Thursday, March 3, 2016

ઈસ્લામની ફિરકાપરસ્તીવાળી સમાનતા અને બંધુત્વ

મુસ્લિમોના ફિરકા (પંથ) –

બિનઈસ્લામિક સમુદાયો ઈસ્લામના અનુયાયીઓને એક સમાન મુસલમાન ગણે છે. તો ઈસ્લામના અનુયાયીઓ પણ પોતાને મુસ્લિમ ગણાવે છે અને ઈસ્લામમાં તમામ એક સમાન મુસલમાન હોવાના દાવાઓ પણ થતા રહે છે. પરંતુ ઈસ્લામિક કાયદા (ફિકહ) અને ઈસ્લામિક ઈતિહાસની પોતપોતાની આગવી સમજ પરથી પેદા થયેલી ઓળખના આધારે મુસ્લિમ સમુદાય કુલ 72 જેટલા ફિરકાઓમાં વહેંચાયેલો છે.

મુખ્યત્વે મુસલમાનોના બે મુખ્ય ફિરકા છે. તેને શિયા અને સુન્નીના નામથી ઓળખવામાં આવે છે. શિયા અને સુન્ની પંથો પણ ઘણાં ઉપપંથોમાં વહેંચાયેલા છે.

જો ધાર્મિક માન્યતાઓની વાત કરવામાં આવે, તો શિયા-સુન્ની બંને અલ્લાહ એક હોવાની બાબતે સંમત છે. તેઓ બંને મોહમ્મદ સાહેબને અલ્લાહના પયગંબર તરીકે સમાનપણે સ્વીકારે છે. તો કુરાનને આસમાની કિતાબ એટલે કે અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલી કિતાબ ગણે છે. પરંતુ બંને સમુદાયોમાં માન્યતાઓ અને પયગંબર મોહમ્મદના નિધન બાદ તેમના ઉત્તરાધિકારીના મુદ્દે ઈસ્લામના અનુયાયીઓમાં ગંભીર મતભેદો સર્જાયા હતા. જેને કારણે અસ્તિત્વમાં આવેલા આ બંને મુખ્ય ઈસ્લામિક પંથોના ઈસ્લામિક કાયદાઓ અલગ-અલગ છે.

(A)   સુન્ની પંથી મુસ્લિમ વિશ્વ -

સુન્ની અથવા સુન્નતનો અર્થ થાય છે કે ઈ.સ. 570થી 632 દરમિયાન ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા અપનાવાયેલી પરંપરાઓને અનુસરવી. એક અંદાજ પ્રમાણે, ઈસ્લામિક જગતની કુલ વસ્તીમાં સુન્ની પંથી મુસ્લિમોની વસ્તી 80થી 85 ટકા છે. જ્યારે શિયા પંથી મુસ્લિમોની વસ્તી 15થી 20 ટકા જેટલી છે.

સુન્ની મુસ્લિમોનું માનવું છે કે પયગંબર મોહમ્મદના નિધન બાદ તેમના સસરા હઝરત અબુ-બકર ઈ.સ. 632થી 634 દરમિયાન મુસ્લિમોના નવા નેતા બન્યા. તેમને ખલીફા તરીકે પયગંબર મોહમ્મદના પહેલા ઉત્તરાધિકારી બનાવાયા હતા. તેમના પછી 634થી 644 વચ્ચે હઝરત ઉમર, 644થી 656 વચ્ચે હઝરત ઉસ્માન અને 656થી 661 વચ્ચે હઝરત અલીને ખલીફા તરીકે મુસ્લિમ સમુદાયના નેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી.

અબુ-બકર, ઉમર, ઉસ્માન અને અલીને ખુલફા-એ-રાશિદીન એટલે કે સાચી દિશામાં ચાલનારા ખલીફા કહેવામાં આવે છે. ત્યાર બાદ આવેલા ખલીફાઓ રાજકીય રીતે મુસ્લિમોના નેતા ગણાવાયા. પરંતુ તેમને મુસ્લિમ સમુદાય તરફથી ધાર્મિક એતબારની દ્રષ્ટિએ કોઈ ખાસ મહત્વ આપવામાં આવ્યું નથી.

સુન્ની મુસ્લિમોમાં ઈસ્લામિક કાયદાની વ્યાખ્યાના આધારે કુલ ચાર મુખ્ય સમૂહો છે. પાંચમો સમૂહ પણ છે. આ પાંચેય સુન્ની મુસ્લિમ સમૂહોના ધાર્મિક વિશ્વાસ અને માન્યતામાં ખાસ કોઈ અંતર નથી. પરંતુ તેમનું માનવું છે કે તેમના ઈમામ અથવા ધાર્મિક નેતાએ ઈસ્લામની યોગ્ય વ્યાખ્યા કરી છે.

સુન્ની પંથના ઈસ્લામિક કાયદાઓને આધારે મુખ્ય ચાર સ્કૂલ ઓફ થોટ્સ છે. આઠમી અને નવમી સદીમાં લગભગ 150 વર્ષની અંદર ચાર મુખ્ય ધાર્મિક નેતાઓ આવ્યા હતા. તેમણે ઈસ્લામિક કાયદાની વ્યાખ્યા કરી અને પછી સમય જતા તેમના અનુયાયીઓના અલગ-અલગ ફિરકા બન્યા હતા.

699થી 767 દરમિયાન ઈમામ અબુ હનીફા, 767થી 820 દરમિયાન ઈમામ શાફઈ, 780થી 855 દરમિયાન ઈમામ હંબલ અને 711થી 795 દરમિયાન ઈમામ માલિક નામના ચાર ઈમામો દ્વારા ઈસ્લામિક કાયદાઓની અલગ-અલગ વ્યાખ્યાના આધારે ચાર સ્કૂલ ઓફ થોટ્સ અસ્તિત્વમાં આવી છે.

(1)    હનફી સ્કૂલ ઓફ થોટ્સ-

ઈમામ અબુ હનીફાને માનનારાઓ હનફી કહેવાય છે. આ ફિકહ અથવા ઈસ્લામિક કાયદાને માનનારા મુસ્લિમોના પણ બે મુખ્ય જૂથ છે. જેમાં એક દેવબંદી અને બીજું જૂથ બરેલવી તરીકે ઓળખાય છે. હનફી ફિકહને માનનારા બંને જૂથોના નામ ઉત્તર પ્રદેશના દેવબંદ અને બરેલી જિલ્લાના નામ પર છે. વીસમી સદીના પ્રારંભમાં બે મુસ્લિમ ધાર્મિક નેતાઓ મૌલાના અશરફ અલી થાનવી (1863થી 1943) અને અહમદ રઝા ખાં બરેલવી (1856થી 1921) દ્વારા ઈસ્લામિક કાયદાની અલગ-અલગ વ્યાખ્યા કરવામાં આવી હતી. અશરફ અલી થાનવીનો સંબંધ દારુલ-ઉલૂમ દેવબંદ મદરસા સાથે હતો. જ્યારે આલા હઝરત અહમદ રઝા ખાં બરેલવીનો સંબંધ બરેલી સાથે હતો.

મૌલાના અબ્દુલ રશીદ ગંગોહી અને મૌલાના કાસિમ નનોતવીએ 1866માં દેવબંદ મદરેસાની શરૂઆત કરી હતી. દેવબંદી વિચારધારાનું વર્ચસ્વ વધારવામાં મૌલાના અબ્દુલ રશીદ ગંગોહી, મૌલિના કાસિમ નનોતવી અને મૌલાના અશરફ અલી થાનવીની મહત્વની ભૂમિકા રહી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા મોટાભાગના મુસ્લિમો દેવબંદી અને બરેલવી સુન્ની ફિકહ સાથે સંબંધિત છે.

દેવબંદી અને બરેલવી વિચારધારાના અનુયાયીઓનો દાવો છે કે કુરાન અને હદીસ જ તેમના કાયદાના મૂળસ્ત્રોત છે. પરંતુ તેમના પર અમલ કરવા માટે ઈમામના અર્થઘટનનું અનુસરણ જરૂરી છે. તેથી હનફી સ્કૂલ ઓફ થોટ્સ હેઠળના શરીયતના તમામ કાયદા ઈમામ અબુ હનીફાના ફિકહ પ્રમાણે છે.

તો બરેલવી વિચારધારાના લોકો આલા હઝરત રઝા ખાન બરેલવી દ્વારા દર્શાવાયેલા અર્થઘટનોને સાચા માને છે. બરેલીમાં આલા હઝરત રઝા ખાનની મજાર છે. આ મજાર બરેલવી વિચારધારાને માનનારાઓનું એક મુખ્ય કેન્દ્ર છે.

બરેલવી વિચારધારાના અનુયાયીએ માને છે કે પયગંબર મોહમ્મદ બધું જાણ છે. જે દેખાય છે તે પણ જાણે છે અને જે નથી જોઈ શકાતું તેને પણ જાણે છે. તેઓ દરેક ઠેકાણે હાજર છે અને બધું જોઈ રહ્યા છે. દેવબંદી આમા વિશ્વાસ ધરાવતા નથી. દેવબંદી અલ્લાહ બાદ નબીને બીજા સ્થાને રાખે છે. નબીને તેઓ માણસ માને છે. બરેલવી સૂફી ઈસ્લામના અનુયાયીઓ છે અને તેમની વિચારધારાના અનુયાયીઓ સૂફી મજારોને ઘણું મહત્વ આપે છે. જ્યારે દેવબંદીઓ મજારોને વધારે મહત્વ આપતા નથી. પરંતુ દેવબંદીઓ મોટાભાગે મજારોનો તાત્વિક રીતે વિરોધ કરે છે.

(2)    માલિકી સ્કૂલ ઓફ થોટ્સ-

ઈમામ અબુ હનીફા બાદ સુન્નીઓના બીજા ઈમામ, ઈમામ મલિક છે. એશિયામાં તેમના અનુયાયીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તેમનું મહત્વપૂર્ણ પુસ્તક ઈમામ મોત્તા નામથી ઓળખાય છે. ઈમામ માલિક દ્વારા બનાવાયેલા નિયમોને માનનારા મુસ્લિમ સમુદાયને માલિકી વિચારધારાના ગણવામાં આવે છે. આ સમુદાયના મુસ્લિમો ખાસ કરીને મધ્ય-પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકન દેશોમાં છે.

(3)    શાફઈ સ્કૂલ ઓફ થોટ્સ-

શાફઈ ઈમામ માલિકના શિષ્ય છે અને સુન્નીઓના ત્રીજા મુખ્ય ઈમામ છે. મુસ્લિમોનો એક ઘણો મોટો વર્ગ તેમના માર્ગદર્શનનો અમલ કરે છે. શાફઈ વિચારધારાના મુસ્લિમ સમુદાયો મધ્ય-પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશોમાં વસવાટકરે છે.

આસ્થાના મામલામાં તેઓ અન્ય મુસ્લિમ વિચારધારાના અનુયાયીઓથી અલગ નથી. પરંતુ ઈસ્લામિક પરંપરાઓના આધારે તેઓ હનફી ફિકહથી અલગ છે. શાફઈ વિચારધારાના અનુયાયીઓ ઈમામનું અનુસરણ કરવું જરૂરી હોવાનું માને છે.

(4)    હંબલી સ્કૂલ ઓફ થોટ્સ –

સાઉદી અરેબિયા, કતર, કુવૈત, મધ્ય-પૂર્વ અને ઘણાં આફ્રિકન દેશોમાં રહેતા મુસ્લિમો ઈમામ હંબલના ફિકહ પર વધારે અમલ કરે છે. તેના કારણે તેમને હંબલી વિચારધારાના અનુયાયી મુસ્લિમ માનવામાં આવે છે. સાઉદી અરેબિયાના સરકારી કાયદાઓ ઈમામ હંબલના ધાર્મિક કાયદાઓ પર આધારીત છે. તેમના અનુયાયીઓનું કહેવુ છે કે તેમના જણાવવામાં આવેલા અર્થઘટનો હદીસોની વધુ નજીક છે.

હનફી, માલિકી, શાફઈ અને હંબલી વિચારધારાના અનુયાયી મુસ્લિમો માને છે કે શરીયતના પાલન માટે પોતપોતાના ઈમામનું અનુસરણ કરવું જરૂરી છે.

(5)    સલાફી, વહાબી અને અહલે હદીસ –

સુન્નીઓનો એક સમૂહ એવો પણ છે કે જે કોઈપણ ખાસ ઈમામના અનુસરણની વાતને માન્યતા આપતો નથી અને તેમનું કહેવુ છે કે શરીયતને સમજવા તથા તેનું યોગ્યરીતે પાલન કરવા માટે સીધું કુરાન અને હદીસ (પયગંબર મોહમ્મદે કહેલા શબ્દો)નું અનુસરણ કરવું જોઈએ. આ વિચારધારાના મુસ્લિમ સમુદાયોને સલાફી, અહલે-હદીસ અથવા વહાબી જેવા નામથી ઓળખવામાં આવે છે. સલાફી, વહાબી અને અહલે હદીસ તરીકે ઓળખતી આ વિચારધારામા4 ચારેય ઈમામોના જ્ઞાન, તેમના અભ્યાસ અને તેમના સાહિત્યની કદર કરવામાં આવે છે. પરંતુ તેમનું કહેવું છે કે આ ઈમામોમાંથી કોઈ એકનું અનુસરણ કરવું ફરજિયાત નથી. આ ચારેય ઈમામોની કુરાન અને હદીસ પ્રમાણેની વાતોનો અમલ યોગ્ય છે. પરંતુ કોઈ વિવાદાસ્પદ બાબતમાં આખરી નિર્ણય કુરાન અને હદીસ પ્રમાણે માનવામાં આવે.

સલાફી સમૂહનો દાવો છે કે તેઓ પયગંબર મોહમ્મદના સમયગાળામાં હતો, તેવા ઈસ્લામનો પ્રચાર કરવા ઈચ્છે છે. આ વિચારધારાને પ્રોત્સાહિત કરવા માટે ઈબ્ને તૈમિયા (1263થી 1328) અને મોહમ્મદ બિન અબ્દુલ વહાબ (1703થી 1792)ને કારણ માનવામાં આવે છે. અબ્દુલ વહાબના નામ પરથી જ આ સમુદાયને વહાબી નામથી પણ ઓળખવામાં આવે છે. મધ્ય-પૂર્વ એશિયાના મોટાભાગના ઈસ્લામિક વિદ્વાનો અબ્દુલ વહાબની વિચારધારાથી વધારે પ્રભાવિત છે. આ વિચારધારાને ઈસ્લામની બેહદ કટ્ટરપંથી અને ધાર્મિક મામલાઓમાં અતિવાદી માનવામાં આવે છે. સાઉદી અરેબિયિના હાલના શાસકો અને અલકાયદાના અમેરિકન કમાન્ડોને હાથે ઠાર થયેલા ચીફ ઓસામા બિન લાદેનને પણ સલાફી વિચારધારાનો ટેકેદાર માનવામાં આવે છે.

(6)    સુન્ની વ્હોરા -

ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મુસ્લિમોના વેપારી વર્ગના એક સમુદાયને વ્હોરા નામથી ઓળખવામાં આવે છે. વ્હોરા શિયા અને સુન્ની બંને મુસ્લિમ પંથોમાં છે. સુન્ની વ્હોરા હનફી ઈસ્લામિક કાયદાનો અમલ કરે છે. જો કે સુન્ની વ્હોરા સાંસ્કૃતિક દ્રષ્ટિએ શિયાપંથી દાઉદી વ્હોરાની નજીક છે.

(B) શિયા પંથી મુસ્લિમ-

શિયાપંથી મુસ્લિમોની ધાર્મિક આસ્થા અને ઈસ્લામિક કાયદા સુન્નીઓથી ઘણાં અલગ છે. તેઓ મોહમ્મદ પયગંબરના ખલીફા નહીં., પણ ઈમામ નિયુક્ત કરવાના ટેકેદાર છે. શિયાપંથીઓનું માનવું છે કે પયગંબર મોહમ્મદના મૃત્યુ બાદ તેમના અસલી ઉત્તરાધિકારી તેમના જમાઈ હઝરત અલી હતા. તેઓ અલીને જ પોતાના વારસદાર જાહેર કરી ચુક્યા હતા. પરંતુ છેતરપિંડીથી તેમના સ્થાને હઝરત અબુ-બકરને ખલીફા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

શિયા મુસ્લિમો મોહમ્મદ પયગંબરના નિધન બાદ બનેલા પહેલા ત્રણ ખલીફાઓને પોતાના નેતા માનતા નથી. પરંતુ પહેલા ત્રણેય ખલીફાઓને શિયાપંથીઓ ગાસિબ કહે છે. ગાસિબ અરબી શબ્દ છે. ગાસિબનો અર્થ થાય છે તફડાવી લેનારા.

શિયાપંથીઓનું માનવું છે કે જેવી રીતે અલ્લાહે મોહમ્મદ સાહેબને પોતાના પયગંબર બનાવીને મોકલ્યા હતા. તેવી જ રીતે પયગંબર મોહમ્મદના જમાઈ અલીને પણ અલ્લાહે જ ઈમામ અથવા નબી નિયુક્ત કર્યા હતા અને બાદમાં તેમના વંશવેલામાંથી જ ઈમામ આવ્યા. સમય વિતવાની સાથે શિયાપંથીઓમાં પણ નવા ફિરકાઓ અસ્તિત્વમાં આવ્યા હતા.

(1)    ઈસ્ના અશરી-

શિયાપંથી મુસ્લિમોનો સૌથી મોટો ફિરકો ઈસ્ના અશરી અથવા બાર ઈમામોને માનનારા મુસ્લિમોનો સમૂહ છે. ઈસ્લામિક જગતના કુલ શિયાપંથી મુસ્લિમોમાંથી 75 ટકા શિયા મુસ્લિમ ઈસ્ના અશરી સમુદાય સાથે સંકળાયેલા છે. ઈસ્ના અશરી સમુદાયના કલમા સુન્નીઓના કલમાથી પણ અલગ છે. તેમના પહેલા ઈમામ હઝરત અલી અને આખરી એટલે કે બારમા ઈમામ જમાના અથવા ઈમામ મહેંદી છે. તેઓ અલ્લાહ, કુરાન અને હદીસને માને છે. પરંતુ તેમના ઈમામોના માધ્યમથી આવેલી હદીસોને તેઓ માન્યતા આપે છે.

કુરાન બાદ અલીના ઉપદેશ પર આધારીત પુસ્તક નહજુલ બલાગકા અને અલકાફિ પણ તેમના મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકો છે. આ સંપ્રદાય ઈસ્લામિક ધાર્મિક કાયદા પ્રમાણે, જાફરિયામાં પણ વિશ્વાસ ધરાવે છે. ઈરાન, ઈરાક, ભારત અને પાકિસ્તાન સહીત દુનિયાના મોટાભાગના દેશોમાં ઈસ્ના અશરી શિયા સમુદાયનો દબદબો છે.

(2)    જૈદિયા-

શિયાપંથીઓનો બીજો સૌથી મોટો ફિરકો જૈદિયા છે. તેઓ બાર ઈમામોના સ્થાને માત્ર પાંચ ઈમામોમાં જ વિશ્વાસ ધરાવે છે. તેમના પહેલા ચાર ઈમામો તો ઈસ્ના અશરી શિયાપંથના જ છે. પરંતુ પાંચમા અને આખરી ઈમામ હુસૈન (હઝરત અલીના પુત્ર)ના પૌત્ર જૈદ-બિન-અલી છે. તેના કારણે આ શિયાપંથી મુસ્લિમ સમુદાયને જૈદિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. જૈદિયા સમુદાયના ઈસ્લામિક કાયદા જૈદ-બિન-અલીના એક પુસ્તક મજમઉલ ફિકહમાંથી લેવામાં આવ્યા છે. મધ્ય-પૂર્વ એશિયામાં આવેલા યમનના હૌતી જૈદિયા સમુદાયના મુસ્લિમો છે.

(3)    ઈસ્માઈલી શિયા-

શિયાપંથીઓનો એક સમુદાયન માત્ર સાત ઈમામોને જ માન્યતા આપે છે અને તેમના આખરી ઈમામ મોહમ્મદ બિન ઈસ્માઈલ છે. તેના કારણે જ આ સમુદાયના મુસ્લિમોને ઈસ્માઈલી તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્ના અશરી શિયાઓ સાથે તેમનો વિવાદ ઈમામ જાફર સાદિક બાદ તેમના મોટા પુત્ર ઈસ્માઈલ-બિન-જાફર ઈમામ થશે કે તેમના બીજા પુત્ર મૂસા કાજિમ ઈમામ બનશે તેના સંદર્ભે હતો. ઈસ્ના અશરી સમૂહે જાફર સાદિક બાદ તેમના બીજા પુત્ર મૂસા કાજિમને ઈમામ માન્યા અને આમ શિયાપંથીઓમાં બે ફિરકા પડયા હતા. તેવી રીતે ઈસ્માલિયોએ પોતિના સાતમા ઈમામ ઈસ્માઈલ-બિન-જાફરને માન્યા. તેમની ફિકહ અને તેમની કેટલીક માન્યતાઓ પણ ઈસ્ના અશરી શિયાઓથી કેટલાંક અંશે અલગ છે.

(4)    દાઉદી વ્હોરા –

દાઉદી વ્હોરા ઈસ્માઈલી શિયા ફિકહને માને છે. ઈસ્માઈલી શિયા સાત ઈમામોને માન્યતા આપે છે.. જ્યારે દાઉદી વ્હોરા 21 ઈમામોને માને છે. દાઉદી વ્હોરાના આખરી ઈમામ તૈયબ અબુલ કાસિમ હતા. તેમના પછી ધાર્મિક નેતાઓની પરંપરા છે.તેમને દાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરામાં 52મા દાઈ સૈય્યદના બુરહાનુદ્દીન રબ્બાની હતા.

2014માં રબ્બાનીના નિધન બાદ તેમના બે પુત્રો વચ્ચે ઉત્તરાધિકારી બનવાનો વિવાદ થયો અને આ મામલો અદાલતમાં ગયો. દાઉદી વ્હોરા ભારતના પશ્ચિમ ક્ષેત્ર ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. જ્યારે પાકિસ્તાન અને યમનમાં પણ તેઓની વસ્તી છે. દાઉદી વ્હોરા એક સફળ વેપારી સમુદાય ગણાય છે. તેમનું એક જૂથ સુન્ની પણ છે.

(5)     ખોજા –

ખોજા સમુદાય ગુજરાતનો એક વેપારી વર્ગ છે. તેમણે થોડી સદીઓ પહેલા જ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. આ સમુદાયના લોકો શિયા અને સુન્ની બંને ઈસ્લામિક પંથધારાઓમાં જોવા મળે છે. મોટા ભાગના ખોજા ઈસ્માઈલી શિયાના ધાર્મિક કાયદાનું પાલન કરે છે. પરંતુ ખોજા સમુદાયનો એક વર્ગ ઈસ્ના અશરી શિયાપંથમાં પણ જોવા મળે છે. કેટલાંક ખોજા સમુદાયના મુસ્લિમો સુન્નીપંથી પણ હોય છે. આ સમુદાયનો મોટો વર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂર્વ આફ્રિકાના દેશોમાં પણ વસવાટ કરે છે.

(6)    નુસૈરી –

શિયાઓના નુસૈરી સંપ્રદાય સીરિયા અને મધ્ય-પૂર્વના જુદાંજુદાં ક્ષેત્રોમાં જોવા મળે છે. તેને અલાવી નામથી પણ ઓળખવામાં આવે છે. સીરિયામાં નુસૈરી પંથના શિયાઓની સંખ્યા ઘણી મોટી છે. સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસદનો સંબંધ પણ નુસૈરી શિયા સમુદાય સાથે છે. આ સમુદાયના મુસ્લિમોનું માનવું છે કે અલી હકીકતમાં ભગવાનના અવતાર તરીકે દુનિયામાં આવ્યા હતા. તેમની ફિકહ ઈસ્ના અશરીમાં છે. પરંતુ તેમની આસ્થાઓ અને માન્યતાઓમાં મતભેદ છે. નુસૈરી પુનર્જન્મમાં પણ વિશ્વાસ ધરાવે છે અને કેટલીક ખ્રિસ્તી પંથી પરંપરાઓ પણ તેમની જીવનશૈલીનો ભાગ છે.

(C)  અહમદિયા –

હનફી ઈસ્લામિક કાયદાનું પાલન કરનાર મુસ્લિમોનો એક સમુદાય પોતાને અહમદિયા ગણાવે છે. આ સમુદાયની સ્થાપના ભારતમાં રહેલા પંજાબના કાદિયાનમાં મિર્જા ગુલામ અહમદે કરી હતી. અહમદિયા સમુદાયના લોકોનું માનવું છે કે મિર્ઝા ગુલામ અહમદ ખુદ નબીના જ એક અવતાર હતા. મિર્ઝા ગુલામ અહમદ ખુદ કોઈ નવી શરિયત લાવ્યા નથી. પરંતુ પયગંબર મોહમ્મદની શરિયતનું જ પાલન કરતા હતા. પરંતુ તેઓ નબીનો દરજ્જો ધરાવે છે. મુસ્લિમોના અહેમદિયા સિવાયના લગભગ તમામ પંથો મોહમ્મદ સાહેબ અલ્લાહના આખરી પયગંબર હોવાનો વિશ્વાસ ધરાવે છે. ભારત, પાકિસ્તાન અને બ્રિટનમાં અહમદિયા સમુદાયના લોકોની સારી એવી સંખ્યા છે. પરંતુ ધાર્મિક માન્યતાના મતભેદને કારણે મુસ્લિમોનો એક મોટો વર્ગ અહમદિયાને ઈસ્લામના અનુયાયી ગણવાનો પણ ઈન્કાર કરે છે. પાકિસ્તાનમાં તો સત્તાવાર રીતે અહમદિયાઓને બિનમુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે.

આના સિવાય પણ ઈસ્લામમાં ઘણાં નાના-નાના પંથ અને સમુદાયો છે. જો કે ઈસ્લામના અનુયાયીઓના તમામ ફિરકાઓ એકબીજાને અન્યથી શ્રેષ્ઠ મુસ્લિમ ગણાવે છે.

No comments:

Post a Comment