લેબલ અરવિંદ કેજરીવાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અરવિંદ કેજરીવાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ વ્યૂહાત્મક બની 100% મતદાન કરે

-         પ્રસન્ન શાસ્ત્રી
ભારતનું રાજકારણ ઘણું જટિલ છે. ભારતમાં બ્રિટિશ મોડેલ પ્રમાણેની સંસદીય લોકશાહી અમલમાં છે. દેશની લોકશાહીને લૂંટશાહીમાં તબ્દીલ કરનારા સત્તાના દલાલો તેને શ્રેષ્ઠ ગણાવતા થાકતા નથી. પરંતુ કેટલાંક કરોડની વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ ઈંગ્લેન્ડની રાજવ્યવસ્થાને કરોડોની આબાદીવાળા એશિયન દેશ ભારતમાં અમલી બનાવતા કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. બ્રિટિશ મોડેલની ઉજાગર થયેલી ખામીઓ ભારતની રાજવ્યવસ્થા દેશને સંપૂર્ણપણે અનુકૂળ નહીં હોવાની અથવા તેમા હજી પણ આ શાસનવ્યવસ્થાને રાષ્ટ્ર માટે યોગ્ય બનાવવા માટે ઘણો અવકાશ હોવાની વાત તરફ ઈશારો કરે છે. જાણકારો જણાવે છે કે ભારતના લોકતંત્રને રાજકારણના વચેટિયાઓએ ભ્રષ્ટતંત્ર બનાવી દીધું છે. જેના કારણે દેશની જનતામાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારતની લોકશાહીની ખામી કહો કે દેશના રાજકારણીઓની કરણી કહો, પણ આપણી લોકશાહીમાં રાજકીય વિકલ્પો વચ્ચે પણ લોકોને સતત વિકલ્પવિહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે એક રોષનું વાતાવરણ છે.

આઝાદીની ચળવળ વખતે મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના પરિણામે દેશના ભાગલા થયા. કોંગ્રેસની નીતિઓને કારણે મુસ્લિમો દેશના ખાસ આદમી બની ગયા. જ્યારે બહુમતી હિંદુઓ દેશના (બિચારા!!) આમ આદમી બની રહ્યા. આઝાદીની ચળવળ વખતે દેશનો હિંદુ કોંગ્રેસને રાષ્ટ્રવાદી હિંદુ વિકલ્પ તરીકે જોતો હતો. પરંતુ ગાંધી-નહેરુની રાહબરી હેઠળ કોંગ્રેસે પોતાની મુસ્લિમોમાં સ્વીકાર્યતા દેખાડવા માટે હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ચાલુ રાખી હતી. દેશના આમ આદમી હિંદુઓને તત્કાલિન કોંગ્રેસી નેતાઓએ રાજકીય રીતે ભરમાવી રાખ્યા. બીજું એક હજાર વર્ષની તુર્ક-અફઘાન-મોગલ-બ્રિટિશ ગુલામીમાં હિંદુઓમાં રાજકારણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પણ પેદા થયો હતો. હિંદુઓની ઉપેક્ષા અને બેધ્યાનપણાને કારણે દેશની રાજનીતિ મનસ્વી બની. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ ઉચ્ચ સાક્ષરતા ધરાવતો હિંદુ સમાજ પોતાના સામૂહિક રાજકીય હિતોને જોઈ શકે તેવી બહાદૂરીભરી રાજકીય સાક્ષરતા દાખવી શક્યો નહીં.

જેના કારણે રાષ્ટ્રવાદી હિંદુનું મહોરુ પહેરેલા, પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને વરેલા નેતાઓ અને કોંગ્રેસ-કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો વચ્ચે હિંદુ સમાજ અટવાતો રહ્યો. તેમ છતા પાકિસ્તાનના પેદા થયા પછી હિંદુઓમાં કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પની એક આકાંક્ષા હતી. પરંતુ દેશના રાજકીય માળખા અને વ્યવસ્થા પર ઉપરથી નીચે સુધી ગાંધીવાદી દંભમાં ડૂબેલા કોંગ્રેસી મોડલે પકડ જમાવી દીધી. જેના કારણે 1947થી 1977 સુધી કેન્દ્રની એકહથ્થુ સત્તા કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી-નહેરુ પરિવારના જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કેન્દ્રીત બની ગઈ હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લોકશાહીને ટૂંપો દેવાયો અને કટોકટી જાહેર થઈ હતી. પરંતુ તે પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશમાં નવા રાજકીય વિકલ્પ માટે વાતાવરણ પેદા કર્યું હતું.

કટોકટી વિરુદ્ધના આંદોલનોમાં સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની મોટી ભૂમિકા હતી. તો કોંગ્રેસ સામે અન્ય રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ એકઠા થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા મનસ્વીપણે લાગુ કરાયેલી કટોકટી જનવિરોધના કારણે પાછી ખેંચીને લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આ ચૂંટણીમાં પહેલી વખત દેશની જનતાએ કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે મુખ્યત્વે જનતા પાર્ટીને પસંદ કરી હતી. પરંતુ સત્તાની સાઠમારીના કોંગ્રેસી મોડલમાં ઉછરેલા નેતાઓ કોંગ્રેસનો વિકલ્પ બની શક્યા નહીં. તેણે સાબિત કર્યું કે દેશમાં કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય મોડલ છે. 1980ની ચૂંટણીમાં ફરીથી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા પર આવી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસ બહુમતી મળી. ત્યારે લાગતું હતું કે કોંગ્રેસનો રાજકીય વિકલ્પ પેદા થઈ શકશે નહીં.

પરંતુ બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા બાદ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસના રાજકીય વિકલ્પની શોધ શરૂ થઈ. વી. પી. સિંહની આગેવાની હેઠળ જનતાદળ-ભાજપનું ગઠબંધન થયું. 1989માં વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા. જો કે ભાજપની સફળતા પાછળ તેની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હિંદુ વિચારધારાનો ઘણી મોટી ભૂમિકા હતી. એક તરફ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં દેશના આમ આદમી હિંદુઓએ આપેલી અભૂતપૂર્વ બહુમતીના જારે મુસ્લિમો ઈચ્છા પ્રમાણે તેમની તરફેણમાં પલટાવી નાખ્યો હતો. તેની સામે હિંદુઓમાં વિરોધનું વાતાવરણ હતું. આ સાથે ભાજપે હિંદુઓની રાજકીય આકાંક્ષાઓને વાચા આપવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાપૂજનના કાર્યક્રમોએ હિંદુત્વવાદી વાતાવરણ તૈયાર કર્યું હતું. જેની અસર દેશના રાજકારણ પર પડી રહી હતી. હિંદુ લાગણીઓને તત્કાલિન ભાજપ થકી રાજકીય મંચ ઉપલબ્ધ થઈ રહ્યો હતો.
જો કે વી. પી. સિંહએ હિંદુત્વવાદી વાતાવરણનો તોડ અનામતના મંડલ કમિશનના રાજકારણમાં શોધ્યો. તેની સામે ભાજપે પણ હિંદુત્વની રાજનીતિને તેજ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના રામજન્મભૂમિ આંદોલનને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10 હજાર કિલોમીટરની રામરથયાત્રા ચાલુ કરી હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર હલબલી ઉઠી હતી. જનસમર્થન પોતાની પાસેથી ખસીને હિંદુત્વના રામરથ પર સવાર ભાજપ તરફ ખસી રહ્યું હતું. બિહારના સમસ્તીપુર ખાતે તત્કાલિન જનતાદળના લાલુપ્રસાદ યાદવે અડવાણીની રથયાત્રાને રોકીને તેમની ધરપકડ કરી. તેની સાથે ભાજપે ટેકો પાછો ખેંચતા વી. પી. સિંહની જનતાદળ સરકારનું પતન થયું. ચંદ્રશેખરના નેતૃત્વમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર ટૂંકાગાળા માટે સત્તા પર આવી. 1991-92માં જનતાએ ફરીથી વિકલ્પો વચ્ચે વિકલ્પવિહીનતાની સ્થિતિમાં જનતાદળથી મોહભંગ થઈને કોંગ્રેસને મત આપ્યા.

જો કે આ સમયગાળામાં દેશમાં હિંદુ લાગણીઓ જોર પર હતી અને હિંદી બેલ્ટમાં અસરકારક હિંદુ વોટબેંક અસ્તિત્વમાં હતી. જેના કારણે અહીં ભાજપને ઘણું સારું સમર્થન મળ્યું હતું. પરંતુ કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી સારો ટેકો મળ્યો. તેની પાછળ તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતે રાજીવ ગાંધીની એલટીટીઈની આત્મઘાતી દ્વારા કરાયેલી હત્યાની ઘણી મોટી ભૂમિકા હતી. જો કે રાજીવ ગાંધીની હત્યા કોંગ્રેસ માટે ઈન્દિરા ગાંધીની હત્યા જેવો સિમ્પથી વેવ પેદા કરી શકી નહીં. કારણ કે હિંદી બેલ્ટમાં રામજન્મભૂમિ આંદોલનના કારણે હિંદુત્વવાદી વોટબેંક તૈયાર થઈ ચુકી હતી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર લઘુમતી સરકાર હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી. પણ તેને પૂર્ણ બહુમતી મળી ન હતી. 1996માં ભાજપ હિંદુ વોટબેંકના આધારે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. વાજપેયી ભારતમાં સૌથી પહેલા બિનકોંગ્રેસી મૂળ ધરાવતા વડાપ્રધાન હતા. અહીંથી દેશના આમ આદમી એવા હિંદુઓએ મુસ્લિમોને ખાસ બનાવતી રાજનીતિ કરતી કોંગ્રેસને જાકારો આપવાની રાષ્ટ્રનીતિને પ્રભાવીપણે લાગુ કરી.

1998-99માં ભાજપ ફરીથી દેશનો સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો અને સમાન નાગરીક ધારો લાગુ કરવાની વાત સામેલ હતી. પરંતુ 24 પક્ષોના ટેકા સાથે આ ત્રણેય મુદ્દાને એનડીએના નેજા નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા દૂર રાખવામાં આવ્યા. તેની પાછળનો હેતુ કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને દેશહિતોનું વધુ નુકસાન અટકાવવાનો હતો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર છ વર્ષ ચાલી. કોંગ્રેસના રાજકીય વિકલ્પ તરીકે ભાજપની આ સફળતા હતી.

પરંતુ હિંદુત્વના મુદ્દાઓ પર બાંધછોડે ફરીથી હિંદુ વોટબેંકને વિહવળ બનાવી દીધી. જો કે તેની પાછળ દેશમાં રૂઢિગત બનેલુ કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હતું. ભારતની રાજનીતિમાં મૂળથી માંડીને ટોચ સુધી કોંગ્રેસના ડીએનએ ધરાવતા નેતાઓની સતત પકડ રહી છે. જેના કારણે કોંગ્રેસના સત્તા પરથી જવા છતાં કોંગ્રેસનું રાજકીય મોડલ પ્રભાવી રહે છે. જેનો અનુભવ બિનકોંગ્રેસી રાજકીય મૂળ ધરાવતા અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારને પણ થયો હતો. હિંદુ આકાંક્ષાઓને કેટલીક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં દબાવી દેવાની પ્રવૃતિ રાજકીય સ્તરે તેજ બની હતી. જેના કારણે રામજન્મભૂમિ આંદોલન વખતે તૈયાર થયેલી હિંદુત્વવાદી વોટબેંક હિંદી બેલ્ટથી આગળ વધવાને સ્થાને વિખેરાવા લાગી. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડયા. 2004થી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી. વિખેરાયેલી હિંદુ વોટબેંક ફરીથી પ્રભાવી બનાવવા માટે પ્રયત્ન નહીં કરાતા 2009માં પણ ફરીથી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી.
2014ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના ઓવરડોઝથી આમ હિંદુ ત્રસ્ત બન્યો છે. તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી સહીતના મુદ્દાઓ પણ આમ હિંદુઓમાં કોંગ્રેસ વિરોધી લહેર પેદા કરનારા બન્યા છે. જેના કારણે રાજકીય ઉપેક્ષાનો ભોગ બનેલી હિંદુ આકાંક્ષાઓ ફરીથી એકજૂટ બની છે. દેશમાં ફરીથી કટોકટી સમયની લહેર હોવાની વાત રાજકીય જાણકારો કરી રહ્યા છે.

આ હિંદુ આકાંક્ષાઓ ફરીથી વોટબેંકનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 2011માં અણ્ણા હજારેના નેતૃત્વમાં શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટેના આંદોલને જનઆકાંક્ષાઓને ફરીથી સડકથી સંસદ સુધી આંદોલિત કરી હતી. આ જનઆકાંક્ષાઓમાં હિંદુ રાજકીય વિકલ્પનો અંડરકરંટ પણ દેખાયો હતો. જો કે અણ્ણા હજારેના આંદોલનનો ઉપયોગ કરીને ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે કમ્યુનિસ્ટ વિચારસરણી તરફ ઝોક ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 માસ જૂની આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી. ભાજપ દિલ્હીમાં 32 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ટેકાથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બનીને દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવી. ત્યાર બાદ જનલોકપાલ બિલ દિલ્હીની વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે ઉભી થયેલી બંધારણીય અંટસના પરિણામે તેમણે રાજીનામું આપ્યું. આ વખતેની લોકસભની ચૂંટણીમાં તેઓ પણ મેદાનમાં છે.

પરંતુ ભારતના આમ હિંદુ મતદાતાઓએ પોતાના વિવેક પ્રમાણે વિચારવાનો સમય છે કે શું દેશમાં હાલ કોઈ હિંદુ રાજકીય વિકલ્પ ઉપલબ્ધ છે અથવા આગામી સમયમાં કોઈ હિંદુત્વવાદી રાજકીય વિકલ્પનો ગર્ભ  બની શકે છે? તેવા સંજોગોમાં હાલ ઉપલબ્ધ રાજકીય વિકલ્પોમાંથી હિંદુ મતદાતાઓએ રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય કરવાનો છે. આમ આદમી પાર્ટીની પૃષ્ઠભૂમિમાં રહેલા અણ્ણા હજારેના આંદોલન વખતે કોંગ્રેસી મોડેલ હેઠળની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ દેખાઈ હતી. એક તરફ અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા અને બીજી તરફ મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા માટે અણ્ણાના તત્કાલિન ટેકેદારો અનશન સ્થાને ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. અણ્ણાના મંચ પર મુસ્લિમ પ્રતિનિધિત્વ દેખાડવાનો પ્રયત્ન કરાયો હતો. અણ્ણાના આંદોલનની શરૂઆતમાં મંચ પર દેખાયેલી ભારતમાતાના તસવીર આંદોલનના છેલ્લા તબક્કામાં ગાયબ થઈ હતી...તો દિલ્હીની જમા મસ્જિદના ઈમામ બુખારીનું સમર્થન લેવા માટે અરવિંદ કેજરીવાલે અંદાજે અઢી કલાક સુધી રાહ જોઈ હતી. જો કે ત્યાર બાદ પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.


આમ આદમી પાર્ટીની જાહેરાત બાદ પણ મુસ્લિમ સમર્થન માટે અરવિંદ કેજરીવાલના હવાતિયાં જગજાહેર છે. મુઝફ્ફરનગર ખાતેના હુલ્લડો બાદ કેજરીવાલ હુલ્લડખોર મનાતા તૌકીર રજા નામના શખ્સને રાજકીય ટેકા માટે મળ્યા હોવાનું મનાય છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે સોગંદવિધિ દરમિયાન સેક્યુલર દેખાવા માટે કેજરીવાલે પોતાના ભાષણમાં ઈશ્વર સાથે અલ્લાહનો વારંવાર ઉપયોગ કર્યો હતો. જો કે મુસ્લિમ અનામતની તરફદારી કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના પક્ષોની એક અલગ પ્રકારની રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે. આ દોડમાં ભાજપે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે થોડાઘણાં પ્રયત્નો કર્યા હોવાનું ઘણાં લોકો માની રહ્યા છે. આમાના ઘણાની લાગણી છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે અને કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ બની ગઈ છે. પરંતુ આ તમામની પાછળ ભારતમાં મૂળ સુધી પ્રસરેલું કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હોવાની વાત હિંદુ મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે ઘણાં હિંદુ મતદારો ઘોષિત હિંદુ રાજકીય વિકલ્પનો અભાવ અનુભવી રહ્યા છે. તેમ છતાં તેમણે કોંગ્રેસના રાજકીય મોડેલને ખતમ કરવા માટે વ્યૂહાત્મક મતદાન કરવાની રાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ બિનકોંગ્રેસી રાજકીય વિકલ્પ માટે ફરીથી સક્રિય બને તે જરૂરી છે. ત્યારે દેશના હિંદુ મતદારોએ રાષ્ટ્રીય હિતમાં વ્યૂહાત્મક રીતે વિચારવું આવશ્યક છે. ત્યારે હિંદુઓનું વ્યૂહાત્મક રીતે પ્રવર્તમાન રાજકીય વિકલ્પોમાંથી હિંદુ રાજકીય વિકલ્પ તરીકે નજીકના પક્ષ કે મોરચાના ઉમેદવારની તરફેણમાં 100 ટકા મતદાન ભારતને નવી સંભાવનાઓ તરફ આગળ લઈ જઈ શકશે.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

અણ્ણા હજારેના “ગાંધીવાદી” વ્યક્તિત્વનો એક્સ-રે


the xray of personality of gandhian anna hazare

રાજઘાટ પર બાપુની સમાધિએ માથું ટેકવનારા દરેક જણા કંઈ ગાંધીવાદી ન હોઈ શકે. ગાંધીજીના સ્વસ્છ, સરળ અને નિર્મળ જીવનને અનુસરનારા ગાંધીવાદી હોઈ શકે. ભારતમાં આઝાદી પછી ગાંધીજીની થોડા સમયમાં હત્યા કરી દેવામાં આવી. ગાંધીના સ્થૂળ દેહની હત્યા એક જ વાર થઈ. પરંતુ ગાંધીજીના વિચારોની અને ચિંતનની ત્યારબાદ ડગલેને પગલે હત્યા થતી રહી. વધારે દુ:ખદ વાત એ છે કે ગાંધીજીના વિચારોની હત્યા કહેવાતા ગાંધીવાદીઓ દ્વારા થઈ છે. અરે, આ હત્યા હજી પણ ચાલુ છે.

ભ્રષ્ટાચારથી પરેશાન દેશને જનલોકપાલથી ઝાંઝવાના જળ દેખાડવામાં સફળ થયેલા અણ્ણા હજારે તેને કરપ્શન રોકવાનો સક્ષમ માર્ગ ગણાવી રહ્યા છે. તેના માટે તેઓ કુલ ચાર અનશન કરી ચુક્યા છે. 11મી ડિસેમ્બરે એક દિવસના સાંકેતિક ઉપવાસ અને રાજનેતાઓને પોતાના મંચ પર બોલાવીને મજબૂત લોકપાલ માટે ચર્ચા પણ અણ્ણા હજારેએ કરાવી. પરંતુ 27 ડીસેમ્બરે અણ્ણા હજારે ત્રણ દિવસના ઉપવાસ પર બેઠાં હતા. પરંતુ અનશનના બીજા જ દિવસે હજારેએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને પોતાના ઉપવાસ આટોપી લીધા. હાલ તેઓ પૂણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એક માસ આરામ કરવાની તબીબોએ સલાહ આપી છે.

સવાલ એ છે કે અણ્ણા હજારેનો પરપોટો કેમ ફૂટી ગયો? કારણ કે આ પ્રકારના બાદશાહી અને ડેંડાટી ઉપવાસનું નાટક જનતા સમજે નહીં તેટલી મૂર્ખ નથી. તેથી જ તો 60 હજારની ક્ષમતાવાળા મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના અનશનમાં માત્ર 8-10 હજાર લોકો માંડમાંડ ભેગા થયા. પરંતુ આમા ખરો ખેલાડી કેજરીવાલ છે, અણ્ણાનો ઉપયોગ કરીને એ પોતાની મહત્વકાંક્ષાઓ પાર પાડવાની દાનત રાખે છે. લોકપાલ નીચે સીબીઆઈ હોત તો ચિદમ્બરમ જેલમાં હોત કે નહીં તે પ્રશ્ન છે પણ કિરણ બેદી અને કેજરીવાલ જરૂરથી જેલમાં હોત.

અણ્ણા હજારે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે અને લોકો તેમનામાંથી પ્રેરણા લઈને લડે તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ અણ્ણા હજારેને ગાંધીવાદી ગણાવવા ઘણું મોટું ષડયંત્ર છે. એક ગાંધીએ આઝાદીની લડાઈ લડી અને દેશને સ્વતંત્ર કરાવ્યો. હવે અણ્ણાને બીજા ગાંધી બનાવીને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના દાવાઓ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વની સામે અણ્ણાનું વ્યક્તિત્વ ક્યાંય ટકી શકે તેમ છે? ગાંધીજી અને અણ્ણા હજારેના વ્યક્તિત્વમાં થોડીઘણી સમાનતા હશે, પરંતુ વધારે તો બંનેના વ્યક્તિત્વમાં અસમાનતા છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે કહી રહ્યો છે કે અણ્ણાનું વ્યક્તિત્વ ગાંધીવાદી નથી. પરંતુ અણ્ણાને જબરદસ્તીથી ગાંધીવાદી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ખુદ અણ્ણા કહી રહ્યા છે કે તેઓ ગાંધીજીના પગ પાસે બેસવાને પણ લાયક નથી. પોતે ગાંધીવાદી ન હોવાની વાત કરીને અણ્ણાએ કહ્યુ છે કે તેઓ ગાંધીજી સાથે શિવાજીને પણ માને છે.

અણ્ણાની માગણી ગાંધીવાદી નથી

સૌથી પહેલા તો અણ્ણાની જનલોકપાલની માગણી જ ગાંધીવાદી નથી. ગાંધીજી સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરતા હતા. તેમનું માનવું હતું કે સત્તા ગામડાં સુધી પહોંચે અને દરેક ગામ આત્મનિર્ભર થાય. આમ થવાથી જ લોકોનું ભલું થશે અને અસલી લોકતંત્ર આવશે. પરંતુ અણ્ણાની જનલોકપાલની માગણીને જોવો. અણ્ણા એવા જનલોકપાલ બિલની હિમાયત કરી રહ્યા છે, જેના દ્વારા દેશના વડાપ્રધાન, સાંસદ, ન્યાયતંત્ર, કેન્દ્રથી લઈને ગ્રામીણ સ્તર સુધીના વહીવટી અધિકારીઓની તપાસ અને તેમને સજા સંભળાવવાનો હક હશે. બસ લોકપાલની પોતાની જેલ નહીં હોય. શું ગાંધીજી આવી કેન્દ્રીયકૃત સંસ્થાનું ક્યારેય સમર્થન કરતા હતા?

લોકશાહીમાં લોકો સર્વોપરી હોવાનું અણ્ણા ખાલી કહે જ છે!

અણ્ણા હજારેએ અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે જો સંસદ તેમનું બિલ રદ્દ કરે છે, તો તેઓ તેના નિર્ણયને માની લેશે. અણ્ણાએ પોતાના સમગ્ર આંદોલનનું શીર્ષાસન કરાવી દીધું. આનાથી મોટી મજાક શું હોઈ શકે? જો અણ્ણા હજારેએ ગાંધીજીની હિંદ સ્વરાજને ઉપરઉપરથી વાંચી હશે, તો પણ તેમને ખબર હશે કે તે સમયે બ્રિટિશ પાર્લામેન્ટ સંદર્ભે ગાંધીજીએ કેટલા કઠોર શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તે શબ્દોનો પ્રયોગ આજે આપણી સંસદ માટે ક્યારેય કરી શકાય નહીં. પરંતુ અણ્ણાએ એ વાત સમજવી જોઈએ કે સંસદ જનતાથી ઉપર નથી. બંધારણ જનતાની લાગણીથી ઉપર નથી. જો સંસદે જ આખા દેશના વિવેકનો ઠેકો લઈ રાખ્યો હોય, તો 42 વર્ષથી વધારે સમય સુધી લોકપાલનો મુદ્દો અધરમાં લટકતો કેમ રહ્યો? કોઈપણ લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમતા જનતાની જ હોય છે. પરંતુ અણ્ણા જનતાને લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમ માનવાના ગાંધીજીના મત સાથે પોતાના સમગ્ર આંદોલન દરમિયાન સાતત્યતાથી વળગી રહ્યા છે?

અણ્ણામાં દેશની ભાષા પ્રત્યેની લાગણી ગેરહાજર?

અણ્ણા હજારે સરકાર સાથેની લોકપાલ મુદ્દે બનેલી કમિટીમાં મુખ્ય સભ્ય હતા. પરંતુ અખબારો કહે છે કે બેઠકમાં થઈ રહેલી વાતચીત અણ્ણા હજારેના પલ્લે પડતી ન હતી. કારણ કે તે માત્ર મરાઠી અને હિંદી જ જાણ છે. તેમને ભારતની કાળા અંગ્રેજોની રાજભાષા અંગ્રેજી આવડતું નથી. જો અણ્ણા હજારે ગાંધીવાદી હોત અને ખરેખર સત્યાગ્રહી હોત તો આ મંત્રીઓ અને તેમના સાથીદારોને કહેત કે જનભાષા વગર જનલોકપાલ કેવી રીતે બનાવશો? સમગ્ર જનવિધેયક અને તેની વ્યાખ્યા લગભગ 100 પૃષ્ઠોમાં છે. આ બધી વાત પહેલા અંગ્રેજીમાં જ હતી. ત્યારે સવાલ એ છે કે અંગ્રેજી ન જાણનારા અણ્ણા હજારેએ તેમના નવરત્નોને પહેલા હિંદીમાં સમગ્ર જનવિધેયકને મુકવાની વાત કેમ કરી નહીં? ગાંધીજી હિંદીભાષાના પ્રખર આગ્રહી હતા. પાછળથી તેમણે ઉર્દૂ મિશ્રિત હિંદીની પુરજોર તરફેણ કરી હતી. પરંતુ અણ્ણા હજારેએ ક્યારેય હિંદી ભાષામાં અથવા લોકોની ભાષામાં વાત કરવાની વાત કરી નથી.

અણ્ણા પોતાના નવરત્નોની દોરવણીથી જ ચાલે છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીના દરેક આંદોલનની રૂપરેખા પોતાની રીતે નક્કી કરતા હતા. તેઓ અવશ્ય તેમના સાથીદારોના સૂચન લેતા હતા, પરંતુ કરતા હતા તેમના અંતરમનના અવાજ પ્રમાણેનું કામ. ગાંધીજી તે વખતના ભારતની આઝાદી માટે લડતા સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય કોંગ્રેસના નેતા હતા. (જો કે તેઓ તેના સભ્ય ન હતા!) પરંતુ અણ્ણા એક નકલી સંગઠનની દેણ છે. તેથી જ ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામનું સંગઠન જેના નામ પર અણ્ણાએ ભૂખ હડતાલ કરી હતી, તે ખતમ થઈ ગયું છે. કોઈ જણાવે કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામના એનજીઓને રામલીલા મેદાનમાં જનતા પાસેથી મળેલા લાખો રૂપિયા ક્યાં ખર્ચ કર્યા? એવું સંગઠન જેના સંસ્થાપકોમાંથી બે મોટા નામો સ્વામી રામદેવ અને સ્વામી અગ્નિવેશને અલગ કરી દેવામાં આવ્યા, શું એવું આ સંગઠનના પ્રસ્તાવ બાદ થયું છે? અથવા તે કહ્યું અને મે સાંભળ્યુંની તર્જ પર બંને મોટા નામો બેગાના થઈ ગયા છે.

ગાંધીજી પોતાના વક્તવ્યો, કાર્યક્રમોની રૂપરેખાને આપમેળે આપસુઝ પ્રમાણે આખરી ઓપ આપતા હતા. પરંતુ અણ્ણા હજારેના મામલામાં એવું નથી. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની કોર કમિટી નક્કી કરે છે કે અણ્ણા વડાપ્રધાનને પત્ર લખશે અથવા ટીમ અણ્ણા હિસ્સારમાં કોંગ્રેસનો વિરોધ કરશે. આજ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કોણ સભ્ય છે અને કોણ પદાધિકારી છે. જ્યારે ગાંધીજી જે કરતાં તેનું અનુસરણ તેમની આજુબાજુના લોકો અને ટેકેદારો કરતાં હતા. જ્યારે અણ્ણા હજારેનું જીવનમાં કોઈ અનુસરણ કરતું નથી. તેમના સ્વયંસેવકો અને નવરત્નોમાંથી કોઈએ અણ્ણાના ઉપવાસમાં સાથ પુરાવ્યો નથી. (અંશત્ અપવાદ મુંબઈના ઉપવાસ) પરંતુ ગાંધીજીના આમરણ અનશન વખતે તેમની સાથે ઉપવાસ કરનારાઓની સંખ્યા પણ ઘણી મોટી રહેતી હતી. કિરણ બેદી અને કેજરીવાલ બે ટાઈમ ભરપેટ જમીને રામલીલા મેદાનમાં સૂત્રો પોકારતા અને તિરંગો લહેરાવતા નજરે પડતા હતા. આ સંગઠન ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શને ગત બે વર્ષોમાં કેટલા ગોટાળાબાજોને બેનકાબ કર્યા અથવા કોઈ અન્ય સમાજસુધારાના કામ કર્યા હોય, તો તેનો જવાબ શૂન્ય છે. (ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટીકાઓથી બચવા કેજરીવાલ અને બેદી અણ્ણા સાથે ઉપવાસ કર્યા હતા. પરંતુ તેમના સદભાગ્યે અણ્ણાના ઉપવાસ ત્રણ દિવસ પહેલા જ આટોપી લેવાયા. બાકી તેમના ભૂખ્યા રહેવાની ક્ષમતા પર દેશવાસીઓને હંમેશા શંકા રહેશે.)


અણ્ણાનો ગાંધીવાદ ટોપી-ધોતી સુધી સીમિત


અણ્ણાનો ગાંધીવાદ માત્ર ટોપી અને ધોતી સુધી સીમિત છે. માત્ર રાજઘાટ પર માથું નમાવવાથી અને ગાંધીની અમુક વાતો કરવાથી ગાંધીવાદી થવાય નહીં. ગાંધીજીના નિર્મળ, નિષ્પાપ, સરળ અને સ્વચ્છ જીવન મૂલ્યોને અનુસરવા અને તેના પ્રમાણે જીવન જીવવું વ્યક્તિને ગાંધીવાદી બનાવે છે. અણ્ણાના કર્મ અથવા વિચારોની ગાંધીવાદ સાથે કોઈ લેવાદેવા નથી. અણ્ણાનું કર્મ ત્યાંથી શરૂ થાય છે, જ્યાં ગાંધીવાદનું અંતિમ ચરણ આવતું હતું. ગાંધીજીએ જેટલીવાર આમરણ અનશન કર્યા તે પોતાના આંદોલનના અંતિમ ચરણમાં કર્યા. જનજાગરણ, જનચેતના, નો તો અણ્ણાના વશની વાત છે અને ન તો તેમના એજન્ડામાં આવી કોઈ વાત છે.

ગાંધીજી કર્મયોગી, અણ્ણા હઠયોગી

ગાંધીજી ગીતાના કર્મયોગના ઉપાસક હતા. ગાંધીજીના કાર્યોમાંથી કર્મયોગ છલકતો હતો, પરંતુ અણ્ણા હજારેના ક્રિયાકલાપોમાંથી અને તેમની બેકાબુ જુબાનથી માત્ર હઠયોગ જ છલકી રહ્યો છે. ગાંધીજીના વિધાનોમાં ધમકી ક્યારેય હતી નહીં, બસ તેઓ માત્ર માગણી કરતા હતા. ત્યાર બાદ માગણી ન માનવામાં આવે તો જ્યાં હોય ત્યાં અનશન શરૂ કરી દેતા હતા. પરંતુ અણ્ણા હજારે બ્લેકમેઈલરની તર્જ પર અનશનની ધમકી આપતા રહ્યા છે. ગાંધીજી કોઈના વિરોધમાં જીવનમાં ક્યારેય હતા નહીં.

અણ્ણાને લક્ષ્ય કરતાં જીવન વધારે વ્હાલું?

ગાંધીજીએ પોતાના સમગ્ર જીવનમાં સાચા મહાત્માની જેમ પોતાના શરીર અને જીવનની ક્યારેય ચિંતા કરી ન હતી. જ્યારે અણ્ણાના અનશન પ્રખ્યાત તબીબ ડોક્ટર ત્રેહાનની દેખરેખમાં થયા. હવે તમે જ વિચારો કે અણ્ણાને જીવન સાથે કેટલો મોહ છે. કદાચ આ દુનિયાના પહેલા અનશન હતા કે જ્યાં અનશનકારી પોતાના ખાનગી ડોક્ટર સાથે ઉપવાસ કરવા ઉતર્યો હોય. મુંબઈના અનશનમાં તેમને તબીબોની સલાહથી પીછેહઠ પણ કરવી પડી છે.

અણ્ણાની ઉપલબ્ધિ શું?

ગાંધીજીની આસપાસ હંમેશા જનકલ્યાણ અને નિર્માણની યોજનાઓને રચનાત્મકતા રહેતી હતી. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ સહીતની સામાજિક કુરીતિઓ સામે લડવા માટે સમાજની સમજ પેદા કરી. તેમણે રેંટિયો કાંતીને પોતાનું કાપડ બનાવીને વિદેશી કપડાના બહિષ્કારની વાત કરી. તેમણે સંડાસ જાતે સાફ કરીને સ્વચ્છતાના પાઠ લોકોને ભણાવ્યા.

પરંતુ અણ્ણાની ઉપલબ્ધિઓની વાત છે તેઓ હંમેશા મહારાષ્ટ્રના પોતાના અનશનોની વાત કરે છે. જેમાં ઘણાં મંત્રીઓ અને સેંકડો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. પરંતુ ત્યાર બાદની વાત કોઈ કરતું નથી કે હટાવાયેલા તમામ મંત્રીઓમાંથી કેટલાં ફરીથી મંત્રી બન્યા, કેન્દ્રીય મંત્રી બન્યા અથવા તે મંત્રીઓના ભ્રષ્ટાચારનું આગળ શું થયું? ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, આવા તમામ લોકો રાજનીતિમાં આજે પણ સક્રિય છે. જ્યારે મહાત્મા ગાંધી માટે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ હતો, તેને તેમણે પોતાના જીવનકાળમાં પૂર્ણ કર્યો હતો.


ગાંધીવાદી અણ્ણાના મંચ પરથી હિંસાની તરફેણ કેમ?


અનશન દરમિયાન હિંસાની તરફેણ અણ્ણાના મંચ પરથી ખૂબ મોટા પ્રમાણમાં થઈ. સાંસદો અને રાજકારણીઓ માટે શિષ્ટાચારવિહીન વાતો પણ કરવામાં આવી. અણ્ણાના મંચ પરથી ભ્રષ્ટાચારીઓના હાથ કાપી નાખવાની અને તેમને ફાંસીએ ચઢાવી દેવાની વાત કરવામાં આવી. અણ્ણાએ એકપણ વાર આવી વાતોનો વિરોધ કર્યો નથી. અણ્ણાએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવાં ક્રાંતિકારીઓના નામ લઈને નવજુવાનિયાઓને પોરસ ચઢાવ્યું. નવજુવાનિયાઓને ભારત માટે સર્વસ્વ ત્યાગનારા ક્રાંતિકારીઓનું નામ લેવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ શું કોઈ ગાંધીવાદી સ્વપ્નમાં પણ હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન આપી શકે? આનાથી પણ મોટી વાત એ છે કે દિલ્હીમાં શરદ પવારને એક માથાફરેલા યુવાને થપ્પડ મારી દીધી. અણ્ણાની પ્રતિક્રિયા પુછવામાં આવી તો તેમણે કહ્યુ કે માત્ર એક જ થપ્પડ મારી? એક ગાંધીવાદી હિંસાત્મક કૃત્યની તત્કાળ આલોચના કરવાની જગ્યાએ તેને સમર્થન કરવા જેવા ટોનમાં પવારનો ઉપહાસ કરવાનું કૃત્ય કરે, તે શું હિંસા નથી?

શરદ પવારને થપ્પડથી અણ્ણા ખુશ થયા?


પરંતુ અણ્ણા આટલેથી અટક્યા નથી, તેમણે તો પોતાના બ્લોગ પર પોતાના પવાર પરના ઉપહાસને યોગ્ય ઠેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો છે. શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરેએ તેના સંદર્ભે પ્રતિક્રિયા આપીને સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે ગાંધીવાદી અણ્ણાની કમરે કોઈ બીજાની ધોતી છે. તેમની સામે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીના કાર્યો અને મત-અભિપ્રાયોથી કોઈ અસંમત જરૂરથી હોઈ શકે. પરંતુ તેમની અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી કોઈ ઈન્કાર કરી શકે નહીં. ગાંધીજીએ અસહકાર આંદોલનને ચૌરાચૌરી હિંસા કાંડ બાદ અટકાવી દીધું હતું. ગાંધીજીએ ભગતસિંહના હિંસક ક્રાંતિકારી કૃત્યોને દેશભાવના તરફેણમાં હોવા છતાં સમર્થન આપ્યું ન હતું. ગાંધીજીએ નોઆખલીની હિંસાને રોકવા માટે આમરણાંત ઉપવાસ કર્યા હતા. પોતાના જીવનમાં તેમણે ક્યારેય હિંસાને જાણે-અજાણે કોઈપણ જાતનું ઉત્તેજન આપ્યું ન હતું.

અણ્ણાનું આંદોલન બિનરાજકીય નથી, છેવાડાનો માણસ ગેરહાજર

ગાંધીજીનું સૌથી મોટું શસ્ત્ર વિરોધ ન હતું, પણ અસહકાર હતું. ગાંધીજીનો અસહકાર કોઈના વિરોધમાં ન રહેતા કોઈ કામ માટેનો રહેતો હતો. જ્યારે અણ્ણા હજારેનો વિરોધ સત્તાધારી કોંગ્રેસ પક્ષ વિરુદ્ધનો થઈ રહ્યો છે. પહેલા હિસ્સારની પેટા ચૂંટણીમાં અણ્ણાની ટીમે કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી હતી. તો હવે અણ્ણા કહી રહ્યા છે કે મજબૂત લોકપાલ નહીં આવે તો તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની લોકોને અપીલ કરશે. જો કે તેમના પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા સંદર્ભે હજી તેમની તબિયતને કારણે આશંકાઓ છે.


ગાંધીજીના આંદોલનો સામાજિક પ્રકારના રહેતા અને તેનો રાજનીતિ પર પ્રભાવ પડતો હતો. પરંતુ હવે અણ્ણાના આંદોલન સામાજિક રહ્યા નથી. અણ્ણાના છેલ્લા અનશન સુધી રાજનેતાઓને મંચથી દૂર રાખવામાં આવ્યા. પણ 11મી ડિસેમ્બરે સંસદ બહાર સંસદ ચલાવવાની અદાથી અણ્ણાએ મંચ પર વિરોધ પક્ષના નેતાઓને આમંત્ર્યા અને લોકપાલ મુદ્દે ચર્ચા કરી. ગાંધીજીના આંદોલનમાં ગામડાંનો છેવાડાનો માણસ પણ જોડાતો, પરંતુ અણ્ણાના આંદોલનમાં ભારતને એલિટ ગણાતો ફેસબુકિયો અને ઈન્ટરનેટિયો વર્ગ વધારે પ્રમાણમાં જોડાયો છે. અણ્ણા દેશના છેવાડાના માણસને પોતાના અનશનો અને આંદોલનો સાથે જોડવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે.

બેદી-કેજરીવાલ મુદ્દે અણ્ણાની ‘મજબૂર’ ચુપકીદી


ગાંધીજી પોતાના સાથીદારોની શુદ્ધતા અને પવિત્રતા માટે આગ્રહી હતા. તેઓ પોતાના સાથીદારોના આચરણની બાબતમાં કઠોર હતા. પરંતુ અણ્ણા હજારેમાં આ ખૂબી ગેરહાજર છે. ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદી પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો લાગેલા છે. પરંતુ અણ્ણા લાંબા સમય સુધી મૌન રહ્યા બાદ બેદીના ટેકામાં ઉતરી આવ્યા છે. અરવિંદ કેજરીવાલ પર સરકારના લેણાના કેટલાંક રૂપિયા બાકી હતા. પરંતુ અણ્ણા તે મુદ્દે પણ ચુપ રહ્યા છે. અણ્ણાના સાથીદાર કુમાર વિશ્વાસ કોલેજમાં હાજર ન રહેતા હોવાની ફરીયાદો ઉઠી છે. પરંતુ અણ્ણાએ એકપણ વખત તેમને તેમનું અધ્યાપન કાર્ય સારી રીતે કરવા માટે સલાહ આપી નથી.

ગાંધીજી પોતાના આશ્રમોના આવક-જાવકના હિસાબ પર કડક નિરીક્ષણ રાખતા હતા. આશ્રમોના ખાતા બધાં માટે ખુલ્લા રહેતા હતા. એ ઘણું સારું રહેત કે અણ્ણાના આંદોલન માટે આવેલા નાણાંને તુરંત હિસાબ સાથે ચાર-છ દિવસમાં જાહેર કરી દેવાત કે જેથી સમગ્ર સમાજસેવી સંસ્થાઓ માટે તે ઉદાહરણ બની શકત. એ જોવું પણ આયોજકોનું કામ છે કે આ નાણાં તેમને ધનકુબેરો પાસેથી નહીં પણ સામાન્ય જનતા પાસેથી મળે. કારણ કે મોટી રકમ આપનારી સંસ્થાઓ અથવા ધનકુબેરો પોતાના હિત માટે ક્યારેક આંદોલનની નસ દબાવી શકે છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે તમારી આંખો સામે છે. ત્યારે એવી આશંકાઓ પણ છે કે અણ્ણાના આંદોલનથી ભીડતંત્ર સામે મજબૂર બનીને લોકતંત્ર અને તેની પ્રક્રિયાઓ કમજોર કરીને એક એવા તંત્રને જન્મ આપશે, જેમાં સ્વયંસેવી સંગઠનોના નામ પર નવી હુકમશાહીનું રાજ કાયમ થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અણ્ણાને હાથો બનાવીને એનજીઓનો આતંકવાદ પણ વિકસશે. સવાલ જનલોકપાલમાં વડાપ્રધાન અથવા ન્યાયતંત્રને સામેલ કરવાનો નથી, સવાલ દરેક સ્તરે સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારથી નિપટવાનો છે. ગાંધીવાદી મૂલ્યો સાથે લોકતાંત્રિક આઝાદ ભારતમાં આંદોલનને સફળતા મળશે તેવી ઘણાંને શ્રદ્ધા છે. સવાલ છે કે અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વના એક્સરે પ્રમાણે તેવો કેટલાં ગાંધીવાદી છે?

રવિવાર, 23 ઑક્ટોબર, 2011

કંચનની છબીની વાસ્તવિકતા કથીર પણ હોય!


-આનંદ શુક્લ

મીડિયા અને સભા-રેલી-યાત્રાઓ અથવા અન્ય કાર્યક્રમો નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલની છબીઓ બનાવે છે. આ છબીઓને આધારે નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલ વ્યક્તિઓના વ્યક્તિત્વને બનાવે છે. જનતા તેમની છબીમાંથી નીખરેલા વ્યક્તિત્વને કારણે તેમની સાથે અથવા તેમની વિરુદ્ધમાં હોય છે. પરંતુ મોટાભાગે મીડિયા અને રેલી, યાત્રા, સભાઓ જેવાં જાહેર કાર્યક્રમોથી બનતી છબી હંમેશા સાચી હોતી નથી. આવી છબીથી જનતા છેતરાય છે. આવા કિસ્સા ઈતિહાસના પાના પર તો અંકીત છે જ, પણ સાથેસાથે આજે પણ આવી ઘટનાઓ બની રહી છે. છબીથી અંજાઈને લોકો જેમને સોનાના ગણે છે, તે પિત્તળના નીકળે છે.

અત્યારે મીડિયા અને જાહેર કાર્યક્રમો તથા ઈન્ટરનેટ-ફેસબુકની મદદથી ભ્રષ્ટાચાર સામે આંદોલન જગાવનાર ટીમ અણ્ણાની પણ જનનાયક તરીકેની છબી ઉપસી આવી છે. લોકોમાં ટીમ અણ્ણાના લોકો ભ્રષ્ટાચારી ન હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ મીડિયામાં આવી રહેલી હકીકતો કદાચ ટીમ અણ્ણાના સભ્યો માટે લોકોનો વિચાર બદલવાનું કારણ બની શકે છે. ટીમ અણ્ણાના સેનાપતિ અરવિંદ કેજરીવાલ પાસે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 9 લાખ રૂપિયા લેણા નીકળતા હોવાની નોટિસ મોકલે છે. અરવિંદ કેજરીવાલ નોટિસો પર સ્પષ્ટીકરણ આપતા રહે છે. સ્વામી અગ્નિવેશે દાવો કર્યો છે કે અણ્ણાના અનશન વખતે 80 લાખ રૂપિયા દાનના મળ્યા હતા. તેને અરવિંદ કેજરીવાલે પોતાની સંસ્થામાં જમા કરાવી લીધા છે. સ્વામી અગ્નિવેશે આ 80 લાખ રૂપિયાનો હિસાબ માગ્યો છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, અણ્ણાના અનશન વખતે ભ્રષ્ટાચારી રાજકારણીઓની દુપટ્ટો ઓઢીને ફિરકી ઉતારનારા આઈપીએસ તરીકે પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા કિરણ બેદી પર પણ રાહતો મેળવીને પૂરું ટિકિટ ભાડું વસૂલવાના આરોપ લાગ્યા છે. કિરણ બેદીને એર ઈન્ડિયામાંથી 75 ટકા રાહત મળે છે. અહેવાલ મુજબ કિરણ બેદીને બોલાવનારી એનજીઓ તેમને બિઝનેસ ક્લાસની એર ટિકિટ મોકલતા હતા. કિરણ બેદી ઈકોનોમી ક્લાસમાં એનજીઓના કાર્યક્રમ સ્થળે જતાં હતા. ત્યાર બાદ તેઓ બિલ બિઝનેસ ક્લાસનું પુરું વસૂલતા હતા. કિરણ બેદીએ સ્પષ્ટતા કરી છે કે આ બચતને તેઓ તેમની ઈન્ડિયા વિઝન ફાઉન્ડેશન એનજીઓમાં જમા કરાવતા હતા. તો ટીમ અણ્ણાના ડૉ. કુમાર વિશ્વાસ પર પણ આરોપ છે કે તેઓ જે કોલેજમાં છે, ત્યાં અધ્યાપન કાર્ય વ્યવસ્થિત રીતે કરી રહ્યાં નથી. કુમાર વિશ્વાસ છેલ્લા કેટલાય દિવસોથી કોલેજમાં લેકચર લેતા નથી.

કંચનની છબી ધરાવનારા કથીર અને કથીરની છબી ધરાવનારા કંચન નીકળે તેવા બનાવો ઘણાં બને છે. છબીનું બનવું અને ભૂંસાઈ જવું એક મોટો ખેલ છે. આ ખેલમાં આજે મીડિયા અને સોશ્યલ નેટવર્કિંગ બહુ મોટી ભૂમિકામાં છે. જો કે છબી જોઈને આકર્ષાયેલા લોકોને ભૂતકાળમાં પણ ઘણાં કડવા અનુભવો થયા છે. તો કોઈક વ્યક્તિએ તેમની છબી કરતાં તદ્દન વિપરીત વર્તન પણ કર્યું હોય તેવું માલૂમ પડયું છે.

ગુજરાતના એક ખૂબ જાણીતાં કોલમિસ્ટની કોલમથી આકર્ષાઈને તેમના પ્રશંસક તેમને તેમના ઘરે મળવા માટે ગયા. બપોરનો સમય હતો, ત્યારે આંખો ચોળતા ગુજરાતી કોલમિસ્ટે બારણું ખોલ્યું અને પોતાના પ્રશંસકને પાણી તો દૂર પરીચય કેળવ્યા વગર તેમને હડધૂત જ કરી દેવામાં આવ્યા. ગાંધીજીની પણ એક નિશ્ચિત છબીએ તેમને મહાત્મા બનાવ્યા. આજે જ્યારે ગાંધીજીના અંગત જીવનના કિસ્સાઓ પુસ્તક સ્વરૂપે આપણી સામે આવે છે, ત્યારે આપણે તેનો તિરસ્કાર કરીએ છીએ, આપણને દુ:ખ થાય છે. આપણે ગાંધીજીની મહાત્માની છબી તૂટે તેવું ઈચ્છતા નથી. આપણે ક્યારેય માનવા માટે તૈયાર થતાં નથી કે ગાંધીજી સામાન્ય માણસ હતા, તેમનામાં પણ માનવ સહજ નબળાઈઓ હતી. તેમને પ્રેમ ઉભરાતો, ગુસ્સો આવતો, ખેદ થતો, કરુણા ઉપજતી, ટીખળના પ્રસંગો બનતા, એ બધું જ ગાંધીજી કરતાં જે સામાન્ય માણસ કરે છે. પરંતુ ગાંધીજીને દેશની આઝાદીની લડાઈના મહાનાયક અને રાષ્ટ્રપિતા તરીકે આપણે આપણાં હ્રદયમાં સ્થાન આપ્યું છે. ગાંધીજીને મહાત્મા ગણીને આપણા દિલોદિમાગમાં બેસાડી દીધા છે. તેને કારણે ગાંધીજીના અંગત જીવનના માનવીય પાસાઓ આપણા માટે અસહ્ય થઈ જાય છે. બની શકે કે તેમાના કેટલાંક વાસ્તવિકતાથી કોશો દૂર હોય.

અમિતાભ બચ્ચનની પડદા પર એન્ગ્રી યંગમેનની છબી ઉભી થઈ હતી. પરંતુ અમિતાભ અંગત જીવનમાં ખૂબ સાલસ અને ક્રોધથી ઘણાં દૂર રહેનાર વ્યક્તિ છે. હિંદી ફિલ્મોના જાણીતા વિલન પ્રાણ સાથે પણ તેમની પડદા પર ઉભી થયેલી ઈમેજને કારણે રમૂજી ઘટના બની હતી. પ્રાણ એક સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આગળની બેઠકમાં બેસીને મેચ જોઈ રહેલા વ્યક્તિનું પાકિટ નીચે પડી ગયું. પ્રાણે સહજતાથી આ પાકિટ તે વ્યક્તિને પાછું આપ્યું, પરંતુ ત્યારે તે વ્યક્તિનો પ્રતિભાવ વિચિત્ર હતો. તેણે પ્રાણને કહ્યું કે તમારી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. પ્રાણની પડદા પર છાપ એક ખૂંખાર વિલનની હતી. પ્રાણ વિલનના પાત્રમાં દુનિયાની તમામ બુરાઈઓને ઠાલવીને અભિનય કરતાં હતા. પ્રાણે આખી ઘટના પર પ્રતિક્રિયા આપી કે જો પાકિટ પાછું આપ્યા પછી તે વ્યક્તિએ મારી પ્રશંસા કરી હોત, તો મારા અભિનયમાં કચાશ હોવાનું તથ્ય સામે આવત.

છબી અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા અંતર રહે છે. દેશમાં જિન્નાને કોમવાદી ગણવામાં આવે છે. પાકિસ્તાનના જનક તરીકે તેમને ધિક્કારવામાં આવે છે. પરંતુ ભારતની સૌથી વધારે દક્ષિણપંથી રાજકીય પાર્ટીઓમાંની એકના ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જિન્નાને પાકિસ્તાનમાં સેક્યુલર નેતા ગણાવે છે. મુસ્લિમ લીગના કટ્ટરવાદી નેતા તરીકે પંકાયેલા જિન્નાહે સૌથી પહેલા ગાંધીજીના ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમણે રહેમત અલીના પાકિસ્તાન માટેના વિચારને શેખચલ્લીનો ખ્વાબ ગણાવ્યો હતો. તેમને સરોજિની નાયડુએ હિંદુ-મુસ્લિમ એકતાના એમ્બેસેડર પણ કહ્યા હતા. જિન્નાહે લોકમાન્ય ટીળકનો કેસ પણ લડયા હતા. જિન્નાહ ક્યારેય નમાઝ પઢતા ન હતા અને તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હતા. જિન્નાના નજીકના મિત્ર હિંદુ હતા. તેમણે પારસી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માટે ત્યાંની બંધારણીય સભામાં ભાષણ આપ્યું હતું. આમ જોવો તો જિન્નાની વ્યક્તિગત રીતે કટ્ટર મુસ્લિમ ન હોવા છતાં તેમની છાપ કટ્ટરવાદી મુસ્લિમ લીગી નેતાની હતી. તેમની છાપે જ તેમને પાકિસ્તાન સર્જવામાં ઘણી મોટી મદદ કરી હતી.


મીડિયાની છબી કૃત્રિમ નૈતિકતાને આધારે બને છે. હાલના સમયમાં મીડિયા વ્યક્તિ કે સંગઠનને માથે પણ ઉંચકે છે અને તેને પગની નીચે પણ નમાવી શકે છે. મીડિયામાં પેદા થયેલી કાચની છબીઓ એક કાંકરીના પ્રહાર માત્રથી તૂટી જાય છે. મીડિયામાં કોઈની છબી બને છે, પછી તેમની પાછળ સક્રિય તેના હિત તંત્રની ખબરો પણ આવે છે. સ્પષ્ટ છે કે મીડિયામાં કોઈ છબી માસૂમ, તટસ્થ, નિષ્કલંક અથવા પૂરી રીતે નૈતિક આદર્શ હોતી નથી. પરંતુ તે તેવું દેખાવાની કોશિશ કરે છે અને છળ પેદા કરે છે. તે પોતાના છળથી સંચાર બળને સ્થિર કરે છે. સંચાર યુગમાં મસીહાઓ હવે કાચ અને કાગળના બની રહ્યાં છે. મીડિયા કેટલીય કાગળની હોડીઓને તેમના હિતોની વેતરણી પાર કરાવી રહ્યું છે. પરંતુ લોકોએ છબીઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવો ન જોઈએ. જો છબીને ધ્યાનમાં રાખીને લોકો વ્યક્તિની પડખે ઉભા રહેશે, તો ચોક્કસપણે છેતરાશે. વ્યક્તિના વાણી-વર્તનની માહિતી મેળવવી, તેનું વિશ્લેષણ કરવું અને આ વિશ્લેષણને આધારે છબી ચકાસવી જોઈએ. એક હિંદી કવિતામાં લખ્યું છે કે-
છાયા મત છૂના મન, હોગા દુ:ખ દૂના મન! એટલે કે માનેલા કંચન જ્યારે કથીર નીકળે છે, ત્યારે ખૂબ દુ:ખ થાય છે. તેથી જરૂરી છે કે વ્યક્તિની તમામ સાચી માહિતી મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો તેનું વિશ્લેષણ કરે.

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2011

અણ્ણાનું અરાજનીતિક આંદોલન વિખેરણ તરફ?


- આનંદ શુક્લ

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અણ્ણા હજારેનું આંદોલન વિખરણ અને વિવાદના વંટોળમાં ફસાઈ રહ્યું છે. અણ્ણા હજારે હાલ અનિશ્ચિતકાલિન મૌન પાળી રહ્યાં છે. પરંતુ જ્યારે સિવિલ સોસાયટીની કોર કમિટીના મહત્વના સભ્ય કિરણ બેદી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે, ત્યારે તો અણ્ણાએ મૌન છોડીને કંઈક બોલવું જોઈએ. કિરણ બેદીને જુદીજુદી સંસ્થાઓ દ્વારા વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવી અંદાજે 12 યાત્રાઓ ટાંકીને એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે કિરણ બેદી ઈકોનોમિક ક્લાસમાં હવાઈ મુસાફરી કરીને બિઝનેસ ક્લાસનું ભાડું સંબંધિત એનજીઓ પાસેથી વસૂલ્યુ છે. કિરણ બેદીને એર ઈન્ડિયા તરફથી ભાડામાં મોટી છૂટ પણ મળે છે. કિરણ બેદીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરી છે. એનજીઓ બિઝનેસ ક્લાસનું ભાડું આપે છે. આ બચત તેમણે ઈન્ડિયા વિઝન નામની પોતાની એનજીઓમાં સમાજસેવા માટે જમા કરાવી છે. કિરણ બેદીની આઈપીએસ તરીકેની કારકિર્દી બેદાગ રહી છે. તેમના પર ભ્રષ્ટાચારના કોઈ આરોપો નથી. તેમને તેમની સમાજસેવા બદલ મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે કિરણ બેદીને એર ટિકિટના મામલે ભ્રષ્ટાચાર કહો કે અનૈતિકતાના મામલામાં ઢસડવામાં આવી રહ્યાં છે. ત્યારે શું અણ્ણા હજારે શાબ્દિક મૌન પાળી રહ્યાં છે, તે યોગ્ય છે?

જનલોકપાલ બિલને લઈને સિવિલ સોસાયટીની લડાઈ પોતાના સારા ઉદેશ્ય સાથે અણ્ણા હજારેના એકતરફી અને અતાર્કિક નિર્ણયોને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ટીમ અણ્ણા એટલે કે આખા આંદોલનને ચલાવનારી 22 સભ્યોની કોર કમિટી છે. આ કોર કમિટીના બે સભ્યો, ગાંધીવાદી સંગઠક વી. પી. રાજગોપાલ અને પર્યાવરણ કાર્યકર્તા રાજેન્દ્ર સિંહે તાજેતરમાં રાજીનામું આપી દીધું છે. બંને મહાનુભાવો એ વાતથી નારાજ હતા કે હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું આહ્વવાન કરવાની કોર કમિટી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. અણ્ણાનું આંદોલન બિનરાજકીય રહ્યું છે. પરંતુ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના આહ્વવાન બાદ અણ્ણાનું આંદોલન કેવી રીતે બિનરાજકીય રહે છે, તે મોટી ચર્ચાનો વિષય છે.

અણ્ણાના આંદોલનમાં તેમના સાથીદારો દ્વારા અણ્ણાની અતિ પ્રશંસા કરતાં નિવેદનો થયા છે. રામલીલા મેદાનમાં અણ્ણા સંદર્ભે કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ અણ્ણા. આ નિવેદન ઠીક એવું હતું કે જેવું નિવેદન કટોકટી વખતે દેવુકાંત બરુઆએ ઈન્દિરા ગાંધી માટે કર્યું હતું. તેમણે તે વખતે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયાનું અતિ ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ સતત સંસદની મહત્તાને પડકારી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અણ્ણા દેશની સંસદથી પણ ઉપર છે. જો કે અણ્ણા હજારેએ કહ્યું છે કે લોકો સંસદથી ઉપર છે, તેઓ નહીં. અરવિંદ કેજરીવાલ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઘણી ઉછળકૂદ કરી રહ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં ગયા ત્યારે કહી આવ્યા કે જો કોંગ્રેસ શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પસાર નહીં કરે તો તેમની હાલત યુપી વિધાનસભાની ચૂંટણીમાં હિસારની પેટાચૂંટણી જેવી થશે. જો કે અરવિંદ કેજરીવાલ અણ્ણાના અનશન વખતથી પોતાના અક્કડ વલણ માટે જાણીતા બન્યા છે. કોંગ્રેસ સામેના અનર્ગલ બકવાસ બાદ અરવિંદ કેજરીવાલ પર ઉત્તર પ્રદેશમાં એક સભા દરમિયાન કોંગ્રેસના સેવાદળ સાથે જોડાયેલા એક યુવાને ચપ્પલ ફેંક્યુ હતું. આ યુવાનનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ દેશને ભડકાવી રહ્યાં છે. આ યુવાને એમ પણ કહ્યું છે કે તેને કેજરીવાલ પર ચપ્પલ ફેંકવાનું કોઈ દુ:ખ નથી, તે અણ્ણા હજારે પર પણ ચપ્પલ ફેંકી શકે છે. વળી આવે વખતે મહારાષ્ટ્રના ડીજીપીને ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી ઈનપુટ આપવામાં આવ્યા છે કે અણ્ણા હજારેના જાનને જોખમ છે. તેથી મહારાષ્ટ્ર પોલીસ અણ્ણાની સુરક્ષાની સમીક્ષા પણ કરી રહી છે.

અણ્ણાની ટીમના સભ્ય શાંતિભૂષણ અને પ્રશાંત ભૂષણ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો છે. પ્રશાંત ભૂષણે તાજેતરમાં કાશ્મીરને જનમત દ્વારા આઝાદ થવા દેવું જોઈએ, તેવું નિવેદન કર્યું છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ ખાતેની તેમની ચેમ્બરમાં ભગતસિંહ ક્રાંતિસેના અને શ્રીરામ સેનાના ત્રણ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને તેમને માર માર્યો છે. આખા દેશમાં અણ્ણાની ટીમની કાશ્મીર પરના પ્રશાંતના નિવેદન બાદ છબી ખરાબ થતી લાગતા અણ્ણા ખુદ વિવાદ ઠારવા માટે કૂદી પડયા. અણ્ણાએ રાષ્ટ્રવાદી નેતાની જેમ કહ્યું છે કે તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. તેઓ કાશ્મીર માટે પાકિસ્તાન સાથે ફરી એક વખત લડવા માટે પણ તૈયાર છે. અણ્ણા અને તેમની ટીમના મોટાભાગના સભ્યોએ કાશ્મીર પરના પ્રશાંત ભૂષણના નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણને ટીમ અણ્ણામાંથી હાંકી કાઢવાની વાત પણ થઈ રહી છે. આ વિવાદ બાદ જ અણ્ણા હજારેએ સૂચક મૌન લીધું છે, તે ઉલ્લેખનીય છે.

આ પહેલા સ્વામી અગ્નિવેશ પણ ટીમ અણ્ણામાંથી સરકારના ભેદિયા હોવાના મુદ્દે અલગ થઈ ચુક્યા છે. સ્વામી અગ્નિવેશના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે તેમને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સાથે વાતચીત કરતાં અને અણ્ણાને કાળા હાથી કહેતા સાંભળવામાં આવ્યા છે. જો કે સ્વામી અગ્નિવેશે અણ્ણાના નિર્ણયો અલોકતાંત્રિક હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારથી તેમનું ટીમ અણ્ણામાંથી પત્તું સાફ થવા લાગ્યું હતું. સ્વામી અગ્નિવેશને અણ્ણા હજારેએ માફ કરી દીધા છે. પરંતુ હવે તેઓ અણ્ણાના આંદોલનમાં કોર કમિટીમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે તેમ નથી. અણ્ણાની ટીમના મહત્વના સભ્યો જસ્ટિસ સંતોષ હેગડે અને મેધા પાટકરે કોંગ્રેસ હરાવો અભિયાનથી ખુલ્લેઆમ નાખુશી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ હેગડે અને મેધા પાટકરની છબી કોંગ્રેસના ટેકેદારની નથી.

અણ્ણાના આંદોલનનું અરાજનીતિક સ્વરૂપ અને ચિંતન-કર્મની જુદીજુદી વિચારધારાઓથી આવેલા ઈમાનદાર જમીની સ્તરના કાર્યકર્તાઓ સાથે તેનું જોડાણ તેની સૌથી મોટી શક્તિ છે. અણ્ણા અને ટીમમાં તેમના ખૂબ નજીકના સાથીદારો વિચારે છે કે વ્યવસ્થા પરિવર્તનની આટલી મોટી બબાલ માથે ઓઢવાની જગ્યાએ સીધો સત્તાધારી પક્ષ પર હુમલો કરીને તેને નમાવવો વધારે આસાન છે, તો તે તેમની બહુ મોટી ભૂલ છે.

આવા વિચારથી ટીમ અણ્ણા કદાચ સરકાર બદલવામાં સફળ થઈ શકે છે, પરંતુ સામાજીક સ્તરે અને વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવી શકશે નહીં. વળી સરકાર બદલવાની વાત પણ દશકો પહેલા ચાલેલા જેપી અને વીપી આંદોલનોને યાદ કરીને કહેવામાં આવી રહી છે. જેપી અને વીપી બંને પોતાની મોટી લડાઈ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા મોટા દાવ રમી ચુક્યા હતા અને તેમના દ્વારા પ્રસ્તાવિત વિકલ્પો સંદર્ભે ભારતીય સમાજમાં કંઈને કંઈ ભ્રમ બચેલો હતો.

તેમની સરખામણીએ અણ્ણાના આંદોલનનો એજન્ડા ઘણો ઊંડો છે. પરંતુ રાજકીય અને સંગઠનના કૌશલ્યના મામલામાં તેઓ પોતાના બંને પૂર્વવર્તીઓની સરખામણીએ ઘણાં ઉણાં ઉતરી રહ્યાં છે. ટીમ અણ્ણા માટે અત્યારે સૌથી વધારે વિશ્વાસપાત્ર રસ્તો એ હોઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિની લાંબી મુહિમને આગળ વધારે, સહજ રાજકીય આકર્ષણોથી બચે અને પોતાની અંદર લોકતાંત્રિક ચર્ચા માટે વધારે અવકાશ ઉભો કરે.

પરંતુ અફસોસ છે કે અણ્ણા અને ટીમ અણ્ણા તરફથી આવો કોઈ સંકેત મળી રહ્યો નથી. કોઈપણ આંદોલનમાં મતભેદ તો હોય જ છે, પરંતુ તે આંદોલનના નેતૃત્વની જવાબદારી છે કે આવા વિવાદોને આંદોલનના હિતમાં ઝડપથી સમાપ્ત કરે. તેથી અણ્ણા હજારેનું પણ દાયિત્વ છે કે તેઓ ટીમ અણ્ણાની ભીતર ઉભા થયેલા મતભેદોને ઝડપથી સમાપ્ત કરાવે અને આંદોલનને તેની દિશામાંથી દિગ્ભ્રમિત થતું અટકાવે. પરંતુ આવી પરિસ્થિતિમાં અણ્ણાએ મૌન સાધી લીધું છે અને માત્ર લખીને જરૂરી મુદ્દાઓ પર તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બની શકે કે તેઓ પોતાની આત્મિક શક્તિને મૌનના માધ્યમથી એકજૂટ કરી રહ્યાં હોય, પરંતુ આ સમય તો આંદોલનને બહારી હુમલા અને અંદરના અંતર્વિરોધો-મતભેદોથી બચાવવાનો છે. વળી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આંદોલનની અરાજનીતિક છબી પર આઘાત થતા રહેશે, તો આ આંદોલન વિખેરાઈ જશે. આવી સંભવિત સ્થિતિમાં ઉભાં થનારા શૂન્યને દશકાઓ સુધી કોઈ ભરી શકશે નહીં. હજી તો લોકપાલ બિલ પણ આવ્યું નથી, માટે આ આંદોલન બચાવવું જરૂરી છે. તેના માટે ટીમ અણ્ણાએ લોકતાંત્રિક રીતે એક સમયબદ્ધ આચાર સંહીતા પણ બનાવી લેવી જોઈએ, કે જેથી તેઓ આંદોલનના અરાજનીતિક સ્વરૂપને બચાવીને બિનજરૂરી વિવાદોથી તેને બચાવી શકે.

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

અન્ના દૂરનું જોવો છો, આજુબાજુમાં પણ જોવો


- આનંદ શુક્લ

અન્ના હજારે દૂરનું ઘણું જોવે છે. તેમને દેશમાં ઉપરથી નીચે સુધીના ભ્રષ્ટાચારને દૂર કરવો છે. મિશન ખૂબ જ પ્રશંસનીય છે. તેઓ ખૂબ દૂરનું જોઈ શકે છે. તેમના માનવા પ્રમાણે, તેમની સિવિલ સોસાયટીએ બનાવેલું જનલોકપાલ બિલ પારીત કરી દેવામાં આવશે, તો 60-65 ટકા ભ્રષ્ટાચારનો ખાતમો બોલી જશે. પણ પછી ચિંતા 35-40 ટકા ભ્રષ્ટાચારની તો કરવી જ પડશે. તેના માટે અન્ના હજારેએ બીજી આઝાદીની લડાઈ અને હવે ક્રાંતિની વાત પણ કરી છે. અન્નાની દ્રષ્ટિ ઘણી વિશાળ છે અને મિશન ઘણું બધું પ્રશંસનીય છે.

અન્ના હજારેએ જાહેરાત કરી છે કે તેમના મંચ પર કોઈ રાજકીય વ્યક્તિઓને આવવા દેવામાં આવશે નહીં. અરે, વિદેશમાંથી કાળાધન અને ભ્રષ્ટાચારના મુદ્દે અનશન કરનારા યોગગુરુ બાબા રામદેવને પણ પોતાના મંચ પર નહીં આવવા દેવાની જાહેરાત અન્ના અને તેમની ટીમ કરી ચુકી છે. પરંતુ તેની સામે હકીકત એ છે કે ટીમ અન્નાએ લાલકૃષ્ણ અડવાણી, નીતિશ કુમાર સહીતના રાજકારણીઓને જનલોકપાલ મુદ્દે સમર્થન મેળવવા માટે સંપર્ક કર્યો છે.

અન્ના સાથે અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા, પ્રશાંત ભૂષણ, શાંતિભૂષણ, સંતોષ હેગડે જેવાં લોકો છે. જરા આમાના કેટલાંકની પૃષ્ઠભૂમિ તપાસવા જેવી છે. અગ્નિવેશ ભગવા વસ્ત્રો પહેરે છે. તેઓ આર્ય સમાજી છે. પરંતુ તેમની માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ અદભૂત છે. તેઓ સરકાર તરફથી માઓવાદીઓ સાથે વાતચીત કરે છે. માઓવાદી આઝાદના એન્કાઉન્ટર સામે એસઆઈટીની માગણી કરે છે. તેઓ છત્તીસગઢમાં માઓવાદીઓને લાલ સલામ કરી આવે છે. તો કાશ્મીરના અલગતાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની સાથે તેમને અત્યંત પ્રેમ છે. તેઓ શ્રીનગરમાં જઈને અલગતાવાદીઓને પણ આશિર્વાદ આપી આવે છે. તેઓ શ્રીનગરમાં પવિત્ર અમરનાથ યાત્રાને તૂત અને અમરનાથના શિવલિંગને બરફનો ઢગલો કહી આવે છે. આ વ્યક્તિને અમદાવાદમાં આ મુદ્દે થપ્પડનો પણ સામનો કરવો પડયો છે. આ સિવાય છત્તીસગઢમાં ઈંડા-ટામેટાનો વરસાદ તો એક-બે વખત પામી ચુકયા છે. ગુજરાતના વિકાસના અન્નાએ વખાણ કર્યા હતા, ત્યારે અગ્નિવેશે અન્નાનું નિવેદન પાછું ખેંચાવાની વાત કરી હતી. તેના માટે તેઓ અઠવાડિયું ગુજરાતમાં ધામા નાખીને અન્નાને ગુજરાતના વિકાસ વિરોધી નિવેદનો પણ કરાવી ગયા છે. ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા છે અને અહીં દૂધ નહીં દારૂની નદીઓ વહે છે-એવા આત્યાંતિક નિવેદનો અન્ના પાસે કરાવવામાં અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં ગુજરાતના વિકાસના ઘોર વિરોધીઓ સફળ થયા છે.

આ સિવાય મેધા પાટકર પણ અન્નાના આંદોલનમાં ખૂબ ચમકતા તારા જેવાં છે. મેધા પાટકર સંદર્ભે ગુજરાતની જનતાને આમ તો પરીચયની કોઈ જરૂરત નથી. પરંતુ મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમણે નર્મદા યોજનાનો નહીં, પણ ગુજરાતના વિકાસનો વિરોધ કર્યો હતો. મેધા પાટકરને તેમના આ ગુના બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ કરી શકે તેમ નથી.

મલ્લિકા સારાભાઈ પણ એક આવું જ નામ છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓમાં મલ્લિકા સારાભાઈએ ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. તેમની આ ભૂમિકા પ્રત્યે ગુજરાતના લોકોને પુરતો અણગમો છે. પોતાની સેક્યુલર છબી ચમકાવા માટે ગુજરાતના હિતોને ઠેસ પહોંચાડવાથી પરહેજ ન કરનાર મલ્લિકા સારાભાઈએ અન્ના હજારેની ગુજરાત યાત્રામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. અન્ના હજારેએ તેમના અને અગ્નિવેશના બતાવેલા ગુજરાતને જોયું હતું. ત્યાર બાદ અન્નાએ પોતાના પહેલાના નિવેદનને મીડિયાના આધારે કરાયેલું નિવેદન ગણાવીને નવું નિવેદન કર્યું હતું.

આ સિવાય 2002ના રમખાણો દરમિયાન હર્ષ મંડરે પણ ગુજરાતના હિતોને નુકસાન પહોંચાડતી વાતો કરીને ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અન્નાની ટીમમાં હર્ષ મંડર સાથે સારા સંબંધો ધરાવનારા અરવિંદ કેજરીવાલ સહીતના લોકો પણ સામેલ છે. આ સિવાય પ્રશાંત ભૂષણ ડાબેરી વિચારધારા ધરાવનારા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ લડનારા વકીલ છે. એપ્રિલ માસના અનશન દરમિયાન એક મહીલા ડાબેરી નેતાને અન્નાના મંચ પર કેટલાંક એનજીઓ એક્ટિવિસ્ટોએ આમંત્ર્યા હતા અને ત્યાર બાદ થોડી ક્ષણોમાં તેમને ધક્કે પણ ચઢાવ્યા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠને કપિલ સિબ્બલના એક કાર્યક્રમમાં કાળા વાવટા પણ દેખાડયા હતા.

ત્યારે અન્ના એક ખૂબ સારું મિશન લઈને આગળ વધી રહ્યાં છે. પરંતુ તેઓ તેમની આસપાસમાં એક એવી ટોળકીથી ઘેરાઈ ગયા છે કે જે માઓવાદીઓ સંદર્ભે સહાનુભૂતિ રાખે છે, આતંકવાદ સંદર્ભે મુંગી રહે છે, કાશ્મીરના અલગતાવાદીઓ સાથે સારા સંબંધો ધરાવે છે, અમરનાથના શિવલિંગ સંદર્ભે વાંધાજનક ટિપ્પણીઓ કરે છે, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતના વિકાસના વિરોધી છે. તો બીજી તરફ બાબા રામદેવના અનશનમાં આરએસએસે સાથ આપ્યો હતો અને તેમના મંચ પર સાધ્વી ઋતંભરા બેઠાં હતાં તેટલા માત્રથી અન્ના બાબા રામદેવને શરતોને આધારે જ મંચ પર આવવા દેવાનું કહી ચુક્યા છે. ત્યારે સવાલ એ છે કે અન્ના હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ માટે આવો અભિગમ કેમ રાખે છે? તેઓ પણ આ દેશના નાગરીકો છે અને તેમને પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં અન્નાને સાથ આપવાનો અધિકાર નથી?