Monday, November 16, 2009

ચીની ડ્રેગનના ખંધાઈ ભરેલા દાવપેચ

ભારતની મોટાભાગની સામરિક સમસ્યાઓ માટે પરોક્ષ કે પ્રત્યક્ષપણે ચીન જવાબદાર છે. આ ચીન 1962 પછી એકાદ બે લશ્કરી અટકચાળાને બાદ કરતાં ઘણો લાંબો સમય સુધી પ્રત્યક્ષપણે શાંત રહ્યું હતું. જો કે હવે એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલી સામરિક પરિસ્થિતિને કારણે વધારે વખત શાંત રહેવા માંગતું નથી. જ્યારથી દક્ષિણ એશિયામાં અમેરિકાના પ્રત્યક્ષ લશ્કરી હસ્તક્ષેપને કારણે અને ભારત સાથે કરવામાં આવેલા અસૈનિક પરમાણુ કરારને કારણે સામરિક સ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થઈ છે, ત્યારથી ભારત સામે ડ્રેગને આગ ઓકવાનું તેજ કર્યું છે. પછી તે છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારત-ચીન સરહદે લાલસેના દ્વારા થતું અતિક્રમણ હોય, અરુણાચલપ્રદેશની વડાપ્રધાન મનમોહનસિંહની યાત્રા હોય કે દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત હોય. તિબેટને હડપ કરી ગયેલું ચીન હવે અરુણાચલ પ્રદેશ પર પોતાની વક્ર દ્રષ્ટિ કરી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતની સરહદે ચીને સૈનિકી ગતિવિધિઓ વધારી દીધી છે. જેના કારણે ભારતે પણ તેવા પગલાં લેવા પડયા છે. ચીની થિંક ટેન્કે કહ્યું છે કે ચીન થોડો પ્રયત્ન કરે તો ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે. તેના માટે ચીની થિંક ટેન્કે ભારતમાં કાશ્મીર, પૂર્વોત્તર અને તમિલ ક્ષેત્રના અલગતાવાદીઓને મદદ કરવાની ભલામણ કરી છે. ભારતના સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્માએ જણાવ્યું છે કે પોતાની આંતરિક પરિસ્થિતિથી પરેશાન ચીન ભારત પર 2012 સુધીમાં હુમલો કરે તેવી સંભાવના છે. તો 4052 કિલોમીટર લાંબી સરહદો પર બંને તરફની લશ્કરી ગતિવિધિઓ જોઈને લોકો જણાવી રહ્યાં છે કે આવી સૈનિકી હિલચાલ 1962 વખતે પણ ન હતી! જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારત-ચીન સરહદે પરિસ્થિતિ 1962થી અત્યાર સુધી રહી તેવી સામાન્ય નથી. આ તમામ પરિસ્થિતિઓ યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તેવી સંભાવનાઓ દર્શાવી રહી છે.
વળી ભારતે દલાઈ લામાને દેશના સન્માનીય મહેમાન ગણાવીને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃતિઓની છૂટ આપી છે. જેના અંતર્ગત તેવો તિબેટિયનો અને બૈધ્ધોના દ્વિતિય આસ્થા કેન્દ્ર સમા તવાંગ મઠની મુલાકાતે ગયા છે. જેના પરથી ભારત સરકારે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે અને ત્યાં દલાઈ લામા પોતાની ધાર્મિક પ્રવૃતિઓ માટે બેરોકટોક જઈ શકે છે. જો કે ભારતના આ પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારના નિયંત્રણમાં રહેલા ચીનના મીડિયાએ ભારતને 1962ના યુધ્ધની યાદ અપાવીને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કૂટનીતિક રીતે દલાઈ લામાની તવાંગ યાત્રાને ચીન સામેની અલગતાવાદી પ્રવૃતિ ગણાવી છે. ચીનનો દાવો છે કે તવાંગ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તે વિવાદાસ્પદ વિસ્તાર હોવાથી ત્યાં આવી યાત્રાઓ માટે પરવાનગી આપવી ન જોઈએ. ચીનના આવા અટકચાળાથી તેની વિસ્તારવાદી માનસિકતા ખુલ્લી પડી રહી છે. સામ્યવાદી ચીનના સંસ્થાપક માઓત્સે તુંગે ચીનના વિસ્તાર સંબંધિત પોતાની વસિયતમાં લખ્યું છે કે તિબેટ એ હાથની હથેળી છે કે જેની પાંચ આંગળીઓ લડાખ, સિક્કિમ, નેપાળ, ભૂટાન અને નેફા(હાલનું અરુણાચાલ પ્રદેશ) છે. આ તમામ વિસ્તારોને આઝાદ કરાવીને ચીનમાં સામેલ કરવા આવશ્યક છે. ચીની નેતૃત્વ પોતાના સર્વોચ્ચ નેતાનું સ્વપ્ન ભૂલી ગયું હશે, તે માનવું બેવકૂફી હશે. જે પ્રકારે ચીન પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદા બહાર જઈને વધારી રહ્યું છે, તે ભારત પ્રત્યેના ચીનના આક્રમક વલણને જાણવા માટે પૂરતું છે. ભારતીય ક્ષેત્રોમાં ધૂસણખોરી કરી રહેલા ચીન તરફ ભારતનું વલણ ઉદાસિન છે. ચીનના લશ્કરની નાની-મોટી ઘૂસણખોરી તેની બૃહત્તર રણનીતિનું મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં ભારત સરકારના પેટનું પાણી હલતું નથી. આ ધૂસણખોરીઓ ચીની આદત હોવાનું માનીને ભારત સરકારે તેને નજરઅંદાજ કરી છે. વળી ભારત ચીનની નારાજગી વ્હોરી લેવામાં માનતું નથી. કારણ કે ન તો ભારતની સૈનિક ક્ષમતા ચીન જેટલી છે અને ન તો ચીનને પાકિસ્તાનની જેમ સક્રિય શત્રુની શ્રેણીમાં મૂકવાની ભારત સરકારની હિંમત છે. ભારત સરકારની નહેરુના જમાનાથી ચાલી આવતી આવી નીતિ અને આપરાધિક ઉપેક્ષાને પરિણામે ભારતે અકસાઈ ચીન ક્ષેત્રનો 43,180 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને તે પહેલા ગુલામ કાશ્મીરનો 5180 વર્ગ કિલોમીટરનો ભાગ ગુમાવ્યો છે. હવે ધીરે ધીરે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે હિમાલયન રેન્જમાં ભારતીય અને અન્ય દેશોના વિસ્તારો પર ચીની ડ્રેગનના વિસ્તાવાદની આગ અવિરત સળગી રહી છે.
ચીનની ઉદંડ અને વિસ્તારવાદી માનસિકતા તેની વિકાસ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે. 1949માં પછાત અવસ્થામાંથી આજે ચીન વિશ્વભરમાં આર્થિક અને સૈનિકી ક્ષેત્રે પોતાની ધાક ધરાવે છે. એશિયાના મોટા દેશો જાપાન અને ભારતથી વિપરિત ચીને પહેલા આર્થિક શક્તિને વધારવાની જગ્યાએ સૈનિકી ક્ષમતાને વધારવાની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપી હતી. 1978માં દેંગ જિયાઓપિંગના આર્થિક આધુનિકીકરણ કાર્યક્રમ પહેલા જ ચીન આંતરમહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરી ચૂકયું હતું. ડીએફ-5 નામની તેની મિસાઈલ 12 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. ચીને આ સાથે થર્મોન્યુક્લિયર હથિયારો વિકસિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. અમર્યાદિત સૈનિકી ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકેલા ચીને આર્થિક આધુનિકીકરણ દ્વારા આજે પોતાની અર્થ વ્યવસ્થાને 13 ગણી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેના કારણે ચીન તકનીકી અને સંશાધન એમ બંને ક્ષેત્રોમાં વૈશ્વિક આર્થિક ખેલાડી બની ચૂક્યું છે. જ્યારે ચીન પછાત હતું અને આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત હતું, ત્યારે 1949માં શિનશિયાંગ અને 1950માં તિબેટને સૈનિકી શક્તિના જોરે ચીનનો ભાગ બનાવ્યા હતા. ચીને 1950માં કોરિયા પર હુમલો કર્યો, 1962માં ભારત પર આક્રમણ કર્યું હતું. એટલું જ નહીં, 1969માં સૈન્ય હુમલાઓ દ્વારા સોવિયત રશિયા સાથે લશ્કરી ટકરાવ ઉભો કર્યો હતો અને 1979માં વિયેતનામ પર હુમલો કર્યો હતો. આર્થિક અને સૈન્ય શક્તિ સંપન્ન ચીન હવે તેના પાડોશીઓ અને ખાસ કરીને ભારત માટે ખતરારૂપ બની ગયું છે.
આવી પરિસ્થિતિમાં ચીન ભારત માટે કૂટનીતિક અને સામરિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ચીને થોડા વખત પહેલા કાશ્મીરીઓને સ્ટેપલ વિઝા આપીને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જો કે ભારત સરકારે તેનો જોરદાર વિરોધ કર્યો હોવા છતાં ચીન તેની આવી ગતિવિધિઓ બંધ કરવા માટે રાજી નથી. સાથે ચીને પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ અને ટેકનોલોજી પૂરી પાડી હોવાની વાતથી આગળ વધીને મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે કે પાકિસ્તાનને ચીને તૈયાર પરમાણુ બોમ્બ જ આપી દીધો છે. ચીન પાકિસ્તાનને નવા અદ્યતન ફાઈટર જેટ પણ આપી રહ્યું છે. આ સિવાય ચીને પાકિસ્તાનને ઘાતક મિસાઈલો પણ આપ્યા છે. ચીન પાકિસ્તાનને સૈનિકી મદદ કરતું રહ્યું છે અને ભારત સાથેની સામરિક જરૂરતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રવૃતિ આગળ પણ ચાલુ રાખશે, તે નિશ્ચિત છે.
ભારતે કમ્યુનિસ્ટ ચીન સાથે પહેલેથી સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે કમ્યુનિસ્ટ ચીનને દુનિયાના વિરોધ છતાં માન્યતા આપી હતી. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય પદ અપાવવા માટે નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. જો કે નહેરુના પ્રયત્નોથી મળેલા વીટો પાવરને ચીને અવાર-નવાર ભારત વિરુધ્ધ વાપર્યો છે. ભારત શરૂઆતથી જ ચીને પોતાના સામરિક સહયોગી તરીકે જોતું રહ્યું હતું. ભારતના શરૂઆતના પ્રયત્નોમાં તેની તે મનસા પ્રતિબિંબિત થાય છે. પણ લુચ્ચાઈથી ભરેલા ચીની ડ્રેગનના દિલમાં કંઈક બીજી ગણતરીઓના મંડાણ થયા હતા. ચીનનો વિસ્તારવાદી ચહેરો ત્યારે સામે આવ્યો કે જ્યારે તેણે શિનશિયાંગ અને તિબેટ પર લશ્કરી બળ વાપરીને કબ્જો જમાવ્યો હતો.
તિબેટ પર કબ્જો જમાવીને ચીન સમગ્ર હિમાલયન પટ્ટીના નાના સ્વતંત્ર રાજ્યો અને ભારતીય પ્રદેશોને હડપ કરવાની મનસા ધરાવે છે. ચીનની આ વિસ્તારવાદી ગણતરીમાં કોઈ આડે આવે, તેમ હતું કે છે તો તે ભારત છે. કારણ કે ભારતની વધતી આર્થિક અને સૈનિકી તાકાત ચીન માટે મોટો પડકાર બની શકે તેમ છે. જેના કારણે ભારત તરફથી લંબવવામાં આવેલા મિત્રતાના હાથને ચીને ઠુકરાવ્યો હતો. જો કે ચીનને જ્યાં સુધી પોતાની શક્તિ ભારતનો મુકાબલો કરવા માટે સક્ષમ હોવાની ખાતરી ન થઈ, ત્યાં સુધી તેણે હિંદી-ચીની ભાઈ ભાઈનું નાટક ચાલુ રાખ્યું હતું. જ્યારે ચીનને ભારત પર સામરિક અને લશ્કરી બઢતની ખાતરી થઈ ગઈ તે વખતે જ ચીને ભારત પર 1962માં હુમલો કર્યો હતો. જો કે ત્યાર બાદ તે તેના અન્ય પાડોશી દેશો સાથે યુધ્ધમાં વ્યસ્ત રહ્યું હતું. સાથે વૈશ્વિક સ્તરે પોતાની વિસ્તારવાદી છબી ખુલ્લી પડી ન જાય, તે માટે તે વખતના સંજોગોમાં ચીનને ભારત સાથેનું કોઈપણ લશ્કરી અટકચાળું ભારે પડી શકે તેમ હતું. આવે વખતે ચીનને એક એવા સામરિક સાથીની જરૂર હતી કે જે ભારતને લશ્કરી અને આર્થિક ક્ષેત્રે આગળ વધતું રોકે. ચીનની આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ કોઈ હતું તો તે એક માત્ર પાકિસ્તાન હતું.
ભારત વિરોધ પર રચાયેલા પાકિસ્તાન સાથે 1952માં ચીને સામરિક સમજૂતી કરી હતી. જેના કારણે પાકિસ્તાન ચીનનું સામરિક સહયોગી બન્યું. ચીન અને પાકિસ્તાનની સામરિક ધરીએ ભારતને આજ દિન સુધી અકલ્પ્ય નુકસાન પહોંચાડયું છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કરીને કેટલોક ભારતીય ભૂભાગ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વખતે જે શાખ હતી, તેના કારણે ચીનને પોતાના વિકાસમાં ભારત વિરોધી પ્રવૃતિઓ અવરોધરૂપ બને તેવી શક્યતા હતી. ચીને આ સંભાવનાઓને જોઈ અને જાણ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુધ્ધ સામરિક ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના તમામ સામરિક અને લશ્કરી પગલાં ભારત વિરોધી હતા. તેમાં હંમેશા પાકિસ્તાનને પોતાના હિતોની પૂર્તિ દેખાતી હતી. પણ હકીકત એ હતી કે પાકિસ્તાનના હિતોની સાથે સાથે ચીન પોતાના ભારત વિરુધ્ધના સામરિક હિતો સાંધી રહ્યું હતું. ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને અદ્યતન ટેકનોલોજી માટે અમેરિકા કરતાં ચીન વધારે પ્રમાણમાં જવાબદાર હતું. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ હોય કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ હો.ય કે અન્ય લશ્કરી સહાયતા હોય. ચીને પાકિસ્તાનને તેનાથી બેથી ત્રણ ગણા ભારત સામે લડવાની ક્ષમતા પૂરી પાડી હતી. જો કે તે વખતે પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોરનો પણ ફાયદો મળ્યો હતો. પણ સૌથી વધારે ફાયદો ચીનની મદદથી થયો હતો. આ એ સમયગાળો છે કે જ્યારે પાકિસ્તાનમાં નોન સ્ટેટ એકટરની સરખામણીએ આર્મી સ્વરૂપે સ્ટેટ એકટર પ્રભાવી હતા. આવા સમયે મૂર્ખ તાનાશાહોએ ભારત સામે 1965 અને 1971માં યુધ્ધો કર્યા હતા. જેમાં 1971ના યુધ્ધમાં પાકિસ્તાનના ટુકડા થયા હતા. 80ના ઉતરાર્ધમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સ્વરૂપે નોન સ્ટેટ એકટર્સ પણ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના સહયોગથી પ્રભાવી બનવા લાગ્યા હતા. 1991માં કોલ્ડ વોરના સોવિયત રશિયાના પતન બાદ ખતમ થવાને કારણે પાકિસ્તાન ભારત સામે યુધ્ધ કરવા સુધી જઈ શકે તેમ ન હતું. જો કે ભારતમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ લઈને પાકિસ્તાને ભારતમાં આતંકવાદની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ પોતાના હિતો સાંધવા માટે શરૂ કરી હતી. જો કે પાકિસ્તાનના ભારત સામેના યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિઓથી ચીનના સામરિક લક્ષ્યો સિધ્ધ થતાં હતા.
ચીનનું એકમાત્ર લક્ષ્ય હતું કે ચીનની સરખામણીએ ભારત એશિયા કે વિશ્વમાં ચીનનો જવાબ બની ન શકે. આર્થિક દ્રષ્ટિએ અને સૈનિકી ક્ષેત્રોમાં ચીન કરતાં ભારત કોશો દૂર રહે. આ માટે ચીને પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ભારત પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિ તથા કારગિલ કાંડને કારણે આર્થિક પ્રગતિ તરફ પોતાનું ધ્યાન યોગ્ય પ્રમાણમાં કેન્દ્રિત કરી શક્યું ન નથી. યુધ્ધ અને અવિરત આતંકવાદી પ્રવૃતિને કારણે ભારત અદમ્ય પ્રયત્નો છતાં આર્થિક અને વિકાસમાં બહુ મોટી હરણફાળ ભરી શક્યું નથી. ભારતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી પ્રવૃતિઓ ચાલે તેમાં ચીનને પણ રસ છે. ભારતના ટુકડા કરવાની નીતિ પર ચીન તેની થિંક ટેન્કના સૂચન પહેલા જ કામ કરી રહ્યું છે. ભારતીય ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃતિ કરી રહેલા જૈશે મહોમ્મદના સરગના અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદીઓ વિરુધ્ધના પ્રસ્તાવનો ટેનકનિકલ કારણોસર ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિરોધ કર્યો છે. આ પ્રકારે પહેલા પણ કેટલીક પાકિસ્તાન તરફી અને ભારતના હિત વિરોધી પ્રવૃતિઓમાં ચીને ખુલીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. જો કે સોવિયત સંઘના પતન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રોમાં વધી રહેલા આતંકવાદે 9/11 બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે અમેરિકા અને નાટો દળો આ ક્ષેત્રોમાં ઉતરી આવ્યા છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પણ તેની પાછળનું કારણ પાકિસ્તાન સ્ટેટ તરીકે ટકી રહે અને આતંકવાદ સામે લડતું રહે તે છે. જો કે ભવિષ્યની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને સામરિક સહયોગ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનને પેટમાં દુખ્યું છે અને તે માથુ કૂટી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકાનો સામરિક સહયોગ વધે, તો તેના સામરિક હિતો ઘવાય તેમ છે. આવા સંજોગોમાં અમેરિકા ભારતને લશ્કરી અને આર્થિક મદદ પોતાની સામરિક જરૂરિયાતો પ્રમાણે કરે તેવી સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં ચીન સામે પાકિસ્તાન સાથે ઉલજેલું રહેલું ભારત એક મોટો પડકાર બની શકે, તેમ છે. અમેરિકાના ક્ષેત્રમાં લશ્કરી હસ્તક્ષેપને કારણે પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સીધા સામેલ થવું હવે અઘરું છે. કારણ કે પાકિસ્તાનના નિયંત્રણ બહાર ગણાતાં તથાકથિત નોન સ્ટેટ એકટર્સ અને તાલિબાન વિરુધ્ધ મોટું લશ્કરી અભિયાન તેમને રોકી રહ્યું છે.
26 નવેમ્બર, 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પ્રાયોજિત નોન સ્ટેટ એકટર્સ પર આંતરરાષ્ટ્રીય દબાણને વશ પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ જેવા કે આર્મી અને આઈએસઆઈએ નિયંત્રણો લાધવા પડયા છે. જેના કારણે ત્યારથી ઘણાં લાંબા સમય સુધી ભારત પર કોઈ આતંકવાદી હુમલો થયો નથી. જો કે આવા હુમલા માટેની તૈયારીઓ અને શક્યતાઓની ઈન્ટેલીજન્સ બ્રીફ આવતી રહે છે. આવા હુમલા હવે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સ હવે ભારતમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કરે તેવી સંભાવનાઓ વધારે છે. તેવા સંજોગોમાં જનતાના દબાણ નીચે ભારત સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર બને તેવી સંભાવનાઓ વધારે છે. આવા સંજોગોમાં ભારત સાથેના સામરિક લક્ષ્યો સાંધવા માટે ચીન માટે પાકિસ્તાન નકામુ સાબિત થશે. આવા સંજોગોમાં ચીન માટે પોતાના ભારત સામેના સામરિક લક્ષ્યોની પૂર્તિ માટે પોતે જ સામે આવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાલમાં અમેરિકાને જવાબ આપવાની ક્ષમતા ધરાવતું ચીન સરહદે અતિક્રમણ અને અરુણાચલ પ્રદેશ પરનો દાવો કરીને એશિયામાં પોતાની ધાક જમાવવા માટે ભારતને એક સામરિક સંદેશ આપી રહ્યું છે. ત્યારે ભારતે કોઈપણ આપરાધિક ઉપેક્ષા કર્યા વગર પોતાની તમામ પ્રકારની તૈયારીઓ રાખવી જરૂરી બની છે.
ચીન સાથે મુકાબલો કરવા માટે બંને દેશો વચ્ચેના શક્તિ અસંતુલનને સમાપ્ત કરવાની પહેલ કરવી પડશે. વિશ્વસનીય આંકડાઓથી સિધ્ધ થાય છે કે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ દ્વારા ચીન ભારતનો પહેલો શત્રુ હોવા સંદર્ભે કરાયેલા નિવેદનનો છતાં આપણે આપણી સૈન્ય ક્ષમતા બાબતે ઉપેક્ષા કરી હોવાની વાતની ચાડી ખાય છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે, જેના ત્રીસ લાખ સૈનિકો છે. ચીન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેન્ડિંગ આર્મી છે. 2009માં ચીનનું સંરક્ષણ બજેટ 70.3 અબજ ડોલર હતું. જ્યારે 2009માં ભારતનું સંરક્ષણ બજેટ 32.7 અબજ ડોલર હતું. સૈન્ય બાબતોના આંકડા જોઈએ, તો ભારત ચીન કરતાં દરેક મામલે પાછળ છે. ચીનનો સાક્ષરતા દર 92 ટકા છે, જ્યારે ભારતનો સાક્ષરતા દર 65 ટકા છે. ભારતની 27.5 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે છે, જ્યારે દસ ટકા ચીની લોકો જ ગરીબી રેખાની નીચે છે. ચીનના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન 48.6 ટકા છે, જ્યારે ભારતના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 29 ટકા છે. ચીન પાસે 21.3 ખરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે ભારત પાસે 280 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે. ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ચીન પાસે ભારત કરતાં બહેતર સામરિક તાકાત ઉપલબ્ધ છે. આ સમયે જરૂરી છે કે ભારત પોતાની પ્રતિરોધક ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરે.જો કે 1968માં નેફા બોર્ડર પર અને 1987માં સિક્કિમના ફિંગર પોઈન્ટ પર કરાયેલા ચીની અડપલાંઓનો ભારતીય સેનાએ પૂર્ણ દિલેરીથી માકૂલ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીને ભારત સામે આક્રમક વલણની શરૂઆત કરી છે. ત્યારે ભારતે પોતાની ક્ષમતા વધારવા સાથે આવા કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે.
એક દાર્શનિકનું કથન છે કે ન્યાયનો પ્રશ્ન ત્યારે ઉદભવે છે કે જ્યારે શક્તિનું સમીકરણ બરાબર હોય. બાકીની પરિસ્થતિઓમાં શક્તિશાળી જ બધું લઈ જાય છે કે જે તે લઈ જઈ શકે છે અને કમજોરને જ ઝુકવું પડે છે. જો આપણે વૈશ્વિક શક્તિ સંતુલનની એક ધુરી બનવું હશે, તો આપણે આપણી રાષ્ટ્રીય શક્તિની પરિધિ વધારવી પડશે અને તેના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. માત્ર શક્તિનું પાસું જ એ નિર્ધારિત કરનારું હશે કે આપણા રાષ્ટ્રીય ઉદેશ્યોની પૂર્તિ કેવી રીતે થશે? નિશંકપણે આ યોગ્ય સમય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નૈતિકતા, ન્યાય અને શક્તિ જેવા મુદ્દાઓ પર નવેસરથી ચર્ચા આરંભ થવી જોઈએ. આપણે સ્વીકાર કરવું પડશે કે આંતરરાષ્ટ્રીય નૈતિકતા સૈન્ય શક્તિના સહારા વગર કાયમ રહ શકે, તેવી બાબાત છે. ત્યારે ભારતે શાંતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, પણ 1962ની જેમ સામરિક બાબતોમાં કૂટનીતિ પર જ આધાર ન રાખવો જોઈએ. આપણે સૈન્ય શક્તિને વધારવા માટે અને આપણા સામરિક લક્ષ્યોને પર પાડવા માટે પૂરતું મહત્વ આપવું જોઈએ. આ માટે દીર્ધકાલિક, સ્થિર અને એકનિષ્ઠ સૈનિક નીતિ બનાવવી જોઈએ અને ભારતીય રાજકારણના ગેરરાષ્ટ્રીય, આત્મમુગ્ધ, વિલાસી ચરિત્રને છેહ આપવો જોઈએ.

No comments:

Post a Comment