લેબલ પ્રણવ મુખર્જી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રણવ મુખર્જી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બાળાસાહેબ ઠાકરે: હિંદુત્વના આંદોલનના સેનાપતિ

- ક્રાંતિવિચાર

વ્યક્તિને પોતાના પરનો વિશ્વાસ પોતાના વિચારો અને માન્યતાઓમાં અસીમ શ્રદ્ધા પ્રગટાવે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પણ આવા જ વ્યક્તિ હતા. તેમણે પોતાના પરના વિશ્વાસને કારણે જ પોતાના વિચારો અને માન્યતાઓને દ્રઢતાથી વળગી રાખવાનું વલણ મૃત્યુ સુધી જાળવી રાખ્યું. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબને હકીકતમાં હિંદુત્વના સેનાપતિ કહેવું વધારે યોગ્ય છે. જ્યારે દેશમાં હિંદુત્વના પંથને કટ્ટરપંથ તરીકે વગોવવામાં આવતો હોય, ત્યારે બાળાસાહેબ ઠાકરેની ત્રાડે તમામ હિંદુવિરોધીઓને સીધા દોર રાખ્યા છે. આનાથી પણ મોટી ઘટના એ છે કે જ્યારે રામરથયાત્રીઓ અને હિંદુત્વના આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા કંઈક હિંદુ હ્રદયસમ્રાટોની નકલી છબીઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ભષ્મીભૂત બની છે. જ્યારે બાળાસાહેબ ઠાકરેની હિંદુ હ્રદયસમ્રાટની છબી તેમના મૃત્યુ પછી પણ અકબંધ રહી છે. તેમને હિંદુ હ્રદયસમ્રાટની ઉપાધિ દેશના કરોડો હિંદુઓના પ્રેમને કારણે મળી છે, તેમને તેના માટે કોઈ ગોબેલ્સ પ્રચારનો સહારો લેવો પડયો નથી. તેમની વાતમાં હિંદુત્વનો પડઘો હતો અને તેના કારણે દેશના કરોડો હિંદુઓ તેમને દિલથી ચાહતા હતા.
17મી નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું. 18મી નવેમ્બરે રવિવારે મુંબઈની સડકો પર હિંદુત્વના સેનાપતિની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયું હતું. કહેવાય છે કે બાલાસાહેબની અંતિમ યાત્રામાં અંદાજે 20 લાખ લોકોએ ભાગ લીધો અને શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર વખતે બે લાખથી વધારે લોકો હાજર હતા. હિંદુત્વની દ્રઢતાથી વાત કરનારા બાળાસાહેબને કટ્ટર ગણાવાયા. હિંદુત્વને આજીવન વળગી રહેનારા બાળાસાહેબને કોમવાદી રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યા. હિંદુત્વના હિતની વાત કરનારા બાળાસાહેબને જલ્લાદ દર્શાવવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તેમની અપાર લોકપ્રિયતાએ મીડિયાને પણ મજબૂર કર્યું કે તેઓ હિંદુત્વના સેનાપતિને છાજે તેવી તેમને શ્રદ્ધાંજલિ આપે. 1966માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ મરાઠી માનુષના હિત અને શિવશાહી સ્થાપિત કરવા માટે શિવસેનાની સ્થાપના કરી. મરાઠી માનુષની રાજનીતિ કરતી વખતે તેમને હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમની હિંદુ પદપાદશાહીની વાતો યાદ રહેતી હતી. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ બાળ ઠાકરેએ હિંદુ હિતની વાતોને રાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણીને તેના પર દ્રઢતાથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. મરાઠી માનુષના હિતની રાજનીતિ બાળ ઠાકરેની રાજનીતિનું મહત્વનું અંગ હતું, તો હિંદુત્વના મુદ્દે દ્રઢતા તેનો આત્મા હતો.
દેશમાં 90ના દાયકામાં હિંદુઓના શ્રદ્ધાકેન્દ્રો પર આઘાત કરવાની ફેશન ચાલતી હતી. ત્યારે મીડિયા પણ આવા તત્વોને સાથ આપતું નજરે પડતું હતું. મુંબઈના એક અગ્રણી અખબારમાં છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે અયોગ્ય વાત પ્રકાશિત થઈ. બાળ ઠાકરેને આની ખબર પડી, તુરંત તેમણે શિવસૈનિકોને આદેશ આપ્યો કે શિવાજી વિશે અભદ્ર વાતો પ્રકાશિત કરનારા અખબારની એકપણ નકલ વાચકો સુધી પહોંચે નહીં. શિવસૈનિકોએ તેમના સેનાપતિની વાતને અક્ષરશ માની અને આવી ગલીચ હરકત કરનારા અખબારની એકપણ નકલને મુંબઈની બહાર જવા દીધી નહીં.
1992માં બાબરી ઢાંચાને કારસેવાના અંતે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બાબરી ઢાંચો ધ્વસ્ત થવાથી આંદોલનમાં સામેલ નેતાઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા અને સંગઠનો સંરક્ષણાત્મક સ્ટેન્ડ લઈ રહ્યા હતા. ત્યારે બાળ ઠાકરેએ કહ્યુ કે જો શિવસૈનિકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો હોય, તો તેનો તેમને ગર્વ છે. બાળ ઠાકરેની આ બેબાકી જ હતી કે જેણે તેમને હિંદુ હ્રદય સમ્રાટના પદે સ્થાપિત કર્યા હતા.
બાલ ઠાકરેએ દેશમાં વધી રહેલા ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોના હુમલાની સામે સરકારના ઉદાસિન વલણની છડેચોક ટીકા કરી હતી. 2002માં તેમણે કહ્યુ હતુ કે આવા ફિદાયિનોના જવાબમાં હિંદુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી બનાવવી જોઈએ. મુંબઈ રમખાણો વખતે બાળ ઠાકરેએ મુસ્લિમોને દેશમાં કેન્સર સમાન ગણાવ્યા હતા. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતના દરેક મુસ્લિમોના વિરોધી નથી, પરંતુ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન નહીં કરતા મુસ્લિમોના તેઓ વિરોધી છે. તેમણે આવા લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે 2008માં ફરીથી કડક નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈસ્લામિક આતંકવાદનો જવાબ હિંદુ આતંકવાદમાં છુપાયેલો છે. હિંદુઓ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વોર્ડની જરૂર છે. બાળ ઠાકરેના વિચારો ઉદ્દામવાદી લાગી શકે છે. પરંતુ તેમના વિચારો ભારત સરકારની ઈસ્લામિક આતંકવાદ સંદર્ભેની ઢીલી નીતિઓ સામેના રોષમાંથી પ્રગટયા હતા. નિર્દોષ ભારતીયો અને સુરક્ષાકર્મીઓના રક્તસ્ત્રાવથી બાળ ઠાકરે નારાજ હતા. જેના પરિણામે તેમણે ઉદ્દામવાદી વિચારો પુરી બેબાકીથી રજૂ કર્યા હતા.
પાકિસ્તાન સાથેના સંબંધો બાબતે પણ તેમના વિચારોની ધાર સ્પષ્ટ અને તેજ રહેતી. પાકિસ્તાન સાથે થોડું પણ નમતું મૂકવાના મતના તેઓ ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેમને એક દિવસ માટે દેશની સત્તા સોંપવામાં આવે, તો તેઓ કાશ્મીર સમસ્યા એક દિવસમાં જ ઉકેલી બતાવશે. તેમણે વાજપેયીની પાકિસ્તાન સાથેની પીસ પ્રોસેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પાકિસ્તાની દોરીસંચાર હેઠળ ભારતમાં આતંકવાદી હુમલા છતાં પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવાની ભારતીય નીતિની આકરી ટીકા કરી છે. ઠાકરેએ ભૂતકાળમાં પાકિસ્તાનની ટીમ ભારતમાં કોઈપણ સ્થાને ક્રિકેટ મેચ રમી શકે નહીં તેની તકેદારી રાખવા શિવસૈનિકોને જણાવ્યુ હતુ. જેના પરિણામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ શિવસૈનિકોએ ભારત-પાકિસ્તાનની મેચના આગલા દિવસે જ ખોદી નાખી હતી. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ ભારત ક્રિકેટ રમવા આવવાની છે. ત્યારે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યુ છે કે ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી જોઈએ. આ નિવેદનની બાળાસાહેબે આકરી ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાનની ટીમને ભારત નહીં બોલાવવાનો મત વ્યક્ત કર્યો હતો.
સંસદ પરના આતંકવાદી હુમલામાં ફાંસી પામેલા આતંકવાદી અફઝલ ગુરુની દયા અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવી બાળ ઠાકરેને ઈચ્છા હતી. મહત્વપૂર્ણ છે કે બાળ ઠાકરે એનડીએમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના મોતના ચોથા દિવસે ભારત સરકારે મુંબઈ પરના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસીને માંચડે લટકાવી દીધો છે.
મુંબઈમાં મુસ્લિમ ગુંડા દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલની દાદાગીરી ચાલતી હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, બંનેને ભારત છોડવા માટે મજબૂર કરનારા બાળ ઠાકરે હતા. મુસ્લિમ ડોન દાઉદ સામે હિંદુ ડોન અરુણ ગવળીની વાત પણ બાળ ઠાકરેએ ભૂતકાળમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અરુણ ગવળી શરૂઆતના સમયમાં શિવસૈનિક હતો.
બાળ ઠાકરેએ હિંદુત્વના મોટામોટા સિદ્ધાંતો અને વિચારધારાની ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે હિંદુત્વને વ્યવહારીકતામાં કેવી રીતે સર્વોપરી બનાવી શકાય તેની સતત ચિંતા કરી છે. જેને કારણે સેક્યુલર માઈન્ડ સેટમાં ઘડાયેલા સેક્યુલરમેનિયાથી પીડાતા બુદ્ધિજીવીઓને બાળાસાહેબ કોમવાદી લાગી શકે છે, તેમને બાળાસાહેબ દબંગ લાગી શકે છે, તેમને બાળાસાહેબ મુંબઈના દાદા લાગી શકે છે. પરંતુ બાળાસાહેબ શું હતા, તે તો તેમની અંતિમ યાત્રામાં સામેલ 20 લાખ લોકો અને દેશમાં ટેલિવિઝન પર નિહાળનારા કરોડો હિંદુઓ સારી રીતે જાણતા હતા.
બાળાસાહેબને શિવસેનાના તાનાશાહ ગણવામાં આવતા હતા. જો કે હકીકત તેનાથી વિપરીત હતી. શિવસૈનિકોના અપાર પ્રેમે તેમને શિવસેનના સર્વોચ્ચ સ્થાને 45 વર્ષોથી બેસાડયા હતા. જો કે તેમણે દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહ હિટલરની એક મુલાકાતમાં પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ હિટલરના બહુ મોટા પ્રશંસક છે અને તેમને આવું કહેવામાં કોઈ શરમ અનુભવાતી નથી. હિટલરની તમામ પદ્ધતિથી તેઓ સહમત પણ ન હતા. તેમણે કહ્યુ કે હિટલર સારો આયોજક અને વક્તા હતો.તેમને લાગે છેકે તેમના બંનેમાં ઘણું સામ્ય છે. ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૂર છે.
બાળાસાહેબ હંમેશા પોતાને સાચી લાગતી વાત કરતા, પોતાની સાચી વાતને અંતિમ ક્ષણ સુધી વળગી રહ્યા. તેમણે ક્યારે પોતાની વ્યક્તિગત મર્યાદાને પડદામાં રાખીને દંભ કર્યો નથી. તેઓ બિયર અને વાઈન પીતા હતા, સિંગાર અને ચિરુટના ભૂતકાળમાં બંધાણી હતા. આવી કોઈ વાત તેમણે ક્યારેય પડદામાં રાખી નથી. તેઓ હિંદુત્વની વાત કરતા હતા, પરંતુ માંસાહાર કરતા હોવાની વાતને ક્યારે છુપાવી નથી. બાળાસાહેબે પોતાના જીવન દરમિયાન રાજકીય સમજૂતીઓ પોતાની રાજનીતિ પ્રમાણે કરી હશે, પરંતુ હિંદુત્વના મુદ્દે આજીવન એકપણ સમજૂતી તેમણે કરી નથી. આવા દંભ વગરના દ્રઢ જીવને જ તેમને હિંદુ હ્રદય સમ્રાટ બનાવ્યા છે. 

ગુરુવાર, 14 જૂન, 2012

રાષ્ટ્રપતિ પદનું અવમૂલ્યન કરતું દિલ્હીનું રાજકારણ


-આનંદ શુક્લ
રાષ્ટ્રપતિ પદ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે તેના ઉમેદવારોના નામ જાહેર કરવા સંદર્ભે દિલ્હીમાં ખેલાઈ રહેલું ગંદુ રાજકારણ આઘાતજનક છે. ભૂતકાળમાં એકાદ અપવાદને બાદ કરતા આવી ઘટના ક્યારેય બની નથી કે સર્વોચ્ચ બંધારણીય પદની ઉમેદવારીની ચર્ચા રાજકારણના મેદાનમાં ફૂટબોલ બની જાય. દેશમાં હાલ જે પણ કોઈ સંકટ છે, તે આર્થિક નહીં રાજકીય હોવાનું આ સમગ્ર ઘટનાક્રમ પરથી પ્રતિબિંબિત થઈ રહ્યું છે. યુપીએના ઘટકદળોના પ્રમુખો મમતા અને મુલાયમની રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાતની ઘટનામાં બળવાખોરીથી ગઠબંધનનું રાજકીય દેવાળિયાપણું બંધ બારણેથી શેરીઓમાં આવી ગયું છે. 

કેન્દ્રમાં સત્તામાં રહેલી યુપીએ ગઠબંધન સરકાર વડાપ્રધાન મનમોહન સિંહ અથવા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી નહીં, પરંતુ ઘટકદળો ચલાવી રહ્યા છે. તાજેતરની ઘણી ઘટનાઓ દર્શાવે છે કે યુપીએ સરકાર પાસે ઘટકદળો મનનું ધાર્યું કરાવી રહ્યા છે. 121 કરોડ ભારતીયોનું આનાથી મોટું અપમાન ન થઈ શકે કે દરેક રાજકીય પક્ષ પોતપોતાની તાકાતનો સિક્કો હવામાં ઉછાળીને પરિસ્થિતિને વધુ દયાજનક બનાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ મમતા બેનર્જી સાથેની મુલાકાતમાં કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે પહેલી પસંદ પ્રણવ મુખર્જી અને બીજી પસંદ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ગણાવ્યા છે. તો તેની સામે મમતા-મુલાયમે સહિયારો નિર્ણય લઈને ત્રણ નામો જાહેર કર્યા. જેમાં તેમણે પહેલી પસંદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ, બીજું નામ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને ત્રીજા સ્થાને ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીના નામો રજૂ કર્યા છે. જો કે કોંગ્રેસે મમતા પર મર્યાદાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને મમતા-મુલાયમના નામ હાલ નામંજૂર કર્યા છે. પરંતુ કોંગ્રેસ મમતા-મુલાયમ વગર પોતાની પસંદના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવી શકે તેમ નથી.

મમતા-મુલાયમે રજૂ કરેલા રાષ્ટ્રપતિ પદના ત્રણ ઉમેદવારોના નામમાં પ્રવર્તમાન વડાપ્રધાનનું નામ હોવું દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં એકદમ નીચલા દરજ્જાની  મજાક જેવું છે. આનો એક જ અર્થ થઈ શકે કે યુપીએના ઘટકદળો તૃણમૂલ કોંગ્રેસ અને તેને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહમાં વિશ્વાસ નથી. આ પરિસ્થિતિ દેશ માટે સૌથી વધારે ભયજનક છે. પ્રવર્તમાન નાણાંમંત્રી અને યુપીએ સરકારમાં નબંર ટુ ગણાતા પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારીને મમતા-મુલાયમ દ્વારા નકારાયા બાદ તેમના તરફ પણ અવિશ્વાસનું  વાતાવરણ હોવાનું સ્પષ્ટ બન્યું છે. મનમોહન અને પ્રણવ સામેનો અવિશ્વાસ સીધો યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે છે. સોનિયા ગાંધીની નિર્ણય ક્ષમતા સામે પહેલીવાર યુપીએને ટેકો આપી રહેલા ઘટકદળોમાંથી અવિશ્વાસનો માહોલ બહાર આવ્યો છે.

પ્રતિભા દેવી પાટીલે ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ હવે કોઈપણ છાપ ઉભી કર્યા વગર રાયસીમા હિલ્સ ખાલી પણ કરશે. પરંતુ અત્યારે રાષ્ટ્રપતિ કોણ બનશે તે મુદ્દો નથી રહ્યો. હવે મુદ્દો એ રહી ગયો છે કે કોઈ ઉમેદવાર ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ બનીને આત્મવિશ્વાસ સાથે પદભાર ગ્રહણ કરશે કે કેમ? રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું આટલું રાજનીતિકરણ થઈ જશે, તો તેમની હેસિયત તેમને મળેલા વોટથી નક્કી થશે. રાષ્ટ્રપતિ પદે બેસનારી વ્યક્તિનું આનાથી મોટું અવમૂલ્યન બીજું કોઈ ન હોઈ શકે. આવી પરિસ્થિતિમાં જ્યારે તેમને 2014ની લોકસભાની ચૂંટણી પછી ઉભી થનારી સંભવિત ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં બંધારણીય નિર્ણય કરવાનો વખત આવશે, ત્યારે પણ તેમની સામે રાજકીય આક્ષેપ થશે. આવી પરિસ્થિતિમાં તેમણે બંધારણીય જવાબદારીઓ તલવારની ધાર પર નિભાવવી પડશે.

મમતા-મુલાયમ ઈચ્છત તો તેઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરી શક્યા હોત. પરંતુ મમતાએ પહેલા સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષની પસંદગીના નામ પ્રેસ સામે જાહેર કર્યા અને બાદમાં મુલાયમ સાથે સંયુક્ત સંબોધન કરીને ત્રણ નામ જાહેર કર્યા. છેલ્લા કેટલાંક સમયમાં યુપીએ સરકાર મનમોહન અથવા સોનિયા ગાંધી નહીં, પરંતુ મમતા બેનર્જી ચલાવી રહ્યા છે. આ દેશના રેલવે મંત્રી મમતા બેનર્જી નક્કી કરે છે, દેશમાં રિટેલમાં એફડીઆઈ આવશે કે નહીં તે પણ મમતા નક્કી કરી રહ્યા છે. હવે તેઓ આ દેશના રાષ્ટ્રપતિ પણ નક્કી કરવા માંગે છે. બની શકે કે ભવિષ્યમાં તેઓ લોકસભામાં ઓછી બેઠકો છતાં દેશના વડાપ્રધાન નક્કી કરવાની સ્થિતમાં પણ આવી શકે.

યુપીએ ગઠબંધન સરકાર રાજકારણના દાદાઓ અને દીદીઓથી ચાલી રહી છે. જેના કારણે ઉભી થયેલીનેતૃત્વવિહીન સ્થિતિને કારણે એક મોટા આર્થિક સંકટ તરફ જઈ રહ્યો છે. દેશના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે ગઠબંધનથી ભ્રષ્ટાચાર અને અનિર્ણયની સ્થિતિ  વધી છે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દેશનું આર્થિક રેટિંગ ઘટાડવાની વાત પણ રેટિંગ એજન્સીઓ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આર્થિક સંકટ દરવાજે દેખાઈ રહ્યું છે. અત્યારની પરિસ્થિતિમાંથી નીકળવા માટે સરકારે અનિર્ણયની સ્થિતિમાંથી બહાર આવવું પડશે.

જો કે વડાપ્રધાન મનમોહન સિંહ દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. પરંતુ પ્રણવ મુખર્જીની આ મામલે પ્રતિક્રિયા ઘણી મહત્વની સાબિત થવાની છે, કારણ કે મમતા-મુલાયમે તેમની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારીનો પણ છેદ ઉડાડયો છે. કોંગ્રેસે મમતા-મુલાયમના રાષ્ટ્રપતિ પદના  ઉમેદવારોને નામંજૂર કર્યા છે. તેમણે મમતા બેનર્જી સાથે વાતચીત નહીં કરવાનું મન બનાવી લીધું છે. જો કે મુલાયમ સિંહને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ યુપીએ સરકારે હવે મમતાગીરી સામે પગલા લેવાનો સમય પાકી ગયો છે. પરંતુ હજી કોંગ્રેસને મમતા બેનર્જી સામે કડક વલણ અપનાવતા પહેલા પોતાના રાજકીય સમીકરણો વ્યવસ્થિત કરવાની  દરકાર રહેશે.