Tuesday, June 30, 2015

સ્માર્ટ સિટી ઉપેક્ષિત શહેરીકરણની સમસ્યાઓના ઉકેલનું એક પગલું

- પ્રસન્ન શાસ્ત્રી

ગામડાંઓમાં વસેલા ભારતમાં શહેરીકરણને એક ઉપેક્ષિત દ્રષ્ટિકોણથી જોવામાં આવતું રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે સિંઘુ ઘાટીની સભ્યતાના મળેલા અવશેષોમાં ધોળાવીરા-લોથલથી માંડીને હડપ્પા-મોહેન-જો-દડો સુધીના શહેરી જીવનની ઝલક જોવા મળે છે. 1992થી ઉદારીકરણને અપનાવ્યા બાદ વૈશ્વિકરણના વાવાઝોડામાં શહેરીકરણ ઉપેક્ષા છતાં રોકી શકાયું નથી. શહેરીકરણની ઉપેક્ષા આજે સમસ્યા બની ચુકી છે. શહેરીકરણને શરૂઆતમાં ઉપેક્ષિત દ્રષ્ટિકોણથી જોવાયું હોત નહીં તો વિકાસ અને આર્થિક સમૃદ્ધિના એન્જિન તરીકે દેશની પ્રગતિને વધુ ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકત. 

ભારતમાં હાલ 31 ટકા લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. 2050 સુધીમાં વિશ્વમાં સૌથી વધુ શહેરી વસ્તી ભારતમાં હશે. હાલ ભારતના શહેરો દેશના કુલ જીડીપીના 60 ટકા હિસ્સેદારી ધરાવે છે. 2030 સુધીમાં શહેરોની ભાગીદારી ભારતના જીડીપીમાં 75 ટકા સુધી પહોંચી જશે. 

કટોકટીની 40મી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે બેહદ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી ત્રણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાઓના ઉદ્ઘાટન વખતે કહ્યુ હતુ કે શહેર દેશની અર્થવ્યવસ્થાની શક્તિ અને વિકાસના એન્જિનની જેમ કામ કરે છે. ગત 25થી 30 વર્ષોમાં દેશમાં શહેરીકરણે ખૂબ ઝડપ પકડી છે. તે વખતે જો શહેરીકરણને એક અવસર તરીકે જોવામાં આવ્યું હતો, તો આજે ભારતના શહેરો દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોની બરાબરી કરી શકે તેવા હોત. તેમણે કહ્યુ કે જૂના અનુભવો ભલે ખરાબ રહ્યા હોય. પરંતુ તેનાથી નિરાશ થયા વગર સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે આગળ વધવું આપણું લક્ષ્ય હોવું જોઈએ.


શહેરીકરણ વિકાસનો અવસર બને

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે એફડીઆઈની જરૂરિયાત રહેશે. તેના માટે સ્માર્ટ સિટીનો વિકાસ મહાનગરો અને મોટા શહેરોના ઉપનગરો તરીકે કરવાનો ઉદેશ્ય છે. તેની પાછળનો મુખ્ય હેતુ લોકોને શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધા, રોજાગર વગેરે ઉપલબ્ધ કરાવવાની સાથે શહેરોમાં વધતી ભીડના નિયંત્રણ માટે પણ આવા સ્માર્ટ સિટી જરૂરી છે.

અંગ્રેજીમાં કામકાજ કરવાની ક્ષમતા, સસ્તી મજૂરીને કારણે વૈશ્વિકરણના યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે સારા એવા પ્રમાણમાં આકર્ષિત કરી છે. ગત બે દશકોમાં ભારત દુનિયાનું સૌથી મોટા પ્લેસમેન્ટ સેન્ટરમાંથી એક બની ગયું છે.

વૈશ્વિકરણનો ભારતની વિકાસ યાત્રામાં વધુ અસરકારક રીતે લાભ ઉઠાવવા માટે શહેરોને સુનિયોજિતપણે વિકસિત કરવા એક મોટી પ્રાથમિકતા છે. શહેરો આધુનિક માળખાગત સુવિધાઓ, પરિવહન અને સંચાર સાધનોથી સુસજ્જિત હોવા જોઈએ. શહેરોમાં વિકાસની મૂળભૂત સંરચના, માનવ સંસાધનનો સારો ઉપયોગ, જીવનની મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષાના પડકારોને પહોંચી વળવા યોજનાબદ્ધ કોશિશોની પણ જરૂરિયાત છે. 

દુનિયાના વિકસિત અને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશોમાં શહેરીકરણ ઘણું મોટા પ્રમાણમાં થયું છે. વિકાસના મામલે ભારતનું મુખ્ય સ્પર્ધક ગણાતું ચીન શહેરીકરણના મામલે ભારત કરતા ઘણું આગળ છે. કેટલાંક જાણકારો પ્રમાણે, આયોજનબદ્ધ શહેરીકરણ વિકાસ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈપણ દેશ માટે એક તક છે.

વિશ્વ બેન્ક પ્રમાણે, 1990માં ભારત અને ચીનમાં શહેરીકરણ સમાન સ્તરે હતું. 2012માં ભારતમાં 32 ટકા અને ચીનમાં 52 ટકા જેટલું શહેરી વસ્તીનું પ્રમાણ થયુ છે. 2020 સુધીમાં ચીન પોતાની 60 ટકા વસ્તીને શહેરોમાં વસાવવાની ઈચ્છા ધરાવે છે.

ભારતને વિકાસ પથ પર આગળ વધારવા માટે હાલના સંજોગોમાં શહેરી જીવનની અવગણના શક્ય નથી. ભારત સરકારે 100 નવા સ્માર્ટ સિટી બનાવવાની યોજના જાહેર કરી છે. આ યોજના ઘણી મહત્વકાંક્ષી છે. સ્માર્ટ સિટીના વિચારને ભારતીય સંદર્ભોમાં અને કોઈપણ પ્રકારના તકનીક કેન્દ્રીત પક્ષપાત વગર તમામ સમસ્યાઓના સમાધાન તરીકે જોવો જોઈએ નહીં. 

નવા સંશોધન, સારું આયોજન, વધુ ભાગીદારીનું વલણ, ઉચ્ચ ઊર્જા ક્ષમતા, સારી જાહેર પરિવહન વ્યવસ્થા, ઈન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજીનો સારો ઉપયોગ સ્માર્ટ સિટીનો પાયો રહેશે. 

માનવીય જીવનના સ્તરને ઉંચે ઉઠાવવું અને માનવકેન્દ્રીત વિકાસને ઝડપી બનાવવા માટે સ્માર્ટ સિટી અને તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ એક અસરકારક માધ્યમ બની શકે છે. જો કે સ્માર્ટ સિટી ટેક્નોલોજી સેન્ટ્રિક મિકેનિકલ શહેર હોવાની માન્યતા તોડવી જરૂરી છે. આવી માન્યતા ઘણાં મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. ત્યારે સ્માર્ટ સિટી માનવ કેન્દ્રીત વિકાસ માટે ટેક્નોલોજીના સારા ઉપયોગ સાથે દેશના વિકાસ એન્જિન તરીકે અગ્રણી ભૂમિકામાં આવે તેવી આશા હોય તે સ્વાભાવિક છે. 

સ્માર્ટ સિટીનો વિચાર મૂળભૂત રીતે યુરોપિયન વિચાર છે. પશ્ચિમની દુનિયાના અનુભવ, સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાના આધારે તેમણે તેને વિકસિત કર્યો છે. પરંતુ તેની બિલકુલ નકલખોરીના જોખમો ઘણાં વધારે છે. યુરોપિયન વિચાર હોવાથી તેનો વિરોધ કરવો તેવું વલણ પણ યોગ્ય નથી. માત્ર તેમણે પોતાના અનુભવોના આધારે આ વિચારને પોતાના પરિવેશમાં ઢાળ્યો છે. ત્યારે સ્માર્ટ સિટીના વિચારને ભારતીય સંદર્ભોમાં જોવો ખૂબ જરૂરી છે. 

સ્માર્ટ સિટી શહેરીકરણની ચરમસીમા ગણી શકાય. શહેરીકરણ ભારત માટે કોઈ નવી વાત નથી. પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણોના અત્યાર સુધી મેળવવામાં આવેલા પડાવોમાં ભારત અમેરિકા, યુરોપ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો કરતા પાછળ છે. શહેરીકરણના તબક્કામાં પ્રવર્તમાન સમયમાં સૌથી ઉપલી કક્ષામાં સ્માર્ટ સિટીના વિચારને મૂકી શકાય છે. 

ભારતનો મોટા ભાગે અનુભવ છે કે કોઈ વિચારને યુરોપ, રશિયા, અમેરિકા, ચીન, બ્રાઝીલની તર્જ પર ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે, તો તેના સારા પરિણામોના સ્થાને દુષ્પરિણામો અને નવી સમસ્યા સમયસમય પર સામે આવી છે. એટલે કે અન્યોના વિચારના આધારે ભારતના વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે સ્વદેશી પરિપ્રેક્ષ્યો અને સંદર્ભોને અવગણી શકાય તેમ નથી. 

ભારતીય જીવન પદ્ધતિ, સાંસ્કૃતિક મૂલ્યોને સંરક્ષિત કરીને દુનિયાની અગ્રણી હરોળમાં અગ્રક્રમે વિકાસિત દેશ તરીકે ભારતે સ્થાન અવશ્ય ઉભું કરવું જોઈએ. તેના માટે શહેરીકરણનો વિરોધ જ કરવો તેવું કોઈ વલણ જોખમોથી પર નથી. સાથે સ્માર્ટ સિટીની દિશામાં આગળ વધવા માટે ભારતમાં હજી લગભગ 6 લાખ જેટલા નાના-મોટા ગામડા છે, તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. સ્માર્ટ સિટી તકોને અમુક શહેરો સુધી મર્યાદીત કરવાના સ્થાને તેને વિકેન્દ્રિત કરવાની દિશામાં ભૂમિકા ભજવે તેવી એક પ્રામાણિક કોશિશોનો પરિપાક હોવો જોઈએ. તેનાથી 100 જેટલા સ્માર્ટ સિટી દેશભરમાં તેની આજુબાજુના ઘણાં વિસ્તારોમાં રહેતા લોકોને સારી તકો પુરી પાડશે. ભારત સરકારના મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાના પ્રોજેક્ટો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ તેના માટે યુરોપિયન સ્માર્ટ સિટી દ્રષ્ટિકોણનું અંધાનુકરણ યોગ્ય નથી.

ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો છે. પ્રાચીન સમયમાં જનપથનો વિચાર હતો. ગામડાઓ અને શહેરો વચ્ચે પ્રાચીન કાળથી જ ભારતમાં સામંજસ્યપૂર્ણ વ્યવસ્થા હતી. આપણે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ વિચારમાં આગળ વધીને સારા પરિણામો પ્રાપ્ત કરી શકીશું. પ્રાચીન ભારતમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વચ્ચે કોઈ વિભાજન હતું નહીં. કોશલ જનપથની રાજધાની અયોધ્યા, માલવા જનપથનું પાટનગર ઉજ્જૈન અને વિજયનગર સામ્રાજ્યના શહેરો તેના ઉદાહરણ છે. 


સ્માર્ટ સિટીની સફળતા તેના સૂત્રધારોના સ્માર્ટ હોવા પર નિર્ભર કરશે. તેના માટે નાગરિકોની માનસિકતામાં પરિવર્તન જરૂરી છે. મોટી જનભાગીદારી માટે જાગરૂકતા ઉભી કરવી જરૂરી છે. સ્માર્ટ સિટીના પ્રબંધનના જવાબદાર લોકોને વિશિષ્ટ રીતે તાલીમબદ્ધ કરવા જરૂરી છે. સ્માર્ટ સિટીનો અર્થ માત્ર સોફ્ટવેર અથવા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા સંચાલિત અસ્વાભાવિક શહેરો નથી. સ્માર્ટ સિટી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને સમૃદ્ધ બનાવવા આધાર ઉભો કરવા માટે મદદરૂપ થાય તેવી એક મોટી અપેક્ષા જરૂરથી દેશના લોકોની રહેશે. 

સ્માર્ટ સિટીની સ્માર્ટનેસમાં ઊર્જા, ટ્રાન્સપોર્ટ અને આઈટીને પરસ્પરાવલંબી અને સમાંતર ભૂમિકા રહેશે. સ્માર્ટ ગવર્નન્સ તેની કરોડરજ્જૂ હશે. ભારતના શહેરોના પ્રબંધનમાં ઘણી બધી કોઓર્ડિનેશનની ઉણપો દેખાય છે. તેનું સરળીકરણ કરીને તેને વધારે અસરકારક બનાવવામાં આવશે.


ભારતના શહેરીજીવનના પડકારો

હાલ ભારતના શહેરી જીવનના બે કલાક દરરોજ ટ્રાફિકના નામે કુરબાન થાય છે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં એક કિલોમીટર સડક પર 170 વાહનોનું ઘનત્વ છે. આગામી 20 વર્ષોમાં ટ્રાફિક જામનો સમય બે ગણો થવાનું આકલન છે. ખાનગી પરિવહનના વાહનોને ભારતમાં વધારે વિસ્તરણ થવાની તકો આપવામાં આવી છે. તેને કારણે જાહેર પરિવહન સેવાઓ બેહદ કમજોર થઈ ગઈ છે. આજે ભારતના શહેરી વિસ્તારોમાં 70 ટકા જેટલો વાહનવ્યવહાર ખાનગી રાહે થાય છે. તેને અડધો કરવાની જરૂરત છે. 

કાર્બન ઉત્સર્જન, દુર્ઘટનાઓ અને તણાવ પણ ટ્રાફિકની અવ્યવસ્થાના મોટા પરિણામ છે. પાણી પુરવઠો, કચરાનો નિકાલ અને વીજળીની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ભારતના શહેરોની મળખાગત સુવિધા વૈશ્વિક માપદંડોના આધારે બિલકુલ નબળી છે.

તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, ભારતના 908 શહેરો દરરોજ 3.80 અબજ લિટર પ્રદૂષિત પાણી પેદા કરે છે. જેમાંથી 2.80 અબજ લિટર ગંદૂ પાણી કોઈપણ પ્રકારના ઉપચાર વગર સીધું જ નદીઓમાં છોડી દેવામાં આવે છે. 113 શહેરો દ્વારા ગંગા અને તેની સહાયક નદીઓના વિસ્તારમાં દરરોજ દોઢ અબજ લિટર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે.

પ્રોફેસર સુરેશ તેન્ડુલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે, 25.7 ટકા શહેરી ગરીબી રેખાની નીચે છે. મકાનોની ઉપલબ્ધતા સંદર્ભે નિષ્કર્ષો શહેરી વિસ્તાર માટે ઘણાં ગંભીર છે. આજની જરૂરિયાત પ્રમાણે કુલ ત્રણ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત છે. આ અંતર 2030ના સમયગાળામાં ખૂબ વધવાનું છે. ત્યારે લગભગ પાંચ કરોડ જેટલા મકાનોની જરૂરિયાત રહેશે.

2007માં 83 અબજ લિટરપાણીની જરૂરિયાત હતી. પરંતુ માત્ર 56 અબજ લિટર પાણીની આપૂર્તિ થઈ શકી હતી. એટલે કે 27 અબજ લિટર પાણીની અછત હતી. વર્ષ 2030માં 189 અબજ લિટર પાણીની જરૂરિયાત સામે માત્ર 95 અબજ લિટર પાણી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે પાણીની ઉણુપ 27 અબજથી વધીને 96 અબજ ડોલર સુધી થઈ જશે. હાલ દર વર્ષે 5.10 કરોડ ટન કચરો પેદા થાય છે. 2030માં વધીને 37.70 કરોડ ટન થઈ જશે. આ સિવાય સડકોની અછત અને રેલવે વ્યવહારના મામલામાં સમસ્યાઓ ખૂબ વધે તેવી શક્યતા છે.

આજે ત્રણ ભારતીયોમાંથી એક વીજળીથી વંચિત છે. જે વિસ્તારોમાં વીજળી પહોંચી રહી છે, ત્યાં તેની આપૂર્તિ ઘણી ઓછી છે. હાલમાં દેશમાં પ્રતિ વ્યક્તિ વીજળીનો ઉપયોગ વિશ્વની સરેરાશના 1/3 જેટલી છે. ચીનના સરેરાશ વીજ ઉપયોગના 35 ટકા અને બ્રાઝીલના સરેરાશ વીજ ઉપયોગના 28 ટકા છે. વીજળીની અછત શહેરીકરણ અને વિકાસની સૌથી મોટી અડચણ છે. વીજળી, પાણી, સીવર, મકાન, વાહનવ્યવહાર,શિક્ષણ સહીતની સમસ્યાઓ સિવાય આરોગ્ય, આર્થિક,સામાજિક અને પર્યાવરણના અભૂતપૂર્વ સંકટની શક્યતાઓ આયોજનની ઉણપને કારણે વિકરાળ બને તેવી શક્યતા છે.

માત્ર સ્માર્ટ સિટીની સુવિધાઓ જ પુરતી નથી

વૈશ્વિક જરૂરિયાતોની પૂર્તિ કરનારા શહેરોના વિકાસની દ્રષ્ટિએ ભારત પાસે એક સારી તક છે. ભારતમાં હજી મોટાભાગના શહેરી માળખાનું નિર્માણ કરવાનું બાકી છે અને શહેરીકરણના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત પાસે શહેરીકરણના મોડલને પરિવર્તિત કરવાની અને સારા વિચારબદ્ધ આયોજન સાથે શહેરોના વિકાસ માટે પુરતો સમય હજી ઉપલબ્ધ છે. શહેરીકરણમાં માનવીય ઉષ્મા, સમાજ અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી જેવા મામલાઓ પર પણ પુરતું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બનશે. માત્ર સુવિધાઓ ઉપલબ્ધ થઈ જવાથી આવા વિષયોની જાળવણી થવાની નથી. તેના માટે પણ વિશિષ્ટ બાંધણી અને કોશિશોની જરૂર રહેશે. માણસને મશીન તરીકે જોવો એ પણ સ્માર્ટ સિટીની કલ્પના નહીં જ હોય. સ્માર્ટ સિટી માણસ માટે બનવાના છે અને માણસ તેમાં માણસ બનીને રહી શકે તેવી એક અપક્ષા પણ જરૂરથી હોઈ શકે છે.



No comments:

Post a Comment