લેબલ ધર્મ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ધર્મ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 12 માર્ચ, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

સોમવાર, 4 માર્ચ, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે. 

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

આખા દેશમાં દારૂબંધી લાગુ કરો, રાજ્યો નહીં કરી શકે


alchohol should be prohibitaed across the country states can't implement so
દારૂડિયો દારૂને નહીં, પણ દારૂ દારૂડિયાને પીવે છે. દારૂથી થતાં નુકસાનથી દારૂડિયા અજાણ નથી. સરકાર પણ જાણે છે, પરંતુ તેની સ્થિતિ ધર્મને સારી રીતે જાણનારા પણ અધર્મ નહીં છોડી શકનારા દુર્યોધન જેવી છે. ગુજરાતને ભાગ્યશાળી ગણવામાં આવે છે કે કારણ કે અહીં સંપૂર્ણ દારૂબંધી છે. ભારતમાં અન્ય રાજ્ય મિઝોરમમાં પણ દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ અહીં દારૂબંધી નિષ્ફળ ગઈ હોવાનું કહેવામાં આવે છે. દારૂબંધીના પ્રયોગો આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં પણ કરવામાં આવ્યા છે. અહીં તેને સફળતા મળી શકી નથી.

તાજેતરમાં દારૂબંધી ત્યારે ચર્ચામાં આવી છે કે જ્યારે તમિલનાડુ સરકારે આધિકારીક રીતે કહ્યું કે સંપૂર્ણ દારૂબંધી વ્યવહારીક રીતે અસંભવ છે અને તેનાથી ગેરકાયદેસર દારૂના ધંધાને પ્રોત્સાહન મળી રહ્યું છે. તમિલનાડુ સરકારના મદ્ય નિષેધ વિભાગની વધારાની જવાબદારી સંભાળી રહેલા મંત્રી વિશ્વનાથે કહ્યુ છે કે પૂર્ણ નશાબંધી વ્યવહારીક રીતે અસંભવ છે અને તેનાથી ગેરકાયદેસરની દેશી દારૂની લોબીને મદદ મળે છે. તેમણે એમ પણ કહ્યુ છે કે કેન્દ્રએ આખા દેશમાં દારૂબંધી કરી દેવી જોઈએ, પરંતુ તેની સાથે કેન્દ્રે દારૂબંધીથી થનારા રાજ્યના નુકસાનને પણ ભરપાઈ કરવું જોઈએ.

તમિલનાડુમાં દારૂબંધીના પ્રયત્ન થઈ રહ્યા છે, તેના સંદર્ભે ગુજરાતની દારૂબંધીનું ઉદાહરણ પણ આપવામાં આવે છે. પરંતુ એક હકીકત એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો નથી. ગુજરાતમાં માગો તે બ્રાન્ડનો દારૂ ગેરકાયદેસર રીતે મળી શકે છે. દારૂના ગેરકાયદેસરના ધંધા સામે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે આંખ આડા કાન કર્યા છે. આમ તો ગુજરાતમાં 1961થી દારૂબંધી છે.પરંતુ ગુજરાતમાં આજ સુધીમાં 7 લઠ્ઠાકાંડ થયા છે. છેલ્લે 2009માં થયેલા અમદાવાદના મજૂર ગામના લઠ્ઠાકાંડમાં લગભગ 156 લોકોના મોત થયા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સખત ટીપ્પણી કરીને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દારૂબંધીના અમલ માટે સંવેદનશીલ નથી. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે દર વર્ષે 30 લાખ બોટલ દારૂ પીવાય છે.

ગુજરાતમાં દારૂની પરમિટમાં છેલ્લા ઘણાં વર્ષોથી એકદમ ઉછાળો આવ્યો છે. દારૂની પરમિટ આરોગ્ય કારણોથી મળે છે. પરંતુ આવી પરમિટ મોટાભાગે કાયદેસર રીતે દારૂ પીવાનું છીંડુ જ હોય છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં મહિલાઓના નામે દારૂની પરમિટ મોટા પ્રમાણમાં મેળવવામાં આવી રહી છે. સુરતમાં પણ ઘણાં ઘરો એવા છે કે જેમાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો ઘરના ફ્રિજમાં દારૂની વિદેશી બ્રાન્ડ સાચવીને રાખે છે અને સાંજે પરિવાર સાથે ભેગા મળીને પીવે છે. દેશી દારૂ પણ ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ગાળવામાં આવે છે અને તેનો ઉપયોગ પણ એટલા જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.

ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યા 50,000ને આંબવા આવી છે પરંતું આ પરમિટધારકો બીજા લોકો માટે છૂટથી દારૂનો વેપાર કરી લેતાં હોય છે. ટુરિસ્ટ પરમીટ ધારકોની સંખ્યા ઘણી ઓછી છે. બીજી બાજુ રાજ્યમાં 17થી વધુ હોટલો પાસે દારૂ વેચવાના લાયસન્સ છે, જે તેઓ પરમિટધારકોને આપે છે. હજી બીજી અડધો ડઝન હોટલો લાયસન્સની રાહ જોઇને બેઠી છે. રાજ્ય સરકારે વધુમાં એસઇઝેડ માટે દારૂની છૂટ આપી છે તેથી દારૂ પીનારાની સંખ્યા વધવા સંભવ છે.

બુધવાર, 10 માર્ચ, 2010

શા માટે સાધુત્વ પર નિશાન?

ધર્મ સનાતન અને શાશ્વત છે. પરબ્રહ્મ પણ ધર્મથી પર નથી. તેણે સર્જેલી માયારૂપ સૃષ્ટિ ધર્મ પ્રમાણે ચાલે તે માટે તેણે જ ચિંતા કરવાની હોય છે. ધર્મના આવા શાશ્વત અને સનાતન સ્વરૂપને હિંદુ એવું નામ મળ્યું છે. વિશ્વનો એકમાત્ર સનાતન ધર્મ હિંદુ છે. આવા ધર્મની કેટલીક આગવી વિશેષતા છે. જેમાની કેટલીક વિશેષતાઓ પાયારૂપ છે. જેમ કે ધર્મના પ્રચાર-પ્રસાર અને રક્ષણ માટે સ્વયંભૂ ઉભી થયેલી સાધુ-સંત પરંપરા. જનકલ્યાણ થકી વિશ્વ કલ્યાણનો ભેખ ધારણ કરીને સનાતન ધર્મના રક્ષણ માટે જીવન ખર્ચી નાખવું તેમા જ મોક્ષની ઝાંખી કરવી. આ સંત પરંપરા જ છે કે જેને કારણે ભારતમાં સનાતન ધર્મ અનેક પંથ-સંપ્રદાયોનું વહન કરીને જીવિત અને જીવંત રહ્યો છે. આગળ પણ જનકલ્યાણનું કામ કરનારા સંતો આ ધર્મના ધ્વજારોહક બનીને પોતાના કર્તવ્યો નિસ્વાર્થપૂર્વક પરમાર્થે નિભાવ્યે જશે. ભારતમાં વિધર્મીઓના આક્રમણ વખતે, તેમના શાસનકાળ વખતે સનાતન હિંદુ ધર્મની રક્ષા માટે આગળ આવનારા નામી-અનામી સંતોના નામની યાદીથી ઈતિહાસના પુસ્તકો ભરાયેલા પડયા છે. તેમા આતતાયી મોગલ સામ્રાજ્ય સામે હિંદુ પદપાદશાહીની સ્થાપના માટે શિવાજીને પ્રેરણા આપનારા સંત સ્વામી રામદાસનું યોગદાન કેમેય કરીને ભૂલાય તેમ નથી આવા સંતોનો સંદેશો ભારતીય રાષ્ટ્રવાદનું ઘડતર કરીને તેનો અભિન્ન અંગ બની ગયો છે. આવા સાધુ-સંતોના માર્ગદર્શન નીચે કામ કરવાનું આ દેશની પ્રજા ક્યારેય ચૂકી નથી. આવી સંત પરંપરા સદીઓથી ધર્મવિરોધીઓ અને વિધર્મીઓના નિશાના પર રહી છે. મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોએ તલવારથી સનાતન હિંદુ ધર્મના ધ્વજારોહક સાધુ-સંતોને રંજાડવામાં કોઈ કસર રાખી નથી. તેમના લોકકલ્યાણ અર્થે સ્થપાયેલા મંદિરો-મઠોને તોડવામાં કોઈ કસર રાખી નથી. જો કે સંતોએ આવા આક્ર્મણ સામે ઝઝુમવાનું તે વખતે મૂક્યું ન હતું. ત્યાર બાદ અંગ્રેજોના શાસનકાળ વખતે ધર્માંતરણના કામ માટે સેવાનો આંચળો ઓઢીને આવેલી ખ્રિસ્તી મિશનરીઓએ અદભૂત સંત પરંપરાને તમામ પ્રકારે નિશાના પર લઈને તેને બદનામ કરીને હિંદુ ધર્મીઓની સાધુ-સંતો પરની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય એક મિશનની જેમ કર્યું છે. આવા લોકો હજી પણ આ કાર્ય ચાલુ જ રાખી રહ્યાં છે. કારણ કે તેમના મિશન ધર્માંતરણમાં સૌથી મોટી અડચણ ભારતના સાધુ-સંતો છે. વિધર્મીઓ સાથે ધર્મને અફીણ સમજનારા કમ્યુનિસ્ટો પણ ભળ્યા છે. દુનિયાને અર્થ આધારિત જોવાની ખામી ભરેલી તેમની દ્રષ્ટિ ધર્મના ધ્વજારોહક એવા સંતોની સાચી ભાવનાને જોઈ શક્તી નથી.
પ્રવર્તમાન સમયમાં દેશમાં સેક્યુલારિઝમના નામે આવા વિચારકો, દેશી-વિદેશી પ્રભાવી વિધર્મીનો દોરીસંચાર ચાલી રહ્યો છે. ત્યારે હિંદુ સમાજમાં સારી એવી માન-પ્રતિષ્ઠા ધરાવતા સાધુ-સંતોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈપણ મોકો તેવો છોડતા નથી. આ માટે તેમણે એક સબળ માધ્યમ શોધ્યું છે અને તે છે, દેશનું મીડિયા...તેમાંય ખાસ કરીને ટેલિવિઝન ચેનલો. ચેનલો હંમેશા મસાલેદાર ખબરો માટે તલપાપડ હોય છે. તેઓ કોઈપણ ઘટનાને સનસનાટીપૂર્ણ રીતે દર્શાવી શકે છે. થોડા સમય પહેલા બાબાઓ આવી ચેનલોની હડફેટે ચઢી ગયા હતા. દિલ્હીના ઈચ્છાધારી ભીમાનંદ નામના કથિત બાબા પર સાંઈબાબાના પરમ ભક્તના આંચળા નીચે દેશમાં સૌથી મોટું સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. તેમના દિલ્હી સ્થિત આશ્રમ અને મંદિરમાંથી કોલગર્લના નામો સાથેની ડાયરી અને અન્ય પૂરાવા મળ્યા હોવાનો પોલીસ દાવો કરી રહી છે અને હજી તપાસનો દૌર ચાલુ છે. બીજી ઘટના હતી, તમિલનાડુ અને કર્ણાટક સહિત 33 દેશોમાં 1000 શાખાઓ ધરાવતા પ્રભાવી સંત નિત્યાનંદની પ્રસિદ્ધ તમિલ અભિનેત્રી રંજીતા સાથેની કથિત સેક્સ સીડીની. ટેલિવિઝન ચેનલો પર આમ તો અશ્લિલ દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધિત હોય છે. પણ સ્વામી નિત્યાનંદની કથિત કામલીલાની સીડીના અશ્લિલ દ્રશ્યો સીડીમાં દેખાતી મહિલાના ચહેરા પર બ્લર મારીને ટેલિવિઝન ચેનલોએ સતત બે દિવસ સુધી બતાવતી રહી. ત્રીજી ઘટના ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં કૃપાળુ મહારાજ નામના કથાકાર-સંત દ્વારા તેમની ધર્મપત્નીના શ્રાદ્ધ વખતે ભેટ-સોગાદો વહેંચતી વખતે થયેલી ભાગદોડમાં 50થી વધારે લોકો માર્યા ગયા હતા. તો ચોથી ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કથિત સંત અનૂપકુમાર દ્વારા એમબીએની વિદ્યાર્થિનીને ગુમ કરી દેવાનો મામલો છે. જો મહિલા બિલના મામલે સંસદમાં વરવા દ્રશ્યો સર્જાયા ન હોત, તો મીડિયાનું ફોક્સ આ કથિત બાબાઓ પર ખેંચાયેલું હોત અને તેના દ્વારા હિંદુ ધર્મ પર આઘાત કરવાની તક તેમને મળત. ટેલિવિઝન ચર્ચા પર કહેવાતા સેક્યુલર ચિંતકો, વિચારકો અને કર્મશીલોનો હિંદુ ધર્મ અને તેની સંત પરંપરા પર તૂટી પડવાનો સિલસિલો લાંબો સમય સુધી ચાલ્યો હોત. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલીક ટેલિવિઝન ચેનલોએ અર્થપૂર્ણ ચર્ચા પણ કરી છે.
સાધુઓ પર તૂટી પડનારા આ જ લોકો મકબૂલ ફિદા હુસૈન નામના મનોવિકૃત ચિત્રકાર દ્વારા ભારતની નાગરિકતા છોડીને કતારની નાગરિકતા સ્વીકારવા બદલ હિંદુવાદી સંગઠનોને દોષ દેતા કાગારોળ કરી મૂકે છે. મકબૂલ ફિદા હુસૈનની મનોવિકૃતિથી કોણ અપરિચિત છે? તેણે ભારતમાતા, સરસ્વતી દેવી સહિત અન્ય હિંદુ દેવી-દેવતાની નગ્ન ચિત્રકારી કરીને હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડી છે. તેનો વિરોધ કરવામાં આવ્યો, તો હિંદુ સંગઠનોને માથે માછલા ધોવામાં કંઈ જ બાકી રાખવામાં આવ્યું નથી. એંસી વર્ષની ઉંમરે તેનાથી અડધાથી ઓછી ઉંમરની માઘુરી દીક્ષિત પ્રત્યે કામલોલુપતા દર્શાવીને ગજગામિની જેવી ફિલ્મ બનાવી તો તેને કળાનું નામ આ જ બુદ્ધિજીવીઓએ આપ્યું છે. ત્યારે મનથી વિકૃત મકબૂલ ફિદા હુસૈનના બેડરૂમમાં કેમેરો મૂકીને કોઈ ટીવી ચેનલે સ્ટીંગ ઓપરેશન કેમ ન કર્યું? જો આમ થયું હોત તો, હુસૈનની માનસિક વિકૃતિની સાથે અન્ય વિકૃતિઓ પણ સામે આવી હોત.
ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનનરીઓના મિશન ધર્માંતરણને પાર પડવા માટે અનેક મિશનરીઓ કાર્યરત છે. તેમના મિશનને સાઈઠ વર્ષ જેટલા લાંબા સમય સુધી ટક્કર આપનાર સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરવામાં આવી. ત્યારે ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં મિશન ધર્માંતરણમાં લાગેલા મિશનરીઓનું કોઈએ સ્ટીંગ ઓપરેશન કર્યું નથી. સ્વામી લક્ષ્મણાનંદની હત્યા પાછળ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓની સાંઠગાંઠ હોવાની શંકા હજી દૂર થઈ નથી. તેમની હત્યાના ગુનેગારોને સજા આપવાની હજી બાકી છે. ત્યારે સાધુ-સંતોના સ્ટીંગ ઓપરેશન કરનારા લોકો ખ્રિસ્તી મિશનરીઓના સ્ટીંગ ઓપરેશન કરીને તેમની હકીકત દેશ સામે લાવે, તો સેવાના આંચળા નીચે રહેલી શૈતનિયત લોકો સામે આવી શકે.
કોઈએ ગુનો કર્યો હોય, તો તેની પોલીસ તપાસ થાય અને અદાલતી કાર્યવાહી દ્વારા તે વ્યક્તિને તેના ગુનાની સજા મળે તેમા કોઈને કોઈ વાંધો ન હોય. પણ ગુનો સાબિત થયા પહેલા તેમના પર મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવે. મીડિયા ટ્રાયલનો વિષય તેમના સુધી સિમિત ન રહેતા, સંત પરંપરા, સાઘુત્વ અને હિંદુ ધર્મને નિશાના પર લે. આ ગુનો નથી, તો શું છે?
શક્ય છે કે ઈચ્છાધારી જેવા પાખંડીઓ સંત બનીને લોકોને ઠગતા હોય. તેમના પ્રપંચને ખુલ્લો પાડવો જોઈએ. પણ તેની આડમાં સંત પરંપરા અને સાધુત્વ પર આંગળી ચિંધવી કેટલી યોગ્ય છે? સ્વામી નિત્યાનંદની કથિત સેક્સ સીડીની પૂરી તપાસ થવી જોઈએ. આ સીડી પાછળ તેમના જ અતિવિશ્વાસુ નિત્યધર્માનંદ ઉર્ફે કે. લેનિનનો હાથ હોવાનું પ્રારંભિક તપાસ અને તથ્યોથી બહાર આવ્યુ છે. ત્યારે તેની પાછળ આશ્રમની અંદરનું રાજકારણ કામ કરી ગયુ કે કોઈ બહારી તત્વોના આધારે આ કામ થયું કે સીડીમાં દેખાતી અભિનેત્રીની કોઈ મહત્વકાંક્ષા સીડીકાંડ માટે કારણભૂત છે? તેની તપાસ થવી જોઈએ. કોમ્પ્યુટર યુગમાં ડુપ્લિકેટ સીડી બનાવવી શક્ય છે. ત્યારે આ સીડીની સત્યતા ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસાય તે પણ જરૂરી છે. ગાઝિયાબાદના કથિત સંત અનુપકુમારે યુવતીનું અપહરણ કર્યું હોય, તો પુરાવાના આધારે તેની સામે કાર્યવાહી થાય તેનાથી કોઈને કોઈ વાંધો નથી. પણ આવા ત્રણ-ચાર કિસ્સાઓને આધારે ધર્મકાર્ય કરી રહેલા, જનકલ્યાણમાં લાગેલા સેંકડો સંતો સામે આંગળી ચિંધવાથી કોના હિતો પાર પાડવાની કોશિશ થઈ રહી છે? તે સંદર્ભે પણ વિચારવું જોઈએ.
કૃપાળુ મહારાજના પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ભાગદોડ માટે આશ્રમનું વહીવટીતંત્ર અને રાજ્ય પ્રશાસન બેમાંથી એકેય છટકી શકે તેમ નથી. ત્યારે ઘટનાની યોગ્ય તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પણ તેને મુદ્દો બનાવીને દરેક ભંડારાઓ સામે આંગળી ચિંધવામાં આવે તે દુખદ છે. જો કે લોકો જ્યારે મંદિરો અને અન્ય ધાર્મિક મેળાવડામાં એકઠા થાય ત્યારે આ પ્રકારની દુખદ ઘટનાઓ ન બને તેની તકેદારી લેવાય તે જરૂરી છે.
પરમાર્થમાં લાગેલા વ્યક્તિઓ પ્રત્યે લોકોને વિશેષ આસ્થા હોય છે. તેઓ આવા સંતો-સાધુઓને ઈશ્વરતુલ્ય ગણતા હોય છે. કેટલાક સંતો-સાઘુઓ ભગવાન તરીકે ઓળખાતા હોય છે. ત્યારે ધર્મનો વિરોધ કરનારા ભગવાન તરીકે ઓળખવા ઓળખાવાની વાતને અયોગ્ય ઠેરવે છે. પણ તે ભારતીય તત્વચિંતન પ્રમાણે અયોગ્ય નથી. મનુષ્ય પોતાના સત્કર્મો અને પુણ્યાય થકી દેવત્વને આંબી શકે છે. આપણે ત્યાં કણ કણમાં ભગવાનની સંકલ્પના છે. વળી અહં બ્રહ્માસ્મિની પણ વાત છે. ત્યારે કોઈ વ્યક્તિ પોતાને ઈશ્વર કે ઈશ્વરતુલ્ય ગણાવે અથવા આમ કરવામાં આવે ત્યારે તે ધર્મ વિરુદ્ધનું આચરણ ગણવામાં આવતું નથી. પણ આવે વખતે આપણે યાદ રાખવું જોઈએ કે જે ઈશ્વરીય તત્વ પોતાનામાં હોવાનો દાવો કરે છે, તેના જેવું જ ઈશ્વરીય તત્વ આપણા પોતાનામાં પણ છે. ઈશ્વર બહાર શોધવા કરતાં પોતાના અંતરમાં શોધવો જરૂરી છે. વળી દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદ જેવા સંતોએ પોતે ઈશ્વર હોવાની વાત કરી નથી. ત્યારે પોતે ઈશ્વર હોવાની વાત કરનારના ઈશ્વરીય તત્વોની અનુભૂતિ કરીને તેને તે પદ આપવું વધારે યોગ્ય છે.
સેક્સ અને સેક્સની વાતોની દુનિયામાં સૌથી વધારે ખપત છે. તેને ધ્યાનમાં રાખીને આવી વાતોના સોદાગરો તેને ચગાવવાના છે. પણ એક વાત સમજવી જોઈએ કે જમીનથી અધ્ધર દોરી પર ચાલનારાને જોવો તો ખ્યાલ આવશે કે જ્યારે તે જમીન પર અડીને ચાલતો નથી, ત્યારે તેને ચાલવામાં સંતુલન જાળવવામાં વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે. જો તે આ પ્રયત્નો યોગ્ય રીતે ન કરી શકે, તો તેનું જમીન પર પડવું નિશ્ચિત છે. કેટલાંક અભ્યાસુઓ માટે, સિદ્ધપુરુષો માટે જમીનથી અધ્ધર દોરી પર ચાલવું તેમના પ્રયત્નોના પરિપાક રૂપ સિદ્ધિથી સહજ બની જતું હોય છે. પણ આ સ્થિતિ બધાં દોરી પર ચાલનારા માટે શક્ય નથી. સાધુત્વ તો ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એકાદ બે પથભ્રષ્ટોના કિસ્સાથી સાધુત્વ પર શંકા કરવી યોગ્ય નથી.
આ દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવા ભારતવિરોધી આતંકવાદીઓને તક આપવામાં આવે છે. ત્યારે ભગવાના ગુણો પચાવવામાં ઉણાં ઉતરનારાઓને તક કેમ આપવામાં ન આવે? સ્વામી નિત્યાનંદને ઘણાં પ્રભાવી રાજકારણીઓ પગે લાગતા બતાવાયા છે. જો નિત્યાનંદની સેક્સ સીડી સાચી નીકળે તો તેમની તે સીડીમાં દેખાતી યુવતી સાથે તેમને પગે લાગનાર તમામ પ્રભાવી લોકોની હાજરીમાં લગ્ન કરીને નવજીવન શરૂ કરવાની તક આપવી જોઈએ.
આપણે ત્યાં સંતોને સંન્યાસ લેવા માટેની પદ્ધતિ અસ્તિત્વમાં છે. સાઘુપણું ક્યારેય કોઈ સમિતિ કે કમિટીની મોનોપોલી હોઈ ન શકે. સંન્યાસ ધર્મને આધિન જ હોઈ શકે છે. તેના માટે કોઈ મુઠ્ઠીભર લોકો નિર્ણય ન લઈ શકે. પણ ત્યારે સાધુઓએ પાખંડી, પ્રપંચી અને લેભાગુઓને ભગવા પહેરતા અટકાવવા માટે સંન્યાસના શાસ્ત્ર સંમત નિયમોને વધારે કડકાઈથી અમલી બનાવવા પડશે. સાથે આજના યુગમાં અનેક પ્રલોભનો વચ્ચે સાધુત્વનું નિર્વાહન ન કરી શકનારને સમાજ અને સંસારમાં પાછા ફરવાનો માર્ગ મોકળાશથી ખોલી આપવો પડશે કે જેથી કોઈ પ્રામાણિક વ્યક્તિ સાધુત્વના નિર્વાહનમાં અશક્ત માલૂમ પડે, તો પાછો ફરી શકે. સનાતન હિંદુ ધર્મની વ્યવસ્થા, વ્યવસ્થા મુક્ત છે. કોઈ એક પુસ્તક, એક વ્યક્તિ, એક પયગંબર કે એક ઈશ્વરપુત્ર સુધી બંધાયેલો બંધિયાર આ ધર્મ નથી. હિંદુ ધર્મ ચાર વેદો, 18 પુરાણો, 108 ઉપનિષદો અને રામાયણ-મહાભારત સહિત અનેક તત્વચિંતકો અને સંતોના વિચારોથી સમૃદ્ધ છે. સંન્યાસીઓના દસનામ અખાડાની વ્યવસ્થા પણ છે. પણ આ તમામ વ્યવસ્થાઓ મુક્તતાથી સમૃદ્ધ છે. સનાતન હિંદુ ધર્મનો મૂળભૂતવિચાર સ્વતંત્રતા અને મુક્તતાથી ઘડાયેલો છે. જો કે આ વિચારે ક્યારેય કોઈને સ્વછંદતાની સ્વતંત્રતા આપી નથી. ધર્મના નાશ વખતે, અધર્મથી ધર્મની રક્ષા માટે ભારતભૂમિ પર જન્મ લેનારા ઈશ્વરના અંશોને પણ ધર્મની મર્યાદાઓ બહાર જવાની પરવાનગી મળી નથી. ત્યારે ધર્મની મર્યાદાઓનું વહન ન કરી શકનાર માટે સાધુત્વ ન હોઈ શકે. પણ ત્યારે કેટલાંક પથભ્રષ્ટોના કિસ્સાઓને ટાંકીને દેશના એંસી લાખથી વધારે સાઘુ-સંતોનું તેમના સાધુત્વ અને સાઘુપણાંને અપમાનિત કરવું સર્વથા નિંદનીય અને જઘન્ય અપરાધ સમાન છે. આવા કિસ્સાઓની ચાતુષ્કોણીય તપાસ થવી જોઈએ. આવા કિસ્સાઓ કોઈની વ્યક્તિગત મહત્વકાંક્ષાને કારણે કે મઠોના પ્રભાવની ઈર્ષ્યા કે વિધર્મીઓના આસ્થા પર આક્રમણના રસ્તા તરીકે કે સમાજમાં સનસનાટીપૂર્ણ ખબરો વેચવાના કારોબારીઓની સામેલગીરી તો નથી ને. તે સ્પષ્ટ થવું જોઈએ. કોઈ ઉપવાસી વ્યક્તિને મનભાવતા ભોજન કરવાની છૂટ સાથે રસોડામાં છૂટો મકી દેવો કે તેને તેવા પ્રલોભનો આપવા કે રૂમમાં જુદીજુદી લજિજ વાનગીઓ સાથે પૂરી દેવામાં આવે, તો ઉપવાસ તૂટવાની શક્યતા વધી જાય છે. ત્યારે ધર્મકાર્યમાં લાગેલા સાધુ-સંતોના સાઘુપણાને કલંકિત કરવા માટે આવો કોઈ પ્રયાસ તો નથી થઈ રહ્યોને ? તેની તપાસ થવી અત્યંત જરૂરી છે.