લેબલ corruption સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ corruption સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 6 જુલાઈ, 2011

ભારત ‘અગ્નિપથ’ પરથી ‘વિજયપથ’ પર આવશે?


ભારતની રાજકીય વ્યવસ્થા સંસદીય લોકશાહી પ્રકારની છે. આ રાજકીય વ્યવસ્થા અંતર્ગત ભારતમાં થોકબંધ રાજકીય પક્ષો દેશભરમાં ઉપલબ્ધ છે. પક્ષીય લોકશાહીમાં હંમેશા રાજકીય પક્ષો સત્તા પ્રાપ્ત કરવાનું, તેના પર નિયંત્રણ મેળવવાનું સાધન માત્ર છે. ભારતે પોતાની આઝાદીના 64 વર્ષોમાં સંસદીય લોકશાહી અંતર્ગત લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોનો વત્તા-ઓછા પ્રમાણમાં અનુભવ કરી લીધો છે. જો કે આ તમામ મુખ્ય રાજકીય પક્ષોની સત્તાનો અનુભવ ભારતની જનતા માટે એકંદરે એક જેવો જ રહ્યો છે. ભારતમાં ગાંધીજીનો ઈન્કાર હોવા છતાં કોંગ્રેસને આઝાદી બાદ રાજકીય પાર્ટી તરીકે ચાલુ રાખવામાં આવી. કોંગ્રેસે દેશ પર લગભગ ત્રણ દશકથી વધારે સમય સુધી સત્તાનું સુખ ભોગવ્યું.

ભારતમાં પક્ષીય રાજકારણના આટાપાટા અને પ્રજાને કોંગ્રેસ કરતાં વધારે સારું શાસન મળશેની આશા હોવાથી સત્તા અન્ય પક્ષોના ભાગે પણ આવી. 1977માં સંપૂર્ણ ક્રાંતિના નારા સાથે જનતા પાર્ટીના નેજા નીચે બિનકોંગ્રેસી નેતાઓ અને પક્ષોએ એકઠા થઈને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી. પરંતુ આ સત્તાસુખ ઘણું ઓછું રહ્યું હતું. 1989માં પણ જનતા દળ અને વી.પી.સિંહના નેતૃત્વમાં જનતાએ કેન્દ્રમાં બિનકોંગ્રેસી પાર્ટીઓને સત્તાની સોંપણી કરી. ત્યાર બાદ 1998માં ભાજપના નેતૃત્વવાળા એનડીએને જનતાએ સત્તાની સોંપણી કરી. પરંતુ જનતાને તમામ પક્ષો તરફથી મોહભંગ થવું પડયું છે. 2004થી જનતાએ કોંગ્રેસ કરતાં ખરાબ પુરવાર થનારા રાજકીય પક્ષો પાસેથી સત્તા આંચકીને કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને સત્તા આપી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-1 અને યુપીએ-2 સરકાર ભ્રષ્ટાચારના ખદબદતા કીચડમાં ગળાડૂબ છે. ત્યારે અત્યારે જનતા સામે સૌથી મોટો પ્રશ્ન છે, જાયે તો જાયે કહાં? કારણ કે રાજકારણના હમામમાં બધાં પક્ષોની નગ્નતાનો અનુભવ જનતા કરી ચુકી છે.

લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. પરંતુ ભારતની સંસદીય લોકશાહી જે કાયદાને આધારે ચાલી રહી છે, તે 1935ના ભારતીય અધિનિયમને અંગ્રેજોએ પોતાના શાસન માટે બનાવેલો હતો. તેમા કહેવા માટે તો જનતાના પ્રતિનિધિઓ જનતાની પસંદ દ્વારા ચૂંટાય છે. પરંતુ અત્રે સવાલ એ છે કે આ ચૂંટાતા જનપ્રતિનિધિઓ ખરેખર જનતાના પ્રતિનિધિ છે? શું આ જનપ્રતિનિધિઓ માટે જનતાની આંકાક્ષાઓ અને દેશહિત, પાર્ટી અને સ્વહીતથી ઉપર હોય છે? હકીકતમાં અંગ્રેજોના કાયદા પ્રમાણેની અંગ્રેજોની શાસન પદ્ધતિની નકલમાં સૌથી મોટી ખામી છે કે કોઈપણ પક્ષના જનપ્રતિનિધિઓ જનતાના પ્રતિનિધિઓ ન રહેતા, માત્ર પક્ષના પ્રતિનિધિઓ બની જાય છે. જેના કારણે દેશમાં છેલ્લા 64 વર્ષથી દેશહિતની રાષ્ટ્રીય નીતિ હેઠળ શાસન થયું નથી. બસ આ દેશમાં પાર્ટીના એજન્ડા અને હિત સાધવા માટેના કાયદા બનાવીને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર આવનારા પક્ષે શાસન ચલાવ્યું છે.

ભારતમાં ભ્રષ્ટાચાર અત્યારે તેના ચરમ પર છે, કારણ કે દેશની કહેવાતી લોકશાહીમાં વિકૃતિ તેના સર્વોચ્ચ શિખરે છે. કારણ કે જનપ્રતિનિધિઓ સંસદની અંદર જનતાનો અવાજ બનીને અભિવ્યક્ત થવાને બદલે પાર્ટીના પિઠ્ઠુઓ બનીને વર્તે છે. દેશની જરૂરતોને નજરઅંદાજ કરીને પોતાની પાર્ટીઓની હિતસાધનામાં તેના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ લાગેલા છે. બહુપક્ષીય સંસદીય લોકશાહી પદ્ધતિની તમામ વિકૃતિ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં હાલ ઉપલબ્ધ છે. આ વિકૃતિને દૂર કરવાની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવતી નથી. માત્ર સુધારાની વાત કરવામાં આવે છે. સુધારા હંમેશા થિંગડા જેવા હોય છે. કોઈ જીર્ણ વસ્ત્રને થિંગડા મારીએ તો પણ તે અન્ય જગ્યાએથી તો ફાટવાનું છે. તેના કરતા તો જીર્ણ વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર પહેરવું વધારે સારું છે. આટલો સામાન્ય તર્ક પણ ભારતની રાજકીય વ્યવસ્થામાં લાગુ કરીને સુધારો નહીં પણ પરિવર્તનનો પ્રયાસ આદરવા માટે કોઈની તૈયારી નથી. કારણ કે જનતા મોંઘવારીથી મરે તો મરે, જનતાનું લોહી આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ભાગલાવાદીઓ અને કટ્ટરતાવાદી વહેવડાવે તો વહેવડાવે, પરંતુ રાજકીય વ્યવસ્થામાં રહેલા દરેક રાજકીય પક્ષોની દુકાન પૂરજોરમાં ચાલે છે. તેઓ તેમની રાજકીય દુકાન હેઠળ ભારે નફો કરી રહ્યાં છે, તેનું સ્વરૂપ સત્તા, ભ્રષ્ટાચારના નાણાં અને અન્ય પ્રભાવો સ્વરૂપે સામે આવી રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં ભારતે વૈકલ્પિક રાજકીય વ્યવસ્થા સંદર્ભે પણ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર સામે આંદોલન કરતાં પહેલા તેના પ્રકારો, તેના કારણો અને તેમા સામેલ લોકો સંદર્ભે જનતાએ અને તેના નેતાઓએ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચારનું એક વ્યવસ્થિત તંત્ર ક્યાંથી અને કેવી રીતે વિકસિત થયું, તેની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને તેના પર વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર હકીકતમાં 64 વર્ષથી દેશમાં ચાલતી વિકૃત લોકશાહી દ્વારા નિર્માણ પામેલા શોષણ અને દોહનના તંત્રનું પરિણામ છે. આ વિકૃત લોકશાહીથી સ્થાપિત શોષણ અને દોહનનું તંત્ર સમાપ્ત કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર અતિઆવશ્યક છે. રોગની તાત્કાલિક સારવાર સાથે તેના મૂળમાંથી ઉપચાર માટેની સારવાર પદ્ધતિ અખત્યાર કરવી પડશે.

ત્યારે હાલ બે પ્રકારની પદ્ધતિ સામે આવી શકે છે, જેમાં એક-બે પાર્ટીની લોકતાંત્રિક વ્યવસ્થા અથવા તો પક્ષવિહીન લોકતંત્રની વ્યવસ્થામાંથી એકનો વિચાર કરી શકાય તેમ છે. જો કે એક-બે પક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર અન્ય મતોને કોઈ સ્થાન ન હોવાથી અને તેમાં શોષણના ભ્રષ્ટ તંત્રની સંભાવનાઓ પ્રબળ હોવાના કારણે પક્ષવિહીન લોકતંત્ર જેવી વૈકલ્પિક વ્યવસ્થા સંદર્ભે વિચારવાની સંપૂર્ણ આવશ્યકતા છે.

લોકતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોણ હોય? લોકો જ ને? લોકશાહીમાં તમામ શક્તિઓ શેને આધિન રહેવી જોઈએ? જનતાને જ ને? પરંતુ શું આપણી લોકતાંત્રિક વ્યવસ્થામાં સંસદીય પદ્ધતિને કારણે આવેલી વિકૃતિને કારણે શાસનની તમામ શક્તિઓ લોકોને આધિન છે? શું પ્રવર્તમાન લોકતંત્રમાં જનતા સર્વોચ્ચ સત્તા છે? તો તેનો જવાબ હશે, ના. કારણ કે જનપ્રતિનિધિ તરીકે ઓળખતા વ્યવસ્થા અને લોકો વચ્ચેના વચેટીયાઓ સર્વોચ્ચ સત્તાને પોતાની કરીને રાખી રહ્યાં છે. તેનો જનતાના હિતમાં જનતા માટે ઉપયોગ થઈ રહ્યો નથી, પરંતુ પાર્ટીના હિતમાં પાર્ટી માટે ઉપયોગ થઈ રહ્યો છે.

સંસદીય લોકશાહીના રાજપથથી રાજકારણીઓ સત્તાના શિખરો સુધી પહોંચી જાય છે. અહીં પહોંચીને તેઓ સત્તાનું દોહન કરીને રાષ્ટ્રમાં શોષણનું તંત્ર પ્રસ્થાપિત કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર દ્વારા પોતાના હિતો સિદ્ધ કરે છે. આ ભ્રષ્ટાચાર માત્ર નાણાંના સ્વરૂપે જ હોય તે જરૂરી નથી. આવા રાજકારણીઓએ ભારતને અગનજ્વાળાઓથી છવાયેલા અગનપથ પર એકલું છોડી દીધું છે. આ અગ્નિપથને વિજયપથ બનાવવાનો રસ્તો માત્ર ભારતની જનતા પાસે છે. તેના માટે ભારતની રાજકીય વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ પરિવર્તન થવું જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે કાળાં ધન, લોકપાલ બિલ, ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર આંદોલન ચલાવી રહેલા નેતાઓની આ દ્રષ્ટિ છે? જો આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે, તો તેની રીત શું હોઈ શકે? શું પ્રવર્તમાન રાજકીય વ્યવસ્થા અંતર્ગત તેમાં પરિવર્તન માટેનો કોઈ અવકાશ છે?

બુધવાર, 15 જૂન, 2011

ભ્રષ્ટાચાર સામેના અનશનમાં ધર્મ અને દંભ

-આનંદ શુક્લ
દેશ ધર્મના માર્ગે છે કે દંભના માર્ગે તે તાજેતરની અનશનની ઘટનાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ શું છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર વ્યક્તિ? દંભી સમાજના લોકોનો દંભ સ્વામી નિગમાનંદના મૃત્યુની ઘટનામાં છુપાયેલા બેવડાં ધારાધોરણોથી સામે આવી ગયો છે. નિગમાનંદ ગત 115 દિવસોથી અનશન પર હતા. પરંતુ તેઓ લોકોની, મીડિયાની, રાજકારણીઓની અને સાધુ-સંતોની જમાતથી ગુમનામ જ રહ્યાં. તેમના અનશન તોડાવવા માટે કોઈ સાધુ-સંતોએ થોડો પણ પ્રયત્ન કર્યો નહીં. કોઈ નેતાએ અપીલ કરીને પોતાની સંવેદનશીલતા પણ દર્શાવી નહી. નિગમાનંદ પણ હરિદ્વારના સંન્યાસી હતા. તેઓ ગંગામૈયાની લડાઈ લડી રહ્યાં હતા. ગેરકાયદેસરનું ખનન વધારે નક્કર મુદ્દો છે. તેમા નરી આંખે સામે થઈ રહેલો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. પરંતુ સ્વામી નિગમાનંદના મૃત્યુ પહેલા તેમની ક્યાંય કોઈ ચર્ચા થઈ નથી?

આપણા દેશમાં દરેક વ્યક્તિના અનશનને મહાન સંઘર્ષનો દરજ્જો મળતો નથી. આપણા દેશમાં અનશન અને અનશનમાં ઘણો મોટો ફર્ક સ્વામી રામદેવના અનશન અને સ્વામી નિગમાનંદના અનશન પરથી સ્પષ્ટ બની જાય છે. અનશન કરનાર દરેક વ્યક્તિની બગડી રહેલી તબિયત પ્રત્યે આપણા દેશના લોકો, નેતાઓ, મીડિયા અને અધિકારીઓના મનમાં કરુણા ઉપજતી નથી. પૂર્વોત્તર ભારતના મણિપુર રાજ્યમાં ઈરોમ શર્મિલા ગત દસ વર્ષોથી અનશન પર છે. તે નાગરીક જીવનને સેનાના નિયંત્રણ બહાર રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તે સ્ત્રી છે અને મનુષ્યના મૂળભૂત હકો માટે લડી રહી છે.

ભ્રષ્ટાચાર તો તેનાથી આગળની વાત છે. પરંતુ સ્વામી નિગમાનંદ અને ઈરોમ શર્મિલાનો આમરણાંત સંઘર્ષ દેશવાસીઓ, મીડિયાની અંદર કોઈ ઉતેજના પેદા કરતો નથી. આપણા માટે અનશન અથવા સંઘર્ષ ત્યારે જ મહત્વપૂર્ણ બને છે કે જ્યારે તે કોઈ માટો ટ્રસ્ટ અથવા સંગઠનના પ્રમુખ દ્વારા શરૂ કરવામાં આવે. આવા પ્રમુખ જેટ વિમાનથી ઉતરીને દિલ્હીના રામલીલા મેદનામાં પોતાના નાણાંથી પંડાલ લગાવીને ભાષણ આપી શકે છે. આ બંને પ્રકારની ઘટનાઓને સામે રાખીને ભારતવાસીઓએ આત્મચિંતન કરવું જોઈએ.

ઉંચ-નીચના જાતિગત ભેદભાવો તો ભારતમાં દરેક ક્ષેત્રમાં વત્તા-ઓછા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં પણ આપણે લોકોએ ઉંચી અને નીચી એવી શ્રેણીઓ બનાવી રાખી છે. મુદ્દો ચાહે જેટલો પણ કાલ્પનિક હોય, પરંતુ કોઈ ઉચ્ચ અધિકારી અથવા નેતા પોતાની સેવાનિવૃતિ બાદ કોઈ સભામાં ઉભો રહીને સંઘર્ષનું એલાન કરે છે અને તે મુદ્દો અચાનક મોટો સંઘર્ષ બની જાય છે. તેની રાજનેતાઓ અને મીડિયા નોંધ લે છે. આપણે આવા લોકોના મોટા કદથી વશીભૂત થઈ જઈએ છીએ. જો કે હકીકતમાં આવા લોકોના નેતૃત્વમાં આગળ વધતા સંઘર્ષમાં લોકો તેમની ચમચાગીરી વધારે કરે છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર નાથી શકાય તેમ નથી-આવા મતલબની ઘણી વાતો છતાં આમ આદમી પોતાની સામે થતાં ભ્રષ્ટાચારને જોવે છે અને તેની સામે પોતાની શક્તિ અને મર્યાદામાં રહીને લડાઈ લડે છે. જો કે આપણે જનતા આમ આદમીની શક્તિ વધારવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. ત્યારે આપણા માટે જરૂરી બને છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ અને અનશન બાબા રામદેવના નેતૃત્વમાં થાય કે અન્ના હજારે દેશવાસીઓને દિશા-નિર્દેશ કરે. પરંતુ તેવે વખતે ઈરોમ શર્મિલા અને સ્વામી નિગમાનંદ જેવા ખરા સંઘર્ષકર્તાઓને યાદ કરીને આત્મમંથન કરીએ તે જરૂરી છે.

શનિવાર, 11 જૂન, 2011

ગાંધી ચિંધ્યા માર્ગે બહુ ચાલ્યા, NOW CHANGE THE ROAD

-આનંદ શુક્લ
ભ્રષ્ટાચારની સામે અભિયાનો અને મુહિમના નામે દેશમાં બાબા રામદેવ અને અણ્ણા હજારે દ્વારા અનશનના ત્રાગાં ચાલી રહ્યાં છે. ગાંધીજી પાસેથી દેશને અનશનના ત્રાગાં અને હડતાલોનો વારસો મળ્યો છે. તેને બાબા રામદેવ અને અણ્ણા હજારે સારી રીતે જાળવી શકે તેમ લાગતું નથી. બાબા રામદેવ યોગાસનથી અનશનના સાતમા દિવસે આઈસીયૂમાં પહોંચી ગયા છે. અણ્ણા હજારેએ 15મી ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ પારિત કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો આમ નહીં થાય તો..અણ્ણા દેશની બીજી આઝાદીની લડત 16મી ઓગસ્ટથી લડવાના છે. તેના માટે પણ અનશનના ત્રાગાંની તેમણે ધમકી આપી છે.

સૌથી પહેલી વાત તો એ કે દેશને અત્યારે જન લોકપાલ બિલ અને વિદેશમાં જમા કાળા ધનને દેશમાં પાછું લાવીને ભ્રષ્ટાચારને રોકવાની પ્રાથમિકતા છે કે આજે લગભગ 68 રૂપિયે લીટર પેટ્રોલ ભરાવતા આમ આદમીના ખિસ્સાને માર પડવો ઓછો થાય તેવી કોઈ મુહિમની જરૂરત છે? દેશમાં ગરીબી અને ગરીબ બંને વધી રહ્યાં છે, ત્યારે એ વાત તો કબૂલ કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર તેના મુખ્ય કારણ છે, પરંતુ 30 કરોડ લોકોના મધ્યમ વર્ગને મોંઘવારીના મારમાંથી રાહત થાય તે માટે ઈમરજન્સીમાં અનશનના ડોકટરો અણ્ણા હજારેએ અને બાબા રામદેવે કોઈ ઈલાજ કરવો જોઈતો હતો. પણ અણ્ણા અને રામદેવના ત્રાગાંમાં દેશના લોકો મોંઘવારીના ભારને ભૂલી ગયા છે. બાબા રામદેવે 400 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વિદેશમાંથી આવી જશે, તો એક રૂપિયાના પચાસ ડોલર થઈ જશેના દીવા સ્વપ્નો દેખાડયા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે એવો કોઈ દેશ નથી અને એવો કોઈ શાસક નથી કે જે કાળા ધન અને ભ્રષ્ટાચારને રોકી શકે. કારણ કે ભ્રષ્ટાચાર તો અર્થશાસ્ત્રના વિદ્વાન ચાણક્યના વખતમાં પણ હતો અને તેથી આગળ વધીને રામ રાજ્યમાં પણ તે હોવાનું નકારી શકાય તેમ નથી. ત્યારે આવા દીવસ્વપ્નોમાં રાચવા કરતા લોકોએ વ્યવહારીકતા અપનાવીને મોંઘવારીના મહાદાનવને હણવા માટે શસ્ત્રો સજ્જ કરવાની જરૂર છે.

પરંતુ બાબા રામદેવ અને અણ્ણા હજારેના આંદોલનની અનશનના ત્રાગાં કરવાની રીત ખોટી હોઈ શકે છે, પરંતુ તેમના બંનેના મુદ્દાઓમાં ઘણો દમ છે. તેમને લાગે છે કે ભારતમાં લોકશાહી છે અને તેઓ લોકતાંત્રિક રીતે પોતાના આંદોલન ચલાવે છે. તો તેમના ખ્યાલ તેમને મુબારક પણ ભારતમાં લોકશાહી ચાલતી નથી, અહીં તો ટોળાશાહી, ઠોકશાહી અને ડંડાશાહી ચાલે છે. ત્યારે 4 જૂન, 2011ની રાત્રે દેશ આખાએ જોઈ લીધું કે યુપીએ સરકારના મંત્રીઓએ ખેલ કરીને એક ભોટ બાબાને ભોળવી નાખ્યો. રામલીલા મેદાનમાં સરકારના ઈશારે પોલીસ તંત્રે રાવણલીલા આચરી. પંડાલમાં ઉંઘમાં રહેલા મહિલા અને બાળકો પર ડંડાઓ વરસાવવામાં આવ્યા. બાબા રામદેવ બાર ફૂટ ઉંચા મંચ પરથી કૂદકો મારીને લોકોમાં પહોંચ્યા, ત્યાંથી તેઓ મહિલાના કપડાં પહેરીને ભાગવાની કોશિશ પણ કરી. પરંતુ તેમા તેઓ સફળ થયા નહીં.

પરંતુ વિચાર કરો કે આ દેશના કોઈ વિસ્તારમાં શાહી ઈમામ જેવા કોઈ બની બેઠેલા મુસ્લિમ નેતા કે તેમની સામાજીક-ધાર્મિક સંસ્થાઓ કોઈ વિરોધ આંદોલન કરતી હોત અને તેમના આંદોલનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવાની શક્યતાથી પોલીસ કાર્યવાહી કરવાની ભારતની કોઈપણ સરકારે હિંમત દાખવી હોત. જો આવી હિંમત દાખવવામાં આવી હોત, તો તેના પ્રત્યાઘાત તરીકે દેશભરમાં હિંસક દેખાવો અને તોફાનો માટે સરકારે તૈયાર રહેવું પડત.

અરે દિલ્હીમાં ઉભા રહીને શાહી ઈમામે કહ્યું હતું કે તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો એજન્ટ છે. આ એ આઈએસઆઈની વાત છે કે જે ભારતમાં ભાંગફોડ અને આતંકવાદ માટે જવાબદાર હોવાનું અવાર-નવાર સરકારી એજન્સીઓ જણાવી ચુકી છે. પરંતુ આ જ સુધી શાહી ઈમામને સરકારે હાથ પણ લગાવ્યો નથી. બીજી તરફ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, આ વાત ભારતનું બંધારણ અને ભારતની સંસદ માને છે. તેમ છતાં કાશ્મીર ભારતનું અંગ ન હોવા સંદર્ભના નિવેદન બાદ માનવાધિકારવાદી કાર્યકર્તા અરુંધતિ રોય અને કાશ્મીરના અલગતાવાદી કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાની સામે ફરીયાદ થવા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જો કે સરકારે અરુંધતિ રોય, સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક માટે દેશભરમાં કાશ્મીર સંદર્ભે અનાપ-સનાપ બોલવા માટે કોન્ફરન્સો કરવાની મંજૂરી પણ આપી હતી. જો કે ભારતના લોકોએ જાગરૂકતા બતાવીને ગિલાની, મિરવાઈઝ અને યાસીનને જૂતાવાળી કરી હતી. તેને કારણે જ આવી કોન્ફરન્સો ભારતમાં અન્ય જગ્યાએ યોજાતી હમણા તો બંધ થઈ છે. માઓવાદીઓને બંદૂકો સાથેના ગાંધીવાદી ગણાવતા અરુંધતિના હાસ્યાસ્પદ નિવેદન છતાં તેના તરફ સરકારનું વલણ ક્યારેય તીખું થયું નથી.

પણ બાબા રામદેવે અનશન ચાલુ રાખવાની વાત કરી કે તેમના રામલીલા મેદાન ખાતેના પંડાલ પર સોનિયા ગાંધીના દોરી સંચાર તળે ચાલતી મનમોહન સિંહની સરકાર દળ-કટક સાથે ત્રાટકી હતી. શું બાબા રામદેવનો ગુનો એટલો છે કે તેઓ પોતાને દેશભક્ત હોવાનું જણાવી રહ્યા છે? તેઓ ભ્રષ્ટાચાર દૂર કરીને વિદેશમાંથી કાળું ધન પાછું લઈ આવવા માટે કાયદો બનાવવાની વાત કરી રહ્યાં છે, તે તેમનો ગુનો છે? શું તેઓ અનશન ચાલુ રાખીને કોઈ ભારત પર હુમલો કરવાનો હોય તેવું મોટું દુષ્કૃત્ય કરી રહ્યાં છે(મિત્રો ભારતની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને મુંબઈ પર હુમલો કરનાર કસાબ જેલમાં બિરયાનીની જ્યાફત ઉડાવી રહ્યાં છે.)? શું બાબા રામદેવ હિંદુ સન્યાસી છે, તે સરકારની અને સોનિયાની નજરમાં ગુનો છે? ભગવામાં આતંકવાદ જોનારા ચિદમ્બરમને રામદેવના ભગવા કપડાથી વાંધો છે? શું બાબા રામદેવે ભારત ભક્ત રહેવું જોઈએ? શું બાબા રામદેવે ભ્રષ્ટાચાર દૂર કરવાની અને કાળું ધન વિદેશમાંથી દેશમાં લાવવાની વાત ન કરવી જોઈએ? આટલા બધાં સંગીન ગુના કરવા બદલ તો બાબાને આઈસીયૂમાં જ નહીં, આ સરકારે તો અફઝલ અને કસાબ પહેલા ફાંસીના માંચડે ચઢાવી દેવો જોઈએ. કારણ કે આ દેશના સત્તાના મઠાધીશોને ભારતના દુશ્મન આઈએસઆઈ, અફઝલ ગુરુ અને કસાબથી જેટલો ખતરો નથી, તેટલો ખતરો બાબા રામદેવ અને અણ્ણા હજારે જેવા માથા ફરેલા ત્રાગાબાજોથી છે.

જો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાતો સાંભળતા સાંભળતા દેશને 63 વર્ષ પૂરાં થયા. પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને હડતાલોના ત્રાગાંથી આ દેશની એકપણ સમસ્યાનું સમાધાન થયું નથી. શું ગાંધી ચિંધ્યા માર્ગે ભ્રષ્ટાચાર દૂર થયો, કાળું ધન વિદેશથી પાછું આવ્યું, સંપૂર્ણ ક્રાંતિ થઈ શકી, આતંકવાદ દૂર થયો, કોમવાદને નાથી શકાયો, મોંઘવારી દૂર થઈ, દેશદ્રોહીઓની નશ્યત થઈ શકી, ભૂખમરો, ગરીબી, અજ્ઞાનતા, બેકારી દૂર થઈ શકી? ભારતનો આટલા લાંબા સમયનો અનુભવ તો કહે છે કે ભારતમાં ગાંધી ચિંધ્યા માર્ગે થયેલા આંદોલનોથી તો દેશની સમસ્યાઓ વધારે ગુંચવાઈ અને ગંભીર બની છે. ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું કોઈ કારણ બાકી રહી જાય છે?

જે વ્યક્તિઓને આ દેશના રાજકારણીઓએ ખૂબ કોસ્યા છે, તેવા ક્રાંતિવીર સાવરકર અને ભગતસિંહ જેવાં ક્રાંતિકારીઓના માર્ગે ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જલિત કરવાનો માર્ગે ચાલવાનું કેમ કોઈને દેખાતું નથી? સાવરકરે જે રસ્તો સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓને બતાવ્યો હતો, તે માર્ગ પણ ચાલવાનો સમય પાકી ગયો છે. પરંતુ આના માટે નેતૃત્વ કોણ લે? લોકોને સાવરકર ચિંધ્યા માર્ગે આગળ વધવાનો દિશાનિર્દેશ કોણ આપે? આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે ક્યારે ચાલશે? ગાંધી ચિંધ્યા માર્ગે 63 વર્ષ ચાલ્યા, જો આ દેશ સાવરકર ચિંધ્યા માર્ગે માત્ર ત્રણ વર્ષ ચાલે, તો દુનિયાને પોતાની શક્તિથી નમાવવાની હેસિયત રાખે છે.