Monday, March 4, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે. 

No comments:

Post a Comment