Thursday, March 17, 2016

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય યુટર્ન

ભારતમાં કોઈપણ પક્ષ શાસનમાં આવે સત્તાની મજબૂરીઓના પાંજરામાં કેદ થઈ જતો જોવા મળ્યો છે. તો વિપક્ષમાં રહેલા પક્ષો સત્તાપક્ષની મજબૂરીને મુદ્દો બનાવીને પોતાના સત્તામાં જવાનો ચિલો ચાતરવાનું કામ કરતા જોવા મળે છે. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની સત્તાની સાઠમારીમાં જનતાના હિતોને ઘણું મોટું નુકસાન પણ થતું જોવા મળ્યું છે. આર્થિક બાબતોની વાત કરીએ.. તો હાલની ભાજપની આગેવાનીવાળી એનડીએની મોદી સરકારે પણ બે બજેટ સત્રમાં પાંચ મોટા યૂટર્ન લીધા છે. કદાચ મોદી પણ સત્તામાં આવ્યા પછી મનમોહનસિંહની જેમ મજબૂર બની ગયા હશે.. 

દેશમાં દશ વર્ષ કોંગ્રેસની આગેવાનીવાળી મનમોહનસિંહની યુપીએ સરકારનું શાસન ચાલ્યું. જીએસટી બિલ અને આધાર કાર્ડ જેવા તે સમયના ઘણાં આર્થિક મુદ્દાઓનો ભાજપ દ્વારા આકરો વિરોધ કરાયો હતો. મોદી સરકારે આર્થિક મોરચે મુખ્ય પાંચ યુટર્ન લીધા છે. જેમાં કાળું ધન.. મનરેગા.. આધાર કાર્ડ.. જીએસટી બિલ.. અને ઈપીએફ પર ટેક્સ વાપસી જેવા મામલાનો સમાવેશ થાય છે. 

ભાજપે બ્લેક મનીને લોકસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવ્યો હતો. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પ્રચાર અભિયાનોમાં વિદેશમાંથી કાળું ધન પાછું લાવવાના ઘણાં બણગાં ફૂક્યા હતા. ભાજપે વાયદો કર્યો હતો કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો એકસો દિવસમાં કાળું ધન વિદેશોમાંથી ભારત પાછું લાવવામાં આવશે. 

મોદી સરકારને સત્તામાં આવ્યાને બે વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે. જો કે આર્થિક સુધારાની વાતો અને કડવી દવા પીડાવાની ગોવામાં કરેલી વાતો પરથી મોદી સરકાર યુટર્ન લેતી જોવા મળી છે. 

કદાચ ભારતની લોકશાહીની મજબૂરી છે કે વોટબેંકના પોલિટિક્સ સામે ભારત અને ભારતના લોકોના આર્થિક હિતો બાજૂ પર કરીને પાર્ટી હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. તો હકીકત એ પણ છે કે કંઈપણ કરવા માટે સત્તા રહેવી પણ જરૂરી છે અને જનતાને સમજાવીને આર્થિક સુધારા કરવા માટે વોટબેંક પોલિટિક્સમાં પોપ્યુલર પગલા લેવા પણ જરૂરી હોય છે કે જેથી ચૂંટણીઓમાં ચૂંટાવાનો મોકો મળતો રહે... એટલે કે દુનિયાની જેમ ભારતનું રાજકારણ પણ ગોળ છે..

બ્લેક મની- 

ભારતના લોકોના હકના ઘણાં કાળા નાણાં દેશ અને વિદેશોમાં છૂપાવામાં આવ્યા હોવાના મસમોટા દાવાઓ છેક આઝાદીથી થતા આવ્યા છે. કાળું નાણું ભ્રષ્ટાચારની જડને મજબૂત બનાવે છે. ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો કરીને દેશમાં સત્તા પર પહોંચી શકાયું હોવાના દાખલા ઘણાં છે. ભાજપને લોકસભામાં બહુમતી મળવા પાછળ વિદેશોમાંથી કાળું નાણું લાવવાનો વાયદો એક મહત્વનું ફેક્ટર હતો. આ મોરચે મોદી સરકારે અત્યાર સુધી કંઈ ખાસ કર્યું નથી. 

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી વિક્રમજનક જાહેરસભાઓ અને રેલીઓમાં મોટા ભાગે કાળા ધનની વિદેશોથી વાપસીનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. દરેક ગરીબોને પંદરથી વીસ લાખ રૂપિયા મળી જશે તેવી આશા પણ જગાવી હતી. 

જો કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ લોકોની આશા ધીમેધીમે ઠગારી સાબિત થવા લાગી. ગરીબોના ખાતામાં પંદરથી વીસ લાખ રૂપિયા વિદેશોમાં કાળા ધનની વાપસીથી આવી જશે તેવી લોકોની આશાને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીલક્ષી જુમલો ગણાવ્યો હતો. 

બ્લેક મની ધારકો સામે કડક કાર્યવાહી માટેનો કાયદો પણ બનાવાયો. પરંતુ 2016-17ના સામાન્ય બજેટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ જાહેરાત કરી કે અઘોષિત સંપત્તિ ધરાવતા લોકો પિસ્તાલિસ ટકા ટેક્સ ચુકવીને કાયદાકીય કાર્યવાહીથી બચી શકશે. આ યોજના એક જૂન- 2016થી 30 સપ્ટેમ્બર- 2016 સુધી લાગુ રહેશે. 

કાળા ધનને સફેદ કરવાની મોદી સરકારની આ યોજનાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ફેયર એન્ડ લવલી યોજના ગણાવી હતી. 

કાળા નાણાંનો આર્થિક વ્યવહાર લાખો કરોડનો હોવાનું માનવામાં આવે છે. વિદેશોમાં કાળા નાણાંના લાખો કરોડ રૂપિયાની ગણતરી નરેન્દ્ર મોદીના ખાસ ટેકેદાર બાબા રામદેવે પણ કરાવી હતી. જો કે ભારતના લોકો પોતાના પરથી કરનો બોજો દૂર થાય તેના માટે વિદેશમાંથી બ્લેક મની મોદી સરકાર પાછા લાવે તેની રાહ જોઈને બેઠા છે... બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ અને દેશમાંથી કાળું ધન બહાર કઢાવે અને દેશના વિકાસમાં આ નાણાંને લગાવે.. પણ આમ થવામાં હવે કેટલી રાહ જોવી પડશે.. ભગવાન જાણે.. 

મનરેગા- 

મનરેગાની યોજના ખરેખર આઝાદીના છ દાયકાઓમાં ગરીબોની ગરીબી દૂર કરવા માટેની કોશિશોમાં ઘણી મોટી કચાસને ઉઘાડી પાડે છે. મનરેગાની ટીકા કરતા મોદી પણ તેના માટે હજારો કરોડની ફાળવણી કરવા માટે મજબૂર છે. મહત્વપૂર્ણ છે કે ભારતના વિકાસદરને ઉંચો લઈ જવાની લ્હાયમાં ક્રોની કેપિટાલિસ્ટોની ફોજમાં વધારો કરવાના સ્થાને દેશના લોકોમાં આર્થિક સમાનતા માટેની ક્ષમતા પેદા કરવાની નીતિઓની તાબડતોબ જરૂરિયાત પર તમામ રાજકીય પક્ષોએ રાજકારણથી પર રહીને પ્રયત્નોમાં જોતરાવાની આવશ્યકતા છે. 

યુપીએ સરકાર દ્વારા ચાલુ કરાયેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગાની ભાજપ દ્વારા ઘણી ટીકાઓ થઈ છે. મનરેગાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકારની નિષ્ફળતાનું સ્મારક સુદ્ધાં ગણાવી ચુક્યા છે. 

જો કે ગરીબોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે મનરેગા ચાલુ રાખવી મનમોહનની જેમ મોદીની પણ મજબૂરી છે. 2016-17ના બજેટમાં મનરેગા માટે મોદી સરકારે 38 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 

ભારતમાં કરોડોપતિઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.. પરંતુ તેનાથી અનેકગણા ગરીબો ભારતમાં રહે છે. એકસો પચ્ચીસ કરોડની વસ્તીવાળા ભારતમાં ગરીબો અલગ-અલગ સરકારી અંદાજ પ્રમાણે 35 ટકાથી માંડીને 42 ટકા સુધીમાં ક્યાંક છે.. પરંતુ તેનો સીધો અર્થ છે કે ભારતના કરોડો લોકો દારૂણ ગરીબીમાં સબડી રહ્યા છે. વ્યવસ્થા માત્રને માત્ર ધનિકોના જીવવા માટેની જ બની રહી છે. સ્માર્ટ સિટીના વાવાઝોડાંમાં ભારતના આત્મા સમાન ગામડાંઓ ગાયબ થાય નહીં તેની પણ ચિંતા છે. આવા સંજોગોમાં રોજગાર દેશના ગરીબો સામે મોટો પડકાર છે. 

આધાર નંબર - 

આતંકવાદ અને ઘૂસણખોરીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ભારતના લોકો માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી નંબર એટેલે કે આધાર કાર્ડની યોજના જાણકારોએ બેહદ જરૂરી માની હતી. પરંતુ વિપક્ષમાં રહેતી વખતે ભાજપે તેની ટીકા કરી હતી. પરંતુ હવે સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આધાર કાર્ડના ફાયદા સમજાવા લાગ્યા છે. 

કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે યુઆઈડીએઆઈ એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ સંખ્યા નામથી આધાર કાર્ડની યોજના શરૂ કરી હતી. ભાજપે વિપક્ષમાં રહેતી વખતે આધારના આંકડાઓની વિશ્વસનીયતા પર ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપનું કહેવું હતું કે વિશિષ્ટતા કોઈની ઓળખ પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી શરત હોઈ શકે નહીં. પરંતુ 2016-17ના બજેટમાં સબસિડી અને અન્ય સરકારી લાભ માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દેવાયું છે. 

ભારતના નાગરિકોના ખાનગીપણાની જાળવણી સાથે યુઆઈડીએઆઈની યોજનાનો જનતાના કલ્યાણમાં ઉપયોગ કરવા માટેના હકારાત્મક પાસાને મોદી સરકાર જોઈ રહી હોય.. તો તે આવકાર્ય છે. આધાર કાર્ડના ડેટાબેસ કલ્યાણ યોજનાઓના યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે.. તો આધાર કાર્ડના ડેટાબેસનો ઉપયોગ દેશની સામે રહેલા પડકારોને પહોંચી વળવા માટે પણ ઉપયોગમાં લેવાવાની સંભાવનાઓને પણ સાકાર બનાવવાની દિશામાં વિચારી શકાય તેમ છે.. 

જીએસટી બિલ- 

ભારતમાં રોકાણકારો આવે તેના માટે મજબૂત કર માળખાની જરૂરિયાત હોવાનું શીર્ષસ્થ અર્થશાસ્ત્રીઓનું માનવું રહ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરવાની જરૂરિયાત કોંગ્રેસને પોતાની ગઠબંધન સરકારમાં સમજાઈ હતી. પરંતુ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. હવે સત્તામાં આવ્યા બાદ યુટર્ન હેઠળ ભાજપની આગેવાનીવાળી ગઠબંધન સરકાર જીએસટી ઈચ્છી રહી છે.. પણ કોંગ્રેસ જીએસટી બિલને મંજૂર કરાવવા માટે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. 

કોંગ્રેસની ગઠબંધન સરકાર જીએસટી લાગુ કરવા બિલ પસાર કરાવવા માંગતી હતી.. ત્યારે ભાજપે સંસદની અંદર અને બહાર તેનો વિરોધ કર્યો હતો. હવે ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ બિલને ભાજપની સરકારે મોનસૂન સત્રમાં લોકસભામાં પારીત કરાવી લીધું છે. 

રાજ્યસભામાં ભાજપ તથા એનડીએની બહુમતી નથી. સરકાર સામે એકજૂટ બનેલા વિપક્ષે કોંગ્રેસની આગેવાનીમાં જીએસટી બિલ પર રાજ્યસભામાં અડંગો લગાવ્યો છે. હવે યુટર્ન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને જીએસટી બિલ મંજૂર કરાવવાની વિપક્ષને હાર્દિક અપીલ પણ કરી છે. 

જીએસટીના લાગુ થયા બાદ ઉત્પાદ શુલ્ક અને સર્વિસ ટેક્સ સહીત કેન્દ્ર અને રાજ્યોના પરોક્ષ ટેક્સ સમાપ્ત થઈ જશે. જીએસટીના લાગુ થવાથી આખા દેશમાં એક પ્રોડક્ટ લગભગ એક કિંમતે મળવા લાગશે. જો કે મોદી સરકારના જીએસટી બિલમાં કોંગ્રેસ સુધારા ઈચ્છી રહી છે. 

ઈપીએફ પર ટેક્સનો મામલો- 

ઈપીએફના ઉપાડ પર ટેક્સ લગાવીને સરકારી કર્મચારીઓ અને મજૂર સંગઠનોના વિરોધ વચ્ચે મોદી સરકારને યુટર્ન લેવાની ફરજ પડી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈપીએફ પર ટેક્સ લગાવવાની બજેટ પ્રસ્તાવની જોગવાઈની આકરી ઝાટકણી કરીને સરકારની રાજકીય નાકાબંધી પણ કરી હતી. 

બજેટ સત્રમાં સરકારી કર્મચારીઓના ઈપીએફ ઉપાડના 60 ટકા ભાગ પર ટેક્સ લગાવવાની સરકાર તરફથી જાહેરાત કરાઈ હતી. અઘોષિત મિલ્કત જાહેર કરનારાઓને 45 ટકા ટેક્સ ચુકવ્યા બાદ રાહત આપવાની મોદી સરકારની યોજનાનો મામલો ઉઠાવીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈપીએફ પર ટેક્સનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ચોરો માટે ફેયર એન્ડ લવલી યોજના અને સરકારી કર્મચારીઓના પરસેવાની કમાણી પર કર લાગુ કરવાનું પગલું ખોટું છે. 

ઈપીએફના ઉપાડ પર કર લાગુ કરવાની જોગવાઈ મામલે મોદી સરકારે યુટર્ન લીધો અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેને પાછો ખેંચવાની જાહેરાત પણ કરી.. કેટલીક રાજકીય મજબૂરી અને કેટલીક જરૂરિયાતો વિરોધ પક્ષમાં રહેતી વખતે સમજાતી હોતી નથી. પરંતુ સત્તામાં આવ્યા બાદ આવા પક્ષોને શાણપણ આવતું હોય છે. ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકારને પણ સત્તામાં આવ્યા બાદ આવા શાણપણનો અનુભવ તેમને કદાચ ઉપરાઉપરી યુટર્ન લેવા માટે મજબૂર બનાવતો હશે... 

જમીન સંપાદન બિલ - 

2014ની લોકસભાની ચૂંટણીમાં ઉછળતા મોજા જેવી લોકપ્રિયતા સાથે ત્રીસ વર્ષ બાદ પહેલી વખત એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી.. મોદી સરકારને ત્રણ દાયકા બાદ ભારતમાં આવેલી સૌથી શક્તિશાળી સરકાર ગણવામાં આવે છે. પરંતુ જમીન સંપાદન બિલમાં સંશોધન મામલે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં પછડાટ મળી હતી. તેની સાથે મોદી સરકારને રાજકીય રીતે બે ગેરફાયદા પણ થયા.. જેમાં ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છાપ ખૂબ ઉછાળવામાં આવી.. તો બીજી છાપ એવી પેદા થઈ કે અબ કી બાર આવેલી મોદી સરકાર.. હકીકતમાં યુટર્ન સરકાર સાબિત થઈ રહી છે. 

જમીન સંપાદન બિલ મોદી સરકારની પહેલી મોટી રાજકીય લડાઈ હતી. પરંતુ રાજ્યસભામાં બહુમતી નહીં હોવાની સાથે સંઘ પરિવારના સંગઠનો અને ખુદ એનડીએના શિવસેના જેવા પક્ષોના વિરોધના સૂરે મોદી સરકારને જમીન સંપાદન બિલ પડતું મૂકવા માટે મજબૂર બનાવી હતી. મહત્વપૂર્ણ છે કે ખેડૂત વિરોધી છબી બનવાને કારણે યુપી-બિહારના ભાજપના કેટલાંક સાંસદો પણ જમીન સંપાદન બિલ મામલે સરકારના સૂરમાં સૂર મિલાવવા માટે તૈયાર હતા નહીં. 

તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જમીન સંપાદન બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા શાબ્દિક હુમલા કર્યા હતા. 

આખરે બિહારની ચૂંટણી પહેલા મોદી સરકારને જમીન સંપાદન બિલ મામલે પારોઠના પગલા ભરવા પડયા હતા. વિપક્ષ દળો ખાસ કરીને કોંગ્રેસે સ્વાભિમાન રેલી કરીને જમીન સંપાદન માટેના વટહુકમોનો સિલસિલો બંધ કરવા માટે મોદી સરકારને ઝુકવું પડયું હોવાનો દાવો પણ કર્યો હતો. 

યુપીએ સરકારના કાર્યકાળમાં જમીન સંપાદન કાયદામાં ઘણી જટિલતા હોવાનું મોદી સરકારનું માનવું હતું. અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવા માટે નવા પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને સંશોધિત જમીન સંપાદન બિલ પારીત કરવું જરૂરી હોવાનું પણ સરકારનું માનવું હતું. પરંતુ ખેડૂત વિરોધી છબી ઉપસી આવતા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નુકસાનથી ભાજપ બચી શકી નહીં.. 

No comments:

Post a Comment