Wednesday, April 4, 2012

સેમ પિત્રોડાને પ્રેસિડેન્ટ નહીં, CM પદના ઉમેદવાર બનાવવા જોઇએ


ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ભારતના પીએમ બને તેવી રાજ્ય અને દેશની જનતાની ઈચ્છા હોવાની વાતો ઘણાં વખતથી ચાલતી રહી છે, ત્યારે ગુજરાતમાં મોદીના કોંગ્રેસી વિકલ્પ તરીકે વિકાસની ગતિને આગળ વધારવા માટે સેમ પિત્રોડાના નામનો વિચાર થાય અને તેઓ મુખ્મમંત્રી બની જાય તો ગુજરાતની પ્રજા ખુશ થાય. પરંતુ મોદી માટે દિલ્હીની સલ્તનત મેળવવી ખૂબ કઠિન છે, ગુજરાત આપતા તો આપી દે, પણ દિલ્હી મળે તેવી સંભાવનાઓ ઓછી જણાય છે. કારણ કે ગુજરાત કરતા દિલ્હીમાં મોદીના ઘરના દુશ્મનો ઘણાં છે.

ગુજરાતમાં આગામી ડીસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ટાઈમ મેગેઝીન પ્રમાણે લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ટાઈમ મેગેઝીન ગુજરાતના વિકાસપુરુષની પ્રશંસા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગાંધી, સરદાર પટેલ બાદ ત્રીજા ગુજરાતી છે કે જેમણે ટાઈમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મેળવ્યું છે. ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પાંચ-છ વડાપ્રધાન પદના વિચારણા હેઠળના ઉમેદવારોમાંથી એક છે.

મુખ્યમંત્રી પદના ભાજપના સક્ષમ ઉમેદવાર સામે કોંગ્રેસ તરફથી 2002થી અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ સર્વસંમત મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. વળી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની રાજનેતા સિવાયની અન્ય કાબેલિયત સાથે સ્પર્ધા કરે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતના પ્રદેશ સ્તરની નેતાગીરીમાં હાલ ઉપલબ્ધ નથી. પરંતુ કોંગ્રેસ માટે હવે આ શોધ ખતમ થઈ ગઈ હોય તેમ લાગે છે.

કોંગ્રેસના ઓબીસી નેતા ગણતા ટેક્નોક્રેટ સેમ પિત્રોડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવા માટે વિચારી શકે છે. જો સેમ પિત્રોડા કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે, તો મોદી વિરુદ્ધ પિત્રોડાનો જંગ વધારે રસપ્રદ અને ટક્કરનો પણ બની શકે તેમ છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રતિષ્ઠિત પત્રકારની ન્યૂઝ સ્ટોરી જોવા મળી. તેના પ્રમાણે જાણીતા ટેક્નોક્રેટ અને ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વિશ્વાસુ ગણાતા ગુજરાતી સેમ પિત્રોડા જુલાઈ માસમાં યોજનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુપીએ તરફથી ઉમેદવારી મામલે ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે.

સત્યનારાયણ ગંગારામ પંચાલ ઉર્ફે સેમ પિત્રોડા ભારતની સંચાર ક્રાંતિમાં ઘણું મોટું કામ કરી ચુક્યા છે. તેમને ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતા અને ભારતમાં કમ્પ્યુટર વિકાસ માટે તેમને અમેરિકાથી ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે તે આમંત્રણ સ્વીકારીને ઘણી ટેકનોલોજીકલ બાબતોમાં દેશને હરણફાળ ભરાવી છે. હવે ગુજરાતનું સૂકાન તેમને સોંપવું જોઇએ. તેઓ હળવદથી ચૂંટણી લડી શકે છે.

જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પદના યુપીએ તરફથી ઉમેદવારોના લિસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા સ્પીકર મીરાકુમાર, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને કર્ણ સિંહ જેવા કોંગ્રેસીઓના નામ લોકોની જબાન પર આવી રહ્યા છે. તેમની સાથે ગુજરાતી મૂળના સેમ પિત્રોડાનું નામ મુકાય તે ગુજરાત માટે ગર્વની વાત છે. એક ગુજરાતી તરીકે સૌને તેના માટે ગર્વ થવું જોઈએ. વળી તે રાષ્ટ્રપતિ બની જાય તો રાષ્ટ્રપતિ બનનાર તેઓ પહેલા ગુજરાતી હશે.

પરંતુ વિકાસ ક્રાંતિ રથ પર બિરાજમાન ગુજરાતને વિકાસ પથ પર બમણી ગતિથી દોડાવવા માટે સેમ પિત્રોડાની ગુજરાતમાં વધારે જરૂરત છે. આમ તો ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સર્વસંમત નેતા નક્કી થઈ શકતો નથી. શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન વગેરે નામો દેખાય છે. પરંતુ ગુજરાતના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ટાઈમ મેગેઝીનમાં ચમકતા હોય અને સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીમાં પણ આ કોંગ્રેસી નેતાઓ કરતા ખૂબ આગળ દેખાતા હોય, ત્યારે જરૂરથી કોંગ્રેસની ગુજરાત પ્રદેશની નેતાગીરીએ ડીસેમ્બર-2012માં આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ કરવા જોઈએ.

કદાચ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવામાં ડાર્ક હોર્સ ગણાતા સેમ પિત્રોડા ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ તરફથી સૌથી સક્ષમ ઉમેદવાર બની શકે છે. કારણ કે તેઓ વિકાસની વાતો જ નથી કરતા પણ દેશને ટેક્નોલોજીના આધારે વિકાસ પથ પર ચાલતુ કરનારા વ્યક્તિઓમાંના એક છે. 2004માં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બન્યા બાદ પિત્રોડા નોલેજ કમિશનના ચેરમેન બનાવાયા છે.

તાજેતરમાં પિત્રોડા તરફ લોકોનું ધ્યાન ત્યારે જવાનું શરૂ થયું કે જ્યારે યૂપીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જારી કરવા માટે તેમને મોકલ્યા. તેમના નામને આગળ વધારીને કોંગ્રેસે પોતાના દલિત-પછાત એજન્ડાને પણ વધારવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે પિત્રોડા મિસ્ત્રી સમુદાયમાંથી આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીની ગણતરી ઓબીસી નેતા તરીકે પણ થાય છે. તેમને યૂપીમાં ચૂંટણી પ્રચાર વખતે ઓબીસી વોટને ખેંચવા માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી ઉતરાવા માંગતી હતી. જો કે તેઓ યૂપી સહીત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઉતર્યા ન હતા, તે ચર્ચાનો અલગ મુદ્દો છે. પરંતુ જ્યારે ભાજપ તરફથી ડીસેમ્બર-2012માં મુખ્યમંત્રી પદના નિર્વિવાદ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની ગણતરી ભાજપ તરફથી વિચારણા હેઠળના પાંચ-છ વડાપ્રધાન પદના ઉમેદવારોમાં થઈ રહી છે.

ત્યારે કોંગ્રેસ માટે પણ તેમની સામે સક્ષમ ઉમેદવાર મુખ્યમંત્રી પદ માટે ઉતરવો એ ગુજરાતના ચૂંટણી ગણિતને અસર કરનાર મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. 2012ની ચૂંટણી પહેલા માણસામાં 17 વર્ષે કોંગ્રેસને મળેલી જીત ઘણી આશાઓ સર્જી રહી છે. પરંતુ મોદી સામે લડવા માટે થનગનતી કોંગ્રેસની સેના હાલ સેનાપતિ વગરની છે. પરંતુ સેમ પિત્રોડા ગુજરાત કોંગ્રેસને સક્ષમ નેતાગીરી પુરી પાડવાના તમામ ગુણધર્મો ધરાવે છે.

મોદી ટેક્નોક્રેટ મુખ્યમંત્રી ગણાય છે, સેમ પિત્રોડા ખુદ દેશના અગ્રણી અને નિવડેલ ટેક્નોક્રેટ છે. મુખ્યમંત્રી મોદી વિકાસપુરુષ છે, તો સેમ પિત્રોડાએ દેશના વિકાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી દેખાડયો છે. મોદી ઓબીસી સમુદાયમાંથી હોવા છતાં લોકોમાં સ્વીકૃત છે. તો સેમ પિત્રોડા પણ ઓબીસી સમુદાયમાંથી આવવા છતાં માત્ર તેમના સમુદાયમાં કેદ થઈને રહ્યા નથી.

સેમ પિત્રોડાને કોંગ્રેસ બહાર મમતા બેનર્જી, શરદ પવાર અને નવીન પટનાયકના પણ નજીકના માનવામાં આવે છે. જેવી રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ સિવાય જયલલિતા, પ્રકાશસિંહ બાદલ અને એમએનએસના રાજ ઠાકરે પસંદ કરે છે. જો કે મોદીને હાલ ભાજપના કેન્દ્રીય નેતાગીરી સાથે ખટરાગના અણસાર છે.

મોદીને ચૂંટણી ગણિત બેસાડવામાં અને ચૂંટણી જીત માટેના ખૂબ સારા સ્ટ્રેટર્જીસ્ટ ગણવામાં આવે છે. ત્યારે સેમ પિત્રોડાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પોલિટિકલ કેમ્પેઈનની યોજના બનાવી હતી. આ યોજનાને સફળતા મળતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા છે.

જો કે સેમ પિત્રોડા માટે એક વાત થોડી અલગ છે. તેમના પિતા ગુજરાતમાંથી ઓડિશામાં સ્થાયી થયા હતા. એટલે કે તેઓ એનઆરજી છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત બાદ એનઆરજીઓને ઘણું સારું મહત્વ મળી રહ્યું છે. ત્યારે બની શકે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી પણ પોતાની સામે કોંગ્રેસના એનઆરજી ઉમેદવારથી કોંગ્રેસ સામે થોડું કૂણું વલણ દાખવે. કારણ કે મુખ્યમંત્રી એનઆરજીઓને દેશ-વિદેશમાંથી ગુજરાતના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રે છે.

જો સેમ પિત્રોડાને કોંગ્રેસ તરફથી ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, તો ગુજરાતમાં વિકાસ પુરુષ સામે વિકાસપુરુષની ટક્કર જોવા મળે. વળી પરિણામ કોઈપણ આવે ગુજરાત વિકાસના માર્ગ પર આગળ વધે તેવી ગુજરાતની પ્રજાને હૈયા ધારણ બંધાય શકે છે. શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ સંદર્ભે વિચાર કરી શકે? ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના હિત માટે રાષ્ટ્રપતિ પદના સંભવિત કોંગ્રેસી ઉમેદવાર એવા સેમ પિત્રોડાને ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને મોદીને જવાબ આપવા માટે કંઇક નવો પ્રયોગ સરાહનિય છે.

No comments:

Post a Comment