Tuesday, June 23, 2015

આઈએસઆઈએસના ભારત પર આતંકી જોખમની અવગણના ખતરનાક, બહુવિકલ્પીય વ્યૂહાત્મક સજ્જતા જરૂરી

-      પ્રસન્ન શાસ્ત્રી

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે પોતાને અન્ય ઈસ્લામિક આતંકી જૂથો કરતા અલગ સાબિત કર્યું છે. જેના કારણે તે ભૂતકાળના અને હાલના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરતા ખૂબ ઝડપથી વિસ્તરણ પામ્યું છે. ઈસ્લામિક સ્ટેટ આજનું આતંક ફેલાવામાં સૌથી સફલ અને ઈતિહાસનું સૌથી અમીર આતંકી સંગઠન છે. ઈસ્લામના નામે આતંક ફેલાવવાની આઈએસની ક્ષમતાઓને કારણે તેની તરફ મુસ્લિમ વિશ્વના કટ્ટરવાદીઓ મોટા પ્રમાણમાં આકર્ષાયા છે. આઈએસ અન્ય આતંકવાદી જૂથો સાથે મળીને ભારતને નિશાન બનાવવાની વેતરણમાં હોય તો તેનાથી નવાઈ પામવા જેવું નથી.

તાજેતરમાં ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા પહેલી વખત ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા દેશમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરાયું છે. ઈસ્લામિક સ્ટેટ તરફથી સંભવિત આતંકી હુમલાનું એલર્ટ ભારતમાં પહેલી વખત ઈન્ટેલિજન્સ એજન્સીએ જાહેર કર્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે, ઈસ્લામિક સ્ટેટના 35 જેટલાં જેહાદી મોડ્યુલ્સ ભારતમાં સક્રિય હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.તો જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓની સભાઓમાં પાકિસ્તાનના ઝંડા તો ફરકાવાયા જ છે.

પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે અહીં ભાગલાવાદીઓની સભાઓમાં ઈસ્લામિક સ્ટેટના વાવટા પણ છેલ્લા એક વર્ષ જેટલાં સમયગાળામાં છાશવારે ફરકતા રહે છે. હવે કાશ્મીર ખીણમાં ઈસ્લામિક સ્ટેટની તરફેણમાં લખાણો પણ કેટલાંક સ્થાનો પર દેખાયા છે.

એક વાત ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ ભારતમાં પાકિસ્તાનપરસ્ત ભાગલાવાદીઓ અને આતંકવાદીઓનું પ્રવેશદ્વાર રહી છે. હવે ઈસ્લામિક સ્ટેટ માટે ફરકી રહેલા વાવટા અને તેના તરફેણના લખાણો અરેબિયન ક્ષેત્રથી સંચાલિત દારુલ-ઈસ્લામની ખેવના ધરાવતા ઈસ્લામિક આતંકવાદીઓનું પણ પ્રવેશદ્વાર બની શકે છે. આ મામલો આખા દક્ષિણ એશિયા માટે ખતરનાક છે. પાકિસ્તાનમાં કરાચી ખાતે શિયા સમુદાયના લોકોની બસ પર હુમલો કરીને 45 લોકોને મારી નાખવાના મામલામાં ઈસ્લામિક સ્ટેટનું નામ ખુલ્યું છે. તો અફઘાનિસ્તાનમાં 10 તાલિબાનોને મારી નાખવામાં પણ ઈસ્લામિક સ્ટેટની સીધી સામેલગીરી હતી.

ઈસ્લામિક સ્ટેટની આતંકની આગ સીરિયા-ઈરાક થઈને અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે. જો કે ઈસ્લામિક આતંકની ઈસ્લામિક સ્ટેટની આગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લાગેલી બીજી આગથી અલગ પ્રકારની છે. સાથે તેની વધુ ઉગ્ર પણ છે.

ઈસ્લામિક સ્ટેટ ભારત માટે જોખમ હોવાના મામલે ચર્ચા કરતા પહેલા એ જાણવું બેહદ જરૂરી છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હકીકતમાં છે શું? આઈએસઆઈએસને અલ-તવહિદ અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ પણ કહેવામાં આવે છે. તે સુન્ની ઈસ્લામિક આતંકવાદી જૂથ છે. હાલ ઈરાક અને સીરિયામાં તે બર્બર હિંસા અને આતંક ફેલાવી રહ્યું છે. સીરિયાનો લગભગ 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર આઈએસના કબજામાં છે. ઈરાકના પણ સુન્ની બહુલ વિસ્તારો મોસુલ જેવા ઘણાં મોટા શહેરો તેમના નિયંત્રણમાં છે. આઈએસ શરિયાના કાયદા હેઠળનું ઈસ્લામિક રાજ્ય બનાવવા ઈચ્છે છે. પોતાના ઈસ્લામિક સ્ટેટમાં સુન્ની પંથી આતંકી જૂથ સીરિયા, ઈઝરાયલ,જોર્ડન, લેબેનન,ઈજીપ્ત, દક્ષિણ તુર્કી અને પેલેસ્ટાઈનના ક્ષેત્રોને સામેલ કરવા ઈચ્છે છે.

અમેરિકા અને નાટો દળોના ઈરાક પર આક્રમણ બાદ ગુરિલ્લા યુદ્ધમાં આઈએસઆઈએસનો જન્મ થયો છે. અલકાયદા ઈન ઈરાક જૂથે અહીં સુન્ની બળવાખોરોની આગેવાની લીધી હતી. ગત વર્ષે 29 જૂને અબુ બકર અલ બગદાદીએ આઈએસઆઈએસ દ્વારા કબજે કરેલા વિસ્તારને ઈસ્લામિક સ્ટેટ જાહેર કરીને પોતે તેનો સ્વયંભૂ ખલીફા બની ગયો. અમેરિકા અને મિત્રદેશોની સેનાઓની ઈરાકમાંથી સ્વદેશ વાપસી બાદ અહીં નાગરિક યુદ્ધ શરૂ થયું અને પાવર વેક્યુમ સર્જાયું. આ પાવર વેક્યુએમ ઝડપથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ ભરી દીધું.

હાલ આઈએસઆઈએસ ભારતથી દૂરના વિસ્તારોમાં યુદ્ધો ખેલી રહ્યુ છે. દેખીતી રીતે ભારતને સીધો ખતરો આઈએસ દ્વારા હોય તેવું લાગતું નથી. આઈએસનો પ્રાથમિક ઉદેશ્ય ઈરાક અને સીરિયાના ક્ષેત્રો પર કબજો જમાવીને સ્વતંત્ર દેશ બનાવવાનો છે. જો કે તેનાથી દિગ્ભ્રમિત થઈને એમ માનવાની જરૂર નથી કે ભૌગોલિક રીતે ઘણું દૂર રહેલું ઈસ્લામિક સ્ટેટ ભારત માટે જોખમ નથી. ઈસ્લામિક સ્ટેટ પાસે ઈસ્લામિક આતંકની રણનીતિ હેઠળ વૈશ્વિક મહત્વકાંક્ષાઓ પણ છે. આઈએસ વિશ્વમાં વસતા મુસ્લિમોની ખિલાફત સ્થાપીને વૈશ્વિક શક્તિ બનવાનું અંતિમ લક્ષ્ય ધરાવે છે. ભારત વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરવતા પ્રથમ ત્રણ દેશોમાં સામેલ છે. ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ 125 કરોડના દેશમાં 18 કરોડથી 20 કરોડ જેટલાં મુસ્લિમો હોવાનો અંદાજ છે. ભારતની વસ્તીના પ્રમાણમાં મુસ્લિમો 14 ટકાની આસપાસ છે. પરંતુ તેમની રાજકીય શક્તિઓ ભારતમાં ઘણી વધારે છે. આ સિવાય પાકિસ્તાન અને અન્ય ઈસ્લામિક વિશ્વના દોરીસંચાર હેઠળ આતંકી પ્રવૃત્તિઓને પણ ખાસું પીઠબળ સાંપડી રહ્યું છે. આવા સંજોગોમાં શક્તિશાળી બની રહેલું ઈસ્લામિક સ્ટેટ ભારતના મુસ્લિમોમાં પણ પોતાની પહોંચ બનાવી શકે છે. હાલ ભારતમાંથી ઈસ્લામિક સ્ટેટમાં કથિત જેહાદમાં સામેલ થયેલા 11 મુસ્લિમોની માહિતી છે. જેમાંથી એક ભારત પાછો ફર્યો છે અને હાલ એનઆઈએની કસ્ટડીમાં છે. પાંચ લોકો લડાઈમાં માર્યા ગયાનું માનવામાં આવે છે. જો કે હજી પણ ભારતમાંથી ગયેલા પાંચ મુસ્લિમો ઈરાક અને સીરિયાના મોરચાઓ પર લડી રહ્યા છે. તો બ્રિટનથી આઈએસમાં જોડાયેલા ભારતીય મૂળના બે આત્મઘાતીઓની વાત પણ સામે આવી છે. તેમાં ખાસ વાત એ છે કે આ આત્મઘાતી ઈસ્લામિક આતંકીઓના પૈતૃક ગામ ગુજરાતના ભરૂચ જિલ્લા સાથે સંબંધિત છે.
અબુ બકર અલ બગદાદીએ જેહાદીઓને કરેલા પહેલા સંબોધનમાં મુસ્લિમોને ચીન, ભારત, પેલેસ્ટાઈન, સોમાલિયા, અરેબિયન ક્ષેત્ર, સીરિયા, ઈજીપ્ત, ઈરાક, ઈન્ડોનેશિયા,અફઘાનિસ્તાન, ફિલિપિન્સ, ઈરાન,પાકિસ્તાન, ટ્યુનિશિયા, લીબિયા, અલ્જેરિયા અને મોરક્કોમાં સત્તા કબજે કરવા લડાઈ લડવાની વાત કરી હતી. બગદાદીનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમો સાથે નાઈન્સાફી થઈ છે. તેની વેબસાઈટ પ્રમાણે, આઈએસની આખરી યોજનામાં ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહીતના ક્ષેત્રોને પોતાના વર્ચસ્વ હેઠળ લાવાવની શેખી હાંકી છે.

હાલ ભારતથી તેનું અંતર તેની મહત્વકાંક્ષાઓમાં મોટી અડચણ છે. પરંતુ તેના ભારત માટેના ઈરાદા ખૂબ જ સ્પષ્ટ છે. બગદાદીએ પોતાના ભાષણોમાં ઘણી વખત ભારતનો ઉલ્લેખ કર્યો છે. દક્ષિણ એશિયાના ઈસ્લામિક આતંકવાદમાં અલ-કાયદા અને તેના બગલબચ્ચાઓ તાલિબાન તથા લશ્કરે તોઈબાનું વર્ચસ્વ છે. તે ઈસ્લામિક સ્ટેટથી વિચારધારાત્મક રીતે ખૂબ નજીક છે અને ફક્ત ભારત પર ધ્યાન કેન્દ્રીત કરવાની વ્યૂહરચના પર આગળ વધવાને જાહેર કરી ચુક્યું છે.

આતંક ફેલાવવામાં સફળ રહેલું આઈએસ અન્ય ઈસ્લામિક આતંકી સંગઠનોથી પોતાને અલગ સાબિત કરતું રહ્યું છે. તેનું વિસ્તરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને ઈતિહાસનું સૌથી ધનિક આતંકી જૂથ પણ બન્યું છે. તેની તરફ યુરોપ, અમેરિકા, એશિયા, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ઘણાં લોકો આકર્ષિત થઈ રહ્યા છે. ટ્યુનિશિયા અને કેન્યાના આતંકવાદી હુમલામાં પણ ઈસ્લામિક સ્ટેટની સામેલગીરી સામે આવી છે. ત્યારે પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આઈએસની આતંકી પ્રવૃત્તિઓ સ્થાનિક તાલિબાનો અને અન્ય આતંકી જૂથો સાથે મળીને વધી રહી છે. આવા સંજોગોમાં ભારત પર આવા આતંકી હુમલાની આઈએસનું કોઈ ષડયંત્ર નકારી શકાય તેવી સ્થિતિ નથી.

આઈએસ સામે છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ગઠબંધન સેનાઓએ હવાઈ હુમલા શરૂ કર્યા છે. પરંતુ તેની પાછળ અબજો ડોલરના ધૂમડા છતાં ધારી સફળતા મળી શકી નથી. આવા સંજોગોમાં ઈસ્લામિક સ્ટેટનું જોખમ અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો સેનાઓની વાપસી સાથે તેની ચરમસીમાએ હશે. ભારત પણ તેના આતંકી ખતરાથી પર રહી શકે તેવી સ્થિતિ આગામી સમયમાં ટકી નહીં શકે.

આવા સંજોગોમાં ભારતે અલગ-અલગ પ્રકારના આતંકવાદી જૂથોની નશ્યત માટે જુદી-જુદી વ્યૂહરચનાથી વિચારધારાત્મક સ્તરથી માંડીને સૈન્ય કાર્યવાહી સુધીના તમામ મોરચે મજબૂત વ્યૂહરચના સાથે નિર્ણાયક યુદ્ધ માટે ઉતરવું પડશે. જેમાં ભારતે જરૂર પડે ત્યારે મધ્ય-પૂર્વ અને ઉત્તર-પૂર્વ આફ્રિકામાં લશ્કરી કાર્યવાહીઓમાં ભારતના રાષ્ટ્રહિતોની સુરક્ષા માટે મર્યાદીત કે સંપૂર્ણ સામેલગીરી સુધીના વિકલ્પોને ખુલ્લા રાખવા પડશે.  આ સિવાય  મોરક્કો અને અલ્જેરિયાની જેમ મોડરેટ થિયોલોજીકલ રાહે કટ્ટરવાદની સમાપ્તિ માટે વિચારધારાત્મક સ્તરે પણ એક મોટું યુદ્ધ લડવું પડશે. તો ઈજીપ્ત અને જોર્ડન જેવા દેશોની જેમ આઈએસની વિચારધારા સાથે પોતાને જોડતા કટ્ટરવાદીઓને જેલભેગા કરીને કાર્યવાહી કરવાના વિકલ્પો પણ હાથ ધરવા પડશે.

આ સિવાય ઈસ્લામિક વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંદર્ભે અને તેનાથી ભારતની અંદર તથા બહાર રાષ્ટ્રીય હિતોને નુકસાન સંદર્ભેની ઈન્ટેલિજન્સ શેરિંગની વ્યવસ્થા પણ વધુ મજબૂત નેટવર્કથી અન્ય દેશો સાથે સંકલનથી બહેતર બનાવવી પડશે. તેના માટે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મિડલ-ઈસ્ટ સહીતના ક્ષેત્રોમાં વધુ મજબૂત ઈન્ટેલિજન્સ નેટવર્ક બનાવવા માટે વ્યૂહાત્મક સ્વતંત્રતા આપવી જરૂરી છે. જેથી ઈસ્લામિક સ્ટેટ અને તેના જેવા અન્ય આતંકવાદી જૂથોને જરૂર પડે તેમની ભાષામાં જવાબ આપી શકાય. તો પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો સાથે સિક્યુરિટી લિન્ક્સ પણ ઉભી કરવી જરૂરી છે.

પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકારી આંકડા કરતા વધુ પ્રમાણમાં ગેરમાર્ગે દોરાયેલા ભારતના મુસ્લિમ યુવાનો ઈસ્લામિક સ્ટેટમાં જોડાયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાડી દેશોમાં ભારતના ઘણાં લોકો કામ કરી રહ્યા છે. તેમાંથી કેટલાંક ગેરમાર્ગે દોરાયેલા ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરીત થઈને ઈરાક અને સીરિયામાં જોડાયા હોય કે આગામી સમયમાં જોડાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે ખાડી દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો અને ભારતમાંથી ગયેલા નાગરિકોનો ડેટાબેસ ત્યાંના ભારતીય રાજદૂતાલયો દ્વારા તૈયાર કરવો જરૂરી છે. તેના સિવાય તેમના વિશે જરૂરી તમામ માહિતી હોવી પણ ખૂબ જ જરૂરી છે.

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં કાશ્મીર અને ગુજરાતના નામે ભારતમાં રહેતા ઘણાં મુસ્લિમ યુવાનોની સામેલગીરી ભૂતકાળમાં સામે આવી છે. હવે ભારત વિરુદ્ધ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા દ્વારા થઈ રહેલું નવું વિષવમન રાષ્ટ્રીય હિતો સામે નવા સામરિક પડકારો પેદા કરી રહ્યું છે. જેના કારણે ભારતે એક નવા જ પ્રકારનું લાંબુ યુદ્ધ લડવું પડશે. આ યુદ્ધ માત્ર જમીન પર સૈનિકો દ્વારા જ નથી લડાવાનું. પણ તેના વિચારધારાત્મક સ્તરે આવા તત્વોના મગજથી માંડીને તેમના વર્ચસ્વવાળા વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી સુધી માનવતાની જીત માટે લડવું પડશે. જો કે ઈસ્લામિક સ્ટેટના આતંકની હકીકત એ છે કે અહીં આરબ સામ્રજ્યવાદની બોલબાલા છે. બિનઆરબી મુસ્લિમોની તેવો કોઈ ગણતરી કરતા નથી અને તેને ઉતરતા ગણે છે.

No comments:

Post a Comment