લેબલ મોદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

ચૂંટણીના પ્રચારમાં હિંદુત્વ કેન્દ્રસ્થાને રહેશે


-         પ્રસન્ન શાસ્ત્રી
આમ તો દરેક અરુણોદય કેસરિયો જ હોય છે. કેસરી રંગને પસંદ કે નાપસંદ કરનારા તમામ પર સૂર્ય પોતાના કેસરિયા કિરણોથી અભિષેક કરે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના અરુણોદયને કેસરિયો ગણવાનો ઈન્કાર કરી દેવાયો. ભારતની પહેલી પરોઢના દિવસે જ પ્રભાત કેસરિયા રંગનું હોય છે, તે વાતને મોટા-મોટા નેતાઓ દ્વારા નકારવામાં આવી. ભારતની આઝાદીની સવાર કેસરી હોવા છતાં તેનો ઈન્કાર કરવા માટે તત્કાલિન કોંગ્રેસી નેતાઓમાં હોડ જામી. આજે આઝાદીના 66 વર્ષે પણ હિંદુસ્થાનને, લોકોને દેખાય, લોકોને અનુભવાય અને લોકો માનવા બાધ્ય થવું પડે તેવા કેસરિયા પ્રભાતનો ઈન્તજાર છે. હિંદુઓ આ દેશમાં બહુમતી છે. હિંદુઓ આ દેશનો આત્મા છે. હિંદુઓ આ દેશની ઓળખ છે. હિંદુસ્થાનની ઓળખાણ હિંદુ છે. હિંદુસ્થાનમાંથી હિંદુઓ અને તેમના વિચારોને બાકાત કરી નાખવામાં આવે, તો હિંદુસ્થાન હિંદુસ્થાન રહેતું નથી. આ દેશના રાષ્ટ્રત્વનો વિચાર અને તેની પ્રક્રિયા સમગ્રપણે હિંદુ ધર્મ અને હિંદુ જીવન પદ્ધતિ છે. આ દેશની ઓળખને પુનર્પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો છેલ્લા એક હજાર વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ હિંદુસ્થાનને તેની સાચી રાષ્ટ્રીય ઓળખ હજી સુધી મળી નથી.

પરંતુ છેલ્લા 25 વર્ષથી દેશનું વાતાવરણ બદલાયું છે. હિંદુઓમાં દેશની ઓળખને પ્રતિષ્ઠિતપણે પુન:પ્રસ્થાપિત કરવાની લલક લાગી છે. હિંદુત્વના વિચારને ટેકો આપનારા નેતાઓ અને પક્ષને ભારતના લોકોએ છ વર્ષ સુધી સત્તાના શિખરે પણ બેસાડયા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી હિંદુ વિચારને મજબૂત બનાવવાની વાત વિકાસના નામે બાજૂ પર મૂકવામાં આવી. જેને કારણે દેશના લોકોએ વાયદા નહીં નિભાવનારાઓને સત્તા બહાર કર્યા. જો કે દેશમાં છેલ્લા 10 વર્ષથી હિંદુઓને સતત અપખોડતી અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સત્તા પર છે. દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું નિવેદન કરીને વડાપ્રધાન મનમોહનસિંહે હદ કરી નાખી. મુસ્લિમોના ઉત્કર્ષ માટે વડાપ્રધાને સચ્ચર સમિતિ બનાવી. સચ્ચર સમિતિએ ભારતના ન્યાયતંત્રથી માંડીને લશ્કરમાં મુસ્લિમોના આંકડા મેળવ્યા. તેમણે મુસ્લિમોને અનામત આપવાની ભલામણ કરી. વડાપ્રધાને મુસ્લિમોના ઉત્કર્ષ માટે 15 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરાવ્યો. મુસ્લિમોને અલગ શિષ્યવૃતિ અને આર્થિક મદદો સરકારી રાહે અપાવા લાગી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોમાં મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની ટકાવારીમાં હરિફાઈ જામી. સેતુસમુદ્રમ નામના પ્રોજેક્ટ માટે રામાયણકાલીન રામસેતુ તોડવા માટે સરકાર તૈયાર થઈ અને ભગવાન શ્રીરામ તથા રામાયણ કપોળકલ્પિત હોવાનું એફિડેવિટ સુપ્રીમકોર્ટમાં કર્યું.
દેશમાં ચાલી રહેલા મુસ્લિમ તુષ્ટિકરણના વાતાવરણમાં ક્યારેક હિંદુહિતની વાત કરનાર રાજકીય પક્ષ ખામોશ રહ્યો. જેના પરિણામે પરિસ્થિતિ વધારે વકરી. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મળી રહેલા સંકેતો જણાવી રહ્યા છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દો પ્રચારના કેન્દ્રસ્થાને રહેશે. દેશના હિંદુઓ સુધી સચ્ચાઈથી વાતો પહોંચાડવામાં આવશે, તો દેશનું રાજકીય તકદીર બદલાય તેવી પ્રબળ શક્યતા છે. એક ગઠબંધનના નામે હિંદુત્વના વિચાર સાથે સંકળાયેલા મુદ્દાઓને 17 વર્ષ સુધી બાંધી રાખવામાં આવ્યા. જેના કારણે હિંદુ સમાજમાં આક્રોશનો અંડરકરંટ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં કટ્ટર હિંદુત્વવાદી તરીકે મીડિયા દ્વારા લોકોમાં જાણીતા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. બસ, ત્યારે હિંદુત્વ વિરોધી રાજકીય શક્તિઓને કરંટનો ઝાટકો લાગ્યો હોય, તેવું વાતાવરણ પેદા થયું. જેડીયૂએ ગઠબંધન છોડીને ભાજપથી અલગ થયું.

ત્યાર પછી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રીશ્યામાપ્રસાદ મુખર્જીના શહીદ દિવસે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સીમા પર આવેલા માધોપુરમાં ભાજપની રેલી થઈ. પરંતુ આ રેલીમાં ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને દૂર કરવાની વાત પર મૌન રહ્યા. તેમણે કોંગ્રેસના કારનામા અને વિકાસની વાતો કરી. પરંતુ તેના બીજા દિવસે ભાજપના સંસ્થાપક સભ્ય અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાની પુરજોર તરફેણ કરી. એનડીએ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બાકાત રખાયેલા પહેલા મુદ્દા પર ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ પહેલી વખત પોતાના વિચારો રજૂ કર્યા. એક તરફ વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ભાજપના મહાસચિવ અમિત શાહે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા છે. કપડાના મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીરામ સમક્ષ અમિત શાહે પ્રાર્થના કરી કે રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય. અમિત શાહના ભવ્ય રામમંદિર નિર્માણના નિવેદન પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જેડીયૂ સહીતની પોતાને સેક્યુલર ગણાવતી રાજકીય પાર્ટીઓના નેતાઓ અકરાંતિયાની જેમ ટીકા કરવા તૂટી પડયા.
વાત એટલેથી અટકતી નથી, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો એક વિદેશી ન્યૂઝ એજન્સીએ ઈન્ટરવ્યૂ લીધો. જેમાં તેમને હિંદુ રાષ્ટ્રવાદ પરનો સવાલ પુછવામાં આવ્યો. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેઓ હિંદુ છે, રાષ્ટ્રવાદી છે અને હિંદુ રાષ્ટ્રવાદી છે. મોદીએ ન્યૂઝ એજન્સીને કહ્યુ કે તમે મને હિંદુ રાષ્ટ્રવાદી કહી શકો છો. હિંદુ રાષ્ટ્ર અને પરમ વૈભવશાળી ભારતની આકાંક્ષાઓમાં કોઈ અંતર નથી. પુરા એક હજાર વર્ષથી હિંદુ રાષ્ટ્રને તેની ઓળખ અપાવવા માટે કરોડો હિંદુ રાષ્ટ્રવાદીઓ પાંપળ પટપટાવ્યા વગર બલિદાનો પર બલિદાનો આપી રહ્યા છે. પરંતુ મોદીના આ નિવેદનથી હિંદુ શબ્દથી નફરત કરનારા લોકોના પેટમાં ઉકળતું તેલ રેડાયું. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીને રાષ્ટ્રવાદી હિંદુ બનવાની સલાહ આપી. બીજી તરફ સતત સંઘ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ ક્ષોભજનક નિવેદનબાજી કરનાર હિંદુત્વ વિરોધી દિગ્વિજયે બ્લોગ લખીને પોતે કેટલા મોટા હિંદુ છે, તેનું ગાણું ગાઈ આગામીચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દે કેન્દ્રસ્થાને જ રહેશે તેમ પરોક્ષ રીતે સૂચવ્યું છે.

મોદીના ઉપરોક્ત ઈન્ટરવ્યૂમાં 2002ની ઘટનાઓ પર સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે તમે ગાડી ચલાવતા હોવ અથવા પાછળની સીટમાં બેઠા હોવ અને ગાડી નીચે કૂતરાંનું બચ્ચું આવી જાય તો પણ દુ:ખ થાય. મોદીના આ નિવેદન પર પણ વિવાદ પેદા કરીને તથાકથિત સેક્યુલર પાર્ટીઓના નેતાઓએ કહ્યુ કે મોદીએ મુસ્લિમો સમુદાયની સરખામણી કૂતરાંના બચ્ચા સાથે કરી. આ નિવેદન પર મોદી સાથે હિંદુત્વને પણ નિશાન પર લેવામાં આવ્યું. પૂણેની એક જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરી ટીપ્પણી કરતા કહ્યુ કે સંકટ સમયે કોંગ્રેસ બુરખો ઓઢીને બંકરમાં છુપાય જાય છે. આ નિવેદનને બરાબર સમજીએ તો કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર,મોંઘવારી, આતંકવાદ, માઓવાદ, મુસ્લિમ તુષ્ટિકરણ જેવા સળગતા મુદ્દા ભૂલવાડવા માટે સેક્યુલારિઝમનું ગાણું ગાય છે. કોંગ્રેસ હંમેશા પોતે સેક્યુલરવાદી હોવાનું જણાવીને મુસ્લિમોને ભાજપ, સંઘ, વીએચપી, બજરંગદળ અને મોદીનો ડર દેખાડે છે. આ વખતે પણ મોદીના ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર થયા બાદ કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે કે મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આમ કરીને કોંગ્રેસ દેશના 20 કરોડ મુસ્લિમ મતદાતાઓને કોઈપણ પ્રકારના પ્રચાર વગર પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે દેશમાં હાલ 90ના દશક જેવું હિંદુત્વનું મોજું નથી કે જેથી હિંદુ મતો વોટબેંકનું સ્વરૂપ લઈ શકે. જેના કારણે 66 વર્ષથી વોટબેંક તરીકે વર્તી રહેલા મુસ્લિમ સમાજનો કોંગ્રેસ સહારો લઈ રહી છે.
મોદીના આ નિવેદન પર કોંગ્રેસ તરફથી તેમના મીડિયા પ્રમુખ અજય માકનની પ્રતિક્રિયા આવી કે નગ્ન કોમવાદ કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. તો અમર્યાદિત ભાષાપ્રયોગ માટે જાણીતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશી થરુરે કહ્યુ છે કે ખાખી ચડ્ડી કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. ત્યારે કોંગ્રેસે જવાબ આપવો પડશે કે નગ્ન કોમવાદ કોણ ફેલાવે છે? આ દેશમાં આઝાદી પછી 50 હજાર જેટલા કોમી હુલ્લડો થયા છે. આ હુલ્લડોમાં કોનો વાંક હતો અને કોણે શું ભૂમિકા નિભાવી તેની સૌથી વધારે ખબર દેશની સત્તા પર 47 વર્ષ ભોગવટો કરનાર કોંગ્રેસને વધારે ખબર હોય. હિંદુત્વની વાત કરવી, હિંદુ એકતાની વાત કરી અને હિંદુત્વની શક્તિથી દેશને તાકતવર બનાવવાની આકાંક્ષા સેવવી કોઈપણ હિસાબે નગ્ન કે કપડા પહેરેલો કોમવાદ નથી, પરંતુ તે કરોડો હિંદુઓની નસોમાં વહેનારો તેજસ્વી હિંદુ રાષ્ટ્રવાદ છે. આ દેશના ટુકડા થવા માટે મુસ્લિમ કોમવાદ જવાબદાર હતો. આ મુસ્લિમ કોમવાદ સામે ઘૂંટણિયા ટેકવીને થાબડભાણા કરનારા કોંગ્રેસ પાર્ટીના વારસોને આજે હિંદુ રાષ્ટ્રવાદ નગ્ન કોમવાદ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ભારતના અત્યાર સુધીના અસ્તિત્વ માટે ભગવદ ગીતાને પ્રેરણા બનાવનારા અનેક દૂધમલ યુવાનોના બલિદાન જવાબદાર હોવાની વાત કોંગ્રેસને સ્વીકારવી નથી. કોંગ્રેસ જણાવે કે સેક્યુલારિઝમના બુરખામાં પેસીને તેણે દેશને નુકસાન કરતા કેવા કારનામા કર્યા છે?

શશી થરુરે એ જ રીતે ખાખી ચડ્ડીની વાત કરી આરએસએસ અને તેમની ભગિની સંસ્થાઓને વિવાદમાં ઘસડી. જેનાથી હિંદુત્વનું વાતવરણ ગાઢ બનશે. થરુરને આ સંસ્થાઓના બલિદાનની ખબર નથી. જેનું રાજકારણ કાસ્ટીઝમ ઉપર સ્થિર થયું છે, તે હિંદુત્વની લહે જો ચૂંટણીમાં આવશે તો સમાપ્ત થઈ જસે,તેવી બીકે બીએસપી અધ્યક્ષ કુ. માયાવતીએ સંઘ અને વીએચપી ઉપર પ્રતિબંધની વાત કી છે. જ્યારે મુલાયમે આવી રહેલા હિંદુત્વના પવનને ખાળવા માટે કારસેવકે ઉપરના ગોળીબારની પરોક્ષ માફી માંગી છે.

શ્રીમોદીના કે શ્રીઅડવાણીના કે શ્રી અમીત શાહના નિવેદનોના કારણે રાજકીય ક્ષેત્રે જે ગરમી આવી છે, તેનો પવન હિંદુત્વ તરફ જ ફેંકાશે તેવું દેખાઈ રહ્યું છે. વિરોધીઓ આ નિવેદનોની ટીકા કર હિંદુત્વના પવનને વાવાઝોડું બનાવી રહ્યા છે. આ બધું જોતા લાગે છે કે ભલે બધા પક્ષો વિકાસની વાત કરતા હોય, પણ ચૂંટણીમાં હિંદુત્વની લહેર ફરી વળશે તેવું દેખાઈ રહ્યું છે. સેક્યુલારિઝમનો બુરખો ઓઢનારા રાજકીય પક્ષોએ એ વાત યાદ રાખવી પડશે કે ભારતમાં કેસરિયું પ્રભાત આવશે અને તેના મૂળ આ લોકસભાની ચૂંટણીમાં નખાશે.


હિંદુ સમાજ સક્ષમ છે. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ પણ આવશ્યક છે. આવા સંજોગોમાં હિંદુઓની લાગણીને સમજનાર રાજકીય પક્ષ કે પક્ષોને ફાયદો થઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં તેમણે પોતાના કરેલા વાયદા પુરા કરવા પડશે. જો આમ નહીં થાય, તો હિંદુ સમાજ રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ બીજો રસ્તો પણ શોધી શકે છે. 

ગુરુવાર, 20 જૂન, 2013

દેશની સમસ્યાઓનો ઉકેલ: હિંદુઓને તાત્કાલિક પોલિટિકલ સ્ટેજ મળે

- પ્રસન્ન શાસ્ત્રી

વિભાજન સાથેની આઝાદીનો ઈતિહાસ ધરાવતા ભારતમાં સ્વતંત્રતાના 66 વર્ષમાં અંગ્રેજો પાસેથી ભારતીય શાસકોને વારસામાં મળેલી ભાગલાવાદી માનસિકતામાં કોઈ ફેર પડયો નથી. ભારતે 66 વર્ષમાં બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને તથાકથિત સેક્યુલર સિસ્ટમને સ્વીકારી છે. 66 વર્ષો દરમિયાન આ વ્યવસ્થાથી ભારતને ફાયદો થયો છે, તેનાથી વધારે નુકસાન જ થયું છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારતને નુકસાન થવાના ઘણાં ઉદાહરણો છે. ભારતની સામે સમસ્યાઓના પહાડ ઉભા થઈ ચુકયા છે. પરંતુ આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ વ્યવસ્થિત અને પાયાગત વિચાર થયો નથી. ભારતમાં રહેલી સમસ્યાઓના મૂળભૂત કારણો સંદર્ભે વિચાર થતો નથી. 

66 વર્ષના આઝાદીના ગાળામાં ભારતમાં એક પાર્ટીનું શાસન ઘણો લાંબો સમય રહ્યું. 70ના દાયકામાં દેશમાં રાજ્યોમાં બીજી પાર્ટીઓ વિકલ્પ તરીકે ઉભરવા લાગી હતી. પરંતુ કેન્દ્રમાં તો એક જ પાર્ટી સત્તા પર રહી. 1947થી 1989ના સમયગાળામાં કટોકટી બાદ ટૂંકાગાળા માટે સત્તા પર આવેલી જનતા પાર્ટીની સરકારના લગભગ અઢી વર્ષના ગાળાને બાદ કરી દેવામાં આવે, તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો જ સત્તામાં રહી. 1989થી 1998 સુધીના ગાળામાં લઘુમતી સરકારો અને રાજકીય જોડતોડ તથા જોડાણોવાળી સરકારો સત્તા પર આવી. 1998થી 2014 સુધીના ગાળામાં દેશની બે મુખ્ય પાર્ટીઓની આગેવાનીવાળા ગઠબંધનોની સરકારો દેશે જોઈ. 

આ રાજકીય પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ હતી કે આ દેશના 85 ટકા હિંદુઓને દેશની એકપણ રાજકીય પાર્ટીએ પોલિટિકલ સ્ટેજ આપ્યું નથી. આ દેશની તમામ સરકારો બહુમતી હિંદુ મતદારોના વોટથી ચૂંટાઈ છે. પરંતુ સત્તાનો ભોગવટો કરનારી એકપણ સરકારે હિંદુઓને હિંદુના નામે રાજકીય સ્ટેજ પુરું પાડયું નથી. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે દેશ પર અનેક આક્રમણો થયા. કેટલાંક વિદેશીઓ જીતી પણ ગયા. પરંતુ દેશના મૂળનિવાસી એવા હિંદુઓએ પ્રતિઆક્રમણોનો દોર ચલાવી સતત સંઘર્ષ કર્યો. અંગ્રેજોને બાદ કરતા આખો દેશ ક્યારેય કોઈ બાદશાહ કે સુલતાનના તાબામાં રહ્યો નથી અને થોડા ગાળામાં રહ્યો હોય, તો તેમા હિંદુ રાજાઓએ ઘણાં પ્રભાવી પદો ભોગવ્યા છે. મુગલોના અસ્ત પછી મરાઠાઓએ છત્રપતિ શિવાજી થકી હિંદુ પદપાદશાહીની સ્થાપના કરી હતી. અનેક યુદ્ધો બાદ ભારતના હિંદુઓને રાજપૂત કે મરાઠા કે શીખ તરીકે નહીં, પણ હિંદુ તરીકે રાજકીય સ્ટેજ કોઈએ પુરું પાડયું હોય તો તે છત્રપતિ શિવાજી હતા. શિવાજી દ્વારા સ્થાપવામાં આવેલી હિંદુ પદપાદશાહી પેશ્વાઓના પ્રતાપે અટકથી કટક સુધી વિસ્તરી. પરંતુ અંગ્રેજોના આગમન પછી પરિસ્થિતિ બદલાઈ. હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ લઈ લેવા માટે દેશમાં કમજોર પડી ગયેલા મુસ્લિમોને અંગ્રેજોએ ધર્મના નામે આગળ કરવાના શરૂ કર્યા. આમ અંગ્રેજોએ હિંદુઓ પાસેથી પોલિટિકલ સ્ટેજ આંચકી લીધું. 

1857ના અંગ્રેજો સામેના હિંદુ-મુસ્લિમ રાજા-નવાબો અને પ્રજાના લોહિયાળ સ્વતંત્રતા સંઘર્ષ બાદ બ્રિટિશરોએ પોતાની નીતિઓ ફેરવી. શરૂઆતમાં મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું. પરંતુ હિંદુઓની અસીમ રાજકીય શક્તિને જોયા પછી તેને કાબૂમાં કરવા માટે અંગ્રેજોએ મુસ્લિમોની ભારત પર રાજ કરવાની આકાંક્ષાઓને કબરમાંથી ખોદીને કાઢી. અંગ્રેજોએ 1885માં કોંગ્રેસની સ્થાપના કરાવી. તેનો ઉદેશ્ય દેશના ભણેલા હિંદુઓને એકઠા કરીને અંગ્રેજોના કહ્યામાં રહે તેવી રાજકીય પાર્ટી ચલાવી દેશ પર વધુ વર્ષો રાજ પાકું કરવાનો હતો. અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ હિંદુઓનું રાજકીય સ્ટેજ ક્યારેય હતી નહીં. પરંતુ 1906માં અંગ્રેજોએ રાષ્ટ્રવાદી હિંદુઓની કોંગ્રેસમાં વધતી તાકાત જોઈને મુસ્લિમોને મુસ્લિમ લીગ નામે અલગ પોલિટિકલ સ્ટેજ સ્થાપવામાં મદદ કરી. બસ દેશમાં મુસ્લિમોના પોલિટિકલ સ્ટેજ સામે કોંગ્રેસે હિંદુઓના પોલિટિકલ સ્ટેજ તરીકે કામ કરવાનું હતું. પરંતુ વસ્તુસ્થિતિ સાવ વિપરીત નિવડી. કોંગ્રેસે દોઢું મુસ્લિમપણું સ્વીકારીને હિંદુ-મુસ્લિમ એકતાના ગાણાં ગાઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ કર્યું. તેમા પછી ખિલાફત આંદોલન હોય, વંદેમાતરમનો મુસ્લિમ વિરોધ હોય કે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની વાત હોય. તમામ સ્તરે કોંગ્રેસે મુસ્લિમો સામે નમતું જોખ્યું. જેના પરિણામે મુસ્લિમ લીગ નામના પોલિટિકલ સ્ટેજનો સફળ ઉપયોગ મુસ્લિમ નેતાઓએ ભારતમાતાને ખંડિત કરીને અલગ પાકિસ્તાન બનાવવામાં કર્યો. (નોંધ- કોંગ્રેસ ભલે પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી રહી, પરંતુ મુસ્લિમ લીગના નેતાઓ અને અન્ય મુસ્લિમો તેને હિંદુ પાર્ટી તરીકે જોતા હતા. વળી બહુમતી હિંદુ મતદારોની કોંગ્રેસ તરફની લાગણીને પરિણામે કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ બની હતી. પરંતુ જ્યારે હિંદુઓએ કોંગ્રેસને પોતાના પોલિટિકલ સ્ટેજ તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, તો મહાત્મા ગાંધી અને નહેરુ સહીતના કોંગ્રેસી નેતાઓએ હિંદુની અવગણના કરતા વલણો અપનાવી દેશ ઘાતક ખતરનાક નિર્ણયો કર્યા હતા.)

આઝાદી વખતે મહાત્મા ગાંધી અને નહેરુની કોંગ્રેસમાં સદબુદ્ધિ આવી નહીં. ભારતને બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને સેક્યુલર વ્યવસ્થાના વિનાશપંથે અગ્રેસર કર્યું. દેશમાં વ્યવસ્થાના નામે અવ્યવસ્થાનું રાજ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યું. આશ્ચર્ય છે કે આ અવ્યવસ્થાને વ્યવસ્થા ગણવામાં આવી. આજે સુસાશનને નામે વ્યવસ્થા ઠીક કરી લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુદરતી કહેર કે માનવસર્જિત આફતો આવે છે, ત્યારે તમામ સુશાસનોની પોલ ખુલી જાય છે, પછી તે ઉત્તરાખંડ હોય કે ગુજરાત. કોંગ્રેસે સમાજવાદ અને સેક્યુલારિઝમના ગાણા ગાઈને 1989 સુધી કેન્દ્રમાં થોડા વર્ષોના અપવાદને બાદ કરતા સત્તા હસ્તગત રાખી. પરંતુ આ કોંગ્રેસે આઝાદી પહેલા પણ હિંદુઓને હિંદુના નામે પોલિટિકલ સ્ટેજ પુરું પાડયું નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ પણ હિંદુઓને હિંદુ તરીકે રાજકીય સ્ટેજ પુરું પાડવાનો ઈન્કાર કર્યો. આ ત્રણેય વડાપ્રધાનોએ હિંદુઓને રાજકીય સ્ટેજ મળે નહીં, તેના માટે ઘણી રાજરમતો અને ઉધામા કર્યા.  1925માં રાષ્ટ્રવાદી વિચારાધારના આંદોલન તરીકે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. 

આનું એકમાત્ર કારણ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈચ્છા છે કે દેશના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળે અને તેના થકી સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય. આરએસએસની પ્રેરણાથી 1952માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાના ઈરાદા સ્પષ્ટ ઉપસી આવ્યા. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે મળીને જનસંઘના નેતાઓ ચૂંટણી જીત્યા. સત્તામાં આવ્યા બાદ જનતાપાર્ટીમાં વિલિન થઈ ગયા. પરંતુ આરએસએસ સાથે સંબંધને કારણે બેવડી સદસ્યતાનો મામલો ઉઠયો. તેથી કેટલાંક સ્વયંસેવક હતા, તેવા નેતાઓએ અલગ પાર્ટી સ્થાપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. 1980માં ભારતીય જનતા પાર્ટી નામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહીતના સંઘના સ્વયંસેવકોએ જનતાપાર્ટીથી અલગ પાર્ટી બનાવી. આ ઘટનાક્રમમાં પણ એક વાત સ્પષ્ટ છે કે જનસંઘના જનપ્રતિનિધિઓ સામે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવનારા તત્વો સંઘ સાથે તેમનો નાતો તૂટે તેવી રમત રમતા હતા. તેનો સીધો અર્થ હતો કે સંઘ દ્વારા પ્રેરીત હિંદુ પોલિટિકલ સ્ટેજને પુરી રીતે નેસ્તોનાબૂદ કરી દેવું. 

1984માં માત્ર બે બેઠકોથી જીતની શરૂઆત કરનારા ભાજપે 1998થી 2004 સુધી દેશમાં સફળ ગઠબંધન સરકાર ચલાવી. 1997માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર પણ બની હતી. તે સમયના માહોલમાં જય શ્રી રામના નારા ગુંજતા હતા. 1987થી શરૂ થયેલું રામજન્મભૂમિ આંદોલન 1992માં ચરમસીમાએ પહોંચ્યું. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાને બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા બનાવાયેલા બાબરી ઢાંચાને ધ્વસ્ત કરી દેવાયો. દેશમાં હિંદુ ઉત્સાહ અને લાગણીઓ ચરમસીમાએ હતી. સોમનાથથી અયોધ્યા જવા નીકળેલી રામરથયાત્રાનું નેતૃત્વ પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધું. ત્યાર બાદ 1991માં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી. આતંકવાદીઓની ધમકી છતાં જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો હતો. 1989થી 1998 સુધીનો માહોલ દેશમાં હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળી જશે તેવા પ્રકારનો હતો. પરંતુ 1998માં અટલ બિહારી વાજપેયીના વડપણ નીચે 24 પક્ષોનો શંભુમેળો એનડીએના નામે ભેગો થયો. આ શંભુમેળાએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાં હિંદુના હિતના અને તેમને રાજકીય સ્ટેજ આપતા ત્રણ મુદ્દાઓ બાકાત રાખ્યા. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ-370 દૂર કરવી, દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવો અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામંદિર નિર્માણ કરવું હતા.

દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટાતા હતા. લખનૌથી અયોધ્યા 60 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ વાજપેયી ક્યારેય અયોધ્યામાં રામમંદિરની મુલાકાતે ગયા નથી. તેમ છતાં સત્તામાં રહ્યા ત્યાં સુધી દરવર્ષે અજમેરશરીફમાં ચાદર મોકલાવાનુ ભૂલ્યા ન હતા. વાજપેયી શરૂઆતથી રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો. બાબરી ધ્વસ્ત થવાની ઘટના સમયે તેઓ અયોધ્યામાં ન હતા. તો અડવાણી તેમનાથી પણ આગળ નીકળ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ 2005માં પાકિસ્તાન ગયા. ત્યાં પાકિસ્તાનના સંસ્થાપક મહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેક્વ્યું. ઝીણાને સેક્યુલર ગણાવ્યા. પાકિસ્તાનમાં બાબરી ધ્વંસનું દુ:ખ વ્યક્ત કર્યું. બધા કહે છે કે હવે ભાજપમાં વિકાસની નવી હવા ચાલે છે. આ હવા ગાંધીનગરથી દેશભરમાં ફેલાય છે. પહેલા અટલના ઉદારમતવાદી ચહેરાને કારણે હિંદુઓને રાજકીય મંચ મળ્યો નહીં. બાદમાં ઝીણા સંદર્ભેના નિવેદને અડવાણીની હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાની ક્ષમતા હણી નાખી.
હવે વિકાસ અને સદભાવનાના નામે હિંદુઓને પોલિટિકલ સ્ટેજથી હિંદુઓના નામે દૂર રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002થી 5 કરોડ લોકોની વાતો કરતા આવ્યા છે, હવે વસ્તી વધી છે એટલે આંકડા બદલ્યા છે અને 6 કરોડ ગુજરાતીઓ એમ બોલે છે. મોદીએ સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં પણ તથાકથિત સેક્યુલર લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો માઈન્ડ સેટ ઉજાગર થાય છે. આ દેશમાં હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ. ભારતની રાષ્ટ્ર તરીકેની ઓળખને હિંદુઓથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેવા સંજોગોમાં હિંદુત્વના વિકાસમાં સૌનો વિકાસ કોઈ રાજનેતાને દેખાતો નથી. ખરેખર આ સ્થિતિ ભારતનું દુર્ભાગ્ય છે. 

હિંદુઓને આઝાદી પહેલા કોંગ્રેસ પોતાનું પોલિટિકલ સ્ટેજ લાગી. કોંગ્રેસના આંદોલનોને કારણે દેશ આઝાદ થયો તેવી ભ્રમણાઓ પેદા કરીને અન્ય ક્રાંતિકારી ચળવળો તથા બલિદાનો ભૂલાવી દેવાયા. કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ હોવાનો ભ્રમ દ્રઢ રહ્યો, ત્યાં સુધી કોંગ્રેસ આઝાદી પછી એકહથ્થુ સત્તાનો ભોગવટો કરતી રહી. હિંદુઓનો ભ્રમ જ્યારે ભાંગીને ભૂક્કો થયો, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ સત્તા પર છે. પરંતુ તેના કારણો જાતિગત રાજનીતિ અને સેક્યુલારિઝમના નામે સત્તાની બંદરબાટ કરવામાં રહેલા છે. હિંદુઓને લાગ્યું ભાજપ તેમને રાજકીય મંચ પુરો પાડશે. પરંતુ તેમણે તો જીત પછી દગાબાજીના નવા ઈતિહાસ રચ્યા. પાકિસ્તાન સાથે શાંતિના પેગામ મોકલ્યા. પરમાણુ ધડાકા કર્યા પણ લશ્કરને સરહદે ગોઠવીને મુસ્લિમો પાકિસ્તાન સાથે યુદ્ધથી નારાજ થાય નહીં એટલે વાજપેયી મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા. આ પહેલા કારગીલ જેવી શર્મનાક ઘટના બની અને 500 સૈન્ય અધિકારીઓ અને જવાનોએ શહીદી વ્હોરી. દેશમાં 2 કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો અપાયા. આ તમામ ઘટના દર્શાવે છેકે હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ ખંડિત અને આઝાદ ભારતમાં ક્યારેય મળ્યું નથી. 

- અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરી ઢાંચાને હટાવાયા બાદ પણ ભવ્ય રામમંદિર નિર્માણનું સપનું હજી પૂર્ણ થયું નથી. ભગવાન શ્રીરામ હજી પણ કપડાના ટેન્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના અયોધ્યામાં આ સ્થળે જ રામજન્મભૂમિ હોવાના ચુકાદા બાદ પણ હિંદુઓને રામમંદિર નિર્માણ કરવા દેવાતું નથી. આવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ હિંદુઓ પ્રત્યે સંવેદનશીલ હોત, તો સંસદમાં ઠરાવ પસાર કરીને રામજન્મભૂમિની જમીન હિંદુઓને તાત્કાલિક સોંપી દેત. 

- ભગવાન રામ અને રામાયણ કપોળકલ્પિત હોવાના એફિડેવિટ માત્ર એટલા માટે થયા કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભગવાન રામ દ્વારા નિર્મિત મનાતા ભારત-શ્રીલંકા વચ્ચેના રામસેતુને તોડીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને આગળ વધારવા માગતી હતી. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તેમા તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પાર્ટી ડીએમકેના નેતાઓના સ્થાપિત હિતો છે. રામસેતુ મુદ્દે હિંદુઓને પોલિટિકલ સ્ટેજની પરવાહ કર્યા વગર આંદોલન કરવું પડયું. જેના પરિણામે રામસેતુ તોડવાનું કામ સરકારને રોકવું પડયું છે. પરંતુ હિંદુઓના પોલિટિકલ સ્ટેજની ગેરહાજરીમાં રામ, રામાયણ અને રામસેતુ ફરીથી પોતાને સેક્યુલર ગણાવતી સરકારના નિશાના પર આવી શકે છે.

- દેશના હિંદુઓએ ગાયને પવિત્ર અને માતા ગણે છે. પરંતુ આઝાદીના 66 વર્ષમાં ગાયોની કત્લેઆમ દેશમાં ચાલી છે. દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો બનાવવાની માગણી થઈ છે. કેટલાંક રાજ્યોએ નામનો કાયદો બનાવી પણ રાખ્યો છે. પરંતુ ગોહત્યા રોકાતી નથી. ભારત કૃષિપ્રધાન દેશ હતો. આજે ભારતમાં ઔદ્યોગિકરણની લ્હાયમાં ખેતીનું નખ્ખોદ નીકળી રહ્યું છે. નેતાઓ દાવો કરે છે કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસે પહેલા ગાય અને પછી ખેતીને અપાર નુકસાન પહોંચાડયું છે. આવા વિકાસનો પુનર્વિચાર કરવા માટે પણ કોઈ રાજકીય નેતા હાલ તૈયાર નથી.

- આખા ભારતમાં અમદાવાદ, દિલ્હી, હૈદારાબાદ, કાનપુર, અલ્હાબાદ, લખનૌ વગેરે જેવા જૂના શહેરોમાંથી હિંદુઓ બહાર નીકળી તેના પરાવિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. આવા શહેરોના કોટવિસ્તાર મુસ્લિમોના હાથમાં ચાલ્યા ગયા છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આખા દેશમાં ચાલી રહી છે. પણ રાજકીય નેતાઓની આ મુદ્દા પરત્વે ઉદાસનિતા છે. જેના માઠા પરિણામો આવા શહેરોને ભોગવવા પડે છે. 

- દિવાળી, નવરાત્રિ, ઉતરાયણ, હોળી જેવા હિંદુ તહેવારો હિંદુ પરંપરા પ્રમાણે નહીં, પણ હિંદુ-મુસ્લિમ ભાઈચારાના નામે મુસ્લિમોથી ડરીને ઉજવવા પડે છે. 

- જીવો અને જીવાડોના વિચારમાં વિશ્વાસ રાખનારા ભારતમાં આજે 36 હજારથી પણ વધારે કતલકાનાઓ થઈ ગયા છે. 

- આસામ, કેરળ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ઘણાં વિસ્તારોની ધાર્મિક જનસાંખ્યાયિકી ઝડપથી સુવ્યવસ્થિત રીતે બદલાઈ છે. તેના માટે મુસ્લિમોનું બહુપત્નીત્વ અને નસબંધીને નહીં સ્વીકારવાનું વલણ મોટા પ્રમાણમાં જવાબદાર છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક સંતુલન સ્થાપવા માટે કોમન સિવિલ કોડની માગણી થાય છે. પરંતુ તેને કોમવાદી ગણીને રાજકીય પક્ષોએ પોતાના ઉકરડાંઓમાં ફેંકી દીધી છે.

- દેશના ઘણાં મોટા હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે અને તેની આવક સરકાર જ વાપરે છે. 

- અમરનાથ યાત્રા માટે દેશના હિંદુઓને બલિદાની આંદોલનો કરવા પડે છે. જ્યારે હજયાત્રા માટે મુસ્લિમોને સરકાર વ્યવસ્થા કરી આપે છે

- દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક હોવાનું જણાવીને વડાપ્રધાન દેશના 100 કરોડ હિંદુઓનું અપમાન કરે છે.

- રાષ્ટ્રગીત વંદેમાતરમ ચાલતુ હોય, તે વખતે બીએસપીનો મુસ્લિમ સાંસદ સંસદમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાછળથી કહે છે કે વંદેમાતરમનું ગાન ઈસ્લામ વિરુદ્ધ છે. 

- આસામ અને બાંગ્લાદેશ સાથેની અન્ય સરહદે હિંદુઓની જમીન, જંગલ અને ખેતી પડાવી લેવા માટે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા ષડયંત્ર ચલાવાયું છે. પરંતુ દેશની સરકારોને આ મુસ્લિમોમાં વોટબેંક દેખાઈ અને તેના કારણે આજે આસામને બીજા કાશ્મીર બનવાના માર્ગે ધકેલી દેવામાં આવ્યું છે. 

- લઘુમતીઓને પંદર સૂત્રીય કાર્યક્રમ, અલગ બજેટ-સબસિડી અને શિષ્યવૃતિથી વિકરાળ લાભો આપવામાં આવે છે. જેના પરિણામે હિંદુ યુવાવર્ગ સ્પર્ધા અને વિકાસની હરિફાઈમાં પાછળ પડી ગયો છે. પરંતુ વિકાસના ગાણાં ગાનારા રાજકીય ગવૈયાઓને તેની કોઈ પરવાહ નથી. 

દેશની આઝાદીના 66 વર્ષનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એનડીએ હોય કે યુપીએ, ભાજપ હોય કે કોંગ્રેસ બંને મુસ્લિમો, મિશનરી અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે ખોળો પાથરીને ઉભેલા દેખાય છે. આમા આ દેશના 100 કરોડ હિંદુઓની સતત સમજણપૂર્વકની ઉપેક્ષા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આસામ, કાશ્મીર, ઓરિસ્સા જેવા રાજ્યોમાં હિંદુઓને પોતાના જ દેશમાં શરણાર્થી બનવું પડે છે. ગંગા સહીતની નદીઓ પર વિકારાળ ઉદ્યોગોની હારમાળા ઉભી કરી દેવાય છે. જેને પરિણામે ગંગા સહીતની નદીઓના શુદ્ધિકરણ માટે હિંદુઓએ જ ચળવળ ચલાવવી પડે છે. આઝાદી પછી આ દેશની સત્તા પર આવનારા તમામે હિંદુઓને છેતર્યા છે. તેમણે મુસ્લિમ તુષ્ટિકરણના નવા ઈતિહાસ પણ રચ્યા છે. બધાના શાસનમાં થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ હિંદુઓ જ મર્યા છે.

છતાં ચહેરો વાજપેયી જેવો ઉદારમતવાદી અને સેક્યુલર રાખીને હિંદુઓના વોટ મેળવવાની આશા રાખવામાં આવે છે. આજ સુધી કોઈ નેતા હિંદુત્વવાદી હોય કે ન હોય, પરંતુ સંતોના સંમેલનમાં કોઈએ જાહેર કર્યું ન હતું કે તેઓ માત્ર હિંદુઓના નેતા નથી, પણ બધાના નેતા છે. આવું બોલનારા નેતા પાસે હિંદુ સમાજ પોલિટિકિલ સ્ટેજ મેળવવાની આશા કંઈ રીતે રાખી શકશે? દેશમાં હિંદુત્વ જ આગળ રહેશે તેઓ વારંવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હિંદુત્વ જ આગળ રહે તેના માટે રાજકીય મંચની જરૂર છે. એવા રાજકીય મંચની કે જેને દુનિયા જોઈ શકે. જેના પરથી દુનિયાને બતાવી શકાય કે હિંદુ શું કરી શકે છે? પણ કેટલીક વખત હિંદુહિતની રાજનીતિ કરનારાઓ પર દયા આવે છે કે તેઓ બોલી શકતા નથી કે હા, અમે હિંદુહિતની રાજનીતિ કરીશું. આ દેશની સમસ્યાની જડ હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ મળ્યું નથી તે છે, જો હિંદુઓને તેમનું પોલિટિકલ સ્ટેજ મળી જાય, તો દેશની સમસ્યા જેટ ગતિએ ઉકેલાશે. ગુજરાતના વિકાસમાં કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. તે મોડલની ખામી હોઈ શકે. પરંતુ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું, કારણ કે રાજ્યના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ એક હદ સુધી પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાતે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદીને હિંદુત્વવાદી મુદ્દાઓ પર જ વોટ આપ્યા છે. હિંદુત્વવાદી મુદ્દાઓ પર જીતીને જ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું છે. ત્યારે દેશમાં હિંદુત્વવાદી ચહેરો છુપાવીને ગુજરાત વિકાસ મોડલને લઈને આગળ વધવાનો શું અર્થ છે? યાદ રહે ગુજરાતથી દિલ્હી જવાનો રસ્તો અયોધ્યાથી અવશ્ય જઈ શકે છે, પણ ગુજરાતથી ચીન-જાપાન થઈને દિલ્હી કોઈ રસ્તો પહોંચતો નથી. 

શનિવાર, 23 જૂન, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

શુક્રવાર, 1 જૂન, 2012

વ્યક્તિત્વ પ્રભાવથી ગેરશિસ્ત “પાર્ટી વિથ ડિફરન્સ”ની વ્યથા


-    આનંદ શુક્લ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મૃત્યુ પછી સંગઠનમાં તૃતિય પંક્તિના ગણાતા લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનસંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. (તેમણે તે વખતે અટલ બિહારી વાજપેયી સાથે છત્રીસનો આંકડો ધરાવતા પ્રખર હિંદુત્વવાદી નેતા અને જનસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બલરાજ માધોકને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.) જે સ્થિતિ 2009માં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના આશિર્વાદથી ગડકરીની બની હતી. પ્રાદેશિક સ્તરના નેતા નીતિન ગડકરી કે જેમને ચૂંટણી જીતવાનો અનુભવ નથી, તેમને ભાજપને કેમોથેરપી આપવા માટે પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સંઘના જ દોરીસંચાર હેઠળ ભાજપના બંધારણમાં ફેરફાર કરીને નીતિન ગડકરીને બીજી ટર્મ માટે પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. એટલે કે 2014ની લોકસભાની ચૂંટણી ભાજપ ગડકરીની આગેવાનીમાં જ લડશે.
ભારતીય જનસંઘ અને ભાજપ પોતાની અલગ પ્રકારની સંગઠન શૈલીને કારણે ભારતની અન્ય તમામ પાર્ટીઓથી અલગ પડતી આવી છે. (જો કે હાલ આ પાર્ટી વિથ ડિફરન્સમાં ખરેખર ડિફરન્સિસ છે!)  ભાજપનું પૂરોગામી ભારતીય જનસંઘ અને તેમની માતૃસંસ્થા આરએસએસ હંમેશા વ્યક્તિત્વની આભામાં નહીં રહેનારા સંગઠનો તરીકે જાણીતા છે. પરંતુ આ સંગઠનો પર ચોક્કસ વ્યક્તિત્વોનો પ્રભાવ શરૂઆતથી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તેના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો તો પ્રભાવ હોય જ. પરંતુ સૌથી લાંબો સમય સુધી સંઘના સરસંઘચાલક રહેલા માધવરાવ સદાશિવરાવ ગોલવલકર એટલે કે ગુરુજીનો પ્રભાવ પણ ઘણો મોટો છે. તો ભારતીય જનસંઘમાં તેના સંસ્થાપક અધ્યક્ષ શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાય એમ બે અધ્યક્ષોની તેના અનુગામી ભાજપના સમારંભોમાં તસવીરી અર્ચના થાય છે.
ભાજપની વાત કરીએ તો તે પણ પહેલા અટલ બિહારી વાજપેયીના દમદાર વ્યક્તિત્વ અને રામજન્મભૂમિ આંદોલનથી અડવાણીના વ્યક્તિત્વોના પ્રભાવમાં રહ્યું છે. જો કે હવે આ વ્યક્તિત્વનો પ્રભાવ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફે રૂપાંતરીત થઈ રહ્યો છે. એટલે કે આરએસએસ, ભારતીય જનસંઘ અને ભાજપ વ્યક્તિત્વ પ્રભાવથી અળગા રહેવાનો પ્રયત્ન કરતા  હોવા છતાં જાણે-અજાણે વ્યક્તિત્વોની અસર નીચે જ કામ કરતા દેખાયા છે. (ઉલ્લેખનીય છે કે વ્યક્તિપૂજા ટાળવા માટે આરએસએસમાં ગુરુસ્થાને ભગવા ધ્વજને સ્થાપવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે જીવિત વ્યક્તિમાં દોષ હોઈ શકે.)
કળિયુગમાં સંઘમાં શક્તિ રહેલી હોવાની વાતનું આ તમામ સંગઠનોમાં વારંવાર રટણ કરવામાં આવે છે. સંગઠનમાં વ્યક્તિની સર્વોપરીતા હોતી નથી, સર્વોપરીતા સંગઠનની હોય છે. જો કે જ્યારે વ્યક્તિના સંગઠનથી સર્વોપરી હોવાની પરિસ્થિતિ ઉભી થાય છે, તો સંગઠનમાં આંતરીક વિખવાદો સપાટી પર આવી જાય છે. જ્યાં સુધી આ સંગઠનોનું નિયંત્રણ પ્રબળ વ્યક્તિત્વોના હાથમાં હતું, ત્યાં સુધી તેના આંતરીક વિખવાદો લોકો સામે આવ્યા ન હતા.
પરંતુ ભારતીય જનતા પાર્ટી હાલ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરોએ તેના નેતાઓના પ્રભાવ સ્થાપિત કરવાની લડાઈઓનો અખાડો બની ગઈ છે. જેની અસર મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં જોવા મળી. રાષ્ટ્રીય કારોબારી પછી સપાટી પર આવેલા આંતરીક વિખવાદો સંદર્ભે ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં તંત્રી પ્રભાત  ઝાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમની આકરી ઝાટકણી કાઢી છે. સમગ્ર તંત્રીલેખનો અર્થ નીકળી  રહ્યો છે કે મોદીની (વડાપ્રધાન બનવાની) ઉતાવળ ભાજપનું વહાણ ડૂબાડી રહી છે. એનડીએ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તે દિવસે જ અડવાણીએ બ્લોગ લખીને ભાજપના બીજી ટર્મ માટે અધ્યક્ષ બનેલા નીતિન ગડકરી તરફ નારાજગી વ્યક્ત કરી છે. તો કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ નિશાન તાક્યું છે. આમ તો મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ પ્રભાત ઝા અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો ધરોબો  પણ કોઈનાથી છુપો નથી.
કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ તંત્રીલેખમાં લખ્યું છે કે જ્યારે ટ્રેનમાં ભીડ હોય છે, ત્યારે ઉતાવળમાં હોય તેવા વ્યક્તિએ પણ રોકાવું પડે છે. પોતાની ઉતાવળમાં આવી વ્યક્તિ બીજા મુસાફરને નીચે ખેંચતી નથી, ન તો ટ્રેન તોડે છે અથવા ન તો તેના પર પથ્થરમારો કરે છે. જો તે પોતાની બનાવેલી ટ્રેનને તોડવા લાગે છે, તો પોતાની મંજિલે કેવી રીતે પહોંચશે? પાર્ટી કોઈ એક વ્યક્તિના યોગદાનથી ચાલતી નથી. પાર્ટી બધાંના સહયોગથી ચાલે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલી રાષ્ટ્રીય કારોબારીમાં  મોદી એ શરતે જ પહોંચ્યા કે તેમના પહોંચવાથી  પહેલા સંજય જોશી પાસેથી રાજીનામું લેવામાં આવે. મોદીએ જે પ્રકારે સંજય જોશીને રાષ્ટ્રીય કારોબારીમાંથી દૂર કરાવ્યા તેનાથી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ પર પણ સવાલ ઉભા થયા છે. મોદીની ધમકી સામે પાર્ટી અધ્યક્ષ ગડકરીએ  ઘૂંટણિયા ટેકવ્યા અને ભાજપમાં થયું એ કે જે મોદી ઈચ્છતા હતા! સવાલ ત્યારથી ઉભા થઈ રહ્યાં છે કે શું મોદી પાર્ટી સંગઠનથી પણ મોટા થઈ ગયા છે?
તંત્રીલેખમાં મોદીની જોહૂકમી સંદર્ભે લખવામાં આવ્યું છે કે એ કહેવું કે માત્ર મારી વાત ચાલશે, તેનાથી પાર્ટી અથવા સંસ્થા તો દૂર પરિવાર પણ ચાલતો નથી. આપણે બધાં જાણીએ છીએ કે શક્તિ સંસ્થાથી આવે છે ન કે વ્યક્તિ વિશેષથી. નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર તંત્રી પ્રભાત ઝાએ ઉમેર્યુ છે કે જ્યારે કોઈ કામિયાબીની સીડીઓ ચઢે છે તો તેમની સમજ પણ વધવી જોઈએ. પરંતુ એ વિડંબણા છે કે જે શિખર પર પહોંચી  જાય છે, તે બીજાને નીચું દેખાડવાની કોશિશ કરે છે, એ જાણવા છતા કે એક દિવસ તેને પણ નીચે આવવાનું છે.
તંત્રીલેખમાં અટલ બિહારી વાજપેયી, અડવાણી અને મુરલી મનોહર જોશીની પ્રશંસા કરવામાં  આવી છે અને કહેવામાં આવ્યું છે કે ત્રણેય ભારતીય રાજકારણની ક્ષિતિજ પર એટલા માટે વર્ષો સુધી ચમકતા  રહ્યા છે કે તેમણે હંમેશા સંગઠનને સર્વોપરી માન્યુ છે. તેમનું કદ ઘણું મોટું હોવા છતાં તેમણે પોતાની જાતને ભાજપની અંદર જ રાખી. તેમણે પોતાના કદને પાર્ટીના  કદથી ઉંચુ કર્યું નહીં.
અડવાણીના બ્લોગ અને કમલ સંદેશના તંત્રીલેખ પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે ભાજપમાં મોદીની જોહૂકમી સામે મોરચાબંધીનો પ્રયત્ન થઈ રહ્યો છે.

સ્પષ્ટ છે કે જે પાર્ટીમાં સંગઠન સર્વોપરી હોય, તેને મોદીની  પાર્ટીથી મોટા થવાની કોશિશ અનુકૂળ આવશે નહીં. આવી જ કોશિશમાં ભાજપે પહેલા ઉમા ભારતીને બે વખત પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા. જો કે અત્યારે ઉમા ભારતી નીચું માથું કરીને પાર્ટીમાં પાછા ફર્યા છે. તો કલ્યાણસિંહ જેવાં રામજન્મભૂમિ આંદોલનના
હીરો રહેલા વરિષ્ઠ નેતાને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તો વાજપેયી સામે મુખૌટા જેવો શબ્દપ્રયોગ કરવાના મામલે 1996માં અસરકારક સંગઠન મંત્રી ગણાતા અને સોશ્યલ એન્જિનિયરીંગના મહારથી ગણાતા ગોવિંદાચાર્યને પણ બહાર કરવામાં  આવ્યા હતા. એટલે કે ભાજપમાં મોદીથી પહેલા પાર્ટીએ કોઈની પણ ગેરશિસ્ત સહન કરી નથી. પરંતુ રાષ્ટ્રીય કારોબારીમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પર સવાલ ઉઠવાના ચાલુ થઈ ગયા છે કે તે પણ દેશની અન્ય રાજકીય પાર્ટીઓના રસ્તે જ આગળ વધી રહી છે?

જો કે અત્રે સવાલ અડવાણીના બ્લોગ અને કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાના તંત્રીલેખમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંદર્ભે પણ ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે જો તંત્રીલેખમાં પાર્ટીની ગેરશિસ્ત અને બ્લોગમાં ખુદની ફરીયાદોની વાત લખી શકાય છે, તો પછી પાર્ટીની અંદર આ મુદ્દાઓ પર ચર્ચા કેમ થતી નથી? જમીની સ્તરે શિસ્ત લાગુ કરવામાં અધ્યક્ષ ગડકરી મોદી જેવા વ્યક્તિત્વના પ્રભાવમાં કાચા શા માટે પડે છે