Thursday, October 10, 2013

હિંદુ રાષ્ટ્રને ટકાવવા માટે હિંદુ રાજ્ય જરૂરી

-        પ્રસન્ન શાસ્ત્રી
ભારત સનાતનકાળથી દૈદીપ્યમાન સૂર્યની જેમ વિશ્વમાં માનવતાનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. ભારતનો ભવ્ય ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે માનવ, માનવ બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે ભારતે વિશ્વગુરુ બનીને દુનિયાનું માર્ગદર્શન અને નેતૃત્વ કર્યું હતું. આજે પણ માનવનો માનવ બનવાનો સંઘર્ષ ફરીથી શરૂ થયો છે. માનવતા સામે માનવીએ જ ઉભા કરેલા વિકરાળ સંકટો છે. ત્યારે ભવિષ્યમાં પણ ભારતે વિશ્વનું નેતૃત્વ વિશ્વગુરુ તરીકે પોતાના હાથમાં લઈને દુનિયામાં માનવતાના કલ્યાણ માટે માર્ગદર્શન કરીને માનવતાનું સંરક્ષણ કરવાનું છે.

ભારત એક આધ્યાત્મિક રાષ્ટ્ર છે અને તેની આધ્યાત્મિક શક્તિ જ તેની મૂડી છે. પ્રવર્તમાન સમયમાં વિશ્વના અન્ય ઘણાં દેશો ભારત કરતા વિજ્ઞાન-ટેકનોલોજી, ધન-સંપત્તિ, ખનીજ સંપદા, શિક્ષણ, આરોગ્ય, માનવીય સૂચકાંક વગેરે ક્ષેત્રોમાં આગળ છે. પરંતુ આ તમામ બાબતોને સંપૂર્ણ બનાવતી આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં ભારતથી આગળ ગણાતા આ દેશો ભારતથી યોજનો દૂર છે. સુખ-સમૃદ્ધિ અને શક્તિ મળ્યા પછી શાંતિની સ્થાપના જરૂરી હોય છે. આ શાંતિ ભૌતિક બાબતોના અતિરેક અથવા અગ્રેસરતાથી આવતી નથી. શાંતિ કોઈ ભૌતિક વસ્તુ નથી. શાંતિની સ્થાપના આધ્યાત્મિક આચાર-વિચાર અને વ્યવહાર દ્વારા થઈ શકે છે. આધ્યાત્મિકતા વિશ્વનું કલ્યાણ કરીને શાંતિને જન્મ આપીને તેને સ્થિર કરે છે. ભારતમાં સનાતન કાળથી અજબની આધ્યાત્મિક ચેતના છે. જેના કારણે ભારત વિશ્વનું માર્ગદર્શન કરે છે. પ્રવર્તમાન સમયમાં પશ્ચિમી દેશો, અમેરિકા અને ચીનની હવા અને દેખાદેખીમાં ભારતની આધ્યાત્મિક ચેતના સપાટી પર દેખાતી નથી. આ આધ્યાત્મિક ચેતના પરદેશી વાયરાથી પર એવા રાષ્ટ્રસાધકો અવશ્ય અનુભવી શકે છે. સામાન્ય ભારતીયોને આનો અનુભવ બહુ મુશ્કેલીએ થાય છે. તેનું કારણ ભારતની પ્રવર્તમાન સમસ્યાઓનું જાળું છે. જો કે આ સ્થિતિ રાખથી ઢંકાયેલા લાલચોળ અંગારા કે પ્રકાશવાન સૂર્યની સામે કાળું ડિબાંગ વાદળું આવી જવા જેવી છે. પરંતુ એક બાબત નિશ્ચિત છે કે આ રાખ દૂર થશે અને વાદળો પણ હટશે, અગ્નિ પ્રજ્વલિત થશે અને પ્રકાશ પણ મળશે.


જ્યાં સુધી ભારતની સમસ્યાઓનો સવાલ છે. ભારત પ્રવર્તમાન સમયમાં પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક આતંકવાદ, ચીન દ્વારા સરહદે દાદાગીરી, આંતરીક સ્તરે ક્ટ્ટરપંથી મુસ્લિમોની સંગઠન સ્વરૂપે સક્રિયતા, વિદેશ નીતિમાં ધબડકાને કારણે વૈશ્વિક પ્રભાવમાં ઘટાડો, પાડોશી દેશો સાથે અસહજ સંબંધો, રેડ કોરિડોરમાં નક્સલવાદી હિંસાચાર, પૂર્વોત્તર ભારતમાં અલગતાવાદી ચળવળો, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત પાકિસ્તાન પ્રેમીઓના ઉંબાડિયાઓ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સિવાય ભારતમાં ગરીબી, ભૂખમરો, કુપોષણ, મૂલ્યહીનતા, મોંઘવારી-ફૂગાવો, ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર, ગુનાખારી, કાળું નાણું જેવી સમસ્યાઓ પણ મોટા પ્રમાણમાં છે. દેખાવમાં આ સમસ્યાઓ જુદીજુદી અને વિકરાળ લાગે છે. પણ તેની પાછળ માત્ર એક કારણ જવાબદાર છે. પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ હિંદુસ્થાનમાં રહેલા હિંદુ રાષ્ટ્રને ભૂંસવાનો, તેને નબળું બનાવવાનો બેશરમ પ્રયત્ન કરી રહી છે. હિંદુ રાષ્ટ્રને ભૂસંવા માટે વ્યવસ્થિત આયોજનબદ્ધ પ્રયત્નો થઈ રહ્યા છ. આ કોશિશોમાં રાષ્ટ્રીય પરંપરાના સંસ્કારો ભૂલેલા હિંદુઓ જ હાથો બની રહ્યા છે. તેનાથી વધારે કરુણ પરિસ્થિતિ એ છે કે હિંદુત્વવાદી છબી ધરાવતા નેતાઓ પણ જાણે-અજાણે પોતાની કથની-કરણી દ્વારા આવા પ્રયત્નોને પ્રોત્સાહીત કરી રહ્યા છે. તેની પાછળનું કારણ હિંદુત્વવાદી છબી ધરાવતા નેતાઓની પ્રગતિશીલ, વિકાસવાદી અને સેક્યુલર દેખાવાની ઘેલછા છે.

પરંતુ આ તમામ હિંદુ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં એક જ આશાનું કિરણ હાલ દેખાય છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘની વિચારધારાનો સાર તેને હિંદુ રાષ્ટ્ર સાથેનું અવિભાજ્ય અંગ બનાવે છે. સંઘનો વિશ્વાસ હિંદુત્વમાં છે અને હિંદુસ્થાનને સિદ્ધાંત અને વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે. પરંતુ માનવજીવન સાથે સંલગ્ન અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કરી રહેલા સંઘને રાજકીય મોરચે પોતાના હિંદુત્વવાદી વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે તેવો સક્ષમ અને સ્પષ્ટ રાજકીય મંચ હજી સુધી મળ્યો નથી. તેના આવા પ્રવર્તમાન તથાકથિત રાજકીય મંચોની હિંદુત્વ સંદર્ભે અસ્પષ્ટ અને મુસ્લિમો સાથે સમજૂતીવાદી તુષ્ટિકરણની નીતિઓને પરિણામે અસમંજસતા અને ગુંચવાડાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજકીય બોદાપણું, તકવાદ અને રાજકીય અનૈતિકતાને કારણે હિંદુ રાષ્ટ્રને ભૂંસવાની મનસા રખતા તત્વો ગેલમાં છે. હિંદુ રાષ્ટ્ર આઝાદીના 66 વર્ષે વ્યવહારમાં રાજકીય ઢાંચામાં મજબૂતી મેળવી શક્યું નથી. જેના કારણે ભારત હાલ સમસ્યાઓના સમુદ્રમાં ડૂબી રહ્યું છે.

આમ તો હિંદુસ્થાનમાં રાષ્ટ્રની કલ્પના અત્યંત પ્રાચીન છે. ભારતમાં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ વૈદિકકાળથી થતો આવ્યો છે. ભારતના અર્વાચીન યુગમાં હિંદુ રાષ્ટ્રની પહેલ-વહેલી વ્યાખ્યા અને તેની ઘોષણા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કરી હતી. લોકમાન્ય બાલગંગાધર ટિળક, લાલા લાજપતરાય, વીર સાવરકર, પંડિત મદન મોહન માલવિયા, મહર્ષિ અરવિંદ ઘોષ જેવા મહાપુરુષોએ સંઘની સ્થાપના પહેલા હિંદુસ્થાનને હિંદુ રાષ્ટ્ર માન્યું હતું. 1925માં સંઘની સ્થાપના થઈ. સંઘના આદ્યસંસ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે ભારત હિંદુ રાષ્ટ્ર હોવાની સ્પષ્ટ ઘોષણા કરી હતી. આમ તો રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર સંઘની ભૌતિક ભેટ નથી. પરંતુ હિંદુ રાષ્ટ્રની સુરક્ષા અને સંવર્ધન તેના સ્વઘોષિત રાષ્ટ્રવાદી સિદ્ધાંતો પ્રમાણે પ્રાથમિક જવાબદારી છે. સંઘની શાખામાં આ સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવા માટે વ્યક્તિને સંસ્કારીત કરીને વ્યક્તિત્વ નિર્માણ કરાય છે. સંઘની શ્રદ્ધા છે કે શાખામાં વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણ થશે. જેના કારણે પ્રવર્તમાન સમયમાં એક રાષ્ટ્રવાદી સંગઠન તરીકે માનવજીવનના રાજનીતિ સહીતના તમામ ક્ષેત્રોમાં પહોંચ વધારવી અને સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવાનું કામ સંઘ કરી રહ્યો છે. ત્યારે સમયની માંગ છે કે આ ક્ષેત્રોને હિંદુ જીવનપદ્ધતિ અનુરૂપ બનાવીને હિંદુ રાષ્ટ્રને મજબૂત કરવાનું ઈશ્વરીય કાર્ય ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ઝડપી બનાવવું જોઈએ.

ભારતનો આત્મા હિંદુ છે. ભારતનું રાષ્ટ્રીય મન હિંદુ છે. ભારતનો રાષ્ટ્રીય પ્રવાહ હિંદુ છે. ભારતની રાષ્ટ્રીયતા હિંદુ છે. ભારતની આકાંક્ષાઓ હિંદુ મન-આત્માની દેણ છે. તેથી ભારતમાં કોઈપણ રાષ્ટ્રવાદની વાત હિંદુઓને સ્પર્શે છે. હિંદુ ભારતમાં રાષ્ટ્રવાચક શબ્દ છે. જો કે કેટલાંક વૈચારીક દ્રષ્ટિએ વિકૃત લોકોએ હિંદુ શબ્દને સંપ્રદાયવાચક બનાવી દીધો. આ કામ અંગ્રેજોના સમયમાં કરાયું હતું. ભારતની ઓળખ હિંદુઓને કારણે છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ અકબંધ રાખવા માટે હિંદુ રાષ્ટ્રવાદ અને હિંદુ રાષ્ટ્ર ભારતીય પ્રજાસત્તાક રાજ્યમાં મજબૂત બને તે જરૂરી છે.

વિશ્વનો ઈતિહાસ જણાવે છે કે જ્યારે રાષ્ટ્રને રાજ્યનો આશ્રય મળતો નથી કે આશ્રયદાતા રાજ્ય નબળું પડે છે, ત્યારે  રાષ્ટ્ર પણ નબળું પડીને ધીમેધીમે વિશ્વની ક્ષિતિજ પરથી અદ્રશ્ય બનીને ઈતિહાસ બની જાય છે. પ્રાચીન યૂનાન, રોમ અને ઈજીપ્ત જેવા મજબૂત દેશોને પણ તેમના રાષ્ટ્રની સુરક્ષા કરવામાં તેમના રાજ્યો નિષ્ફળ જતા રાષ્ટ્રીય ઓળખ ગુમાવવી પડી છે. ભારત છેલ્લા 1200 વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અમુક અપવાદોને બાદ કરતા ભારતમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યોએ રસ દાખવ્યો નથી. આજે કહેવામાં આવે છે કે ભારત જીવંત રાષ્ટ્ર છે. પરંતુ સાથે એક બાબત ભૂલવી જોઈએ નહીં કે ભારત સદીઓથી રાષ્ટ્રને જાળવવાની ગુનાહીત બેદરકારીને પરિણામે ખંડિત થતું રહ્યું છે. 1947માં ભારતમાંથી મજહબી આધારે ઈસ્લામિક દેશ પાકિસ્તાનને મંજૂરી આપવી પડી. હાલ આ ખંડિત ભારત કોઈ ઘોષિત રાષ્ટ્રીય ઓળખ વગરનું પ્રજાસત્તાક રાજ્ય છે. હજી પણ ભારતમાં રહેલા હિંદુ રાષ્ટ્રને સુરક્ષિત અને સંવર્ધિત કરવામાં નહીં આવે, તો ભારતને હજીપણ વિભાજન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

આવી સ્થિતિમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યની સ્થાપના કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવતી નથી. ભૂતકાળમાં સ્વતંત્રતાના ત્રણેક દશકા ભારતને હિંદુ રાજ્ય બનાવવાની જરૂરત પર ચર્ચાઓ થઈ છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યની સ્થાપના મુદ્દે બધાંના મોઢા બંધ છે. આ મુદ્દે રાષ્ટ્ર અને રાજ્યની વ્યાખ્યાઓની ચર્ચા કરીને શબ્દોની રમત થકી તર્કો આપવામાં આવે છે. ભારત હિંદુ રાજ્ય બની શકશે નહીં, તેવા નિવેદનો સંસદમાં હિંદુત્વવાદી નેતાઓ આપે છે. જેના કારણે પ્રખર હિંદુત્વવાદીઓ પણ ભારત હિંદુ રાજ્ય બનવું જોઈએ, તેવું કહેતા અચકાય છે. પરંતુ હકીકત એ છે કે હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્ય એક સિક્કાની બે બાજુ છે. હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્યને અલગ પાડી શકાય નહીં. હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર ત્યારે જ રહી શકે, જ્યારે તેને હિંદુ રાજ્ય ઘોષિત કરવામાં આવે. તેના સિવાય ભારત દીર્ઘકાળ સુધી અત્યારનું સ્વરૂપ જાળવીને હિંદુ રાષ્ટ્ર રહી શકશે નહીં.

1947 પહેલા આખું હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર કહેવાતું હતું. 1947માં ભાગલાને કારણે હિંદુસ્થાનની 30 ટકા જમીન કાપની પાકિસ્તાન નામનું ઈસ્લામિક રાજ્ય બનવા દેવાયું. હાલ અખંડ ભારતની 70 ટકા જમીન હિંદુસ્થાન કે ભારત તરીકે ઓળખાય છે. તેને જ હિંદુ રાષ્ટ્ર તાજેતરના સમયમાં કહેવામાં આવે છે. ખંડિત હિંદુસ્થાનને આયોજનબદ્ધ રીતે ઈસ્લામીકરણના કારસ્તાનોનો ભોગ બનવું પડે છે. તેથી ઓછામાં ઓછું ખંડિત હિંદુસ્થાનને કાયમી ધોરણે હિંદુ રાષ્ટ્ર તરીકે ટકાવી રાખવા માટે તેને હિંદુ રાજ્ય ઘોષિત કરવું જોઈએ અથવા અઘોષિતપણે હિંદુ રાજ્ય બનાવવા માટે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ.

સંજોગોની માંગ છે કે ભારતને હિંદુ રાષ્ટ્ર માનવાવાળા લોકો હિંદુસ્થાનને હિંદુ રાજ્ય ઘોષિત કરવા માટે અસરકારક રાજકીય સંગઠન અથવા આંદોલન ઉભું કરીને દેશનું નેતૃત્વ કરવા માટે આગળ આવે. સંઘના ગણાતા રાજકીય મંચમાં બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વોની ભરમાર છે અને તેમનું ઘણું મોટું વર્ચસ્વ છે.તેમના માટે હિંદુ રાષ્ટ્ર, હિંદુઓનો રાજકીય એજન્ડા કોઈ મહત્વ ધરાવતો નથી. આવા બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વો સાથેના હિંદુ રાષ્ટ્રવાદીઓના કજોડાં લગ્ન વધારે સમય સુધી ટકવા કઠિન છે. હિંદુરાષ્ટ્રને હિંદુરાજ્ય ઘોષિત કરવામાં અડચણરૂપ બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વોથી હિંદુ રાષ્ટ્રવાદીઓએ અલગ થઈને હિંદુસ્થાનને હિંદુ રાજ્ય ઘોષિત કરવા માટે આંદોલનનું એક બળવાન માધ્યમ બનવું પડશે. આવા સંગઠન અને આંદોલનને હિંદુ પ્રજામાં વ્યાપક સમર્થન ટૂંકાગાળામાં પણ મળી શકે છે. હિંદુ જનમાનસ ભારતના રાજકીય માળખામાં આમૂલ પરિવર્તન માટે શ્રીરામજન્મભૂમિ આંદોલન કાળથી તૈયાર છે. તેમને યોગ્ય દિશા આપનારા રાજકીય નેતૃત્વ અને સંગઠનની જરૂર છે. આવું હિંદુત્વવાદી સંગઠન અને આંદોલન રાષ્ટ્રીય જીવનમાં ટૂંકાગાળામાં છવાઈ શકે છે. દેશના 85 ટકા હિંદુઓમાંથી 40-45 ટકા હિંદુ મતો એકત્રિત કરીને દેશની રાજનીતિને હિંદુત્વવાદી દિશા આપી શકાય તેમ છે. તેનાથી ભારતને ઘોષિત કે અઘોષિત હિંદુ રાજ્ય બનાવવાનો માર્ગ મોકળો બનશે.

ભૂતકાળમાં આંધ્રપ્રદેશમાં ફિલ્મ અભિનેતા એન. ટી. રામારાવે તેલગુ દેશમ પાર્ટી બનાવીને રાજ્યના 40-45 ટકા હિંદુમતો પોતાની પાછળ એકઠા કરીને નહેરુવાદી કોંગ્રેસને પછાડી આંધ્રપ્રદેશ વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતી મેળવી હતી.

મોરેસિયશમાં 53 ટકા હિંદુઓ છે. ત્યાં ભારતીય મૂળના 16 ટકા મુસ્લિમો અને 27 ટકા ક્રિયોલ ખ્રિસ્તીઓ છે. અહીં મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ સાથે મળીને વિદેશી શક્તિઓના જોરે મોરેસિયશની સત્તા કબજે કરવા માટે આયોજનબદ્ધ યુક્તિ અજમાવી. પરંતુ મોરેશિયસમાં હિંદુ નેતૃત્વની સમજને કારણે 40 ટકા હિંદુ મતો એકત્રિત કરી શકાયા.પરિણામે 21 ઓગસ્ટ, 1983ની નિર્ણાયક સામાન્ય ચૂંટણીમાં હિંદુઓને મોરેસિયશમાં સત્તા ફરીથી મળી.


મલેશિયામાં 51 ટકા મુસ્લિમો છે. પરંતુ તેઓ મલેશિયાને ઈસ્લામિક દેશ પણ બનાવી શકયા અને ત્યાં રાજ્ય પણ કરે છે. શ્રીલંકામાં 70 ટકા બૌદ્ધો છે. પરંતુ ત્યાં સત્તારુઢ પક્ષે 40-45 ટકા બૌદ્ધમતોને પોતાની પાછળ એકત્રિત કરીને લોકશાહી ઢબે શ્રીલંકાને બૌદ્ધ રાજ્ય ઘોષિત કર્યું હતું.

આ ઉદાહરણોનો અભ્યાસ કરવામાં આવે, તો હિંદુસ્થાનમાં 40-45 ટકા હિંદુ મતોને એકત્રિત કરવા કોઈ અશક્ય બાબત નથી. જો આટલા હિંદુ મતો એકત્રિત થાય, તો હિંદુઓના અંતરમનની આકાંક્ષાઓ સાકાર બની શકે. ભારતમાં મલેશિયા,મોરેસિયશ, શ્રીલંકા અને વિશ્વના અન્ય દેશોની લઘુમતીઓની સરખામણીએ ઓછી લઘુમતી છે. એકવાર ભારતના હિંદુ રાષ્ટ્રને હિંદુ રાજ્ય ઘોષિત કરવાના લક્ષ્ય સાથે હિંદુત્વવાદ સંગઠન અને આંદોલન ઉભું થઈ જાય, તો તે ઝડપથી જુદાજુદા સંગઠનોમાં રહેલા અને વિખરાયેલા તમામ હિંદુત્વવાદી તત્વોને પોતાની તરફ એકજૂટ કરી શકશે.

હિંદુ મતો ક્યારેય એકઠા થયા નથી અને થવાના નથી, તેવું કહેવું જૂઠ્ઠાણું છે. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે 1947 અને 1990થી 1998 સુધીના ગાળામાં હિંદુ મતો એકત્રિત થયા હતા. આ સિવાય હિંદુસ્થાનની સંસ્કૃતિ પરના સંકટોનો સામનો હિંદુઓએ સાથે મળીને કર્યો છે. આ કાર્યમાં કહેવાતી પછાત જાતિ અને વર્ગોનો હંમેશા મહત્વનો ફાળો રહ્યો છે. દુર્ભાગ્યનો વિષય છે કે અખંડ ભારતમાં ગાંધીજીએ મુસ્લિમોના સહકાર વગર સ્વતંત્રતા નહીં મળી શકે તેમ કહીને હિંદુઓનું મનોબળ તોડયું હતું. આજે ગાંધીજીના નવા માનસપુત્રો ચૂંટણી ગણિતો સમજાવીને કોઈપણ ભોગે મુસ્લિમ મતો મેળવતા અચકાવું જોઈએ નહીં, તેમ કહીને હિંદુઓને રાજકીય મોરચે હતાશા તરફ ધકેલી રહ્યા છે.

ભારતમાં 543 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો પણ માત્ર મુસ્લિમ મતોના ભરોસે જીતી શકાય તેમ નથી. તેવામાં મુસ્લિમ મતદારો કોમવાદી રીતે એકજૂટ થાય, તો હિંદુઓ પ્રત્યાઘાતમાં રાષ્ટ્રવાદી ભાવનાઓથી એકજૂટ બની શકે છે. જો કે તેના માટે સ્પષ્ટ રાજકીય નેતૃત્વની જરૂર છે. પરંતુ ભારતના હિંદુઓને રાજકીય નેતૃત્વની સતત દગાખોરીનો ભોગ બનવું પડયું છે. જેના કારણે દેશમાં રાજકીય હતાશાનો માહોલ છે અને તેવા સંજોગોમાં હિંદુઓને સક્ષમ રાજકીય નેતૃત્વ આપે તેવા આંદોલનની જરૂર છે. આવું રાજકીય નેતૃત્વ જ ભારતમાં રહેલા હિંદુ રાષ્ટ્રને સુરક્ષિત અને સંવર્ધિત બનાવવા માટે હિંદુ રાજ્ય ઘોષિત કરી શકશે


આવા રાષ્ટ્રવાદી લોકોના એકત્રીકરણને કોમવાદી કે પ્રતિક્રિયાવાદી કહેવું યોગ્ય નથી. જો કે પોતાને પ્રગતિવાદી અને સાચા બિનસાંપ્રદાયિક ગણાવવા માટે આ પ્રકારની પ્રવૃતિઓએ કરાશે. પરંતુ એકવાર જો હિંદુત્વવાદી આંદોલન હિંદુઓના રાજકીય મંચ માટે ઉભું થઈ જાય, તો દેશના સ્વરૂપને બંધારણીય રીતે હિંદુ રાજ્યમાં ફેરવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં. ભારતનું બંધારણ અપરિવર્તનીય નથી. સ્વતંત્રતાથી અત્યાર સુધીમાં ભારતીય બંધારણમાં 100થી વધારે સુધારા અને સંશોધનો થયા છે. આમેય હિંદુ રાષ્ટ્રની સુરક્ષા અને સંવર્ધન તરફની રાજકીય નેતૃત્વની ગુનાહિત બેદરકારી ભારતને વિસ્ફોટક સ્થિતિ તરફ ઘસડી રહી છે. આ વિસ્ફોટક સ્થિતિમાં બંધારણ પણ હવામાં અદ્રશ્ય થાય તો નવાઈ નથી.


ભારતની અંદર અને બહારના ઘટનાચક્રોએ ભારતની જનતા અને સરકાર સામે એવી સ્થિતિ પેદા કરી છે કે જેમાં તેમને છેવટે નિર્ણય કરવો પડે કે તેઓ હિંદુ રાજ્યના સ્વરૂપમાં હિંદુસ્થાનના હિંદુ રાષ્ટ્રને જીવિત જોવા ઈચ્છે છે કે નહીં? કે પછી ભારતને પ્રાચીન રોમ, યૂનાન અને ઈજીપ્તની જેમ ઈતિહાસની ખોવાયેલી સ્મૃતિઓ બનાવવા માગે છે? આજના જેવા સંજોગો બહુ લાંબુ ચાલી શકશે નહીં. હિંદુસ્થાનને વહેલો કે મોડો પોતાના ભાગ્યનો ફેંસલો કરવો પડશે. 

No comments:

Post a Comment