ગુરુવાર, 14 મે, 2026

જો મમતા બેનર્જી જનાદેશનો અનાદર કરે, તો પ.બંગાળના CM પદ પરથી તુરંત તગેડી મૂકવા જોઈએ

આનંદ શુક્લ (Anand Shukla) : લોકશાહી (Democracy) માં જનાદેશ સર્વોચ્ચ છે. સત્તાધારીને ક્યારેય સત્તા ગુમાવવી ગમતી નથી. પણ લોકશાહીનો સિરસ્તો છે કે ચૂંટણી પ્રક્રિયા (Election Process) થી ચૂંટાયેલા પક્ષને સત્તાની સોંપણી કરવી. પણ પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ (Trunmool Congress) ની હાર બાદ પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Benerjee) એ પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું છે કે તે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે.

 

Mamata Benerjee ની રાજકીય ત્રાગાબાજીનો એપિસોડ શરૂ

 

મમતા બેનર્જી ચૂંટણી પંચ (Election Commission) પર આરોપો લગાવીને કહ્યુ છે કે અમે હાર્યા નથી. અમારી 100 બેઠકો ચોરી લેવાઈ છે. અમારી લડાઈ ભાજપથી નથી, પણ ચૂંટણી પંચ સામે હતી. મમતા બેનર્જીએ કહ્યું છે કે હું હારી નથી, માટે હું રાજભવન જઈશ નહીં. હું રાજીનામું આપીશ નહીં.

 

મમતા બેનર્જીએ કહ્યું છે કે ન્યાયતંત્ર નહીં, ચૂંટણી પંચ પક્ષપાતી છે. ભારત સરકાર એક પાર્ટી રુલ જોવા ચાહે છે, તો લોકો કેવી રીતે ન્યાય કરશે. તમે બધું જોરજબરદસ્તીથી કબજે કરવા ચાહો છો. અમે બાઉન્સ બેક કરીશું. અમે લડાઈ ચાલુ રાખીશું.

 

ભારતના ઈતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી કે ચૂંટણી પ્રક્રિયામાં હાર્યા પછી કોઈ મુખ્યમંત્રીએ રાજીનામું આપવાનો એટલે કે સત્તા છોડવાનો ઈન્કાર કર્યો હોય અને જનાદેશ (Mandate) નું અપમાન કર્યું હોય. મમતા બેનર્જીના જે પણ મુદ્દાઓ હતા, તે બધાં મુદ્દે તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. મામલો SIR નો હોય કે ચૂંટણી પંચને લગતો સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી જ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે SIR ની કાર્યવાહી બાદ ચૂંટણી પંચે તટસ્થ ચૂંટણીઓ કરાવવા માટે કેન્દ્રીય પોલીસ દળ - સીઆરપીએફ (CRPF) ને પણ ઘણી મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળમાં તહેનાત કર્યું હતું. ત્યારે બે તબક્કામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો પર ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં ભાજપને 207 અને કોંગ્રેસને 80 બેઠકો પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસને 2 અને ડાબેરી મોરચાને 2 બેઠકો જ પ્રાપ્ત થઈ છે.

 

ભારતમાં સત્તાપરિવર્તન વખતે જનાદેશ (Mandate) નો હંમેશા થયો છે આદર

 

1977માં જ્યારે કોંગ્રેસ (Congress)ને હટાવીને સીપીએમ (CPM) ના નેતૃત્વમાં ડાબેરી મોરચો (Left Front) સત્તા પર આવ્યો, ત્યારે કૉંગ્રેસના નેતૃત્વે આ સત્તા પરિવર્તન સામે કોઈ સવાલ ઉઠાવ્યો ન હતો. તે સમયે પણ કૉંગ્રેસના નેતૃત્વ પર ખાસ કરીને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને લઈને ચૂંટણી પ્રક્રિયાને લગતા ઘણાં આક્ષેપો થતા રહ્યા છે. 1977માં પશ્ચિમ બંગાળમાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કટોકટી બાદ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ના નેતૃત્વવાળા કાર્યવાહક પ્રશાસને જ આ ચૂંટણી કરાવી હતી અને પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયું હતું.

 

જ્યારે ડાબેરીઓના શાસનને હટાવીને મમતા બેનર્જી ખુદ 2011માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા, ત્યારે પણ ડાબેરીઓએ ક્યારેય ચૂંટણી પ્રક્રિયાને લઈને સવાલ ઉભાં કરીને મમતા બેનર્જી સામે ત્રાગાં કર્યા ન હતા.

 

રાષ્ટ્રીય રાજનીતિમાં પણ કટોકટી બાદ જનતા પાર્ટી (Janta Party) ની સરકાર સત્તામાં આવે અને તેના પછી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન થકી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તામાં આવે. રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ 413 બેઠકોમાંથી વિપક્ષમાં ફેંકાય જાય અને વી. પી. સિંહ (V. P.Singh) ની જનતા મોરચા (Janta Morcho) ની સરકાર સત્તામાં આવે કે અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeyee) ના નેતૃત્વવાળી એનડીએની સરકારો સત્તામાંથી દૂર થાય અને યુપીએ-1,2ની સરકારો ચાલે ત્યારે ઈવીએમ (EVM) ના વાંધાઓ જેવા મુદ્દે પણ ક્યારેય એનડીએ (NDA) ની નેતાગીરીએ જનાદેશનું અપમાન કરીને સત્તા છોડવાનો ઈન્કાર કર્યો ન હતો.

 

2014માં કેન્દ્રમાં ભાજપની લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે એનડીએની મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે પણ યુપીએ કે કોંગ્રેસે જનાદેશનું અપમાન કરતા નિવેદનો કર્યા નથી.

 

મમતા બેનર્જીની 'દીદીગીરી' બની 'દાદાગીરી', CMO માંથી તાત્કાલિક તગેડો

 

મમતા બેનર્જી હાલ જે રાજકીય ત્રાગું કરી રહ્યા છે, તે પશ્ચિમ બંગાળમાં પોતાની દીદીગીરીની રાજનીતિને જીવતી રાખવાનો એક હથકંડો માત્ર છે. ચૂંટણી પ્રક્રિયા, મતગણતરી કે અન્ય કોઈ પ્રક્રિયાલક્ષી મુદ્દાઓ હોય, શંકા-કુશંકા હોય કે આશંકા હોય તેવા સંજોગોમાં મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ સુધીની ન્યાયિક વ્યવસ્થા સુધી પહોંચી શકે છે.

 

પણ પશ્ચિમ બંગાળની જનતાના જનાદેશનો આદર મમતા બેનર્જીએ કરવો જોઈએ. જો મમતા બેનર્જી જનાદેશનો આદર કરે નહીં, તો આવા સંજોગોમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પોતાની વિશેષ શક્તિઓનો ઉપયોગ કરીને હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગવું જોઈએ અને તેનો ઈન્કાર કરવામાં આવે તો રાજ્યની વિધાનસભાને તાત્કાલિક ભંગ કરવાનો આદેશ આપીને મુખ્યમંત્રી મમતા બેનર્જીને વહેલી તકે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તગેડી મુકવા જોઈએ.

 

મુક્યમંત્રી તરફથી અન્ય કોઈ મોટું પગલું ઉઠાવવામાં આવે અથવા કોઈ મોટું સંકટ ઉભું કરવામાં આવે, તો રાજ્યપાલ અનુચ્છેદ-356નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. રાજ્યોમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતાના મામલામાં આમ કરી શકાય છે. જો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો આવી ચુક્યા છે અને સ્પષ્ટ થઈ ચુક્યું છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનવાની છે.

 

રાજ્યપાલ પાસે બંધારણ (Contitution) ના અનુચ્છેદ-164 (Article-164) હેઠળ રાજ્યમાં નવા મુખ્યમંત્રીને નિયુક્ત કરીને તેમને શપથ આપવાની શક્તિ ધરાવે છે. ચૂંટણી હારનારા પશ્ચિમ બંગાળના ત્રાગાંબાજ મુખ્યમંત્રી મમતા બેનર્જીને તાત્કાલિક બરખાસ્ત કરીને રાજ્યપાલ ધારાસભ્ય દળના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે. હકીકત એ છે કે જે જનાદેશ પશ્ચિમ બંગાળની જનતાએ આપ્યો છે, તેના પછી મમતા બેનર્જી મુખ્યમંત્રી પદે રહી શકે નહીં.

 

ચૂંટણી પંચ સામે અવિશ્વાસ પેદા કરીને અરાજકતાની રાજનીતિનો આગાજ?

 

મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદ નહીં છોડવાની ઘોષણા કરીને ચૂંટણી પંચને નિશાને લેવાની રણનીતિના ઘણાં ઘેરા રાજકીય ગૂઢાર્થો છે. જેમાં ચૂંટણી પંચ પર ઈવીએમ (EVM) માં કથિત છેડછાડના આરોપોની હેલી જે વિપક્ષી નેતાઓએ બોલાવી હતી, તેની આ આગલી કડી છે. જેનાથી બંધારણીય સંસ્થા એવા ચૂંટણી પંચની વિશ્વસનીયતાને તાક પર રાખીને અવિશ્વાસનો માહોલ અસંતોષ અને અસંતોષથી અરાજકતામાં ફેરવી શકાય. દેશભરમાં 2029ની લોકસભાની ચૂંટણી એક ક્રાંતિકારી ઈલેક્શન હશે. આ ચૂંટણી બાદ ભારતમાં લોકશાહીની પદ્ધતિ, પ્રક્રિયા અને ચૂંટણીલક્ષી રાજકારણ વધુ તાર્કિક અને પરિપકવતા તરફની ગતિ પકડશે. મહિલાઓને સંસદ-વિધાનસભામાં 33 ટકા અનામત, નવું ડિલિમિટેશન, લોકસભાની બેઠકો વધારવા જેવા મોટા નિર્ણયો લેવાના થશે. આવા સંજોગોમાં ચૂંટણી પંચ પર અવિશ્વાસ પેદા કરવો કે તેવો માહોલ ઉભો કરવો એક એવી રાજનીતિ છે કે જેમાં લોકશાહી પ્રક્રિયામાં બહુમતીનું અસમ્માન કરીને તેને સત્તાથી દૂર રાખવાના રાજકીય હથકંડાને આગળ વધારી શકાય.

 

મમતા બેનર્જીને ખબર છે કે પશ્ચિમ બંગાળની હાર બાદ વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ તેમના હાથમાંથી હવે સરકી ગયું છે. આમ તો વિપક્ષી ગઠબંધન વેરવિખેર છે. પણ 2029ની લોકસભાની ચૂંટણી પહેલા તેને ફરીથી આકાર સાંપડે તો તેવા સંજોગોમાં આ વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ ફરી એકવાર કોંગ્રેસ પાસે જ જવાનું છે. મમતા બેનર્જી હાલ જે કરી રહ્યા છે, તે રાજનીતિમાં પોતાની પ્રાસંગિકતા બરકરાર રાખવાના હવાતિયાં મારી રહ્યા છે. મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સ ખેલનારા વિપક્ષી દળો પણ મમતા બેનર્જી સાથે આવી કોરસમાં જોડાય તો નવાઈ નથી.

 

શપથગ્રહણ સમારંભ વખતે પણ રાજકીય ત્રાગાબાજી થશે?

 

9મી મેએ કોલકત્તામાં જ્યારે ભાજપ (BJP) ના નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરતા હશે, ત્યારે કે તે પહેલા મમતા બેનર્જીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ કોઈ મોટું રાજકીય ત્રાગું કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પણ આમ કરીને રાજકીય ત્રાગાખોર જનાદેશનું અપમાન કરશે અને જેની લાઠી એની ભેંસ જેવી વ્યવસ્થા એટલે કે અસંતોષથી અરાજકતાના માર્ગ પર દેશને ધકેલવાની કોશિશ થશે. પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. B.R. Ambedkar) એ આપેલું બંધારણ અને બંધારણીય વ્યવસ્થાઓ બંધારણ અપનાવ્યાના 76 વર્ષે પરિપકવ અને મજબૂત પણ થઈ ચુકી છે. જનતામાં પણ લોકશાહીને લઈને જાગૃત્તિ ઘણાં મોટા પ્રમાણમાં છે. ત્યારે મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલું રાજકીય ત્રાગું કંઈ લાંબુ ચાલવાનું પણ નથી અને તેને લાંબુ ચલાવવું પણ ન જોઈએ.

Caste Based Census: જાતિગત વસ્તીગણતરી બાદ હિંદુ રાજકીય એકતાને જોખમ, દેશની રાજનીતિમાં યૂટર્ન?

આનંદ શુક્લ (Anand Shukla) : ભારતીય રાજનીતિ (Indian politics) દુનિયામાં આગવી છાપ ધરાવે છે. ભારતની રાજનીતિના છેલ્લા 1000 વર્ષના સમયગાળાનું વિહંગાવલોકન કરીએ તો વિવિધતામાં એકતા આપણા દેશમાં જરૂર છે. પરંતુ એકતાના સૂત્રો રાજનીતિમાં વિખેરાયેલા જોવા મળે છે.

 

ઘર ફૂટે ઘર જાય...

 

આંતરીક ફૂટ (internal discord) ને કારણે રાજનીતિક એકતાની સ્થિતિ નહીં હોવાને કારણે 712થી ભારતમાં વિદેશી આક્રમણખોરોએ એક યા બીજી રીતે દેશમાં પોતાની સત્તા જમાવી. આ સત્તા જમાવનારા વિદેશી આક્રમણખોરોને અમુક અપવાદોને બાદ કરતા ભારતના જ કેટલાક લોકોનો સાથ મળી રહ્યો. આ એવા લોકો હતા જેઓ અંદરોઅંદર લડીને સત્તા મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. એકબીજા પર આધિપત્યની લડાઈમાં મુસ્લિમ સલ્તનતકાળ (Muslim Sultanate) અને મુઘલકાળ (Mughal era) ની સત્તાઓ ટકી ગઈ. પણ સચ્ચાઈ એ પણ છે કે ભારતના આત્માનું વિદેશી આક્રાંતાઓને ક્યારેય સમર્પણ થયું ન હતું.

 

જ્યારે રાજપૂત (Rajput) , જાટ (Jat) , શીખ (Shikh) અને મરાઠા (Maratha) શક્તિઓ ફરી એકવાર વિદેશી મૂળના વિચારોવાળી સત્તાને પ્રભાવહિન બનાવી રહી હતી, ત્યારે ભારતની રાજનીતિમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) થકી આવ્યો. તેનાથી પહેલા કંપની રાજ અને પછી 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ સીધું બ્રિટિશ તાજનું રાજ્ય ભારતમાં સ્થપાયું. ભારતના મોટાભાગના રાજા-મહારાજાઓ-નવાબો-સુલ્તાનોની સત્તા અંગ્રેજી સલ્તનતે એક પછી એક હસ્તગત કરી લીધી હતી. ભારત ગુલામ બન્યું. અંગ્રેજો દેશની આંતરીક ફૂટથી પરિચિત હતા અને તેમણે જાતિ-ધર્મના નામે ભાગલા કરો અને રાજ કરોની નીતિ આગળ વધારી હતી.

 

1931નો જાતિગત સેન્સસ (Census) - અનામત (Reservation) ની બંધારણીય જોગવાઈ

 

અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં સેન્સસની શરૂઆત થઈ હતી. ભારતમાં તે વખતે ધીરેધીરે જાતિગત વસ્તીગણતરી પણ થવા લાગી હતી. 1931માં થયેલા સેન્સસમાં જાતિગત વસ્તીગણતરી થઈ હતી. તેના પછી સ્વતંત્ર ભારતમાં ક્યારેય જાતિગત વસ્તીગણતરી થઈ ન હતી. હવે દેશમાં 2027માં જાતિગત વસ્તીગણતરીના આંકડા સામે આવશે.

 

સ્વતંત્ર ભારતમાં બંધારણનો જ્યારે સ્વીકાર કરાયો, ત્યારે ડૉ. બી. આર. આંબેડકરે (Dr. B. R. Ambedkar)  અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત (Reservation) ની વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા ભારતના મૂળ બંધારણ (Constitution) ની મૂળ વ્યવસ્થા છે. જેમાં આર્થિક નહીં, પણ સામાજિક કારણોથી અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સામાજિક કારણોમાં અસ્પૃશ્યતા સૌથી મોટું કારણ હતું. અત્યારે કોઈને પણ આશ્ચર્ય થાય કે કોઈ વ્યક્તિને અડી જવાથી કથિતપણે અભડાઈ કેવી રીતે જવાય? પણ આવી સ્થિતિ તે સમયે હતી અને તેમાં અનામતની વ્યવસ્થા કરવી જરૂરી હતી. આની પાછળનો ઉદેશ્ય સામાજિક ન્યાય સ્થાપિત કરવાનો હતો. ત્યારે અનુસૂચિત જાતિ માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી અને આ વ્યવસ્થામાં કોઈ ખોટ પણ નથી.

 

હિંદુ (Hindu) સમાજના જાતિમાં ભાગલા કરો- રાજ કરવાની મજા મેળવો!

 

પરંતુ સામાજિક ન્યાયને સ્થાપિત કરવાની કોશિશમાં દેશમાં ખુરશીનો ખેલ જે રીતે આગળ વધ્યો તેમાં ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા તરીકે વોટ સમીકરણો બનવા લાગ્યા હતા.

ગુજરાતની વાત કરીએ તો ખામ થિયરી (KHAM Theory) એટલે ક્ષત્રિય, હરિજન (SC) , આદિવાસી (ST), મુસ્લિમ મતોથી ચૂંટણી જીતવાનું સમીકરણ. ખામ થિયરીના રાજકારણે ગુજરાતમાં અનામતને લઈને અસંતોષ અને હિંસા પણ ઘણાં મોટા પ્રમાણમાં ફેલાવી હતી. તેવામાં મંડલ કમિશને ઓબીસીને પણ અનામતમાં સામેલ કર્યા અને 27 ટકા અનામત આપવાની શરૂઆત કરી હતી. સામાજિક ન્યાય માટે અનામત આપવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ એવી વ્યવસ્થા ઉભી કરવી કે અનામતની લાલચ આપીને વોટ અંકે કરીને સત્તા કબજે કરવાની ખોરી દાનત હોય તો તે પાર્ટીને અવશ્ય જીતાડે છે, પણ દેશ-સમાજને હરાવી દે છે. આ તમામ અનામતની વ્યવસ્થા વચ્ચે દેશમાં ત્યારે જાતિગત વસ્તીગણતરીના એકમાત્ર આંકડા 1931નો કાસ્ટ બેઝ સેન્સસ જ ઉપલબ્ધ હતો.

 

અનામતનો મુદ્દો જ્યારે જ્યારે રાજકારણમાં બહાર આવ્યો છે, ત્યારે ત્યારે સામાજિક કડવાશ ફેલાવાનું કારણ બન્યો છે. કદાચ એટલા માટે જ દેશની સત્તામાં આવનારી કૉંગ્રેસ અને ભાજપ સહીતની કોઈપણ સરકારે 1931 બાદ જાતિગત વસ્તીગણતરી કરાવી ન હતી.

 

પરંતુ દેશમાં 2012થી લઈને 2018 સુધીના સમયગાળામાં અલગ-અલગ રાજ્યોમાં બિનઅનામત વર્ગ-જૂથમાં આવતી જાતિઓએ પોતાના માટે વસ્તીના પ્રમાણમાં અનામતની માગણીથી શરૂ કરીને તેમને ઓબીસી કે અન્ય જાતિ વર્ગ હેઠળ અનામત કેટેગરીમાં સામેલ કરવાની માગણીઓ શરૂ કરી હતી.

 

ગુજરાતમાં પાટીદાર (Patidar) અનામત આંદોલન, મહારાષ્ટ્રમાં મરાઠા (Maratha) અનામત આંદોલન, રાજસ્થાનમાં ગુર્જર (Gurjar) અનામત આંદોલન અને હરિયાણામાં જાટ (Jat) અનામત આંદોલન તેના મોટા ઉદાહરણો છે. આ તમામ અનામત આંદોલનોમાં વત્તાઓછા પ્રમાણમાં હિંસા થઈ હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખોરવવાની સાથે સામાજિક તાણાંવાણામાં પણ કડવાશ ભળી હતી.

 

103મા બંધારણીય સુધારાને આધારે 14 જાન્યુઆરી, 2019ના રોજ 10 ટકા ઈકોનોમિકલી વીકર સેક્શન (EWS) કેટેગરીમાં અનામત આપવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, 50 ટકા અનામત હોઈ શકે નહીં. હા આ આદેશ પહેલા જ્યાં 50 ટકા અનામત હતું, ત્યાં તે રહેવા દેવાયું છે. આવા રાજ્યોમાંથી એક તમિલનાડુ પણ છે.

 

રામજન્મભૂમિ આંદોલન થકી હિંદુ પોલિટિકલ યૂનિટી સ્થપાય

 

પણ જ્યારે ભારતમાં જાતિવાદી રાજકારણને રામજન્મભૂમિ આંદોલન (RamJanmaBhoomi Movement) દ્વારા હિંદુત્વવાદી રાજનીતિએ હરાવવાનું ચાલુ કર્યું, ત્યારથી દેશમાં ફરી એકવાર અનામતની માગણીઓને લઈને રાજકારણ ખેલાવાનું શરૂ થયું. આવા સંજોગોમાં જાતિગત સમીકરણો સાથેના પ્રાદેશિક પક્ષો યુપી અને બિહાર જેવા રાજ્યોની સત્તામાં આવ્યા. દક્ષિણમાં પણ ઘણાં પ્રાદેશિક પક્ષોનું રાજકારણ જાતિવાદી રાજનીતિની આસપાસ છે. મંડલ કમિશનની ભલામણો પણ રામજન્મભૂમિ આંદોલન તેજ થઈ રહ્યું હતું, ત્યારે માનવામાં આવી હતી. આની પાછળનો ઉદેશ્ય દેશમાં ઉભી થઈ રહેલી હિંદુ પોલિટિકલ યૂનિટીને તોડવી.

 

પણ હિંદુત્વવાદી રાજનીતિમાં ઉતાર-ચઢાવ વચ્ચે પહેલા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગઠબંધન સરકારો બની. આની પાછળનું કારણ હતું દેશમાં ત્યારે હિંદુ પોલિટિકલ યુનિટી (Hindu Political Unity) એટલા પ્રમાણમાં ન હતી કે જેનાથી હિંદુ હિતની વાત કરનાર પક્ષ પોતાના દમખમ પર સરકાર બનાવી શકે. જેના કારણે ફરી એકવાર રામમંદિર નિર્માણ, અનુચ્છેદ-370ની જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદી અને યુનિફોર્મ સિવિલ કોડના વાયદા પુરા નહીં થવાને કારણે હિંદુ પોલિટિકલ યૂનિટી (Hindu Political Unity)  તૂટી અને જાતિવાદી સમીકરણો (Caste Based Equatons) અને મુસ્લિમ વોટબેંક પોલિટિક્સ (Muslim Votebank Politics) ની ફોર્મ્યુલાઓથી સત્તાનું કેન્દ્ર બદલાયું હતું.

 

2014માં હિંદુ પોલિટિકલ યુનિટી થકી ટર્નિંગ પોઈન્ટ

 

પણ 2014માં દેશની રાજનીતિમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ (Turning Point) આવ્યો હતો. લોકસભામાં કોઈ એક પક્ષને લગભગ ત્રણ દાયકા પછી બહુમતી મળી રહી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના લોકોમાં જગાવેલો વિશ્વાસ સૌનો સાથ-સૌનો વિશ્વાસ બનીને ચૂંટણીના પરિણામો દેખાવા લાગ્યો હતો. તેમની સરકારોએ પહેલા ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવતી કાયદાકીય જોગવાઈ કરી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પુલવામા (Pulwama) માં સીઆરપીએફ (CRPF) ના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા અને તેનો બદલો બાલાકોટ એરસ્ટ્રાઈક (Balakot Airstrike) થકી લીધો. આ પહેલા ઉરી એટેક (Uri Attack) બાદ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી હતી. આતંકવાદ સામે કડક હાથ કામ લેવાની શરૂઆત થઈ હતી. મોદી સરકારે બીજા કાર્યકાળમાં 300થી વધુ બેઠકો સાથે સત્તામાં આવીને પ્રથમ 100 દિવસમાં જ 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu- Kashmir) માંથી અનુચ્છેદ-370 (Article - 370) અને અનુચ્છેદ-35-એ (Article - 35 (A)) ને બિનઅસરકારક કર્યા.

 

તેવામાં સુપ્રીમ કોર્ટનો રામજન્મભૂમિ વિવાદમાં આદેશ આવ્યો અને આદેશ મુજબ 5 ઓગસ્ટ, 2020થી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ શરૂ થયું અને તેની 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામના બાળ સ્વરૂપ વિગ્રહની ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

 

જાતિગત વસ્તીગણતરીનું રાજકારણ

 

રામજન્મભૂમિ આંદોલન એક ધાર્મિક આંદોલન કરતા વધારે સાંસ્કૃતિક ઓળખને પુનર્સ્થાપિત કરવાની ભારતીયોની આકાંક્ષાનું આંદોલન હતું. જેના કારણે દેશભરમાં હિંદુ પોલિટિકલ યૂનિટી સ્થાપિત થઈ શકી હતી. પણ તેની સાથે ફરી એકવાર અનામતની માગણીઓ થવા લાગી. વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની માગણીઓ થવા લાગી. 50 ટકાની અનામત પરની કેપ હટાવવાના વાયદાઓ પણ થવા લાગ્યા અને છેલ્લે જાતિગત વસ્તીગણતરી માટે રાજનીતિ પણ રમાઈ.

 

કોરોનાનો સમયગાળો હોવાને કારણે 2021નો સેન્સસ થઈ શક્યો નહીં. તેના પછી ઘણાં આરોપ-પ્રત્યારોપ વચ્ચે જાતિગત વસ્તીગણતરીને સરકારે મંજૂરી આપી હતી. હવે આ વસ્તીગણતરીના આંકડા જ્યારે દેશની સામે આવશે, ત્યારે ફરી એકવાર રાજકારણનું મોડલ બદલાશે. હાલ જાતિ આધારીત ટિકિટ વહેંચણી સહીતના રાજકીય ક્રિયાકલાપો થાય છે. પણ તેની સાથે હિંદુ પોલિટિલ યૂનિટીના પરચા પણ પરિણામોમાં મળતા રહે છે.

 

5 રાજ્યોની ચૂંટણી Caste based Census પહેલાની ચૂંટણી હતી

 

તાજેતરમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કેટલાક આંકડા ઉડીને આંખે વળગે છે. આસામમાં 126માંથી 22 મુસ્લિમ ધારાસભ્યો બન્યા. આસામમાં કોંગ્રેસના કુલ 19 ધારાસભ્યોમાંથી 18 મુસ્લિમ છે. પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી 40 મુસ્લિમ ધારાસભ્યો છે અને તેમાંથી ટીએમસીના 34 મુસ્લિમ ધારાસભ્યો છે. ટીએમસીએ અહીં કુલ 80 બેઠકો જીતી છે.

 

તમિલનાડુમાં 234માંથી 9 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા છે અને તેમાંથી ડીએમકેના 3, ઈન્ડિયન મુસ્લિમ લીગના 2, કોંગ્રેસના 1 અને ટીવીકેના 3 મુસ્લિમ ધારાસભ્યો છે.

કેરળમાં 140માંથી 35 મુસ્લિમ ધારાસભ્યો છે અને તેમાં 30 ધારાસભ્યો સત્તાધારી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના છે. જેમાં 8 કોંગ્રેસના અને 22 ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના ધારાસભ્યો છે.

 

પુડ્ડુચેરીમાં પણ 30માંથી 1 ધારાસભ્ય મુસ્લિમ છે અને તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા છે.

 

4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપના એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી.

 

આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપે સરકાર બનાવી છે. આ બંને રાજ્યોની સરકારમાં પણ એકપણ મુસ્લિમ મંત્રી મંત્રીમંડળમાં સામેલ નથી. આ ભાજપની સૌની સાથે ન્યાય- તુષ્ટિકરણ કોઈનું નહીં નીતિનો ભાગ છે.

 

ગુજરાતનું પોલિટિકલ મૉડલ (Gujarat Political Model)

 

જ્યારે દેશમાં જાતિવાદી રાજકારણ પ્રત્યક્ષપણે ખેલાતું હતું, ત્યારે વોટ સમીકરણો સાધવા માટે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ પણ તેની સર્વોચ્ચ રાજકીય સપાટીને સ્પર્શી ગઈ હતી. પણ આ વોટબેંકના પોલિટિક્સને નિશાન બનાવતા ભાજપે હિંદુ પોલિટિકલ યુનિટી થકી તુષ્ટિકરણ વિરોધી એક પોલિટિકલ મોડલ ગુજરાતથી તૈયાર કર્યું હતું. ગુજરાતમાં કેશુભાઈ પટેલના વખતમાં એક મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઈ હતી. પણ તેના પછી ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. સામાન્ય રીતે માનવામાં આવતું હતું કે મુસ્લિમોના મત વગર કોઈ પક્ષ જીતી શકે નહીં અને મુસ્લિમોને મંત્રી બનાવ્યા વગર સરકાર પણ બનાવી શકાય નહીં. તેના માટે ઠેકઠેકાણે જુદાજુદા પક્ષો મુસ્લિમ વોટબેંકને પોતાની તરફ ખેંચવા આકાશ-પાતાળ એક કરતા હતા. પણ ગુજરાતમાં ભાજપના પોલિટિકલ મોડલે હિંદુ પોલિટિકલ યૂનિટી થકી સાબિત કરી દીધું હતું કે મુસ્લિમોના નગણ્ય મત છતાં જીતી શકાય છે અને મુસ્લિમને મંત્રી બનાવ્યા વગર પણ સરકાર બનાવી પણ શકાય છે અને ચલાવી પણ શકાય છે.

 

ઈમરજન્સી બાદ ભારતની રાજનીતિમાં રામજન્મભૂમિ આંદોલનના બે પડાવ-1990ની કારસેવા (Karseva) અને 1992ની બાબરી ધ્વંસ (Babri Demolition) ની ઘટના એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ ઘટનાઓ બાદ દેશના રાજકીય પક્ષોએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાનું પણ ઘટાડયું અને વિધાનસભા (Asembly) -લોકસભા (Loksabha) ઓમાં પણ મુસ્લિમ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા ઘટવા લાગી. જેમાં બંગાળમાં બંને તબક્કામાં 92 ટકાથી વધુનું મતદાન વોટબેંક પોલિટિક્સ (Votebank Politics) સામેના હિંદુ પોલિટિકલ યૂનિટીના સફળ થવાની સૌથી મોટી રાજકીય ઘટના છે.

 

જાતિગત વસ્તીગણતરી બાદ રાજનીતિના યુટર્ન (U-turn) ની શક્યતાથી સાવધાની જરૂરી

 

પણ હવે આ ટર્નિંગ પોઈન્ટ યૂટર્ન બની ન જાય તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલા માટે કારણ કે આ ચૂંટણીઓ કાસ્ટ બેઝ સેન્સસ એટલે કે જાતિગત વસ્તીગણતરી પહેલાની ચૂંટણીઓ છે. કદાચ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ કાસ્ટ બેઝ સેન્સસના રજૂ થયા પહેલા કે તેના આંકડા આવે તેના પહેલા યોજાય. પણ 2029ની લોકસભાની ચૂંટણી દેશના 1931 બાદના બીજા જાતિગત વસ્તીગણતરીના આંકડા સાથેની ચૂંટણી હશે. આ ચૂંટણીમાં હિંદુ પોલિટિકલ યૂનિટીની ખરેખર અગ્નિપરીક્ષા થશે. હિંદુ પોલિટિકલ યૂનિટીની ફોલ્ટ લાઈન અનામતનો મુદ્દો છે. જાતિગત વસ્તીગણતરીના આંકડા બાદ દેશમાં જાતિના પ્રમાણમાં અનામતની માગણીઓથી માંડીને 50 ટકા અનામતની કેપ હટાવવા સુધીની માગણીઓ પર વાયદાઓનું રાજકારણ ખેલાશે. આવા સંજોગોમાં 2029ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ પોલિટિકલ યૂનિટી 2014 પછીની ચૂંટણીઓમાં જોવા મળી છે, તેમાં ઘટાડો થઈ શકે અને તેવા સંજોગોમાં હિંદુઓના જાતિસમીકરણો સાથે મુસ્લિમ વોટની ઈક્વેશન્સ ચૂંટણી પરિણામો પર મોટી અસર કરી શકે છે.

 

સામાજિક પરિપવકતાનો પરિચય આપવો જરૂરી

 

આમ દેશમાં ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિના માર્ગે રાજકીય પક્ષો દોડવા લાગે તો નવાઈ પામવા જેવું નથી. આ બધાંમાં માત્ર એક જ બાબત પરિપકવતાથી કરવી જરૂરી છે કે અનામતના મુદ્દે તથ્યાત્મક અને તાર્કિક મંથન થાય, એક રાષ્ટ્રીય ડાયલોગ થાય. તેમાં ધર્મ-મજહબના આધારે મુસ્લિમ-ખ્રિસ્તી ધર્માંતરિતોને અનામત આપવા સુધીની માગણીઓ પર પણ ચર્ચા થાય અને એક રાષ્ટ્રીય નિષ્કર્ષ સામે લાવીને દેશની રાજનીતિમાં જાતિવાદ (Castism) -સેક્યુલારિઝમ (Secularism) ના નામે તુષ્ટિકરણના રાજકારણના વાગનારા યુટર્નને રોકીને ઘડિયાળના ઉંધા ફરતા કાંટાને અટકાવવા જોઈએ. નહીંતર સ્થિતિ એવી થશે કે 100મા પગથિયે પહોંચેલું ભારત 1000મા પગથિયે પહોંચવાના સ્થાને ફરીથી પહેલા પગથિયા તરફ દોડવા લાગશે. હવે આ દેશ કોઈપણ જાતિવાદી રાજકીય શતરંજમાં ફસાયા વગર સામાજિક ન્યાય અને સમતા સાથે દુનિયામાં આગળ વધતો રહે તે જ લક્ષ્યાંક હોવું જોઈએ.

પ.બંગાળનું કેસરિયું પ્રભાત 2029માં ભારતને કેસરી બનાવશે, પણ મુસ્લિમ વોટના વીટોને પુનર્જીવિત કરનાર યુટર્નથી સાવધાન

- આનંદ શુક્લ

 

પ. બંગાળમાં કેસરિયું પ્રભાત:

 

ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિના 79 વર્ષે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવીને ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના ગૃહ રાજ્યમાં શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપે 46.2 ટકા વોટ સાથે 207 બેઠકો પ્રાપ્ત કરી હતી. જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીએ 41.1 ટકા વોટ સાથે માત્ર 80 બેઠકોમાં સમેટાઈ જવાનો વારો આવ્યો. કૉંગ્રેસની સ્થિતિ એટલી કફોડી થઈ કે માત્ર 3 ટકા વોટ સાથે તેને 2 બેઠકોથી સંતોષ માનવો પડયો. પશ્ચિમ બંગાળમાં 1977થી 2011 સુધી સત્તામાં રહેલો ડાબેરી મોરચો 2026ની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ બહુલ મુર્શિદાબાદ જિલ્લાની ડોમકલ બેઠક પરથી સીપીએમના મોહમ્મદ મુસ્તફિજુર રહમાનની જીત સાથે માત્ર એક બેઠક જ પ્રાપ્ત કરી શક્યો. ડાબેરી મોરચા અને તેના ગઠબંધનના સાથીપક્ષોના કુલ મત 6.66 ટકા હતા. આમ બંગાળ લાલ રંગ જ રહ્યું.

 

પણ બંગાળ પર 2026માં કેસરી રંગ ચઢતા પહેલા 2011થી 2026ના સમયગાળામાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ સમર્થનના લીલા રંગથી રંગાયેલી હતી. તેના કારણે ઘૂસણખોરોની આળપંપાળ, હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણ જેવી નીતિઓથી પશ્ચિમ બંગાળના હિંદુઓ કંટાળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં કેસરિયું પ્રભાત ઉગે તો જ રાજ્યની ઓળખ, અસ્મિતા અને સ્વાભિમાન બચી શકે, નહીંતર મમતા બેનર્જીની જીતની સ્થિતિમાં પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશમાં ફેરવતો નવો તબક્કો શરૂ થવાની ત્યાંના લોકોને ભીતિ હતી. તેથી જ પશ્ચિમ બંગાળના બંને તબક્કામાં 92 ટકાથી વધારે મતદાન થયું અને આ એક વિક્રમજનક વોટિંગ હતું. તેમાંથી જ સંકેત મળી રહ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી માટે વળતાપાણી છે.

 

જો કે મુસ્લિમ વોટર્સ મમતા બેનર્જી પાર્ટીને સમર્થન આપવામાં દર વખતની જેમ સાથે જ હતા. જો કે ગત ચૂંટણી કરતા થોડાક વોટ જરૂરથી તૂટયા પણ એ એટલા ન હતા કે જેનાથી મુસ્લિમ વોટને મમતા બેનર્જીથી દૂર કરવાનો દાવો થઈ શકે. પરંતુ હિંદુ વોટર્સ જરૂરથી ટીએમસીથી અળગા થવા લાગ્યા હતા. તેથી જ ગત વખતે 77 બેઠકો મેળવનાર ભાજપને આ ચૂંટણીમાં 207 જેટલી માતબાર બેઠકો પ્રાપ્ત થઈ. જો કે ભાજપ અને ટીએમસી વચ્ચે 5.1 ટકાનું જ અંતર છે.

 

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે મજબૂત બનાવનારા છે. ભારત અખંડ બનવું જ જોઈએ અને તેના માટેનું પહેલું પગથિયું છે કે આજનું આપણું ભારત રાજકીય રીતે હિંદુ રાષ્ટ્ર તરીકે મજબૂત બને.

 

મુસ્લિમ વોટનો વીટો તોડનાર ગુજરાતનું પોલિટિકલ મૉડલ

 

આમ તો સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ વોટનો વીટો રાજકારણના ઉર્ધ્વગમનનું કારણ છે. સ્વતંત્રતા પછી જાતિવાદી રાજનીતિ કરીને હિંદુ સમાજના ભાગલા કરવાનું દુષ્કૃત્ય કરનારા રાજકીય પક્ષો મુસ્લિમ વોટના વીટોને વોટબેંક બનાવીને પોતપોતાના મતસમીકરણો પ્રમાણે વાપરતા રહ્યા છે. શ્રીરામજન્મભૂમિ આંદોલન થકી મુસ્લિમ વોટનો વીટો ભારતીય રાજકારણમાંથી તબક્કાવાર દૂર થયો અને તેની શરૂઆત ગુજરાતના પોલિટિકલ મોડલથી થઈ. ગુજરાતમાં એક અપવાદને બાદ કરતા 1990થી 2026 સુધી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં એકપણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. આના પહેલા સ્થિતિ એવી હતી કે સેક્યુલર દેખાવા માટે મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવા. પણ ભાજપે ગુજરાતમાં પોતાના આગવા પોલિટિકલ મોડલ તરીકે સાબિત કર્યું કે મુસ્લિમો વગર પણ ચૂંટણી જીતાય અને સરકાર બનાવીને તેને સફળતાપૂર્વક સુશાસન અને વિકાસના માર્ગે ચલાવીને સૌનું કલ્યાણ કરી શકાય છે.

 

આ સિવાય ગુજરાતના પોલિટિકલ મોડલનો સૌથી મોટો સંદેશ હતો કે જે મુસ્લિમો સાથે આવશે તેમને કોઈપણ પ્રકારના તુષ્ટિકરણ વગર સાથે રાખીને, જો કોઈ મુસ્લિમ સાથે નહીં આવે તો તેમને સાથે લીધા વગર અને જો કોઈ મુસ્લિમ વિરોધ કરશે તો તેમના વિરોધ છતાં લોકકલ્યાણ અને વિકાસની યાત્રા સુશાસનમાં ચાલુ જ રહેશે. તેને કોઈ અટકાવી શકશે નહીં.

 

ગુજરાત પછી દેશના બીજા રાજ્યોમાં પણ આ પોલિટિકલ મોડલ ધીરેધીરે સ્થાપિત થવા લાગ્યું. 18 ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતા ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ્યારે 2017માં સરકાર બની, ત્યારે પણ આ જ મોડલનું સંશોધિત સ્વરૂપ દેશને જોવા મળ્યું. મુસ્લિમ વોટના વીટોનું ફીંડલું વાળવાની સાથે સડક-શેરીઓમાં મુસ્લિમ દાદાગીરીના વીટોનું પણ બુલડોઝર એક્શન્સથી ફીંડલુવાળીને આવા તત્વોને સીધા દોર કરવાનું કામ આ મોડલ હેઠળ થયું.

 

તેના પછી પૂર્વોત્તરના રાજ્ય આસામ કે જ્યાં મુસ્લિમોની વસ્તી 33 ટકા છે, ત્યાં પણ મુસ્લિમ વોટનો વીટો ખતમ કરીને પહેલા સર્વાનંદ સોનોવાલ અને પછી હિમંત બિસ્વા સરમાએ અરાજક તત્વો સામે કડક કાર્યવાહીનું મોડલ વધુ સંશોધિત કર્યું. પૂર્વોત્તર બાદ પૂર્વમાં એકમાત્ર પશ્ચિમ બંગાળ હતું કે જ્યાં 30 ટકા જેટલા મુસ્લિમો હોવાથી મુસ્લિમ વોટનો વીટો કૉંગ્રેસના 1977 પહેલાના શાસનમાં અને ડાબેરીઓના 1977થી 2011 સુધીના રાજમાં અને છેલ્લે મમતા બેનર્જીના 2011થી 2026 સુધીના શાસનમાં જોવા મળ્યો હતો. આ સરકારો મુસ્લિમોના મોટા સમર્થનો સાથે રચાઈ હતી. તેથી મુસ્લિમોને હિંદુઓના ભોગે ઘણા પોલિટિકલ કન્સેશનો મળતા રહ્યા.

 

પણ 2026ની વિધાનસભાની ચૂંટણીએ સાબિત કર્યું કે હિંદુ વોટના વીટો સામે મુસ્લિમ વોટના વીટોની કોઈ વિસાત નથી. બટોંગે તો કટોંગે.... યોગી આદિત્યનાથ ઘણી વખત બોલી ચુક્યા છે અને પશ્ચિમ બંગાળના હિંદુઓએ જાતિઓમાં વિભાજીત થવાનું સ્વીકાર્યું નહીં અને હિંદુ તરીકે વોટ કર્યો. તેનું પરિણામ છે રાજ્યમાં સત્તાપરિવર્તન.

 

બિનભાજપી પક્ષો જાણે કે નવી મુસ્લિમ લીગ!

 

મુસ્લિમોના ટેકાવાળી ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટને  1.5 ટકા વોટ મળ્યા અને માત્ર 1 બેઠક મળી. પશ્ચિમ બંગાળમાં બાબરીનું નિર્માણ કરનારા હૂમાયું કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટીને માત્ર 0.7 ટકા વોટ સાથે 2 બેઠકો મળી. જ્યારે એઆઈએમઆઈએમ (ઓવૈસીની પાર્ટી)ને 12 બેઠકો  પર માત્ર 0.1 ટકા વોટ મળ્યા.

 

આ પરિણામનો સીધો અર્થ છે કે મુસ્લિમ વોટો પર રાજનીતિ કરનારાઓને બંગાળની જેમ ભારતના મુસ્લિમોમાં ત્યાં સુધી સ્થાન મળતું નથી કે જ્યાં સુધી તેમની જીતવાની પ્રબળ સંભાવના બને નહીં. એટલે કે મુસ્લિમ ભાજપની સામે જીતવાની શક્યતા ધરાવતા કથિત ધર્મનિરપેક્ષ પણ તુષ્ટિકરણવાદી પક્ષને ટેકો આપે છે. તેનું જ પરિણામ છે કે ટીએમસીના જીતેલા 80 ધારાસભ્યોમાંથી 32 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસના જીતેલા બંને ધારાસભ્યો મુસ્લિમ છે. સીપીએમના 1 અને એઆઈએસએફના 1 ધારાસભ્ય પણ મુસ્લિમ છે. આમ 294માંથી પશ્ચિમ બંગાળની વિધાનસભામાં 38 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયાછે. જો કે ગત વિધાનસભામાં કુલ મુસ્લિમ ધારાસભ્યો 42 હતા અને તેમાથી 41 ટીએમસીના હતા. આ ઘટાડો પણ ઘણું બધું સૂચવી જાય છે.

 

આ સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો આસામમાં 126 બેઠકોમાંથી કુલ 22 મુસ્લિમ ધારાસભ્યો છે. જેમાંથી 18 ધારાસભ્યો કોંગ્રેસના છે. કોંગ્રેસે આસામમાં કુલ 19 બેઠકો જીતી છે અને તેમનો એક જ ધારાસભ્ય અહીં હિદુ છે. આ સિવાય એઆઈયૂડીએફના 2, ટીએમસી 1, રાઈજોર દળના 1 ધારાસભ્ય મુસ્લિમ છે. આસામમાં જે સ્થિતિ છે તેને લઈને એઆઈયૂડીએફના અધ્યક્ષ બદરુદ્દીન અજમલે તો કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી દીધી છે.

 

કેરળમાં કુલ 140માંથી 35 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા. જેમાંથી સત્તાધારી યુડીએફમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના 22, કૉંગ્રેસના 8 ધારાસભ્યો મુસ્લિમ છે. જ્યારે એલડીએફમાં સીપીએમના 4 અને સીપીઆઈના  1 ધારાસભ્ય મુસ્લિમ છે.

તમિલનાડુમાં કુલ 234 બેઠક પર ચૂંટાયેલા 9 મુસ્લિમ ધારાસભ્યોમાંથી મુખ્યમંત્રી જોસેફ વિજયની પાર્ટી તમિલગા  વેત્રી કઝગમ (ટીવીકે)ના 3, ડીએમકેના 3, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 2 અને કૉંગ્રેસના 1 ધારાસભ્ય મુસ્લિમ છે.

જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કુલ 30માંથી  એકપણ બેઠક પર મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયા નથી.

આ ચારેય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપનો એકપણ ધારાસભ્ય મુસ્લિમ નથી. ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ પણ આપી નથી અને ગુજરાતના પોલિટિકલ મોડલને આગળ જ વધાર્યું છે, કે જેમાં મુસ્લિમ વોટના વીટોને હિંદુ વોટના વીટોથી જવાબ આપવામાં આવ્યો છે.

 

કુલ મળીને એવી તસવીર ઉભરી રહી છે કે ભાજપ હિંદુ વોટર્સનો વિશ્વાસ ધરાવતી પાર્ટી છે અને બિનભાજપી રાજકીય પક્ષો જાણે કે મુસ્લિમો માટે રાજ્યો પ્રમાણે તેમની ભાજપ સામે જીતવાની ક્ષમતાને લઈને મુસ્લિમ લીગની ભૂમિકામાં હોય.

 

2029માં આખું ભારત કેસરિયું બનશે, પણ હિંદુઓએ જાતિગત સેન્સસ બાદ મુસ્લિમ વોટનો વીટો પુનર્જીવિત થતો અટકાવવો પડશે :

 

2029ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતના હિંદુઓ પશ્ચિમ બંગાળની તર્જ પર વોટિંગ કરે, તો આખું ભારત કેસરી રંગે રંગાઈને વિશ્વમાં કેસરી બનીને ગર્જી શકે છે. પણ તેના પહેલા 2027માં યુપી, ગુજરાત, પંજાબ સહીતના 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. આ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જ દેશમાં 1931 બાદનો પહેલો જાતિગત વસ્તીગણતરી ધરાવતો સેન્સસ પણ જાહેર થઈ શકે છે. આવા સંજોગોમાં દેશમાં ફરી એકવાર જાતિવાદી રાજનીતિ પુનર્જીવિત કરવાની કોશિશો મુસ્લિમ તુષ્ટિકરણવાદી પક્ષો હિંદુઓની કોઈને કોઈ જાતિ સાથે પોતાને જોડીને કરશે. આવા સંજોગોમાં દેશમાં ફરીથી મુસ્લિમ વોટનો વીટો પ્રાસંગિક બનવાની રાજકીય સંભાવનાઓ વધી જશે.

 

ભારતમાં હિંદુ સમાજની ફૉલ્ટલાઈન્સમાં જાતિ સૌથી મોટી ફૉલ્ટલાઈન છે. હિંદુ સમાજની સમરસતા માટે જાતિવાદી રાજનીતિ સોનાની થાળીમાં લોઢાની મેખ છે. આવા સંજોગોમાં 2014થી શરૂ થયેલી દેશની રાજનીતિના હિંદુકરણની પુરઝડપે ચાલતી પ્રક્રિયામાં થોડો વિક્ષેપ પડી શકે છે. પણ ભારતના ઈતિહાસ અને સ્વતંત્ર ભારતની રાજકીય ઘટનાઓને જોયા બાદ જાતિવાદના દુષ્ચક્રવાળી રાજનીતિમાં દેશના હિંદુઓએ ફસાવવું જોઈએ નહીં. સામાજિક મુદ્દાને રાજકીય બનાવીને મુસ્લિમ વોટના વીટોને પુનર્જીવિત થવાની તક આપવી જોઈએ નહીં. બાકી આવું થવા દેવામાં આવશે, તો દેશની રાજનીતિના તમામ ટર્નિંગ પોઈન્ટ્સ પર મુસ્લિમ વોટના વીટોના પુનર્જીવિત કરનારો યુટર્ન ભારે પડશે.

 

ભારતીય જનસંઘના અધ્યક્ષ દિવંગત પંડિત દીનદયાલ ઉપાધ્યાયે પણ મુસ્લિમોને રાજનીતિમાં અપ્રાસંગિક બનાવીને દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. તેની નીતિ કહો કે રણનીતિ એક જ છે, મુસ્લિમ તુષ્ટિકરણને જાકારો. પણ જાતિવાદી રાજનીતિ ફરીથી જીવતી થઈ, તો સેક્યુલર હોવાનો દાવો કરનારા મુસ્લિમ તુષ્ટિકરણવાદી પક્ષો જોડતોડની વોટબેંકની રાજનીતિ બેફામપણે ખેલશે.

 

યાદ રાખો પશ્ચિમ બંગાળ સહીત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી દેશના જાતિગત સેન્સસની પહેલાની ચૂંટણીઓ છે. આ કાસ્ટ સેન્સસ પહેલાની મોટાભાગની ચૂંટણીમાં આવા પરિણામો જોવા મળશે. પરંતુ કાસ્ટ સેન્સસ પછી જે દેશની અંદર-બહારની શક્તિઓ ભારતમાં મુસ્લિમ વોટનો વીટો ચલાવવાની મનસા ધરાવે છે, તેઓ દેશમાં હિંદુ વોટના વીટોને ખતમ કરવા માટે જાતિવાદી રાજનીતિને લોહિયાળ બનાવવાની કોશિશ કરશે. પણ આનો ઉકેલ આપણે સૌ હિંદુઓએ સાથે મળીને આપણા હિંદુ રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીને આપવાનો છે. ભારતના હિંદુ રાષ્ટ્રે રાજકીય રીતે પણ આના માટે પહેલા પરોક્ષ અને પછી પ્રત્યક્ષપણે હિંદુ રાષ્ટ્ર તરીકે જ વિશ્વની સામે આવવું પડશે, કારણ કે આજના ભારતનું હિંદુ રાષ્ટ્ર બનવું અને હોવું જ અખંડ ભારતના આવતીકાલની પહેલી શરત છે.