Thursday, October 22, 2009

પાકિસ્તાનમાં સત્તાની સાઠમારી: ઝરદારી ઝુક્યા

પાકિસ્તાનમાં ઉઠેલું રાજકીય તોફાન તત્પૂરતું શાંત થઈ ગયું હતું. પણ આ શાંતિની અશાંતિ સુધીની સફર ક્યાં સુધી સ્થગિત રહેશે, તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફ વચ્ચે ચાલી રહેલી રાજકીય શતરંજમાં શહ અને માતનો ખેલ ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. જેના કારણે પાકિસ્તાનમાં ખતરનાક રાજકીય અરાજકતા સર્જાઈ શકે છે.
આમ તો અત્યારે આ રાજરમતમાં નવાઝ શરીફ વિજેતા બનીને ઉભરી આવ્યા છે. તેમને મળેલા મોટા જનસમર્થનને કારણે ગભરાઈને કે આંતરરાષ્ટ્રીય પરિબળો અને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીના દબાણ હેઠળ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પોતાનું અક્કડ વલણ છોડીને નવાઝ શરીફની તમામ માગણીઓને 16 માર્ચની લોંગ માર્ચ પહેલા માની લેવાની ફરજ પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સુપ્રિમ કોર્ટના બરતરફ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર મોહમ્મદ ચૌધરીની બહાલીની ઘોષણા કરી છે. તેઓ 21મી માર્ચના દિવસે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો પદભાર ફરીથી સંભાળશે. ગિલાનીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ શરીફને ચૂંટણી લડવા અને કોઈપણ સાર્વજનિક પદ ગ્રહણ કરવાની રોક સામે સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરશે. જેના કારણે પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા નવાઝ શરીફે લોંગ માર્ચનો કોલ પાછો ખેંચ્યો છે.
જો કે પાકિસ્તાનમાં ઉભી થયેલી રાજકીય અરાજકતાભરી પરિસ્થિતિને કારણે વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યાં હતા કે પાકિસ્તાનમાં સ્થિરતા લાવવાના નામે સેના ફરીથી બેરેકમાંથી બહાર આવીને સત્તાના સૂત્રો હસ્તગત કરશે. તખ્તાપલટની પ્રબળ આશંકાઓ વચ્ચે અમેરિકાના પ્રવાસથી પાછા ફરેલા પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને 16 માર્ચ,2009 સુધીમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના પરથી ક્યાસ લગાવાઈ રહ્યો હતો કે સેના ફરીથી સત્તા હસ્તગત કરીને પાકિસ્તાનમાં મહાપરાણે શ્ર્વાસ લઈ રહેલી લોકશાહીનું ગળું ઘોટી દેશે. નિષ્ણાતોનું અનુમાન હતું કે પાકિસ્તાનની ઘેરી બનેલી રાજકીય અસ્થિરતાને કારણે અમેરિકાને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા વોર ઓન ટેરર પર જોખમ હોવાનું જણાયું હતું. જેથી અમેરિકાએ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કિયાનીને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટેના નિર્દેશો આપ્યા હોવા જોઈએ. જેના કારણે જ પાકિસ્તાનમાં અમેરિકી પ્રવાસેથી પાછા ફરેલા જનરલ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને અલ્ટીમેટમ આપ્યું હોવું જોઈએ, તેવી સંભાવનાઓ દર્શાવાઈ હતી. જનરલ કિયાનીએ સમગ્ર રાજકીય નાટકમાં નિર્દેશકની ભૂમિકા અદા કરી હતી. તેમણે આ હાઈપ્રોફાઈલ ડ્રામામાં પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનો નાયકના રૂપમાં ઉપયોગ કરીને ઝરદારીને કદ પ્રમાણે વેતર્યા છે. તેમણે અમેરિકાના દબાણ હેઠળ ઝરદારીને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફની માગણીઓ માનવા મજબૂર કર્યા છે.
જેના પરથી એ વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાની સેના પર અમેરિકાનો પ્રભાવ હજી પણ કાયમ છે. તો પાકિસ્તાનની નાગરિક સરકાર સેના સામે કમજોર પૂરવાર થઈ છે, એટલે કે પાકિસ્તાનમાં હજી પણ લોકશાહી નામ માત્રની જ છે. બીજી તરફ નવાઝ શરીફે ભારે જનસમર્થન મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. તેઓ સમગ્ર ડ્રામામાં હીરો તરીકે ઉભરી આવ્યા છે. પાકિસ્તાનની જનતાએ સાબિત કર્યુ છે કે તેઓ લશ્કરી તાનાશાહને રાજીનામું આપવા માટે મજબૂર બનાવી શકે છે, તેમ નાગરિક સરકારના વડા તરીકે ગલતફેમીનો શિકાર બનનાર રાષ્ટ્રપતિ ઝરદારીને તેમની ઔકાત પણ બતાવી દઈ શકે છે. અત્રે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ એડમિરલ મુલૈનની ટિપ્પણી ઘણાં સૂચક પ્રભાવીપણાને સ્પષ્ટ કરે છે. એડમિરલ મુલૈને કહ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કિયાનીએ રાષ્ટ્રને બચાવવા માટે સત્તા હડપવાની વૃતિથી દૂર રહેવું જોઈએ.
જો કે એડમિરલ મુલૈનની ખાતરી પર વિશ્વાસ કરવો હજી પણ મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાનના જન્મથી જ ત્યાં લોકશાહીનું હંમેશા ધોવાણ થયું છે. જ્યારે સેના હંમેશા સત્તાના કેન્દ્ર સ્થાને રહી છે. વળી જ્યારે સેના સત્તામાંથી પ્રત્યક્ષપણે બહાર હોય છે, ત્યારે હંમેશા નાગરિક સરકાર મુશ્કેલીમાં મુકાય તેવા ઉંબાડિયાઓ કરીને સત્તા હસ્તાંતરિત કરવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યારે એડમિરલ મુલૈનના નિવેદનની કે ખાતરીની તત્તસમય પૂરતી અસર દેખાઈ હતી, પણ ભવિષ્યમાં શું થાય તે કહવું કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે!
નિષ્ણાતોના મતે હાલના પાકિસ્તાની રાજકારણના ઘટનાક્રમ પરથી ઝરદારીએ બોધપાઠ લેવો પડશે. કારણ કે વડાપ્રધાન ગિલાની દ્વારા અપનાવાયેલા વલણને કારણે ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં અલગ-થલગ પડી રહ્યાં હોવાનું પ્રતીત થતું હતું. સંરક્ષણ નિષ્ણાત સેવાનિવૃત લેફટન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે તત્કાલીન ઘટનાક્રમને કારણે રાષ્ટ્રપતિ ઝરદારીની સ્થિતિ ઘણી નબળી પડી છે. આ નિર્ણયો અવ્યવહારુ અને જનતાને અમાન્ય રહ્યાં હતા. તેમના પક્ષે પણ તેમના નિર્ણયોને સ્વીકાર્યા ન હતા. જ્યારે આઈએસઆઈના ભૂતપૂર્વ પ્રમુખ લેફટનન્ટ જનરલ હામિદ ગુલે કહ્યું હતું કે જો સમસ્યાઓ તરફના ઝરદારીના વલણમાં પરિવર્તન નહી આવે, તો તેમણે રાષ્ટ્રપતિ ભવનને ખૂબ જલ્દી આવજો કહેવાનો વખત આવશે. તેમણે ઝરદારીને લોકલાગણી ન સમજી શકનારા નબળાં રાજકારણી ગણાવ્યા છે. લેફટનન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે વડાપ્રધાન ગિલાની પ્રમાણિક અને વિશ્વાસપાત્ર રાજકારણી તરીકે લોકાની નજરમાં ઊભરી આવ્યા છે. તેમણે વડાપ્રધાન ગિલાનીને વધુ સ્વાગ્રહી બનેલા ગણાવ્યા છે. તેમનું માનવું હતું કે વડાપ્રધાન ગિલાનીના સ્વાગ્રહીપણાંને કારણે પાકિસ્તાનની કેન્દ્રીય એસમ્બલી પણ ફરીથી સ્વાગ્રહી બનશે.
જો કે આ બધી ઘટનાઓ અને તેના આકલનો જાણતા પહેલા પાકિસ્તાનના રાજકીય ઈતિહાસની કેટલીક ઘટનાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કારણ કે તેના કારણે જ પાકિસ્તાનમાં લોકશાહી કરતાં લશ્કરી તાનાશાહી હંમેશા પ્રભાવી રહી છે. 1947માં કાયદે આઝમ જિન્નાહ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. તેમના મૃત્યુ બાદ 1948માં ખ્વાજા નિઝામુદ્દીન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકતઅલી ખાનની હત્યા બાદ નિઝામુદ્દીન વડાપ્રધાન બન્યા હતા. જ્યારે ગુલામ મહોમ્મદ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. 1956માં પાકિસ્તાને બંધારણને સ્વીકારીને પોતાને ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. 1958માં પાકિસ્તાનમાં પહેલો માર્શલ લો જાહેર કરાયો અને જનરલ અયુબ ખાને સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. 1960માં જનરલ અયુબખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુધ્ધ થયા બાદ 1969માં જનરલ અયુબ ખાને રાજીનામું આપ્યું હતું. જનરલ યાહ્યાં ખાન ત્યાર બાદ સત્તા પર કાબિજ થયા હતા. 1970માં પૂર્વ પાકિસ્તાનમાં આવામી લીગના શાનદાર વિજયને કારણે પશ્ચિમ પાકિસ્તાન સાથે તણાવ ઉભો થયો હતો. જેના પરિણામે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનો પ્રારંભ થયો હતો.પાકિસ્તાનને 1971માં ભારત સાથે યુધ્ધ કરતાં બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ તરીકે જન્મ થયો હતો. 1972માં સિમલા કરાર થયો અને 1973માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠો વડાપ્રધાન બન્યા હતા. 1977માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે અસંતોષ ઉભર્યો હતો. જેના કારણે જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કર્યો હતો. 1978માં જનરલ ઝિયા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1979માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા. 1985માં માર્શલ લો અને રાજકીય પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો હતો. 1986માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના દીકરી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રચાર માટે વિદેશથી પાકિસ્તાન પાછા ફર્યા હતા. 1988ની ચૂંટણીઓમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બેનઝીર ભુટ્ટોની આગેવાનીમાં જ્વલંત સફળતા મેળવી હતી. 1990માં બેનઝીર ભુટ્ટો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. 1991માં નવાઝ શરીફે આર્થિક ઉદારીકરણ અને ઈસ્લામિક લો શરિયતનો કાયદાકીય જોગવાઈમાં સમાવેશ કર્યો હતો. 1993માં પાકિસ્તાની સેનાના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ ખાન અને વડાપ્રધાન નવાઝ શરીફે રાજીનામું આપતા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બેનઝીર સત્તામાં ફરીથી પાછા ફર્યા હતા. જો કે 1996માં રાષ્ટ્રપતિ લેઘારીએ ભુટ્ટો સરકારને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ બરતરફ કરી હતી અને 1997ની સામાન્ય ચૂંટણીમાં નવાઝ શરીફની પીએમએલ(એન) સત્તામાં પાછી ફરી હતી. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની લાહોર શાંતિયાત્રાનો જવાબ પાકિસ્તાની સેનાએ કારગીલ યુધ્ધથી આપ્યો હતો. 1999માં ઓકટોબર માસમાં જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પદભ્રષ્ટ કર્યા હતા. મુશર્રફે 2008 સુધી સત્તાના સૂત્રો પોતાની પાસે રાખ્યા હતા. પાકિસ્તાનમાં 2008માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં બેનઝીર ભુટ્ટોની હત્યા થવાને કારણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને મળેલા સિમ્પથી વેવને કારણે તે મોટા પક્ષ તરીકે વિજય બની છે. પીપીપી અને પીએમએલ(એન)એ ભેગા મળીને સત્તા હસ્તગત કરી છે. જો કે પીએમએલ-એનએ મુશર્રફ દ્વારા હટાવાયેલા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈફિતખાર ચૌધરી અને અન્ય ન્યાયાધીશોની પુનર્બહાલીની માગણી ચાલુ રાખી હતી. આ માગણીનો અસ્વીકાર થતાં પીપીપી અને પીએમએલ-એન વચ્ચે ફાટફૂટ પડી હતી.જેના કારણે પીએમએલ-એનએ ટેકો પાછો ખેંચી લીધો હતો.
પાકિસ્તાનના રાજકીય ઈતિહાસ પરથી એક વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાન મોટાભાગે લશ્કરી શાસનની એડીઓ નીચે કચડાતું આવ્યું છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસન દરમિયાન કટ્ટરવાદ અને ઈસ્લામીકરણને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે પાકિસ્તાની સેના સત્તાની બહાર રહી છે, ત્યારે સેનાએ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને છૂટોદોર આપીને ભારતમાં આતંકવાદ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનીકરણને પ્રોત્સાહન પૂરું પાડયું છે. તેની પાછળ એકમાત્ર હેતુ પાકિસ્તાનમાં મુખ્ય સત્તા કેન્દ્ર તરીકે ટકી રહેવાની પાકિસ્તાની સેનાની ન્યુસન્સ વેલ્યુ જ કામ કરે છે.
જો કે ઝરદારી શરીફના ટકરાવથી ઉભા થયેલા રાજકીય સંકટ અને તેની સાથે જોડાયેલી ઘટના વિચલિત કરનારી હતી, કારણ કે તે ભારત પર પ્રભાવ પાડનારી હતી. જેમા સ્વાતઘાટીમાં તાલિબાની આતંકવાદીઓનો કબ્જો, લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર હુમલો, પેશાવરમાં સુન્ની કટ્ટરપંથીઓ દ્વારા સૂફી સંત રહેમાન બાબાની મસ્જિદ તોડી પાડવાની ઘટનાઓ સામેલ છે. જો કે નવાઝ શરીફને જનરલ કિયાની અને અમેરિકાના દબાણના કારણે મળેલી સફળતાને પાકિસ્તાની જનતાની જીત થઈ કહેવું ઘણું વહેલું ગણાશે. કારણ કે જે મૂળ કારણ છે, તે તાલિબાની આતંકવાદને કાબૂમાં લેવાની કાર્યવાહી તરફથી પાકિસ્તાની સેના અને રાજકારણીઓનું ધ્યાનભંગ થયેલું છે. જેના કારણે જ સમજૂતીના ગણતરીના કલાકોમાં રાવલપિંડીમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે ઈસ્લામાબાદમાં અને અન્ય સ્થળોએ વિસ્ફોટની સંભાવનાઓ વ્યક્ત થઈ છે.
તો હવે પાકિસ્તાનનું રાજકારણ મહ્દઅંશે જસ્ટિસ ચૌધરીના વલણ પર નિર્ભર રહેશે. તેઓ જો પદભાર સંભાળતાની સાથે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિર્ણયોને ઉલટાવવાની શરૂઆત કરત તો, ઝરદારી માટે ભારે મુસીબતોના પહાડ ઉભા થવાના છે. શક્ય છે કે તેઓ મુશર્રફ શાસન હેઠળ થયેલી ચૂંટણીઓને પણ ગેરબંધારણીય જાહેર કરે. આવી પરિસ્થિતિમાં ઝરદારી સત્તા પરથી બરતરફ થઈ શકે છે અને નવાઝ શરીફ માટે સત્તાસન સુધી પહોંચવાનો માર્ગ મોકળો બને તેમ હતો. બીજી તરફ 2007માં મુશર્રફ સાથે થયેલી સંઘિ પ્રમાણે, એક અધ્યાદેશ દ્વારા ઝરદારી પરના તમામ કેસો પાછા ખેંચી લેવાયા હતા. જસ્ટિસ ચૌધરી આ અધ્યાદેશને પલટી દેશે તો, રાષ્ટ્રપતિ ઝરદારી સામે જૂનાં ભ્રષ્ટાચારના મામલાઓ ફરીથી ખુલી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિના મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે વગોવાયેલા મામલાઓ જનતા સામે આવી શકે છે. તો બીજી તરફ જસ્ટિસ ચૌધરી માનવાધિકારોના ઉલ્લંઘનના મામલાને ફેર તપાસનો આદેશ આપી શકે છે. આ બંને બાબતો પાકિસ્તાની સેના અને અમેરિકાને કઠે તેમ છે, કારણ કે ગુમ થયેલા મોટાભાગના મામલાઓમાં અલકાયદા સાથે સંબંધિત ગણાતાં લોકોને પાકિસ્તાની સેનાએ અમેરિકાને સોંપી દીધા છે.
આ તમામ અસમંજસભરી પરિસ્થિતિમાં બે વર્ષ સુધી રાજકીય પ્રવૃતિઓથી દૂર રહેવા બાધ્ય બનેલા ભૂતપૂર્વ તાનાશાહ મુશર્રફની મહત્વાંકક્ષાની દાઢ સળકે છે. તેમણે ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં અનર્ગલ પ્રલાપ કરીને પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા. તેમણે પોતાને શાંતિનો માણસ નહી, પણ શાંતિ માટેનો માણસ ગણાવીને કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુશર્રફે આતંકવાદની સમસ્યા માટે કાશ્મીર મુદ્દો અને ભારતમાં મુસ્લિમો સાથે કરાતાં વ્યવહારને કારણભૂત ગણાવ્યો હતો.તેમણે પૂર્ણ સત્તા સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદે બેસવાની ઈચ્છા પણ પરોક્ષપણે દર્શાવી હતી. તેમને લાગે છે કે તેમના વફાદાર જનરલ કિયાની તેમની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. જોકે તેમની આ ઈચ્છા કેટલા હદે અને ક્યારે પૂર્ણ થાય છે? તેનો જવાબ તો સમય જ આપશે. વળી ક્યાંક જનરલ કિયાનીની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ જાગી ઉઠે તો ભારતની સાથેના પાકિસ્તાનના સંબંધો, અમેરિકાની પાકિસ્તાન નીતિ અને પાકિસ્તાન રાજકારણ સાથે તાલિબાન તથા અલકાયદા સમર્થિત આતંકવાદના પ્રકરણમાં નવા રક્તરંજિત પૃષ્ઠો ઉમેરાશે. તેથી જ તો અમેરિકા અને વિશ્ર્વ પાકિસ્તાનમાં સબળ લોકશાહીના અસ્તિત્વમાં આવે તે માટે ચિંતિત છે.
(Published on 21st march,2009 in sankalan sreni)

No comments:

Post a Comment