લેબલ કોંગ્રેસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કોંગ્રેસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ વ્યૂહાત્મક બની 100% મતદાન કરે

-         પ્રસન્ન શાસ્ત્રી
ભારતનું રાજકારણ ઘણું જટિલ છે. ભારતમાં બ્રિટિશ મોડેલ પ્રમાણેની સંસદીય લોકશાહી અમલમાં છે. દેશની લોકશાહીને લૂંટશાહીમાં તબ્દીલ કરનારા સત્તાના દલાલો તેને શ્રેષ્ઠ ગણાવતા થાકતા નથી. પરંતુ કેટલાંક કરોડની વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ ઈંગ્લેન્ડની રાજવ્યવસ્થાને કરોડોની આબાદીવાળા એશિયન દેશ ભારતમાં અમલી બનાવતા કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. બ્રિટિશ મોડેલની ઉજાગર થયેલી ખામીઓ ભારતની રાજવ્યવસ્થા દેશને સંપૂર્ણપણે અનુકૂળ નહીં હોવાની અથવા તેમા હજી પણ આ શાસનવ્યવસ્થાને રાષ્ટ્ર માટે યોગ્ય બનાવવા માટે ઘણો અવકાશ હોવાની વાત તરફ ઈશારો કરે છે. જાણકારો જણાવે છે કે ભારતના લોકતંત્રને રાજકારણના વચેટિયાઓએ ભ્રષ્ટતંત્ર બનાવી દીધું છે. જેના કારણે દેશની જનતામાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારતની લોકશાહીની ખામી કહો કે દેશના રાજકારણીઓની કરણી કહો, પણ આપણી લોકશાહીમાં રાજકીય વિકલ્પો વચ્ચે પણ લોકોને સતત વિકલ્પવિહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે એક રોષનું વાતાવરણ છે.

આઝાદીની ચળવળ વખતે મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના પરિણામે દેશના ભાગલા થયા. કોંગ્રેસની નીતિઓને કારણે મુસ્લિમો દેશના ખાસ આદમી બની ગયા. જ્યારે બહુમતી હિંદુઓ દેશના (બિચારા!!) આમ આદમી બની રહ્યા. આઝાદીની ચળવળ વખતે દેશનો હિંદુ કોંગ્રેસને રાષ્ટ્રવાદી હિંદુ વિકલ્પ તરીકે જોતો હતો. પરંતુ ગાંધી-નહેરુની રાહબરી હેઠળ કોંગ્રેસે પોતાની મુસ્લિમોમાં સ્વીકાર્યતા દેખાડવા માટે હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ચાલુ રાખી હતી. દેશના આમ આદમી હિંદુઓને તત્કાલિન કોંગ્રેસી નેતાઓએ રાજકીય રીતે ભરમાવી રાખ્યા. બીજું એક હજાર વર્ષની તુર્ક-અફઘાન-મોગલ-બ્રિટિશ ગુલામીમાં હિંદુઓમાં રાજકારણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પણ પેદા થયો હતો. હિંદુઓની ઉપેક્ષા અને બેધ્યાનપણાને કારણે દેશની રાજનીતિ મનસ્વી બની. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ ઉચ્ચ સાક્ષરતા ધરાવતો હિંદુ સમાજ પોતાના સામૂહિક રાજકીય હિતોને જોઈ શકે તેવી બહાદૂરીભરી રાજકીય સાક્ષરતા દાખવી શક્યો નહીં.

જેના કારણે રાષ્ટ્રવાદી હિંદુનું મહોરુ પહેરેલા, પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને વરેલા નેતાઓ અને કોંગ્રેસ-કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો વચ્ચે હિંદુ સમાજ અટવાતો રહ્યો. તેમ છતા પાકિસ્તાનના પેદા થયા પછી હિંદુઓમાં કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પની એક આકાંક્ષા હતી. પરંતુ દેશના રાજકીય માળખા અને વ્યવસ્થા પર ઉપરથી નીચે સુધી ગાંધીવાદી દંભમાં ડૂબેલા કોંગ્રેસી મોડલે પકડ જમાવી દીધી. જેના કારણે 1947થી 1977 સુધી કેન્દ્રની એકહથ્થુ સત્તા કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી-નહેરુ પરિવારના જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કેન્દ્રીત બની ગઈ હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લોકશાહીને ટૂંપો દેવાયો અને કટોકટી જાહેર થઈ હતી. પરંતુ તે પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશમાં નવા રાજકીય વિકલ્પ માટે વાતાવરણ પેદા કર્યું હતું.

કટોકટી વિરુદ્ધના આંદોલનોમાં સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની મોટી ભૂમિકા હતી. તો કોંગ્રેસ સામે અન્ય રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ એકઠા થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા મનસ્વીપણે લાગુ કરાયેલી કટોકટી જનવિરોધના કારણે પાછી ખેંચીને લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આ ચૂંટણીમાં પહેલી વખત દેશની જનતાએ કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે મુખ્યત્વે જનતા પાર્ટીને પસંદ કરી હતી. પરંતુ સત્તાની સાઠમારીના કોંગ્રેસી મોડલમાં ઉછરેલા નેતાઓ કોંગ્રેસનો વિકલ્પ બની શક્યા નહીં. તેણે સાબિત કર્યું કે દેશમાં કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય મોડલ છે. 1980ની ચૂંટણીમાં ફરીથી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા પર આવી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસ બહુમતી મળી. ત્યારે લાગતું હતું કે કોંગ્રેસનો રાજકીય વિકલ્પ પેદા થઈ શકશે નહીં.

પરંતુ બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા બાદ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસના રાજકીય વિકલ્પની શોધ શરૂ થઈ. વી. પી. સિંહની આગેવાની હેઠળ જનતાદળ-ભાજપનું ગઠબંધન થયું. 1989માં વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા. જો કે ભાજપની સફળતા પાછળ તેની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હિંદુ વિચારધારાનો ઘણી મોટી ભૂમિકા હતી. એક તરફ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં દેશના આમ આદમી હિંદુઓએ આપેલી અભૂતપૂર્વ બહુમતીના જારે મુસ્લિમો ઈચ્છા પ્રમાણે તેમની તરફેણમાં પલટાવી નાખ્યો હતો. તેની સામે હિંદુઓમાં વિરોધનું વાતાવરણ હતું. આ સાથે ભાજપે હિંદુઓની રાજકીય આકાંક્ષાઓને વાચા આપવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાપૂજનના કાર્યક્રમોએ હિંદુત્વવાદી વાતાવરણ તૈયાર કર્યું હતું. જેની અસર દેશના રાજકારણ પર પડી રહી હતી. હિંદુ લાગણીઓને તત્કાલિન ભાજપ થકી રાજકીય મંચ ઉપલબ્ધ થઈ રહ્યો હતો.
જો કે વી. પી. સિંહએ હિંદુત્વવાદી વાતાવરણનો તોડ અનામતના મંડલ કમિશનના રાજકારણમાં શોધ્યો. તેની સામે ભાજપે પણ હિંદુત્વની રાજનીતિને તેજ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના રામજન્મભૂમિ આંદોલનને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10 હજાર કિલોમીટરની રામરથયાત્રા ચાલુ કરી હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર હલબલી ઉઠી હતી. જનસમર્થન પોતાની પાસેથી ખસીને હિંદુત્વના રામરથ પર સવાર ભાજપ તરફ ખસી રહ્યું હતું. બિહારના સમસ્તીપુર ખાતે તત્કાલિન જનતાદળના લાલુપ્રસાદ યાદવે અડવાણીની રથયાત્રાને રોકીને તેમની ધરપકડ કરી. તેની સાથે ભાજપે ટેકો પાછો ખેંચતા વી. પી. સિંહની જનતાદળ સરકારનું પતન થયું. ચંદ્રશેખરના નેતૃત્વમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર ટૂંકાગાળા માટે સત્તા પર આવી. 1991-92માં જનતાએ ફરીથી વિકલ્પો વચ્ચે વિકલ્પવિહીનતાની સ્થિતિમાં જનતાદળથી મોહભંગ થઈને કોંગ્રેસને મત આપ્યા.

જો કે આ સમયગાળામાં દેશમાં હિંદુ લાગણીઓ જોર પર હતી અને હિંદી બેલ્ટમાં અસરકારક હિંદુ વોટબેંક અસ્તિત્વમાં હતી. જેના કારણે અહીં ભાજપને ઘણું સારું સમર્થન મળ્યું હતું. પરંતુ કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી સારો ટેકો મળ્યો. તેની પાછળ તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતે રાજીવ ગાંધીની એલટીટીઈની આત્મઘાતી દ્વારા કરાયેલી હત્યાની ઘણી મોટી ભૂમિકા હતી. જો કે રાજીવ ગાંધીની હત્યા કોંગ્રેસ માટે ઈન્દિરા ગાંધીની હત્યા જેવો સિમ્પથી વેવ પેદા કરી શકી નહીં. કારણ કે હિંદી બેલ્ટમાં રામજન્મભૂમિ આંદોલનના કારણે હિંદુત્વવાદી વોટબેંક તૈયાર થઈ ચુકી હતી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર લઘુમતી સરકાર હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી. પણ તેને પૂર્ણ બહુમતી મળી ન હતી. 1996માં ભાજપ હિંદુ વોટબેંકના આધારે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. વાજપેયી ભારતમાં સૌથી પહેલા બિનકોંગ્રેસી મૂળ ધરાવતા વડાપ્રધાન હતા. અહીંથી દેશના આમ આદમી એવા હિંદુઓએ મુસ્લિમોને ખાસ બનાવતી રાજનીતિ કરતી કોંગ્રેસને જાકારો આપવાની રાષ્ટ્રનીતિને પ્રભાવીપણે લાગુ કરી.

1998-99માં ભાજપ ફરીથી દેશનો સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો અને સમાન નાગરીક ધારો લાગુ કરવાની વાત સામેલ હતી. પરંતુ 24 પક્ષોના ટેકા સાથે આ ત્રણેય મુદ્દાને એનડીએના નેજા નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા દૂર રાખવામાં આવ્યા. તેની પાછળનો હેતુ કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને દેશહિતોનું વધુ નુકસાન અટકાવવાનો હતો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર છ વર્ષ ચાલી. કોંગ્રેસના રાજકીય વિકલ્પ તરીકે ભાજપની આ સફળતા હતી.

પરંતુ હિંદુત્વના મુદ્દાઓ પર બાંધછોડે ફરીથી હિંદુ વોટબેંકને વિહવળ બનાવી દીધી. જો કે તેની પાછળ દેશમાં રૂઢિગત બનેલુ કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હતું. ભારતની રાજનીતિમાં મૂળથી માંડીને ટોચ સુધી કોંગ્રેસના ડીએનએ ધરાવતા નેતાઓની સતત પકડ રહી છે. જેના કારણે કોંગ્રેસના સત્તા પરથી જવા છતાં કોંગ્રેસનું રાજકીય મોડલ પ્રભાવી રહે છે. જેનો અનુભવ બિનકોંગ્રેસી રાજકીય મૂળ ધરાવતા અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારને પણ થયો હતો. હિંદુ આકાંક્ષાઓને કેટલીક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં દબાવી દેવાની પ્રવૃતિ રાજકીય સ્તરે તેજ બની હતી. જેના કારણે રામજન્મભૂમિ આંદોલન વખતે તૈયાર થયેલી હિંદુત્વવાદી વોટબેંક હિંદી બેલ્ટથી આગળ વધવાને સ્થાને વિખેરાવા લાગી. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડયા. 2004થી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી. વિખેરાયેલી હિંદુ વોટબેંક ફરીથી પ્રભાવી બનાવવા માટે પ્રયત્ન નહીં કરાતા 2009માં પણ ફરીથી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી.
2014ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના ઓવરડોઝથી આમ હિંદુ ત્રસ્ત બન્યો છે. તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી સહીતના મુદ્દાઓ પણ આમ હિંદુઓમાં કોંગ્રેસ વિરોધી લહેર પેદા કરનારા બન્યા છે. જેના કારણે રાજકીય ઉપેક્ષાનો ભોગ બનેલી હિંદુ આકાંક્ષાઓ ફરીથી એકજૂટ બની છે. દેશમાં ફરીથી કટોકટી સમયની લહેર હોવાની વાત રાજકીય જાણકારો કરી રહ્યા છે.

આ હિંદુ આકાંક્ષાઓ ફરીથી વોટબેંકનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 2011માં અણ્ણા હજારેના નેતૃત્વમાં શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટેના આંદોલને જનઆકાંક્ષાઓને ફરીથી સડકથી સંસદ સુધી આંદોલિત કરી હતી. આ જનઆકાંક્ષાઓમાં હિંદુ રાજકીય વિકલ્પનો અંડરકરંટ પણ દેખાયો હતો. જો કે અણ્ણા હજારેના આંદોલનનો ઉપયોગ કરીને ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે કમ્યુનિસ્ટ વિચારસરણી તરફ ઝોક ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 માસ જૂની આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી. ભાજપ દિલ્હીમાં 32 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ટેકાથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બનીને દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવી. ત્યાર બાદ જનલોકપાલ બિલ દિલ્હીની વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે ઉભી થયેલી બંધારણીય અંટસના પરિણામે તેમણે રાજીનામું આપ્યું. આ વખતેની લોકસભની ચૂંટણીમાં તેઓ પણ મેદાનમાં છે.

પરંતુ ભારતના આમ હિંદુ મતદાતાઓએ પોતાના વિવેક પ્રમાણે વિચારવાનો સમય છે કે શું દેશમાં હાલ કોઈ હિંદુ રાજકીય વિકલ્પ ઉપલબ્ધ છે અથવા આગામી સમયમાં કોઈ હિંદુત્વવાદી રાજકીય વિકલ્પનો ગર્ભ  બની શકે છે? તેવા સંજોગોમાં હાલ ઉપલબ્ધ રાજકીય વિકલ્પોમાંથી હિંદુ મતદાતાઓએ રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય કરવાનો છે. આમ આદમી પાર્ટીની પૃષ્ઠભૂમિમાં રહેલા અણ્ણા હજારેના આંદોલન વખતે કોંગ્રેસી મોડેલ હેઠળની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ દેખાઈ હતી. એક તરફ અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા અને બીજી તરફ મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા માટે અણ્ણાના તત્કાલિન ટેકેદારો અનશન સ્થાને ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. અણ્ણાના મંચ પર મુસ્લિમ પ્રતિનિધિત્વ દેખાડવાનો પ્રયત્ન કરાયો હતો. અણ્ણાના આંદોલનની શરૂઆતમાં મંચ પર દેખાયેલી ભારતમાતાના તસવીર આંદોલનના છેલ્લા તબક્કામાં ગાયબ થઈ હતી...તો દિલ્હીની જમા મસ્જિદના ઈમામ બુખારીનું સમર્થન લેવા માટે અરવિંદ કેજરીવાલે અંદાજે અઢી કલાક સુધી રાહ જોઈ હતી. જો કે ત્યાર બાદ પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.


આમ આદમી પાર્ટીની જાહેરાત બાદ પણ મુસ્લિમ સમર્થન માટે અરવિંદ કેજરીવાલના હવાતિયાં જગજાહેર છે. મુઝફ્ફરનગર ખાતેના હુલ્લડો બાદ કેજરીવાલ હુલ્લડખોર મનાતા તૌકીર રજા નામના શખ્સને રાજકીય ટેકા માટે મળ્યા હોવાનું મનાય છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે સોગંદવિધિ દરમિયાન સેક્યુલર દેખાવા માટે કેજરીવાલે પોતાના ભાષણમાં ઈશ્વર સાથે અલ્લાહનો વારંવાર ઉપયોગ કર્યો હતો. જો કે મુસ્લિમ અનામતની તરફદારી કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના પક્ષોની એક અલગ પ્રકારની રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે. આ દોડમાં ભાજપે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે થોડાઘણાં પ્રયત્નો કર્યા હોવાનું ઘણાં લોકો માની રહ્યા છે. આમાના ઘણાની લાગણી છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે અને કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ બની ગઈ છે. પરંતુ આ તમામની પાછળ ભારતમાં મૂળ સુધી પ્રસરેલું કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હોવાની વાત હિંદુ મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે ઘણાં હિંદુ મતદારો ઘોષિત હિંદુ રાજકીય વિકલ્પનો અભાવ અનુભવી રહ્યા છે. તેમ છતાં તેમણે કોંગ્રેસના રાજકીય મોડેલને ખતમ કરવા માટે વ્યૂહાત્મક મતદાન કરવાની રાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ બિનકોંગ્રેસી રાજકીય વિકલ્પ માટે ફરીથી સક્રિય બને તે જરૂરી છે. ત્યારે દેશના હિંદુ મતદારોએ રાષ્ટ્રીય હિતમાં વ્યૂહાત્મક રીતે વિચારવું આવશ્યક છે. ત્યારે હિંદુઓનું વ્યૂહાત્મક રીતે પ્રવર્તમાન રાજકીય વિકલ્પોમાંથી હિંદુ રાજકીય વિકલ્પ તરીકે નજીકના પક્ષ કે મોરચાના ઉમેદવારની તરફેણમાં 100 ટકા મતદાન ભારતને નવી સંભાવનાઓ તરફ આગળ લઈ જઈ શકશે.

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013

હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક કોયડો

-         પ્રસન્ન શાસ્ત્રી
છેલ્લા 1200 વર્ષથી હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક વણઉકેલ્યો કોયડો બની રહી છે. આમ તો માનસિકતા વ્યવહારો સાથે સંબંધિત છે. પોતાના અન્યો સાથેના વ્યવહારો અને અન્યોના પોતાની સાથેના વ્યવહારો માનસિકતા ઘડતા હોય છે. ત્યારે હિંદુઓની એક સમાજ તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથેની દ્રઢનિશ્ચયી માનસિકતા રહેલી છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રે પોતાની આકાંક્ષાઓ પ્રમાણે સદઈચ્છાપૂર્વક છેલ્લા 1200 વર્ષમાં અપાર આક્રમક પ્રતિકારપૂર્વકના પ્રયત્નો કર્યા છે. પરંતુ હિંદુ સમાજ અને રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં હિંદુઓનું રાજકીય નેતૃત્વ અને તેમની માનસિકતા હંમેશા વામણાં અને નિષ્ફળ પુરવાર થયા છે. જેમાં અમુક અપવાદો છે, પરંતુ તે ઘણાં ઓછા છે. આમ તો યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા કહેવાય છે. એટલે હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતા અને તેની વામણાપણાંની ઈતિહાસકથા માટે હિંદુ સમાજની અને હિંદુ રાષ્ટ્રની વ્યક્તિગતઅને સામૂહિક ચિંતનમાં કોઈ મુશ્કેલી તરફ સંકેત જરૂર થાય છે. શિષ્ટ ભાષામાં છેલ્લા 1200 વર્ષના હિંદુ રાજકીય નેતૃત્વને મધ્યમમાર્ગી અને વ્યવહારીક ગણવામાં આવે છે. પરંતુ ઈતિહાસનું તથ્યોના આધારે અર્થપરક ચિંતન કરવામાં આવે, તો આ હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા સતત સમજૂતીવાદી અને ક્યારેક મુસ્લિમો તો ક્યારેક અંગ્રેજો તો ક્યારેક અમેરિકનો તો ક્યારેક ચીનાઓ સામે ઘૂંટણિયે પડતી નજરે પડે છે. તેની પાછળ પ્રથમ દ્રષ્ટિએ આમ હિંદુઓની રાજકીય સાક્ષરતા સામે પ્રશ્નાર્થો ઉદભવે છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક હિતોના મુદ્દાઓ પ્રત્યે આમ હિંદુઓની ઘોર ગુનાહિત બેદરકારી કારણભૂત છે. જેનો લાગ માત્ર વ્યક્તિગત વિકાસ અને પોતાના રાષ્ટ્રીય હિતોના ભોગે વિશ્વ અને હિંદુ સિવાયના સમાજ અને દેશોમાં વાહવાહી લૂંટવા માટેની હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા ઉઠાવે છે. જ્યારે આની ખબર પડે છે, ત્યારે હિંદુ સમાજ હંમેશા ઉંઘતો ઝ઼ડપાયો છે.
યૂનાન (ગ્રીસ)થી એલેકઝાન્ડર એટલે કે સિકંદર વિશ્વવિજય અને ભારત વિજયની મહેચ્છાથી ચઢી આવ્યો હતો. ત્યારે તક્ષશિલાના રાજકુમાર આંભિએ પોતાના દેશી શત્રુઓને પરાજિત કરવા માટે રાષ્ટ્રના વિદેશી શત્રુ સિકંદર સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારે તક્ષશિલાના ગુરુકુળમાં એક અસાધારણ શિક્ષક આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યે રાષ્ટ્રયજ્ઞની શરૂઆત કરી. રાષ્ટ્રયજ્ઞમાં રાષ્ટ્રને સર્વસ્વ અર્પણ કરનાર શિષ્યોની ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં ટુકડી તૈયાર કરી. ભારત વિજય માટે આગળ વધી રહેલા સિંકદરને અટકાવવા સિંધુથી મગધ સુધી અખંડ ભારત માટેની ભાવનાઓ જગાડી. સિકંદર સામે પોરસ અને અન્ય રાજાઓએ પ્રતિકાર કર્યો. જેના પરિણામે વિશ્વવિજય ગણાતા સિકંદરના લશ્કરે ગંગાનો કિનારો ઓળંગીને આગળ વધવાનો ઈન્કાર કરી દીધો હતો. સિકંદરના ભારતમાંથી પાછા ફર્યા બાદ પણ અખંડ ભારતની ભાવના સાથે હિંદુઓનું એક સક્ષમ રાષ્ટ્રવાદી નેતૃત્વ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની જોડીના સ્વરૂપે સામે આવ્યું. ચાણક્ય અને ચંદ્રગુપ્તે રાષ્ટ્ર અને તેના હિતોની ઘોર ઉપેક્ષા કરનારા મગધના આતતાયી રાજા ધનનંદનો કુળ સહીત નાશ કર્યો. અખંડ ભારતના સપનાને સાકાર કર્યું. ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્વરૂપે પેદા થયેલા સક્ષમ હિંદુ રાજકીય નેતૃત્વની અસર નીચે ભારત સદીઓ સુધી લગભગ 1000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યું. આ સમયગાળા દરમિયાન ભારતનું હિંદુ રાજકીય નેતૃત્વ દ્રઢનિશ્ચયી અને આક્રમક રહ્યું. જો કે ઈતિહાસના કાળખંડમાં તક્ષશિલાના રાજકુમાર આંભિની જેમ રાષ્ટ્રના વિદેશી શત્રુની મદદથી વ્યક્તિગત વિકાસ કરનારી માનસિકતાવાળું હિંદુ રાજકીય નેતૃત્વ પણ ફાલવા લાગ્યું. દર વખતે ભારતનું ભાગ્ય એટલું નસીબવાન રહ્યું નહીં કે તેની અખંડિતતાની સુરક્ષા માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા મહાજ્ઞાની અને મહારથીઓનું રાજકીય નેતૃત્વ મળે.
ઈસ્લામના ઉદય પછી ગણતરીની સદીઓમાં જ સિંધના હિંદુ રાજા દાહિરસેન પર ખલીફાના રખડું સેનાપતિ મહંમદ-બિન-કાસિમે હુમલો કર્યો. રાષ્ટ્રના વિદેશી શત્રુઓની મદદથી પોતાનો વ્યક્તિગત વિકાસ ઈચ્છનારા નેતૃત્વના કેટલાંક તત્વોના સતત રાષ્ટ્રદ્રોહના પરિણામે મહંમદ બિન કાસિમ ઈ.સ. 712માં સિંધ જીતી શક્યો. જો કે તેના માટે તેણે ઘણાં આક્રમણો અને યુદ્ધો કરવા પડયા. ભારતમાં ઈસ્લામનો સૌ પ્રથમ રાજકીય પ્રવેશ મહંમદ બિન કાસિમના આક્રમણથી થયો હતો. ત્યાર બાદ લગભગ 300 વર્ષના સમયગાળા બાદ અફઘાનિસ્તાનના ગઝનીમાંથી ઈસ્લામના નામે મહંમદ ગઝનવી નામનો જંગલી જેહાદી ભારત પર ઈ.સ. 1000થી 1027 વચ્ચે 17 વખત આક્રમણો કરીને ત્રાટક્યો. મહંમદ ગઝનવીએ પોતાના આક્રમણોમાં સોમનાથ સહીતના અનેક ઐતિહાસિક મંદિરો ધ્વસ્ત કર્યા અને લૂંટયા. ગઝનવીએ અનેક લૂંટ, હત્યાઓ, બળાત્કાર ધર્મના નામે કર્યા. ત્યારે પહેલી વખત સિંઘની સરહદોમાં કેદ થયેલી ઈસ્લામિક માનસિકતાનો ગઝનવી થકી આખા ભારતને અનુભવ થયો. જો કે ગઝનવીના દરેક આક્રમણોનો પ્રતિકાર થયો હોવા છતાં હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રીય ચરિત્રનો અભાવ દેખાતો હતો. જેના કારણે મહંમદ ગઝનવી 17 વખત ભારત પર ઈસ્લામના નામે હુમલો કરવાની હિંમત કરી શક્યો અને તેમા તે સફળ પણ થયો.
ગઝનવી પછી મહંમદ ઘોરીએ ભારત પર ઈસ્લામના નામે આક્રમણો શરૂ કર્યા. ગુજરાતના પાટનગર અહણિલવાડ પાટણ પર ઘોરીએ આક્રમણ કર્યું. જેમાં ગુજરાતના આઠ વર્ષના બાળરાજા મૂળરાજ દ્વિતિયની બહાદૂર સેનાએ તેને કારમી રીતે પરાજિત કર્યો હતો. દિલ્હીશ્વર અનંગપાળે પોતાના દોહિત્ર અને અજમેરના રાજકુમાર પૃથ્વીરાજ ચૌહાણને રાજગાદી સોંપી . તેનો ડંખ કનોજ નરેશ અને અનંગપાળના બીજા દોહિત્ર જયચંદના દિલમાં વાગ્યો. જેના પરિણામે તરાઈની પહેલી લડાઈમાં પૃથ્વીરાજ સામે ભૂંડી રીતે હારી જનારા મહંમદ ઘોરીને તરાઈની બીજી લડાઈમાં જયચંદની પ્રપંચી રાજરમતો થકી જીત મળી. જો કે ઘોરીએ જયચંદનો પણ બાદમાં વધ કર્યો.
આંભિથી શરૂ થયેલા હિંદુઓના રાજકીય નેતૃત્વના તત્વોની જયચંદી માનસિકતા મોગલોના ભારત પરના આક્રમણો અને ત્યાર બાદના મોગલોના રાજને ભારતમાં સ્થિર કરવા માટે મદદરૂપ નીવડી. અકબરના રાજને સ્થિર કરવામાં જયપુર-આમેરના હિંદુ રાજા માનસિંહ અને અન્ય હિંદુ મનસબદારોએ સિંહફાળો આપ્યો. જો કે મેવાડના મહારાણા પ્રતાપે અકબર સામે સ્વતંત્રતાની ટેક પોતાના ભાલા અને તલવારથી અડગ રાખી. પણ મોગલકાળમાં રાષ્ટ્રીય ભાવના રાજા માનસિંહ જેવા વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ હિંદુઓમાં ન હતી. ધીમે ધીમે હિંદુ સમાજના રાજકીય નેતૃત્વમાં આવા તત્વોની માનસિકતાએ સમજૂતીવાદી પક્કડ જમાવી હતી. ધર્માંધ ઔરંગઝેબના શાસનકાળમાં હિંદુ પદપાદશાહીના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સામે લડનારા મોગલ સેનાપતિ રાજા  જયસિંહ હતા. આમ જોવો તો સમગ્ર મોગલકાળમાં હિંદુઓ જ હિંદુની સામે લડયા અને મર્યા. જેના પરિણામે ગાદી મોગલોની સ્થિર થઈ હતી.
ઔરંગઝેબના મૃત્યુ બાદ મરાઠા અને શીખ સામ્રાજ્યો મજબૂત બન્યા. કટકથી અટક સુધી ભગવો ધ્વજ લહેરાવનારા મરાઠાઓને અહમદશાહ અબ્દાલી સામે પાણીપતના ત્રીજા યુદ્ધમાં કારમી હાર ખાવી પડી. તેના માટે તત્કાલિન હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રહિતના સ્થાને વ્યક્તિગત હિતો વધારે પ્રભાવી હોવાનું કારણભૂત માનવામાં આવે છે. જેના કારણે મરાઠાઓનેજાટ, રાજપૂત અને શીખ રાજાઓની પુરતી મદદ મળી શકી નહીં અને અફઘાન મુસ્લિમ આક્રમણખોરોની સેના સામે મરાઠાઓની હિંદુ સેનાને કારમી હાર સહન કરવી પડી. જો કે પાણીપતના ત્રીજા યુદ્ધ પછી પણ મરાઠાઓની દિલ્હી પર આણ પ્રવર્તી રહી હતી. મોગલ શહેનશાહોની સત્તા દિલ્હીમાં તેમના મહેલ બહાર પણ ચાલતી ન હતી. તેમ છતાં મરાઠાઓએ દિલ્હી સર કરવાનો વિચાર કર્યો નહીં. શિવાજી અને પેશ્વાઓના શાસન દરમિયાન ક્યારેય કોઈ મુસ્લિમ ધર્મસ્થાનો તોડવામાં આવ્યા નહીં. તેની સામે ઈસ્લામના નામે બાદશાહોએ ભારતમાં કાશીવિશ્વનાથ, કૃષ્ણજન્મભૂમિ અને રામજન્મભૂમિ સહીત લાખો હિંદુ મંદિરોને તોડીને તેના સ્થાને કે તેની નજીકમાં મસ્જિદ બનાવી છે. સોમનાથ મંદિરને ગઝનવીથી માંડીને ઔરંગઝેબ સુધીના મુસ્લિમ આક્રમણખોરો અને બાદશાહોએ 17 વખત ધ્વસ્ત કર્યુ હતું. જો કે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી આજે સોમનાથમાં સરકારી મદદ વગર ભવ્ય શિવમંદિર સ્થાપિત કરી શકાયું છે. તે વખતે નહેરુએ સરકારી રાહે મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો અને મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હોવા છતા હાજર રહ્યા નહીં. પરંતુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ નહેરુની નારાજગી છતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.
મોગલો બાદ ભારતમાં અંગ્રેજોનું કંપનીરાજ અને બાદમાં બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ અંગ્રેજી સલ્તનત અને તેની સેનાઓને મજબૂત કરવામાં સૌથી વધારે લોહી રેડનારા હિંદુઓ હતા. ભારતના હિંદુ રાજકીય નેતૃત્વની નબળી અને દિશાહીન માનસિકતાને કારણે ભારતના હિંદુઓ અને કંપનીના હિંદુ નોકરિયાતો કંપનીરાજ માટે જવાબદાર હતા. અંગ્રેજી કેળવણી લેવામાં પણ હિંદુઓ આગળ રહ્યા હતા. અંગ્રેજોની સંગતમાં પોતાની અંદરનું હિંદુપણું ખતમ કરીને અંગ્રેજીયત ઓઢવાની ફેશન સુધારાના નામે ચાલુ થઈ. આ ફેશન આઝાદીના 67 વર્ષે પણ ચાલુ છે. 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ મીરજાફરે દગો કર્યો અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવને જીત મળી. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના ક્રાંતિકારીઓ તાત્કાલિક જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા. કારણ કે કંપનીરાજની સેનાના શીખ, ગોરખા, રાજપૂત અને પઠાણ સિપાહીઓએ પોતાની વફાદારી અંગ્રેજો પ્રત્યે રાખી હતી. જો કે ત્યારબાદ દેશભરમાં સ્વતંત્રતા માટે અસંખ્ય ક્રાંતિકારી પ્રયત્નો થયા. 1900થી 1915 સુધી દેશ અને વિદેશમાં ગદર આંદોલન ચાલ્યું. પણ ભારતીય રાજનીતિમાં ગાંધીના મહાત્માપણાના ઉદય સાથે ક્રાંતિ અને બલિદાનોને બાજુમાં મુક્તી અહિંસાના નામે વેવલી, તુષ્ટિકરણ અને સમજૂતીવાદી રાજનીતિ પ્રભાવી બની.
સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક નામી-અનામી ક્રાંતિકારીઓને ભારતના સ્વતંત્રતા આંદોલનના સંગ્રામના ઈતિહાસમાં ઢાંકી દેવામાં આવ્યા. આજે પણ ભારતના બાળકોને શીખવાડાય છે કે ભારતને ગાંધીજીએ અહિંસા થકી આઝાદી અપાવી છે. આ વાત ઐતિહાસિક રીતે ક્રાંતિકારીઓના બલિદાનોને અવગણનારી અને તથ્યોથી વિરુદ્ધની છે.
ઘણાં રાજકીય ચિંતકોનું માનવું છે કે ગાંધીજી સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ હિંદુ હતા. પરંતુ રાજકીય દ્રષ્ટિએ હિંદુઓના રાજકીય-સામાજિક હિતોના સૌથી મોટા દુશ્મન ગાંધીજી જ સાબિત થયા છે. ગાંધીજીની હિંદુવિરોધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ પાકિસ્તાનના નિર્માણ માટેની મુસ્લિમ લીગી જિન્નાવાદી માનસિકતાની પોષક હતી. તેમ છતાં આજે પણ આઝાદ ભારતમાં ગાંધીજીના મહાત્માપણાની હિંદુઓ માટે નકારાત્મક અસરો પેદા કરનારી બાજુઓને ઉજાગર કરવા માટે કોઈ તૈયાર નથી. ભારતનું આજેનું નેતૃત્વ પણ ગાંધીના મહાત્માપણાની આડમાં આતંકવાદ, ચીન અને જેહાદી તત્વો સામેની પોતાની કાયરતા છુપાવી રહ્યું છે. તો કેટલાંક નેતાઓ દહીંમા અને દૂધમાં પગ રાખવા માટે પોતાની સહૂલિયત પ્રમાણે સેક્યુલરવાદી અને હિંદુ રાષ્ટ્રવાદીનો ચહેરો ઓઢતા રહે છે. તેઓ ગાંધીના નામનો ઉપયોગ કરીને પોતે મહાત્મા નહીં હોવા છતાં મહાત્મા સાબિત થવાની ગ્લોબલ રાજરમતો કરી રહ્યા છે.
પાકિસ્તાનના નિર્માણ માટે જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા અને ગાંધીવાદી કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સમાનપણે જવાબદાર છે. તેમ છતાં ભારતને ખંડિત આઝાદી મળ્યા બાદ દેશના હિંદુઓએ કોંગ્રેસને લગભગ 48 વર્ષ સુધીકેન્દ્રની સત્તા ભોગવવા દીધી છે. આજે પણ છેલ્લા દશ વર્ષથી કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ ગઠબંધન દેશની સત્તા ભ્રષ્ટાચારી રીતે ભોગવી રહ્યું છે.
જો કે 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ આંદોલન થકી દેશના રાજકારણની દશા અને દિશા હિંદુવાદી તથા હિંદુતરફી બનવા લાગી હતી. 1992માં બાબરી ઢાંચો હટાવાયા બાદ દેશભરમાં હિંદુ લાગણીઓ જોરમાં હતી. પણ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી માનસિકતા ફરીથી નડી ગઈ. 1998માં હિંદુ હિતના હિંદુ એજન્ડાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો, રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું અને દેશમાં સમાન નાગરીક ધારો લાવવો) તેને ઠેકાણે મૂકવામાં આવ્યા. ત્યાર બાદ 17 વર્ષના સમયગાળામાં ઉભી થયેલી હિંદુ વોટબેંક અને લહેરને વિખેરવાનું પાપ હિંદુ રાજકીય નેતૃત્વએ કર્યું. જો કે હિંદુઓની ઉભી થયેલી વોટબેંકને એક યા બીજા કારણે સત્તાની ગણતરીમાં પડેલા લોકોને મત આપવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પરંતુ લહેરમાં ઉભા થયેલા હિંદુ વોટરો રાજકીય નેતૃત્વના દગાને કારણે ફરીથી કોંગ્રેસ અને અન્ય પક્ષો તરફ વિચારધારાત્મક વિખેરણને કારણે ઢળ્યા. 2004 અને 2009માં વિકાસના નામે વોટ માંગનારા હિંદુ રાજકીય નેતૃત્વને હિંદુઓએ નકાર્યું. પરંતુ હિંદુઓ પાસે અન્ય કોઈ રાજકીય વિકલ્પ નહીં હોવાથી તેનો ફાયદો તેમના નિષ્ક્રિય રહેવાથી કે બીજા પક્ષો તરફ ઢળવાથી વોટોના સમીકરણોમાં કોંગ્રેસને મળ્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ દશ વર્ષથી કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે. આઝાદ ભારતમાં વારંવાર હિંદુદ્રોહ કરનારા નેતાઓ અને રાજકીય પક્ષોને હિંદુઓએ એક યા બીજા કારણે મત આપીને ચૂંટવા પડે છે. હિંદુઓની સામાન્ય માનસિકતા ઝડપથી અન્ય રાજકીય વિકલ્પ ઉભો કરવાની ક્યારેય રહી નથી. ત્યારે તાત્કાલિક રાજકીય વિકલ્પના અભાવમાં પાણીમાં બેસી ગયેલા હિંદુ રાજકીય નેતૃત્વને તેની માનસિકતા બદલીને હિંદુત્વનિષ્ઠ બનાવવી હિંદુઓની પેહલી પ્રાથમિકતા છે.
 
ભારતમાં અધર્મ અને અસત્ય સામે હંમેશા યુદ્ધ થયું છે અને તે જીતવા માટે જ આદરવામાં આવ્યું હતું. મહાભારતકાળથી ઈતિહાસ તેનો સાક્ષી છે. પરંતુ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રભાવનાને વિકૃત કરનારી કાયરતા સામે ગાંધીછાપ સેક્યુલારિઝમ અને તેમના મહાત્માપણાને ઢાલ તરીકે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતની વિચારધારા વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ પંથના અનેક સનાત વિચારના ગ્રંથોએ ઘડી છે. હિંદુઓમાં આ મહાન ગ્રંથોનું ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક-સામાજિક મહત્વ છે. આ ગ્રંથો હંમેશા અધર્મ સામે જીતવાની અને ધર્મનું આચરણ કરવાની પ્રેરણા આપે છે. અધર્મને પરાજિત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાભારતનું યુદ્ધ થયું હતું. હિંદુત્વ હંમેશા અધર્મ સામેના યુદ્ધને મંજૂરી આપે છે. પણ સાથે બ્રહ્મજ્ઞાનીનો નાશ થાય નહીં, તેવી પણ પ્રેરણા આપે છે. અસૂર અને આસૂરીવૃતિનો વિનાશ કરવો હિંદુત્વનો અંતર્નિહિત ભાવ છે. પરંતુ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી વિચારધારા હિંદુ સમાજ અને રાષ્ટ્ર સાથે ખતરનાક પ્રયોગો કરી રહી છે. આપણે ભારતના લોકોએ આવા ખતરનાક પ્રયોગો સામે હિંદુત્વવાદી દ્રષ્ટિકોણ સાથે સાવધ થવાની જરૂરત છે. સાથે કેટલાંક સવાલના જવાબ આમ હિંદુ તરીકે હિંદુઓએ સામૂહિક ચિંતનથી મેળવવા જોઈએ.

-          અંગ્રેજો અને મુસ્લિમો સામે કાયર સાબિત થયેલા તુષ્ટિકરણવાદી ગાંધીછાપ હિંદુ નેતૃત્વને હિંદુઓએ શા માટે પસંદ કર્યું?
-
-          ગાંધીજીની નીતિઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી હિંદુ વિરોધી હતી, છતાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી સાવરકરને હિંદુઓએ આઝાદીની લડત વખતે ટેકો કેમ આપ્યો નહીં?
-
- દેશ તૂટયા પછી પણ લાંબા સમય સુધી કોંગ્રેસ જ દેશના હિંદુઓનો એકમાત્ર રાજકીય વિકલ્પ કેમ બની રહી?

- હિંદુત્વવાદી મુદ્દાઓ થકી સત્તાપર પહોંચનારા રાજકીય વિકલ્પે હિંદુત્વવાદી મુદ્દાઓ સાથે 17 વર્ષ સમજૂતી કરવાની હિંમત કેમ દાખવી?
આના ઉત્તરોની રાહ હિંદુ સમાજ જોઈ રહ્યો છે. આ પ્રશ્નો દરેક હિંદુઓએ પોતાની જાતને પુછવાના છે અને તેના જવાબો શોધવાના છે.

બુધવાર, 4 એપ્રિલ, 2012

સેમ પિત્રોડાને પ્રેસિડેન્ટ નહીં, CM પદના ઉમેદવાર બનાવવા જોઇએ


ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ભારતના પીએમ બને તેવી રાજ્ય અને દેશની જનતાની ઈચ્છા હોવાની વાતો ઘણાં વખતથી ચાલતી રહી છે, ત્યારે ગુજરાતમાં મોદીના કોંગ્રેસી વિકલ્પ તરીકે વિકાસની ગતિને આગળ વધારવા માટે સેમ પિત્રોડાના નામનો વિચાર થાય અને તેઓ મુખ્મમંત્રી બની જાય તો ગુજરાતની પ્રજા ખુશ થાય. પરંતુ મોદી માટે દિલ્હીની સલ્તનત મેળવવી ખૂબ કઠિન છે, ગુજરાત આપતા તો આપી દે, પણ દિલ્હી મળે તેવી સંભાવનાઓ ઓછી જણાય છે. કારણ કે ગુજરાત કરતા દિલ્હીમાં મોદીના ઘરના દુશ્મનો ઘણાં છે.

ગુજરાતમાં આગામી ડીસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ટાઈમ મેગેઝીન પ્રમાણે લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ટાઈમ મેગેઝીન ગુજરાતના વિકાસપુરુષની પ્રશંસા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગાંધી, સરદાર પટેલ બાદ ત્રીજા ગુજરાતી છે કે જેમણે ટાઈમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મેળવ્યું છે. ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પાંચ-છ વડાપ્રધાન પદના વિચારણા હેઠળના ઉમેદવારોમાંથી એક છે.

મુખ્યમંત્રી પદના ભાજપના સક્ષમ ઉમેદવાર સામે કોંગ્રેસ તરફથી 2002થી અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ સર્વસંમત મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. વળી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની રાજનેતા સિવાયની અન્ય કાબેલિયત સાથે સ્પર્ધા કરે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતના પ્રદેશ સ્તરની નેતાગીરીમાં હાલ ઉપલબ્ધ નથી. પરંતુ કોંગ્રેસ માટે હવે આ શોધ ખતમ થઈ ગઈ હોય તેમ લાગે છે.

કોંગ્રેસના ઓબીસી નેતા ગણતા ટેક્નોક્રેટ સેમ પિત્રોડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવા માટે વિચારી શકે છે. જો સેમ પિત્રોડા કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે, તો મોદી વિરુદ્ધ પિત્રોડાનો જંગ વધારે રસપ્રદ અને ટક્કરનો પણ બની શકે તેમ છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રતિષ્ઠિત પત્રકારની ન્યૂઝ સ્ટોરી જોવા મળી. તેના પ્રમાણે જાણીતા ટેક્નોક્રેટ અને ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વિશ્વાસુ ગણાતા ગુજરાતી સેમ પિત્રોડા જુલાઈ માસમાં યોજનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુપીએ તરફથી ઉમેદવારી મામલે ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે.

સત્યનારાયણ ગંગારામ પંચાલ ઉર્ફે સેમ પિત્રોડા ભારતની સંચાર ક્રાંતિમાં ઘણું મોટું કામ કરી ચુક્યા છે. તેમને ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતા અને ભારતમાં કમ્પ્યુટર વિકાસ માટે તેમને અમેરિકાથી ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે તે આમંત્રણ સ્વીકારીને ઘણી ટેકનોલોજીકલ બાબતોમાં દેશને હરણફાળ ભરાવી છે. હવે ગુજરાતનું સૂકાન તેમને સોંપવું જોઇએ. તેઓ હળવદથી ચૂંટણી લડી શકે છે.

જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પદના યુપીએ તરફથી ઉમેદવારોના લિસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા સ્પીકર મીરાકુમાર, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને કર્ણ સિંહ જેવા કોંગ્રેસીઓના નામ લોકોની જબાન પર આવી રહ્યા છે. તેમની સાથે ગુજરાતી મૂળના સેમ પિત્રોડાનું નામ મુકાય તે ગુજરાત માટે ગર્વની વાત છે. એક ગુજરાતી તરીકે સૌને તેના માટે ગર્વ થવું જોઈએ. વળી તે રાષ્ટ્રપતિ બની જાય તો રાષ્ટ્રપતિ બનનાર તેઓ પહેલા ગુજરાતી હશે.

પરંતુ વિકાસ ક્રાંતિ રથ પર બિરાજમાન ગુજરાતને વિકાસ પથ પર બમણી ગતિથી દોડાવવા માટે સેમ પિત્રોડાની ગુજરાતમાં વધારે જરૂરત છે. આમ તો ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સર્વસંમત નેતા નક્કી થઈ શકતો નથી. શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન વગેરે નામો દેખાય છે. પરંતુ ગુજરાતના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ટાઈમ મેગેઝીનમાં ચમકતા હોય અને સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીમાં પણ આ કોંગ્રેસી નેતાઓ કરતા ખૂબ આગળ દેખાતા હોય, ત્યારે જરૂરથી કોંગ્રેસની ગુજરાત પ્રદેશની નેતાગીરીએ ડીસેમ્બર-2012માં આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ કરવા જોઈએ.

કદાચ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવામાં ડાર્ક હોર્સ ગણાતા સેમ પિત્રોડા ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ તરફથી સૌથી સક્ષમ ઉમેદવાર બની શકે છે. કારણ કે તેઓ વિકાસની વાતો જ નથી કરતા પણ દેશને ટેક્નોલોજીના આધારે વિકાસ પથ પર ચાલતુ કરનારા વ્યક્તિઓમાંના એક છે. 2004માં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બન્યા બાદ પિત્રોડા નોલેજ કમિશનના ચેરમેન બનાવાયા છે.

તાજેતરમાં પિત્રોડા તરફ લોકોનું ધ્યાન ત્યારે જવાનું શરૂ થયું કે જ્યારે યૂપીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જારી કરવા માટે તેમને મોકલ્યા. તેમના નામને આગળ વધારીને કોંગ્રેસે પોતાના દલિત-પછાત એજન્ડાને પણ વધારવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે પિત્રોડા મિસ્ત્રી સમુદાયમાંથી આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીની ગણતરી ઓબીસી નેતા તરીકે પણ થાય છે. તેમને યૂપીમાં ચૂંટણી પ્રચાર વખતે ઓબીસી વોટને ખેંચવા માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી ઉતરાવા માંગતી હતી. જો કે તેઓ યૂપી સહીત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઉતર્યા ન હતા, તે ચર્ચાનો અલગ મુદ્દો છે. પરંતુ જ્યારે ભાજપ તરફથી ડીસેમ્બર-2012માં મુખ્યમંત્રી પદના નિર્વિવાદ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની ગણતરી ભાજપ તરફથી વિચારણા હેઠળના પાંચ-છ વડાપ્રધાન પદના ઉમેદવારોમાં થઈ રહી છે.

ત્યારે કોંગ્રેસ માટે પણ તેમની સામે સક્ષમ ઉમેદવાર મુખ્યમંત્રી પદ માટે ઉતરવો એ ગુજરાતના ચૂંટણી ગણિતને અસર કરનાર મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. 2012ની ચૂંટણી પહેલા માણસામાં 17 વર્ષે કોંગ્રેસને મળેલી જીત ઘણી આશાઓ સર્જી રહી છે. પરંતુ મોદી સામે લડવા માટે થનગનતી કોંગ્રેસની સેના હાલ સેનાપતિ વગરની છે. પરંતુ સેમ પિત્રોડા ગુજરાત કોંગ્રેસને સક્ષમ નેતાગીરી પુરી પાડવાના તમામ ગુણધર્મો ધરાવે છે.

મોદી ટેક્નોક્રેટ મુખ્યમંત્રી ગણાય છે, સેમ પિત્રોડા ખુદ દેશના અગ્રણી અને નિવડેલ ટેક્નોક્રેટ છે. મુખ્યમંત્રી મોદી વિકાસપુરુષ છે, તો સેમ પિત્રોડાએ દેશના વિકાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી દેખાડયો છે. મોદી ઓબીસી સમુદાયમાંથી હોવા છતાં લોકોમાં સ્વીકૃત છે. તો સેમ પિત્રોડા પણ ઓબીસી સમુદાયમાંથી આવવા છતાં માત્ર તેમના સમુદાયમાં કેદ થઈને રહ્યા નથી.

સેમ પિત્રોડાને કોંગ્રેસ બહાર મમતા બેનર્જી, શરદ પવાર અને નવીન પટનાયકના પણ નજીકના માનવામાં આવે છે. જેવી રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ સિવાય જયલલિતા, પ્રકાશસિંહ બાદલ અને એમએનએસના રાજ ઠાકરે પસંદ કરે છે. જો કે મોદીને હાલ ભાજપના કેન્દ્રીય નેતાગીરી સાથે ખટરાગના અણસાર છે.

મોદીને ચૂંટણી ગણિત બેસાડવામાં અને ચૂંટણી જીત માટેના ખૂબ સારા સ્ટ્રેટર્જીસ્ટ ગણવામાં આવે છે. ત્યારે સેમ પિત્રોડાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પોલિટિકલ કેમ્પેઈનની યોજના બનાવી હતી. આ યોજનાને સફળતા મળતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા છે.

જો કે સેમ પિત્રોડા માટે એક વાત થોડી અલગ છે. તેમના પિતા ગુજરાતમાંથી ઓડિશામાં સ્થાયી થયા હતા. એટલે કે તેઓ એનઆરજી છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત બાદ એનઆરજીઓને ઘણું સારું મહત્વ મળી રહ્યું છે. ત્યારે બની શકે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી પણ પોતાની સામે કોંગ્રેસના એનઆરજી ઉમેદવારથી કોંગ્રેસ સામે થોડું કૂણું વલણ દાખવે. કારણ કે મુખ્યમંત્રી એનઆરજીઓને દેશ-વિદેશમાંથી ગુજરાતના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રે છે.

જો સેમ પિત્રોડાને કોંગ્રેસ તરફથી ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, તો ગુજરાતમાં વિકાસ પુરુષ સામે વિકાસપુરુષની ટક્કર જોવા મળે. વળી પરિણામ કોઈપણ આવે ગુજરાત વિકાસના માર્ગ પર આગળ વધે તેવી ગુજરાતની પ્રજાને હૈયા ધારણ બંધાય શકે છે. શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ સંદર્ભે વિચાર કરી શકે? ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના હિત માટે રાષ્ટ્રપતિ પદના સંભવિત કોંગ્રેસી ઉમેદવાર એવા સેમ પિત્રોડાને ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને મોદીને જવાબ આપવા માટે કંઇક નવો પ્રયોગ સરાહનિય છે.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

કોંગ્રેસનો વિકલ્પ ઉભો થાય છે, પણ કોંગ્રેસ મોડલનો વિકલ્પ નથી!


there is option of congress in power but opposition fail to give option in political moldel

અજબ ભારતીય રાજકારણની ગજબની કહાની છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને રાજકારણની દુર્દશા માટે બિનકોંગ્રેસી પક્ષો જવાબદાર ઠેરવે છે. થોડો સમય માટે બિનકોંગ્રેસી દળો સત્તામાં કોંગ્રેસનો વિકલ્પ પણ બને છે. પરંતુ આવા બિનકોંગ્રેસી દળો કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ પુરો પાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ ભારતની આઝાદી પહેલા સૌથી પ્રભાવી રાજકીય પક્ષ તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને આઝાદી બાદ પણ દેશની સત્તાનો ભોગવટો સૌથી વધારે સમય સુધી કર્યો છે. હાલ પણ યુપીએ-2 સરકારનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. 127 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના રાજકીય મોડલનો ભારતમાં હજી સુધી કોઈ જવાબ ઉભો થઈ શક્યો નથી. કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવી હંમેશા લોઢાના ચણા ચાવવાનો ખેલ હોય છે. જાણકારો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા દેશમાં ઘણાં ઉંડે સુધી પહોંચ્યા હોવાનું ગણાવે છે. આ વાત આંશિક રીતે સાચી છે. પરંતુ ભારતીય રાજકારણની તાસિર તપાસમાં આવે તો ભારતમાં લગભગ એક સદીથી વધારે સમયથી કોંગ્રેસના રૂપમાં રાજકીય પાર્ટીનું એક જ મોડલ સાતત્યપૂર્ણ રીતે અસ્તિત્વમાં છે.

1885માં અંગ્રેજ એ.ઓ.હ્યૂમે કોંગ્રેસની સ્થાપના કરી. ત્યારથી કોંગ્રેસ પાર્ટી ભારતના રાજકારણના એક ધ્રુવ તરીકે ઉભરી હતી. આમ તો કોંગ્રેસે 1885થી 1905 સુધી અંગ્રેજી હકૂમત સાથે મહદ અંશે પત્રાચાર કરવાનું કામ કર્યું હતું. લોકમાન્ય તિલકના કોંગ્રેસમાં પ્રભાવી બન્યા બાદ સ્વતંત્રતા આંદોલન સંદર્ભે કોંગ્રેસમાં ઉગ્રતા આવી હતી. તેમ છતાં તેમા ગરમ દળ અને નરમ દળનું અસ્તિત્વ હતું. પરંતુ એક હકીકત એ છે કે અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમત સામે ભારતીયોને લડવા માટે એક રાજકીય મોડલ થકી પ્લેટફોર્મ પુરું પાડયું હતું. મુસ્લિમ લીગના મહોમ્મદ અલી ઝીણા 1937 સુધી કોંગ્રેસી અને સેક્યુલર નેતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર કોંગ્રેસી અગ્રણી હતા. હિંદુ મહાસભાના મદન મોહન માલવિયા સરીખા નેતાઓ પણ કોંગ્રેસમાં સક્રિય હતા. આર્યસમાજમાં સક્રિય લાલા લાજપતરાયની ગણના પણ દિગ્ગજ કોંગ્રેસી નેતામાં થતી હતી. આઝાદ હિંદ ફોજ બનાવીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડત કરનારા સુભાષચંદ્ર બોઝ 1937માં કોંગ્રેસ પ્રમુખ હતા. સમાજવાદી નેતા આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ સુદ્ધા કોંગ્રેસમાં ગાંધીજી સાથે કામ કરી ચુક્યા છે.

મુસ્લિમ લીગ 1906માં સ્થપાઈ અને હિંદુ મહાસભા 1905માં સ્થપાઈ. ત્રીસના દશકામાં કમ્યુનિસ્ટ પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. 1947 પહેલા સમાજવાદી નેતાઓ કોંગ્રેસમાંથી અલગ થયા. ક્યારેક પોતાને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવનારી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરનારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ 1941ના વર્ષમાં કોંગ્રેસી નેતા રહી ચુક્યા છે. આ સિવાય સંઘના સંસ્થાપક ખુદ કોંગ્રેસી નેતા રહ્યા છે. એટલે કે કોંગ્રેસ એક એવું વટવૃક્ષ છે કે જેની એક-એક વડવાઈ તેને થડ જેટલી મોટી બની છે. આઝાદી બાદ મુસ્લિમ લીગી મોડલ પાકિસ્તાનમાં નિષ્ફળ ગયું, પરંતુ કોંગ્રેસનું મોડલ ભારતમાં સફળ બન્યું.

આઝાદી બાદ પણ કોંગ્રેસમાંથી પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે નેતાઓ દ્વારા અલગ ચોકો રચવાની પ્રક્રિયા ચાલુ જ રહી. કોંગ્રેસને સૌથી પહેલા સત્તાની બહાર કરવાનો શ્રેય જયપ્રકાશ નારાયણને મળે છે. કટોકટી બાદ મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી. જો કે તે કોંગ્રેસની જેમ સત્તાનો સ્થિર વિકલ્પ બની શકી ન હતી અને માત્ર અઢી વર્ષના ગાળામાં જ સત્તામાંથી દૂર થઈ હતી. આમ જોવો તો મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણના મૂળિયા પણ કોંગ્રેસી જ હતા. ત્યાર બાદ 1989માં વી.પી.સિંહના વડપણ નીચે બિનકોંગ્રેસી પક્ષોએ ભેગા મળીને કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે આંદોલન કર્યું. પરંતુ હકીકત એ છે કે વી. પી. સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજીવ ગાંધી સાથે મતભેદોને કારણે કોંગ્રેસમાંથી અલગ પડયા હતા. પરંતુ વી. પી. સિંહ પણ સત્તામાં લાંબો સમય ટકી શક્યા નહીં. ચંદ્રશેખરને વડાપ્રધાન બનાવી કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો, પરંતુ રાજીવ ગાંધીના જાસૂસી પ્રકરણે આ સરકારને ઘર ભેગી કરી. ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસી સરકાર સત્તામાં આવી. જો કે તે લઘુમતી સરકાર હતી, પરંતુ તેણે ઘણા ગોટાળા અને બ્લંડરો છતાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાજપની 13 દિવસની સરકાર સત્તામાં આવી. ત્યાર બાદ દેવેગૌડા અને ઈન્દર કુમાર ગુજરાલની કમજોર કોંગ્રેસના ટેકાવાળી સરકારોએ દેશને રાજકીય અસ્થિરતાના તબક્કામાં નાખી દીધી. 1998માં વાજપેયીના વડપણ નીચે એનડીએની સરકાર સત્તામાં આવી અને સત્તામાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પુરો કરનારી તે પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી. પરંતુ 2004થી કોંગ્રેસના વડપણવાળા યુપીએ ગઠબંધનની સરકાર સત્તામાં છે.

ભાજપ ભારતીય રાજકારણનો બીજો ધ્રુવ ગણાય છે. પરંતુ ભાજપના કોંગ્રેસીકરણની વાતો પણ જોરશોરથી ઉઠી રહી છે. કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારનો એકહથ્થુ પ્રભાવ એકાદ અપવાદને બાદ કરતાં જળવાઈ રહ્યો છે. તો તેવી રીતે ભારતના ભાજપ, શિવસેના, સમાજવાદી પાર્ટી, અકાલી દળ, તેલગુદેશમ પાર્ટી, ડીએમકે, એઆઈએ-ડીએમકે, બીજુ જનતાદળ સહીતને પક્ષોમાં વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદ ચરમ પર છે. વંશવાદની નકલ કરવામાં કેટલીક હદે કમ્યુનિસ્ટ પક્ષોને બાદ કરતા દેશના તમામ પક્ષો વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદની રાહ પર જ આગળ વધી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક લોકશાહી ગાંધીજીના વખતથી અસ્તિત્વમાં નથી. કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના સમર્થકોના વિરોધને કારણે પાર્ટી છોડવી પડી અને હિંસક માર્ગે આઝાદી મેળવવાનો આઝાદ હિંદ ફોજનો રસ્તે અખત્યાર કરવો પડયો હતો. દેશની આઝાદી પછી કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારના સભ્યોનો બોલ કોંગ્રેસ પાર્ટીમાં કાયદો બની ગયો છે. તેવી જ રીતે દેશના બિનકોંગ્રેસી દળોમાં પણ આંતરીક લોકશાહીની અછત વર્તાય રહી છે. હાઈકમાન્ડના નામે પાંચ-સાત ચૂંટણી મેનેજરો પાર્ટીના નિર્ણય કરે છે. ભાજપ પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી બની ગઈ હોવાની વાત પણ ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે કરી હતી. વળી કમ્યુનિસ્ટ વિચારધારા લોકશાહીને માનતી નથી. તેથી કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરીક લોકશાહીનું સપનું જોવું પણ એક જોક સમાન છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીઓ પોતાને ત્યાં આંતરીક લોકશાહી હોવાના દાવા કરે છે.

કોંગ્રેસ પાર્ટી પર આઝાદીની લડતના સમયથી તે મૂડીપતિઓની પાર્ટી હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આઝાદી બાદ પણ કોંગ્રેસ પર મૂડીપતિઓના હિતસાધવાનો આરોપ મૂકાતો આવ્યો છે. કોંગ્રેસની જાણે-અજાણે નકલ કરીને તેના રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપના નેતાઓ પણ મૂડીપતિઓને સાધવામાં લાગેલા રહે છે. અન્ય રાજકીય પક્ષોને પણ ફંડફાળો અમુક અપવાદને બાદ કરતા મૂડીપતિઓ તરફથી જ મળે છે. તેને કારણે દેશની આર્થિક નીતિ આવા મૂડીપતિઓની હિતસાધક બને તેમાં નવાઈ પામાવા જેવું નથી. આને કારણે મૂડીપતિ વધારે ધનવાન બને છે અને આમ આદમી બેહાલ બને છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર નામની આડઅસરથી કોંગ્રેસી અને બિનકોંગ્રેસી એમ બંને પ્રકારની સરકારો અછૂતી નથી.

કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમુદાય તરફ વિશેષ દ્રષ્ટિકોણ આઝાદી પહેલાથી અપનાવામાં આવ્યો છે. ઉર્દૂ અને વંદેમાતરમ સહીતના મુદ્દાઓ પર મુસ્લિમોની આળપંપાળ કરતી નીતિઓ આઝાદી બાદ લઘુમતીવાદને પ્રોત્સાહન આપનારી નીતિઓ બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની પાર્ટીના ઝંડામાં મુસ્લિમ સમુદાયના પ્રતીક સમાન લીલો રંગ રાખ્યો, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો. આ પ્રકારના ફેરફાર અકાલીદળ અને શિવસેના જેવી પાર્ટીઓને બાદ કરતા મોટાભાગની પાર્ટીઓએ કર્યા. કારણ કે અહીં સવાલ મુસ્લિમ વોટબેંકનો હતો. કોંગ્રેસે પોતાને ત્યાં એસસી, એસટી, મહિલા અને લઘુમતી સેલ ચાલુ કર્યા. તો અન્ય પાર્ટીઓએ પણ તેનું આંધળુ અનુકરણ કરીને પોતાને ત્યાં આવી જ વ્યવસ્થા ઉભી કરી.

વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.
કોંગ્રેસે આદિવાસી, દલિતોની વોટબેંક દ્વારા સત્તાની સાધના દસકાઓ સુધી કરી. આદિવાસી અને દલિતો માટે સારું કામ કરવું ઘણું સારું છે. પરંતુ તેમને વોટબેંક તરીકે જોઈને તેમના કલ્યાણ માટે કંઈક કરવાનો દેખાડો કરવો અલગ વસ્તુ છે. પરંતુ આ કામ કોંગ્રેસ સિવાયના પક્ષોએ પણ ચાલુ રાખ્યું. આજે દેશમાં દલિતો અને આદિવાસીઓ પાછળ વાપરવામાં આવેલા નાણાં અને ઉભી કરવામાં આવેલી લાભકારક જોગવાઈઓની સરખામણીએ તેમના સશક્તિકરણના મળેલા પરિણામો જોવા જોઈએ.

આ સિવાય ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગરીબી હટાવોના નારા નીચે લોકોને લોભાવ્યા હતા. પરંતુ 80ના દાયકાથી ગરીબી હટાવોની વાત સૂત્રોમાં જ રહી છે, હવે તો એવો સમય છે કે સત્તામાં આવનારી દરેક સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટે તેવી નીતિઓ અપનાવી રહ્યા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ત્યારે ગરીબ આમ આદમી લાચારી સાથે જીવન સંઘર્ષમાં પાછો પડી રહ્યો છે. ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કોંગ્રેસની જેમ દરેક પક્ષો કરે છે, પરંતુ તેને દૂર કોઈ કરતું નથી.

ભારતના રાજકારણમાં સેક્યુલર ચહેરો દેખાડવાનો ટ્રેન્ડ પણ કોંગ્રેસના રાજકીય મોડલે ચાલુ કર્યો. ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાની વાત હોય, નહેરુની સમાજવાદની વાત હોય, ઈન્દિરા ગાંધીની સેક્યુલારિઝમની વાત હોય, મનમોહન સિંહની દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવાની વાત હોય, દરેક નેતા લઘુમતીઓની આળપંપાળ કરીને પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવામાં લાગેલો છે. મુસ્લિમ તુષ્ટિકરણને નારો બનાવીને ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતાઓ વાજપેયી અને અડવાણીએ પણ સેક્યુલર છબી ચમકાવા માટે આ જ કોંગ્રેસી નીતિનો સહારો લીધો. વાજપેયીએ લીલી પાઘડીઓ પહેરી, મુસ્લિમ ટોપી ઓઢી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાના વચનો આપ્યા, હજ સબસિડીમાં સામેથી વધારે કરી આપ્યો. તો અડવાણી પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા. પ્રખર હિંદુત્વવાદી ચહેરો ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

ઉપવાસોથી મોદીને રાજકીય સદભાવના સ્થાપવાની તક?


-આનંદ શુક્લ

ઉપવાસ પ્રાયશ્ચિતનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. કદાચ આત્મશુદ્ધિ અને પ્રાયશ્ચિતની ભારતના રાજકારણમાં સૌથી વધારે કોઈને જરૂર છે, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદી હિંદુત્વની રાજનીતિના ખભે બેસીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પહોંચ્યા છે, પરંતુ 2002માં ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોએ મોદીને કોમવાદી નેતા બનાવી દીધા છે. ગોધરાકાંડ અને ગોધરાકાંડ પછીની ઘટનાઓ ન રોકી શકવા માટે નરેન્દ્ર મોદીને જરૂરથી દર્દ મહેસૂસ થવું જોઈએ અને તેનું પ્રાયશ્ચિત પણ તેમણે કરવું જોઈએ. જ્યારે રાજનેતા ઉપવાસ કરે છે, તો તેમાં રાજકીય હેતુ આપમેળે નિહિત બની જાય છે. નેતાઓ દ્વારા આવા ઉપવાસો પહેલા પણ થતા રહ્યા છે, જેવા કે નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, પરંતુ આ કદાચ પહેલીવાર છે કે જ્યારે કોઈ ઉપવાસે રાષ્ટ્રીય આયોજનનું સ્વરૂપ લીધું છે. નરેન્દ્ર મોદીને હ્રદય છે અને તેમાં પણ પરિવર્તન થઈ શકે છે. તેમના સદભાવના મિશન અંતર્ગતના ત્રણ દિવસના ઉપવાસમાં ખોટું કશું જ નથી. રાજકીય ઉદેશ્યવાળા ઉપવાસ કરવા અને તેના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો મોદીને પૂરો અધિકાર છે.

પરંતુ એ સમજવું અઘરું છે કે તેમણે આ ઉપવાસના આયોજન પાછળ આટલો તામ-જામ કેમ કર્યો છે? જેમ કે વ્યાપક પ્રબંધન, તડક-ભડક અને પ્રચાર તંત્ર સાથે થઈ રહેલા ઉપવાસથી એવું લાગી રહ્યું છે કે જાણે કે રાજકીય પક્ષનું મહાઅધિવેશન અથવા રેલી થઈ રહી હોય. ઉપવાસ ભારતીયોની ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની સફર માટેનું સૌથી સરળ અને સાદું સાધન છે. મહાત્મા ગાંધી પણ આત્મશુદ્ધિ અર્થે ઉપવાસ કરતાં હતા, પરંતુ તેમના ઉપવાસમાં ફાઈવસ્ટાર કલ્ચર હંમેશા ગેરહાજર રહેતુ હતું. નરેન્દ્ર મોદીએ પણ પોતાના ઉપવાસ સાદાઈથી કર્યા હોત તો તેનું મહત્વ અનેકગણું વધી જાત અને તેના સંદર્ભે આટલો હોબાળો થાત નહીં. પરંતુ મોદીના ફાઈવસ્ટાર ઉપવાસથી દેશની જનતામાં એ સંદેશો જઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા પોતાના રાજકીય કદને વિસ્તાર આપી રહ્યાં છે અને પોતાને 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે, તો તેમાં લોકોનો દોષ કાઢવો ખોટો છે. કારણ કે ઉપવાસની ઘોષણા ગુજરાતના રમખાણો સંદર્ભેના મોદીને રાહત આપનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનો દાવો છે કે તે સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસ દ્વારા એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા ચાહે છે. પરંતુ એ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે તેમને એકતા અને સદભાવનાનું અભિયાન છેડવાની એકાએક જરૂર શા માટે પડી? આમ જોવો તો મોદીના ફાસ્ટ ફેસ્ટિવલમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીથી માંડીને મોટાભાગના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અથવા આવી રહ્યાં છે. બધાં સ્વીકારે છે કે મોદીમાં વડાપ્રધાન બનવાની હેસિયત છે. મોદીના ઉપવાસના કાર્યક્રમમાં આવીને ભાજપના નેતાઓએ મને-કમને પોતાનું સમર્થન આપ્યું છે. કમને એટલા માટે કે વિદેશ અને ઉદ્યોગપતિઓ દ્વારા વડાપ્રધાન પદ માટેના નરેન્દ્ર મોદીને દાવેદાર ગણવા છતાં અને દેશભરમાં નંબર વન મુખ્યમંત્રી રહેવા છતાં ભાજપમાં હજી પણ તેઓ નંબર વન નેતા તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શક્યા નથી. આમ મોદીના ઉપવાસો આવા ઘણાં સવાલ ઉભાં કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ ઉપવાસના પ્રારંભે કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે ગુજરાત ક્યારેય પણ માનવતાના માપદંડોમાંથી નીચે ઉતરશે નહીં. તેમણે કહ્યું છે કે હુલ્લડોનું દર્દ તેઓ મહેસૂસ કરે છે. તેમણે હુલ્લડો સંદર્ભે શાબ્દિક માફી માંગી નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો તેઓ ગુજરાતના તોફાનો માટે જવાબદાર હોય, તો તેમને ફાંસી આપવામાં આવે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતના હુલ્લડપીડિતો હિંદુ હોય કે મુસલમાન તેમને સંપૂર્ણ ન્યાય મળી શક્યો નથી. તેના કારણે જુદાંજુદાં રાજકીય પક્ષોને નરેન્દ્ર મોદીને નવેસરથી ઘેરવાનો અવસર મળી ગયો છે.

વિરોધી રાજકીય પક્ષો દ્વારા નરેન્દ્ર મોદીની ઘેરાબંધી એ જ સ્ટીરીયો ટાઈપ આક્ષેપો નીચે થઈ રહી છે. વિરોધી રાજકીય પક્ષોની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેઓ દુષ્પ્રચારની રાજનીતિમાં પોતાનો વિશ્વાસ ધરાવે છે અને જો તેમનું ચાલે તો ખુદ ન્યાયાધીશ બનીને મોદીને ફાંસીની સજા સંભળાવી દે. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે દેશમાં ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવંત સ્થિતિમાં છે. દેશના ન્યાયતંત્ર પર કોઈ રાજકીય પક્ષને વિશ્વાસ હોય કે ન હોય, પણ દેશની જનતાને તો વિશ્વાસ છે. પરંતુ મોદી વિરોધી રાજકીય પક્ષોએ એક વાત ગાંઠે બાંધવા જેવી છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધના રાજકીય રુદનથી તેઓ વધારે મજબૂત બન્યા છે. એ પણ હાસ્યાસ્પદ છે કે નરેન્દ્ર મોદીના મિશન સદભાવના નીચેના ઉપવાસનો વિરોધ કરનારી કોંગ્રેસ તેમના પ્રદેશ સ્તરના નેતાઓને ઉપવાસ કરવા દઈ રહી છે.

જો નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા રાજકીય સ્ટંટ કરી રહ્યાં છે, તો તેનાથી મોટો તમાશો ફૂટપાથ પર બેસીને કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા સરીખા નેતાઓ કરી રહ્યાં છે. આખરે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિ કોઈને ઉપવાસ કરવાથી કેવી રીતે રોકી શકે? જો નરેન્દ્ર મોદીના ઉપવાસની જાહેરાત બાદ આટલી હાયતોબા મચાવામાં ન આવત તો કદાચ આની આટલી ચર્ચા પણ ન થાત. નરેન્દ્ર મોદીના ઉપવાસ દ્વારા સદભાવના કાયમ કરવામાં કેટલી સફળતા મળશે, તે કહેવું અઘરું છે. પરંતુ મોદીના ઉપવાસ વિરુદ્ધ થઈ રહેલા હોબાળાથી નરેન્દ્ર મોદીનું રાજકીય સ્વરૂપ વધારે વિરાટ બનશે અને તેનો તેમને રાજકીય લાભ પણ મળશે.

ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

હિંદુ અંતરમનની વેદનાનો જ્વાળામુખી


-આનંદ શુક્લ

ભારતમાં દુનિયાના સૌથી વધારે હિંદુઓ વસે છે. ભારત એક રાષ્ટ્ર તરીકે સદાકાળથી હિંદુ રહ્યું છે. જો કે ભારતના હિંદુઓનું દુર્ભાગ્ય છે કે તે હિંદુ રાજ્ય નથી. ભારતમાં હિંદુઓની રાજકીય આકાંક્ષાઓની પૂર્તિ માટે 64 વર્ષ પહેલા મળેલી ખંડિત આઝાદીથી અત્યાર સુધી કોઈ વ્યવસ્થા નથી. ભારતમાં હિંદુત્વનો ઝંડો લઈને ફરનારા થોડા રાજકીય પક્ષોનો ઉદય થયો અને તેમાનો એકાદ પક્ષ અત્યારે પણ જીવિત છે. ભારતીય જનસંઘની સ્થાપના હિંદુત્વની વિચારધારાને આધારે કરવામાં આવી. તો કટોકટી પછી જનતા પાર્ટીમાંથી બેવડા સભ્યપદના વિવાદથી છૂટા પડેલા જનસંઘીઓએ ભાજપની સ્થાપના કરી. પરંતુ ભાજપ પણ ગાંધીવાદી સમાજવાદ અને પછી હિંદુત્વના વૈચારીક માર્ગો પર અસ્પષ્ટતાઓ સાથે આગળ વધ્યો. રામજન્મભૂમિ આંદોલને ભારતીય રાજકારણમાં હિંદુકરણનું કામ કર્યું.

પરંતુ ભાજપના સેક્યુલર દેખાવાના શોખના કારણે અત્યારે હિંદુઓના મુદ્દાઓ અને તેની રાજકીય અભિવ્યક્તિને ભારતના રાજકારણમાં કોઈ જગ્યા નથી. જો કે ભાજપે એનડીએ હેઠળ સત્તાના ભોગવટા બાદ જાહેરાત કરી છે કે તેમની વિચારધારા હિંદુત્વની છે. પરંતુ સત્તાના ભોગવટાના વર્ષો દરમિયાન ભાજપે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, દેશમાં સમાન નાગરીક ધારાને લાવવાના મુદ્દાને કોમન મિનિમમ પ્રોગ્રામના નામે પોતાનાથી દૂર રાખ્યા હતા. જો કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એક ખૂણામાં આ મુદ્દાઓ જરૂરથી હતા. પરંતુ રામજન્મભૂમિ મંદિર મુદ્દાને સુષ્મા સ્વરાજે વટાવાયેલો ચેક કહીને હાથ ખંખેરી નાખ્યા છે. તો મુખ્તાર અબ્બાસ નક્વીએ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના સવાલના જવાબમાં કહ્યું હતું કે ભાજપ કોઈ કન્સ્ટ્રક્શન કંપની નથી. ભાજપના નેતાઓના રામજન્મભૂમિ સંદર્ભેના વિચારો અને મંતવ્યો પરથી તેમનો હિંદુત્વ માટેનો ઘટી રહેલો આગ્રહ સ્પષ્ટપણે અભિવ્યક્ત થાય છે.

કેટલાંક સંતો અને હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓને બળાપો કાઢતા સાંભળ્યા છે કે ભાજપ કોંગ્રેસમાં અને કોંગ્રેસ મુસ્લિમ લીગમાં ફેરવાઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની કથની-કરણી પરથી હિંદુ સમાજના બળાપાને કોઈ ઈન્કારી શકે તેમ નથી. ભાજપના કોંગ્રેસીકરણની વાત તો ઘણાં રાજકીય સમીક્ષકો વર્ષોથી કહેતા આવ્યા છે. પાર્ટી વિથ ડિફરન્સ મુસ્લિમ તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, ઉદારવાદ, વિનાશ લઈ જતી વિકાસની અવધારણાના મુદ્દા પર કોંગ્રેસ જેવો મત ધરાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક મા.ગો.વૈદ્યે ખરેખર ભાજપ અને કોંગ્રેસને ભેગા મળીને સરકાર બનાવવાનું પણ તત્કાલિન સંદર્ભો હેઠળ કહ્યું હતું. સતત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરીકેની નબળી ભૂમિકાને કારણે ભાજપને હારનો સામનો કરવો પડયો છે. હિંદુ વિચારધારાના હાલના પાવર હાઉસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સુકાન સંભાળતા સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી આપવાની અને સર્જરી કરવાની વાત પણ કરી હતી. જો કે સરસંઘચાલક મોહન ભાગવતે નવી રાજકીય પાર્ટી બનાવવાની વાત પર એક સેમિનારમાં એમ કહીને પૂર્ણવિરામ મૂક્યું હતું કે હાલ દીનદયાળ ઉપાધ્યાય જેવાં ઉંચા કદના નેતાઓ નથી. માટે ભાજપને સુધારીશું. ચર્ચા એવી પણ છે કે નવો પક્ષ બનશે, તો નવો પક્ષ પણ ભાજપની જેમ બની નહીં જાય તેની કોઈ ખાતરી આપી શકે?

પરંતુ હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓની વ્યથા એવી છે કે હિંદુ સંગઠનો સક્રિય બનીને જે કોઈ કામ કરે, તેનો રાજકીય લાભ ભાજપને જ થવાનો છે. હિંદુવાદી સંગઠનોનું કામ ભાજપ માટે મતોમાં રૂપાંતરિત થશે. પરંતુ તેની કોઈ રાહત હિંદુવાદી સંગઠનોને થતી નથી. કોંગ્રેસ કરતાં પણ ખરાબ વર્તન જેમની મહેનતથી ભાજપ સત્તામાં આવતું હોય છે, તેવા હિંદુવાદી સંગઠનો સાથે થાય છે. ત્યારે સામાન્ય કાર્યકર્તા એવી ભાવના દાખવે છે કે ગાયને દોહીને કૂતરીને દૂધ પીવડાવાનું અને એ કૂતરી આપણને જ કરડે, તો...તેનો ઈલાજ શું? હાલમાં પ્રવર્તી રહેલી રાજકીય પરિસ્થિતિમાં હિંદુત્વવાદી સંગઠનો અને હિંદુ જનતા પોતાને રાજકીય ક્ષેત્રમાં અનાથ સમજી રહ્યાં છે. આ પરિસ્થિતિ કોંગ્રેસ અને ડાબેરીઓ સહીતના સેક્યુલર હોવાનો દમ મારતા અને દંભ ભોગવતા નાના-મોટા પક્ષો માટે ઘણી મદદગાર છે. તેમ છતાં હિંદુવાદી સંગઠનોમાં સૌથી પ્રભાવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિણામદાયક કેમોથેરપી અથવા સર્જરી કરી શક્યું હોય તેમ દેખાય રહ્યું નથી.

હિંદુ સમાજના વિશ્વાસ અને લાગણીઓનો રાજકીય લાભ મેળવી સત્તાસુખ ભોગવ્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરવી કોઈ નવી વાત નથી. આઝાદી પહેલા કોંગ્રેસને હિંદુઓનું સૌથી વધારે સમર્થન હતું. કોંગ્રેસ 1935 અને 1946ની પ્રાંતીય ચૂંટણીઓમાં ઘણાં પ્રાંતોમાં સત્તામાં આવી તેના માટે હિંદુ જનસમુદાયનો પ્રખર ટેકો હતો. મુસ્લિમ લીગના નેતા મહંમદઅલી ઝીણા કોંગ્રેસને હિંદુ પાર્ટી અને મહાત્મા ગાંધીને હિંદુ નેતા કહેતા હતા. જો કે મહાત્મા ગાંધીને હિંદુ-મુસ્લિમ એકતાના નિષ્ફળ પ્રયોગો કરવામાં અને કોંગ્રેસને મુસ્લિમોના પણ ટેકાવાળી પાર્ટી તરીકે ઓળખાવામાં ઉંડો રસ હતો. તેના કારણે ભારતને જે નુકસાન ગયું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. સનાતન કાળથી અખંડ હિંદુ રાષ્ટ્ર કોંગ્રેસ અને મહાત્મા ગાંધીની હિંદુઓનું હિત સાચવી ન સકનારી નીતિઓને કારણે વિભાજન થયું. ભારતના ટુકડા કરીને પાકિસ્તાન નામનું મુસ્લિમ રાષ્ટ્ર બન્યું, તો ખંડિત ભારતને હિંદુ રાજ્ય બનાવવાની જગ્યાએ તત્કાલિન નેતાઓએ તેને સેક્યુલર રાજ્ય બનાવ્યું. હિંદુ મનની વેદાના છે કે સેક્યુલારિઝમની માળા જપનારા નેતાઓએ પોતાના દંભને જીવિત રાખવાના અભરખામાં ભારતને હિંદુ રાજ્ય કેમ બનવા દીધું નહી? ભારતને હિંદુ રાજ્ય બનાવવું કે કેમ તેના માટે જનતાનો કોઈપણ પ્રકારનો જનમત લેવાની દરકાર તત્કાલિન નેતાઓએ કરી ન હતી?

મહત્મા ગાંધીએ નેહરુ-સરદારને પાકિસ્તાનના આક્રમક વલણ છતાં 55 કરોડ રૂપિયા આપવા માટે બાધ્ય કર્યા. આના માટે તેમણે આમરણાંત ઉપવાસ કર્યા. ગાંધીજીએ પોતાના ઉપવાસ છોડવા માટે બીજી પણ એક શરત મૂકી હતી કે દિલ્હીની મસ્જિદોમાં શરણ લીધેલા હિંદુ-શીખ શરણાર્થીઓએ તેનો કબજો મુસ્લિમોને આપી દેવો. હિંદુ અંતરમનની વ્યથા કેટલી વિચલિત કરનારી હશે કે નાથૂરામ ગોડસે નામના વ્યક્તિએ ગાંધીજીની ત્રણ ગોળીઓ મારીને હત્યા કરી? (અહીં ગાંધીજીની હત્યાને યોગ્ય ઠેરવવાનો કોઈ પ્રયાસ નથી, પણ હિંદુઓના હિતોને નુકસાન પહોંચતી વાતો ખુલ્લી પડી જતાં શું પરિણામ આવ્યું, તે દર્શાવવાનો જ હેતુ છે.)

સરદાર પટેલના મૃત્યુ બાદ દેશમાં કોંગ્રેસે મુસ્લિમોને વોટબેંકની ટ્રીટમેન્ટ આપી. મુસ્લિમોના થોકબંધ મતો મેળવવા માટે તેમણે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સેક્યુલારિઝમના આંચળા નીચે ખુલ્લેઆમ ચાલુ કરી. મદરેસાઓની સ્થાપના હોય, મુસ્લિમોને હજયાત્રામાં સબસિડી આપવાની હોય, મુસ્લિમો ગુંડાઓની અસમાજીક પ્રવૃતિ સામે આંખ આડા કાન કરવાના હોય, કાશ્મીરમાં અલગતાવાદને માથુ ઉંચકવા દેવાની ઢીલાશ આપવાની હોય, કોંગ્રેસ હંમેશા અવ્વલ રહી છે. મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી માનસિકતામાં આવનારું અધ:પતન કૂદકેને ભૂસકે વધતું ગયું છે.

અત્યારે મુસ્લિમ-ખ્રિસ્તી સહીતની લઘુમતીઓને ધર્મના આધારે અનામત આપવાની પેરવી કરવી, બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આંખ આડા કાન કરવા, આતંકવાદ સામે કડક કાયદો ન આવવા દઈને રાજકારણ કરવું, હિંદુ આતંકવાદની વાત કરીને હિંદુ સંગઠનોને લશ્કરે તોઈબાથી વધારે ખતરનાક ગણાવવા, કોમવાદી હિંસા રોકવા માટે હિંદુ વિરોધી કાયદાનું બિલ તૈયાર કરવું, રામસેતુ તોડવા માટે સેતુસમુદ્રમ્ પ્રોજેક્ટ માટે ધમપછાડા કરવા, કાશ્મીરમાં અલગતાવાદીઓને દિલ્હીમાં સેમિનારો કરવા દેવા, પાકિસ્તાન સામે અસ્પષ્ટ નીતિ અપનાવવી, અફઝલ ગૂરુ જેવા આતંકવાદીને સંસદ પરના હુમલા કેસમાં ફાંસીની સજા મળી હોવા છતાં કંઈ ન કરવું- જેવી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ કોંગ્રેસ સોનિયા ગાંધીની પ્રેરણા અને કેટલાંક દંભી સેક્યુલરોના જૂથના સીધા દોરીસંચાર નીચે આગળ વધારી રહી છે.

હિંદુઓમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાષ્ટ્રવિરોધી કોંગ્રેસી-સેક્યુલર નીતિઓ સામે રાખ નીચે અંગારા સળગી રહ્યાં છે. પરંતુ ભાજપ એકંદરે આ તમામ મુદ્દાઓ પર ખૂબ સેક્યુલર બનીને વર્તી રહ્યો છે. મુસ્લિમો પણ ભાજપ સાથે છે, તેવું બતાવવા માટે ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય નેતાઓ ભરપૂર પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે હિંદુ અંતરમનમાં વેદના થાય, તે સ્વાભાવિક છે. કોંગ્રેસે તો રાષ્ટ્રવિરોધીઓ સંદર્ભે હિંદુ અંતરમનને હંમેશા અવગણ્યું છે. પરંતુ હિંદુ અંતરમનની અવગણના પોતાને હિંદુત્વવાદી ગણાવતા ભાજપ દ્વારા થાય, તો તેની વેદના વિરાટ હિંદુ સમાજના રુંવાડે-રુંવાડે થાય તે અવશ્યભાવી છે. પણ રાજકીય છેતરપિંડીઓથી બળેલા વિરાટ હિંદુ સમાજની વેદનાને રાજકીય વાચા આપવા માટે અત્યારે કોઈ સાધન ઉપલબ્ધ નથી. ત્યારે આવી સ્થિતિ ભારત માટે અને વિરાટ હિંદુ સમાજ માટે બેહદ ખતરનાક છે. કેટલાંક હિંદુત્વવાદી વિચારકોનું કહેવુ છે કે આવી સ્થિતિમાં હિંદુ સંગઠનોના નેતાઓએ હિંદુઓની રાષ્ટ્રીય સ્તરે રાજકીય અભિવ્યક્તિ માટેના એકમાત્ર સાધન જેવા ભાજપને સીધું અલ્ટીમેટમ આપી દેવું જોઈએ કે હિંદુઓની લાગણી અને માગણીઓની ઈજ્જત કરો. જો તેમ છતાં ભાજપ પોતાના માર્ગમાંથી પાછો ન ફરે, તો હિંદુઓની રાજકીય અભિવ્યક્તિ સંદર્ભે હિંદુ અંતરમનની વેદનાઓને ધ્યાનમાં રાખીને હિંદુ સંગઠનો અને નેતાઓએ અન્ય વિકલ્પોનો વિચાર કરવો જોઈએ.

ભારતમાં હિંદુ ઓળખને પ્રસ્થાપિત કરવા, દ્રઢીભૂત કરવા, જાળવી રાખવા માટે રાજકીય બળની જરૂર રહેવાની છે. જો રાજકીય બળ નબળું હશે કે બેવડા ચરિત્રવાળું હશે, તો સરવાળે નુકસાન હિંદુ ઓળખને થવાનું છે. ભારતનો આત્મા હિંદુત્વ છે, હિંદુને અને હિંદુત્વને નુકસાન આખરે ભારતને નુકસાન છે. ત્યારે હિંદુત્વના મુદ્દાઓમાં કોઈપણ પ્રકારનું સમાધાન કુલડીમાં ગોળ ભાંગીને થાય નહીં, તે જોવું આવશ્યક છે. પોતાના હિતો હિંદુ સમાજે કોઈ સંગઠન, સંસ્થા, પક્ષ અથવા નેતાને ક્યારેય લખી આપ્યા નથી. પોતાના હિતોને નુકસાન થાય તેવી સ્થિતિમાં હિંદુ સમાજે સ્વયંભૂ આંદોલનો માટે કમાન પોતાના હાથમાં લેવી આવશ્યક છે. પણ આવી વ્યવસ્થાના વિકલ્પ માટે પણ કાર્યકર્તાઓ, નેતાઓ, સંગઠન, પક્ષની આવશ્યકતાઓ રહેશે.

જો હિંદુ સમાજ આવી રીતે સ્વયંભૂ પોતાને અભિવ્યક્ત કરશે, તો હિંદુત્વના નામે સત્તા પર આવીને કોઈ રામમંદિર નિર્માણમાં અખાડા કરી શકશે નહીં, કોઈ ગોહત્યાનો કાયદો ઘડીને તેનો અમલ કરવાનું ભૂલી નહીં જાય, કંદહારકાંડની જેમ કોઈ આતંકવાદીઓને મુક્ત કરવાની હિંમત કરશે નહીં, સંસદ પર હુમલા બાદ આરપારની લડાઈની માત્ર કવિતાઓ કરવાની હિમાકત કોઈ કરશે નહીં, કોઈ પાકિસ્તાનને પાઠ ભણાવવાની જગ્યાએ વાતચીતના ડાયલોગ નહીં મારે, કોઈ હિંદુ મંદિરોના વહીવટ લઈને મુસ્લિમોને સબસિડી આપવાની નીચતા નહીં કરી શકે, કોઈ થોકબંધ ઉર્દૂ શિક્ષકોની ભરતી નહીં કરી શકે, કોઈ હજ સબસિડીમાં ભરપૂર વધારો અને સુવિધા કરવાની હિંમત નહીં કરી શકે.

શનિવાર, 28 મે, 2011

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)