Saturday, October 17, 2015

સેક્યુલર હોવાનો અર્થ હિંદુવિરોધ અને મુસ્લિમોની આંધળી તરફદારી!!

- પ્રસન્ન શાસ્ત્રી 

ભારતમાં સેક્યુલર તરીકે લેખક અથવા સ્વનામધની બુદ્ધિજીવીને ત્યારે જ માન્યતા મળે છે કે જ્યારે તેઓ ભારતના સનાતન હિંદુ ધર્મ.. પરંપરાઓ.. સંસ્કૃતિ.. સમાજ અને લાગણીઓને ગાળો આપવામાં આવે. આવા કથિત સેક્યુલરો બુદ્ધિજીવીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ ત્યારે જ મળતી હોય છે કે જ્યારે તેઓ હિંદુવિરોધથી આગળ વધીને માત્ર મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતીઓને તરફદારી કરવી અને તેમની કટ્ટરતાને છાવરવાની પ્રવૃત્તિ ખૂબ જ ઝનૂનપૂર્વક કરવામાં આવે. 

હિંદુત્વવાદી વિચાર.. વ્યક્તિ અને સંગઠન પ્રત્યે આવા કથિત સેક્યુલરોનો પક્ષપાત વૈચારીક ધ્રુવીકરણની પરાકાષ્ઠા જેવો જ દેખાય છે. આઝાદ ભારતમાં લાંબો સમય ગાંધીજીના નામે નહેરુ મોડલ ચાલતું રહ્યું છે. તેની સાથે રાજકીય વ્યવસ્થાઓમાં પણ સમાજવાદના નામે અસમાજવાદી મોડલ અસંવેદનશીલતાની હદે મજબૂત બનતું ગયું છે. આ નહેરુ મોડલને મજબૂત કરવાનું કામ આવા કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓએ ખૂબ ઝનૂનપૂર્વક કર્યું છે. 

તાજેતરમાં કન્નડ લેખક કલબુર્ગીની હત્યાના મામલેથી શરૂ કરીને દાદરી કાંડ બાદ સંખ્યાબંધ લેખકોએ પોતાના એવોર્ડો પાછા આપવાનું શરૂ કર્યું છે. તેમણે એવોર્ડો પાછા આપવા માટે કારણ આપ્યું છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. કેટલાકનું કહેવું છેકે હિંદુ કટ્ટરવાદ વધી રહ્યો છે. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી ઢબે કોઈને પણ અહીં વિરોધ અને સમર્થન વ્યક્ત કરવાનો અધિકાર છે. લેખકો પણ પોતાના આવા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જો માત્ર વિરોધ માટે જ આવા લેખકો અને બુદ્ધિજીવીઓ એવોર્ડ પાછા આપતા હોય.. તો તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. 

પરંતુ લેખકો-બુદ્ધિજીવીઓનો વિરોધ માત્ર અહિષ્ણુતાનો વિરોધ નથી. પરંતુ નહેરુ મોડલ બદલવા માટે સક્ષમ હિંદુત્વવાદી વિચારધારાના રાજકારણમાં પ્રભાવી થવાના અને સત્તામાં સ્પષ્ટ બહુમતીથી આવવાને અટકાવી નહીં શકવાનો અફસોસ વધારે દેખાઈ રહ્યો છે. 

કથિત સેક્યુલર રાજકીય પક્ષોના શાસનકાળમાં ભારતમાં મોટા પ્રમાણમાં કોમવાદી હુલ્લડો થતા રહ્યા છે. 1984ના શીખ વિરોધી રમખાણો.. 1989ના ભાગલપુરના હુલ્લડો.. યુપીના મેરઠનો હત્યાકાંડ.. આસામ ખાતે ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કોમી હિંસા.. બાબરી ધ્વંસ પછીના મુંબઈના રમખાણો.. ગોધરાકાંડ અને ત્યાર પછીના હુલ્લડો પણ આ દેશે જોયા છે. આઝાદ ભારતમાં જબલપુરથી જ કોમી હુતાસણની શરૂઆત થઈ છે. 1969ના અમદાવાદ ખાતે થયેલા રમખાણોથી માંડીને 2013ના મુઝફ્ફરનગર અને મુરાદાબાદ સુધીની કોમી વૈમનસ્યની ઘટનાઓ થતી રહી છે. આવી ઘટનાઓ બિલકુલ બનવી જોઈએ. પરિપક્વતા પકડી રહેલી લોકશાહી આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકશે. 

પરંતુ સવાલ એટલો છે કે એવોર્ડો પાછા આપનારા સાહિત્યકારો. લેખકોને સમ્માનિત કરાયા તે સમયે કથિત સેક્યુલર પક્ષોની સરકારો હતી અથવા તેમના દ્વારા જ તેમને એવોર્ડો અપાયા છે. પરંતુ 1984ના શીખ વિરોધી રમખાણો બાદ કે ભાગલપુરના રમખાણો બાદ કે મુંબઈના રમખાણો બાદ આવો કોઈ વિરોધ આવા બુદ્ધિજીવી સાહિત્યકારોએ પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કર્યો ન હતો. આવી ઘટનાઓ વખતે કેન્દ્રમાં કથિત સેક્યુલર પક્ષની સરકારો સત્તામાં હતી. 

આવા કથિત સેક્યુલરોની માનસિકતાને સામે છેડેથી જોવાની પણ જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં 1989-90માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના દેશમાં જ નિરાશ્રિત બનીને દર-દર ભટકવું પડયું.. પણ કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓનું રુવાડુંય ફરક્યું નહીં. 1984ના શીખ વિરોધી રમખાણો વખતે પણ આવી જ સ્થિતિ રહી.. મુંબઈના રમખાણો કે ગોધરાકાંડમાં 59 રામસેવકોના મોત પર પણ આવા કથિત સેક્યુલરોનો દંભ ચાલુ રહ્યો અને તેમણે કોઈપણ પ્રકારે વિરોધ કર્યો નહીં. 

ભારતમાં એક પછી એક ઈસ્લામિક આતંકવાદના હુમલા થતા રહ્યા છે... 2008ના મુંબઈ હુમલાની ઘટના તેની પરાકાષ્ઠા હતી. પણ એકપણ સાહિત્યકાર કે બુદ્ધિજીવી કે કર્મશીલે પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કોઈપણ પ્રકારનો વિરોધ વ્યક્ત કર્યો નહીં. કારણ કદાચ માત્ર એટલું જ હતું કે હુમલો કરનારા મુસ્લિમ હતા અને મરનારા મોટાભાગના હિંદુઓ કે બિનમુસ્લિમો હતા. અપવાદરૂપ કેટલાંક મુસ્લિમોએ પણ આવી ઘટનાઓમાં જીવ ગુમાવ્યો હશે. પરંતુ ભારતીય મીડિયામાં આવા મુસ્લિમ પરિવારોના દ્રશ્યો જ આવર-નવાર હાઈલાઈટ કરવાની એક પરંપરા બની ચુકી છે. 

દાદરી કાંડની વાત કરીએ તો ગાયનું માંસ ખાધાની કથિત અફવાના પગલે ઉશ્કેરાયેલી ભીડે એક વ્યક્તિને માર માર્યો અને તેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓ થઈ છે. ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના માટે મુખ્યપ્રધાન અખિલેશ યાદવ કરતા વધારે જવાબદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગણાવવાની કોશિશ કરવામાં આવી. ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યની જવાબદારી છે. 

સવાલ અહીં કોઈ પક્ષ કે વ્યક્તિનો નથી.. પણ દાદરી કાંડમાં મરનારના બચાવમાં ઉતરેલા લોકોની માનસિકતાનો છે. મરનાર મુસ્લિમ વ્યક્તિ હતો અને ગાય હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગાયનું માંસ ખાવું હિંદુઓમાં વર્જ્ય છે. છતાં ગોકુશીની ઘટનાઓ થતી રહે છે. આવા સંજોગોમાં તર્કો આપવામાં આવ્યા કે વ્યક્તિને પોતાને શું ખાવું તેવું નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે. 

દાદરી કાંડની બિટવિન ધ લાઈન છે કે આખરે ભારતમાં બહુમતી હિંદુઓના આસ્થા કેન્દ્ર ગાયની હત્યાની અવગણના શા માટે કરવામાં આવે છે? ગૌહત્યાનો વિરોધ કરનારા વિચાર અને વ્યક્તિથી માંડીને સંગઠનની મજાક ઉડાવવાની સાથે તેમને મૂઢ સાબિત કરવાની ભયાનક કોશિશ થઈ રહી છે. ગાય પણ અન્ય પશુઓ જેવી છે અને પોતે પણ ગોમાંસનું સેવન કરતા હોવાની વાતો ભાંડ ઋષિકપૂરથી માંડીને જજ રહેલા માર્કંડેય કાત્જૂ સુધીના કથિત બુદ્ધિજીવીઓએ કરી છે. આવા લોકોએ કહ્યુ કે તેઓ ગૌમાંસ ખાય છે અને હિંમત હોય તો આઓ મારી નાખો.. ભારતીયો ગર્વથી કહો અમે ગૌમાંસ ખાઈએ છીએ. અમુક ગ્રંથો કહે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ પણ ગૌમાંસનું સેવન કરતા હતા. કેરળ અને કેટલાંક અન્ય ક્ષેત્રોમાં હિંદુઓ પણ ગૌમાંસ ખાય છે. વોટની ખેતીમાં લાલુ યાદવે હિંદુઓ પણ ગૌમાંસ ખાતા હોવાનું જણાવીને હદ કરી.. તો તેમના ખુશામતખોર નેતા રઘુવંશ પ્રસાદે પણ કહ્યુ કે ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા હતા. ગાય આખા ભારતનું આસ્થા કેન્દ્ર છે અને આખા દેશની જવાબદારી તેના સંરક્ષણ તથા સંવર્ધનની છે. પરંતુ હજી સુધી એક ખાસ ચોક્કસ પક્ષ અને વિચારધારા સિવાયના લોકો સિવાય કોઈને ગૌહત્યા પ્રતિબંધની જરૂરિયાત હોવાનું લાગતું નથી. 

ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતા આઝમ ખાન હાલ સમાજવાદી પાર્ટીમાં છે. 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એકલા ઉત્તર પ્રદેશની બાવીસ કરોડની વસ્તીમાં પોણા ચાર કરોડ જેટલી મુસ્લિમોની વસ્તી છે. બિહારમાં પણ દોઢ કરોડ જેટલા મુસ્લિમોની વસ્તી છે. ઉત્તર ભારતમાં મુસ્લિમોની નેતાગીરીમાં ઝડપથી હૈદરાબાદના અસદુદ્દીન ઓવૈસી પગપેસારો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ઉત્તર ભારતના મુસ્લિમોની નેતાગીરી જળવવા માટે આઝમ ખાને ધમપછાડા શરૂ કર્યા છે. આઝમ ખાને વિચિત્ર નિવેદનબાજીઓ સાથે દાદરી કાંડને યુએનમાં લઈ જવા માટે પત્ર લખ્યો છે. દાદરી કાંડને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળીને હિંદુત્વવાદી વિચારધારા સાથે કથિત ઝુકાવ ધરાવતી સરકારને બદનામ કરીને દબાણમાં લાવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર હાથ ધરવામાં આવ્યું છે. 
જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપી સાથે ભાજપની જોડાણ સરકાર બન્યા બાદ અહીં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનવા તરફ જઈ રહી છે. આતંકવાદી હુમલા અને ભાગલાવાદીઓની પથ્થરબાજીની ઘટનાઓ વધી છે. દર શુક્રવારે પાકિસ્તાન, લશ્કરે તોઈબા, આઈએસ અને હાફિઝ સઈદના પોસ્ટરો અને તેમના તરફી સૂત્રોચ્ચાર સાથે તેમના વાવટા ફરકાવા એક કર્મકાંડ બની ચુક્યો છે. 

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ દ્વારા ગૌહત્યાને રાજ્યમાં પ્રતિબંધિત કરવાના ચુકાદા સામે તો આસિયા આંદ્રાબી નામની ભાગલાવાદી કાશ્મીરી મહિલાએ વિરોધ માટે કાશ્મીરમાં કોઈ સ્થાને કથિત ગૌકુશી કરી હોય તેવો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો હતો. બકરી ઈદ પહેલા ભાગલાવાદી તત્વો દ્વારા શ્રીનગરના લાલચોક ખાતે જાહેરમાં ગોકુશી કરવાની જાહેરાત કરાઈ હતી. આસિયા અંદ્રાબીને અલગ મામલામાં ધરપકડમાં લેવાઈ હતી. 

પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરે બીફ પાર્ટીઓ આપીને ગૌહત્યા પ્રતિબંધ વિરોધનો ઝંડો કદાચ પાકિસ્તાનવાદી ભાગલાવાદીઓને ખુશ કરવા માટે જ ઉઠાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આવા ભાગલાવાદી તત્વો સેક્યુલર હોવાની વાત કરતા રહે છે. પરંતુ તેઓ ત્યાંની લઘુમતીઓ કે જે હિંદુ છે અને તેમના માટે ગાય આસ્થાનું કેન્દ્ર છે. તેવી ગાયોની હત્યા રોકવા માટે તૈયાર નથી. જમ્મુ-કાશ્મીરના આવા ભાગલાવાદી તત્વો મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યમાં ગૌહત્યાને પોતાના મૂળભૂત અધિકાર ગણાવે છે. 

જમ્મુ-કાશ્મીર સરકારે હાઈકોર્ટની જમ્મુ બેચ તરફથી આપવામાં આવેલા ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને બેચ બનાવીને આ મામલે સુનાવણી કરવા જણાવ્યું હતું. શ્રીનગરની હાઈકોર્ટ બેચે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા પ્રતિબંધિત કરતો ચુકાદો રદ્દ કર્યો છે. શું મુસ્લિમ આસ્થાની બાબતો સાથે કોઈપણ હિંદુ બહુમતી ધરાવતા રાજ્યમાં આવી કોઈ ઘટના કરવા માટે કોઈ ધારાસભા કે કોઈ અદાલતી નિર્ણય દ્વારા પડકાર ફેંકવાની ક્ષમતા ધરાવે છે? 

ભારતની કેટલીક કોર્ટોએ ધ્વનિ પ્રદૂષણ મામલે મસ્જિદો પરના માઈકના ભૂંગળા ઉતારવાના આદેશ... નિર્દેશ કે ટીપ્પણીઓ કરી છે. પરંતુ ભારતની કોઈપણ કાયદાનો અમલ કરનાવનારી વ્યવસ્થા તેને લાગુ કરી શકી નથી. વિદેશમાં કોઈ અખબારમાં મહોમ્મદ પયગંબરનું કાર્ટૂન બને અને તેના દેખાવો ભારતના તમામ શહેરોમાં થાય છે. તેમાં હિંસાની ઘટનાઓ પણ હિંદુઓ વિરુદ્ધ થયેલી નોંધાઈ છે. દુનિયામાં કોઈ ઠેકાણે કોઈ કુરાને-શરીફ સળગાવે તો તેના વિરોધમાં ભારતમાં પણ આતંકની હદે ઉત્પાત મચાવવામાં આવે છે. પ્રોફેટ મોહમ્મદ પર અમેરિકામાં બનેલી ફિલ્મનો વિરોધ છ માસ બાદ અમદાવાદ સહીતના ભારતના શહેરોમાં આયોજનબદ્ધ રીતે કરાય છે. અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન સહીતની સરકારી સંપત્તિઓને આગચંપી અને નુકસાન પહોંચાડવામાં આવે અને કથિત સેક્યુલરો આવા ઉત્પાતિયા વિરોધનો બચાવ કરે.. આનાથી મોટું આશ્ચર્ય અને દુર્ભાગ્ય દુનિયાના કોઈપણ ઠેકાણે જોવા મળતું નથી. 

કાશ્મીર ખીણમાં ચાલી રહેલો ભાગલાવાદ અને આતંકવાદ બંને મજહબી કારણોથી વધારે ભડકાવામાં આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન ગિલાની દિલ્હીમાં પાકિસ્તાનના હાઈકમિશનમાં માથું ટેકવે છે.. પાકિસ્તાનના રાજદ્વારીઓ અને નેતાઓ ભાગલાવાદીઓને ભારત સરકાર સાથેની વાતચીત પહેલા મોઢામાં મોઢું નાખીને વાતો કરે છે. તેના કારણે વિદેશ સચિવ અને એનએસએ સ્તરની વાતચીત રદ્દ કરાય તો માછલા ભારત સરકાર પર ધોવાના.. 1972ના સિમલા કરાર અને લાહોર ડેક્લેરેશનમાં જમ્મુ-કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો માનવામાં આવ્યો છે. જેમાં અન્ય કોઈપણ ત્રીજા પક્ષને સામેલ નહીં કરવાની વાત કરાઈ છે. આવા સંજોગોમાં ભારત સરકાર ક્યાં ઠેકાણે ખોટી છે? એવું કોઈપણ કારણ આવા કથિત સેક્યુલર સ્વનામધનીઓ આપતા નથી. પણ વાતચીત રદ્દ કરાયાની કાગારોળ મચાવીને પાકિસ્તાનના પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાની વાતો કરીને સરકાર અને ભારતને ડરાવવાની હદ સુધી શાંતિપાઠ કરવા માટે મજબૂર થવા દબાણ કરાતું રહે છે. 

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે હિંદુ બહુમતીવાળા વિસ્તારો પર પાકિસ્તાન તરફથી સતત થયેલા ગોળીબાર સંદર્ભે પણ કોઈ સેક્યુલર ચીપિયો પછાડવા તૈયાર નથી. જમ્મુ ખાતેના વિસ્તારોની ડેમોગ્રાફી બદલવા માટેની કોશિશો આતંકીઓ.. પાકિસ્તાન અને ભાગલાવાદીઓ સાથે મળીને કરી રહ્યા છે. મુફ્તિ મોહમ્મદ સઈદની આગેવાનીવાળી જોડાણ સરકાર સત્તામાં આવી પછી પીડીપીએ સંસદ હુમલાના ગુનેગાર આતંકી અફઝલ ગુરુના દેહાવશેષોની માગણી કરીને કાશ્મીર ખાતે સ્મારક બનાવવાની વાતો કરી.. મસર્રત આલમને મુક્ત કરીને કાશ્મીરમાં હાફિઝ સઈદ છાપ આતંકવાદના ટેકામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો હતો. 

ગિલાનીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ઈસ્લામાબાદ આવવાનું આમંત્રણ આપ્યું છે. ગિલાનીએ એનએસએ સ્તરની વાતચીત રદ્દ થયા બાદ શરીફને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કાશ્મીર વિવાદના ઉકેલ માટે મજબૂત પાકિસ્તાનની જરૂરિયાત હોવાનું જણાવીને ભાગલાવાદીઓની ખરી મનસા પ્રદર્શિત કરી દીધી છે. 

શું સાઉદી અરેબિયા.. પાકિસ્તાન કે અન્ય કોઈપણ ઈસ્લામિક દેશમાં સ્થાનિક માન્યતા.. પરંપરા.. ધાર્મિક લાગણી અને સંસ્કૃતિ કે સમાજ વિરુદ્ધ અથવા તેમને નામંજૂર વાત કોઈપણ હિસાબે ચલાવવામાં આવે? આવા દેશોમાં આવા કથિત સેક્યુલરોને લવરી કરીને વૈચારીક આતંકવાદ ચલાવવાની કોઈ પરવાનગી ક્યારેય આપવામાં આવે ખરી? ઉત્તર પ્રદેશના કેટલાંક મુસ્લિમ બહુમતી ધરાવતા ગામડામાં મંદિરોમાં આરતી અને ઘંટારવ કરવાથી પણ હિંદુઓને રોકવામાં આવે છે. કારણ કે મુસ્લિમો તેનો ધાર્મિક માન્યતાઓના આધારે વિરોધ કરે છે. આવી ઘટનાઓમાં પણ સહિષ્ણુતા હિંદુઓની જ જવાબદારી હોવાના ઉપદેશો આપવામાં આવે છે. 

સેક્યુલારિઝમના ઉપદેશ આપનારા પોતે સમજતા હોય તેવા સેક્યુલારિઝમને સ્પષ્ટ કરે તેની હવે ખરેખર જરૂરત ઉભી થઈ છે. સેક્યુલારિઝમના નામે બેવડા માપદંડોથી મુસ્લિમોની તુષ્ટિકરણની હદેથી પણ નીચે ઉતરીને તરફદારી અને હિંદુઓનો દુશ્મનની કક્ષાએ વિરોધ દેશના લોકો લાંબો સમય ચલાવવા નહીં માગતા હોવાનો ગૂઢાર્થ પણ ઘણી આવી ચોક્કસ ઘટનાઓથી સામે આવી રહ્યો છે. સેક્યુલારિઝમમાં તમામ સાથે કોઈપણ પ્રકારના પક્ષપાત અને ભેદભાવ વગર સમાન વ્યવહાર એક પાયાગત શરત છે. પરંતુ કથિત સેક્યુલરો આવી કોઈ પાયાગત યોગ્યતાથી પરિપૂર્ણ નથી. 

કથિત સેક્યુલર વિચારધારાવાળા અને આવા કથિત બિનસાંપ્રદાયિકતાના ઝંડાધારી પક્ષોની સરકારોના કાર્યકાળમાં સત્તાધારીઓ માટે બિલકુલ નિરુપદ્રવી રહેલા લોકો હવે એવું સાબિત કરવાની હોડમાં આવી ગયા ।છે કે જાણે મોદીના શાસનમાં તો આમ જ થવાનું હતું. એક દાદરી કાંડને કારણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાને અર્થહીન ગણાવી દેવામાં આવી. સેક્યુલારિઝમ હંમેશા માટે દફન થઈ ગયાની કાગારોળ પણ થવા લાગી. આવી ઘટનાઓ માટેની જવાબદારી મોદી સરકારની નીતિ-રીતિના દુષ્પરિણામો તરીકે સ્થાપિત કરવાની કોશિશો પણ વિકૃત્તિની હદે કરવા લાગી. આશ્ચર્યની વાત એ છે કે જવાબદાર પણ કેન્દ્ર સરકાર અને જવાબદેહ પણ કેન્દ્ર સરકાર. ભારતમાં સહઅસ્તિત્વ માટેની રૂપરેખા બંધારણમાં આપવામાં આવી છે. તેમાં તમામની ધાર્મિક લાગણીઓના સમ્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારે પરસ્પર ધાર્મિક સમ્માનની લાગણીને ઠેસ પહોંચાડનારા તત્વોને જવાબદાર ગણવાની પ્રવૃત્તિ આઘાતજનક રીતે સહિષ્ણુતાનો ઉપદેશ આપનારા કરતા નથી. વળી ગોહત્યા પ્રતિબંધના કાયદા અમલી હોવા છતાં કાયદા વિરુદ્ધ વર્તન કરીને ગુનો કરનારને છાવરવાની વ્યવસ્થિત કોશિશો વોટબેન્કનું ગણિત સાચવવા માટે કરાઈ રહી છે. 

હવે જો કઈ હિંદુઓનું ટોળું અન્ય સમુદાયના વ્યક્તિને કોઈ કારણસર ઘેરે કે મારે તો તેના માટે પણ કેન્દ્ર સરકારને પ્રેરક અને સંચાલક માનવાની પ્રવૃત્તિ થતી રહે છે. સંબંધિત રાજ્યમાં સરકાર ક્યાં પક્ષની છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની છે.. તેના વિશે કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી. જ્યારે મુઝફ્ફરનગરના હુલ્લડો થયા ત્યેરે આવો કોઈ સૂર સંભાળતો ન હતો. મોટાભાગે તત્કાલિન યુપીએ સરકારના સ્થાને ઉત્તરપ્રદેશ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી હતી. ત્યાં સુધી  કે તમામ આવા સેક્યુલરો અને ખુદ મનમોહનસિંહની સરકારના નિશાને પણ યુપીની અખિલેશ યાદવની સરકાર જ હતી. 

હદ તો ત્યારે છે કે જ્યારે અમેરિકાના વિદેશ વિભાગના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના મામલે રિપોર્ટ આવતા પહેલા દાદરી કાંડ પર ખામોશ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું મૌન તોડવું પડે છે. વડાપ્રધાનનો પોતાનો અધિકાર છે કે તેઓ ક્યાં મુદ્દે ક્યારે બોલે અને ક્યારે બોલે નહીં.. પરંતુ અમેરિકાના રિપોર્ટ પહેલા બંગાળી અખબાર આનંદ બાજાર પત્રિકાની મુલાકાતમાં દાદરી કાંડને વડાપ્રધાન મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેથી એક ચિંતા અવશ્ય થાય છે કે શું ભારતના ઘરઆંગણાના નાના-મોટા મામલા પર પણ અમેરિકાનું દબાણ રહેશે? શું અમેરિકા અથવા આંતરરાષ્ટ્રીય મંચોને ધ્યાનમાં રાખીને ભાજપના સાંસદ સત્યપાલસિંહ દ્વારા નાની ગણાવાયેલી ઘટના પર પણ પ્રતિક્રિયા આપવાની મજબૂરીનું કારણ શું હોઈ શકે? 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા પ્રજાસત્તાક દિવસે ભારતના મહેમાન બન્યા હતા. તેમણે દિલ્હીના સિરીફોર્ટ ખાતે ભારતને સહિષ્ણુતાના પાઠ ભણાવીને ઉપદેશ આપ્યો. અમેરિકા ગયા બાદ ફરીથી ભારતમાં અસહિષ્ણુતા વધવાની વાત કરીને ગાંધીજીને ટાંકીને નિવેદન કર્યું હતું. આ નિવેદન પણ ઓબામાએ ખ્રિસ્તી ધર્મગુરુઓ અને ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં કર્યું હતું. એક તો તુષ્ટિકરણની રાજનીતિને કારણે ભારતનો બહુમતી સમાજ અંદરને અંદર ધુંધવાયા કરે છે. લગભગ 68 વર્ષમાં એવો કોઈ અપવાદ દેખાયો નથી કે જેમાં કોઈપણ પક્ષે તુષ્ટિકરણની રાજનીતિને સંપૂર્ણપણે કોરાણે મૂકી દીધી હોય. આવી અપેક્ષા નહેરુ મોડલ હેઠળની વ્યવસ્થામાં તુષ્ટિકરણની રાજનીતિમાંથી છૂટકારો મળી શકે તેમ નહીં હોવાની પણ માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારતમાં મુસ્લિમ નેતાઓની રાજનીતિને સમજીને ભારતના હિતમાં વર્તવા માટે હિંદુ સમાજે સજ્જ થવાની જરૂર છે. તેના માટે રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની જરૂર છે. આમા ભારત સામેના તમામ પડકારોનો જવાબ પણ છે. 

No comments:

Post a Comment