Tuesday, November 17, 2009

વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર

ભારતમાં બ્રિટિશકાળથી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવવાનો એક સિલસિલો શરૂ થયો છે. લાગતું હતું કે આઝાદી બાદ આ સિલસિલો સમાપ્ત થશે. પણ લાગે છે કે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતા અને તેને પામવા માટે કાર્યરત લોકો અને સંગઠનો આવી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવી રાખવાનો સિલસિલો સમાપ્ત કરવા માટે તૈયાર નથી. વંદે માતરમ એટલે કે માતૃભૂમિની માતા માનીને વંદના કરવી. શું વાંધો હોઈ શકે છે, માતૃભૂમિની માતાતુલ્ય સમજીને વંદના કરવામાં? આઝાદી પહેલા જે વંદે માતરમ ગીત ગાતા ગાતા હિંદુ-મુસ્લિમ યુવાનિયાઓ સ્વતંત્રતા માટે હસતે મોઢે ફાંસીએ ચઢયા હતા, જે વંદે માતરમના ગાનથી બંગ-ભંગને રદ્દ કરવું પડયું હતું, જે વંદે માતરમ ભારતની એકતાનો સૂત્રપાત કરતું હતું. તે વંદે માતરમ કોમવાદી રાજકારણ ચલાવી રહેલી મુસ્લિમ લીગ માટે એક શસ્ત્ર બન્યું હતું. મુસ્લિમ લીગે વંદે માતરમ કે જે તે વખતે રાષ્ટ્રીય ગાન બની ચૂક્યું હતું, તે વંદે માતરમને કોંગ્રેસ સામે શસ્ત્ર સ્વરૂપે ઉપયોગમાં લાવીને મુસ્લિમોને હિંદુઓ વિરુધ્ધ ભડકાવ્યા હતા. દેશના અન્ય પ્રતીકો સામે પણ આવી જ મોહિમ ચલાવીને મુસ્લિમ લીગે થોડા વર્ષોમાં જ ધર્મના આધારે દ્વિરાષ્ટ્રના પ્રતિપાદન સ્વરૂપે પાકિસ્તાનને પ્રાપ્ત કરી લીધું હતું. જો કે આઝાદી બાદ વંદે માતરમ રાષ્ટ્રીય ગાનનો દરજ્જો તો પામ્યું નથી. પણ વંદે માતરમને જન ગન મન- રાષ્ટ્રીય ગાન સમકક્ષ રાષ્ટ્ર ગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માનવામાં આવતું હતું કે આ વિવાદ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પણ આ 1937 નથી, આ 1947 નથી, આ 1948 નથી કે આ 1949 કે 1950 નથી, આજે 2009 છે. ઉત્તરપ્રદેશના દેવબંદ ખાતે પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા મુસ્લિમોના રાષ્ટ્રવાદી ગણાવાતા સંગઠન જમિયત ઉલેમા એ હિંદના 30મા અધિવેશનમાં સેંકડો ઉલેમાઓ અને મુસ્લિમોની હાજરીમાં વંદે માતરમને બિનઈસ્લામિક ગણાવતા ફતવાનું સમર્થન કરતો પ્રસ્તાવ પારિત કરે છે. આઝાદીના 62 વર્ષ બાદ આટલી મોટી સંખ્યમાં એકઠા થયેલા મુસ્લિમોને ઉલેમાઓ અને જમિયત ઉલેમા એ હિંદ શું સંદેશો આપવા માગે છે? દેવબંદના વંદેમાતરમ વિરુધ્ધના ફતવાનું અત્યારે સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદ શું સાબિત કરવા માગે છે? આ ઈતિહાસના કોઈ પુનરાવર્તનની ઘટના તો નથી ને? આ સવાલોના જવાબ તો સમય જ આપશે.
જમિયત ઉલેમા એ હિંદના મૌલાના મહમૂદ મદનીએ જમિયતના વંદે માતરમને બિન ઈસ્લામિક કરાવતા ફતવા અંગે સ્પષ્ટીકરણ આપતા કહી રહ્યાં છે કે આ પ્રસ્તાવમાં વંદે માતરમનો વિરોધ કરવાની વાત નથી. માત્ર વંદે માતરમ બિન ઈસ્લામિક હોવાથી મુસ્લિમોને વંદે માતરમ ન ગાવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેઓ સુપ્રિમ કોર્ટના ફરજિયાત વંદે માતરમ ગાવ સંબંધે કોઈને બાધ્ય ન કરી શકાય, તે મતલબના ચુકાદાને પણ ટાંકી રહ્યાં છે. જો કે અત્રે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આજે વંદે માતરમને બિન ઈસ્લામિક ગણાવીને તે ન ગાવાનું સુચન કરાયું છે. બની શકે કે કદાચ ભવિષ્યમાં આ સંસ્થા કે અન્ય કોઈ મુસ્લિમોના નામે કામ કરતી સંસ્થા વંદે માતરમનો વિરોધ પણ કરે. આજે વંદે માતરમન ગાવાનું સૂચન કરનારા લોકો આવતીકાલે કદાચ ભારતના રાષ્ટ્રધ્વજ સામે ઝુકવાની પણ મનાઈ ફરમાવે, અશોક સ્તંભ સામે પણ વાંધો ઉઠાવે, જન ગન મન પણ તેમને કોઈ કારણસર વાંધાજનક લાગે, તો તેવા સંજોગોમાં ફરી એક વખત ભારતમાં ઈતિહાસની પુરોક્તિ થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. વંદે માતરમ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલું ગીત છે, માત્ર ગીત જ નથી, પણ શહીદો અને સ્વતંત્રસેનાનીઓએ ભારતને પરતંત્ર બનાવનારી શક્તિઓ સામે કરેલો યુધ્ધ ઘોષ છે. રાષ્ટ્ર પેદા થાય છે અને તેનો ક્રમિક વિકાસ આગળ વધે છે, ત્યારે તેની સાથે...તેની અસ્મિતા સાથે કેટલીક બાબતો પ્રતીકો જોડાય છે. સમયાંતરે જોડાતા આ પ્રતીકો અને બાબતો રાષ્ટ્રના લોકો માટે સર્વદા આદરણીય બની જતા હોય છે. પછી તે તિરંગો હોય, જન ગન મનનું રાષ્ટ્રીય ગાન હોય કે અશોક સ્તંભ હોય કે પછી વંદે માતરમ હોય. આવા પ્રતીકો અને બાબતોનું રાષ્ટ્ર સન્માન કરે, તેવી સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ રાષ્ટ્રની અસ્મિતા સાથે, રાષ્ટ્રના ગૌરવ સાથે અને રાષ્ટ્રના અસ્તિત્વ સાથે જોડાયેલી રાષ્ટ્ર અને લોકો દ્વારા માન્યતા પ્રાપ્ત બાબતોનો અનાદર કરે છે, ત્યારે તેવા વ્યક્તિ કે સંગઠનને રાષ્ટ્રદ્રોહી કેમ ન સમજવો જોઈએ? જેવી રીતે ગુલાબમાં ખુશ્બુ પોતાની મેળે પેદા થાય છે. તેવી રીતે જ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ પણ પેદા થવી જોઈએ. રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા પ્રતિકોના સન્માન સાથે જ તો નાગરિકોની રાષ્ટ્રભક્તિ જોડાયેલી છે. જે ગુલાબમાં ખુશ્બુ ન હોય, તે ગુલાબને કોણ સુંઘશે? જેઓ પોતાના રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણનું સન્માન નથી કરતાં, તેમનું સન્માન કોણ કરશે? રાષ્ટ્રીયગાન સમકક્ષ સન્માન પામેલા રાષ્ટ્રગીત વિરુધ્ધ ફતવો જાહેર કરનારા અને તેનું સમર્થન કરનારા લોકોનું કતૃત્વ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેવો પોતે બુધ્ધિદ્રોહીની કક્ષામાં પહોંચે છે.
વંદે માતરમમાં એવું તે શું છે કે તે ગાવામાં કોઈને પણ તકલીફ પડે? બંકિમચંદ્રે જે વંદેમાતરમ 1875માં લખ્યું હતું, તેના માત્ર પહેલા બે પદો જ આપણા રાષ્ટ્રગીતના સ્વરૂપે માન્યતા પામેલા છે. આ બંને પદોમાં એકપણ શબ્દ એવો નથી કે જે ઈસ્લામ કે અન્ય કોઈની વિરુધ્ધમાં લખાયો હોય. ફતવો બહાર પાડનારા લોકોએ વંદે શબ્દના અર્થને જાણવાની કોશિશ કરી હોય, તેવી કોઈ સંભાવના દેખાતી નથી. સંસ્કૃતનો વંદે શબ્દ વંદ ધાતુ પરથી બનેલો છે. જેનો મૂળ અર્થ છે પ્રણામ, નમસ્કાર, સન્માન, પ્રશંસા. કેટલાંક શબ્દકોશોમાં પૂજા-અર્ચના પણ લખેલું છે. પણ સવાલ એ છે કે માતૃભૂમિની પૂજા કેવી રીતે થશે? મંદિર, મસ્જિદ કે અન્ય પૂજા સ્થળ બનાવવામાં આવશે, તો માતૃભૂમિની પૂજા થઈ જશે? લાખો વર્ગ કિલોમીટરમાં પથરાયેલી આ રાષ્ટ્રભૂમિને કોઈપણ વ્યક્તિ મંદિર કે અન્ય પૂજા સ્થાનમાં કેદ કરી શકશે નહીં. હા, તેના પ્રતિક સ્વરૂપને અવશ્ય પોતાની ભક્તિ અને ભાવનાથી આદર આપશે. પણ તે જે-તે વ્યક્તિની શ્રધ્ધાના આપયેલા સ્વરૂપની વાત છે. અહીં માતૃભૂમિની વંદનાનો સીધો-સાદો અર્થ છે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે શ્રધ્ધા અને સન્માન રાખવા. એવો ક્યો ઈસ્લામી દેશ છે કે જે પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રધ્ધા રાખવાનો વિરોધ કરતો હોય? હજરત મોહમ્મદ પયગંબરે પણ કહ્યું છે કે માતાના પગ તળે સ્વર્ગ હોય છે. ત્યારે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જનની જન્મભૂમિનો અનાદર કરવો પયગંબર મહોમ્મદ સાહેબના ઉપદેશની વિરુધ્ધનું આચરણ નથી, તે ઈસ્લામ વિરુધ્ધનું આચરણ નથી?
માતાનો દરજ્જો એટલો ઉંચો છે કે આપણાં રાષ્ટ્રગીતમાં રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કહેવામાં આવી છે. અફઘાન લોકો પાસેથી માદરે વતન શબ્દ મળ્યો છે. શું તેઓ મુસલમાન નથી? બાંગ્લાદેશના રાષ્ટ્રગીતમાં માતૃભૂમિનો ઉલ્લેખ ચાર વખત આવે છે. શું તમામ બાંગ્લાદેશીઓ કાફિર છે? ઈન્ડોનેશિયા, તુર્કી અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રગીતમાં પણ માતૃભૂમિના સૌંદર્ય પર જાન છીડકવામાં આવી છે. શું આ તમામ ઈસ્લામિક રાષ્ટ્રો ઈસ્લામનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને ભારતના મુસ્લિમો વંદે માતરમ ગીતને બિનઈસ્લામિક ગણાવીને તેના વિરુધ્ધ ફતવો જાહેર કરીને ઈસ્લામનું પાલન કરી રહ્યાં છે? જનની જન્મભૂમિને સ્વર્ગથી મહાન ગણાવી છે, તેને ક્યાંય બ્રહ્મથી મહાન ગણાવાઈ નથી. ત્યારે બ્રહ્મ કે અલ્લાહ સાથે સરખામણી કરવી અયોગ્ય બની રહેશે. આને કારણે વંદે માતરમને તૌહીદ(એકશ્વરવાદ) વિરુધ્ધ ઉભું કરવું એક મૂર્ખામીથી વધારે કંઈ જ નથી. હિંદુઓમાં પણ એકેશ્વરવાદીઓ છે, તેમણે પણ ક્યારેય માતૃભૂમિની વંદનામાં તેમના એકેશ્વરવાદનું ઉલ્લંઘન થતું હોવાની વાત કરી નથી. માટે જ વંદે માતરમને તૌહીદ વિરુધ્ધ ઉભું રાખીને તેને ઈસ્લામ વિરોધી ગણાવવું તર્ક સંગત નથી. જ્યાં સુધી વંદે માતરમના ઉર્દૂ તર્જુમાનો સવાલ છે, તો તેમા વંદેનો અર્થ સલામ કે તસ્લીમાત છે. ક્યાય પણ વંદેને ઈબાદત કે પૂજા નથી કહેવાયું. વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ કરીએ તો તેમા વંદેને સેલ્યુટના અર્થમાં લેવાયું છે. તેને ક્યાંય પણ વરશિપના અર્થમાં લેવાયું નથી. તેથી જ વંદે માતરમને બુત પરસ્તી સાથે જોડવામાં કોઈ ઔચિત્ય દેખાતું નથી.
દારુલ ઉલુમ દેવબંદ દ્વારા વંદે માતરમ વિરુધ્ધ ફતવાનું સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદે ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે કેટલાંક લોકો ભારતની પંથનિરક્ષતાના તાણા-વાણાંને તારતાર કરવા માટે હજી પણ કાર્યરત છે. આવા લોકો એવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે કે જેનું સમાધાન આપણા બંધારણે શોધી કાઢયું છે. વળી કટુ હકીકત એ છે કે મુસ્લિમ નેતૃત્વ દ્વારા વંદે માતરમ સંદર્ભે જે તર્કો રજૂ કરાઈ રહ્યાં છે, તે તર્કોની વકીલાત જ્યારે દેશના વિભાજનની માગણી વખતે મુસ્લિમ લીગે કરી હતી. આ ભાગલાવાદી પરંપરાને હજી પણ ભારતમાં આગળ વધારવામાં આવશે? આવા અધિવેશનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને બાબરી ઢાંચો તૂટયો તે યાદ આવ્યું, પણ વંદે માતરમનો વિરોધ કરનારી જમાતને દેશ તૂટયો તેના સંદર્ભે કંઈપણ કહેવાનું ચિદમ્બરમ ચુકી ગયા હતા. મીડિયામાં ખબર આવી હતી કે વંદે માતરમ વિરુધ્ધના જમિયતના પ્રસ્તાવના મંજૂર થવાના સમયે પી.ચિદમ્બરમ હાજર હતા. જો કે પાછળથી આ સમાચારને રદિયો આપવામાં આવ્યો હતો.
જરા નજર કરો વંદે માતરમના ઈતિહાસ પર. વંદે માતરમનો ઈતિહાસ કોઈ પણ રીતે કલંકિત નથી. જો કે તેને મુસ્લિમ લીગી વિરોધ અને દેવબંદી ફતવાઓથી કલંકિત થવું પડયું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠમાં સામેલ વંદે માતરમની રચના તે ઉપન્યાસની રચના પહેલા એટલે કે 1875માં રચના કરવામાં આવી હતી. જ્યારે બંકિમચંદ્રે આનંદ મઠની રચના 1882માં કરી હતી. પોતાના આવિર્ભાવના ત્રીસ વર્ષ બાદ એટલે કે 7મી ઓગસ્ટ, 1905ના દિવસે પહેલી વાર વંદે માતરમે રાષ્ટ્રમંત્રનું રૂપ લીધું અને બંગ ભંગના વિરોધમાં કોલકત્તાની ગલીઓમાં ગુંજવા માંડયું હતું. 20મી મે, 1906ના દિવસે બોરિસાલમાં વંદે માતરમ લખેલા ઝંડાઓ સાથે વંદે માતરમના ગાન અને ઉદઘોષ સાથે દસ હજાર હિંદુ-મુસ્લિમોનું જૂલુસ નીકળ્યું હતું. બંગ ભંગ વિરુધ્ધના આંદોલન વખતે ખૂન-ખરાબા અને ધરપકડો થઈ, ત્યારે વંદે માતરમે જન જનના કંઠહાર બનીને પ્રેરક બળ પુરું પાડયું હતું. 1920-22ના ખિલાફત આંદોલનમાં ઈસ્લામી કટ્ટરવાદીઓના ફરીથી ઉભરવાને કારણે વિરોધના સૂર પ્રખર બન્યા હતા. તે પહેલા મુસ્લિમ લીગ મંદ સૂરોમાં વંદે માતરમનો વિરોધ કરતી હતી. જો કે કોંગ્રેસના રાષ્ટ્રગાન સ્વરૂપે માન્યતા પ્રાપ્ત વંદે માતરમનો વિરોધ 1923ના કાકીનાડા અદિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ મજહબી આધારે વિરોધ કર્યો હતો. તેમ છતાં સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ પરંપરા 1938ના હરિપુરા કોંગ્રેસ અધિવેશન સુધી ચાલું રહી હતી. મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી વંદે માતરમનું ગાન કરતાં હતા. જો કે 1937માં મુસ્લિમ લીગ કોન્ફરન્સમાં ઝીણાએ રાષ્ટ્રીય ઝંડા, વંદે માતરમ અને હિંદીનો વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે ઝંડો, ગીત અને ભાષા ત્રણેય હિંદુઓના પ્રતિક ચિન્હ છે, માટે તે મુસ્લિમો માટે સર્વદા અસ્વીકાર્ય છે. 1937માં કોંગ્રેસે મુસ્લિમોમાં વધી રહેલા વંદે માતરમ વિરોધને ધ્યાનમાં રાખીને સમિતિની રચના કરીને નિષ્કર્ષ આપ્યો કે વંદે માતરમના પહેલા બે છંદોને રાષ્ટ્રીય ગીત સ્વરૂપે સ્વીકારવા. જો કે રિયાયતો અને તેવી જ અન્ય છૂટને કારણે એક દશક જેટલાં ઓછા સમયમાં ઝીણા ઈસ્લામિક દેશ સ્વરૂપે પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરી શક્યા હતા. આઝાદી બાદ કેટલાંક મુસ્લિમ નેતાઓના વાંધાને ધ્યાનમાં રાખીને વંદે માતરમના પ્રથમ બે છંદોને જ રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપીને જન ગન મન સમાન સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત વંદે માતરમમાં ભારતની પ્રાકૃતિક સૌંદર્યની વાતથી મજહબી કટ્ટરતા ધરાવતા લોકોના પેટમાં તેલ કેમ રડાય છે? તેમના હ્રદયમાં અન્ય કોઈ બાબત તો રમી નથી રહી ને? તે પણ સંશોધનનો વિષય છે.
વંદે માતરમનો વિરોધ કરનારાઓને ખબર છે કે વંદે માતરમના ગીત ગાતા ગાતા ખુદીરામ બોઝ , મદનલાલ ઢીંગરા અને અશફાક ઉલ્લાખાન જેવા અનેક નામી-અનામી દેશભક્તોએ ફાંસીને માંચડે ચઢીને મોતને વ્હાલું કર્યું હતું. કિશોર વયના ચંદ્રશેખર આઝાદને વંદે માતરમના નારા થકી જ ક્રૂર અંગ્રેજોના કોડા સહન કરવાની શક્તિ મળી હતી. વંદે માતરમના ગાન થકી જ તેઓ અન્ય ક્રાંતિકારી પ્રવૃતિઓને જારી રાખી શકયા હતા. વંદે માતરમ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો યુધ્ધ ઘોષ હતો. સંપૂર્ણ વંદે માતરમમાં ભારતમાતાને દુર્ગા કે કાલી સ્વરૂપે દર્શાવવામા આવ્યા છે. પણ તે કવિની અભિવ્યક્તિનું સામર્થ્થ છે કે માતૃભૂમિને તેમણે દુર્ગા સ્વરૂપે કે કાલી સ્વરૂપે દર્શાવી છે. પણ કોઈ કવિ પોતાની પૃષ્ઠભૂમિ પ્રમાણે પોતાની રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કે દુર્ગા સ્વરૂપે સ્થાપીને તેની વંદના ન કરી શકે. વળી આનંદ મઠમાં વિદ્રોહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓનો જંગ મુસ્લિમ જમીનદાર સામે હતો. તે યોગાનુયોગ છે. વંદે માતરમ ગીત આનંદ મઠની રચના પહેલા 1875માં રચાયું છે. વળી આનંદ મઠના દ્વીતિય સંસ્કરણમાં વિદ્રાહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓ સામે બ્રિટિશરોને દર્શાવાયા છે. જો કે આના કારણે વિરોધ કરનારા લોકોને કારણે વંદે માતરમના પ્રથમ બે છંદોને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે મુસ્લિમ લીગે આવી સમજાવટો છતાં અંત સુધી પોતાનો દુરાગ્રહ છોડયો નથી, પણ પોતાની દુર્બુધ્ધિ અહીં છોડી ગયા છે. આ દુર્બુધ્ધિને આપણા સ્વતંત્ર ભારતની જમિયત ઉલેમા એ હિંદ છાતીએ શા માટે લગાડી રહી છે? જમિયત ઈસ્લામના પંડિતો, વિદ્વાનો અને આલિમોની સંસ્થા છે. તે મુસ્લિમ લીગીઓની જેમ અંગ્રેજોના હાથમાં ખુરશી માટે રમતું રમકડું તો નથી. ત્યારે તેમની પાસે આશા રાખી શકાય કે તેઓ સમગ્ર મામલા પર ફરીથી ખુલીને વિચારે અને મુસ્લિમોને સાચો સંદેશો આપે. તેઓ મુસ્લિમ લીગના ટોટકાઓની લાશનું વહન શા માટે કરી રહ્યાં છે? તેનો મકસદ ઈસ્લામની ખિદમત છે કે મુસ્લિમ લીગના વારિસ બનવાનો છે? વંદે માતરમ પરના નકલી વિવાદના મુદ્દાઓ ક્યારનાય મુસ્લિમ લીગની કબરમાં સુઈ ગયા છે. હવે તેમને જગાડવાનો ફાયદો અને તેની પાછળનું શું ગણિત હોઈ શકે? જો કે પરિસ્થિતિ આઝાદી પહેલા હતી તેટલી હદે ખરાબ નથી. અત્યારે ઘણા મુસ્લિમો જમિયતના વંદે માતરમ વિરોધી પ્રસ્તાવ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જે ઘણું સૂચક છે. આઝાદી પહેલા મુસ્લિમોના માનસ વિષાક્ત કરીને વંદે માતરમ જેવા મુદ્દાઓ થકી મુસ્લિમ લીગની દેશ વિભાજનની મનસા પૂરી થઈ શકી હતી. પણ લોક માનસને જોતા મુસ્લિમો હવે આઝાદી પહેલાની માનસિકતા ધરાવતા નથી. અહીંના વતન પરસ્ત મુસ્લિમોએ વંદે માતરમ સામે અપાયેલા ફતવા અને તેનું સમર્થન કરનારાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. માટે જો કોઈના પણ મુસ્લિમ લીગી ઈરાદાઓ હોય તો તેમણે ચેતવાની જરૂર છે, આ વખતે દેશ તૂટશે નહીં, પણ તેમનો દેશ નિકાલ થશે. આમતો દેશ ભક્તિમાં પણ ભક્તિ શબ્દ આવે છે અને ભક્તિનો અર્થ પૂજા અને આરાધન થાય છે. તો તમે દેશભક્તિ કે દેશભક્ત સરીખા શબ્દો સામે વાંધો ઉઠાવવાની દુર્બુધ્ધિ તો વાપવાના નથી ને? યાદ રાખો દેશ ભક્તો વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર છે. જેને કોઈપણ ભારતીય સહન કરશે નહીં.

No comments:

Post a Comment