Thursday, March 17, 2016

પઠાનકોટ પાકિસ્તાનની સુરક્ષા નીતિનું પરીક્ષણ

- પ્રસન્ન શાસ્ત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક લાહોર યાત્રામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાનના આતંકવાદીઓએ જૈશ-એ-મહોમ્મદની આગેવાનીમાં બીજી જાન્યુઆરીએ પરોઠિયે પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર હુમલો કરીને ભારતને હેપ્પી ન્યૂ ઈયર કર્યા હતા. પઠાનકોટ હુમલા બાદ પાકિસ્તાનના આતંકવાદની મોટી-મોટી તાત્વિક વાતોની ચિંતાની હદે ચર્ચા થઈ હતી.

હકીકતમાં પઠાનકોટ પરનો આતંકવાદી હુમલો પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ હેઠળ  ભારત વિરુદ્ધ પોતાના એજન્ડાને આગળ વધારવાની એક કડી માત્ર છે. જેને ભારતની અત્યાર સુધીની સરકારો પાકિસ્તાન પ્રેરીત-પ્રયાજિત આતંકવાદ ગણાવી રહી છે. તે હકીકતમાં ભારત સામેના પાકિસ્તાનના નાના-નાના યુદ્ધો છે. જેને ભારતના લોકો આતંકવાદ સમજીને સહી રહ્યા છે.. તે હકીકતમાં પાકિસ્તાનના એવા નાના યુદ્ધો છે કે જેને કરાચી-લાહોર-રાવલપિંડી જેવા પાકિસ્તાની શહેરોમાંથી ઈચ્છા પડે ત્યારે શરૂ કરાય છે અને પોતાના ઉદેશ્યોની પૂર્તિ સાથે આટોપી લેવાય છે. પરંતુ ભારતના લાકોને માત્ર આતંકવાદની વાતોથી સમજાવાય છે.

કહેવામાં આવે છે કે આતંકવાદનો કોઈ રંગ અને મજહબ હોતો નથી. જો કે ભારતમાં પાકિસ્તાન પ્રેરીત અને પ્રયોજિત આતંકવાદમાં મજહબી પ્રેરણાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આતંકવાદને ડામવા માટે ભારતની સરકારોની અત્યાર સુધીની નીતિઓ અસ્પષ્ટ રહી છે. જેને કારણે વૈશ્વિકસ્તરે વિશેષજ્ઞોમાં એક એવી ધારણા પેદા થઈ છે કે પરંપરાગત મોટા યુદ્ધમાં પાકિસ્તાન ભારત સાથે જીતી શકે તેમ નથી. તો તેવી રીતે ભારતમાં પાકિસ્તાનના કોઈપણ આતંકી હુમલારૂપી નાના યુદ્ધને હરાવવા માટેની આક્રમક ક્ષમતાનો અત્યાર સુધી અભાવ દેખાયો છે.
1971ના યુદ્ધમાં ઐતિહાસિક હાર અને પોતાના ભાગલા બાદ પાકિસ્તાને ભારતને લોહીલુહાણ કરવા માટે આતંકવાદને સામરિક હથિયાર તરીકે વાપર્યો છે. 1984માં પાકિસ્તાને પંજાબમાં આતંકવાદને પોત્સાહન આપ્યું હતું. બાદમાં અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે મુજાહિદ્દીનોની જેહાદને 1990 બાદ કાશ્મીરમાં વાપરવાની શરૂઆત પાકિસ્તાન દ્વારા કરાઈ છે. જેના પરિણામે કાશ્મીર અને ભારતમાં અન્ય ઠેકાણે જેહાદી આતંકવાદની સ્થિતિ પેદા થઈ છે.

ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોર નામના પાકિસ્તાન મિલિટ્રી એકેડમીના અભ્યાસક્રમમાં રહેલા પુસ્તકમાં પણ ભારત સામે લડવા માટે પાકિસ્તાની સેનાને જેહાદના પાઠ ભણાવાય છે. તો પાકિસ્તાનના આતંકી જૂથોને પણ આઈએસઆઈ દ્વારા જેહાદના ઝેર પાઈને ભારતમાં છોડવાની પ્રવૃત્તિ કરાય છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ જૈશ-એ-મોહમ્મદને આતંકી જૂથ લશ્કરે તોઈબાના એક પ્રતિસ્પર્ધી સંગઠન તરીકે ઉભું કર્યું છે. મહત્વપૂર્ણ છે કે પઠાનકોટ હુમલા બાદ લશ્કરે તોઈબાના આતંકીઓએ પમ્પોરમાં હુમલો કર્યાનું પણ સામે આવ્યું છે.  આઈએસઆઈ દ્વારા પાકિસ્તાનમાં ચલાવાતી જેહાદી આતંકની વ્યૂહાત્મક રણનીતિમાં આવા સંગઠનો પોતાની જરૂરિયાતો સાબિત કરવા માટે ભારતને સોફ્ટ ટાર્ગેટ તરીકે નિશાન બનાવતા રહે છે.  જો કે પહેલા આઈએસઆઈ દ્વારા લશ્કરે તોઈબાને ઉભું કરાયુ હતું. જૈશ-એ-મહોમ્મદનની સ્થાપના પહેલા પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ- મુશ્તાક અહમદ ઝરગાર, અહમદ ઉમર સઈદ શેખ અને મૌલાના મસૂદ અઝહરને ભારત સરકારે ડિસેમ્બર-1999માં ભારતીય વિમાનના અપહરણ કાંડમાં પ્રવાસીઓની અવેજીમાં મુક્ત કર્યા હતા. કંધારકાંડમાં મુક્ત કરાયેલા આતંકવાદીઓને આઈએસઆઈ પોતાના સંરક્ષણમાં પાકિસ્તાન લઈ ગઈ હતી. તેના થોડા જ સપ્તાહોમાં મસૂદ અઝહરે કરાચીમાં જૈશ-એ-મહોમ્મદની સ્થાપનાની ઘોષણા કરી હતી.

લશ્કરે તોઈબા અને જૈશ-એ-મહોમ્મદ બંને વૈચારીક ધરાતલ પર અલગ સંગઠનો છે. જૈશ-એ-મોહમ્મદ અફઘાન અને પાકિસ્તાની તાલિબાનોની જેમ જ દેવંબદી વિચારધારાનું જેહાદી આતંકી જૂથ છે. જ્યારે લશ્કરે તોઈબા અહલે હદીસની વિચારધારાને અનુસરે છે. જૈશ મોટાભાગે ફિદાઈન હુમલા કરીને લશ્કરે તોઈબાથી વધારે જોખમી આતંકી અભિયાનોને અંજામ આપતું રહ્યું છે. આ આતંકવાદી જૂથોને પાકિસ્તાની આર્મીના મેજર કે તેની ઉપરની રેન્કના અધિકારીની ફાળવણી કરાય છે. આ પાકિસ્તાની સૈન્ય અધિકારી તેમને તાલીમ અને સંસાધન સુનિશ્ચિત કરાવવાનુ કામ કરે છે. ભારતીય સેનાની ટુકડી વિરુદ્ધ પાકિસ્તાની સૈન્યનો ઈન્ચાર્જ અધિકારી આવા આતંકી જૂથોને કાશ્મીરમાં નાના સ્તરે ભારતીય સેનાની ટુકડીઓને નિશાન બનાવવાની મંજૂરી આપતો હોય છે. આવા હુમલાના કોઈ મોટા વ્યૂહાત્મક નિહિતાર્થ હોતા નથી.

સંભવિત વ્યૂહાત્મક પાસાઓને ધ્યાનમાં રાખીને કાશ્મીરની બહાર થનારા તમામ આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનના આર્મી ચીફની મંજૂરી મહત્વની હોય છે. આવા હુમલાઓને કારણે અમેરિકાનું નારાજ થવાનું બનતું રહેતું હોય છે અને તે ગઠબંધનોને મદદ માટેનું ફંડિંગ બંધ કરે છે. ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ પર તેની જવાબદેહી હોય છે.

એક ચર્ચા એવી પણ ચલાવાઈ કે વડાપ્રધાન મોદીની લાહોર યાત્રા અને પાકિસ્તાન સાથેની વાટાઘાટોની બહાલીની દિશામાં આગળ વધી રહેલી શાંતિ પ્રક્રિયાને રોકવા માટે પઠાનકોટ હુમલો કરાયો છે. પરંતુ વ્યૂહાત્મક બાબતોના આંતરરાષ્ટ્રીય જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ પ્રક્રિયાને બાધિત કરવાની કોશિશ તરીકે પઠાનકોટ પરના આતંકવાદી હુમલાને જોવું જોખમને અવગણવા સમાન છે. આવો દ્રષ્ટિકોણ પાકિસ્તાન દ્વારા દક્ષિણ એશિયાઈ વિસ્તારોમાં તેના રણનીતિક હિતોને સુરક્ષિત કરવા માટે જેહાદી શક્તિઓને અપાઈ રહેલા પ્રોત્સાહનની ખોટી વ્યાખ્યા કરનાર સાબિત થશે.

પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પરનો આતંકવાદી હુમલો મોદી-શરીફની મુલાકાતના ઘટનાક્રમની પ્રતિક્રિયા નહીં હોવાની શક્યતા છે. ભારત વિરુદ્ધ પોતાના એજન્ડાને આગળ વધારવા માટે પાકિસ્તાની સેના અને આઈએસઆઈની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિના ભાગ હેઠળ જ આવો હુમલો થાય છે.

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો છે. આવા સંજોગોમાં બંને વચ્ચે મોટા યુદ્ધની શક્યતા ખૂબ જ પાંખી છે અને નાના-નાના યુદ્ધોની મોટી સંભાવનાઓ છે. નાના યુદ્ધણાં પાકિસ્તાનને હરાવવાની ક્ષમતાનો ભારતમાં અભાવ હોવાની ચાડી ઉપલબ્ધ આંકડાઓ અને તેના વિશ્લેષણો ખાય છે.

ઉફામાં મોદી અને શરીફની બેઠકની પ્રતિક્રિયા તરીકે ગુરુદાસપુર ખાતેનો આતંકવાદી હુમલો થયો ન હતો. આ હુમલાનો સમયગાળો મહત્વનો છે. આ હુમલો ત્યારે થયો કે જ્યારે ભારતે મ્યાંમારમાં આતંકવાદીઓ વિરુદ્ધ સીમાપાર અભિયાન છેડયું હતું. તેની સાથે પાડોશી દેશોને નિવેદનોના સ્વરૂપમાં ચેતવણીઓ અપાઈ હતી કે આતંકવાદીઓને શરણ આપનારા પાડોશીઓ સાથે આવો જ વ્યવહાર કરાશે. તેની સામે પાકિસ્તાનને પણ સામે નિવેદનબાજી કરીને ઘણો કકળાટ કર્યો હતો.

પઠાનકોટ અને ગુરુદાસપુર બંને આતંકી હુમલા નાના શહેરોમાં થયા છે. મુંબઈ અથવા દિલ્હી જેવા શહેરોમાં આતંકી હુમલા ખૂબ મોટો વૈશ્વિક હંગામાનું કારણ બનતા હોય છે. સંસદ પરનો 2001નો આતંકી હુમલો પણ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવામાં આવ્યો હતો. તેમાં પણ ભારતની પાકિસ્તાન પ્રત્યેની સહિષ્ણુતા અને સહનશીલતાની આંકણી કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ ખાતેના ભારતીય દૂતાવાસ પરના આતંકવાદી હુમલાને પણ ભારતની સહનશીલતાના પરીક્ષણ તરીકે જ જોવામાં આવે છે.

પાકિસ્તાનનો કાશ્મીર પરનો દાવો ગેરકાયદેસ છે. ભારત પાસે રિયાસતે જમ્મુ-કાશ્મીરનો જોડાણપત્ર ઉપલબ્ધ છે. આ જોડાણપત્ર પર તત્કાલિન મહારાજા હરિસિંહે 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ હેઠળ હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાને કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ પ્રમાણે જનમત સંગ્રહની પહેલી શરતને જ પુરી કરી નથી. આવા સંજોગોમાં હવે દાયકાઓ બાદ આતંકવાદના દબાણમાં પાકિસ્તાન દ્વારા ભારતને કાશ્મીર મુદ્દે ચર્ચા માટે દબાણ કરાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરશે તો તેનાથી પાકિસ્તાનને વધુ પ્રોત્સાહન મળવાનું કારણ ઉભું થાય છે અને તેની સાથે ઘરઆંગણે કાશ્મીર પર તેના દાવાની વાતને કાયદેસરની હોવાની લાગણી ઉભી કરવાનો મોકો પણ મળે છે. પાકિસ્તાની સેના પણ પોતાના દેશના લોકોને કહી શકે છે કે ભારતના લોકોને પણ લાગે છે કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરૂરી છે.

પઠાનકોટ જેવા આતંકી હુમલાઓની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને પાકિસ્તાનને એક જ પલડામાં મૂકીને બંનેને વિવાદો ઉકેલવાની સલાહોનો મારો શરૂ થઈ જતો હોય છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારના બજેટમાંથી નાણાં ફાળવાય છે. પાકિસ્તાની પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફની પાર્ટીની સરકાર છે અને તેમનો ભાઈ અહીં મુખ્યપ્રધાન છે. તો પઠાનકોટ હુમલા બાદ પણ ભારતના આકરા વાંધા છતા અમેરિકા પાકિસ્તાનને આઠ એફ-16 ફાઈટર જેટ્સ વેચી રહ્યું છે.

આવા સંજોગોમાં આતંકવાદી કૃત્યો માટે દંડ આપવાની વાત તો દૂર રહી પણ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અને અમેરિકાની સહાયતાથી વંચિત રાખવાનું હજી સુધી શક્ય બન્યું નથી. આમ તો ભારત પાસે પાકિસ્તાનની આતંકી હરકતો સામેના ઝૂઝ વિકલ્પો ઉપલબ્ધ છે. તેમ છતાં તેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે તો પાકિસ્તાનને આતંકી હુમલારૂપી નાના યુદ્ધોમાં પ્રભાવી ઢંગથી હરાવી શકાય તેમ છે. તેના માટે આંતરરાષ્ટ્રીય સરહદો અને એલઓસી ખાતે સરસાઈ સાબિત કરવા માટે વધુ રોકાણ કરવાની જરૂરિયાત છે.

ભારત સરહદો પર મોટાભાગે સંરક્ષણાત્મક ક્ષમતાઓનું જ પ્રદર્શન કરતું રહ્યું છે. પરંતુ પાકિસ્તાન સામેના વલણમાં ફેરફારનો સમય પાકી ગયો છે. આ સિવાય પાકિસ્તાન પાસે તેના સુરક્ષાદળોના સંયુક્ત સંચાલન કરવાની સત્તા ધરવાતો એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. પરંતુ ભારતીય સેના અને સુરક્ષાદળો સંદર્ભે આવી વ્યવસ્થા હજી સુધી કોશિશો છતાં ઉભી થઈ શકી નથી. આ સિવાય અફઘાનિસ્તાનમાં આતંક સામેના યુદ્ધના નામે અમેરિકાની સેનાની ઉપસ્થિતિ અને હવે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે પીઓકેમાં ચીનની સેનાના સૈનિકોની હાજરી પણ ભારતના મુકાબલે પાકિસ્તાનની સૈન્ય સ્થિતિને મજબૂત બનાવે છે. આ સંજોગોમાં ભારતે પણ વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત સૈન્ય સ્થિતિ પ્રાપ્ત કરવાની જરૂર છે.

No comments:

Post a Comment