૂળ છે, તે કોમ્યુનિસ્ટ વિચારધારાને કારણે ચીનમાં તથાકથિત ક્રાંતિ થઈ ચૂકી છે. ચીનની ક્રાંતિના પુરોધાર માઓ ત્સે તુંગની વિચારધારા પ્રમાણે ભારત અને નેપાળમાં હિંસા દ્વારા ક્રાંતિ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નક્સલવાદને માઓવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળમાં માઓવાદીઓને મળેલી સફળતાને કારણે ભારતમાં કાર્યરત નક્સલવાદી માઓવાદી જોરમાં છે. આમ તો તેમની ઈચ્છા નેપાળથી લઈને શ્રીલંકા સુધી રેડ કોરિડોર ઉભું કરવાની છે. તેમા તેમને ઘણી સફળતા પણ મળી ચૂકી છે. જેનું મુખ્ય કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિમાં અસ્પષ્ટતા અને અસમંજસતા છે.

કેન્દ્રીય ગૃહસચિવના જણાવ્યા પ્રમાણે, નવેમ્બર-2003માં નવ રાજ્યોના 55 જિલ્લાઓ નક્સલવાદીની ઝપેટમાં હતા. જો કે 2009માં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમના જણાવ્યા પ્રમાણે, દેશના 20 રાજ્યોના 223 જિલ્લાઓ નક્સલવાદીઓની પકડમાં આવી ચૂક્યા છે. ગૃહમંત્રી પી.ચિદમ્બરમે સ્પષ્ટતા કરી છે કે 13 રાજ્યોના 90 જિલ્લાના 400 પોલીસ સ્ટેશન સતત નક્સવાદી હિંસાથી ગ્રસ્ત છે. નક્સલવાદી હિંસાની અને તેના ભારતમાં પ્રભાવની વાત તો કરી, પણ નક્સવાદી કોણ છે? તેની વિચારધારા કઈ છે? તેના વિશે પણ ચર્ચા કરીએ.

ભૂમિવિહીન મજૂરો અને આદિવાસી લોકો તરફથી જમીનદારો અને અન્યો સામે હિંસક લડાઈ કરનારાઓને નક્સલ્સ કે નક્સલવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. નક્સલવાદીઓનો દાવો છે કે તેઓ વર્ગવિહીન સમાજના નિર્માણ માટે શોષણ અને દમન વિરુદ્ધ લડાઈ કરે છે. જો કે તેમના વિરોધીઓ નક્સલવાદીઓને વર્ગસંઘર્ષના નામે લોકોનું દમન કરતાં આતંકવાદીઓ ગણાવે છે. નક્સલવાદી હિંસામાં 30થી વધારે નક્સલ જૂથો દેશભરમાં કાર્યરત છે. જેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) નક્સવાદી વિચારધારાનો પ્રસાર કરતું રાજકીય જૂથ છે. આ સિવાય પીપલ્સ વોર ગ્રુપ(પીડબલ્યુજી), માઓઈસ્ટ કોમ્યુનિસ્ટ સેન્ટર(એમસીસી), પીપલ્સ ગુરિલ્લા આર્મી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્કિસ્ટ-લેનિનિસ્ટ જનશક્તિ અને ત્રિટિયા પ્રસ્તુતિ કમિટી(ટીપીસી) મુખ્ય છે. જેમા પીડબલ્યુજી અને એમસીસી 2004માં નક્સવલવાદી હિંસા માટે એક થયા છે. તમામ નકસલવાદીઓએ 2050ના એજન્ડામાં ભારતની સત્તા બંદૂકના જોરે મેળવવાના સ્વપ્ના જોયા છે. તેના માટે ભારતીય સેનાના કેટલાંક સેવાનિવૃત જવાનો અને અધિકારીઓની મદદ પણ લેવાતી હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લાઈએ નક્સલવાદીઓને ચીન દ્વારા હથિયાર મળતા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે સમગ્ર પૂર્વોત્તર અને ભારતમાં ઉભા થયેલા રેડ કોરિડોર પાછળ ચીન અને આઈએસઆઈનો દોરી સંચાર હોવાની વાત બળવત્તર બની છે. આ નક્સલવાદીઓને બાંગ્લાદેશ અને શ્રીલંકાના તથા પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંપર્કો હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દેશના 33 ટકા ભાગ પર ગનતંત્ર ઉભું કરનારા નક્સલવાદીઓ દેશ માટે ગંભીર જોખમો અને પડકારો ઉભા કરી રહ્યાં છે.

નક્સલવાદના મૂળ જુલાઈ 1948માં શરૂ થયેલા તેલંગાણા આંદોલનમાં નખાઈ ગયા હતા. આ સંઘર્ષ ભારતમાં ક્રાંતિ લાવવા માટે ચીનના માઓ ઝેડોંગની વિચારધારાને આધાર બનાવીને શરૂ કરાયો હતો. જેના કારણે આ નક્સવાદ આંધ્રપ્રદેશમાં સારો એવો પ્રભાવ ધરાવે છે. જો કે હાલમાં તે આંધ્રપ્રદેશમાં નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)માંથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કિસ્ટ-લેનિનિસ્ટ) બન્યા બાદ પ્રવર્તમાન નક્સવાદ નક્સલવાદે સાકાર રૂપ ધારણ કર્યું હતું. સીપીઆઈ(એમ)એ પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાગ લઈને જોડાણ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે ચારુ મજમુદાર અને કાનુ સાન્યાલના નેતૃત્વમાં સીપીઆઈ(એમ-એલ)ની રચના થઈ હતી. પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલા દાર્જીલિંગ જિલ્લાના નક્સલબારીમાં 25મી મે, 1967ના દિવસે આદિવાસીઓએ જમીનદારોની જમીન પર સશસ્ત્ર હુમલો કરીને પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ સશસ્ત્ર સંઘર્ષને કારણે નક્સલાઈટ્સ કે નક્સલવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. 60 અને 70ના દાયકા દરમિયાન નક્સલવાદીઓનું સશસ્ત્ર આંદોલન વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થયું હતું. આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને તેમા જોડાયા હતા. જો કે અત્યારે નક્સલવાદી આંદોલન ગણતંત્રની વિરુદ્ધનું ગનતંત્ર બની ચૂક્યું છે. નક્સલવાદી આંદોલનના પ્રવર્તમાન સ્વરૂપથી તેના સંસ્થાપક પ્રવર્તકમાંના એક કાનુ સન્યાલ ખાસા વ્યથિત હતા. તેમણે તાજેતરમાં આત્મહત્યા કરી છે. જો કે હાલમાં 50,000 જેટલા સશસ્ત્ર નક્સલવાદીઓ ભારતભરમાં હોવાના સરકારે દાવા કર્યા છે. નક્સલવાદીઓ ગુજરાત જેવા નક્સલ પ્રભાવવિહીન ક્ષેત્રોમાં પણ હિંસાની ખેતી કરવા માટે તત્પર બન્યા છે. ત્યારે નક્સલવાદીઓને જેર કરવા માટેના ઓપરેશન ગ્રીન હન્ટ શરૂ કરવા સંદર્ભે કોઈ સ્પષ્ટ માહિતી આપવાનું કેન્દ્ર સરકાર ટાળી રહી છે. કેન્દ્ર સરકાર નક્સલીઓ સાથે વાતચીતનો પ્રસ્તાવ પણ મૂકી ચૂકી છે. જો કે તાજેતરમાં ઓરિસ્સામાં મલકાનગિરિ ખાતેના સુરંગ વિસ્ફોટમાં સીઆરપીએફના બાર જવાનોના મોતની ઘટના અને તે સિવાય આ સમયગાળામાં થયેલી નક્સલી હિંસા સરકારના શાંતિ પ્રસ્તાવના લીરે લીરા ઉડાડી રહ્યાં છે. ત્યારે કોમ્યુનિસ્ટ વિચારધારાના મૂળિયામાંથી સંવર્ધિત બનેલા ગનતંત્રને કહેવું હોય, તો કોમ્યુનિસ્ટ આતંકવાદ પણ કહી શકાય છે.

વિકાસવિહીન ક્ષેત્રોમાં થઈ રહેલી નક્સલી હિંસા પાછળ વિકાસવિહીનતા કારણભૂત હોવાના બૈદ્ધિકો દાવાઓ કરે છે. પણ સાચું તો એ છે કે નક્સલવાદીઓ સરકારી તંત્રને નિશાન બનાવીને વિકાસ થવા દેવા માંગતા નથી. એક તરફ હિંસાનું તાંડવ ચાલતું હોય, ત્યારે સરકારી તંત્રને તેનો ભય દૂર કરવાની જરૂર છે. જેના માટે નક્સલીઓ સામે કોઈ કારગર નીતિ અને કાર્યવાહી કરવી આવશ્યક છે. જો કે નક્સલીઓ વિકાસના કામોને પણ નિશાન બનાવી રહ્યાં છે અને રેલવેને પણ નિશાન બનાવીને સામાન્ય લોકો માટે ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યાં છે. ત્યારે જરૂર એ છે કે નક્સલીઓ ભારત સરકાર સામે હથિયાર હેઠાં મૂકીને તથાકથિત દમન અને શોષણ સામે ન્યાય મેળવવા માટે વાતચીત કરે. નક્સલવાદ સાથે ચીન અને આઈએસઆઈની કહેવાતી મિલીભગત પણ રાષ્ટ્રની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરા સમાન છે. ત્યારે નક્સલીઓની વિકાસના કામો અટકાવીને અવિરત હિંસામાં સામેલગીરી તેમની વિકાસ તરફની દ્રષ્ટિને ઉજાગર કરે છે. તેમનું લક્ષ્ય માત્ર ગનતંત્ર દ્વારા ગણતંત્ર પર અધિકાર મેળવવાનું છે. ત્યારે દેશની જનતા જાગૃત બને અને તેને સુરક્ષા મળે તે જોવું કેન્દ્ર અને રાજ્ય સરકારોનું કર્તવ્ય છે.

Saturday, March 20, 2010

કાશ્મીર મુદ્દે, થજો સાવધાન !!!

7મી ઓગસ્ટ, 2001ના રોજ સંસદમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીર પર વાતચીત દૂર સુધી જશે, તેમ કહ્યું હતું. સંસદમાં ઉદબોધન વખતે તેમણે પાકિસ્તાની અખબાર ‘ધ ડૉન’ સાથે સંકળાયેલા પત્રકાર અયાઝ અમીરના લેખના અંશો ટાંક્યા હતા. જે આ પ્રમાણે હતા-“નગ્ન સચ્ચાઈ તો એ છે કે કાશ્મીરમાં જેહાદનું કોઈ ભવિષ્ય નથી. ખૂની સંઘર્ષ અને બલિદાનોને ધ્યાનમાં રાખીને કહેવુ કડવું જરૂર છે, પણ દુર્ભાગ્યે તે સાચું છે. આતંકવાદથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે, ઘાટીમાં અસ્થિરતા રહેશે, પરંતુ તેનાથી રાજ્યની આઝાદી નિશ્ચિત નહીં થઈ શકે. 53 વર્ષોના ઈતિહાસથી સ્પષ્ટ થવું જોઈએ કે જે કામ પાકિસ્તાની ફૌજ પૂર્ણ લડાઈ લડીને નથી કરી શકી, તે કામ મારો અને ભાગોની રણનીતિવાળા જેહાદીઓએ વિચારવું પણ ન જોઈએ.” (ગઠબંધન કી રાજનીતિ, સંપાદક-ના.મા.ઘટાટે,પૃ.326)
વાજપેયી દ્વારા ટાંકવામાં આવેલા પાકિસ્તાની પત્રકારના લેખના અંશો પરથી સ્પષ્ટ છે કે કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાને શરૂઆતથી સશસ્ત્ર પ્રયત્નો કર્યા છે. કારગીલ સહિતના ચાર યુદ્ધોમાં પાકિસ્તાનને કાશ્મીર બાબતે કોઈ સફળતા ન મળતા, તે જેહાદીઓ દ્વારા આતંકવાદનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને બે દાયકાથી 'પ્રોક્સી વોર' લડી રહ્યું છે. તેમા પણ કાશ્મીર બાબતે અશાંતિ અને અસ્થિરતા ફેલાવા સિવાય કોઈ સફળતા મળી નથી.
કાશ્મીર પર વાતચીત દૂર સુધી જશેના સંસદમાં કરાયેલા વાજપેયીના નિવેદનને એક દાયકા જેવો સમય વીતવા આવશે. આ સમયગાળા દરમિયાન સિંધુ નદીમાં ઘણું પાણી વહી ચુક્યુ છે. 9/11ની ઘટના બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનો વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકાના તથાકથિત આતંકવાદ વિરોધી યુદ્ધને 9 વર્ષ થવા આવ્યા છે. આ યુદ્ધમાં ધારી સફળતા ન મેળવનારા અમેરીકાએ તથાકથિત આતંકવાદ વિરોધી યુદ્ધમાંથી હાથ પાછા ખેંચવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવી અફઘાન-પાક. નીતિની ઘોષણા કરતાં અમેરીકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામાએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓ પહેલા એટલે કે 2011ના મધ્યમાં અમેરીકી સેનાઓની તબક્કાવાર ઘર વાપસીની ઘોષણા કરી છે. ત્યારે સમગ્ર દક્ષિણ એશિયાના રાજકીય પરિદ્રશ્ય પર ઘેરી અસર વર્તાઈ રહી છે. દક્ષિણ એશિયામાં સૈનિકી અને કૂટનીતિક સમીકરણો બદલાઈ રહ્યાં છે. અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની ચીનયાત્રા દરમિયાન દક્ષિણ એશિયાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ચીનની મોટી ભૂમિકા હોવાની વાત કરી હતી. તેના જવાબમાં ભારતે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં કાશ્મીર સહીતના પાકિસ્તાન સાથેના તમામ દ્વીપક્ષીય મુદ્દાઓ પર કોઈપણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નકાર્યો હતો.
પાકિસ્તાનમાં ઉપસ્થિત ઈસ્લામિક આતંકવાદ આકાઓ બદલાયેલા અમેરિકાના વલણથી ગેલમાં આવી ગયા છે. લશ્કરે તોઈબાના સરગના હાફિઝ સઈદે એક નિવેદનમાં કહ્યું છે કે “જો અમેરિકા અફઘાનિસ્તાનમાં ટકી ન શકે, તો ભારત (તું) કાશ્મીરમાં કેવી રીતે રોકાઈ શકીશ? ” ઉપરોક્ત નિવેદન પરથી સ્પષ્ટ છે કે અમેરીકાની નવી અફઘાન-પાક. નીતિથી દક્ષિણ એશિયાના જેહાદીઓ ગેલમાં આવી ગયા છે. જેનું સૌથી મોટું નુકસાન ભારતને કાશ્મીરમાં હિંસાના તાંડવથી ઉઠાવવું પડે તેવા આસાર વર્તાઈ રહ્યાં છે. ત્યારે કાશ્મીર મોરચે ભારતે જમીની બાબતો સંદર્ભે વધારે ચુસ્ત બંદોબસ્ત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો કૂટનીતિક મોરચે પણ ભારત માટે ઘણાં કપરાં ચઢાણો છે.
25મી ફેબ્રુઆરી, 2010ના રોજ યોજાયેલી ભારત પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચેની બેઠક 26/11ના હુમલા બાદ ભારત દ્વારા અપનાવાયેલી કઠોર નીતિમાંથી યુ-ટર્ન છે. મુંબઈ હુમલા બાદ ભારતે હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ સહીત જવાબદાર તમામ લોકો વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી કરે પછી વાતચીત આગળ વધશેની ઘોષણા કરી હતી. ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીત બરાબર 14 માસ સુધી બંધ રહી હતી. ત્યારે જુદીજુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આકલનો લગાવવામાં આવતા હતા કે ભારત પર મુંબઈ હુમલા જેવો બીજો આતંકવાદી હુમલો બંને દેશો વચ્ચે યુદ્ધના મંડાણ કરાવશે. જો કે મુંબઈ હુમલા બાદ થોડા વખતમાં લોકસભાની ચૂંટણીઓ આવતી હતી અને પ્રજામત પાકિસ્તાન સામે ઉગ્રરૂપ ધારણ કરી ચૂક્યો હતો. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત ન દાખવનારી યુપીએ સરકાર પાસે વાતચીત બંધ કરવા સિવાય પ્રજાને દેખાડવા માટે અન્ય કોઈ રસ્તો ખુલ્લો ન હતો. જો કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ થાય તે માટેનું અમેરીકાનું દબાણ ચાલુ જ હતું. તેના માટે અમેરીકાના પોતાના રાષ્ટ્રીય હિતો કારણભૂત હતા. અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરીકાને તાલિબાનો સામેના જંગમાં પાકિસ્તાની સેનાની જરૂર છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે એક લાખ જેટલા પાકિસ્તાની સૈનિકો મને-કમને તાલિબાનો સામે લડી રહ્યાં હતા. તેવામાં મુંબઈ હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાને પોતાની સેનાઓ ભારતની સરહદે ખસેડવાની ચાલુ કરી હતી. જેના કારણે અમેરીકાને તાલિબાનો સામેના અભિયાનમાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના સર્જાઈ હતી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ પ્રકારે તણાવ ચાલુ રહે, તો તાલિબાનો સામેના અભિયાનમાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને વધારે નુકસાન ઉઠાવવું પડે અને તેવા સંજોગોમાં પાકિસ્તાની સેનાઓને અભિયાનોથી દૂર રહેવાનું બહાનું મળી જાય તેમ હતું.
જેના કારણે ઘણી 'બેક ચેનલ ડિપ્લોમસી' એટલે કે પડદા પાછળની વાટાઘાટો ચાલી હતી. જેમાં અમેરિકાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. દક્ષિણ એશિયાના અમેરીકી દૂત રિચર્ડ હોલબ્રુકથી માંડીને વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સુધીના અમેરીકી પ્રતિનિધિઓએ ભારત અને પાકિસ્તાનના ઘણાં પ્રવાસો કર્યા છે. ભારતમાં મુંબઈ હુમલા બાદ ઉગ્ર બનેલા પ્રજામતના શાંત થવાની રાહ જોતા અમેરીકા અને ભારત સરકાર વચ્ચે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ કરવા મુદ્દે વાતચીત થઈ હોવાની સ્પષ્ટ સંભાવનાઓ છે. જેના કારણે ભારત દ્વારા પોતાના વલણમાં આવેલું પરિવર્તન કે યુ-ટર્ન અમેરીકાની દેણ છે, તેમ માનવાને કારણો છે. ભારત વિદેશ સચિવ સ્તરની વાતચીત માટે રાજી થયું તેની જાહેરાત બાદ તુરંત જ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક જાહેર સભામાં ભારત વાતચીત માટે તૈયાર થઈને ઘૂંટણિયે પડયું હોવા સુધીનું નિવેદન કરીને પાકિસ્તાની પ્રજા સમક્ષ રાજકીય લાભ ખાંટવાનો પ્રયત્ન કર્યો હતો.
25મી ફેબ્રુઆરીની વાતચીતનું સ્વાગત આતંકવાદીઓએ પુણેમાં જર્મન બેકરીમાં વિસ્ફોટ અને કાબુલમાં ભારતીયોને નિશાન બનાવીને કર્યું હતું. તેના દ્વારા આતંકવાદીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ ભારત પર આતંકવાદી હુમલા કરવાના ચાલુ જ રાખશે. વળી આ આતંકવાદીઓ પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે ઘરોબો ધરાવે છે, તે કોઈનાથી છુપું નથી. ત્યારે ભારત પર મુંબઈ હુમલા જેવા હુમલાની શક્યતા જુદીજુદી એજન્સીઓએ નકારી નથી. આતંકના પડછાયા નીચે યોજાયેલી વિદેશ સચિવો વચ્ચેની વાતચીત 'આગળ વાતચીત માટે મળીશું'ના વાયદા સાથે પૂરી થઈ છે. જો કે આ વાતચીતમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, તો ભારતે આતંકવાદના મુદ્દાને આગળ કર્યો હતો. જો કે વાતચીતની પૂર્વ સંઘ્યાએ ચીન ગયેલા પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ આશ્ર્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું હતું કે" એ ભારતે નક્કી કરવાનું છે કે તેઓ ખાઈ પૂરવા માટે ત્રીજા પક્ષ તરીકે ચીન સાથે આરામદાયક છે કે કેમ? જ્યાં સુધી આ બાબત માટે પાકિસ્તાનને સંબંધ છે, તેમણે ચીનને બ્લેન્ક ચેક આપ્યો છે." એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં અમેરીકાની પ્રછન્ન ભૂમિકા સાથે પાકિસ્તાન દ્વારા વાતચીતમાં ચીન મધ્યસ્થતા કરે, તેવા પ્રસ્તાવ પણ જોરશોરથી રજૂ કરવામાં આવ્યા હતા. ઓબામાએ પોતાની ચીન યાત્રા દરમિયાન આવા સંદર્ભનું જે નિવેદન કર્યુ હતું, તેનો પાકિસ્તાન દ્વારા પ્રતિભાવ હતો. જો કે ભારતે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની સીધી દખલગીરીને નકારી છે.
પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે બેક ચેનલ ડિપ્લોમસીમાં કોઈ વાતચીત કે દબાણ થતું હશે, તેમ માનવા માટેના કારણો ઉભા થયા છે. એક તો પાકિસ્તાન દ્વારા વારંવાર ચીન કે અમેરિકા ભારત સાથેની વાતચીતમાં મધ્યસ્થતા કરે તે પ્રકારના નિવદેનો અવાર-નવાર કરવામાં આવે છે. તાજેતરની વાતચીત અને વાજપેયી દ્વારા કારગીલ યુદ્ધ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ શરૂ કરવામાં આવેલી વાતચીતમાં અમેરીકી ભૂમિકા કે દબાણ સ્પષ્ટપણે સપાટી દેખાય આવે છે. વળી 28મી ફેબ્રુઆરી, 2010ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે સાઉદી અરેબિયાની યાત્રા પર ગયેલા વિદેશ રાજ્યપ્રધાન શશી થરૂર દ્વારા સાઉદીને ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં 'ઈન્ટરલોક્યુટર' એટલે કે સંકલનકાર તરીકે બહુમૂલ્ય ગણાવવાનું નિવેદન દાળમાં કંઈક કાળું હોવાની શંકા પ્રેરે છે. શશી થરુરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે "સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે એક બહુમૂલ્ય 'ઈન્ટરલોક્યુટર' (સંકલનકાર) થઈ શકે છે. સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઈન્ટરલોકયુટર'ની ભૂમિકા નીભાવી શકે છે." જો કે ભારત પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતમાં 'ઈન્ટરલોક્યુટર'ની વાત કરીને શશી થરુર નવા વિવાદમાં સપડાયા હતા. વડાપ્રધાને તેમના વક્તવ્યનું ખંડન કરીને સ્પષ્ટીકરણ માગ્યુ હતું, ભાજપે થરુરના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું હતુ. અંતમાં થરુરને ખેદ વ્યક્ત કરવો પડયો હતો.
સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ વડાપ્રધાનને સ્પષ્ટીકરણ કરવા અને કાશ્મીર મુદ્દે ચાલતી 'બેક ચેનલ ડિપ્લોમસી' વિશે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહે એનડીએના શાસનકાળ દરમિયાન તત્કાલીન વિદેશ પ્રધાન જસવંતસિંહ અને અમેરીકી પ્રતિનિધિ તાલબોટ વચ્ચે વાતચીતના ઘણાં દોર ચાલ્યા હતા અને તે વાત પણ સાર્વજનિક કરાઈ ન હોવાની વાત કરીને અડવાણીની બોલતી બંધ કરી દીધી હતી. જો કે અત્રે પ્રશ્ન ઉદભવે છે કે બે ખોટી બાબતો ક્યારેય સાચી બની જતી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતને ત્રિપક્ષીય બનાવવા માટે છેલ્લા દોઢ દાયકાથી સઘન પ્રયાસો કરવામા આવી રહ્યા છે. કદાચ પ્રત્યક્ષપણે સ્વીકારવામાં ન આવે પણ અમેરીકાનું દબાણ આવી ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે 1995માં વઘી રહેલા પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવાયા બાદ પાકિસ્તાને યુએનના લશ્કરી પર્યવેક્ષકોને એલઓસી પર તૈનાત કરવાની વાત કરી હતી. ત્યાર બાદ અમેરિકા અને ચીનની મધ્યસ્થતાની વાતચીત પણ થતી રહે છે. અને તાજેતરમાં સાઉદી અરેબિયા ભારત પાકિસ્તાન વચ્ચે બહુમૂલ્ય 'ઈન્ટરલોક્યુટર' બની શકેના થરુરના નિવેદનોથી કાશ્મીર મુદ્દે કુલડીમાં ગોળ ભંગાતો હોવાની શંકા બળવત્તર બનતી જાય છે.
'ઈન્ટરલોક્યુટર'નો ડિક્સેનેરી પ્રમાણે અર્થ છે કે વાતચીતમાં ભાગ લેનાર. જો કે 'ઈન્ટરલોક્યુટર' સરકારને અનૌપચારિક પણે સંદેશ આપે અને સરકારના દ્રષ્ટિકોણને અનૌપચારિક પણે સમજાવે છે. 'ઈન્ટરલોક્યુટર'નું કોઈ કાયદાકીય મહત્વ હોતું નથી. તે બે દેશો વચ્ચેની સંધિ કે સમજૂતી વખતે ત્રીજા પક્ષ તરીકે દસ્તાવેજો પર સહી-સિક્કા કરી શકતો નથી. પણ જ્યારે બે દેશો વચ્ચે આધિકારિકપણે વાતચીત બંધ હોય, ત્યારે તેમની વચ્ચે વાતચીતનું સંકલન કરવાનું કામ કરે છે. જેમ કે શ્રીલંકા અને એલટીટીઈ વચ્ચે નોર્વેની ભૂમિકા હતી. જ્યારે 'મીડિયેટર' કે મધ્યસ્થ કાયદાકીય મહત્વ ધરાવે છે. તે બે દેશો વચ્ચેની સંઘિ-સમજૂતીઓના દસ્તાવેજો પર કાયદાકીય રીતે ત્રીજા પક્ષ તરીકે હસ્તાક્ષર કરે છે. ઈઝરાયેલ અને ઈજીપ્ત તથા અન્ય આરબ દેશો વચ્ચે અમેરિકા મધ્યસ્થની ભૂમિકામાં છે. 'ઈન્ટરલોક્યુટર'થી અનૌપચારિકપણે દ્વિપક્ષીય સંબંધો ત્રિપક્ષીય બની જાય છે. ત્યારે સવાલ એ છે કે સિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર પ્રમાણે દ્વિપક્ષીય મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવાની સમજૂતીનું આવી વાત કે વાતચીત ઉલ્લંઘન નથી? અમેરીકાના દબાણ તળે ભારતની કાશ્મીર નીતિ બદલાઈ રહી હોવાની ગંધ પણ આવે છે.
આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નથી. તેની પાછળ પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને પ્રાયોજિત ઈસ્લામિક આતંકવાદ સહીત ભારતમાં છેલ્લા બે દાયકાથી ચાલેલા કમજોર જોડાણ સરકારોના યુગને કારણે ઉભી થયેલી રાજકીય અસ્થિરતા જવાબદાર છે. આ રાજકીય અસ્થિરતાના કારણે તાત્કાલિક લાભ આપતા પણ રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડતા કે રાષ્ટ્રીય હિતો પ્રત્યે ઉદાસિન વલણ દર્શાવતા મુદ્દાઓને સત્તા પર આવેલી સરકારોએ હાથ પર લીધા હતા. જેના કારણે દેશની વિદેશ નીતિ. અને સામરિક-લશ્કરી હિતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેમા કાશ્મીર મુદ્દે 1989થી અત્યાર સુધી સત્તા પર આવેલી તમામ અલ્પમતવાળી અને ગઠબંધન સરકારોની આપરાધિક બેદરકારી જવાબદાર છે. જોડાણ સરકારોના યુગમાં સમગ્ર દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિએ જોર પકડયું છે. આ રાજનીતિ હજીપણ ચાલુ છે. આ જોડાણ સરકારોએ ભારતના મુસ્લિમોને પાકિસ્તાન સાથે જોડીને જોયા છે. તેમના આકલન પ્રમાણે, પાકિસ્તાન સામે 'સોફ્ટ સ્ટેન્ડ' અપનાવવામાં આવે કે વાતચીત કરવામાં આવે, તો ભારતના મુસ્લિમોના મતોનો લાભ મળે તેમ છે. જો કે આ ગણતરી કેટલી સાચી છે, તેનો પણ ક્યાસ નીકળવો જોઈએ.
1971માં ભારતે પાકિસ્તાન સામે અભતપૂર્વ વિજય હાસિલ કરીને બંગ્લાદેશને સ્વતંત્ર કર્યું હતું. 95 હજાર પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા હતા. તમામ રીતે સંઘિ દરમિયાન પલ્લું ભારતના પક્ષે ઝુકેલું હતું. તે કાશ્મીર મુદ્દો ઉકેલી નાખવાની એક સુવર્ણ તક હતી. પણ કાશ્મીરનો મુદ્દો તે વખતે ઉકેલી શકાયો નહીં કે બંને દેશના રાજકારણીઓ અને વડાપ્રધાનોએ તે તાત્કાલિકપણે ઉકેલવામાં કોઈ ઘેરો રસ અકળ કારણોથી લીધો ન હતો. કાશ્મીરનો મુદ્દો બંને દેશના નેતાઓ માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન હતો. કાશ્મીરના નામે બંને દેશોની પ્રજાને ગુમરાહ કરીને બંને દેશના રાજકારણી રાજકીય લાભ ખાંટી શકે તેવી વ્યવસ્થા સિમલા કરાર થકી કરવામાં આવી છે. આ માત્ર આરોપ નથી, સિમલા કરાર પછી બંને દેશોની ચાલેલી રાજનીતિ તેની સાક્ષી છે. 2જી જુલાઈ,1972ના રોજ થયેલી ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચેની વાતચીતમાં સહમતિ બની હતી કે –(1) કાશ્મીર મુદ્દાને પૂર્ણ પણે ઉકેલવો જોઈએ અને ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાંથી એક અડચણ દૂર કરવી જોઈએ.(2) ભુટ્ટો પાક અધિકૃત કાશ્મીર અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની નિયંત્રણ રેખાને ધીરે-ધીરે કાયદાકીય રેખામાં પરિણીત કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જો કે તેમણે અનુરોધ કર્યો હતો કે આ પ્રતિબદ્ધતાઓને ઔપચારિક સમજૂતી કે લેખિત વાયદાના રૂપમાં સામેલ ન કરવી. તેમણે કહ્યું કે તેમ કરવાથી પાકિસ્તાનમાં તેમના અસ્તિત્વ અને ઉભરતી લોકતાંત્રિક વ્યવસ્થા સામે જોખમ ઉભું થઈ શકે તેમ છે. તેઓ સૈન્ય પર પ્રશાસનિક નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે અને આ પ્રક્રિયા તેનાથી બાધિત થશે. (3) તેમનો મત હતો કે બાંગ્લાદેશના વિભાજન અને સૈન્ય પરાજ્યના તુરંત બાદ ઔપચારિકપણે કાશ્મીરને આપી દેવું પાકિસ્તાની જનતાના મનમાં ભારત પ્રત્યે શત્રુતાના ભાવને વધારે ઘેરો કરી શકે છે. તેઓ ત્રણથી પાંચ વર્ષો વચ્ચે નિયંત્રણ રેખાને કાયદાકીય રેખામાં પરિવર્તિત કરવા માટે સહમત થઈ ગયા હતા. (ભારત-પાક સંબંધ, જે.એન.દિક્ષીત, પૃ.-255-256)
આમ સિમલા કરાર વખતે ભારતનો હાથ ઉપર હતો. પણ તેમ છતાં ઝુલ્ફીકારઅલી ભુટ્ટોના રાજકીય અસ્તિત્વને ધ્યાનમાં રાખીને કાશ્મીર મુદ્દે કોઈપણ ઔપચારિક ઘોષણાઓ કરવાનું ભેદીપણે ટાળવામાં આવ્યું હતું. સિમલા કરાર પ્રમાણે, બંને દેશો વચ્ચેના પ્રશ્નો દ્વિપક્ષીય રીતે ઉકેલવાની અને નિયંત્રણ રેખાનું સમ્માન કરવાની વાત છે. નિયંત્રણ રેખા એકપક્ષીય રીતે સૈન્ય દ્વારા પરિવર્તિત કરવામાં નહીં આવેની સમજૂતી પણ થઈ છે. આમ સિમલા કરાર વખતે ત્રણથી પાંચ વર્ષોમાં કાશ્મીર વિવાદના ઉકેલ માટે પગલાં લેવાના હતા. પણ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસી અને સત્તા પર આવેલા લશ્કરી તાનાશાહ ઝિયા ઉલ હકે સિમલા કરારની અનૌપચારિક વાતોને લાગુ કરવા બાબતે કોઈ રસ દાખવ્યો ન હતો. 71ની લડાઈની હાર તાજી હતી, તેના કારણે પાકિસ્તાન દ્વારા ભારત સામે કોઈપણ પ્રકારના લશ્કરી ઉબાડિયાની શક્યતા નહિવત્ હતી. સાથે ભારતમાં 1989 સુધી સત્તા પર આવનારી સરકારો તાકાતવર હતી. ઈમરજન્સી બાદ અઢી વર્ષના ગાળા સુધી મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જોડાણ સરકાર સત્તા પર આવી હતી. તેણે મોટેભાગે રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપ્યુ હતું. જેના કારણે કાશ્મીર સહીતના વ્યૂહાત્મક મુદ્દાઓ પર પાકિસ્તાન પર ભારતની બઢત બરકરાર રહી શકી હતી. જો કે આ સિવાયના ગાળામાં ઈન્દિરા ગાંધી અને તેમની હત્યા બાદ રાજીવ ગાંધીની સંસદમાં 2/3 બહુમતીવાળી મજબૂત સરકારો સત્તા પર આવી હતી. તેમણે કાશ્મીર સહિતના સામરિક રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર પાકિસ્તાનને કોઈ મચક આપી ન હતી. જો કે પાકિસ્તાને ભારત સામે 71ની હારનો બદલો લેવા માટે નવા રસ્તા શોધવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે શીખ ઉગ્રવાદને ભડકાવ્યો હતો. જેના કારણે પંજાબમાં અસ્થિરતા અને અશાંતિનો દોર શરૂ થયો હતો.
ભારત સરકારે શીખ ઉગ્રવાદને નાથવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પણ ભારત સામે આતંકવાદ રૂપે 'પ્રોક્સી વોર'ની નવી યુદ્ધ પધ્ધતિ પાકિસ્તાની સરકાર અને સેનાએ અમલમાં મૂકી હતી. તેનો સૌથી પહેલો પ્રયોગ 1988માં કાશ્મીરમાં ઈસ્લામિક આતંકવાદ રૂપે શરૂ કર્યો હતો. 88ની સાલમાં કાશ્મીરમાં કુલ 390 આતંકવાદી ઘટનાઓમાં કુલ 31 મૃત્યુ થયા હતા. જેમા 29 નાગરિકો, 1આતંકવાદી અને 1 સુરક્ષાકર્મીનો સમાવેશ થતો હતો. 88ની સાલથી લઈને અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમમાં આતંકવાદની 47,234 ઘટનાઓમાં 14,572 નાગરિકો, 5,926 સુરક્ષાકર્મીઓ અને 22, 205 આતંકવાદીઓ સહીત કુલ 42,703 લોકોના મૃત્યુ થયા છે. કાશ્મીરમાં ચાલી રહેલા ઈસ્લામિક આતંકની આગ દેશના અન્ય ભાગોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી જૂથોની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સામેલગીરીથી ભારતના અન્ય ભાગોમાં વિસ્ફોટો અને કોમી રમખાણોના બનાવ બની રહ્યાં છે. આ સમગ્ર ઘટનાઓ પાછળ પાકિસ્તાની ગુપ્ચર સંસ્થા આઈએસઆઈનો દોરીસંચાર રહેલો છે.
જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક આતંકવાદના દૌરને જોવામાં આવે, તો એક હકીકત ઉડીને આંખે વળગે છે કે 89થી લઈને અત્યાર સુધીના ગાળામાં જોડાણ સરકારો કે અલ્પમતવાળી સરકારો સત્તા પર હતી. આવી સરકારોને સ્થાપિત રાજકીય હિતો માટે મુસ્લિમ વોટબેંકને જાળવવાની રાજકીય મજબૂરી સામે આવી હતી. પ્રવર્તમાન તમામ પક્ષો મુસ્લિમ વોટબેંકને લોભાવવા માટે અનેક પ્રકારના તુષ્ટિકરણો સાથે સામે આવ્યા હતા. તેમા કાશ્મીર મુદ્દો અને કાશ્મીરમાં ચાલતા ઈસ્લામિક આતંકવાદને લાભ મળ્યો હતો. જોડાણ સરકારો પોતાના સ્થાનિક મુદ્દાઓમાં અને વોટબેંકના રાજકારણમાં ફસાયેલી હતી. જેના કારણે આવી સરકારો કાશ્મીર જેવા રાષ્ટ્રીય અને સામરિક મુદ્દાઓના હલ માટે નિષ્ફળ સાબિત થતી રહી છે.
89માં વી.પી.સિંહની જોડાણ સરકારમાં વિદેશ મંત્રી તરીકે આઈ.કે. ગુજરાલ હતા. આતંકવાદીઓ દ્વારા મુફ્તિ મહોમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદના તથાકથિત અપહરણ અને તેને છોડાવવા માટે વી.પી.સિંહ સરકારનું આતંકાવાદીઓની માગણી સામે ઝુકી જવું મહત્વનો આતંકવાદીઓ સામેની નીતિમાં મહત્વનો મોડ હતો. ભારત અને જમ્મુ-કાશ્મીર સરકારના આતંકવાદીઓની સામે ઝુકવાના વલણે તેમને આશ્વસ્ત કરી દીધા હતા કે તેઓ ભારત સામે હિંસક અલગતાવાદી આંદોલનો શરૂ કરી શકે છે. પાકિસ્તાન સરકાર ખાસ કરીને સૈન્ય પ્રતિષ્ઠાન અને આઈએસઆઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ભારત સરકાર એક કમજોર અને મિશ્ર્ ગઠબંધન છે. જેને કારણે આતંકવાદી પ્રવૃતિઓ અને ગુપ્ત હસ્તક્ષેપ વિરુદ્ધ કોઈ પ્રભાવી પગલા લેવામાં સમર્થ નહીં બને. (ભારત-પાક સંબંધ, જે.એન.દિક્ષીત,પૃ.-306)
આમ 71ના યુદ્ધ બાદ પાકિસ્તાન પરની ભારતની કૂટનીતિક અને સામરિક બઢત આ ગાળા દરમિયાન ઓસરવા લાગી હતી. તેના કારણે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે ઈસ્લામિક આતંકવાદનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. તેવામાં બંને દેશો દ્વારા કારાયેલા પરમાણુ પ્રયોગો બાદ કાશ્મીર પરમાણુ યુદ્ધ માટેનું કારણ બનશેની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. તેના કારણે વાજપેયી સરકારને આંતરરાષ્ટ્રીય દબાણને પરિણામે કારગીલ યુદ્ધ બાદ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ છતાં 'આગ્રા સમિટ' યોજવી પડી હતી. આ સમયગાળામાં પાકિસ્તાન વચ્ચે ઔપચારિક અને અનૌપચારિક વાતચીતોનો મોટો દૌર ચાલ્યો હતો. આ વાતચીતો દરમિયાન અલગ અલગ ”ગીવ એન્ડ ટેઈક” ફોર્મ્યુલાઓ આપવામાં આવી હતી.
આ વાતચીત અને 'બેક ચેનલ ડિપ્લોમસી' કે 'ટ્રેક-ટુ ડિપ્લોમસી'માં 94ના, કાશ્મીર ભારતનું અતૂટ અંગ હોવાના અને પીઓકેને વાતચીત સહિતના વિકલ્પોથી ભારત સાથે જોડવાના સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવનું સમ્માન કેટલા હદે જળવાયું છે, તે જાણવાનો આ દેશની પ્રજાને અધિકાર છે. ભારતીય સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવમાં કાશ્મીર મુદ્દાનો ઉકેલ સમાયેલો છે. આ પ્રસ્તાવમાં સૂચવ્યા સિવાયના કોઈપણ ઉકેલ સદર્ભે વાતચીત કરવી તે આ દેશની જનતા અને સંસદ સામે વિશ્વાસઘાત સમાન છે. આવા કોઈપણ વિકલ્પ વિશે વિચારતા પહેલા સરકારે જનતા અને સંસદ પાસે જવું જોઈએ. પાકિસ્તાન સાથે અત્યાર સુધીમાં 176 વખત વાતચીત થઈ છે. ત્યારે આ વાતચીતમાં કાશ્મીરનો મુદ્દે કેવી ચર્ચાઓ થઈ છે, તે પ્રજા સામે વિસ્તૃતપણે મૂકાવું જોઈએ. 'બેક ચેનલ ડિપ્લોમસી' અને ગુપ્ત મંત્રણા વિશે મગનું નામ મરી ન પાડનારા વડાપ્રધાન મનમોહનસિંહ આ વાતચીત તો દેશની જનતા સામે મૂકી જ શકે છે.
વળી અત્રે પ્રશ્ન એ છે કે ભારતની સંસદે ઉકેલ સૂચવ્યો છે, તેનાથી અલગ વિકલ્પ પર વાતચીત કરવાનો મતલબ શું છે? કાશ્મીરને સ્વાયત્તતા આપવા જેવા મુદ્દાઓ પર 'વર્કિંગ ગ્રુપો' રચાય અને તેના રિપોર્ટ પર અમલવારી માટે વડાપ્રધાન દ્વારા વિચાર થાય, તેવી બાબતો જનમાનસમાં વ્યાપક સ્તરે આશંકાઓ ઉત્પન્ન કરે છે. ભારતીય સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીના જણાવ્યા પ્રમાણે પીઓકે અને પાકિસ્તાનમાં 42 જેટલા ભારત વિરોધી આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે. જ્યારે અન્ય એક સંરક્ષણ રાજ્યપ્રધાન પલ્લમ રાજુએ આ આતંકવાદી કેમ્પો પર 'સર્જીકલ સ્ટ્રાઈક'ની તૈયારીઓના અહેવાલો નકાર્યા છે અને અન્ય વિકલ્પો પર વિચાર થઈ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે આ અન્ય વિકલ્પો ક્યાં છે, તે વાત જનતા સામે સરકાર જાહેર કરે. 'ઈન્ટરલોક્યુટર'ની વાતથી માંડીને સર્જીકલ સ્ટ્રાઈકનો વિચાર ન થઈ રહ્યો હોવાના નિવેદનો કાશ્મીર મુદ્દે ભારત સરકારની અસમંજસતાઓ અને અસ્પષ્ટતાઓ સામે અંગૂલી નિર્દેશ કરે છે. આવા સમયે 95 સુધીમાં હતો, તેઓ 'કાશ્મીર માંગોગે, તો ચીર દેંગેનો' જનમત પણ ઓસરી રહ્યો છે. ત્યારે ભારતની જનતા અંધારામાં રહે અને કાશ્મીર મુદ્દે કુલડીમાં ગોળ ન ભાંગાય તે જોવું અને જાણવું રાજકીય નેતાઓ તથા જનતા માટે આવશ્યક છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત-
અમેરિકી સંસ્થા પ્રમાણે, લશ્કરે તોઈબા માત્ર કાશ્મીર મુદ્દા સુધી જ સીમિત નથી, તે સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામનો ધ્વજ ફરકાવવાની મનસા રાખે છે.

Wednesday, March 10, 2010

શા માટે સાધુત્વ પર નિશાન?

ધર્મ સનાતન અને શાશ્વત છે. પરબ્રહ્મ પણ ધર્મથી પર નથી. તેણે સર્જેલી માયારૂપ સૃષ્ટિ ધર્મ પ્રમાણે ચાલે તે માટે તેણે જ ચિંતા કરવાની હોય છે. ધર્મના આવા શાશ્વત અને સનાતન સ્વરૂપને હિંદુ એવું નામ મળ્યું છે. વિશ્વનો એકમાત્ર સનાતન ધર્મ હિંદુ છે. આવા ધર્મની કેટલીક આગવી વિશેષતા છે. જેમાની કેટલીક વિશેષતાઓ પાયારૂપ છે. જેમ કે ધર્મના પ્રચાર-પ્રસાર અને રક્ષણ માટે સ્વયંભૂ ઉભી થયેલી સાધુ-સંત પરંપરા. જનકલ્યાણ થકી વિશ્વ કલ્યાણનો ભેખ ધારણ કરીને સનાતન ધર્મના રક્ષણ માટે જીવન ખર્ચી નાખવું તેમા જ મોક્ષની ઝાંખી કરવી. આ સંત પરંપરા જ છે કે જેને કારણે ભારતમાં સનાતન ધર્મ અનેક પંથ-સંપ્રદાયોનું વહન કરીને જીવિત અને જીવંત રહ્યો છે. આગળ પણ જનકલ્યાણનું કામ કરનારા સંતો આ ધર્મના ધ્વજારોહક બનીને પોતાના કર્તવ્યો નિસ્વાર્થપૂર્વક પરમાર્થે નિભાવ્યે જશે. ભારતમાં વિધર્મીઓના આક્રમણ વખતે, તેમના શાસનકાળ વખતે સનાતન હિંદુ ધર્મની રક્ષા માટે આગળ આવનારા નામી-અનામી સંતોના નામની યાદીથી ઈતિહાસના પુસ્તકો ભરાયેલા પડયા છે. તેમા આતતાયી મોગલ સામ્રાજ્ય સામે હિંદુ પદપાદશાહીની સ્થાપના માટે શિવાજીને પ્રેરણા આપનારા સંત સ્વામી રામદાસનું યોગદાન કેમેય કરીને ભૂલાય તેમ નથી આવા સંતોનો સંદેશો ભારતીય રાષ્ટ્રવાદનું ઘડતર કરીને તેનો અભિન્ન અંગ બની ગયો છે. આવા સાધુ-સંતોના માર્ગદર્શન નીચે કામ કરવાનું આ દેશની પ્રજા ક્યારેય ચૂકી નથી. આવી સંત પરંપરા સદીઓથી ધર્મવિરોધીઓ અને વિધર્મીઓના નિશાના પર રહી છે. મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોએ તલવારથી સનાતન હિંદુ ધર્મના ધ્વજારોહક સાધુ-સંતોને રંજાડવામાં કોઈ કસર રાખી નથી. તેમના લોકકલ્યાણ અર્થે સ્થપાયેલા મંદિરો-મઠોને તોડવામાં કોઈ કસર રાખી નથી. જો કે સંતોએ આવા આક્ર્મણ સામે ઝઝુમવાનું તે વખતે મૂક્યું ન હતું. ત્યાર બાદ અંગ્રેજોના શાસનકાળ વખતે ધર્માંતરણના કામ માટે સેવાનો આંચળો ઓઢીને આવેલી ખ્રિસ્તી મિશનરીઓએ અદભૂત સંત પરંપરાને તમામ પ્રકારે નિશાના પર લઈને તેને બદનામ કરીને હિંદુ ધર્મીઓની સાધુ-સંતો પરની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય એક મિશનની જેમ કર્યું છે. આવા લોકો હજી પણ આ કાર્ય ચાલુ જ રાખી રહ્યાં છે. કારણ કે તેમના મિશન ધર્માંતરણમાં સૌથી મોટી અડચણ ભારતના સાધુ-સંતો છે. વિધર્મીઓ સાથે ધર્મને અફીણ સમજનારા કમ્યુનિસ્ટો પણ ભળ્યા છે. દુનિયાને અર્થ આધારિત જોવાની ખામી ભરેલી તેમની દ્રષ્ટિ ધર્મના ધ્વજારોહક એવા સંતોની સાચી ભાવનાને જોઈ શક્તી નથી.
પ્રવર્તમાન સમયમાં દેશમાં સેક્યુલારિઝમના નામે આવા વિચારકો, દેશી-વિદેશી પ્રભાવી વિધર્મીનો દોરીસંચાર ચાલી રહ્યો છે. ત્યારે હિંદુ સમાજમાં સારી એવી માન-પ્રતિષ્ઠા ધરાવતા સાધુ-સંતોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈપણ મોકો તેવો છોડતા નથી. આ માટે તેમણે એક સબળ માધ્યમ શોધ્યું છે અને તે છે, દેશનું મીડિયા...તેમાંય ખાસ કરીને ટેલિવિઝન ચેનલો. ચેનલો હંમેશા મસાલેદાર ખબરો માટે તલપાપડ હોય છે. તેઓ કોઈપણ ઘટનાને સનસનાટીપૂર્ણ રીતે દર્શાવી શકે છે. થોડા સમય પહેલા બાબાઓ આવી ચેનલોની હડફેટે ચઢી ગયા હતા. દિલ્હીના ઈચ્છાધારી ભીમાનંદ નામના કથિત બાબા પર સાંઈબાબાના પરમ ભક્તના આંચળા નીચે દેશમાં સૌથી મોટું સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. તેમના દિલ્હી સ્થિત આશ્રમ અને મંદિરમાંથી કોલગર્લના નામો સાથેની ડાયરી અને અન્ય પૂરાવા મળ્યા હોવાનો પોલીસ દાવો કરી રહી છે અને હજી તપાસનો દૌર ચાલુ છે. બીજી ઘટના હતી, તમિલનાડુ અને કર્ણાટક સહિત 33 દેશોમાં 1000 શાખાઓ ધરાવતા પ્રભાવી સંત નિત્યાનંદની પ્રસિદ્ધ તમિલ અભિનેત્રી રંજીતા સાથેની કથિત સેક્સ સીડીની. ટેલિવિઝન ચેનલો પર આમ તો અશ્લિલ દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધિત હોય છે. પણ સ્વામી નિત્યાનંદની કથિત કામલીલાની સીડીના અશ્લિલ દ્રશ્યો સીડીમાં દેખાતી મહિલાના ચહેરા પર બ્લર મારીને ટેલિવિઝન ચેનલોએ સતત બે દિવસ સુધી બતાવતી રહી. ત્રીજી ઘટના ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં કૃપાળુ મહારાજ નામના કથાકાર-સંત દ્વારા તેમની ધર્મપત્નીના શ્રાદ્ધ વખતે ભેટ-સોગાદો વહેંચતી વખતે થયેલી ભાગદોડમાં 50થી વધારે લોકો માર્યા ગયા હતા. તો ચોથી ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કથિત સંત અનૂપકુમાર દ્વારા એમબીએની વિદ્યાર્થિનીને ગુમ કરી દેવાનો મામલો છે. જો મહિલા બિલના મામલે સંસદમાં વરવા દ્રશ્યો સર્જાયા ન હોત, તો મીડિયાનું ફોક્સ આ કથિત બાબાઓ પર ખેંચાયેલું હોત અને તેના દ્વારા હિંદુ ધર્મ પર આઘાત કરવાની તક તેમને મળત. ટેલિવિઝન ચર્ચા પર કહેવાતા સેક્યુલર ચિંતકો, વિચારકો અને કર્મશીલોનો હિંદુ ધર્મ અને તેની સંત પરંપરા પર તૂટી પડવાનો સિલસિલો લાંબો સમય સુધી ચાલ્યો હોત. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલીક ટેલિવિઝન ચેનલોએ અર્થપૂર્ણ ચર્ચા પણ કરી છે.
સાધુઓ પર તૂટી પડનારા આ જ લોકો મકબૂલ ફિદા હુસૈન નામના મનોવિકૃત ચિત્રકાર દ્વારા ભારતની નાગરિકતા છોડીને કતારની નાગરિકતા સ્વીકારવા બદલ હિંદુવાદી સંગઠનોને દોષ દેતા કાગારોળ કરી મૂકે છે. મકબૂલ ફિદા હુસૈનની મનોવિકૃતિથી કોણ અપરિચિત છે? તેણે ભારતમાતા, સરસ્વતી દેવી સહિત અન્ય હિંદુ દેવી-દેવતાની નગ્ન ચિત્રકારી કરીને હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડી છે. તેનો વિરોધ કરવામાં આવ્યો, તો હિંદુ સંગઠનોને માથે માછલા ધોવામાં કંઈ જ બાકી રાખવામાં આવ્યું નથી. એંસી વર્ષની ઉંમરે તેનાથી અડધાથી ઓછી ઉંમરની માઘુરી દીક્ષિત પ્રત્યે કામલોલુપતા દર્શાવીને ગજગામિની જેવી ફિલ્મ બનાવી તો તેને કળાનું નામ આ જ બુદ્ધિજીવીઓએ આપ્યું છે. ત્યારે મનથી વિકૃત મકબૂલ ફિદા હુસૈનના બેડરૂમમાં કેમેરો મૂકીને કોઈ ટીવી ચેનલે સ્ટીંગ ઓપરેશન કેમ ન કર્યું? જો આમ થયું હોત તો, હુસૈનની માનસિક વિકૃતિની સાથે અન્ય વિકૃતિઓ પણ સામે આવી હોત.
ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનનરીઓના મિશન ધર્માંતરણને પાર પડવા માટે અનેક મિશનરીઓ કાર્યરત છે. તેમના મિશનને સાઈઠ વર્ષ જેટલા લાંબા સમય સુધી ટક્કર આપનાર સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરવામાં આવી. ત્યારે ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં મિશન ધર્માંતરણમાં લાગેલા મિશનરીઓનું કોઈએ સ્ટીંગ ઓપરેશન કર્યું નથી. સ્વામી લક્ષ્મણાનંદની હત્યા પાછળ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓની સાંઠગાંઠ હોવાની શંકા હજી દૂર થઈ નથી. તેમની હત્યાના ગુનેગારોને સજા આપવાની હજી બાકી છે. ત્યારે સાધુ-સંતોના સ્ટીંગ ઓપરેશન કરનારા લોકો ખ્રિસ્તી મિશનરીઓના સ્ટીંગ ઓપરેશન કરીને તેમની હકીકત દેશ સામે લાવે, તો સેવાના આંચળા નીચે રહેલી શૈતનિયત લોકો સામે આવી શકે.
કોઈએ ગુનો કર્યો હોય, તો તેની પોલીસ તપાસ થાય અને અદાલતી કાર્યવાહી દ્વારા તે વ્યક્તિને તેના ગુનાની સજા મળે તેમા કોઈને કોઈ વાંધો ન હોય. પણ ગુનો સાબિત થયા પહેલા તેમના પર મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવે. મીડિયા ટ્રાયલનો વિષય તેમના સુધી સિમિત ન રહેતા, સંત પરંપરા, સાઘુત્વ અને હિંદુ ધર્મને નિશાના પર લે. આ ગુનો નથી, તો શું છે?
શક્ય છે કે ઈચ્છાધારી જેવા પાખંડીઓ સંત બનીને લોકોને ઠગતા હોય. તેમના પ્રપંચને ખુલ્લો પાડવો જોઈએ. પણ તેની આડમાં સંત પરંપરા અને સાધુત્વ પર આંગળી ચિંધવી કેટલી યોગ્ય છે? સ્વામી નિત્યાનંદની કથિત સેક્સ સીડીની પૂરી તપાસ થવી જોઈએ. આ સીડી પાછળ તેમના જ અતિવિશ્વાસુ નિત્યધર્માનંદ ઉર્ફે કે. લેનિનનો હાથ હોવાનું પ્રારંભિક તપાસ અને તથ્યોથી બહાર આવ્યુ છે. ત્યારે તેની પાછળ આશ્રમની અંદરનું રાજકારણ કામ કરી ગયુ કે કોઈ બહારી તત્વોના આધારે આ કામ થયું કે સીડીમાં દેખાતી અભિનેત્રીની કોઈ મહત્વકાંક્ષા સીડીકાંડ માટે કારણભૂત છે? તેની તપાસ થવી જોઈએ. કોમ્પ્યુટર યુગમાં ડુપ્લિકેટ સીડી બનાવવી શક્ય છે. ત્યારે આ સીડીની સત્યતા ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસાય તે પણ જરૂરી છે. ગાઝિયાબાદના કથિત સંત અનુપકુમારે યુવતીનું અપહરણ કર્યું હોય, તો પુરાવાના આધારે તેની સામે કાર્યવાહી થાય તેનાથી કોઈને કોઈ વાંધો નથી. પણ આવા ત્રણ-ચાર કિસ્સાઓને આધારે ધર્મકાર્ય કરી રહેલા, જનકલ્યાણમાં લાગેલા સેંકડો સંતો સામે આંગળી ચિંધવાથી કોના હિતો પાર પાડવાની કોશિશ થઈ રહી છે? તે સંદર્ભે પણ વિચારવું જોઈએ.
કૃપાળુ મહારાજના પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ભાગદોડ માટે આશ્રમનું વહીવટીતંત્ર અને રાજ્ય પ્રશાસન બેમાંથી એકેય છટકી શકે તેમ નથી. ત્યારે ઘટનાની યોગ્ય તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પણ તેને મુદ્દો બનાવીને દરેક ભંડારાઓ સામે આંગળી ચિંધવામાં આવે તે દુખદ છે. જો કે લોકો જ્યારે મંદિરો અને અન્ય ધાર્મિક મેળાવડામાં એકઠા થાય ત્યારે આ પ્રકારની દુખદ ઘટનાઓ ન બને તેની તકેદારી લેવાય તે જરૂરી છે.
પરમાર્થમાં લાગેલા વ્યક્તિઓ પ્રત્યે લોકોને વિશેષ આસ્થા હોય છે. તેઓ આવા સંતો-સાધુઓને ઈશ્વરતુલ્ય ગણતા હોય છે. કેટલાક સંતો-સાઘુઓ ભગવાન તરીકે ઓળખાતા હોય છે. ત્યારે ધર્મનો વિરોધ કરનારા ભગવાન તરીકે ઓળખવા ઓળખાવાની વાતને અયોગ્ય ઠેરવે છે. પણ તે ભારતીય તત્વચિંતન પ્રમાણે અયોગ્ય નથી. મનુષ્ય પોતાના સત્કર્મો અને પુણ્યાય થકી દેવત્વને આંબી શકે છે. આપણે ત્યાં કણ કણમાં ભગવાનની સંકલ્પના છે. વળી અહં બ્રહ્માસ્મિની પણ વાત છે. ત્યારે કોઈ વ્યક્તિ પોતાને ઈશ્વર કે ઈશ્વરતુલ્ય ગણાવે અથવા આમ કરવામાં આવે ત્યારે તે ધર્મ વિરુદ્ધનું આચરણ ગણવામાં આવતું નથી. પણ આવે વખતે આપણે યાદ રાખવું જોઈએ કે જે ઈશ્વરીય તત્વ પોતાનામાં હોવાનો દાવો કરે છે, તેના જેવું જ ઈશ્વરીય તત્વ આપણા પોતાનામાં પણ છે. ઈશ્વર બહાર શોધવા કરતાં પોતાના અંતરમાં શોધવો જરૂરી છે. વળી દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદ જેવા સંતોએ પોતે ઈશ્વર હોવાની વાત કરી નથી. ત્યારે પોતે ઈશ્વર હોવાની વાત કરનારના ઈશ્વરીય તત્વોની અનુભૂતિ કરીને તેને તે પદ આપવું વધારે યોગ્ય છે.
સેક્સ અને સેક્સની વાતોની દુનિયામાં સૌથી વધારે ખપત છે. તેને ધ્યાનમાં રાખીને આવી વાતોના સોદાગરો તેને ચગાવવાના છે. પણ એક વાત સમજવી જોઈએ કે જમીનથી અધ્ધર દોરી પર ચાલનારાને જોવો તો ખ્યાલ આવશે કે જ્યારે તે જમીન પર અડીને ચાલતો નથી, ત્યારે તેને ચાલવામાં સંતુલન જાળવવામાં વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે. જો તે આ પ્રયત્નો યોગ્ય રીતે ન કરી શકે, તો તેનું જમીન પર પડવું નિશ્ચિત છે. કેટલાંક અભ્યાસુઓ માટે, સિદ્ધપુરુષો માટે જમીનથી અધ્ધર દોરી પર ચાલવું તેમના પ્રયત્નોના પરિપાક રૂપ સિદ્ધિથી સહજ બની જતું હોય છે. પણ આ સ્થિતિ બધાં દોરી પર ચાલનારા માટે શક્ય નથી. સાધુત્વ તો ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એકાદ બે પથભ્રષ્ટોના કિસ્સાથી સાધુત્વ પર શંકા કરવી યોગ્ય નથી.
આ દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવા ભારતવિરોધી આતંકવાદીઓને તક આપવામાં આવે છે. ત્યારે ભગવાના ગુણો પચાવવામાં ઉણાં ઉતરનારાઓને તક કેમ આપવામાં ન આવે? સ્વામી નિત્યાનંદને ઘણાં પ્રભાવી રાજકારણીઓ પગે લાગતા બતાવાયા છે. જો નિત્યાનંદની સેક્સ સીડી સાચી નીકળે તો તેમની તે સીડીમાં દેખાતી યુવતી સાથે તેમને પગે લાગનાર તમામ પ્રભાવી લોકોની હાજરીમાં લગ્ન કરીને નવજીવન શરૂ કરવાની તક આપવી જોઈએ.
આપણે ત્યાં સંતોને સંન્યાસ લેવા માટેની પદ્ધતિ અસ્તિત્વમાં છે. સાઘુપણું ક્યારેય કોઈ સમિતિ કે કમિટીની મોનોપોલી હોઈ ન શકે. સંન્યાસ ધર્મને આધિન જ હોઈ શકે છે. તેના માટે કોઈ મુઠ્ઠીભર લોકો નિર્ણય ન લઈ શકે. પણ ત્યારે સાધુઓએ પાખંડી, પ્રપંચી અને લેભાગુઓને ભગવા પહેરતા અટકાવવા માટે સંન્યાસના શાસ્ત્ર સંમત નિયમોને વધારે કડકાઈથી અમલી બનાવવા પડશે. સાથે આજના યુગમાં અનેક પ્રલોભનો વચ્ચે સાધુત્વનું નિર્વાહન ન કરી શકનારને સમાજ અને સંસારમાં પાછા ફરવાનો માર્ગ મોકળાશથી ખોલી આપવો પડશે કે જેથી કોઈ પ્રામાણિક વ્યક્તિ સાધુત્વના નિર્વાહનમાં અશક્ત માલૂમ પડે, તો પાછો ફરી શકે. સનાતન હિંદુ ધર્મની વ્યવસ્થા, વ્યવસ્થા મુક્ત છે. કોઈ એક પુસ્તક, એક વ્યક્તિ, એક પયગંબર કે એક ઈશ્વરપુત્ર સુધી બંધાયેલો બંધિયાર આ ધર્મ નથી. હિંદુ ધર્મ ચાર વેદો, 18 પુરાણો, 108 ઉપનિષદો અને રામાયણ-મહાભારત સહિત અનેક તત્વચિંતકો અને સંતોના વિચારોથી સમૃદ્ધ છે. સંન્યાસીઓના દસનામ અખાડાની વ્યવસ્થા પણ છે. પણ આ તમામ વ્યવસ્થાઓ મુક્તતાથી સમૃદ્ધ છે. સનાતન હિંદુ ધર્મનો મૂળભૂતવિચાર સ્વતંત્રતા અને મુક્તતાથી ઘડાયેલો છે. જો કે આ વિચારે ક્યારેય કોઈને સ્વછંદતાની સ્વતંત્રતા આપી નથી. ધર્મના નાશ વખતે, અધર્મથી ધર્મની રક્ષા માટે ભારતભૂમિ પર જન્મ લેનારા ઈશ્વરના અંશોને પણ ધર્મની મર્યાદાઓ બહાર જવાની પરવાનગી મળી નથી. ત્યારે ધર્મની મર્યાદાઓનું વહન ન કરી શકનાર માટે સાધુત્વ ન હોઈ શકે. પણ ત્યારે કેટલાંક પથભ્રષ્ટોના કિસ્સાઓને ટાંકીને દેશના એંસી લાખથી વધારે સાઘુ-સંતોનું તેમના સાધુત્વ અને સાઘુપણાંને અપમાનિત કરવું સર્વથા નિંદનીય અને જઘન્ય અપરાધ સમાન છે. આવા કિસ્સાઓની ચાતુષ્કોણીય તપાસ થવી જોઈએ. આવા કિસ્સાઓ કોઈની વ્યક્તિગત મહત્વકાંક્ષાને કારણે કે મઠોના પ્રભાવની ઈર્ષ્યા કે વિધર્મીઓના આસ્થા પર આક્રમણના રસ્તા તરીકે કે સમાજમાં સનસનાટીપૂર્ણ ખબરો વેચવાના કારોબારીઓની સામેલગીરી તો નથી ને. તે સ્પષ્ટ થવું જોઈએ. કોઈ ઉપવાસી વ્યક્તિને મનભાવતા ભોજન કરવાની છૂટ સાથે રસોડામાં છૂટો મકી દેવો કે તેને તેવા પ્રલોભનો આપવા કે રૂમમાં જુદીજુદી લજિજ વાનગીઓ સાથે પૂરી દેવામાં આવે, તો ઉપવાસ તૂટવાની શક્યતા વધી જાય છે. ત્યારે ધર્મકાર્યમાં લાગેલા સાધુ-સંતોના સાઘુપણાને કલંકિત કરવા માટે આવો કોઈ પ્રયાસ તો નથી થઈ રહ્યોને ? તેની તપાસ થવી અત્યંત જરૂરી છે.

Wednesday, February 24, 2010

મોંઘવારી પર ચર્ચાથી બચતી યુપીએ સરકાર!!!

મોંઘવારી સામે મનમોહન સરકારની મજબૂરી છતી થઈ ગઈ છે. સંસદમાં આમ આદમીને છેલ્લા છ વર્ષથી ત્રસ્ત કરતાં મોંઘવારીના મુદ્દે યુપીએ સરકારે ચર્ચા કરવાની મંજૂરી આપી નહીં. જો કે મોંઘવારીની ચર્ચા ક્યાં નિયમોને આધારે થવી જોઈએ તેની ચર્ચા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે થઈ. જે બતાવે છે કે બંને પક્ષોની દિલચસ્પી મોંઘવારીનું સમાધાન શોધવાની બિલકુલ નથી. જો કે સત્તાપક્ષ જે પ્રકારે મતવિભાજનવાળા નિયમ હેઠળ ચર્ચા કરવાની વાતથી પાછો હઠયો તેના પરથી સ્પષ્ટ છે કે તે મોંઘવારી પર રોક લગાવવા માટે અક્ષમ તો છે જ, પણ વિપક્ષની ઘેરાબંધીથી ભયભીત પણ છે. જો કેન્દ્ર સરકાર માનતી હોય કે મોંઘવારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી કરણી છે. તો ચર્ચામાં પોતાની વાત સાબિત કરવા માટે તૈયાર શું કામ ન થઈ? એવું લાગે છે કે મોંઘવારીના મુદ્દે ક્યાંક તેમના સહયોગી પક્ષો સાથ છોડી ન દે તેનાથી તેઓ આશંકિત છે. જો તેમની આ આશંકા સાચી છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે મોંઘવારીના મામલે તેઓ પોતાના સાથી પક્ષોને એ વિશ્વાસ અપાવવામાં ઊણી ઉતરી છે કે જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુના અનિયંત્રિત ભાવવધારા પાછળ તેની કોઈ ભૂલ નથી કાર્ય સ્થગન પ્રસ્તાવ હેઠળ મોંઘવારી પર ચર્ચા કરવાની વિપક્ષની માગણીને સરકારે જે તર્કોના આધારે ખારિજ કરી તે કુલ મળીને હાસ્યાસ્પદ તર્કો હતા. મોંઘવારી ચર્ચા માટે નવો વિષય ન હોવાની વાત કરીને સરકારે પોતાની આમ આદમી તરફની સંવેદનહીનતા જ વ્યક્ત કરી છે. સંસદમાં જીવન-મરણનો બનેલો મોંઘવારીનો વિષ જૂનો હોવાથી ચર્ચા માટે યોગ્ય ઠરાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે? તે પણ એક અલગ ચર્ચાનો વિષય છે. આખરે જ્યારે મોંઘવારી મુદ્દે આના પહેલા વિવિધ નિયમો હેઠળ ચર્ચા થઈ ગઈ છે અને પરિણામ શૂન્ય આવ્યું છે, ત્યારે કોઈ નવા નિયમ હેઠળ સંસદમાં ચર્ચા કેમ થવી ન જોઈએ? દેશની જનતા મહેસૂસ કરી રહી છે કે મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર કંઈજ કરી રહી નથી. ત્યારે સત્તાપક્ષ મોંઘવારી મુદ્દે સ્થગન પ્રસ્તાવ હેઠળ ચર્ચાનો ઈન્કાર કરીને પોતાની કમજોર સ્થિતિ જ ઉજાગર કરી રહી છે. જો તે પોતાની જીદ્દ પર અક્કડ રહેશે તો તેની સમસ્યા હજી વધશે. પોતાના કાર્યવ્યવહારથી મોંઘવારી ચર્ચાનો વિષય ન હોવાની વાત પૂરવાર કરનારી કેન્દ્ર સરકાર અન્ય કોઈને દોષ આપી શકે તેમ નથી. પોતાના કૃષિ મંત્રી શરદ પવાર સામેની અસહાયતા મનમોહન સરકારની મજબૂરીની રહીસહી કસર પૂરી કરી રહી છે. ખાંડ સહીત જીવનજરૂરિયાતની વસ્તુઓના માઝા મૂકતા ભાવવધારાથી મોટા ગોટાળાની આશંકાથી પર રહી શકાય તેવી સ્થિતિ નથી. જો કે મોંઘવારી રોકવા માટેની રાજ્ય સરકારોની ભૂમિકા હોવા અંગેની કેન્દ્ર સરકારની દલીલને નિરાધાર ગણી શકાશે નહીં. પણ શું કોઈપણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાવવધારા પર અંકુશ લાગ્યો છે? કેન્દ્ર સરકાર માત્ર મોંઘવારીના મોરચે જ નહીં, અન્ય તમામ મોરચે પણ અસફળ રહી છે. ત્યારે આવી કેન્દ્ર સરકારની ઘેરાબંધી કરવામાં કોઈ હર્જ નથી, પણ વિપક્ષે એ પણ ધ્યાન રાખવું પડશે કે સંસદમાં કેવળ હંગામો જ ન થયા કરે.

નક્સલીઓની સંઘર્ષવિરામની પેશકશ!!!

માઓવાદી કમાન્ડર કિશનજીએ કેન્દ્ર સરકાર સામે ઓપરેશન ગ્રીન હન્ટ રોકવામાં આવે તો 72 દિવસના સંઘર્ષ વિરામની પેશકશ કરી છે. જો કે આ પેશકશના 12 કલાકમાં જ નક્સલીઓએ પશ્ચિમ બંગાળમાં પોલીસ પર શક્તિશાળી હુમલો કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે નક્સલીઓની શરતોના આધારે વાતચીત કરવાની માગણી ફગાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્સલીઓને સંઘર્ષ વિરામ સંદર્ભે ફેક્સ દ્વારા લેખિતમાં જાણ કરવા માટે જણાવ્યું છે. જેના કારણે એક તો નક્સલીઓના 25 કરતાં વધારે શીર્ષસ્થ નેતાઓ કે કમાન્ડરો છે. આ નેતાઓમાં એકમત હોવાની કોઈ સંભાવના દેખાતી નથી. કારણ કે કિશનજીના નિવેદન બાદ 12 કલાકમાં જ નક્સલીઓએ પશ્ચિમ બંગાળમાં પોલીસ પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે સવાલ ઉભો થાય છે કે સંઘર્ષ વિરામના પ્રસ્તાવમાં સફેદ ઝંડો લહેરાવાનો હોય કે બંદૂક અથવા બોમ્બના ધડાકા કરીને નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓ પર હુમલા કરવાના હોય. અત્રે ઉલ્લેખનીય છે કે હથિયાર હેઠાં મૂકયાના 72 કલાકમાં વાતચીતની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પેશકશનો જવાબ આપતા માઓવાદીઓ ઓપરેશન ગ્રીન હન્ટ રોકવાની શરતે 72 દિવસના યુદ્ધ વિરામની પેશકશ બંદૂકો અને બોમ્બ ધડાકાના અવાજો વચ્ચે કરી રહ્યાં છે. તેમનો હેતુ સ્પષ્ટ છે કે તેઓ ઓપરેશન ગ્રીન હન્ટથી બચવા માગે છે અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાંથી કેન્દ્રીય સુરક્ષાદળોને બહાર મોકલીને પોતાનો પ્રભાવ જાળવી રાખવા માગે છે. છેલ્લા કેટલાંક સમયથી છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં નક્સલાવાદીઓનો કાળોકેર ચાલુ જ છે. વળી કેટલાક બુદ્ધિજીવીઓનો તર્ક છે કે અલ્પ વિકાસના કારણે નકસલવાદી પ્રવૃતિ વધી રહી છે. જેના કારણે આવા બુદ્ધિજીવીઓ નક્સલીઓ સાથે સોફ્ટ કોર્નર રાખીને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. નક્સલવાદીઓએ આ વખતે નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કામ કરતાં બુદ્ધિજીવીઓને મધ્યસ્થી બનાવવાની માગણી કરી છે. પણ બંદૂકો અને ગોળા-બારુદના ધડાકાઓના ચાલુ રહેતા સંવાદ અને વિકાસ કેવી રીતે સંભવ છે? એક આશંકા એવી પણ છે કે સંઘર્ષ વિરામના નામે નક્સલી સંગઠન વધારે એકજૂટ બનીને પોતાના અડ્ડાઓને સુરક્ષિત બનાવીને મોટી હિંસક વારદાતોની તૈયારી કરશે. સંઘર્ષ વિરામના ઝાંસામાં આવ્યા વગર દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ તથા સુરક્ષાદળોની કડક કાર્યવાહી દ્વારા પ્રભાવિત ક્ષેત્રોની સામાન્ય જનતાને રાહત અપાવવાની આવશ્યકતા છે. સાથે જો નક્સલીઓ રાજી થાય તો હિંસા રોકવા માટે બિનશરતી વાતચીત કરવામાં હાલ તુરંત કોઈ વાંધો દેખાતો નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે નક્સલીઓએ હિંસક માર્ગ છોડવો પડશે. તેના માટે સરકાર બંદૂકનો માર્ગ અપનાવે કે વાતચીતનો તે નક્સલીઓના આગળના વલણ પર નિર્ભર કરે છે.

તાલિબાનોની બર્બરતા

પાકિસ્તાનમાં બે શીખોના તાલિબાનો દ્વારા સર કલમ કરવામાં આવ્યા તે બર્બરતાની પરાકાષ્ઠા છે. મધ્યયુગીન આ પાશિવક કૃત્યથી માત્ર એટલું સ્પષ્ટ થાય છે કે તાલિબાન જેટલા ક્રૂર છે, તેટલા જ ધર્માંધ છે. સંભવત્ તેવો બેલગામ પણ છે. કારણ કે તેઓ જ્યારે ચાહે છે, ત્યારે શીખોનું અપહરણ કરીને તેમની હત્યા કરી રહ્યાં છે. તાલિબાનોએ બે શીખોને મોતને ઘાટ ઉતારી દીધા કારણ કે તેમને મંજૂર નથી કે તેમના પ્રભાવી ક્ષેત્રોમાં અન્ય ધર્મના લોકો રહે. જો કે તાલિબાનો ઘણાં વખતથી અન્ય ધર્મના લોકો પાસેથી જજિયા વેરો વસૂલી રહ્યાં છે અને તેમા નાકામિયાબી મળવાને કારણે તેમની હત્યામાં લાગેલા છે. આવી ભયાવહ પરિસ્થિતિ છતાં કોઈ તેમનો ત્યાં વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેનાથી વિરુદ્ધ કેટલાંક પાકિસ્તાની રાજકીય પક્ષો તાલિબાનોની આવી પ્રવૃતિઓનું સમર્થન કરી રહ્યાં છે. શીખોની નૃશંસ હત્યાનો મામલો સંસદમાં ઉઠયો અને વિદેશ સચિવ તથા વિદેશ મંત્રીએ તેના પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારત તેનાથી વધારે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેવી જ રીતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શીખોના સિર કલમ કરવાની નિંદા કરી છે અને પોતાના અધિકારીઓને હત્યારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. જો કે આ માત્ર કાગળ પરનો જ નિર્દેશ છે. કારણ કે જો તેમને શીખોના જીવની આટલી જ ચિંતા હોત, તો તેમણે તેમની હત્યા સુધી રાહ જોઈ ન હોત. પેશાવરના કબાયલી ઈલાકાઓમાંથી 34 દિવસ પહેલા ચાર શીખોને તાલિબાનો ઉઠાવી ગયા હતા. જેમાના બે શીખો હજી પણ તાલિબાનો પાસે છે. વળી પાકિસ્તાનમાં વધુ એક શીખનું અપહરણ થયું છે. ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાન સરકાર શીખોના અપહરણની સૂચના મળી ત્યારે કેમ ન જાગી? સવાલ એ પણ છે કે શું તાલિબાનો પર અંકુશ લગાવવા માટે પાકિસ્તાન સરકાર સક્ષમ છે? વિડંબણા એ છે કે પાકિસ્તાનના શાસકો ક્યારેય એ બાબત પર વિચાર કરવાની જહેમત ઉઠાવતા નથી કે તેમના દેશમાં લઘુમતીઓનું નિકંદન કેમ નીકળી રહ્યું છે? પ્રવર્તમાન સમયમાં તેવી આશા ઠગારી નીવડવાની છે. પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખોની જાનમાલની રક્ષા માટે જજિયા વેરો ઉઘરાવવાના તાલિબાનોના ફરમાન સામે પાકિસ્તાનના નીતિ-નિયંતાઓ કોઈ ધ્યાન આપશે તેવી શક્યતાઓ પણ નહીવત્ છે. પાકિસ્તાનના આતંકવાદ સંદર્ભેના વલણ અને લઘુમતીઓ પ્રત્યેના વહેવાર બાદ ભારત સરકારની આંખ ઉઘડવી જોઈએ કે વાતચીત કરવી અને વાતચીત ન કરવી જેવા માત્ર બે વિકલ્પ સિવાય અન્ય ત્રીજા કોઈપણ વિકલ્પ સંદર્ભે દ્રઢતા અને સ્પષ્ટતાપૂર્વક વિચારવું પડશે

બજેટસત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ:એક પ્રતિકાત્મક અનુષ્ઠાન

છેલ્લા કેટલાંક સમયથી બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ એક પ્રતિકાત્મક અનુષ્ઠાન બનીને રહી ગયું છે. સરકારના કાર્યક્રમો સંદર્ભે રાષ્ટ્રપતિ અભિભાષણમાં બૈદ્ધિક ઉત્તેજના અને ભાવનાત્મક વિશ્વાસ પેદા થવો જોઈએ. જો કે આ વખતે પણ દર વખતની જેમ રાષ્ટ્રપતિ અભિભાષણ પ્રતિકાત્મક અનુષ્ઠાન બનીને રહી ગયું. દેશ અત્યારે નક્સલવાદ, મોંઘવારી અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ રૂપી મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ અભિભાષણમાં તેનો બેશક ઉલ્લેખ છે. પણ આ સમસ્યાઓનો ઉકેલ ક્યારે અને કેવી રીતે મેળવવામાં આવશે, તેનો વિશ્વાસ અપાવવામાં અભિભાષણ કામિયાબ નીવડયું નથી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કડક શબ્દોમાં નકસલવાદીઓની આલોચના અવશ્ય કરી છે, પણ એવું લાગે છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીના દબાણને કારણે સરકાર નકસલવાદીઓ વિરુદ્ધ પોતાની નીતિઓને ફરી એક વાર નિર્ણાયક રૂપથી પરિભાષિત કરવામાં સંકોચમાં પડી છે. તેવી જ રીતે અભિભાષણમાં કહેવામાં આવ્યું છે કે તેમની સરકાર ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને નિયંત્રણમાં લાવવા માટે વચનબદ્ધ છે અને આમ આદમીને રાહત પહોંચાડવાના ઉપાયોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવમાં આવી રહી છે. પણ બજારમાં ખાદ્યાન્નોની વધી રહેલી અનિયંત્રિત કિંમતો કંઈક બીજી જ બાબત તરફ અંગુલિનિર્દેશ કરી રહી છે. ખાદ્યાન્નોની કિંમતોની મોંઘવારીનો દર 19 ટકાની આસપાસ પહોંચ્યો છે. ત્યારે ફક્ત 20 રૂપિયા રોજ પર જીવન ગુજારનારા 77 ટકા લોકોનું જીવન બેહદ કઠિન થઈ ગયું છે. એ સાચું છે કે મંદીની અસર છતાં આપણો આર્થિક વિકાસ દર 7.5 ટકા પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે મોંઘવારીને કારણે દુષ્કર બનેલા આમ આદમીના જીવનને કારણે સમાજના નીચલા સ્તરને દેખાતી આર્થિક સમૃદ્ધિનો લાભ મળ્યો નથી. પાકિસ્તાન સરકાર સાથે વાતચીતના મામલે પણ સરકાર પોતાની ઘોષિત નીતિઓ પર કાયમ રહેવામાં વિફળ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાંક વખતથી ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ભારત વિરોધી સંમેલનો કરી રહ્યાં છે અને ભારત વિરુદ્ધ ધમકીભરી ભાષામાં ઝેર ઓકી રહ્યાં છે. તેમ છતાં સરકારને સાર્થક સંવાદની આશા છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે તેમના અભિભાષણમાં પાકિસ્તાન આતંકવાદને રોકે તો સાર્થક સંવાદની આશા વ્યક્ત કરી છે. ભારત પાકિસ્તાનના વિદેશ સચિવોની વાતચીતના બરોબર પહેલા તથાકથિત તાલિબાનોએ 34 દિવસ પહેલા અપહ્રત કરાયેલા બે શીખોની નૃસંશ હત્યા કરી છે. જેની જવાબદારીમાંથી પાકિસ્તાન સરકાર બચી શકે તેમ નથી. આ તમામ બાબતોને જોતા રાષ્ટ્રપતિના અભિભાષણમાં જે ધાર અને ત્વરા હોવી જોઈએ તેનો સર્વથા અભાવ જોવા મળ્યો છે.

Friday, February 19, 2010

મઝહબી અનામતનું ખતરનાક રાજકારણ

આ દેશના વિકાસમાં જો કોઈ રાજકીય બાબત અડચણરૂપ બની હોય, તો તે છે વોટબેંકનું રાજકારણ. આઝાદી બાદ સદીઓથી શોષિત દલિત વર્ગોને અને વંચિત જનજાતિય સમાજને સામાજિક-રાજકીય અધિકાર સ્વરૂપે બંધારણના ઘડવૈયાઓએ અનામતની વ્યવસ્થા કરી આપી હતી. જો કે અસ્તિત્વનું રાજકારણ ખેલતા રાજકારણીઓએ અનામતના મુદ્દાને જાતિવાદી રાજકારણનું મ્હોરું બનાવીને પોતાના રાજકીય રોટલા શેકવાનું સાધન બનાવ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ બદલાઈ છે અને જાતિવાદી રાજકારણમાં ઘણાં પ્રતિસ્પર્ધીઓ ઉભા થઈ ચૂક્યા છે, ત્યારે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓની થોક વોટબેંકને પોતાના તરફે કરવા ધર્મ આધારિત અનામતના મંડાણ થઈ ચૂક્યા છે. સચ્ચર સમિતિના અહેવાલ અને ત્યાર બાદ રંગનાથ મિશ્રના અનામત સંબંધી અહેવાલ બાદ મુસ્લિમ અને લઘુમતી અનામતનો ખેલ કોંગ્રેસ તથા ડાબેરીઓ જોરશોરથી એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા ખેલી રહ્યાં છે. જે દિવસે આંધ્રપ્રદેશની હાઈકોર્ટે આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકારનો મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ચાર ટકા અનામત આપતો અધિનિયમ ગેરમાન્ય ઠેરવ્યો હતો, તે જ દિવસે ડાબેરીઓના ગઢ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રાજ્યમાં મુસ્લિમોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.
જે રંગનાથ મિશ્ર અહેવાલને આધાર બનાવીને પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારે મુસ્લિમોને દસ ટકા અનામતની જાહેરાત કરી છે, તે સંસદમાં માત્ર રજૂ થયો છે. રંગનાથ મિશ્ર અહેવાલ પર સંસદમાં ચર્ચા થઈ નથી કે આમ રાય બંધાઈ નથી. આ અહેવાલ પર "એકશન ટેકન રિપોર્ટ" રજૂ થયો નથી કે તેની જોગાવાઈઓએ કાયદાનું સ્વરૂપ લીધું નથી. ત્યારે પશ્ચિમ બંગાળમાં રંગનાથ મિશ્ર અહેવાલને અમલી બનાવવાની કવાયત દાળમાં કંઈક કાળું હોવાનું સૂચવી રહી છે. પશ્ચિમ બંગાળની કુલ વસ્તીમાં 25 ટકા મુસ્લિમો છે. સચ્ચર સમિતિના અહેવાલ પ્રમાણે, તેમની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં વધારે પ્રમાણમાં ખરાબ છે. આમ તો પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારોને મુસ્લિમ તરફી ગણાવવામાં આવતી હતી. જો કે સચ્ચર સમિતિના તારણોએ આ માન્યતાને ખોટી ઠેરવી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રીસ વર્ષથી ડાબેરીઓ સત્તા પર છે. જેના કારણે પશ્ચિમ બંગાળના મુસ્લિમોની બદહાલી માટે રાજ્યની ડાબેરી સરકાર વધારે પ્રમાણમાં જવાબદાર છે. કોંગ્રેસે ડાબેરી સરકારને ખુલ્લી પાડીને રાજકીય બઢત હાસિલ કરી છે. ત્યારે ડાબેરીઓએ પણ રંગનાથ મિશ્ર અહેવાલ પર મુસ્લિમ અનામતના રાજકારણના મંડાણ કર્યા છે. પશ્ચિમ બંગાળમાં મે-જૂન માસમાં કોલકત્તા અને અન્ય 82 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓને 2011ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા લિટમસ ટેસ્ટની જેમ જોવાઈ રહી છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ડાબેરીઓને મુસ્લિમ અનામતની જાહેરાતથી લાભ થયેલો દેખાશે, તો તેઓ વિધાનસભા ચૂંટણીઓ પહેલા કોઈ નવું તિકડમ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
અનામત જેવા મુદ્દા પર ચૂંટણી સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં કોઈપણ નિર્ણય કરવો ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલા દેશમાં તિરાડો ઉભી કરવા જેવો છે. અનામત સાથે જોડાયેલી સંવેદનશીલતાને અને પોતાના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રંગનાથ મિશ્ર અહેવાલની ભલામણોનો અમલ કરવાની દિશામાં ઢીલ કરી રહી છે. પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે રંગનાથ મિશ્ર અહેવાલની ભલામણોની આડ લઈને મુસ્લિમો વચ્ચે પાર્ટીની ઘટતી શાખને બચાવવા માટે અનામતનો રાજકીય દાવ ખેલ્યો છે. તેઓ એ વાત સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની સંમતિ વગર આ પહેલ આગળ વધી શકે તેમ નથી અને તે અદાલતમાં કાયદાની કસોટીઓ પણ પાર કરી શકે તેમ નથી.
મુસ્લિમોને અનામત આપવાની જે તત્પરતા અને રીત-ભાત અપનાવવામાં આવી છે તેને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ઉજાગર કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં હાઈકોર્ટે ત્રણ વાર કોંગ્રેસની સરકારોની ટીકા કરી છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના મુસ્લિમ અનામત સંબંધિત અધિનિયમને રદ્દબાતલ કર્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય ત્રણ કારણોથી મહત્વપૂર્ણ છે. પહેલું, તેણે અનામતની મર્યાદામાં પછાત મુસ્લિમોને લાવવાની જોગવાઈને મતાંતરણને પ્રોત્સાહિત કરનારો વિચાર ગણાવ્યો છે. તેને બંધારણનું ઉલ્લંઘન ઘોષિત કર્યો છે. બીજું, કોર્ટે મુસલમાન અને અન્ય વર્ગોને પરિભાષિત કરવામાં અધિનિયમને નબળો ગણાવ્યો છે. હાઈકોર્ટ પ્રમાણે અન્ય મુસ્લિમ વર્ગોનું નિર્ધારણ જે પ્રકારે થયું છે, તેના માટે કોઈ ઠોસ સામાજિક-આર્થિક માપદંડો નથી. અને ત્રીજુ, ન્યાયમૂર્તિ ટી. મીનાકુમારીએ સ્પષ્ટપણે માન્યું છે કે જે પછાત પંચે કથિત પછાત મુસ્લિમ જાતિઓને અનામત આપવાની વાત કરી છે, તે વાસ્તવિક તથ્યો અને આંકડાઓ પર આધારિત નથી. વળી ભારતનું બંધારણ ધાર્મિક આધારે અનામતનો નિષેધ કરે છે. સુપ્રિમ કોર્ટે વારંવાર કહ્યું છે કે અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારી શકાય નહીં. ત્યારે રંગનાથ મિશ્ર અહેવાલનું આટલું મહત્વ શા માટે દર્શાવાય રહ્યું છે? શું આ પંચને આધાર બનાવીને દેશના રાજકારણીઓને બંધારણની વ્યવસ્થાની વિપરીત જવાની છૂટ પ્રાપ્ત છે?
આ સંદર્ભે કોઈ ઠોસ નિર્ણય દેશની સુપ્રિમ કોર્ટે અને જનતાજનાર્દને ટૂંક સમયમાં કરવો જ પડશે. નહીંતર રાજકારણીઓની બંદરબાટમાંથી દેશને બચાવી શકાશે નહીં. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને કહ્યું છે કે "સચ્ચર સમિતિએ જાણ્યું છે કે મુસ્લિમ વસ્તીની સામાજિક-આર્થિક સ્થિતિ ભારતની અનુસૂચિત જનજાતિઓ સમાન છે. તેને જોતાં સુપ્રિમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી પચાસ ટકાની મર્યાદાને વધારવી યોગ્ય ગણાશે. કારણ કે મંડળ પંચે પછાત જાતિઓ માટે 52 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે તેમને આપવામાં આવે છે, 27.5 ટકા અનામત. જેના કારણે 50 ટકા અનામતની મર્યાદા વ્યવહારિક નથી." રામ વિલાસ પાસવાન જેવા નેતાઓ મુસ્લિમ અનામતની તરફેણ તો કરે છે, પણ તેમના પછાત જાતિઓ અંતર્ગત અનામતની તરફેણ કરતા નથી. આવા રાજકારણીઓએ મુસ્લિમોને અનામત આપવા માટે 50 ટકાના મહત્તમ અનામતની મર્યાદામાં વધારો કરવાની માગણી કરીને પોતાના રાજકીય અસ્તિત્વને વિસ્તારવા નવી રાજરમતના મંડાણ કરી દીધા છે. મુસ્લિમ દ્રવિડ મુનેત્ર કઝગમના ઈબ્રૈસ મુહમ્મદે કહ્યું છે કે "આપણે દેશને એક કોર્પોરેટ કંપનીની જેમ જોવો જોઈએ. આ ગણતરી પ્રમાણે મુસ્લિમોના પંદર ટકા શેર આ કંપનીમાં થાય છે." ભારતને એક રાષ્ટ્રની જગ્યાએ જમીનના ટુકડા તરીકે જોનારા મુસ્લિમોની આવી જ માનસિકતા રહી છે. જેના કારણે ભારતના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે ટુકડા થયા છે. દેશને કોર્પોરેટ કંપની તરીકે જોવાની વાત કરનારા આવા મુસ્લિમ નેતાઓ એ પણ બતાવી દે કે આ દેશના ટુકડા કરવામાં અને આ દેશને બરબાદ કરવામાં મુસ્લિમોનો શેર કેટલો છે? સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશનના સચિવ શાહનવાઝ અનામતને મુસ્લિમોનો હક ગણાવી રહ્યાં છે. તેઓ કહે છે કે "મુસલમાનોને અનામત ભીખમાં નથી જોતું. તે મુસ્લિમોનો હક છે. અમારા માટે અનામત કોઈ ખેરાત નથી. મુસ્લિમ આ દેશના 23 ટકા છે. (સેન્સસ રિપોર્ટ પ્રમાણે મુસ્લિમો દેશના 13.26 ટકા) જેમાંથી 10 ટકાને અનામતની જરૂરત નથી. પણ બાકીના 12 ટકા મુસ્લિમોને નોકરીમાં અનામતની જરૂર છે. દસ ટકા અનામત ઓછું છે અને 15 ટકા અનામત વધારે લાગે છે. માટે 12 ટકા અનામતની માગણી કરીએ છીએ." આ મુસ્લિમ નેતાઓની માનસિકતા છે. તેમને ધર્મ આધારિત અનામત જોઈએ છે અને રંગનાથ મિશ્ર અહેવાલમાં અપાયેલા અનામતની જોગાવાઈઓથી ખુશ પણ નથી.
દેશમાં "મુસ્લિમ અનામત માટે રાષ્ટ્રીય આંદોલન" નામની સંસ્થાનો જન્મ થઈ ચૂક્યો છે. સૈયદ શાહબુદ્દીન તેના સંયોજક છે. જ્યારે સચ્ચર સમિતિના સભ્યો સૈયદ હામિદ અને સભ્ય સચિવ અબુદસલેહ શરીફ પણ સંયોજન સમિતિમાં છે. સચ્ચર સમિતિના ચરિત્રને સમજવા માટે આનાથી વધારે સારું ઉદાહરણ ઓર શું હોઈ શકે? હાલમાં ચાલી રહેલા મુસ્લિમ અનામતના રાજકારણ પાછળ વોટબેંક સબળ કારણ છે. આઝાદી પછી દેશમાં કોંગ્રેસે દલિત-જનજાતિય અને પછાત વર્ગીય અનામતનું રાજકારણ ચલાવ્યું હતું. જો કે રામજન્મભૂમિ આંદોલન બાદ દલિતો મોટી સંખ્યામાં ભાજપ તરફ વળ્યા હતા. જેના કારણે આજે પણ એસસી અને એસટી બેઠકો પરથી સૌથી વધારે ભાજપના સાંસદો ચૂંટાયેલા છે. તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના ઉદય પછી ઉત્તરપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં દલિત વોટ કોંગ્રેસથી દૂર થયા છે. બહુજન સમાજ પાર્ટીએ દેશના દલિતોના સારા એવા પ્રમાણમાં મતો મેળવ્યા છે. કોંગ્રેસને તેના કુલ મતોમાંથી 67માં 41.4 ટકા દલિત મતો, 71માં 41.2 ટકા દલિત મતો, 80માં 50.5 ટકા દલિત મતો, 96માં 31.6 ટકા દલિત મતો, 98માં 29.6 ટકા દલિત મતો, જ્યારે 2009માં 27.1 ટકા દલિત મતો મળ્યા છે. આમ કોંગ્રેસની રાજકીય જમીન ધોવાઈ રહી છે. આ જ પરિસ્થિતિ એસટી અને ઓબીસી મતોમાં પણ સર્જાઈ રહી છે. જેના કારણે કોંગ્રેસને દલિત, જનજતિય અને ઓબીસી રાજકારણમાં ઓછો રસ રહ્યો છે. જો કે કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી દલિતોને આકર્ષવા માટે દલિતોના ઘરે ભોજન કરવાની પદ્ધતિ અપનાવી છે. જો કે તેઓ વોટબેંકના રાજકારણથી પર રહીને આમ કરતાં હોય, તો તે આવકાર્ય છે.
બાબરી ધ્વંસ પછી દૂર થયેલા મુસ્લિમ વોટોને નજીક લાવવા માટે કોંગ્રેસ સચ્ચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચ જેવા તિકડમો કરી રહી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓના આંકડા જોઈએ, તો કોંગ્રેસનો મુસ્લિમ પ્રેમ સમજાય તેવી બાબત છે. કોંગ્રેસને તેના કુલ મતોમાંથી 96માં 32 ટકા મુસ્લિમ મતો મળ્યા, 98માં 32 ટકા મુસ્લિમ મતો મળ્યા, 99માં 40 ટકા મુસ્લિમ મતો મળ્યા, 2004માં 36 ટકા મુસ્લિમ મતો મળ્યા અને 2009ની ચૂંટણીમાં 38 ટકા મુસ્લિમ મતો મળ્યા છે. જ્યારે ડાબેરીઓને તેમના કુલ મતોના 96માં 13 ટકા મુસ્લિમ મતો મળ્યા, 98માં 8 ટકા મુસ્લિમ મતો મળ્યા, 99માં 10 ટકા મુસ્લિમ મતો મળ્યા, 2004માં 9 ટકા મુસ્લિમ મતો મળ્યા અને 2009માં 12 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. જ્યારે પોતાના કુલ મતોમાંથી 96માં 25 ટકા મુસ્લિમ મતો મેળવનારી સમાજવાદી પાર્ટીને 2009માં 10 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. જો કે એસપી અને બહુજન સમાજ પાર્ટીના ઉદયે ઉત્તરપ્રદેશમાંથી કોંગ્રેસને દલિત-મુસ્લિમ અને યાદવ મતોથી વંચિત રાખીને લાંબા સમય સુધી દેશવટો આપ્યો હતો. પણ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસની પરિસ્થિતિ મુસ્લિમ વોટના મોટા ફાયદા થકી સુધરી છે. બાબરી ધ્વંસ પછી મુસ્લિમોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસને મુસ્લિમ અનામતના રાજકારણથી મોટી સફળતાઓ મળી રહી છે. મુસ્લિમ સંગઠનોએ 99ની ચૂંટણીઓથી મુસ્લિમ અનામતની માગણી કરી હતી. થોકબંધ વોટબેંકને જોઈને કોંગ્રેસે આ સંદર્ભે મુસ્લિમ નેતાગીરી સાથે ખાનગી વાતચીત કરી હોય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. 2004માં સત્તા પર આવેલી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સચ્ચર સમિતિ બનાવી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચ બનાવીને મુસ્લિમ અનામતનું કાર્ડ રમવામાં આવ્યું છે. સચ્ચરની ભલામણો રાજકીય હતી, તો પણ તેના પર અમલીકરણ ચાલી રહ્યું છે. રંગનાથ પંચનો રિપોર્ટ અલગતાવાદી હોવા છતાં તેના અમલની દિશામાં કેન્દ્ર અને ડાબેરીઓ આગળ વધી રહ્યાં છે. જો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશ્ર્વ સામાજિક સ્થિતિ રિપોર્ટ-2010 પ્રમાણે ભારતમાં દલિતોની સ્થિતિ ખરાબ છે. ત્યારે દલિતો, ઓબીસી અને જનજાતિયોના હકોમાં ભાગ પડાવતી રંગનાથ મિશ્ર પંચની ભલામણોના આધારે મુસ્લિમ અનામત શા માટે? પચાસ ટકાની સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલી અનામતના વધારાની માગણી શા માટે? દેશના વિભાજન માટે કારણભૂત ધાર્મિક આધારે અનામતની વ્યવસ્થાના જીનને બોટલમાંથી બહાર કાઢવાનું કારણ શું છે? માત્ર મુસ્લિમોના થોકબંધ વોટ માટે કે અન્ય કોઈ કારણ છે.
અત્રે પ્રશ્ન એ છે કે જે સેક્યુલર હોવાનો દાવો કરી રહી છે, દેશના બંધારણને માનવાનો અને અનુસરવાનો દાવો કરી રહી છે , તેવી કોંગ્રેસ પાર્ટી ધર્મના આધારે અનામતની વાત કરી રહી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે ધર્મના આધારે કોઈપણ રીતભાતથી દાખલ કરાયેલું અનામત બંધારણીય ભાવનાથી વિરુદ્ધ છે. ત્યારે તેઓ બંધારણીય ભાવનાઓ વિરુદ્ધ અને સેક્યુલારિઝમના સિદ્ધાંતો વિરુદ્ધ ધર્મ આધારિત અનામત માત્ર વોટબેંકની લાલચમાં દાખલ કરીને દેશને ફરીથી 1947 પહેલાના રસ્તે શા માટે લઈ જઈ રહ્યાં છે? સેક્યુલારિઝમના ગાણાં ગાનાર અને દેશના બંધારણની ભાવના વિરુદ્ધ વર્તનારાઓએ યાદ રાખવું જોઈએ કે દેશ છે, તો તેમનું અસ્તિત્વ છે. દેશ છે, તો બધું જ છે. માટે દેશમાં વૈમનસ્ય અને અલગાવ ઉભો કરનારી પ્રવૃતિથી આવા તત્વો દૂર રહે , તે જરૂરી છે.
ધર્મને અફીણ ગણાવતા ડાબેરીઓ પોતાની વિચારધારાને અવગણીને ધર્મના નામે અનામત દાખલ કરી રહ્યાં છે. તેમણે કેરળમાં મુસ્લિમોને શિક્ષણમાં 10 ટકા અનામત અને નોકરીઓમાં 12 ટકા અનામત અને ખ્રિસ્તીઓને શિક્ષણમાં 2 ટકા અનામત અને નોકરીઓમાં 4 ટકા અનામત આપેલું છે. તેઓ જ પશ્ચિમ બંગાળમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા દસ ટકા અનામતની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે દુનિયાને "હેવ્ઝ" અને "હેવ્ઝ નોટ"માં વિભાજીત કરનારા અને આર્થિક બાબતોને જરૂર કરતાં વધારે પ્રાધાન્ય આપનારા ડાબેરીઓને ખબર હોવી જોઈએ કે પશ્ચિમ બંગાળમાં 23 ટકા દલિતો મુસ્લિમો કરતાં ખરાબ સ્થિતિમાં જીવી રહ્યાં છે. મુસ્લિમો કરતાં વધારે દબાયેલા, કચડાયેલા, શોષિત અને વંચિતો હિંદુ સમાજમાં છે. તો શું તેમના તરફ તેઓ હિંદુ હોવાના કારણે પૂરતુ ધ્યાન અપાતું નથી? શું સામાજિક, આર્થિક સ્તર ઊંચુ આવે તે માટે મુસ્લિમ હોવું જ પ્રાથમિક યોગ્યતા છે? ડાબેરીઓ આવા હિંદુ સમાજના વર્ગો માટે કઈ યોજનાઓ અને જોગવાઈઓ કરી રહ્યાં છે? તે પણ જણાવે. જેથી દેશને ખબર પડે કે હિંદુસ્થાનમાં હિંદુ હોવાનું કેટલું કપરું બનાવી દીધું છે , આ વોટબેંકના ઠેકેદારોએ.
વળી અનામતની વ્યવસ્થા ઈસ્લામની મૂળ વિચારધારાથી પણ વિરુદ્ધ છે. કુરાને શરીફ મુસ્લિમો વચ્ચે કોઈપણ પ્રકારના ફરકને અનુમોદન આપતું નથી. કુરાને શરીફના જાણકારો પ્રમાણે, તમામ મુસલમાન સમાન છે. કુરાને દુનિયાને મુસ્લિમો અને ગેરમુસ્લિમો વચ્ચે વહેંચી છે. એટલે જે ફરક છે, તે મુસ્લિમો અને ગેર મુસ્લિમો વચ્ચે છે. મુસ્લિમો વચ્ચે કોઈ ભેદભાવ નથી. વળી તેઓના ઉલેમાઓ ગાઈવગાડીને કહે છે કે મુસ્લિમોમાં જાતિપ્રથા બિલકુલ નથી. ત્યારે મુસ્લિમોને જાતિ આધારિત વર્ગોમાં વહેંચીને અનામત કઈ રીતે આપી શકાય? જે મુસ્લિમો કુરાને શરીફ અને મુસ્લિમ કાયદાની દુહાઈ દઈને વંદેમાતરમ જેવા નિર્દોષ ગીતને ઈસ્લામ વિરોધી ગણાવતા હોય. તેઓ અનામતની માગણી કરે અને તે સ્વીકારે તેને શું કહેવાય? આનો જવાબ વાચકો જ વિચારે કે આ મુસ્લિમોનું તકવાદીપણું છે કે બીજું કંઈ?
વળી ભારતમાં મુસ્લિમ અનામતની વાત કરનારા બતાવે કે ક્યાં દેશો હિંદુઓને ધર્મના આધારે અનામત આપે છે અને કેટલું આપે છે? પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ અને બૌદ્ધોને કેટલું અનામત આપવામાં આવે છે? તેમની પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ છે?
દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે ભારત વિભાજન કરાવીને 24 ટકા મુસ્લિમો માટે 25 ટકા ભૂભાગ "હોમલેન્ડ" તરીકે "રિઝર્વેશન"માં મેળવનારા મુસ્લિમો સ્વતંત્ર ભારતમાં ધર્મના આધારે અનામત મેળવવા માટે કેટલા યોગ્ય છે? સ્વતંત્ર ભારતમાં આવું ઘર્મને નામે અનામત આપવાનું કોઈપણ પગલું દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત અને મુસ્લિમ ઉપરાષ્ટ્રવાદી પ્રવૃતિને સજીવ કરવા સમાન હશે. થોડા ફ્લેશબેકમાં જઈએ તો ખબર પડશે કે અત્યારનું રાજકારણ કેટલું ખતરનાક છે? 1909માં બ્રિટિશરોએ મુસ્લિમોને ધારાસભાઓમાં અનામત બેઠકો આપી હતી. 1926માં મુસ્લિમો માટે "સેપરેટ ઈલેકટોરેટ" અને 24 ટકા મુસ્લિમો માટે સનદી સેવાઓમાં 25 ટકા અનામત આપ્યું હતું. જેનાથી મુસ્લિમોની વધેલી તાકાતના પરિણામે મુસ્લિમ લીગે 1940માં પાકિસ્તાન પ્રસ્તાવ પારિત કર્યો હતો. 1946માં પાકિસ્તાનની માગણી મનાવડાવવા માટે "સીધી કાર્યવાહી"ના નામે હિંદુઓની દેશભરમાં પોતાના પ્રભાવી ક્ષેત્રોમાં કત્લેઆમ કરાવી હતી. જેના કારણે 1947માં ગાંધી, કોંગ્રેસ અને અન્ય રાષ્ટ્રવાદી નેતાઓએ મન મારીને પાકિસ્તાનની માગણી સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા. આજે પણ ઈતિહાસમાંથી કંઈ ન શીખેલા ભારતીય રાજકારણીઓ ફરીથી ઈતિહાસની ભૂલોને પુનરાવર્તિત કરીને એ જ મુસ્લિમ જોહુકમીનો ઈતિહાસ ફરી લખી અને લખાવી રહ્યાં છે.
ત્યારે હિંદુ સમાજે એક થવાની અને ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપતી કોઈપણ જોગવાઈનો ન્યાયિક, રાજકીય તેમ જ તમામ સ્તરે વિરોધ કરવો પડશે. હિંદુઓનો પ્રચંડ વિરોધ અને પ્રબળ હિંદુ નેતાગીરી રાજકીય ક્ષેત્રમાં હિંદુ હિતની વાત કરતાં કતરાતા રાજકીય નેતાઓની શાન ઠેકાણે લાવે તે જરૂરી છે. હિંદુ દલિતો અને મુસ્લિમ તથા અન્ય લઘુમતીઓ પાછળ છેલ્લા દસ વર્ષમાં ફાળવાયેલા નાણાંની ગણતરી હિંદુ સમાજ અને આ દેશના લોકો સામે મૂકવામાં આવે. જેનાથી લોકો તેમની અવગણનાને જોઈ શકે અને આવી અવગણનારા કરનારાઓ પાસે તેનો જવાબ માગી શકે. માત્ર મુસ્લિમોના "ફીફટીન પોઈન્ટ પ્રોગ્રામ"ની વાત કરીએ તો તેની પાછળ સરકાર હજારો કરોડ રૂપિયા ખરચી રહી છે. ત્યારે આ દેશમાં સૌથી વધારે "ટેક્સ પે" કરનારા સમાજને જાણવાનો અધિકાર છે કે જ્યારે ધર્મ આધારિત પરિભાષામાં વાત થતી હોય, ત્યારે તેમના ધર્મના શોષિત અને વંચિતોના ઉત્થાન માટે સરકાર કેટલા નાણાં ખરચી રહી છે? તેમના માટે કઈ વ્યવસ્થા કરી રહી છે? જે વ્યવસ્થા થઈ રહી છે, તે તેના સમાજના ભોગે તો નથી થઈ રહીને? ? ?

Wednesday, February 3, 2010

જરૂર છે, યુવાનોના નેતાની...નહીં કે યુવાનેતાની!!!

યુવાન ઊર્જાપુંજ, શક્તિપુંજ અને યુવાનો એટલે શક્તિ, ઊર્જાનો ધગધગતો-ધસમસતો લાવા. વિશ્વમાં કોઈપણ પરિવર્તન કે ક્રાંતિ યુવાનોની મદદ વગર શક્ય બની નથી અને બનવાની નથી. જગતની કોઈપણ ક્રાંતિકારી ઘટના લઈ લો કે પુરાતન કાળથી અત્યાર સુધીના કોઈપણ યુદ્ધોને જોઈ લો. યુવાન વગર તે ક્રાંતિકારી ઘટના ક્યારેય ઘટી નથી કે પુરાતન કાળના કોઈપણ યુદ્ધો યુવાનો વગર તેમના જોમ અને જુસ્સા વગર ક્યારેય જીતાયા નથી. વૃદ્ધો વિચાર આપી શકે છે, જ્યારે યુવાનો વિચારને અમલમાં મૂકીને આમૂલ પરિવર્તન આણી શકે છે. જો કે યુવાનોમાં જેટલો જોશ હોય છે, તેટલો તેમનામાં હોશ હોવાની ઘટનાઓ બહુ ઓછી છે. જેના કારણે વિશ્વમાં દરેક ઠેકાણે યુવાનોને હાથો બનાવીને તેમના ભવિષ્ય સાથે ચેડાં કરીને જે-તે દેશના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ કામ આગળ પણ થતાં રહેવાના છે.
ભારતના યુગપુરુષ ગણાતાં રાજકારણીઓથી માંડીને દેશના ટાંચા રાજકારણીઓ સુધીના કોઈ આમાંથી બાકાત રહ્યાં નથી. દેશની આઝાદીની ચળવળમાં ગાંધીજી જેવા દેશહિતચિંતક રાજકારણીએ વિદ્યાર્થીઓ અને યુવાનોનો આંદોલનોમાં ઉપયોગ કર્યો હતો. ત્યારે મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ચેતવ્યા હતા કે યુવાનોને તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન કોલેજોમાંથી બહાર કાઢશો, શાળાઓમાંથી બહાર કાઢશો, તો શાળા-કોલેજોમાં ભણશે કોણ? જો કોઈ ભણશે નહીં તો તેમની અને દેશી યુગાનુકૂળ પ્રગતિ કેમ કરીને થશે? વિદ્યાર્થીકાળમાં યુવાનો એક વખત શાળા-કોલેજની બહાર નીકળી જશે, તેઓ કેમે કરીને પાછા પોતાના શૈક્ષણિક સંસ્થાનોમાં જશે નહીં. આવી પરિસ્થિતિમાં દેશના શિક્ષણ અને તેની અછતમાં વિકાસની દુર્દશા જ થશે. આઝાદી પ્રાપ્ત કર્યા બાદ એટલે કે કોંગ્રેસ સંસ્થાનો રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો હેતુ સર્યા પછી તેના નેતાઓએ યુવાનોને ફરીથી શાળા-કોલેજોમાં જતાં રહેવા કહ્યું હતું. પણ યુવાનોને પોતાના તરફે ઉપયોગ કરનારા રાજકારણીઓએ તેમ થતું અટકાવ્યું.
દેશની તમામ રાજકીય સંસ્થાઓ અને પક્ષોએ વિદ્યાર્થી સંગઠનો એટલે કે સ્ટુડન્ટ યુનિયન બનાવીને પોતાના રાજકીય એજન્ડાને જોશભેર આગળ વધારીને પૂરજોર રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન વ્યવસ્થિત રીતે આદર્યો છે. જેના કારણે રાજકીય ચક્રવ્યૂહમાં વિદ્યાર્થીકાળમાં ભણતરના બોજ તળે દબાઈ રહેલો કિશોર-યુવાન રૂપી અભિમન્યુ રાજકીય મહાભારતના મહારથીઓના હાથે અનીતિથી હણાય છે. પણ કોને ચિંતા છે? સૌને પોતપાતાના રાજકીય એજન્ડા આગળ વધારવાનો રસ છે, પોતપોતાના રાજકીય હિસાબોના તાળા મેળવવામાં રસ છે. અરે! પોતાના યુવાન પુત્ર કે પુત્રીને રાજકીય વારસાની સોંપણી માટે યુવાનો રૂપી ચમચાંઓની ફોજ વારસામાં આપવા માટે રાજકારણીઓ તૈયાર છે. તો કેટલાંક યુવાન રાજકારણીઓ પોતાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવા માટે યુવાનોને રાજકારણમાં આવવાનું આહ્વાન કરી રહ્યાં છે, તેમને રાજકીય કમાન સોંપવાની પેરવી કરી રહ્યાં છે. જેના કારણે તેમને વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે પ્રધાન બનવાના રસ્તાઓ ખુલી જાય.
કોંગ્રેસના મહાસચિવ યુવાન છે. હજી માંડ પાંત્રીસીએ પહોંચ્યા છે. ગાંધી નહેરુ પરિવારના સીધા રાજકીય વારસ છે. જેના કારણે કોંગ્રેસમાં પરિવારવાદી માનસિકતા ધરાવનારા લોકો કે જેઓ સોનિયા ગાંધીને વડાપ્રધાન પદે બેસાડવામાં નિષ્ફળ ગયા છે, તેઓ હવે રાહુલ ગાંધીના નામે રાજકીય સોગઠાં રમી રહ્યાં છે. રાજકીય ચોપાટ પર આવા ખેલ ખેલનારાઓમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂનસિંહ કે દિગ્વિજય સિંહને રાહુલ ગાંધી કોંગ્રેસના કોઈપણ નેતા કરતા વડાપ્રધાન પદ માટેના સૌથી યોગ્ય ઉમેદવાર લાગ્યા હતા. તેમને અને આવા અન્ય કોંગ્રેસી નેતાઓને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીમાં પીએમ મટિરીયલ દેખાયું હતું. જો કે પરિવારવાદના વિવાદ અને વમળના કળણમાંથી બચવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ વિવાદ પર પડદો પાડીને અમેઠીના યુવા સાંસદ રાહુલ ગાંધીને જમીની સ્તરે કામ કરવા માટેનો આદેશ કર્યો છે. જો કે દલિતો અને શોષિતો વચ્ચે કામ કરી રહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ માટે યુવા બ્રિગેડ તૈયાર કરી રહ્યાં છે. કોંગ્રેસમાં વધારેમાં વધારે યુવાનો સામેલ થાય તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે અવારનવાર કહ્યું છે કે યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. આ સંદર્ભે થતાં તેમના નિવેદનો સ્પષ્ટ કરે છે કે તેઓ તેમની ગાંધી-નહેરુ પરિવારના વારિસથી અન્ય એક યુવા નેતા હોવાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવાની તમામ કવાયત કરી રહ્યાં છે. કોંગ્રેસના ક્ષત્રપો તેના માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યાં છે. રાહુલ ગાંધી માટે યુનિવર્સિટીઝમાં યુવાનો સાથેની બેઠકો યોજી રહ્યાં છે. તો તેની સામેના ભાજપ જેવા રાજકીય સંગઠનો પોતાની યુવાપાંખ એબીવીપીનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારે જે-તે જગ્યાના પ્રભાવી રાજકીય પક્ષો જવાબ આપે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.
આ સમગ્ર ઘટના ક્રમ દર્શાવે છે કે દેશના રાજકારણીઓ યુવાનો પર, યુવાનોના નામે રાજકારણ રમી રહ્યાં છે. પરંતુ આ રાજકારણ યુવાનો માટેનું નથી, તે પણ દિવા જેવું સ્પષ્ટ છે. કોલેજમાંથી ઉત્તીર્ણ થયેલો યુવાન રાજકારણમાં કઈ ભૂમિકાને માટે ઉપલબ્ધ બની શકે તેમ છે? માંડ ગધ્ધાંપચ્ચીસીમાં દાખલ થયેલા યુવાન માટે રાજકારણીઓ વેઠિયાગીરીથી વધારે મોટી કોઈ ભૂમિકા આપી શકે તેમ છે? કારણ કે યુવાનોની વાત કરતી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાને સામાન્ય ઘરના યુવાનોને મોટા પદો કે સાંસદ તરીકેની ટિકીટોની વહેંચણી કરવામાં આવી નથી. જો કે કેટલાંક પીઢ કોંગ્રેસી રાજકારણીઓ અને વરિષ્ઠ દિવંગત કોંગ્રેસી નેતાઓના પુત્રોને સાંસદ તરીકેની ટિકીટો આપીને ચૂંટણી લડાવવામાં આવી છે. તેઓમાંથી મોટાભાગના યુવા સાંસદો ચૂંટણી જીતી ગયા છે. તેમને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ પદો પણ મળ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કે સચીન પાયલોટ જેવા સાંસદો કોંગ્રેસના આવા પોસ્ટર બોય છે. રાહુલ ગાંધી તો કોંગ્રેસના આવા યુવા સાંસદોના રોલ મોડલ છે. ત્યારે સામાન્ય ઘરના યુવાનો માટે આવા રાજકારણીઓ કોઈ મોટી ભૂમિકા રાખી શકશે, તે બાબતે શંકા યથાયોગ્ય છે. સામે પક્ષે ભાજપ જેવા પક્ષો પણ યુવાનોને પોતાના રાજકીય એજન્ડા અને સત્તાસુખ મેળવવાના પેંતરામાં પ્યાદાં બનાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં છે. તેમની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાસે બાંગ્લાદેશી ઘૂસણખોર વિરોધી આંદોલનો સહિતના મોટા આંદોલનો માટે અને રાજકીય ગરમાવા માટે ઉપયોગ કર્યો છે. હજી પણ તેમનો ઉપયોગ થવાનો છે. માર્કસવાદી પક્ષો પણ આવી પ્રવૃતિઓમાંથી બાકાત નથી. જેનએનયુ અને દિલ્હી યુનિવર્સિટી સહિતની દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ યુવાનોના નામે પોતાના રાજકીય આટાંપાટા રમનારા પક્ષોની રાજકીય રમતોના સંકુલ સમાન દેખાઈ રહી છે.
ત્યારે યુવાનોએ સ્પષ્ટ નિર્દેશ રેખા દોરવી પડશે કે તેમના નામે રમાતા રાજકારણમાં તેઓ રાજકીય વેઠિયા બનતા કઈ રીતે બચે? આમ તો આઝાદી કાળથી આંદોલનમાં વ્યસ્ત ભારતીય યુવાનની બુદ્ધિનો સમગ્રતાથી વિકાસ કર્યા વગર જ તેને 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તેના પર બહુ મોટી જવાબદારી નાખી દીધી છે. ત્યારે યુવાનો પર રાજકારણ રમનારા તમામ રાજકીય પક્ષોએ યુવાનો માટે તેમના ઉત્કર્ષ માટે રાજકારણ કરવુ જોઈતું હતું. તેમણે યુવાનોને રાજકીય રીતે શિક્ષિત કરવા જોઈતા હતા કે જેથી તે તેની ત્રીસી કે ચાલીસીમાં રાજકારણમાં દેશહિત, જનહિતના મુદ્દાઓ સાથે પ્રવેશી શકે. આજે ભણતરના ભાર તળે દબાઈ રહેલા કિશારો અને બેકારીના દાવાનળમાં બળતા યુવાનો આપઘાતના રવાડે ચઢી ગયા છે. દેશના યુવાવર્ગનું આ વલણ સંકેત આપે છે કે ઓલ ઈઝ નોટ વેલ. પણ રાજકારણીઓને માટે તો યુવાનો એક પ્યાદાં છે. દેશમાં છેલ્લા કેટલાંક સમયથી દેશમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ કથળેલી છે. યોગ્ય યુવાનો પોતાના સારા ભવિષ્ય માટે દેશ બહાર યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઈ રહ્યાં છે. જેના કારણે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આપણા દેશના યોગ્ય યુવાનોને વંશવાદી હુમલાનો ભોગ બનીને પણ ત્યાં રહેવું પડે છે. તો તેની સામે ઉજ્જવળ ભવિષ્ય ન ભાસતા કિશોરો માતાપિતા અને પોતાની મહત્વકાંક્ષાના ભાર તળે આવી જઈને આત્મહત્યાનો માર્ગ પકડે છે.
ત્યારે દેશના રાજકારણીએ જવાબ આપવો પડશે કે દેશમાં આઈઆઈએમ અને આઈઆઈટીની સંખ્યા બમણી કેમ નથી થતી? જો દેશના યોગ્ય યુવાનો પરદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવામાં સફળ થતાં હોય તો તેઓ ઘરઆંગણે સુવિધાઓ આપવાથી સફળ થઈ શકે છે. દેશમાં તબીબી ક્ષેત્રે પણ વિપુલ તકો રહેલી છે. દેશમાં ઔદ્યોગિક વિકાસ અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક વિકાસ માટે પણ વિપુલ તકો થઈ પડેલી છે. પણ આ તકો અવસરમાં બદલાતા બદલાતા રહી જાય છે. કારણ શું હોઈ શકે? કારણ માત્ર એટલું જ હોઈ શકે કે આઝાદી અને કટોકટીકાળના આંદોલનો કે આસુ જેવા વિદ્યાર્થી સંગઠનો બનાવીને આ દેશના યુવાનને તેની અંદર ઉલજાવી રાખવામાં આવ્યો છે. સૌથી મોટા, સૌથી વધારે સભ્યો ધરાવતા આંદોલનોના દાવાઓ કરીને યુવાનોને રાજકીય રીતે ભરમાવવામાં આવી રહ્યાં છે. તેમને અભ્યાસથી વંચિત રાખવાનું કૃત્ય જોરશોરથી કરાઈ રહ્યું છે. ત્યારે જે દેશમાં વિદ્યાર્થીઓ યુવા અવસ્થા સુધીમાં સફળતાપૂર્વક અભ્યાસ કરીને દેશની ઉન્નતિમાં સક્ષમ બનવામાં ઉણાં ઉતરતા હોય અને આ કામ દેશના યુગપુરુષ ગણાતા રાજકારણીઓથી માંડીને ટાંચા અને ટૂંકા રાજકારણીઓ દ્વારા થતું હોય, તો તે દેશની ઉન્નતિમાં અડચણો આવવાની જ છે. આપણી સાથે આઝાદ થયેલા દેશોના દાખલા લઈએ તો સિંગાપુર, મલેશિયા કે ચીનના યુવાનો એટલી બધી ઉલઝનભરી સ્થિતિમાં બહુ ઓછી વખત આવ્યા છે. જેના કારણે આ દેશો વિકાસના મામલે આપણા કરતા કોસો આગળ છે. જ્યારે આપણે હજી પણ વિકાસના મામલે દ્રઢતાથી આગળ વધી શકયા નથી. આપણે આ માટે ક્યારેય આત્મનિરીક્ષણ કર્યું નથી. આપણે પરદેશ જતા યુવાધનને દેશમાં સહુલિયત આપવાનું ક્યારેય પ્રામાણિકતાથી વિચાર્યું નથી. જેના કારણે દેશની પ્રગતિની ગાડી પાટાં પર ચઢી નથી, એક સાંધો ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ છે.
રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીના કરિશ્માથી અંજાઈને પોતાનો અભ્યાસ કરવાની જગ્યાએ તેમની રાહ જોતા યુવાન છોકરાં-છોકરીઓને જોતા લાગે છે કે દેશનું ઉજળું ભાવિ ઉજળું રહ્યું નથી. યુવાનોનો વ્યથામાં છે, ત્યારે તેમને જરૂર છે. તેમના હિતનું વિચારનાર તેમને માર્ગદર્શન આપનારા નેતાની. એવા નેતાની કે જે તેમને શિખવાડે કે રાજકારણમાં હાથા બનતા કઈ રીતે અટકી શકે છે ? રાજકારણમાં દાખલ થવાની તૈયારી કેવી રીતે કરાય? રાજકારણમાં દેશહિત અને જનહિત કઈ રીતે સધાય? ભારતના યુવાનો ઈચ્છે છે, યુવાનોના નેતા નહીં કે યુવાનેતા? કોઈ પાર્ટીના નેતાઓની સરેરાશ ઉંમર પરથી તે પાર્ટી યુવા હોવાની સાબિતી મળશે નહીં. કોઈ પાર્ટીની કમાન યુવા નેતૃ્ત્વના હાથમાં સોંપી દેવાથી તે પાર્ટી યુવાન ગણાશે નહીં. કે કોઈ પાર્ટીના પીઢ દિવંગત નેતાઓના યુવાન પુત્ર-પુત્રીઓને સત્તા સોંપવા માત્રથી જે-તે પક્ષ યુવાન થવાનો નથી. યુવાનોનો પક્ષ તો એ હશે કે જે યુવાનોને દેશહિંત અને જનહિંતનું માર્ગદર્શન આપે. યુવાનોને દેશનું નેતૃત્વ લેવા માટે સક્ષમ બનાવે. જે પક્ષના આચાર,વિચાર, નીતિ-નિર્દેશો અને માનસિકતા યુવાનો માટેની હોય તે પક્ષ અને તેવા નેતા જ યુવાનોના નેતા બની શકે. બાકી તો બધા યુવાનોના નામે રાજકારણ રમનારા યુવા નેતા જ રહી જવાના!!!

Wednesday, January 20, 2010

આત્મઘાતી અને ઢીલી કાશ્મીર નીતિ.....

સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ જે સમસ્યાઓ ભારતને જળોની જેમ વળગી છે, તેમાની એક સમસ્યા કાશ્મીરની છે. જો કે આ સમસ્યા ભારત માટે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા સર્જવામાં આવી છે. એમા કોઈ શંકા નથી કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત દ્વારા અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનનો ડોળો શરૂઆતથી જ મુસ્લિમ બહુલ રિયાસતે જમ્મુ-કાશ્મીર પર છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુધ્ધો લડાઈ ચુક્યા છે. તેમ છતાં કાશ્મીર મુદ્દાનો હલ નીકળ્યો નથી. તો બીજી તરફ ભારતની સત્તા પર રહેલી તમામ સરકારોની કાશ્મીર નીતિમાં સાતત્યની કમી વર્તાય છે. જેના કારણે પાકિસ્તાન ચડી વાગ્યુ છે. જ્યારે અમેરિકા કાશ્મીરની કૂટનીતિને પાકિસ્તાન તરફે પરિવર્તિત કરાવવા માટે છેલ્લા એક દસકાથી સક્રિય ભૂમિકા અદા કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે ગેલમાં આવી ગયું છે. પાકિસ્તાન પોતાના કબ્જા હેઠળ રહેલા ગિલગિટ અને બાલ્ટિસ્તાન કે જે જમ્મુ-કાશ્મીરના અતૂટ અંગ છે, તેને સ્વાયતતા આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આ બંને ભાગ સીધા પાકિસ્તાનની કેન્દ્રીય એસેમ્બલીના નિયંત્રણમાં આવી જશે. આ તમામ બાબતો ઈશારો કરે છે કે જે રીતે પાકિસ્તાને રિયાસતે જમ્મુ-કાશ્મીરના પોતાના કબ્જા હેઠળના 5 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને ચીનને ધરી દીધો છે, તેવી સ્થિતિ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની પણ થઈ શકે છે. વળી સામરિક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને વિસ્તારો કારગીલ સાથે સંલગ્ન છે. જેના કારણે ભારતને સામરિક દ્રષ્ટિએ પરેશાનીમાં મુકવા માટે પાકિસ્તાન તે વિસ્તારોમાં ચીનની દખલઅંદાજી શરૂ કરાવી શકે છે. તો બીજી તરફ એક યોજનાબદ્ધ રણનીતિ હેઠળ પાકિસ્તાન ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરના ભાગમાં આતંકવાદી પ્રવૃતિ અને અલગતાવાદી આંદોલનોને ભડકાવી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ પ્રમાણમાં ઓછી થઈ ગઈ હતી. પણ ભારત સરકાર દ્વારા અલગતાવાદીઓ સાથેની ગુપ્ત વાતચીતના પરિણામે અલગતાવાદી પ્રવૃતિઓ વધી ગઈ છે. ભારત સરકાર અલગતાવાદીઓ સામે ઝુકી રહી હોય તેવા પણ સંકેતો તેમની સાથેની વાતચીત પરથી સાંપડી રહ્યાં છે.
ભારત સરકારે કાશ્મીર અંગેની કૂટનીતિમાં તો ઢીલાશ દેખાડી છે, પણ હવે તે સૈન્ય અને સંરક્ષણાત્મક બાબતો પર પણ ઢીલાશ બતાવવા માંડી છે. ભારત સરકારે સમસ્યાગ્રસ્ત કાશ્મીરમાંથી ત્રીસ હજાર સૈનિકોને હટાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ઘટયુ હોય તેમ ઉપલબ્ધ આંકડાઓ પરથી લાગે છે. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાંક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન તરફથી ભારતીય સેના અને ચોકીઓ પર ફાયરિંગની ઘટનાઓ પણ વધી ગઈ છે. કેટલાંક ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ભાંગફોડ કરવા માટે તકની રાહ જોતા બેઠા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાંથી ત્રીસ હજાર જેટલા સૈનિકો હટાવી દેવાનો નિર્ણય આતંકવાદીઓને હિંસાનો ખેલ ખેલવા માટે મોકળું મેદાન પૂરો પાડવા સમાન નથી?
જો કે ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરના એક નિવેદન પરથી લાગે છે કે ભારત તેની યુધ્ધ નીતિ બદલી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાન તથા ચીન એમ બંને મોરચે એકસાથે યુધ્ધ કરવા માટે સક્ષમ છે. આ નિવેદનના પાકિસ્તાનમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે. જો કે ચીને પાકિસ્તાન જેવા પ્રત્યાઘાતો આપવાનું ટાળ્યું છે. ત્યારે સવાલ એ છે કે આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી ત્રીસ હજાર સૈનિકો હટાવીને ભારત સરકાર પાકિસ્તાન સામે ક્યા મોરચા ખોલવા માંગે છે? શું તેમણે આ ત્રીસ હજાર સૈનિકોને ચીન સાથેની સરહદે (એલએસી-લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ) પર ખસેડયા છે? શું ભારત સરકારે બે મોરચે લડવા માટે તૈયાર ભારતીય સૈનિકોને ભારતના હિત વિરુદ્ધ આવી વિપતિકારક પરિસ્થિતિઓમાં બેરેક્સમાં મોકલી આપ્યા છે? ઉપરોક્ત સવાલોના જવાબ હજીપણ નિરુત્તર રહ્યાં છે, જે લોકમાનસને આશંકિત કરી રહ્યાં છે. થોડા મહિનાઓ પહેલા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ લડાખના માઉન્ટ ગ્યાં પાસેની એલએસીથી દોઢ કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરીને ત્યાંના પર્વતો પર લાલ રંગથી આ વિસ્તારો ચીનના હોવા સંદર્ભનું લખાણ લખ્યુ હતું. લડાખના એલએસી સંદર્ભે એક આધિકારિક રિપોર્ટને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ ખબર આપી હતી કે આ ક્ષેત્રમાં ભારતીય વિસ્તાર સંકોચાઈ રહ્યો છે. ચીની લશ્કર આ વિસ્તારમાં ધીમે ધીમે ઘૂસણખોરી કરીને પોતાના પગ પસરાવી રહ્યું છે. જો કે ભારતીય ગૃહ મંત્રાલય,સંરક્ષણ મંત્રાલય અને ખુદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપક કપૂરે આ અહેવાલ સંદર્ભેના સમાચારને રદિયો આપ્યો છે. ત્યારે ભારતીય સરહદોની સાચી માહિતી સંદર્ભે પણ શંકાનું વાદળ ઘેરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાન દ્વારા પોતાને અપાયેલા કાશ્મીરના ભાગમાં બંધો અને સડકોની જાળ બિછાવી ચૂક્યુ છે. જ્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પણ તે વિવિધ યોજનાઓના નામે સક્રિય છે. આવા સંજોગોમાં ચીન દ્વારા અચાનક લડાખ સરહદે સક્રિય થવા પાછળ ક્યાંક પાકિસ્તાન અને ચીનની મિલીભગત તો નથી ને, તે જોવું વધારે જરૂરી છે. હંમેશા જીવંત સમસ્યા કે પ્રશ્નોના ઉકેલો કે જવાબો જીવંત અને વાસ્તવિક શોધવા પડે છે. જ્યારે સમસ્યાઓના નિર્જીવ, અમૂર્ત તથા અવાસ્તવિક ઉકેલો શોધવામાં આવે છે, ત્યારે સમસ્યાઓ ઘટવાની જગ્યાએ વધી જાય છે. આવી પરિસ્થિતિથી બચવા માટે ભારતીય સત્તાધારીઓએ ખ્યાલી પુલાવ બનાવવાના બંધ કરવા જોઈએ. પણ તેમ છતાં ભારત સરકાર કાશ્મીર મુદ્દે ખ્યાલી પુલાવ બનાવવાનું ચાલુ રાખ્યુ છે. હકીકતમાં ભારત સરકારે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એટલે કે પાકિસ્તાન અને ચીન પાસે રહેલા કાશ્મીરના ભાગને ઝડપથી ભારતીય નિયંત્રણમાં લાવવા માટે કોઈ ઠોસ નીતિ અનુસાર કૂટનીતિક, રાજકીય અને સૈન્ય સહિતના તમામ વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ. એક પ્રવર્તમાન વિચાર પ્રમાણે, સૈન્ય દ્વારા કાશ્મીર મુદ્દો ઉકેલી શકાય તેમ નથી. ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કાશ્મીર મુદ્દો સમસ્યા પાકિસ્તાનના સૈન્ય આક્રમણ થકી જ બન્યો છે. ત્યારે સૈન્ય સામે સૈન્ય વિકલ્પ ખુલ્લો નહીં રાખવામાં આવે, તો દશા એવી થશે કે જેવી કારગીલ વખતે બની હતી. એટલે કે સૈન્ય શક્તિ વગરની કૂટનીતિ નકામી નીવડશે. ભારત સરકાર શાંતિની બસયાત્રા કરશે અને પાકિસ્તાની લશ્કર ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરવાની પોતાની રણનીતિ ચાલુ રાખશે. કારગીલ જેવી પરિસ્થિતિ ફરીથી બને નહીં તે માટે ભારત સરકારે સૈન્ય તૈયારી કરીને તકેદારીના પગલાં લેવા પડશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક મોરચો પણ સંભાળવો પડશે. કાશ્મીર મુદ્દે આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ત્રીસ હજાર સૈનિકોને કાશ્મીરમાંથી હટાવવા પાછળ કંઈ મજબૂરી હશે? તે સમજવું ઘણું કઠિન છે.
ભારત સરકારે કાશ્મીરના અલગતાવાદીઓ સાથે વાતચીત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વાતચીત છેલ્લા દોઢ-બે વર્ષથી ગુપ્તપણે ચાલી રહી હતી. આ વાતચીતમાં શું રંધાયું તેની ખબર ન તો ભારતની જનતાને છે કે ન તો ભારતીય મીડિયાને છે. જમ્મુ-કાશ્મીરમાં સત્તારુઢ નેશનલ કોન્ફરન્સે યુપીએ સરકારને બ્લેકમેઈલ કરવા માટે સ્વાયત્તતાનો રાગ ફરીથી આલાપ્યો છે. તેના માટે આ વખતે સેવાનિવૃત ન્યાયમૂર્તિ સગીર અહેમદની સમિતિનો સહારો લેવાયો છે. સગીર અહેમદ જમ્મુ-કાશ્મીરના ન્યાયમૂર્તિ હતા, ત્યારે તેમના અલગતાવાદીઓ સાથેના સંબંધો જગજાહેર છે. તેમણે ભલામણ કરી છે કે સંરક્ષણ, કરન્સી અને વિદેશ નીતિના મામલાઓને છોડીને અન્ય તમામ મામલે રાજ્ય સરકારને પૂર્ણ સ્વાયત્તતા આપવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આ રિપોર્ટની ભલામણોને લાગુ કરાવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સગીર અહમદના રિપોર્ટને લાગુ કરવાનું આશ્વાસન આપ્યું છે. જો તેમનો દાવો સાચો હોય તો યુપીએ સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિતથી વિપરિત નથી? ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનના ઈશારે નાચનારા સંગઠનો પીડીપી અને હુર્રિયત કોન્ફરન્સ પણ ઉમર અબદુલ્લાની 'હા' માં 'હા' મિલાવી રહ્યાં છે. ત્યારે શક્યતા છે કે લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવે અને જમ્મુને હિમાચલપ્રદેશ સાથે મેળવીને કાશ્મીર ખીણને પૂર્ણ સ્વાયત્તતા આપી દેવામાં આવે. આવા ગુપ્ત પ્રયાસો ચાલતા હોય કે તેના પર વિચાર થતો હોય તેવી સંભાવનાઓ હાલની કાશ્મીર મુદ્દે ચાલી રહેલી કેન્દ્ર સરકારની હલચલ પરથી નકારી શકાય તેમ નથી. કાશ્મીરને સ્વાયત્તતા આપવા સંદર્ભે 1975 અને 1996માં સમિતિઓ બની હતી. પણ સત્તાની મલાઈ ખાવામાં વ્યસ્ત અબ્દુલ્લા પરિવારે આ સમિતિઓના રિપોર્ટસને વ્યવધાનમાં નાખી દીધા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સ્વાયત્તતા પ્રસ્તાવને કેન્દ્ર સરકારે રદ્દ કરી દીધો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં કલમ-370ને કારણે અન્ય પ્રાંતના લોકો ત્યાં જમીન ખરીદી શકતા નથી. જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો અને અલગ કૌમી તરાના આજે પણ અસ્તિત્વમાં છે. તેમ છતાં દેશના સૌથી પછાત રાજ્ય બિહારને પ્રતિ વ્યક્તિ માત્ર 876 રૂપિયા મળે છે, જ્યારે કાશ્મીરમાં ભારત સરકાર તરફથી પ્રતિવ્યક્તિ 985 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે સ્વાયત્તતાની ભલામણોમાં ભારત સરકાર તરફથી મળતી જંગી સહાય રાશિ લેવા અંગે શું જોગવાઈ છે અને ભારત સરકાર આ સહાયતા માટે શું પ્રયોજનો કરશે? તે જાણવું અતિ આવશ્યક છે.
જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય કટોતી બાદ હલચલ ચાલુ થઈ છે. પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત ફિદાયીન હુમલાઓ દર્શાવે છે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં વધારાના ભારતીય સુરક્ષાદળો દ્વારા ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનોને પરિણામે રાજ્યમાં ઘૂસણખોરી અને આતંકવાદી ઘટનાઓમાં ભારે કમી આવી હતી. જો કે ગત છ અને સાત જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં બે આતંકવાદીઓ દ્વારા ભારતીય સુરક્ષાદળો સાથે 22 કલાક ચાલેલી અથડામણ દર્શાવે છે કે ભારત કોઈપણ ઢીલાશ કરશે, તો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં પોતાના રાષ્ટ્રીય હિતો સાધવા માટે આતંકવાદી પ્રવૃતિઓને વધારશે. જ્યારે ઉનાળામાં બરફ પીધળશે ત્યારે પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવશે. આ આતંકવાદીઓ માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, પણ સમગ્ર ભારત માટે ખતરારૂપ બનશે. પાકિસ્તાની શાસકો પણ કાશ્મીર મુદ્દે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યાં છે. તેના માટેના કારણો ઘણાં છે. એક, પાકિસ્તાનમાં ઝરદારી માટે રાષ્ટ્રપતિ પદે ટકી રહેવામાં જોખમ છે. બીજું, પાકિસ્તાનમાં આતંકવાદ ઝડપથી વધી રહ્યો છે. ત્રીજું, તાલિબાનો સામેની નાટો સેના અને પાકિસ્તાની સેનાની લડાઈથી પાકિસ્તાની આવામમાં અમેરિકા વિરોધી ભાવનાઓ વ્યાપક પ્રમાણમાં ભડકી રહી છે. તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાની શાસકોને બચવા માટે કાશ્મીર રાગ થકી ભારત વિરોધને ભડકાવવો એક સુવર્ણ તક સમાન છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એસેમ્બલી અને કાઉન્સિલના સંયુક્ત અધિવેશનમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત સાથે એક હજાર વર્ષ સુધી યુધ્ધ કરવા માટે તૈયાર હોવાની વાત કરી છે. જો કે સવાલ એ છે કે એક હજાર વર્ષ સુધી પાકિસ્તાન જીવિત રહેશે કે કેમ ? અગાઉ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો આવો જ પ્રલાપ નિરર્થક પૂરવાર થયો છે. જો કે તેમ છતાં સંભવિત જોખમોની સામે ટકરાવા માટે ભારત સરકારે પણ કડક નીતિ અખત્યાર કરવી પડશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપકકપૂરે કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાનો વિરોધ કર્યો હતો. પણ રાજકારણીઓ સામે તેમનું કંઈ જ ચાલ્યું નથી. જ્યારે ભારત સરકારની ઘૂંટણિયા ટેક નીતિઓને કારણે પાકિસ્તાન હંમેશા અનુચિત લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. પાકિસ્તાની મંત્રીમંડળની સંરક્ષણ મામલાની સમિતિએ ભારત સામે આક્રમક નીતિ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝરદારી તરફથી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ભારત વિરોધી પ્રવૃતિઓ તેજ કરવાનો છૂટોદોર મળ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર આતંકવાદી હુમલા અટકાવવા સંદર્ભે અસમર્થતા દર્શાવી છે. જેના કારણે ભારતે કાશ્મીર મુદ્દે સતર્ક રહેવું જરૂરી બન્યું છે.
આમ તો પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે ભારતની દરેક પહેલને પીઠમાં ખંજર ભોંકીને નિરસ્ત કરવામાં આવી છે. એનડીએના શાસનકાળ દરમિયાન શાંતિ પ્રક્રિયાના ઉજળા નામ નીચે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ લાહોરયાત્રા કરી હતી. તેના જવાબમાં પાકિસ્તાનના તત્કાલિન સેનાપ્રમુખ જનરલ મુશર્રફે પાકિસ્તાની સેનાઓ દ્વારા કારગીલનું ઉબાડિયું ભર્યું હતું. વિદેશી મામલાઓના જાણકારોના માનવા પ્રમાણે, પાકિસ્તાન સાથેની શાંતિ પ્રક્રિયા વાજપેયી સરકારે અમેરિકાના દબાણ નીચે કરી હતી. 1971ના સિમલા કરાર બાદ કાશ્મીર મુદ્દો ભારતની તરફેણમાં ઝુક્યો હતો. જો કે ભારતના નીતિ-નિર્ધારકોમાં અસમંજસતા દેખાઈ કે તરત જ પાકિસ્તાને પંજાબના આતંકવાદનો પ્રયોગ જમ્મુ-કાશ્મીરમાં દોહરાવ્યો હતો. 1989થી ચાલુ થયેલા આ ઈસ્લામિક આતંકવાદે હજારોના લોહી રેડયા છે. વી.પી.સિંહની સરકાર વખતે પણ દેશમાં રામજન્મભૂમિ આંદોલન થકી સાંપ્રદાયિક રાજકારણના પ્રભાવી બનવાની શરૂઆત થઈ હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે પાકિસ્તાનને મોકળું મેદાન મળ્યું હતું. કાશ્મીર ખીણમાંથી 1990 સુધીમાં કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરાયા હતા. નરસિંહરાવની સરકારે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફ ઢીલી નીતિ અપનાવી હતી. તેનું તાદ્રશ્ય ઉદાહરણ તે વખતે ઘટેલી હઝરતબલ જેવી આતંકવાદીઓને મહિનાઓ સુધી બિરયાની ખવડાવતી અને સેઈફ પેસેજ આપતી ઘટનાઓ પરથી મળે છે. નરસિંહરાવના અનુગામીઓ આઈ. કે. ગુજરાલ અને દેવગૌડા પણ કાશ્મીર મુદ્દે કોઈ ઠોસ નીતિ અપનાવવામાં નિષ્ફળ નીવડયા હતા. આજે કાશ્મીર ખીણમાંથી પંડિતોને વિસ્થાપિત કર્યાને આજે વીસ વર્ષનો ગાળો વીતી ગયો છે. ત્યારે પણ ભારત સરકાર પાકિસ્તાન વિરુધ્ધ દેશ હિતકારક કોઈ નીતિનું નિર્ધારણ કરી શકતી નથી, તે એક આશ્ચર્યની વાત છે. અલગતાવાદીઓ સાથે વાત કરતી ભારત સરકાર સામે કઈ મજબૂરી છે કે તે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કતરાય છે અને તેમની સમસ્યાના ઉકેલમાં કોઈ રસ દાખવતી નથી. શું અલગતાવાદીઓની પાછળ રહેલી પાકિસ્તાન અને તેના નાપાક આતંકવાદીઓની તાકાત સામે જ ઝુકવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે? કાશ્મીરી પંડિતોને ક્યારે ન્યાય મળશે અને પાકિસ્તાન તથા આતંકવાદીઓને ભારત સરકાર પોતાની દ્રઢ નીતિઓને કારણે ક્યારે ઘૂંટણિયે પાડશે? કાશ્મીર મુદ્દે નહેરુ, ઈન્દિરા, વાજપેયીને મળેલી ઘોર નિષ્ફળતાનું કારણ માત્ર તેમની પાકિસ્તાન તરફે કાશ્મીર મુદ્દે અપનાવવામાં આવેલી ઢીલી અને આત્મઘાતી નીતિઓ હતી. પુરોગામીઓની આવી ઢીલી નીતિ મનમોહનસિંહ અપનાવવાની ચાલુ રાખશે, તો ભારતે વિશ્વ સમુદાય, અમેરિકા અને પાકિસ્તાન તથા તેના નાપાક આતંકવાદીઓ સામે અડગતાની જગ્યાએ મજબૂર બનીને ઉભું રહેવું પડશે.
કાશ્મીર મુદ્દે ફારુક અબ્દુલ્લા કે ઉમર અબ્દુલ્લાનો ભરોસો કરવો મૂર્ખામી હશે. કારણ કે અબ્દુલ્લા પરિવારે કાશ્મીર અને ભારતના હિતને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પોતાના હિતોને સર્વોપરી ગણ્યા છે. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લા કાશ્મીરમાં કટ્ટર મુસલમાન તરીકે વરતતા હતા કાશ્મીરમાં તેઓ પોતાની દરેક તકરીર કુરાનની આયાતોથી શરૂ કરતાં હતા. પણ જ્યારે તેઓ રિયાસતની બહાર પગ મૂકતા હતા, ત્યારે તેઓ સેક્યુલરવાદનો મુખોટો ચઢાવી લેતા હતા. ડૉ. ફારુક અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી છે. પણ 2007માં તેમણે લાહોર હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પોતાની રાષ્ટ્રીયતા ભારતીય નહીં, પણ કાશ્મીરી દર્શાવી છે ! આ સોગંદનામુ ફારુક અબ્દુલ્લાએ લાહોર સ્થિત નિડોજ હોટલનું સ્વામિત્વ પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાનની કોર્ટમાં દાખલ કર્યું હતું. લાહોર સ્થિત આ સો કરોડની હોટલને ફારુકના નાના હેરી નિડોજે બનાવી હતી. બેગમ અકબર જહાં તેમની એકમાત્ર પુત્રી હતી. દેશના વિભાજન બાદ શત્રુ સંપત્તિ સ્વરૂપે પાકિસ્તાની સરકારે તેને પોતાના કબ્જામાં લઈ લીધી હતી. કોર્ટના આ નિર્ણયને અકબર જહાંના પુત્ર ફારુક અબ્દુલ્લાએ લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નહીં પણ કાશ્મીરી છે. કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે , માટે હોટલ પર પાકિસ્તાની સરકારનો કબ્જો ગેરકાયદેસરનો છે. કોર્ટે આ હોટલ ડો. ફારુક અબ્દુલ્લાને હવાલે કરી દીધી છે. ત્યારે પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર તરીકે માન્યતા આપતું સોગંદનામુ કરનાર વ્યક્તિ કાશ્મીરનો શું ઉકેલ લાવશે, તે અંદાજવું જ રહ્યું.. ભારતીય નહીં પણ કાશ્મીરી તરીકેની ઓળખ અને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવું બંને કાશ્મીર બાબતના ભારતીય પક્ષ સાથે બંધબેસતા નથી. ત્યારે સવાલ એ છે કે આવું સોગંદનામુ લાહોરની હાઈકોર્ટમાં કરનારા ફારુક અબ્દુલ્લા ભારત સરકારમાં મંત્રી તરીકે કઈ રીતે ચાલુ છે ? પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા પિતાના પુત્ર જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા પાસેથી કાશ્મીર મુદ્દે કોઈ ભારત તરફી ઉકેલની અપેક્ષા રાખી શકાય તેમ છે?