- આનંદ શુક્લ
ભારતમાં આતંકવાદના મૂળમાં રાજકારણને કારણે ઉભા થયેલા રાજકીય તત્વોના સ્થાપિત હિતો છે. જેને કારણે અલગાવવાદથી આતંકવાદની અનેક ઘટનાઓ સ્વતંત્રતાના 78 વર્ષોમાં ભારતે જોઈ છે. દિલ્હીમાં 10 નવેમ્બર, 2025ના રોજ થયેલો આતંકી હુમલો વિસ્ફોટકોથી ભરેલી કાર દ્વારા ડૉક્ટર ઉમર મોહમ્મદે કર્યો હતો. આ એક ફિદાઈન એટેક હોવાની ચર્ચા છે અને કારચાલક ડૉ. ઉમર મોહમ્મદ એ શંકાસ્પદ આતંકીઓનો સાથીદાર નીકળ્યો કે જેમના ઠેકાણાઓથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ વિસ્ફોટક અને ઘાતક હથિયારો જપ્ત થયા હતા.
સુરક્ષા એજન્સીઓ આતંકીઓ અને તેમના ઠેકાણાઓ સુધી તો પહોંચી ગઈ, પણ તે તેમનું સંપૂર્ણ નેટવર્કને નિષ્ફળ કરવામાં સફળ થઈ નહીં. કેન્દ્ર સરકારના કડક વલણને કારણે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા સક્ષમ થઈ શકે છે. પરંતુ તાજેતરમાં એવા ઘણાં આતંકી નેટવર્કો ઝડપાયા છે કે જે દેશના વિભિન્ન વિસ્તારોમાં સક્રિય થઈને આતંકી ષડયંત્રો રચી રહ્યા હતા. કાશ્મીરના આતંકીઓએ હરિયાણાના ફરીદાબાદને પોતાનું ઠેકાણું બનાવ્યું અને આવા ઘણાં પોકેક્ટ્સ ભારતભરમાં આવા તત્વોને ઉપલબ્ધ થાય તેવી ઘણી શક્યતાઓ છાવરવામાં આવેલા કોમવાદીઓને કારણે હજીપણ યથાવત છે.
કચ્છથી જેસલમેર સરહદે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો હોય, ત્યારે રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક આવેલા મંદિર પાસે થયેલો ફિદાઈન ગણાતો આતંકી હુમલો એક પડકાર છે અને પાકિસ્તાન સાથે પણ આવા આતંકી તત્વોના તાર જોડાયેલા હોઈ શકે છે, જેની તપાસ સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી છે. પહેલગામમાં ધર્મ પુછીને કરાયેલી 28 જેટલા હિંદુ પ્રવાસીઓની હત્યા બાદ શરૂ કરાયેલું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું અને તેને બંધ નથી કરાયું. આ હકીકત જોતાં કોઈપણ પ્રકારની પાકિસ્તાની આતંકી હરકત પાડોશી દેશ માટે ખતરનાક સાબિત થવાની છે.
પરંતુ અહીં ભારતના દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહેલી વાત પણ યાદ કરવી જોઈએ. મોટાભાગે ભારતની સામે પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે એકસાથે લડાઈનું જોખમ હોવાનું ઘણાં સંરક્ષણ નિષ્ણાતો કહેતા રહ્યા છે. પરંતુ જનરલ રાવતે 2.5 ફ્રન્ટ વૉરની વાત કરી છે. જેમાં બે મોરચે લડાઈ તો સમજમાં આવે છે, પરંતુ જે અડધા મોરચાની લડાઈ છે, તે ભારતની અંદર રહેલા પાંચમી કતારિયા એટલે કે વિદેશીઓના હાથમાં અને ખાસ કરીને પાકિસ્તાની જેહાદી નેટવર્ક સાથે સંબંધ ધરાવતા ભારતવિરોધી તત્વોની સામે હશે. આવા સંજોગોમાં દેશમાં રહીને જે તત્વો આતંકી હુમલા કરવાની હિમાકત કરી રહ્યા છે, તેવા કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના ભારતીય વિસ્તારોમાં સક્રિય આતંકી તત્વોના ખાત્માની લડાઈ ભારત સરકારની રાહબરીમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રીય તથા પ્રાંતીય સુરક્ષા અને નાગરિક એજન્સીઓએ શરૂ કરી દેવી પડશે. જેથી 2.5 ફ્રન્ટ વૉરની સ્થિતિને ટુ ફ્રન્ટ વૉર સુધી મર્યાદિત કરી શકાય.
દિલ્હીમાં થયેલા હુમલાએ એ પણ સાબિત કર્યું છે કે આતંકવાદને નિરક્ષરતા કે ઓછું ભણવા સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી હુમલાના આરોપીઓ ડૉક્ટર થયેલા હતા અને તેમણે દર્દીઓના બચાવવાના સ્થાને ડોક કાપવાનું એટલે કે હિંસા કરવાનું મજહબી ઓઠાં હેઠળ પસંદ કર્યું છે. આ નવું આતંકી સ્વરૂપ મજહબી ઉન્માદના વ્યાપક સ્વરૂપને અત્યારથી જ રોકવાની જરૂરિયાત પર પણ ધ્યાન દોરી રહ્યું છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતાના વોટબેંકની રાજનીતિથી પ્રેરિત નરેટિવ્સમાંથી પણ બહાર આવવાની જરૂર છે. મૂળભૂત કારણ અને મૂળભૂત કારકોને ખુલ્લા પાડીને તેમની સામે વૈચારિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને સૈનિકીય લડાઈ લડવા માટેની વ્યાપક વ્યૂહરચના સરકાર, સમાજ અને તમામ ‘સ્ટેક હોલ્ડર્સે’ કરવી પડશે. ભારતમાં ચાલી રહેલા મજહબી આતંકવાદીઓની પ્રેરણા આસમાની કિતાબની છે. તેનું અર્થઘટન છે કે તેમાં ખરેખર આવું લખેલું છે, પણ ઘણાં વિદ્વાનો માની રહ્યા છે કે આવા તત્વોએ વિશ્વના ‘દારુલ અમન’, ‘દારુલ હરબ’ અને ‘દારુલ ઈસ્લામ’માં ફેરવી નાખી છે. ‘દારુલ અમન’ એટલે કે જ્યાં આસમાની કિતાબને અનુસરનારાઓની સંખ્યા 15થી 20 ટકા છે, આવા ક્ષેત્રોમાં ‘અલ-તકૈયા’ એટલે કે આસપાસના સમાજને લોકજીવનને અનુરૂપ થઈને રહીને પોતાની ઓળખ સાબૂત રાખવાની પદ્ધતિ અપનાવી પોતાનો પ્રભાવ વધારવો. ‘દારુલ હરબ’ એટલે કે એવા ક્ષેત્રો કે જ્યાં આસામાની કિતાબને માનનારાઓની સંખ્યા 30થી લઈને 60 ટકા વચ્ચે છે અને આવા સંજોગોમાં રાજકીય, સામાજીક વર્ચસ્વ વધારીને આવા ક્ષેત્રને સંપૂર્ણ ઈસ્લામની ભૂમિમાં બદલવા. 1947માં ભારતના ભાગલા એક ‘પાન-ઈસ્લામિક’ ઘટના હતી અને તેમાં મુસ્લિમોને વિશ્વમાં પહેલીવાર મજહબી આધારે અલગ દેશ મળ્યો.
712થી ભારત આવા મજહબી આક્રાંતાઓ સામે લડતું રહ્યું, પણ ક્યારેય પોતાના દેશ પરનો દાવો આવી રીતે જવા દીધો ન હતો. પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાનવાદને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનનારાઓ ભારતના જ બંધારણ-બંધારણીય વ્યવસ્થા, કાયદો અને અન્ય વ્યવસ્થાત્મક છીંડાનો ઉપયોગ કરીને ભારતને જ ખતમ કરીને જાણે કે પાકિસ્તાન કે તેના જેવા ક્ષેત્રમાં ફેરવવાની કોશિશો પાડોશી દેશના ઈશારે કરી રહ્યા છે. ભારતમાં ધર્મના આધારે ભેદભાવની ક્યારેય પરંપરા રહી નથી. ભારતમાં ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિઓ પ્રત્યે હંમેશા લોકોનો સમાન વ્યવહાર રહ્યો છે. પરંતુ ભારત પ્રત્યે કેટલાક મજહબી તત્વોને તેમના દેશમાં ઉત્પતિકાળથી જ વાંધો છે.
ભારતમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વિભિન્ન સ્તરે સાંસ્કૃતિક એકતા, રાજકીય પરિપવકતા અને સ્વાભિમાનનો સંચાર જોવા મળી રહ્યો છે. તેને કારણે જ ભારત હવે આતંકવાદ સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બાલાકોટ એરસ્ટ્રાઈક’, ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીઓ કરે છે અને કરતું રહેશે. તેની સાથે પવિત્ર રામજન્મભૂમિ ખાતે 493 વર્ષોની અડગ, અવિરત લડાઈના પરિણામે ભવ્ય-દિવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતાકાળથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ જેવી વ્યવસ્થાઓને ભારત સરકારે જનમતની લાગણીના પ્રમાણે હટાવી-બિનઅસરકારક બનાવી. તેને કારણે પાકિસ્તાન અને પાકિસ્તાનવાદીઓના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે. આવા તત્વોની દુકાનો બંધ થવાને કારણે તેઓ હવે નીતનવા ઉંબાડિયા કરવા માટેના પ્રયોજનો શોધી રહ્યા છે.
દિલ્હીમાં આતંકી ઘટના પહેલા ગુજરાતમાં ‘એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે’ હૈદરાબાદના એક ડોક્ટર અને ઉત્તરપ્રદેશના 2 આતંકીઓને ઝડપ્યા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ-કારતૂસની સાથે ઘાતક રાઈઝિન ઝેર બનાવવાની સામગ્રી પણ મળી. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ત્રણ ડોક્ટરો સહિત 7 લોકોને એરેસ્ટ કર્યા. આ લોકો હરિયાણાના ફરિદાબાદમાં ત્રણ હજાર કિલોગ્રામ જેટલો વિસ્ફોટક એકઠો કરી ચુક્યા હતા. આમા એક મહિલા તબીબ પણ છે. આના થોડા દિવસો પહેલા કર્ણાટકની જેલમાં બંધ એક આતંકી મોબાઈલ દ્વારા ફંડ એકઠું કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તો ગ્રેટર નોઈડામાં એક મજહબી ઉન્માદ ભડકાવનારા પુસ્તકોનું પ્રકાશન કરનારો પણ ઝડપાયો. આતંકનો કોઈ મજહબ નથી હોતો તેવું કહેતી વેળાએ એ પણ યાદ રાખવું જોઈએ કે મજહબની આડ લઈને જ આતંકનો રસ્તો કંડારીને તેના પર આતંકીઓને દોડાવાઈ રહ્યા છે. આતંકના માર્ગ પર કોઈપણ ચાલતું-દોડતું જોવા મળી શકે છે, તે ચાહે અભણ હોય કે ઉચ્ચશિક્ષિત, નિર્ધન હોય કે ધનવાન. માત્ર કટ્ટર મજહબી તત્વોના ઝેરીલા નિવેદનો જ કોઈને આતંકી બનાવતા નથી. તેના માટે ઉભી થયેલી ‘ઈકો-સિસ્ટમ’ પણ એટલી જ જવાબદાર છે.
દિલ્હી હુમલામાં સામેલ તબીબ અલ ફલાહ યૂનિવર્સિટીમાં ભણેલો હતો. આ અલ ફલાહ યૂનિવર્સિટીને લઈને શંકા વધુ ઘેરી બની છે. તેમાં અપ્રમાણસર રીતે મોટી સંખ્યામાં કાશ્મીરી તબીબોની નિયુક્તિ થઈ રહી હતી. અન્ય સ્થાનો પર બરખાસ્ત કરવામાં આવેલા તબીબોને પણ નોકરી આપવામાં આવી છે. તેમાં એક કાશ્મીરી ડોક્ટર તો આતંકવાદ અને અલગાવવાદની ખુલ્લી તરફદારી બદલ બરખાસ્ત થયેલો હતો. આનો મતલબ એ છે કે અલ ફલાહનું પ્રબંધન કોઈની નિયુક્તિ પહેલા તેની પૃષ્ઠભૂમિની તપાસ કરતું ન હતું અથવા તેની અણદેખી કરવાનું પસંદ કરતું હતું. આવા સંજોગોમાં આવી શૈક્ષણિક સંસ્થાઓનીપણ તપાસ થવી જરૂરી છે. આવી સંસ્થાઓ પરની શંકાઓ સાચી સાબિત થાય, તો તે પણ આતંકી ઈકો-સિસ્ટમનો ભાગ છે. વોટબેંકની ભદ્દી રાજનીતિને કારણે પણ આતંકી ઈકો-સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. આવા રાજકીય તત્વોએ ઉભા કરેલા માહોલમાં આતંકી ઈકો-સિસ્ટમ નજરઅંદાજ થતી હોય છે. કૂલ મળીને દેશની રાજનીતિમાંથી વોટબેંકનું રાજકારણ સમાપ્ત કરવા માટે પણ તમામ રાજકીય પક્ષોએ એક સંમતિ પર પહોંચવા માટેની રાજકીય સંવાદની કવાયત હાથ ધરવી પડશે કે જેમાં દેશની આતંરિક-બાહ્ય સુરક્ષા, વિદેશ નીતિ, દૂરગામી રણનીતિના વિષયો પર સામાન્ય સંમતિનું ફ્રેમવર્ક ઉભું થઈ શકે.
સમયસર નુ લખાણ છે...ધન્યવાદ.
જવાબ આપોકાઢી નાખોKhub saras article.
જવાબ આપોકાઢી નાખોઘણુ સારુ બધાએ સમજવાની જરુર છે
જવાબ આપોકાઢી નાખો