લેબલ અડવાણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અડવાણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

ચૂંટણીના પ્રચારમાં હિંદુત્વ કેન્દ્રસ્થાને રહેશે


-         પ્રસન્ન શાસ્ત્રી
આમ તો દરેક અરુણોદય કેસરિયો જ હોય છે. કેસરી રંગને પસંદ કે નાપસંદ કરનારા તમામ પર સૂર્ય પોતાના કેસરિયા કિરણોથી અભિષેક કરે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના અરુણોદયને કેસરિયો ગણવાનો ઈન્કાર કરી દેવાયો. ભારતની પહેલી પરોઢના દિવસે જ પ્રભાત કેસરિયા રંગનું હોય છે, તે વાતને મોટા-મોટા નેતાઓ દ્વારા નકારવામાં આવી. ભારતની આઝાદીની સવાર કેસરી હોવા છતાં તેનો ઈન્કાર કરવા માટે તત્કાલિન કોંગ્રેસી નેતાઓમાં હોડ જામી. આજે આઝાદીના 66 વર્ષે પણ હિંદુસ્થાનને, લોકોને દેખાય, લોકોને અનુભવાય અને લોકો માનવા બાધ્ય થવું પડે તેવા કેસરિયા પ્રભાતનો ઈન્તજાર છે. હિંદુઓ આ દેશમાં બહુમતી છે. હિંદુઓ આ દેશનો આત્મા છે. હિંદુઓ આ દેશની ઓળખ છે. હિંદુસ્થાનની ઓળખાણ હિંદુ છે. હિંદુસ્થાનમાંથી હિંદુઓ અને તેમના વિચારોને બાકાત કરી નાખવામાં આવે, તો હિંદુસ્થાન હિંદુસ્થાન રહેતું નથી. આ દેશના રાષ્ટ્રત્વનો વિચાર અને તેની પ્રક્રિયા સમગ્રપણે હિંદુ ધર્મ અને હિંદુ જીવન પદ્ધતિ છે. આ દેશની ઓળખને પુનર્પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો છેલ્લા એક હજાર વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ હિંદુસ્થાનને તેની સાચી રાષ્ટ્રીય ઓળખ હજી સુધી મળી નથી.

પરંતુ છેલ્લા 25 વર્ષથી દેશનું વાતાવરણ બદલાયું છે. હિંદુઓમાં દેશની ઓળખને પ્રતિષ્ઠિતપણે પુન:પ્રસ્થાપિત કરવાની લલક લાગી છે. હિંદુત્વના વિચારને ટેકો આપનારા નેતાઓ અને પક્ષને ભારતના લોકોએ છ વર્ષ સુધી સત્તાના શિખરે પણ બેસાડયા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી હિંદુ વિચારને મજબૂત બનાવવાની વાત વિકાસના નામે બાજૂ પર મૂકવામાં આવી. જેને કારણે દેશના લોકોએ વાયદા નહીં નિભાવનારાઓને સત્તા બહાર કર્યા. જો કે દેશમાં છેલ્લા 10 વર્ષથી હિંદુઓને સતત અપખોડતી અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સત્તા પર છે. દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું નિવેદન કરીને વડાપ્રધાન મનમોહનસિંહે હદ કરી નાખી. મુસ્લિમોના ઉત્કર્ષ માટે વડાપ્રધાને સચ્ચર સમિતિ બનાવી. સચ્ચર સમિતિએ ભારતના ન્યાયતંત્રથી માંડીને લશ્કરમાં મુસ્લિમોના આંકડા મેળવ્યા. તેમણે મુસ્લિમોને અનામત આપવાની ભલામણ કરી. વડાપ્રધાને મુસ્લિમોના ઉત્કર્ષ માટે 15 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરાવ્યો. મુસ્લિમોને અલગ શિષ્યવૃતિ અને આર્થિક મદદો સરકારી રાહે અપાવા લાગી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોમાં મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની ટકાવારીમાં હરિફાઈ જામી. સેતુસમુદ્રમ નામના પ્રોજેક્ટ માટે રામાયણકાલીન રામસેતુ તોડવા માટે સરકાર તૈયાર થઈ અને ભગવાન શ્રીરામ તથા રામાયણ કપોળકલ્પિત હોવાનું એફિડેવિટ સુપ્રીમકોર્ટમાં કર્યું.
દેશમાં ચાલી રહેલા મુસ્લિમ તુષ્ટિકરણના વાતાવરણમાં ક્યારેક હિંદુહિતની વાત કરનાર રાજકીય પક્ષ ખામોશ રહ્યો. જેના પરિણામે પરિસ્થિતિ વધારે વકરી. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મળી રહેલા સંકેતો જણાવી રહ્યા છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દો પ્રચારના કેન્દ્રસ્થાને રહેશે. દેશના હિંદુઓ સુધી સચ્ચાઈથી વાતો પહોંચાડવામાં આવશે, તો દેશનું રાજકીય તકદીર બદલાય તેવી પ્રબળ શક્યતા છે. એક ગઠબંધનના નામે હિંદુત્વના વિચાર સાથે સંકળાયેલા મુદ્દાઓને 17 વર્ષ સુધી બાંધી રાખવામાં આવ્યા. જેના કારણે હિંદુ સમાજમાં આક્રોશનો અંડરકરંટ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં કટ્ટર હિંદુત્વવાદી તરીકે મીડિયા દ્વારા લોકોમાં જાણીતા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. બસ, ત્યારે હિંદુત્વ વિરોધી રાજકીય શક્તિઓને કરંટનો ઝાટકો લાગ્યો હોય, તેવું વાતાવરણ પેદા થયું. જેડીયૂએ ગઠબંધન છોડીને ભાજપથી અલગ થયું.

ત્યાર પછી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રીશ્યામાપ્રસાદ મુખર્જીના શહીદ દિવસે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સીમા પર આવેલા માધોપુરમાં ભાજપની રેલી થઈ. પરંતુ આ રેલીમાં ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને દૂર કરવાની વાત પર મૌન રહ્યા. તેમણે કોંગ્રેસના કારનામા અને વિકાસની વાતો કરી. પરંતુ તેના બીજા દિવસે ભાજપના સંસ્થાપક સભ્ય અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાની પુરજોર તરફેણ કરી. એનડીએ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બાકાત રખાયેલા પહેલા મુદ્દા પર ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ પહેલી વખત પોતાના વિચારો રજૂ કર્યા. એક તરફ વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ભાજપના મહાસચિવ અમિત શાહે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા છે. કપડાના મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીરામ સમક્ષ અમિત શાહે પ્રાર્થના કરી કે રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય. અમિત શાહના ભવ્ય રામમંદિર નિર્માણના નિવેદન પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જેડીયૂ સહીતની પોતાને સેક્યુલર ગણાવતી રાજકીય પાર્ટીઓના નેતાઓ અકરાંતિયાની જેમ ટીકા કરવા તૂટી પડયા.
વાત એટલેથી અટકતી નથી, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો એક વિદેશી ન્યૂઝ એજન્સીએ ઈન્ટરવ્યૂ લીધો. જેમાં તેમને હિંદુ રાષ્ટ્રવાદ પરનો સવાલ પુછવામાં આવ્યો. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેઓ હિંદુ છે, રાષ્ટ્રવાદી છે અને હિંદુ રાષ્ટ્રવાદી છે. મોદીએ ન્યૂઝ એજન્સીને કહ્યુ કે તમે મને હિંદુ રાષ્ટ્રવાદી કહી શકો છો. હિંદુ રાષ્ટ્ર અને પરમ વૈભવશાળી ભારતની આકાંક્ષાઓમાં કોઈ અંતર નથી. પુરા એક હજાર વર્ષથી હિંદુ રાષ્ટ્રને તેની ઓળખ અપાવવા માટે કરોડો હિંદુ રાષ્ટ્રવાદીઓ પાંપળ પટપટાવ્યા વગર બલિદાનો પર બલિદાનો આપી રહ્યા છે. પરંતુ મોદીના આ નિવેદનથી હિંદુ શબ્દથી નફરત કરનારા લોકોના પેટમાં ઉકળતું તેલ રેડાયું. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીને રાષ્ટ્રવાદી હિંદુ બનવાની સલાહ આપી. બીજી તરફ સતત સંઘ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ ક્ષોભજનક નિવેદનબાજી કરનાર હિંદુત્વ વિરોધી દિગ્વિજયે બ્લોગ લખીને પોતે કેટલા મોટા હિંદુ છે, તેનું ગાણું ગાઈ આગામીચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દે કેન્દ્રસ્થાને જ રહેશે તેમ પરોક્ષ રીતે સૂચવ્યું છે.

મોદીના ઉપરોક્ત ઈન્ટરવ્યૂમાં 2002ની ઘટનાઓ પર સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે તમે ગાડી ચલાવતા હોવ અથવા પાછળની સીટમાં બેઠા હોવ અને ગાડી નીચે કૂતરાંનું બચ્ચું આવી જાય તો પણ દુ:ખ થાય. મોદીના આ નિવેદન પર પણ વિવાદ પેદા કરીને તથાકથિત સેક્યુલર પાર્ટીઓના નેતાઓએ કહ્યુ કે મોદીએ મુસ્લિમો સમુદાયની સરખામણી કૂતરાંના બચ્ચા સાથે કરી. આ નિવેદન પર મોદી સાથે હિંદુત્વને પણ નિશાન પર લેવામાં આવ્યું. પૂણેની એક જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરી ટીપ્પણી કરતા કહ્યુ કે સંકટ સમયે કોંગ્રેસ બુરખો ઓઢીને બંકરમાં છુપાય જાય છે. આ નિવેદનને બરાબર સમજીએ તો કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર,મોંઘવારી, આતંકવાદ, માઓવાદ, મુસ્લિમ તુષ્ટિકરણ જેવા સળગતા મુદ્દા ભૂલવાડવા માટે સેક્યુલારિઝમનું ગાણું ગાય છે. કોંગ્રેસ હંમેશા પોતે સેક્યુલરવાદી હોવાનું જણાવીને મુસ્લિમોને ભાજપ, સંઘ, વીએચપી, બજરંગદળ અને મોદીનો ડર દેખાડે છે. આ વખતે પણ મોદીના ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર થયા બાદ કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે કે મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આમ કરીને કોંગ્રેસ દેશના 20 કરોડ મુસ્લિમ મતદાતાઓને કોઈપણ પ્રકારના પ્રચાર વગર પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે દેશમાં હાલ 90ના દશક જેવું હિંદુત્વનું મોજું નથી કે જેથી હિંદુ મતો વોટબેંકનું સ્વરૂપ લઈ શકે. જેના કારણે 66 વર્ષથી વોટબેંક તરીકે વર્તી રહેલા મુસ્લિમ સમાજનો કોંગ્રેસ સહારો લઈ રહી છે.
મોદીના આ નિવેદન પર કોંગ્રેસ તરફથી તેમના મીડિયા પ્રમુખ અજય માકનની પ્રતિક્રિયા આવી કે નગ્ન કોમવાદ કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. તો અમર્યાદિત ભાષાપ્રયોગ માટે જાણીતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશી થરુરે કહ્યુ છે કે ખાખી ચડ્ડી કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. ત્યારે કોંગ્રેસે જવાબ આપવો પડશે કે નગ્ન કોમવાદ કોણ ફેલાવે છે? આ દેશમાં આઝાદી પછી 50 હજાર જેટલા કોમી હુલ્લડો થયા છે. આ હુલ્લડોમાં કોનો વાંક હતો અને કોણે શું ભૂમિકા નિભાવી તેની સૌથી વધારે ખબર દેશની સત્તા પર 47 વર્ષ ભોગવટો કરનાર કોંગ્રેસને વધારે ખબર હોય. હિંદુત્વની વાત કરવી, હિંદુ એકતાની વાત કરી અને હિંદુત્વની શક્તિથી દેશને તાકતવર બનાવવાની આકાંક્ષા સેવવી કોઈપણ હિસાબે નગ્ન કે કપડા પહેરેલો કોમવાદ નથી, પરંતુ તે કરોડો હિંદુઓની નસોમાં વહેનારો તેજસ્વી હિંદુ રાષ્ટ્રવાદ છે. આ દેશના ટુકડા થવા માટે મુસ્લિમ કોમવાદ જવાબદાર હતો. આ મુસ્લિમ કોમવાદ સામે ઘૂંટણિયા ટેકવીને થાબડભાણા કરનારા કોંગ્રેસ પાર્ટીના વારસોને આજે હિંદુ રાષ્ટ્રવાદ નગ્ન કોમવાદ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ભારતના અત્યાર સુધીના અસ્તિત્વ માટે ભગવદ ગીતાને પ્રેરણા બનાવનારા અનેક દૂધમલ યુવાનોના બલિદાન જવાબદાર હોવાની વાત કોંગ્રેસને સ્વીકારવી નથી. કોંગ્રેસ જણાવે કે સેક્યુલારિઝમના બુરખામાં પેસીને તેણે દેશને નુકસાન કરતા કેવા કારનામા કર્યા છે?

શશી થરુરે એ જ રીતે ખાખી ચડ્ડીની વાત કરી આરએસએસ અને તેમની ભગિની સંસ્થાઓને વિવાદમાં ઘસડી. જેનાથી હિંદુત્વનું વાતવરણ ગાઢ બનશે. થરુરને આ સંસ્થાઓના બલિદાનની ખબર નથી. જેનું રાજકારણ કાસ્ટીઝમ ઉપર સ્થિર થયું છે, તે હિંદુત્વની લહે જો ચૂંટણીમાં આવશે તો સમાપ્ત થઈ જસે,તેવી બીકે બીએસપી અધ્યક્ષ કુ. માયાવતીએ સંઘ અને વીએચપી ઉપર પ્રતિબંધની વાત કી છે. જ્યારે મુલાયમે આવી રહેલા હિંદુત્વના પવનને ખાળવા માટે કારસેવકે ઉપરના ગોળીબારની પરોક્ષ માફી માંગી છે.

શ્રીમોદીના કે શ્રીઅડવાણીના કે શ્રી અમીત શાહના નિવેદનોના કારણે રાજકીય ક્ષેત્રે જે ગરમી આવી છે, તેનો પવન હિંદુત્વ તરફ જ ફેંકાશે તેવું દેખાઈ રહ્યું છે. વિરોધીઓ આ નિવેદનોની ટીકા કર હિંદુત્વના પવનને વાવાઝોડું બનાવી રહ્યા છે. આ બધું જોતા લાગે છે કે ભલે બધા પક્ષો વિકાસની વાત કરતા હોય, પણ ચૂંટણીમાં હિંદુત્વની લહેર ફરી વળશે તેવું દેખાઈ રહ્યું છે. સેક્યુલારિઝમનો બુરખો ઓઢનારા રાજકીય પક્ષોએ એ વાત યાદ રાખવી પડશે કે ભારતમાં કેસરિયું પ્રભાત આવશે અને તેના મૂળ આ લોકસભાની ચૂંટણીમાં નખાશે.


હિંદુ સમાજ સક્ષમ છે. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ પણ આવશ્યક છે. આવા સંજોગોમાં હિંદુઓની લાગણીને સમજનાર રાજકીય પક્ષ કે પક્ષોને ફાયદો થઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં તેમણે પોતાના કરેલા વાયદા પુરા કરવા પડશે. જો આમ નહીં થાય, તો હિંદુ સમાજ રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ બીજો રસ્તો પણ શોધી શકે છે. 

ગુરુવાર, 20 જૂન, 2013

દેશની સમસ્યાઓનો ઉકેલ: હિંદુઓને તાત્કાલિક પોલિટિકલ સ્ટેજ મળે

- પ્રસન્ન શાસ્ત્રી

વિભાજન સાથેની આઝાદીનો ઈતિહાસ ધરાવતા ભારતમાં સ્વતંત્રતાના 66 વર્ષમાં અંગ્રેજો પાસેથી ભારતીય શાસકોને વારસામાં મળેલી ભાગલાવાદી માનસિકતામાં કોઈ ફેર પડયો નથી. ભારતે 66 વર્ષમાં બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને તથાકથિત સેક્યુલર સિસ્ટમને સ્વીકારી છે. 66 વર્ષો દરમિયાન આ વ્યવસ્થાથી ભારતને ફાયદો થયો છે, તેનાથી વધારે નુકસાન જ થયું છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારતને નુકસાન થવાના ઘણાં ઉદાહરણો છે. ભારતની સામે સમસ્યાઓના પહાડ ઉભા થઈ ચુકયા છે. પરંતુ આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ વ્યવસ્થિત અને પાયાગત વિચાર થયો નથી. ભારતમાં રહેલી સમસ્યાઓના મૂળભૂત કારણો સંદર્ભે વિચાર થતો નથી. 

66 વર્ષના આઝાદીના ગાળામાં ભારતમાં એક પાર્ટીનું શાસન ઘણો લાંબો સમય રહ્યું. 70ના દાયકામાં દેશમાં રાજ્યોમાં બીજી પાર્ટીઓ વિકલ્પ તરીકે ઉભરવા લાગી હતી. પરંતુ કેન્દ્રમાં તો એક જ પાર્ટી સત્તા પર રહી. 1947થી 1989ના સમયગાળામાં કટોકટી બાદ ટૂંકાગાળા માટે સત્તા પર આવેલી જનતા પાર્ટીની સરકારના લગભગ અઢી વર્ષના ગાળાને બાદ કરી દેવામાં આવે, તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો જ સત્તામાં રહી. 1989થી 1998 સુધીના ગાળામાં લઘુમતી સરકારો અને રાજકીય જોડતોડ તથા જોડાણોવાળી સરકારો સત્તા પર આવી. 1998થી 2014 સુધીના ગાળામાં દેશની બે મુખ્ય પાર્ટીઓની આગેવાનીવાળા ગઠબંધનોની સરકારો દેશે જોઈ. 

આ રાજકીય પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ હતી કે આ દેશના 85 ટકા હિંદુઓને દેશની એકપણ રાજકીય પાર્ટીએ પોલિટિકલ સ્ટેજ આપ્યું નથી. આ દેશની તમામ સરકારો બહુમતી હિંદુ મતદારોના વોટથી ચૂંટાઈ છે. પરંતુ સત્તાનો ભોગવટો કરનારી એકપણ સરકારે હિંદુઓને હિંદુના નામે રાજકીય સ્ટેજ પુરું પાડયું નથી. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે દેશ પર અનેક આક્રમણો થયા. કેટલાંક વિદેશીઓ જીતી પણ ગયા. પરંતુ દેશના મૂળનિવાસી એવા હિંદુઓએ પ્રતિઆક્રમણોનો દોર ચલાવી સતત સંઘર્ષ કર્યો. અંગ્રેજોને બાદ કરતા આખો દેશ ક્યારેય કોઈ બાદશાહ કે સુલતાનના તાબામાં રહ્યો નથી અને થોડા ગાળામાં રહ્યો હોય, તો તેમા હિંદુ રાજાઓએ ઘણાં પ્રભાવી પદો ભોગવ્યા છે. મુગલોના અસ્ત પછી મરાઠાઓએ છત્રપતિ શિવાજી થકી હિંદુ પદપાદશાહીની સ્થાપના કરી હતી. અનેક યુદ્ધો બાદ ભારતના હિંદુઓને રાજપૂત કે મરાઠા કે શીખ તરીકે નહીં, પણ હિંદુ તરીકે રાજકીય સ્ટેજ કોઈએ પુરું પાડયું હોય તો તે છત્રપતિ શિવાજી હતા. શિવાજી દ્વારા સ્થાપવામાં આવેલી હિંદુ પદપાદશાહી પેશ્વાઓના પ્રતાપે અટકથી કટક સુધી વિસ્તરી. પરંતુ અંગ્રેજોના આગમન પછી પરિસ્થિતિ બદલાઈ. હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ લઈ લેવા માટે દેશમાં કમજોર પડી ગયેલા મુસ્લિમોને અંગ્રેજોએ ધર્મના નામે આગળ કરવાના શરૂ કર્યા. આમ અંગ્રેજોએ હિંદુઓ પાસેથી પોલિટિકલ સ્ટેજ આંચકી લીધું. 

1857ના અંગ્રેજો સામેના હિંદુ-મુસ્લિમ રાજા-નવાબો અને પ્રજાના લોહિયાળ સ્વતંત્રતા સંઘર્ષ બાદ બ્રિટિશરોએ પોતાની નીતિઓ ફેરવી. શરૂઆતમાં મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું. પરંતુ હિંદુઓની અસીમ રાજકીય શક્તિને જોયા પછી તેને કાબૂમાં કરવા માટે અંગ્રેજોએ મુસ્લિમોની ભારત પર રાજ કરવાની આકાંક્ષાઓને કબરમાંથી ખોદીને કાઢી. અંગ્રેજોએ 1885માં કોંગ્રેસની સ્થાપના કરાવી. તેનો ઉદેશ્ય દેશના ભણેલા હિંદુઓને એકઠા કરીને અંગ્રેજોના કહ્યામાં રહે તેવી રાજકીય પાર્ટી ચલાવી દેશ પર વધુ વર્ષો રાજ પાકું કરવાનો હતો. અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ હિંદુઓનું રાજકીય સ્ટેજ ક્યારેય હતી નહીં. પરંતુ 1906માં અંગ્રેજોએ રાષ્ટ્રવાદી હિંદુઓની કોંગ્રેસમાં વધતી તાકાત જોઈને મુસ્લિમોને મુસ્લિમ લીગ નામે અલગ પોલિટિકલ સ્ટેજ સ્થાપવામાં મદદ કરી. બસ દેશમાં મુસ્લિમોના પોલિટિકલ સ્ટેજ સામે કોંગ્રેસે હિંદુઓના પોલિટિકલ સ્ટેજ તરીકે કામ કરવાનું હતું. પરંતુ વસ્તુસ્થિતિ સાવ વિપરીત નિવડી. કોંગ્રેસે દોઢું મુસ્લિમપણું સ્વીકારીને હિંદુ-મુસ્લિમ એકતાના ગાણાં ગાઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ કર્યું. તેમા પછી ખિલાફત આંદોલન હોય, વંદેમાતરમનો મુસ્લિમ વિરોધ હોય કે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની વાત હોય. તમામ સ્તરે કોંગ્રેસે મુસ્લિમો સામે નમતું જોખ્યું. જેના પરિણામે મુસ્લિમ લીગ નામના પોલિટિકલ સ્ટેજનો સફળ ઉપયોગ મુસ્લિમ નેતાઓએ ભારતમાતાને ખંડિત કરીને અલગ પાકિસ્તાન બનાવવામાં કર્યો. (નોંધ- કોંગ્રેસ ભલે પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી રહી, પરંતુ મુસ્લિમ લીગના નેતાઓ અને અન્ય મુસ્લિમો તેને હિંદુ પાર્ટી તરીકે જોતા હતા. વળી બહુમતી હિંદુ મતદારોની કોંગ્રેસ તરફની લાગણીને પરિણામે કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ બની હતી. પરંતુ જ્યારે હિંદુઓએ કોંગ્રેસને પોતાના પોલિટિકલ સ્ટેજ તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, તો મહાત્મા ગાંધી અને નહેરુ સહીતના કોંગ્રેસી નેતાઓએ હિંદુની અવગણના કરતા વલણો અપનાવી દેશ ઘાતક ખતરનાક નિર્ણયો કર્યા હતા.)

આઝાદી વખતે મહાત્મા ગાંધી અને નહેરુની કોંગ્રેસમાં સદબુદ્ધિ આવી નહીં. ભારતને બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને સેક્યુલર વ્યવસ્થાના વિનાશપંથે અગ્રેસર કર્યું. દેશમાં વ્યવસ્થાના નામે અવ્યવસ્થાનું રાજ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યું. આશ્ચર્ય છે કે આ અવ્યવસ્થાને વ્યવસ્થા ગણવામાં આવી. આજે સુસાશનને નામે વ્યવસ્થા ઠીક કરી લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુદરતી કહેર કે માનવસર્જિત આફતો આવે છે, ત્યારે તમામ સુશાસનોની પોલ ખુલી જાય છે, પછી તે ઉત્તરાખંડ હોય કે ગુજરાત. કોંગ્રેસે સમાજવાદ અને સેક્યુલારિઝમના ગાણા ગાઈને 1989 સુધી કેન્દ્રમાં થોડા વર્ષોના અપવાદને બાદ કરતા સત્તા હસ્તગત રાખી. પરંતુ આ કોંગ્રેસે આઝાદી પહેલા પણ હિંદુઓને હિંદુના નામે પોલિટિકલ સ્ટેજ પુરું પાડયું નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ પણ હિંદુઓને હિંદુ તરીકે રાજકીય સ્ટેજ પુરું પાડવાનો ઈન્કાર કર્યો. આ ત્રણેય વડાપ્રધાનોએ હિંદુઓને રાજકીય સ્ટેજ મળે નહીં, તેના માટે ઘણી રાજરમતો અને ઉધામા કર્યા.  1925માં રાષ્ટ્રવાદી વિચારાધારના આંદોલન તરીકે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. 

આનું એકમાત્ર કારણ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈચ્છા છે કે દેશના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળે અને તેના થકી સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય. આરએસએસની પ્રેરણાથી 1952માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાના ઈરાદા સ્પષ્ટ ઉપસી આવ્યા. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે મળીને જનસંઘના નેતાઓ ચૂંટણી જીત્યા. સત્તામાં આવ્યા બાદ જનતાપાર્ટીમાં વિલિન થઈ ગયા. પરંતુ આરએસએસ સાથે સંબંધને કારણે બેવડી સદસ્યતાનો મામલો ઉઠયો. તેથી કેટલાંક સ્વયંસેવક હતા, તેવા નેતાઓએ અલગ પાર્ટી સ્થાપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. 1980માં ભારતીય જનતા પાર્ટી નામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહીતના સંઘના સ્વયંસેવકોએ જનતાપાર્ટીથી અલગ પાર્ટી બનાવી. આ ઘટનાક્રમમાં પણ એક વાત સ્પષ્ટ છે કે જનસંઘના જનપ્રતિનિધિઓ સામે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવનારા તત્વો સંઘ સાથે તેમનો નાતો તૂટે તેવી રમત રમતા હતા. તેનો સીધો અર્થ હતો કે સંઘ દ્વારા પ્રેરીત હિંદુ પોલિટિકલ સ્ટેજને પુરી રીતે નેસ્તોનાબૂદ કરી દેવું. 

1984માં માત્ર બે બેઠકોથી જીતની શરૂઆત કરનારા ભાજપે 1998થી 2004 સુધી દેશમાં સફળ ગઠબંધન સરકાર ચલાવી. 1997માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર પણ બની હતી. તે સમયના માહોલમાં જય શ્રી રામના નારા ગુંજતા હતા. 1987થી શરૂ થયેલું રામજન્મભૂમિ આંદોલન 1992માં ચરમસીમાએ પહોંચ્યું. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાને બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા બનાવાયેલા બાબરી ઢાંચાને ધ્વસ્ત કરી દેવાયો. દેશમાં હિંદુ ઉત્સાહ અને લાગણીઓ ચરમસીમાએ હતી. સોમનાથથી અયોધ્યા જવા નીકળેલી રામરથયાત્રાનું નેતૃત્વ પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધું. ત્યાર બાદ 1991માં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી. આતંકવાદીઓની ધમકી છતાં જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો હતો. 1989થી 1998 સુધીનો માહોલ દેશમાં હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળી જશે તેવા પ્રકારનો હતો. પરંતુ 1998માં અટલ બિહારી વાજપેયીના વડપણ નીચે 24 પક્ષોનો શંભુમેળો એનડીએના નામે ભેગો થયો. આ શંભુમેળાએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાં હિંદુના હિતના અને તેમને રાજકીય સ્ટેજ આપતા ત્રણ મુદ્દાઓ બાકાત રાખ્યા. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ-370 દૂર કરવી, દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવો અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામંદિર નિર્માણ કરવું હતા.

દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટાતા હતા. લખનૌથી અયોધ્યા 60 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ વાજપેયી ક્યારેય અયોધ્યામાં રામમંદિરની મુલાકાતે ગયા નથી. તેમ છતાં સત્તામાં રહ્યા ત્યાં સુધી દરવર્ષે અજમેરશરીફમાં ચાદર મોકલાવાનુ ભૂલ્યા ન હતા. વાજપેયી શરૂઆતથી રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો. બાબરી ધ્વસ્ત થવાની ઘટના સમયે તેઓ અયોધ્યામાં ન હતા. તો અડવાણી તેમનાથી પણ આગળ નીકળ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ 2005માં પાકિસ્તાન ગયા. ત્યાં પાકિસ્તાનના સંસ્થાપક મહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેક્વ્યું. ઝીણાને સેક્યુલર ગણાવ્યા. પાકિસ્તાનમાં બાબરી ધ્વંસનું દુ:ખ વ્યક્ત કર્યું. બધા કહે છે કે હવે ભાજપમાં વિકાસની નવી હવા ચાલે છે. આ હવા ગાંધીનગરથી દેશભરમાં ફેલાય છે. પહેલા અટલના ઉદારમતવાદી ચહેરાને કારણે હિંદુઓને રાજકીય મંચ મળ્યો નહીં. બાદમાં ઝીણા સંદર્ભેના નિવેદને અડવાણીની હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાની ક્ષમતા હણી નાખી.
હવે વિકાસ અને સદભાવનાના નામે હિંદુઓને પોલિટિકલ સ્ટેજથી હિંદુઓના નામે દૂર રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002થી 5 કરોડ લોકોની વાતો કરતા આવ્યા છે, હવે વસ્તી વધી છે એટલે આંકડા બદલ્યા છે અને 6 કરોડ ગુજરાતીઓ એમ બોલે છે. મોદીએ સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં પણ તથાકથિત સેક્યુલર લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો માઈન્ડ સેટ ઉજાગર થાય છે. આ દેશમાં હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ. ભારતની રાષ્ટ્ર તરીકેની ઓળખને હિંદુઓથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેવા સંજોગોમાં હિંદુત્વના વિકાસમાં સૌનો વિકાસ કોઈ રાજનેતાને દેખાતો નથી. ખરેખર આ સ્થિતિ ભારતનું દુર્ભાગ્ય છે. 

હિંદુઓને આઝાદી પહેલા કોંગ્રેસ પોતાનું પોલિટિકલ સ્ટેજ લાગી. કોંગ્રેસના આંદોલનોને કારણે દેશ આઝાદ થયો તેવી ભ્રમણાઓ પેદા કરીને અન્ય ક્રાંતિકારી ચળવળો તથા બલિદાનો ભૂલાવી દેવાયા. કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ હોવાનો ભ્રમ દ્રઢ રહ્યો, ત્યાં સુધી કોંગ્રેસ આઝાદી પછી એકહથ્થુ સત્તાનો ભોગવટો કરતી રહી. હિંદુઓનો ભ્રમ જ્યારે ભાંગીને ભૂક્કો થયો, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ સત્તા પર છે. પરંતુ તેના કારણો જાતિગત રાજનીતિ અને સેક્યુલારિઝમના નામે સત્તાની બંદરબાટ કરવામાં રહેલા છે. હિંદુઓને લાગ્યું ભાજપ તેમને રાજકીય મંચ પુરો પાડશે. પરંતુ તેમણે તો જીત પછી દગાબાજીના નવા ઈતિહાસ રચ્યા. પાકિસ્તાન સાથે શાંતિના પેગામ મોકલ્યા. પરમાણુ ધડાકા કર્યા પણ લશ્કરને સરહદે ગોઠવીને મુસ્લિમો પાકિસ્તાન સાથે યુદ્ધથી નારાજ થાય નહીં એટલે વાજપેયી મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા. આ પહેલા કારગીલ જેવી શર્મનાક ઘટના બની અને 500 સૈન્ય અધિકારીઓ અને જવાનોએ શહીદી વ્હોરી. દેશમાં 2 કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો અપાયા. આ તમામ ઘટના દર્શાવે છેકે હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ ખંડિત અને આઝાદ ભારતમાં ક્યારેય મળ્યું નથી. 

- અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરી ઢાંચાને હટાવાયા બાદ પણ ભવ્ય રામમંદિર નિર્માણનું સપનું હજી પૂર્ણ થયું નથી. ભગવાન શ્રીરામ હજી પણ કપડાના ટેન્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના અયોધ્યામાં આ સ્થળે જ રામજન્મભૂમિ હોવાના ચુકાદા બાદ પણ હિંદુઓને રામમંદિર નિર્માણ કરવા દેવાતું નથી. આવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ હિંદુઓ પ્રત્યે સંવેદનશીલ હોત, તો સંસદમાં ઠરાવ પસાર કરીને રામજન્મભૂમિની જમીન હિંદુઓને તાત્કાલિક સોંપી દેત. 

- ભગવાન રામ અને રામાયણ કપોળકલ્પિત હોવાના એફિડેવિટ માત્ર એટલા માટે થયા કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભગવાન રામ દ્વારા નિર્મિત મનાતા ભારત-શ્રીલંકા વચ્ચેના રામસેતુને તોડીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને આગળ વધારવા માગતી હતી. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તેમા તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પાર્ટી ડીએમકેના નેતાઓના સ્થાપિત હિતો છે. રામસેતુ મુદ્દે હિંદુઓને પોલિટિકલ સ્ટેજની પરવાહ કર્યા વગર આંદોલન કરવું પડયું. જેના પરિણામે રામસેતુ તોડવાનું કામ સરકારને રોકવું પડયું છે. પરંતુ હિંદુઓના પોલિટિકલ સ્ટેજની ગેરહાજરીમાં રામ, રામાયણ અને રામસેતુ ફરીથી પોતાને સેક્યુલર ગણાવતી સરકારના નિશાના પર આવી શકે છે.

- દેશના હિંદુઓએ ગાયને પવિત્ર અને માતા ગણે છે. પરંતુ આઝાદીના 66 વર્ષમાં ગાયોની કત્લેઆમ દેશમાં ચાલી છે. દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો બનાવવાની માગણી થઈ છે. કેટલાંક રાજ્યોએ નામનો કાયદો બનાવી પણ રાખ્યો છે. પરંતુ ગોહત્યા રોકાતી નથી. ભારત કૃષિપ્રધાન દેશ હતો. આજે ભારતમાં ઔદ્યોગિકરણની લ્હાયમાં ખેતીનું નખ્ખોદ નીકળી રહ્યું છે. નેતાઓ દાવો કરે છે કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસે પહેલા ગાય અને પછી ખેતીને અપાર નુકસાન પહોંચાડયું છે. આવા વિકાસનો પુનર્વિચાર કરવા માટે પણ કોઈ રાજકીય નેતા હાલ તૈયાર નથી.

- આખા ભારતમાં અમદાવાદ, દિલ્હી, હૈદારાબાદ, કાનપુર, અલ્હાબાદ, લખનૌ વગેરે જેવા જૂના શહેરોમાંથી હિંદુઓ બહાર નીકળી તેના પરાવિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. આવા શહેરોના કોટવિસ્તાર મુસ્લિમોના હાથમાં ચાલ્યા ગયા છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આખા દેશમાં ચાલી રહી છે. પણ રાજકીય નેતાઓની આ મુદ્દા પરત્વે ઉદાસનિતા છે. જેના માઠા પરિણામો આવા શહેરોને ભોગવવા પડે છે. 

- દિવાળી, નવરાત્રિ, ઉતરાયણ, હોળી જેવા હિંદુ તહેવારો હિંદુ પરંપરા પ્રમાણે નહીં, પણ હિંદુ-મુસ્લિમ ભાઈચારાના નામે મુસ્લિમોથી ડરીને ઉજવવા પડે છે. 

- જીવો અને જીવાડોના વિચારમાં વિશ્વાસ રાખનારા ભારતમાં આજે 36 હજારથી પણ વધારે કતલકાનાઓ થઈ ગયા છે. 

- આસામ, કેરળ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ઘણાં વિસ્તારોની ધાર્મિક જનસાંખ્યાયિકી ઝડપથી સુવ્યવસ્થિત રીતે બદલાઈ છે. તેના માટે મુસ્લિમોનું બહુપત્નીત્વ અને નસબંધીને નહીં સ્વીકારવાનું વલણ મોટા પ્રમાણમાં જવાબદાર છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક સંતુલન સ્થાપવા માટે કોમન સિવિલ કોડની માગણી થાય છે. પરંતુ તેને કોમવાદી ગણીને રાજકીય પક્ષોએ પોતાના ઉકરડાંઓમાં ફેંકી દીધી છે.

- દેશના ઘણાં મોટા હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે અને તેની આવક સરકાર જ વાપરે છે. 

- અમરનાથ યાત્રા માટે દેશના હિંદુઓને બલિદાની આંદોલનો કરવા પડે છે. જ્યારે હજયાત્રા માટે મુસ્લિમોને સરકાર વ્યવસ્થા કરી આપે છે

- દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક હોવાનું જણાવીને વડાપ્રધાન દેશના 100 કરોડ હિંદુઓનું અપમાન કરે છે.

- રાષ્ટ્રગીત વંદેમાતરમ ચાલતુ હોય, તે વખતે બીએસપીનો મુસ્લિમ સાંસદ સંસદમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાછળથી કહે છે કે વંદેમાતરમનું ગાન ઈસ્લામ વિરુદ્ધ છે. 

- આસામ અને બાંગ્લાદેશ સાથેની અન્ય સરહદે હિંદુઓની જમીન, જંગલ અને ખેતી પડાવી લેવા માટે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા ષડયંત્ર ચલાવાયું છે. પરંતુ દેશની સરકારોને આ મુસ્લિમોમાં વોટબેંક દેખાઈ અને તેના કારણે આજે આસામને બીજા કાશ્મીર બનવાના માર્ગે ધકેલી દેવામાં આવ્યું છે. 

- લઘુમતીઓને પંદર સૂત્રીય કાર્યક્રમ, અલગ બજેટ-સબસિડી અને શિષ્યવૃતિથી વિકરાળ લાભો આપવામાં આવે છે. જેના પરિણામે હિંદુ યુવાવર્ગ સ્પર્ધા અને વિકાસની હરિફાઈમાં પાછળ પડી ગયો છે. પરંતુ વિકાસના ગાણાં ગાનારા રાજકીય ગવૈયાઓને તેની કોઈ પરવાહ નથી. 

દેશની આઝાદીના 66 વર્ષનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એનડીએ હોય કે યુપીએ, ભાજપ હોય કે કોંગ્રેસ બંને મુસ્લિમો, મિશનરી અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે ખોળો પાથરીને ઉભેલા દેખાય છે. આમા આ દેશના 100 કરોડ હિંદુઓની સતત સમજણપૂર્વકની ઉપેક્ષા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આસામ, કાશ્મીર, ઓરિસ્સા જેવા રાજ્યોમાં હિંદુઓને પોતાના જ દેશમાં શરણાર્થી બનવું પડે છે. ગંગા સહીતની નદીઓ પર વિકારાળ ઉદ્યોગોની હારમાળા ઉભી કરી દેવાય છે. જેને પરિણામે ગંગા સહીતની નદીઓના શુદ્ધિકરણ માટે હિંદુઓએ જ ચળવળ ચલાવવી પડે છે. આઝાદી પછી આ દેશની સત્તા પર આવનારા તમામે હિંદુઓને છેતર્યા છે. તેમણે મુસ્લિમ તુષ્ટિકરણના નવા ઈતિહાસ પણ રચ્યા છે. બધાના શાસનમાં થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ હિંદુઓ જ મર્યા છે.

છતાં ચહેરો વાજપેયી જેવો ઉદારમતવાદી અને સેક્યુલર રાખીને હિંદુઓના વોટ મેળવવાની આશા રાખવામાં આવે છે. આજ સુધી કોઈ નેતા હિંદુત્વવાદી હોય કે ન હોય, પરંતુ સંતોના સંમેલનમાં કોઈએ જાહેર કર્યું ન હતું કે તેઓ માત્ર હિંદુઓના નેતા નથી, પણ બધાના નેતા છે. આવું બોલનારા નેતા પાસે હિંદુ સમાજ પોલિટિકિલ સ્ટેજ મેળવવાની આશા કંઈ રીતે રાખી શકશે? દેશમાં હિંદુત્વ જ આગળ રહેશે તેઓ વારંવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હિંદુત્વ જ આગળ રહે તેના માટે રાજકીય મંચની જરૂર છે. એવા રાજકીય મંચની કે જેને દુનિયા જોઈ શકે. જેના પરથી દુનિયાને બતાવી શકાય કે હિંદુ શું કરી શકે છે? પણ કેટલીક વખત હિંદુહિતની રાજનીતિ કરનારાઓ પર દયા આવે છે કે તેઓ બોલી શકતા નથી કે હા, અમે હિંદુહિતની રાજનીતિ કરીશું. આ દેશની સમસ્યાની જડ હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ મળ્યું નથી તે છે, જો હિંદુઓને તેમનું પોલિટિકલ સ્ટેજ મળી જાય, તો દેશની સમસ્યા જેટ ગતિએ ઉકેલાશે. ગુજરાતના વિકાસમાં કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. તે મોડલની ખામી હોઈ શકે. પરંતુ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું, કારણ કે રાજ્યના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ એક હદ સુધી પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાતે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદીને હિંદુત્વવાદી મુદ્દાઓ પર જ વોટ આપ્યા છે. હિંદુત્વવાદી મુદ્દાઓ પર જીતીને જ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું છે. ત્યારે દેશમાં હિંદુત્વવાદી ચહેરો છુપાવીને ગુજરાત વિકાસ મોડલને લઈને આગળ વધવાનો શું અર્થ છે? યાદ રહે ગુજરાતથી દિલ્હી જવાનો રસ્તો અયોધ્યાથી અવશ્ય જઈ શકે છે, પણ ગુજરાતથી ચીન-જાપાન થઈને દિલ્હી કોઈ રસ્તો પહોંચતો નથી. 

મંગળવાર, 26 જૂન, 2012

નરેન્દ્ર મોદીએ વાજપેયીની જેમ સેક્યુલર દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ

-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદીએ સેક્યુલર બનવાની અને દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ. તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીની વાજપેયી જેવા સેક્યુલર દેખાવની કોશિશો પર ફરી વળેલા પાણી બાદ નરેન્દ્ર મોદીએ બોધપાઠ લેવો જોઈએ. ભારતમાં સેક્યુલર હોવું એટલે લઘુમતી તરફી અને ખાસ કરીને મુસ્લિમ તરફી વલણ અપનાવું તેવો અર્થ થાય છે. ભારતમાં જેટલાં પણ પક્ષો અને નેતાઓ મુસ્લિમ તરફી ઝોક ધરાવે છે, તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે. ભારતમાં રાજધર્મ હંમેશા પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર રહ્યો છે. ભારતીય મૂળના રાજા-મહારાજા અને શહેનશાહોએ રાજધર્મ નિભાવતી વખતે ક્યારેય પંથનિરપેક્ષતાને છોડી નથી.

સમદ્રષ્ટિ અને સમાન વ્યવહાર સેક્યુલારિઝમ એટલે કે પંથનિરપેક્ષતાની પહેલી શરત છે. હાલનો પોતાને સેક્યુલર ગણાવતો એકપણ રાજકીય પક્ષ અથવા રાજકીય નેતા આવી કોઈ શરતને પુરી કરતો નથી. તેમની આંખોની સામે માત્ર 20 કરોડ મતોની મુસ્લિમ વોટબેંક નજરે પડે છે. તેમને મુસ્લિમોની લાગણીઓને ઉશ્કેરીને તેમની વોટબેંક પર કબજો જમાવવો છે. કોંગ્રેસ બાદ યૂપીમાં મુલાયમ સિંહ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સફળ થયા છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતીશ કુમાર પણ આ જ શ્રેણીમાં આવતા તથાકથિત સેક્યુલર નેતા છે. તેમના મતે એનડીએ તરફથી ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર કોઈ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હોવા જોઈએ. પરંતુ સવાલ એ છે કે ભારતમાં ધર્મનિરપેક્ષ થવા માટે મુસ્લિમ તરફી તથાકથિત સેક્યુલર નેતાઓમાં નેતાઓએ અને રાજકીય પક્ષોએ માન્યતા પ્રાપ્ત કરવી પડે છે. એટલે કે ભાજપે અને નરેન્દ્ર મોદીએ પોતે ધર્મનિરપેક્ષ હોવાનું પ્રમાણપત્ર નીતીશ કુમાર, નવીન પટનાયક, ચંદ્રાબાબુ નાયડુ, મુલાયમ સિંહ યાદવ સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓ પાસેથી લેવું પડશે.

નીતીશ કુમાર વાજપેયીના ઉદારવાદી સેક્યુલારિઝમને યાદ કરે છે. વાજપેયી નીતીશ કુમારને આજે પણ સેક્યુલર લાગી રહ્યા છે. પરંતુ રામજન્મભૂમિ આંદોલનના કર્ણધાર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમને ક્યારેય સેક્યુલર લાગવાના નથી. મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી આખા ભારતમાં એવા પહેલા નેતા હતા કે જેમણે માઈનોરિટી કમિશનનું પ્રાઈવેટ બિલ સૌથી પહેલા રજૂ કર્યું હતું. ખુદ મોરારજી દેસાઈએ લાલકૃષ્ણ અડવાણીના આ પગલાં સામે અણગમો વ્યક્ત કરીને તત્કાલિન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. અડવાણીએ પાકિસ્તાન યાત્રા પર જઈને મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા હતા. મહંમદ અલી ઝીણાને પાકિસ્તાનના સર્જક ગણવામાં આવે છે. અડવાણી આટલેથી અટક્યા નહીં. તેમણે પાકિસ્તાનમાં ઝીણાની કબર પર માથું પણ ટેકવ્યું અને મિનારે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી. મિનારે પાકિસ્તાન હિંદુસ્તાનથી અલગ પાકિસ્તાનનું પ્રતીક છે અને કોંગ્રેસના પાકિસ્તાનની મુલાકાતે ગયેલા કોઈપણ નેતાએ અડવાણી પહેલા ક્યારેય આ સ્થળની મુલાકાત લીધી નથી.

અડવાણીએ પાકિસ્તાનની ધરતી પર કહ્યુ કે 6 ડિસેમ્બર, 1992નો બાબરી ધ્વંસનો દિવસ તેમની જીંદગીનો સૌથી દુખદ દિવસ છે. ઉલ્લેખનીય છે કે અડવાણી મૂળ કરાચીના છે અને ભાગલા વખતે તેમના પરિવારને પણ પાકિસ્તાનથી ઉચાળા ભરવા પડયા હતા. પરંતુ અડવાણીને ભાગલા વખતે તેમના પરિવારના ભારતમાં આવવાનો દિવસ જીંદગીનો સૌથી દુખદ દિવસ લાગ્યો નહીં. ઝીણાને સેક્યુલર કહેવા માટે અડવાણીને ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડયું. પરંતુ તેમ છતા અડવાણીને સેક્યુલર કે ઉદારવાદી ગણવામાં આવશે નહીં, કારણ કે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન વખતે રામરથયાત્રા કાઢી હતી. હિંદુ તરફી એક કામ કર્યું, એની અડવાણીને મોટી કિંમત ચૂકવવી પડી છે. કદાચ અડવાણીને તેનો વસવસો પણ રહેશે. રામરથયાત્રા વખતે અડવાણી સંઘની પણ વડાપ્રધાન તરીકે પહેલી પસંદ હતા અને વાજપેયી કરતા લોકપ્રિયતામાં પણ આગળ હતા. તેમ છતાં સેક્યુલર દેખાવાના રાજકારણમાં વાજપેયીના નામે ગઠબંધન થઈ શક્યું અને અડવાણી વડાપ્રધાન થઈ શક્યા નહીં.

હિંદુત્વવાદી ગણતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી શરૂઆતથી જ જવાહરલાલ નહેરુના પગલે ચાલનારા વ્યક્તિ તરીકે પંકાયેલા હતા. ભારતીય જનસંઘને જનતા પાર્ટીમાં વિલીન કરીને હિંદુત્વવાદી રાજનીતિને ધરાશાયી કરવાના કામમાં વાજપેયીનો સિંહફાળો હતો. વાજપેયીએ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળીને પ્યારા પાકિસ્તાનની યાત્રા કરી હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની બંધ થયેલી સરહદો વાજપેયીના પ્રયત્નોથી ફરીથી ખુલી હતી. વાજપેયી શરૂઆતથી જ પાકિસ્તાન સાથે ખૂબ જ નરમાશભર્યું વલણ ધરાવતા હતા. રામજન્મભૂમિ આંદોલનમાં વાજપેયીએ કોઈપણ ઠેકાણે ભાગ લીધો ન હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ તેઓ અયોધ્યામાં ન હતા. બાબરી ધ્વંસને દુખદ ગણાવનારા સૌથી પહેલા ભાજપાઈ નેતા અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીને કરિશ્માઈ નેતૃત્વવાળા ગણવામાં આવે છે. પરંતુ 1980માં ભાજપની સ્થાપના બાદ તેમના નેતૃત્વમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. વાજપેયીએ ભાજપને હિંદુત્વના સ્થાને ગાંધિયન સોશ્યલિઝમના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. એનડીએની રચના વખતે વાજપેયીએ રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને સમાન નાગરિક ધારાને લાગુ કરવા જેવા હિંદુત્વવાદી ગણાતા ભાજપના મુખ્ય મુદ્દાઓને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી દૂર રાખવાની સહમતી આપી.

વાજપેયી વડાપ્રધાન રહ્યા ત્યાં સુધી દર વર્ષે અજમેર ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા હતા. પરંતુ તેમના સંસદીય મતવિસ્તાર લખનૌથી માત્ર 60 કિલોમીટર દૂર અયોધ્યા ખાતે ક્યારેય રામલલ્લાના દર્શન કરવા માટે ગયા નથી. વાજપેયીનું સેક્યુલારિઝમ અને ઉદારવાદ અહીં અટકતો નથી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અમનનો સંદેશ આપીને લાહોર બસયાત્રા લઈ ગયા. ત્યારે પાકિસ્તાની લશ્કરે કારગીલમાં ઘૂસણખોરી કરી. પરંતુ ભારતીય જવાનોના ભોગે વાજપેયી લાર્જસ્કેલ વોરના સ્થાને સીમિત યુદ્ધ લડયા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી નહીં. તેમણે નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના તાનાશાહ બની બેઠેલા જનરલ પરવેઝ મુશર્રફને ગોષ્ઠિ માટે આગ્રા ખાતે આમંત્ર્યા. પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ મુશર્રફને સૌથી પહેલી માન્યતા પણ વાજપેયી સરકારે ભારત આમંત્રીને આપી હતી. પાકિસ્તાન સાથે પીસ પ્રોસેસના નામે એક નાટક ચલાવવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદે ભારતમાં હુમલા કર્યા અને આપણે વેપારની વાત કરતા રહ્યા. પાકિસ્તાની આતંકવાદીઓએ 13 ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો કર્યો. જેના કારણે વાજપેયીએ આરપારની લડાઈની વાત કરીને ભારતીય લશ્કરને પાકિસ્તાની સરહદે તહેનાત કર્યું. પણ લશ્કર દોઢ-બે માસ સરહદની ધૂળ ખાતું રહ્યું અને વાજપેયી મનાલી રજાઓ ગાળવા જતા રહ્યા.

2002માં ગુજરાતના કોમી રમખાણો વખતે અમદાવાદના શાહઆલમ ખાતેના રાહતકેમ્પની મુલાકાત લીધી, પરંતુ 58 કારસેવકોની હત્યાના સાક્ષી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાત લેવાનું વાજપેયી પોતાની ઉદારવાદી છબી જાળવી રાખવા માટે સિફતપૂર્વક ટાળી ગયા. તેમણે કારસેવકોના સળગાવી નાખનારા કોમીતત્વો સંદર્ભે કોઈ વાત કરી નહીં, પરંતુ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ અમદાવાદ એરપોર્ટ ખાતેની પત્રકાર પરિષદમાં જરૂરથી આપી. વાજપેયી ગુજરાત રમખાણોને કારણે કલંકિત બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા પાછળ પણ તેમના પરનું તથાકથિત સેક્યુલર નેતાઓનું દબાણ અને પોતાની સેક્યુલર છબીને અકબંધ રાખવાની મનસા હતી. ભારતમાં ગુજરાત રમખાણોથી પણ ભયંકર હુલ્લડો થયા છે. પરંતુ આ હુલ્લડો બદલ બાબરી ધ્વંસના અપવાદને બાદ કરતાં એકપણ ઠેકાણે સરકાર દૂર કરવામાં આવી નથી અથવા મુખ્યમંત્રીને દૂર કરાયા નથી. પરંતુ નરેન્દ્ર મોદીની તથાકથિત મીડિયામાં ઉછાળવામાં આવેલી હિંદુવાદી છબીને કારણે તેમને વાજપેયીએ પદ પરથી હટાવવાની તૈયારીઓ દિવંગત પ્રમોદ મહાજનની રાહબરીમાં તૈયાર કરી હતી.

વાજપેયીએ લખનૌ ખાતે શિયા-સુન્નીના વિશાળ સંમેલનની આગેવાની કરી હતી. વાજપેયી દેશના પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે યૂપીમાં ચાલતા શિયા-સુન્નીના ઝઘડાંનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે સત્તા પર આવીને લીલા પાઘડા અને મુસ્લિમ ટોપીઓ પહેરીને અઢી કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો આપ્યા અને હજયાત્રામાં સુવિધાઓ વધરાવા તથા ક્વોટા વધારવાના વચનો પણ આપ્યા. પાકિસ્તાનીઓને ભારતમાં આવવા માટે સરળતાથી વીઝા આપવાની શરૂઆત પણ વાજપેયી સરકારે કરી હતી. જો કે સંઘપરિવારમાં વાજપેયીના ઉદારવાદી ચહેરા સાથે સહમત થનારા ઘણાં લોકો છે. તેમના મતે વાજપેયી મહાન ન હતા, પણ તેમને મહાન બનાવી દેવાયા છે.

વળી વાજપેયીનો ઉદારવાદી, સેક્યુલર અને વિકાસપુરુષનો ચહેરો સર્વસ્વીકૃત હતો તો 2004ની લોકસભાની ચૂંટણીમાં ફીલગુડ, ઈન્ડિયા શાઈનિંગ અને અટલના ચૂંટણી પ્રચારને દેશની જનતાએ શા માટે ફગાવી દીધો? વાજપેયીએ પોતાના જીવનમાં અડવાણીની જેમ આગળ રહીને હિંદુતરફી એકપણ કામમાં નેતૃત્વ કર્યું નથી. માટે ઝીણાને સેક્યુલર કહેનારા અડવાણી કરતા વાજપેયી વધારે ઉદારવાદી અને સેક્યુલર છે.

ભાજપને કોંગ્રેસ થવાની અને તેના નેતાઓને વાજપેયી થવાની ચળ ઉપડી છે. ભાજપને 2009ની ચૂંટણીમાં માત્ર 7 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. તેમ છતાં ભાજપ પોતાને મુસ્લિમોનું સમર્થન કૂદકેને ભૂસકે વધી રહ્યું હોવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આઝાદી વખતે ઝીણા કોંગ્રેસને હિંદુઓનો પક્ષ કહેતા હતા અને કોંગ્રેસ પોતાને મુસ્લિમોનું પણ સમર્થન હોવાની વાત કરતી હતી. જો કે દેશના 95 ટકાથી વધારે મુસ્લિમો મુસ્લિમ લીગને ટેકો આપતા હોવાની વાત 1946ની સામાન્ય ચૂંટણીઓના પરિણામોથી સાબિત થઈ ચુકી છે. આઝાદ ભારતમાં કોંગ્રેસ મુસ્લિમ લીગની જેમ અને ભાજપ કોંગ્રેસની જેમ વર્તી રહ્યો છે. તેવા સંજોગોમાં હિંદુઓ રાજકીય રીતે અનાથપણાનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં હવે મુસ્લિમોનો સંસાધનો પર પહેલો અધિકાર આપવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહ કરી રહ્યા છે. તમામ પક્ષો મુસ્લિમ અનામત માટે બંધારણ બદલવા સુધીના પ્રયત્નો કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો કોંગ્રેસ બની ગયેલા ભાજપના નેતાઓ પોતાને વાજપેયી સાબિત કરવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેમને દેશના વડાપ્રધાન બનવાનું આંકડે મધ દેખાઈ રહ્યું છે.

અડવાણીએ વાજપેયી જેવી સેક્યુલર ઈમેજ ચમકાવીને 2009ની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવા માટે ઝીણાને સેક્યુલર ગણવાની રાજનીતિ શરૂ કરી. જેના પરિણામે તેમણે પોતાની માસ અપીલ ગુમાવી દીધી. હવે ગુજરાતામાં વિકાસપુરુષ સાબિત થયેલા અને હિંદુત્વના પોસ્ટરબોય તરીકે ખ્યાતિપ્રાપ્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની હિંદુત્વાદી છબી ધોઈને વાજપેયી બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ હિંદુત્વવાદીની જગ્યાએ સફળ પ્રશાસક અને વિકાસપુરુષની છબી આગળ કરી રહ્યા છે. મુસ્લિમો તેમને મત આપી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમો માટે સદભાવના મિશનના 36 ઉપવાસો પણ મોદી કરી ચુક્યા છે. છતાં મોદીને નીતીશ કુમાર સેક્યુલર ગણવા માટે તૈયાર નથી. નીતીશ કુમાર મોદીને પોતાની સ્થાનિક રાજકીય જમીન વધારે ફળદ્રુપ બનાવવા માટે ભૂતકાળની જેમ પ્રવર્તમાન સમયમાં નિશાન બનાવી રહ્યા છે. ત્યારે મોદીએ પણ પોતાની રાજકીય જમીન છોડવી જોઈએ નહીં. મોદીની માસ અપીલ હિંદુત્વવાદી નેતા તરીકેની છે. દેશમાં આજે પણ તેમને હિંદુત્વવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. વાજપેયી જેવા બનવામાં મોદીની રાજકીય જમીન ધોવાશે. તેથી વાજપેયીએ રાજધર્મ નિભાવનારા હિંદુત્વવાદી નેતા તરીકેની ઈમેજથી જ રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવુ જોઈએ. મોદીએ સેક્યુલર તરીકે ઓળખાવાની કોશિશો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.


શુક્રવાર, 8 જૂન, 2012

હવે મોદી ઈઝ બીજેપી, બીજેપી ઈઝ મોદી?


-આનંદ શુક્લ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક એવા મરાઠી અખબાર તરુણ ભારતે સંજય જોશીને દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા તથા મોદીને અડિયલ ગણાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ કારોબારી વખતે સંજય જોશીને લઈને અપનાવામાં આવેલા વલણની તરુણ ભારત અખબારમાં સંઘના ચિંતક એમ. જી. વૈદ્યે ટીકા કરી છે. તેમણે મોદીના વલણ પર પરોક્ષ ટીપ્પણી કરતા લખ્યુ છે કે વ્યક્તિ નહીં, પણ સંગઠન મોટું છે.

અત્યારે ભાજપની રાજકીય પક્ષ તરીકે એવી પરિસ્થિતિ ઉભી થતી દેખાય રહી છે કે ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ. એક વખતના ભાજપના શક્તિશાળી કેન્દ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીએ યૂપીનું પ્રભારી પદ અને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે ગડકરીને આગ્રહ કરવો પડયો છે. માનવામાં આવે છે કે સંજય જોશી તેમના પ્રત્યેના નરેન્દ્ર મોદીના કડવા વલણથી છેલ્લા કેટલાંક વખતથી પરેશાન હતા. ગત સપ્ટેમ્બર માસમાં છ વર્ષ નિર્વાસિત રહ્યા બાદ સંજય જોશીને મોદીના વિરોધ છતાં સંઘના આશિર્વાદથી પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ પક્ષમાં ફરીથી સામેલ કર્યા હતા.

સંજય જોશીના ભાજપમાં પુનરાગમનથી સૌથી વધારે નારાજ કોઈ વ્યક્તિ હતી, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. યૂપીના પ્રભારી પદે સંજય જોશીની વરણી બાદ મોદી એટલા નારાજ હતા કે દિલ્હી ખાતેની ભાજપની મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં નવરાત્રિના ઉપવાસનું કારણ આગળ ધરીને સામેલ થયા ન હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સંજય જોશીને કારણે યૂપીના ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેવા માટે ભાજપના વડાપ્રધાન પદના ચાર-પાંચ ઉમેદવારો પૈકીના એક નરેન્દ્ર મોદી અન્ય ચાર રાજ્યોમાં પણ પ્રચાર કરવા ગયા નહીં!

સંજય જોશીને પાર્ટીમાં લેવા માટે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીથી મોદી સખત નારાજ રહ્યા. ભાજપ કદાચ એવી પહેલી પાર્ટી હશે કે જ્યાં પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન પદના સંભવિત ચાર-પાંચ ઉમેદવારોમાંના એક વચ્ચે સતત સાત માસથી વાતચીત થઈ ન હોય! મુંબઈ ખાતેની ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગડકરીને અધ્યક્ષ તરીકે બીજી ટર્મ માટે ચાલુ રાખવા માટે પક્ષના બંધારણમાં સુધારો કરવાનો હતો. તે વખતે અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓની નારાજગીને કારણે નરેન્દ્ર મોદીના ટેકાની ગડકરીને જરૂરિયાત હતી. ગડકરીએ મોદીનો ટેકો મેળવવા માટે રાષ્ટ્રીય કારોબારીના થોડા કલાક પહેલા આપવામાં આવેલું સંજય જોશીનું રાજીનામું સ્વીકારવું પડયું. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપની જન્મજયંતીમાં સામેલ થયેલા મુખ્યમંત્રી મોદીએ પોતાના કટ્ટર રાજકીય હરીફ ગણાતા સંજય જોશીના કારોબારીમાં હાજર રહેવાને પોતાની ગેરહાજરીનું બહાનું બનાવ્યું હતું. સંજય જોશી કારોબારીમાંથી રાજીનામું આપીને યૂપી જવા માટે નીકળ્યા, ત્યાર પછી જ મોદી મુંબઈમાં પ્રવેશ્યા.

જો કે મોદીના કારોબારી આવ્યાના અડધા કલાકમાં અડવાણી, સુષ્મા અને મુરલી મનોહર જોશી સ્થાન છોડી ગયા હતા. બેઠક બાદ યોજાયેલી જાહેરસભામાં પણ આ નેતાઓ હાજર રહ્યા ન હતા. મુંબઈ રાષ્ટ્રીય કારોબારી બાદ અડવાણીએ ગડકરી પર અને ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદી પર પરોક્ષ નિશાન તાક્યા. પેટ્રોલના જંગી ભાવવધારા સામે આપવામાં આવેલા ભારત બંધના એલાનના દિવસે જ અડવાણીએ ગડકરીને નિશાન બનાવીને બ્લોગ લખ્યો. તો ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદીનું નામ લીધા વગર તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાની ઉતાવળ પર કટાક્ષ કર્યો. પ્રભાત ઝાના તંત્રીલેખનો ટોન હતો કે મોદીની વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની ઉતાવળથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

સંઘના હિંદી મુખપત્ર પાંચજન્યમાં વરિષ્ઠ ચિંતક દેવેન્દ્ર સ્વરૂપે પોતાની કોલમ મંથનમાં મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા. દેવેન્દ્ર સ્વરૂપે ત્યાં સુધી લખ્યુ કે મોદીએ પોતાની કાર્યપદ્ધતિ અને સંગઠન ક્ષમતા સંદર્ભે ફરીથી વિચાર કરવાની જરૂરત છે. બીજી તરફ અમદાવાદ અને નવી દિલ્હી ખાતે રસ્તાઓ પર મોદીનું નામ લીધા વગર તેમની ટીકા કરતા અને જોશીની તરફેણમાં પોસ્ટરો લાગ્યા.

અમદાવાદ ખાતે લાગેલા પોસ્ટરોમાં અટલ બિહારી વાજપેયીની કાવ્યપંક્તિઓ- છોટે મન સે કોઈ ખડા નહીં હોતા, તૂટે મન સે કોઈ ખડા નહીં હોતા, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં છેલ્લે લખવામાં આવ્યું હતું કે કહો દિલ સે સંજય જોશી ફિરસે. તો દિલ્હી ખાતે લાગેલા પોસ્ટરમાં સંજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરવા પર નારાજગી વ્યક્ત કરીને ભાજપની નીતિ પર સવાલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર સંજય જોશી પ્રકરણ પર મોઢું ખોલતા કહ્યુ છે કે કોઈને પાર્ટી હાઈજેક કરવા દેવામાં આવશે નહીં.

અમદાવાદમાં ફરીથી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે રાજધર્મનું પાલન કરો, પ્રજાનો ધર્મ નિભાવો, પાર્ટી ધર્મને અપનાવો. આ પોસ્ટર યુદ્ધ માટે મોદી જૂથ તરફથી અંદરખાને જોશીના પ્રશંસકો તરફ શંકા કરવામાં આવી છે. જો કે હજી સુધી તેમને આ સંદર્ભે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેવામાં સંજય જોશીએ રાજીનામું આપીને પોતે પાર્ટી હિતમાં પોતાનું બલિદાન આપી રહ્યા હોવાની  અદાથી શહીદ થઈને ઉભરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે સંજય જોશીના રાજીનામાથી તેમના પ્રશંસકોને આંચકો લાગ્યો છે.

સંજય જોશી ભાજપ છોડી હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરવા પાછા ફરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. જો કે ચૂંટણીના સારા રણનીતિકાર ગણાતા સંજય જોશીના 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી ગેરહાજર રહેવાની અસરોને પણ પાર્ટી હાઈકમાન જરૂરથી તપાસશે.

પરંતુ સમગ્ર પ્રકરણમાં હાલપુરતા નરેન્દ્ર મોદી સૌથી વધારે શક્તિશાળી નેતા તરીકે પાર્ટીમાં ઉભરી આવ્યા છે. જોશીના લિટમસ ટેસ્ટ પછી મોદી પાર્ટીમાં અન્ય રાજકીય વિરોધીઓને કોરાણે મૂકવાની પ્રક્રિયા હાથ ધરશે, કારણ કે જોશી સંઘ અને ગડકરીના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. કેટલાંક લોકો નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિને હિટલર સાથે સરખાવે છે. પરંતુ તેમની કાર્યપદ્ધતિ હિટલર જેવી હોય કે ન હોય, ઈન્દિરા ગાંધી જેવી હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ગુજરાતમાં જે પ્રકારે ભાજપ સંગઠન પર મોદીએ પકડ જમાવી છે અને જે પ્રકારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થતા પહેલા ભાજપમાં કેન્દ્રીય સ્તરે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે, તેના પરથી તેઓ ઈન્દિરા ગાંધી જેવો વટ પોતાની પાર્ટી પર પાથરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાગપુરથી ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનારા સંજય જોશી મુંબઈની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપ્યા બાદ રેલવે માર્ગે રાજ્યમાંથી પસાર પણ થઈ શક્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જોશીને રેલવે માર્ગેના સ્થાને હવાઈ માર્ગે દિલ્હી જવા માટે મોદીના દબાણમાં ફરમાન કરવામાં આવ્યું હતું.


ગુરુવાર, 31 મે, 2012

અડવાણીની હૈયાવરાળ: જનતા ભાજપથી નિરાશ!


-આનંદ શુક્લ
ભયાનક ભ્રષ્ટાચાર, વિદેશમાં અઢળક કાળું નાણું, આસમાને આંબતી મોંઘવારી, પેટ્રોલમાં જંગી ભાવવધારો, ડોલરની સામે રસાતળે જઈ રહેલો રૂપિયો- આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે લોકો સત્તારુઢ યુપીએ સરકાર પર રોષે ભરાયેલા હોય. પરંતુ તેની સાથે સાથે એક વાત સ્પષ્ટ છે કે તેઓ વિરોધ પક્ષના મોરચા એનડીએથી પણ નિરાશ છે. હાથમાંથી લપસી રહેલી પરિસ્થિતિઓ સામે વિરોધ કરવાના મામલામાં ભાજપ સહીતનું એનડીએ સરેઆમ નિષ્ફળ ગયું છે. તેનું કારણ મુખ્ય વિપક્ષ ભાજપની આંતરીક ભાંજગડ છે.
મુંબઈ ખાતે તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં તેની આંતરીક ભાંજગડ સંજય જોશીના રાજીનામાથી બહાર આવી. સંજય જોશીએ બેઠકના થોડા કલાક પહેલા રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું રાજીનામું પાર્ટીના લાંબાગાળાના હિતને કારણ બનાવીને આપી દીધું. સંજય જોશીના રાજીનામા બાદ ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતીના કાર્યક્રમમાંથી બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે આવ્યા. જો કે મોદીના આવ્યાના અડધો કલાકની અંદર પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કારોબારી બેઠક છોડી ગયા હતા.
ભાજપની કારોબારી બેઠક બાદ યોજાયેલી સભામાં પણ અડવાણી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ગેરહાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે અડવાણી ગડકરીની ભાજપના અધ્યક્ષ તરીકેની બીજી ટર્મથી નારાજ છે. તેમણે આ નારાજગીને એનડીએ દ્વારા ભારત બંધના એલાનના દિવસે જ બ્લોગ લખીને જાહેર કરી દીધી. અડવાણીએ સ્વીકાર્યું છે કે લોકો યુપીએ પર રોષે ભરાયેલા છે, તો એનડીએથી નિરાશ થયા છે. તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિને આત્મનિરીક્ષણ યોગ્ય ગણાવી છે. મુંબઈની ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ પાર્ટી સંગઠન સંદર્ભે વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો બ્લોગ પર આ પહેલો પ્રતિભાવ છે. આ પ્રતિભાવ ત્યારે આવ્યો છે કે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પેટ્રોલના જંગી ભાવવધારા સામે ભારત બંધ કરાવી રહ્યા હતા.
બ્લોગમાં અડવાણીએ ગડકરી દ્વારા લેવામાં આવેલા ત્રણ નિર્ણયો પર તેમનું નામ લીધા વગર આંગળી ચિંધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો, યૂપીના તત્કાલિન  મુખ્યપ્રધાન  માયાવતી દ્વારા હાંકી કઢાયેલા મંત્રી (બાબુસિંહ કુશવાહ)ને ભાજપમાં આવકારવાનો નિર્ણય, ઝારખંડ અને કર્ણાટકના મામલાને જે રીતે સંભાળવામાં  આવ્યા છે, તેના તરફ અડવાણીએ બ્લોગમાં આંગળી ચિંધી છે. તેમણે નિરીક્ષણ કર્યુ છે કે ભાજપમાં હાલના દિવસોમાં આંતરીક મૂડ ઉત્સાહજનક નથી.
તેમણે જાણીતા કટાર લેખક સ્વપન દાસગુપ્તાના લેખને ટાંકીને કહ્યુ છે કે જ્યારે હાલના દિવસોમાં મીડિયા યુપીએ સરકારને ગોટાળા માટે ઝાટકી રહ્યું છે, પરંતુ આ પ્રસંગે મીડિયા ભાજપની આગેવાની હેઠળના એનડીએના મુદ્દાઓ પર ઉભાં થઈ જવાના મામલે દિલગીરી વ્યક્ત કરી રહ્યું છે. અડવાણીએ ભૂતપૂર્વ પત્રકાર હોવાના નાતે મીડિયાના આ વલણને જનતાના અભિપ્રાયને પ્રતિબિંબિત કરનારું ગણાવ્યું. ભ્રષ્ટાચાર અને વિદેશમાં કાળા નાણાંના મામલે અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનોને પરિણામે દેશ આંદોલિત થયો હતો. પરંતુ મુખ્ય વિપક્ષ ભાજપની આગેવાની હેઠળનું એનડીએ યુપીએ સરકારના આટલા ગોટાળા  અને ભ્રષ્ટાચાર છતાં જનતાને પોતાના નેતૃત્વમાં આંદોલન માટે પ્રેરીત કરી શકી નથી. તેની પાછળનું કારણ રાજકીય વિશ્લેષકો પ્રમાણે, દેશમાં મુખ્ય વિપક્ષ અત્યારે કેગ છે અને કેગ જ સરકારને ભારે પડી રહ્યું છે, જ્યારે ભાજપ મુખ્ય વિપક્ષ બનીને મિત્ર વિપક્ષ બની ગયો હોવાથી જનતાના મુદ્દાઓ પ્રત્યે રાજકીય સંવેદનશીલતા ઘટી છે.
ભાજપમાં આંતરીક વર્તુળોમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પ્રવર્તમાન સમયમાં મધ્યસત્ર ચૂંટણી આવી પડે, તો ભાજપને યુપીએ સામેના જનાક્રોશનો લાભ મળે. તેને કારણે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની દોડ પણ તેજ બની છે. રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન પદના ભાજપના ચાર-પાંચ ઉમેદવારોમાંના એક ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને મ્હાત આપીને પોતાની પહેલી જીત નોંધાવી દીધી છે. જો કે મોદી સામે ભાજપમાં અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓનો અણગમો વધ્યો હોવાની વાત હવે કોઈનાથી છુપાયેલી રહી નથી.
બીજી તરફ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અપનાવામાં આવેલા આક્રમક વલણથી મોદી માટે પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નથી. આમ પણ છેલ્લા એક દશકાથી ગુજરાતમાં સત્તા પર રહેલા મોદી અપાર લોકપ્રિયતા છતાં એન્ટિ-ઈન્કમ્બન્સીનો સામનો આ વિધાનસભા ચૂંટણીમાં કરશે તે નક્કી છે. જો કે જોવાનું એ રહે છે કે તેમાં વધારો કરવામાં કેશુભાઈ પટેલ સહીતના મોદી વિરોધીઓ કેટલા સફળ થશે?
તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ગુલાબચંદ કટારિયાની મેવાડ પ્રદેશમાં યોજાનારી યાત્રાનો પુરજોર વિરોધ કર્યો. તેમણે ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ધમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ખંડૂરી-નિશંક, હિમાચલ પ્રદેશમાં પ્રેમકુમાર ધૂમલ-શાંતા કુમાર, કર્ણાટકમાં સદાનંદ ગૌડા-યેદિયુરપ્પા, ઝારખંડમાં અર્જૂન મુંડા-યશવંત સિંહા વચ્ચેના ખટરાગ દેશની સામે છે. જ્યારે છત્તીસગઢમાં રમણ સિંહ સામે પણ દબાતા સૂરે તકલીફો સામે આવી રહી છે.
આ સિવાય એનડીએ સાચવવાની  જવાબદારી પણ ગઠબંધનના મોટા પક્ષ હોવાના નાતે ભાજપની બની જાય છે. ત્યારે એનડીએના બીજા સૌથી મોટા રાજકીય પક્ષ જનતાદળ-યૂનાઈટેડના વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારે ધમકી આપી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે, તો જેડીયૂ એનડીએમાંથી અલગ થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે દેશની લોકસભાની 543 બેઠકોમાંથી દેશની મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ  કોંગ્રેસ અને ભાજપ પાસે કુલ 322 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 206 બેઠકો મળી છે અને ભાજપને 116 બેઠકો  મળી છે. એટલે કે ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોને 221 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી મોહભંગ થયેલી જનતા ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ હશે ત્યાં તેને  પસંદગી આપે તેવી સંભાવના રહેલી છે. તેવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની દેખાયેલી નિક્રિયતાને કારણે પ્રાદેશિક પક્ષોને વધારે ફાયદો થવાની ભીતિ પણ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં 2014ની ચૂંટણીમાં એનડીએના સત્તા પર પહોંચવાના સપનાં પર ગ્રહણ પણ લાગી શકે છે! આ પરિસ્થિતિને જોતા અડવાણીની એનડીએના ભારત બંધના એલાનના દિવસે બ્લોગ પર ઠાલવવામાં આવેલી હૈયાવરાળમાં ખરેખર વજૂદ છે.
અડવાણીએ  બ્લોગમાં કહ્યુ છે કે 1984માં ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ અત્યારે  લોકસભામાં ભાજપની સારી બેઠકો છે તથા નવ રાજ્યોમાં સરકાર છે અને સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નેતૃત્વમાં બંને ગૃહોમાં ભાજપનો દેખાવ સારો છે. જો કે તેમણે એમ પણ ઉમેર્યુ છે કે આ કરવામાં આવેલી ભૂલોના નુકસાનની ભરપાઈ નથી.

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

ભાજપમાં ગજગ્રાહ: મોદીને ગુજરાત સુધી સીમિત રાખવાનો પેંતરો?


- આનંદ શુક્લ

લાંબા સમયથી હિંદુત્વની પ્રયોગશાળા બનેલું ગુજરાત હવે વિકાસની રાજનીતિની પ્રયોગશાળા બની ગયું છે. હિંદુત્વમાંથી વિકાસની પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં સદભાવનાનો પ્રયોગ હિંદુત્વના પોસ્ટર બોયમાંથી વિકાસપુરુષ બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો. પરંતુ સદભાવનાના પ્રયોગમાં હિંદુત્વના મૂળ તત્વોના રાસાયણિક સમીકરણોએ હાલ ભાજપમાં આંતરીક ડખો ઉભો કર્યો છે. વિકાસપુરુષ નરેન્દ્ર મોદી સદભાવના મિશન બાદ પણ પોતાનું મિશન દિલ્હી પુરું કરી શકે તેમ હાલપૂરતુ લાગતુ નથી. હિંદુત્વના પ્રયોગોમાં પાવરધા ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી છેલ્લા સાત-આઠ વર્ષથી સેક્યુલારિઝ્મના પ્રયોગો કરી રહ્યાં છે. તેઓ સેક્યુલર રાજનીતિ કરીને પોતાનો ચહેરો ઉદારવાદી બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ અડવાણીના બની રહેલા ઉદારવાદી ચહેરામાં તેમના સેક્યુલર પ્રયોગો કરતાં તેમની ઢળતી જૈફવયનો મોટોફાળો હોય તેમ વધારે લાગે છે.

જિન્નાને સેક્યુલર તરીકેનું સર્ટિફિકેટ આપવું અને બાબરી ધ્વંસને પોતાની જીંદગીનો સૌથી દુ:ખદ દિવસ ગણાવવાનું નિવેદન અડવાણી પાકિસ્તાનની ધરતી પર આપી ચુક્યા છે. તેના કારણે અર્શથી ફર્શ પર આવી ગયેલા અડવાણીની આતંકવાદ સામેની ભારત સુરક્ષા યાત્રા દેશભરમાં આતંકવાદી હુમલાઓની હેલી વચ્ચે પણ નિષ્ફળ ગઈ હતી. અડવાણી માટે આ સ્પષ્ટ સંકેત હતા કે તેમણે દેશની જનતાનો વિશ્વાસ તેમના ખતરનાક સેક્યુલર પ્રયોગોથી ગુમાવી દીધો છે. પહેલા ભાજપનું અધ્યક્ષ પદ અને બાદમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણમાં અડવાણીને છોડવું પડયું હતું. જો કે ભાજપે પોતાના વરિષ્ઠ નેતાનું માન જાળવી રાખવા માટે સંસદીય બોર્ડના ચેરમેનનું પદ તો ઉભું કર્યું જ છે. પરંતુ અડવાણીને તેમની જૈફ વયના બહાને રાજનીતિમાં અપ્રાસંગિક બનાવી દેવાનો પેંતરો સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યો. સરસંઘચાલક મોહન ભાગવતે પોતાની નિયુક્તિ બાદ ભાજપમાં યુવાનોને નેતૃત્વ આપવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવાનિવૃત સરસંઘચાલક કે. એસ. સુદર્શનને પણ તેમની જૈફ વયના કારણે નિવૃત કરી દેવાયા અને 60 વર્ષથી નીચેની ઉંમરના મોહન ભાગવતને સરસંઘચાલક તરીકે નિયુક્ત કરી દેવાયા. અડવાણીને ભાજપની રાજનીતિમાં અપ્રાસંગિક બનાવવાની ડિઝાઈન અહીંથી શરૂ થઈ હતી.

પરંતુ અડવાણીએ જનચેતના રથયાત્રાની જાહેરાત કરીને પોતાની અડધી સદીથી વધારેના જાહેર જીવનના અનુભવના પરિપાકરૂપ ‘માસ્ટર સ્ટ્રોક’ માર્યો છે. અડવાણીની રાજકીય સોગઠીએ એક જ તીરે ઘણાં નિશાન પાર પાડયા છે. અડવાણીએ ભ્રષ્ટાચાર સામે સ્વચ્છ રાજનીતિ અને સુશાસન માટે જનજાગરણ માટે રથયાત્રાની જાહેરાત કરીને પોતાને પક્ષ અને ભારતીય રાજકારણમાં ફરીથી પ્રાસંગિક બનાવી દીધા છે. તેમની રથયાત્રાની જાહેરાતને તેમના દ્વારા 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ફરીથી ભાજપ તરફથી વડાપ્રધાન પદની ઉમેદવારી માટેની દાવેદારી તરીકે જોવામાં આવી હતી. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે જનચેતના રથયાત્રા માટે સમર્થન માંગવા નાગપુર સંઘના મુખ્યમથકે ગયેલા અડવાણીએ સરસંઘચાલક મોહન ભાગવત સાથે 2 કલાકની મુલાકાત બાદ નિવેદન કરીને સંકેત આપ્યા કે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. પણ અડવાણીની છઠ્ઠી રથયાત્રાએ તેમની સાથે પહેલી રામ રથયાત્રાના સારથિ રહેલા નરેન્દ્ર મોદીને તેમની સામે વિરોધમાં ઉભા કરી દીધા છે. અડવાણીની રથયાત્રા બિહારમાંથી શરૂ થશે અને તેને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લીલીઝંડી આપશે. પરંતુ આ પ્રસંગે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને હાજર ન રાખવાની શરત મૂકી હોવાની ચર્ચા પણ જોરમાં છે. જેને કારણે ભાજપના કોઈપણ મુખ્યમંત્રીને જનચેતના યાત્રાના પ્રારંભ વખતે હાજર રહેવાનો મોકો મળશે નહીં.

આનાથી સંકેતો સ્પષ્ટ છે કે અડવાણી ભલે વડાપ્રધાન પદની ભાજપ તરફથી ઉમેદવારી ન કરે, પરંતુ નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવામાં હજી ઘણી વૈતરણીઓ પાર કરવાની છે. હાલ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહીતના કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ રહ્યું છે. 2014માં લોકસભાની ટર્મ પુરી થાય છે. ત્યારે ભાજપ એનડીએ ગઠબંધનના નેજા નીચે જ ચૂંટણી લડશે. એનડીએમાં જનતાદળ-યૂનાઈટેડ બીજો સૌથી મોટો પક્ષ છે. જનતાદળ-યૂનાઈટેડ સેક્યુલર રાજનીતિ માટે જાણીતો છે. તેના કારણે જ ભાજપે 1998માં ત્રણ વિવાદાસ્પદ રાષ્ટ્રીય મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવી, દેશમાં સમાન નાગરીક ધારો લાવવો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું)ને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખ્યા હતા. જનતાદળ યૂનાઈટેડના વરિષ્ઠ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ અટલજીની જેમ નાદુરસ્ત તબિયતને કારણે નેપથ્યમાં ધકેલાય ગયા છે. તેવા સંજોગોમાં નીતિશ કુમાર જનતાદળ-યૂનાઈટેડના નેતા નંબર વન છે. નીતિશ કુમાર નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને તેમની સાથે દર્શાવતી જાહેરાતના વિવાદ બાદ તેઓ બેહદ નારાજ થયા હતા. નીતિશે નરેન્દ્ર મોદીને તેમના કટ્ટર હિંદુવાદી ચહેરાને કારણે બિહારની ચૂંટણીમાં પ્રચાર કાર્યથી દૂર રાખવા ભાજપને તાકીદ કરી હતી. નીતિશ કુમારે મોદીના કરિશ્મા વગર જ બિહારમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરીને ભવ્ય જીત મેળવી પોતાને સાબિત કર્યા છે.

તાજેતરની રથયાત્રાને લીલીઝંડી આપવા માટે સંમત થઈને તેમણે અડવાણી હજીપણ એનડીએના સર્વસંમત નેતા હોવાની વાતને સ્વીકૃતિ આપી છે. તો સામે પક્ષે અડવાણીએ પણ નરેન્દ્ર મોદીને રથયાત્રાના પ્રારંભે દૂર રાખવા પર સંમત થઈને એનડીએમાં જનતાદળ-યૂનાટેડની ભાવનાઓને પુરતું મહત્વ આપવાના સંકેત આપ્યા છે. ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, જસવંત સિંહ, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા, કલરાજ મિશ્ર, વિનય કટિયાર જેવા નેતાઓ માટે અડવાણી હજીપણ સર્વસંમત નેતા છે. જે અસંમતિઓ છે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપમાં સર્વસંમત નેતા માનવા કે ન માનવા સંદર્ભે છે.

હાલની પરિસ્થિતિમાં એક વાત સ્વીકારવી પડે તેમ છે કે નરેન્દ્ર મોદી ગુજરાત અને ગુજરાત બહાર ભાજપ તરફથી સૌથી મોટા ‘માસ લીડર’ છે. ભાજપના અન્ય નેતાઓ નરેન્દ્ર મોદીની સરખામણીએ લોકોને આકર્ષવામાં વામણાં સાબિત થાય તેમ છે. ત્યારે નરેન્દ્ર મોદીના ખેમામાં અસંતોષ સાથે ચર્ચા છે કે એવી તે કઈ મજબૂરી છે કે ભાજપ તેના સૌથી મોટા માસ લીડરને હાસિયા પર ધકેલીને પોતાની રાજનીતિ આગળ વધારી રહ્યું છે? તાજેતરમાં વિકિલીક્સના એક ખુલાસામાં નરેન્દ્ર મોદીના ટેકેદારો 2009માં અડવાણીના સ્થાને મનમોહનને વડાપ્રધાન પદે જોવા માગતા હોવાની વાત કહેવામાં આવી છે. તેના પણ ઘણાં ગૂઢાર્થો છે. ગુજરાત વિધાનસભાની 2007ની ચૂંટણીના પરિણામના માત્ર એક સપ્તાહ પહેલા અડવાણીને ભાજપ અને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. ત્યારે માનવામાં આવે છે કે ચૂંટણીમાં જીત બાદ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જનમતનો અનાદર લેખાત. આવી પરિસ્થિતિ ટાળવા માટે જ નરેન્દ્ર મોદીને સ્થાન અડવાણીને 2009ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા. ભાજપમાં નરેન્દ્ર મોદીના ટેકેદારો હજીપણ માને છે કે 2009ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોત તો ભાજપને વધારે બેઠકો મળી હોત.

પરંતુ પહેલા મધ્ય પ્રદેશ અને બાદમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં અનુક્રમે શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિશ કુમારની આગેવાનીમાં ગુજરાતથી વધારે ભવ્ય જીતોએ મોદી સામે વધુ મોટી જીતનો પડકાર ઉભો કર્યો છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 151 બેઠકો પર વિજય અપાવવાનું લક્ષ્ય ગુજરાત પ્રદેશ ભાજપે નક્કી કર્યું છે. બીજું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ થાય, તો તેવા સંજોગોમાં જનતાદળ-યૂનાઈટેડ સાથેના સંબંધોનું ગણિત શું રહેશે? તેની પણ ચિંતા ભાજપની કેન્દ્રીય નેતાગીરીને સતાવી રહી છે. ચહેરા બદલવાના ખેલમાં નરેન્દ્ર મોદીએ પણ સામેલ થઈને જોયું. તેઓ સદભાવના મિશન હેઠળ 55 કલાકના ઉપવાસ પર પણ બેઠાં. પણ ઈમામ શાહી સૈયદની મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટાએ આખો મામલો પાટા પરથી ઉતારી નાખ્યો. નરેન્દ્ર મોદીએ ઈમામના હાથે મુસ્લિમ ટોપી ન પહેરી. તો ઈમામે તેમને કબર પર ઓઢાડવાની શાલ પહેરાવી. સમગ્ર ઘટનામાં નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી વઘારે ઘાટી બની. તેની પાછળ મોદીનો વિકાસપુરુષનો સદભાવનાની લાલીવાળો ચહેરો સદંતર ઢંકાઈ ગયો.

હવે વિકાસપુરુષ નરેન્દ્ર મોદી સદભાવનાની લાલી કેવી રીતે કરે છે? તે આગામી વખતમાં ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે. મોદીએ ટૂર ઓપરેટર્સને સંબોધતા પાકિસ્તાનથી મેચ જોવા આવનારા લોકોને અજમેરના વિઝા આપવાની વાત પૂરજોરમાં કરી. પણ હજી પણ સદભાવનાની લાલી લગાવનારી કોઈ અન્ય ઘટનાની નરેન્દ્ર મોદીએ રાહ જોવી પડશે. જો કટ્ટર હિંદુવાદી ચહેરાવાળા વિકાસપુરુષ નરેન્દ્ર મોદીને સદભાવનાની લાલી લાગે, તો જ તેઓ નીતિશ કુમારની જેમ સર્વસ્વીકૃત વિકાસપુરુષ બની શકે. રાષ્ટ્રીય રાજકારણમાં નીતિશ કુમાર જેવાં સેક્યુલર વિકાસપુરુષને મ્હાત કરવા મોદીની રાજકીય મજબૂરી છે કે તેમણે સદભાવનાની લાલી કરવી પડે. પરંતુ અડવાણીની બિહારથી શરૂ થતી રથયાત્રાએ એનડીએમાં નરેન્દ્ર મોદી કરતાં નીતિશ કુમારની તક વધારી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન કોંગ્રેસની એજન્સીના જે રિપોર્ટને ટાંકીને 2014માં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીના જંગની વાત કરવામાં આવે છે, તેમાં નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો-સુશાસનની જેમ જ નીતિશના વિકાસ કાર્યો અને સુશાસનની પણ ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્તરે પોતાના સર્વસંમત નેતા તરીકે સ્વીકારવા માટે તૈયાર ન થનારા નેતાઓ એનડીએના આંચળા હેઠળ પોતાનો મોદી વિરોધ આગળ વધારી રહ્યાં છે. આગળની પરિસ્થિતિઓમાં એનડીએ હેઠળ ભાજપને સત્તામાં આવવાની તક મળશે તો, સંઘને વડાપ્રધાન નહીં બનાવાની બાહેધરી આપી ચુકેલા અડવાણી તો વડાપ્રધાન નહીં બને. પરંતુ પોતાના પક્ષમાં વડાપ્રધાન બની શકે તેવા ઘણાં નેતાઓ હોવાનો દાવો કરનારું ભાજપ પક્ષમાં અડવાણી સિવાય વડાપ્રધાન પદ માટે સર્વસંમત નેતા પસંદ કરી શકે તેવી સ્થિતિ ઘણી ઝાંખી છે. તેવા સંજોગોમાં બની શકે કે ભાજપના જ નેતાઓ એનડીએના નેતા તરીકે સેક્યુલર સર્વસંમત વિકાસપુરુષ તરીકે પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી રહેલા નીતિશ કુમારનું નામ મોદીને કાપવા માટે આગળ કરે.

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

‘વિકાસ પ્લસ હિંદુત્વ’નો એજન્ડા જ મોદીને વડાપ્રધાન બનાવશે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થશે, તો પાર્ટી આપમેળે જ ઘણી બાબતોમાં સ્પષ્ટ થઈ જશે. સદભાવના મિશનના અનુભવ પછી જોઈ શકાયું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટની છબીમાંથી છટકી શકે તેમ નથી. સદભાવના મિશન ઉપવાસના બીજા દિવસે એક સૂફી સંતે મંચ પર નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી. હકીકતમાં નરેન્દ્ર મોદી સામે ટોપી પહેરવી અને ટોપી ન પહેરવીના બંને વિકલ્પોમાં નુકસાન હતું. તેમની પાસે ઓછું નુકસાન થાય તેવો વિકલ્પ પસંદ કરવાની રાજકીય મજબૂરી હતી. નરેન્દ્ર મોદી કટ્ટરવાદી છબી ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા બાદ થોડા મહીનાઓમાં ગોધરાકાંડની 56 હિંદુઓને ટ્રેનમાં સળગાવી દેવાની ઘટના બની. ત્યાર બાદ ગુજરાતે 2002માં મોટા રમખાણોના તબક્કામાંથી પસાર થવું પડયું. જનઆક્રોશના પરિણામે ગુજરાતમાં મુસ્લિમોને સૌથી વધારે જાનમાલની હાનિ ઉઠાવવી પડી. સેક્યુલર અંતિમવાદીઓના તર્ક-કુતર્કોને પરિણામે નરેન્દ્ર મોદીની છબી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કટ્ટર હિંદુવાદી નેતા તરીકે ઉપસી આવી. તો ગુજરાતની જનતાએ તેમને તમામ પ્રચાર-દુષ્પ્રચાર છતાં હિંદુ હ્રદય સમ્રાટ બનાવી દીધા. હિંદુ હ્રદય સમ્રાટની ઈમેજના આધારે નરેન્દ્ર મોદી ડિસેમ્બર-2002માં વિધાનસભાની ચૂંટણી મીડિયામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ અને દુષ્પ્રચારના ચક્ર છતાં જીત્યા. જો કે નરેન્દ્ર મોદી જાણતા હતા કે તેમને હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની મળેલી લોકચાહનાને પરિણામે ઉપસેલી છબી વાઘની સવારી છે. તેમ છતાં તેવા સંજોગોમાં તેમના માટે સેક્યુલર દેખાવાનો વિકલ્પ આત્મઘાતી હતો. તેના કારણે તેમણે હિંદુ હ્રદય સમ્રાટની છબીને જાળવી રાખીને વિકાસપુરુષ અને સુશાસક તરીકેની છબી ઉપસાવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.

તેના માટે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદે 2002માં ચૂંટાયા બાદ ગુજરાતમાં વિકાસ કાર્યોને નવી ઊંચાઈ આપી. ગુજરાતમાં વિકાસ સહજ રીતે થાય છે, પણ તેની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં મોદી સફળ થયા. ઉદ્યોગોના મૂડી રોકાણમાં છત્તીસગઢ અને બિહાર જરાય પાછળ નથી. છતાં ગ્લેમરાઈઝ્ડ પ્રચારે ગુજરાતને વિકાસ રાજ્યની ઈમેજ આપી. આ એ ગુજરાત છે કે જ્યાં 1969માં આખા ભારતમાં સૌથી વધારે ફોર વ્હીલર્સ હતા. તેના કારણે ભારતનું સૌથી પહેલું ડ્રાઈવ ઈન થિયેટર ગુજરાતમાં બનાવાયું હતું. રાજ્યનું ઔદ્યોગિકરણ પણ તેજ ગતિથી થાય તેના માટે તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને રાજ્યમાં દેશી-વિદેશી રોકાણને આકર્ષવા માટે કોશિશ કરી. તેમના આ પ્રયાસોને ધારી સફળતા મળી. તેની સાથે નરેન્દ્ર મોદીના પ્રચાર તંત્રે તેમની હિંદુ હ્રદય સમ્રાટની છબીના સ્થાને વિકાસપુરુષ અને સફળ સુશાસકની છબીને ઉંચકવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. તેમા નરેન્દ્ર મોદી 2007 સુધીમાં સફળ પણ થયા. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દા પર વોટ માંગવા માટે ચૂંટણી જંગમાં ઉતર્યા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે મોતના સોદાગર જેવો શબ્દ વાપરીને જીતના પવનની દિશા મોદી તરફ ફેરવી દીધી. 2002થી 2007ની ટર્મ દરમિયાન મોદીને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબીથી જ પોતાના ઘોર રાજકીય વિરોધીઓને એક પછી એક માર્ગમાંથી હટાવવામાં સફળતા મળી હતી. એટલે કે 2007માં તેમને હિંદુ હ્રદય સમ્રાટની છબીની કોઈ જરૂરત ન હતી. તેમ છતાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને રમખાણોની પૃષ્ઠભૂમિમાં મોદી માટે વપરાયેલા મોતના સોદાગર જેવાં સોનિયા ગાંધીના શબ્દોએ ભાજપ અને મોદીને ફરીથી હિંદુત્વના મુદ્દે જ જીત અપાવી દીધી.

પરંતુ રાજનીતિ મહત્વકાંક્ષાઓનો ખેલ છે. મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે રાજકારણીઓ એક ઈમેજ તોડીને બીજી ઈમેજ બનાવતા હોય છે. નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જઈને વડાપ્રધાનના સર્વોચ્ચપદની ઉમેદવારી કરવામાં સૌથી મોટી અડચણ છે. આ વાત નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. તેથી તેમણે 2009ની ચૂંટણી સુધીમાં પોતાની વિકાસપુરુષ તરીકેની છબીને વધારે દ્રઢ બનાવીને રજૂ કરી. તેના પરિણામે 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી એલ. કે. અડવાણી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા હોવા છતાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકશે અંબાણી, અનિલ અંબાણી અને સુનિલ મિત્તલ જેવાં ઉદ્યોગપતિઓએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા. 2009ની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી સંદર્ભે ઉદ્યોગપતિઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ પર ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, 2009ની ચૂંટણીમાં વિકાસપુરુષ બનવા મથી રહેલા કટ્ટર હિંદુવાદી ઈમેજમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટે ઉદ્યોગપતિઓ દ્વારા પહેલી પસંદ બતાવવાની વાતથી મતદારોમાં ગુંચવાડો ઉભો થયો હતો. જેના પરિણામે ભાજપને કોંગ્રેસ સામે સારો દેખાવ કરવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે 2009ની ચૂંટણીમાં ભાજપને દેશભરમાં મુસ્લિમોના અંદાજે માત્ર સાત ટકા મત મળ્યા હતા.

હવે જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં કોંગ્રેસ વિરુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે, ત્યારે ફરીથી અડવાણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નવી રથયાત્રા દ્વારા ભાજપને સક્રિય કરી રહ્યાં છે. તેનો રાજકીય અર્થ એવો લગાવાતો હતો કે અડવાણી હજીપણ વડાપ્રધાનપદની રેસમાં છે. બરાબર તેવા જ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુલમર્ગ કાંડમાં એસઆઈટી અને એમએક્સક્યુરીના રિપોર્ટો અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયને નરેન્દ્ર મોદીએ રમખાણોમાં પોતાને ક્લિનચીટ મળી હોવાનું ગણાવીને રાજકીય દાવ ખેલી લીધો. તેમણે સદભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં મુસ્લિમો દ્વારા અલ્લાહ હો અકબરના સૂત્રો પોકારાયા. આ સેક્યુલારિઝ્મના તમામ પ્રયોગો નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ઉપસાવા અને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી દૂર કરવા માટે કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું પણ ખરું કે તેમના સદભાવના મિશનના ઉપવાસ દેશમાં વોટબેંકની રાજનીતિનો અંત અને વિકાસની રાજનીતિની શરૂઆત છે. પરંતુ ઈમામ શાહી સૈયદ દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવાની ઘટનાએ નરેન્દ્ર મોદીના સદભાવના મિશન પર પાણી ફેરવી નાખ્યું. દેશભરના મુસ્લિમ સમુદાયમાં એક સંદેશ ગયો કે મુસ્લિમ ટોપી પહેરવાનો ઈન્કાર કરીને નરેન્દ્ર મોદી પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી યથાવત રાખવાનું નક્કી કરી ચુક્યા છે. જો કે આ બાબત નરેન્દ્ર મોદીની રાજકીય મજબૂરી હતી કે તેઓ ગુજરાતમાં 2012ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુસ્લિમ ટોપી પહેરીને કોઈપણ પ્રકારના રાજકીય આપઘાતને આમંત્રણ આપે નહીં. પરંતુ ટોપીકાંડથી નરેન્દ્ર મોદીના 2014ના મિશન દિલ્હીને કમરતોડ ફટકો પડયો છે.

સપ્ટેમ્બર માસમાં આવેલા અમેરિકી કોંગ્રેસની એજન્સીના રિપોર્ટમાં કહેવાય છે કે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર ગણાવાયા છે. તેમાં 2014નો ચૂંટણી જંગ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ હશે, તેવી વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના શાસનની પણ પ્રશંસા કરવામાં આવી છે. સદભાવના મિશન દરમિયાન અડવાણી સહીતના ભાજપના મોટામોટા નેતાઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર બની શકે તેવી વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી છે. ભૂતકાળમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ પોતાની નિયુક્તિ બાદ થોડા સમયમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાની વાત કહી છે. ભાજપના અરુણ શૌરી, એમએનએસના રાજ ઠાકરે સહીત ચીન-જાપાન જેવાં દેશોના મતે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર હોવાની વાતો સામે આવી છે. પરંતુ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો પક્ષ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરતો નથી. આવી સંભવિત પરિસ્થિતિમાં જેડીયૂએ એનડીએથી છેડો ફાડવા સુધીના અર્થની વાત પણ કહી છે. આમ એનડીએમાં ભાજપ બાદ દ્વિતિય ક્રમના પક્ષ જનતાદળ-યૂનાઈટેડે નરેન્દ્ર મોદીને એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નાપસંદ કર્યા છે.

અત્રે નોંધનીય છે કે બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને તેમની કટ્ટર હિંદુવાદી નેતા તરીકેની છબીને કારણે નીતિશ કુમારના કહેવાથી ભાજપે પ્રચાર કાર્યથી દૂર રાખ્યા હતા. કારણ કે નીતશ કુમારની સેક્યુલર છબી છે અને તેમને બિહારમાં 16 ટકા મુસ્લિમ મતોની ફિકર સતાવતી હતી. એમએનએસના રાજ ઠાકરેને સદભાવના મિશનના મંચ પર નરેન્દ્ર મોદી સાથે જોઈને ભાજપના જૂના સહયોગી શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેના પેટમાં તેલ રેડાયું છે. તો એઆઈએ-ડીએમકેના જયલલિતાએ પણ નરેન્દ્ર મોદીને હાલ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેલગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ અને ખુદ અણ્ણા હજારેએ પણ નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની સંભવિત ઉમેદવારી સામે જાહેરમાં નાખુશી વ્યક્ત કરી છે.

ત્યારે હાલ ‘વિકાસ માઈનસ હિંદુત્વ’ની નીતિ પર બે લોકસભા ચૂંટણી લડીને હારેલું ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવે તો જ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે વડાપ્રધાન પદે પહોંચવાનો રસ્તો ખુલ્લો રહે તેમ છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા સર્જરી અને કેમોથેરપીની સારવાર પૂરી થઈ ચુકી છે કે જેથી ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની રાજનીતિ પર ચૂંટણી લડવા માટે તૈયાર થાય? આ સવાલનો હાલ તો કોઈ જવાબ મળે તેવી શક્યતા નથી. જો કે પોતાની રથયાત્રા માટે મંજૂરી લેવા નાગપુર સંઘમુખ્યાલય ગયેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એવા સંકેત આપ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. તેવા સંજોગોમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદ માટે અન્ય વિકલ્પો પર વિચાર થશે. તેમાં જો ભાજપ વિકાસ માઈનસ હિંદુત્વની રણનીતિ નીચે ચૂંટણીમાં ઉતરશે, તો નરેન્દ્ર મોદી તેમની કટ્ટર હિંદુવાદી નેતાની છબીને કારણે પાર્ટી માટે પ્રચારમાં તો કામમાં આવશે, પરંતુ ગઠબંધનના યુગમાં વડાપ્રધાન તરીકની ઉમેદવારીના કામમાં નહીં આવે.

બીજી શક્યતાનો વિચાર કરીએ તો ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગળ વધે, તો નરેન્દ્ર મોદી હાલ ભાજપ તરફથી સૌથી મોટા ‘ક્રાઉડ પુલિંગ કટ્ટર હિંદુવાદી નેતા’ તરીકે વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ બની શકે. જો કે આ પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર મોદીએ સંઘ, સંઘ પરિવાર અને ભાજપમાં રહેલા પોતાના નારાજ, નાખુશ અને અસંતુષ્ટ સાથીદારોને માનવવા પડશે. કોર્પોરેટ જગતની વડાપ્રધાન તરીકેની પહેલી પસંદ બની ચુકેલા નરેન્દ્ર મોદી ખૂબ મોટાપ્રમાણમાં પાર્ટી ફંડ એકઠું કરે છે. પાર્ટી, સંગઠનો ફંડથી ચાલતા હોય છે, ત્યારે આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી માટે પોતાનાથી અસંતુષ્ટ, નારાજ અને નાખુશ સાથીદારોને મનાવવું અઘરું નહીં રહે.

બુધવાર, 14 સપ્ટેમ્બર, 2011

ભાજપમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ!!!


-આનંદ શુક્લ

સેક્યુલર દેખાવાની ફેશનની ચરમસીમા એટલે મુસ્લિમ તુષ્ટિકરણ. ભારતમાં સેક્યુલર દેખાવું રાજકીય ક્ષેત્રની બહુ મોટી ફેશન છે. સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ભારતના નસીબમાં મહાત્મા ગાંધીના સમયથી અમલમાં આવી છે. ભારતનું રાષ્ટ્રવાદી આંદોલન અને આઝાદ ભારતમાં હિંદુત્વનું આંદોલન બધું મુસ્લિમ તુષ્ટિકરણના ભમ્મરિયા વમળમાં ફસાઈને ડૂબી રહ્યું છે. હિંદુ હ્રદય સમ્રાટો મુસ્લિમ દિલોના શહેનશાહ બનીને સેક્યુલર દેખાવા માટે વલખાં મારી રહ્યાં છે. મહાત્મા ગાંધીની મુસ્લિમ તુષ્ટિકરણની દેશવિભાજનની નીતિનો સીધો વારસો કોંગ્રેસને મળ્યો હતો. તેની સામે જસ્ટિસ ફોર ઓલ, અપીઝમેન્ટ ફોર નન-ના સૂત્ર સાથે ભાજપ હિંદુત્વવાદી આંદોલનની રાજકીય અભિવ્યક્તિ તરીકે મેદાનમાં આવ્યું. ત્યારે દેશની જનતાને આશા હતી કે ભારત મુસ્લિમ તુષ્ટિકરણની પાકિસ્તાનનું પાપ પેદા કરનારી ઘાતક નીતિની અંતિમ ક્રિયા કરીને પ્રગતિના પંથે આગળ વધશે. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. જેના કારણે લોકોને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ અને ભાજપ કોંગ્રેસ બની ગઈ છે. લોકશાહીમાં ધર્મના નામે તુષ્ટિકરણ કરવાની વોટબેંકની રાજનીતિ ઘણી ખતરનાક હોય છે. ભારતે આઝાદીના 64 વર્ષોમાં આ બધી વાતો અનુભવી છે. પરંતુ તેમ છતાં ભારતના રાજકીય પક્ષો મુસ્લિમ તુષ્ટિકરણનો રસ્તો છોડવા માટે તૈયાર નથી.

મુસ્લિમ તુષ્ટિકરણનું નામ પડે અને કોંગ્રેસ સામે આવતી હોય છે. પરંતુ હકીકતમાં મુસ્લિમ તુષ્ટિકરણની બાબતમાં ભાજપનો ચહેરો પણ કોંગ્રેસ જેટલો જ ખતરનાક છે. ભાજપ દ્વારા થયેલા મુસ્લિમ તુષ્ટિકરણની વાતો ધ્યાને લઈએ તો લાગે કે તેનું હિંદુત્વ બેહદ માટીપગુ છે. 1989માં હિંદુત્વ અને રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં ભાજપના નેતાઓને હિંદુ નેતાઓ તરીકે મીડિયામાં ઉલ્લેખિત કરવામાં આવતા હતા, તો તેમની છાતી ગજગજ ફૂલતી હતી. પરંતુ હાલ એલ. કે. અડવાણી અને નરેન્દ્ર મોદી સહીતના હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની લોકલાગણી પામી ચુકેલા નેતાઓ પોતાની સેક્યુલર ઈમેજ ચમકાવા માટે તત્પર છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓની સભામાં મુસ્લિમ બેઠો હોય, તો તેને તાત્કાલિક સભા સ્થળેથી જતા રહેવા માટે મંચ પરથી કહેવામાં આવતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે, ભાજપ તાજેતરની દરેક ચૂંટણીમાં પોતાને મુસ્લિમોનો ટેકો મળ્યો હોવાની વાત કરીને મુસ્લિમ મતોનો હિસાબ-કિતાબ કરે છે. ભાજપની હિંદુત્વથી સેક્યુલારિઝમ તરફની યાત્રા મુસ્લિમ તુષ્ટિકરણ નામના માર્ગ પરથી પસાર થઈ રહી છે.

1990માં રામરથ યાત્રા દ્વારા દેશ આખામાં રામ લહેર ઉભી કરનારા અડવાણીને પણ હિંદુત્વવાદી નેતા તરીકેની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરવી પડી છે. અડવાણીએ પાકિસ્તાનની અઘોષિત સેક્યુલર યાત્રા દરમિયાન પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની મજાર પર ચાદર ચઢાવી હતી. અડવાણી પહેલા પાકિસ્તાનની યાત્રાએ ગયેલો કોઈપણ ભારતીય નેતા ઝીણાની મજાર પર માથું ટેકવવા ગયો ન હતો. અડવાણી પહેલા ભારતના કોઈપણ નેતાએ મિનારે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. અડવાણી પોતાની અઘોષિત સેક્યુલર યાત્રામાં વધુ બેફામ બનીને બોલ્યા હતા કે બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી વધારે દુ:ખદ દિવસ હતો. પાકિસ્તાનની ધરતી પર રામરથ યાત્રાના નાયકે ખલનાયક બનીને 6 ડિસેમ્બર,1992ના રોજ ધ્વસ્ત થયેલા બાબરી ઢાંચાની ઘટના સંદર્ભે ખેદ વ્યક્ત કર્યો હતો. અડવાણીએ તેનાથી પણ મોટી ગુસ્તાખી કરી કે પાકિસ્તાનની રચના માટે જવાબદાર મુસ્લિમ કોમવાદી નીતિઓના કટ્ટર પ્રણેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર કહ્યાં. અડવાણી 1992થી તેમની અઘોષિત સેક્યુલર પાકિસ્તાન યાત્રા સુધી હિંદુત્વના પોસ્ટર બોય હતા. પરંતુ તેમને હિંદુત્વનું લેબલ ખૂંચતું હોય તેમ સેક્યુલર દેખાવા માટે વિચારધારાના મૂળ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને ભારતના લોકોની લાગણીને દરકિનાર કરીને વિવાદાસ્પદ સેક્યુલર લાગતા મુસ્લિમ તુષ્ટિકરણના વાસ્તવિક નિવેદનો કર્યા. આ પ્રયત્ન પાછળ એનડીએમાં અન્ય પક્ષોમાં પોતાની સ્વીકૃતિ વધારવા માટેની કવાયત હોવાની વાતો સમીક્ષકો કરતાં રહ્યાં છે.

પરંતુ હિંદુત્વના સર્વોચ્ચ નેતાનું સમ્માન પામી ચુકેલા અડવાણી તેમની અઘોષિત સેક્યુલર યાત્રાના પરિણામે પક્ષમાં મોટું રાજકીય કદ ધરાવતા હોવા છતાં પ્રજા સામે વામણાં થઈ ગયા છે. તેની સાબિતી તરીકે અડવાણીની ત્યાર બાદની યાત્રાઓને મળેલો પ્રતિસાદ છે. અડવાણીએ જુદાંજુદાં નામે રથયાત્રાઓ કાઢી પરંતુ તેમણે પ્રાયશ્ચિત યાત્રા કાઢી નહીં. તેના કારણે અડવાણીની પાકિસ્તાન યાત્રા પછીની તમામ રથયાત્રાઓ ફ્લોપ શો સાબિત થઈ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે અડવાણીએ નવી રથયાત્રાની જાહેરાત કરી છે. જોવો તેમાં અડવાણી સાથે ભાજપના કાર્યકર્તા સિવાય કેટલાં પ્રમાણમાં લોકો એકઠા થઈને સાથ આપે છે? જો અડવાણીની નવી રથયાત્રા ફ્લોપ જાય, તો તેમણે હિંદુત્વની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરીને નકામા નિવેદનો આપવા બદલ પ્રાયશ્ચિત યાત્રા કરવી જોઈએ. કદાચ અડવાણીની પ્રાયશ્ચિત યાત્રામાં લોકો ઘણાં મોટા પ્રમાણમાં જોડાશે, કારણ કે હિંદુ પ્રજા પ્રાયશ્ચિત કરનારને માફ કરતી આવી છે. તેમની માનસિકતામાં હજી કોઈ ફેરફાર નહીં થયો હોય, તો બની શકે કે અડવાણીને પણ માફ કરી દે. અડવાણી માટે એક બીજી મહત્વની વાત છે કે ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના 1993ના વર્ષમાં કરવામાં આવી છે. પણ ઘણાં લોકોને ખબર નહીં હોય કે જનતા પાર્ટીની મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકાર વખતે અડવાણીએ જ રાષ્ટ્રીય લઘુમતી પંચ જેવો વિચાર વહેતો મુક્યો હતો અને તેનાથી ત્યારના ઘણાં નેતાઓ ચિંતિત હતા.

1984માં ભાજપને લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી. ત્યાર બાદ રામજન્મભૂમિ આંદોલનના પરિણામે ભાજપ કોંગ્રેસને ટક્કર આપવાની સ્થિતિમાં આવ્યો. 1996, 1997 અને 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર પણ રચી. પરંતુ હિંદુ વોટબેંક ઉભી કરીને તેના આધારે તે સમયે સૌથી વધારે બેઠકો મેળવનારા ભાજપે વાજપેયીની સેક્યુલર ઈમેજને કારણે તેમને વડાપ્રધાન તરીકે આગળ કર્યા. લોકોની લાગણી અને માગણી હતી કે હિંદુત્વના રામરથ પર સવાર થયેલા ભાજપના મહારથી એલ. કે. અડવાણીને વડાપ્રધાન બનાવવામાં આવે. પરંતુ ભાજપે અડવાણીની કટ્ટર હિંદુત્વવાદી નેતાની છાપ હોવાને કારણે વાજપેયીની સેક્યુલર છબીને આગળ કરીને અન્ય કોંગ્રેસ વિરોધી રાજકીય પક્ષોનો ટેકો મેળવીને સરકાર બનાવી. 1996માં 13 દિવસની સરકાર બનાવી. 1997માં 13 માસની સરકાર બનાવી અને ત્યાર બાદ 1998માં પાંચ વર્ષની ટર્મ સુધી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ હેઠળ ભાજપે સત્તાસુખનો આસ્વાદ કર્યો. પણ તેના માટે પણ ભાજપે પોતાની મૂળ વિચારધારા હિંદુત્વ સાથે બેહદ શરમજનક સમજૂતીઓ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મંજૂરીથી વિશ્વ હિંદુ પરિષદના વિરોધ છતાં ભાજપે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોમન સિવિલ કોડ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ જેવાં મુસ્લિમોને અણગમતા રાષ્ટ્રીય મુદ્દાઓને કોરાણે મૂક્યા. હા, ટેકનીકલી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાઓ હતા. પરંતુ તેનો કોઈ અર્થ ન હતો.

વાજપેયીએ પરમાણુ પરીક્ષણ બાદ પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. વાજપેયી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને અમનની કવિતા સંભળાવા માટે વિશેષ તૈયારીઓ સાથે દિલ્હીથી બસ દ્વારા લાહોર પહોંચ્યા હતા. વાજપેયી એક તરફ લાહોર બસયાત્રા કરી રહ્યાં હતા અને બીજી તરફ પાકિસ્તાનની સેના કારગીલમાં ઘૂસણખોરી કરી રહી હતી. કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાની નામોશીભરી હાર બાદ જનરલ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને શરીફને ભગાડી મૂક્યા હતા. તેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય જનરલ પરવેઝ મુશર્રફના રાષ્ટ્રપતિપદે આસિન થવાથી બેહદ નારાજ હતો. પરંતુ વાજપેયી ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સાથે કૂણી લાગણી દર્શાવીને પોતાના પક્ષની કટ્ટરપંથી હિંદુત્વવાદીની છબી સુધારવા માગતા હતા. તેના કારણે વાજપેયીએ જનરલ મુશર્રફને આગ્રા શાંતિવાર્તા માટે પણ આમંત્ર્યા. દેશમાં પાકિસ્તાન સાથે શાંતિવાર્તાથી જાણે કે નવો ઈતિહાસ રચાવાનો હોય તેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. ભાજપના મોટા ગજાના દિગ્ગજ નેતાઓ નમસ્કારની ભારતીય પરંપરા છોડીને મુશર્રફને વાંકા વળીને સલામ કરવા લાગેલા. જનરલ મુશર્રફને ભારતમાં બોલાવીને વાજપેયીએ તેમને રાષ્ટ્રપતિ મુશર્રફ કહીને માન્યતા આપી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમ કરવા માટે પ્રેરીત કર્યો હતો. જો કે જનરલ મુશર્રફની આડોડાઈને કારણે આગ્રા સમિટનો ફિયાસ્કો થયો હતો.

જો કે તેમ છતાં પોતાના પક્ષની મુસ્લિમ વિરોધી છબી ભૂંસવા માટે વાજપેયીએ પાકિસ્તાન સાથે શાંતિવાર્તા અને કોમ્પોઝિટ ડાયલોગ-પીપલ ટુ પીપલ કોન્ટેક્ટના નામે નવી રાજનીતિ શરૂ કરી. વિરોધ પક્ષમાં રહીને પાકિસ્તાન સામે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બાબતે કોંગ્રેસની સરકારને સંસદમાં બેનકાબ કરનારા ભાજપના નેતા વાજપેયી વડાપ્રધાન પદે રહીને પાકિસ્તાન સામે બિનજરૂરી ઢીલું વલણ દાખવી રહ્યાં હતા. જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ સાથે વાજપેયી સરકારે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તો પાકિસ્તાન સાથે પણ એલઓસી પર યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. ભારતમાં એનડીએની સરકાર આતંકવાદ સંદર્ભે ઝીરો ટોલરન્સની નીતિઓની વાત કરતી રહી અને બીજી તરફ દેશભરમાં ઈસ્લામિક આતંકવાદીઓ હુમલા કરતાં રહ્યાં. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા, જમ્મુની સૈનિક છાવણી, રઘુનાથ ટેમ્પલ, મુંબઈ, દિલ્હી, ભારતની સંસદ સહીતના મહત્વના સ્થાનો આતંકી હુમલાનો ભોગ બન્યા. ભારતની સંસદ પર હુમલાના નિષ્ફળ પ્રયાસની ઘટના બાદ વાજપેયીએ આરપારની લડાઈની વાત કરી હતી. પરંતુ વાજપેયી લશ્કરને સરહદે મોકલીને પોતે મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા હતા. ભાજપની આતંકવાદ, પાકિસ્તાન અને મુસ્લિમો માટેની નીતિ બેહદ નિરાશાજનક રહી છે.

કારગીલ બાદ કંદહાર વિમાન અપહરણ કાંડ સામે આવ્યો. આ વિમાન અપહરણ કાંડે ભાજપના નેતાઓને વધારે ખુલ્લા પાડયા. જૈશે મહોમ્મદના અઝહર મસૂદ સહીતના ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી સાથે તાલિબાનના નિયંત્રણવાળા કંદહાર ખાતે પાકિસ્તાની અપહરણકારો વિમાન સાથે પહોંચ્યા હતા. ભારતના તત્કાલિન વિદેશ મંત્રી જસવંત સિંહ ત્રણેય આતંકવાદીઓ અને આક્ષેપ કરવામાં આવે છે કે કરોડો ડોલરો સાથે કંદહાર વળાવિયા તરીકે ગયા હતા. આજે પણ વાજપેયીના શાસનકાળના કાળા પાનાઓમાંનું એક કાળું પાનું કંદહાર કાંડ છે. દેશ માટે એ શરમજનક દિવસ હતો, પણ ભાજપ માટે તો જાણે તે ગૌરવ દિન હોય, તેવો માહોલ ત્યારે ભાજપમાં જોવા મળ્યો હતો. કંદહાર કાંડમાં વાજપેયી સરકારે 126 વિમાનયાત્રીઓને છોડાવીને આખો દેશ આતંકવાદીઓના હવાલે કરી દીધો.

આ સિવાય 2002માં 27મી ફેબ્રુઆરીઓ ગોધરા જંકશને સિગ્નલ ફળિયા પાસે મુસ્લિમ કટ્ટરપંથીઓના ટોળાએ અયોધ્યાથી આવી રહેલા રામસેવકો પર હુમલો કરીને ત્રણ કોચ સળગાવી દીધા હતા. તેમાં એસ-6 નામના કોચમાં 57 જેટલાં રામસેવકો બળીને વીરગતિ પામ્યા હતા. આઝાદ ભારતમાં મુસ્લિમો દ્વારા હિંદુઓને ટ્રેનમાં સામૂહિક રીતે સળગાવી દેવાની ઘટના ગોધરાકાંડના રૂપે પહેલી હતી. પરંતુ તેમ છતાં વડાપ્રધાન વાજપેયીએ ગોધરાકાંડ સંદર્ભે ઘણું ઓછું કહ્યું અને તેઓ પોતે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાતે આવ્યા નહીં. ગોધરાકાંડ પછીના રમખાણોમાં મુસ્લિમો ભોગ બન્યા, ત્યારે અન્ય દેશોમાં શું મોઢું બતાવીશની વ્યથા સાથે અમદાવાદ ખાતે વાજપેયી દોડી આવ્યા હતા. તેમણે અમદાવાદમાં આવીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી. વાજપેયી જે કરી રહ્યાં હતા, તે ભાજપની નીતિ પ્રમાણે કરી રહ્યાં હતા.

ભાજપના વરિષ્ઠ નેતા વાજપેયીના વડાપ્રધાન પદે રહેતા તત્કાલિન કેન્દ્ર સરકારે મુસ્લિમોની બહુમતી ધરાવતા બાંગ્લાદેશની દાદાગીરી સામે પણ પીછેહઠ કરી હતી. બાંગ્લાદેશી સેનાએ બીએસએફના 17 જવાનોની નિર્મમ હત્યા કરી હતી. તેની સામે વાજપેયી સરકાર માત્ર નિવેદનો કરવાથી સંતુષ્ટ થઈ. આશ્ચર્યજનક રીતે બાંગ્લાદેશ સામે વાજપેયી સરકારે કોઈ કડક પગલાં લીધા નહીં. વાજપેયીએ બે લાખ ઉર્દૂ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી. અટલ-અડવાણીએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેસરી સાફાની જગ્યાએ લીલા સાફા પહેર્યા. હજયાત્રાનો ક્વોટા અને સબસિડી વધારવા માટે મુસ્લિમોને દાણા પણ નાખ્યા. પાકિસ્તાન સાથેની વીઝા નીતિને ઢીલી કરીને દેશની સુરક્ષાને તાક પર પણ મૂકી.

દેશમાં મુસ્લિમોની હાલત જાણવા માટે યુપીએ-1 સરકારે સચ્ચર સમિતિ બનાવી. તેની સામે ભાજપે દેશવ્યાપી વિરોધ કર્યો. પરંતુ આ જ સચ્ચર સમિતિના અહેવાલના આધારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં પ્રચાર કરી રહ્યાં છે કે સચ્ચર સમિતિનો અહેવાલ કહે છે કે આખા ભારતમાં ગુજરાતના મુસ્લિમો સુખી છે અને સારી સ્થિતિમાં છે. સચ્ચર સમિતિ સંદર્ભેના ભાજપના આવા બેવડાં ધોરણો તેની મુસ્લિમોના પ્રેમને પામવાની અદમ્ય ઉત્કંઠાને દર્શાવી રહ્યાં છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવાં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકનો ભાજપને સેક્યુલર દેખાડવાની લ્હાયમાં ઉપયોગ કરતાં વાજપેયી સહીતના ભાજપી નેતાઓ શરમાયા ન હતા. ભાજપનો એવો પણ દાવો છે કે તેઓ કેન્દ્રમાં સત્તારુઢ થયા તે દરમિયાન મુસ્લિમ લઘુમતીઓના હિતો માટે મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા છે. ભારતીય મુસ્લિમ રાજનીતિમાં પોતાની મહત્વની ઓળખ રાખનારા આરિફ મોહમ્મદ ખાન અને નજમા હેપતુલ્લા જેવાં નેતાઓને ભાજપ દ્વારા પોતાની પાર્ટીમાં લાલ જાજમ પાથરીને આમંત્રિત કરાયા. ભાજપે જ પોતાના શાસનકાળમાં હજયાત્રીઓ માટે ઘણાં સ્થાનોથી વિશેષ વિમાનોની વ્યવસ્થા કરી હતી.

બે દશકોથી લખનૌમાં બંધ પડેલા ઐતિહાસિક મહોરમના જુલૂસને ઉત્તર પ્રદેશની તત્કાલિન ભાજપ સરકારે જ ફરીથી શરૂ કર્યું હતું. ભાજપ દ્વારા ઈસ્લામી વિદ્વાન મૌલાના વહીદુદ્દીનને પદ્મશ્રીથી નવાજમાં આવ્યા, ત્યાર બાદ ભાજપ માટે વોટ માંગવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. બશીર બદ્ર જેવાં કટ્ટરવાદી શાયરને ભાજપ દ્વારા મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડેમીના સચિવ બનાવાયા. તે વખતે અટલ હિમાયતી કમિટી નામે એક મુસ્લિમ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું અને તેને મુસ્લિમ વિસ્તારોમાં મોકલીને ભાજપ માટે વોટ માંગવાનું કામ સોંપવામાં આવ્યું. ભાજપના વાજપેયી અને અડવાણી જેવાં વરિષ્ઠ નેતાઓને રોજા-ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરતાં અને તેમાં ભાગ લેતા દેખાડવા માટે વિશેષ પ્રચાર વ્યવસ્થા કરાતી હતી. ભાજપે પાર્ટીમાં લઘુમતી મોરચો આખરે ક્યાં ઉદેશ્યથી ખોલ્યો છે? બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી વારંવાર એ નિવેદન આપે છે કે બિહારમાં મુસ્લિમ હિતોને ધ્યાનમાં રાખીને એનડીએ સરકારે લાલુ-રાબડી સરકારોથી વધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે, તો આનો અર્થ શું કરવો?

કર્ણાટક જેવાં ભાજપ શાસિત રાજ્યમાં હિંદુ મંદિરો અને ધર્મસ્થાનોનો વહીવટ રાજ્ય સરકારે પોતાને હસ્તક લઈ લીધો છે. આવા મંદિરો અને ધર્મસ્થાનોમાં હિંદુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા દાનનો ઉપયોગ હજની સબસિડી અને મદરેસાઓની પાછળ પણ કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ મંદિરો અને હિંદુ ધર્મસ્થાનો-ટ્રસ્ટોનો વહીવટ સરકાર પોતાને હસ્તક કરવા માટે પ્રયત્ન કરી રહી છે. હિંદુ મંદિરો અને ધર્મસ્થાનો સરકારી વહીવટ નીચે ન જવા દેવા ક્યારેક ભાજપનો મુદ્દો રહ્યો છે. તેની સામે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પોતાને હસ્તક કરવાની સરકારની કોઈ હિંમત નથી.

ગુજરાત જેવાં ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં નરેન્દ્ર મોદી જેવાં હિંદુત્વનિષ્ઠ મુખ્યમંત્રી અને ગોહત્યા પ્રતિબંધક કાયદા હોવા છતાં ગોહત્યા થતી હોવાની વાતો તાજેતરમાં અખબારોમાં ખૂબ જોરશોરથી આવી છે. ત્યારે આવી ઘટનાઓમાં એ જાણવું જરૂરી બને છે કે નરેન્દ્ર મોદીની મુસ્લિમોને પોતાની તરફે વાળવાની નીતિ તુષ્ટિકરણ સુધી તો પહોંચી ગઈ નથી ને? જો નરેન્દ્ર મોદી સામે ગોહત્યાના મુદ્દે કોઈ રાજકીય દ્વેષ અને હિતોને ધ્યાનમાં રાખીને મોરચો ખાલાયો હોય તો તે ભારતની રાજનીતિની અધમ કક્ષા જ હશે. પરંતુ જો ગુજરાતમાં ગોહત્યા પ્રતિબંધ કાયદાનો કડકાઈથી અમલ ન થતો હોય, ચોક્કસ માનવું પડે કે મુસ્લિમ તુષ્ટિકરણનો વાઈરસ ગુજરાતમાં પણ ફેલાયો છે.

ગુજરાતની 2007ની વિધાનસભાની ચૂંટણીઓ અને તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને મુસ્લિમોના મતો મળ્યા છે. જો કે હકીકત એ છે કે ભાજપના એકપણ ધારાસભ્ય મુસ્લિમ નથી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉભાં રાખવામાં આવેલા 12 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવારને જીત મળી છે. અમદાવાદના જુહાપુરા, જમાલપુર, કાળુપુર, આસ્ટોડિયા, જેવાં મુસ્લિમ પોક્ટસમાં ભાજપને જૂજ વોટ મળ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં મુસ્લિમોના મત મળ્યા હોવાનો પ્રચાર સેક્યુલર દેખાવા મુસ્લિમ તુષ્ટિકરણના માર્ગ પર પદાર્પણ તો નથી ને? થોડા સમય પહેલા અમદાવાદના શરખેજના રોજા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પઠાણી સૂટમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. કદાચ હવેના સમયગાળામાં પ્રખર હિંદુત્વવાદી નેતા નરેન્દ્ર મોદી નમાજની ટોપીમાં નજરે પડે તો પણ કોઈ મોટું આશ્ચર્ય નહીં થાય.

તાજેતરમાં બિહારમાં ભાજપ-જેડીયૂએ નીતિશ કુમારના નેતૃત્વમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી છે. ત્યાં પણ ભાજપે દાવો કર્યો છે કે તેમના ગઠબંધનને મુસ્લિમ મતો મળ્યા છે. જો કે નીતિશ કુમારને મુસ્લિમ મતો મળ્યા હોવાની બાબતમાં તથ્ય છે. પરંતુ ભાજપને મુસ્લિમ મતો મળ્યા હોય અને તેના જોર પર ભાજપ ચૂંટાયો હોય, તો આવા દાવાનો તથ્યાત્મક અભ્યાસ થવો જોઈએ.

આ સિવાય ભાજપના પ્રવક્તા તરીકે ટેલિવિઝનમાં 2002 પછી મુખ્તાર અબ્બાસ નક્વી અને શાહનવાઝ હુસૈન જ વધારે પ્રમાણમાં આવતા રહે છે. ત્યારે ટેલિવિઝન પર પણ ભાજપ મુસ્લિમ ચહેરાઓ સાથે હોવાની વાત દેખાડવા માટે એડી ચોટીનું જોર લગાવતો જ નજરે પડે છે. શું કોઈ મુદ્દાઓની પેરવી કોઈ હિંદુ પ્રવક્તા કરે, તો તેનાથી કોઈ મોટો રાજકીય અનર્થ સર્જાવાનો છે? શું ભાજપની આવી વૃતિ તેના અર્ધચેતન માનસમાં મુસ્લિમ તુષ્ટિકરણના અંકુરને દર્શાવતી નથી?

મહાત્મા ગાંધીના સાચા વારસ કોણ છે, તે આઝાદીના 64 વર્ષે શોધનો વિષય છે. પરંતુ જ્યાં સુધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને લાગે વળગે છે, ત્યાં સુધી ગાંધીની વારસાઈ મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ એકબીજા સાથે ગલાકાપ સ્પર્ધામાં છે. હાલના તબક્કે મુસ્લિમ તુષ્ટિકરણના મામલે કોંગ્રેસ ભલે આગળ હોય, પણ ભાજપ પણ કંઈ કમ નથી. દેશના દરેક રાજકીય પક્ષોને મુસ્લિમ તુષ્ટિકરણના વાઈરસનો ચેપ લાગેલો છે. જેના કારણે પોતે સેક્યુલર દેખાવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. દેશમાંથી અંગ્રેજોના ગયા બાદ તેમની જગ્યા ગાંધીના વારસદાર હોવાનો દાવો કરતાં સેક્યુલરોએ લીધી છે, પરંતુ રાષ્ટ્રવાદીઓ તો હજી પણ સામેની બાજુએ જ છે. 1989માં હિંદુત્વવાદી હોવું ગૌરવની વાત હતી, પરંતુ તેના 20-21 વર્ષ બાદ હિંદુત્વવાદી તરીકે માન્યતા પ્રાપ્ત નેતાઓ પણ પોતાની છબી ભૂંસીને સેક્યુલર છબી ઉભી કરવાની પેરવીમાં પડયા છે. ત્યારે દેશના હિંદુઓ માટે ચિંતાનો વિષય છે કે દેશમાં ફરીથી મુસ્લિમ તુષ્ટિકરણના પ્લેગનું વિષચક્ર ફરીથી કોઈ પાકિસ્તાન તો ઉભું નહીં કરે ને? શું હિંદુત્વવાદના ખભે ચઢેલું ભાજપ પણ ભીંત ભુલ્યું છે? શું દેશનો હિંદુ હજી પણ મુસ્લિમ તુષ્ટિકરણના શેતાનના હાથે રંજાડ પામશે?

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

અડવાણીની અંતિમ(?) (રથ)યાત્રાના ખતરનાક ગૂઢાર્થો


-આનંદ શુક્લ

ભાજપને રાજકારણની વૈતરણી પાર કરીને સત્તાના સિંહાસન પર પહોંચાડવા માટે અડવાણી એક નવી રથયાત્રાની તૈયારી કરી રહ્યાં છે. ભારતીય રાજનીતિમાં રથયાત્રાથી ચેમ્પિયન બનેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભ્રષ્ટાચારના મુદ્દે નવી રથયાત્રા કાઢવાની ઘોષણા કરી છે. 2009માં ડૉ. મનમોહન સિંહના હાથે વડાપ્રધાન પદની દોડમાં માત ખાધા બાદ આમ તો લાલકૃષ્ણ અડવાણીએ પોતાને વડાપ્રધાનપદની દોડથી અલગ કરી લીધા છે. પરંતુ તાજેતરમાં સંસદમાં કેશ ફોર વોટ મામલે આપવામાં આવેલા નિવેદન કે અમરસિંહ સાથે ધરપકડ કરાયેલા ભાજપના બંને સાંસદોને સ્ટિંગ ઓપરેશન કરવા માટે પોતે મંજૂરી આપી હતી અને જો કોઈ દોષિત છે, તો તે પોતે છે. તેમણે સરકારને કહ્યું પણ હતું કે તેમને જેલમાં બંધ કરવામાં આવે. ત્યાર બાદ ભ્રષ્ટાચારના મુદ્દે અડવાણીએ સંસદના શિયાળુ સત્ર પહેલા રથયાત્રાની જાહેરાત કરીને એક જ તીરથી અનેક નિશાન પાર પાડવાની તૈયારી કરી છે. હવે માત્ર અડવાણીનું જ નહીં, પણ ભાજપનું ભવિષ્ય પણ એના પર નિર્ભર રહેશે કે આ યાત્રા કેટલી કામિયાબ થાય છે. જો આ યાત્રા કામિયાબ થઈ તો તેનું સૌથી મોટું નુકસાન સ્વાભાવિક રીતે કોંગ્રેસને જ થશે, પરંતુ જો તે નિષ્ફળ રહી તો તેનો આંચકો ભાજપને ઓછો પરંતુ અડવાણીને વધારે લાગશે અને તેઓ 83 વર્ષે વડાપ્રધાન પદે પહોંચવાની પોતાની તમામ સંભાવનાઓને એક જ ઝાટકે ખતમ કરી નાખશે.

સંભાવના છે કે 83 વર્ષના અડવાણીની આ રથયાત્રા રાજકારણમાં તેમની અંતિમ યાત્રા બની રહેશે. અડવાણીની આ રથયાત્રાની ઘોષણામાં ઘણાં બધાં રાજકીય ગૂઢાર્થો છુપાયેલા છે. ભાજપની આંતરીક સ્થિતિ અને સર્વસંમત નેતાની હજી કમી હોવાની વાત સ્પષ્ટ થઈ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેપથ્યમાં જવાની સાથે જ ભાજપમાં નેતૃત્વનું સંકટ ઉભું થઈ ગયું હતું. વાજપેયીના નેપથ્યમાં ગયા પછી ભાજપમાં ઉભા થયેલા શૂન્યને અડવાણી દ્વારા ભરવાની કોશિશ થઈ હતી. અડવાણીએ રામરથયાત્રા દ્વારા પોતાના રાજકીય કદને વાજપેયીની સમકક્ષ લાવીને ઉભું કરી દીધું હતું. તેથી તે સ્વાભાવિક છે કે વાજપેયીના નેપથ્યમાં જવાથી ઉભા થયેલા નેતૃત્વના શૂન્યને અડવાણી ભરી દે. પરંતુ અડવાણીની પાકિસ્તાન યાત્રા અને ત્યાં જિન્નાહને સેક્યુલર કહેવાના અને બાબરી ધ્વંસને પોતાની જીંદગીનો દુ:ખદ દિવસ કહેવાના નિવેદને તેમના રાજકીય કદને પળમાં વામણું કરી નાખ્યું.

આ ઘટના પછી ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતાઓ નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, યશવંત સિંહા, જશવંતસિંહ વગેરેમાં નેતૃત્વ મુદ્દે હોડ જામી અને એકબીજા પર સરસાઈ મેળવવા માટેની પેતરાબાજી પણ ચાલી. જો કે અડવાણીની ભ્રષ્ટાચાર મુદ્દે હજી એક રથયાત્રા કરવાની ઘોષણા દર્શાવી રહી છે કે ભાજપના દ્વિતિય પંક્તિના નેતૃત્વમાં હજી સુધી કોઈ નેતા પર સર્વસંમતિ સધાઈ નથી. આ સિવાય બીજો અર્થ એ છે કે અડવાણી 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. પરંતુ અડવાણીને રાજકારણમાં પોતાની વડાપ્રધાનપદે આસિન થવાની ઈચ્છાની પૂર્તિ ન થવાને કારણે અવગતિયો જીવ હોવાની વાત ઘણાં ગુજરાતી સમીક્ષક કહી ચુક્યા છે. તેવી પરિસ્થિતિમાં ક્યાંક અડવાણીની ફરીથી આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ભાજપ-એનડીએના ઉમેદવાર થવાની કોઈ સુષુપ્ત ઈચ્છા હોઈ શકે છે. જો કે અડવાણીએ પોતાની નવી રથયાત્રાને વડાપ્રધાન પદની દાવેદારી સાથે જોડવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો છે. જો કે ભાજપમાં 2009ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પરાજીત થયા બાદ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. ક્યારેક વાઈબ્રન્ટ ગુજરાતમાં તો ક્યારેક કોઈ ફિલ્મી સિતારા અથવા તો ઉદ્યોગપતિ દ્વારા આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી યોગ્ય હોવાની વાત અલગ-અલગ સંદર્ભોમાં કહેવામાં આવી છે. કેટલીક ટેલિવિઝન ચેનલોએ પણ પોતાના સર્વેક્ષણમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં નરેન્દ્ર મોદી આગળ હોવાનું જણાવ્યું છે. પરંતુ ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતાઓમાં આ મામલે હજી કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.

તો ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે દરેક ચૂંટણીમાં પાર્ટી વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા કરે તે જરૂરી નથી. આ એ પાર્ટીની ઘોષિત નીતિથી બિલકુલ ઉલટું છે કે જે આ સવાલ પર કોંગ્રેસ અથવા અન્ય વિરોધીઓને ઘેરવાનું ચુકતી ન હતી. હાલમાં કોઈ ચૂંટણી નથી, ન તો કોઈ એવી પરિસ્થિતિ કે જેમાં ભાજપને કેન્દ્રની સત્તા મળી રહી છે. આનાથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીની અંદર ચાલી રહેલા ગજગ્રાહની ખબર પડે છે. ગડકરીનું નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની વધુ એક રથયાત્રા શરૂ કરવાના એલાન સંદર્ભે સામે આવ્યું છે.

74 વર્ષીય અન્ના હજારેના 12 દિવસના અનશનથી દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ જામેલો છે. અન્ના હજારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે સિવિલ સોસાયટી દ્વારા ચલાવાયેલી બીજી આઝાદીની લડતથી દેશનું વાતાવરણ અત્યારે ચાર્જ છે. તેના કારણે દેશમાં કોંગ્રેસની વિરુદ્ધનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે રાજકીય વાતાવરણ કોંગ્રેસ વિરુદ્ધનું હોય, તો તે ભાજપ તરફી થઈ જાય છે. કારણ કે જે આંદોલન દેશના મુખ્ય વિપક્ષે કરવાનું હતું, તેને ભાજપે સિવિલ સોસાયટી અને અન્ના હજારેના ભરોસે છોડી દીધું હતું. માટે એવું પણ લાગે છે કે અડવાણી દ્વારા ભ્રષ્ટાચાર અને રાજકીય સુચરિત્રની વાતના મુદ્દા રથયાત્રા દ્વારા ઉઠાવવાની વાત અન્ના હજારેના આંદોલનને મળેલા વ્યાપક સમર્થનથી પ્રેરીત છે. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે આ મુદ્દા ધધકતી અગન જ્વાળા જેવા છે અને તેમાંથી રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો બની શકે કે રાજકીય રોટલા બળી પણ જાય!

ભારતીય રાજકારણના હાલના પીઢ રાજનેતા એલ. કે. અડવાણીને રથયાત્રાઓનો બહોળો અનુભવ છે. તેમણે સૌથી પહેલા સપ્ટેમ્બર 1990માં રામજન્મભૂમિ રથયાત્રા કાઢી હતી. તેના પરિણામે દેશની રાજનીતિના રથની દિશા બદલાઈ ગઈ હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં માંડ બે બેઠકો મેળવનારું ભાજપ 1996 સુધીમાં તો કોંગ્રેસનો વિકલ્પ બનીને ઉભું રહ્યું. તો 1997, 1998માં સત્તાના સૂત્રો પણ હસ્તગત કર્યા. રામજન્મભૂમિ રથયાત્રાથી પ્રેરાયને અડવાણીએ અન્ય ચાર રથયાત્રાઓ કાઢી હતી. તેમાં સપ્ટેમ્બર, 1993માં જનાદેશ યાત્રા, મે-જૂન, 1997માં સ્વર્ણ જયંતી રથયાત્રા, માર્ચ-એપ્રિલ, 2004માં ભારત ઉદય યાત્રા અને એપ્રિલ-મે 2006માં ભારત સુરક્ષા યાત્રા કાઢી હતી. જો કે અડવાણીની રામજન્મભૂમિ રથયાત્રા જેટલી અને જેવી સફળતા તેમની અન્ય કોઈ યાત્રાને હજી સુધી મળી શકી નથી.

નવી ઘોષિત રથયાત્રાથી અડવાણી ત્રણ કામ કરવા માંગે છે- એક, ભાજપને ભ્રષ્ટાચાર વિરોધી માહોલની વચ્ચે મજબૂત કરવાની કોશિશ કરવી, બીજું, વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાને બધાં ભાજપી નેતાઓથી દમદાર સાબિત કરવા, ભ્રષ્ટાચારના મુદ્દે અન્નાના આંદોલન બાદ ઉભા થયેલા કોંગ્રેસ વિરોધી માહોલને ભાજપ તરફી બનાવવું.

દેશના આમ આદમી માટે આ પ્રસ્તાવિત રથયાત્રા સાથે સંલગ્ન મોટી ચિંતા એ હશે કે લગભગ સ્વયંસ્ફૂરણાથી ઉભરેલા ભ્રષ્ટાચાર વિરોધી ચેતનાને તેનાથી ક્યાંક કોઈ આંચકો તો લાગશે નહીં ને? જનલોકપાલ બિલ માટે ચાલી રહેલું જે આંદોલન તેની ચેતનાની મુખ્ય અભિવ્યક્તિ બનેલું છે, તેનું સ્વરૂપ અત્યાર સુધી બિનરાજકીય રહ્યું છે. કોઈ એક પાર્ટી દ્વારા તેમાથી લાભ લેવાની કોશિશ લોકોમાં તેના પ્રત્યે અરુચિ પેદા કરી શકે છે. એ પણ ત્યારે કે જ્યારે ભાજપના તત્કાલિન અધ્યક્ષ કેમેરામાં લાંચ લેતા ઝડપાય ગયા હોય, ભાજપના રેડ્ડી બંધુઓને ભ્રષ્ટાચારના આરોપમાં જેલ ભેગા કરાયા હોય, લોકાયુક્તના રિપોર્ટના આધારે કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાને ગાદી છોડવી પડી હોય, ઉત્તરાખંડના મુખ્યમંત્રી નિશંક પર તલવાર તોળાઈ રહી હોય અને મીડિયામાં ભાજપ પર ભ્રષ્ટાચાર સામે નરમ વલણ અપનાવાયાના આરોપો લગાવાતા હોય.

બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે ખુદ લાલકૃષ્ણ અડવાણી તેમની રામજન્મભૂમિ રથયાત્રાથી દેશની રાજનીતિમાં સૌથી વધારે કોમવાદી ચહેરા તરીકે મીડિયામાં પ્રચારીત કરાયા છે. અડવાણીની ખ્યાતિ અને સ્મૃતિ આજે પણ તેમની આ રથયાત્રાને લઈને છે. ત્યારે લોકોને આશંકા છે કે અડવાણી દ્વારા ઘોષિત નવી રથયાત્રા આખી ભ્રષ્ટાચાર વિરોધી ચેતનાને કોમવાદી રંગમાં રંગી ન નાખે. કારણ કે અન્નાના આંદોલનમાં ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા સામે કેટલાંક નાલાયકોએ વાંધો ઉઠાવીને તેને ઈસ્લામ વિરોધી ગણાવ્યા હતા. આવા નાલાયક તત્વે અન્નાના આંદોલનમાં ભાગ ન લેવા માટે મુસ્લિમોને હાકલ કરી હતી. ત્યારે અડવાણીની ખુદની કરણી, રથયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટેકો વગેરે બાબતો આવા નાલાયક કોમવાદી તત્વોને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને કોમવાદી રંગ લગાવવા માટે મોકળું મેદાન આપશે.

વળી એ એક વિડંબણા છે કે ભ્રષ્ટાચારના મુદ્દા પર પોતાને ખરાબ રીતે ઘેરાયેલા જોવા છતાં કોંગ્રેસે અડવાણીની રથયાત્રાની ઘોષણાનું સ્વાગત કર્યું છે. લાગે છે કે કોંગ્રેસને ઉંડે ઉંડે આશા છે કે અડવાણીના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં કૂદવાની સાથે જ અન્ના હજારેના આંદોલનથી ઉભું થયેલું દબાણ તેના કોમવાદીકરણ સાથે ઢીલું પડી જશે. તેનાથી કોંગ્રેસને પોતાના રાજકીય હિતો સધાવાની પૂરી શક્યતાઓ પણ દેખાઈ રહી હોય. ત્યારે આ રાજકીય ગાળિયાને અહેસાસ સૌથી મોટા વિપક્ષ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને નહીં હોય?