-
આનંદ
શુક્લ
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, શાશ્વત નિયમ
છે. પરિવર્તનથી અસ્તિત્વ ટકે છે. પરિવર્તન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની અગ્રિમ
જરૂરિયાત છે. દુર્પરિવર્તનો સામે પરિવર્તનો પોતાની ઓળખ સાથે આગળ વધવા માટે જરૂરી
છે. ભારત માટે કહેવામાં આવે છે કે પરિવર્તનો સામે સુમેળ સાધવાની ભારતીય સમાજની
વૃતિ અને પ્રવૃતિએ ભારતનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે
વાવાઝોડાંમાં અક્કડ રહેનારા ઝાડ મૂળમાંથી ઉખડી જાય છે અને ઝુકી જનારા પોતાનું
અસ્તિત્વ ટકાવી જાણે છે.
પરિવર્તનો હંમેશા સ્થાપિત બાબતોમાં થતા
હોય છે. પછી તેમાં સુધારા માટે હોય કે તેમા ફેરફાર કરવા માટેના હોય. સ્થાપિત
બાબતોમાં પરિવર્તનો તેનો ઢાંચો અને તેમા રહેલા લોકો સહન કરી શકતા નથી. તેથી
પરિવર્તનોનો જોરશોરથી વિરોધ થતો હોય છે કે પરિવર્તનો સંદર્ભેની તેઓ ખુદ વાતો શરૂ
કરી દેતા હોય છે. આ બંને પરિસ્થિતિ પરિવર્તનો સામેના પડકાર છે. ગુજરાતમાં સત્તા
પરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તનના ખુલ્લા ઉદેશ્ય સાથે રાજ્યના ભૂતપૂર્વ
મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની 6 ઓગસ્ટ, 2012ના રોજ ઘોષણા
કરી છે. તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક અધ્યક્ષ બન્યા છે. ટૂંક સમયમાં
પદાધિકારીઓ અને અન્ય સંગઠનાત્મક બાબતોની ઘોષણા પણ થવાની છે.
કેશુભાઈ પટેલ 83 વર્ષની જૈફવયે ફરીથી
પરિવર્તન માટેનું નિમિત્ત બનવા તૈયાર થયા છે. તેમણે પોતાની 60 વર્ષની રાજકીય
કારકિર્દીમાં પહેલા ભારતીય જનસંઘ અને બાદમાં ભાજપમાં પૂર્ણ સમર્પણથી કામ કર્યું.
ગુજરાતના ગામડેગામડે જનસંઘ અને ભાજપને પહોંચાડવા માટે કેશુભાઈ પટેલે પોતાની
સંગઠનાત્મક શક્તિથી સિંહફાળો આપ્યો હોવાની વાત તમામે સ્વીકારવી પડે તેમ છે.
ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલનું કદ ભીષ્મ પિતામહ જેવું છે. પરંતુ આ એક એવા
ભીષ્મ પિતામહ છે કે જેમણે દુર્યોધન બની ચુકેલા શાસકોના દુશાસનવાળા હસ્તિનાપુરને
છોડી દીધું છે. તેમણે પ્રજાધર્મ નિભાવવા માટે સત્તા પરિવર્તનથી વ્યવસ્થા
પરિવર્તનની હાકલ કરી છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બે માસ
લીડર હતા, પહેલા કેશુભાઈ પટેલ અને બીજા શંકરસિંહ વાઘેલા. ત્યારે નરેન્દ્ર મોદી
મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકા નિભાવતા હતા. ભાજપે પોતાને પાર્ટી વિથ ડિફરન્સ
ગણાવ્યો છે. પરંતુ તેમા એટલા બધાં ડિફરન્સ ઉભા થયા છે કે કેશુભાઈ પટેલ ગુજરાત
પરિવર્તન પાર્ટીમાં, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને નરેન્દ્ર મોદી ભાજપમાં
ગુજરાતના મુખ્યમંત્રી પદે છે. ભાજપના ત્રણેય મોટા કદના નેતાઓ જેના કારણે ભાજપ
ગુજરાતમાં મજબૂત બની તેઓ આજે ત્રણ અલગ-અલગ ખેમામાં છે.
શંકરસિંહ વાઘેલાએ 1996માં બળવો કર્યો
ત્યારે તેમની સાથે 46 ધારાસભ્યોએ ભાજપ છોડયું હતું. શંકરસિંહ વાઘેલાના ત્યારથી અત્યાર
સુધી આવેલા નિવેદનો એક વાતની ચાડી ખાય છે કે તેમને વાંધો કેશુભાઈ પટેલ સામે ન હતો.
તેમનો મુખ્ય વાંધો કેશુભાઈ પટેલની સરકાર વખતે સુપર ચીફ મિનિસ્ટર તરીકે વર્તતા
નરેન્દ્ર મોદી સામે વાંધો હતો. કેશુભાઈ પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને ગુજરાત
પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાક્ષસ
ગણાવ્યા છે અને તેમનો જીવ વોટોમાં હોવાનું પણ કહ્યુ છે. તેમણે ભાજપ વ્યક્તિલક્ષી
પાર્ટી બની ગઈ હોવાની હૈયાવરાળ પણ ઠાલવી છે.
કેશુભાઈ પટેલનું ભાજપ છોડવું મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી માટે કદાચ દુ:ખદ ઘટના નહીં હોય, પરંતુ ભાજપ માટે ચોક્કસ દુ:ખદ ઘટના
છે અને તેમણે આ બાબતે આત્મચિંતન કરવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ચુક્યું
છે. કહેવાય છે કે ગુજરાતમાં આજ સુધી બનેલા ત્રીજા મોરચાના બાળમરણના પુનરાવર્તનનું
જોખમ ગુજરાત જનતા પાર્ટી પર પણ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ચિમનભાઈ
પટેલ, રતુભાઈ અદાણી અને ભાજપમાંથી શંકરસિંહ વાઘેલાએ બિનકોંગ્રેસી-બિનભાજપી ત્રીજા
મોરચા માટે ગંભીરતાથી પ્રયત્ન કરી જોયા, પરંતુ આ કોશિશો સરેઆમ નાકામ ગઈ છે.
કેશુભાઈ પટેલના ત્રીજા વિકલ્પને જનતા
સ્વીકારશે કે નહીં તેનો પ્રશ્ન ઉભો છે. પરંતુ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના
પહેલા યોજાયેલા છ પરિવર્તન મહાસંમેલનોમાં ઉમેટેલા લોકોને જોતા લાગે છે કે કેશુબાપાની
પરિવર્તનની હાકલ ઝીલનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. સોમવારે ગાંધીનગર ખાતે
તેમના બંગલે ઉપસ્થિત અઢીથી ત્રણ હજારની ભીડમાં 50 વર્ષથી નીચેના લોકો મોટા પ્રમાણમાં
દેખાતા હતા.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે,
કેશુભાઈ પટેલ જમીન સાથે જોડાયેલા માણસ છે. 60 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં
તેમણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ખુંદીને જાતેસંપર્ક ઉભો કર્યો છે. 50 વર્ષથી
મોટી ઉંમરના વ્યક્તિઓને કેશુભાઈ પટેલ માટે સહજ રીતે લાગણી છે. ત્યારે કેશુભાઈ પટેલ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે 2012ની ચૂંટણીમાં મોટા પડકાર સાબિત થશે.
તેમના માનવા પ્રમાણે, ગુજરાતમાં અત્યારે
ખરેખર પરિવર્તનની જરૂર છે. અહીં વિકાસ થયો છે, પરંતુ તેનું ગ્લેમરાઈઝેશન થયું છે
અને તેનો સૌથી મોટો ફાયદો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો છે. વિકાસ કરતા
વિકાસની વાતો ઘણી વધારે અને મોટી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં
વિકાસના કામો થયા છે, પણ આમ આદમીને તેની કિંમત પણ ચુકવવી પડી છે. ગુજરાતના
અંતરિયાળ ગામડામાં હજી પરિસ્થિતિ સુધરી નથી. શિક્ષણની બાબતમાં રાજ્ય પાછળ છે,
બાળકોમાં કુપોષણની બાબતમાં પણ ખરાબ સ્થિતિ છે, માનવવિકાસ સૂચકાંકમાં પણ ગુજરાત
પાછળના ક્રમે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીને એક રાષ્ટ્રીય સામાયિકે સતત પાંચ વર્ષ સુધી નંબર વન ગણાવ્યા છે. રાજ્યમાં ચોરી,
લૂંટ, બાળકોના અપહરણની ઘટનાઓ બહુમોટા પ્રમાણમાં થઈ છે. લાખોની લૂંટને કાયદો અને
વ્યવસ્થાની ઢીલ ગણવાને બદલે વિકાસનું કારણ બનાવીને ગૌરવ લેવાય રહ્યું છે.
આ સિવાય રાજ્યમાં ઉદ્યોગો આવી રહ્યા
હોવાનું દેખાડવા માટે વાઈબ્રન્ટ ગુજરાતના નામે મોટા વૈભવી અને ગ્લેમરસ તામજામ દર
બે વર્ષે યોજવામાં આવે છે. પરંતુ આંકડા જણાવી રહ્યા છે કે વાઈબ્રન્ટ ગુજરાત નહીં
યોજતા રાજ્યો વિદેશી મૂડી રોકાણના મામલે ગુજરાત કરતા આગળ છે. 2002ના કોમી રમખાણોની
ઘટનામાં પોતાની કલંકિત છબી સાફ કરવા માટે મુખ્યમંત્રી મોદી વિકાસની માળા જપી રહ્યા
છે અને તેનું ગ્લેમરાઈઝેશન કરી રહ્યા છે. જો કે હકીકત એ છે કે ગુજરાતમાં આવનારા
ઉદ્યોગોને પાણીના ભાવે જમીનો અને સવલતો આપવામાં આવી રહી છે. તેમાંથી ઉભી થતી
રોજગારી ગુજરાતીઓને સ્થાને બહારના રાજ્યોના લોકોને વધારે પ્રમાણમાં મળી રહી છે. ઉદ્યોગો
માટે ગોચરની જમીનોના પણ કેટલેક ઠેકાણે વહીવટ થયા છે, તો કેટલેક ઠેકાણે ખેતીલાયક
જમીનો પણ કાઢી આપવામાં આવી છે.
રાજકીય નિરીક્ષકોના માનવા પ્રમાણે,
ગુજરાતને વિકાસ દોડમાં આગળ દેખાડીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની
વિકાસપુરુષની છબી ચમકાવીને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વોચ્ચ પદે જવા માટે વ્યૂહાત્મક
રીતે કામ કરી રહ્યા છે અને તેમાં ગુજરાતના હિતોની બલિ આપવાની વૃતિ પણ રાજ્યની
અસ્મિતાની વાતો કરનારા મુખ્યમંત્રી ધરાવે છે.
આ સિવાય ગુજરાતમાં હિંદુત્વની રાષ્ટ્રવાદી
વિચારધારાના આધારે જ ભાજપ 1995થી અઢી વર્ષના ગાળાને બાદ કરતા ગુજરાતમાં સત્તા પર
રહ્યો છે. હિંદુત્વ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ગાય અને ગોચરના મુદ્દે મોદી
સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ
તોગડિયાએ તાજેતરમાં કહ્યુ છે કે 1990 બાદ ગુજરાતમાં ગોહત્યા સદંતર બંધ હતી. ગોભક્ષકો
અને ગોહત્યારાઓ ફફડતા હતા, પરંતુ રાજ્યમાં હવે છેલ્લા એક વર્ષમાં 68 હજાર
કિલોગ્રામ ગોમાંસ ઝડપાયું છે. તેમનો કહેવાનો અર્થ રાજ્યમાં ગાય અને ગોવંશની હત્યાઓ
થઈ રહી છે. રાજ્યમાં 187 લાખ હેક્ટર જમીનમાંથી માત્ર સાડા આઠ લાખ ગોચરની જમીન બાકી
રહી છે. રાજ્યના અઢી કરોડ ઢોરઢાંખરના પાલન માટે કુલ 40 લાખ હેક્ટર જમીનની જરૂરત છે.
ત્યારે આ સાડા આઠ લાખ ગોચરમાંથી જમીનોનો વહીવટ કરવાનો પ્લાન સરકાર બનાવતી હોવાના
આક્ષેપો તેજ બન્યા છે. ત્યારે હિંદુત્વવાદી વિચારધારા ધરાવતા સંગઠનોમાં મોદી સરકાર
સામે વિચારધારાત્મક સ્તરે પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
આ સિવાય ધાર્મિક સ્થાનો હટાવવાના કોર્ટના
આદેશ બાદ ગુજરાત સરકારે ગાંધીનગરમાં 300 જેટલા મંદિરો હટાવ્યા છે. આ કાર્યવાહી
અમદાવાદ, ભાવનગર, વડોદરા જેવા સ્થાનો પર સીમિત રીતે કરવામાં આવી છે. પરંતુ ધાર્મિક
સ્થાનો હટાવવાની કાર્યવાહીમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે હિંદુ ધાર્મિક
સ્થાનનો મોદી સરકારે કચ્ચરઘાણ વાળ્યો છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સ્થાનો પ્રત્યે
ખૂબ “સદભાવના”
જાળવી છે. ધર્મ ગુજરાતની પ્રજાની
નસેનસમાં છે. ધાર્મિક સ્થાનો હટાવવા જેવી સંવેદનશીલ બાબતો સંદર્ભે મોદી સરકારે
ધાર્મિક-સાંસ્કૃતિક અને સામાજિક સંગઠનો તથા લોકોને વિશ્વાસમાં લેવાનું જરાપણ યોગ્ય
માન્યું નથી.
આ સિવાય અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રોના
થયેલા કામોમાં કુલ 80 હજાર વૃક્ષોનો કચ્ચરઘાણવાળી દેવામાં આવ્યો છે. કુલ અંદાજે
4500 જેટલા મકાનોને વિકાસના કામોની નકારાત્મક અસરો પહોંચી છે. આ મકાનોમાંથી
મોટાભાગના હિંદુ વિસ્તારમાં આવેલા છે. વિકાસના કામો મુસ્લિમ વિસ્તારો પાસે એટલા
માટે રોકી દેવામાં આવે છે કે સરકાર અહીં કોઈ વિવાદ કે ઘર્ષણ કરવા માંગતી નથી. અમદાવાદ
અને સૂરત જેવા ગુજરાતના મહાનગરો ખૂબ ચમકે તેની સામે કોઈને વાંધો નથી. પરંતુ વિકાસ
માટે દંડાની જગ્યાએ લોકોને સહમત કરીને ભેદભાવ વગર કામો કરવામાં આવે તે સૌથી વધારે
ઈચ્છનીય છે.
આ તમામ બાબતોમાં પરિવર્તનોની તાતી જરૂરિયાત
છે. વિકાસના નામે ઉભા કરવામાં આવેલા ગ્લેમરના અંધાપામાંથી પ્રજાને બહાર કાઢવી
જરૂરી છે. વિકાસના નામે આમ આદમીના લેવાતા ભોગ બાબતે પણ લોકોને જાગૃત કરવાની
જરૂરિયાત છે. ગુજરાતના મુખ્યમંત્રી નંબર વન રહ્યા હશે, પરંતુ ગુજરાત ઘણી બાબતોમાં
પાછળના ક્રમે ધકેલાયું હોવાની વાત પણ જનતા સામે મૂકવી પડશે. પરિવર્તનો ક્યારેય
એમને એમ થયા નથી. તેના માટે ચોક્કસ બલિદાનો પણ આપવા પડે છે. ત્યારે કેશુભાઈની
અધ્યક્ષતાવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીએ આના માટે પણ તૈયારી દાખવીને લોકોને મોટા પ્રમાણમાં
પોતાની સાથે જોડીને તાત્કાલિક પરિવર્તન પથ તૈયાર કરીને તેના પર મક્કમ પગલે ઝડપથી
આગળ વધવું પડશે.
No comments:
Post a Comment