લેબલ અફઝલ ગુરુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અફઝલ ગુરુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બાળાસાહેબ ઠાકરે: હિંદુત્વના આંદોલનના સેનાપતિ

- ક્રાંતિવિચાર

વ્યક્તિને પોતાના પરનો વિશ્વાસ પોતાના વિચારો અને માન્યતાઓમાં અસીમ શ્રદ્ધા પ્રગટાવે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પણ આવા જ વ્યક્તિ હતા. તેમણે પોતાના પરના વિશ્વાસને કારણે જ પોતાના વિચારો અને માન્યતાઓને દ્રઢતાથી વળગી રાખવાનું વલણ મૃત્યુ સુધી જાળવી રાખ્યું. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબને હકીકતમાં હિંદુત્વના સેનાપતિ કહેવું વધારે યોગ્ય છે. જ્યારે દેશમાં હિંદુત્વના પંથને કટ્ટરપંથ તરીકે વગોવવામાં આવતો હોય, ત્યારે બાળાસાહેબ ઠાકરેની ત્રાડે તમામ હિંદુવિરોધીઓને સીધા દોર રાખ્યા છે. આનાથી પણ મોટી ઘટના એ છે કે જ્યારે રામરથયાત્રીઓ અને હિંદુત્વના આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા કંઈક હિંદુ હ્રદયસમ્રાટોની નકલી છબીઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ભષ્મીભૂત બની છે. જ્યારે બાળાસાહેબ ઠાકરેની હિંદુ હ્રદયસમ્રાટની છબી તેમના મૃત્યુ પછી પણ અકબંધ રહી છે. તેમને હિંદુ હ્રદયસમ્રાટની ઉપાધિ દેશના કરોડો હિંદુઓના પ્રેમને કારણે મળી છે, તેમને તેના માટે કોઈ ગોબેલ્સ પ્રચારનો સહારો લેવો પડયો નથી. તેમની વાતમાં હિંદુત્વનો પડઘો હતો અને તેના કારણે દેશના કરોડો હિંદુઓ તેમને દિલથી ચાહતા હતા.
17મી નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું. 18મી નવેમ્બરે રવિવારે મુંબઈની સડકો પર હિંદુત્વના સેનાપતિની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયું હતું. કહેવાય છે કે બાલાસાહેબની અંતિમ યાત્રામાં અંદાજે 20 લાખ લોકોએ ભાગ લીધો અને શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર વખતે બે લાખથી વધારે લોકો હાજર હતા. હિંદુત્વની દ્રઢતાથી વાત કરનારા બાળાસાહેબને કટ્ટર ગણાવાયા. હિંદુત્વને આજીવન વળગી રહેનારા બાળાસાહેબને કોમવાદી રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યા. હિંદુત્વના હિતની વાત કરનારા બાળાસાહેબને જલ્લાદ દર્શાવવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તેમની અપાર લોકપ્રિયતાએ મીડિયાને પણ મજબૂર કર્યું કે તેઓ હિંદુત્વના સેનાપતિને છાજે તેવી તેમને શ્રદ્ધાંજલિ આપે. 1966માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ મરાઠી માનુષના હિત અને શિવશાહી સ્થાપિત કરવા માટે શિવસેનાની સ્થાપના કરી. મરાઠી માનુષની રાજનીતિ કરતી વખતે તેમને હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમની હિંદુ પદપાદશાહીની વાતો યાદ રહેતી હતી. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ બાળ ઠાકરેએ હિંદુ હિતની વાતોને રાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણીને તેના પર દ્રઢતાથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. મરાઠી માનુષના હિતની રાજનીતિ બાળ ઠાકરેની રાજનીતિનું મહત્વનું અંગ હતું, તો હિંદુત્વના મુદ્દે દ્રઢતા તેનો આત્મા હતો.
દેશમાં 90ના દાયકામાં હિંદુઓના શ્રદ્ધાકેન્દ્રો પર આઘાત કરવાની ફેશન ચાલતી હતી. ત્યારે મીડિયા પણ આવા તત્વોને સાથ આપતું નજરે પડતું હતું. મુંબઈના એક અગ્રણી અખબારમાં છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે અયોગ્ય વાત પ્રકાશિત થઈ. બાળ ઠાકરેને આની ખબર પડી, તુરંત તેમણે શિવસૈનિકોને આદેશ આપ્યો કે શિવાજી વિશે અભદ્ર વાતો પ્રકાશિત કરનારા અખબારની એકપણ નકલ વાચકો સુધી પહોંચે નહીં. શિવસૈનિકોએ તેમના સેનાપતિની વાતને અક્ષરશ માની અને આવી ગલીચ હરકત કરનારા અખબારની એકપણ નકલને મુંબઈની બહાર જવા દીધી નહીં.
1992માં બાબરી ઢાંચાને કારસેવાના અંતે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બાબરી ઢાંચો ધ્વસ્ત થવાથી આંદોલનમાં સામેલ નેતાઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા અને સંગઠનો સંરક્ષણાત્મક સ્ટેન્ડ લઈ રહ્યા હતા. ત્યારે બાળ ઠાકરેએ કહ્યુ કે જો શિવસૈનિકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો હોય, તો તેનો તેમને ગર્વ છે. બાળ ઠાકરેની આ બેબાકી જ હતી કે જેણે તેમને હિંદુ હ્રદય સમ્રાટના પદે સ્થાપિત કર્યા હતા.
બાલ ઠાકરેએ દેશમાં વધી રહેલા ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોના હુમલાની સામે સરકારના ઉદાસિન વલણની છડેચોક ટીકા કરી હતી. 2002માં તેમણે કહ્યુ હતુ કે આવા ફિદાયિનોના જવાબમાં હિંદુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી બનાવવી જોઈએ. મુંબઈ રમખાણો વખતે બાળ ઠાકરેએ મુસ્લિમોને દેશમાં કેન્સર સમાન ગણાવ્યા હતા. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતના દરેક મુસ્લિમોના વિરોધી નથી, પરંતુ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન નહીં કરતા મુસ્લિમોના તેઓ વિરોધી છે. તેમણે આવા લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે 2008માં ફરીથી કડક નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈસ્લામિક આતંકવાદનો જવાબ હિંદુ આતંકવાદમાં છુપાયેલો છે. હિંદુઓ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વોર્ડની જરૂર છે. બાળ ઠાકરેના વિચારો ઉદ્દામવાદી લાગી શકે છે. પરંતુ તેમના વિચારો ભારત સરકારની ઈસ્લામિક આતંકવાદ સંદર્ભેની ઢીલી નીતિઓ સામેના રોષમાંથી પ્રગટયા હતા. નિર્દોષ ભારતીયો અને સુરક્ષાકર્મીઓના રક્તસ્ત્રાવથી બાળ ઠાકરે નારાજ હતા. જેના પરિણામે તેમણે ઉદ્દામવાદી વિચારો પુરી બેબાકીથી રજૂ કર્યા હતા.
પાકિસ્તાન સાથેના સંબંધો બાબતે પણ તેમના વિચારોની ધાર સ્પષ્ટ અને તેજ રહેતી. પાકિસ્તાન સાથે થોડું પણ નમતું મૂકવાના મતના તેઓ ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેમને એક દિવસ માટે દેશની સત્તા સોંપવામાં આવે, તો તેઓ કાશ્મીર સમસ્યા એક દિવસમાં જ ઉકેલી બતાવશે. તેમણે વાજપેયીની પાકિસ્તાન સાથેની પીસ પ્રોસેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પાકિસ્તાની દોરીસંચાર હેઠળ ભારતમાં આતંકવાદી હુમલા છતાં પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવાની ભારતીય નીતિની આકરી ટીકા કરી છે. ઠાકરેએ ભૂતકાળમાં પાકિસ્તાનની ટીમ ભારતમાં કોઈપણ સ્થાને ક્રિકેટ મેચ રમી શકે નહીં તેની તકેદારી રાખવા શિવસૈનિકોને જણાવ્યુ હતુ. જેના પરિણામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ શિવસૈનિકોએ ભારત-પાકિસ્તાનની મેચના આગલા દિવસે જ ખોદી નાખી હતી. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ ભારત ક્રિકેટ રમવા આવવાની છે. ત્યારે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યુ છે કે ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી જોઈએ. આ નિવેદનની બાળાસાહેબે આકરી ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાનની ટીમને ભારત નહીં બોલાવવાનો મત વ્યક્ત કર્યો હતો.
સંસદ પરના આતંકવાદી હુમલામાં ફાંસી પામેલા આતંકવાદી અફઝલ ગુરુની દયા અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવી બાળ ઠાકરેને ઈચ્છા હતી. મહત્વપૂર્ણ છે કે બાળ ઠાકરે એનડીએમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના મોતના ચોથા દિવસે ભારત સરકારે મુંબઈ પરના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસીને માંચડે લટકાવી દીધો છે.
મુંબઈમાં મુસ્લિમ ગુંડા દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલની દાદાગીરી ચાલતી હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, બંનેને ભારત છોડવા માટે મજબૂર કરનારા બાળ ઠાકરે હતા. મુસ્લિમ ડોન દાઉદ સામે હિંદુ ડોન અરુણ ગવળીની વાત પણ બાળ ઠાકરેએ ભૂતકાળમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અરુણ ગવળી શરૂઆતના સમયમાં શિવસૈનિક હતો.
બાળ ઠાકરેએ હિંદુત્વના મોટામોટા સિદ્ધાંતો અને વિચારધારાની ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે હિંદુત્વને વ્યવહારીકતામાં કેવી રીતે સર્વોપરી બનાવી શકાય તેની સતત ચિંતા કરી છે. જેને કારણે સેક્યુલર માઈન્ડ સેટમાં ઘડાયેલા સેક્યુલરમેનિયાથી પીડાતા બુદ્ધિજીવીઓને બાળાસાહેબ કોમવાદી લાગી શકે છે, તેમને બાળાસાહેબ દબંગ લાગી શકે છે, તેમને બાળાસાહેબ મુંબઈના દાદા લાગી શકે છે. પરંતુ બાળાસાહેબ શું હતા, તે તો તેમની અંતિમ યાત્રામાં સામેલ 20 લાખ લોકો અને દેશમાં ટેલિવિઝન પર નિહાળનારા કરોડો હિંદુઓ સારી રીતે જાણતા હતા.
બાળાસાહેબને શિવસેનાના તાનાશાહ ગણવામાં આવતા હતા. જો કે હકીકત તેનાથી વિપરીત હતી. શિવસૈનિકોના અપાર પ્રેમે તેમને શિવસેનના સર્વોચ્ચ સ્થાને 45 વર્ષોથી બેસાડયા હતા. જો કે તેમણે દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહ હિટલરની એક મુલાકાતમાં પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ હિટલરના બહુ મોટા પ્રશંસક છે અને તેમને આવું કહેવામાં કોઈ શરમ અનુભવાતી નથી. હિટલરની તમામ પદ્ધતિથી તેઓ સહમત પણ ન હતા. તેમણે કહ્યુ કે હિટલર સારો આયોજક અને વક્તા હતો.તેમને લાગે છેકે તેમના બંનેમાં ઘણું સામ્ય છે. ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૂર છે.
બાળાસાહેબ હંમેશા પોતાને સાચી લાગતી વાત કરતા, પોતાની સાચી વાતને અંતિમ ક્ષણ સુધી વળગી રહ્યા. તેમણે ક્યારે પોતાની વ્યક્તિગત મર્યાદાને પડદામાં રાખીને દંભ કર્યો નથી. તેઓ બિયર અને વાઈન પીતા હતા, સિંગાર અને ચિરુટના ભૂતકાળમાં બંધાણી હતા. આવી કોઈ વાત તેમણે ક્યારેય પડદામાં રાખી નથી. તેઓ હિંદુત્વની વાત કરતા હતા, પરંતુ માંસાહાર કરતા હોવાની વાતને ક્યારે છુપાવી નથી. બાળાસાહેબે પોતાના જીવન દરમિયાન રાજકીય સમજૂતીઓ પોતાની રાજનીતિ પ્રમાણે કરી હશે, પરંતુ હિંદુત્વના મુદ્દે આજીવન એકપણ સમજૂતી તેમણે કરી નથી. આવા દંભ વગરના દ્રઢ જીવને જ તેમને હિંદુ હ્રદય સમ્રાટ બનાવ્યા છે. 

બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ!


-આનંદ શુક્લ

રાજ્યનું ગુનેગારો પ્રત્યે નરમ વલણ ગુનાઓની તીવ્રતા અને સંખ્યામાં વધારો કરે છે. આ પ્રકારનો અહેસાસ ભારતને વર્ષોથી થઈ રહ્યો છે. સંસદ પર હુમલાની સજા ફાંસી છે, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનીહત્યાની સજા ફાંસી છે, પંજાબમાં આતંકવાદી હત્યાઓની સજા ફાંસી છે. પરંતુ દેશનું કમભાગ્ય છે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક કારણોને કારણે આવા ગુનેગારોની ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ ખેલાય છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કેટલાંક દિવસ પહેલા ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજીવના હત્યારાઓને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે કેટલીક બાબતોને આધારે હત્યારાઓની ફાંસીની સજાને હાલપૂરતી આઠ સપ્તાહ માટે થંભાવી દીધી છે. કોર્ટે સવાલ કર્યો છે કે ગુનેગારોની દયા અરજી પર નિર્ણય કરવામાં 11 વર્ષોનો લાંબો સમય કેમ લાગ્યો?

જસ્ટિસ સી. નાગપ્પન અને જસ્ટિસ એમ. સત્યનારાયણનની ખંડપીઠે મામલાને કાયદા સામે એક પ્રશ્ન ગણાવ્યો છે. વાસ્તવમાં ત્રણેય ગુનેગારો જેલમાં 20 વર્ષની સજા કાપી ચુક્યા છે. તેવામાં ઘણાં લોકો સવાલ કરે છે કે શું આટલી લાંબી સજા કાપ્યા બાદ પણ ફાંસી આપવી યોગ્ય છે? આ તમામ ઘટનાક્રમ વચ્ચે તમિલ રાજકારણના સમીકરણોને કારણે તમિલનાડુની વિધાનસભાએ ફાંસીની સજા ઓછી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ રાજ્યના લોકોની ભાવનાત્મક અપીલના નામે કરવામાં આવ્યો હતો. તેમા રાષ્ટ્રપતિને ફાંસીની સજા સંદર્ભે પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. જો કે વિધાનસભાનો ઠરાવ કોઈને બાધ્યકારી નથી.

રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા ઓછી કરવાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવાને કારણે દક્ષિણ ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આજે દેશમાં દરેક સંવેદનશીલ મુદ્દા પર રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ થઈ રહી છે. તમિલ રાજકારણને કારણે તમિલનાડુના ઘણાં નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીને આજીવન કેદમાં ફેરવવાની માગણી કરી રહ્યા છે. મામલો ચાહે પંજાબમાં દેવિંદરપાલ સિંહ ભુલ્લરનો હોય કે દક્ષિણમાં રાજીવના હત્યારા મુરુગન, પેરારિવલન અને સંતનનો, ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાની માગણી કરવા પાછળ રાજકીય પક્ષોનો ઉદેશ્ય પ્રાદેશિક મતદારોની સહાનુભૂતિ હાસિલ કરીને પોતાની રાજકીય જમીન મજબૂત કરવાનો છે.

રાજકીય સાંકડાપણું પ્રાદેશિકતાને કારણે તેજ બન્યું છે. પહેલા તો કેટલાંક સ્થાનિક સંગઠનો જ રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી આપવાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે મામલાએ આગ પકડી, તો કોંગ્રેસના સહયોગી અને તમિલ રાજકારણને હવા આપનારું ડીએમકે પણ તેમા સામેલ થઈ ગયું. જયલલિતા એક પગલું આગળ વધીને કેન્દ્ર સરકારને અપીલ કરી કે જો આ હત્યારાઓની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવશે, તો તમિલ લોકો ખુશ થશે. આ પ્રકારની કવાયતોથી રાજકીય પક્ષો રાજ્યના લોકોની ભાવનાઓ ભડકાવાની વધારે કોશિશ કરી રહ્યાં છે.

તમિલનાડુની રાજનીતિ શ્રીલંકામાં તમિલ સંગઠન એલટીટીઈની હાર બાદ સંપૂર્ણપણે બદલાઈ ચુકી છે. જો ત્રણેય ગુનેગારોને ફાંસી આપી દેવામાં આવે, તો પણ કોઈ મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની નથી. આ સમગ્ર ઘટનાની ચર્ચા નાના સ્તરે જ થાત. કેટલાંક સમય પહેલા પંજાબના રહેવાસી ભુલ્લરની ફાંસીની સજા આપવાનો વિરોધ તેના પંજાબી હોવાના નાતે કરવામાં આવ્યો હતો. તેની પહેલ કેટલાક રાજકીય-બિનરાજકીય સંગઠનો સાથે ખુદ પંજાબ સરકારે પણ કરી હતી. આ પહેલા સંસદ પર હુમલાના ગુનેગાર કાશ્મીરી આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીની સજા પર પણ લાંબુ રાજકારણ ચાલી રહ્યું છે. અફઝલને ફાંસી ન આપવાની માગણી સાથે દલીલ કરવામાં આવે છે કે આવું કરવાથી જમ્મુ-કાશ્મીર રાજ્યની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દિલ્હી સરકાર, ગૃહ મંત્રાલયની મિલીભગતથી અફઝલ ગુરુને ફાંસીની સજા સંદર્ભેની ફાઈલ વર્ષો સુધી દબાવી રાખવામાં આવી હતી. હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાઈ છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તમિલનાડુની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ સંદર્ભે ટ્વિટ કરીને રાજકીય પાંસો ફેંક્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે- જો જમ્મુ-કાશ્મીર વિધાનસભા તમિલનાડુ જેવો જ પ્રસ્તાવ અફઝલ ગુરુના મામલામાં પસાર કરત, તો શું આવી જ ચુપકીદીવાળી પ્રતિક્રિયા રહેત? મને લાગે છે કે નહીં. આમ ટ્વિટ કરીને તેમણે પણ અફઝલ ગુરુની પેરવી કરવાનો પ્રયત્ન કરીને ઘણો મોટો રાજકીય દાવ ખેલીને સમગ્ર મામલાને ધાર્મિક એન્ગલ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતમાં 2004 બાદથી કોઈને પણ ફાંસીની સજા આપવામાં આવી નથી. આ વર્ષોમાં 28 દયા અરજીઓ રાષ્ટ્રપતિ સામે મૂકવામાં આવી. લાંબા સમય સુધી તેના પર નિર્ણય થઈ શક્યો નહીં. પરંતુ બાદમાં સક્રિયતા દેખાડતા રાષ્ટ્રપતિએ રાજીવ ગાંધી હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલા પ્રતિબંધિત તમિલ સંગઠન એલટીટીઈના ત્રણ સભ્યો સિવાય ભુલ્લરની દયા અરજી ફગાવી દીધી છે.
ફાંસીની સજા કઠોરતમ સજા છે. ઘણાં દેશોએ ફાંસીની સજા સમાપ્ત કરી દીધી છે. જો કે ઘણાં દેશોએ તેને ફરીથી બહાલ પણ કરી છે. ઘણાં વિચારકો પણ ફાંસીની સજાનું સમર્થન કરે છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓ તેને ખતમ કરવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. ભારતમાં ફાંસીની સજા રેરેસ્ટ ઓફથી રેર કેસમાં આપવામાં આવે છે. ભારતીય બંધારણ નિર્માતાઓએ કાયદાની યોગ્ય પ્રક્રિયાની જગ્યાએ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. ભારતમાં કોર્ટને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ હેઠળ ઘણી શક્તિ મળી છે. ફાંસી આપવામાં વિલંબ તેને આજીવન કેદમાં ફેરવવા માટેનો એક આધાર છે.

1983માં હાઈકોર્ટની એક ખંડપીઠે બાથિશ્વરન મામલામાં ચુકાદો આપ્યો હતો કે ફાંસી આપવામાં બે વર્ષથી વધારે વિલંબ થવાથી તે પોતાની મેળે આજીવન કેદમાં પરિવર્તિત થઈ જશે. કાયદાની જોગવાઈઓનો છટકબારી તરીકે ઉપયોગ કરીને રાજીવ ગાંધી હત્યાકાંડના કેસને જેમ જોવામાં આવી રહ્યો છે, તેવી રીતે અફઝલ ગુરુની દયા અરજીના રદ્દ થવાની સ્થિતિમાં કોઈને કોઈ પક્ષ રાજકીય ફાયદા માટે વિલંબને આધાર બનાવીને ફાંસીને આજીવન કેદમાં બદલવાની અરજી દાખલ કરી દેશે.

તમિલનાડુમાં વિપક્ષ ડીએમકે પ્રચારીત કરી રહ્યો છે કે રાજીવ ગાંધી હત્યાકાંડના ત્રણેય ગુનેગારોના જીવ મુખ્યમંત્રી જયલલિતાની ઈચ્છાશક્તિ પર નિર્ભર થઈ ગયા છે. તેનાથી ક્યાંકને ક્યાંક તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની છબીને કમજોર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કારણ છે કે રાજીવ ગાંધીના હત્યારાઓને તમિલવાદનું પ્રતીક બનાવવાની પૂરજોર કોશિશો થઈ રહી છે. રાજકારણનું આ સ્વરૂપ બેહદ ખતરનાક છે. આ રાજનીતિનું નીચામાં નીચું સ્તર છે. ફાંસીની સજા માફ થાય કે બહાલ થાય, પણ એવું પ્રતિપાદિત થવું કે હત્યારાઓને રાજકીય લાભને કારણે બચાવવામાં આવી રહ્યા છે, તો તે બેહદ ખતરનાક સ્થિતિ પેદા કરશે. આવા રાજકીય ઉધામાથી લાગે છે કે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતો અને બંધારણીય મૂલ્યોની કોઈ પરવાહ નથી. ફાંસી પર રાજકારણ રમી રહેલા રાજકારણીઓને જનતા તરફથી સ્પષ્ટ સંદેશ મળવો જોઈએ કે જાતિ, ક્ષેત્ર અને ધર્મના નામે આવી રાજનીતિ યોગ્ય નથી. આ દેશના રાજકીય ભવિષ્ય સંદર્ભે સારા સંકેતો નથી.