Friday, October 30, 2015

સમયનો સાદ સરદાર-1 : નહેરુએ થાપ ખાધી સરદારે ચીનના ખતરાને પિછાણ્યો, લોહપુરુષની દૂરંદેશીમાં ટુ ફ્રન્ટ વૉર ડોક્ટ્રિનનું મૂળ

- આનંદ શુક્લ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમના તરફ ચીનને વિશેષ અનુરાગ રહ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન સાથે વ્યાપારિક સંબંધો વધારવા માટે ઉત્સુક છે. જાણકારો કહી રહ્યા છે કે નહેરુના હિંદી-ચીની ભાઈ ભાઈના યુગ બાદ હવે મોદી-ચીની ભાઈ ભાઈનો યુગ આવ્યો છે. પરંતુ નહેરુને 1962માં ચીનની લાલસેનાના ભીષણ આક્રમણનો આઘાત અને નામોશીભરી હારનું કલંક ખમવું પડયું હતું. આમ તો ઈતિહાસમાંથી બોધપાઠ નહીં લેનારા માટે તેનું પુનરાવર્તન થતું હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી નહેરુવાદી વિચારસરણીથી અલગ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. ત્યારે ચીન સાથે સંબંધો સુધારવાની આવકારદાયક પહેલ સાથે ભારતની અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર પટેલની વાતો પણ યાદ રાખવી જરૂરી છે.


ચીન માટેની સરદારની દૂરંદેશીને ચેતવણી ગણવી- 



ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સાવધ કર્યા હતા. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના ભીષણ આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની નહેરુની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે. વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોંધમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. ગિરિજાશંકર વાજપેયી આશંકિત હતા કે ચીન સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યપદ માટેના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

ગિરિજાશંકર વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતની પોતાની સરહદોને હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેરે તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને અવગણીને નહેરુએ ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. તેના બદલામાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે અક્સાઈ ચીન અને લડાખના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી. ભારતીયોને ચિંતા માત્ર આ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તેની હોય તે સ્વાભાવિક છે.


ભારતે ચીન-પાકિસ્તાન બંને મોરચે સૈન્ય સજ્જતા કેળવવી પડશે



સંરક્ષણ નિષ્ણાતો ભારત અને ચીન વચ્ચેના સળગતા સરહદી વિવાદ અને ચીનની આક્રમક ઘૂસણખોરીની કાર્યવાહીને યુદ્ધનો ટાઈમબોમ્બ ગણાવી રહ્યા છે. ભારત માટે સૈન્ય સજ્જતા તેની વ્યૂહાત્મક જરૂરિયાત છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના નાપાક સૈન્ય જોડાણને કારણે પણ ભારત માટે ઘણી મોટી સામરિક સમસ્યાઓ પેદા થઈ છે. ત્યારે ભારતે ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે સૈન્ય સજ્જતા રાખીને બંને તરફના સંભવિત એકસાથેના આક્રમણનો સામનો કરવા માટે તૈયારી રાખવી પડશે, તેવી ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની થિયરી 2010માં ભારતના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે લશ્કરી આવશ્યકતા પ્રમાણે જણાવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી હતી, તેને 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનો ઉપયોગ કરવો જોઈએ.’ સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન દેશ તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.

સરદાર પટેલની સલાહ નહેરુએ અવગણી તો અવગણી.. પણ હવે ભારતના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને સરદાર પટેલની સલાહને નવા દ્રષ્ટિકોણ સાથે મોદી સરકાર ધ્યાનમાં લે તે જરૂરી છે. બાકી ચીન સાથે વેપાર-વેપારની માળા જપવાથી તેનું વિસ્તારવાદી વલણ કાબુમાં આવવાનું નથી. તેના માટે ભારતે વેપારની સાથે સામરિક તૈયારીઓ પણ રાખવી પડશે.

No comments:

Post a Comment