Thursday, March 17, 2016

ભારતદ્રોહીઓ પ્રત્યે સહિષ્ણુતા ધરાવનારાઓ સામે અસહિષ્ણુતા જરૂરી


- પ્રસન્ન શાસ્ત્રી



કોઈપણ દેશ પોતાના મૂળ રાષ્ટ્રીય તત્વ અને તેના આધારરૂપ બાબતોના વિરોધો પ્રત્યે સહિષ્ણુ હોઈ શકે નહીં. આવી બાબતો પ્રત્યે સહિષ્ણુ રાષ્ટ્ર અને દેશ દુનિયામાં ઓળગી જતા હોય છે. યુનાન (ગ્રીસ), ઈજીપ્ત કે રોમ જેવી મહાકાય સલ્તનતો દુનિયાના નક્શાઓમાંથી અલોપ થઈ ચુકી છે. પરંતુ ભારત સતત પડકારો વચ્ચે પોતાનું અસ્તિત્વ જાળવવામાં સફળ રહ્યું છે. પરંતુ સહિષ્ણુતાના અતિરેકથી ભારતવિરોધી તત્વોને પાંગરવાનો ફરીથી મોકો આપવામાં આવશે.. તો ભારત સામે ફરીથી વિકટ પડકારો પેદા થશે. એક તરફ વિશ્વમાં ગ્લોબલ જેહાદના નામે આતંકનો ખૂની ખેલ ચાલી રહ્યો છે.. ત્યારે ભારતે રાષ્ટ્રવાદ અને દેશભક્તિ યુક્ત એકતા સાથે વૈશ્વિક પડકારોની સામે ઝઝૂમવાનું છે અને જીતવાનું છે. દેશમાં છેલ્લા કેટલાંક મિહનાઓથી ચાલી રહેલો ઘટનાક્રમ ચિંતા ઉપજાવનારો છે. ખરેખર આપણે ભારતના લોકોએ સાવધાન થઈને આનો મુકાબલો કરવાની તાબડતોબ જરૂરિયાત છે. 



દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે ડાબેરી અને કાશ્મીરી વિદ્યાર્થીઓના જૂથો દ્વારા દેશવિરોધી સૂત્રોચ્ચાર કરાયો. ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર સંસદ પર હુમલાના એક ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની વરસીએ નવમી ફેબ્રુઆરીએ કથિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારત તેરે ટુકડે હોંગે ઈન્શાહઅલ્લાહ ઈન્શાહઅલ્લાહ સૂત્રોચ્ચાર પોકારાયા. તો તુમ કિતને અફઝલ મારોગે.. હર ઘર સે અફઝલ નિકલેગાના સૂત્રોચ્ચાર સાથે દલીલો રજૂ કરાતી રહી કે અફઝલ ગુરુને અપાયેલી ફાંસી એક જ્યુડિશયલ મર્ડર હતું. ત્યારે સવાલ એ છે કે જે અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કરી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદ પર હુમલાના ગુનેગારની દયાઅરજી નામંજૂર કરી.. તેની ફાંસીના બે વર્ષ બાદ પણ આ મુદ્દો જીવતો રાખવાનો અર્થ શું છે? પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટી ખાતે પણ જેએનયુ જેવા ઘટનાક્રમનું પુનરાવર્તન થયું અને ભારતવિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. 



આ કાર્યક્રમમાં કાશ્મીરના જેહાદી આતંકવાદના મૂળસ્ત્રોત ગણાતા મકબૂલ બટ્ટની તસવીરોનો પણ પોસ્ટરોમાં ઉપયોગ કરાયો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના છાત્રસંઘના પ્રમુખ કન્હૈયા કુમારની ધરપકડ કરાઈ. તેને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયો અને પટિયાલા હાઉસ કોર્ટ ખાતે કન્હૈયા કુમાર સામે આક્રોશ પણ વ્યક્ત કરાયો હતો. ઉમર ખાલિદ અને આનિર્બાન સહીત અન્ય ત્રણ વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરાઈ છે. જો કે આ ત્રણેય વિદ્યાર્થીઓ ઘણો લાંબો સમય ભૂગર્ભમાં રહ્યા અને બાદમાં જેએનયુ કેમ્પસ ખાતે દેખાયા હતા. કન્હૈયા કુમારને શરતી જામીન મળ્યા બાદ દેશદ્રોહી સૂત્રોચ્ચારવાળા કથિત સાંસ્કૃતિક કાર્યક્રમ બદલ ક્રાંતિના મસીહા તરીકે મીડિયામાં સ્વાગત કરાયું. કેટલાંક ખાસ પત્રકારો પણ કન્હૈયા કુમારને રાષ્ટ્રીય નાયક તરીકે રજૂ કરવા માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. જો કે ભારતના દેશપ્રેમી લોકો આવા કોઈપણ પ્રયત્નોથી દોરવાય તેવી શક્યતા બિલકુલ નથી. 2002ની ગુજરાતમાં બનેલી ગોધરાકાંડ અને તેના પછી બનેલી ઘટનાઓમાં પણ મીડિયાના આવા તત્વોએ જનતાનો મિજાજ જોઈ લીધો છે. પરંતુ હજીપણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મીડિયાના આવા ચોક્કસ તત્વો કદાચ અમેરિકા કે અન્ય કોઈ દેશો પાસેથી સેક્યુલર હોવાનું સર્ટિફિકેટ જાળવી રાખવા માટે તેઓ ભારત વિરોધી તત્વોને છાવરવાની પોતાની પરંપરાને જાળવવા ઈચ્છી રહ્યા છે. 



જેએનયુ વિવાદમાં આરએસએસના સરસંઘચલાક મોહન ભાગવતે પરોક્ષ ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે હવે યુવાનોને ભારતમાતા કી જય બોલતા પણ શીખવવું પડે તેવો સમય છે. આના સંદર્ભે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હદ વટાવી દીધી હતી. હિંદુવિરોધી અને પરોક્ષપણે સામાન્ય ભારતીયોની લાગણી ઘવાય તેવા નિવેદનો કરનારા ઓવૈસીએ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતને પડકાર ફેંકતા ભાગલા પહેલાની મુસ્લિમ લીગી માનસિકતાની ખુલ્લેઆમ અભિવ્યક્તિ કરી હતી. મુસ્લિમ લીગી માનસિકતાની આઝાદીનો જાણે કે ઓવૈસી અને તેના નાનાભાઈ અકબરુદ્દીનને અધિકાર મળ્યો છે. આવી સહિષ્ણુતાના માહોલમાં અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તેના ગળા પર ચાકૂ મૂકી દેવામાં આવે તો પણ તે ભારતમાતા કી જય બોલશે નહીં. ત્યાર બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં એમઆઈએમના ધારાસભ્યને ભારતમાતા કી જય નહીં બોલવાના મામલે સસ્પેન્ડ કરી દેવાયો છે. 



આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર બિલકુલ શાખી શકાય નહીં તેવું ખોંખારીને કહેવાના સ્થાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જેએનયુ ખાતે વિદ્યાર્થીઓના ચોક્કસ જૂથો સામે સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચા કરીને કન્હૈયા કુમારની ગેંગને ટેકો આપે છે. તો અરવિંદ કેજરીવાલ અને ડાબેરી નેતા સીતારામ યેચુરી અને ડી. રાજા સંસદમાં રાજદ્રોહના કાયદાની સમીક્ષાના મોરચાનું નેતૃત્વ કરે છે. 
આઈપીસીની કલમ-124(એ) પર નવેસરથી નજર નાખવાની જરૂરિયાત પર ચર્ચા જરૂરથી થઈ શકે છે. પરંતુ રાજદ્રોહના ગુના સામેની આઈપીસીની જોગવાઈની બંધારણીય જરૂરિયાતની ચર્ચાના બહાને ભારતવિરોધી સૂત્રોચ્ચારના મામલા પર પડદો પાડવાની કોશિશ કરવામાં આવે. ભારતને બરબાદ કરવામાં લાગેલા આતંકવાદીઓનો સીધો કે આડકતરો ટેકો આપવાના કરતૂતને આવી સમીક્ષાની ચર્ચામાં કોઈપણ પ્રકારની શેહ મળી શકે નહીં. 



ભારત એક જમીનનો ટુકડો નથી. જીવતોજાગતો રાષ્ટ્રપુરુષ છે. ભારતની અંદર આ દેશના કરોડો-કરોડો સંતાન માતાનું સ્વરૂપ જોવે છે. ભારતને માતા માનીને તેની આરાધના કરનારા લોકોની આ દેશમાં કોઈપણ પ્રકારે અછત નથી. આવા સંજોગોમાં જેએનયુ અને જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વૈચારીક રીતે ગેરમાર્ગે દોરવાયેલા એક સમૂહ દ્વારા ભારતીય બંધારણ પર શરમજનક આઘાત કરાય અને દેશની એકતા-અખંડિતતાને પડકારવામાં આવે તેવી બાબત ખરેખર નવા સંજોગોની નવી સામે આવેલી વાત છે. 



જેએનયુ નવમી ફેબ્રુઆરીના વિવાદીત પોસ્ટરથી સ્પષ્ટ છે કે કેટલીક દેશી અને વિદેશી શક્તિઓએ ભારતની પાયાગત બાબતોને નિશાને લઈને વૈશ્વિક દબાણ પેદા કરવાનું શરૂ કર્યું છે. અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની ન્યાયિક હત્યાની વાર્તાઓ કરનારાઓને ખાલી એટલો સવાલ છે કે આ બંને જેવા આતંકવાદીઓ દ્વારા કઈ ન્યાયિક પ્રક્રિયા હેઠળ કાશ્મીર અને ભારતના અન્ય ભાગોમાં જેહાદી આતંકનો ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને આવી નિર્દોષ લોકોની હત્યાઓને કઈ કેટેગરીમાં મૂકશો? દિલ્હી હાઈકોર્ટે પણ જેએનયુ કાંડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની જામીન અરજી પર સુનાવણી વખતે કથિત સાંસ્કૃતિક કાર્યક્રમના સૂત્રોચ્ચારનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સવાલ પણ છે કે  શું દેશની એકતા-અખંડિતતા પ્રત્યે પ્રતિબદ્ધ એવો ભારતનો કોઈપણ નાગરિક આવો સૂત્રોચ્ચાર કરી શકે? લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીની નામે આતંકવાદને કેવી રીતે સમર્થન આપી શકાય?



જેએનયુના દેશદ્રોહી સૂત્રોચ્ચાર કાંડ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિભા રાનીએ સુનાવણી દરમિયાન ટાંક્યું છે કે આવા લોકો યુનિવર્સિટીના પરિસરમાં આઝાદીથી અબાધિતપણે આવા સૂત્રો પોકારી શકયા.. કારણ કે સેનાના જવાનોએ તેમને આ સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવ્યું છે. આપણા જવાનો દુનિયાના સૌથી ઉંચા શિખર પર દુર્ગમ પરિસ્થિતિઓમાં રાત-દિવસ સુરક્ષાનું કામ કરી રહ્યા છે. જે લોકો હાથમાં અફઝલ અને મકબૂલની તસવીરોવાળા પોસ્ટરો છાતીએ લગાવીને આતંકવાદીઓના સમ્માનમાં દેશવિરોધી સૂત્રો પોકારી રહ્યા છે.. તેઓ આવી પરિસ્થિતિમાં એક કલાક પણ ટકી શકે તેમ નથી. આવા દેશદ્રોહી સૂત્રોચ્ચારને તેમણે શહીદ જવાનોના પરિવારોને હતોત્સાહિત કરનારા ગણાવ્યા છે. 



જો કે નકલી સેક્યુલરવાદીમાંથી નકલી રાષ્ટ્રવાદીનો વેશ ધારણ કરી ચુકેલા કથિત બુદ્ધિજીવીઓએ ન્યાયાધીશની કડવી ટીપ્પણીઓ પર દલીલો કરી છે. આવા નકલી સેક્યુલરવાદીઓમાંથી નકલી રાષ્ટ્રવાદીઓ બનેલા તત્વોએ ન્યાયાધીશની ટીકા કરીને કહ્યુ છે કે જામીન અરજી પર આદેશ આપવાના સ્થાને જજે તો ઉપદેશ આપી દીધો. આવા તત્વો બિલકુલ ઈચ્છતા નથી કે ભારતના બંધારણ અને દેશની એકતા-અખંડિતતાની મજાક કરનારા દેશવિરોધીઓને દંડિત કરવામાં આવે. ભારતમાં રાષ્ટ્રવાદ નબળો પડે તેમાં આવા તત્વોના સ્થાપિત હિતો રહેલા છે. 



હેટ ઈન્ડિયા કેમ્પેનમાં હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એક કાયદાવિદ્દે કાયદાકીય પાસાઓની ચર્ચા વખતે ઓન રેકોર્ડ જણાવ્યુ છે કે દેશવિરોધી હોવું કોઈ આપરાધિક કૃત્ય નથી. ત્યારે સવાલ એટલો છે કે સહિષ્ણુતાની હદ ક્યાં સુધી હોવી જોઈએ? હિંદુસ્તાનને પોતાની એકતા-અખંડિતતા માટે જોખમી તત્વો સામેની આવી સહિષ્ણુતા પરવડે તેવી નથી. 



દાદરી કાંડમાં ગૌમાંસ ખાવાની આશંકાને કારણે એક મુસ્લિમની સ્થાનિક લોકો દ્વારા હત્યા કરાઈ હતી. ત્યારે ચર્ચા શરૂ થઈ કે ગૌમાંસ ખાવું જોઈએ કે નહીં? પરંતુ બંધારણમાં ધાર્મિક આસ્થાના આદરની ઘણી વાતોને નજરઅંદાજ કરનારા સગવડિયું વલણ ધરાવતા તત્વોએ દેશના એકસો કરોડ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ પરવાહ કરી નહીં. ગાયની હત્યા અને ગૌમાંસ સંદર્ભે જૂના-જૂના સંદર્ભો ટાંકીને ગૌકુશીને ન્યાયોચિત્ત ઠેરવવાની કોશિશો થઈ હતી. બંધારણમાં લખ્યું નહીં હોવાથી ભારતમાતાની જય બોલીશ નહીં તેવી દેશદ્રોહી વાતો કરનારા તત્વોને ખબર હોવી જોઈએ કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધની ઈચ્છા રાખવામાં આવી છે. 



માલ્દા અને પૂર્ણિયામાં મહંમદ પયગંબર સામેની કથિત ટીપ્પણીના મામલે સેંકડો મુસ્લિમોએ ટોળાબંધ સડકો પર ઉતરી આવીને કાયદો-વ્યવસ્થા અને શાંતિનું ખૂન કર્યું હતું. પરંતુ આવા મામલે નક્લી સેક્યુલરવાદીઓ અને તેમાથી નકલી રાષ્ટ્રવાદી બનેલા તત્વોએ આવી ઘટનાઓ સામે એક હરફ ઉચ્ચાર્યો નથી. તો મીડિયાના કેટલાંક ચોક્કસ તત્વોએ મલ્દાની ઘટનાને ગુનાખોરી સાથે સાંકળીને તેમાં મજહબી ઉન્માદની કોઈ ભૂમિકા નહીં હોવાની ખોટી ધારણા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. 



મહત્વપૂર્ણ છે કે 1947 પહેલા મુસ્લિમ લીગના પાકિસ્તાનવાદી ભાગલાવાદને તત્કાલિન કમ્યુનિસ્ટ પાર્ટીના ટેકા બાદ વધુ ધાર મળી હતી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રસ્તાવને ટેકા બાદ સત્તર વર્ષમાં મુસ્લિમ લીગ અને મહંમદ અલી જિન્નાહે પાકિસ્તાન અખંડ ભારતને ચીરીને પેદા કર્યું હતું. હવે કમ્યુનિસ્ટો સાથે કોંગ્રેસ અને અન્ય નકલી સેક્યલરવાદી પક્ષો અને તત્વો ફરીથી આવા કામ કરી રહ્યા છે. ઓવૈસી બંધુઓના દેશદ્રોહ સામે આંખો બંધ રાખનારા લોકો આરએસએસ, ભાજપ અને હિંદુવાદી સંગઠનો સામે કા-કા કરીને કકળાટ કરતા નજરે પડે છે. 


સવાલ એક પાર્ટીનો નથી.. સવાલ એક વિચારધારાનો નથી.. સવાલ એક સંગઠન પરિવારનો નથી. સવાલ મારા-તમારા અને આપણા દેશના અસ્તિત્વનો અને ઓળખ સાથેના અસ્તિત્વનો છે. જો દેશ તેના પ્રાણ સાથે જીવંત રહેતો હોય.. તો પાર્ટી.. સંગઠન તો શું ખુદનું પણ બલિદાન આપવાની તત્પરતા આ દેશના કરોડો લોકોમાં છે. દેશપ્રેમ અને દેશપ્રેમીઓ પ્રત્યે અસહિષ્ણુતા ધરાવતા તત્વો પ્રત્યે આ દેશની એકતા-અખંડિતતા પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવતો કોઈપણ વ્યક્તિ સહિષ્ણુ હોઈ શકે નહીં. દેશમાં કથિત અસહિષ્ણુતાના કથિત વધારાના કારણે એવોર્ડ વાપસી કરનારા કેટલાંક ચોક્કસ વળગણો ધરાવતા સાહિત્યકારો, લેખકો, બુદ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિકોને દેશમાં વધી રહેલો દેશદ્રોહ શા માટે દેખાતો નથી?

No comments:

Post a Comment